Tuesday, May 26, 2026
કરકસરની ચર્ચા
એવું કહેવાય છે કે મહંમદ તઘલકના રાજમાં અધિકારીઓ રાત્રે સૂઈ જાય ત્યારે તેમના મનમાં એ જ વિચારો ચાલતા કે કાલે સવારે સાહેબ કયું નવું ગતકડું કાઢશે? આ વાત સાચી છે કે નહીં તેનો કોઈ આધારપુરાવો નથી, પણ હવે આપણે એવા યુગમાં પ્રવેશી ગયા છીએ, જેમાં ઘણી પ્રજાને આધારપુરાવા સાથે કશી નિસબત રહી નથી. તેમનો આરાધ્ય બાવો બળાત્કારી હોય તો પણ તેમનો ભક્તિભાવ ઓછો નથી થતો, ને તેમનો આરાધ્ય નેતા ઝેરીલો, આત્મમુગ્ધ અને બેજવાબદાર હોય તો પણ તેના બચાવમાં તે જરાય પાછા પડતા નથી. એકાદ દાયકા પહેલાં 'પોસ્ટ-ટ્રુથ સોસાયટી'નો ખ્યાલ ચલણી બન્યો હતો--એક એવો સમાજ, જેમાં સચ્ચાઈ અપ્રસ્તુત છે. એવી જ રીતે હવે ઘણા લોકો માટે 'પોસ્ટ-વેલ્યુઝ' જેવો કોઈ શબ્દપ્રયોગ બનાવવો પડે--જેમને મૂલ્યો સાથે કશી નિસબત નથી. તેમના સાહેબો મૂલ્યોને ફાંસીએ ચડાવે કે ગોળીએ દે, તેમને મન સાહેબ મહાન છે એટલે છે એટલે છે જ.
પણ વાત મહંમદ તઘલકની ચાલતી હતી. તઘલકને તો આપણે જોયો નથી, પણ વર્તમાન શાસન આપણે જોયું છે--વેઠ્યું છે ને વેઠીએ છીએ. તો તેના અમલદારોને તઘલકના અમલદારો જેવું થતું હશે? એ તો ભવિષ્યમાં કોઈ અમલદાર સરકારની સ્તુતિઓ ગાવામાંથી પરવાર્યા પછી પોતાના સાચા અનુભવો લખે તો ખબર પડે. સાહેબનો લેટેસ્ટ આદેશ છે કે કરકસર કરવી. જ્યોતીન્દ્ર દવેના વિખ્યાત હાસ્યનિબંધ 'મારી વ્યાયામસાધના’માં કર્તા અધ્યાહાર રાખવાની વાત આવે છે. (‘દંડબેઠક કર્યા?’ ‘હા કર્યા.’ પણ કર્તા અધ્યાહાર. કોઈકે તો કર્યા જ હશે ને.) સાહેબની વાતમાં કર્તા તો નક્કી હોય--જે કરવાનું હોય તે સામેવાળાએ જ કરવાનું હોય. તેમની વાતોમાંથી તેમની પોતાની જવાબદારી કાયમી ધોરણે અધ્યાહાર હોય છે.
સાહેબની કરકસરની અપીલ સાંભળીને અધિકારીઓનો એક વર્ગ વિચારમાં પડી ગયો. તેમને થયું કે સાહેબની અપીલ આપણે ઝીલી છે, એ દેખાડવા શું કરવું જોઈએ? તેનો પહેલો જવાબ રાબેતા મુજબ એ મળ્યો કે મિટિંગ યોજીએ. એ કાલ્પનિક મિટિંગની કાર્યવાહીનું વર્ણન.
અધિકારી 1: સાહેબો, આજે આપણે જે કામ માટે મળ્યા છીએ...
મુખ્ય સાહેબઃ એક મિનીટ. આ રૂમમાં કેટલાં એસી ચાલે છે? તેમાંથી અડધાં
બંધ કરો.
અધિકારી 2: પ્યૂન એસી બંધ કરતો હોય એની વિડીયો ઉતારવાની છે સાહેબ?
કદાચ કાલે ઉઠીને દરેકે એવી વિડીયો અપલોડ કરવાની આવે...
મુખ્ય સાહેબઃ ચાલો, તમને આટલી સૂઝ પડતી થઈ ગઈ, એ સારી નિશાની છે.
(બધા તરફ જોઈને) તમે બધા જાણો છો કે સાહેબે કરકસરનું દેશવ્યાપી, ગગનભેદી આહ્વાન કર્યું
છે.
અધિકારી 2: કોઈ દેશમાં ધરતીકંપના હળવા આંચકાના સમાચાર હતા, તે એના
લીધે તો નહીં હોય ને?
અધિકારી 3: મેં તો બાળપણમાં એવું સાંભળ્યું હતું કે રાજા જૂઠું
બોલે તો ધરતી ડોલે.
અધિકારી 4: એ તો નકરો વહેમ. બાકી આપણે ત્યાં રોજ ઉઠીને ધરતીકંપ
ન થતા હોત?
મુખ્ય અધિકારી (આંખો કાઢીને): આપણે આટલી અગત્યની ચર્ચા માટે ભેગા થયા
છીએ, એમાં તમે ધરતીકંપનું પુરાણ ક્યાં ખોલ્યું? વિચાર એ કરવાનો છે કે આપણે કરકસરનાં
એવાં કયાં પગલાં લઈ શકીએ જે સાહેબને બતાવી શકાય? (નરમાશથી) એમને તમારો દેખાડો ગમશે
તો સીધું દિલ્હી પણ પોસ્ટિંગ મળી શકે છે.
અધિકારી 2: આ ધમકી છે, સાહેબ?
અધિકારી 4: એ તો પ્રમોશનની
વાત કરે છે. ત્યાં ગયા પછી મોટી જવાબદારી લેવાની.
અધિકારી 3: એટલે, મોટો દેખાડો કરવાની?
અધિકારી 4: ના ભાઈ, ના. દિલ્હીમાં કોઈકે તો જવાબદારીથી કામ કરવું
પડે કે નહીં? એ કોઈક એટલે આપણે બધા. સાહેબને તો આખો દિવસ ફોટોશૂટ, ઝંડીઝુલણ, રેલી,
રોડ શો ને બીજું કેટકેટલું ચાલતું હોય? એ કંઈ દેશનો વહીવટ કરવા નવરા થોડા હોય?
મુખ્ય અધિકારી (ગુંચવાઈને) હમણાં અંદરોઅંદર ચર્ચા કરવાને બદલે આપણે
ફરી મુદ્દા પર આવીએ. કઈ બાબતમાં આપણે ઉડીને આંખે વળગે એવી કરકસર કરવી જોઈએ?
અધિકારી 3: આપણે વર્ક ફ્રોમ
હોમ કરી શકીએ. ક્લાર્કોએ ને પટાવાળાએ આવવાનું. બાકી આપણે બધા પોતપોતાના વતનમાં ને ત્યાં
રહીને ઓફિસનું કામ કરીશું. કેવો આઇડીયા છે સાહેબ?
(મુખ્ય અધિકારીએ જવાબ ન આપીને
જવાબ આપી દીધો.)
અધિકારી 2: આપણે એક દિવસના ખાવાનો ત્યાગ કરવો જોઈએ.
બેઠેલામાંથી મોટા ભાગના
અધિકારીઓ (ઉશ્કેરાઈને): એય, આ શું માંડ્યું
છે? આમને આપણા વતી બારોબાર બોલવાની સત્તા કોણે આપી? મગજબગજ જેવું કંઈ છે કે નહીં?
અધિકારી 2: (ક્ષણિક મુંઝવણ પછી સ્મિત સાથે) અરે મિત્રો, હું તો
જમવાનાની-ભોજનની-એ ખાવાની વાત કરતો હતો. તમે નકામા ઉશ્કેરાઈ ગયા.
અધિકારી 4: આપણે કેટલી બધી બાબતોમાં ઓલરેડી સાહેબને અનુસરીને કરકસર
કરીએ જ છીએ. તેમને ફક્ત જાણ કરવાની જ વાર છે.
મુખ્ય અધિકારી: દાખલા તરીકે?
અધિકારી 4: આપણે માહિતી અધિકાર હેઠળ આવતી નાગરિકોની અરજી પર વિગતો
આપવામાં કરકસર નથી કરતા? લોકો કરકસર કરીને પ્રામાણિકતાથી જીવે છે, જ્યારે આપણે પ્રામાણિકતા
આચરવામાં ભારે કરકસર નથી કરતા? અને સાચું બોલવાની કરકસરમાં... ભલે આપણે સાહેબને પહોંચી
ન શકીએ, પણ પ્રયાસ તો એવો જ રહે છે ને...
(આટલું સાંભળીને, ફિલ્મોમાં
ટેબલ પર હથોડી પછાડતા ન્યાયાધીશની અદામાં, મુખ્ય સાહેબે ટેબલ પર હાથની મુઠ્ઠી પછાડી
ને ઊભા થઈને જતા રહ્યા.)
Saturday, May 09, 2026
ઝેરનો પ્રતિકાર
નરેન્દ્ર મોદીના ભક્તોને ચાલુ વર્તમાનકાળમાં વસવું પડે છે. કારણ કે થોડા જ દૂરના ભૂતકાળમાં જતાં જુમલાઓના ને ભ્રષ્ટ-ગુનાઇત બેશરમીના ખડકલા ધડાધડ બહાર નીકળવા માંડે છે.
Tuesday, May 05, 2026
બંગાળવિજયના વિશ્લેષણમાં અપાયેલાં કારણો અને હકીકત
ચૂંટણીપંચ અને અદાલતની સંદેહાસ્પદ ભૂમિકા તથા લાખો મત કપાઈ ગયાની વાત જે વિશ્લેષણમાં પૂરા વજન સાથે ન આવતી હોય અને સાહેબલોકનો, તેમની વ્યૂહરચનાનો, તેમના વક્તૃત્વનો, તેમના આયોજનનો, તેમની રણનીતિનો, તેમની મહેનતનો ગણીગણીને, વીણીવીણીને જયજયકાર થતો હોય, તેને વિશ્લેષણ ન કહેવાય. શું કહેવાય તે અલગથી કહેવાની જરૂર નથી.
Monday, May 04, 2026
આજનાં અને અગાઉનાં પરિણામો વિશેઃ કેટલીક જમીની હકીકતો
કેન્દ્રમાં અને રાજ્યોમાં શાસનના આટલા લાંબા ગાળામાં સુશાસનનું ઠેકાણાસરનું એકેય કામ કર્યા વિના, અને કુશાસનનાં કામોની લાંબીલસરક યાદી હોવા છતાં, ભાજપ એક પછી એક રાજ્યોમાં ચૂંટણીઓ જીત્યા જ કરે, જીત્યા જ કરે. તેના કારણ તરીકે તટસ્થતાના વહેમમાં ભીંત ભૂલતા વિશ્લેષકો કે સરકારી પત્રકારો-વિશ્લેષકો અમિત શાહના મહાન મેનેજમેન્ટની આરતી ઉતારે તેનાથી ભોળવાઈ જતા નહીં.
જે લોકો કહે કે ભાજપને જીતાડનારા લોકોએ વર્તમાન કુશાસનને જાકારો આપ્યો છે, તેમની વાત પણ યથાતથ માની લેતા નહીં. કારણ કે, કુશાસનના પુરવાર થયેલા રેકોર્ડની બાબતમાં ભાજપ નંબર વન છે. એટલે, કોઈ પ્રજા માત્ર ને માત્ર મમતાના કુશાસનથી કંટાળીને ભાજપને આવી રીતે જીતાડે અને તેમાં બીજી કશી ગોલમાલ ન હોય, એવું માનવા બહુ ભોળપણ જોઈએ.
શાંતિથી વિચારતાં ફક્ત આજનાં જ નહીં, છેલ્લા ઘણા સમયનાં પરિણામો માટે કોઈ એક નહીં, અનેક કારણ જવાબદાર લાગ્યાં છે. કોઈ ચોક્કસ ક્રમ વિના, એવાં થોડાં કારણોની યાદી.
1. ચૂંટણીપંચનો પક્ષપાત.
બીજાં બધાં કારણ પછી. આ કારણ સૌથી પહેલું મુકવું પડે. ચૂંટણીપંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર સામે પાયાદાર અને ગંભીર આરોપો હોવા છતાં, તેમણે એ મુદ્દે તદ્દન ઉડાઉ વલણ દાખવ્યું છે અને પછી તો તટસ્થતાનો દેખાવ કરવાનું પણ છોડી દીધું છે.
વોટચોરીમાં એક ફોટા પર અનેક નામ કે બનાવટી નામોનો ઉમેરો, બનાવટી નામો પકડી પાડતા સોફ્ટવેરનો સગવડ પ્રમાણે ઉપયોગ કે બિનઉપયોગ, સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા અમુક (મુખ્યત્વે ભાજપને પ્રતિકૂળ એવા ભારતના મુસ્લિમ) નાગરિકોનાં નામની બાદબાકી અને નામોનો ઉમેરો-બાદબાકી કરવાની સત્તાનો અપારદર્શક ઉપયોગ—આ ચૂંટણીપંચનાં મુખ્ય પાપ છે. ચૂંટણી પહેલાં સત્તાપક્ષ તરફથી છડેચોક સરકારી રાહે અપાતી લાંચ વિશે ચૂંટણીપંચે કદી વાંધો પાડ્યો નથી. તે તટસ્થ રહેવામાં અને દેખાવામાં, બંને મામલે નિષ્ફળ ગયું છે.
પરંતુ આ સરકારે કાયદો બદલીને ચૂંટણી કમિશનરને વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી સામે અભયદાન આપી દીધું છે. એટલે મુખ્ય ચૂંટણી કમિશનર પણ એવી જ રીતે વર્તે છે. ગૃહ મંત્રી અમિત શાહના ખાસ માણસ તરીકે જાણીતા જ્ઞાનેશકુમારના રાજમાં ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા અનેક વાર થતા આચારસંહિતાના ભંગની કદી નોંધ લેવાતી નથી. તેમની અનેક ગતિવિધિઓ સામે પ્રશ્નાર્થ ઊભા થવા છતાં, તેમણે અણીદાર પ્રશ્નો ઉડાડી દેવાનું કે તેને ટેકનિકાલિટીની ચાદર તળે વલણ દાખવ્યું છે. કારણ કે, તેમને ઉપરના આશીર્વાદની ખાતરી છે. સરકાર કે ન્યાયતંત્ર કોઈને તેની ઊંડી, તલસ્પર્શી અને તટસ્થ તપાસ કરવામાં રસ નથી.
આને અમિત શાહનું મહાન મેનેજમેન્ટ કહેવાતું હોય, તો આપણે કંઈ કહેવાનું નથી.
2. ન્યાયતંત્ર
ન્યાયતંત્રનું નક્કી નહીં. તેને જાગવું હોય ત્યારે જાગે. નહીં તો ન જાગે. ક્યારેક જાગે અને એવું પણ કહી દે (જેમ બંગાળમાં કહ્યું) કે અમુક લાખ લોકો એક ચૂંટણીમાં મત નહીં આપી શકે તો શું ખસી જવાનું છે? આવતી ચૂંટણીમાં મત આપશે.
અને પછી એવું પણ કહી દે કે જે ચૂંટણીનાં પરિણામોમાં જીતનો તફાવત SIRમાં કપાયેલા મતના તફાવત કરતાં ઓછો હોય, તે પરિણામો અમે કન્સીડર કરીશું.
તેનું ગુજરાતી શું થાય, એ તો હવે બંગાળનાં પરિણામોની વિગતવાર માહિતી પછી સમજાશે.
3. કેન્દ્ર સરકારી એજન્સીઓ
અમિત શાહ અને તેમના સાહેબ મન થાય ત્યારે, મન થાય તેની પાછળ કેન્દ્રીય એજન્સીઓને છૂટી મૂકી દે. માણસને જેલમાં ખોસી દે અને તેમનું કામ પૂરું થઈ જાય, પછી પેલો ભાઈ (કે બહેન) નિર્દોષ સાબીત થઈને છૂટી જાય. બહાર આવી જાય. પણ ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું હોય. પ્રણય રોય (એનડી ટીવી)થી માંડીને તૃણમૂલ કોંગ્રેસનું પ્રચારતંત્ર સંભાળનાર સંસ્થાના વડા સુધીના આવા અસંખ્ય દાખલા મોજૂદ છે, જેમાં માત્ર ને માત્ર સરકારનો રસ્તો સાફ કરવા માટે લોકોને જેલમાં પુરી દેવાયા હોય ને કામ પૂરું થઈ ગયા પછી તે બહાર આવી જાય.આને વ્યૂહરચના કહેવાતી હોય તો સરકારી તંત્રનો દુરુપયોગ અથવા સરકારી રાહે ગુંડાગીરી કોને કહેવાય?
4. જૂઠાણાં, કુપ્રચાર અને ઉશ્કેરણી
‘ખાડિયા પાકિસ્તાન બની જશે’થી માંડીને ‘બંગાળમાં ઉર્દુ બોલાતું થઈ જશે’—એવી કોમવાદી ઉશ્કેરણી વિના ભાજપના નેતાઓને ચેન ન પડે. તેમનું ઝેરીલાપણું એટલું કે બાંગલાદેશમાં પણ ઉર્દુ નહીં, બંગાળી બોલાય છે એ જાણવાની તસ્દી ન લે. ગમે તેમ કરીને મુસલમાનોને લઈ આવવાના, બાર-બાર વર્ષથી પોતાનું રાજ હોવા છતાં, દરેક રાજ્યમાં મુસલમાન ઘૂસણખોરોની બીક બતાવવાની (ત્યારે કોઈ તેમને પૂછે નહીં કે તમે એવું કેવું રાજ કરો છો કે હજુ ઘૂસણખોરી ચાલુ છે?), હિંદુઓને ખતરો છે એવું ખોટેખોટું વાતાવરણ ઊભું કરવાનું, બીજાં રાજ્યોમાં પોતાના શાસનનો જે ધબડકાપૂર્ણ રેકોર્ડ છે તેનાથી સદંતર અવળા દાવા ને વાયદા કરવાના (જેમ કે, મહિલાઓની ગરિમા અને સુરક્ષા). પછી ભક્તો તથા તેમના પાળેલા પત્રકારો હોંશે હોંશે, કશા વિશ્લેષણ વિના, આ બધાનો પ્રચાર આગળ વધારે અને વાતાવરણ બનાવે.
વડાપ્રધાન પણ તેમના પદની ગરિમાને વધુ એક વાર અને વારંવાર નેવે મુકીને બધો વખત (વિદેશપ્રવાસ ન કરતા હોય ત્યારે) ચૂંટણીપ્રચાર જ કરતા હોય. તેના માટે સરકારી મશીનરીનો બેફામ, બેરોકટોક દુરુપયોગ થાય અને તેની કશી નોંધ સુદ્ધાં ન લેવાય. તે સાવ બાળબોધી એવાં નાટકો કરે ને આત્મમુગ્ધતાનાં નવાં નવાં શીખરો સર કરે. પરંતુ સોશિયલ મિડીયાને બાદ કરતાં, મુખ્ય ધારામાં એ બધાનું કશું મહત્ત્વ નહીં.
5. ખરીદવેચાણસંઘ
જ્યાં ચૂંટણીઓ હોય ત્યાં ડરાવી-ધમકાવીને, દરોડા પડાવીને શક્ય એટલા વિપક્ષી નેતાઓને પોતાની બાજુ ખેંચવા કોશિશ કરવાની. એ શક્ય ન બને તો પછી અઢળક રૂપિયા બતાવવાના. ભાજપની સરકાર પાસે રૂપિયાનો તોટો નથી. સરકારી રૂપિયાના હિસાબ મળતા નથી અને અમુક હજાર કરોડની રકમના તોતિંગ ગોટાળાની સંભાવના વિશે ‘કેગ’ જેવું ‘કેગ’ ધ્યાન દોરે છે, પણ 2014 પહેલાં જે ‘કેગ’ના શબ્દો પરથી સરકાર હાલી જતી હતી, તે ‘કેગ’નું હવે કોઈ સાંભળતું નથી.
આ ઉપરાંત ગોઠિયા ઉદ્યોગપતિઓની નાણાંકોથળી તો ખરી જ. એટલે, ચૂંટણી પહેલાંથી માંડીને ચૂંટણી જીત્યા પછીના કોઈ પણ તબક્કે, ખરીદવેચાણ અને ધાકધમકી વાપરીને વિપક્ષી નેતાઓને ખેરવી લેવાય છે અને સમર્થકો તો ઠીક, ઘણા વિશ્લેષકો પણ આને ભાજપની આવડત ગણાવે.
6. કશું બાકી ન રાખવું
ભાજપની નેતાગીરીની એક ખાસિયત છે કે આગળ જણાવેલું બધું કર્યા પછી પણ તે નિરાંત અનુભવતી નથી અને તેમના હાથમાં હોય ત્યાં સુધીનું બધું સંજોગો પર છોડવાને બદલે, તેની પર સંપૂર્ણ કાબૂ મેળવવાનો પ્રયાસ છેલ્લી ઘડી સુધી ચાલુ રાખે છે. આવું ઝનૂન હકારાત્મક બાબતમાં હોય તો બહુ ઉપયોગી નીવડે—અને ભાજપ માટે તે ઉપયોગી નીવડે છે પણ ખરું. પરંતુ તટસ્થ દેખાવાની લ્હાયમાં ઘણા વિશ્લેષકો ભાજપની જીતનું બહુ મોટું શ્રેય આ એક જ મુદ્દાને આપીને, તેમનું ભોળપણ અથવા ભક્તિ અથવા વહેણ સાથે વહેવાની વૃત્તિ અથવા આ બધું છતું કરે છે.
7. વિપક્ષોની મર્યાદાઓ
વિપક્ષોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપના રાક્ષસી અને અબજોપતિ ચૂંટણીયંત્રને ટક્કર આપી શકે એવા કોંગ્રેસ સિવાયના ઘણાખરા વિપક્ષો વ્યક્તિકેન્દ્રી છે. અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી, અખિલેશ યાદવ, તેજસ્વી, સ્તાલિન અને બીજા. તેમનું ધ્યેય છેવટે પોતાની સત્તા ટકી રહે એટલા પૂરતું હોય છે. તેમાં વ્યાપક દેશહિતની ગણતરી બહુ પછીના નંબરે આવે છે. કોંગ્રેસ જૂનો ને ઝંખવાયેલો પક્ષ છે. તેની નેતાગીરીમાં રાહુલ ગાંધી વખતોવખત અણીદાર પ્રશ્નો પૂછે છે, પણ પક્ષની મશીનરી પર તેમનો કાબૂ નથી અને જૂનાં જામી પડેલાં ચોકઠાં ઉખડતાં નથી, તે સ્પષ્ટ છે.
નરેન્દ્ર મોદી-અમિત શાહની આગેવાની હેઠળના ભાજપ સામેનો સૌથી મોટો વાંધો મારા જેવા ઘણાને એ છે કે તેમણે દેશમાં લોકશાહી, બંધારણીય સંસ્થાઓની કાર્યક્ષમતા અને તટસ્થતા, સાવ પ્રાથમિક કક્ષાની ગરિમા, સારપ, વિનયવ્યવહાર, કેટલીક બાબતોને ચેડાંથી પર રાખવાની પરંપરા—આ બધાની ઘોર ખોદી અને તેમાં તેમને ગળા સુધી ઊભી દફન કરી દીધી છે. દેશના ફક્ત રાજકીય નહીં, સમાજજીવનમાં પણ તેમણે ઝેર રેડ્યું છે, એક દેશ તરીકે વિદેશોમાં ભારતનું સ્થાન નબળું બનાવ્યું છે, ખાડે ગયેલા અર્થતંત્રને જૂઠાણાં અને સગવડીયા આંકડાબાજીના મેકઅપથી ફુલગુલાબી ચિતર્યું છે, ધર્મને નામે ગુંડાગીરી કરતાં તત્ત્વો અને સરકારી તત્ત્વોને છૂટો દોર આપ્યો છે. આ બધી બાબતોમાં તે અગાઉના ખરાબમાં ખરાબ દાખલા કરતાં અનેક ગણા આગળ નીકળી ચૂક્યા છે.
પરંતુ વિપક્ષો માટે આ બધું એટલું મહત્ત્વનું હોય એમ લાગતું નથી. જો એવું હોત તો એ લોકો અંગત સ્વાર્થને અને સત્તાકાંક્ષાને ઘડીભર બાજુએ મુકીને, બધા સાથે એક થયા હોત અને આ રાક્ષસી તંત્રની સામે મેદાનમાં ઉતર્યા હોત. પરંતુ એવું થયું નથી. જે કંઈ દાખલા છે તે છૂટાછવાયા અને એકલદોકલ છે. તેમાં દેશની ચિંતા ઓછી ને પોતાની સત્તાની ચિંતા વધારે લાગે છે.
વિપક્ષોનું કામ જરાય સહેલું નથી. તેમને આગળ ગણાવેલાં બધાં પરિબળો નડે છે. તેમ છતાં, ધીમે ધીમે કરીને તેમણે જે રીતે જમીન સરકી જવા દીધી, તેને બદલે વેળાસર એકજૂથ થયા હોત તો સાવ આવા દિવસો ન આવત. હવે બહુ મોડું થયું છે, છતાં તે તક સાવ જતી રહે તે પહેલાં તે કંઈક કરે તો ઝાંખીપાંખી આશા રહે. સાવ ફારસરૂપ બની ગયેલી ચૂંટણીઓ લડીને, ગેરવાજબી રીતે હાર હાર કરવાને બદલે, આવી ચૂંટણીઓનો સાગમટે બહિષ્કાર કરવા જેવું પગલું પણ તે લઈ શકે. બધું તંત્ર સરકારી ક્લોરોફોર્મ સુંઘીને એટલું બેહોશીમાં જતું રહ્યું છે કે તેને અહિંસક છતાં અસરકારક રસ્તે મોટા પાયે ઢંઢોળવાનો એક જ વિકલ્પ તેમની પાસે રહે છે. છતાં, હજુ સુધી વિપક્ષોમાં આવું કોઈ સહિયારું અને દેશકેન્દ્રી ચિંતન શરૂ થયું હોય એવું જાણમાં નથી.
8. ધ્રુવીકરણ પામેલો સમાજ
મોટા પાયે ધ્રુવીકરણ પામેલા સમાજમાં મોદીભક્ત તરીકે ઓળખાતા લોકો બહુમતીમાં નથી. જે હતા તેમાંથી ખડી રહ્યા હોવાનું પણ લાગે છે. છતાં, તે જથ્થો સાવ નગણ્ય પણ નથી. એ એવો વર્ગ છે જેમને ધોળા દિવસે જોઈ શકાય એવી દેશની દુર્દશા અને દરેક ક્ષેત્રમાં (અગાઉના મુદ્દામાં વર્ણવેલી) દેશની પીછેહઠ દેખાતાં નથી. કારણ કે, તે નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે. તેમણે મુસલમાનવિરોધ કે મુસલમાનવિરોધી-આક્રમક-બીમાર હિંદુત્વ સાથે પોતાની એકરૂપતા સાધી લીધી છે. મોદીની ટીકા થાય ત્યારે તેમને પોતાની ટીકા થતી હોય એવું લાગે છે. તેમની સાથે સાર્થક અને તાર્કિક સંવાદની કોઈ ગુંજાશ નથી. તે ‘આયેગા તો મોદી’ની ચિચિયારીઓ પાડીને તાનમાં રહે છે. મોદીની આત્મમુગ્ધતા તેમને મહાનતા લાગે છે. તેમને મોદીની આંગળી પકડેલા કે તેમના ખભે માથું ઢાળીને ઊભેલા ભગવાન રામ મંજૂર છે, કારણ કે તેમને લાગે છે કે મોદીએ ભારતને નવેસરથી મહાનતાના રસ્તે દોર્યું છે. તેનાથી વિરુદ્ધના દરેકેદરેક પુરાવા તેમને મન દેશદ્રોહની અને ધર્મદ્રોહની નિશાની છે અને એ પુરાવા આપનારા દેશદ્રોહી-ધર્મદ્રોહી.
આઝાદ ભારતના ઇતિહાસમાં આવું આ હદે પહેલી વાર બન્યું છે, પણ દુનિયાના ઇતિહાસમાં-વીસમી સદીના ઇતિહાસમાં એવા ઘણા દાખલા છે. તે બધાના મૂળ સિદ્ધાંતો સાથે વર્તમાન સ્થિતિ બરાબર બંધ બેસે છે.
એવા સમાજો આવો શરમજનક સમયગાળો વીત્યા પછી તેના વિશે શરમ અનુભવે છે અને ભવિષ્યના વિદ્વાનો અભ્યાસ કરે છે કે આટલા મોટા સમુદાયને એવું તે શું થઈ ગયું હતું.
આપણે ત્યાં એ સમયને હજુ કેટલી વાર છે, ખબર નથી.