Showing posts with label Urvish Kothari/ઉર્વીશ કોઠારી. Show all posts
Showing posts with label Urvish Kothari/ઉર્વીશ કોઠારી. Show all posts

Thursday, February 26, 2026

મુદ્દા, પ્રમાણભાન અને ચર્ચા-મથનની અછત

 દેશની સામે રહેલા અને આ સરકારે ઊભા કરેલા કેટલા બધા સળગતા મુદ્દા વિશે ઠરીને, સળંગ કશી ચર્ચા જ થઈ શકતી નથી. અંગ્રેજીમાં જેને ડિસ્કોર્સ કહેવામાં આવે છે, એવાં ચર્ચા-મંથન સામાન્ય રીતે પ્રસાર માધ્યમો ચલાવતાં હોય છે.

સોશ્યલ મિડીયા પર ચર્ચાના નવા મુદ્દા રોજેરોજ અને ક્યારેક તો દિવસમાં બે-ત્રણ વાર ઉભરે છે, પણ તેમાંથી મોટા ભાગના ઉભરાની જેમ ઉભરે છે ને પછી બેસી જાય છે--પછી તે ગંભીર હોય કે કામચલાઉ.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આવા મુદ્દાની યાદી બનાવીએ તો આરામથી પુસ્તક લખાઈ જાય. પણ બીજાં ગમતાં અનેક કામ અને પુસ્તકોનાં કામ ચાલતાં હોય, ત્યાં આવા ગંદવાડમાં હાથ નાખવાનો કંટાળો આવે છે. નોટબંધી પછી બધું સમુંસૂતરું કરવા માટે સો દિવસની મુદત માગી હતી ત્યારથી રોકડનું ચલણ નોટબંધીના સમય કરતાં ઘણું વધારે થઈ ચૂક્યું છે, ત્યાં સુધીની એક સાદી ટાઇમલાઇન આપીએ તો, તેમાં વડાપ્રધાનની દેખીતી અને જાહેર અણઆવડત અને બેશરમી ઉપરાંત, ઘણા લોકોની આંધળી ભક્તિને પણ તેમાં સામેલ કરવી પડી.
પ્રસાર માધ્યમો આ સહેલાઈથી કરી શકે, પણ તેમને ભય કે લાલચ કે બંનેથી ફૂંકી ફૂંકીને પાણી પીવું પડે છે. થોડી ટીકા, થોડી ભક્તિ--એ મોડેલ કેટલાંકે અપનાવ્યું છે. કેટલાકે થોડી ટીકા, ઝાઝી ભક્તિ ચાલુ રાખી છે. પણ અફસોસ એ વાતનો છે કે દેશહિતને ધ્યાનમાં રાખીને જે પ્રકારની ફોલો અપ સ્ટોરી થવી જોઈએ તેનું વાતાવરણ નથી રહ્યું અને કરવા દેનારા પણ નથી રહ્યા. થોડા સમય પહેલાં એક સ્નેહી મિત્રે સ્ટીંગ ઓપરેશન કરીને અમુક વિગતો બહાર પાડવા સૂચવ્યું અને એ માટે બધો ખર્ચ આપવાની તૈયારી બતાવી, ત્યારે તેમને કહેવું પડ્યું હતું કે લોકો આંખ સામે ઉઘાડેછોગ દેખાતું હોય, તે જોવા રાજી નથી, ત્યાં સ્ટીંગ ઓપરેશનનો કશો મતલબ નથી.
હું છાપું કે સાપ્તાહિક કાઢતો હોઉં તો તેના મથાળે રોજ (કે દર અઠવાડિયે) આટલું જરૂર લખું.
ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ ન કર્યાનો આજે ---મો દિવસ.
પણ આવું વાંચીને હવે મોદીભક્તો એવી દલીલ કરે છે કે પ્રેસ કોન્ફરન્સ કરવાની શી જરૂર? આવા લોકો સાથે કશી તાર્કિક વાતની કે સંવાદની પણ ભૂમિકા રહેતી નથી. તેમને સારા મનોચિકિત્સકને દેખાડવાની સલાહ પણ આપી શકાતી નથી. કેમ કે, એ સ્વીકારવા જેટલી સ્વસ્થતા પણ આ મુદ્દે તેમનામાં હોતી નથી. તેમાં કેટલાંક પ્રિયજનો પણ હોઈ શકે છે. તેમનું આ સહસ્ત્રમુખ માનસિક પતન જોવાની તેમ જ દેશના વર્તમાન તેમ જ ભવિષ્યનો જે દાટ વળી ચૂક્યો છે, તે જોવાની પીડા દરેક ઠેકાણાસરના માણસે વેઠવાની આવે છે. તે આમ અંગત નથી હોતી. એટલે, અંગત જીવનની પ્રસન્નતા કે તેના સુખમાં તેનો ઓછાયો પડતો નથી, પણ જાહેર જીવન વિશે નિસબત ધરાવતા નાગરિક તરીકે આ ગાળો ક્યારનો કટોકટીના કાળા સમયને વટીને, તેનાથી ક્યાંય આગળ નીકળી ચૂક્યો છે. તે આવતો દેખાતો હતો, આવી ગયેલો અને ઠરી ચૂકેલો દેખાયો અને હવે તેનાં માઠાં પરિણામ કોમન સેન્સથી જોઈ ને ભાખી શકાય એમ છે.
આવી સ્થિતિમાં અગત્યના અને બિનઅગત્યના, કાયમી અને રોજિંદા મુદ્દા અલગ પાડીને, બંનેની અલગ ગંભીરતાથી, અલગ વજન સાથે અને અલગ સાતત્ય સાથે ચર્ચા થાય તે બહુ જરૂરી છે, પણ તે થઈ રહ્યું નથી તે ઊંડા ખેદની વાત છે.

Saturday, October 18, 2025

ન જોયેલા વડીલોની સ્મૃતિ

નામઃ કેશવલાલ કીલાભાઈ દેસાઈ. તેમના પુત્ર ચંદુલાલ કેશવલાલ દેસાઈ અને ચંદુલાલનાં પુત્રી સ્મિતા તે મારાં મમ્મી.

નામઃ ચુનીલાલ ગોરધનદાસ કોઠારી. તેમના પુત્ર ચીમનલાલ ચુનીલાલ કોઠારી. અમારા ઘરે આવેલા મિત્રોએ ઘરની કેટલીક ચીજવસ્તુઓથી માંડીને ક્રોકરી પર CCK અથવા ચી.ચુ.કો. લખેલું જોયું હશે, તે ચીમનલાલ કોઠારી અને તેમના પુત્ર અનિલકુમાર તે મારા પપ્પા.

અમારા બંને ભાઈઓમાં બીરેન છ વર્ષે મોટો. છતાં, તેણે એકેય દાદાને જોયા ન હતા—ચીમનલાલને પણ નહીં ને ચંદુલાલને પણ નહીં. એટલે પરદાદાઓને જોવાનો તો પ્રશ્ન જ નહીં. પરંતુ એ બંને પરદાદાઓની સ્થૂળ યાદગીરી ઘરમાં સચવાઈ રહી હતી, જેની તરફ થોડા સમય પહેલાં ધ્યાન પડ્યું.

અમારાં બંને ઘરે (મહેમદાવાદ અને વડોદરા) જૂની ચીજવસ્તુઓ બહુ સારી રીતે સચવાઈને રહી હોય. તેમાં કેટલાંક વાસણ પણ ખરાં. એવાં થોડાં વાસણમાં જર્મન સિલ્વરના ચાર લોટા અમે રાખ્યા હતા અને દાદાજીના જમાનાના સીસમના બે માળના કબાટની ઉપરની ખાલી જગ્યામાં તેમને ગોઠવ્યા હતા. થોડા મહિના પહેલાં તેમને લૂછવા માટેનીચે ઉતાર્યા. અમને હતું કે બંને દાદાઓના સમયના બબ્બે લોટા છે, પણ ધ્યાનથી જોતાં દાદાઓના નામ ઉપરાંત તેની પર પરદાદાઓનું નામ પણ લખાયેલું મળી આવ્યું. એટલે કે, તે પરદાદાઓ પાસેથી દાદાઓને, પછી તેમનાં સંતાનોને અને તેમની પાસેથી લગભગ એક-સવા સદીની સફર કરીને અમારા સુધી પહોંચ્યા હતા.



ચારેય લોટાના તળીયે (હા ભઈ, આ ગાંધીનગર-દિલ્હીના નથી. એટલે તળીયાવાળા લોટા છે.) તેની કંપનીનું નામ હતું. તેમાં ત્રણ નામ એકસરખાં, પણ ચોથું અલગ હતું. Lallobhoy Ambaram Parekh. લલ્લુભાઈ અંબારામ પારેખ. મારી એવી છાપ હતી કે bhoy સામાન્ય રીતે વોરાજીઓ લગાડતા હોય, પણ આમાં તો એવું લાગતું નથી. તેમના નામના લોગોની નીચે વંચાય છેઃ Made in Germany.

ચાર લોટા પાછા સાફ કરીને, પરદાદાઓ સાથે આડકતરી મુલાકાતના આનંદ સાથે પાછા મુક્યા, પણ તેમના તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ છે. જેમનો ચહેરો પણ જોયો નથી એવા કેશવલાલ કીલાભાઈ અને જેમનું ફક્ત ચિતરેલું પોટ્રેટ જોયું છે એવા ચુનીલાલ ગોરધનદાસના અણસાર હવે તેમાં આવે છે.

Friday, October 17, 2025

બીરેન કોઠારીએ ગઈ કાલે પપ્પા વિશે લખ્યું હતું. કાલે (16 ઓક્ટોબર) પપ્પાનો જન્મદિવસ હતો. અમે બંને આમ તો તારીખટાણાં પાળવામાં બહુ આગ્રહી નહીં. મને તો તારીખો પણ યાદ રહેતી નથી.

પપ્પા 2008માં ગયા. એ અરસામાં કોઈએ, ભૂલતો ન હોઉં તો 'નવનીત સમર્પણ'ના દીપક દોશીએ, પપ્પા વિશે લખવા કહ્યું હતું. એકાદ પાનું લખ્યું હશે, પણ આગળ વધી ન શક્યો. લાગણીવશતાને કારણે નહીં. બસ, એમ જ. ન લખાયું.
*
મહેમદાવાદમાં સાંજે ટ્રેનો બોલે એટલે કુટુંબોમાં ક્યાંક ને ક્યાંક કોઈ કહે,'પપ્પાની ગાડી બોલી.' અમદાવાદથી આવતી બે ટ્રેનો--પહેલો ફાસ્ટ (સૌરાષ્ટ્ર જનતા) અને બીજો ફાસ્ટ (અમદાવાદ જનતા-હવે લોકશક્તિ) તરીકે ઓળખાય. ત્યાર પહેલાં અમદાવાદથી વડોદરાને બદલે આણંદ સુધી જતી અને એટલે 'અડધિયું' કહેવાતી લોકલ આવે. પપ્પા એવી કોઈ ટ્રેનમાં આવે. અમે ત્યારે જૂના ઘરમાં પહેલા માળે રહેતાં હતાં. ત્રણ રૂમને આવરી લેતી, જ્યાં અમે ક્રિકેટ રમતા હતા એવી વિશાળ, બાલ્કનીમાં અમે ઊભા હોઈએ. ઘરથી ખાસ્સે દૂર, ગોપાળદાસના બાલમંદિર આગળથી પપ્પા આવતા દેખાય એટલે હું દાદરા ઉતરીને તેમને લેવા સામો પહોંચું. બેગ ઉંચકાતી થયા પછી તેમની બેગ પણ લેતો હોઈશ.
મેં જોયેલા તેમના મોટા ભાગના દિવસ સંઘર્ષના હતા. સાવ બાળપણમાં તે વડોદરા જતા હતા અને ફર્સ્ટ ક્લાસમાં અપડાઉન કરતા હતા. એ જાહોજલાલી થોડો સમય રહી. ત્યારે તે વડોદરાથી મોટાં જાંબુ લાવતા અને વડોદરા 'એપેક્સ'માંથી એક એવી વસ્તુ લાવતા, જે બદામપુરી જેવી હોવા છતાં, સ્વાદમાં તેનાથી થોડી અલગ ને વધુ સારી આવતી હતી. (તે સ્વાદ મોહનલાલ મીઠાઈવાલાથી માંડીને ભાવનગરની બદામપુરીમાં શોધ્યો, પણ મળ્યો નથી. કદાચ તેની સાથે ભળી ગયેલો બાળપણનો સ્વાદ ખૂટતો હશે?) ગૌરી વ્રત વખતે તે વેણીઓ લાવતા--અમારે એકેય બહેન ન હોવા છતાં. નીચે રહેતી નાનજીની દીકરીઓ તે વેણી લગાડતી. વડોદરાથી તે પારસ જાંબુ લાવ્યા હોય અને સ્ટીલની સૌથી મોટી થાળીમાં એ જાંબુ દડ દડ કરતાં પડતાં હોય, એ દૃશ્ય આ લખતી વખતે પણ હું જોઈ શકું છું.
તેમની પાસે જેટલાં કપડાં હતાં, એટલાં કદાચ અમારા બંને ભાઈઓ પાસે મળીને નહીં હોય. તે બધાં લેટેસ્ટ ફેશનનાં. બીરેને લખ્યું છે તેમ, ટેસ્ટ ઊંચો. રૂપિયા સામે જુએ નહીં. તેમનાં કપડાં મહેમદાવાદના તેમના કેટલાય મિત્રો પહેરતા. તેમાંથી એક મિત્ર છેવટ સુધી પડખે રહ્યા. તેમનું શરીર કથળ્યું અને વટ ભૂતકાળ બન્યો, ત્યારે પેલા મિત્ર સ્થાનિક રાજકારણમાં ખાસ્સા આગળ વધ્યા હતા. છતાં, તે ચહીને પપ્પાને મળવા આવતા અને અમને બહુ ઉલટથી કહેતા કે 'મારી તો તે ઘડીએ સ્થિતિ નહીં, પણ હું અનિલભાઈનાં કપડાં પહેરવા લઈ જતો હતો.' એ વખતે ડ્રેસિંગ સેન્સમાં મહેમદાવાદમાં મહેશભાઈ મુખી અને પપ્પા, એ બે જણની ગણના થતી. જૂની ફિલ્મોમાં રસ પડ્યા પછી ધીમે ધીમે જાણ્યું કે કોઈ કાળે પપ્પાને પોતે થોડા ચંદ્રમોહન જેવા લાગે છે, એવું માનવું ગમતું. (ચંદ્રમોહન ત્રીસી-ચાળીસીના દાયકાના, અત્યંત પ્રભાવશાળી આંખો ધરાવતા અભિનેતા હતા) પપ્પાના પિતરાઈઓ મુંબઈમાં રહે. એટલે પપ્પા ભલે મહેમદાવાદમાં, પણ તેમની બધી સ્ટાઇલ અને રીતભાત મુંબઈનાં.
પપ્પાઃ અનિલકુમાર કોઠારી, મહેમદાવાદ, જુનિયર ચેમ્બર, 1967
પપ્પા વિશે આટલું લખીએ ને તેમના ગુસ્સાની વાત ન આવે, તે કેમ બને? સગાવહાલાંમાં એ તેમના ગુસ્સા માટે જાણીતા હતા. અમને ભાઈઓને તેમના ગુસ્સાનો લાભ નહીંવત્ મળ્યો હશે, પણ મમ્મીને તેમનો તાપ ઘણો વેઠવાનો આવ્યો. મોટા ભાગની જિંદગી આર્થિક સંઘર્ષ, પોતાના વિશેના અને કુટુંબ વિશેના અમુક ખ્યાલો અને પછી લાંબો સમય તબિયત કથળવાને કારણે આવેલી થોડીઘણી પરવશતા—તેનાથી તેમનો ગુસ્સો ઓર વધ્યો હતો. ગુસ્સો જેટલો ખરાબ હતો, પ્રેમ એટલો જ પ્રગટ હતો. બંને પુત્રવધુઓ સાથે તે અતિશય માયાળુ રીતે વર્તતા.
પ્રકૃતિએ તે ભલા, મદદગાર અને પછેડી કરતાં પગ બહાર રહે એ રીતે જીવનારા હતા. બીજાને મદદરૂપ થવામાં પણ એવા. વ્યવસાય કરવા માટે જે કેટલાંક લક્ષણ જોઈએ એ તેમનામાં ન હતાં. એટલે, તેમાં તે સાવ નિષ્ફળ નીવડ્યા. ત્યાર પછી નોકરી કરી. છેલ્લે પૈતૃક જમીનમાં ગણોતધારા હેઠળ થયેલા કેસમાં કોર્ટના ધક્કા ખાવાનું પણ તેમના ભાગે આવ્યું. અમે તેમને એ અવસ્થામાં જોતા અને સંતાપ પામતા. અમે મનોમન ગાંઠ પણ વાળી કે આપણે કદી ધંધો નહીં કરીએ. ઉપરાંત, તેમના ગુસ્સાનો વારસો મારામાં આવ્યો. તેની પર સભાનપણે કામ કરતાં કરતાં, તેને નાબૂદ તો કરી શક્યો નથી, પણ ખાસ્સા અંકુશ સુધી પહોંચ્યો છું.
અમારા બંને ભાઈઓનાં જીવન પાટે ચડી ગયેલાં અને સુખી જોઈને, બીરેનની દીકરીને મોટી થતી જોઈને તે ગયા તેનો સંતોષ છે. છેલ્લી પાંચ-છ દિવસની બીમારી પછી તેમની વિદાય બધાં માટે મુક્તિરૂપ હતી. કનુકાકાના દેહદાન પછી અમારી કૌટુંબિક પરંપરા બની ગયેલી પદ્ધતિ પ્રમાણે પપ્પાના દેહનું પણ મેડિકલ હોસ્પિટલમાં દાન કર્યું હતું. એક જ વાનમાં હું તેમના દેહની સાથે કરમસદ જતો હતો ત્યારે શોકપૂર્વક નહીં, પણ સ્મરણપૂર્વક મનમાં કેટકેટલી પટ્ટી ચાલી હતીઃ સ્ટીલની થાળીમાં દડતાં જાંબુની, દોડીને સામેથી તેમની બેગ લેવા જવાની, બીમારી પછી નિયમિત રીતે તેમનું બ્લડપ્રેશર માપવાની, પલાંઠી વાળીને બેસવાની તકલીફ પડતી હોવા છતાં, તેમની અમારી સાથે જૂનું, વિશિષ્ટ પ્રકારનું (પિનબોલની જૂની આવૃત્તિ જેવું) કેરમ રમવાની...
પપ્પાઃ અનિલકુમાર કોઠારી, અજાણી વ્યક્તિ સાથે
*
થોડાં વર્ષ પહેલાં એક વાર વિદ્યાનગરની વી.પી. સાયન્સ કોલેજમાં વિઠ્ઠલભાઈ પટેલ વિશે બોલવા જવાનું હતું. વક્તવ્ય પહેલાં વિવિધ કોલેજોના આચાર્ય અને બીજા હોદ્દેદાર સાથે પરિચય તથા ચાપાણી ચાલતાં હતાં. ત્યારે દેસાઈ અટકધારી એક વડીલે (તેમનું નામ ભૂલી ગયો છું, પણ તે તિલાના દેસાઈના દાદા થાય) મારા પરિચયમાં મહેમદાવાદ સાંભળીને મને પૂછ્યું,‘અનિલભાઈ કોઠારી તમારા કંઈ થાય?’ મેં કહ્યું,‘હા. પપ્પા.’
એ સાંભળીને તે મારા પપ્પાના એવા સ્વરૂપની વાત કરવા લાગ્યા, જે મેં કદી સાંભળ્યું જ ન હતું. તે અને પપ્પા સોનાવાલા હાઇસ્કૂલમાં સાથે ભણતા અને ક્રિકેટ રમતા હતા. એટલે તેમણે મને પપ્પાની ક્રિકેટની રમત વિશે અને બીજી થોડી વાત કરી. તે દિવસે એટલો બધો રોમાંચ થયો હતો, જાણે ગયેલા પપ્પા ફરી પાછા, તેમના કિશોર સ્વરૂપે મારી આગળ પ્રગટ થયા હોય.
આજે આ લખતી વખતે ફરી, જરા જુદી રીતે, એવું જ અનુભવી રહ્યો છું.

Thursday, June 12, 2025

‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (2) : "સાડા ત્રણ મહિનામાં પહેલા ભાગનો અનુવાદ પૂરો થઈ શકે."

'ગાંધી પછીનું ભારત'ની પ્રકાશન કથા (1)

બપોરે રામચંદ્ર ગુહાને મળ્યા પછી રાત્રે ઘરે પહોંચીને તેમને ઇ-મેઇલ લખ્યો. તેમાં મળવાનો આનંદ વ્યક્ત કરવા ઉપરાંત, ઇન્ડિયા આફ્ટર ગાંધીના ગુજરાતી અનુવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. બીજા દિવસે ગુહાનો મેઇલ આવી ગયો. તેમાં લખ્યું હતું, Go ahead with the Gujarati translation of “India After Gandhi”.  આમ, 20 ઓક્ટોબર 2016થી ઇન્ડિયા આફ્ટર ગાંધીના ગુજરાતી અનુવાદની ઘડિયાળ શરૂ થઈ (જે સમય જતાં ઘડિયાળને બદલે કેલેન્ડર બની જવાની હતી) તે વખતે સાર્થક જલસો-7 (નવેમ્બર 2016)નું કામ ચાલતું હશે, એટલે વચ્ચે ખાડો પડ્યો. પણ 11 ડિસેમ્બર, 2016ના રોજ પુસ્તકનાં પહેલાં ત્રણેક પાનાંનો અનુવાદ કરીને મેં સાર્થકના સાથીદારોને મોકલ્યો. સાથે લખ્યું હતુઃ

આ સાથે ઇન્ડિયા આફ્ટર ગાંધીનાં પહેલાં ત્રણ પાનાંનો અનુવાદ મોકલું છું. અખતરા લેખે આજે મેં કરી જોયો, જેથી સમયનો ખ્યાલ આવે. આટલું કરતાં મને એક કલાક થયો. અનુવાદ વિશે તમારી ટિપ્પણીઓ જણાવશો. આ પુસ્તક આપણે કરવું જોઈએ, એવું મને લાગે છે. અનુવાદ કરનાર કોઈ સરસ મળે અને આપણે [થયેલા અનુવાદ પર] ઓછામાં ઓછી મહેનત કરવી પડે, તો અનુવાદ માટે આપવાની આપણી તૈયારી છે. બાકી, હું અને દીપક કરી લઇએ. બીરેનને રસ અને સમય હોય તો તેને સાંકળી શકીએ... આપણે બે ભાગમાં આ કામ કરવાનું છેઃ ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ. પહેલા ભાગનાં 384 પાનાં છે. આપણે બે જણ કરીએ અને રોજનાં બે પાનાં અચૂક કરવાં એવા નિયમ સાથે કરીએ તો એક જણનાં અઠવાડિયાનાં 14 અને મહિનાનાં આશરે 60 પાનાં થાય. એટલે એક જણ ત્રણ મહિનામાં આશરે 180 પાનાં કરે. બે જણ કરે તો 360 પાનાં થાય. આમ સાડા ત્રણ મહિનામાં અનુવાદનું કામ પૂરું થઇ શકે.

કેવું ભવ્ય, આશાવાદી અને વાંચવામાં સારું લાગતું, છતાં ભાગ્યે જ પાર પડે એવું આયોજન 😊 . પરંતુ આપણું ધાર્યું ક્યાં કંઈ થાય છે. છેવટે તો અનુવાદ કરનારા કરે એ જ થાય. દીપક-બીરેનને સમય અને રસરુચિના અભાવે સંકળાવાનું ન બન્યું. યાદ છે ત્યાં સુધી, નીલેશભાઈ (રૂપાપરા)ને પણ પૂછી જોયું હતું. પરંતુ આ કામ એટલું લાંબું હતું કે કોઈને પણ તે હાથમાં લેતાં સ્વાભાવિક ખચકાટ થાય. છેવટે દિલીપભાઈ ગોહિલને અમે વાત કરી. દિલીપભાઈ ગુજરાતી ઇન્ડિયા ટુડેના કોપી એડિટર રહી ચૂક્યા હતા. તેમનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ બહુ સારો. દિલીપભાઈ જોડેની દોસ્તીમાં ભૂતકાળમાં ચડાવઉતાર રહ્યા હતા, પણ તેમના કામની ગુણવત્તા વિશે બેમત ન હતો. એટલે અમે વ્યાવસાયિક ધોરણે આ કામ આગળ વધારવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં મે પહેલું પ્રકરણ શરૂ કરી દીધું હતું. એટલે, મૂળ યોજના પ્રમાણે, પહેલા ભાગનાં પ્રકરણ હું કરું ને બાકીના ભાગ (બીજા મિત્રોને બદલે) દિલીપભાઈ કરે એવું ઠર્યું.

દિલીપ ગોહિલઃ સાર્થક જલસો-9ના મિલન મેળાવડામાં (ફોટોઃ ઇશાન કોઠારી)

પુસ્તકના બે ભાગનું નામ અલગ અલગ (ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ) રાખવાનો ખ્યાલ હિંદી અનુવાદ પરથી આવ્યો હતો. ગુહા સાથે વાત થઈ ત્યારે તેમને કહ્યું હતું કે ગુજરાતીમાં આટલું દળદાર પુસ્તક (એકાદ હજાર પાનાંનું) ચાલે નહીં. તેના બે ભાગ કરવા પડે. ત્યારે તેમણે કહ્યું હતું કે હિંદી અનુવાદ બે ભાગમાં છે અને તેને બે અલગ નામ પણ આપવામાં આવ્યાં છે. પુસ્તકના ભાગ પણ સહજ રીતે એવા બની આવ્યા છે કે આઝાદીથી નહેરુના શાસનકાળ સુધીનું એક પુસ્તકમાં આવે અને તેમના મૃત્યુ પછીના ગાળાનું બીજું પુસ્તક થાય.

આવી માનસિક તૈયારી સાથે દિલીપભાઈએ અને મેં કામ શરૂ કર્યું. આટલાં વર્ષે મનમાંથી નીકળી ગયું હતું, છતાં આ લખતી વખતે જૂના ઇ-મેઇલ જોઈને થયું કે શરૂઆતમાં કામ બરાબર ચાલતું હતું. ડિસેમ્બર 2016ના મારા એક મેઇલમાં એવો પણ ઉલ્લેખ છે કે અમે માર્ચ 2017 સુધીમાં પહેલા ભાગનું કામ પૂરું કરી દઈશું. ત્યારે એવું પણ વિચાર્યું હતું કે કદાચ પહેલો ભાગ થઈ જાય તો, બીજા ભાગની રાહ જોયા વિના, તેને પ્રગટ કરી શકાય. દરમિયાન, વર્ષ 2017માં રામચંદ્ર ગુહા પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરતા હતા. તેમાં તેમણે એક પ્રકરણ અને નવી, લાંબી પ્રસ્તાવના ઉમેર્યાં હતાં. આ વાતની જાણ તેમણે મને પણ કરી અને કહ્યું કે દસ વર્ષ પછી થઈ રહેલી પુસ્તકની આવૃત્તિમાં નવી સામગ્રી આવી રહી છે. ફેબ્રુઆરી 2017માં નવા ઉમેરાની જે વર્ડ ફાઇલ તેમણે તેમના અંગ્રેજી પ્રકાશકોને જે મોકલી હતી, એ જ અમને પણ મોકલી આપી. જોકે, અમારા માટે એ કામ હજુ દૂર હતું. કારણ કે અમે પહેલો ભાગ પૂરો કરવામાં હતા.

સાર્થક જલસો-8નો સંપાદકીય

માર્ચ-એપ્રિલ આવ્યા એટલે સાર્થક જલસોના આઠમા અંકનું કામ શરૂ થયું અને અનુવાદ સહિતનું બીજું કામ બાજુ પર મુકાઈ ગયું. એ જ અરસામાં અશ્વિની ભટ્ટની નવલકથાઓના હકો પણ તેમના પરિવારે સાર્થક પ્રકાશનને આપ્યા. અશ્વિની ભટ્ટની નવલકથાઓના ચાહક અને તેમના અંગત પરિચયમાં આવ્યા પછી તેમના વ્યક્તિત્વના પ્રેમી એવા અમારા માટે એ બહુ મોટી વાત હતી. એટલે સાર્થક જલસો-8ના સંપાદકીયમાં પોતપોતાની રીતે અત્યંત મોટાં ગણાય એવાં બે નામ હવે સાર્થકમાં વાંચવા મળશે, એવા સમાચાર જાહેર કર્યા. એટલેથી ન અટકતાં એવું પણ લખ્યું કે (તેનો) પહેલો ભાગ બે-ત્રણ મહિનામાં અને બીજો ભાગ વર્ષના અંત સુધીમાં વાચકો સમક્ષ મૂકવાનો ખ્યાલ છે. અંકના ઉઘડતા પાને ઇન્ડિયા આફ્ટર ગાંધીના અનુવાદની આખા પાનાની જાહેરાત પણ છપાઈ હતી. તેમાં લખ્યું હતું, તેનો પહેલો ભાગ જુલાઇ 2017 સુધીમાં પ્રગટ થશે.

તો પછી જુલાઇ 2017 લંબાઈને છેક મે 2025 સુધી કેમ પહોંચી?

(ક્રમશ-)


Sunday, June 08, 2025

India After Gandhiના ગુજરાતી અનુવાદ ‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (1)

ગાંધી પછીનું ભારત–એટલે કે ‘India After Gandhi’ના ગુજરાતી અનુવાદનો યાદગાર સમારંભ 18 મે, 2025ની સાંજે યોજાયો, પુસ્તકના પ્રકાશનનો કાર્યક્રમ સામાન્ય બાબત છે, કાર્યક્રમ બહુ સરસ થયો હોય, તો બે-ચાર દિવસ સુધી યાદ રહે, પરંતુ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નો ગુજરાતી અનુવાદ પ્રગટ થયે ત્રણેક અઠવાડિયાં થયાં. છતાં, એ પ્રસંગનો આનંદ અને ત્યારે થયેલો સંતોષ હજુ સંપૂર્ણપણે ઓસર્યાં નથી.

આવું કેમ?

તેનો એક જવાબ એટલે આ પ્રકાશન-કથા.

*

વર્ષ 2009. ભારતીય પ્રકાશનજગતમાં નવો ઇતિહાસ રચાયો. તે વર્ષે રામચંદ્ર ગુહા દ્વારા લખાનારા ગાંધીજી બે ભાગના જીવનચરિત્ર સહિત કુલ 7 પુસ્તકોના હક માટે પ્રકાશકોએ હોડ લગાવી હતી. મામલો રૂ. એક કરોડની ઉપર પહોંચી ગયો હતો, પણ છેવટે રામચંદ્ર ગુહા અને તેમના એજન્ટે પેન્ગ્વિન ઇન્ડિયાના કામને ધ્યાનમાં રાખીને, તેને રૂ. 97 લાખની એડવાન્સ રકમ પેટે એ હક આપ્યા. ભારતીય પ્રકાશનક્ષેત્રે આટલી મોટી રકમ એડવાન્સ ચૂકવાઈ હોય, તેવું અગાઉ કદી બન્યું ન હતું.

સ્ટોરીની લિન્ક 

ગુહા વિદ્વાન-અભ્યાસપૂર્ણ લેખક તરીકે પ્રતિષ્ઠિત હતા, પણ તેમને પાંડિત્યપૂર્ણ-એકેડેમિક લેખકમાંથી ઇતિહાસકાર તરીકે લોકપ્રિય બનાવનાર અને તેમને એક જુદી જ કક્ષા-ભ્રમણકક્ષામાં મુકનારું પુસ્તક હતું ઇન્ડિયા આફ્ટર ગાંધી. તેની પહેલી આવૃત્તિ 2007માં પ્રગટ થઈ હતી. તેની ભારે સફળતાના પગલે વર્ષ 2009માં તેમનાં આગામી પુસ્તકોના હક માટે વિક્રમસર્જક રકમ એડવાન્સ તરીકે ચૂકવાઈ. ત્યાર પછીના ગાળામાં  રામચંદ્ર ગુહાએ બીજાં કેટલાંક પુસ્તક લખ્યાં. ગાંધીજીની જીવનકથાનો પહેલો ભાગ ગાંધી બીફોર ઇન્ડિયા પણ પ્રગટ થયો. ત્યાર પછી તેના બીજા ભાગ (1915-1948)નું કામ શરૂ થયું.

વર્ષ 2016. ગુહા ગાંધીજીના જીવનચરિત્ર (1915-1948)નું ઘણુંખરું કામ પૂરું કરી ચૂક્યા હતા, ત્યારે તેમને આશરે 500 પત્રોનો એક જથ્થો મળ્યો. તેમાં ગાંધીજી પર આવેલા કે ગાંધીજીના અનુયાયીઓએ એકબીજાને લખેલા ગુજરાતી પત્રો હતા. ગુહાને થયું કે તેમનું કામ તો પૂરું થઈ ગયું છે, છતાં આ પત્રોમાં શું છે તે પણ એક વાર જોઈ લેવાય તો સારું.

બેંગ્લોરસ્થિત ગુહા કોઈ અનુવાદકની શોધમાં હતા, ત્યારે તેમના જ શહેરમાં રહેતા જાણીતા પત્રકાર-લેખક આકાર પટેલે તેમને મારું નામ આપ્યું. આકાર પટેલ દિવ્ય ભાસ્કરમાં ગ્રુપ એડિટર હતા તે અરસામાં (2006-07) મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. હું ત્યારે ભાસ્કરમાં ઓપ-એડ પેજ કરતો હતો. તે પરિચયના અને ત્યારની છાપના આધારે આકારે ગુહાને મારા વિશે કહ્યું હશે અને મારો નંબર આપ્યો. એટલે એક દિવસ ગુહાનો ફોન આવ્યો.

જેમને હંમેશાં પ્રિય-આદરણીય લેખક તરીકે જોયા હોય અને દુન્યવી સફળતા-પ્રસિદ્ધિના અર્થમાં પણ જે સેલિબ્રિટી હોય, એવા લેખકનો સામેથી ફોન આવે એટલે સૌથી પહેલાં તો સુખદ આશ્ચર્યનો આંચકો લાગે. તે શમ્યા પછી તેમણે કામ અંગે કહ્યું ત્યારે મેં તેમને પ્રેમથી કહ્યું, આમ તો હવે અનુવાદનો સમય મળતો નથી, પણ એક તો આ કામ ગાંધીજીનું છે અને બીજું, તમારું છે, એટલે હું તે કરીશ. મેં તેમની સાથે એ પણ સ્પષ્ટતા કરી કે મારું અંગ્રેજીનું જ્ઞાન વર્કિંગ છે. ગાંધીજી જેવું લખે એવા અંગ્રેજીમાં તમારે અનુવાદ જોઈતા હોય તો તે કરવાની મારી ક્ષમતા નથી. પણ તેમને એવી જરૂર ન હતી. તેમને તો પત્રોમાં શું લખાયું છે એ જ જાણવું હતું.

મેં કામ કરવાની હા પાડી, એટલે તેમણે એક-બે પત્રો નમૂના લેખે મોકલ્યા. તેને ઉકેલીને અનુવાદ કરી આપ્યા પછી, થોડા દિવસમાં તેમણે એક કવર મોકલ્યું. તેમાં પત્ર સાથે પેન ડ્રાઇવ અને તંદુરસ્ત રકમનો ચેક આવી પહોંચ્યાં. ચેક જોઈને મેં તેમને ફોન કર્યો. કહ્યું કે તમે મને ઓળખતા નથી, તમે મારું કામ પણ સરખું જોયું નથી અને આ ચેક? અને તે પણ આટલી રકમનો? અને આટલી ઉતાવળે? એક વાર મને થોડું કામ કરીને તો મોકલવા દો. તેમણે કહ્યું કે એની કશી ચિંતા નથી. રૂપિયાની બાબતમાં તેમણે હસીને કહ્યું કે ગાંધીજીએ કોઈનું પણ શોષણ કરવાની ના પાડી છે.

અંગત અનુભવ ભલે નથી, પણ ઘણાખરા વિદ્વાનો અથવા જાણીતા માણસો એવું માનતા હોય છે કે દુનિયા તેમની સેવા કરવા સર્જાયેલી છે અને લોકોની સેવા લઈને તે લોકો પર ઉપકાર કરી રહ્યા છે. જ્યારે રામચંદ્ર ગુહા સાથે માર્ચ 2016માં થયેલા પહેલા જ પરિચય પછી તેમની સરળતા અને પ્રેમાળ અભિગમ ઊડીને આંખે વળગે એવાં હતાં.

ગુહાનું કામ હાથમાં લીધું ત્યારે બે અઠવાડિક કોલમો, રોજનો તંત્રીલેખ અને તંત્રીપાનાની જવાબદારી હતી. છતાં, નોકરિયાત માનસિકતા વિના, ગમતું કામ કરવાના આનંદને લીધે પહોંચી વળાતું હતું. એટલે, પત્રોના અનુવાદનું કામ તો માત્ર ને માત્ર ટ્રેનના અપડાઉનમાં જ પૂરું કર્યું. તે વખતે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો આવતો હોવાથી, લેપટોપ પર કામ કરી શકાય એવી અનુકૂળતા મોટા ભાગે રહેતી હતી. બધા પત્રોનો અનુવાદ મોકલ્યા પછી તેમણે થોડા વધુ પત્રો મોકલ્યા અને મારી આનાકાની છતાં તેના અલગથી રૂપિયા આપ્યા. અને પુસ્તકના એકનોલેજમેન્ટમાં ઉલ્લેખ પણ કર્યો (જે વાંચીને શીલા ભટ્ટનો દિલ્હીથી ફોન આવ્યો હતો. તેમણે આનંદ અને કદાચ કંઈક આશ્ચર્યના ભાવ સાથે કહ્યું હતું કે રામ ગુહાએ તમારા નામનો ઉલ્લેખ કર્યો છે.)

*

કામ પૂરું થયાના થોડા અરસા પછી એક વાર ગુહાનો ફોન આવ્યો. તે ત્રણ દિવસ માટે અમદાવાદ આવવાના હતા. તેમાંથી એક દિવસ સવારે તેમની સાથે જમવાની વાત હતી. માઉન્ટન અને મહંમદની કહેણી તાજી કરે એવા એ સંવાદ પછી, તે અમદાવાદ આવ્યા ત્યારે અમે મળ્યા. જમ્યા. અત્યારે ઓસ્ટ્રેલિયા-સ્થિત પરમ મિત્ર નિશા પરીખ ત્યારે અમદાવાદમાં હતી. તેણે અને તેની મિત્ર શચિ સંઘવીએ મને ઇન્ડિયા આફ્ટર ગાંધીની (પહેલી આવૃત્તિ)ની તેમની કોપી આપી અને શક્ય હોય તો તેની પર ગુહાના હસ્તાક્ષર લાવવા કહ્યું.


ગુહા એટલા નિર્ભાર હતા કે અવનવી વાતો પછી તેમણે પુસ્તક પર બંનેનાં નામ લખીને સહી કરી આપી. બીજી ઘણી વાતોની વચ્ચે પુસ્તકની વાત નીકળતાં મેં કહ્યું, મને આ પુસ્તક વિશે એવું થાય છે કે તે ગુજરાતીમાં હોવું જોઈએ. તેમણે તરત, મને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી તૈયારી બતાવી. પછી બીજી વાતો થઈ. અડધા-પોણા કલાકની વાતચીત પછી અમે છૂટા પડ્યા. ત્યારે મારા મનમાં ફરી ફરીને એક જ સવાલ થતો હતોઃ રામચંદ્ર ગુહાએ ઇન્ડિયા આફ્ટર ગાંધીનું ગુજરાતી કરવાની ખરેખર હા પાડી હતી? કે મારા મોઢે ના પાડવી ન પડે, એટલે માટે હાએ હા કરી હશે?

(ક્રમશઃ)

Tuesday, April 29, 2025

થોડું અંદર ઉતરીને, થોડું વિચારધારા વિશે...

મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે.

તેમના વલણનો વિરોધ કરનારા લોકોમાં કેટલા પ્રકારો અને પેટાપ્રકારો હોઈ શકે એની તેમને ખબર જ નથી અથવા તે યાદ કરવા માગતા નથી.
તેમની ધિક્કારની વિચારધારાનો જે વિરોધ કરે, એ બધા ડાબેરી, વામપંથી વિચારધારાવાળા--એવું પણ કેટલાક માને છે. ડાબેરી એટલે શું ને ડાબેરી એટલે કોણ નહીં--એટલી સાદી સમજણ કે સ્પષ્ટતા તેમનામાં હોતી નથી. પણ સમજણનો બધો અભાવ તે ધિક્કારથી અને વ્યક્તિપૂજાથી સરભર કરી લે છે. એટલે તેમને કશી ખોટ સાલતી નથી.
ડાબેરી કોને કહેવાય, તે વિશેનું અજ્ઞાન જોકે ગુજરાતમાં જ્ઞાનપીઠવિજેતા સુધી પહોંચેલું છે. વર્ષો પહેલાં એવા એક વિજેતાએ કોઈને મારી ઓળખાણ આપતાં કહ્યું હતું,'આ ઉર્વીશ કોઠારી. ડાબેરી છે, પણ સારું લખે છે.'

હવે તમે જ કહો, તેમની આ દશા હોય, તો ફેસબુક પરના લોકોનો શો વાંક કાઢવો?
હકીકતમાં, મારા જેવા ઘણા લોકો કોઈ જડ વિચારધારામાં માનતા નથી. ડાબેરી એટલે હળવાથી આત્યંતિક ક્રમમાં જઈએ તો, સમાજવાદી, સામ્યવાદી, માઓવાદી અને તેમના અસંખ્ય પેટાપ્રકારો. હું નથી આંબેડકરવાદી, નથી ગાંધીવાદી. મને ગાંધી અને આંબેડકર બંને બહુ ગમે છે, ફૂલે તો મારા માટે હીરો છે, પણ ગમતા લોકો સાથે, પાયાના-મૂળભૂત ન હોય એવા મુદ્દે,અસંમતિ હોઈ શકે અને હોય છે. છતાં, તેમને, ગાંધી-આંબેડકરને, દિલથી ચાહી શકાય છે.
વિચારધારાના અર્થમાં હું સેક્યુલર પણ નથી. કારણ કે, વિચારધારા એને કહેવાય, જે સભાનતાથી અપનાવી હોય. મારી સાદી સમજ સહઅસ્તિત્ત્વમાં, સમાનતામાં અને માનવતામાં માનવાની છે. એ સમજ આખી જિંદગી ઘડતાં રહેવું પડે છે. શાસનનો-સ્થાપિત હિતોનો શક્ય એટલો વિરોધ, એ તેનો એક ભાગ છે. તેનો અંત નથી.
આ સમજ સતત ફાઇનટ્યુન કરવી પડે છે અને છેવટે તો, ઉપર જઈએ પછી જ નક્કી થાય કે 100માંથી કેટલા માર્ક આવ્યા. પણ આવી જે કંઈ સમજ છે તેને સેક્યુલરિઝમ, સ્યુડો-સેક્યુલરિઝમ, વામપંથ, ડાબેરી, હિંદુત્વવિરોધી--એવું બધું કહેવાય, એ તો આવી સમજથી જેમને તકલીફ થતી હતી ને થાય છે, તેમણે આપેલાં લેબલ છે. એટલે જ, એવાં લેબલ મને કદી અડતાં નથી.
ઘણા લોકો માને છે કે મારો એકમાત્ર ધંધો ને કામ ને હોબી મોદીને ગાળો દેવાની છે. સ્વાભાવિક રીતે જ આવા લોકોની સામાન્ય સમજના ગંભીર પ્રશ્નો હોય છે (એ તો આપણે ઉપર જોયું.) બાકી, રોજ પા-અડધા કલાકની મારી ફેસબુકચર્યા જોઈને અને તેમાં પણ બીજું કંઈ યાદ રાખ્યા વિના, ફક્ત મોદીની ટીકા યાદ રાખીને પછી, તે આવો અભિપ્રાય બાંધે તો તેમાં હું કશી મદદ કરી શકું નહીં. હકીકત એમ છે કે, મારા અનેક પ્રકારના રસ અને લખાણમાંથી મોદીપ્રેમીઓને ફક્ત મોદીની ટીકા જ 'સ્પર્શી' જાય છે અને મારો ફક્ત એટલો જ ભાગ યાદ રહી જાય છે.
મુદ્દાઆધારિત મૂલ્યાંકનના નામે, નરેન્દ્ર મોદીની આરતી ઉતારીને, તેમની કથિત કુશળતાના કી-બોર્ડસિપાહી બનીને, અમિત શાહ વિશે કદી કશું ન ઉચ્ચારીને, પછી સરકારના કે સરકારી તંત્રના છોંતરા કાઢી નાખવા--એવા ખેલ ગુજરાતમાં બહુ વખતથી ચાલે છે. યુટ્યુબ ચેનલોમાં પણ, જૂજ અપવાદોને બાદ કરતાં એ લગભગ ધોરણ બની ગયું છે. આખરે તો, પાપી વ્યૂનો સવાલ છે.
હું સમજું છું કે મોદી-શાહને સાચવી લઈને, વારેતહેવારે તે કેવા મહાન છે તેની બિરદાવલીઓ ગાઈ લેવી એ કસદાર ધંધો છે. એવા ધંધાર્થીઓ વિશે મારે કશું કહેવાનું નથી. કારણ કે, તે ધંધાદારીઓ છે અને તેમનું વિશ્લેષણ ન હોય.
હું સમજું છું કે સરકારનું બહુ દબાણ હોઈ શકે છે. હું કોઈને શહીદ બનવાની સલાહ નથી આપતો. જેનો આટલો મોટો હિસ્સો સારાસારવિવેક ગિરવે મુકીને બેઠો હોય, એવી પ્રજા માટે શહીદ ન થવાય--એટલી સમજણ મને પણ પડે છે. તેનો અર્થ એવો નહીં કે મોદી-શાહની આરતીઓ ઉતારીને, બાકીના તંત્ર કે સરકારની છાલ કાઢીને બહાદુરીના ફડાકા મારવાના. પણ બહુ મોટી સંખ્યામાં વાચકો આવા ખેલ પારખી શકતા નથી, એ હકીકત છે--પ્રજાકીય લક્ષણ કહી શકાય એટલી વ્યાપક હકીકત.
જોકે, ગુજરાતી પ્રજાને તેજાબી કલમ કે તેજાબી અભિપ્રાયો કે છોતરા કાઢી નાખવાના નામે મૂરખ બનાવવાનો ને પોતે કેવા બહાદુર છે તે દેખાડવાનો ખેલ આજકાલનો નથી. મારું એવું ખાનગી અને બિનઆધારભૂત છતાં પાયાદાર 'સંશોધન' છે કે ગુજરાતની પ્રજાને કેટલી આસાનીથી મૂરખ બનાવી શકાય છે, તેની જાણ નેતાઓ કરતાં પણ પહેલાં આપણા ઘણા કટારલેખકોને થઈ ગઈ હતી. એટલે વાચકો-દર્શકો આગળ તટસ્થતાના નામે આરતીઓ ઉતારવાનો, સાચવીને ટીકા કરવાનો ને ધૂર્તતાને બહાદુરી તરીકે રજૂ કરવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, યુ નો.
મોદીની કે શાસનની ટીકા કરવામાં મને કદી બહાદુરીનો અનુભવ નથી થયો. મારે મન એ કેવળ પ્રતીતિનો--મને જે લાગે છે તે કહેવાનો--મામલો છે. એથી ઓછો નહીં. એથી વધારે નહીં. તે કોઈ અદૃશ્ય કે દૃશ્ય વાચકવર્ગને કે શ્રોતાવર્ગને ધ્યાનમાં રાખીને, કે તેમને અંકે કરવા માટે કરાતી કસરત નથી.
હા, એવું બને છે કે ટીકા કરવા લાયક બધી બાબતોની એકસરખી તીવ્રતાથી ટીકા કરી શકાતી નથી. સમય, સંજોગો, પૂરતી જાણકારીનો અભાવ, બીજી પ્રતિકૂળતાઓથી માંડીને પ્રાથમિકતા જેવાં ઘણાં પરિબળો તેમાં કામ કરે છે. મંત્રી ન હોય એવા માણસ માટે આવું કરવું ફરજિયાત નથી, એ બાબતે હું નિશ્ચિત અને નિશ્ચિંત છું.
મને એક બાબતનું સૌથી વધારે ગૌરવ છેઃ મેં કદી કોઈના પણ હીન, માનવતાવિરુદ્ધ કામનો બચાવ કર્યો નથી, તેને છાવર્યું નથી કે તેને ધોકા પડતા હોય ત્યારે તેમના બચાવ ખાતર ધ્યાન બીજે ભટકાવવા દોડી ગયો નથી. મોદીપ્રેમીઓ તેમના વિચારવિરોધીઓ માટે જાતજાતનાં અને સમજ વગરનાં વિશેષણો વાપરવાની સાથેસાથે ક્યારેક આવી રીતે પણ પોતાની જાતનું મૂલ્યાંકન કરી જુએ.
બને કે તેમને પોતાના વિશે કંઈક વધુ જાણવાનું મળે.

Saturday, June 08, 2024

થોડું પરિણામોથી હટીને, થોડું અંગત...

ચૂંટણી પહેલાં, દરમિયાન કે પછી, તેનાં ચર્ચા-વિગતો-આંકડા-વિશ્લેષણો-સર્વેક્ષણોમાં વર્ષો પહેલાં, દૂરદર્શનના જમાનામાં રસ પડતો હતો. પક્ષીય રાજકારણમાં એક હદથી વધારે રસ કદી પડ્યો નહીં. કોઈ રાજકીય નેતાની હારથી પહેલવહેલી વાર આનંદ આવ્યો હોય તો તે વી.પી.સિંઘ સામે રાજીવ ગાંધીની હારથી. કારણ કે વી.પી. તે વખતે લડવૈયા લાગતા હતા--અન્ડરડોગ અને રાજીવ સત્તાધીશ. તે વખતની ચૂંટણીજાહેરાતો અને કાર્ટૂનનાં કટિગ હજુ સચવાયેલાં છે.

ત્યાર પછી રાજકારણમાં રસ ફક્ત સામાન્ય જ્ઞાન પૂરતો રહ્યો. 1992માં બાબરી મસ્જિદ તૂટી કે ત્યાર પછી રમખાણો થતાં, ત્યારે પણ પક્ષીય રાજકારણ કદી અડ્યું નહીં. રાજકારણમાં કઈ હદે રસ ન હતો, તેનું એક ઉદાહરણઃ પત્રકારત્વમાં આવ્યા પછી મારી પહેલી સ્ટોરી 'અભિયાન'ના જે અંકમાં છપાઈ, તે જ અંકમાં પ્રિય મિત્ર અનિલ દેવપુરકરની શંકરસિંહના બળવા વિશેની સનસનીખેજ સ્ટોરી છપાઈ હતી. પણ તે મારા મનમાં રજિસ્ટર જ ન થઈ. વિધાનસભામાં સ્પીકર ચંદુ ડાભીએ કળા કરી, ત્યારે મને તો અમારા તંત્રી વિનોદ પંડ્યાએ શોધીને રમેશ પારેખની કવિતા 'ચંદુડાયણ' છાપી, એ જ યાદ રહ્યું હતું. શંકરસિંહે નવો પક્ષ સ્થાપ્યો તેના રિપોર્ટિંગ માટે પ્રશાંત દયાળની સાથે હું પણ ગયો હતો અને આખા કાર્યક્રમનો માહોલ વર્ણવતો રિપોર્ટ પણ મેં લખ્યો હતો. છતાં, તે દિશામાં કદી રસ પડ્યો નહીં. હા, પહેલેથી મૂળભૂત વલણ સત્તા-એસ્ટાબ્લિશમેન્ટથી વિરોધી ખરું.
ધીમે ધીમે એવી માન્યતા દૃઢ થતી ગઈ કે 'સહિતો' (Haves) પાસે-પામતાપહોંચતા લોકો પાસે તો તેમની આખી સિસ્ટમ હોય, આપણે આપણી તાકાત પ્રમાણે 'રહિતો' (Have nots) સાથે--તેમની ન્યાયી લડાઈઓના સમર્થનમાં, માથે ભાર રાખ્યા વિના, જ્યારે જ્યાં જેટલું શક્ય હોય તેટલું રહેવાનું હોય.
*
રાજકીય ફાયદા માટે રાજકારણની ઝાળ પહેલી વાર 2002માં અડી. ભાજપનો કોમવાદ ખટકતો હતો, પણ મારા ગામમાં તેનું બહુ ચલણ ન હતું. તે 2002માં પહેલી વાર જોવા મળ્યું અને પછી તો મારા ગામ જેવાં ગુજરાતનાં અનેક ગામમાં તેને મોટા પાયે, પદ્ધતિસર વકરાવવામાં આવ્યું.
ભાજપના કોમવાદની સાથે નરેન્દ્ર મોદીનો હદ બહારનો અહંકાર જોઈને થયું કે બધા પક્ષો ખરાબ, પણ ભાજપ અને મોદીનું સંયોજન લોકો માટે, રાજ્ય માટે, દેશ માટે સૌથી ખતરનાક છે. રેકોર્ડ ખાતર નોંધવું જોઈએ કે આજ સુધી માંડ બે કે ત્રણ વાર કોંગ્રેસવાળાએ પણ મને બોલવા માટે બોલાવ્યો હતો. તેમને કદાચ એમ હશે કે હું નરેન્દ્ર મોદીને ધોઈ નાખીને તેમને મઝા કરાવી દઈશ. પણ ત્યારે તેમને મેં પૂછ્યું હતું કે મોદી તો જે છે તે છે અને એ વિશેના મારા અભિપ્રાયો જાહેર છે, પણ મારે તમને પૂછવાનું છે કે 2002 અને પછીના ગાળામાં તમે શું કર્યું? મને હંમેશાં એવો અંદેશો (હંચ) રહ્યો છે કે કેટલાક કોંગ્રેસી નેતાઓ સાથે મોદીએ ગોઠવી લીધું, તેને કારણે મોદી કાયદાની પકડથી બચી શક્યા, જ્યારે અમિત શાહને થોડો વખત સાબરમતી જેલ સેવવાની આવી. આ અંદેશો છે ને તેના કોઈ પુરાવા નથી, એ ખરું.
2002થી શરૂ થયેલી કોમવાદ અને અહંકારના સંયોજનની યાત્રા ઉપર વિકાસના વાઘા પહેરાવાય કે અસ્મિતાના, મને મારી સીધીસાદી સમજથી સ્પષ્ટ દેખાતું હતું કે આ માણસ ગુજરાતના બહુમતી લોકોને મૂરખ બનાવી રહ્યો છે. મૂરખ બનનારો પણ મોટો સમુદાય હતો. તેમાંથી જે સ્વાર્થ ખાતર મૂરખ બનતા હતા, તેમના માટે મારા મનમાં આશ્ચર્ય કે સવાલ ન હતા. ખરો ખેદ જેમને હું મારા જેવા-આપણા જેવા લોકો ગણતો હતો, તેવાએ જાણેઅજાણે મોદીના ડાબલા પહેરી લીધા તેનો થયો.
ડાબલા પહેરવાના કારણમાં કોંગ્રેસ પ્રત્યેના વાજબી અભાવથી માંડીને ડાબેરીઓની આત્યંતિકતા પ્રત્યેના વાજબી અભાવ જેવાં ઘણાં કારણ હશે, પણ છેવટે એ બધા હરીફરીને મોદીના ખોળામાં જ લાંગર્યા, ઠર્યા અને મોદીની ખરાબમાં ખરાબ ચેષ્ટાઓના અને પગલાંના કંઠીબંધા બચાવકર્તા બની રહ્યા. પછી તો મોદી સાથે તેમણે જાતને એવી એકરૂપ કરી દીધી કે મોદીની ટીકાને તે પોતાનું અપમાન સમજવા લાગ્યા. મોદીનાં બચાવને તેમણે વધુ ને વધુ માત્રામાં પોતાની આબરૂ સાથે સાંકળી લીધો અને તેમાં-એટલી બાબત પૂરતા, ભક્તિપ્રેરિત દુર્બુદ્ધિના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
રાહુલ ગાંધી મહાન નેતા નથી. પણ તેમનાં પ્રવચનોની દુષ્ટતાપૂર્વક એડિટ કરેલી વિડીયો મોટા પાયે બતાવી બતાવીને તેમને ડફોળ સાબીત કરી દેવામાં આવ્યા. હજુ પણ કેટલાક લોકો માને છે કે રાહુલ ગાંધીએ બટાટા છીણો ને સોનું નીકળે એવું કહ્યું હતું. પરંતુ દેશના વડા તરીકે, વાદળો હોવાથી રડારમાં વિમાન નહીં પકડાય, એવી વાત હોંશિયારી મારવા કરનાર કેવડો મોટો ને દેશ માટે કેટલો નુકસાનકારક ડફોળ કહેવાય તે આ ભકતોને નહીં દેખાય. ભક્તોની દરેક દલીલના તાર્કિક જવાબ હોય છે, પણ તેમને તર્ક સાથે કશી લેવાદેવા હોતી નથી. ઘણાને તો જે લખ્યું છે તે વાંચવા-સમજવા જેટલી પણ પરવા હોતી નથી. ભક્તિનું ભૂત જ માથે સવાર હોય છે. એટલે, ઘણા સમયથી ભક્તોને જવાબ આપવાનું બંધ કર્યુ છે.
*
2002થી 2024 સુધી મોદી વિશેનું મૂલ્યાંકન બદલાય એવું કશું તેમણે કર્યું નથી. ભપકાબાજી, રેકોર્ડબ્રેક સ્વમોહ, આસમાનને આંબતો અહંકાર, સડકછાપ ભાષણો, નક્કર મુદ્દા વિશેની સમજ કે સમજવાની ઇચ્છાનો અભાવ અને કોઈનું નહીં સાંભળવાની જિદ-- આ બધાને કારણે નરેન્દ્ર મોદી જે કંઈ કરે તે સમજવું મારા માટે બહુ સહેલું બની જતું. તે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરે કે નોટબંધી, સૌથી પહેલાં તેમાં પોતાની જાતનો જયજયકાર હોય-ઇતિહાસપુરુષ બનવાની ખદબદતી, અફાટ લાલસા હોય. બીજું બધું પછી.
સત્તાધીશ તરીકેની પ્રાથમિક ફરજોમાં પણ હદ બહારની બેશરમથી જશ લૂંટવાનું મોડેલ મોદી મોડેલનો એક હિસ્સો છે. શિક્ષકોને અપોઇન્ટમેન્ટના કાગળ પહેલાં ટપાલી આપતા હતા. મુખ્ય મંત્રી તરીકે મોદીએ ગાંધીનગરમાં કાર્યક્રમો યોજીને શિક્ષકોને અપોઇન્ટમેન્ટ લેટર આપવાના શરૂ કર્યા, કેમ જાણે તેમની કૌટુંબિક પેઢીમાં નોકરી આપતા હોય. આવાં તો એટલાં બધાં ઉદાહરણ છે કે લખતાં થાક લાગે. જાતનો જયજયકાર કરવા માટે અને સતત ચર્ચામાં રહેવા માટે કંઈક મોટું તો કરવું પડે. અને તે કંઈક કરવાથી લોકોને થોડોઘણો ફાયદો થાય. એટલે ભક્તપ્રજા ગુણગાન ગાવા બેસી જાય અને પંડિત વિશ્લેષકો પોતાના પાંડિત્યના માપદંડથી તેને માપવા બેસી જાય. ભક્તો તે ફાયદો ગણાવ્યા કરે ને મને તે ફાયદા પાછળનો મૂળ આશય તથા મિસમેનેજમેન્ટ દેખાય. લાંબા ગાળે ભક્તોને પણ કદાચ તે દેખાય, પણ દેખાય તોય સ્વીકારે નહીં તેનું નામ તો ભક્ત. બાકી, બીઆરટીએસ જાતના જયજયકાર માટે નહીં, પણ લોકો માટે બનાવી હોત તો અમદાવાદની બસ વ્યવસ્થાની આવી હાલત ન થઈ હોત. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર માટે બનાવ્યું હોત તો લોકો ત્યાંથી પાછા આવીને સરદારની મહાનતાની વાતો કરતા હોત—ત્યાંના બગીચા ને ઝૂની અને મોંઘી ફીની નહીં.
એક મોટા ઉદાહરણથી વાત કરીએ તો, નોટબંધી થઈ ત્યારે અમારા પરિચિત-આદરણીય સ્નેહીઓથી માંડીને સ્વામિનાથન અંકલેસરિયા-ઐયર જેવા એકંદરે સારા લેખકો પણ મોદીએ કેવું મહાન પગલું લીધું અને તેનાથી દેશને કેટલો ફાયદો થશે, તેનાં અર્થશાસ્ત્રીય ગણિતો સમજાવવા બેસી ગયા. પહેલી વાર નોટબંધી જાહેર કરી ત્યારે મને પણ થયું કે ભલું થયું, ભાંગી જંજાળ. કારણ કે મોટી રકમની નોટો ભ્રષ્ટાચાર માટે બહુ સુવિધારૂપ બનતી હોય છે. પણ પછી તો મોદીએ બે હજારની નોટ જારી કરી. એટલે બહુ ઝડપથી, કશી આંતરસૂઝ કે ઊંડી પંડિતાઈથી નહીં, પણ મોદીના અહંકારી, સ્વમુગ્ધ અને નિતાંત સ્વાર્થી સ્વભાવ વિશેની પાકી ખાતરીને કારણે, તે વખતે મિત્રોને કહ્યું હતું કે તમે ખોટાં ચકલાં ચૂંથો છો. તમે જે ગણતરી કરો છો તેની મોદીને કશી પરવા નથી. તેમને તો છાકો પાડવો હતો અને બીજા પણ કેટલાક હેતુ હતા. તપાસી લેજો, તેમણે તે વખતે જાહેર કરેલો એક પણ હેતુ બર આવ્યો નથી--અને મહેરબાની કરીને તેનાથી ડિજિટલ પેમેન્ટ વધ્યું છે એવું ન કહેતા. કારણ કે, તે તો નોટબંધીની જાહેરાતની બહુ પછી આવેલો વિચાર હતો.
એડીસી બેન્કમાં જમા થઈ ગયેલા અઢળક રૂપિયાથી માંડીને કંઈ કેટલીય સ્ટોરીઓ ફોલો અપ વગર દબાઈ ગઈ. પણ ભક્તિ કોને કહી છે? નહીં સ્વીકારવાનું એટલે નહીં સ્વીકારવાનું. મોદીના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર અભૂતપૂર્વ માત્રામાં વધ્યો --અને આવું હું નથી કહેતો. સરકાર સાથે કામ પાડનારા અનેક લોકોએ કહ્યું છે. તમે પણ તપાસ કરી જોજો. સરકારી રાહે ચાલતા શિક્ષણ અને આરોગ્યની ઉપર રહીને ઘોર ખોદી નાખવામાં આવી--અને તો પણ તેની ગંભીરતા સમજ્યા-સ્વીકાર્યા વિના, ભક્તો વિકાસ-વિકાસના મંજિરા વગાડતા રહ્યા. અલ્યાઓ, શિક્ષણ ને આરોગ્ય વિના કેવો વિકાસ? આ બંને ક્ષેત્રોની શી સ્થિતિ છે તે એ ક્ષેત્રો સાથે સંકળાયેલા કોઈ પણ માણસને પૂછી જોજો.
*
સો વાતની એક વાત એક જ છે કે શાસક ગમે તે હોય, તેને માપમાં રાખવાનો હોય. તેને યાદ અપાવવાનું હોય કે તું અમારો રાજા નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ છું. તારી સત્તાનો મદ કાબૂમાં રાખજે. આવો સંદેશો મોદી જેવા અહંકારીઓને તો ખાસ આપવાનો હોય. પણ ભક્તોએ આંખે પટ્ટી બાંધીને મોદીનો અહંકાર પોષ્યો. દસ વર્ષમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાની હિંમત ન હોય તેવા અહંકારી ડરપોક માણસમાં કેટલીય મહાનતાનું આરોપણ કરી નાખ્યું ને છેલ્લે છેલ્લે તો પ્રેસ કોન્ફરન્સ ન કરી તે કેમ સારું છે, તે પણ શોધી કાઢ્યું. આવા ભક્તો જેને મળે તેનું શું થાય? અખાએ કહ્યું હતું તેમ, ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો...વાળો ઘાટ થયો. એટલે જ, છેલ્લે છેલ્લે તો તેમણે પોતે જાહેર કરી દીધું કે તે ભગવાને ખાસ કામ માટે મોકલેલા જણ છે. બાયોલોજિકલ એટલે કે માના પેટે જન્મેલા નથી. ભક્તો પણ એવા કે તેમને રામ અને મોદી વચ્ચે પસંદગી કરવાની આવે, તો તે મોદીની પસંદગી કરે. આ કલ્પના નથી. મોદીની આંગળી પકડીને ચાલતા રામનું ચિત્ર જોઈને કેટલા ભક્તોએ ટીકા કરી હતી?
આવા અહંકારી અને ઝેર ફેલાવનારા શાસકને એક મોટા વર્ગ તરફથી સતત મળેલા સતત પોષણ અને પ્રોત્સાહન લીધે દેશની અને સમાજની દશા બેઠી. આઇટી સેલનાં જૂઠાણાં, કોમી ઝેર અને ટ્રોલિંગ દેશભક્તિ ગણાવા લાગ્યાં. આપણા દેશની બંધારણીય સંસ્થાઓને, શાસકોના ઉત્તરદાયિત્વ સહિતનાં અનેક લોકશાહી મૂલ્યોને અને ખાસ તો સમાજના પોતને ગંભીર નુકસાન પહોંચ્યું છે. હવે મોદીની ત્રીજી મુદત શરૂ થઈ છે. તે જે ઉંમરે પહોંચ્યા છે, તે જોતાં હવે તેમની સુધરવાની શક્યતા નહીંવત્ છે. પ્રાણ અને પ્રકૃતિ ભેગાં જ જાય.
ભક્તો ભક્તિપરંપરામાં વિચારે છે કે મોદી જીત્યા છતાં તેમના ટીકાકારોને મઝા કેમ આવે છે. પણ તેમને ક્યાંથી સમજાય કે આજકાલ નીતિશ અને નાયડુ સામે મોદી જે રીતે અહંકારને અભરાઈ પર ચડાવીને, બોલે તો વિનમ્ર હોકે, વાત કરે છે તે જોવાની અને બદલાયેલી બોડી લેન્ગ્વેજ જોવાની મઝા આવે છે. મોદી સરકારને બદલે એનડીએ સરકાર બોલતા અહંકારના પોપડા ખરી ગયેલા પૂતળાને જોવાની મઝા આવે છે. પોતાના ફોટામાંથી બધાને દૂર કરતા જણને ચડી ચડીને ગ્રુપ ફોટા પડાવતા જોવાની મઝા આવે છે.
આવતી ચૂંટણી બહુ દૂર છે. પણ ગુજરાતે 26માંથી 25 બેઠક આપી છે--ભલે થોડી લીડ ઘટાડી છે--ત્યારે આટલી વાત ફરી એક વાર શેર કરવા જેવી લાગી. મારું કામ મોદીને હરાવવાનું નથી. મોદી હારે તો આગળ લખેલાં કારણસર મને બહુ આનંદ થાય, પણ મારા કે કોઈના લખવાથી-બોલવાથી તે હારે, એવા ભ્રમમાં હું કદી નહોતો અને નથી. એટલે 'તમે ગમે તે લખો, પણ આવશે તો મોદી'—એવી ભક્તસહજ દલીલની મારી પર સ્વાભાવિક રીતે જ કશી અસર નથી થતી.
મોદી નહીં તો કોણ, એ દલીલ ભક્ત ન હોય એવા લોકોમાં પણ બહુ ચાલે છે. મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે આવ્યા ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી બની શકે એવા પાંચ-સાત નેતાઓ હતા—અને હું ફક્ત ભાજપનો આંકડો આપું છું. તે વડાપ્રધાન બન્યા ત્યારે પણ ભાજપમાંથી વડાપ્રધાન બની શકે એવા બીજા નેતાઓ હતા. તે બધાનું શું થયું, તે સૌ જાણે છે. હકીકત તો એ છે કે ગુજરાતમાં અને દેશમાં અનેકવિધ મોરચે મોદીના શાસનકાળમાં જેટલું નુકસાન થયું છે, એટલું નુકસાન બીજું કોઈ કરી શકે એમ નથી. પોતાનો સિક્કો જમાવવાની લ્હાયમાં ને બધી સત્તા પોતાની પાસે કેન્દ્રિત કરવાની લ્હાયમાં તેમણે સ્થાપિત માળખાંનો અંત આણ્યો છે, તે એકાદ દિવસના સમાચાર બનીને રહી જતું હોય છે.
ચૂંટણી પંચ જેટલું દબાયેલું ને આજ્ઞાંકિત આ ચૂંટણી વખતે દેખાયું, એટલું કદી નજીકના ભૂતકાળમાં ન હતું. તેનું કામ ચૂંટણીની કેવળ માળખાકીય સુવિધાઓ ગોઠવવાનું ને સાચી ગણતરી કરવાનું નથી. ચૂંટણીની આચારસંહિતાનું રોજેરોજ ચીરહરણ કરનારા સામે આંખ આડા કાન કરીને ચૂંટણી પંચે પોતાની વિશ્વસનિયતાની ઘોર ખોદી છે. તે હકીકતમાં આવેલાં પરિણામોથી કશો ફરક પડતો નથી.
સત્તાની ટીકા કરવાની વાતને હું કદી બહાદુરી કે તેજાબી કલમ સાથે સાંકળતો નથી. મારા માટે તે સાદી સમજ અને પ્રતીતિ—કોમન સેન્સ અને કન્વિક્શન—નો મામલો છે. પણ કોરોના કે રાજકોટ કે મોરબી જેવું કંઈક થાય ત્યારે સરકારની બેધડક ટીકા કરનારા તરીકેની વાહવાહ લૂંટનારા મોદી અને અમિત શાહની વાતમાં કેવા લાઇનમાં ઊભા રહી જાય છે, લાગ આવ્યે કેવાં ભક્તિગીતો ગાઈ નાખે છે—અને છતાં લોકો પર વીર-સરકારથી-નહીં- બીવાવાળાની છાપ ઉપસાવી શકે છે. એ જોઈને થાય છે કે આપણી પ્રજાનો અમુક વર્ગ મૂર્ખ બનવા માટે જ સર્જાયેલો છે. આ લોકો તેને મૂર્ખ નહીં બનાવે તો તે બીજા કોઈ મૂર્ખ બનાવનારને શોધી લેશે.
ઝાઝું લખ્યું છે, થોડું કરીને વાંચજો અને વિચારજો.

Sunday, May 12, 2024

હાસ્યવ્યંગની વિડીયોનાં ચાર વર્ષ

કોરોનાકાળમાં ટ્વિટર પર આવ્યો અને થોડા દિવસમાં હાસ્યવ્યંગની વિડીયો બનાવવાનું શરૂ કર્યું. મે, 2020. એ વાતને ચાર વર્ષ પૂરાં થયાં. આ સાથે મુકેલી વિડીયો 326મી છે.


ટ્વિટરની મર્યાદા 2 મિનીટ અને 20 સેકન્ડ. તેમાં જે કળા કરવી હોય તે કરી નાખવાની. (હવે પેઇડ બ્લુ ટીક મેળવવાથી તે મર્યાદા વધારી શકાય છે, પણ એવો કોઈ વિચાર નથી.) પહેલી સો વિડીયો તો રોજની એક લેખે કરી. એટલે ખબર પડી કે આ ફોર્મમાં વાંધો નહીં આવે. પણ પછી
વિડીયો બનાવવા માટેના સમયનો પ્રશ્ન રહેતો હતો.
પહેલેથી સ્ક્રીપ્ટ લખતો ન હતો. એટલે આઇડીયા વિચારીને અથવા તેના સાવ ઉપરછલ્લા મુદ્દા નોંધીને કેમેરા ચાલુ કરી દેવાનો. તેની સામે બોલી જવાનું. પછી તેમાંથી ખપજોગું કાઢી લેવાનું. ઘણી વાર સામગ્રી વધારે થઈ હોય. તેને 2:20 મિનીટમાં સમાવવામાં તકલીફ પડે. બે-પાંચ સેકન્ડ એડિટ કરવા માટે ખાસ્સી મહેનત પડે. ફોનના જ સીધાસાદા સોફ્ટવેરમાં કટિંગનું કામ કરવાનું. આશય એટલો કે ઓછામાં ઓછા સમયમાં થવું જોઈએ. તેના કારણે વિડીયોની ટેકનિકલ ગુણવત્તા ચકાચક ન હોય, પણ તેની બહુ પરવા ન હતી. વ્યાવસાયિક ધોરણે કે એવી ગંભીરતાથી કરવું હોય તો ટેકનિકલ બાબતમાં ધ્યાન રાખવું પડે, મારો ઉદ્યમ નીતાંત આપઉલટથી હતો. તેમાં આવતી સામગ્રી મારા હિસાબે ને મારા ધોરણે નબળી ન જવી જોઈએ તે જ મુખ્ય નિસબત.
અનુભવે જોયું કે મોટા ભાગના લોકો સામગ્રી સારી હોય તો ટેકનિકલ મર્યાદાઓ નજરઅંદાજ કરી શકે છે. એટલું જ નહીં, સારી સામગ્રીની તે દિલથી કદર કરી શકે છે. એવું ન કરી શકે તેવા જીવાત્માઓ (ફેસબુક પર એક જણે કહ્યું હતું તેમ) વિડીયોમાં કેટલા કટ આવ્યા, તેની ગણતરી રાખે છે. 😊 હકીકતમાં, મહત્તમ 2:20 મિનીટની આખી વિડીયો જોયા પછી તેમાં જેને કટ ગણવા સિવાય બીજું કશું કહેવાનું ન હોય, તેમને આશ્વાસન અને શુભેચ્છા સિવાય બીજું કંઈ જ આપવાનું થતું નથી.
વડાપ્રધાનની આપખુદશાહી, દેશ માટે ખતરનાક એવો તેમનો સ્વ-મોહ, ભપકાબાજી, હળહળતાં જૂઠાણાં જેવી બાબતો હાસ્યવ્યંગ વિડીયોના માધ્યમથી, ઘણુંખરું ઉગ્ર બન્યા વિના પણ, આ વિડીયો દ્વારા મુકી શકાઈ તેનો મને સંતોષ છે. એવું કરતી, જે લાગે છે તે કહેવું જોઈએ અને વ્યંગ આવડે છે તો તે ભાષામાં પણ કહેવું જોઈએ, એવી પ્રતીતિથી વિશેષ કોઈ ભાવ અનુભવ્યો નથી—બહાદુરીનો કે સાહસનો તો બિલકુલ નહીં. તેનાથી પરિવર્તન આવી જશે, એવો ભ્રમ પણ કદી સેવ્યો નથી. અમુક સમય અને સંજોગોમાં, જે કહેવા જેવું હોય તે કહેવાની જરૂર હોય છે. તેને ફરજના અર્થમાં ધર્મ તરીકે સ્વીકારીને, લેખનની જેમ વિડીયોના માધ્યમથી પણ તે કરી શકાયું, તેનો હંમેશાં આનંદ રહ્યો છે.
કેવળ નિજાનંદ માટે અને આગળ જણાવ્યું એ રીતે, ધર્મપૂર્વક શરૂ કરેલી આ હિંદી વિડીયોથી ટ્વિટર પર કલ્પનાતીત પ્રેમાદર મળ્યો છે. ગુજરાતી પત્રકારત્વ-લેખનમાં મારા કામથી સાવ અજાણ હોય એવા રાષ્ટ્રીય સ્તરના ઘણા આદરણીય-પ્રિય લોકો ટ્વિટર થકી સીધાં સંપર્કમાં આવ્યાં છે. તે બોનસ છે. ફેસબુક પર પણ આ વિડીયોને સાંભળી-જોઈને કદર કરનારા સૌનો આભાર.

Sunday, April 14, 2024

પરસંગ આયો ને (નર્મદ-મેઘાણીનાં) ગીતો ગવાયાં...

રાહતદરના ક્લિનિકના આરંભપ્રસંગે ગીત ગાતા ડો. દુર્ગેશ મોદી,
સાથે નર્મદ-મેઘાણી પુસ્તકાલય (મીઠાખળી)ના જયેશ પટેલ
સંજય ભાવે દ્વારા મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન, સાથે ડો. દુર્ગેશ મોદી
ડો. દુર્ગેશ મોદીએ પ્રસંગે હાજર રહેલાં તેમનાં ગુજરાતી શિક્ષિકા હેતલબહેનને
અને સાહિત્યપ્રેમ જગાડવામાં તેમની ભૂમિકાને ભાવપૂર્વક યાદ કર્યાં હતાં. (ફોટોઃ બિનીત મોદી)

ગઈ કાલે સવારે, 'કમઠાણ'ના ગીતના અંદાજમાં કહું તો, એક 'પરસંગ' હતો. મિત્ર ડો. દુર્ગેશ મોદીનું નર્મદ-મેઘાણી ક્લિનિક હાલના નર્મદ-મેઘાણી પુસ્તકાલયથી ખસેડાઈને વધુ મોકળાશવા અને સુવિધાભર્યા ઠેકાણે શરૂ થયું. 

એક સ્પષ્ટતાઃ ડો. દુર્ગેશ મોદી મજબૂત સાહિત્યપ્રેમી અને સરસ લેખક હોવા છતાં, તેમનું નર્મદ-મેઘાણી ક્લિનિક ગુજરાતી કૃતિઓની સાહિત્યિકતા તપાસવા માટેનું ક્લિનિક નથી. (કાશ, એવું કોઈ પ્રમાણભૂત ક્લિનિક હોત.) તે રાહત દરે તબીબી નિદાન માટેનું ઠેકાણું છે. 

'સાર્થક જલસો'ના વાંચનારા ડો. દુર્ગેશ મોદીને તેમના લેખોથી ઓળખતા હશે. એમ.ડી. થયેલા દુર્ગેશ માટેનો પ્રેમ પહેલાં તેમના લખાણથી થયો હતો. ચંદુભાઈ મહેરિયા અને હું કોરોનાકાળમાં રોજેરોજ 'ડિજિટલ નિરક્ષક' કાઢતા હતા, તેમાં એક વાર દુર્ગેશનો લેખ આવ્યો. ત્યારે તે દિલ્હી એમ.ડી. કરતા હતા અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં કાર્યરત હતા. તેમની ભાષા વાંચીને મને થયું કે આ વળી કઈ મૂર્તિ છે, જે આ વયજૂથમાં અને આ જમાનામાં આટલી સરસ રીતે લખી શકે છે? એટલે પ્રકાશ ન. શાહ પાસેથી નંબર મેળવીને તેમને ફોન કર્યો. ત્યારથી શરૂ થયેલી દોસ્તીને હવે તો ઘણાં પડ ચડ્યાં છે. 

નર્મદ-મેઘાણી પુસ્તકાલય સાથે સંકળાયેલા દુર્ગેશમાં સાચી નિસબત અને સાહિત્ય-કળા-વિદ્યાવ્યાસંગ ભરપૂર છલકે છે, જેનો પરચો તેમની સાથેના વ્યવહારમાં સાહજિકતાથી મળતો રહે છે. પરંતુ, આ બધાની ઉપર, એક ડોક્ટર તરીકેની તેમની સજ્જતા સુખદ આશ્ચર્ય ઉપજાવે એવી છે. 

દુર્ગેશને ડોક્ટર તરીકે મળીએ ત્યારે તે--

  •  આપણી વાત નિરાંતે સાંભળે છે. (એનો અર્થ એવો નહીં કે બધી વાર્તાઓ કરવી. પણ સામેવાળાને મુદ્દાસર જેટલું કહેવું હોય તે સાંભળવાની ધીરજ દુર્ગેશમાં છે) 
  •  આપણા સંબંધિત સવાલોના જવાબ તે ખુલાસાવાર અને વૈજ્ઞાનિક ઢબે છતાં શુદ્ધ ગુજરાતીમાં સમજાય એવી રીતે આપે છે. 
  • ન સમજાય તો ફરી પણ પૂછી શકાય છે. 
  • પોતાની કામગીરીના ક્ષેત્રમાં લેટેસ્ટ શું ચાલી રહ્યું છે એની ખબર અને તેનો અભ્યાસ રાખે છે. 
  • અત્યંત શાસ્ત્રીય ઢબે, છતાં જરા પણ માસ્તરીયા નહીં, એવી રીતે સચોટ નિદાન પર આવે છે. (તેનો અત્યંત સુખદ અનુભવ રજનીકુમાર પંડ્યાની માંદગી વખતે થયો.) 
  • અને આ કશાનો ભાર લઈને ફરતા નથી. 

પૂર્ણસમય તો તે એક વરિષ્ઠ ડોક્ટર સાથે કામ કરે છે, પણ અઠવાડિયામાં એક દિવસ, શનિવારે, અઢી-ત્રણ કલાક તે અત્યંત રાહત દરે, દર્દીઓને તપાસે છે. બે વર્ષ પહેલાં આ ઉપક્રમની શરૂઆત આંબેડકરજયંતિના દિવસે થઈ હતી. ગઈ કાલથી હવે સ્થળ બદલાયું. 

નવા સ્થળે, પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા, માધવ રામાનુજ અને બીજા ઘણા સ્ને્હી-મિત્રો-વડીલોની હાજરીમાં, ક્લિનિકની શરૂઆત નર્મદ અને મેઘાણીનાં ગીતો ગાવાથી થઈ. દુર્ગેશે અને નર્મદ-મેઘાણી પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે મીઠાખળીની પોતાની જગ્યા આપનાર મિત્ર જયેશભાઈએ સરસ રીતે ગાયું. દુર્ગેશે નર્મદ અને મેઘાણી વિશે પોતે લખેલી એક અંગ્રેજી કવિતા વાંચી અને Sanjay Bhaveએ મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન કર્યું. એમ એક વિશિષ્ટ ઉપક્રમનો અનોખો આરંભ થયો. 

નવું સરનામું :  

નર્મદ - મેઘાણી ક્લિનિક  આશિમા હાઉસ - બેઝમેન્ટ, શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય (એમ. જે. લાઇબ્રેરી)ની બાજુના ખાંચામાં, મેટ્રોના બ્રિજની સમાંતરે, એલિસબ્રિજ, અમદાવાદ 

સમય : દર શનિવારે : સવારે ૧૦ થી ૧૨:૩૦

Sunday, February 05, 2023

બીરેન વિશે...

 

ફોટોઃ શચિ કોઠારી, 2011

વહેવાર તો એવો છે કે બીરેને (ગઈ કાલે) મારી વર્ષગાંઠ નિમિત્તે લખ્યું (લિન્ક), તો મારે તેની વર્ષગાંઠે લખવું. પણ અમને જાણનારા બધા જાણે છે—અને બીરેને લખ્યું પણ છે—કે અમારી વચ્ચે ‘વ્યવહાર’નો વ્યવહાર નથી. એટલે થયું કે બીરેન વિશે થોડું તેના લખાણના અનુસંધાને જ લખી દઉં, જેથી ઉત્તરાર્ધ-સિક્વલ માટે ઉત્સુક મિત્રોને બહુ રાહ જોવી ન પડે.
***
મારા પહેલા સ્વતંત્ર પુસ્તક ‘સરદારઃ સાચો માણસ, સાચી વાત’ (2005)ના અર્પણમાં મેં લખ્યું હતું, ‘વાચન-સંગીત-કળાના સંસ્કાર આપનાર મિત્રવત્ મોટાભાઈ બીરેનને’. મહેમદાવાદ જેવા ગામમાં રહીને અમુક પ્રકારની રુચિ મારામાં ક્યાંથી આવી, તેવો સવાલ મને કદી થયો નથી. જવાબ મને ખબર છેઃ તે બીરેનમાંથી આવી છે. પણ મહત્ત્વનો સવાલ છેઃ બીરેનમાં તે ક્યાંથી આવી? સમજની સફાઈ, કળા-સંગીત-સાહિત્ય-વાચન-લેખનની રૂચિ...આ બધું તેનામાં ક્યાંથી આવ્યું?

કોઈ કહી શકે કે એ બધું તો જન્મજાત હોય. હું પણ એવું જ માનું છું. તેમાં બીરેનની બે મુખ્ય સિદ્ધિ છે. 1) જન્મજાત ગુણોને તેણે પ્રગટ થઈને ઉછરવા-પાંગરવા દીધા અને તે ગુણોના વૃદ્ધિવિકાસમાં પોતે જે કંઈ કરવાપણું હોય તે બધું કર્યું.

2) બે દાયકાથી વધુ સમય સુધી આઇપીસીએલની નોકરી કરવા છતાં, તેણે પોતીકાપણું અને વિશેષતાઓ ન ખોયાં. રૂપિયાપૈસાની, ઓવરટાઇમોની ને એવી બધી લ્હાયમાં અટવાઈને, તેમાં જીવનસાર્થક્ય માની લેવાને બદલે, જીવનમૂડી જેવી અસલી ચીજોને તેણે સદાય છાતીસરસી ચાંપેલી રાખી. એ બધી ચીજોને તેણે બચાવી ને એ બધી ચીજોએ તેને બચાવ્યો.

છ વર્ષ નાના ભાઈ તરીકે શરૂઆતમાં મારી ભૂમિકા ઝીલનારની હતી. તે બહુ ઝડપથી જોડીદારની થઈ. તેણે મને નાનો ગણવાનું બંધ કરીને સરખેસરખો ગણવાનું શરૂ કર્યું. મોટાભાઈગીરી કરવાને બદલે તે સાથી, માર્ગદર્શક અને નિત્ય આગળ લઈ જનાર બન્યો. પત્રકારત્વમાં આવ્યાનાં વર્ષો પહેલાંથી અમારે એટલું બધું બનતું કે સામાજિક પ્રસંગે ક્યાંક ગયા હોઈએ તો પણ અમે એક બાજુ પર ઊભા રહીને કલાકો સુધી વાતો કરતા હોઈએ. એક વાર મિત્ર વિપુલ રાવલની નાની બહેન ટીની--હવે મનિષા કાકા--એ પૂછ્યું પણ હતું, ‘તમે લોકો આટલી બધી શું વાતો કરો? ’ તેના કહેવાનો સૂર એવો હતો કે ભાઈબંધો આટલી વાત કરે તો સમજ્યા, પણ બે ભાઈઓને આટલી બધી વાતો કરવાની હોય?

મનગમતા કલાકારોને મળવા મુંબઈ જવાનો ઉપક્રમ શરૂ કર્યો ત્યારે હું 19નો, બીરેન 25નો. મુંબઈમાં ઇસ્ટ કઈ બાજુ ને વેસ્ટ કઈ બાજુ કહેવાય, તેની મને ખબર ન પડે. ફોન પર વાત કરતાં ફાવે નહીં. એ વખતે બીરેન સાથે હોય એટલે કશી ચિંતા નહીં. રૂબરૂ વાત કરવામાં મને વાંધો ન આવે. પણ તે સિવાયનું બધું બીરેનના હવાલે.

બીરેનની રગ સહજ હાસ્યની. મારી સહજ વ્યંગની. બીરેન એવી એવી વસ્તુઓ અને વાતોમાંથી, કેટલીક વાર તો સાવ ફાલતુ લાગે એવી વાતમાંથી મમરો મુકીને રમૂજ પેદા કરી શકે, પણ તે અંગત વર્તુળોમાં-મિત્રોમાં. બાકી, તેની (સાચી) છાપ શાંત, સરળ, પ્રેમાળ, સમજુ જણની. અમારા બંનેમાંથી સત્તાવાર રીતે હાસ્યલેખો લખવાની પહેલી તક મને મળી. ત્યાર પછી મારી દીકરીનો જન્મ થયો અને બીરેન પરિવાર તેને જોવા આવ્યો, ત્યારે મેં બીરેનને કહ્યું હતું, ‘એની પર હાથ ફેરવજે, તારા જેવી સેન્સ ઓફ હ્યુમર આવે.’ હું એવી શુભેચ્છાઓ કે આશીર્વાદો ફળે એમાં માનતો નથી. મેં ‘એવું થાય તો કેટલું સારું’ એ ભાવથી કહ્યું હતું, પણ ખરેખર એવું થયું છે અને એનો મને અનહદ આનંદ છે. બીરેનની ઘણી રમૂજોમાં બીજાને પીચ પડે તે પહેલાં મારી દીકરીને એ પકડાઈ જાય છે.

બીરેનની દીકરી શચિ એટલે અમારા પરિવારમાં પહેલું બાળક. મહેમદાવાદ ઉછરી, એટલે મને અત્યંત વહાલી. બાળકો સાથે મારો પનારો નહીંવત્. બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવાય, એ વાતમાં હું સંમત નહીં. છતાં, બિંદુ-વિપુલ રાવલના પુત્ર નીલ પર સૌથી પહેલાં વહાલ ઉપજ્યું. ત્યાર પછી શચિ આવી. તે મારી થાળીમાંથી જમે. હિંચકે મારા ખોળામાં બેસીને સુએ. હવે શચિને ત્યાં દીકરો છે. પણ શચિ માટેનો જૂનો ભાવ અકબંધ છે. શચિ-ઇશાન-આસ્થા વચ્ચેનું આત્મીય સમીકરણ બીરેનની અને મારી જોડીને ફક્ત મજબૂત આધાર જ નહીં, વધારાનું બળ આપનારું નીવડ્યું છે. તેમાં હવે શચિના પતિ સિદ્ધાર્થનો પણ ઉમેરો થયો છે. સોનલ અને કામિની વચ્ચેના સમીકરણે અમારી જોડીને કદી કસોટીરૂપ અવસ્થામાં નહીં મુકવાનું અને પછી તો પરસ્પર મજબૂત ટેકારૂપ બનવાનું કામ કર્યું છે. 

(ડાબેથી) ઇશાન, આસ્થા, શચિ, નીલ
(L to R) Ishan, Aastha, Shachi, Neel. 2012
અમે બંને કમાતા થયા ત્યારથી એવું નક્કી હતું કે આપણે કદી રૂપિયાનો હિસાબ નહીં કરવાનો. કદી નહીં. શરૂઆતમાં એકાદ વાર એવો પ્રસંગ આવ્યો હશે ત્યારે જ આ નક્કી થયું હશે. એ વાતને ત્રણ દાયકાથી વધુ સમય થયો, અનેક પ્રસંગો આવ્યા, પ્રવાસ થયા, જલસા કર્યા, પણ હજુ અમારી વચ્ચે કદી રૂપિયાનો હિસાબ (ખર્ચના ભાગ પાડવાની રીતે) થયો નથી. રૂપિયા કોણ કાઢશે એ મુદ્દો ગૌણ પણ નથી. કારણ કે, એ મુદ્દો જ નથી.

બીરેને વીઆરએસ લીધી, ત્યાર પછી એ ઘરે રહીને કામ કરે છે. એટલે ઘણા લોકોને એવું લાગે છે કે બીરેન નિવૃત્ત છે અને એને ગમે ત્યારે ફોન કરાય. હકીકતમાં તે મારા કરતાં પણ વધારે પ્રવૃત્ત-વ્યસ્ત હોય છે. છતાં, ઘણી વાર એની પ્રકૃતિસહજ સૌમ્યતાને લીધે એ લોકોને કહી શકતો નથી કે ભાઈ, હું તમે ધારો છો એના કરતાં ઘણો વધારે વ્યસ્ત છું. હું બહાર (અમદાવાદ-નડિયાદ) જાઉં છું એટલે લોકોને વધારે વ્યસ્ત લાગું છું.

બીજું કારણ અમારી છાપનું પણ છે. વડીલ સગાંસ્નેહીઓ કહેતા કે બીરેન અમારા દાદા જેવો (ચીમનલાલ કોઠારી જેવો) છે—ફક્ત ચહેરેમહોરે નહીં, સૌમ્યતાની બાબતમાં. તે ગુણમાં મમ્મી (સ્મિતાબહેન કોઠારી)નો મજબૂત વારસો પણ ભળ્યો છે. સોનલ હંમેશાં કહે કે બીરેનભાઈ એટલે સ્મિતાબહેનની ‘દીકરી’. (લાગણી, બીજાની કાળજી રાખવાની વૃત્તિ, સૌમ્યતાના અર્થમાં અને મમ્મી સાથે નિરાંતે અનેક વિષયો પર વાતો કરવાની બાબતમાં)

મારી કિશોરાવસ્થાથી કોઈ શું વિચારે છે તેની પરવા નહીં કરવાની વૃત્તિ વિકસી, ત્યારે શરૂઆતમાં વૈચારિક મજબૂતી બીરેનની અને ઉદ્દંડતા મારી—એવી વહેંચણી હતી. પછી અમારી ચર્ચાઓમાંથી ઘણી સ્પષ્ટતાઓ થઈ, મારો વૈચારિક પાયો મજબૂત બન્યો. અત્યંત સાદગીથી, માત્ર પરિવારજનોની હાજરીમાં લગ્ન કરવાના અમારા બંનેના નિર્ણયમાં સૌથી વધારે મુશ્કેલી અને કસોટી બીરેનના લગ્ન વખતે થઈ. પછી મારું પણ એ જ રીતે લગ્ન થયું. પાંચ-સાત કુટુંબીજનોની હાજરીમાં. તે વખતના વિરોધ સામે અણનમ રહેવા જેટલી સજ્જતા અને મક્કમતા અમે કેળવી લીધી હતી. આજે પણ એ બંને લગ્નપ્રસંગો વિચાર પ્રમાણે આચરી શકવાનો ઊંડો સંતોષ આપે છે.

યોગ્ય દિશાના વાચનમાં પણ બીરેનના લીધે હું આગળ વધ્યો. શ્રીલાલ શુક્લની હિંદી વ્યંગ નવલકથા ‘રાગ દરબારી’ પહેલી વાર બીરેને વાંચીને પછી મને આગ્રહપૂર્વક વાંચવા આપેલી. તે 1990ના દાયકાની શરૂઆતનાં વર્ષો હશે. તેણે ખાસ કહ્યું હતું કે શરૂઆતનાં પાનાંમાં રસ ન પડે એવું લાગે તો પણ અચૂક વાંચજે. ત્યારથી ‘રાગ દરબારી’ની સંખ્યાબંધ ચીજો અમારી વચ્ચેના કાયમી રેફરન્સ પોઇન્ટ બની ગઈ. એવા બીજા પણ અનેક રેફરન્સ પોઇન્ટ છે, જેના ઉલ્લેખમાત્રથી અમે બીજી કશી પિંજણ વિના ટૂંકમાં સમજી જઈએ છીએ.

જૂનાં ગીતો હવે સાથે સાંભળવાનું ઓછું બને છે, પણ પહેલાં અનેક સેશનોમાં અમે ગીતો ભરપૂર માણ્યાં છે અને હજુ પણ શચિના સાસરે જવાનું થાય અને થોડા કલાકની મુસાફરી હોય ત્યારે એકાદ ટાઇમ અમે બહુ વખતથી સાથે બેસીને નહીં સાંભળેલાં ગીતો મુકીએ છીએ અને ફરી તે ગીતોનો અને તે ગીતો સાથે સાંભળવાનો આનંદ લઈએ છીએ.

ભણતરકાળમાં મિત્રોની કમી હતી ત્યારે બીરેનના-IYCના મિત્રો સાથે હું જુનિયર તરીકે હળતોભળતો થયો. મને ઊભા રહેવા માટે આત્મવિશ્વાસની જે ભોંયની જરૂર હતી, તેનો મોટો હિસ્સો બીરેનના સાથ ઉપરાંત જૂના ગીતસંગીતના શોખ-અભ્યાસે-વાચને આપ્યો, તો થોડો હિસ્સો IYCના મિત્રોની સોબતે પણ આપ્યો. મિત્ર વિપુલ રાવલનું ઘર IYCનો અડ્ડો હતું. હું પણ ત્યાંનો નિયમિત મુલાકાતી બન્યો અને છેવટ સુધી રહ્યો. છેલ્લે બીજા બધા બહાર નીકળી ગયા હતા ત્યારે ચોક્સી (અજય પરીખ) અને હું—અમે બંનેએ રાત્રે 17, નારાયણ સોસાયટીના ઘરે જવાનું ચાલુ રાખ્યું હતું.

બીરેનનો અને મારો ચહેરો મળતો આવે છે કે નહીં, તે અમારી વચ્ચેની કાયમી રમૂજનો બહુ જૂનો વિષય. પાછલાં વર્ષોમાં અમારી બંનેની ‘તંદુરસ્તી’ વધ્યા પછી અમારા ચહેરા સરખા હોવા વિશે અમને બહુ શંકા રહી નથી, પણ શરૂઆતમાં આવું કોઈ કહે ત્યારે અમે તેમાંથી બહુ રમૂજ લેતા હતા. શારીરિક સામ્યથી વિપરીત, અમારી વચ્ચે સ્વભાવનો બહુ મોટો તફાવત છે, એવું ઘણાને લાગે છે. તે છે પણ ખરો. એટલે, અમને અલપઝલપ મળનારને અમારી વચ્ચેના એકતાર-એકસૂરનો ખ્યાલ કદાચ ન પણ આવે. (અને એવું થાય ત્યારે અમે તેની પણ મઝા લઈએ) અમારા ટેમ્પરામેન્ટ-મિજાજ બહુ જુદા છે, પણ એ ફરક કેવળ અભિવ્યક્તિનો છે-વૈચારિક સ્પષ્ટતાનો નહીં, એ પકડાતાં ઘણાને વાર લાગે છે.

નહીં બોલાયેલું સમજવાની અને નહીં કહેવાયેલું સાંભળવાની અમારી સિદ્ધિ—સિદ્ધ કરેલી વૃત્તિ—અડીખમ છે. અમે બંને પચાસ વટાવી ગયા, સંતાનો મોટાં થઈ ગયાં, એટલે તોફાનની સંભાવના ધરાવતો સમયગાળો પૂરો થઈ ગયો છે અને તેમાં એ વૃત્તિનો કાંગરો પણ ખર્યો નથી. એટલે હવે એવી કોઈ શક્યતા નથી. હકીકત તો એ છે કે અમારા મનમાં એ વૃત્તિને સભાનપણે જાળવવાની કે રક્ષવાની અસલામતી કદી જાગી જ નથી.

કારણ કે, આ ખાલી ભાઈપણું નથી. ભાઈબંધી પણ છે—લોહીના સંબંધે સ્થપાયેલી ને દાયકાઓની તડકીછાંયડીમાંથી હેમખેમ પાર ઉતરેલી ભાઈબંધી.