Sunday, April 14, 2024

પરસંગ આયો ને (નર્મદ-મેઘાણીનાં) ગીતો ગવાયાં...

રાહતદરના ક્લિનિકના આરંભપ્રસંગે ગીત ગાતા ડો. દુર્ગેશ મોદી,
સાથે નર્મદ-મેઘાણી પુસ્તકાલય (મીઠાખળી)ના જયેશ પટેલ
સંજય ભાવે દ્વારા મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન, સાથે ડો. દુર્ગેશ મોદી
ડો. દુર્ગેશ મોદીએ પ્રસંગે હાજર રહેલાં તેમનાં ગુજરાતી શિક્ષિકા હેતલબહેનને
અને સાહિત્યપ્રેમ જગાડવામાં તેમની ભૂમિકાને ભાવપૂર્વક યાદ કર્યાં હતાં. (ફોટોઃ બિનીત મોદી)

ગઈ કાલે સવારે, 'કમઠાણ'ના ગીતના અંદાજમાં કહું તો, એક 'પરસંગ' હતો. મિત્ર ડો. દુર્ગેશ મોદીનું નર્મદ-મેઘાણી ક્લિનિક હાલના નર્મદ-મેઘાણી પુસ્તકાલયથી ખસેડાઈને વધુ મોકળાશવા અને સુવિધાભર્યા ઠેકાણે શરૂ થયું. 

એક સ્પષ્ટતાઃ ડો. દુર્ગેશ મોદી મજબૂત સાહિત્યપ્રેમી અને સરસ લેખક હોવા છતાં, તેમનું નર્મદ-મેઘાણી ક્લિનિક ગુજરાતી કૃતિઓની સાહિત્યિકતા તપાસવા માટેનું ક્લિનિક નથી. (કાશ, એવું કોઈ પ્રમાણભૂત ક્લિનિક હોત.) તે રાહત દરે તબીબી નિદાન માટેનું ઠેકાણું છે. 

'સાર્થક જલસો'ના વાંચનારા ડો. દુર્ગેશ મોદીને તેમના લેખોથી ઓળખતા હશે. એમ.ડી. થયેલા દુર્ગેશ માટેનો પ્રેમ પહેલાં તેમના લખાણથી થયો હતો. ચંદુભાઈ મહેરિયા અને હું કોરોનાકાળમાં રોજેરોજ 'ડિજિટલ નિરક્ષક' કાઢતા હતા, તેમાં એક વાર દુર્ગેશનો લેખ આવ્યો. ત્યારે તે દિલ્હી એમ.ડી. કરતા હતા અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં કાર્યરત હતા. તેમની ભાષા વાંચીને મને થયું કે આ વળી કઈ મૂર્તિ છે, જે આ વયજૂથમાં અને આ જમાનામાં આટલી સરસ રીતે લખી શકે છે? એટલે પ્રકાશ ન. શાહ પાસેથી નંબર મેળવીને તેમને ફોન કર્યો. ત્યારથી શરૂ થયેલી દોસ્તીને હવે તો ઘણાં પડ ચડ્યાં છે. 

નર્મદ-મેઘાણી પુસ્તકાલય સાથે સંકળાયેલા દુર્ગેશમાં સાચી નિસબત અને સાહિત્ય-કળા-વિદ્યાવ્યાસંગ ભરપૂર છલકે છે, જેનો પરચો તેમની સાથેના વ્યવહારમાં સાહજિકતાથી મળતો રહે છે. પરંતુ, આ બધાની ઉપર, એક ડોક્ટર તરીકેની તેમની સજ્જતા સુખદ આશ્ચર્ય ઉપજાવે એવી છે. 

દુર્ગેશને ડોક્ટર તરીકે મળીએ ત્યારે તે--

  •  આપણી વાત નિરાંતે સાંભળે છે. (એનો અર્થ એવો નહીં કે બધી વાર્તાઓ કરવી. પણ સામેવાળાને મુદ્દાસર જેટલું કહેવું હોય તે સાંભળવાની ધીરજ દુર્ગેશમાં છે) 
  •  આપણા સંબંધિત સવાલોના જવાબ તે ખુલાસાવાર અને વૈજ્ઞાનિક ઢબે છતાં શુદ્ધ ગુજરાતીમાં સમજાય એવી રીતે આપે છે. 
  • ન સમજાય તો ફરી પણ પૂછી શકાય છે. 
  • પોતાની કામગીરીના ક્ષેત્રમાં લેટેસ્ટ શું ચાલી રહ્યું છે એની ખબર અને તેનો અભ્યાસ રાખે છે. 
  • અત્યંત શાસ્ત્રીય ઢબે, છતાં જરા પણ માસ્તરીયા નહીં, એવી રીતે સચોટ નિદાન પર આવે છે. (તેનો અત્યંત સુખદ અનુભવ રજનીકુમાર પંડ્યાની માંદગી વખતે થયો.) 
  • અને આ કશાનો ભાર લઈને ફરતા નથી. 

પૂર્ણસમય તો તે એક વરિષ્ઠ ડોક્ટર સાથે કામ કરે છે, પણ અઠવાડિયામાં એક દિવસ, શનિવારે, અઢી-ત્રણ કલાક તે અત્યંત રાહત દરે, દર્દીઓને તપાસે છે. બે વર્ષ પહેલાં આ ઉપક્રમની શરૂઆત આંબેડકરજયંતિના દિવસે થઈ હતી. ગઈ કાલથી હવે સ્થળ બદલાયું. 

નવા સ્થળે, પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા, માધવ રામાનુજ અને બીજા ઘણા સ્ને્હી-મિત્રો-વડીલોની હાજરીમાં, ક્લિનિકની શરૂઆત નર્મદ અને મેઘાણીનાં ગીતો ગાવાથી થઈ. દુર્ગેશે અને નર્મદ-મેઘાણી પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે મીઠાખળીની પોતાની જગ્યા આપનાર મિત્ર જયેશભાઈએ સરસ રીતે ગાયું. દુર્ગેશે નર્મદ અને મેઘાણી વિશે પોતે લખેલી એક અંગ્રેજી કવિતા વાંચી અને Sanjay Bhaveએ મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન કર્યું. એમ એક વિશિષ્ટ ઉપક્રમનો અનોખો આરંભ થયો. 

નવું સરનામું :  

નર્મદ - મેઘાણી ક્લિનિક  આશિમા હાઉસ - બેઝમેન્ટ, શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય (એમ. જે. લાઇબ્રેરી)ની બાજુના ખાંચામાં, મેટ્રોના બ્રિજની સમાંતરે, એલિસબ્રિજ, અમદાવાદ 

સમય : દર શનિવારે : સવારે ૧૦ થી ૧૨:૩૦

Saturday, April 06, 2024

સાર્થક પ્રકાશનઃ બારમા વર્ષે

https://saarthakprakashan.com/

6 એપ્રિલ, 2013ના રોજ ગુરુજનો, મિત્રો અને સ્નેહીઓની હાજરીમાં, યાદગાર કાર્યક્રમ સાથે શરૂ થયેલું 'સાર્થક પ્રકાશન' આજે બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. 11 વર્ષ એક લાંબો સમયગાળો છે. દરમિયાન આપણી આસપાસ ઘણું બધું બદલાયું છે. પરંતુ જે ધ્યેય સાથે 'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું હતું, તે બદલાયું નથી અને તેનો બહુ આનંદ છે, સંતોષ છે. તે માટે અમને આર્થિક, નૈતિક કે બીજી કોઈ પણ રીતનું બળ પૂરું પાડનાર સૌ સ્નેહીઓ-મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

પુસ્તકસંખ્યાની દૃષ્ટિએ 'સાર્થક' નાનું અને અમારી વ્યસ્તતાઓનો ભોગ બનતું આવ્યું છે. તેના કારણે 11 વર્ષમાં પુસ્તકસંખ્યા પચાસનો આંકડો પાર કરી શકી છે. વધુ પુસ્તક થયાં હોત તો અમને ગમ્યું હોત, પણ નથી થયાં તેનો રંજ કે વસવસો નથી. બીજાં અનેક કામ વચ્ચે સમય મળ્યો, અનુકૂળતાઓ થઈ તેમ પુસ્તકો આવતાં રહ્યાં છે. 

'કટિબંધ' સિવાયની અશ્વિની ભટ્ટની બધી નવલકથાઓ  'સાર્થક'માં પ્રગટ થઈ ચૂકી છે. 'કટિબંધ' આ મહિને છપાવા જાય એમ લાગે છે. ત્યાર પછી પણ અશ્વિનીભાઈનાં-તેમનાં વિશેનાં બે-ત્રણ પુસ્તકોની સામગ્રી છે. તેમાં અમારી અનુકૂળતા ઉપરાંત તેમના અમેરિકાસ્થિત પુત્ર નીલની અનુકૂળતા પ્રમાણે આગળ વધવાનું છે. એટલે તેના સમયગાળા વિશે અંદાજ બાંધી શકાતો નથી. છતાં આ વર્ષે તે આવી જાય એવો અમારો પૂરો પ્રયાસ રહેશે.

એવી જ રીતે, વર્ષોથી અમારા નામે બાકી બોલતો રામચંદ્ર ગુહાના અત્યંત અગત્યના પુસ્તક 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'નો અનુવાદ આખરે તૈયાર છે. તેનું પ્રૂફ પણ થઈ ગયું છે. હવે ફાઇનલ ચેકિંગ ચાલે છે. તે બે ભાગમાં, આશરે હજારથી પણ વધુ પાનાંમાં, પ્રગટ થશે. તે પણ આ વર્ષે, બને તો બે-ત્રણ મહિનામાં, પ્રગટ કરવાનું આયોજન છે.

આ ઉપરાંત, આ વર્ષે પ્રકાશન માટે તૈયાર એવાં પુસ્તકોની યાદીઃ

(1) ઝવેરચંદ મેઘાણીના 'સમરાંગણ'નો અશોક મેઘાણીએ કરેલો અંગ્રેજી અનુવાદ

(2) પ્રકાશ ન. શાહના 'દિવ્ય ભાસ્કર'ની બુધવાર પૂર્તિમાં આવતા સાંસ્કૃતિક લેખોનો સંગ્રહ (જે તેમના લેખોનું પહેલું પુસ્તક હશે)

(3) બિનીત મોદીએ તૈયાર કરેલું, છેક મુંબઈ રાજ્યથી લઈને 2024 સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સભ્યોની પૂરી વિગત આપતું સંદર્ભપુસ્તક

(4) ધૈવત ત્રિવેદીના 'વિસ્મય'ના વધુ બે ભાગ

આટલું તો એકદમ તૈયાર છે. તે સિવાય બીજાં કેટલાંક પુસ્તક પણ આ વર્ષે પ્રગટ કરવાની તૈયારી ચાલે છે. તેની વિગતો યથાસમય.

*

'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું ત્યારે સામયિક શરૂ કરવાનો જરાય ખ્યાલ ન હતો. છતાં, ઓક્ટોબર 2013થી છ માસિક તરીકે 'સાર્થક જલસો' શરૂ થયું. તેના 19 અંક પ્રગટ થઈ ચૂક્યા છે અને મે, 2024ની મધ્યમાં તેનો અંક નં. 20 પ્રગટ થશે. કોઈ પણ પ્રકારના ચોકઠામાં ન સમાય એવા આ વિશિષ્ટ સામયિકના 20 અંક થાય, તેનો અમારે મન બહુ મહિમા છે.

યોગ્ય પ્રચારપ્રસારના અભાવે હજુ ઘણા પ્રેમી વાચકો 'સાર્થક જલસો' વિશે ન જાણતા હોય એવું બને. જે મિત્રોને 'સાર્થક જલસો'ની વાચનસામગ્રી ગમે છે, તેમને વિનંતી કે તે અમને તેમના એવા એક-બે વાચનરસિક મિત્રોનાં નામ-ફોનનંબર-સરનામાં મોકલાવે, જેમને 'સાર્થક જલસો' વિશે ખ્યાલ ન હોય અને જેમને આ પ્રકારની સામગ્રીમાં રસ પડે એમ હોય. (સરનામાં 98252 90796- કાર્તિક શાહ પર મોકલવાં) જે મિત્રોને 'સાર્થક'નાં નવાં આવતાં પુસ્તકો વિશે કે 'સાર્થક જલસો'નો નવો અંક પ્રગટ થાય તેની માહિતી મેળવવાની ઇચ્છા હોય તે પણ આગળ જણાવેલા નંબર પર તેમનું નામ વોટ્સએપથી મોકલી આપે.

*

અમદાવાદમાં એકાદ વાર સૌ મિત્રો-વાચકો સાથે મળી શકાય, એવા કાર્યક્રમનું આયોજન પણ આ વર્ષે ગણતરીમાં છે. તે સિવાય પોતાના શહેરમાં બીજા વાચકો સાથે મળીને આવો કાર્યક્રમ યોજવા ઇચ્છુક મિત્રો કાર્તિકભાઈનો સંપર્ક કરી શકે છે. પરસ્પર અનુકૂળ હશે તો એવી રીતે અમદાવાદ સિવાય બીજે પણ મિત્રોને મળવાનું બની શકે છે.

મળીએ. રૂબરૂ કે પછી શબ્દો થકી.

*

પછીથી સંપર્કમાં આવેલા મિત્રો 'સાર્થક પ્રકાશન'ના આરંભના યાદગાર સમારંભ વિશે જોવા-જાણવા ઇચ્છતા હોય તો તેના અહેવાલોની લિન્કઃ એક, બે, ત્રણ, ચાર, પાંચ