Showing posts with label spectrum. Show all posts
Showing posts with label spectrum. Show all posts

Tuesday, February 14, 2012

‘ઇસરો’વિવાદઃ ગેરસમજ અને ગોટાળા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ મુખ્યત્વે તેની નોંધપાત્ર સિદ્ધિઓ માટે જાણીતી છે, પરંતુ છેલ્લા થોડા સમયથી તેનું નામ પ્રસાર માઘ્યમોમાં અવળાં કારણથી ચડ્યું અને ચગ્યું છે.

વિવાદના કેન્દ્રમાં છે ‘ઇસરો’ની વ્યાવસાયિક પાંખ ‘અંતરિક્ષ’ (હિંદીમાં ‘એન્ટ્રિક્સ’) તથા ખાનગી કંપની ‘દેવાસ મલ્ટીમીડિયા’ વચ્ચે ૨૦૦૫માં થયેલો સોદો. ‘સસ્તા ભાવે અને યોગ્ય પ્રક્રિયા-વિધીને અનુસર્યા વિના’ થયેલા આ સોદાથી દેશને રૂ.બે લાખ કરોડ જેટલું નુકસાન થયું હોત, એવો અંદાજ ‘કેગ’ દ્વારા રજૂ થતાં ‘વઘુ એક સ્પેક્ટ્રમ કૌભાંડ’નું બૂમરાણ મચ્યું.

સોદાનાં જુદાં જુદાં પાસાંની તપાસ માટે બે વર્ષમાં ત્રણ સમિતિઓ નીમાઇ અને તેમના અહેવાલ પણ આવી ગયા. તેનાં તારણોના આધારે ગયા મહિને ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા જી.માધવન નાયર તથા બીજા ત્રણ નિવૃત્ત વરિષ્ઠ અફસરો સામે શિક્ષાત્મક પગલાં લીધાં: તેમને કોઇ પણ પ્રકારના સરકારી હોદ્દા માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા- ‘બ્લેકલિસ્ટ’ કરી દેવાયા.

આટલું વર્ણન બીજા કોઇ સરકારી ખાતા વિશે વાંચ્યા પછી લાગે કે ‘બરાબર છે. આમ જ થવું જોઇએ.’ પરંતુ ‘ઇસરો’ ભારત સરકારનો કોઇ સામાન્ય સરકારી વિભાગ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (અંતરિક્ષ વિભાગ)ની સીધી દેખરેખ અને વડાપ્રધાનની કચેરી સાથેના સીધા સંપર્કથી ચાલતું ‘ઇસરો’નું તંત્ર રાષ્ટ્રિય સુરક્ષાથી માંડીને રાષ્ટ્રિય ગૌરવના મુદ્દે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોઇ પણ સરકારી તંત્ર માટે ઇર્ષ્યાજનક કહેવાય એવી નામના તેણે મેળવી છે. ચંદ્રયાન મિશન સહિતની અનેક સફળતાઓ સાથે પ્રતાપી કારકિર્દી ધરાવતા ‘ઇસરો’ના પ્રતાપી અઘ્યક્ષ જી.માધવન નાયરને ભારત સરકાર ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કરી ચૂકી છે.

રાષ્ટ્રનું બીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન મેળવનારને થોડાં જ વર્ષોમાં સરકારી હોદ્દેથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે તે આંચકાજનક ગણાય. ભ્રષ્ટાચારવિરોધી કાર્યવાહીનો નબળો ઇતિહાસ ધરાવતા ભારત માટે આંચકાની સાથે આશ્ચર્ય પણ ભળે. તેમાં પણ માધવન નાયર તરફથી એવો આક્ષેપ થાય કે તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળી નથી અને આ વિવાદ પાછળ ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનો દોરીસંચાર છે, ત્યારે આશ્ચર્ય અને આંચકાની સાથે આઘાતની લાગણી ઉમેરાય છે. નાયરના આરોપ અને સરકારી પક્ષની રજૂઆતો ઘ્યાનમાં લેતાં એટલું સમજાય છે કે બન્નેમાંથી કોઇ પક્ષ સદંતર નિર્દોષ નથી.

દલીલો-પ્રતિદલીલોનો સિલસિલો બહુ લાંબો અને ગૂંચવાનારો છે, પણ તેમાંથી કેટલાક મહત્ત્વના મુદ્દે બન્ને પક્ષોની રજૂઆતઃ

ત્રણ સમિતિના નિર્ણયોની તકરાર
નવાઇ લાગે એવી વાત છે કે અંતરિક્ષ-દેવાસ સોદા અંગે નીમાયેલી ત્રણે તપાસસમિતિના અહેવાલ જુદા જુદા છે- અથવા એ જુદા હોવાની છાપ ઉભી થઇ છે. સૌથી પહેલો, બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ જાહેર કરાયો નથી. ‘એ અહેવાલ મેં બિનસત્તાવાર રીતે જોયો છે.’ એમ કહીને માધવન નાયરે દાવો કર્યો છે કે ‘તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આ ટેકનોલોજી દેશ માટે ફાયદાકારક છે અને સોદો સ્થાપિત ધારાધોરણો મુજબ જ થયો છે. તેના વિશે નવેસરથી વિચાર કરવાની જરૂર નથી.’ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ અહેવાલ જાહેર કરીને નાયરના દાવાને ખોટો સાબીત કરી શકે છે.

માર્ચ, ૨૦૧૧માં આવેલો બી.કે.ચતુર્વેદી-પ્રો.નરસિંહા સમિતિનો અહેવાલ સરકારે આખેઆખો જાહેર કર્યો છે, જ્યારે સપ્ટેમ્બર, ૨૦૧૧માં પાંચ સભ્યોની બનેલી પ્રત્યુશ સિંહા સમિતિના અહેવાલમાંથી ફક્ત ‘તારણો અને ભલામણો’ જાહેર કરવામાં આવ્યાં છે.

ચતુર્વેદી-નરસિંહા અહેવાલમાં સોદાના મુદ્દે ‘ઇસરો’ના પક્ષે રહેલી કેટલીક ખામીઓ, ચોક્સાઇનો-પારદર્શકતાનો અભાવ, નાણાંકીય તથા વ્યૂહાત્મક બાબતોમાં કેટલાંક ગાબડાંની નોંધ લેવાઇ છે. સાથોસાથ, એ વાત બરાબર ખોંખારીને કહેવામાં આવી છે કે ‘દેવાસને સસ્તા ભાવે સ્પેક્ટ્રમ ફાળવવાનો આરોપ સદંતર ખોટો અને પાયા વગરનો છે.’ તેનાં મુખ્ય બે કારણ આપવામાં આવ્યાં છે.

૧) રૂ.બે લાખ કરોડના નુકસાનનો આસમાની આંકડો થ્રી-જી સ્પેક્ટ્રમની હરાજીના આધારે ઉપજાવવામાં આવ્યો હતો. પરંતુ જમીની (ટેરેસ્ટ્રીયલ) સ્પેક્ટ્રમની અને આસમાની (ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર થકી મળતા) સ્પેક્ટ્રમની કિંમતો સરખાવી શકાય નહીં.

આ તફાવતની વાત કરીને નાયરની જીભનો કૂચો વળી ગયો, પણ ‘સ્પેક્ટ્રમ કૌભાંડ’ના ઉત્સાહમાં એમને કોણ ગણકારે? તેમણે એમ પણ કહ્યું કે આખા ‘ઇસરો’નું વાર્ષિક બજેટ રૂ.૪ હજાર કરોડ છે. બે ઉપગ્રહોના ટ્રાન્સ્પોન્ડરના ભાડામાંથી રૂ. બે લાખ કરોડ મળી જવાના હોય તો હું ફક્ત ‘ઇસરો’ જ નહીં, આખી દુનિયાની અંતરિક્ષ સંસ્થાઓ ચલાવી શકું.

સમિતિના અહેવાલમાં એવું પણ નોંધાયું કે ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડર લીઝ પર આપ્યા પછી ‘અંતરિક્ષ’ને વળતર તરીકે ૧૦ ટકા કરતાં વધારે રકમ મળવાની હતી. નાયરનો દાવો છે કે ‘ઇસરો’ને આ રોકાણ પર ૧૨ થી ૧૫ ટકાનો ફાયદો મળવાનો હતો, જે ૫-૬ ટકાના આંતરરાષ્ટ્રિય દર કરતાં વધારે હોવાથી નુકસાન થવાનો સવાલ ઉભો થતો નથી.

૨) ‘અંતરિક્ષ’ સાથે સોદા થકી એક વાર ટ્રાન્સ્પોન્ડર લીઝ પર મેળવી લીધા પછી પણ ‘દેવાસ’ને (મોબાઇલ સર્વિસ શરૂ કરવા માટેની) એન્ટ્રી ફી, સ્પેક્ટ્રમ ચાર્જીસ, સર્વિસ લાયસન્સ ફી જેવી રકમો ચૂકવવાની રહેતી હતી, જેના માટે તેને કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ સાથે પનારો પાડવાનો રહેત.

મતલબ કે ‘અંતરિક્ષ’ સાથે થયેલા સોદામાં ટ્રાન્સ્પોન્ડરની લીઝની રકમનો જ સમાવેશ થતો હતો અને જેના નામે ભ્રષ્ટાચારના છાજિયા લેવાયા તે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના ચાર્જીસ ચૂકવવાના બાકી જ રહેતા હતા. આ વાત સમિતિના અહેવાલમાં જાહેર થઇ તે પહેલાંથી માધવન નાયર ગાઇ વગાડીને કહી રહ્યા છે, પણ તેમને ખાસ લેવાલ મળતા નથી.

વિવાદ ચરમસીમાએ પહોંચ્યા પછી મૌન ધારણ કરીને બેઠેલા ‘ઇસરો’ના ભૂતપૂર્વ વડા કે.કસ્તુરીરંગને ગયા વર્ષે ચોખ્ખેચોખ્ખું કહ્યું હતું કે એસ-બેન્ડ સ્પેક્ટ્રમના સોદામાં કશો ‘ફિઆસ્કો’ નથી અને પ્રસાર માઘ્યમો પૂરું સમજ્યા-કારવ્યા વિના લઇ મંડ્યાં છે.

ત્રીજો અને છેલ્લો અહેવાલ પ્રત્યુશ સિંહા સમિતિનો છે. તેના પાંચ સભ્યોમાં ‘ઇસરો’ના વર્તમાન વડા રાધાકૃષ્ણનનો સમાવેશ થાય છે. આ સોદો રદ કરાવવા માટે તે પાછળ પડી ગયા હોવાનો માધવન નાયરનો આરોપ છે. તેમણે એમ પણ કહ્યું છે કે હોદ્દો સંભાળ્યાના એક મહિનામાં જ તેમણે સોદાની નવેસરથી તપાસના આદેશો આપ્યા અને બી.એન.સુરેશ સમિતિનો અહેવાલ આવે તે પહેલાં તો વડાપ્રધાનની કચેરીને આ સોદો રદ કરવા માટે લખી દીઘું હતું (‘એવું મેં જાણ્યું છે’ : નાયર)

સિંહા સમિતિના અહેવાલનાં તારણો અને ભલામણો સૌથી વધારે આકરાં અને આક્ષેપાત્મક છે. (તેમાં રાધાકૃષ્ણનની હાજરીથી કેટલી ધાર ઉમેરાઇ હશે તે અટકળનો વિષય છે)

સાપેક્ષ નિર્દોષતા
સિંહા સમિતિએ સોદામાં ‘સિરીયસ લેપ્સીસ ઓફ જજમેન્ટ’ (નિર્ણય લેવામાં ગંભીર ભૂલો)થી માંડીને ‘ક્યારેક તો નીતિનિયમોના ભંગ અને બ્રીચ ઓફ પબ્લિક ટ્રસ્ટ (જાહેર હિતને નુકસાન)ની હદે પહોંચતાં પગલાં’ હોવાનું નોંઘ્યું છે. આટલા આકરા શબ્દો ન વાપરનાર ચતુર્વેદી-નરસિંહા સમિતિએ પણ સોદામાં રહેલાં ગાબડાં અંગે ઘ્યાન દોરીને વધારે પારદર્શકતા- જવાબદાર વહીવટ માટેનાં સૂચન કર્યાં છે. કેટલાક મહત્ત્વના આરોપાત્મક મુદ્દા એવા છે, જેના જવાબ માધવન નાયરની અત્યાર સુધીની દલીલોમાં સંતોષકારક રીતે કે સંપૂર્ણપણે મળતા નથી. જેમ કે,

૧) ‘ઇસરો’એ રૂ.૮૦૦ કરોડના ખર્ચે બે ઉપગ્રહો બનાવવાનો સોદો ‘દેવાસ’ સાથે કર્યો, ત્યારે ‘દેવાસ’નું ભંડોળ ફક્ત રૂ.૧ લાખ હતું, જે રૂ.૧૦ના એક એવા ૧૦ હજાર શેર સ્વરૂપે હતું. તેમાંથી ૯ હજાર શેર ‘ઇસરો’ના ભૂતપૂર્વ કર્મચારી ડી.વેણુગોપાલ પાસે અને ૧ હજાર શેર ઉમેશ એમ. પાસે હતા.

‘અંતરિક્ષ’ સાથે સોદો થયા પછી ૨૦૦૯-૧૦ના વર્ષમાં ‘દેવાસ’ના દસ રૂપિયાના એક શેરનું પ્રીમિયમ સવા લાખ રૂપિયાથી પણ વધારે (રૂ.૧,૨૬,૮૨૧) સુધી પહોંચી ગયું. કંઇ પણ કર્યા વિના અને ૩૧ માર્ચ, ૨૦૧૦ના રોજ રૂ.૧૮ લાખનું શેરભંડોળ ધરાવતી ‘દેવાસ’ રૂ.૫૭૮ કરોડ જેટલું શેર પ્રીમિયમ ધરાવતી કંપની બની ગઇ. તેના ભાગીદારોમાં જર્મન કંપની ડ્યુશ ટેલીકોમ (૨૦ ટકા હિસ્સો), નાણાંનાં કાળાંધોળાં માટે જાણીતા મોરેશિયસનું સરનામું ધરાવતી બે કંપનીઓ (પ્રત્યેકનો હિસ્સો ૧૭ ટકા), ‘ઇસરો’ના ભૂતપૂર્વ વિજ્ઞાની ડો.ચંદ્રશેખર (૧૯ ટકા)નો સમાવેશ થતો હતો. વેણુગોપાલે પોતાના રૂ.૧૦ની કંિમતના શેર મોરેશિયસની કંપનીઓને રૂ.૨૫,૫૦૫ના ભાવે વેચીને તગડી કમાણી કરી હતી.

આ નાણાંકીય લેવડદેવડોમાં સિંહાસમિતિએ ગંભીર વહીવટી અને કાર્યપદ્ધતિનાં ગાબડાં જ નહીં, કેટલીક વ્યક્તિઓની મેળાપીપણું ધરાવતી વર્તણૂંક પણ જોઇ અને તેમની સામે સર્વિસ રુલ્સ પ્રમાણે પગલાં લેવાનું સૂચવ્યું છે. અલબત્ત, હજુ સુધી આખી નાણાંકીય લેવડદેવડમાં માધવન નાયર કે બીજા ત્રણ બ્લેકલિસ્ટેડ લોકોને કોઇ આર્થિક ફાયદો થયો હોય એવું બહાર આવ્યું નથી. સિંહાસમિતિએ યોગ્ય તપાસસંસ્થા દ્વારા તેની તપાસ કરવા જણાવ્યું છે.

ચતુર્વેદી-નરસિંહા સમિતિમાં નોંધાયેલો બીજો અગત્યનો વાંધો એ છે કે સ્પેસ કમિશન અને મંત્રીમંડળે જીસેટ-૬ અને જીસેટ-૬-એ બન્ને ઉપગ્રહોના પ્રોજેક્ટના મંજૂરી આપી, ત્યારે તેમને ખબર ન હતી કે ‘ઇસરો’ આ બન્ને ઉપગ્રહો ‘અંતરિક્ષ-દેવાસ કરાર’ અંતર્ગત, માત્ર ને માત્ર ‘દેવાસ’ માટે તૈયાર કરવાનું છે. માધવન નાયરે તેનો એવો ખુલાસો આપ્યો છે કે ઉપગ્રહ તૈયાર કરતી વખતે એનાં ટ્રાન્સ્પોન્ડર કોને લીઝ પર આપવાનાં છે તેની આગોતરી જાણ કરવાનું જરૂરી હોતું નથી. એક વાર ઉપગ્રહ તૈયાર થઇ જાય ત્યાર પછી સ્પેસ કમિશન કે કેબિનેટની જાણ વિના ઘણી કંપનીઓને ટ્રાન્સ્પોન્ડર લીઝ પર અપાતાં જ હોય છે.

નાયરની આ દલીલ ગળે ઉતરે એવી નથી. કારણ કે જીસેટ-૬ અને ૬-એના કિસ્સામાં તેનો ઉપયોગ અગાઉથી નક્કી હતો અને એ પણ લગભગ એક્સક્લુઝિવ પ્રકારનો- ‘દેવાસ’નો એકાધિકાર હોય એવો રહેવાનો હતો. એ સંજોગોમાં સ્પેસ કમિશનને કે કેબિનેટને તેના વિશે જાણકારી ન આપવાના વાજબીપણા વિશે ગંભીર શંકા રહે છે. દેશની સંરક્ષણની કે બીજી જરૂરિયાતોને ઘ્યાનમાં લીધા વિના ઉપગ્રહના ટ્રાન્સ્પોન્ડરની ૯૦ ટકા ક્ષમતા એક ખાનગી કંપનીને આપી દેવી અને એ પણ સંબંધિત વિભાગોને જાણ કર્યા વિના- એ વાત અંતરિક્ષ-દેવાસ સોદાની વિરુદ્ધમાં જાય છે.

આવા બીજા પણ મુદ્દા છે, જેમાંથી કેટલાક ‘ઇસરો’ના વહીવટી માળખામાં રહેલાં ગાબડાં પ્રત્યે આંગળી ચીંધનારા છે. (એ ભલામણોના આધારે ગયા વર્ષે ‘ઇસરો’ના માળખામાં ફેરફારો પણ થયા છે.) પરંતુ એક વાત નક્કી છેઃ માધવન નાયર અને બીજા ત્રણ ઉચ્ચ હોદ્દેદારો સામેના આરોપ તેમને પૂરતી અને સંતોષકારક તક આપ્યા વિના સ્વીકારાઇ જાય અને તેના આધારે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે અજૂગતું-અધકચરું લાગે છે. એક વાત એવી પણ આવી છે કે વડાપ્રધાને આ લોકો સામે હળવામાં હળવી કાર્યવાહી કરવાનું જણાવ્યું હોવાથી તેમની સામે ફક્ત આટલાં જ પગલાં લેવાયાં છે. એ સાચું હોય તો તેનાથી સ્થિતિ ઉપરથી વણસી છે. આરોપની ગંભીરતા પુરવાર થાય તો તેમને હળવી નહીં, પણ યથાયોગ્ય શિક્ષા અને એ પુરવાર ન થાય તો માનભેર તેમની ગરીમાની પુનઃસ્થાપના, એ બે જ વિકલ્પો હોઇ શકે.

Friday, October 07, 2011

સ્પેક્ટ્રમ કૌભાંડઃ નીતિ, નૈતિક જવાબદારી અને ‘નેતિ, નેતિ’

ગુજરાત સરકારને કોઇ પ્રકારે ‘નૈતિક જવાબદારી’નો નિયમ લાગુ પડતો નથી, એવી માન્યતામાં માથાડૂબ ઘણા લોકોને સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દે કેન્દ્ર સરકારની નૈતિક જવાબદારીની ટીકા કરે છે, તે આનંદની વાત છે. કમ સે કેમ, ‘નૈતિક જવાબદારી’ના ખ્યાલથી તો એ પરિચિત છે.

દરેક સરકાર તેના શાસનમાં બનતી ઘટના-દુર્ઘટના-હિસા-કૌભાંડો માટે નૈતિક રીતે જવાબદાર હોય છે. કારણ કે સરકાર દ્વારા લેવાતા જશના સિક્કાની તે બીજી બાજુ છે. ‘નૈતિક જવાબદારી’નો બીજો અર્થ, સત્તાતરસ્યા વિરોધપક્ષો માને છે તેમ, ‘(મુખ્ય મંત્રી કે વડાપ્રધાનનું) રાજીનામું’ નથી હોતો. ગુનેગારને યોગ્ય-ઝડપી કાર્યવાહી પછી સજા થાય અને સરકાર ન્યાયના માર્ગમાં રોડાં ન નાખે, પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે, એ ‘નૈતિક જવાબદારી’નું આખરી પરિણામ હોવું જોઇએ. એ બાબતમાં લાલબહાદુર શાસ્ત્રીએ રેલવે અકસ્માતને પગલે કેન્દ્રિય રેલવે મંત્રી તરીકે આપેલા રાજીનામાનું ઉદાહરણ જેટલું વહેલું ભૂલી જવાય એટલું સારું છે.

વિરોધ પક્ષો સરકાર પાડવાના પ્રયાસોને બદલે ખાઇખપૂચીને ગુનેગારને ભીડવવામાં લાગી પડે, એ મુદ્દે સાચી વિગતો સાથે શક્ય એટલો લોકમત જાગ્રત કરે અને સત્તા આડપેદાશ હોવા છતાં, એ પોતાનું મુખ્ય અને અંતીમ ઘ્યેય નથી, એવું દર્શાવવા જેટલી નૈતિક હિમત કેળવે. તો નૈતિક જવાબદારીનું આખું ચક્ર પૂરું થાય. કારણ કે નૈતિક જવાબદારી ફક્ત સત્તાધીશોની જ નહીં, વિપક્ષોની પણ હોય છે, જે અદા કરવામાં ગુજરાતમાં કોંગ્રેસ વઘુ નિષ્ફળ રહી છે કે કેન્દ્રમાં ભાજપ, એ નક્કી કરવું ખરેખર અઘરું છે.

વડાપ્રધાનની ‘પ્રામાણિકતા’

કેન્દ્ર સરકારમાં મનમોહન સિઘ વ્યક્તિગત રીતે ગમે તેટલા ચોખ્ખા હોય તેનાથી કશું પુરવાર થતું નથી કે નથી તેમની સરકારની નૈતિક જવાબદારી એ હકીકતથી ઓછી થતી. ઊલટું, અત્યાર સુધી એવા એકથી વઘુ અનુભવો રહ્યા છે કે જાહેર જીવનમાં મોટા હોદ્દા પર રહેલા લોકો ક્યારેક વ્યક્તિગત પ્રામાણિકતાના અહમ્‌ની આળપંપાળમાં, સમગ્ર પરિસ્થિતિનું અને તેમાં પોતાની જવાબદારીનું વ્યાપક ચિત્ર જોઇ શકતા નથી. મનમોહન સિઘ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

દેશના સામાન્ય નાગરિક તરીકે ડો.સિઘ પ્રામાણિક હોત તો કદાચ પૂરતું ગણાત, પણ એક હોદ્દા માટે અને એ પણ ભારતના વડાપ્રધાનપદ માટે પ્રામાણિકતા એવો સદ્‌ગુણ છે, જેનું સ્વતંત્રપણે નહીંવત્‌ મૂલ્ય છે. એક સાંકળ જેમ તેની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોય છે, તેમ મનમોહનસિઘ અંગત રીતે નખશીખ પ્રામાણિક હોય તો પણ, વડાપ્રધાન તરીકે એમના મંત્રીમંડળના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ પ્રધાન જેટલા જ પ્રામાણિક ગણાય. ખાસ કરીને એવા સંજોગોમાં કે જ્યારે તેમણે ભ્રષ્ટાચાર વિશે જાણ્યા પછી પણ સંબંધિત પ્રધાન (એ.રાજા) સામે કાર્યવાહી કરવામાં ઇરાદાપૂર્વક અને અંગત નહીં તો પક્ષીય કે સરકારી સ્વાર્થવશ વિલંબ કર્યો હોય.

થોડા વખત પહેલાં તંત્રીઓ સાથેની વાતચીતમાં વડાપ્રધાને વાપરેલો પ્રયોગ ‘કોએલિશન ધર્મ’ (સાદા ગુજરાતીમાં, મોરચા સરકાર ચલાવવાની મજબૂરી) એ પ્રામાણિકતા સાથેની બાંધછોડનું કારણ હોઇ શકે, પણ કારણ અને વાજબીપણું બે જુદી બાબતો છે. ઘણા ગુજરાતી મિત્રોને એ મોદીના નહીં ને મનમોહનસિઘના દાખલાથી સમજાય તો પણ ઘણું. કારણ કે આખરે મહત્ત્વ મોદી કે મનમોહન સિઘનું નથી, નાગરિકો કારણ અને વાજબીપણા વચ્ચેનો તફાવત સમજે-સ્વીકારે અને પછી એ માપદંડ તમામ નેતાઓને એકસરખી રીતે લાગુ પાડે એનું છે.

કૌભાંડનો તાજો ફણગો

છેલ્લા એકાદ અઠવાડિયાથી સ્પેક્ટ્રમ કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. યુપીએ સરકારના વરિષ્ઠ મંત્રી અને ગાંધીપરિવારના ખાસ ગણાતા ચિદમ્બરમ તેમાં એક આરોપીની હેસિયતથી ઉભરે એવું વાતાવરણ એક પત્રથી સર્જાયું છે. પ્રણવ મુખર્જીના નાણાં મંત્રાલયે આ વર્ષના માર્ચમાં વડાપ્રધાનની કચેરીને લખેલા પત્રમાં એવું સૂચવાયું છે કે ૨૦૦૮માં સ્પેક્ટ્રમની ફાળવણી હરાજીના ધોરણે નહીં, પણ વહેલા તે પહેલા/ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વના ધોરણે થઇ અને તેને કારણે સરકારને ભારે નુકસાન ગયું. પરંતુ તત્કાલીન નાણાંપ્રધાન ચિદમ્બરમે ઇચ્છ્‌યું હોત તો તે ત્યારના ટેલીકોમ મંત્રી રાજાને આ દિશામાં આગળ વધતાં અટકાવી શક્યા હોત અને દેશને થતું નુકસાન અટકી શક્યું હોત.

રાજકારણમાં બને છે તેમ, આ મુદ્દો જોતજોતાંમાં કોંગ્રેસની આંતરિક- પ્રણવ મુખર્જી અને ચિદમ્બરમ વચ્ચેની- હૂંસાતૂંસીનો બની ગયો.અમેરિકા રહ્યે રહ્યે વડાપ્રધાને ‘મને ચિદમ્બરમની નિષ્ઠામાં પૂરેપૂરો વિશ્વાસ છે’ એ મતલબના ખુલાસા કરવા પડ્યા. છેવટે સોનિયા ગાંધીની દરમિયાનગીરીથી ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીએ સંયુક્ત પત્રકાર પરિષદ કરી. પ્રણવ મુખર્જીએ કહ્યું કે ચિદમ્બરમની જવાબદારી સામે આંગળી ચીંધતી નોંધ એમની નથી. (એ જુદી વાત છે કે પત્ર પર એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ નોંધ નાણાંમંત્રીએ જોઇ છે.) ચિદમ્બરમે જાહેર કરી દીઘું કે હું મારા માનનીય વરિષ્ઠ સાથીનું નિવેદન સ્વીકારી લઉં છું અને અમારા તરફથી આ વાત પર પૂર્ણવિરામ મૂકાય છે.

પહેલી વાત તો એ કે વડાપ્રધાનની કચેરીએ સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દે નાણાં મંત્રાલય પાસેથી ‘સિલસિલાબંધ તથ્યો’ની માગણી કરી હોય અને તેના જવાબમાં ‘તથ્યો’ની સાથે ‘અભિપ્રાયો’ મોકલવામાં આવે, છતાં નાણાંમંત્રીને એ વિશે જાણ પણ ન હોય, તે ચંિતાજનક નહીં તો શરમજનક કહેવાય. બીજો, વધારે અગત્યનો મુદોઃ સરવાળે વિવાદ કોંગ્રેસની આંતરિક જૂથબંધીનો નહીં, યુપીએ સરકારના એક નિર્ણય વિશેનો છે. એમાં બે મંત્રીઓ ઉપરીઓની સમજાવટથી એકબીજા સાથે હાથ મિલાવીને ભીનું સંકેલવાની વાત કરે, તેથી બાકીના લોકોએ પણ હવે એ વાત ભૂલી જવી- એવું કેવી રીતે બને? વાતનો તાર્કિક અંત હજુ ક્યાં આવ્યો છે? પ્રણવ મુખર્જી એ નોંધ સાથે શા માટે અસંમત છે? અને વડાપ્રધાને એ નોંધ વાંચ્યા પછી તેને ઘ્યાન ન લીધી, તો એમ કરવાનાં કયાં કારણો છે? એ હજુ જાહેર થયું નથી.

પરંતુ, નાગરિક તરીકે પૂરેપૂરી શંકા સાથે, પણ ભાજપી નારાબાજોના રાબેતા મુજબના ‘હઇસો, હઇસો’માં વહી જવાની ઉતાવળ પણ કરવા જેવી નથી. ભાજપનો વિરોધ જેમને મન આપોઆપ કોંગ્રેસની તરફેણ બની જતો હોય એવા પાયદળથી સલામત અંતર રાખીને, સ્પેક્ટ્રમ કૌભાંડમાં સરકારની ગરબડો, ગોટાળા અને કેટલીક ગેરસમજણો સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ.

કૌભાંડઃ મૂળ અને શાખાઓ

સ્પેક્ટ્રમ કૌભાંડ તરીકે ઓળખાતી ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીની ગરબડ ત્રણ વર્ષ પહેલાં થઇ. અત્યારે તિહાર જેલમાં રહેલા ડી.એમ.કે.ના સાંસદ એ. રાજા ત્યારે યુપીએ સરકારના ટેલીકોમ મંત્રી હતા. દેશમાં ટુજી (સેકન્ડ જનરેશન)ની મોબાઇલ સેવાઓ માટેનાં લાયસન્સ અપાવાનાં હતાં. સેકન્ડ જનરેશન- બીજી પેઢીની મોબાઇલ સુવિધાઓમાં તરંગોના માઘ્યમથી થતી ડેટાની અવરજવર માટે ‘રસ્તો’ જોઇએ. ‘સ્પેક્ટ્રમ’ એટલે એવો મર્યાદિત પહોળાઇ ધરાવતો તરંગપટ. રસ્તાની સરખામણી આગળ વધારવાથી ટૂંકમાં સમજી શકાશેઃ

ધારો કે અમદાવાદથી રાજકોટ વચ્ચે ૧૨ લેનનો એક હાઇ વે ખુલ્લો મુકાવાનો છે. દરેક લેન ‘ડેડીકેટેડ’ એટલે કે અલાયદી છે. કોઇ એક જ કંપનીની બસ તેની પર ચાલી શકે. આ હાઇ વે પર બસ સેવા ચાલુ કરવા માટે ઘણી કંપનીઓ મેદાનમાં છે. બસ સેવા શરૂ કરવા માટે બે બાબત જરૂરી છેઃ લાયસન્સ અને લેન. સૌ જાણે છે કે લેેનની સંખ્યા મર્યાદિત છે. તેમાં વધારો થઇ શકવાનો નથી. એટલે લેનના ભાવ ઊંચા હશે એવી સૌની ધારણા છે. આ ઉદાહરણમાં લેનની જગ્યાએ સ્પેક્ટ્રમ અને બસની જગ્યાએ મોબાઇલ કંપનીઓ મૂકી દેતાં સ્થિતિનો અંદાજ માંડી શકાશે.

હવે આરોપો કયા કયા છે? અને કૌભાંડ ક્યાં કેવી રીતે થયું? આ બાબતો સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીન છે, પરતુ અત્યાર લગી ‘કેગ’ ના અહેવાલ અને બીજી ઉપલબ્ધ વિગતો પરથી મળતું ચિત્ર આ પ્રમાણે છેઃ
૧) ટેલીકોમ મંત્રી એ.રાજાએ સ્પેક્ટ્રમની ફાળવણી માટે હરાજી/ઑક્શનને બદલે વહેલા તે પહેલા/ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વની નીતિ અપનાવવાનું નક્કી કર્યું.
૨) મોંઘા ભાવનો સ્પેક્ટ્રમ લાયસન્સની સાથે- બંચમાં જ આપવાનું ઠરાવાયું.
૩) ‘વહેલા તે પહેલા’ની નીતિમાં પણ કેટલીક કંપનીઓને ફાયદો થાય એ રીતે રાજાએ છેલ્લી તારીખમાં મનસ્વી રીતે ફેરફાર કર્યો.
૪) એક જ કંપની એકથી વધારે સર્કલમાં લાયસન્સ - અને તેની સાથે મળતા મહામૂલા સ્પેક્ટ્રમ- માટે અરજી ન કરી શકે, એવી શરત હતી. છતાં એવી શરતોનો ભંગ કરનારી બે કંપનીઓને છાવરવામાં આવી. તેમની બીજી કેટલીક ગેરરીતિઓ સામે પણ આંખ આડા કાન કરીને તેમને ફાયદો કરી આપવામાં આવ્યો.

આ બાબતોમાંથી કંપનીઓનો ગોટાળિયા વ્યવહાર તારીખની મનસ્વી ફેરબદલ જેવી બાબતોમાં ટેલીકોમ મંત્રી રાજા, એ કંપનીના ભારતીય પ્રતિનિધિઓ, અન્ય લાભાર્થીઓની પ્રથમદર્શી સંડોવણી હતી. તેના કારણે કેટલાક ઉદ્યોગગૃહોના ટોચના અફસરો, બાલવા જેવા કંપનીના પ્રતિનિધિઓ ઉપરાંત રાજાને પણ (સરકારી વિલંબ પછી મોડે મોડેથી) તિહાર જેલમાં જવું પડ્યું. રાજાને ટેલીકોમ મંત્રીપદે મૂકવા માટે ખેલાયેલા રાજકારણ અને તેમાં મીડિયા તથા નીરા રાડિયા જેવા લોબીઇસ્ટની ભૂમિકાઓ સામે ગંભીર રીતે આંગળી ચીંધાઇ. પરંતુ છેલ્લા અઠવાડિયામાં ચર્ચાતો થયેલો સવાલ હતોઃ ‘વહેલા તે પહેલા’ના ધોરણે સસ્તા ભાવે સ્પેક્ટ્રમની ફાળવણી નાણાં મંત્રી તરીકે ચિદમ્બરમ રોકી શક્યા હોત?

હકીકત એ લાગે છે કે સ્પેક્ટ્રમની ફાળવણી ‘વહેલા તે પહેલા’ના ધોરણે કરવી કે હરાજીથી, એ કોઇ એક મંત્રીનો નિર્ણય ન હોઇ શકે- અને અત્યાર લગીની માહિતી પરથી એ માન્યતા દૃઢ થાય છે કે વડાપ્રધાનની મંજૂરી સહિત સરકાર તરફથી લેવાયેલો એ નીતિવિષયક નિર્ણય હતો. દુનિયાભરમાં સ્પેક્ટ્રમની ફાળવણી માટે આ બન્ને વિકલ્પ પ્રચલિત છે. એ નિર્ણય વિશે બે મત કે વિવાદ હોઇ શકે. પરંતુ વડાપ્રધાન તરીકે ડો.સિઘ પોતાની સરકારનો નીતિવિષયક નિર્ણય ખોંખારીને જાહેરમાં સ્વીકાર્યો હોત તો ઘણા પ્રશ્નો ઊભા ન થાત. રાજાની કથિત ગેરરીતિઓ તેનાથી સાવ અલગ હતી.

સરકારના નીતિવિષયક નિર્ણયો ચર્ચાસ્પદ કે વિરોધ-ટીકાને પાત્ર હોઇ શકે છે. એ નિર્ણયને કારણે મોટી રકમનું નુકસાન થયાની ટીકા ‘કેગ’ જેવી સંસ્થા (આંકડાની થોડીઘણી અતિશયોક્તિ સાથે) કરી શકે છે. તેમ છતાં, વડાપ્રધાને એ નિર્ણયને કોઇ મંત્રીના માથે ઢોળી દેવાને બદલે, પોતાની સરકારનો નિર્ણય ગણાવવો જોઇએ અને એના માટે થતી ટીકા ખમવાની- સરકારી નિર્ણય પાછળનાં કારણો, તર્ક સમજાવવાની તૈયારી રાખવી પડે. એવું ન થાય અને સરકારનો નિર્ણય વડાપ્રધાન પોતે જ અપનાવે નહીં, ત્યારે ‘નીતિવિષયક નિર્ણય’ ઉપર પણ ‘કૌભાંડ’નો ધબ્બો લાગવાનો.
-અને તેની જવાબદારી વિપક્ષો-ટીકાકારો કરતાં વડાપ્રધાનની વધારે ગણાય.

Monday, March 14, 2011

ઇસરોઃ અવકાશી સોદો, આસમાની વિવાદ

સેલફોન માટે વપરાતા સ્પેક્ટ્રમની સસ્તા ભાવે થયેલી લહાણી અને તેમાં સરકારને ગયેલી ખોટનો વિવાદ શમે તે પહેલાં સ્પેક્ટ્રમ વિવાદનો ભાગ બીજો ફૂટી નીકળ્યો. તેની સાથે સંકળાયેલી સંભવિત નુકસાનની રકમ પણ અમુક હજાર કે લાખ કરોડ રૂપિયામાં હતી. છતાં વધારે ગંભીર બાબત એ હતી કે એ સોદામાં ભારતની પ્રતિષ્ઠિત અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ સંકળાયેલી -કે સંડોવાયેલી- હતી.

‘ઇસરો’ - ISRO-ની વ્યાવસાયિક પાંખ ‘અંતરિક્ષ કોર્પોરેશન’ અને ખાનગી કંપની ‘દેવાસ મલ્ટીમીડિયા’ વચ્ચે ૨૦૦૫માં એક સોદો થયો. એ સોદા મુજબ ‘ઇસરો’ તેના ગ્રાહક ‘દેવાસ’ માટે બે ઉપગ્રહો અવકાશમાં ચઢાવે. તેના દ્વારા પ્રસારિત થનારા-ઝીલાનારા એસ-બેન્ડનાં રેડિયોતરંગોમાંથી ૭૦ મેગાહર્ટ્‌ઝનો પટ્ટો (સ્પેક્ટ્રમ) અંતરિક્ષ કોર્પોરેશને ‘દેવાસ’ ને ફાળવ્યો. ઉપગ્રહના ખર્ચ અને સ્પેક્ટ્રમની લીઝ- બઘું મળીને ૧૨ વર્ષમાં દેવાસે ૩૦ કરોડ ડોલર ચૂકવવાના થતા હતા.

સામાન્ય માણસને તોતિગ લાગે એવી ૩૦ કરોડ ડોલર( તે સમયે આશરે એકાદ હજાર કરોડ રૂ.)ની રકમ એસ-બેન્ડના ૭૦ મેગાહર્ટ્‌ઝ જેટલા સ્પેક્ટ્રમ માટે બજારભાવ કરતાં ઓછી કહેવાય કે કેમ, એ સમજવા માટે રેડિયોતરંગોના એસ-બેન્ડનો મહિમા સમજવો પડે.

બત્રીસ લક્ષણો એસ- બેન્ડ
રેડિયોતરંગોના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છેઃ ટેરેસ્ટ્રિઅલ (જમીની) અને સેટેલાઇટ (ઉપગ્રહી/અવકાશી). સેલફોન સેવાઓ માટે ખપમાં સેવાતા જમીની/ટેરેસ્ટ્રિઅલ સ્પેક્ટ્રમ અને તેના ફાળવણી-કૌભાંડ વિશે ગયા મંગળવારના ‘દૃષ્ટિકોણ’માં વિગતે વાત કરવામાં આવી હતી. સેટેલાઇટ સ્પેક્ટ્રમની લેવાદેવા નામ પરથી જણાય છે તેમ, અવકાશમાં ભ્રમણ કરતા ઉપગ્રહો સાથે છે.

સંદેશાવ્યવહારને લગતા ઉપગ્રહો ટ્રાન્સ્પોન્ડરથી સજ્જ હોય છે. ‘ટ્રાન્સ્પોન્ડર’ શબ્દ ‘ટ્રાન્સમીટર-રીસ્પોન્ડર’નું ટૂંકુ રૂપ છે. તેનો અર્થ છેઃ પ્રસારણ કરવાની અને પાછું ફેંકવાની-પ્રતિભાવ આપવાની ટુ-ઇન-વન ક્ષમતા ધરાવનાર સાધન. તે રેડિયોતરંગોનું પ્રસારણ કરી શકે અને તેને મળતાં રેડિયોતરંગો ઝીલીને તેમને પાછાં પણ મોકલી શકે.

ઉપગ્રહ દ્વારા પ્રસારિત થતા રેડિયોતરંગો તેમની તરંગલંબાઇ પ્રમાણે સી-બેન્ડ, એક્સ-બેન્ડ, કેયુ- બેન્ડ, કેએ-બેન્ડ જેવા જુદા જુદા બેન્ડ/પટ્ટમાં વહેંચાયેલા હોય છે. એ યાદીમાં ૨ ગીગાહર્ટ્‌ઝથી ૪ ગીગાહર્ટ્‌ઝ (૨૦૦૦ મેગાહર્ટ્‌ઝથી ૪૦૦૦ મેગાહર્ટ્‌ઝ) સુધીનો પટ્ટ એસ-બેન્ડ તરીકે ઓળખાય છે, જે ‘ઇસરો’ને લગતા વિવાદના કેન્દ્રમાં છે.

આખા એસ-બેન્ડમાં પણ ૨૫૦૦ મેગાહર્ટ્‌ઝથી ૨૬૯૦ મેગાહર્ટ્‌ઝ સુધીના બેન્ડનું ભારે માહત્મ્ય છે. કારણ કે ૧૧ વર્ષ પહેલાં રેડિયો સંદેશાવ્યવહારની આંતરરાષ્ટ્રિય બિરાદરીએ આ બેન્ડને વૈશ્વિક સંદેશાવ્યવહાર માટેના સર્વસામાન્ય બેન્ડ તરીકે ઘોષિત કર્યો. મતલબ, રેડિયતરંગોની આ રેન્જમાં આપી શકાતી સેવાઓનો વ્યાપ જમીની સ્પેક્ટ્રમની જેમ પ્રદેશ કે દેશ પૂરતો મર્યાદિત નહીં, પણ વૈશ્વિક બની રહે. આ રેન્જનો સ્પેક્ટ્રમ તેના મેગાહર્ટ્‌ઝના આંકડા પરથી ઘણી વાર ૨.૫ ગીગાહર્ટ્‌ઝ કે ૨.૬ ગીગાહર્ટ્‌ઝના સ્પેક્ટ્રમ તરીકે પણ ઓળખાય છે.

જમીની સ્પેક્ટ્રમની ફાળવણી સરકારના ટેલીકોમ વિભાગને હસ્તક છે, જ્યારે ‘અવકાશી’ સ્પેક્ટ્રમ ઉપગ્રહોમાં રહેલાં ટ્રાન્સ્પોન્ડર થકી ઉપલબ્ધ બને છે. ઉપગ્રહોને લગતી સઘળી કામગીરી સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસની હોય છે, જે ઉપગ્રહમાં રહેલાં ટ્રાન્સ્પોન્ડર દૂરદર્શન જેવી સરકારી એજન્સીઓને કે ખાનગી કંપનીઓને પ્રસારણ માટે આપે છે. જોકે, ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસને રેડિયોતરંગોના જુદી જુદી તરંગલંબાઇના બેન્ડની ફાળવણી ટેલીકોમ વિભાગ કરે છે. તેમાં આંતરરાષ્ટ્રિય ટેલીકમ્યુનિકેશન યુનિઅન (આઇટીયુ)ના ધારાધોરણો અનુસરવામાં આવે છે.

ભારતમાં ‘ઇનસેટ’ ઉપગ્રહોના ટ્રાન્સ્પોન્ડર થકી એસ-બેન્ડના રેડિયોતરંગો ઉપલબ્ધ બન્યા, ત્યારે દૂરદર્શને તેનો ઉપયોગ કરીને દેશના ખૂણેખૂણે ટીવી પ્રસારણ પહોંચાડ્યું. આગળ જતાં સેટેલાઇટ ફોન માટે પણ એસ-બેન્ડના રેડિયોતરંગોનો ઉપયોગ થયો. વર્ષ ૨૦૦૦માં વર્લ્ડ રેડિયોકમ્યુનિકેશન કોન્ફરન્સે ૨૫૦૦ મેગાહર્ટ્‌ઝથી ૨૬૯૦ મેગાહર્ટ્‌ઝના બેન્ડને મોબાઇલ સંદેશાવ્યવહાર સેવાઓ માટે અલગ તારવ્યો. ૧૯૦ મેગાહર્ટ્‌ઝના આ બેન્ડની ખૂબી એ હતી કે મોબાઇલ સેવાઓ માટે એસ-બેન્ડમાં બીજો આટલો મોટો ટુકડો ઉપલબ્ધ ન હતો અને કોઇ દેશમાં તે હોય તો પણ (૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્‌ઝના પટ્ટની જેમ) તે આંતરરાષ્ટ્રિય વપરાશ માટે કામ લાગે તેમ ન હતો.

મોબાઇલ ઉપકરણો પર વિડીયો સહિતના ભારેખમ ડેટાની ચીલઝડપે અને દુનિયાભરના દેશોમાં લેવડદેવડ કરી શકાય, એ નવા જમાનાનો તકાદો હતો. આ માગ સંતોષતી વાયરલેસ સેવા - આઘુનિક પરિભાષામાં કહીએ તો, ૪-જી સર્વિસ - પૂરી પાડવાના કામમાં ૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્‌ઝનો બેન્ડ ‘બત્રીસ લક્ષણો’ ગણાયો.

વિવાદનાં મૂળીયાં
ઇસરો-દેવાસ વચ્ચે સોદો થયો ત્યારે આંતરરાષ્ટ્રિય બજારમાં પણ ૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્‌ઝના બેન્ડની શક્યતાનો મહત્તમ કસ કાઢવાનું શરૂ થયું ન હતું. એટલે સ્વાભાવિક રીતે જ, તેમનો સોદો જાહેરમાં ખાસ ચર્ચાયા વિના, શાંતિથી પાર પડ્યો.

‘દેવાસ’ સીઇઓ રામચંદ્રન્‌ વિશ્વનાથન ઇન્ટરનેટ અને સેટેલાઇટ સંદેશાવ્યવહાર ક્ષેત્રે વીસ વર્ષની તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. એક અહેવાલ પ્રમાણે, તેમણે છેક ૨૦૦૩માં અમેરિકાની મુલાકાતે ગયેલી ‘ઇસરો’ની ટુકડી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું. તેનો વિષય હતોઃ ‘ઇસરો’ જેવી સંસ્થા વિશ્વવ્યાપી સેટેલાઇટ નેટવર્ક દ્વારા કેવી રીતે મલ્ટીમિડીયા સર્વિસ આપી શકે.

વિશ્વનાથન એ વખતે ‘ફોર્જ એડવાઇઝર્સ’ કંપનીના મેનેજિગ ડિરેક્ટર હતા. તેમની રજૂઆતથી ‘ઇસરો’ના અધિકારીઓ ભારે પ્રભાવિત થયા, પણ વિશ્વનાથન ‘ઇસરો’ના ‘અંતરિક્ષ કોર્પોરેશન’ સાથે ભાગીદારીમાં ધંધો કરવા ઇચ્છતા હતા, જ્યારે ‘ઇસરો’ ઉપગ્રહોમાંથી સ્પેક્ટ્રમનો ચોક્કસ બેન્ડ લીઝ પર આપીને અટકી જવા ઇચ્છતું હતું. તેનાથી આગળ વધીને, મોબાઇલ મલ્ટિમીડિયા સર્વિસ પૂરી પાડવામાં તેને રસ ન હતો. એ સ્થિતિમાં ‘દેવાસ મલ્ટિમીડિયા’ અસ્તિત્ત્વમાં આવી. એમ.જી.ચંદ્રશેખર, ડી.વેણુગોપાલ, કિરણ કર્ણિક જેવા ‘ઇસરો’માં ઊંચા હોદ્દે રહી ચૂકેલા-એક યા બીજી રીતે સંકળાઇ ચૂકેલા અફસરો ‘દેવાસ’ના મુખ્ય સૂત્રધાર હતા. કંપનીનું આરંભિક ભંડોળ પણ પરદેશમાંથી આવ્યું હતું.

જી.માધવન નાયર ‘ઇસરો’ના વડા હતા, ત્યારે ‘દેવાસ’ સાથેનો સોદો થઇ ગયો, પણ ‘ઇસરો’ના સેટેલાઇટ લોન્ચ વેહીકલ (જીએસએલવી)ની નિષ્ફળતાને કારણે ઉપગ્રહ તરતા મૂકવાનું અને સોદો અમલી બનાવવાનું પાછું ઠેલાતું ગયું. ‘દેવાસ’ના સીઇઓ વિશ્વનાથને એમ પણ કહ્યું હતું કે ઉપગ્રહ ચડાવવામાં થયેલા વિલંબને કારણે છેલ્લા થોડા મહિનાથી અમે થર્ડ પાર્ટી લોન્ચ- ઇસરો સિવાયની કોઇ સંસ્થા દ્વારા ઉપગ્રહ તરતો મૂકવા વિશે વિચારી રહ્યા હતા.’

આરોપ અને અસલિયત
ઉપગ્રહ ચડાવવામાં થયેલો વિલંબ ‘દેવાસ’ માટે નુકસાનકારક, પણ દેશ માટે ફાયદાકારક નીવડ્યો. કારણ કે, છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં મોબાઇલ ફોન ક્ષેત્રે અભૂતપૂર્વ અને અકલ્પનીય પ્રગતિ થઇ. એ સાથે જ મોબાઇલ સર્વિસના પાયામાં રહેલા સ્પેક્ટ્રમના ભાવ આસમાને પહોંચ્યા. ૩-જી અને ૪-જી ટેકનોલોજીને કારણે સ્પેક્ટ્રમ કેટલો મૂલ્યવાન બની રહેવાનો છે, તે સત્ય વધારે ને વધારે સ્પષ્ટ રીતે ઉઘડવા લાગ્યું.

એક તરફ દેવાસે બે ઉપગ્રહોની રીઝર્વેશન ફી પેટે રૂ. ૫૮.૩૭ કરોડનું ચૂકવણું કરી દીઘું, તો બીજી તરફ તેણે પોતાનો ૧૭ ટકા હિસ્સો ૨૦૦૮માં રૂ.૩૧૮ કરોડમાં વેચ્યો. (યાદ રહે કે સોદા પ્રમાણે કંપનીને બધા ખર્ચ સાથે ૧૨ વર્ષ માટે આશરે રૂ.૧ હજાર કરોડના ભાવે ૭૦ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ મળવાનો હતો.)

પરંતુ ઓક્ટોબર, ૨૦૦૯માં સ્પેસ કમિશને બે ઉપગ્રહોની દરખાસ્ત મૂકી, ત્યારે તેના ઉપયોગોમાં અંતરિક્ષ-દેવાસ સોદાનો ઉલ્લેખ ન હતો. તેના પગલે થયેલી ફરિયાદને કારણે ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ તરફથી ડિસેમ્બર ૨૦૦૯માં એક સમિતિની રચના કરવામાં આવી, જેના અઘ્યક્ષપદે સ્પેશ કમિશનના ભૂતપૂર્વ સભ્ય ડો.બી.એન.સુરેશ હતા. આ સમિતિને અંતરિક્ષ-દેવાસ સોદાનાં તમામ પાસાંની તપાસનું કામ સોંપાયું.

ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ કમિશન બન્નેએ અલગ અલગ રીતે ઇસરો-દેવાસ સોદો રદ કરવાનું સૂચવ્યું. તેનાં કારણોમાં એક કારણ એવું હતું કે એ સોદા વિશે એક હદથી આગળ, ટોચના સ્તર સુધી જાણ કરવામાં આવી ન હતી. ૨૦૧૦માં સંજોગો પણ બદલાયા હતા અને સ્પેક્ટ્રમની કંિમત પણ. ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસે ‘રાષ્ટ્રની વ્યૂહાત્મક જરૂરિયાતોની પ્રાથમિકતા’ ઘ્યાનમાં રાખીને સ્પેક્ટ્રમનો વઘુ અસરકારક ઉપયોગ કરવા માટે સોદો રદ કરવાની તરફેણમાં મત આપ્યો. સાથોસાથ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા પણ આ સોદાની પ્રાથમિક તપાસ શરૂ થઇ. સ્પેક્ટ્રમ કૌભાંડ બરાબર ચગેલું હતું અને ‘દેવાસ’ના સોદા વિશેના વિવાદની વિગતો જાહેર થઇ, એટલે તેનો ‘સ્પેક્ટ્‌મ કૌભાંડ-૨’ તરીકે ઉલ્લેખ થવા લાગ્યો.

આ સોદો થયો ત્યારે ‘ઇસરો’ના વડા તરીકે કાર્યરત જી.માધવન નાયરે થોડા સમય પહેલાં ભારપૂર્વક કહ્યું હતું કે ‘સોદામાં કશું ખોટું થયું નથી. સેટેલાઇટ સ્પેક્ટ્રમ અને ટેરેસ્ટ્રીયલ સ્પેક્ટ્રમની કંિમતો વચ્ચે આભજમીનનો તફાવત હોય છે. સેટેલાઇટ સ્પેક્ટ્રમની કિમત ટેરેસ્ટ્રીયલ સ્પેક્ટ્રમ કરતાં હજાર ગણી ઓછી હોય છે.’ ટૂંકમાં તેમના કહેવાનું તાત્પર્ય હતું કે ૩-જી સ્પેક્ટ્રમની હરાજીથી થયેલી આવકની સાથે સેટેલાઇટ સ્પેક્ટ્રમની કિમતની સરખામણી ન થઇ શકે અને તેના આધારે દેશને થનાર સંભવિત નુકસાનનો અંદાજ ન કાઢી શકાય (જે કેટલાકના મતે રૂ.બે લાખ કરોડ જેટલો હતો) આખા વિવાદ પાછળ તેમણે ‘ઇસરોને બદનામ કરવાનું કાવતરું’ જેવી શંકા પણ વ્યક્ત કરી.

આખરે સરકારે ઇસરો-દેવાસ સોદો રદ કર્યો. ‘દેવાસ’ના વિશ્વનાથને કરારભંગ બદલ અંતરિક્ષ કોર્પોરેશને કિમત ચૂકવવી પડશે એવો ઘુ્રજારો કર્યો હતો. પણ કરારની શરતો (કલમ ૭-સી)માં ખુદ અંતરિક્ષ કોર્પોરેશન ઉપગ્રહ માટે જરૂરી ભ્રમણકક્ષા કે જરૂરી સ્પેક્ટ્રમ ન મેળવી શકે એવી સંભાવના વ્યક્ત થયેલી હતી. એવું થાય તો દેવાસે આગળથી ચૂકવેલી રકમ અને તેની પરનો સર્વિસ ટેક્સ પરત આપવા સિવાય અંતરિક્ષ કોર્પોરેશને દેવાસને બીજું કંઇ ચૂકવવાનું રહેતું ન હતું.

સોદો રદ થતાં દેશને થનાર સંભવિત નુકસાન ટળી ગયું છે, પણ આખા વિવાદમાં ‘ઇસરો’ની ભૂમિકા વિશે બે મુખ્ય સવાલ રહેઃ તેણે નક્કી કરેલી સ્પેક્ટ્રમની રકમ ઓછી હતી કે નહીં? અને ઓછી હોય તો ઇરાદાપૂર્વક ઓછી હતી?

સ્વાભિવક છે કે સ્પેક્ટ્રમની કિમત ૨૦૦૫માં હતી એટલી ૨૦૧૦માં ન જ હોય. કારણ કે એ તેની ઉપયોગીતા પ્રમાણે અકલ્પનીય હદે વધતી રહે છે. પરંતુ એ જ કારણથી, ૧૨ વર્ષ જેવા લાંબા ગાળા માટે, બાંધી કિમતે બત્રીસ લક્ષણો ૨.૫ ગીગા હર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ આપી દેવાનો નિર્ણય કેટલો વેપારીબુદ્ધિવાળો કહેવાય એ વિચારવું રહ્યું.