Monday, October 30, 2023

તૂટેલા પુલના સમ

 એક સમયે ગુજરાત અમદાવાદના ઝુલતા મિનારા માટે પ્રખ્યાત હતું. હવે તૂટતા પુલ માટે તે જાણીતું બન્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પુલ તૂટવાના એટલા કિસ્સા બની રહ્યા છે કે કેટલાંક અખબારો ખાસ પુલ-સંવાદદાતા નીમવાનું વિચારી રહ્યાં છે અને કેટલાંકે તો બિનસત્તાવાર રીતે તે નીમી પણ દીધા છે.

પુલ તૂટવાની વાતમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, સાવરકર કે સનાતન ધર્મની વાત આવતી નથી. એટલે છાપાં-ચેનલો-યુ ટ્યુબ ચેનલો ખુલીને તેની ટીકા કરીને, પોતાની નિર્ભિકતાનું પ્રદર્શન કરી શકે છે. વળી, તેમાં પ્રજાહિત સંકળાયેલું હોવાથી પ્રજાહિતની રખેવાળીનો પાઠ પણ ભજવી શકાય છે. કારણો ગમે તે હો, પણ પુલ તૂટવાના મુદ્દે થોડીઘણી કાગારોળ થાય છે તે આવકાર્ય છે. તેમાં કેન્દ્રસ્થાને રહેલો મુદ્દો સ્વાભાવિક રીતે જ ભ્રષ્ટાચારનો હોય છે. ભ્રષ્ટાચારની ચ્યુઇંગ ગમનું સુખ એ છે કે શરૂઆતના ગળપણ સુધી તેનો સ્વાદ લઈને ચગળી શકાય છે ને સ્વાદ ઉડી જાય ત્યારે તેને સહેલાઈથી ફેંકી શકાય છે.

પુલ બાંધનારા લોકોની આધ્યાત્મિક વૃત્તિની કદર નહીં કરી શકતા લોકો એવો તળીયાઝાટક આરોપ મુકે છે કે કોન્ટ્રાક્ટરો અને નેતાઓ-અફસરોની મીલીભગતને કારણે રૂપિયા અઢળક ખર્ચાય છે- સંબંધિત પાર્ટીઓના ઘરે સોનાના પુલ બને એટલી રકમ આવે છે, પણ અસલી પુલમાં વેઠ ઉતરે છે. તેના કારણે ભ્રષ્ટાચારીઓ પુલનિમિત્તે થયેલી કમાણીનો વહીવટ કરી શકે તે પહેલાં પુલ તૂટી જાય છે.

—અને તેમને શરમાવું પડે છે?

એવો વિચાર ક્યાંથી આવ્યો? શરમાવાનું તો ક્યારથી મુકી નથી દીધું?  ઉલટું, નવું કામ આવી પડે છે ને કમાવાની નવી તક ઊભી થાય છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા--એવું વાંચીને પહેલાં ભોળા લોકોને લાગતું હતું કે એ કોન્ટ્રાક્ટરોની તો જિંદગી ઝેર થઈ જશે. પરંતુ ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે કોન્ટ્રાક્ટ આપવામાં સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પછીનું કોઈ રેટિંગ હોય તો તે બ્લેક રેટિંગ છે. એક વાર કોઈ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થાય, ત્યાર પછી તેના વિશે નેતાઓ અને અધિકારોઓને કશી અવઢવ નથી રહેતી. તેની સાથે શરમસંકોચ (હજુ પણ જો બચ્યો હોય તો) નેવે મુકીને કમિશનના દર અંગે વાતચીત થઈ શકે છે.

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ન બતાવો એવી કાવ્યપંક્તિને ચરિતાર્થ કરતા બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરના મનોદેહ પર કોઈ આવરણ હોતાં નથી. એટલે તેમને નિર્વસ્ત્ર થવાની કોઈ બીક પણ હોતી નથી. તેના કારણે બંને પક્ષે વાતચીતમાં પ્રામાણિકતા અને પારદર્શકતા પ્રગટે છે. એ તો જાહેર જીવનની કામગીરીનો આખરી હેતુ અને ઉચ્ચ આદર્શ છે. તેની ટીકા કરવાની હોય કે તેને વધાવી લેવાનું હોય?  પ્રામાણિકતા અને પારદર્શકતા જેવાં મૂલ્યો આજે ભલે ભ્રષ્ટાચાર અને લેતીદેતીમાં પ્રગટ થાય, પણ એ જ મૂલ્યો દૃઢ થયા પછી લાંબા ગાળે જાહેર જીવનનું અભિન્ન અંગ બની નહીં રહે? એટલા મોટા સામાજિક પરિવર્તન માટે થોડા પુલોનો ભોગ આપવો પડે, એ ઊચ્ચ ભૂમિકાએ પહોંચવાની તબક્કાવાર પ્રક્રિયાનો જ એક હિસ્સો છે.

આગળ પુલ બાંધનારા લોકોની આધ્યાત્મિક વૃત્તિનો અછડતો ઉલ્લેખ કર્યો હતો. તેના વિશે પણ જાણી લેવું જોઈએ. નજીવી બાબતોમાં, અરે ક્રિકેટ મેચોમાં, જય શ્રી રામની ચિચિયારીઓ પાડનારા પુલની વાત આવે ત્યારે રામાયણ ભૂલી જાય તે કેમ ચાલે? લંકા પહોંચવા માટે વાનરસેનાએ પુલ બનાવ્યો ત્યારે તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ થયું હતું? તેમાં સીમેન્ટ ઓછો છે ને સળીયા ઓછા છે ને મટીરીયલ નિમ્ન કક્ષાનું છે—એવી કશી ચૂંથ થઈ હતી? કથા પ્રમાણે, વાનરસેનાએ શ્રદ્ધા અને ભક્તિથી પથ્થરો મુક્યા અને પુલ બની ગયો. આધુનિક કોન્ટ્રાક્ટરો જય શ્રી રામની ચિચિયારીઓથી ખોફ ખાઈને, લંકા-પુલપદ્ધતિથી નવા પુલો બાંધતા નહીં હોય એની શી ખાતરી? કથામાં રામના નામે પથરા તરતા હતા. કળીયુગમાં ચૂંટણીમાં રામનામે પથરા તરી જાય છે. તો કોન્ટ્રાક્ટરોએ વિચાર્યું હોય કે અસલી પથરાને પણ ટકાવી જોઈએ. એટલે એન્જિનિયરિંગને બદલે શ્રદ્ધાથી કામ લઈને તેમણે પુલ બાંધ્યા હોય એવું ન બને? એવી રીતે બાંધેલા પુલ તૂટી જાય તો તેમાં કોની શ્રદ્ધા ઓછી પડી કહેવાય? કોન્ટ્રાક્ટરની? દલાલની? અફસર-નેતા યુતિની? કે તેની પર-તેની નીચે ચાલનારાની? આ સવાલ આધ્યાત્મિક સ્વરૂપ ધારણ કરે છે અને તેને એન્જિનિયરિંગ સાથે કોઈ લેવાદેવા રહેતી નથી.

જે રીતે અભ્યાસક્રમો બદલાઈ રહ્યા છે અને પુરાણકથાઓને ઇતિહાસ કે વિજ્ઞાન તરીકે ઘુસાડવામાં આવી રહી છે તે જોતાં, સિવિલ એન્જિનિયરિંગ ભણેલા વિદ્યાર્થીને લંકાના પુલ વિશે બધી ખબર હોય અને ગુજરાતમાં બાંધવાના પુલો વિશે કશી ખબર ન હોય, તો પણ આઘાત ન લાગવો જોઈએ. બલ્કે, તેના સંસ્કૃતિજ્ઞાનને બિરદાવવું જોઈએ અને પુલો તૂટવા છતાં રાજ્યની-દેશની સંસ્કૃતિનો વિજયધ્વજ કેવો ફરફરી રહ્યો છે તેનું ગૌરવ લેવું જોઈએ.

દરેક વખત પુલ તૂટે ત્યારે માણસોનાં મૃત્યુ થાય તે જરૂરી નથી. માણસ-માણસ વચ્ચેના પુલ તૂટે ત્યારે કાગારોળ મચતી નથી. વર્ષોથી એવા પુલ સતત તૂટી રહ્યા છે—આયોજનપૂર્વક અને ગાફેલિયતથી. એવા પુલ ફરી બનાવવામાં સાહેબલોકોને રસ પડતો નથી. કારણ કે, એવા પુલ ન બને એમાં જ તેમનું સાહેબપણાની સલામતી હોય છે.

બીજા સમુદાયના લોકોથી માંડીને (મણિપુર જેવાં) બીજાં રાજ્યો સાથે આપણને જોડતા પુલ તૂટ્યાનો અવાજ સંભળાયો?

Wednesday, October 18, 2023

પટ્ટી તૂટ્યાની વેળા

દિલ તૂટવા વિશે દરેક ભાષામાં અઢળક સાહિત્ય સર્જાયું છે. કેટલાયનો તો કારોબાર જ બીજાનાં દિલના તૂટવા પર ચાલ્યો છે. તેની સરખામણીમાં સ્લીપર-ચપ્પલની પટ્ટી તૂટવા વિશે કોઈ ગદ્ય કે પદ્ય કૃતિ ભાગ્યે જ વાંચવા મળશે. સાહિત્યસર્જકો પર વાસ્તવિકતાથી દૂર હોવાનો આરોપ કંઈ અમસ્તો મુકાતો હશે? માણસ જેવો માણસ તેની સ્લીપર જેવી સ્લીપર કે ચપ્પલ જેવી ચપ્પલ પહેરીને રસ્તા જેવા રસ્તા પર સરેઆમ ચાલતો હોય અને અચાનક, દિલની જેમ જ, કટ કે ફટ અવાજ આવ્યા વિના પગરખાંની પટ્ટી તૂટી જાય, તે શું નાનોસૂનો ધક્કો છે? આધુનિક મહાકાવ્યોની રચના માટે કવિઓ વાલ્મિકીની જેમ ક્રૌંચ વધ જોવા ક્યાં મળવાનો? ડિસ્કવરી પર કે યુ ટ્યુબ પર? એને બદલે, ચાલતાં ચાલતાં પગરખાંની પટ્ટી તૂટી જાય ત્યારે સર્જાતી કારુણી કલાપીની કવિતાને ટક્કર મારે એવું વિષાદકાવ્ય નીપજાવવાની પ્રેરણા આપી શકે છે. તેના માટે કવિએ સમાનુભૂતિનો અહેસાસ કરવો પડે.

ગમે તેટલા ઉદાર જણને પણ પટ્ટીતૂટ્યા સ્લીપર સાથે સમાનુભૂતિ  અનુભવવાનું—'એ સ્લીપર એ સ્લીપર નહીં, હું જ છું- એવું કલ્પવાનું અઘરું પડે છે, પણ સ્લીપર પહેરનારની પીડાનો અહેસાસ કરી શકાય કે નહીં? સેંકડો લોકો રોજ પગરખાં પહેરીને બહાર નીકળે છે. તેમાંથી કોની સ્લીપર વિધાતાની વક્ર દૃષ્ટિનો ભોગ બનવાની છે, તેની કોઈને ખબર નથી હોતી. યક્ષના પ્રશ્નના જવાબમાં સૌથી મોટા આશ્ચર્યનું વર્ણન કરતાં યુધિષ્ઠિરે કહ્યું હતું કે મૃત્યુ નિશ્ચિત છે તે જાણવા છતાં માણસ એવી રીતે વર્તે છે, જાણે તે કદી મૃત્યુ પામવાનો નથી. એવી જ રીતે, મોટા ભાગના પગરખાંપહેરકો એવી રીતે વર્તે છે, જાણે ફક્ત તે પોતે જ નહીં, તેમનાં પગરખાં પણ અમરપટો લખાવીને આવ્યાં હોય.

કેટલાંક લોકો પગરખાંને જેટલાં લાડ લડાવે છે, એટલું જતન ઘણા લોકો પોતાની જાતનું પણ નહીં કરતા હોય. રોજ પગરખાંને બરાબર લૂછવાં, ધોવાં, ગુંજાશ હોય ત્યાં પોલીશ કરીને કે કરાવીને તેમને ચકચકાટ કરવાં...આવી રીતે તૈયાર થયેલાં પગરખાં પર ગૌરવભરી નજર નાખતાં તેમનું શેર લોહી ચડે છે. એવા વખતે તેમને કહેવામાં આવે કે આટલો મોહ સારો નહીં, પગથિયાં ગમે ત્યારે, આગોતરો અણસાર આપ્યા વિના, સાથ છોડી દેશે અને પહેરનારને અધવચ્ચે મૂંઝવણભરી સ્થિતિમાં મુકશે. એ વખતે પહેરનારે પગરખાં-દેવદાસ બનવાનો વારો આવશે. તેને થશે કે અરેરે, આ પગરખાં, મને અડધે રસ્તે રઝળતો મૂકીને તૂટી ગયેલાં પગરખાં માટે મેં આટલી આસક્તિ રાખી? આટલાં વાનાં કર્યાં?

પગરખાં-અને ખાસ કરીને સારાં પગરખાં પહેરનાર માને છે કે તેનાથી ફક્ત પગની નહીં, પગ ઉપર રહેલા માથાની પણ શોભા વધે છે. પરંતુ રસ્તા વચ્ચે સ્લીપર-ચપ્પલની પટ્ટી તૂટે, ત્યારે બધી શોભા અવળી નીકળી શકે છે. કેમ કે, પહેરનારના ચિત્તમાં તે વખતે મજબૂરીનું વાવાઝોડું ફુંકાય છે. કવેળા, અધરસ્તે તૂટેલી પટ્ટીને કારણે માણસનું બધું ધ્યાન પગરખાંના તૂટેલા ભાગ પર કેન્દ્રિત થાય છે. અચાનક ચાલવામાં પડવા લાગેલી તકલીફને કારણે, આકરા પાણીએ હોય એવા લોકોને સૌથી પહેલો વિચાર તૂટેલાં પગરખાં ફગાવી દેવાનો આવે છે. તેની પાછળ એ મને શું છોડતીતી? હું જ એને તજી દઉં છું.—એવી ઘવાયેલા સ્વમાનની લાગણી જવાબદાર હોય છે. પરંતુ એ વિચારના અમલ પહેલાં તરત બીજા, વધારે વ્યવહારુ વિચારો આવવા માંડે છે. જેમ કે, હું તૂટેલી સ્લીપર પર ગુસ્સે થઈને તેને ફેંકી દઉં, તો તેની જોડીદાર એવી બીજી સ્લીપરનું શું?

એ ખરું કે માણસોની જેમ સ્લીપરને ફેંકી દેતાં પહેલાં પણ કશી ભૂમિકા બાંધવાનું આવશ્યક નથી. મોટા ભાગની કંપનીઓ માણસો પાસે એ મતલબના કરાર કરાવી જ લેતી હોય છે, સ્લીપર સાથે તો એવા કરારની પણ જરૂર નથી હોતી. છતાં, ઉગ્ર પ્રતિક્રિયાનો-રોષનો તબક્કો પૂરો થયા પછી માણસને યાદ આવે છે કે ટાયરમાં પંક્ચર થાય તો ટાયર ફેંકી દેવામાં આવતું નથી—તેનું પંક્ચર કરાવવામાં આવે છે. એવી જ રીતે, સ્લીપરની તૂટેલી પટ્ટી પણ સંધાવવી જોઈએ..

વિચાર તો પવિત્ર છે, પણ મોટા ભાગના પવિત્ર વિચારોની જેમ, તેના અમલીકરણમાં ખરી મુશ્કેલી હોય છે. તૂટેલી સ્લીપર સંધાવવી ક્યાં?  અને ખાસ તો, તેનો કોઈ સાંધણહાર ન મળે ત્યાં સુધી ખેંચવું શી રીતે? એ લગ્નજીવન તો છે નહીં કે જેમતેમ કરીને, ઘસડમપટ્ટી કરીને પણ ખેંચ્યે રાખવું પડે. તૂટેલી સ્લીપરને પહેરેલી રાખતાં માણસની ચાલવાની ગતિ પર અને એના કરતાં પણ વધારે, તેની ચાલવાની સલામતી પર ગંભીર અસર પડી શકે છે. બીજો વિકલ્પ લોકલાજ તજીને તૂટેલી સ્લીપરને હાથમાં પકડવાનો છે. પરંતુ કુછ તો લોગ કહેંગે, લોગોંકા કામ હૈ કહના—એ ગાવું જેટલું સહેલું છે, એટલું જ સાકાર કરવું અઘરું. સમાજમાં પોતાની ધારી લીધેલી પ્રતિષ્ઠાને કારણે વ્યક્તિને થાય છે કે હું? અને સ્લીપર હાથમાં પકડીને ચાલું? એના કરતાં તો સ્લીપરને ગૌરવભેર ફગાવીને ઉઘાડપગો ચાલું, તો મારું સ્વમાન વધારે સચવાય.

પગરખાની પટ્ટી ઓચિંતી તૂટવાની ઘટના જાગ્રત માણસ માટે બુદ્ધત્વની ક્ષણ બની શકે છે. તેને વિચાર આવી શકે છે કે જેમ પગરખાંની તેમ જીવનની પટ્ટી પણ સંધાવી ન સંધાય એવી રીતે એક દિવસ તૂટી જશે. પછી?

એ જુદી વાત છે કે એવું બુદ્ધત્વ પગરખાં સાંધી આપનાર મળે ત્યાં સુધી જ ટકે એવું હોય છે.

 

 

Tuesday, October 17, 2023

ફિલિસ્ટાઇન્સ એન્ડ ફેરિસીઝ (અસંસ્કારી અને કટ્ટર) : મુકુલ કેસવન

મૂળ લેખ ધ ટેલીગ્રાફ, 15-10-23


હમાસ એ પેલેસ્ટાઇની રાષ્ટ્રવાદનો પાશવીઇસ્લામી ગુણવિકાર છે. તે સત્તાવાર રીતે ઇઝરાઇલના નિકંદન માટે પ્રતિબદ્ધ છે. ઇઝરાઇલને તે ‘યહુદીવાદી એકમ’ (ઝાયનિસ્ટ એન્ટાઇટી) ગણે છે. હમાસનું બાકાયદા સૈન્ય ન કહેવાય એવું દળ તક મળે ત્યારે ઇઝરાઇલ સામે ગેરીલા યુદ્ધ આદરે છે. વ્યૂહાત્મક ઊંડાણની રીતે ગાઝા માંડ એક શોપિંગ મોલ જેવું છે. સુસજ્જ સૈન્ય ધરાવતી સરકાર જેવી ગરીમાાનો અભરખો હમાસ રાખી શકે તેમ નથી. ઘેરાબદ્ધ પ્રદેશમાં તે માન્યતા વગરનું રાજ ચલાવે છે. હમાસ સંરક્ષણ પૂરું પાડવાનું તરકટસમાજકલ્યાણ માટેનું સંગઠનમુક્તિચળવળ અને આતંકવાદી ટોળકી—આ બધું જ છે. ગાઝા વિશ્વની સૌથી મોટી ખુલ્લી જેલ હોયતો હમાસ તે જેલનું જાતે બની બેઠેલું ટ્રસ્ટી છે અને ઇઝરાઇલ તે જેલનું વોર્ડન.

 

ઇઝરાઇલ યહૂદીવાદી (ઝાયનિસ્ટ) રાષ્ટ્રવાદનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેના કબજામાં રહેલા પ્રદેશ પરનો તેનો દાવો એ માન્યતા પર આધારિત છે કે તે પ્રદેશ યહુદીઓનું રાષ્ટ્રીય વતન હોવું જોઈએ. કારણ કેપ્રાચીન કાળમાં તેમના વડવાઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દાવો ફક્ત વિચારધારાકીય નથી. દોઢેક સદીથી યહુદીવાદી યહુદીઓ પેલેસ્ટાઇન/ઇઝરાઇલને તેમનું વતન ગણીને ત્યાં સ્થળાંતર કરતા રહ્યા છે. અગાઉના પેલેસ્ટાઇનમાં યહુદીઓની નાનકડી વસ્તીની સતત રહી હતીએ બાબતને યહુદીવાદીઓ તેમના દાવાના સમર્થનમાં ટાંકતા હતા.

 

બીજા વિશ્વયુદ્ધ વખતે થયેલા યહૂદીસંહારની કરુણતામાંથી અને યુરોપની વચ્ચોવચ થયેલા યહૂદીસંહાર અંગે પશ્ચિમી દેશોની ગુનાઈત લાગણીમાંથી યહૂદીઓનો ઇઝરાઇલ પરના અધિકાર ફૂલ્યોફૂલ્યો. જર્મનીના બ્રેન્ડનબર્ગ ગેટ કે બ્રિટનના વડાપ્રધાનના નિવાસસ્થાન 10ડાઉનિંગ સ્ટ્રીટ પર કદી પેલેસ્ટાઇનના ધ્વજના રંગ છવાયેલા જોવા નહીં મળે. યહૂદી જનસંહારની સ્મૃતિને કારણેઇઝરાઇલીઓ દ્વારા થતી પેલેસ્ટાઇનીઓની હત્યા એટલી અધમ અને નઠારી નથી લાગતીજેટલી પેલેસ્ટાઇનીઓ દ્વારા થતી ઇઝરાઇલીઓની હત્યા લાગે છે.

 

પશ્ચિમી સરકારોનું એ કાયમી-સ્વીકૃત વલણ છે કે એક રાષ્ટ્ર તરીકે ઇઝરાઇલ પર અપ્રમાણસરની હિંસાનો આરોપ મુકી શકાયપણ તેને કદી ત્રાસવાદી ન ગણાય. કારણ કેઇઝરાઇલનું શિસ્તબદ્ધ સૈન્ય ત્રાસવાદનો જવાબ વિવેકપૂર્વકની હિંસાથી આપે છે. ઇઝરાઇલના સ્વરક્ષણના અધિકારને કારણે અજાણતાં નિર્દોષો માર્યા જાય એવું બનેપણ તે કદી ત્રાસવાદી અત્યાચાર ન હોઈ શકે. સ્વરક્ષણની કાર્યવાહીમાં જ્યાંના નિર્દોષો અજાણતાં માર્યા જાય છેએ પ્રદેશ તો લડાકુ ટોળકીઓનો છે. તે ટોળકીઓ નાગરિકો અને સૈનિકો વચ્ચે ફરક પાડતા બીજા શિસ્તબદ્ધ દેશના નાગરિકો પર જાણી જોઈને હુમલા કરે છે. માટેઇઝરાઇલની હિંસા અને પેલેસ્ટાઇનની હિંસાની નૈતિક રીતે કદી તુલના કરી શકાય નહીં. કારણ કેઇઝરાઇલની હિંસા તો હંમેશાં પેલેસ્ટાઇનના વણનોતર્યા ઉત્પાતનો વાજબી જવાબ (સ્વરક્ષણનો અધિકાર) જ હોવાની.

 

ઐતિહાસિક દૃષ્ટિએ આ વલણનું સમર્થન કરવું કઠણ છે. કેમ કેપેલેસ્ટાઇનની હિંસા વણનોતરી-કશી ઉશ્કેરણી વિના થયેલી નથી. આધુનિક સમયમાં એક દેશે બીજા પર સૌથી લાંબા સમય સુધી કબજો જમાવી રાખ્યો હોય એવાં ઉદાહરણોમાં ઇઝરાઇલે પેલેસ્વેટાઇન પર જમાવેલા કબજાનો સમાવેશ થાય છે. ઇઝરાઇલે પચાવી પાડેલી  જગ્યાનો સતત વિસ્તાર થતો રહ્યો છે. પેલેસ્ટાઇન માટે અલગ ફાળવેલી જમીન પર સતત યહૂદી વસાહતો ઊભી કરવામાં આવી છેજેથી પેલેસ્ટાઇન ઊભું કરી શકાય એવી કોઈ સળંગ જગ્યા ન બચે. જમીનની આ ચોરીથી પેલેસ્ટાઇનના લોકોની આજીવિકા ખતમ થઈ ગઈ છે. આ પ્રકારે તેમની નાગરિકતા ખતમ થવાને કારણે તેમની હાલત ગુલામો જેવી બની છે. જેરુસલેમના પૂર્વ હિસ્સા પરનો તેમનો દાવો પણ તેમની પાસેથી સતત ખાલી કરાવાતી જગ્યાઓને કારણે ઉત્તરોત્તર નબળો પડી રહ્યો છે. કટ્ટર જમણેરી ચળવળોવસાહતીઓ અને રૂઢિચુસ્ત અંતિમવાદીઓ જેરુસલેમની પવિત્ર ભૂમિની યથાસ્થિતિને સતત પડકારી રહ્યા છે. ઇઝરાઇલના આ પ્રકારના કબજાને કારણે ઉશ્કેરણીનો એવો સિલસિલો ઊભો થાય છેજે ઇઝરાઇલી રાજની પેલેસ્ટાઇની પ્રજાએ રોજેરોજ વેઠવો પડે છે અને એ પણ ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર.

 

ઇઝરાઇલીઓ સમુહ વસાહતો (કિબુત્ઝ) પર હમાસનો હુમલો ઉશ્કેરણીનું પરિણામ હતો અને આસુરી હતો. (પરંતુ) માનવપાત્રો ફક્ત તે જે પરિસ્થિતિમાં મુકાયાં હોય, તેનાં લક્ષણરૂપ નથી હોતાં. હમાસના યોદ્ધાઓનો નિર્ણય હતો; તે મહિલાઓને, બાળકોને, નિહથ્થા નાગરિકોને ન મારવાની પસંદગી કરી શક્યા હોત. એવી જ રીતે, ઇઝરાઇલના સૈન્યનો જવાબ પણ ઉશ્કેરણીનું પરિણામ હતો અને આસુરી હતો. સરવાળે તે હમાસના ખરાબમાં ખરાબ પ્રયાસ કરતાં પણ વધારે આસુરી હોવાનો. કારણ કે ઇઝરાઇલનો શસ્ત્રભંડાર આધુનિક છે. હવાઈ મોરચે તેનું વર્ચસ્વ સંપૂર્ણ છે અને (પેલેસ્ટાઇનના) લગભગ વીસ લાખ લોકો બીજે ક્યાંય જઈ ન શકાય એવી રીતે, જમીનની સાંકડી પટ્ટીમાં કેદ છે. ઇઝરાઇલના લશ્કરના એક જનરલે કહ્યું હતું કે બોમ્બમારા વખતે ચોક્સાઈને બદલે મહત્તમ નુકસાન અને વિનાશને પસંદગી આપવામાં આવશે. બીજા જનરલે ગાઝાના લોકો સાથે હ્યુમન એનિમલ્સ (માનવપશુઓ) જેવો વ્યવહાર કરવાનું વચન આપ્યું. 

 

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષના ઇતિહાસમાં ઇઝરાઇલે દસ ગણા વધારે પેલેસ્ટાઇનીઓને માર્યા છે. આંકડાકીય દૃષ્ટિએ તો, પેલેસ્ટાઇનીઓની યાતના અને ઇઝરાઇલના અત્યાચારનો કેસ બને છે—સિવાય કે તમે એવું માનતા હો કે માર્યા ગયેલા બધા પેલેસ્ટાઇનીઓ ત્રાસવાદી, ત્રાસવાદીના સાથી કે ત્રાસવાદીઓ દ્વારા ઢાલ તરીકે વપરાયેલા લોકો હતા. એટલે કે, આ લખાય છે ત્યારે ઇઝરાઇલના ગાઝા પરના હવાઈ હુમલામાં માર્યા ગયેલાં 500 બાળકો અને 276 મહિલાઓ જેવાં. અડધી સદીના ઇતિહાસમાં પહેલી વાર સેંકડો ઇઝરાઇલીઓ માર્યા ગયા છે અને તેની સરકાર તથા ઉચ્ચ અફસરોએ સ્પષ્ટ કરી દીધું છે કે તે પણ મૃત્યુઆંકને સરભર કરી દેશે. ગાઝામાં વસ્તીની ગીચતા જોતાં તો એ બહુ ઝડપથી થઈ જવું જોઈએ. ગાઝા પર બોમ્બમારો કરવો એ પીપડામાં તરતી માછલીને ઠાર કરવા જેવું (સહેલું) છે.  

 

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં કોના પક્ષે કેટલી ખુવારીઃ
આ લેખથી અલગ, ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રગટ થયેલો,
પણ આ લેખના મુદ્દા સાથે સીધો સંબંધ ધરાવતો આલેખ

બ્રિટનના ધ ટેલીગ્રાફમાં ઇઝરાઇલ દ્વારા થનારા અત્યાચારોને ધ્યાનમાં રાખીને એક આક્રમક લેખ પ્રગટ થયો હતો. તેમાં જણાવાયું હતું, બેશક, પ્રચંડ બળપ્રયોગ પ્રક્રિયાની દૃષ્ટિએ હંમેશાં ચોખ્ખો રહી શકતો નથી. એવા બળપ્રયોગનાં પરિણામ વખતે નેરેટીવની અને પીઆરની--એટલે કે, બળપ્રયોગનાં પરિણામોને કારણે થતા ઉહાપોહની અને તે વખતે છબી જાળવી રાખવાની--મુશ્કેલીઓ આવશે. એટલા માટે જ, ઇઝરાઇલને પશ્ચિમી સરકારોની સમજદારીની અને તેમના ટેકાની ક્યારેય ન હતી એટલી જરૂર અત્યારે છે. જાણે સંકેતની જ રાહ જોતા હોય તેમ, અમેરિકાના પ્રમુખ, બ્રિટનના વડાપ્રધાન અને વિરોધ પક્ષના વડા તથા યુરોપીઅન કમિશનનાં અધ્યક્ષે ઇઝરાઇલના સ્વરક્ષણના અને ગાઝા પર પ્રતિબંધો લાદીને તેને ઘેરો ઘાલવાના અધિકારનું સમૂહગાન કર્યું. ત્યાંના નિર્દોષ નાગરિકોના રક્ષણ વિશે સમ ખાવા પૂરતો પણ ઉલ્લેખ કરવાનું તેમને જરૂરી ન લાગ્યું.

 

(તમને થતું હશે કે) પેલેસ્ટાઇનીઓએ ઇઝરાઇલી નાગરિકોની હત્યાનાં પરિણામ વિચારવાં જોઈતાં હતાં, ઇઝરાઇલની વાસ્તવિકતા સ્વીકારી લેવા જેવી હતી અને હિંસા-સશસ્ત્ર સંઘર્ષ તજીને ઇઝરાઇલ સાથે શાંતિપૂર્ણ ઢબે વાટાઘાટો કરવી જોઈતી હતી. ગાઝાની પૂર્વે વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઇની નેશનલ ઓથોરિટીના મહમુદ અબ્બાસે એવું જ કર્યું. પેલેસ્ટાઇન નેશનલ ઓથોરિટી પેલેસ્ટાઇનના લોકોની પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રિય માન્યતા ધરાવે છે. તેને શાંતિપૂર્ણ વાટાઘાટોના પ્રયાસનો શો બદલો મળ્યો? રોકી ન શકાય એવી રીતે વિસ્તરતી યહૂદી વસાહતો, બે અલગ દેશના ઉકેલનો ઇઝરાઇલના વડા નેતાન્યાહુ દ્વારા અને ઇઝરાઇલની રાજસત્તા દ્વારા તુચ્છકારભર્યો ઇન્કાર, અને તે જેમનું પ્રતિનિધિત્વ કરે છે તેવા લોકોમાં નમાલા તરીકેનો દરજ્જો.  

 

બે અલગ રાષ્ટ્રોનો ઉકેલ ફગાવી દીધા પછી ઇઝરાઇલ વાટાઘાટો દ્વારા ઉકેલ નહીં, સંપૂર્ણપણે શરણાગતિ ઇચ્છે છે. વાટાઘાટો નહીં કરવાની તેની નીતિમાં હમાસ બહુ અગત્યનું પરિબળ છે. ગાઝા પર હમાસની પકડને લીધે ઇઝરાઇલ એવો દાવો કરવાની તક મળે છે કે તે જેમની સાથે વાતચીત કરી શકે એવો (ઠેકાણાસરનો) પેલેસ્ટાઇનની પ્રજાનો કોઈ પ્રતિનિધિ જ નથી. કતાર દ્વારા હમાસને થતી નાણાંકીય સહાયમાં નેતાન્યાહુની ભૂમિકા વિશે ઇઝરાઇલના અગ્રણી અખબાર Haartezમાં અહેવાલ પ્રકાશિત થઈ ચૂક્યો છે. હમાસ સાથે નેતાન્યાહુનો સંબંધ ઇંદિરા ગાંધીના ભીંદરાનવાલે સાથેના સંબંધ જેવો છે. ઇંદિરા ગાંધીએ અકાલીઓને માપમાં રાખવા માટે ભીંદરાનવાલેને ઊભા કર્યા હતા. નેતાન્યાહુ અને ઇંદિરા ગાંધી બંનેએ એવા અસુર પેદા કર્યા, જે તેમના કાબૂમાં પણ ન રહ્યા.  

 

નેતાન્યાહુની વ્યૂહરચના બેપાંખીયા છે. એક, જેરુસલેમમાં અને કબજે કરેલા બીજા વિસ્તારોમાં એવી પરિસ્થિતિ ઊભી કરવી કે જેથી બે અલગ રાષ્ટ્રોનો (પેલેસ્ટાઇન સ્વતંત્ર રાષ્ટ્ર બને એવો) ઉકેલ અપ્રસ્તુત બની જાય. બીજું, પેટ્રોલિયમના ભંડાર ધરાવતાં આરબ રાજ્યોને અલગ પેલેસ્ટાઇનનું વચન આપ્યા વિના, તેમની સાથેના સંબંધ સામાન્ય બનાવવા. આ યોજનાનો પહેલો હિસ્સો (નેતાન્યાહુથી પણ પહેલાં) દાયકાઓથી અમલમાં છે. બીજો હિસ્સો એટલે ડોનાલ્ડ ટ્રમ્પે વચ્ચે રહીને (ઇઝરાઇલ અને કેટલાંક આરબ રાષ્ટ્રો વચ્ચે) કરાવેલી અબ્રાહમ એકોર્ડ નામની સમજૂતી, જેને બાઇડેને પણ યથાતથ અપનાવી લીધા. આ રીતે ઇઝરાઇલના કબજાનો ભોગ બનેલા અને પોતાના હક ગુમાવી બેઠેલા લોકોની કરુણ સ્થિતિ કેવળ અપ્રસ્તુત ગણગણાટી બનીને, ઝૂંપડપટ્ટીઓમાં સમાઈને રહી જાય.

 

આ યોજનાને પશ્ચિમી દેશોનો ટેકો હોવાનું ઘણા સમયથી સ્પષ્ટ છે, પણ હમાસે સમુહ વસાહતો (કિબુત્ઝ) પર કરેલા હુમલા અને ઇઝરાઇલે ગાઝા પર કરેલા બોમ્બમારા પછી પશ્ચિમી દેશોએ નાટકીય અશાંતિ સિદ્ધ કરી છે, જે વિકૃત છે. અમેરિકા અને બ્રિટને ગાઝા સામે ઇઝરાઇલની અસ્તિત્વની લડાઈમાં જહાજો, વિમાનો અને હથિયાર મોકલ્યાં છે. અમેરિકાના ગૃહ મંત્રીએ હમાસને નાઝીઓ સાથે સરખાવ્યું છે. ઇઝરાઇલના સૈન્યે ISISના ઝંડા ઉપજાવી કાઢ્યા છે અને અત્યાચારો આચરવા માટેની સફરો યોજી છે. બાઇડેને હમાસ પર બાળકોના શિરચ્છેદનો આરોપ મુક્યો છે, જે બાબતે તેમના જ પ્રવક્તાએ પીછેહઠ કરવી પડી, કારણ કે હકીકતની ખરાઈ કર્યા વિના તે આરોપ કરવામાં આવ્યા હતા.

 

પેલેસ્ટાઇનના લોકો વિસ્ફોટોમાં મૃત્યુ પામેલાં તેમનાં બાળકોની તસવીરો ટિક ટોક પર મુકવાનું શરૂ કરે, તો બાઇડન તેને શેર કરે એ બનવાજોગ નથી. અમેરિકાના ગૃહમંત્રી પણ ઇઝરાઇલની ગાઝા પર અત્યાચારોની સફરને મંજૂરી નહીં આપે. નાગરિકોની નજીકથી હત્યા કરવી તે દૂર રહીને કે ઊંચાઈ પરથી નાગરિકોને મારી નાખવા જેટલું ખરાબ નથી. પશ્ચિમી નેતાઓ અને અખબારોએ હમાસના હત્યાકાંડને ઇઝરાઇલના 9/11 તરીકે ઓળખાવ્યું છે. એ ન્યાયે ઇઝરાઇલે કચડી નાખેલું ગાઝા પેલેસ્ટાઇનનું ડ્રેસ્ડન ગણાય. (બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના ડ્રેસ્ડન શહેર પર અમેરિકા અને બ્રિટનના વાયુ દળના ઘાતક બોમ્બમારામાં હજારો નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં અને શહેર ખંડેર બની ગયું હતું.) ફરક એટલો કે દરેક પશ્ચિમી રાષ્ટ્ર ઇઝરાઇલના લોહીયાળ બોમ્બમારાને સમર્થન આપે છે. જાણે કહેતાં હોય, અમને રોજરોજ ડ્રેસ્ડન બતાવો. 

 

ઇઝરાઇલનું સૈન્ય લોન સાફ કરે છે અને મનુષ્યપ્રાણીઓ સાથે પનારો પાડે છે, ત્યારે રશિયા સામે (યુક્રેનના) ન્યાયી યુદ્ધના તરફદારો ઇઝરાઇલ-પેલેસ્ટાઇનના સંઘર્ષમાં કબજો જમાવનાર ઇઝરાઇલને મદદ કરવા અને હથિયારો આપવા હડી કાઢે છે. બે અલગ રાષ્ટ્રોના ઉકેલનું છેલ્લું અંગવસ્ત્ર પણ રહ્યું નથી. હવે જે છે તે સંપૂર્ણ, ઉઘાડેછોગ નગ્નતા છે. બાઇબલના નવા કરારમાં કહ્યું છે, જે માણસ જાગતો રહે છે અને પોતાનાં વસ્ત્રો સાચવે છે તે પરમસુખી છે. કારણ કે તેને નિર્વસ્ત્ર નહીં ફરવું પડે અને લોકો આગળ તેની એબ ઉઘાડી નહીં પડે. (નવો કરાર, દર્શન 16:15) 

Sunday, October 15, 2023

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વિશે થોડી વાતઃ શાંતિથી વાંચવા-વિચારવા માટે

2002ની ગુજરાતી કોમી હિંસાની વાત નીકળે એટલે તેનાથી ખરડાયેલા અને તેમના સમર્થકો તરત 1984ની શીખવિરોધી હિંસાની વાત કાઢે છે--ન્યાય અપાવવા માટે નહીં, છેદ ઉડાડવા માટે.


1984ની શીખવિરોધી હિંસા પછી અને 2002ની ગુજરાતની મહદ્ અંશે મુસ્લિમવિરોધી હિંસા પછી ન્યાયની કામગીરીમાં ભાજપ-કોંગ્રેસ નહીં, માનવ અધિકારને લગતાં સંગઠનો અને અંગત નિસબત ધરાવતા લોકો જ અગ્રસર રહ્યા હતા. આ વાત સામાન્ય માણસોને યાદ રહેતી નથી અને રાજકીય પક્ષો-તેમના અનુયાયીઓ લોકોને આ વાત યાદ રહે તેમ ઇચ્છતા નથી.

હિંસાનો સામસામો છેદ ઉડાડવાનું કામ નાગરિકોનું નહીં, નેતાઓનું અને તેમની મંડળીઓનું છે. બાકી, હિંસાના છેદ કદી ઉડી શકતા નથી. તેના વર્ગ (સ્ક્વેર) જ થાય છે. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના મામલે પણ એવું જ છે.

સદીઓથી યુરોપમાં પ્રતાડનનો ભોગ બનેલા યહુદીઓને વીસમી સદીમાં પેલેસ્ટાઇના માથે મારીને બ્રિટન તો ચાલી નીકળ્યું, પણ ત્યાર પછી થયેલો હિંસાનો સિલસિલો, વચ્ચે વચ્ચે શાંતિપ્રયાસોના અપવાદ સાથે, કરુણ અને કરપીણ રીતે ચાલતો રહ્યો છે. પેલેસ્ટાઇનીઓને ઇઝરાઇલ કઠે છે. કારણ કે એ તેમના માથે મરાયેલું છે. તેમાં વળી વધારાની અણી ધર્મને કારણે ઉમેરાય છે. આખો મામલો યહૂદી વિરુદ્ધ મુસલમાનનો બનાવવામાં આવ્યો છે. અમેરિકા ઇઝરાઇલના પક્ષે છે. આરબ રાષ્ટ્રો પેલેસ્ટાઇનના લોકોના અધિકારોને સમર્થનનો દાવો તો કરે છે, પણ રાષ્ટ્રો વચ્ચેના સંબંધમાં છેવટે ઉમદા લાગણીઓ નહીં, સ્વાર્થ જ બળવાન હોય છે. એટલે આરબ રાષ્ટ્રો મન થાય ત્યારે મુસલમાન અને મન થાય ત્યારે અમેરિકાના ભેરુ બની જાય છે. તેમાં અધિકારથી વંચિત એવા પેલેસ્ટાઇનના લોકોની દશા ફુટબોલ જેવી થાય છે.

પેલેસ્ટાઇનમાં પણ હમાસ સહિતનાં વિવિધ જૂથો છે, જે પેલેસ્ટાઇનના નામે કામ કરે છે, અંદરોઅંદર ટકરાય છે અને ઇઝરાઇલમાં આતંક ફેલાવે છે. ભારતમાં ઘણા લોકોને ઇઝરાઇલનું ઘેલું છે. ઇઝરાઇલ તેમને માટે આદર્શ દેશ છે અને ભારતે ઇઝરાઇલ જેવા હોવું કે થવું જોઈએ, એવું તે માને છે. ઇઝરાઇલ માટે લડવું એ લડવાનો નહીં, ટકી રહેવાનો પર્યાય છે, એટલી સાદી વાત તે સમજવા માગતા નથી. ચોતરફ શત્રુરાષ્ટ્રોથી ઘેરાયેલા અને વસ્તુતઃ પેલેસ્ટાઇનના માથે મરાયેલા ઇઝરાઇલના માથે અસ્તિત્વ ભૂંસાઈ જવાનો ભય વર્ષો સુધી રહ્યો. ત્યારથી તેની માનસિકતામાં ભૂંસવા કે ભૂંસાઈ જવાના વિકલ્પો જ બચ્યા છે. એટલે શાંતિના નિષ્ફળ પ્રયાસ પછી, પેલેસ્ટાઇનની જમીન પર ઇઝરાઇલનો પથારો વિસ્તરતો જ જાય છે અને પેલેસ્ટાઇનના નિવાસીઓને ભય પમાડતો-ત્રાસ આપતો રહે છે.

હવે કેટલાક આરબ દેશો ગઈગુજરી ભૂલીને નવેસરથી અમેરિકા સાથે (અને આડકતરી રીતે ઇઝરાઇલ સાથે) હાથ મિલાવવા અને વર્તમાન સ્થિતિને નોર્મલ--સામાન્ય સ્થિતિ તરીકે સ્વીકારી લેવા તૈયાર થયા, તે (નોર્મલાઇઝેશન) વર્તમાન હિંસાના મૂળમાં રહેલો મુદ્દો ગણાવવામાં આવે છે. આગળ કહ્યું તેમ, આરબ રાષ્ટ્રો પેલેસ્ટાઇનના હકની વાતો તો કરે છે, પણ છેવટે સ્વાર્થ બળવાન છે.

આટલી પૂર્વભૂમિકા પછી અને પેલેસ્ટાઇનના લોકો સમક્ષ શાંતિપૂર્ણ વિરોધની કોઈ જગ્યા ઇઝરાઇલે છોડી નથી એ જાણ્યા પછી પણ, હમાસે ઇઝરાઇલનાં સામાન્ય નાગરિકો સાથે જે ક્રૂરતાથી કામ પાડ્યું, તે નકરો ત્રાસવાદ છે. તેની પાછળની વૃત્તિ ઇઝરાઇલના અન્યાયનો વિરોધ કરવાની હોય તો પણ, અન્યાયનો મુકાબલો અન્યાયથી, રાજ્યના ત્રાસવાદનો મુકાબલો સંસ્થાના ત્રાસવાદથી કરવાથી, છેદ ઉડતા નથી, પણ વર્ગ થાય છે.

આ સંજોગોમાં કઈ ઢબે સવાલ પૂછવામાં આવે છે-તેનું ફ્રેમિંગ કઈ રીતે કરવામાં આવે છે, એ મહત્ત્વનું છે. મારે ઇઝરાઇલના સરકારી ત્રાસવાદ અને હમાસના બિનસરકારી ત્રાસવાદમાંથી કોઈ એકની પસંદગી શા માટે કરવી પડે? મને બંને ત્રાસવાદ લાગે છે અને બંને એકસરખા ગંભીર લાગે છે. સામસામા છેદ ઉડાડવાની વ્યવસ્થા મારી પાસે નથી.

જે પ્રજાનું પ્રતિનિધિત્વ આતંકવાદી સંગઠનના હાથમાં આવે અથવા જે પ્રજાનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન આતંકવાદનો રસ્તો અપનાવે, ત્યારે એ પ્રજાને પણ ભારે વેઠવાનું આવે છે. કારણ કે, સ્ટેટ (રાજ્ય-સરકાર) આતંક પર ઉતરે તો તે હંમેશાં સવાયું આતંકવાદી જ પુરવાર થાય, એટલાં સંસાધનો તેની પાસે હોય છે. અને હકીકત એ પણ છે કે ઇઝરાઇલને શાંતિની ભાષા સમજાતી નથી.

આવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય દબાણનો એકમાત્ર વિકલ્પ બાકી રહે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ તો બળુકાઓની દાસી છે. અમેરિકાએ ઇઝરાઇલનો હાથ ઝાલ્યો હોય તો સંયુક્ત રાષ્ટ્રસંઘ ચૂં કે ચાં ન કરે. તો આંતરરાષ્ટ્રીય દબાણના બીજા કયા વિકલ્પ હોઈ શકે? ખબર નથી. કેમ કે, આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણ એ મારા અભ્યાસનો વિષય નથી. અહીં જે લખ્યું એના માટે તે વિષયના નિષ્ણાત હોવાની જરૂર નથી. દ્વેષબુદ્ધિ વગરની સામાન્ય સમજથી તે જોઈ શકાય તેમ છે.

બાકી, મુસ્લિમવિરોધને ટીંગાડવાની ખીંટીઓ શોધતી પ્રજા ઇઝરાઇલનો જયજયકાર કરે ને તેના સરકારી ત્રાસવાદ પ્રત્યે આંખ આડા કાન કરે તેમાં કશી નવાઈ નથી. અને હમાસના લોકોને કેવળ મુસલમાન ગણીને, તેમનાં અમાનવીય ત્રાસવાદી કૃત્યોને મજબૂરી ગણાવનારી પ્રજાની પણ કશી નવાઈ નથી. આ બંને પક્ષો ખરેખર એકબીજાના આડકતરા સમર્થકો છે ને એકબીજાની સ્થિતિ મજબૂત બનાવે છે.

અલગ હોય તો તે એવા લોકો, જેમને બંને પક્ષનો ત્રાસવાદ દેખાય છે, એકસરખો કઠે છે અને બીજા પ્રકારના ત્રાસવાદનું જરાય ઉપરાણું લીધા વિના-તેને વાજબી ઠરાવ્યા વિના, સરકારી ત્રાસવાદ વધારે ગંભીર-વધારે મૂળરૂપ લાગે છે.