Thursday, February 29, 2024

ડબલ સીઝનનું દુઃખ

 ગુજરાતમાં અત્યારે કઈ ઋતુ ચાલે છે?

ના. આવી રહેલી ચૂંટણીની કે રામના નામે ચાલેલા રાજકારણની ઋતુની અહીં વાત નથી. બીજા પક્ષોમાંથી પક્ષપલટો કરીને, પાપી જેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે એવા ભાજપમાં જોડાઈ જવાની મોસમ તો હવે કાયમી બની ચૂકી છે. તેની અસરો ગ્લોબલ વોર્મિંગની જેમ જ ગંભીર છે, છતાં ગ્લોબલ વોર્મિંગની જેમ તેની ગંભીરતા કોઈને સ્પર્શતી નથી. બધા તેને નજરઅંદાજ કરીને જાણે કશું બનતું જ નથી, તેમ હંકાર્યે રાખે છે. ચૂંટણી આવે ત્યારે એ પ્રવૃત્તિ વધુ જોર પકડે છે. તેના માટે (અલ નીનો જેવું) અલ નમો પરિબળ કારણભૂત મનાય છે. અલ નીનોની જેમ અલ નમોની અવળી અસરો સુવિદિત છે, પણ તેને લગભગ કુદરતી જેવી ગણીને, તેને રોકવા-અટકાવવા માટે નક્કર વિચાર કે કાર્યવાહી થતાં હોય એવું જણાતું નથી.

ઉન્માદની ઋતુ ચાલે છે, એમ કહેવું સાચું નહીં ગણાય. કારણ કે, ઋતુઓ તો થોડા થોડા સમય પછી બદલાય પણ છે. વિષુવવૃત્તના પ્રદેશોમાં રોજ વરસાદ પડે, એવું ભૂગોળમાં આવતું હતું. આપણો દેશ વિષુવવૃત્ત પર નથી. છતાં, અહીં દરરોજ વોટ્સએપ સહિતના સોશિયલ મિડીયા પર જૂઠાણાંનો અને ટીવી ચેનલો પર દુષ્પ્રચારનો અનરાધાર વરસાદ વરસે છે. તેના લીધે અનેક સામાજિક-માનસિક રોગો ફેલાય છે, પરંતુ કોરોનાની જેમ તેમને કોઈ મહામારી તરીકે જાહેર કરતું નથી.

એ બધું ઘડીભર ભૂલીને ફક્ત કુદરતી ઋતુની વાત કરીએ તો, ગુજરાતમાં ડબલ સીઝન ચાલે છેઃ સવારે શિયાળા જેવી ઠંડી અને બપોરે ઉનાળા જેવો તાપ. આ વાત સાચી, પણ બહુ જાહેર છે. છતાં, અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે, એવું કહેનાર ઘણાખરા લોકોને લાગે છે કે તેમણે કેટલી અદભૂત, અભ્યાસપૂર્ણ, મહત્ત્વની અને મૌલિક વાત કરી દીધી. એટલું જ નહીં, તેમણે આ નિદાન ન કર્યું હોત તો ગુજરાતના લાખો લોકો મોસમના બેવડા સ્વભાવ વિશે અંધારામાં જ રહી જાત. કેટલાકને પોતે લખતાં પહેલાં કેટલી મહેનત કરે છે એની ટચૂકડી જાહેરખબર મોટા પાયે કરવાનો શોખ હોય છે. તેમનો ઇરાદો નેક હોય છેઃ વાચકને લેખ વાંચવાથી નહીં તો કમ સે કમ લેખકની સ્વઘોષણાથી ખબર તો પડે કે લેખક કાયમ વેઠ જ ઉતારે છે એવું નથી. તે ક્યારેક મહેનત પણ કરે છે અને મહેનત કરે ત્યારે જાણ કરવાનું ચૂકતો નથી. આ પ્રકારની માનસિકતા ધરાવનારા કહી શકે છે કે તે દુનિયાભરની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં આ વિષય પર થયેલાં સંશોધનોની એડિબલ (ખાઈ શકાય એવા કાગળ પર કાઢેલી) પ્રિન્ટના ટુકડા તપેલીમાં મુકીને, તેને ખાંડના પાણીમાં ઓગાળીને પી ગયા હતા. આમ વિષયને શબ્દાર્થમાં પી જવાને કારણે તેમણે તો ક્યારનું કહી દીધું હતું કે દુનિયામાં ડબલ સીઝન ચાલે છે.

ડબલ સીઝનને હજુ કોઈએ સ્યુડો-શિયાળો કે સ્યુડો-ઉનાળો કહી નથી. કારણ કે, તે હજુ રાજકીય મુદ્દો બની નથી અને તેના થકી લોકોને ઉશ્કેરીને પોતાના ભણી વાળી શકાય, એવી જરૂર ઊભી થઈ નથી. ડબલ સીઝન જાહેર ચર્ચાઓ અને પ્રસાર માધ્યમોના પત્રકારો માટે ઘણી ઉપયોગી નીવડે છે. કૂતરું માણસને નહીં, માણસ કુતરાને કરડે તે સમાચાર છે—એવી વ્યાખ્યાની રૂએ, શિયાળામાં ઠંડી પડે કે ઉનાળામાં ગરમી પડે તે નહીં, શિયાળામાં ગરમી (કે ઉનાળામાં ઠંડી) પડે તે સમાચાર છે. એટલે, કોઈ મોટા સમાચાર ન હોય—એટલે કે, ઉપરથી કોઈ ખરેખર મોટા કે નાનામાંથી મોટા કરવાના સમાચાર આવ્યા ન હોય અથવા ખરા અર્થમાં મોટા સમાચાર હોય તેમને મોટા બનાવવાના ન હોય--ત્યારે ડબલ સીઝન અને તેની આડઅસરો તે જગ્યા પૂરે છે. ડબલ સીઝન અને તેમાં ફેલાતી બિમારીના સમાચાર વાંચીને દરેક વાચકને લાગે છે કે ઓહો, મને પણ આવું જ લાગે છે.

જૂના ભારતમાં ડબલ સાથે ટ્રબલ સંકળાયેલી હતી. નવા ભારતમાંડબલ સાથે  ‘એન્જિન સંકળાયેલું છે. એ જુદી વાત છે કે ઘણાને એ બંનેના અર્થ સરખા જ લાગે છે, ડબલ સીઝન ડબલ ટ્રબલ છે કે ડબલ એન્જિન, તેનો આધાર માણસના આરોગ્યની મજબૂતી પર રહે છે, પણ આસપાસ જોતાં અને અહેવાલો પરથી સાબીત થાય છે કે તબીબી વ્યવસાય માટે ડબલ સીઝન ડબલ એન્જિન પુરવાર થાય છે. તેમાં તાવ-શરદી-ખાંસી વગેરે જૂઠાણાં-ધીક્કાર અને ભ્રષ્ટાચારની જેમ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલાં જોવા મળે છે.

અત્યાર લગી ફક્ત ડબલ સીઝનના મામલે સરકાર બિચારી શું કરે?’—એવી લાગણી વ્યાપેલી હતી. હવે તે લાગણી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી માંડીને ધિક્કાર અને જૂઠાણાંના ફેલાવાની ચર્ચામાં પણ વપરાય છે. પંદર-વીસ વર્ષ પહેલાં પેટ્રોલના ભાવથી માંડીને સરેરાશ મોંઘવારી-ભ્રષ્ટાચારના વિરોધમાં સરકારની (વાજબી) ટીકા કરનારા અને તેની સામે મોરચા કાઢનારા હવે માસુમિયતથી કહી દે છે, પણ એમાં સરકાર શું કરે?’ સરકારની નિષ્ફળતાઓ બદલ તેની આકરી ટીકા કરવાના મુદ્દે દેશમાં ઘણાં વર્ષથી ડબલ સીઝન ચાલે છે. પરંતુ આ તમામની યાદીમાં સૌથી ચિંતાજનક ડબલ સીઝન છે લોકશાહી અને આપખુદશાહીની. તેમાં વિચારધારા અને વિચારવિહીનતા—એમ બે ઘાતક પ્રકારના તાવની બીમારી એટલી પ્રસરે છે કે તે બીમારી ગણાતી બંધ થઈ જાય છે અને તંદુરસ્તીનું, દેશભક્તિનું, ધાર્મિકતાનું પ્રતીક ગણાવા લાગે છે.

Wednesday, February 28, 2024

મહેફિલ-કથા અને અનોખી મહેફિલ હેમંતકુમાર-વી. બલસારાની

 (ફેસબુક પર દિવાળી 2022 વખતે લખેલી પોસ્ટ)

ગીતો માણતો થયો ત્યાં સુધીમાં ગમતા ગાયકો-સંગીતકારોમાંથી મોટા ભાગના સિધાવી ગયા હતા. એ અર્થમાં ક્યારેક લાગે કે હું મોડો પડ્યો. બાકી, તેમને મળી શકાયું હોત. કદાચ કોઈક રીતે, તેમની એકાદ અનૌપચારિક મહેફિલમાં બેસવા મળ્યું હોત અને આજીવન યાદ રહી જાય એવી રસવર્ષામાં તરબોળ થયો હોત.
તે વસવસો જરાતરા હળવો થાય એવી કેટલીક મહેફિલોમાં બેસવા મળ્યું, એને જીવનની ચરમ સફળતાઓમાં ગણું છું. 1992 કે 1993માં ફિલ્મસંગીતના ગુરુ નલિન શાહ સાથે પૂના જવા મળ્યું. ઉંમર માંડ એકવીસ-બાવીસની. શાસ્ત્રીય સંગીતમાં સમજ ત્યારે પણ ન પડે ને હજુ પણ નથી પડતી. છતાં, ફિલ્મસંગીતમાં બીરેન ને હું ઘાયલ. એ અવસ્થા અને માનસિકતામાં, પૂનાની એક સાંજે, સંગીતકાર રામ કદમના ઘરે મહેફિલ જામી.
નલિનભાઈ, તેમના એલઆઇસીના યુવાન મિત્ર રણજિત કુલકર્ણી, બીજા એકાદ ભાઈ હતા અને હું. આટલા જ લોકો. રામ કદમે શાંતારામની મરાઠી ફિલ્મ 'પિંજરા' માં આપેલું સંગીત બહુ જાણીતું બન્યું હતું. પણ તે સાંજની મહેફિલ રામ કદમના સંગીત વિશે નહીં, મુખ્યત્વે 1940ના દાયકાના સંગીત વિશેની હતી. રામ કદમ પેટી (હાર્મોનિયમ) લઈને બેઠા હતા. અમે તેમને વીંટળાઈને બેઠા.
રામ કદમે થોડા વખત માટે 1940ના દાયકાના વિખ્યાત સંગીતકાર-ગાયક રફીક ગઝનવી સાથે કામ કર્યું હતું. રફીક ગઝનવી વિશે મંટોએ લાંબું પ્રકરણ લખ્યું છે. (દસ્તાવેજ ભાગ-5, પાનાં 95-114) પણ ત્યારે એ વાંચ્યું ન હતું. મનમાં રફીક ગઝનવીની ઓળખ જૂની 'લૈલા મજનૂ'ના સંગીતકાર તરીકેની હતી. અમારી વ્યાખ્યા પ્રમાણેની 'જૂની' એટલે 1976ની નહી, 1945ની. મદન મોહનની નહીં, રફીક ગઝનવીની. તેનાં કેટલાંક ગીતની કેસેટ નલિનભાઈ પાસેથી મળી હતી અને તે બહુ ગમ્યાં હતાં. જા રહા હૈ કારવાં યે ઝિંદગી કા કારવાં, તુમ્હારી જાને તમન્ના સલામ કરતી હૈ-- જેવાં ગીત આજે પણ સાંભળીને રોમાંચ થાય છે.
એ ફિલ્મમાં રફીક ગઝનવીએ પોતે એક ગીત ગાયું હતું, 'ઓ જાનેવાલે રાહી, મુઝકો ન ભૂલ જાના'. તેની ધૂન જરા પેચીદી હતી. ગાવામાં શાસ્ત્રીય ઉસ્તાદી માગી લે એવી. રામ કદમે તેમના હાર્મોનિયમ પર એ ગીત છેડ્યું અને સાથે, કેવળ સૂર પુરાવવા પૂરતું, ગાવાનું શરૂ કર્યું. ગાતા જાય, હાથ પેટી પર ફરતો જાય અને વચ્ચે વચ્ચે ગાવાનું રોકીને, એ ગીતમાં રફીક ગઝનવીએ કયા સૂર ક્યાં ને શા માટે લગાડ્યા છે, તેની વાત કરતા જાય. સાંભળીને એવું લાગે, જાણે બસ, દુનિયામાં બધું અટકી જાય ને આ ચાલ્યા જ કરે...ચાલ્યા જ કરે...
ગીતની વાત થાય એટલે શબ્દોની પણ ચર્ચા થાય. ગીતની બીજી લીટી હતી, 'મહમિલ કો જરા રોકો, સુન લો મેરા ફસાના'. તેમાં લોકજીભે 'મહમિલ'ને બદલે 'મહફિલ' ચડેલું. પાછી રોકવાની વાત. એટલે મહેફિલ રોકવાનું બંધ બેસે. તે વખતે નલિનભાઈએ કહ્યું કે મહમિલ એટલે ડોલી. લૈલા ડોલીમાં જઈ રહી છે અને મજનુ તેને થોભવા કહે છે. (આ લખતી વખતે મહમિલનો અર્થ તપાસી જોયો. ઊંટ પર મુકવાની અંબાડી અથવા ડોલી, જેમાં સ્ત્રીઓ બેસે છે.)
બીજી સાંજે રામ કદમને ફરી મળવાનું હતું. મેં નલિનભાઈને લગભગ દુરાગ્રહ કરીને એ બેઠકના રેકોર્ડિંગની વ્યવસ્થા માટે કહ્યું. તેમણે મહાપરાણે એકાદ પ્લેયર-કમ-રેકોર્ડરનો બંદોબસ્ત કર્યો. પણ પહોંચ્યા પછી જામનો દૌર શરૂ થયો. નલિનભાઈએ આગલા દિવસનો તંતુ આગળ વધારવા પ્રયાસ કર્યો, ત્યારે રામ કદમે હાથમાં પકડેલો પ્યાલો બતાવીને કહ્યું, "આને સ્પર્શ્યા પછી હું પેટીને અડતો નથી."
***
'સેહરા', 'ગીત ગાયા પથ્થરોંને' જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપનાર, વિસરાયેલા અને બેહાલીમાં જીવતા સંગીતકાર રામલાલને 2003માં મળવાનું થયું. અઢી-ત્રણ કલાકની મુલાકાતમાં જીવનચરિત્રાત્મક વિગતો ઉપરાંત ગીતોની અને જુદાં જુદાં ગીતોમાં તેમણે વગાડેલી શરણાઈની વાત થઈ. ત્યારે તેમણે 'સેહરા'નાં ગમતાં ગીતો વિશે, તેમાં વાગેલાં વાદ્યો અને વાદ્યકારો વિશે થોડી વાત કરી હતી અને તે ગીતો પોતે ગાઈ પણ બતાવતા હતા. એક ઓરડીમાં રહેતા એ સંગીતકારની સાથે મહેફિલ તો થઈ ન કહેવાય, પણ જ્યારે ગીતોની વાત ચાલતી અને તે ગાતા હતા, ત્યારે આસપાસની ઘેરી કરુણતા બે ઘડી વિસારે પડી જતી હતી.
થોડાં વર્ષ પછી, રજનીકુમાર પંડ્યાના પ્રયાસોને કારણે, વિખ્યાત ભજનગાયિકા જુથિકા રોયની આત્મકથાનું ગુજરાતી પ્રકાશન અને તેમનું સન્માન અમદાવાદમાં શક્ય બન્યાં. કાર્યક્રમમાં જુથિકા રોય બે-ત્રણ ગીત ગાવાનાં હતાં. તેની તૈયારી વખતે અમે થોડા લોકો સાથે હતા. તેમાં મુંબઈસ્થિત સંગીતકાર-જાણકાર સંગીતપ્રેમી તુષાર ભાટિયા પણ હતા. જુથિકા રોયનો અવાજ સાવ ખળભળી ગયો હતો. છતાં, તે જુથિકા રોય હતાં. તુષાર ભાટિયા સિતાર પર 'મને ચાકર રાખોજી'નો અંતરો વગાડતા હતા ને સૂરમાં ક્યાંક ચૂક થઈ કે તરત જુથિકા રોયે તેમના નિર્મળ સ્મિત અને ભારે બંગાળી છાંટ ધરાવતા ઉચ્ચાર સાથે, એટલો ભાગ ગાઈને સુધાર્યું.
સંગીતકાર અજિત મર્ચંટ સાથે પહેલી જ મુલાકાતથી કૌટુંબિક આત્મીયતા થયા પછી, તેમના ઘરે તે વગાડતા અને ગાતા હોય, કોઈ શબ્દ ભૂલે અને નીલમકાકી સામે જુએ એટલે કાકી તરત પૂર્તિ કરે, એવી અનેક મિની મહેફિલો થઈ.
ફિલ્મસંગીતથી જરા અલગ, પણ મહેફિલરસની રીતે જરાય ઉતરતી નહીં, એવી મહેફિલો રાજસ્થાની લોકગાયક સમંદરખાન માંગણીયાર અને તેમના સાથીદારો સાથે બેસીને માણવા મળી છે. પહેલી વાર રાજસ્થાનના ઉદેપુર પાસે આવેલા 'શિલ્પગ્રામ'માં, પછી કુલ્લુ (મનાલી)માં નદી કાંઠે આવેલી એક નિશાળમાં તેમને અપાયેલા ઉતારે મોડી રાત સુધી, ત્યાર પછી 1995માં મહેમદાવાદના ઘરે અને વીસેક વર્ષ પછી ફરી મહેમદાવાદના ઘરે. તે મહેફિલોનો અને તેમાં રેલાયેલા ફ્રી સ્ટાઇલ સંગીતનો કેફ દિવસો સુધી મન પર છવાયેલો રહ્યો છે અને હજુ પણ એ યાદ કરવાની જ વાર, એટલો હૈયાવગો છે.
***
ઉપર જણાવેલી અને જેનો ઉલ્લેખ ચૂક્યો હોઈશ એવી એ બધી મહેફિલોને જાનદાર અને આજીવન યાદગાર બનાવે એવાં બે મુખ્ય તત્ત્વોઃ સંગીત અને અનૌપચારિકતા. એટલે જ, યુટ્યુબ પર ધીમે ધીમે સામગ્રી મુકાવા લાગી, ત્યારે આવી ચીજોની સતત શોધ રહેતી હતી. તેમાં એક વાર એક વિડીયો મળી ગઈઃ વાદક-અરેન્જર વી.બલસારા અને હેમંતકુમારની અનૌપચારિક મહેફિલ.
આમ તો એ બાકાયદા કેેમેરાથી રેકોર્ડ થયેલી છે. છતાં, તેમાં બલસારા કે હેમંતકુમાર, કોઈના પક્ષે કેમેરાની હાજરીનો ભાર વરતાતો નથી. આખી વાતચીત બંગાળીમાં છે. પણ વિડીયોને માણવામાં બંગાળી જરાય નડતરરૂપ નથી. હા, કોઈ બંગાળી મિત્ર થોડી મહેનત લઈને આખી વાતચીતનું નહીં તો, કમ સે કમ, તેમાં થયેલા અગત્યના મુદ્દાનું ગુજરાતી/અંગ્રેજી કરી આપે તો મઝા ઓર વધે ખરી.
પરમ મિત્ર વિસ્તસ્પ હોડીવાલાનો ફેસબુક થકી પરિચય થયો તે પહેલાં, અમારા માટે વિસ્તસ્પ એક જઃ વિસ્તસ્પ બલસારા એટલે કે વી. બલસારા. ઉત્તમ વાદક, મુકેશનાં કેટલાંક બિનફિલ્મી ગીતોમાં તેમણે સંગીત આપેલું. પણ તે કેવા કમાલના વાદક છે અને કેટકેટલાં વાદ્યો કેટલી નિપુણતાથી, રમાડતા હોય એમ વગાડી જાણે છે, તે જાણવા માટે આખી વિડીયો અચૂક જોશો.
હેમંતકુમારના પ્રેમીઓ માટે આ મહેફિલમાં કેટલીક ગજબની ચીજો છે. કઈ તેનું મીઠું રહસ્ય ખોલતો નથી. તમે સાંભળીને મઝા કરજો. તમારે સીધા ત્યાં સુધી પહોંચવું હોય તો તેના કાઉન્ટ અહીં લખ્યા છે.
1. 6:52થી
2. 20:25થી
આ બંનેમાં હેમંતકુમાર જે રીતે, બેઠ્ઠાં બેઠ્ઠાં, કશાય આયાસ વિના, લગભગ વાત કરવાની ઢબે, છતાં જે મધુરતાથી ગાય છે, તે જોઈને રુંવાડાં ઊભાં થઈ જાય છે અને થાય છે કે ક્યાંથી આવ્યા હશે આ લોકો? અને ક્યાંથી લાવ્યા હશે આવી પ્રતિભા?
***
શક્ય હોય તો સમય કાઢીને આખી વિડીયો જ સાંભળવા જેવી છે. તે સંગીત અને વાદનની સાવ જુદી જ દુનિયામાં લઈ જશે, તેની ખાતરી.

Monday, February 26, 2024

કૃષ્ણ, સુદામા અને તાંદુલ

વડા પ્રધાને ગયા સપ્તાહે તેમના એક ભાષણમાં એ મતલબનું કહ્યું કે કૃષ્ણ-સુદામાના જમાનામાં અત્યારની ટેકનોલોજી હોત તો કોઈએ કૃષ્ણને તાંદુલ આપતા સુદામાની વિડીયો લઈને સોશિયલ મિડીયા પર ચડાવી દીધી હોત અને કૃષ્ણ પર લાંચ લેવાના આરોપ મુકાયા હોત. 

સામાન્ય રીતે રામનો ઉપયોગ કરવા માટે જાણીતા વડાપ્રધાનને ચેન્જ ખાતર કૃષ્ણ સાંભર્યા, તેની પાછળ સર્વોચ્ચ પ્રેરણા કામ કરતી હશે, એવું ધારી શકાય. અલબત્ત, સર્વોચ્ચ પ્રેરણા દર વખતે આધ્યાત્મિક હોય તે જરૂરી નથી. તે દુન્યવી અને કાયદાકીય—એટલે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદામાંથી પેદા થયેલી પણ હોઈ શકે. ગયા સપ્તાહે સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાનની આગેવાની હેઠળનો શાસક પક્ષ વર્ષોથી જેના મુખ્ય લાભાર્થી રહ્યો છે તેવા ઇલેક્ટોરલ બોન્ડ (દાતાના નામ વિના નાણાંભંડોળ ઉઘરાવવાના બોન્ડ) ગેરબંધારણીય જાહેર કર્યા. 

ઘણા સમયથી દેશમાં બંધારણીય મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓની દશા જોતાં, આ સમાચારથી ઘણાને નવાઈ કે આંચકો ન લાગ્યાં. આમ પણ, વોટ્સએપ પર મળતા રેડીમેડ અને ટેલર-મેડ નીરણના બંધાણને કારણે જાતે વિચારવાની આદત રહી ન હોય. એટલે, બીજા અનેક સમાચારોની જેમ તે સમાચાર પણ આવ્યા ને જતા રહ્યા. 

એક સમય હતો, જ્યારે ભારતમાં કોઈ ચીજ ગેરબંધારણીય જાહેર થાય તો જાહેર જીવન ખળભળી ઉઠતું, પ્રસાર માધ્યમોમાં વાજબી કાગારોળ મચતી અને લોકો પણ આંદોલિત થઈ ઉઠતા. તે સમય સો કે હજાર નહીં, દસ વર્ષ પહેલાં જ હતો, એવું પણ ઘણાને યાદ આવતું નથી. ઠંડા કલેજે નિયમિતપણે બોલાતાં જૂઠાણાં અને ગરમ કોઠે નિયમિતપણે ચાલતી ધિક્કારસભર આપખુદશાહી—આ બંનેના મિશ્રણની લોકોની યાદશક્તિ પર વધારે ખરાબ અસર થઈ છે કે લોકોની સમજ પર, એ નક્કી કરવું કપરું બને એમ છે. છતાં, કેટલાક લોકો એવા હતા, જેમને લાગ્યું કે સર્વોચ્ચ અદાલતના ઇલેક્ટોરલ બોન્ડ વિશેના ચુકાદા અને વડા પ્રધાનને યાદ આવેલા સુદામાના તાંદુલ વચ્ચે સીધો સંબંધ હશે. 

વડા પ્રધાને પોતાની ઓળખ ભલે ફકીર તરીકે આપતા હોય અને કહેતા હોય કે મૈં તો ઝોલા ઉઠાકર ચલા જાઉંગા. પણ અત્યાર લગીની તેમની ભપકાબાજીને ધ્યાનમાં રાખતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પોતાની જાતને સુદામા તરીકે ન જોતા હોય, એ તો સ્પષ્ટ છે. પોતાના માથાડૂબ પ્રેમમાં પડેલો માણસ પોતાની જાતને ભગવાન-સમકક્ષ માનતો હોય અને આજુબાજુનું મંડળ પોતાના સ્વાર્થની પૂર્તિ ખાતર તેનો એવો ભ્રમ પોષતું હોય, તો એ પણ સ્વાભાવિક ગણાય. 

વડા પ્રધાનનો કિસ્સો વિલક્ષણ એવી રીતે પણ છે કે તે પોતે અથવા બીજું કોઈ તેમને રામ કે કૃષ્ણ સમકક્ષ ગણાવે તો કશું ન થાય. પોતાની ધાર્મિક લાગણી દુભવવા માટે સદા ઉત્સુક અને તેમાંથી જ પોતાની ગુંડાગીરી-કમ-નેતાગીરીની કારકિર્દી બનાવવા ઝંખતા લોકોને પણ તેનાથી વાંધો ન પડે. ‘ન્યૂ ઇન્ડિયા’માં એવો આખો એક સમુદાય પેદા થઈ ચૂક્યો છે, જે વડા પ્રધાનને ભગવાન સાથે સરખાવા માટે આતુર ન હોય તો પણ, તે બાબતે વડા પ્રધાનનું ઉપરાણું લઈને લડવા ઉતરી શકે. આ નકરી કલ્પના નથી. અયોધ્યાના કાર્યક્રમ પહેલાં બાળસ્વરૂપ શ્રી રામ વડા પ્રધાનની આંગળી પકડીને અયોધ્યાના નવા બનેલા મંદિરે જતા હોય, એવાં પોસ્ટર સોશિયલ મિડીયા પર બહુ ફરતાં હતાં. ‘જય શ્રી રામ’ના નારા લગાડતા અને રાજકારણનો હાથો બનવા તલપાપડ કોઈને તે પોસ્ટર સામે વાંધો પડ્યો હોય, વડા પ્રધાને તે પોસ્ટર વિશે ખેદ વ્યક્ત કરીને પોસ્ટર બનાવનાર અને વહેતું કરનાર સામે પગલાં લેવાની વાત કરી હોય, અને ચાર ઠેકાણે કોર્ટ કેસ થયા હોય—એવું કશું જાણવા મળ્યું નથી. 

કૃષ્ણ-સુદામાના વડા પ્રધાને આપેલા રૂપકમાં સુદામા કોણ હોઈ શકે, એની અટકળો ઘણાએ વહેતી મુકી. ઘણાને થયું કે તેમાં ધારવા જેવું શું છે? જવાબ સાવ ઉઘાડો નથી? બદલાયેલા સમયની માગને ધ્યાનમાં રાખતાં સુદામા કોઈ એક જ હોય, એવું પણ શા માટે ધારી લેવું? ઇલેક્ટોરલ બોન્ડના તાંદુલ આપનાર સુદામાઓ તો સેંકડોની સંખ્યામાં છે. નવા જમાનામાં સુદામા જ કૃષ્ણને ત્યાં જાય, એવું પણ જરૂરી નથી. કૃષ્ણની વર્તમાન આવૃત્તિ પોતે સુદામાના ભવ્ય મહાલય કે અંગત વિમાનમાં મુસાફરી કરીને બિચારા સુદામાનો ધક્કો બચાવી લે તો તેમાં ખોટું શું છે? 

આધુનિક સુદામાઓને પણ ખબર છે કે તાંદુલના જમાના હવે ગયા. હવે કૃષ્ણ તેમને વિસરે નહીં જાય અને સુદામાએ કામ પડે ત્યારે તેમને સંભારવા પણ ન પડે--એવું થવું જોઈએ. બાળપણના સ્નેહથી પણ અદકેરી એવી આ ગાંઠ ટકા વિના ટકાવી શકાય નહીં. આવા અંતરંગ સંબંધોમાં આશ્ચર્યનું તત્ત્વ નુકસાનકારક નીવડી શકે. આધુનિક કૃષ્ણ આધુનિક સુદામા પાસેથી હક કરીને તાંદુલ લઈ લે, પણ સુદામાને સરપ્રાઇઝ આપવા માટે, પોતે તેમને શું આપ્યું છે, તે ખાનગી રાખે તો મુશ્કેલી થાય. ‘એ સર્વ ધૂર્ત કપટીની સેવા, લટપટ કરી મારા તાંદુલ લેવા’—એવી પ્રેમાનંદ-પંક્તિ પ્રમાણે વિચારીને આધુનિક સુદામા ક્યાંક નવા કૃષ્ણ શોધી લે તો?

આ બધા કલ્પનાના પતંગ વચ્ચે, બીજો વિચાર પણ આવે છેઃ વડા પ્રધાન પ્રજાના મોટા સમુદાયને જુમલાબાજીના તાંદુલ આપીને, બદલામાં સત્તારૂપે તેનું અનેકાનેક ગણું વળતર ખાટી લે છે, એ જોતાં કૃષ્ણ-સુદામાના રૂપકમાં તે પણ સુદામા હોઈ શકે?