Showing posts with label ગુજરાતની અસ્મિતા. Show all posts
Showing posts with label ગુજરાતની અસ્મિતા. Show all posts
Thursday, January 01, 2009
પ્રાણલાલ પટેલની સેન્ચુરી
![]() |
| Pranlal Patel / પ્રાણલાલ પટેલ |
(તસવીરકાર પ્રાણલાલ પટેલને આજે સોમું વર્ષ બેઠું. દસ્તાવેજી અને પિક્ટોરીઅલ તસવીરોના માહેર પ્રાણલાલ પટેલ મારા ‘સૌથી વડીલ મિત્ર’ છે. ‘સીટીલાઇફ’ પખવાડિકમાં છેલ્લા પાને ‘અમદાવાદઃ અતીત અને આજ’ વિભાગ અમે શરૂ કર્યો ને તેમાં પ્રાણલાલ પટેલની એક જૂની તસવીર અને એ જગ્યાની એક નવી તસવીર ઉપરાંત પ્રાણલાલ પટેલની નાની તસવીર પણ મુકવાનું શરૂ કર્યું. એ પાનાની સફળતા અને તેનો ‘પંચ’ માણસનારા હજુ તેને ભૂલ્યા નથી. એ સમયથી એટલે કે ૧૧-૧૨ વર્ષથી પ્રાણલાલ પટેલ મારા પ્રિય પાત્રોમાંના એક રહ્યા છે. આટલાં વર્ષોમાં સતત તેમને મળવાનું અને જુદી જુદી પરિસ્થિતિમાં તેમને જોવાનું બન્યું છે. એ જોતાં, તેમના વિશે એક લેખથી શું થાય? પણ અત્યારે, આજના દિવસ નિમિત્તે, તેમના વિશે લખેલો એક અંગતતાના સંસ્પર્શ વગરનો પ્રોફાઇલ મુકું છું. - ઉર્વીશ )૧૦૦ વર્ષના આયુષ્યને સામાન્ય રીતે માણસના જીવનની છેલ્લામાં છેલ્લી ‘એક્સપાયરી ડેટ’ ગણવામાં આવે છે. આશીર્વાદ આપનારા પણ ‘શતાયુ ભવ’ કે ‘શતમ્ જીવેત શરદઃ’ (સો શરદઋતુ જીવો) થી આગળ વધી શકતા નથી. એટલે ભાગ્યે જ ઉદ્ભવતો પ્રશ્ન એ છે કે માણસ સો વર્ષનો થઇ જાય પછી શું?
એ ખરૂં કે બહુ ઓછા લોકો ૧૦૦ વર્ષના ‘મેજિક ફીગર’ સુધી પહોંચે છે. તેમાંથી મોટા ભાગના લોકો માટે એ ફીગર શારીરિક, આર્થિક કે કૌટુંબિક કારણોસર ‘મેજિક’ને બદલે ‘ટ્રેજિક’ બને છે. આખરે, આવી અકારી દુનિયામાં વધતી પરાધીનતા અને ઘટતી શક્તિ સાથે સો વર્ષ કેમ કરીને કાઢવાં? જીવનરસ જેવો કોઇ શોખ કે વૃદ્ધાવસ્થામાં પણ થઇ શકે એવી કોઇ પ્રવૃત્તિ ન હોય, ત્યારે આ સવાલ મોં ફાડીને ઊભો રહે છે.
એક તરફ સો વર્ષનો એક માણસ જોવાનો રોમાંચ અને બીજી તરફ ઉપર લખ્યા છે એવા બધા વિચારો, એ બન્ને વચ્ચેનું દ્વંદ્વ ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલને મળતાં પહેલાં ચાલતું હોય, તો પણ એમને મળ્યા પછી મનમાં બીજા બધા વિચારો આવતા અટકી જાય છે અને બહુ મૂળભુત, બહુ સાદો અને સાવ ચીલાચાલુ સવાલ ઉદ્ગાર તરીકે મોંમાથી નીકળી જાય છે,‘દાદા, તમે ખાવ છો શું કે સોમા વર્ષે પણ હજુ સિત્તેરના લાગો છો?’
૧ જાન્યુઆરી, ૧૯૧૦ એમની સત્તાવાર વર્ષગાંઠ છે. એ હિસાબે ૧ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ તેમનું સોમું વર્ષ બેઠું. ‘પણ આ તો સ્કૂલમાં બેસાડવા માટે જે તારીખ લખાવી હતી એ પ્રમાણે. બાકી, મારી અસલી જન્મતારીખ તો જુદી છે. એના હિસાબે મને સો પૂરાં થઇ ગયાં હશે.’ પ્રાણલાલ પટેલ ૧૦૦ વર્ષના ચહેરા પર ૧૦ વર્ષના બાળક જેવું હાસ્ય લાવીને કહે છે.
શબ્દાર્થમાં જેનાં સોએ વર્ષ પૂરાં થઇ ગયાં હોય એ માણસ પરવારી ગયેલો ન કહેવાય? પણ પ્રાણલાલ પટેલનો તસવીરી ખજાનો અને એની તેમણે કરેલી જાળવણી અનન્ય છે. વ્યાવસાયિક તસવીરકાર તરીકે ત્રીસીના દાયકાથી સક્રિય પ્રાણલાલ પટેલનો સૂઝભર્યો તસવીરસંગ્રહ, તેનું વિષયવૈવિઘ્ય, ઐતિહાસિક મૂલ્ય અને તસવીરોની ગુણવત્તા જોનારને મુગ્ધ અને સ્તબ્ધ કરી નાખે એવાં છે. તેમની પાસે છે એવી તસવીરો ખરેખર પચાસ-સાઠ-સિત્તેર વર્ષ પહેલાં કોઇએ પાડી હોય અને ત્યાર પછી જોઇએ ત્યારે પાંચ મિનીટમાં મળી જાય એટલી ચીવટથી સાચવી હોય, એવું માન્યામાં આવતું નથી. છતાં એ હકીકત છે. તેની જાહેર કદર થઇ નથી અને ગુજરાતનાં પચાસ વર્ષની ઉજવણીમાં તેનો ઉપયોગ કરવાનું કોઇને સૂઝતું નથી, એ જુદી વાત છે. કેમ કે, જાળવણી કરવાની નોકરી કરનારા મોટા ભાગના લોકોને વસ્તુમાં નહીં, મફત મળતી વસ્તુમાં રસ હોય છે.
ત્રીસીના દાયકામાં તસવીરોની નવાઇ હતી અને જમાનો સ્ટુડિયો ખોલીને કમાણી કરવાનો હતો, ત્યારે પ્રાણલાલ પટેલે આઉટડોર ફોટોગ્રાફી શરૂ કરી. એ નિર્ણયને કારણે તેમની પાસે તસવીરોનો એવો ખજાનો જમા થવા લાગ્યો, જેમાં ગુજરાતના લોકજીવનની ઝીણામાં ઝીણી વિગતો ઝીલાઇ હોય. નાનપણમાં માતા ગુમાવી દીધા પછી મામાના ઘરે ઉછરેલા પ્રાણલાલે સીંગચણા પણ વેચ્યા ને છાપાં પણ વેચ્યાં. સંગીતનો શોખ હોવાથી હાર્મોનિયમ-તબલાં પર હાથ ચલાવી જોયો ને શિક્ષક (એ જમાના પ્રમાણે ‘માસ્તર’) પણ થયાં. પણ કેમેરા હાથમાં આવ્યા પછી તેમને જીવનની દિશા જડી. એટલે, વિકલ્પ પસંદ કરવાના આવ્યા ત્યારે તેમણે ક્લાસરૂમને બદલે ડાર્કરૂમને અપનાવ્યો.
અમદાવાદના વિખ્યાત તસવીરકાર બળવંત ભટ્ટ પાસેથી પ્રાણલાલ ઘણું શીખ્યા. અમદાવાદના ગાંધી રોડ પર આવેલા ભાવનગરી સ્ટુડિયોમાં નોકરી કરી. એ સમયે ફોટોગ્રાફી સાથે સંકળાયેલી કડાકૂટનો અંદાજ બાંધવાનું ડિજિટલ કેમેરાના આ યુગમાં અઘરૂં છે. મુઠ્ઠીમાં સમાઇ જાય એવા કેમેરામાં ક્લીક કરતાં ફોટો પડી જાય ને બીજી જ ક્ષણે એનો પ્રીવ્યૂ જોવા મળી જાય, એવા જમાનામાં વજનદાર બોક્સ કેમેરા, તેની ફિલ્મો, ફ્લેશના વાંધા, બ્લેક એન્ડ વ્હાઇટને કારણે રાખવો પડતો લાઇટ- શેડનો ખ્યાલ અને ફોટો પડ્યા પછી રોલ ‘ધોવાનું’ શાસ્ત્ર- એવી અનેક કળાઓમાં માહેરિયત આવે, ત્યારે ફોટોગ્રાફર તરીકે માન્યતા મળે. ટેકનોલોજી સાવ પછાત હોવાથી ‘હાજર સો હથિયાર’ના ધોરણે કામ ચલાવવું પડે. પણ એ આવડી જાય તો પછી માણસ ક્યાંય પાછો ન પડે. જેમ કે, એ સમયે એન્લાર્જમેન્ટનું કામ કેવી રીતે થતું હતું, એની વાત કરતાં પ્રાણલાલ કહે છે,‘સ્ટુડિયોના માલિક ડાર્કરૂમમાં ઊભા રહે, હું બાજના મકાનની અગાશી પર ચડી જઊં, ત્યાં ઊભો રહીને કાચના મોટા ટુકડા વડે સૂર્યપ્રકાશ ઝીલું. કાચને ચોક્કસ ખૂણે પકડવાથી સૂર્યપ્રકાશનો શેરડો કાચ પર અને ત્યાંથી પરાવર્તીત થઇને સીધો ડાર્કરૂમમાં પહોંચે.’
ફોટોગ્રાફીમાં નડતી વાસ્તવિક તકલીફોના વ્યવહારૂ ઉકેલ કાઢવાની ખાંખતના લીધે સૌરાષ્ટ્રનાં રજવાડાંમાં ‘પટેલભાઇ’નું નામ બહુ જાણીતું હતું. તેમના કામથી પ્રસન્ન થઇને મૈસૂરના વડિયાર રાજપરિવારે બન્ને દીકરીઓના લગ્નપ્રસંગે ફોટોગ્રાફીમાં ધાર્યું પરિણામ મેળવવા માટે અમદાવાદથી પ્રાણલાલ પટેલને બોલાવ્યા હતા.
પ્રાણલાલ મિજાજે ન્યૂઝ ફોટોગ્રાફર કરતાં વધારે ‘પિક્ટોરિઅલ ફોટોગ્રાફી’ના માણસ. છતાં એ સમયની ઘણી ઐતિહાસિક ઘટનાઓ અને પાત્રોની તસવીરો તેમની પાસેથી મળી આવે. જૂનાગઢની આરઝી હકુમત હોય કે અમદાવાદમાં ગાંધીજીના અસ્થિકુંભની યાત્રા- પ્રાણલાલ પાસેથી આખો પ્રસંગ આંખ સામે ખડો થઇ જાય એવી જીવંત તસવીરો, વ્યવસ્થિત રીતે વિષયવાર ખોખાંમાં છૂટી પાડેલી મળી આવે. ‘જે ચીજ હાજર હશે તે મળશે’ નહીં, ‘જે ચીજ માગો તે મળશે’- એ વ્યાવસાયિક પત્રકાર તરીકે પ્રાણલાલની ખાસિયત. તેમણે લીધેલી સરદાર પટેલ, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ગુજરાતી મહાનુભાવોની તસવીરો હોય કે ૧૯૪૦માં ૪૨ રૂપિયા-૮ આનામાં અમદાવાદથી રાવલપીંડીની રીટર્ન ટિકીટ લઇને કરેલા કાશ્મીરના પ્રવાસની તસવીરો, તેમની ગુણવત્તા અને ઐતિહાસિકતા અમૂલ્ય છે.
પ્રાણલાલ પટેલની એક ઓળખ જૂના અમદાવાદના ઐતિહાસિક દસ્તાવેજકાર તરીકેની છે. તેમની તસવીરોમાં ઝીલાયેલું ત્રીસી-ચાળીસી-પચાસીના દાયકાનું અમદાવાદ હાલના મોલ-મલ્ટીપ્લેક્સ-ફ્લાયઓવરના અમદાવાદનું આરંભબિંદુ હતું. તેનાં વિવિધ સ્થળો અને સ્વરૂપોની તસવીરો અમદાવાદના જ નહીં, ગુજરાતના ઇતિહાસની મહામૂલી અમાનત છે. એવું જ તેમના જૂના કેમેરાના સંગ્રહનું પણ ખરૂં.
બે-પાંચ વર્ષ પહેલાં સુધી પ્રાણલાલ પટેલના ઘરે દિવસના સમયે જનાર માણસને ‘દાદા છે?’ના જવાબમાં, ‘બેસો ને. ડાર્કરૂમમાં છે. બોલાવું છું.’ એવો જવાબ સાંભળવા મળતો હતો. (આજે સોમા જન્મદિવસે પણ તેમણે વહેલી સવારે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના મિત્રો સાથે બહાર નીકળીને કદાચ પહેલી વાર ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી કરી.) તેમનાં જીવનસાથી-તસવીરકાર દમયંતિબહેને આ વર્ષે વિદાય લીધી. એ ધક્કો ખમી જઇને પણ પ્રાણલાલ પટેલ પોતાના પ્રથમ પ્રેમ-ફોટોગ્રાફીના સહવાસમાં અને પરિવારની હૂંફમાં આનંદપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છે.
આજકાલ ચાળીસ-પચાસ વર્ષના માણસોને ‘મઝામાં ને?’ એવું પૂછવામાં જોખમ લાગે છે. કારણ કે લોકો તરત પોતે કયાં કયાં કારણોસર -ખાસ કરીને શારીરિક કારણોથી- મઝામાં નથી, તેનું લીસ્ટ ગણાવવા બેસી જાય છે. તેમની સરખામણીમાં પ્રાણલાલ પટેલની શારીરિક ફરિયાદો સાંભળીને હસવું પણ આવે. સો વર્ષનો માણસ તાવ-શરદીની કે વધારે ગંભીર ફરિયાદમાં ‘હમણાં ઢીંચણ બહુ દુઃખે છે એટલે દાદર ધીમે રહીને ચડઉતર કરવો પડે છે’ એવી વાત કરે, ત્યારે રમૂજ નહીં તો બીજું શું થાય?
Saturday, December 13, 2008
નગેન્દ્રવિજયની અણનમ અડધી સદી




ગુજરાતી પત્રકારત્વમાં પચાસ વર્ષ સ્વમાનભેર અને પોતે જે કરવું હોય તે જ કરીને પૂરાં કરવાં, એ કેટલી મોટી સિદ્ધિ છે તેનો ખ્યાલ બિનગુજરાતી કે બિનપત્રકારોને ભાગ્યે જ આવે. ‘જો મિલ ગયા ઇસીકો મુકદ્દર સમજ લીયા’ની ફિલસૂફી ધરાવતા ગુજરાતી વાચકોએ બિચારાએ કદી ધોરણનો આગ્રહ રાખ્યો નથી. જે અને જેવું મળ્યું તેવું ચૂપચાપ વાંચી લીઘું છે અને એ ખરેખર બહુ ખરાબ હોય તો તેને વખાણ્યું પણ છે!
પત્રકારોને મળતા પગાર કે મહેનતાણાની શી કરવી? છેલ્લા પાંચ-સાત વર્ષના પ્રવાહોને બાદ કરતાં, ભલભલા લેખકોને ત્રણ આંકડામાં ‘પુરસ્કાર’ મળતા હતા અને એક લેખના એક હજાર રૂપિયા આસમાની રકમ ગણાતી હતી.
લગે હાથ પત્રકારોની કક્ષાની વાત પણ અસ્થાને નથી. ‘જૂના બધા સારા અને નવા બધા ખરાબ’ એવા સામાન્યીકરણથી બચીએ તો પણ, એકંદરે જૂના પત્રકારોમાં મહેનત કરવાની વૃત્તિ પ્રમાણમાં વધારે હતી, સંઘર્ષ વધારે હતો અને કંઇક કરી બતાવવાની- સમાજ માટે કંઇક કરી છૂટવાની થોડીઘણી ભાવના પણ ખરી.
આવા સંજોગોના સંગમમાં પોરબંદરના મેજિસ્ટ્રેટમાંથી પૂર્ણસમય લેખક બનેલા ‘વિજયગુપ્ત મૌર્ય’- વિજયશંકર વાસુના પુત્ર નગેન્દ્રવિજયે ૧૪ વર્ષની ઊંમરે કલમ હાથમાં પકડી, ત્યારે ગુજરાતી પત્રકારત્વના એક અતુલનીય, અભૂતપૂર્વ પ્રકરણનો આરંભ થયો. ૧૫ ડિસેમ્બર, ૨૦૦૮, સોમવારના રોજ નગેન્દ્રવિજય ૬૫મા વર્ષમાં પ્રવેશ કરશે. ગુજરાતી પત્રકારત્વમાં તેમની કામગીરીનું આ પચાસમું વર્ષ ચાલી રહ્યું છે.
જન્મભૂમિ પ્રવાસી, વેણી, મુંબઇ સમાચાર, ગુજરાત મિત્ર, અભિયાન, શ્રીરંગ, ગુજરાત સમાચાર, સંદેશ- આ બધાં અખબારો-સામયિકોમાં નગેન્દ્રવિજયની કલમે જે ઠલવાયું છે- ના, જે પીરસાયું છે- તેની તુલના કોઇ પણ ગુજરાતી પત્રકારના પ્રદાન સાથે થઇ શકે એમ નથી. ગુજરાતી ભાષા અને પ્રજા માટે શરમની વાત એ છે કે તેણે સાહિત્યમાં જે સ્થાન ‘કુમાર’ કાઢનારા બચુભાઇ રાવતને આપ્યું, એવું જ- એની બરાબરીનું, પણ જ્ઞાનવિજ્ઞાનના પત્રકારત્વનું સ્થાન- નગેન્દ્રવિજયને આપ્યું નથી. પરંતુ એ ગુજરાતનો પ્રોબ્લેમ છે, નગેન્દ્રભાઇનો નહીં!
બહારનાં પ્રકાશનો માટે નગેન્દ્રભાઇએ લખેલી સામગ્રીની વિપુલતા, વૈવિઘ્ય અને ગુણવત્તાનો મુકાબલો એક જ રીતે થઇ શકેઃ સામેના પલ્લામાં નગેન્દ્રવિજયનાં પોતાનાં પ્રકાશનો - ન્યૂઝવીકલી ‘ફ્લેશ’, અભૂતપૂર્વ વિજ્ઞાન સામયિક ‘સ્કોપ’ અને ‘બુદ્ધિશાળી બાળકોનું’ મટીને ઘણાં વર્ષોથી ‘બુદ્ધિશાળી બાળકોનું’ બનેલું ‘સફારી’ - આ ત્રણેની સામગ્રી મુકવી પડે.
નગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા. ‘સચ, સચ કે સિવા કુછ ભી નહીં’ - એવી તેમની શાખ. ગુજરાતીમાં પ્રકાશનોમાં ‘લે-આઉટ’ એટલે શું એની જ્યારે કોઇને ખબર પડતી ન હતી (એનો અર્થ એ નથી કે અત્યારે બધાને ખબર પડે છે!) ત્યારે સ્કોપમાં ચાર્ટ-ડાયાગ્રામ-બોક્સ અને મોટાં પોસ્ટર આવતાં હતાં. ‘હોબી’ વિભાગ મારા જેવા ઘણા વાચકોનો સૌથી પ્રિય હતો. બાકીની બાબતોમાં એ વખતે ‘પીચ પડવાની’ શરૂઆત હતી. ‘બ્રહ્માંડના ભમ્મરીયા કૂવાઃ બ્લેકહોલ’ એવું ટાઇટલ ‘સ્કોપ’ના કવરપેજ પર વાંચીને એક કિશોર તરીકે, બ્લેકહોલની જાણકારીથી પણ પહેલાં એ વાતનો રોમાંચ થયો હતો કે ‘નગેન્દ્રવિજય જેવા મોટા લેખક મહેમદાવાદના ભમ્મરીયા કૂવા વિશે જાણે છે! તેને વિશેષણ તરીકે વાપરે છે!’
કેટલાક લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે ‘એમાં શું? નગેન્દ્રભાઇ સારૂં લખે જ ને! એમની લાયબ્રેરી કેટલી મોટી છે?’ એમના અત્યાર સુધી લેવાયેલા કદાચ એકમાત્ર સત્તાવાર ઇન્ટરવ્યુ - ખરેખર તો અનૌપચારિક પણ રેકોર્ડેડ વાતચીત દરમિયાન- એમને મેં આ વાત કહી ત્યારે એમણે નગેન્દ્રવિજય સ્પેશ્યલ શૈલીમાં કહ્યું હતું,‘એમ તો મારા કરતાં જન્મભૂમિ પ્રવાસીની લાયબ્રેરી વધારે મોટી છે...’
લેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી. નગેન્દ્રભાઇ માહિતી ઠાલવતા નથી. એમની પાસેથી આવતો એકેએક શબ્દ ‘પ્રોસેસ્ડ’ સ્વરૂપે આવે છે, જે દરેક કક્ષા ધરાવતા વાચકને સહેલાઇથી ગળે ઉતરી જાય છે અને વાંચનારમાં આત્મવિશ્વાસ પ્રગટાવે છેઃ‘અરે, આ તો મને પણ સમજણ પડી.’
એકાદ-બે વર્ષ પહેલાં મેં ‘અહા! જિંદગી’ સામયિક માટે તેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને ‘ભાસ્કર’ જૂથના વિશેષ પ્રકાશન ‘ઉત્સવ’માં નગેન્દ્રભાઇના જૂના સાથીદાર દેવ ગઢવીની કાર્ટૂનકલા વિશેનો મેં દોઢેક વર્ષ પહેલાં કરેલો તેમનો ઇન્ટરવ્યુ પણ છપાયો હતો. (અહીં એ ઇન્ટરવ્યૂની સામગ્રી અનુકૂળતાએ મુકીશ.) અમદાવાદના સીટી મેગેઝીન ‘સીટીલાઇફ ન્યૂઝ’ના કામ માટે એકાદ વર્ષ તેમની સાથે કામ કરવાનું મળ્યું, તેને અંગત રીતે મારા માટે બહુ મોટી અને જેમાં મારી કોઇ કમાલ ન હોય એવી ઉપલબ્ધિ ગણું છું.
નગેન્દ્રભાઇ વિશે ભાગ્યે જ વાંચવા-સાંભળવા મળે છે. સામાજિક સંબંધોથી પસંદગીપૂર્વક અલિપ્ત રહેનારા નગેન્દ્રભાઇએ કેવળ ને કેવળ જ્ઞાનપ્રસારને લક્ષ્ય બનાવીને ગુજરાતી પત્રકારત્વ જેવી દુર્ગમ અને અકારી- ‘ઇનહોસ્પિટેબલ’ જગ્યાએ પચાસ વર્ષ કાઢી નાખ્યાં છે, તે કોના માટે? આપણા માટે જ, વાચકો! મારા-તમારા જેવા વાચકોને જ્ઞાનસમૃદ્ધ કરવા માટે જ! આપણી જિંદગી પર એમનું બહુ મોટું ઋણ છે. હવે તેમનો પુત્ર હર્ષલ પુષ્કર્ણા નગેન્દ્રભાઇની સાથે જોડાઇને તેમનું મિશન આગળ વધારી રહ્યો છે. નગેન્દ્રભાઇના જીવનના લાંબા પરીક્ષાકાળનાં સાથીદાર દક્ષાબહેને પણ તેમને સતત હસતા મોંએ ટેકો આપીને નગેન્દ્રભાઇને ન નડવા ઉપરાંત, સક્રિય સહાય પણ કરી છે.
૧૫ ડિસેમ્બરે નગેન્દ્રવિજયને ૬૫મું વર્ષ બેસશે, પણ આપણા વાચકો માટે પત્રકારત્વમાં તેમનાં ૫૦ વર્ષનો અવસર બહુ મોટો છે. એ નિમિત્તે તમારી લાગણી અહીં અથવા ‘સફારી’ની વેબસાઇટ પર અભિવ્યક્ત કરી શકાય છે. (http://www.safari-india.com/)
આપણી તો એટલી જ સ્વાર્થી શુભેચ્છા હોય કે નગેન્દ્રવિજય હજુ બીજાં પચાસ વર્ષ લખે અને તેમની અણનમ સદીની બ્લોગપોસ્ટ લખવા હું જીવતો હોઊં.
Labels:
Gujarat/ગુજરાત,
Gujarati/ગુજરાતી ભાષા,
media,
ગુજરાતની અસ્મિતા
Saturday, October 25, 2008
સ્કેટર્ડ વોઇસીસઃ આ પણ એક ભાવભૂમિ
રતના તાતાની ‘નાનો’ કાર નિમિત્તે ‘દૂધમાં સાકર’ના ગળચટ્ટા ભૂતકાળને ગૌરવથી વાગોળવાની બહુ મઝા છે. કેમ કે, તેમાં નજીકના- અને જેમાં આપણી જવાબદારી હતી એવા- અકળાવનારા ભૂતકાળને ભૂલી જવાની સગવડ મળે છે. માત્ર છ વર્ષ પહેલાં, દૂધમાં સાકરની કથાનું ગૌરવ લેતા ગુજરાતમાં, સાકરને વીણી વીણીને દૂધમાંથી બહાર કાઢવાનો ક્રૂર સિલસિલો ચાલ્યો હતો એ યાદ રહેતું નથી.મુસ્લિમવિરોધી હિંસાના એ દૌર પછી રાહત છાવણીઓમાં, અલગ વસાહતોમાં અને ક્યાંક સમાજની વચ્ચે હોવા છતાં મુસ્લિમો સાવ હાંસિયામાં ધકેલાઇ ગયા. હતપ્રભ ગુજરાતી મુસ્લિમોમાંથી કેટલાકના અંતરમાંથી ઉઠેલા અને બહાર જેને કોઇ સાંભળતું નથી એવા કાવ્યબદ્ધ અવાજોને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર આયેશા ખાને ‘સ્કેટર્ડ વોઇસીસ’ (હિંદીમાં ‘કુછ તો કહો યારોં’) શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કર્યા છે. પ્રકાશક છે ‘બુક્સ ફોર ચેન્જ.’.
આયેશાની કર્મભૂમિ વડોદરા છે, પણ તેમનાં મૂળ મહારાષ્ટ્રમાં છે. ૧૮ ઓક્ટોબર, ૨૦૦૮ની સાંજે, સાહિત્ય પરિષદમાં યોજાયેલા વિમોચન સમારંભમાં આયેશાએ કહ્યું કે ‘હું મહારાષ્ટ્રીયન ન હોત, તો આ પુસ્તકનો કરવાનો વિચાર મને ન આવ્યો હોત.’ ૨૦૦૨ સુધી આયેશા પોતાની જાતને ગુજરાતી તરીકે ઓળખાવતાં ન હતાં. કોમી હિંસા પછી ગુજરાતમાં મુસ્લિમ તરીકેની ઓળખના પણ ઘણા પ્રશ્નો ઊભા થયા. આયેશાએ પોતાની એક કવિતામાં મુસ્લિમો માટે ‘નવા અછૂત’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે. (કેટલીક પંક્તિઓઃ નયા અછૂત/ જિસકા હો ઉપયોગ, દુરૂપયોગ/ દિયા જાએ દંડ/ઉડાયા જાયે ઉપહાસ/સંસારકે હર અપરાધ કે લિએ/ ચઢાયા જાએ સલીબ પર/માનવતાકે હર પાપકે લિએ/ ધૃણાકા નયા પાત્ર/નયા અછૂત) પરંતુ હિંસાચાર પછીના તબક્કામાં ગુજરાતી મુસ્લિમોનો વણસંભળાયેલા અવાજ પ્રત્યે કાન માંડવાની તેમની જહેમતનું અણધાર્યું પરિણામ આવ્યું. આયેશાએ લખ્યું છે,‘ગુજરાત ગાંધી અને ગરબાથી ઓળખાતું રહ્યું છે. એ બન્ને મને ‘ગુજરાતી’ બનાવી શક્યાં નહીં, પણ ગોધરા અને ૨૦૦૨ની હિંસાએ છેવટે મને ગુજરાતી બનાવી દીધી.’
કેવી રીતે? તેનો જવાબ ગુજરાતની અસ્મિતાના તમામ પ્રેમીઓ માટે વિચારપ્રેરક છેઃ ‘૨૦૦૨ના હત્યાકાંડ પછી...દરેકને એવી બીક લાગતી હતી કે ઘાયલ, લૂંટાયેલી-માર ખાધેલી આ (મુસ્લિમ) બિરાદરી, જેને અમસ્તી પણ હિંસક ગણવામાં આવતી હતી, એ ક્યાંક વળતો હુમલો ન કરી બેસે. કોઇએ તેમની ચૂપકીદીને, દર્દ અને ગુસ્સો ખમી ખાવાની વૃત્તિને, ભેદભાવ ભૂલાવી દેવાની ક્ષમતાને ઘ્યાનમાં લીધી નહીં...નવાઇની વાત એ છે કે મુખ્યત્વે ચોટગ્રસ્ત (મુસ્લિમ) સમુદાયે જ ‘શાંત, વ્યવહારૂ અને અહિંસક’ તરીકેની ગુજરાતની છબીને જાળવી રાખી. ગુજરાતી મુસ્લિમોએ હુમલા વેઠ્યા, વિશ્વાસઘાત સહન કર્યો, પણ ગુજરાતની ભૂમિ અને ગુજરાતી ભાષા માટેનો તેમનો એકતરફી પ્રેમ પૂર્વવત્ રહ્યો.’
પુસ્તક મુખ્યત્વે ત્રણ હિસ્સામાં વહેંચાયેલું છે: ગુજરાતી મુસ્લિમોની કવિતાઓ, કવિતાઓ શોધવા માટેના આયેશાના પ્રવાસોનું માર્મિક વર્ણન અને કવિઓના ટૂંક પરિચય. કુલ ૩૮ કવિઓની ગુજરાતી, હિંદી અને હિંદુસ્તાની ભાષામાં લખાયેલી કવિતાઓના અનુવાદ સંગ્રહમાં સમાવિષ્ટ છે. તેમાં આદિલ મન્સૂરી, ખલીલ ધનતેજવી, અઝીઝ કાદરી, શમ્સ કુરૈશી, રહમત અમરોહવી, કુતુબ આઝાદ, દીપક બારડોલીકર જેવાં જાણીતાં નામોથી માંડીને સામાન્ય વ્યવસાયોમાં ડૂબેલા હોવા છતાં શાયરી સાથે નાતો જાળવી રાખનારા લોકોની કૃતિઓ સ્થાન ધરાવે છે. જેમ કે, વ્યવસાયે કસાઇ એવા અમદાવાદના ફારૂક કુરૈશીની નજાકતપૂર્ણ અભિવ્યક્તિ ઘ્યાન ખેંચે એવી છે. તેમનો એક શેર છેઃ ‘મહફૂઝ કહાં કોઇ ફૂલોંકે કબીલે થે/ ઇસ સાલ હવાઓંકે નાખૂન ભી નુકીલે થે’. એક શેરમાં તે કહે છેઃ ‘ફારૂક જિસે પઢનેકે બાદ આદમી બને/ બચ્ચોંકે હાથમેં કોઇ ઐસી કિતાબ દે’. અમદાવાદમાં હોમિયોપથીની પ્રેક્ટિસ કરતાં શમા શેખ આ સંગ્રહમાં હાજર એકમાત્ર કવયિત્રી છે. તેમની એક કૃતિની કેટલીક પંક્તિઓઃ પીને મનકા ઝહર તુમ્હારા/ કોઇ શંકર બન નહીં આનેવાલા/આ-આ કર બાતેં સુનાકર/ જાયેગા હર આનેવાલા.’
આ સંકલનની હિંદી આવૃત્તિનું શીર્ષક ‘કુછ તો કહો યારોં’ જેમની કવિતા પરથી પ્રેરિત છે, તે દીપક બારડોલીકર પોતાની ઓળખ ‘પાકિસ્તાની ગુજરાતી’ તરીકે આપે છે. હાલ બ્રિટનમાં વસતા બારડોલીકર કરાંચી હોય કે માન્ચેસ્ટર, પોતાની ગુજરાતી તરીકેની ઓળખને ભૂલી શકતા નથી. તેમણે હિંસાચાર દરમિયાન અને ત્યાર પછી મૌન ધરીને બેઠેલા સાહિત્યકારો અને બીજા ગુજરાતીઓને ઉદ્દેશીને લખ્યું છે : ‘કંઇ તો કહો યારો/ કંઇ તો લખો યારો....છે કયામતો તૂટી/ઘોર આફતો છૂટી/ તોય ચૂપ બેઠા છો?/ સાવ મૂંગા બેઠા છો?/ આમ તો આ ખામોશી/ જુલ્મ, અત્યાચારોની/સંમતિ બની જાશે’ 

ફોટોલાઇનઃ (ડાબેથી) સરૂપ ધ્રૂવ, હિમાંશી શેલત, રધુવીર ચૌધરી, આબિદ શમ્સી, આયેશા ખાન અને (કોમ્પીઅર) ઉર્વીશ કોઠારી
આ પુસ્તકનું વિમોચન ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાય, એ પણ એક વિશિષ્ટ યોગાનુયોગ હતો. પરિષદના ટ્રસ્ટી રધુવીર ચૌધરીએ પોતાના પ્રવચનમાં આ સંગ્રહને આવકારતાં એ મતલબનું કહ્યું હતું કે ધર્મના વિભાજન વગર બધા કવિઓએ આ વિષય પર લખેલી કવિતાઓનું સંકલન પણ થઇ શક્યું હોત. ભાવક તરીકે આપણને પરિષદ પાસેથી એવા સંગ્રહની અપેક્ષા અને અત્યાર સુધી નથી મળ્યો એનો ચચરાટ રહે છે. કાર્યક્રમમાં મંચ પરથી આયેશા ખાન ઉપરાંત ‘બુક્સ ફોર ચેન્જ’ સાથે સંકળાયેલાં વિખ્યાત હિંદી પત્રકાર મણિમાલા, પ્રો. આબિદ શમ્સી, હિમાંશી શેલત, એસ્થર ડેવિડ, સરૂપ ધ્રૂવ અને રધુવીર ચૌધરીએ વક્તવ્યો આપ્યાં. પ્રવચન દરમિયાન પુસ્તકમાંથી ઢગલાબંધ અવતરણો (અહીં પંક્તિઓ) ટાંકવાની સહેલી અને છીછરી પરંપરા આ સમારંભમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં જળવાઇ.
પુસ્તકમાં સમાવેશ પામેલાં કાવ્યો માટે કાવ્યતત્ત્વનો માપદંડ રાખ્યો ન હોવાની સ્પષ્ટતા આયેશા ખાને કરી છે. સંગ્રહ પાછળનો સામાજિક સંદર્ભ કવિતાઓના મૂલ્યાંકન વખતે ભલે વચ્ચે ન લાવવાનો હોય, પણ સંગ્રહની જરૂરિયાત અને તેની મહત્તા આંકતી વખતે એ સંદર્ભ ભૂલી શકાય એમ નથી. પુસ્તકની મર્યાદા એ છે કે તે ફક્ત અંગ્રેજી અને હિંદીમાં પ્રકાશિત થયું છે. એટલે ગુજરાતી રચનાઓ મૂળ સ્વરૂપે વાંચવા મળતી નથી. આયેશા ખાન અને પ્રકાશક મણિમાલા એ બન્નેએ પુસ્તકને ગુજરાતીમાં ઉતારવા માટેની તત્પરતા દર્શાવી છે. હવેનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાતના પ્રકાશનજગતનું જ છે.
સ્કેટર્ડ વોઇસીસ (અંગ્રેજી), કુછ તો કહો યારોં (હિંદી) : આયેશા ખાન,
સ્કેટર્ડ વોઇસીસ (અંગ્રેજી), કુછ તો કહો યારોં (હિંદી) : આયેશા ખાન,
પ્રકાશકઃ બુક્સ ફોર ચેન્જ
e- mail : bfc_delhi@actionindia.org.in
આયેશા ખાનનો સંપર્ક: ashkhan18@gmail.com
Labels:
books,
communal violence,
Gandhi/ગાંધી,
gujarat - 2002,
literature,
media,
nano,
photo,
ગુજરાતની અસ્મિતા
Thursday, October 23, 2008
ગુજરાતમાં મિની જાપાન : એક ચર્ચા
સચિવાલયમાં સરકારી અફસરો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી છે. વિષય છેઃ ગુજરાતમાં મિની જાપાન કેવી રીતે બનાવવું.
અફસર ૧: મિત્રો, સાહેબે કહ્યું છે કે ગુજરાતને મિની જાપાન બનાવવાનું છે.
અફસર ૨: અરરર...
અફસર ૧: એમાં અરરર...શું? ગુજરાતની પ્રગતિથી તમે ખુશ નથી? ગુજરાતવિરોધી છો? રાજદ્રોહી છો? હવે તો રાજદ્રોહીઓ પણ ખુશ છે, તો તમને શું થયું?
અફસર ૨: સાહેબ, મને ચિંતા થઇ કે આપણે મિની જાપાન બનાવીશું તો મિની હિરોશીમા અને મિની નાગાસાકી પણ બનાવવાં નહીં પડે?
અફસર ૩: ‘વિનાશ પછી વિકાસ’ના જાપાની મોડેલમાં આપણી તૈયારી બહુ પાકી છે. પાંચ વર્ષ પહેલાં આપણે મિની હિરોશીમા- મિની નાગાસાકી જેવી આગ-બાળઝાળ-માણસોને જીવતા ભૂંજવાની ઘટનાઓ -તારાજી અને એ પણ અણુબોમ્બની મદદ વિના, સંપૂર્ણપણે સ્વાવલંબી રીતે સર્જી કે નહીં? હવે મિની જાપાન બનવા આડે કોઇ અડચણ નથી. (અફસર ૧ સામે જોઇને) એમ આઇ રાઇટ, સાહેબ?
અફસર ૧ (હા પાડવી કે ના, એ બાબતે મૂંઝાયા પછી, ગળું ખોંખારીને): મેં તો સાંભળ્યું છે કે આપણું વિકાસનું મોડેલ જોયા પછી હવે બીજા દેશો પણ પોતાને ત્યાં મિની ગોધરા અને મિની વડોદરા, મિની પાંડરવાડા અને મિની સરદારપુરા, મિની નરોડા પાટિયા અને મિની ગુલબર્ગ સોસાયટી ઊભાં કરવાનું વિચારી રહ્યા છે. વિકાસનું આપણું મોડેલ એવું અનોખું છે કે આઇ.આઇ.એમ.માં ચાની કિટલીના મેનેજમેન્ટના પિરીયડ પછી આપણા મોડેલનો પિરીયડ લેવો હોય તો લઇ શકાય. પણ આપણે મુદ્દાની વાત પર આવીએ. મિની જાપાન બનવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું જોઇએ?
અફસર ૪: જાપાનમાં સમ્રાટ છે. એટલે સાહેબને આપણે સમ્રાટ જાહેર કરવા જોઇએ. તો જ જાપાનનો ફીલ બરાબર આવી શકે.
અફસર ૧ : જે છે, એને જાહેર કરવાની પંચાતમાં પડવાની જરૂર નથી. નહીંતર વાંકદેખાઓ તૂટી પડશે.
અફસર ૩: આમ પણ સાહેબ સમ્રાટ જેવા જ નથી? એમને નથી કોઇ પૂછનાર કે નથી કોઇ કહેનાર. જે પૂછે છે એને જવાબ આપતા નથી, કહે છે એનું ગણકારતા નથી અને કોઇ બહુ આઘુંપાછું થાય તો રાજદ્રોહનો આરોપ ક્યાં નથી?
અફસર ૧: આપણે એજેન્ડાબહારની ચર્ચાઓમાં સમય ન બગાડીએ. ગુજરાતમાં મિની જાપાન બનાવવાની જવાબદારી આપણા સૌની છે.
અફસર ૪ : જાપાનમાં બધાનાં નાક ચપટાં હોય છે. એટલે ગુજરાતમાં મિની જાપાન બનાવવું હોય તો સૌથી પહેલાં સાહેબે નાકની સર્જરી કરાવવી પડે.
અફસર ૩: સૂચન સારૂં છે, પણ આપણે બિચારા સાહેબનો વિચાર કરવો જોઇએ. અગાઉની વાત ન કરીએ તો પણ, હમણાં-હમણાં જ એમણે નાકની બે સર્જરી કરાવી. એક ડો. નાણાવટી પાસે ને બીજી ડો. તાતા પાસે. ડો. તાતાએ તો બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાહેબના નાકની ‘નેનો’ સર્જરી કરી છે. એ તો ઠીક છે કે ડો.તાતા ખમતીધર છે અને પોતાની હોસ્પિટલના લાભાર્થે સર્જરીનો ખર્ચ તેમણે પોતે જ ઉપાડી લીધો. પણ સવાલ ફક્ત રૂપિયાનો નથી. જેના નાક ઉપર વારંવાર સર્જરી થતી હોય એને વીતે કે ન વીતે?
અફસર ૫: સાહેબ, અમારા એક સંબંધીએ ધૂંટણની ઢાંકણીનું ઓપરેશન કરાવેલું. એ બરાબર ન થયું તો એમને એટલી બધી વાર ધૂંટણ ખોલાવવો પડ્યો કે એ કંટાળી ગયા. એક વાર આવી વસ્તુ વંકાય ને પહેલી વારની સર્જરીમાં ફોલ્ટ રહી જાય, તો પછી આવું જ થાય છેઃ વારંવાર ઓપરેશન કરાવવાં પડે છે ને તો પણ ઠેકાણું પડતું નથી.
અફસર ૧: આપણે છેક નાકની સર્જરી સુધી જવાની જરૂર નથી. જાપાનમાં કેવી પાઘડીઓ પહેરાય છે એ હું જાણી લઇશ. પછી એવી પાઘડીઓ સાથે સાહેબનું ફોટોસેશન કરાવી લઇશું. એટલે જાપાનનો ‘ફીલ’ લાવવાનો પ્રશ્ન નહીં રહે.
અફસર ૨ : સાહેબના ફોટા બહુ સરસ આવે છે. હું જ્યારે પણ રોડ પરથી પસાર થતો હોઊં ને સરકારનું હોર્ડંિગ જોઊં એટલે ખાસ સાહેબનો ફોટો જોવા ઊભો રહું. જોડેનું લખાણ વાંચું કે ન વાચું, પણ સાહેબનો ફોટો તો ખાસ જોઊં. મને થાય કે સાહેબનો ‘પોર્ટફોલિયો’ મુંબઇના ફિલમવાળા જુએ તો સાહેબને ઊંચકીને ગાંધીનગરથી દિલ્હી લઇ જાય અને હેમા માલિની જોડે સાહેબની એકાદ ફિલમનું એનાઉન્સમેન્ટ કરી નાખે. અફસર ૩ : (ધીમા અવાજે) એવું થાય તો ફિલ્મ અને રાજકારણ બન્ને ક્ષેત્રોને ફાયદો થાય.
અફસર ૧ (અફસર ૩ ને): તમારી નોકરી પ્રાઇવેટ સેક્ટરમાં નક્કી થઇ ગઇ છે?
અફસર ૪: એક સવાલ છે સાહેબ, અભયવચન આપો તો પૂછું.
અફસર ૧: અભયવચન આપનાર હું કોણ? મને જ અભયવચન નથી, ત્યાં હું તમને કેવી રીતે આપી શકું? છતાં પૂછો.
અફસર ૪ : સાહેબ, સદીઓથી ગુજરાત એની ઉદ્યોગસાહસિકતા માટે દેશવિદેશમાં જાણીતું છે. આપણી અસ્મિતા અને આપણા ગૌરવની કથાઓમાં એ વાત લાખો વાર સાંભળી છે. તો મને એમ થાય કે ગુજરાતમાં મિની જાપાનની શી જરૂર છે? ખરેખર તો જાપાનમાં મિની ગુજરાત ન હોવું જોઇએ?
અફસર ૧ : એ તો સાહેબ કહે જ છે ને કે જ્યાં જ્યાં એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત...તમે સાહેબની કવિતાની ચોપડી વાંચી લાગતી નથી. જરા સાંસ્કૃતિક બાબતોમાં પણ રસ લેતા જાવ.
અફસર ૪ : એ પંક્તિ તો, હું ભૂલતો ન હોઊં તો ખબરદાર કવિની છે.
અફસર ૧ : ખબરદાર એટલે તાતાની જેમ પારસી જ ને! એટલે એ બઘું સાહેબનું જ કહેવાય. દૂધમાં સાકર, સમજો ને! ગુજરાતમાં અત્યાર સુધી જે કંઇ સારૂં થયું છે, એ બધો સાહેબનો જ પ્રતાપ છે. આવી સમજણ આખા ગુજરાતના લોકોના મનમાં, દૂધમાં સાકર ભળે એમ ભળી ગઇ છે, ને તમારા દૂધમાં હજુ એ સાકર ઓગળવાને બદલે કેમ ખખડ્યા કરે છે? ગુજરાતનું હિત વહાલું નથી?
અફસર ૬ (અત્યાર સુધી મૌન રહ્યા પછી): ગુજરાતમાં મિની જાપાન ને મિની ચીન, જે બનાવવું હોય તે બનાવવામાં આપણો સહકાર છે. આપણે ફક્ત એટલું કહેવું છે કે સાહેબ એ બઘું બનાવી રહ્યા પછી થોડું ઘ્યાન ગુજરાતમાં ‘મિની ગુજરાત’ બનાવવા ઉપર પણ આપેઃ ગાંધી-સરદારનું ગુજરાત...રવિશંકર મહારાજ-ઇંદુલાલ યાજ્ઞિકનું ગુજરાત...ઠક્કરબાપા અને મામાસાહેબ ફડકેનું ગુજરાત...
અફસર ૧: મિત્રો, સાહેબે કહ્યું છે કે ગુજરાતને મિની જાપાન બનાવવાનું છે.
અફસર ૨: અરરર...
અફસર ૧: એમાં અરરર...શું? ગુજરાતની પ્રગતિથી તમે ખુશ નથી? ગુજરાતવિરોધી છો? રાજદ્રોહી છો? હવે તો રાજદ્રોહીઓ પણ ખુશ છે, તો તમને શું થયું?
અફસર ૨: સાહેબ, મને ચિંતા થઇ કે આપણે મિની જાપાન બનાવીશું તો મિની હિરોશીમા અને મિની નાગાસાકી પણ બનાવવાં નહીં પડે?
અફસર ૩: ‘વિનાશ પછી વિકાસ’ના જાપાની મોડેલમાં આપણી તૈયારી બહુ પાકી છે. પાંચ વર્ષ પહેલાં આપણે મિની હિરોશીમા- મિની નાગાસાકી જેવી આગ-બાળઝાળ-માણસોને જીવતા ભૂંજવાની ઘટનાઓ -તારાજી અને એ પણ અણુબોમ્બની મદદ વિના, સંપૂર્ણપણે સ્વાવલંબી રીતે સર્જી કે નહીં? હવે મિની જાપાન બનવા આડે કોઇ અડચણ નથી. (અફસર ૧ સામે જોઇને) એમ આઇ રાઇટ, સાહેબ?
અફસર ૧ (હા પાડવી કે ના, એ બાબતે મૂંઝાયા પછી, ગળું ખોંખારીને): મેં તો સાંભળ્યું છે કે આપણું વિકાસનું મોડેલ જોયા પછી હવે બીજા દેશો પણ પોતાને ત્યાં મિની ગોધરા અને મિની વડોદરા, મિની પાંડરવાડા અને મિની સરદારપુરા, મિની નરોડા પાટિયા અને મિની ગુલબર્ગ સોસાયટી ઊભાં કરવાનું વિચારી રહ્યા છે. વિકાસનું આપણું મોડેલ એવું અનોખું છે કે આઇ.આઇ.એમ.માં ચાની કિટલીના મેનેજમેન્ટના પિરીયડ પછી આપણા મોડેલનો પિરીયડ લેવો હોય તો લઇ શકાય. પણ આપણે મુદ્દાની વાત પર આવીએ. મિની જાપાન બનવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું જોઇએ?
અફસર ૪: જાપાનમાં સમ્રાટ છે. એટલે સાહેબને આપણે સમ્રાટ જાહેર કરવા જોઇએ. તો જ જાપાનનો ફીલ બરાબર આવી શકે.
અફસર ૧ : જે છે, એને જાહેર કરવાની પંચાતમાં પડવાની જરૂર નથી. નહીંતર વાંકદેખાઓ તૂટી પડશે.
અફસર ૩: આમ પણ સાહેબ સમ્રાટ જેવા જ નથી? એમને નથી કોઇ પૂછનાર કે નથી કોઇ કહેનાર. જે પૂછે છે એને જવાબ આપતા નથી, કહે છે એનું ગણકારતા નથી અને કોઇ બહુ આઘુંપાછું થાય તો રાજદ્રોહનો આરોપ ક્યાં નથી?
અફસર ૧: આપણે એજેન્ડાબહારની ચર્ચાઓમાં સમય ન બગાડીએ. ગુજરાતમાં મિની જાપાન બનાવવાની જવાબદારી આપણા સૌની છે.
અફસર ૪ : જાપાનમાં બધાનાં નાક ચપટાં હોય છે. એટલે ગુજરાતમાં મિની જાપાન બનાવવું હોય તો સૌથી પહેલાં સાહેબે નાકની સર્જરી કરાવવી પડે.
અફસર ૩: સૂચન સારૂં છે, પણ આપણે બિચારા સાહેબનો વિચાર કરવો જોઇએ. અગાઉની વાત ન કરીએ તો પણ, હમણાં-હમણાં જ એમણે નાકની બે સર્જરી કરાવી. એક ડો. નાણાવટી પાસે ને બીજી ડો. તાતા પાસે. ડો. તાતાએ તો બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાહેબના નાકની ‘નેનો’ સર્જરી કરી છે. એ તો ઠીક છે કે ડો.તાતા ખમતીધર છે અને પોતાની હોસ્પિટલના લાભાર્થે સર્જરીનો ખર્ચ તેમણે પોતે જ ઉપાડી લીધો. પણ સવાલ ફક્ત રૂપિયાનો નથી. જેના નાક ઉપર વારંવાર સર્જરી થતી હોય એને વીતે કે ન વીતે?
અફસર ૫: સાહેબ, અમારા એક સંબંધીએ ધૂંટણની ઢાંકણીનું ઓપરેશન કરાવેલું. એ બરાબર ન થયું તો એમને એટલી બધી વાર ધૂંટણ ખોલાવવો પડ્યો કે એ કંટાળી ગયા. એક વાર આવી વસ્તુ વંકાય ને પહેલી વારની સર્જરીમાં ફોલ્ટ રહી જાય, તો પછી આવું જ થાય છેઃ વારંવાર ઓપરેશન કરાવવાં પડે છે ને તો પણ ઠેકાણું પડતું નથી.
અફસર ૧: આપણે છેક નાકની સર્જરી સુધી જવાની જરૂર નથી. જાપાનમાં કેવી પાઘડીઓ પહેરાય છે એ હું જાણી લઇશ. પછી એવી પાઘડીઓ સાથે સાહેબનું ફોટોસેશન કરાવી લઇશું. એટલે જાપાનનો ‘ફીલ’ લાવવાનો પ્રશ્ન નહીં રહે.
અફસર ૨ : સાહેબના ફોટા બહુ સરસ આવે છે. હું જ્યારે પણ રોડ પરથી પસાર થતો હોઊં ને સરકારનું હોર્ડંિગ જોઊં એટલે ખાસ સાહેબનો ફોટો જોવા ઊભો રહું. જોડેનું લખાણ વાંચું કે ન વાચું, પણ સાહેબનો ફોટો તો ખાસ જોઊં. મને થાય કે સાહેબનો ‘પોર્ટફોલિયો’ મુંબઇના ફિલમવાળા જુએ તો સાહેબને ઊંચકીને ગાંધીનગરથી દિલ્હી લઇ જાય અને હેમા માલિની જોડે સાહેબની એકાદ ફિલમનું એનાઉન્સમેન્ટ કરી નાખે. અફસર ૩ : (ધીમા અવાજે) એવું થાય તો ફિલ્મ અને રાજકારણ બન્ને ક્ષેત્રોને ફાયદો થાય.
અફસર ૧ (અફસર ૩ ને): તમારી નોકરી પ્રાઇવેટ સેક્ટરમાં નક્કી થઇ ગઇ છે?
અફસર ૪: એક સવાલ છે સાહેબ, અભયવચન આપો તો પૂછું.
અફસર ૧: અભયવચન આપનાર હું કોણ? મને જ અભયવચન નથી, ત્યાં હું તમને કેવી રીતે આપી શકું? છતાં પૂછો.
અફસર ૪ : સાહેબ, સદીઓથી ગુજરાત એની ઉદ્યોગસાહસિકતા માટે દેશવિદેશમાં જાણીતું છે. આપણી અસ્મિતા અને આપણા ગૌરવની કથાઓમાં એ વાત લાખો વાર સાંભળી છે. તો મને એમ થાય કે ગુજરાતમાં મિની જાપાનની શી જરૂર છે? ખરેખર તો જાપાનમાં મિની ગુજરાત ન હોવું જોઇએ?
અફસર ૧ : એ તો સાહેબ કહે જ છે ને કે જ્યાં જ્યાં એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત...તમે સાહેબની કવિતાની ચોપડી વાંચી લાગતી નથી. જરા સાંસ્કૃતિક બાબતોમાં પણ રસ લેતા જાવ.
અફસર ૪ : એ પંક્તિ તો, હું ભૂલતો ન હોઊં તો ખબરદાર કવિની છે.
અફસર ૧ : ખબરદાર એટલે તાતાની જેમ પારસી જ ને! એટલે એ બઘું સાહેબનું જ કહેવાય. દૂધમાં સાકર, સમજો ને! ગુજરાતમાં અત્યાર સુધી જે કંઇ સારૂં થયું છે, એ બધો સાહેબનો જ પ્રતાપ છે. આવી સમજણ આખા ગુજરાતના લોકોના મનમાં, દૂધમાં સાકર ભળે એમ ભળી ગઇ છે, ને તમારા દૂધમાં હજુ એ સાકર ઓગળવાને બદલે કેમ ખખડ્યા કરે છે? ગુજરાતનું હિત વહાલું નથી?
અફસર ૬ (અત્યાર સુધી મૌન રહ્યા પછી): ગુજરાતમાં મિની જાપાન ને મિની ચીન, જે બનાવવું હોય તે બનાવવામાં આપણો સહકાર છે. આપણે ફક્ત એટલું કહેવું છે કે સાહેબ એ બઘું બનાવી રહ્યા પછી થોડું ઘ્યાન ગુજરાતમાં ‘મિની ગુજરાત’ બનાવવા ઉપર પણ આપેઃ ગાંધી-સરદારનું ગુજરાત...રવિશંકર મહારાજ-ઇંદુલાલ યાજ્ઞિકનું ગુજરાત...ઠક્કરબાપા અને મામાસાહેબ ફડકેનું ગુજરાત...
Monday, October 13, 2008
નાનો- પુરાણ
નોંધ ૧: ગુજરાતમાં ‘નાનો’ પ્લાન્ટ સ્થપાવાની જાહેરાત થઇ એકાદ-બે મહિના પહેલાં (‘નાનો’ માટે ગુજરાત હોડમાં ન હતું ત્યારે) મંગળવારની કોલમ ‘દૃષ્ટિકોણ’માં સિંગુર વિવાદની બીજી બાજુ રજૂ કરતા થોડા મુદ્દા લખ્યા હતા. એ અહીં લેખના પ્રારંભે ફરી મુકું છું, જેથી ખ્યાલ આવે કે તાતા ગુજરાત પર અમસ્તા મોહાયા નહીં હોય. કેમ કે, બંગાળમાં સવાલ તાતા કહે છે તેમ ફક્ત તેમના કામદારો કે પ્લાન્ટની સલામતીનો નહીં, એથી પણ કંઇક વધારે- આર્થિક વળતરના મુદ્દાનો પણ- હતો.
નોંધ ૨: ફુદડી પછીનું લખાણ, મંગળવારે સવારે ગુજરાતમાં ‘નાનો’ની સવારીનું નક્કી થઇ ગયા પછી અને સત્તાવાર જાહેરાતના થોડા કલાક પહેલાં લખાયેલું છે. એ ત્વરિત પ્રતિક્રિયા સ્વરૂપનું હોવાથી, વિગતે ચર્ચવાલાયક ઘણા મુદ્દા તેમાં જોવા નહીં મળે. એ માટે હજુ થોડી રાહ જુઓ.
નોંધ ૩: જૂના વખતમાં ગામના દરબારના છોકરાના વરઘોડામાં જ્ઞાતિવિશેષના કેટલાક લોકો જેમ કોઇ લેવાદેવા વિના નાચતા-કૂદતા-મહાલતા હોય, એવું જ કંઇક ‘નાનો’ના મામલે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’નું થયું છે. થોડા મહિના પહેલાં અમદાવાદના પોલીસ કમિશનરે તેની પર (સામાન્ય સંજોગોમાં પોતાના ઉપરી અધિકારીઓની પરવાનગીથી જ થઇ શકે એવા) રાજદ્રોહના સંખ્યાબંધ કેસ કર્યા હતા. એ કેસનું શું થયું એ પૂછવું નહીં. હવે ‘ટાઇમ્સ’ રોજેરોજ ‘નાનો’ પ્રોજેક્ટની અને ખાસ તો એ નિમિત્તે ‘મેગા’ મુખ્ય મંત્રીની આરાધના કરી રહ્યું છે. આટલી બેશરમી માટે પણ જિગર અથવા ભારે મજબૂરી જોઇએ. ‘ટાઇમ્સ’ના કિસ્સામાં આ બેમાંથી કયું પરિબળ કામ કરે છે, એ કહી શકે એવા અનેક સક્ષમ મિત્રો ‘ટાઇમ્સ’માં અને અન્યત્ર કાર્યરત છે. (આપણા રીસ્પોન્સમાં ‘એનોનીમસ’ની વ્યવસ્થા છે, એ સહેજ યાદી પૂરતું!)
નોંધ ૪: ગ્રીક મૂળ ધરાવતા અંગ્રેજી શબ્દ nano ડિક્શનેરીમાં દર્શાવેલો ઉચ્ચાર ‘નાનો’ હોવાથી, અહીં એ કાર માટે ‘નાનો’ શબ્દ વાપર્યો છે. ‘આઇ પોડ’નું ઓછી ક્ષમતા ધરાવતું મોડેલ ‘નાનો’ તરીકે જ ઓળખાય છે. તેમ છતાં, ભવિષ્યમાં ‘નાનો’ને બદલે ‘નેનો’ બ્રાન્ડ નેમ બની જાય, તો એમ રાખીશું. એ બહુ મોટો કે અગત્યનો મામલો નથી.
મમતા બેનરજી સિંગુર પ્લાન્ટ માટે રાજ્ય સરકારે એક્વાયર કરેલી ખેડૂતોની ૪૦૦ એકર જમીન પાછી માગી રહ્યાં છે. તે ઇચ્છે છે કે એક વાર રાજ્ય સરકાર જમીન મૂળ માલિકોને પરત કરે, પછી તે જમીન અંગે નવેસરથી વાટાઘાટો થાય. તેમનું આંદોલન પોતાના રાજકીય લાભાર્થે ખરૂં, પણ તેમણે ઉપાડેલો મુદ્દો સ્થાનિક લોકોના હિતનો છે. એટલે, તેમને આટલો ટેકો મળ્યો છે. વાસ્તવમાં, તેમણે સિંગુરના ખેડૂતોના અસંતોષને જ મોટા અને પોતાના ફાયદાના રાજકીય આંદોલનનું સ્વરૂપ આપ્યું છે.
આંદોલનના સ્વરૂપ, તેની વ્યૂહરચના કે ટાઇમિંગની ટીકા થઇ શકે, પણ તેના કેન્દ્રસ્થાને રહેલો મુદ્દો મહત્ત્વનો છે, જે રતન ટાટા અને નેનો પ્રત્યેના આદરભાવ-અહોભાવમાં વિસરાઇ જાય છે. રતન ટાટાને ‘નેનો’ની ફેક્ટરી માટે જમીન આપવી હોય, તો રાજ્ય સરકાર ખુશીથી આપે. લોકોની જમીન એક્વાયર કરીને આપવી હોય તો પણ આપે. પરંતુ એ જમીનનું માલિકને યોગ્ય વળતર મળવું જોઇએ કે નહીં?
મોટા ઉદ્યોગો સ્થાપવા માટે જમીનોની જરૂર પડવાની જ છે. ખેડૂતો કે તેમના નેતાઓ ગમે તેટલો વિરોધ કરે, પણ સેઝ અને ઔદ્યોગિકરણના ધસમસતા પ્રવાહમાં તેમનો વિરોધ ટકે એમ નથી. એ મુદ્દે મેધા પાટકર જેવું વલણ અખત્યાર કરીને નવા પ્રોજેક્ટનો સદંતર વિરોધ કરવો, એ આદર્શવાદી સ્થિતિ હોઇ શકે- વ્યવહારૂ નહીં. આ સ્થિતિમાં ખેડૂતો પાસેથી તેમની જમીન સરકારી ભાવે પડાવી લેવી, એ જુલમ કહેવાય. આજીવીકાના મુખ્ય - ઘણા કિસ્સામાં એકમાત્ર- આધાર જેવી જમીનનો બજારભાવ મળે, એ તો લધુતમ જરૂરિયાત ગણાય.
સરકારે ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને મૂડીરોકાણ માટે આપવી હોય તો તેણે પણ બજારભાવ ચૂકવવો રહ્યો. એમ કરવામાં ટેકનિકલ પ્રશ્નો હોય તો ઉદ્યોગપતિઓ સરકાર પાસેથી જમીન એક્વાયર કરાવવાને બદલે પોતે જ બજારભાવ અને બીજી શરતોએ ખેડૂતો પાસેથી જમીન મેળવી શકે- જેવું ‘જેએસડબલ્યુ સ્ટીલ’ના કિસ્સામાં બન્યું.
રતન ટાટાએ પત્રકાર પરિષદમાં અસંતોષ વ્યક્ત કર્યો અને મોટા ભાગના લોકોએ તેમના સૂરમાં સૂર પુરાવ્યો, ત્યારે એક સૂર જરા અલગ નીકળ્યો. એ સૂર હતો ‘જેએસડબલ્યુ સ્ટીલ’ના સજ્જન જિંદાલનો. પશ્ચિમ બંગાળમાં મૂડી રોકનારા ઉદ્યોગપતિઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા જિંદાલે કહ્યું હતું,‘(ટાટાની જગ્યાએ) હું હોત, તો મેં ખેડૂતોને નજીકમાં ક્યાંક તેમની જમીનથી બમણી જમીન વળતર તરીકે આપીને તેમને રાજી કરી લીધા હોત. હું ખેડૂતનો છોકરો છું. એટલે તેમની લાગણી સમજી શકું છું.’
જિંદાલ-ટાટાના વ્યાવસાયિક સંબંધો જે હોય તો, પણ નક્કર હકીકત એ છે કે પશ્ચિમ બંગાળમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપનાર જિંદાલે ખેડૂતોને અફલાતુન વળતર આપ્યું છે. જિંદાલને પ્રોજેક્ટ માટે ૪,૮૦૦ એકર જમીનની જરૂર હતી. તેમાંથી ૯૦ ટકા જમીન સરકારી માલિકીની હોવાથી તેમાં કોઇ પ્રશ્ન ન હતો. પણ બાકીની ૧૦ ટકા (આશરે ૪૮૦ એકર) જમીન માટે જિંદાલે જમીનમાલિકોને નવા પ્લાન્ટમાં રોજગારી, રોકડ રકમ, જીવન વીમો અને કંપનીના શેર મફત આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ આપેલા વચન પ્રમાણે, જમીનની બજારકિંમતની અડધી રકમ રોકડેથી ચૂકવવામાં આવશે અને બાકીની અડધી રકમ વીમા યોજનામાં રોકવામાં આવશે. એ સિવાય જમીનની કિંમત જેટલી કિંમતના કંપનીના શેર પણ જમીનમાલિકોને આપવાની જિંદાલે જાહેરાત કરી છે. આ યોજના ધારણા પ્રમાણે કાર્યરત બને, તો વળતરના મુદ્દે તે નવા માપદંડ સ્થાપી શકે છે.
સિંગુર વિવાદમાં સાદી વાત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની હતી, પણ હવે તેમાં પેચીદું રાજકારણ ભળતાં ઉકેલ હાથવેંતમાં દેખાતો નથી. ધારો કે બંગાળને ‘નેનો’ પ્લાન્ટ ગુમાવવાનો વારો આવે, તો તેમાં મમતા બેનરજીના માથે માછલાં ધોવાની સાથોસાથ રાજ્ય સરકાર અને રતન ટાટાની ભૂમિકાનો તથા જમીનના ભાવ અને વળતરનો મુદ્દો પણ વિચારવો રહ્યો.
***********
સિંગુરમાં મમતા બેનરજીના વિરોધવાવટાથી કંટાળીને તાતાએ ‘નાનો’ કારના પ્લાન્ટના વાવટા સંકેલ્યા, તેના મહિનાઓ પહેલાંથી ઘણાં રાજ્યો એ પ્લાન્ટ મેળવવા થનગની રહ્યાં હતાં. તાતાને તેમનો ઇશારો જાહેર અને સ્પષ્ટ હતો,‘ત્યાં આટલો બધો વિરોધ થાય છે, તો પણ શા માટે પડી રહો છો? આવી જાવ અમારે ત્યાં. અમે તમને માગો એટલી જમીન અને જોઇએ એવી સુવિધા આપીશું. અમારા રાજ્યમાં લાલ જાજમ પાથરીને તમારૂં સ્વાગત થશે.’છૂટાછેડા થવા બાકી હોય એવી મહિલા સમક્ષ મુકાયેલા લગ્નપ્રસ્તાવની જેમ, સિંગુરમાં વિવાદ અને વાટાઘાટો ચાલતાં હતાં ત્યારે પંજાબ-હરિયાણાએ ‘નાનો’ પ્લાન્ટ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી. ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ જેવાં રાજ્યો પણ લાઇનમાં લગભગ હારોહાર હતાં. રતન તાતાની સ્થિતિ ધર્મસ્થાનમાં પંડા કે ગાઇડથી ઘેરાઇ જતા યાત્રાળુ જેવી થઇ. પણ રતન તાતા ભોળાભાવિક યાત્રાળુ નથી, પાકા બિઝનેસમેન છે. અને શા માટે ન હોય? ‘નાનો’ પ્લાન્ટ એમના માટે કરોડો રૂપિયાનો (જાહેરાત પ્રમાણે, ૧,૫૦૦ કરોડ રૂ.નો) પ્રોજેક્ટ છે. તેના માટે લાળ ટપકાવતાં રાજ્યો ભલે ‘નાનો’ થકી મળનારો રોકડીયો લાભ અને ઉછીનો જશ ખાટવા તલપાપડ હોય, પણ તાતા જેવા બિઝનેસમેન એ જશ મફતમાં ખાટવા દે એમ નથી.
આ લખાય છે ત્યારે ‘નાનો’ પ્લાન્ટ ગુજરાતમાં આવશે એ લગભગ નક્કી થઇ ગયું છે. સત્તાવાર ઉત્સવનો માહોલ છે. ‘નાનો’ જેવો પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ જે રાજ્યમાં ગયો હોત, ત્યાં આવી જ ઉજવણીનો માહોલ હોત. કારણ કે, તેનાથી વાસ્તવિક ફાયદો તો છે જ. પણ એથી અનેક ગણો મોટો ફાયદો રાજકીય છે. ‘નાનો’ જેવી જગવિખ્યાત કાર પોતાના રાજ્યમાં બને, તેનાથી પ્રજાનો મોટો સમુહ ‘ફીલગુડ’ની લાગણી અનુભવે છે, જે સરકાર માટે બહુ ગુણકારી છે. પ્રસાર માઘ્યમો એ લાગણીને મરીમસાલેદાર અહેવાલોથી ઓર બહેકાવે છે
નાનો’ જેવા પ્રોજેક્ટને વગર વિચાર્યે ‘ગરીબવિરોધી’ કે ‘ખેડૂતવિરોધી’ તરીકે ઉતારી પાડવાનું વલણ જડતા કહેવાય. આવા પ્રોજેક્ટ રાજ્યની વ્યાવસાયિક સજ્જતા માટે ‘શો પીસ’નું કામ કરતા હોય છે. તેમના થકી બીજા રોકાણકારો રાજ્ય તરફ આકર્ષાય અને યોગ્ય ધારાધોરણોને આધીન, સામાન્ય પ્રજાનું હિત જોખમાવ્યા વિના રાજ્યમાં રોકાણ કરે, તે સૌના ફાયદાની વાત છે. ચિંતા ત્યારે થાય, જ્યારે રાજનેતાઓ મોટા ઉદ્યોગપતિઓને ખિસ્સામાં રાખવા માંડે અથવા ખુદ એમના ખિસ્સામાં રહેવા માંડે. બન્ને સ્થિતિનાં જોખમ સરખાં છે.
રાજ્યમાં મોટા ઉદ્યોગ સ્થપાય એ બેશક સારૂં લક્ષણ છે. સ્થિર શાસન, માળખાકીય સુવિધાઓ, પ્રજાકીય સહકાર જેવાં ઘણાં કારણ એ માટે જવાબદાર હોય છે. યાદ રાખવા જેવી બાબત એટલી જ કે ફક્ત મોટા ઉદ્યોગોને આકર્ષવામાં સુશાસન સમાઇ જતું નથી. તેના બીજા તકાદા પણ હોય છે, જેને મોટા ઉદ્યોગોરૂપી રેશમી જાજમની તળે સંતાડી શકાય નહીં. ‘નાનો’ પ્લાન્ટના આગમન અંગે ખુશાલી વ્યક્ત કર્યા પછી, તેને કોઇ મલ્ટીસ્ટાર ફિલ્મના પ્રચારની જેમ કેવળ ‘હેઇસો હેઇસો’થી ગજવી મારવાને બદલે, શાંત ચિત્તે કેટલાક મુદ્દા યાદ રાખવા જેવા છે.
દૂધમાં સાકરઃ પારસીઓની કંઇ પણ વાત આવે એટલે અચૂકપણે સંજાણ બંદર અને દૂધમાં સાકરનો સદીઓ પુરાણો પ્રસંગ યાદ કરવામાં આવે છે. એ જ તરાહ પર રતન તાતાના ગુજરાતપ્રેમની વાતોમાં મનગમતો મસાલો ઉમેરતી વખતે એ યાદ રહે કે છેક મે,૨૦૦૬માં ‘નાનો’ પ્રોજેક્ટ માટે તાતાએ ગુજરાતની નહીં, પણ પશ્ચિમ બંગાળના સિંગુરની પસંદગી કરી હતી. દૂધમાં સાકરની કથાઓ ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તક માટે ઠીક છે, પણ રતન તાતા જેવા બિઝનેસમેન માટે તેનું શું મહત્ત્વ હોય? તેમના માટે આખો દેશ - હવે તો આખું વિશ્વ- પોતાનું મેદાન છે. તાતા ગુજરાતી ખરા, પણ ‘ગુજરાતની અસ્મિતા’ જેવા રાજકીય એજેન્ડા સાથે તેમને શી લેવાદેવા? તેમનાં તોતિંગ રોકાણ બંગાળમાં પણ હોય ને કર્ણાટકમાં પણ હોય, આસામમાં હોય ને ગુજરાતમાં પણ હોય.
તાતાના પૂર્વજ જમશેદજી તાતાનું સાણંદ કનેક્શનઃ ‘નાનો’ પ્લાન્ટની સાઇટ માટે સાણંદ નજીકની જમીન વિશે ચર્ચા થતાં ઉત્સાહીઓએ એવું શોધી કાઢ્યું કે ત્યાં વર્ષો પહેલાં તાતાના પૂર્વજ જમશેદજી તાતાએ દાન આપ્યું હતું. એટલે હવે તાતાને સત્કર્મનું ફળ મળી રહ્યું છે! હકીકતમાં, જમશેદજી એવા દાનવીર હતા કે તેમનાં દાનની ધારા આખા ભારતમાં વહેતી જોવા મળે. ‘નાનો’ પ્લાન્ટ માટે કર્ણાટક રાજ્યની ઉમેદવારી પ્રબળ ગણાતી હતી, ત્યારે ત્યાં પણ આ જ પ્રકારની વાત વહેતી થઇ હતીઃ જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદ વચ્ચે ૧૮૯૩માં થયેલા આકસ્મિક મુલાકાત પછી, તાતાએ મૈસૂર રાજ્ય (હાલ કર્ણાટક)માં એક સંશોધન સંસ્થા સ્થાપવા માટે દાન આપ્યું હતું. મૈસૂરના મહારાજાએ તેના માટે જમીન પૂરી પાડી અને એ રીતે ‘ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સીસ’ની સ્થાપના થઇ. આ હકીકત ચગાવીને કર્ણાટકમાં કેટલાક લોકોએ પણ તાતા સાથે ૧૦૦ વર્ષ જૂના કનેક્શનનો દાવો કર્યો હતો. પરંતુ અગાઉ કહ્યું તેમ, ધંધાની વાત આવે ત્યારે આ બધાં ભૂતકાળનાં કનેક્શનનું ભાગ્યે જ કંઇ મહત્ત્વ હોય છે. તેમાં વર્તમાન વ્યવસ્થા અને સુવિધા સૌથી અગત્યનો ભાગ ભજવે છે.
‘નાનો’ પ્લાન્ટ, મોટો રાજકીય ફાયદોઃ ઉદ્યોગપતિઓને પોતાના પ્લાન્ટ ક્યાંક તો સ્થાપવાના જ હોય છે. છતાં, સંબંધિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ તેમાંથી શક્ય એટલો રાજકીય માઇલેજ મેળવીને, પોતાની નેતાગીરીના તેજવર્તુળમાં નવો ઝગમગાટ ઉમેરવાનો પ્રયત્ન કરે છે. મે, ૨૦૦૬માં પશ્ચિમ બંગાળમાં લાગલગાટ સાતમી વાર ડાબેરી પક્ષો વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા. તેના પગલે મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ જાહેરાત કરી કે તાતાની પીપલ્સ કાર ‘નાનો’નું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થશે.
૧૮ મે, ૨૦૦૬ના રોજ બુદ્ધદેવ અને તાતાએ સંયુક્ત પત્રકાર પરિષદ ભરી. તેમાં તાતાએ કહ્યું હતું,‘આપણે માનીએ છીએ કે રોકાણકારો માટે પશ્ચિમ બંગાળ દેશભરમાં સૌથી વઘુ અનુકૂળ (ધ મોસ્ટ ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી) રાજ્ય છે. એ માન્યતાને કોઇકે તો હકીકતમાં બદલવી પડશે. અમારૂં રોકાણ એ બાબતનું પ્રતિબિંબ છે કે તાતા ગુ્રપને રોકાણકારો માટે અનુકૂળ આબોહવા અને પશ્ચિમ બંગાળની સરકાર પર ભરોસો છે.’ ‘નાનો’ પ્લાન્ટને કારણે દસેક હજાર જેટલા માણસોને સીધી કે આડકતરી રોજગારી મળશે એવી જાહેરાત તાતાએ બુદ્ધદેવ સાથેની પત્રકાર પરિષદમાં કરી હતી. એ ફાયદો હવે ગુજરાતને- ગુજરાતની પ્રજાને મળશે, પણ ગુજરાત સરકારને- તેના સત્તાધીશોને થનારા ફાયદાની સરખામણીમાં તે ગૌણ લાગશે.
Subscribe to:
Posts (Atom)
