Tuesday, January 31, 2023

ટીવી સ્ટુડિયોમાં ગાંધીજી

આવતી કાલે ગાંધીજીની હત્યાની તારીખ છે. ‘કેટલામી હત્યા?’ એવો સવાલ પૂછવો નહીં. પહેલી હત્યા પછી થયેલી હત્યાઓમાં હત્યારાઓનાં નામ પણ પૂછવાં નહીં. તેમાં જ લખનાર-વાંચનાર-છાપનારનું એટલે કે સમગ્ર સંસારનું હિત છે. નજીકના ભવિષ્યમાં આ તારીખ સત્તાવાર રીતે ‘પરાક્રમ દિવસ’ તરીકે જાહેર થઈ શકે છે. બિનસત્તાવાર રીતે તો કેટલાક લોકો તેને એવો ગણે જ છે.

જે દેશમાં ગોડસે અને ગાંધી એક ત્રાજવાના સામસામાં પલ્લામાં મુકાતાં હોય, એક માણસે કરેલી બીજાની હત્યાને ‘યુદ્ધ’—અને એ પણ ‘વિચારધારાનું યુદ્ધ’—જેવું લેબલ અપાતું હોય, ત્યાં કશી ઠેકાણાસરની ચર્ચા કરવાનું કામ અશક્યની હદે અઘરું છે. એના કરતાં, ટીવી એન્કરોની જેમ બૂમબરાડા પાડીને વાતચીત કરવી શું ખોટી? શરીરમાં મોંથી ઉપરના ભાગનું કોઈ પણ અંગ વપરાય નહીં અને તમાશાને તેડું ન હોય, એ ન્યાયે દર્શકો પણ મળી રહે.

એમ વિચારીને ગાંધીજીનું સ્મરણ કરતાં જ ગાંધીજી હાજર. તેમની સાથે સંવાદનો કાર્યક્રમ શરૂ થતાં પહેલાંની સ્ક્રીપ્ટ કંઈક આ પ્રમાણેની હતીઃ

‘આપણે સૌ જાણીએ છીએ કે આવતી કાલે ગાંધીજીની હત્યાને 75 વર્ષ પૂરાં થશે. તેનો અમૃત મહોત્સવ ઉજવવાની સરકાર તરફથી હજુ સુધી કોઈ સૂચના મળી નથી. અને અમે એકદમ વિશ્વસનીય ચેનલ છીએ- ફેક ન્યૂઝ ફેલાવતા નથી. સરકાર તરફથી જેટલું આવે એટલું જ ચલાવીએ છીએ, પણ અમારાં સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે ગાંધીજીની હત્યાનો આખો કેસ ગરબડવાળો છે. તેમની હત્યા કદી થઈ જ ન હતી, એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમારાં સૂત્રોને તેમનાં સૂત્રો તરફથી એવું જાણવા મળ્યું હોવાનું કહેવાતું હોય એવી આશંકા હોવાની અમને ખાતરી છે કે નથુરામ ગોડસે તે દિવસે દિલ્હીમાં હતો જ નહીં અને તેનું નામ ચોક્કસ વિચારધારાને બદનામ કરવાનું કાવતરું છે, જેથી કરીને વિશ્વમાં હિંદુઓ માટે નીચાજોણું થાય.’

‘અમારી ચેનલ પર કાયમ આવતા વિશેષજ્ઞના મતે, ભારતને બદનામ કરવાનું આ કાવતરું કોણે ઘડ્યું અને ક્યાં ઘડાયું તેની તપાસ ‘કાશ્મીર ફાઇલ્સ’ બનાવનાર ભાઈને સોંપી દેવાય, તો ટૂંક સમયમાં તે નવીનક્કોર અને સચ્ચાઈના ભારથી મુક્ત હકીકતો સાથે બહાર આવી શકે. ત્યાં સુધીમાં મુદ્દો ચાલતો રાખવા માટે ગાંધીજીને જ બોલાવવાનો વિચાર આવ્યો. તેના બે ફાયદા થાયઃ એક, એવો સંદેશો જશે કે અમે કોઈનાથી બીતા નથી અને મોટો રાષ્ટ્રપિતા અમારા શોમાં આવે તો તેની હાજરીમાં પણ અમે તેની એસીતૈસી કરી શકીએ છીએ.’


‘બીજો ફાયદો એ કે થોડા લોકોને એવું કહેવાની પણ તક મળશે કે અમે બંને બાજુનું બતાવીએ છીએ. તટસ્થતાનો આરોપ અમને મંજૂર નથી, પણ વૈવિધ્ય ખાતર અમે તટસ્થની ગાળ ખાવા પણ તૈયાર છીએ. આવી બહાદુરીભરી વિચારણા જ્યાં થતી હોય તે ચેનલ આપણી લોકશાહી માટે એટલે કે આપણા દેશ માટે એટલે કે આપણી સરકાર માટે એટલે કે આપણા વડાપ્રધાન માટે ગૌરવરૂપ છે, એવું કહેવામાં અમને જરાય સંકોચ થતો નથી. તે વાતના સંતોષ સાથે આજનો શો શરૂ કરીએ. શોમાં અમારી સાથે જોડાયા છે ખુદ ગાંધી. તેમને અમે છોડીશું નહીં. અણીદાર સવાલો પૂછીને એ બધું જ તેમની પાસેથી કઢાવીશું, જે તેમણે આજ સુધી ક્યાંય કહ્યું નહીં હોય. અરે, અમે તો તેમની પાસેથી એવું પણ કઢાવીશું, જે ખરેખર બન્યું પણ ન હોય. તે બાબતમાં અમારી આવડતની ખાતરીને કારણે તો તમે અમારો શો જોઈ રહ્યા છો.’


સવાલ (ગાંધીજી તરફ જોઈને) : વેલ કમ મિસ્ટર, ગાંધી. કડકડતી ઠંડીમાં તમે આટલાં ઓછાં કપડાંમાં? ક્યાંક રાહુલ ગાંધીની યાત્રામાંથી તો ...કે પછી રાહુલ ગાંધીને ઠંડીમાં ટી-શર્ટભેર ફરવાનો આઇડીયા જ તમે આપ્યો?
  

ગાંધીજીઃ (હસીને) સીધી કપડાંથી ને રાહુલ ગાંધીથી જ શરૂઆત?
 

સવાલઃ અમારે ત્યાં બધું કામકાજ એકદમ વ્યવસ્થિત, સૂચના પ્રમાણે જ થાય—અને અમારે ત્યાં નિયમ છે કે ઉત્તર ધ્રુવ પર બરફનો મોટો ટુકડો છૂટો પડે કેલિફોર્નિયામાં આગ લાગે, તો પણ રાહુલ ગાંધી પાસે જ એ દુર્ઘટનાઓનો ખુલાસો માગવો. આખરે લોકશાહીમાં જવાબદાર વિપક્ષ જેવું કંઈ હોય કે નહીં? અને સવાલ પૂછવા એ તો મિડીયા તરીકે અમારી ફરજ છે.

ગાંધીજીઃ ફરજ... (મોટેથી હસે છે) તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે.

સવાલઃ આપણે સમય બગાડ્યા વિના સીધા મુદ્દાની વાત પર આવીએ? અમને તો શંકા છે કે તમારી હત્યા થઈ જ ન હતી અથવા ગોડસેએ તમારી હત્યા કરી જ ન હતી. તેને બિચારાને ખોટો ફસાવાયો છે.

ગાંધીજીઃ (શાંતિથી) ગોળી કોને વાગી હતી?

સવાલઃ તમને જ વળી. પણ ગોળી ખાનાર સાચું જ બોલે એવું જરૂરી છે?

ગાંધીજીઃ જરૂરી તો કશું નથી—વડાપ્રધાન હળાહળ જૂઠું જ બોલે, એવું પણ જરૂરી નથી.

સવાલઃ ઓહો, તો તમે પણ અર્બન નક્સલોની ભાષા બોલતા થઈ ગયા? પણ યાદ રાખજો. આ સ્ટુડિયોમાં કોઈની હોંશિયારી ચાલી નથી. એક કલાક—ફક્ત એક કલાક તમે મારી સાથે વાત કરી જુઓ. તમે ગોડસે પર બંદૂક તાણી હતી અને ગોડસેએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો, એવું લોકોના મનમાં ઠસાવી ન દઉં તો મારે આ ચેનલની નોકરી છોડી દેવાની. બોલો, છે મંજૂર?

(‘હે રામ’ના ઉદ્‌ગાર સાથે ગાંધીજીની ખુરશી ખાલી થઈ જાય છે.)

 

Tuesday, January 24, 2023

શરદી થઈ છે? એક કામ કરો...

શરદી-તાવ જેવી બિમારી લાગુ પડ્યા પછી, બિમારી જેટલું જ કે તેના કરતાં ખરાબ બીજું શું હોઈ શકે? જવાબ છેઃ બિમારી દૂર કરવાને લગતાં સૂચનો--દુનિયાની તમામ ઉપચારપદ્ધતિઓના નીચોડ જેવાં  ઘરગથ્થુ, અનુભવસિદ્ધ, મૌલિક સૂચનો.

આવાં સૂચન કરનારાનાં માથાં પર શીંગડાં ઉગેલાં નથી હોતાં. તે આપણા જેવાં જ સીધાસાદાં માણસો હોય છે. તેમાંથી ઘણાં તો પ્રેમાળ અને સાચી લાગણીવાળાં પણ ખરાં. છતાં, તે સૂચનકર્તાની ભૂમિકામાં આવે એટલે ડોક્ટર જેકિલ અને મિસ્ટર હાઇડની પ્રખ્યાત કથાની જેમ તેમનું નવું સ્વરૂપ પ્રગટ થાય છે, જે ન થયું હોત તો તેમના માટે અને આપણા માટે પણ સારું, એવું બિમાર જણને લાગે છે.

‘પથ્થર એટલા પૂજે દેવ’—ની જેમ, સૂચનકર્તાઓનો એક વર્ગ એવો હોય છે કે જેમણે દર્દીને જોયો નથી કે સૂચનનો વરસાદ ચાલુ. અપચાથી એઇડ્સ સુધીના તમામ રોગમાં શું કરવું જોઈએ, એનાં સૂચનો તેમની વાણી થકી ધાણીફૂટ નીકળવા માંડે છે. ‘એક કામ કરો...’થી શરૂ થતી તેમની સૂચનસંહિતા સાંભળીને લાગે, જાણે સાક્ષાત્ ધન્વંતરિ પ્રગટ થયા છે અથવા તો મેડિકલ સાયન્સનાં બધાં પુસ્તકોના સરવાળાનું માનવસ્વરૂપ આવી પહોંચ્યું છે.

તેમનાં સૂચનોમાં સૌથી પ્રભાવશાળી બાબત તેમનું જ્ઞાન નહીં, તેમનો આત્મવિશ્વાસ હોય છે. વ્યાવસાયિક ડોક્ટરો બને ત્યાં સુધી ગેરન્ટી આપતા નથી—અને ગેરન્ટી માગવાનો આગ્રહ રાખે છે (‘ગેરન્ટી આપો કે તમારી સારવાર કરતાં તમને કશું થઈ ગયું તો તેના માટે તમે જ જવાબદાર હશો.’) સૂચનકારો એમ મોળા પડતા નથી. વાતની શરૂઆત જ તે ગેરન્ટીથી કરે છે. ‘મારું કહ્યું માનો... અકસીર ઇલાજ છે. અમુકતમુક ઉપાય કરવાથી તમારો રોગ ઊભી પૂંછડીએ નાસી ન જાય તો કહેજો.’ આવું બોલતી વખતે તેમને અને દર્દીને પણ ખાતરી હોય છે કે તેમના સૂચનનો અમલ કર્યા પછી રોગને પૂંછડી ન ઉગે અને તે ઊભી પૂંછડીએ ન ભાગે તો પણ, સૂચનકર્તા સામે કશાં પગલાં લઈ શકાવાનાં નથી ને તેમને કશું કહી શકાવાનું પણ નથી.

સૂચનકર્તાઓનું કાર્યક્ષેત્ર જ્યોતિષીઓ જેવું હોય છે. તેમની સાચી વાત દાયકાઓ સુધી ગણાવાય છે, પણ તેમની ખોટી પુરવાર થયેલી વાતો ભૂલી જવાની હોય છે. કેમ કે, તે લોકકલ્યાણાર્થે કહેવાયેલી હોય છે. ખોટી પડે તો પડે. તેની ફરિયાદ થોડી મંડાય? એમ આવી નાની નાની બાબતોને વિશ્વસનિયતા સાથે સાંકળવામાં આવે તો આ દુનિયામાં કોઈને કોઈની ઉપર વિશ્વાસ જ ન રહે. એટલે, બીજું કંઈ નહીં તો દુનિયાનું સત્ ટકાવી રાખવા માટે પણ, ખોટી પડેલી આગાહીઓની જેમ અકસીર ન નીવડેલાં સૂચનો યાદ રાખવાં હિતાવહ નથી.

સૂચનકર્તાઓના આત્મવિશ્વાસ માટે કશો આધાર હોવો જરાય જરૂરી નથી. છતાં, અભ્યાસના રસ ખાતર કહી શકાય કે તેમની વાતમાં મુખ્ય બે આધાર હોઈ શકે છેઃ સ્વાનુભવ અને પરાનુભવ. આ બંને શબ્દોને પણ તેના મૂળ અર્થમાં લઈ શકાય નહીં. કારણ કે, બંનેમાં ઉદારતાપૂર્વક કલ્પનાશીલતાનો વઘાર કરાયેલો હોય છે. તેમાંથી એવું આબાદ મિશ્રણ નીપજે છે કે પછી અનુભવ અને કલ્પના વચ્ચે દીવાલ ઊભી કરવાનું અશક્ય બની જાય છે.

સ્વાનુભવસિદ્ધ સૂચનકાર શરદીથી દદડતા જણ પર સૂચનો વરસાવતી વખતે ‘મને પણ એક વાર, તમારી જેમ જ, બહુ શરદી થઈ હતી’—એવી રીતે શરૂઆત કરે છે. ભૂમિકાના સ્તરે તેમાં એવું સૂચવાય છે કે ‘જુઓને, આપણે બંને સરખા.’ પણ બહુ ઝડપથી બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી નાખતાં તે કહે છે, ‘જેવી મને શરદી થઈ કે તરત, બીજું કંઈ પણ કર્યા વિના, મેં ફલાણું લીધું કે ઢીકણું સૂંઘ્યું કે અમુક ક્રિયા કરી કે તમુક ઉકાળો પીધો. અને સાહેબ, અડધો કલાકમાં શરદી ગાયબ.’

ચાલુ વર્તમાનકાળમાં શરદીથી હેરાનપરેશાન જણને સૂચનકર્તાનો દાવો વ્રતકથાઓમાં આવતા પરચા જેવો લાગે છે. એવી કથાઓમાં છેલ્લે એક વાક્ય આવે છે, ‘અમુક ભગવાન કે માતા જેવા ઢીકણાને ફળ્યા એવા તમને પણ ફળજો.’ સૂચનકર્તાઓ આશાઅપેક્ષા નહીં, ખાતરી જ આપે છે કે ‘અમુક ઉપાય જેવો અમને ફળ્યો એવો તમને પણ ફળશે જ.’ પરોપકાર્થે સ્વાનુભવની કથા માંડીને બેઠા હોય એવા સૂચનકર્તાઓનો ભાવ એવો હોય છે કે ‘જુઓ, મેં તો તમને લાખેણો ઉપાય બતાવી દીધો. તમારે સ્વીકારવો હોય તો સ્વીકારો. પણ તમારામાં જ વેતા ન હોય તો પછી હું શું કરું ને શરદી પણ શું કરે?’

વાત સ્વાનુભવ કથાની હોય ત્યારે બીજો સવાલ વિશ્વાસનો આવીને ઊભો રહે છે. દરદી કુતૂહલ અને જિજ્ઞાસાથી પૂછી બેસે કે ‘શું વાત કરો છો? અમુકતમુક કરવાથી તમારી શરદી મટી ગઈ?’ ત્યારે સૂચનાકર્તાની લાગણી દુભાઈ શકે છે. તે છંછેડાઈને કહી શકે છે, ‘આ તો તમારા માટે લાગણી હતી એટલે કહ્યું. ન માનવું હોય તો ન માનશો.’ પછી અસંતોષ રહી જતાં ઉમેરી શકે છે, ‘તમે તો ભાઈ મોટા વિદ્વાન રહ્યાને. અમારા જેવાનું ક્યાંથી માનો?’ પોતાનું નાક વહેતું અટકાવવાના ચક્કરમાં ક્યાંક સામેવાળાની આંખ વહેવા ન લાગે, એ બીકે દર્દી બિચારો દબાણમાં આવી જાય છે. કેટલાક આગ્રહી સ્વાનુભવવાળા નિકટના કુટુંબી કે સ્નેહી હોય ત્યારે દર્દી તેમની હાજરીમાં જ, તેમણે સૂચવેલો ઉપચાર અપનાવી જુએ, એવો આગ્રહ રાખે છે. ત્યારે દર્દીને શરદી કરતાં સૂચન વધારે કારમાં લાગે છે.


 

Tuesday, January 17, 2023

ગૂજરાત વિદ્યાપીઠઃ કુલનાયક ખીમાણીનું રાજીનામું એટલે...

આખરે બે દિવસ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (વીસી) રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપ્યું. 

હાઇકોર્ટના આદેશને પગલે તેમનું જવાનું તો નક્કી જ હતું. 

એક અટકળ એવી હતી કે અમિત શાહ કદાચ તેમને કોર્ટના આદેશની અસરમાંથી બચાવી પણ લે. 

બીજી, વધારે તાર્કિક, અટકળ એવી હતી કે અમિત શાહ તેમને બચાવવા માટે શું કામ પ્રયાસ કરે? તેમનો ઉપયોગ તો કેવળ વિદ્યાપીઠ હાંસલ કરવા પૂરતો જ હોય. 

અને રાજેન્દ્રભાઈ સામે કશી કાર્યવાહી ન થાય, એ પણ તેમના માટે તો સરકારે કરેલી તરફેણ જ ગણાય, એવા આરોપ તેમની સામે છે. 

***

વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રત જેવા સરકારમાન્ય, સરકાર-અનુકૂળ અને રામદેવના અનુયાયી એવા કુલપતિ (ચાન્સેલર) નીમવા માટે ટ્રસ્ટીમંડળમાં ઠરાવ થયો અને બહુમતીથી પસાર થયો, તેમાં પ્રેરક બળ રાજેન્દ્રભાઈનું હતું. 

સ્ટાફના પ્રતિનિધિઓને એવું સમજાવવામાં આવ્યું કે સરકારને અનુકૂળ નહીં થઈએ તો ગ્રાન્ટ નહીં આવે (કેમ જાણે ગ્રાન્ટ કોઈના પિતાશ્રીની મૂડીમાંથી આવવાની હોય) અને તમારા પગાર અટકશે. ભૂતપૂર્વ સાથીદારોને કહેવામાં આવ્યું કે આરોપોમાં તમે પણ સહઆરોપી બનશો. 

ભૂતપૂર્વ સાથીદારો તો ન માન્યા ને વિરોધમાં થોડા મત પડ્યા. છતાં ઠરાવ બહુમતીથી પસાર થઈ ગયો અને આચાર્ય દેવવ્રત રાજ્યપાલ તરીકે નહીં, વ્યક્તિગત રીતે વિદ્યાપીઠના આજીવન કુલપતિ બની ગયા. ત્યાર પછી તેમણે જે મહાન સફાઈઝુંબેશ ઉપાડી, રાજ્યપાલભવનમાંથી તેની જે ભવ્ય યાદીઓ બહાર પડી અને છપાઈ, તે સૌ જાણે છે. 

તો, સરવાળે શું થયું?

- રાજેન્દ્રભાઈએ વિદ્યાપીઠ સરકારના ચરણે ધરી દીધી. વિદ્યાપીઠના કુલપતિનું પદ ગાંધીવિચારધારાથી વિપરીત વિચારધારા ધરાવતા માણસ પાસે ગયું--અને તે પણ તે ભાઈ જીવે ત્યાં સુધી. તે પાપ રાજેન્દ્રભાઈની સક્રિય આગેવાની હેઠળ થયું. તરફેણમાં મત આપનારા એ પાપના ભાગીદાર. 

- બદલામાં રાજેન્દ્રભાઈની સામે કશાં પગલાં નહીં લેવાય, એવી આશા કે આશ્વાસન હશે? ખબર નથી, પણ હાલમાં તો તેમણે કુલનાયકપદું છોડવું પડ્યું. 

***

રાજેન્દ્રભાઈ કહી શકે કે તેમણે વિદ્યાપીઠને બચાવી લીધી. નહીંતર ગ્રાન્ટ બંધ થઈ જાત અને સ્ટાફ પગાર વિના રવડી પડત અને વિદ્યાપીઠ બંધ થઈ જાત. 

વિદ્યાપીઠના ટીકાકારો કહી શકે કે આમાં કશું ક્યાં નવું છે? વિદ્યાપીઠમાં તો પહેલેથી પુષ્કળ પોલંપોલ ચાલતું હતું. 

--અને આ બંને વાતોમાં સત્યનો ઘણો અંશ હોઈ શકે.  છતાં, તે આખા ચિત્રનો નાનકડો હિસ્સો છે. 

આખું ચિત્ર એ છે કે  કે જેવી હતી તેવી એક ગાંધીસંસ્થા વિરોધી વિચારધારાના સત્તાધીશોએ આંચકી લીધી અને તે પણ કોઈ પણ પ્રકારના પ્રજાકીય-નાગરિકી વિરોધ વિના. 

***

અત્યાર સુધીના બનાવો પરથી સમજાય છે કે આ સરકાર એક જ ભાષા સમજે છેઃ વિરોધની. 

સમેતશિખરને પ્રવાસનધામ ન બનાવાય, એવી જૈનોની માગણી તેમના વિરોધપ્રદર્શન પછી સ્વીકારાઈ. એ તેનો તાજો દાખલો છે.

ત્યાર પહેલાંનાં વિરોધ પ્રદર્શનો પણ યાદ કરી લો. એટલે ખ્યાલ આવી જશે કે વિરોધીઓ પ્રત્યે ગંદકી ફેલાવવા સિવાય, તેમને નહીં જેવા કારણોસર કે કારણવગર જેલમાં ખોસી દેવા સિવાય અને વિરોધીઓ સામે પાળેલાં પ્રાણીઓને છૂટાં મૂકી દીધા સિવાય, બીજું ખાસ કંઈ તેમને ફાવતું નથી. 

આટલાં વર્ષ વિરોધ કરી કરીને અહીં પહોંચ્યા પછી હવે સાહેબલોકોથી કાયદાની હદમાં રહીને થતો વિરોધ પણ સહેવાતો નથી. હવે તો એ વિરોધ પ્રદર્શન વખતે ધરપકડને લગતા કાયદા પણ બદલવા માંડ્યા છે. 

વિરોધથી ડરતા હોવાને કારણે તેમના પ્રયાસ એવા હોય છે કે કોઈ પણ ચીજ હડપ કરી લેતાં પહેલાં ત્યાંના સત્તાધીશોની ફાઇલો સાથે રાખવી અને ભય કે લાલચ કે બંનેના જોરે તેમને દબાવીને, વ્યાપક વિરોધ થાય તે પહેલાં કબજો જમાવી લેવો. 

એવા સંજોગોમાં શિસ્તબદ્ધ, અહિંસક પણ આકરો વિરોધ પણ ન થાય, ત્યારે શું કહેવું? 

***

વિરોધનો અર્થ એવો નથી કે બધાએ સડક પર ઉતરવું. જેને જે અનુકૂળ પડે તે કરે. પણ જેનો દાવો ને હોદ્દો વધારે મોટો, તેની જવાબદારી વધારે મોટી.  બધા વિરોધની પહેલ ન કરે તો પણ, વાજબી રીતે થતા વિરોધને એક યા બીજી રીતે સહકાર તો આપે. 

વિદ્યાપીઠ એ ટ્રસ્ટીઓના કે હોદ્દેદારોની મિલકત નથી. તેની છેવટની માલિકી સમાજની અને તેમાં પણ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓના કિસ્સામાં, ગાંધીપ્રેમી હોય અથવા કમ સે કમ ગાંધીદ્વેષી ન હોય, એવા વ્યાપક જનસમુદાયની છે. 'આપણે શી લેવાદેવા?' એવું વિચારતાં પહેલાં આટલું મનમાં રાખજો. 

બાકી તો, ગાંધીજી કહેતા હતા તેમ, તમારા રુદિયાનો રામ સૂઝાડે તેમ કરજો. રુદિયામાં રામના પાવક સ્મરણને બદલે 'જય શ્રી રામ'ની હિંસક નારાબાજી હોય તો જેવાં ગાંધીજીનાં, રામનાં ને દેશનાં નસીબ.