Tuesday, January 31, 2012

રશદી-વિરોધનું બેશરમ ફારસ

‘ક્લાસિક’ પુસ્તકની રમૂજી વ્યાખ્યા છેઃ એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, બધાને ખબર હોય કે એ વાંચવું જોઇએ, પણ બહુ ઓછા લોકોએ તે વાંચ્યું હોય. વિવાદાસ્પદ પુસ્તકની વ્યાખ્યા પણ એ તરાહ પર કરી શકાયઃ એવું પુસ્તક જેના વિશે બધાએ સાંભળ્યું હોય, ભાગ્યે જ કોઇએ વાંચ્યું હોય, છતાં તેનો જોરશોરથી વિરોધ થતો હોય અને તેના લીધે લોકોને થતું હોય કે ‘આ પુસ્તક વાંચવું જોઇશે.’

સલમાન રશદીની નવલકથા ‘સેતાનિક વર્સીસ’ ૧૯૮૮માં બ્રિટનમાં પ્રકાશિત થઇ, ત્યારથી એ વિવાદાસ્પદ રહી છે. બ્લાસ્ફેમી- ધર્મ કે ધાર્મિક પાત્રોની નિંદાનો આરોપ, વિશ્વભરના દેશોમાં સૌપ્રથમ ભારત સરકાર દ્વારા તેની પર મુકાયેલો પ્રતિબંધ, ઇરાનના આયાતોલ્લા ખોમેનીએ આપેલો રશદીના મોતનો આદેશ, કડક સુરક્ષા હેઠળ રશદીનો અજ્ઞાતવાસ, ખોમેનીના અવસાન પછી ઇરાન સરકારે પાછું ખેંચેલું ફતવાનું સત્તાવાર સમર્થન- આ બધી વાતો સાહિત્યમાં જ નહીં, સમાચારમાં રસ ધરાવતા લોકો પણ ઓછેવત્તે અંશે જાણે છે.

જયપુર લિટરરી ફેસ્ટિવલ નિમિત્તે જાન્યુઆરી, ૨૦૧૨માં રશદીવિરોધની કથામાં સરકારી અને બિનસરકારી રાહે નવાં શરમજનક પ્રકરણ ઉમેરાયાં છે. તેની મુદ્દાસર વાત સાથે ભારતીય પ્રજાસત્તાકના વર્તમાનની કથા વળાંકો ને વક્રતા, વિચિત્રતા અને વિષમતા સાથે ઉઘડતી જશે.

સ્થળઃ જયપુર લિટરેચર ફેસ્ટિવલ એટલે કે સાહિત્ય સમારંભ ૨૦૦૬થી વર્ષથી યોજાય છે. તેમાં દેશવિદેશના લેખકો આવે તથા એકબીજા સાથે તથા વાચકો સાથે ખુલ્લાશથી હળેમળે- વિચારોનું આદાનપ્રદાન કરે એવો તેનો આશય છે. પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તે એશિયાનો સૌથી નામી- સૌથી મોટો સાહિત્યિક મેળાવડો ગણાય છે. આ વર્ષે તેમાં નિમંત્રીત આશરે ૨૬૫ લેખકોમાંના એક હતાઃ બ્રિટનમાં વસતા, ભારતીય મૂળના અંગ્રેજી લેખક સલમાન રશદી.

વિવાદનું કેન્દ્રઃ રશદીની કેટલીક નવલકથાઓ ઇંદિરા ગાંધી, ઝુલ્ફીકારઅલી ભુત્તો જેવાં લોકો સાથે તોફાની સામ્ય ધરાવતાં પાત્રોને કારણે વિવાદાસ્પદ બની હતી, પરંતુ ‘સેતાનિક વર્સીસ’ વિવાદના મામલે બધી હદો વટાવી ગઇ. કારણ કે તેમાં મામલો વ્યક્તિની નહીં, પણ ધર્મની ટીકાનો- ‘ધાર્મિક લાગણી’ દુભાવાનો હતો. ખોમેનીએ જારી કરેલા મોતના ફતવા પછી ઘણા સમય સુધી રશદી પોતે કોઇ નવલકથાના પાત્ર જેવા રહસ્યાચ્છાદિત બની રહ્યા. દેશવિદેશમાં મુસ્લિમ નેતાઓ કે સંસ્થાના આગેવાનો કે ઝનૂની લોકો દ્વારા થતો વિરોધ ફક્ત ‘સેતાનિક વર્સીસ’ પૂરતો મર્યાદિત ન રહ્યો. ‘ઇસ્લામનું અપમાન કરનાર’, ખુદ મુસ્લિમ, એવા રશદીના તે વિરોધી થઇ ગયા. રશદી ૨૦૧૨ના જયપુર સાહિત્યિક સમારંભમાં આવવાના છે, એવા સમાચાર જાહેર થતાં તોફાનનાં વાદળાં ઘેરાવા લાગ્યાં.
‘સેતાનિક વર્સીસ’ લખ્યા પછી રશદી પહેલી વાર ભારત આવતા ન હતા. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં બીજા વર્ષે (૨૦૦૭માં) તે હાજર રહ્યા હતા. ફેસ્ટિવલના એક આયોજક વિલિયમ ડેર્લિમ્પિલે યાદ કર્યું હતું કે એ વખતે રશદીની સાથે એક અંગરક્ષક સુદ્ધાં ન હતો. એ નિરાંતે સૌને મળ્યા હતા. લેખકો અને વાચકો સાથે વાતો કરી હતી. ત્યારે કોઇ ડખો થયો ન હતો. પરંતુ જાન્યુઆરી ૨૦૧૨ની વાત જુદી હતી. આ વર્ષે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવે છે, જેમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે કોંગ્રેસ પ્રચંડ પ્રયાસ કરી રહી છે. મુસ્લિમહિતનું કોઇ નક્કર કામ કર્યા વિના તેમના મત અંકે કરવાની જૂની અને જાણીતી પદ્ધતિ મુસ્લિમોમાંથી કટ્ટરવાદી નેતાગીરી સામે ધૂંટણીયે પડવાની છે.

સરકાર અને સંસ્થાઓ દેવબંદ (ઉત્તર પ્રદેશ)ની મુસ્લિમ ધાર્મિક સંસ્થા દારૂલ ઉલુમે રશદીના ભારત આગમન સામે રણશીંગું ફૂંક્યું. ત્યાંથી શરૂ થયેલો વિરોધનો દાવાનળ જયપુર અને દિલ્હી સુધી પહોંચ્યો. ત્યાં સુધી રશદીનું જયપુર આવવાનું નક્કી હતું. હોટેલનો રૂમ બુક થઇ ગયો હતો. રાજસ્થાનની કોંગ્રેસી ગેહલોત સરકારે તેમને રક્ષણની બાંહેધરી આપી હતી. પછી ધીમે ધીમે સરકારના અસલી ઇરાદા પરનો નકાબ ઉતરવા લાગ્યો. ‘ગુપ્તચર બાતમી’ આગળ કરીને રાજસ્થાન સરકાર દ્વારા રશદીને એવો સંદેશો પહોંચાડવામાં આવ્યો કે ‘મુંબઇના એક ડોને તમારી હત્યા માટે સોપારી આપી છે.’

દેવબંદના વિરોધથી વાત વણસવા લાગી હતી. રશદી આવે તો પણ સલામતી-બંદોબસ્ત પાકો રાખવો પડે એમ હતો. તેનાથી આયોજનની સ્વાભાવિકતા અને અનૌપચારિકતા પર ગંભીર અસર પડે એમ હતી. મોતની ધમકીની વાત આવ્યા પછી રશદીને નવેસરથી વિચારવાની ફરજ પડી. એક બાજુ રક્ષણ આપવાની તત્પરતાનો ડોળ કરતી સરકાર એ જ શ્વાસમાં ‘મુંબઇના ગેંગસ્ટરે તમારી સોપારી આપી છે’ એવું કહે ત્યારે તેનો અર્થ શું થાય, તે રશદી જેવાને સમજાવવું પડે? તેમણે જયપુર આવવાનું માંડવાળ કર્યું. પછીથી તેમણે એવું પણ કહ્યું કે હું જયપુર ન આવું એ માટે ગુપ્તચર માહિતીના નામે મને ભડકાવવામાં આવ્યો હતો.

‘સેતાનિક વર્સીસ’ને બદલે આખેઆખા રશદીનો વિરોધ કરનારાની દાદાગીરી અને તેની ઉપર ચાર ચાસણી ચડે એવી સરકારની કુટિલતાથી મર્યાદિત વર્તુળોમાં ભારે અસંતોષ ફેલાયો.

વિરોધનો વિરોધઃ લાંબોપહોળો પથારો પાથરીને બેઠેલાં આયોજકોએ વાજબી વસવસો પ્રગટ કરીને બાકીના કાર્યક્રમ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ ફેસ્ટિવલના પહેલા જ દિવસે ધડાકો થયોઃ જાન્યુઆરી ૨૦ના રોજ ચાર જણ- લેખક હરિ કુંઝરુ, વિવેચક અમિતાવ કુમાર, કવિ જીત થાઇલ અને ફિલ્મકાર રુચિર જોશીએ રશદીના મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે ‘સેતાનિક વર્સીસ’માંથી કેટલાક (બિનવિવાદાસ્પદ) અંશોનું જાહેરમાં પઠન કર્યું. ત્યાં ઉપસ્થિત બી.બી.સી.ના સંવાદદાતાએ નોંઘ્યા પ્રમાણે, લોકોએ બહુ રસથી અને શાંતિપૂર્વક એ સાંભળ્યું. કોઇની ઉશ્કેરણી ન થઇ ને કાયદો-વ્યવસ્થા જોખમાયાં નહીં. (ધક્કામુક્કી ને ધસી જવામાં) ‘રગ્બી ટીમની હરીફાઇ કરે એવાં’ટીવી પત્રકારો ત્યાર પછી પહોંચ્યા.

વિરોધવાચન કરતાં પહેલાં બ્રિટનસ્થિત હરિ કુંઝરુએ ટ્‌વીટર પર પોતાનો ઇરાદો જાહેર કરી દીધો હતો. ખરો કકળાટ શાંતિપૂર્વક પઠન થઇ ગયા પછી શરૂ થયો. ચારે સામે ફરિયાદો થઇ અને વકીલની સલાહ પ્રમાણે ધરપકડ ટાળવા માટે ચારે જણ જયપુરથી રવાના થઇ ગયા. તેમની સામે જયપુર અને અજમેરમાં કુલ અડધો ડઝન પોલીસ કેસ કરવામાં આવ્યા છે. કેસ કરનારમાં ભાજપના લધુમતી મોરચાનો પણ સમાવેશ થાય છે.

આયોજકોનો અભિગમઃ ‘સેતાનિક વર્સીસ’માંથી પઠન કરતાં આયોજકોની સ્થિતિ કફોડી થઇ. એક તરફ અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો અધિકાર અને બીજી તરફ આયોજનને પાર ઉતારવાનો તકાદો. આયોજકોમાંના એક વિલિયમ ડેર્લિમ્પિલે ખુલાસો કરતાં કહ્યુંઃ ‘એક જૂના કાયદા પ્રમાણે પ્રતિબંધિત પુસ્તકનું જાહેર પઠન કરવું એ પણ સજાપાત્ર ગુનો છે, તેની ચારે જણને ખબર નહીં હોય. પણ તેમણે એટલું સારું કર્યું કે ‘આ પઠન તેમણે પોતાની મુન્સફીથી કર્યું છે. સમારંભના આયોજકોને તેની સાથે કશી લેવાદેવા નથી’ એવું લેખિત નિવેદન તેમણે અમને કરી આપ્યું. તેનાથી પહેલા જ દિવસે આયોજન સમેટી લેવું ન પડ્યું અને સમારંભ ચાલુ રહી શક્યો.’

વિલિયમે ત્યારે એવું આશ્વાસન લીઘું અને આપ્યું હતું કે ‘અમે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણ કરીએ છીએ. સલમાન રશદી સાથે અમે વિડીયો કોન્ફરન્સ કરીશું. જે થયું તેનો વિરોધ પણ કરીશું. છતાં વિરોધ કાયદાની હદમાં રહીને કરવો પડે.’ પરંતુ ખરો ખેલ ત્યારે થયો, જ્યારે રશદી સાથે વિડીયો વાર્તાલાપનો વિચાર પણ પડતો મૂકવો પડ્યો. ભારે દબાણ હેઠળ યજમાને જાહેર કર્યું કે સમારંભમાં હાજર સૌની સલામતીને ઘ્યાનમાં રાખતાં અને વ્યાપક હિતમાં રશદી સાથે વિડીયો વાર્તાલાપ રદ કરવામાં આવે છે.

દિગ્ગી પેલેસના માલિક એવા યજમાનને તેમના આંગણે તોફાન ન થાય એની ચિંતા અથવા સત્તાધીશોને નારાજ ન કરી શકવાનું રાજકીય દબાણ હોય, આયોજકોને વ્યવહારિયા રસ્તા કાઢીને સમારંભ હેમખેમ પૂરો કરવાની તાલાવેલી હોય, પણ વિરોધ કરનાર ચાર લેખકોનું શું? એ તો વિરોધ કરવા માટે જ ઊભા થયા હતા. દલીલ ખાતર માની લઇએ કે ‘સેતાનિક વર્સીસ’માંથી જાહેર પઠન કરવામાં કાયદાનો ભંગ થતો હોય તો પણ, એ પગલું તેમણે વ્યાપક લોકશાહી અધિકારો પર ભાર મૂકવા અને તેના હનન પ્રત્યે પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે ભર્યું હતું. થોડી વઘુ હિંમત કરીને તેમણે ધરપકડ વહોરી હોત તો? આયોજકોનું કદાચ ખરાબ દેખાત, પણ ચાર જણનું વિરોધ પ્રદર્શન સાર્થક બની રહેત. એટલું જ નહીં, તેમના જેલવાસને કારણે સરકારી સકંજા તળે થતી રૂંધામણનો મુદ્દો ગાજતો થયો હોત. દેશવિદેશના આટલા લેખકો હાજર હોય ત્યારે સેન્સરશીપના ભંગ બદલ ચાર લેખકોની ધરપકડ કરવાથી દંભી સરકારને નીચાજોણું થયું હોત અને દબાણ આયોજકોને બદલે સરકાર પર આવત.

કાનૂની અભિપ્રાય અને સારઃ કેટલાક પાયાદાર કાનૂની અભિપ્રાયોમાં એવું જણાવાયું છે કે ‘સેતાનિક વર્સીસ’નું ભારતમાં પ્રકાશન કરાયું ન હતું. એ ફક્ત બ્રિટનમાં પ્રકાશિત થઇ હતી. એટલે એ સમયે તેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટૂંકમાં, જે પ્રતિબંધ છે તે આયાત પરનો છે. ત્યાર પહેલાં ભારત આવી ગયેલી નકલ રાખવા કે વાંચવામાં કશો ગુનો બનતો નથી. ઇ.સ. (ઇન્ટરનેટ સન) પૂર્વેનો આ પ્રતિબંધ હવે બેમતલબ બની ગયો છે. કારણ કે ઇ-બુક તરીકે ‘સેતાનિક વર્સીસ’ સહેલાઇથી મેળવી શકાય છે. આ અભિપ્રાયને કલમોની આંટીધૂંટી વડે પડકારી શકાય એ જુદી વાત છે.

માઇલેજ ખાટવામાં મહારથી લેખક ચેતન ભગત સહિત કેટલાક લોકોએ રશદી પ્રત્યે આદર રાખીને પણ એવો મત પ્રગટ કર્યો કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કોઇની લાગણી દુભાવી ન શકાય. આ મુદ્દે ચર્ચામાં ઉતરવાથી વાત આડા પાટે ફંટાય છે. કારણ કે જયપુરનો મૂળ વિવાદ ‘સેતાનિક વર્સીસ’ વિશેનો નહીં, તેના લેખકને આખેઆખો પ્રતિબંધિત કરવાનો છે. લેખક રૂબરૂ પણ નહીં ને તેની સાથે વિડીયો ચેટ પણ નહીં, એવા પ્રતિબંધથી જ કોઇની લાગણી સંતોષાતી હોય તો એ લાગણીની કિંમત કેટલી?

પ્રતિબંધોનો ગુજરાતને પણ સારો એવો અનુભવ છે. જસવંતસિંઘે લખેલા પુસ્તકમાં સરદારના ઉલ્લેખોને લઇને (વાંચ્યા વિના) મૂકાયેલો પ્રતિબંધ હોય કે ‘પરઝાનિયા’ સામેનો અઘોષિત પ્રતિબંધ- સરકારનો દંડો એકસરખી રીતે જ ચાલે છે. એ મુદ્દે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ અને ગજું ધરાવતા સાહિત્ય સમારંભો પણ ‘ધંધો પહેલો’ અથવા ‘કાર્યક્રમની સફળતા વધારે અગત્યની છે’ એવી નીતિ અપનાવશે, તો બે-ચાર નિવેદનો કે ઓનલાઇન પીટીશનથી સરકારો શરમાય કે સુધરે એવી અપેક્ષા રાખી શકાય નહીં.

Monday, January 30, 2012

‘મૂરખરાજ અને તેના બે ભાઇઓ’ : તોલ્સ્તોયની વાર્તા, ગાંધીજીનો અનુવાદઃ ૧૦૦ વર્ષ પછી

વિજ્ઞાનકથાઓ-સાયન્સ ફિક્શનમાં લખાયેલી કલ્પના વર્ષો પછી સાકાર થાય ત્યારે કેવો રોમાંચ થાય? ભવિષ્યના આગોતરા વિશ્વદર્શનની એવી લાગણી, જરા જુદી રીતે, તોલ્સ્તોયે લખેલી ‘ધ સ્ટોરી ઓફ ઇવાન ધ ફૂલ’/ The Story Of Ivan The Fool માં થઇ શકે છે. ઘડતરકાળમાંથી પસાર થઇ રહેલા ગાંધીજીને તે એટલી પસંદ-અનુકૂળ પડી કે તેમણે એનો ગુજરાતી અનુવાદ કર્યો. નામ આપ્યું:‘મૂરખરાજ અને તેના બે ભાઇઓ’. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ઓક્ટોબર ૭, ૧૯૧૧ના અંકમાં ગાંધીજીની પ્રસ્તાવના સાથે એ કથાનો પહેલો હપ્તો છપાયો અને છેલ્લો, તેરમો હપ્તો ૩૦ ડિસેમ્બર, ૧૯૧૧ના ‘ઓપિનિયન’માં.

ગાંધીજી ત્યારે દક્ષિણ આફ્રિકાના ફિનિક્સમાં ‘તોલ્સ્તોય આશ્રમ’ સ્થાપી ચૂક્યા હતા. તોલ્સ્તોય/ Leo Tolstoy જેના લેખક તરીકે જગમશહૂર બન્યા તે ‘વોર એન્ડ પીસ’ અને ‘અન્ના કેરેનીના’ જેવી નવલકથાઓ વાંચવાની ત્યારે ગાંધીજીની વૃત્તિ ન હતી. તેમને તોલ્સ્તોયના ધર્મચિંતન અને સમાજચિંતનમાં ઊંડો રસ પડ્યો. સવિનય કાનૂનભંગ, સત્યાગ્રહ, સર્વોદય અને શરીરશ્રમ-મહેનતનો રોટલો (બ્રેડલેબર) જેવા વિચારો અંગે તેમના મનમાં નવો ઉઘાડ થયો હતો. અમલના અખતરા ચાલુ હતા. ‘મૂરખરાજ’ એ જ દિશા ચીંધતી અને એ આદર્શોને ઉજાગર કરતી કથા હતી. તેના પહેલા પ્રકરણ સાથે આપેલી ‘પ્રસ્તાવના’માં ગાંધીજીએ ખુલાસો કર્યો હતો કે ‘અમે વાતનો શબ્દાર્થ તરજુમો નથી આપ્યો, છતાં તેનું રહસ્ય બરોબર સમજી શકાય તેવી રીતે આપણી ભાષામાં ઠીક લાગે તેવી રીતે લખાણ કરવા પ્રયત્ન કર્યો છે.’

તોલ્સ્તોયે આ કથા ઇ.સ.૧૮૮૫માં લખી ત્યારે વિશ્વયુદ્ધ થયાં ન હતાં. અમેરિકા સુપરપાવર બન્યું ન હતું. કોર્પોરેટ કલ્ચરનો અને ઉપભોક્તાવાદનો સકંજો ભીડાયો ન હતો. મોટા ભાગના દેશો માટે લોકશાહી બહુ દૂરની વાત હતી. પરંતુ તોલ્સ્તોયે સાહિત્યની દૃષ્ટિએ જોતાં જાડી-ઉપદેશાત્મક લાગે એવી આ વાર્તામાં કેટલાંક એવાં પ્રતીક-રૂપક-પ્રસંગ મૂક્યાં, જે સવા સદી પછી પણ લાગુ પાડી શકાય. બલ્કે, વાંચતી વખતે એવું લાગે કે ‘આવું બનવાનું છે એની તોલ્સ્તોયને શી રીતે ખબર પડી?’

વાતના કેન્દ્રમાં ત્રણ ભાઇઓ ને એક બહેન છેઃ ઇવાન ધ ફૂલ, સાઇમન ધ સોલ્જર, તારાસ ધ સ્ટાઉટ અને મૂંગી બહેન માર્થા. ગુજરાતી અનુવાદમાં ‘રશિયન નામઠામ વાંચતાં વાતનો રસ ઘટે એમ ધારી’ હિંદી નામ રાખવામાં આવ્યાંઃ મૂરખરાજ, સમશેરબહાદુર, ધન્વંતરિ અને બહેન મોંઘી. સમશેરબહાદુર રાજાઓની નોકરી કરતો યુદ્ધપ્રિય સિપાઇ, ધન્વંતરિ વેપારી અને મૂરખરાજ ખેતરમાં મહેનતમજૂરી કરીને વૃદ્ધ માતા-પિતા અને બહેનનું ઘ્યાન રાખનારો.
ચારે ભાઇબહેન વચ્ચે બાપીકી મિલકતના ભાગ પડ્યા ત્યારે બે ભાઇઓ બઘું લઇ ગયા ને મૂરખરાજના ભાગે એક ઘરડી ઘોડી સિવાય કંઇ ન આવ્યું. ત્યાંથી કથાની શરૂઆત થાય છે. બાઇબલની પરંપરા પ્રમાણે, કથામાં એક શેતાન અને તેના ત્રણ વેંતિયા-પૂંછડીયા ગુલામ વિલન છે. મિલકતની અસમાન વહેંચણી વખતે મૂરખરાજ વાંધો લેતો નથી, એટલે ત્રણે ભાઇઓ વચ્ચે ઝઘડો થતો નથી. તેનાથી દુઃખી થઇને સેતાન ત્રણે ગુલામોને એક-એક ભાઇ પાસે મોકલી આપે છેઃ તેમને અવળા રસ્તે દોરીને પાયમાલ કરવા.

બાકીના બે ભાઇઓમાં સેતાન સફળ થાય છે, પણ મૂરખરાજ કોઇ પણ સંજોગોમાં, ગમે તેટલું કઠણ કામ,હિંમત હાર્યા વિના કરવામાં માને છે. કોઇ પોતાનું કામ બગાડે તો પણ ચિઢાયા વગર, એ કામ આગળ વધારે છે- બમણી મહેનત કરે છે. એટલે દુનિયાદારીની રીતે એ ‘મૂરખ’ છે, પણ કાવતરાબાજ સેતાનના ગુલામો તેની ‘મૂર્ખામી’ સામે થાકીને હારી જાય છે.

ત્રણે ગુલામો મૂરખરાજને એક-એક વરદાન આપીને પોતાનો જીવ બચાવે છે. એક વરદાન છેઃ ‘તમે ચાહો તેમાંથી સિપાઇ પેદા કરી શકો.’ બીજું વરદાન છેઃ વૃક્ષનાં પાંદડાં હાથમાં ચોળતાં સોનું બની જશે.

મૂરખરાજને હડઘૂત કરતા બન્ને ભાઇઓ વરદાન વિશે જાણીને ફરી તેની પાસે આવે છે. સમશેરબહાદુર સિપાઇઓનું લશ્કર લઇને રાજ્ય જીતવા ને ધન્વંતરિ સોનું લઇને વેપાર કરવા ઉપડી જાય છે, પણ મૂરખરાજ ખેતરનું કામ-શ્રમનું જીવન-અંગમહેનત-બ્રેડલેબર ચાલુ રાખે છે. ત્રીજા વરદાનથી તે માંદાને સાજા કરવાની શક્તિ ધરાવે છે. તેનાથી રાજકુમારીને સાજી કરી દેતાં રાજા મૂરખને પોતાની કુંવરી સાથે પરણાવે છે. રાજાના મૃત્યુ પછી તે રાજા-મૂરખરાજ - બને છે, પણ ખેતીનું કામ ચાલુ રાખે છે. લોકો કહે છે ‘રાજાથી કામ ન થાય.’ ત્યારે મૂરખરાજ પૂછે છે,‘શું રાજા ખાય નહીં? અને જો ખાય તો કામ ન કરે?’ જે ખાય તે સૌ શરીરશ્રમનું કામ કરે એવી પ્રતીતિ ધરાવતા ગાંધીજીને મૂરખરાજ સાથે કેવી એકાત્મતા લાગી હશે એ ધારી શકાય.

સિપાઇઓના અને સોનાના જોરે સુખી થયેલા સમશેરબહાદુર -ધન્વંતરિ પાસે ખુદ સેતાન વેશ બદલીને પહોંચે છે. પહેલાં તે સમશેરબહાદુરનો સેનાપતિ બનીને તેને યુદ્ધના અને વઘુ સંહારક શસ્ત્રોના માર્ગે ચઢાવે છે. તેનું જોઇને બીજા રાજાઓ પણ વિનાશક શસ્ત્રોની હરીફાઇમાં ઉતરે છે. વિમાન શોધાયાં ન હતાં ત્યારે તોલ્સ્તોયે આ કથામાં ‘સેતાની કારનામા’ તરીકે શત્રુઓ પર દારૂગોળો વરસાવી શકે એવાં હવાઇ જહાજોની કલ્પના કરી હતી. વીસમી સદીની મહાસત્તાઓનું અને ‘પ્રગતિશીલ’ કહેવાતા દેશોનું આ પ્રમુખ લક્ષણ રહ્યું છેઃ જેની પાસે વિનાશકારી શસ્ત્રોનો ખજાનો મોટો, તેનો મોભો વધારે મોટો.

રૂપિયાના જોરે રાજ ચલાવતા ધન્વંતરિ પાસે સેતાન, મસમોટી મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિની યાદ અપાવે એવો વેપારી બનીને, પહોંચે છે. બજારભાવ કરતાં ઊંચા ભાવે એ બધો માલ ખરીદે. એટલે લોકો એને ત્યાં માલ વેચે ને રાજ્યમાં કર ભરે. રાજ્યમાં થતી આવકથી ધન્વંતરિ હરખાય અને વેપારીથી પોતાને કેટલો ફાયદો થાય છે તેની ગણતરીમાં રાચે. પણ વખત જતાં રાજ્યમાં કામ કરનારા બધા સેતાનના નોકર થઇ જાય છે. રાજ્યનો રાજા ભલે ધન્વંતરિ હોય, પણ અસલી રાજ સેતાનનું ચાલે છે. માણસ કે કે ચીજવસ્તુ જોઇતી હોય તો રાજાને પણ સેતાનની દયા પર નભવું પડે છે. (આ વાંચીને મોટી કંપનીઓ અને રાજનેતાઓ વચ્ચેના સંબંધો યાદ ન આવે તો જ નવાઇ.)

બે ભાઇઓ પાસે સફળ થયેલો સેતાન મૂરખરાજ પાસે ફાવતો નથી. મૂરખરાજનો સેનાપતિ બનીને તે લોકોને લશ્કરમાં ફરજિયાત ભરતી થવાનું કહે છે, પણ લોકો ઇન્કાર કરે છે. મૂરખરાજ સમક્ષ તે ફરિયાદ કરવા જાય છે ત્યારે મૂરખરાજ તેમને કહી દે છે કે ‘સેનાપતિનું બોલવું હું પોતે સમજતો નથી. એટલે તમારે સૈન્યમાં દાખલ ન થવું હોય તો ન થજો.’ સવિનય અવજ્ઞાનો- પોતાને અનૈતિક લાગે એવા આદેશની પૂરા આદર સાથે અવગણના કરવાનો- આ બોધપાઠ છે, જે એકાદ દાયકા પછી ગાંધીજી ભારતની પ્રજાને આપવાના છે.

સેતાન પાડોશી રાજાને ઉશ્કેરીને મૂરખરાજના રાજ્ય પર ચડાઇ કરાવે છે. સિપાઇઓ લૂંટફાટ કરે છે ત્યારે મૂરખરાજની પ્રજા સામે થવાને બદલે તેમને કહે છે, ‘તમારે અમારા દાણા અને ઢોરનો ખપ હોય તો ભલે લઇ જાવ. તમારા ગામમાં તેની તંગી હોય તો તમે અમારા ગામમાં આવીને જ વસો. એમ કરશો તો તમને દાણો સારી જવાની અને ઢોર હાંકી જવાની તકલીફ નહીં પડે.’ ભારતમાં થયેલા સત્યાગ્રહો અને ચળવળોમાં ગાંધીજીએ આ પ્રકારનું મનોબળ પ્રજામાં કેળવાય એવું ઇચ્છ્‌યું હતું. તેમને એવો વિશ્વાસ હતો કે એમ કરવાથી વહેલામોડા સામેના માણસનું હૃદયપરિવર્તન થયા વિના ન રહે.

‘મૂરખરાજ’ વાર્તામાં પોતે લડવા આવ્યા છે ને કોઇ લડનાર નથી તે જાણીને સિપાઇઓ નિરાશ થાય છે. રાજાના હુકમથી તે ઘર અને દાણા બાળવા જાય છે તો ખરા, પણ ‘જોઇએ તો લઇ જાવ. નકામું નુકસાન શા માટે કરો છો?’ એવી લોકોની દલીલ સામે તે પીગળી જાય છે અને રાજાની નોકરી છોડી દે છે. એ વાંચતી વખતે, સત્યાગ્રહ વખતે અંગ્રેજ સરકારની નોકરીમાંથી રાજીનામાં આપનારા તલાટી-મુખીઓ-બીજા હોદ્દેદારોની યાદ તાજી થાય છે.

ઘૂંધવાયેલો સેતાન મૂરખરાજની પ્રજાને ‘તમે ઢોરની માફક રહેતા જણાઓ છો. માણસને છાજે તેમ રહેતાં તમને બતાવું.’ એમ કહીને ઉપભોક્તાવાદના રવાડે ચડાવવા પ્રયાસ કરે છે. તેના માટે પોતે, ઉદાર શરતે લોન કે ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડની જેમ, મહેનતાણામાં સોનામહોરોની લાલચ આપે છે. પણ મૂરખરાજના રાજ્યમાં નાણાંનું ચલણ નથી. લોકો એકબીજાની જરૂરિયાતની ચીજવસ્તુઓનું સાટું કરીને જીવન વીતાવે છે.

મૂરખરાજને ઘેર સેતાન સહિત સૌ કોઇ માટે મફત ભોજનની વ્યવસ્થા છે, પણ બહેન મોંઘીનો નિયમ છેઃ જેના હાથ પર કોદાળીનાં આંટણ પડ્યાં હોય તેમને પહેલાં જમવાનું આપવાનું અને આંટણ ન હોય એવા આળસુઓને પછી. ત્યાં સેતાન એવી દલીલ કરે છે કે ‘અક્કલવાન માણસોએ મજૂરી કરવાની ન હોય.’ મૂરખરાજને તે કહે છે કે ‘હાથથી કામ કરવા કરતાં મગજથી કામ કરવું સો ગણું મુશ્કેલ છે. કેટલીક વાર મગજ ચીરાઇ જાય છે.’ મૂરખરાજ ભોળપણથી કહે છે, ‘સારું. હાથપગ થાકશે ત્યારે અમે મગજનો ઉપયોગ કરીશું. અમને મગજથી કામ કરતાં શીખવ.

મૂરખરાજ સેતાનને ગામના ઊંચા મિનારા પર મોકલે છે, જ્યાંથી તે પોતાની વાત સમજાવી શકે. સેતાનને લાગે છે કે તેને પોતાનો પ્રચાર કરવાની તક મળી. તે બુદ્ધિનો મહિમા કરતી ભાષણબાજી ચાલુ કરી, પણ લોકોને તેમાં રસ નથી. કારણ કે તેમાં કશું ‘કામ’ દેખાતું નથી. બૂમો પાડીને સેતાન થાકે છે. મિનારાની ટોચે ખાવા-પીવાની પણ વ્યવસ્થા નથી. કારણ કે ફક્ત મગજથી કામ કરી જાણતો સેતાન મગજના જોરે ખાવાનો બંદોબસ્ત કરી લેશે એવું માની લેવાય છે.આખરે સેતાન હારે છે ને નાસી જાય છે.

વાર્તાના અંતમાં તોલ્સ્તોય લખે છેઃ ‘ઇવાન હજુ જીવે છે. તેના રાજ્યમાં લોકો ઉમટે છે. તેના ભાઇઓ પણ આવ્યા છે. એમને તે જમાડે છે. જે લોકો ભોજન માગતા આવે એ સૌને ઇવાન આવકારીને કહે છે, અમારી પાસે બધાને થાય એટલું છે.’ અલબત્ત, એક નિયમ તેના રાજમાં અફર છેઃ જેના હાથમાં મહેનતને કારણે આંટણ પડ્યાં હોય એવા લોકોને ભોજનના ટેબલ પર બેસાડવામાં આવે છે અને જેમની હથેળી સુંવાળી હોય તેમને વધેલાઘટેલા ભોજનથી ચલાવી લેવું પડે છે.

ગાંધીજી પોતાની રીતે વાર્તાનો અંત કરતાં લખે છેઃ ‘મૂરખરાજના રાજ્યમાં તો ઘણા સારા માણસો એકઠા થવા લાગ્યા. તેના બંને ભાઇ તેને શરણ આવ્યા. તેઓ મૂરખાની સાદી પણ ભવ્ય રહેણીનું રહસ્ય સમજ્યા. તેઓએ પણ એવી સાદાઇ પકડી. તે સહુ નીતિધર્મ સાચવી, સત્યનું સેવન કરી, અંગમહેનત કરી, સુખેથી કાળ ગુજારવા લાગ્યા.’

પહેલી વાર ૧૯૬૪માં ‘નવજીવન’ દ્વારા પ્રકાશિત થયેલી આ બાળવાર્તા જેવી લાગતી પુસ્તિકા બે વર્ષ પહેલાં પુનઃમુદ્રિત થઇને ઉપલબ્ધ બની છે. તે વાંચવી-સમજવી એ પણ ગાંધીજીને યાદ કરવાની-તેમને અંજલિ આપવાની એક રીત છે.

Saturday, January 28, 2012

મારિઓ મિરાન્ડાની 'યાદેં'

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાહેર થતાં સન્માનોમા સદગત કાર્ટૂનિસ્ટ મારિઓ મિરાન્ડા/Mario Mirandaને પદ્મવિભૂષણ મળ્યો. મૃત વ્યક્તિને એવોર્ડ આપવાનો શો અર્થ છે એ મને સમજાતું નથી. એટલે જ, મારિઓ જેવા પ્રિય કલાકારનું સન્માન થવા છતાં, એ મરણોત્તર થયાથી તેનો ખાસ-થવો જોઇએ એટલો- આનંદ ન થયો. 

મારિઓના મૃત્યુ પછી તેમનું વૈવિધ્યપૂર્ણ કામ યાદ કરીને આ બ્લોગ પર તેમને વિગતવાર અંજલિ આપી હતી. એ વખતે તેમાં એક વાત બાકી રહી ગઇ હતીઃ સુનિલ દત્ત/Sunil Duttની એકપાત્રી ફિલ્મ 'યાદેં'/Yaadeinમાં મારિઓનું પ્રદાન. 'વાગલેકી દુનિયા' કે 'આર.કે.લક્ષ્મણકી દુનિયા'ના દાયકાઓ પહેલાં 1964માં સુનિલ દત્તે મારિઓનાં કાર્ટૂનના પિક્ચરાઇઝેશનનો નવતર પ્રયોગ કર્યો હતો. મારિઓનાં કાર્ટૂનને તેમણે સંગીત અને સંવાદો વડે જીવંત બનાવીને એક નવું જ પરિમાણ આપ્યું હતું.

 'યાદેં'ની સીડી લેખક-અધ્યાપક મિત્ર કાર્તિકેય ભટ્ટ પાસેથી મળતાં, મારિઓનાં કાર્ટૂનના સુનિલ દત્તે કરેલા પિક્ચરાઇઝેશનની કેટલીક તસવીરો અને નીચે તેની વિડીયો લિન્ક મૂકી છે. 'રસ ધરાવતી પાર્ટીઓ' તસવીરોની સાથે વિડીયો પણ ખાસ જુએ, તો કાર્ટૂનનો આ રીતે પણ ઉપયોગ થઇ શકે તેનો અંદાજ આવશે.

મારિઓ-ચિત્રીત પાત્રસૃષ્ટિ વચ્ચે 'યાદેં'નો એકમાત્ર અભિનેતા સુનિલ દત્ત

'યાદેં'ના ટાઇટલમાં આવતી મારિઓની ક્રેડિટ લાઇન










આ કાર્ટૂનો સાથે યથાયોગ્ય મસ્તીભર્યા સંવાદ પણ મૂકવામાં આવ્યા છે. જેમ કેઃ 'પેરીન ડાર્લિંગ, તારો ફેસ કાં છે? મને દેખતો નથી.' 'મરે રે રુસ્તમ. એમ સું કરેચ? તારી ડારીની નીચે તો છે.'






અને મારિઓના કાર્ટૂનના વિશિષ્ટ ઉપયોગની મઝા કરાવતી બે વિડીયો લિન્ક

Thursday, January 26, 2012

મહાનુભાવોનાં પૂતળાં વચ્ચે મોબાઇલ વાર્તાલાપ

ભારતવર્ષમાં માણસ કરતાં પૂતળાં વધારે પૂજાય છે. કારણ કે પૂતળાં ઉપદેશ આપતાં નથી, પૂતળાં સવાલ પૂછતાં નથી, પૂતળાં જવાબ માગતાં નથી, પૂતળાં સામે બોલતાં નથી, પૂતળાં બે આંખની શરમ ભરાવતાં નથી, પૂતળાં નાસીને ક્યાંય જઇ શકતાં નથી (સિવાય કે તેમને સરકારી રાહે ઉપાડીને બીજે ખસેડવામાં આવે), પૂતળાં ચાહે તો પણ છુપાઇ કે સંતાઇ શકતાં નથી (સિવાય કે ચૂંટણીપંચ ચૂંટણી ટાણે તેમની પર ઢાંકપિછોડો કરીને તેમને અદૃશ્ય બનાવી દે). ભાવુક લોકો કહે છે કે મહાપુરૂષો અને મહાસ્ત્રીઓનાં પૂતળાં આવનારી પેઢીને પ્રેરણા આપે છે. સચ્ચાઇ એ છે કે પૂતળાં સાથે કેવું વર્તન કરવું તેની પ્રેરણા આવનારી પેઢી મોટે ભાગે માણસો પાસેથી નહીં, પણ પક્ષીઓ પાસેથી ગ્રહણ કરે છે.

ટાઢ-તડકો-વરસાદ-ફૂલના, સુતરના અને જૂતાંના હારતોરા- જૂઠાં આદરમાન આ બઘું ચૂપચાપ અને સમાન ભાવે સહન કરતાં પૂતળાં ટેકનોલોજીની કોઇ તરકીબથી મોબાઇલ વાપરતાં થઇ જાય અને જીવંત મનુષ્યો સાથે ભલે નહીં, પણ એકમેક સાથે વાત કરી શકે-એકમેકની વાત સાંભળી શકે (કોન્ફરન્સિંગ કરી શકે) તો?
***

ગાંધીજીઃ (હાથમાં પકડેલી લાકડી નીચે મૂકતાં) હાશ..

સરદારઃ શું થયું બાપુ? ફોન પર કેમ હાશકારો નીકળી ગયો?

ગાંધીજીઃ વર્ષોથી મને લાકડી પકડાવીને ઊભો કરી દીધો છે. દરેક ગાંધીજયંતિએ મને ઇચ્છા થાય છે કે સુતરની આંટી લઇને આવનારા નેતાઓને લાકડીનો સ્વાદ ચખાડું પણ...

ડો.આંબેડકરઃ આ બાબતે હું તમારી સાથે સંમત છું, ગાંધીજી. હું તમારા જેવો શાંત નથી. મારી તિથી પર લોકો મને હાર ચડાવવા આવે ત્યારે દરેક વખતે હું આંગળી ચીંધી ચીંધીને કહું છે કે આ જ લોકોએ મારા ને તમારા સ્વપ્નને રોળી નાખ્યું છે. પણ મારા આંગળીચીંધામણને લોકો પૂતળાની મુદ્રા ગણી લે છે.

માયાવતીઃ ડાક્ટરસા’બ, તમારો અવાજ સાંભળીને હું એટલી બધી રાજી થઇ છું કે શું કરવું સૂઝતું નથી. મને લાગે છે કે હું હજાર-બે હજાર કરોડના ખર્ચે મારાં ને તમારાં ને માન્યવર કાંશીરામજીનાં બીજાં પાંચ-પચીસ પૂતળાં ઊભાં કરાવું.

રાણી લક્ષ્મીબાઇઃ (બેકગ્રાઉન્ડમાં ઘોડાની હણહણાટી સંભળાય છે) બે હાથે તલવાર ચલાવવી એક વાત છે. એ મને ફાવે, પણ એક હાથમાં ઘોડાની લગામ ને બીજા હાથમાં મોબાઇલ પકડવાનું બહુ ફાવતું નથી.

ભગતસિંઘ તો ઘોડાની નીચે ઉતરી જાવ.

લક્ષ્મીબાઇઃ પણ ઘોડાની નીચે ઉતરું તો પછી મને ઓળખે કોણ?

ભગતસિંઘ હા, એ વાત ખરી. મને પણ એ પ્રોબ્લેમ નડે છે. એટલે તો હું કદી હેટ કાઢતો નથી. લોકોને મન ભગતસિંઘ એટલે હેટ ને મૂછો. આપણે કોના માટે, શાના માટે મોતને ભેટ્યા એ જાણવાની કોને પરવા છે રાણીજી?

સાવરકરઃ એમ નિરાશ ન થશો. મેં ૧૮૫૭ના સંગ્રામ વિસે આખું પુસ્તક લખ્યું છે.

ઇન્દુલાલ યાજ્ઞિકઃ પણ એ પુસ્તક ‘વાંચે ગુજરાત’ની યાદીમાં હતું? જો ના, તો તમારું પુસ્તક એળે ગયું.

સાવરકરઃ એ તો મને ખ્યાલ જ ન આવ્યો. નહીંતર મને હારતોરા કરવા નેતાઓ આવ્યા ત્યારે મેં સહેજ ઇશારો કર્યો હોત તો પણ કામ થઇ જાત.

સરદારઃ સાવરકર, તમે ક્યાં કોંગ્રેસમાં છો? અત્યારના ગુજરાતમાં તો ફક્ત કોંગ્રેસીઓનાં કામ થાય છે. (ખડખડાટ હસે છે)

સાવરકરઃ (ઘૂંધવાઇને) આના કરતાં તો હું આંદામાનમાં સારો હતો. દેખવું નહીં ને દાઝવું પણ નહીં.

ગાંધીજીઃ આપણી વચ્ચે વિચારભેદ હોવા છતાં મારે કહેવું જોઇએ કે દેશને તમારા પૂતળાની જરૂર છે.

સાવરકરઃ (હજુ ખીજ ઉતરી ન હોય એવા અંદાજમાં) હા, પક્ષીઓ બિચારાં ક્યાં જાય? મારા માથે છે એવી સરસ મજાની ગોળાકાર ટોપી બીજે ક્યાં મળવાની?

સ્વામી વિવેકાનંદઃ માય ઇન્ડિયન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ...

ગાંધીજીઃ ઓહો, આ તો સ્વામી વિવેકાનંદ. દરિદ્રનારાયણનો મહિમા કરનાર..

વિવેકાનંદઃ ગાંધી, એ વિવેકાનંદ બીજો કોઇ હશે. આ પૂતળાસ્વરૂપ વિવેકાનંદ તો દરિદ્રનારાયણના નહીં, નગદનારાયણના મહિમાનું પ્રતીક બની ગયો છે. જુઓને, મારી દોઢસોમી જન્મજયંતિ પણ કેટલી ધામઘૂમથી ઉજવાઇ રહી છે. સરકાર આ નિમિત્તે એટલાં બધાં નાણાં આપવાની છે કે સંસ્થાઓ એટલો ખર્ચ એક વર્ષમાં કરી શકે એમ નથી. એટલે મારા જન્મની દોઢશતાબ્દિ ચાર વર્ષ સુધી ઉજવાશે.

સરદારઃ ઉઠો, સફાળા જાગો અને બધા રૂપિયાનો ઘુમાડો ન થાય ત્યાં સુધી અવિરત મંડ્યા રહો. બરાબર ને જવાહર?

નેહરુઃ એમાં હું શું કહી શકું? મારી જન્મશતાબ્દિ વખતે મારા પોતરાએ પણ ગામ માથે લીઘું હતું. મારા પ્રેમીઓ ને અભ્યાસીઓ મારાથી ઉબાઇ જાય, એટલો મારો પ્રચાર કર્યો હતો.

જગજીવનરામઃ અને બાકી હતું તે તમારી દીકરીએ પૂરું કર્યું.

આંબેડકરઃ અરે વાહ, જગજીવનરામ. તમારો અવાજ સાંભળીને આનંદ થયો. તમને બોલતાં આવડે છે?

ઇંદિરા ગાંધીઃ એ તો હું પૂતળું બની ગઇ એટલે. બાકી મજાલ છે કોઇની હરફ સુદ્ધાં ઉચ્ચારે? હું જીવતી હતી ત્યારે આ બધાંને મેં જીવતેજીવ પૂતળાં બનાવી દીધાં હતાં. ખાતરી ન થતી હોય તો પૂછો મોરારજીભાઇને...પણ એક મિનીટ..મોરારજીભાઇનું પૂતળું જ નહીં હોય. જવા દો. એમાં પૂછવાની શી જરૂર છે? હું કટોકટી સિવાય જૂઠું બોલતી નથી અથવા જૂઠું બોલું ત્યારે કટોકટી આવે છે, પણ અત્યારે એવી કોઇ ચિંતા રાખવાની જરૂર નથી.

સયાજીરાવ ગાયકવાડઃ અમારે મઝા છે. આઝાદી આવી ગઇ તો પણ પૂરા રજવાડી પોશાકમાં પ્રજા સામે રહેવા મળે અને અમારા વારસદારો સંપત્તિ માટે કેવાં ઝઘડે છે એ જોવા પણ મળે.

સરદારઃ (હસતાં હસતાં) સારું થયું ને તમારાં રજવાડાં ભારતમાં ભેળવી દીધાં. નહીંતર તમારા વારસદારોની ઝઘડાઝઘડી અને ભાગબટાઇને કારણે ભારતમાં રજવાડાંની સંખ્યા સાડી પાંચસોથી વધીને સાડા પાંચ હજાર થઇ ગઇ હોત.

ઇંદિરા ગાંધીઃ હા અને મારે સાડા પાંચ હજાર રજવાડાંનાં સાલિયાણાં નાબૂદ કરવાં પડત. સાડા પાંચસોમાં આટલો કકળાટ થયો, તો એનાથી દસ ગણા વધારેમાં કેટલો કકળાટ થાય?

નેહરુઃ બેટા પ્રિયદર્શિની, તારા સવાલનો જવાબ મળી શકે એમ નથી. કારણ કે આપણા દેશમાં ગણિતશાસ્ત્રીઓનાં કે વિજ્ઞાનશાસ્ત્રીઓનાં પૂતળાં ઊભાં કરવાનો રિવાજ નથી.

રાજીવ ગાંધીઃ કદાચ લાલબહાદુર શાસ્ત્રીનું પૂતળું મળી જાય.

Tuesday, January 24, 2012

એન.આર.આઇ.ને મતાધિકારઃ હક અને હદ

ભારતીય લોકશાહીની વર્તમાન વાસ્તવિકતામાં મત એવી જણસ છે જેની મળ્યા પછી કંિમત રહેતી નથી. કોઇ પણ જાતના ભેદભાવ વિના સૌને એકસરખો મતાધિકાર મળ્યા પછી નાગરિકો મતને બહુમૂલ્ય લાગતો નથી અને નેતાઓને ચૂંટણીમાં મત મળી ગયા પછી બીજાં પાંચ વર્ષ સુધી મતની કિંમત સાંભરતી નથી.

છેલ્લાં બે-પાંચ વર્ષમાં જન્મેલાં ઘણાં બાળકો જેમ મોબાઇલ કે ઇન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના કરી શકતાં નથી, એવી જ રીતે ભારત જેવી લોકશાહીમાં સાર્વત્રિક મતાધિકાર ‘સમજ્યા હવે!’ બની ગયો છે. અંબાણીનો પણ એક મત હોય અને ઝૂંપડામાં રહેનારનો પણ એક મત હોય, એ વાતમાં રહેલું અસાધારણપણું હવે અહોભાવ કે નવાઇ પ્રેરતું નથી. તેનું એક કારણ એ છે કે ભારત જેવા ચૂંટણીશાહી વ્યવસ્થા ધરાવતા દેશમાં મત આપનાર તથા લેનાર વચ્ચે આપ-લે થઇ ગયા પછી ભાગ્યે જ કશો સંપર્ક રહે છે.

આ પરિસ્થિતિમાં એક વર્ગ એવો છે, જેને મન હજુ મતનું મૂલ્ય છે. કારણ કે તેમને એ ‘હક’ મળ્યો નથી. એ સમુહ છે: બિનનિવાસી ભારતીયો. એન.આર.આઇ. નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ, જે ક્યારેક વ્યંગમાં નોન રિલાયેબલ ઇન્ડિયન્સ તરીકે પણ ઓળખાય છે.

સંબંધ વધારતા સુધારા
ભારતમાંથી વિદેશ ગયેલા લોકો કે તેમની પછીની પેઢીનો મૂળીયાં સાથેનો સંબંધ વધારે સહજતાથી જળવાઇ શકે, એ માટે વર્ષ ૨૦૦૬માં ‘ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઇન્ડિયા’(ઓસીઆઇ)ની જોગવાઇ કરવામાં આવી. ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ તરીકે જાણીતી આ યોજનામાં ‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન’ (પીઆઇઓ- પિતા કે માતા ભારતીય હોય એવા લોકો)ને વિદેશમાં વસતા ‘ભારતીય’ તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. સંબંધિત વિભાગના મંત્રી વી.રવિએ આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધી અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત ૯૦થી પણ વઘુ દેશોમાં વસતા દસેક લાખ ભારતીયોએ ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ મેળવી છે. તેના મુખ્ય બે ફાયદા છેઃ આ કાર્ડ ધરાવતા બિનનિવાસી ભારતીયોને ભારત આવતી વખતે વીઝા લેવાની જરૂર પડતી નથી. તે ઇચ્છે ત્યારે ભારત આવી શકે છે અને ઇચ્છે એટલું રોકાઇ શકે છે. ભારતીય નાગરિક તરીકે તેમને પોતાના આગમન વિશે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ રહેતી નથી.

અલબત્ત, તેના માટે વપરાયેલો ‘સિટિઝનશીપ’(નાગરિકત્વ) શબ્દ છેતરામણો છે. કારણ કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવનારને ભારતમાં મતાધિકાર મળતો ન હતો. એ અંગે બિનનિવાસી ભારતીયોની માગણીને ઘ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૦માં ‘રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ બિલ, ૨૦૧૦’માં એક સુધારો કરવામાં આવ્યો, જે સંસદમાં પસાર થઇને ફેબુ્રઆરી ૧૦, ૨૦૧૦થી અમલી બન્યો. એ સુધારા મુજબ વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં યોજાતી ચૂંટણીમાં મતનો અધિકાર આપવામાં આવ્યો. તેમાં બે મહત્ત્વની શરતો હતીઃ ૧) કામ, અભ્યાસ કે બીજા કોઇ કારણે વિદેશમાં રહેતા પરંતુ વિદેશના નાગરિક ન હોય એવા ભારતીયો જ ભારતમાં પોતાના મતવિસ્તારની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે. ૨) મત આપવા માટે તેમણે ચૂંટણીના દિવસે રૂબરૂ હાજર રહેવું પડે.

તેનો અર્થ એ થયો કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવતા એન.આર.આઇ. ભારતમાં મત આપી શકે નહીં. કારણ કે તે બીજા દેશનું નાગરિકત્વ મેળવી ચૂક્યા છે. પાકી સિટિઝનશીપ ન ધરાવતા બિનનિવાસી ભારતીયોમાંથી પણ ચૂંટણીના દિવસે ભારતમાં હાજર હોય એવા લોકો કેટલા હોવાના? એટલે કાગળ પર બિનનિવાસી ભારતીયોને મતાધિકાર મળ્યો હોવા છતાં, તે નહીં મળ્યા બરાબર બની રહ્યો. પરદેશમાં રહીને ભારતની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા માટેની પ્રક્રિયા પણ અઘરી અને બાબુશાહીના અવરોધોથી ભરપૂર હોવાનું જણાયું. તેમાં છેવટે એટલી સરળતા કરી નાખવામાં આવી કે કોઇ પણ બિનનિવાસી ભારતીય પોતાના ભારતીય પાસપોર્ટની જાતે પ્રમાણિત કરેલી (સેલ્ફ અટેસ્ટેડ) નકલ રજૂ કરીને મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે. છતાં, મંત્રી વી.રવિના જણાવ્યા પ્રમાણે, આ યોજનાનો બહુ મોળો પ્રતિસાદ મળ્યો છે. બિનનિવાસી ભારતીયો ઇચ્છે છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમને ભારત સુધી લાંબા ન થવું પડે અને વિદેશમાં રહીને જ મત આપી શકાય એવી વ્યવસ્થા સરકારે કરવી જોઇએ.

એન.આર.આઇ.મહિમા

‘ઊંટ મરે ત્યારે મારવાડ ભણી જુએ’ એવી કહેણી પ્રમાણે ઘણાખરા બિનનિવાસી ભારતીયો જીવનની આનંદ અને શોકની તમામ અવસ્થામાં પોતપોતાના ‘મારવાડ’ (દેશ) ભણી જુએ છે. આ લાગણી કાવ્યાત્મક રીતે વ્યક્ત કરતાં ‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા’માં કવિ ઇકબાલે લખ્યું હતું, ‘ગુરબતમેં હો અગર હમ, રહેતા હૈ દિલ વતનમેં/ સમજો વહીં હમેં ભી, દિલ હો જહાં હમારા’. (તન ભલે વતનથી દૂર હોય, પણ મન તો વતનમાં જ છે)

બિનનિવાસી ભારતીયોનો સમુહ પહેલાં ‘અમે ભલે દૂર રહ્યા, પણ અમને તમારી સાથે જ ગણજો’ એ પ્રકારની લાગણી વ્યક્ત કરતો હતો. હવે તેમની લાગણી જ નહીં, માગણી પણ એવી રહે છે કે તેમને ભારતના નાગરિકો સમકક્ષ ગણવામાં આવે. સરકાર પાસેથી ઘરના (દેશના) માણસ જેવી બેરોકટોક પહોંચ અને મહેમાન જેવાં માન-પાન- સુવિધા-દરજ્જો મેળવવા માટે તે ઉત્સુક હોય છે.

કેન્દ્ર સરકાર પાસે અપેક્ષા રાખવામાં દેશના એક અબજ નાગરિકો ઓછા છે, તે એ દેશની બહાર રહેનારા ‘મૂળનિવાસી’ઓની માગણી પર ઘ્યાન આપે? પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો ભારતમાં અઢળક ભંડોળ જમા કરાવે છે. એક અંદાજ પ્રમાણે, વર્ષ ૨૦૧૦માં વિદેશમાં વસતા ભારતીયોએ બઘું મળીને પંચાવન અબજ ડોલર જેટલી રકમ ભારત મોકલાવી હતી. તેમના અવાજને ભારત સરકાર સાવ અવગણી શકતી નથી.

એન.આર.આઇ.ના ભંડોળ ઉપરાંત તેમની અવરજવર અને તેમની સિદ્ધિઓનો પણ ભારત અને ભારતવાસીઓને ઘણો ખપ હોય છે. બિનનિવાસી ભારતીયો દેશમાં આવે ત્યારે તેમની અધધ ખરીદીભૂખને કારણે સ્થાનિક બજારો ઊંચકાય છે. પોતાના ગામ જતી વખતે સામાનના ખડકલા કરનારા ઉત્તર પ્રદેશ- બિહારના કામદારો પ્રત્યે તુચ્છકાર સેવનારા લોકો, સામાનથી લદાયેલાં પરદેશી એન.આર.આઇ. પ્રત્યે અહોભાવની નજરે જુએ છે. બિનનિવાસી ભારતીયો શિયાળામાં ‘દેશ’ની મુલાકાતે આવે ત્યારે તેમના મનમાં રૂપિયાને બદલે ડોલર (કે પાઉન્ડ)નું મીટર ફરતું હોય છે. ખરીદી કરવાની વાત આવે એટલે તે ‘સુપરમેન’ બની જાય છે. મોટા ભાગના સ્થાનિક લોકો જે કિંમત સાંભળીને બેભાન થઇ જાય એવી કિંમતોમાં તે કપડાંથી માંડીને અનેક ચીજોની ખરીદી કરે છે. આ સીઝનમાં કોઇ સ્થાનિક ગ્રાહક ભાવતાલ કરવા જાય ત્યારે ‘તમે રહેવા દો. આ તમારા માટે નથી. તમારે આ સીઝનમાં આવવું જ નહીં.’ એવું દુકાનદારો મોઢે કહી શકે છે.

બિનનિવાસી ભારતીયોની સિદ્ધિ વિશે ગૌરવ લેવાનું આવે ત્યારે પણ ભારતીયો લધુતાગ્રંથિના માર્યા શરમજનક પડાપડી કરે છે. કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ જેવા વર્તમાનકાળના કિસ્સામાં અને નોબેલ પારિતોષિક વિજેતા હરગોવિંદ ખુરાના જેવા ભૂતકાળના કિસ્સામાં એ વૃત્તિ અનેક વાર દેખાઇ આવે છે.

વતનપ્રેમ અને વિકૃતિ

બહુમતી એન.આર.આઇ.માં દેશ છોડ્યા પછી દેશપ્રેમના ઉભરા પેદા થાય છે. વતનઝૂરાપો સ્વાભાવિક છે. માનવીય પણ છે. છતાં તેનો અતિરેક હાસ્યાસ્પદ બને છે. દેશ છોડીને વિદેશમાં વસેલા ભારતીયોના મોઢેથી અવિરત ભારતમહિમા સાંભળ્યા પછી ઘણી વાર એવો સવાલ થાય કે દેશમાં ખરેખર આટલું સારું હોય તો તેમને વિદેશ જવાની જરૂર કેમ પડી? દેશ છોડ્યા પછી દેશની કેટલીક બાબતોની કિંમત થાય એ સમજી શકાય એવું છે. છતાં વતન અને નવા વસવાટ વિશે વાત કરતી વખતે બહુ ઓછા લોકો સંતુલન જાળવી શકે છે.

મોટા ભાગના એન.આર.આઇ.ની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેમણે જે સમયે ભારત છોડ્યું હોય, તે સમયગાળો તેની તમામ મર્યાદાઓ અને ખામીઓ સહિત તેમના મનમાં ફ્રીઝ થઇ જાય છે. ગયો હોય છે. એટલે, અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં વર્ષો બલ્કે દાયકાઓ ગાળ્યા પછી પણ એ સમાજમાંથી લેવા જેવાં મૂલ્યો તે લઇ શકતાં નથી અને ભારતની સમાજવ્યવસ્થા અને સંકુચિતતાનાં છોડવાં જેવાં ‘મૂલ્યો’ છોડી શકતાં નથી.

શિયાળામાં ગુજરાત કે ભારત ઉમટી પડતાં કેટલાં એન.આર.આઇ. પોતાની સાથે અંગ્રેજ-અમેરિકન સંસ્કૃતિની જાણેઅજાણે થયેલી વાનરનકલ સિવાયનાં, તેનાં હકારાત્મક મૂલ્યો લઇને આવે છે? ઘણી વાર તો એવું લાગે કે એ લોકો ‘ત્યાં’ રહીને એ દેશોના રીતરિવાજ પ્રમાણે બદલાયા હશે, તો પણ વતનમાં આવે ત્યારે પોતે કેવળ બહારથી જ (પહેરવેશ અને આર્થિક સ્થિતિમાં) બદલાયા છે - ભીતરથી એટલા જ ‘ભારતીય’ છે, એવું બતાવવામાં ગૌરવ સમજે છે. અહીં ‘ભારતીય’નો અર્થ છેઃ જ્ઞાતિવાદી, સંકુચિત મનોવૃત્તિ ધરાવતા, વૈચારિક રીતે પછાત, અંધશ્રદ્ધાળુ, ધાર્મિકતા-આઘ્યાત્મિકતાના નામે ગમે તેવા બાવાબાવીઓને ધંધાની ઉત્તમ તક પૂરી પાડનારાં અને છોગામાં આ બધાં લખ્ખણોને ‘ભારતીય સંસ્કૃતિ’નો પર્યાય ગણીને તેને છાતીએ ચાંપી રાખનારાં- પોતાનાં સંતાનોને પણ એ રસ્તે ધકેલવાનો પ્રયત્ન કરનારાં. છેલ્લા દાયકામાં તે ભારતની ‘પ્રગતિ’ જોઇને હરખાય છે, કારણ કે કેટલાક શહેરી ભારતીયોને જેમ ઘણાખરા બિનનિવાસી ભારતીયો વાસ્તવિક સમસ્યાઓ અંગે સુખપૂર્વક અજ્ઞાન સેવે છે.

સારા રસ્તા, શોપિંગ સેન્ટરોની અને હોટેલોની ઝાકઝમાળ, ઇન્ટરનેટ કનેક્શન, ડાયરેક્ટ ફ્‌લાઇટ જેવાં પરિબળોના આધારે તે ભારતની પ્રગતિનું માપ કાઢે છે. સમસ્યાઓની વાત આવે તો તેમાંના ઘણાની યાદી ભ્રષ્ટાચારથી શરૂ થાય છે ને ત્યાં જ અટકી જાય છે. જ્ઞાતિવાદ અંગે તેમની સાથે વાત કરવી અઘરી પડે છે. કારણ કે વિદેશમાં ગયા પછી ઘણી વાર તે હોય એના કરતાં પણ વધારે સંકુચિત બન્યા હોય છે. જમીનહક જેવા પ્રશ્નો અંગે તેમની જાણકારી અને એ મેળવવાની ઇચ્છા નહીંવત્‌ હોય છે. આવા બિનનિવાસીઓને તેમની માગણી પ્રમાણે, વિદેશમાં રહીને પોસ્ટથી કે ભારતીય એલચી કચેરીઓમાં મતનો અધિકાર આપવામાં આવે, તો એ ભારતીય મતદાતાઓને અન્યાય ગણાશે. દેશની સમસ્યાઓની સાચી સમજણ વિના અને કરવેરા સ્વરૂપમાં સમૃદ્ધ નાગરિક તરીકે પોતાનો હિસ્સો આપ્યા વિના, તેમને મળતો મતાધિકાર ચૂંટણીશાહી બનેલી ભારતની લોકશાહી માટે અવળી દિશામાં વઘુ એક પગલું બની રહેશે.

Sunday, January 22, 2012

હોમાય વ્યારાવાલાઃ સાચી હકીકતોથી શ્રદ્ધાંજલિ


Homai Vyarawala (Photo: Rabi Shukla, Deoria, U.P.)


દેવરિયા (ઉત્તર પ્રદેશ)ના રાબી શુક્લે પાડેલી આ તસવીર અને છેલ્લી વર્ષગાંઠના આગલા દિવસે બીરેન કોઠારીને પોતાના હસ્તાક્ષરમાં લખી આપેલી થોમસ મૂરની કવિતા ‘લાસ્ટ રોઝ ઓફ સમર’ પોતાના મૃત્યુ પછી સૌ સુધી પહોંચે એવી હોમાય વ્યારાવાલાની ઇચ્છા હતી

રવિવારે,જાન્યુઆરી ૧૫ના રોજ વિદાય લેનારાં હોમાય વ્યારાવાલાએ હજુ ગયા મહિને, ૯ ડિસેમ્બર (૨૦૧૧)ના દિવસે ૯૮ વર્ષ પૂરાં કર્યાં હતાં. સો વર્ષ પૂરાં કરવાનું તેમના મનમાં કોઇ વિશેષ આકર્ષણ ન હતું. એ જીવનની લંબાઇનાં નહીં, તેની ગુણવત્તાનાં આગ્રહી હતાં.

હોમાયબહેનથી પ્રભાવિત થવું બહુ આસાન હતું. નબળા-સબળા, સારા-નરસા, જાણીતા-અજાણ્યા સૌ કોઇ પોતપોતાની રીતે તેમનાથી પ્રભાવિત થતા હતા. એ માટેનાં સબળ કારણોની ખોટ ન હતીઃ હોમાય વ્યારાવાલા ભારતનાં પહેલાં ન્યૂઝ ફોટોગ્રાફર હતાં. ફોટોગ્રાફર તરીકેની સુદીર્ઘ અને યશસ્વી કારકિર્દીમાં તેમણે પરાધીન ભારતનાં છેલ્લાં વર્ષો અને આઝાદ ભારતના શરૂઆતના દાયકાઓની ઐતિહાસિક ક્ષણોને તસવીરમાં ઝીલીને અમરત્વ આપ્યું.

તેમના ભવ્ય પ્રદાનને બે પૂંઠા વચ્ચે મૂકી આપતા પુસ્તક ‘કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા’ (લેખિકાઃ સબીના ગડીહોક, ૨૦૦૬)માં ગાંધીજી-સરદાર-નેહરુ-ઝીણા-માઉન્ટબેટન જેવા નેતાઓ સાથેના તેમના પ્રસંગ, તેમણે લીધેલી તસવીરો જોઇને કોણ પ્રભાવિત થયા વિના રહી શકે? જનરલ કરિઅપ્પાએ તેમનું લાડકું નામ ‘એનર્જી’ પાડ્યું હતું. ડો.રાધાકૃષ્ણન્‌ બીજા લોકો આગળ હોમાયબહેનની ઓળખાણ ‘માય લેડી ફ્રેન્ડ’ તરીકે આપતા અને હોમાયબહેનના મિત્રો ગમ્મતમાં ડો.રાધાકૃષ્ણનને હોમાયબહેનના ‘બોયફ્રેન્ડ’ તરીકે ઓળખાવતા. સરદાર પટેલ તેમને ‘આપણી ગુજરાતણ’ ગણીને, એકમાત્ર મહિલા તસવીરકાર તરીકે તેમના વિશે રાજીપો અનુભવતા. આઝાદી પછી માહિતી-પ્રસારણ મંત્રી તરીકે ‘ફોટોગ્રાફર જોઇએ છે’ની સરકારી જાહેરાતમાં સરદારે ખાસ એક લીટી ઉમેરાવી હતીઃ ‘વુમન કેન ઓલ્સો એપ્લાય’, જે ફક્ત હોમાયબહેનને જ લાગુ પડતી હતી. (હોમાયબહેનને સરકારી નોકરીમાં રસ ન હોવાથી તેમણે અરજી ન કરી એ જુદી વાત છે.)

એવાં સ્મરણોની યાદ બાકીની જિંદગી ખણ્યા-ખોતર્યા કરતા અને વર્તમાનમાં મળનારા લોકોને સખત કંટાળો આપતા લોકો ઘણા હોય છે. હોમાયબહેન એવાં બિલકુલ ન હતાં. ભૂતકાળની ભવ્યતામાં રાચવાનો તો ઠીક, જરૂર ન ઉભી થાય ત્યાં સુધી એ વિશે વાત કરવાનો પણ તેમનો સ્વભાવ નહીં. વાઇસરોયની ને વડાપ્રધાનોની, દેશી-વિદેશી મહાનુભાવોની ફોટોગ્રાફી કરી ચૂકેલાં હોમાયબહેન ભૂતકાળ વિશે જવાબો આપતી વખતે પણ અફસોસ, નિઃસાસો કે ભવ્યતાની રંગીની વિના કેવળ તથ્યના વર્ણનની રીતે વાત કરતાં. ભાઇ બીરેન સાથે અનેક વાર હોમાયબહેનને મળવાનું થયું, ત્યારે ઘણી વાર એવું બનતું કે કલાક-દોઢ કલાકની વાતચીતમાં તેમની ફોટોગ્રાફી વિશે વાત જ ન થઇ હોય.

ચારેક દાયકા પહેલાં તે ફોટોગ્રાફી છોડી ચૂક્યાં હતાં.પરંતુ તેમની પાસે મનગમતી, મૌલિક પ્રવૃત્તિઓની ખોટ ન હતી. ઘરકામ ઉપરાંત લુહારીકામ, સુથારીકામ, પ્લમ્બિંગથી માંડીને પાકશાસ્ત્ર, બાગકામ અને ફુલોની કળાત્મક ગોઠવણી (ઇકેબાના) વગેરેમાં તેમનો સમય સાર્થક રીતે વીતતો હતો. તેમની આ પ્રવૃત્તિઓમાં ગૃહિણીસહજ ‘ટાઇમપાસ’ની વૃત્તિ નહીં, પણ હાડથી કલાકાર એવી એક વ્યક્તિની સર્જકતા વ્યક્ત થતી, જે છેવટ સુધી જળવાઇ રહી. તેનાથી પ્રભાવિત થનારા લોકો પણ મોટી સંખ્યામાં હતા.

બીજા ઘણા પોતાનું કામ જાતે જ કરવાના તેમના આગ્રહથી સ્તબ્ધતાની હદે આશ્ચર્યચકિત થઇ જતા. કેન્સરની બિમારીમાં પુત્ર ફારુકે વર્ષો પહેલાં વિદાય લીધી હતી. પુત્રવઘુ ધન વ્યારાવાલા કશા અણબનાવ કે દુર્ભાવ વિના પિતાના ઘરે જમશેદપુર રહેતાં અને હોમાયબહેન વડોદરામાં. તેમને મળવા આવનાર ઘણાખરા લોકો તેમને એકલાં રહેતાં-જાતે ઘરકામ કરતાં જોઇને અરેરાટી ને ડચકારા બોલાવતા, સહાનુભૂતિ વ્યક્ત કરતા, પરંતુ હોમાયબહેનને તેનો બિલકુલ ખપ ન હતો. તે એકલાં હતાં, પણ એકલવાયાં નહીં.

તેમનાં ધોરણો અને આગ્રહ એટલા કડક હતા કે બહુ થોડા લોકો સાથે તેમને આત્મીયતા બંધાતી. તેમના ઘરે આવીને, તેમની એકલતાથી પ્રેરાઇને, પોતે ધારી લીધેલા તેમના બિચારાપણાથી દ્રવીને લોકો જાતજાતના વાયદા કરતા, પણ ત્યાંથી બહાર નીકળ્યા પછી ભાગ્યે જ કોઇને પોતે કરેલા વાયદા યાદ રહેતા. હોમાયબહેન તેનાથી બહુ ખીજાતાં: ‘મારે મદદ જોઇતી નથી. મેં મદદ માગી નથી. છતાં લોકો અહીં આવીને ધરાર મદદ આપવાની મોટી વાતો કરે છે ને બહાર જઇને ભૂલી જાય છે. એના કરતાં ખોટા વાયદા ન આપતા હોય તો?’

છેલ્લા થોડા મહિનાને બાદ કરતાં, હોમાયબહેન ભાગ્યે જ કોઇને કામ સોંપતાં. અજાણ્યા માણસ પરનું પરાવલંબન તેમને મોત કરતાં ખરાબ લાગતું. સ્વાવલંબનનો તેમનો આગ્રહ સામાન્ય સંસારી માણસને અકળાવે એટલી હદનો દૃઢ હતો. એ કોઇને કામ સોંપે ત્યારે મનાતું કે તેમને વિશ્વાસ પડવાની શરૂઆત થઇ છે. તેમના નિકટ વર્તુળમાં લાંબા સમયથી પ્રવેશી શકેલાં અને છેવટ સુધી ટકી રહેલાં જૂજ લોકોમાં ત્રણ દાયકાનાં તેમનાં સાથી- પાડોશી શ્રીમતી જયશ્રી મિશ્રાનો પરિવાર, પારસી વર્તુળમાં શ્રીમતી હવેવાલા, તેમના વિશેનું પુસ્તક લખનાર સબીના ગડીહોક (દિલ્હી), ઘણી વાર તેમની સાથે વડોદરા આવીને રહેતા, ઉંમરમાં તેમનાથી બે પેઢી નાના ફોટોગ્રાફર અસીમ ઘોષ (દિલ્હી) અને બીરેન કોઠારી-પરેશ પ્રજાપતિ પરિવારો (વડોદરા) મુખ્ય હતાં. વડોદરાનાં મેયર જ્યોતિબહેન પંડ્યા વખતોવખત કશા કામ વિના, ફક્ત વાતો કરવા માટે તેમની મુલાકાત લેતાં અને હોમાયબહેનની પૂરી ગરીમા જાળવતાં. તેમના મૃત્યુ વખતે પણ હોદ્દા કરતાં વધારે લાગણીનાં દોરાવ્યાં એ આવ્યાં હતાં અને તેમનો ઢાંકેલો ચહેરો ઉઘાડીને તેની પર મમતાથી હાથ પસવારવાની સ્વજન-સહજ ચેષ્ટા કરી હતી.

હોમાયબહેન વિશે પ્રસાર માઘ્યમોમાં વારંવાર ચમકતા સમાચારોને કારણે ઘણા તેમના વિશે ખાસ કંઇ જાણ્યા વિના અહોભાવ અનુભવવા લાગતા અને કેટલાક લોકોને તેમના વિશે અકારણ દુર્ભાવ પણ થતો. આ બન્નેમાં હોમાયબહેન ખાસ કશું કરી શકે તેમ ન હતા. વડોદરા આવતાં પહેલાં તે પુત્રની નોકરીને કારણે પીલાની હતાં. પતિ માણેકશા ગુજરી ગયા હતા. પુત્ર ફારુક એન્જિનિયરિંગ કોલેજમાં અઘ્યાપક અને હોમાયબહેન ફારુકનાં મહાસક્રિય-અનેકવિધ પ્રવૃત્તિઓ કરતાં મમ્મી તરીકે જાણીતાં હતાં. પીલાનીમાં કોઇ જાણતું પણ નહીં કે હોમાયબહેન ફોટોગ્રાફર તરીકેની પ્રચંડ ખ્યાતિ પાછળ છોડીને આવ્યાં છે. એ અરસામાં એક વાર ઇન્દિરા ગાંધીને ફોટોગ્રાફીમાં મહિલાઓના અભાવ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ગૌરવભેર ‘એક મિસિસ હોમાય વ્યારાવાલા’ને યાદ કર્યાં. એ માહિતી પ્રગટ થતાં પીલાનીમાં ઉત્તેજના વ્યાપી ગઇ. કોલેજના ડીન સહિત બીજા ઘણા હોમાયબહેનને પૂછવા આવ્યા કે ‘તમે આ જ મિસિસ વ્યારાવાલા છો?’

આ હોમાયબહેન વિશે રાષ્ટ્રિય સ્તરે સૌથી વાહિયાત સમાચારોનો લાંબો સિલસિલો નેનો કારના મુદ્દે ચાલ્યો. ‘નેનો’ કાર તેમને (રૂપિયા ખર્ચીને જ) પ્રાથમિકતાના ધોરણે મળવાનું જાહેર થતાં, ‘તાતા હોમાયબહેનને પહેલી નેનો આપવાના છે’ એવા ગપગોળા ચગ્યા. ‘નેનો મળશે’, ‘હજુ નેનો મળી નથી’ અને ‘હવે નેનો મળે તો પણ એ લેવાનાં નથી’ એવાં જૂઠાણાં અખબારી અહેવાલો તરીકે દિવસો સુધી મરીમસાલા સાથે છપાતાં રહ્યાં. હોમાયબહેનને ‘નેનો’ મળી ત્યારે જૂની ફિયાટની પ્રેક્ટિસને કારણે અને વયને લીધે એ કાર ન ફાવતાં થોડા દિવસમાં તેમણે ‘નેનો’ કાઢી નાખી. એ અરસામાં એક વાર થયેલી મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું,‘ધે મેડ માય લાઇફ મિઝરેબલ’. (એ લોકોએ-જાણ્યાસમજ્યા વિના લખનારાએ- મારી જિંદગીમાં ત્રાસ ફેલાવી દીધો હતો.)

વડોદરાનાં વર્ષોમાં- ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં-નાનામાં નાના મોકે, પૂરું ઔચિત્ય જોયા-જાળવ્યા વિના અવતરણ કે ઇન્ટરવ્યુ માટે હોમાયબહેન પાસે ધસી જવાનો જાણે રિવાજ પડી ગયો હતો. એવી રીતે જનારામાંથી કેટલાક એવો ભાવ ધરીને જતા, જાણે તે હોમાયબહેનને છાપામાં ‘ચમકાવી’ રહ્યા છે કે તેમની સેવા કરી રહ્યા છે. સ્વાભાવિકપણે, લગભગ અધિકાર લેખે, ઉદ્ધત-અશિષ્ટ વર્તન કરતા મિડીયાવાળા પ્રત્યે હોમાયબહેનને સખત ખીજ હતી. છતાં મૂળભૂત સૌજન્યને કારણે તે બને એટલો સહકાર આપતાં. તેમના આ સૌજન્યનું ખોટું અર્થઘટન કરીને તેમને સૌથી હાથવગાં ગણી લેવામાં આવતાં.


તેમના વિશેના ખોટા સમાચારનો દૌર તેમના મૃત્યુ પછી પણ ચાલુ રહ્યો. હોમાયબહેન પ્રખર ધાર્મિક ખરાં, પણ રૂઢિચુસ્ત-ક્રિયાકાંડી ન હતાં. તેમની ઇચ્છા પારસી રિવાજ પ્રમાણે નહીં, પણ અગ્નિસંસ્કાર કરીને દેહનો નિકાલ કરવાની હતી. તેમનો તર્ક એવો હતો કે પારસી પરંપરા પ્રમાણે મૃતદેહનો ભક્ષ્ય કરી શકે એટલાં ગીધ હવે બચ્યાં નથી. તેથી મૃતદેહ લાંબા સમય સુધી પડ્યો રહે તેના કરતાં રાખ થઇ જાય તે સારું. પરંતુ તેમને અગ્નિદાહ આપવાનો છે એ જાણ્યા પછી ‘હિંદુ વિધી પ્રમાણે અંતિમ સંસ્કાર’નાં મથાળાં બંધાયાં, જે સદંતર ખોટાં હતાં.

વડોદરાના બહુચરાજી તરીકે જાણીતા ખાસવાડી સ્મશાને તેમને લઇ જતાં પહેલાં ઘરે પારસી ધર્મગુરૂએ પ્રાર્થના કરી હતી. તેમનાં અસ્થિમાંથી થોડો હિસ્સો તેમણે જતનથી ઉછેરેલા બગીચામાં, બીજો થોડો હિસ્સો પરેશ પ્રજાપતિ સાથે એક વાર વાતવાતમાં પ્રગટ કરેલી ઇચ્છા પ્રમાણે ગંગા નદીમાં અને બાકીનો હિસ્સો તેમની સક્રિય કામગીરીનાં બે સ્થળે- દિલ્હી અને મુંબઇ વિસર્જન માટે મોકલવામાં આવ્યો છે. તેમની સઘળી તસવીરો અને કેમેરા દિલ્હીના અલકાઝી ફાઉન્ડેશનમાં સુરક્ષિત છે અને તેનાં વખતોવખત પ્રદર્શન યોજાતાં રહે છે. એ સિવાય તેમને એક વાર પણ મળ્યા હોય એ દરેકના મનમાં હોમાયબહેનની અમીટ છબી કાયમ માટે રહેવાની છે.

Wednesday, January 18, 2012

અન્નામંડળની ઉત્તરાયણ

એક હતો લોકપાલ ખરડો અને એક હતો જનલોકપાલ ખરડો. બન્ને વચ્ચેના જોરદાર પેચ જમીન પર નહીં, પણ આકાશમાં લડ્યા હોત તો? અન્ના અને તેમના સાથી-સલાહકારો સહિત રાજકારણીઓની આખી મંડળી દિલ્હીમાં સંસદને બદલે ધાબાં-અગાશી પર ખડકાઇ હોત તો?
***
જનમેદનીથી ઉભરાયેલાં ધાબાં પર ‘એ કાટ્ટા... કાપ્યો છે...લેત્તો જા....આવજો...’ના પોકાર ઉઠી રહ્યા છે. એવામાં અન્ના દડબડ દડબડ દાદર ચડીને અગાસીમાં આવે છે.

અન્નાઃ (ચોતરફ જોઇને) અરવિંદ, આ બઘું શું છે? શાના અવાજ છે?

કેજરીવાલઃ (તાનમાં) અરે અન્નાજી, કાપ્યો છે...વો કાટ્ટા...

અન્નાઃ કિરણ, આને શું થઇ ગયું? શાની વાત કરે છે?

કિરણ બેદીઃ અન્નાજી, તમારા પતંગે સામેના ધાબા પરનો પેચ કાપ્યો છે, એટલે અમે ખુશી વ્યક્ત કરી રહ્યાં છીએ. તમે પણ અમારી સાથે જોડાઇ જાવ.

અન્નાઃ પણ હું તો હજુ અગાશી પર આવું છું. દોરીને અડક્યો નથી. તો મારો પતંગ ક્યાંથી હોય? એ પેચ શી રીતે કાપે? ને જે કાપ્યો જ નથી, એ પેચ માટે ચિચિયારીઓ કેવી?

કેજરીવાલઃ અન્નાજી, અત્યારે આખા દેશનાં ધાબાં આપણી સાથે છે. વિચારવાનો ટાઇમ નથી...એ કાટ્ટા...આવજો...અત્યારે તો આખા આકાશમાં તમારા ઢાલની આણ વર્તે છે. કોઇની તાકાત છે એની નજીક ફરકી શકે?

અન્નાઃ પણ મેં હજુ ક્યાં..

કિરણ બેદીઃ શ્‌શ્‌શ્‌..અન્નાજી, આપણે બધા અલગ છીએ? તમે પણ ભ્રષ્ટાચારના વિરોધી ને અમે પણ ભ્રષ્ટાચારના વિરોધી. તમને પણ કોંગ્રેસ સામે વાંધા ને અમને પણ વાંધા. તમને પણ પબ્લિસિટી ગમે ને અમને પણ ગમે...તો પછી તમારે અલગ પતંગ ચડાવવાની ક્યાં જરૂર છે? ભ્રષ્ટાચારના વિરોધમાં અરવિંદે ચડાવેલો પતંગ એ જ તમારો પતંગ.

અન્નાઃ વાત તો સાચી, પણ..

કેજરીવાલઃ અન્નાજી, હવે જોજો તમારા પતંગનો સપાટો. હું પેલી કોંગ્રેસનો પેચ લઉં છું. આગળનું ધાબું. જોયું ને બરાબર? અરે મનીષ, જરા ફિરકી બરાબર પકડજે...હું હાથોહાથમાંથી એવું ખેંચી નાખું કે એના અંગુઠા પર આપણી દોરીના ઘસરકા પડી જાય...એ.એ.એ. લેતા જાવ...કાટ્ટા...

અન્નાઃ (ચહેરા પર ખુશાલી છવાઇ જાય છે) આ તો મઝાનું છે. આવી રીતે આપણે ગમે તેના પતંગ કાપી શકીએ?
કિરણ બેદીઃ હાસ્તો. આપણી પાસે ભ્રષ્ટાચારવિરોધનો ધારદાર, કાચવાળો માંજો છે. આ વખતે આપણે વધારે કાચ નંખાવ્યા છે. ભલે આપણા હાથમાં થોડા ઘસરકા પડે, પણ સામેવાળાનું ખેંચી જ કાઢવાનું.

અન્નાઃ બરાબર છે. સત્યાગ્રહ આમ જ થાય. જાતે દુઃખ વેઠીને...પણ એ તો કહો? આપણો પતંગ કેવો છે? ચાંદદાર, આંખોદાર, મથ્થો, પટ્ટી, સીસો, ઘડિયાલી, તારો, ફુદ્દી, બાબલો...

કેજરીવાલઃ તમે તો ઘણા જાણકાર નીકળ્યા. ભારતની જનતા વતી અમે તમને અમસ્તા નેતા તરીકે પસંદ કર્યા છે? આપણો પતંગ બધા ચીલાચાલુ પ્રકાર કરતાં જુદો છે. એની પર ગાંધીજીનો ફોટો છે અને ફોટા નીચે તેમનું એક વાક્ય લખ્યું છેઃ ‘મારા ઉપવાસ એ જ મારો સંદેશ’. આપણી ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ તરફથી આવા એક લાખ પતંગ બનાવીને દેશભરમાં વહેંચ્યા છે. જુઓને, આખું આકાશ આજે ગાંધીજીના સંદેશાથી ભરાઇ ગયેલું નથી લાગતું?

કિરણ બેદીઃ લોકોને આપણા પતંગ એટલા ગમ્યા છે કે મને થાય છે, આ ઉત્તરાયણ બારે મહિના રહે તો કેવું સારું? છાપરે ચડેલા લોકો કદી નીચે જ ન ઉતરે અને આપણા આપેલા પતંગ ચગાવ્યા કરે...

(એવામાં અન્નાની નજર ધાબાના એક ખૂણે બેઠેલા બાબા રામદેવ તરફ જાય છે.)

અન્નાઃ (રામદેવ તરફ જોઇને) આમને શું થયું? કેમ ખૂણામાં બેઠા છે? નીચેથી તો બહુ હોંશે હોંશે બધો સરંજામ લઇને ઉપર આવ્યા હતા. કહેતા હતા કે આજે કાં તો સામા ધાબાવાળો નહીં કાં હું નહીં.

કિરણ બેદીઃ વાત સાચી, પણ પરિણામ આવી ગયું છે. હવે બાબા નથી. સામેવાળાનો પતંગ ચગે છે ને બાબા ધાબામાં તડકો ખાય છે.

અન્નાઃ કેવી રીતે?

કેજરીવાલઃ આપણી જેમ એમણે પણ ભારતના નકશાવાળો પતંગ ચડાવ્યો ને સામેના ધાબાવાળાનું ખેંચી કાઢવા ગયા. એક વાર તો એ ફાવ્યા, પણ બીજી વાર ધાબાવાળાના એક ચીલે એમના પતંગ પર એવી ગોથ મારી કે બાબાના પતંગની કિન્ના ડાઉન થઇ ગઇ. છેક ઉંચે ચડાવેલો પતંગ તેમણે ઉતારી લેવો પડ્યો ને આજુબાજુના ધાબાવાળાએ ફજેતી કરી- ચિચિયારીઓ પાડી એ નફામાં. ત્યારથી બાબા પતંગ ચગાવવાની ખો ભૂલી ગયા છે. કહે છે કે હું પડ્યો પડ્યો તડકો ખાઇશ ને તમારો પતંગ કોઇની કાપે ત્યારે બૂમો પાડવામાં જોડાઇશ.

અન્નાઃ (ધીમા અવાજે) કિરણ, જરા ઘ્યાન રાખજે. એ ક્યાંક આપણી દોરીમાં દાંતી ન પાડે. આ બધાનું કશું કહેવાય નહીં...

(એવામાં નળીયાનો એક ટુકડો સનસનાટ કરતો ધાબામાં આવીને પડે છે. સહેજ માટે અન્નાને વાગતો રહી જાય છે.)

અન્નાઃ આ પેલા દિગ્વિજયસિંઘનું કારસ્તાન લાગે છે. હું ધાબે આવ્યો ત્યારનો એ કાતરિયાં ખાય છે. એ લોકો આપણો પતંગ કાપી શકતા નથી, એટલે નળિયાં ફેંકવાનાં? એ ધાબે કોઇ મોટું છે કે નહીં, જે આ બધાને રોકે- ઠપકો આપે?

કેજરીવાલઃ એક વડીલ છે, પણ એ ભીષ્મના વંશજ છે. ધાબાના ખૂણે બાણશૈયાના બદલે ખાટલો નાખીને પડ્યા છે. એમનું કોઇ સાંભળતું નથી. આ બઘું જોવું ન પડે એટલે તે પાઘડી કપાળને બદલે આંખો સુધી ઉતારીને સૂઇ ગયા છે.
કિરણ બેદીઃ અન્નાજી, પતંગોનું મહાભારત બરાબર જામ્યું છે. આપણો ઢાલ કોઇ કાપી શકે એમ નથી. બસ, પવન આવો ને આવો રહે તો આપણા ઢાલનું આકાશમાં એકચક્રી શાસન રહેશે.

અન્નાઃ (પાછળ જોઇને) આ ધાબું કોનું છે? મેં શહેરોમાં ધાબા પરથી કદી પતંગ ચગાવી નથી. મારો અનુભવ ગામના મેદાનમાં પતંગ ચગાવવા પૂરતો છે. પણ મને લાગે છે કે પાછળના ધાબાવાળા ધારે તો આપણું ખેંચી કાઢે.
કેજરીવાલઃ (ચહેરા પર આવતું સ્મિત રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં) એમની ચિંતા કરવાની જરૂર નથી, અન્નાજી. એ મિડીયાવાળા છે. તમારી વાત ખરી કે એ ધારે તો આપણું ખેંચી કાઢે, પણ અત્યારે આપણી ખેંચથી કપાયેલા પતંગો લપટાવવામાં એમને એટલી મઝા પડી રહી છે- એટલો ફાયદો છે કે આપણો પતંગ કાપવાનો વિચાર સુદ્ધાં એ ન કરે. ઊલટું, એ તો આંખ મીંચીને આપણને પાનો ચઢાવી રહ્યા છે. હું અમથું અમથું ખેંચું તો પણ એ લોકો જોર જોરથી ‘કાટ્ટા, કાટ્ટા’ના પોકાર પાડે છે.

અન્નાઃ વાહ, આવો પવન હોય ને આવા ટેકેદારો હોય તો પતંગ ચડાવવાની ખરી મઝા આવે.

કેજરીવાલઃ આવે નહીં, અન્નાજી, આવી જ રહી છે. આખા ગામમાં અત્યારે તમારા પતંગનો સપાટો છે. મોંઘા-ફેન્સી પતંગ ચડાવનારા અત્યારે પિલ્લાં વીંટીને ચૂપચાપ બેસી ગયા છે. એમને બીક છે કે ‘અમે સહેજ ઊંચું કરીશું, તો અન્નાજીનો પતંગ અમને ખેંચી પાડશે.’

અન્નાઃ આને કહેવાય સામાન્ય માણસની પ્રામાણિકતાની તાકાત. (સામા ધાબે જોઇને) પણ ત્યાં આ હિલચાલ શાની દેખાય છે?

કિરણ બેદીઃ એ લોકો ક્યારના ઝંડો બનાવવામાં પડ્યા છે. બહુ લાંબો ને ગૂંચળાંદાર કાંટાવાળો ઝંડો. સંસદીય પ્રક્રિયાના લાંબા વાંસ સાથે એને બાંધીને ઊંચો કરશે તો...

અન્નાઃ તો શું?

કેજરીવાલઃ કંઇ વાંધો નહીં. આપણે આવા કંઇક ઝંડાને પહોંચી વળ્યા છીએ. હવા છે ત્યાં સુધી આપણા પતંગને જરાય વાંધો નથી. આપણો પતંગ કપાઇ જશે ને હું ખાલી ખાલી ખેંચ્યે રાખીશ, તો પણ લોકો ‘કાટ્ટા..કાટ્ટા...’ કરશે.

અન્નાઃ એ જ તો છે અસલી લોકશક્તિ. એની સામે ભલભલાને નમવું પડે છે. કોઇનું કંઇ ચાલતું નથી.(આકાશમાં જોઇને) આપણો પતંગ છે ક્યાં અરવિંદ?

કેજરીવાલ-બેદીઃ એ તો બહુ, બહુ જ ઉપર આકાશમાં છે અને પાછો આસમાની છે. એટલે અમને પણ દેખાતો નથી. અમારી પાસે ફક્ત દોરી જ છે.

અન્ના (દોરી હાથમાં પકડીને): હં..ભાર તો લાગે છે, પણ પતંગનું આટલું વજન ન હોય. એવું તો નથી ને કે એ ક્યાંક ભરાઇ પડ્યો હોય? મને સામા ધાબાવાળા પર જરાય વિશ્વાસ નથી. થોડે આગળ એમનું બીજું એક મકાન છે ગોળાકાર, બહુ થાંભલાવાળું.. કહો ન કહો, પણ આપણો પતંગ ત્યાં ક્યાંક ભરાયો હોય એવું મને લાગે છે... મને અમંગળ વિચારો આવે છે કે એ મકાનના ધાબા પરથી કોઇકે આપણો પતંગ તોડી લીધો છે ને તાર લૂંટવા માટે આપણો દોરો પકડી રાખ્યો છે એટલે આપણને દોરી પર વજન લાગે છે...

કેજરીવાલ-બેદીઃ તમે એ બધી ચિંતામાં ન પડો. બસ, તમે અત્યાર સુધી ઊભા રહ્યા એમ અહીં ધાબાની વચ્ચોવચ્ચ ઊભા રહો. બાકી બઘું થઇ પડશે. અમે છીએ ને...

(છેલ્લા શબ્દો વઘુ એક વાર ‘કાટ્ટા...કાટ્ટા..’ના પોકારમાં ડૂબી જાય છે.)

Monday, January 16, 2012

હોમાયબહેનને અંગત અંજલિ

ગઇ કાલે સવારે (15-1-2012) હોમાય વ્યારાવાલાનું અવસાન થયું. ઉંમરઃ ફક્ત 98 વર્ષ.
'ફક્ત' એટલા માટે કે થોડા વખત પહેલાં જ એમણે બીરેનની અને મારી સાથેની વાતચીતમાં એવો ધોખો કર્યો હતો કે 'આજકાલ લોકો 60-70 વર્ષની ઉંમરે સિનિયર સિટિઝન થઇ જાય છે.'

હોમાયબહેન વિશે ઘણું લખાયું છે. હજું હું પણ 'ગુજરાત સમાચાર'ની રવિપૂર્તિ માટે લખવાનો છું. છતાં, તેમની સાથેના લગભગ દોઢેક દાયકાના સંપર્ક-પરિચયની સ્મૃતિ અહીં સમરસિયા મિત્રો સાથે વહેંચવાનું અને ગમગીની થોડી હળવી કરવાનું મન છે. મોટા ભાઇ બીરેન (કોઠારી) અને સ્કૂલ-કોલેજકાળના મિત્ર પરેશ પ્રજાપતિ પરિવારોને હોમાયબહેન સાથે એકદમ ઘરોબો હતો. ચરિત્રકાર સબીના ગડીહોક, ત્રણ દાયકા જૂનાં પાડોશી મિસિસ જયશ્રી મિશ્રા, મિસિસ હવેવાલા ઉપરાંત બીરેન-પરેશ જેવા ગણ્યાંગાંઠ્યાં લોકો સાથે કડક ધોરણ ધરાવતાં હોમાયબહેનની આત્મીયતા હતી. તેને કારણે વર્ષે બે-ત્રણ વાર વડોદરા જવાનું થાય ત્યારે બીરેન સાથે હું હોમાયબહેનને મળવા જતો.
(બીરેનના બ્લોગ પર હોમાયબહેનને આત્મીય અંજલિ માટે http://birenkothari.blogspot.com/2012/01/blog-post_15.html )

તેમની સાથેના સંપર્કની શરૂઆત 1997થી થઇ. (જુઓ નીચે મુકેલો અંતર્દેશીય પત્ર). રાજકોટના વડીલ મિત્ર-ફોટોગ્રાફર-કળાકાર રમેશ ઠાકરે હોમાયબહેન વિશે પહેલી વાર માહિતી આપી. મેં બીરેનને વાત કરી. બીરેને વડોદરામાં મહેનત કરીને તેમનું સરનામું શોધી કાઢ્યું. (ત્યારે તે વડોદરામાં આટલાં ઓવર-એક્ઝપોઝ્ડ ન હતાં) મેં તેમને ઇન્ટરવ્યુ માટે પત્ર લખ્યો. જવાબમાં પારસીશાઇ સૌજન્ય ધરાવતો તેમનો અંતર્દેશીય પત્ર આવ્યો. (તારીખ 30-6-97)



હોમાય વ્યારાવાલા સાથે પહેલી મુલાકાતઃ 1997માં
Homai Vyarawala- Urvish Kothari- 1997

...અને એક દાયકા પછી
Homai Vyarawala- Urvish Kothari, Oct 2010

તેમની સાથેની પહેલી મુલાકાતના આધારે થોડા સમય પછી એ વખતે વડોદરા, સુરત અને ભાવનગરમાં આવતી અને મારા સંપાદન તળે પ્રગટ થતી 'સંદેશ'ની મહેફિલ પૂર્તિમાં મેં બે ટેબ્લોઇડ પાનાં ભરીને તેમના વિશે (કવર) સ્ટોરી કરી હતી. તેનું પહેલું પાનું.(23-2-1999)


2005માં સરદાર પટેલ વિશેનું મારું પુસ્તક 'સરદારઃસાચો માણસ, સાચી વાત' પ્રકાશિત થયું તેમાં હોમાયબહેને પાડેલી અને સંભવતઃ ક્યાંય ન છપાયેલી બે ખાસ તસવીરો હતી. આ બન્ને હોમાયબહેને પોતાના નેગેટીવના ખજાનામાંથી ખોળી આપી હતી અને બીરેને તેની પ્રિન્ટ કરાવી હતી. તેમાંની એક તસવીર (નીચેની) સરદારના મૃત્યુના દિવસની છે. એ દિવસે હોમાયબહેન દિલ્હીમાં હતાં અને સરદારનું મૃત્યુ-અંતિમ યાત્રા મુંબઇમાં. પોતે ત્યાં જઇ ન શક્યાં તેનો વસવસો હળવો કરવા માટે, 'હિંદુસ્તાન ટાઇમ્સ'ની દિલ્હી ઓફિસની બહાર મુકાયેલા આ ન્યૂઝ ડિસ્પ્લે બોર્ડની તસવીર તેમણે લીધી, જેની પર તારીખની સાથે 'બ્રેકિંગ ન્યૂઝ' તરીકે લખાણ હતું- સરદાર પટેલ ડેડ.
આ તસવીર જોતાંવેંત પરમ મિત્ર-ઉત્તમ ડિઝાઇનર અપૂર્વ આશરની અને મારી એક જ લાગણી હતીઃ 'પુસ્તકનું બેક ટાઇટલ મળી ગયું.' બેક ટાઇટલ પર આ તસવીર ધરાવતું પુસ્તક ગુરુવત્ લેખક નગેન્દ્રવિજયને આપ્યું ત્યારે તેમણે આ તસવીરનાં અને તે લેનારની સૂઝ તથા ઇતિહાસદૃષ્ટિનાં દિલથી વખાણ કર્યાં હતાં.
(Photo: Homai Vyarawala)

'સરદારઃસાચો માણસ, સાચી વાત'ની એક નકલ લઇને બીરેન અને હું હોમાયબહેનને ઘેર ગયા. ઘણાં વર્ષોથી તે પુસ્તકો સ્વીકારતાં નહીં. રાખે તો પણ જોઇને-વાંચીને પાછું આપી દેવા માટે. આ પુસ્તક તેમણે લીધું અને જોઇને ઉપર સુંદર લખાણ સાથે પાછું આપી દીધું. પુસ્તકની આ નકલ મને સૌથી વહાલી છે. તેની પર હોમાયબહેને પુસ્તકની ગુણવત્તા કરતાં વિશેષ પોતાની નમ્રતાનો-મોટાઇનો પરિચય કરાવતાં લખ્યું છેઃ I feel very much honoured for having some of my photos of Sardar Patel published in this memorable book. - Homai Vyarawala, 19-3-05

અને આ બીજું સંભારણું. સબીના ગડીહોકે લખેલા તેમના વિશેના અદભૂત પુસ્તક- 'કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા'ની તેમણે ભેટ આપેલી નકલનું ઉઘડતું પાનું

હોમાયબહેને મૃત્યુ પછી પારસી પદ્ધતિથી આખરી વિદાય લેવાને બદલે અગ્નિસંસ્કાર કરાવવાની ઇચ્છા બીરેન, પરેશ અને બીજા મિત્રો આગળ વ્યક્ત કરી હતી. તેમનો તર્ક હતો કે પારસી પદ્ધતિ પ્રમાણે મૃત શરીર ગીધ જેવા પક્ષીઓનો ખોરાક બને, પણ હવે ગીધ રહ્યાં નથી. તેને કારણે ઘણી વાર લાંબા સમય સુધી મૃતદેહનો નિકાલ થતો નથી. એટલે તેમણે અગ્નિસંસ્કાર પર પસંદગી ઢોળી. તેનું ખોટું અર્થઘટન કરતાં મોટાં ભાગનાં અખબારોએ લખ્યું કે 'હિંદુ વિધિથી અંતિમ સંસ્કાર'. હકીકતે, તેમને સ્મશાને લઇ જતાં પહેલાં લગભગ અડધો કલાક સુધી તેમના ઘરે પારસી ધર્મપ્રાર્થના કરવામાં આવી હતી.
(નીચેની તસવીરમાં પારસી ધર્મગુરુ અને હોમાયબહેન સાથે દૂરનું સગપણ ધરાવતા મુંબઇ સ્થિતિ વીરાફ પાવરી, આજે સવારે સાડા આઠની આસપાસ.)

...અને આ વડોદરાનું એ સ્મશાન, જ્યાંથી હોમાયબહેને આખરી વિદાય લીધી

સ્મશાનમાં અપેક્ષા કરતાં બહુ ઓછા માણસ હતા માંડ પચાસેક હશે. તેમાં ફોટોગ્રાફરોનું ઝુંડ પણ ખરું. હોમાયબહેન જેવાં તસવીરકાર વિશેની પોસ્ટમાં એમની 'જ્ઞાતિ' વિશે શું લખવું? પણ એટલું ચોક્કસ યાદ આવે કે આ વ્યવસાયની ગરીમા જવા લાગી, એટલે હોમાયબહેન તેમાંથી નિવૃત્ત થઇ ગયાં હતાં. લાંબા લાંબા લેન્સ (જેને 'ઝૂમ'ને બદલે 'ઝૂમડા' કહેવાનું મન થાય એ) લઇને આવતા વ્યાવસાયિક તસવીરકારો વિશે મને બે વાતની હંમેશાં નવાઇ લાગે છે. એક તો, આટલા સરસ લેન્સ છતાં તેમને શા માટે વિષયની નજીક ઘેરા ઘાલવા પડે છે? અને બીજું, કોઇ એક જ સબ્જેક્ટની તેમને એકસામટીદસ-પંદર-પચીસ તસવીરો પાડવી પડે, એટલી બધી અસલામતી પોતાની આવડત વિશે તે શા માટે અનુભવતા હશે? કોઇ શિખાઉ ફોટોગ્રાફર એકના એક વિષયની ઢગલાબંધ ક્લિક્સ કરે તો સમજ્યા, પણ પોતાના ક્ષેત્રના આ ધુરંધરો, ફક્ત રોલના રૂપિયા નથી થતા એટલા માટે, અઢળક ક્લિક્સ કરીને શિખાઉની હરોળમાં આવવા શા માટે પ્રયાસ કરતા હશે?


હોમાયબહેનને વિદાય કરીને આવ્યા પછીઃ તેમના ઘરના દીવાનખાનામાં, ઉપર તેમની સાથેની વાતચીતની તસવીરો જ્યાં લેવાઇ છે એ જગ્યાએ, તેમના પ્રિય છોડની સામે પ્રકાશ રેલાવતો તેમની સ્મૃતિનો અખંડ દીવો, જે અમારા જેવા તેમના ઘણા પ્રેમીઓના હૃદયને કાયમ અજવાળતો-હૂંફ આપતો રહેશે.


(હોમાયબહેન વિશે આ બ્લોગ પર અગાઉ લખેલી પોસ્ટ્સની લિન્ક- કુલ છ પોસ્ટ)
http://urvishkothari-gujarati.blogspot.com/search/label/homai%20vyarawala

Saturday, January 14, 2012

ઉત્તરાયણઃ વીસ વર્ષ પહેલાંના Objects Of Desire

ઉત્તરાયણમાં અત્યારે કેટલીક ચીજો બહુ સામાન્ય બની ગઇ છે, પણ બે દાયકા પહેલાં તેમાંથી ઘણી વસ્તુઓ કમ સે કમ મહેમદાવાદ જેવા ગામમાં અને મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા ઘણા લોકો માટે દુર્લભ અથવા બહુમૂલ્ય હતી. લગભગ Objects of Desireની કક્ષામાં. એવી કેટલીક ચીજોનું 'સ્નેહસ્મરણ'.

જાતજાતનાં પીપુડાં પહેલાં મોંમાં દબાવીને વગાડવાની દેશી પતાકડીઓ આવતી હતી, જે મોટે ભાગે કાળી નાની પીપુડીમાંથી કાઢીને મોમાં સરકાવવામાં આવતી હતી. હવે ફુગ્ગાથી ફ્લુટ જેવા વિવિધ પ્રકારનાં હવાદાર પીપુડાં છૂટથી મળે છે. બલ્કે, તેના અવાજ વિના પતંગ ન ચડે એવું ઘણા પ્રેમીઓ માનતા હશે. 

મ્યુઝિક સિસ્ટમઃ સાદાં કેસેટ પ્લેયરની વાત નથી, માણસની જેમ ધાબે ચઢીને ઘોંઘાટ મચાવી શકે એવાં મ્યુઝિક પ્લેયર પહેલાં જૂજ હતાં. સ્પીકર, એમ્પ્લીફાયર, પ્લેયરનો દાખડો ધાબે ચઢાવવામાં મુશ્કેલી પડે. એટલું જ નહીં, વડીલો આ ચીજો ઉપર લઇ જવાની પરવાનગી આપે કે કેમ, એ અગત્યનો સવાલ. હવે ધાબાં પર ધમધમતી મ્યુઝિક સિસ્ટમની બિલકુલ નવાઇ રહી નથી. 


ગુંદરપટ્ટીનો રોલ કોડી-દોઢ કોડી પતંગ સાથે મફત લેવાની ચીજ હતો. પછી વધારે પટ્ટી વધારે જોઇતી હોય તો થોડો મોટો રોલ ખરીદવો પડે. તેનો રંગ ખાખી હતો, જે પોલીસની વરદી કરતાં જુદો ખાખી હોવા છતાં એટલો જ સત્તાવાર લાગતો હતો. ઉત્તરાયણમાં પતંગોની સારવારનો સત્તાવાર રંગ હતો ખાખી. હવે ગુંદરપટ્ટીને બદલે આવાં સ્ટીકરની શીટ તૈયાર મળે છે. સ્ટીકર ઉખાડો ને પતંગ પર ચોંટાડી દો.  લાળરસથી ગુંદરપટ્ટી લગાડવાની કે ગુંદરપટ્ટી ચોંટી-ન ચોંટી એની ઝંઝટ નહીં.

ફિરકીનું સ્ટેન્ડઃ થોમસ આલ્વા એડિસન ગુજરાતમાં જન્મ્યો હોત તો તેની એકાદ હજાર પેટન્ટમાંથી એકાદ ચોક્કસ ફિરકીના અસરકારક સ્ટેન્ડની હોત. પિલ્લાંના આધુનિક અવતાર જેવી ફિરકી આવી ત્યારથી તેને પકડવા માટે એક જણની જરૂર પડે એવું પરાવલંબન સંકળાઇ ગયું હતું. દરેક વખતે ફિરકી પકડનાર માણસ ક્યાંથી લાવવા? એટલે જુદી જુદી તરકીબો અજમાવાઇ. ઇંટ નીચે કે પતરાની ધારમાં ફિરકીનો એક દાંડો દબાવીને ફિરકી મૂકવાથી કામ ચાલી જતું હતું. અહીં બતાવ્યું છે એવું સ્ટેન્ડ 'ક્રાંતિકારી શોધ' તરીકે આવ્યું ખરું, પણ કાર્યક્ષમતાની દૃષ્ટિએ તે મોટે ભાગે નકામું નીવડે છે. કોઇ એન.આઇ.ડી.-બહાદુર આવું શોધે તો પણ આપણને વાંધો નથી.

સુરતની દોરીઃસુરતના જમણની સાથોસાથ તેની દોરી પણ એટલી જ વખણાતી હતી, પણ એ લાવવાની ક્યાંથી? દરેક વખતે એવા મનસૂબા ઘડાય કે બધા મિત્રોએ ભેગા થઇને સુરતની દોરી મંગાવવી જોઇએ, પણ મોટે ભાગે એવી મહેચ્છાઓ સહેલાઇથી ફળીભૂત ન થતી. ક્યારેક કોઇ ઉત્સાહી જથ્થાબંધના ઓર્ડર લઇને સુરત મુકામે સંચરે ત્યારે જ એવું શક્ય બનતું.

કેપ-ગોગલ્સઃ ફક્ત કેપ કે ફક્ત ગોગલ્સ ઉત્તરાયણની એકમાત્ર લક્ઝરી ગણાતી હતી, પણ હવે એ બન્નેનું સંયોજન સહેલાઇથી મળી રહે છે. એ પહેરવા માટે પતંગ ચડાવવી ફરજિયાત નથી.

ચકાચક દોરીઃ ત્રીસેક વર્ષ પહેલાં ઘરની પતરાંની અગાસીમાં સરોશ વગેરે નાખેલી ગુલાબી લુગદીમાં દોરી પીવડાવવાની ક્રિયા થઇ હતી, એ હજુ યાદ છે. પણ હવે ગુજરાતના મેદાનમાં બરેલીના ઉસ્તાદો આવી ગયા છે.


બાયનોક્યુલરઃ હિંદી કોમેન્ટરીની ભાષામાં કહીએ તો 'ખચાખચ ભરેલા' ધાબામાં પહેલાં બાયનોક્યુલરમાંથી જેને જોઇ શકાય તેની તલાશ ચાલે અને પછી બાયનોક્યુલરની.

તુક્કલઃ શિયાળાની સાંજ વહેલી ઢળે અને અંધારું ઘેરાય એટલે દિવસે સ્થિર ગણીને જુદા તારવેલા પતંગ નીકળે. મોટે ભાગે મોટા (ભારે) સફેદ પતંગ. તેને થોડા ચડાવીને પછી તેની સાથે ફાનસ બંધાય. મોટા પતંગ માટે વપરાતો 'તુક્કલ' શબ્દ ફાનસ માટે જ વપરાતો હોય. આખા ગામમાં તુક્કલ ચઢાવનારા પતંગબાજ જૂજ હોય. બાકીના ધાબે તુક્કલ જોવા ચડે. પણ હવે તસવીરમાં છે એવા ગુબ્બારા આકાશે ચડતા અને ઊંચે ઊંચે જતા જોવા મળે છે. 

હાથે બાંધેલી પટ્ટીઓ તેની પર લાગેલા ઘસરકા, પટ્ટી પર અને હથેળીઓમાં લાગેલો ગુલાબી રંગ- આ બધું ઉત્તરાયણમાં કરેલી મઝા વિશે કશું કહ્યા વગર ઘણું કહી આપે છે.પહેલાં આંગળીએ પહેરવા માટે કપડાની ખોરી બનતી હતી. તેવી રબરની ખોરી પણ આવતી. ઘણા વખતથી આ પ્રકારની ટેપ ચાલે છે. 

લચ્છી પતંગ પકડતી વખતે તેની સાથે આવતી દોરીની આ રીતે લચ્છી બનાવવામાં આવતી હતી. 'ભાર દોરીમાં' પકડેલી પતંગની જાડી લચ્છી જોઇને શેર લોહી ચડતું હતું. પતંગને લગતા કૌશલ્યમાં અંગુઠા અને ટચલી આંગળીની મદદથી લચ્છી વીંટવાના કૌશલ્યનો સમાવેશ પણ થતો હતો. ઉત્તરાયણ પૂરી થયા પછી બહુરંગી લચ્છીઓના વિલિનીકરણમાંથી પરચૂરણ દોરીનું પિલ્લું બનાવવામાં આવતું હતું, જેનો ઉપયોગ પછીની ઉત્તરાયણના પહેલાંના દિવસોમાં પતંગ ચગાવવા કે પછી કન્ના બાંધવા થતો હતો. હવે લચ્છીઓનો એવો દબદબો રહ્યો નથી. 

પતંગ પકડતો કુદરતી 'ઝંડો' આકાશભરની પતંગો આબાદ ઝડપી લેતા વૃક્ષોને જોઇને ઘણી વાર એવું થતું કે આવો એકાદ 'ઝંડો' હાથવગો હોય તો બધી પતંગ આપણે જ પકડી પાડીએ.

Friday, January 13, 2012

ઉત્તર-અયનની પૂર્વ-તૈયારી

પતંગપ્રેમીઓને બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ રંગ દેખાય

કાલની સવાર પડે એટલી વાર છે...
દે

મોબાઇલથી કન્ના બંધાતી હોત તો...

પતંગ સહકારી મંડળી


આંખોમેં ક્યા જી...

પતંગના 'કાન' પણ પારકી મા વીંધે

'કન્ના' ઉર્ફે 'કન્યા' શબ્દ સંસ્કૃત 'કર્ણ' પરથી બન્યો છે. 'કર્ણ'નો એક અર્થ છે 'સુકાન'.