Thursday, February 26, 2026
મુદ્દા, પ્રમાણભાન અને ચર્ચા-મથનની અછત
દેશની સામે રહેલા અને આ સરકારે ઊભા કરેલા કેટલા બધા સળગતા મુદ્દા વિશે ઠરીને, સળંગ કશી ચર્ચા જ થઈ શકતી નથી. અંગ્રેજીમાં જેને ડિસ્કોર્સ કહેવામાં આવે છે, એવાં ચર્ચા-મંથન સામાન્ય રીતે પ્રસાર માધ્યમો ચલાવતાં હોય છે.
Saturday, October 18, 2025
ન જોયેલા વડીલોની સ્મૃતિ
નામઃ કેશવલાલ કીલાભાઈ દેસાઈ. તેમના પુત્ર ચંદુલાલ કેશવલાલ દેસાઈ અને ચંદુલાલનાં પુત્રી સ્મિતા તે મારાં મમ્મી.
નામઃ
ચુનીલાલ ગોરધનદાસ કોઠારી. તેમના પુત્ર ચીમનલાલ ચુનીલાલ કોઠારી. અમારા ઘરે આવેલા
મિત્રોએ ઘરની કેટલીક ચીજવસ્તુઓથી માંડીને ક્રોકરી પર CCK અથવા ચી.ચુ.કો. લખેલું જોયું હશે,
તે ચીમનલાલ કોઠારી અને તેમના પુત્ર અનિલકુમાર તે મારા પપ્પા.
અમારા
બંને ભાઈઓમાં બીરેન છ વર્ષે મોટો. છતાં, તેણે એકેય દાદાને જોયા ન હતા—ચીમનલાલને પણ
નહીં ને ચંદુલાલને પણ નહીં. એટલે પરદાદાઓને જોવાનો તો પ્રશ્ન જ નહીં. પરંતુ એ બંને
પરદાદાઓની સ્થૂળ યાદગીરી ઘરમાં સચવાઈ રહી હતી, જેની તરફ થોડા સમય પહેલાં ધ્યાન
પડ્યું.
અમારાં
બંને ઘરે (મહેમદાવાદ અને વડોદરા) જૂની ચીજવસ્તુઓ બહુ સારી રીતે સચવાઈને રહી હોય.
તેમાં કેટલાંક વાસણ પણ ખરાં. એવાં થોડાં વાસણમાં જર્મન સિલ્વરના ચાર લોટા અમે
રાખ્યા હતા અને દાદાજીના જમાનાના સીસમના બે માળના કબાટની ઉપરની ખાલી જગ્યામાં
તેમને ગોઠવ્યા હતા.
ચારેય લોટાના તળીયે (હા ભઈ, આ ગાંધીનગર-દિલ્હીના નથી. એટલે તળીયાવાળા લોટા છે.) તેની કંપનીનું નામ હતું. તેમાં ત્રણ નામ એકસરખાં, પણ ચોથું અલગ હતું. Lallobhoy Ambaram Parekh. લલ્લુભાઈ અંબારામ પારેખ. મારી એવી છાપ હતી કે bhoy સામાન્ય રીતે વોરાજીઓ લગાડતા હોય, પણ આમાં તો એવું લાગતું નથી. તેમના નામના લોગોની નીચે વંચાય છેઃ Made in Germany.
ચાર
લોટા પાછા સાફ કરીને, પરદાદાઓ સાથે આડકતરી મુલાકાતના આનંદ સાથે પાછા મુક્યા, પણ તેમના તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ છે. જેમનો ચહેરો પણ જોયો નથી એવા કેશવલાલ
કીલાભાઈ અને જેમનું ફક્ત ચિતરેલું પોટ્રેટ જોયું છે એવા ચુનીલાલ ગોરધનદાસના અણસાર
હવે તેમાં આવે છે.
Friday, October 17, 2025
બીરેન કોઠારીએ ગઈ કાલે પપ્પા વિશે લખ્યું હતું. કાલે (16 ઓક્ટોબર) પપ્પાનો જન્મદિવસ હતો. અમે બંને આમ તો તારીખટાણાં પાળવામાં બહુ આગ્રહી નહીં. મને તો તારીખો પણ યાદ રહેતી નથી.
![]() |
| પપ્પાઃ અનિલકુમાર કોઠારી, મહેમદાવાદ, જુનિયર ચેમ્બર, 1967 |
![]() |
| પપ્પાઃ અનિલકુમાર કોઠારી, અજાણી વ્યક્તિ સાથે |
Thursday, June 12, 2025
‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (2) : "સાડા ત્રણ મહિનામાં પહેલા ભાગનો અનુવાદ પૂરો થઈ શકે."
'ગાંધી પછીનું ભારત'ની પ્રકાશન કથા (1)
બપોરે રામચંદ્ર ગુહાને મળ્યા પછી રાત્રે ઘરે પહોંચીને તેમને ઇ-મેઇલ લખ્યો. તેમાં મળવાનો આનંદ વ્યક્ત કરવા ઉપરાંત, ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. બીજા દિવસે ગુહાનો મેઇલ આવી ગયો. તેમાં લખ્યું હતું, Go ahead with the Gujarati translation of “India After Gandhi”. આમ, 20 ઓક્ટોબર 2016થી ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદની ઘડિયાળ શરૂ થઈ (જે સમય જતાં ઘડિયાળને બદલે કેલેન્ડર બની જવાની હતી) તે વખતે ‘સાર્થક જલસો-7’ (નવેમ્બર 2016)નું કામ ચાલતું હશે, એટલે વચ્ચે ખાડો પડ્યો. પણ 11 ડિસેમ્બર, 2016ના રોજ પુસ્તકનાં પહેલાં ત્રણેક પાનાંનો અનુવાદ કરીને મેં ‘સાર્થક’ના સાથીદારોને મોકલ્યો. સાથે લખ્યું હતુઃ
“આ સાથે ઇન્ડિયા આફ્ટર ગાંધીનાં પહેલાં ત્રણ પાનાંનો અનુવાદ મોકલું છું. અખતરા લેખે આજે મેં કરી જોયો, જેથી સમયનો ખ્યાલ આવે. આટલું કરતાં મને એક કલાક થયો. અનુવાદ વિશે તમારી ટિપ્પણીઓ જણાવશો. આ પુસ્તક આપણે કરવું જોઈએ, એવું મને લાગે છે. અનુવાદ કરનાર કોઈ સરસ મળે અને આપણે [થયેલા અનુવાદ પર] ઓછામાં ઓછી મહેનત કરવી પડે, તો અનુવાદ માટે આપવાની આપણી તૈયારી છે. બાકી, હું અને દીપક કરી લઇએ. બીરેનને રસ અને સમય હોય તો તેને સાંકળી શકીએ... આપણે બે ભાગમાં આ કામ કરવાનું છેઃ ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ. પહેલા ભાગનાં 384 પાનાં છે. આપણે બે જણ કરીએ અને રોજનાં બે પાનાં અચૂક કરવાં એવા નિયમ સાથે કરીએ તો એક જણનાં અઠવાડિયાનાં 14 અને મહિનાનાં આશરે 60 પાનાં થાય. એટલે એક જણ ત્રણ મહિનામાં આશરે 180 પાનાં કરે. બે જણ કરે તો 360 પાનાં થાય. આમ સાડા ત્રણ મહિનામાં અનુવાદનું કામ પૂરું થઇ શકે.”
કેવું ભવ્ય, આશાવાદી અને વાંચવામાં સારું લાગતું, છતાં ભાગ્યે જ પાર પડે એવું આયોજન 😊 . પરંતુ આપણું ધાર્યું ક્યાં કંઈ થાય છે. છેવટે તો અનુવાદ કરનારા કરે એ જ થાય. દીપક-બીરેનને સમય અને રસરુચિના અભાવે સંકળાવાનું ન બન્યું. યાદ છે ત્યાં સુધી, નીલેશભાઈ (રૂપાપરા)ને પણ પૂછી જોયું હતું. પરંતુ આ કામ એટલું લાંબું હતું કે કોઈને પણ તે હાથમાં લેતાં સ્વાભાવિક ખચકાટ થાય. છેવટે દિલીપભાઈ ગોહિલને અમે વાત કરી. દિલીપભાઈ ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’ના કોપી એડિટર રહી ચૂક્યા હતા. તેમનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ બહુ સારો. દિલીપભાઈ જોડેની દોસ્તીમાં ભૂતકાળમાં ચડાવઉતાર રહ્યા હતા, પણ તેમના કામની ગુણવત્તા વિશે બેમત ન હતો. એટલે અમે વ્યાવસાયિક ધોરણે આ કામ આગળ વધારવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં મે પહેલું પ્રકરણ શરૂ કરી દીધું હતું. એટલે, મૂળ યોજના પ્રમાણે, પહેલા ભાગનાં પ્રકરણ હું કરું ને બાકીના ભાગ (બીજા મિત્રોને બદલે) દિલીપભાઈ કરે એવું ઠર્યું.
![]() |
| દિલીપ ગોહિલઃ સાર્થક જલસો-9ના મિલન મેળાવડામાં (ફોટોઃ ઇશાન કોઠારી) |
પુસ્તકના બે ભાગનું નામ અલગ અલગ (ઇન્ડિયા
આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ) રાખવાનો ખ્યાલ
હિંદી અનુવાદ પરથી આવ્યો હતો. ગુહા સાથે વાત થઈ ત્યારે તેમને કહ્યું હતું કે ગુજરાતીમાં
આટલું દળદાર પુસ્તક (એકાદ હજાર પાનાંનું) ચાલે નહીં. તેના બે ભાગ કરવા પડે. ત્યારે
તેમણે કહ્યું હતું કે હિંદી અનુવાદ બે ભાગમાં છે અને તેને બે અલગ નામ પણ આપવામાં
આવ્યાં છે. પુસ્તકના ભાગ પણ સહજ રીતે એવા બની આવ્યા છે કે આઝાદીથી નહેરુના શાસનકાળ
સુધીનું એક પુસ્તકમાં આવે અને તેમના મૃત્યુ પછીના ગાળાનું બીજું પુસ્તક થાય.
આવી માનસિક તૈયારી સાથે દિલીપભાઈએ અને મેં કામ શરૂ કર્યું. આટલાં વર્ષે મનમાંથી નીકળી ગયું હતું, છતાં આ લખતી વખતે જૂના ઇ-મેઇલ જોઈને થયું કે શરૂઆતમાં કામ બરાબર ચાલતું હતું. ડિસેમ્બર 2016ના મારા એક મેઇલમાં એવો પણ ઉલ્લેખ છે કે ‘અમે માર્ચ 2017 સુધીમાં પહેલા ભાગનું કામ પૂરું કરી દઈશું.’ ત્યારે એવું પણ વિચાર્યું હતું કે કદાચ પહેલો ભાગ થઈ જાય તો, બીજા ભાગની રાહ જોયા વિના, તેને પ્રગટ કરી શકાય. દરમિયાન, વર્ષ 2017માં રામચંદ્ર ગુહા પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરતા હતા. તેમાં તેમણે એક પ્રકરણ અને નવી, લાંબી પ્રસ્તાવના ઉમેર્યાં હતાં. આ વાતની જાણ તેમણે મને પણ કરી અને કહ્યું કે દસ વર્ષ પછી થઈ રહેલી પુસ્તકની આવૃત્તિમાં નવી સામગ્રી આવી રહી છે. ફેબ્રુઆરી 2017માં નવા ઉમેરાની જે વર્ડ ફાઇલ તેમણે તેમના અંગ્રેજી પ્રકાશકોને જે મોકલી હતી, એ જ અમને પણ મોકલી આપી. જોકે, અમારા માટે એ કામ હજુ દૂર હતું. કારણ કે અમે પહેલો ભાગ પૂરો કરવામાં હતા.
![]() |
| સાર્થક જલસો-8નો સંપાદકીય |
માર્ચ-એપ્રિલ આવ્યા એટલે ‘સાર્થક જલસો’ના આઠમા અંકનું કામ શરૂ થયું અને અનુવાદ સહિતનું બીજું કામ બાજુ પર મુકાઈ ગયું. એ જ અરસામાં અશ્વિની ભટ્ટની નવલકથાઓના હકો પણ તેમના પરિવારે સાર્થક પ્રકાશનને આપ્યા. અશ્વિની ભટ્ટની નવલકથાઓના ચાહક અને તેમના અંગત પરિચયમાં આવ્યા પછી તેમના વ્યક્તિત્વના પ્રેમી એવા અમારા માટે એ બહુ મોટી વાત હતી. એટલે ‘સાર્થક જલસો-8’ના સંપાદકીયમાં પોતપોતાની રીતે અત્યંત મોટાં ગણાય એવાં બે નામ હવે ‘સાર્થક’માં વાંચવા મળશે, એવા સમાચાર જાહેર કર્યા. એટલેથી ન અટકતાં એવું પણ લખ્યું કે ‘(તેનો) પહેલો ભાગ બે-ત્રણ મહિનામાં અને બીજો ભાગ વર્ષના અંત સુધીમાં વાચકો સમક્ષ મૂકવાનો ખ્યાલ છે.’ અંકના ઉઘડતા પાને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના અનુવાદની આખા પાનાની જાહેરાત પણ છપાઈ હતી. તેમાં લખ્યું હતું, ‘તેનો પહેલો ભાગ જુલાઇ 2017 સુધીમાં પ્રગટ થશે.’
તો પછી જુલાઇ 2017 લંબાઈને છેક મે 2025 સુધી કેમ પહોંચી?
(ક્રમશ-)
Sunday, June 08, 2025
India After Gandhiના ગુજરાતી અનુવાદ ‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (1)
‘ગાંધી પછીનું ભારત’–એટલે કે ‘India After Gandhi’ના ગુજરાતી અનુવાદનો યાદગાર સમારંભ 18 મે, 2025ની સાંજે યોજાયો, પુસ્તકના પ્રકાશનનો કાર્યક્રમ સામાન્ય બાબત છે, કાર્યક્રમ બહુ સરસ થયો હોય, તો બે-ચાર દિવસ સુધી યાદ રહે, પરંતુ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નો ગુજરાતી અનુવાદ પ્રગટ થયે ત્રણેક અઠવાડિયાં થયાં. છતાં, એ પ્રસંગનો આનંદ અને ત્યારે થયેલો સંતોષ હજુ સંપૂર્ણપણે ઓસર્યાં નથી.
આવું કેમ?
તેનો એક જવાબ
એટલે આ પ્રકાશન-કથા.
*
વર્ષ 2009. ભારતીય પ્રકાશનજગતમાં નવો ઇતિહાસ રચાયો. તે વર્ષે રામચંદ્ર ગુહા દ્વારા લખાનારા ગાંધીજી બે ભાગના જીવનચરિત્ર સહિત કુલ 7 પુસ્તકોના હક માટે પ્રકાશકોએ હોડ લગાવી હતી. મામલો રૂ. એક કરોડની ઉપર પહોંચી ગયો હતો, પણ છેવટે રામચંદ્ર ગુહા અને તેમના એજન્ટે ‘પેન્ગ્વિન ઇન્ડિયા’ના કામને ધ્યાનમાં રાખીને, તેને રૂ. 97 લાખની એડવાન્સ રકમ પેટે એ હક આપ્યા. ભારતીય પ્રકાશનક્ષેત્રે આટલી મોટી રકમ એડવાન્સ ચૂકવાઈ હોય, તેવું અગાઉ કદી બન્યું ન હતું.
![]() |
| સ્ટોરીની લિન્ક |
ગુહા વિદ્વાન-અભ્યાસપૂર્ણ લેખક તરીકે પ્રતિષ્ઠિત હતા, પણ તેમને પાંડિત્યપૂર્ણ-એકેડેમિક લેખકમાંથી ઇતિહાસકાર તરીકે લોકપ્રિય બનાવનાર અને તેમને એક જુદી જ કક્ષા-ભ્રમણકક્ષામાં મુકનારું પુસ્તક હતું ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’. તેની પહેલી આવૃત્તિ 2007માં પ્રગટ થઈ હતી. તેની ભારે સફળતાના પગલે વર્ષ 2009માં તેમનાં આગામી પુસ્તકોના હક માટે વિક્રમસર્જક રકમ એડવાન્સ તરીકે ચૂકવાઈ. ત્યાર પછીના ગાળામાં રામચંદ્ર ગુહાએ બીજાં કેટલાંક પુસ્તક લખ્યાં. ગાંધીજીની જીવનકથાનો પહેલો ભાગ ‘ગાંધી બીફોર ઇન્ડિયા’ પણ પ્રગટ થયો. ત્યાર પછી તેના બીજા ભાગ (1915-1948)નું કામ શરૂ થયું.
વર્ષ 2016. ગુહા ગાંધીજીના જીવનચરિત્ર (1915-1948)નું ઘણુંખરું કામ પૂરું કરી ચૂક્યા હતા, ત્યારે તેમને આશરે 500 પત્રોનો એક જથ્થો મળ્યો. તેમાં ગાંધીજી પર આવેલા કે ગાંધીજીના અનુયાયીઓએ એકબીજાને લખેલા ગુજરાતી પત્રો હતા. ગુહાને થયું કે તેમનું કામ તો પૂરું થઈ ગયું છે, છતાં આ પત્રોમાં શું છે તે પણ એક વાર જોઈ લેવાય તો સારું.
બેંગ્લોરસ્થિત ગુહા કોઈ અનુવાદકની શોધમાં હતા, ત્યારે તેમના જ શહેરમાં રહેતા જાણીતા પત્રકાર-લેખક આકાર પટેલે તેમને મારું નામ આપ્યું. આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’માં ગ્રુપ એડિટર હતા તે અરસામાં (2006-07) મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. હું ત્યારે ભાસ્કરમાં ઓપ-એડ પેજ કરતો હતો. તે પરિચયના અને ત્યારની છાપના આધારે આકારે ગુહાને મારા વિશે કહ્યું હશે અને મારો નંબર આપ્યો. એટલે એક દિવસ ગુહાનો ફોન આવ્યો.
જેમને હંમેશાં પ્રિય-આદરણીય લેખક તરીકે જોયા હોય અને દુન્યવી સફળતા-પ્રસિદ્ધિના અર્થમાં પણ જે સેલિબ્રિટી હોય, એવા લેખકનો સામેથી ફોન આવે એટલે સૌથી પહેલાં તો સુખદ આશ્ચર્યનો આંચકો લાગે. તે શમ્યા પછી તેમણે કામ અંગે કહ્યું ત્યારે મેં તેમને પ્રેમથી કહ્યું, ‘આમ તો હવે અનુવાદનો સમય મળતો નથી, પણ એક તો આ કામ ગાંધીજીનું છે અને બીજું, તમારું છે, એટલે હું તે કરીશ.’ મેં તેમની સાથે એ પણ સ્પષ્ટતા કરી કે ‘મારું અંગ્રેજીનું જ્ઞાન વર્કિંગ છે. ગાંધીજી જેવું લખે એવા અંગ્રેજીમાં તમારે અનુવાદ જોઈતા હોય તો તે કરવાની મારી ક્ષમતા નથી.’ પણ તેમને એવી જરૂર ન હતી. તેમને તો પત્રોમાં શું લખાયું છે એ જ જાણવું હતું.
મેં કામ કરવાની હા પાડી, એટલે તેમણે એક-બે પત્રો નમૂના લેખે મોકલ્યા. તેને ઉકેલીને અનુવાદ કરી આપ્યા પછી, થોડા દિવસમાં તેમણે એક કવર મોકલ્યું. તેમાં પત્ર સાથે પેન ડ્રાઇવ અને તંદુરસ્ત રકમનો ચેક આવી પહોંચ્યાં. ચેક જોઈને મેં તેમને ફોન કર્યો. કહ્યું કે ‘તમે મને ઓળખતા નથી, તમે મારું કામ પણ સરખું જોયું નથી અને આ ચેક? અને તે પણ આટલી રકમનો? અને આટલી ઉતાવળે? એક વાર મને થોડું કામ કરીને તો મોકલવા દો.’ તેમણે કહ્યું કે એની કશી ચિંતા નથી. રૂપિયાની બાબતમાં તેમણે હસીને કહ્યું કે ‘ગાંધીજીએ કોઈનું પણ શોષણ કરવાની ના પાડી છે.’
અંગત અનુભવ ભલે નથી, પણ ઘણાખરા વિદ્વાનો અથવા જાણીતા માણસો એવું માનતા હોય છે કે દુનિયા તેમની સેવા કરવા સર્જાયેલી છે અને લોકોની સેવા લઈને તે લોકો પર ઉપકાર કરી રહ્યા છે. જ્યારે રામચંદ્ર ગુહા સાથે માર્ચ 2016માં થયેલા પહેલા જ પરિચય પછી તેમની સરળતા અને પ્રેમાળ અભિગમ ઊડીને આંખે વળગે એવાં હતાં.
ગુહાનું કામ હાથમાં લીધું ત્યારે બે અઠવાડિક કોલમો, રોજનો તંત્રીલેખ અને તંત્રીપાનાની જવાબદારી હતી. છતાં, નોકરિયાત માનસિકતા વિના, ગમતું કામ કરવાના આનંદને લીધે પહોંચી વળાતું હતું. એટલે, પત્રોના અનુવાદનું કામ તો માત્ર ને માત્ર ટ્રેનના અપડાઉનમાં જ પૂરું કર્યું. તે વખતે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો આવતો હોવાથી, લેપટોપ પર કામ કરી શકાય એવી અનુકૂળતા મોટા ભાગે રહેતી હતી. બધા પત્રોનો અનુવાદ મોકલ્યા પછી તેમણે થોડા વધુ પત્રો મોકલ્યા અને મારી આનાકાની છતાં તેના અલગથી રૂપિયા આપ્યા. અને પુસ્તકના એકનોલેજમેન્ટમાં ઉલ્લેખ પણ કર્યો (જે વાંચીને શીલા ભટ્ટનો દિલ્હીથી ફોન આવ્યો હતો. તેમણે આનંદ અને કદાચ કંઈક આશ્ચર્યના ભાવ સાથે કહ્યું હતું કે રામ ગુહાએ તમારા નામનો ઉલ્લેખ કર્યો છે.)
*
કામ પૂરું થયાના થોડા અરસા પછી એક
વાર ગુહાનો ફોન આવ્યો. તે ત્રણ દિવસ માટે અમદાવાદ આવવાના હતા. તેમાંથી એક દિવસ
સવારે તેમની સાથે જમવાની વાત હતી. માઉન્ટન અને મહંમદની કહેણી તાજી કરે એવા એ સંવાદ
પછી, તે અમદાવાદ આવ્યા ત્યારે અમે મળ્યા. જમ્યા. અત્યારે ઓસ્ટ્રેલિયા-સ્થિત પરમ
મિત્ર નિશા પરીખ ત્યારે અમદાવાદમાં હતી. તેણે અને તેની મિત્ર શચિ સંઘવીએ મને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ની (પહેલી આવૃત્તિ)ની તેમની કોપી આપી અને શક્ય હોય તો
તેની પર ગુહાના હસ્તાક્ષર લાવવા કહ્યું.
ગુહા એટલા નિર્ભાર હતા કે અવનવી વાતો પછી તેમણે પુસ્તક પર બંનેનાં નામ લખીને સહી કરી આપી. બીજી ઘણી વાતોની વચ્ચે પુસ્તકની વાત નીકળતાં મેં કહ્યું, ‘મને આ પુસ્તક વિશે એવું થાય છે કે તે ગુજરાતીમાં હોવું જોઈએ.’ તેમણે તરત, મને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી તૈયારી બતાવી. પછી બીજી વાતો થઈ. અડધા-પોણા કલાકની વાતચીત પછી અમે છૂટા પડ્યા. ત્યારે મારા મનમાં ફરી ફરીને એક જ સવાલ થતો હતોઃ રામચંદ્ર ગુહાએ ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નું ગુજરાતી કરવાની ખરેખર ‘હા’ પાડી હતી? કે મારા મોઢે ‘ના’ પાડવી ન પડે, એટલે માટે ‘હાએ હા’ કરી હશે?
(ક્રમશઃ)
Tuesday, April 29, 2025
થોડું અંદર ઉતરીને, થોડું વિચારધારા વિશે...
મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે.
Saturday, June 08, 2024
થોડું પરિણામોથી હટીને, થોડું અંગત...
ચૂંટણી પહેલાં, દરમિયાન કે પછી, તેનાં ચર્ચા-વિગતો-આંકડા-વિશ્લેષણો-સર્વેક્ષણોમાં વર્ષો પહેલાં, દૂરદર્શનના જમાનામાં રસ પડતો હતો. પક્ષીય રાજકારણમાં એક હદથી વધારે રસ કદી પડ્યો નહીં. કોઈ રાજકીય નેતાની હારથી પહેલવહેલી વાર આનંદ આવ્યો હોય તો તે વી.પી.સિંઘ સામે રાજીવ ગાંધીની હારથી. કારણ કે વી.પી. તે વખતે લડવૈયા લાગતા હતા--અન્ડરડોગ અને રાજીવ સત્તાધીશ. તે વખતની ચૂંટણીજાહેરાતો અને કાર્ટૂનનાં કટિગ હજુ સચવાયેલાં છે.
Sunday, May 12, 2024
હાસ્યવ્યંગની વિડીયોનાં ચાર વર્ષ
કોરોનાકાળમાં ટ્વિટર પર આવ્યો અને થોડા દિવસમાં હાસ્યવ્યંગની વિડીયો બનાવવાનું શરૂ કર્યું. મે, 2020. એ વાતને ચાર વર્ષ પૂરાં થયાં. આ સાથે મુકેલી વિડીયો 326મી છે.
Sunday, April 14, 2024
પરસંગ આયો ને (નર્મદ-મેઘાણીનાં) ગીતો ગવાયાં...
![]() |
| રાહતદરના ક્લિનિકના આરંભપ્રસંગે ગીત ગાતા ડો. દુર્ગેશ મોદી, સાથે નર્મદ-મેઘાણી પુસ્તકાલય (મીઠાખળી)ના જયેશ પટેલ |
![]() |
| સંજય ભાવે દ્વારા મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન, સાથે ડો. દુર્ગેશ મોદી |
![]() |
| ડો. દુર્ગેશ મોદીએ પ્રસંગે હાજર રહેલાં તેમનાં ગુજરાતી શિક્ષિકા હેતલબહેનને અને સાહિત્યપ્રેમ જગાડવામાં તેમની ભૂમિકાને ભાવપૂર્વક યાદ કર્યાં હતાં. (ફોટોઃ બિનીત મોદી) |
ગઈ કાલે સવારે, 'કમઠાણ'ના ગીતના અંદાજમાં કહું તો, એક 'પરસંગ' હતો. મિત્ર ડો. દુર્ગેશ મોદીનું નર્મદ-મેઘાણી ક્લિનિક હાલના નર્મદ-મેઘાણી પુસ્તકાલયથી ખસેડાઈને વધુ મોકળાશવા અને સુવિધાભર્યા ઠેકાણે શરૂ થયું.
એક સ્પષ્ટતાઃ ડો. દુર્ગેશ મોદી મજબૂત સાહિત્યપ્રેમી અને સરસ લેખક હોવા છતાં, તેમનું નર્મદ-મેઘાણી ક્લિનિક ગુજરાતી કૃતિઓની સાહિત્યિકતા તપાસવા માટેનું ક્લિનિક નથી. (કાશ, એવું કોઈ પ્રમાણભૂત ક્લિનિક હોત.) તે રાહત દરે તબીબી નિદાન માટેનું ઠેકાણું છે.
'સાર્થક જલસો'ના વાંચનારા ડો. દુર્ગેશ મોદીને તેમના લેખોથી ઓળખતા હશે. એમ.ડી. થયેલા દુર્ગેશ માટેનો પ્રેમ પહેલાં તેમના લખાણથી થયો હતો. ચંદુભાઈ મહેરિયા અને હું કોરોનાકાળમાં રોજેરોજ 'ડિજિટલ નિરક્ષક' કાઢતા હતા, તેમાં એક વાર દુર્ગેશનો લેખ આવ્યો. ત્યારે તે દિલ્હી એમ.ડી. કરતા હતા અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં કાર્યરત હતા. તેમની ભાષા વાંચીને મને થયું કે આ વળી કઈ મૂર્તિ છે, જે આ વયજૂથમાં અને આ જમાનામાં આટલી સરસ રીતે લખી શકે છે? એટલે પ્રકાશ ન. શાહ પાસેથી નંબર મેળવીને તેમને ફોન કર્યો. ત્યારથી શરૂ થયેલી દોસ્તીને હવે તો ઘણાં પડ ચડ્યાં છે.
નર્મદ-મેઘાણી પુસ્તકાલય સાથે સંકળાયેલા દુર્ગેશમાં સાચી નિસબત અને સાહિત્ય-કળા-વિદ્યાવ્યાસંગ ભરપૂર છલકે છે, જેનો પરચો તેમની સાથેના વ્યવહારમાં સાહજિકતાથી મળતો રહે છે. પરંતુ, આ બધાની ઉપર, એક ડોક્ટર તરીકેની તેમની સજ્જતા સુખદ આશ્ચર્ય ઉપજાવે એવી છે.
દુર્ગેશને ડોક્ટર તરીકે મળીએ ત્યારે તે--
- આપણી વાત નિરાંતે સાંભળે છે. (એનો અર્થ એવો નહીં કે બધી વાર્તાઓ કરવી. પણ સામેવાળાને મુદ્દાસર જેટલું કહેવું હોય તે સાંભળવાની ધીરજ દુર્ગેશમાં છે)
- આપણા સંબંધિત સવાલોના જવાબ તે ખુલાસાવાર અને વૈજ્ઞાનિક ઢબે છતાં શુદ્ધ ગુજરાતીમાં સમજાય એવી રીતે આપે છે.
- ન સમજાય તો ફરી પણ પૂછી શકાય છે.
- પોતાની કામગીરીના ક્ષેત્રમાં લેટેસ્ટ શું ચાલી રહ્યું છે એની ખબર અને તેનો અભ્યાસ રાખે છે.
- અત્યંત શાસ્ત્રીય ઢબે, છતાં જરા પણ માસ્તરીયા નહીં, એવી રીતે સચોટ નિદાન પર આવે છે. (તેનો અત્યંત સુખદ અનુભવ રજનીકુમાર પંડ્યાની માંદગી વખતે થયો.)
- અને આ કશાનો ભાર લઈને ફરતા નથી.
પૂર્ણસમય તો તે એક વરિષ્ઠ ડોક્ટર સાથે કામ કરે છે, પણ અઠવાડિયામાં એક દિવસ, શનિવારે, અઢી-ત્રણ કલાક તે અત્યંત રાહત દરે, દર્દીઓને તપાસે છે. બે વર્ષ પહેલાં આ ઉપક્રમની શરૂઆત આંબેડકરજયંતિના દિવસે થઈ હતી. ગઈ કાલથી હવે સ્થળ બદલાયું.
નવા સ્થળે, પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા, માધવ રામાનુજ અને બીજા ઘણા સ્ને્હી-મિત્રો-વડીલોની હાજરીમાં, ક્લિનિકની શરૂઆત નર્મદ અને મેઘાણીનાં ગીતો ગાવાથી થઈ. દુર્ગેશે અને નર્મદ-મેઘાણી પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે મીઠાખળીની પોતાની જગ્યા આપનાર મિત્ર જયેશભાઈએ સરસ રીતે ગાયું. દુર્ગેશે નર્મદ અને મેઘાણી વિશે પોતે લખેલી એક અંગ્રેજી કવિતા વાંચી અને Sanjay Bhaveએ મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન કર્યું. એમ એક વિશિષ્ટ ઉપક્રમનો અનોખો આરંભ થયો.
નવું સરનામું :
નર્મદ - મેઘાણી ક્લિનિક આશિમા હાઉસ - બેઝમેન્ટ, શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય (એમ. જે. લાઇબ્રેરી)ની બાજુના ખાંચામાં, મેટ્રોના બ્રિજની સમાંતરે, એલિસબ્રિજ, અમદાવાદ
સમય : દર શનિવારે : સવારે ૧૦ થી ૧૨:૩૦
Sunday, February 05, 2023
બીરેન વિશે...
![]() |
| ફોટોઃ શચિ કોઠારી, 2011 |
વહેવાર તો એવો છે કે બીરેને (ગઈ કાલે)
મારી વર્ષગાંઠ નિમિત્તે લખ્યું (લિન્ક), તો મારે તેની વર્ષગાંઠે લખવું. પણ અમને
જાણનારા બધા જાણે છે—અને બીરેને લખ્યું પણ છે—કે અમારી વચ્ચે ‘વ્યવહાર’નો વ્યવહાર
નથી. એટલે થયું કે બીરેન વિશે થોડું તેના લખાણના અનુસંધાને જ લખી દઉં, જેથી ઉત્તરાર્ધ-સિક્વલ માટે ઉત્સુક મિત્રોને બહુ રાહ જોવી ન પડે.
***
મારા પહેલા સ્વતંત્ર પુસ્તક ‘સરદારઃ સાચો માણસ,
સાચી વાત’ (2005)ના અર્પણમાં મેં લખ્યું હતું, ‘વાચન-સંગીત-કળાના સંસ્કાર આપનાર મિત્રવત્ મોટાભાઈ બીરેનને’.
મહેમદાવાદ જેવા ગામમાં રહીને અમુક પ્રકારની રુચિ મારામાં ક્યાંથી આવી, તેવો સવાલ મને કદી થયો નથી. જવાબ મને ખબર છેઃ તે બીરેનમાંથી આવી છે.
પણ મહત્ત્વનો સવાલ છેઃ બીરેનમાં તે ક્યાંથી આવી? સમજની સફાઈ, કળા-સંગીત-સાહિત્ય-વાચન-લેખનની
રૂચિ...આ બધું તેનામાં ક્યાંથી આવ્યું?
કોઈ કહી શકે કે એ બધું તો જન્મજાત હોય. હું પણ
એવું જ માનું છું. તેમાં બીરેનની બે મુખ્ય સિદ્ધિ છે. 1) જન્મજાત ગુણોને તેણે પ્રગટ થઈને ઉછરવા-પાંગરવા દીધા અને તે ગુણોના
વૃદ્ધિવિકાસમાં પોતે જે કંઈ કરવાપણું હોય તે બધું કર્યું.
2) બે દાયકાથી વધુ સમય સુધી આઇપીસીએલની નોકરી કરવા
છતાં, તેણે પોતીકાપણું અને વિશેષતાઓ ન ખોયાં.
રૂપિયાપૈસાની, ઓવરટાઇમોની ને એવી બધી લ્હાયમાં
અટવાઈને, તેમાં જીવનસાર્થક્ય માની લેવાને બદલે,
જીવનમૂડી જેવી અસલી ચીજોને તેણે સદાય છાતીસરસી
ચાંપેલી રાખી. એ બધી ચીજોને તેણે બચાવી ને એ બધી ચીજોએ તેને બચાવ્યો.
છ વર્ષ નાના ભાઈ તરીકે શરૂઆતમાં મારી ભૂમિકા
ઝીલનારની હતી. તે બહુ ઝડપથી જોડીદારની થઈ. તેણે મને નાનો ગણવાનું બંધ કરીને
સરખેસરખો ગણવાનું શરૂ કર્યું. મોટાભાઈગીરી કરવાને બદલે તે સાથી, માર્ગદર્શક અને નિત્ય આગળ લઈ જનાર બન્યો. પત્રકારત્વમાં આવ્યાનાં
વર્ષો પહેલાંથી અમારે એટલું બધું બનતું કે સામાજિક પ્રસંગે ક્યાંક ગયા હોઈએ તો પણ
અમે એક બાજુ પર ઊભા રહીને કલાકો સુધી વાતો કરતા હોઈએ. એક વાર મિત્ર વિપુલ રાવલની
નાની બહેન ટીની--હવે મનિષા કાકા--એ પૂછ્યું પણ હતું, ‘તમે લોકો આટલી બધી શું વાતો કરો? ’ તેના કહેવાનો સૂર એવો હતો કે ભાઈબંધો આટલી વાત કરે તો સમજ્યા,
પણ બે ભાઈઓને આટલી બધી વાતો કરવાની હોય?
મનગમતા કલાકારોને મળવા મુંબઈ જવાનો ઉપક્રમ શરૂ
કર્યો ત્યારે હું 19નો, બીરેન 25નો. મુંબઈમાં ઇસ્ટ કઈ બાજુ ને વેસ્ટ કઈ
બાજુ કહેવાય, તેની મને ખબર ન પડે. ફોન પર વાત કરતાં
ફાવે નહીં. એ વખતે બીરેન સાથે હોય એટલે કશી ચિંતા નહીં. રૂબરૂ વાત કરવામાં મને
વાંધો ન આવે. પણ તે સિવાયનું બધું બીરેનના હવાલે.
બીરેનની રગ સહજ હાસ્યની. મારી સહજ વ્યંગની.
બીરેન એવી એવી વસ્તુઓ અને વાતોમાંથી, કેટલીક વાર તો
સાવ ફાલતુ લાગે એવી વાતમાંથી મમરો મુકીને રમૂજ પેદા કરી શકે, પણ તે અંગત વર્તુળોમાં-મિત્રોમાં. બાકી, તેની (સાચી) છાપ શાંત, સરળ, પ્રેમાળ, સમજુ જણની. અમારા બંનેમાંથી સત્તાવાર
રીતે હાસ્યલેખો લખવાની પહેલી તક મને મળી. ત્યાર પછી મારી દીકરીનો જન્મ થયો અને
બીરેન પરિવાર તેને જોવા આવ્યો, ત્યારે મેં બીરેનને કહ્યું હતું,
‘એની પર હાથ ફેરવજે, તારા જેવી સેન્સ ઓફ હ્યુમર આવે.’ હું એવી શુભેચ્છાઓ કે આશીર્વાદો ફળે
એમાં માનતો નથી. મેં ‘એવું થાય તો કેટલું સારું’ એ ભાવથી કહ્યું હતું, પણ ખરેખર એવું થયું છે અને એનો મને અનહદ આનંદ છે. બીરેનની ઘણી
રમૂજોમાં બીજાને પીચ પડે તે પહેલાં મારી દીકરીને એ પકડાઈ જાય છે.
બીરેનની દીકરી શચિ એટલે અમારા પરિવારમાં પહેલું
બાળક. મહેમદાવાદ ઉછરી, એટલે મને અત્યંત વહાલી. બાળકો સાથે
મારો પનારો નહીંવત્. બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવાય, એ વાતમાં હું સંમત નહીં. છતાં, બિંદુ-વિપુલ રાવલના પુત્ર નીલ પર સૌથી પહેલાં વહાલ ઉપજ્યું. ત્યાર
પછી શચિ આવી. તે મારી થાળીમાંથી જમે. હિંચકે મારા ખોળામાં બેસીને સુએ. હવે શચિને
ત્યાં દીકરો છે. પણ શચિ માટેનો જૂનો ભાવ અકબંધ છે. શચિ-ઇશાન-આસ્થા વચ્ચેનું આત્મીય
સમીકરણ બીરેનની અને મારી જોડીને ફક્ત મજબૂત આધાર જ નહીં, વધારાનું બળ આપનારું નીવડ્યું છે. તેમાં હવે શચિના પતિ સિદ્ધાર્થનો
પણ ઉમેરો થયો છે. સોનલ અને કામિની વચ્ચેના સમીકરણે અમારી જોડીને કદી કસોટીરૂપ
અવસ્થામાં નહીં મુકવાનું અને પછી તો પરસ્પર મજબૂત ટેકારૂપ બનવાનું કામ કર્યું છે.
![]() |
| (ડાબેથી) ઇશાન, આસ્થા, શચિ, નીલ (L to R) Ishan, Aastha, Shachi, Neel. 2012 |
બીરેને વીઆરએસ લીધી, ત્યાર પછી એ ઘરે રહીને કામ કરે છે. એટલે ઘણા લોકોને એવું લાગે છે કે બીરેન નિવૃત્ત છે અને એને ગમે ત્યારે ફોન કરાય. હકીકતમાં તે મારા કરતાં પણ વધારે પ્રવૃત્ત-વ્યસ્ત હોય છે. છતાં, ઘણી વાર એની પ્રકૃતિસહજ સૌમ્યતાને લીધે એ લોકોને કહી શકતો નથી કે ભાઈ, હું તમે ધારો છો એના કરતાં ઘણો વધારે વ્યસ્ત છું. હું બહાર (અમદાવાદ-નડિયાદ) જાઉં છું એટલે લોકોને વધારે વ્યસ્ત લાગું છું.
બીજું કારણ અમારી છાપનું પણ છે. વડીલ સગાંસ્નેહીઓ કહેતા કે બીરેન અમારા દાદા જેવો (ચીમનલાલ કોઠારી જેવો) છે—ફક્ત ચહેરેમહોરે નહીં, સૌમ્યતાની બાબતમાં. તે ગુણમાં મમ્મી (સ્મિતાબહેન કોઠારી)નો મજબૂત વારસો પણ ભળ્યો છે. સોનલ હંમેશાં કહે કે બીરેનભાઈ એટલે સ્મિતાબહેનની ‘દીકરી’. (લાગણી, બીજાની કાળજી રાખવાની વૃત્તિ, સૌમ્યતાના અર્થમાં અને મમ્મી સાથે નિરાંતે અનેક વિષયો પર વાતો કરવાની બાબતમાં)
મારી કિશોરાવસ્થાથી કોઈ શું વિચારે છે તેની પરવા નહીં કરવાની વૃત્તિ વિકસી, ત્યારે શરૂઆતમાં વૈચારિક મજબૂતી બીરેનની અને ઉદ્દંડતા મારી—એવી વહેંચણી હતી. પછી અમારી ચર્ચાઓમાંથી ઘણી સ્પષ્ટતાઓ થઈ, મારો વૈચારિક પાયો મજબૂત બન્યો. અત્યંત સાદગીથી, માત્ર પરિવારજનોની હાજરીમાં લગ્ન કરવાના અમારા બંનેના નિર્ણયમાં સૌથી વધારે મુશ્કેલી અને કસોટી બીરેનના લગ્ન વખતે થઈ. પછી મારું પણ એ જ રીતે લગ્ન થયું. પાંચ-સાત કુટુંબીજનોની હાજરીમાં. તે વખતના વિરોધ સામે અણનમ રહેવા જેટલી સજ્જતા અને મક્કમતા અમે કેળવી લીધી હતી. આજે પણ એ બંને લગ્નપ્રસંગો વિચાર પ્રમાણે આચરી શકવાનો ઊંડો સંતોષ આપે છે.
યોગ્ય દિશાના વાચનમાં પણ બીરેનના લીધે હું આગળ વધ્યો. શ્રીલાલ શુક્લની હિંદી વ્યંગ નવલકથા ‘રાગ દરબારી’ પહેલી વાર બીરેને વાંચીને પછી મને આગ્રહપૂર્વક વાંચવા આપેલી. તે 1990ના દાયકાની શરૂઆતનાં વર્ષો હશે. તેણે ખાસ કહ્યું હતું કે શરૂઆતનાં પાનાંમાં રસ ન પડે એવું લાગે તો પણ અચૂક વાંચજે. ત્યારથી ‘રાગ દરબારી’ની સંખ્યાબંધ ચીજો અમારી વચ્ચેના કાયમી રેફરન્સ પોઇન્ટ બની ગઈ. એવા બીજા પણ અનેક રેફરન્સ પોઇન્ટ છે, જેના ઉલ્લેખમાત્રથી અમે બીજી કશી પિંજણ વિના ટૂંકમાં સમજી જઈએ છીએ.
જૂનાં ગીતો હવે સાથે સાંભળવાનું ઓછું બને છે, પણ પહેલાં અનેક સેશનોમાં અમે ગીતો ભરપૂર માણ્યાં છે અને હજુ પણ શચિના સાસરે જવાનું થાય અને થોડા કલાકની મુસાફરી હોય ત્યારે એકાદ ટાઇમ અમે બહુ વખતથી સાથે બેસીને નહીં સાંભળેલાં ગીતો મુકીએ છીએ અને ફરી તે ગીતોનો અને તે ગીતો સાથે સાંભળવાનો આનંદ લઈએ છીએ.
ભણતરકાળમાં મિત્રોની કમી હતી ત્યારે બીરેનના-IYCના મિત્રો સાથે હું જુનિયર તરીકે હળતોભળતો થયો. મને ઊભા રહેવા માટે આત્મવિશ્વાસની જે ભોંયની જરૂર હતી, તેનો મોટો હિસ્સો બીરેનના સાથ ઉપરાંત જૂના ગીતસંગીતના શોખ-અભ્યાસે-વાચને આપ્યો, તો થોડો હિસ્સો IYCના મિત્રોની સોબતે પણ આપ્યો. મિત્ર વિપુલ રાવલનું ઘર IYCનો અડ્ડો હતું. હું પણ ત્યાંનો નિયમિત મુલાકાતી બન્યો અને છેવટ સુધી રહ્યો. છેલ્લે બીજા બધા બહાર નીકળી ગયા હતા ત્યારે ચોક્સી (અજય પરીખ) અને હું—અમે બંનેએ રાત્રે 17, નારાયણ સોસાયટીના ઘરે જવાનું ચાલુ રાખ્યું હતું.
બીરેનનો અને મારો ચહેરો મળતો આવે છે કે નહીં, તે અમારી વચ્ચેની કાયમી રમૂજનો બહુ જૂનો વિષય. પાછલાં વર્ષોમાં અમારી બંનેની ‘તંદુરસ્તી’ વધ્યા પછી અમારા ચહેરા સરખા હોવા વિશે અમને બહુ શંકા રહી નથી, પણ શરૂઆતમાં આવું કોઈ કહે ત્યારે અમે તેમાંથી બહુ રમૂજ લેતા હતા. શારીરિક સામ્યથી વિપરીત, અમારી વચ્ચે સ્વભાવનો બહુ મોટો તફાવત છે, એવું ઘણાને લાગે છે. તે છે પણ ખરો. એટલે, અમને અલપઝલપ મળનારને અમારી વચ્ચેના એકતાર-એકસૂરનો ખ્યાલ કદાચ ન પણ આવે. (અને એવું થાય ત્યારે અમે તેની પણ મઝા લઈએ) અમારા ટેમ્પરામેન્ટ-મિજાજ બહુ જુદા છે, પણ એ ફરક કેવળ અભિવ્યક્તિનો છે-વૈચારિક સ્પષ્ટતાનો નહીં, એ પકડાતાં ઘણાને વાર લાગે છે.
નહીં બોલાયેલું સમજવાની અને નહીં કહેવાયેલું સાંભળવાની અમારી સિદ્ધિ—સિદ્ધ કરેલી વૃત્તિ—અડીખમ છે. અમે બંને પચાસ વટાવી ગયા, સંતાનો મોટાં થઈ ગયાં, એટલે તોફાનની સંભાવના ધરાવતો સમયગાળો પૂરો થઈ ગયો છે અને તેમાં એ વૃત્તિનો કાંગરો પણ ખર્યો નથી. એટલે હવે એવી કોઈ શક્યતા નથી. હકીકત તો એ છે કે અમારા મનમાં એ વૃત્તિને સભાનપણે જાળવવાની કે રક્ષવાની અસલામતી કદી જાગી જ નથી.
કારણ કે, આ ખાલી ભાઈપણું નથી. ભાઈબંધી પણ છે—લોહીના સંબંધે સ્થપાયેલી ને દાયકાઓની તડકીછાંયડીમાંથી હેમખેમ પાર ઉતરેલી ભાઈબંધી.















