Showing posts with label swaminarayan. Show all posts
Showing posts with label swaminarayan. Show all posts

Wednesday, July 15, 2009

‘નવજીવન પ્રકાશન’નો માર્ગ : બાપુથી બાપુ સુધી

એક બાપુ પાઇલોટ બન્યા.

કોકપિટમાં બેઠા પછી તેમણે પહેલું કામ શું કર્યું?

સામેની પેનલ પર ‘જય માતાજી’ લખ્યું

***

‘એક વાર બાપુ સ્કૂલે ગયા. માસ્તરે પૂછ્યું, ‘બાપુ, અઠવાડિયામાં કેટલા દિવસ?’

‘સાત.’

‘કયા કયા?’ માસ્તરે વળી પૂછ્યું.

બાપુ કહે, ‘જય માતાજી સોમવાર, જય માતાજી મંગળવાર, જય માતાજી બુધવાર, જય માતાજી ગુરૂવાર, જય માતાજી શુક્રવાર, જય માતાજી શનિવાર અને જય માતાજી રવિવાર.’

***

પહેલી જોક તો તમે સાંભળી હશે, પણ બીજી જોક કેવી લાગી?

નબળી જ લાગે ને!

પણ આ જોકને બદલે વાસ્તવિકતા હોય તો?

ખાતરી ન થતી હોય તો અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની પાછળ આવેલી મહાત્મા ગાંધીની પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ની મુલાકાત લેવી. ત્યાં દાખલ થતાં રિસેપ્શન પર મુકાયેલા રજિસ્ટરમાં પાનાની વચ્ચોવચ મોટા અક્ષરે વાંચવા મળશેઃ ‘જય માતાજી બુધવાર’ અને નીચે મુલાકાતીઓની યાદી!

પછી આગળપાછળનાં પાનાં ફેરવીને જોશો તો પણ દરેક વારની આગળ જય માતાજીનું લટકણિયું એવી રીતે લગાડેલું જોવા મળશે કે જાણે વારનું આખું નામ ‘જય માતાજી મંગળવાર’ કે ‘જય માતાજી ગુરૂવાર’ હોય.

રિસેપ્શનિસ્ટ ભાઇની માતાજી પ્રત્યેની શ્રદ્ધા તેમનો અંગત મામલો છે. એ વિશે આપણે કંઇ કહેવાનું ન હોય. પણ જાહેર સ્થળે અને એ પણ ‘નવજીવન’ જેવા સ્થળે, પોતાના ટેબલના કાચ નીચે નહીં, પણ મુલાકાતીઓના રજિસ્ટરમાં તે આવી રીતે માઇભક્તિ પ્રદર્શીત કરે- અને બેરોકટોક કરતા જ રહે, એ ખટકે એવું છે.

***

થોડા સમય પહેલાં ગુજરાત સરકારે એસટીના ડ્રાઇવરોને બસમાંથી ધાર્મિક સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. એમાં મને આત્યંતિકતા લાગી. ડ્રાયવરને પોતાની શ્રદ્ધા પ્રમાણેનો કોઇ ફોટો કે મંત્ર નજર સામે રાખવાથી સારૂં લાગતું હોય તો એ ઇચ્છનીય ન હોવા છતાં, એમાં વાંધો ન હોવો જોઇએ.

ખરો વાંધો પોલીસ સ્ટેશનમાં લાગતા ફોટા અને હારતોરાનો છે. પોલીસ સ્ટેશન એ સામાન્ય ઓફિસ નથી અને પોલીસ સામાન્ય કારકુન નથી. ત્યાં તટસ્થતા હોવી જ નહીં, દેખાવી પણ જોઇએ. એને બદલે મણિનગર સ્ટેશનને અડીને આવેલા પોલિસ સ્ટેશનનું નામ જ મુક્તજીવન પોલીસ ચોકી છે! ન કરે સ્વામીનારાયણ ને કોઇક દિવસ મંદિરમાં ડખો થાય (જેની સ્વામીનારાયણમાં નવાઇ નથી) અને આ જ પોલીસચોકીમાં મામલો આવે તો?

મંટોની એક લધુકથા હતી, જેમાં સર ગંગારામના પૂતળા પર ચપ્પલનો હાર પહેરાવનાર પોલીસના લાઠીચાર્જમાં ઘવાય છે ને તેને સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. મંટો ‘નવજીવન’નું રજિસ્ટર વાંચે તો કેવી લધુકથા લખે?

Saturday, October 25, 2008

કાયદા-કાનૂનનું ‘જય સ્વામીનારાયણ’ !

આ તસવીર સ્વામીનારાયણ પંથના મણિનગર ફાંટાના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસની કારની છે. કારની આગળની નંબર પ્લેટ પર ફક્ત આટલું જ લખ્યું છેઃ સ્વામી શ્રી ૧૦૦૮. કારની પાછળની બાજુની નંબરપ્લેટ પર કારનો સાચો, કાયદેસર નંબર લખ્યો છેઃ GJ-1-HC-1008

સંસાર તજી ચૂકેલા મહારાજો મર્સિડીઝમાં ફરે એ વાત જ વિરોધાભાસી અને ખીજ ચડાવે એવી નથી? આટલું ઓછું હોય તેમ મહારાજોના ચેલા આરટીઓમાંથી ૧૦૦૮ જેવા નંબર લઇ આવે અને એટલાથી પણ ન ધરાતાં નંબરપ્લેટો પર કાયદાનો ભંગ કરીને પોતાના અહમના દેખાડા કરે.

અગાઉ વર્લ્ડ કપ વખતે ભારતની ટીમ કપ જીતે એ માટે આ જ પુરૂષોત્તમપ્રિયભાઇએ જાહેર સભા કરી હતી, તેમાં પોતે મંચ પર બેટ લઇને ઊભા રહ્યા. ઓડિયન્સમાંથી ભક્તો બોલ નાખે અને પુરૂષોત્તમપ્રિયભાઇ ફટકા મારીને ભક્તોને ધન્ય કરે! આ તસવીર એ વખતે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની ‘અમદાવાદ ન્યૂઝલાઇન’માં છપાઇ હતી.

વિચારવાનું મહારાજોએ નથી. એ તો લોકોની ઘેલછા પર જલસા કરે છે. વિચારવાનું તેમના ભગતોએ અને છાશવારે લાગણી દુભાવવા નીકળી પડતી પ્રજાએ છે. નથી લાગતું કે મહારાજોની અને તેમના ભગતોની ગાડીનાં જ નહીં, મગજનાં પણ પીયુસી (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) સર્ટિફિકેટ કઢાવવાનો વખત પાકી ગયો છે? (તસવીર : બિનીત મોદી)

Friday, October 24, 2008

ઝવેરીલાલ મહેતાનું તાજું ‘ફ્લેશબેક’

ઝવેરીલાલ મહેતા કઇ જણસનું નામ છે અને તેમનો પ્રભાવ કેવો હતો, તેનો ખ્યાલ અત્યારે ચોતરફ ટીવી ચેનલો, છાપાં, સામયિકો અને ઇન્ટરનેટના આ યુગમાં ભાગ્યે જ આવે, પણ મારી પેઢી અને મારી પહેલાંની એક પેઢી પણ ‘ગુજરાત સમાચાર’માં પહેલા પાને ચાર કોલમમાં છપાતી ઝવેરીલાલ મહેતાની તસવીરો જોઇને મોટી થઇ છે. ઝવેરીલાલ મહેતાએ બે દિવસ પહેલાં વિમોચન થયેલા તેમના પુસ્તક ‘ફ્લેશબેક’ની પ્રસ્તાવનમાં બરાબર લખ્યું છેઃ ‘આ તસવીરો ગુજરાત સમાચારના પહેલા પાનાની દરબારી મૂછ જેવી હતી.’ દરબારી મૂછનો વિચારવિસ્તાર ઝવેરીલાલના ખુદના વ્યક્તિત્વમાંથી મેળવી શકાય છે.
આવા ઝવેરીલાલના પુસ્તકનું વિમોચન હોય એટલે મીડિયા માટે હાઇ પ્રોફાઇલ પ્રસંગ ગણાય. મિત્ર બિનીત મોદી એ સમારંભમાં ગયો હતો. તેણે પાડેલી તસવીરો અને તેણે આપેલી માહિતી પરથી તથા ઝવેરીલાલે પ્રેમપૂર્વક આપેલી પુસ્તકની નકલ જોયા પછી આ નોંધ લખી રહ્યો છું. સમારંભના મુખ્ય અતિથિ મુખ્ય મંત્રી મોદી હતા. એ સાંજે સાડા ચારને બદલે છ વાગ્યે આવ્યા, એટલે દોઢ કલાક સુધી સૌએ હોલની બહાર ઊભા રહીને મેળાવડો માણ્યો! મુખ્ય મંત્રીના આવ્યા પછી જ સમારંભ શરૂ થયો. મુખ્ય મંત્રીએ ઝવેરીલાલને દિલથી બિરદાવ્યા અને કહ્યું કે ‘મને જ્યારે બસમાં બેસવા કોઇ જગ્યા પણ આપતું ન હતું ત્યારે ઝવેરીલાલ મળે તો ખભે હાથ મુકીને (ઉષ્માથી) વાત કરે. હવે હું મુખ્ય મંત્રી છું, તો પણ તે એવી જ રીતે ખભે હાથ મુકીને વાત કરે છે.’ કાર્યક્રમમાં મંચ પર આ પુસ્તક માટે સાદા અને રોકડ આશીર્વાદ આપનાર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પુરૂષોત્તમપ્રિયદાસ, કીડની હોસ્પિટલના ‘હળવદ-કર’ ડો. એચ.એલ.ત્રિવેદી, મુખ્ય મંત્રી મોદી અને ઝવેરીલાલ એટલા લોકો હતા. ગુજરાત સમાચારના ભૂતપૂર્વ સ્તંભ દેવેન્દ્ર પટેલ અને વર્તમાન લેખક ભવેન કચ્છીએ પ્રવચનો કર્યાં. અશોક દવેએ સંચાલન કર્યું. પુસ્તકના વિમોચન માટે કેમેરા આકારનું એક બોક્સ બનાવવામાં આવ્યું હતું. બાજુમાં ઝવેરીલાલની ઓળખ ગણાતી તેમની હેટ પણ મુકવામાં આવી હતી. તેનો ફોટો અહીં મુક્યો છે.

અંગત રીતે મને ઝવેરીલાલનું આકર્ષણ એક આર્ટિસ્ટ ફોટોગ્રાફર તરીકેનું છે. તેમને હું જગનદાદા (જગન મહેતા)ની પરંપરાના ગણું છું. એટલે આ પુસ્તકના છેલ્લા પાને સ્વ.જગનદાદાનાં આશીર્વચન તેમના જ હસ્તાક્ષરમાં જોઇને બહુ આનંદ થયો. ફ્લેશ વિના ફોટોગ્રાફી કરતા ઝવેરીલાલ પાસે જે તસવીરી ખજાનો છે, તેનું દળદાર અને માતબર પુસ્તક થવાનું હજુ બાકી છે. ગુજરાત સમાચારની બુધવારની પૂર્તિમાં આવતી ફોટોસ્ટોરીનો સંગ્રહ ‘ફ્લેશબેક’ ઝવેરીલાલના અને તેમના લખાણના પ્રેમીઓ માટે સરસ છે, પણ મારા જેવા એમની ફોટોગ્રાફીના પ્રેમીઓની અપેક્ષા હજુ ઘણી વધારે ઉંચી છે.

ઝવેરીલાલના ‘ફ્લેશબેક’માં એક પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ન હોય અને ઝવેરીલાલ-સ્પેશ્યલ ગણાતું, ઘણી વાર ફોટા કરતાં કદમાં વધી જતું લખાણ હોય, તેની મઝા લેનારા લે છે. પણ ૮૧ વર્ષે ‘અભી તો મૈં જવાન હું’ મિજાજ ધરાવતા ઝવેરીલાલને આપણી વિનંતી એ જ હોય કે માત્ર તમારી તસવીરોનું- ઐતિહાસિક તસવીરોનું એક પુસ્તક આપો. જેમાં આખા પાનામાં એક મોટી કે બે અડધા પાનાની તસવીરો હોય અને ફક્ત ઓળખ પૂરતી એકાદ લીટીની ફોટોલાઇન હોય. એવું પુસ્તક ફક્ત ઝવેરીલાલ માટે અંગત રીતે જ નહીં, ગુજરાતના દસ્તાવેજીકરણ વગરના ઇતિહાસમાં પણ મહત્ત્વનું બની રહેશે.

Thursday, July 03, 2008

From Sahajanand Swami to 'Aishwarya Swami' : Headgear and Brainwave

The 'idea' ad needs no elaboration. The other one, an appeal to remove pollution, is curious as it appears with painting of Sahajanand Swami, founder of Swaminarayan sect. The sect, founded for noble cause as usual, has come in to focus for all the wrong reasons, including accusations of murder, rape and financial misappropriations. To be fair with the sect, there are many others keeping the company.
Pollution needs to be removed from the sect first, it seems!