Showing posts with label arundhati roy. Show all posts
Showing posts with label arundhati roy. Show all posts

Monday, July 11, 2011

'દલિતશક્તિ'ના 100મો અંકઃ સંપાદકીય અને ઉપયોગી સૂચિ

જાન્યુઆરી, 2003થી શરૂ થયેલા માસિક 'દલિતશક્તિ'નો 100મો અંક આ મહિને પ્રકાશિત થયો. માર્ટિન મેકવાનના તંત્રીપદે અને ચંદુ મહેરિયાના સક્રિય માર્ગદર્શન હેઠળ પ્રગટ થતા આ માસિકમાં પહેલા અંકથી સંપાદક તરીકે સંકળાયેલો છું. એટલે 100મા અંકનું સીમાચિહ્ન યાદગાર બનાવવા માટે તેમાં અગાઉના 99 અંકની સામગ્રીની સૂચિ બનાવવાનું વિચાર્યું. તેનું પરિણામ- વિષયવાર અને લેખકવાર સૂચિ- આ સાથે 48 પાનાંના અંક તરીકે હાજર છે. આ સૂચિ પર અછડતી નજર નાખતાં તેમાં કેવા પ્રકારનું કામ થયું છે તેનો થોડો અંદાજ આવશે.

'દલિતશક્તિ'નો 100મો અંક અહીં આખેઆખો અને વિશિષ્ટ રીતે મૂક્યો છે. નીચે દેખાતા પાના પર ક્લિક કરતાં કમ્પ્યુટરના સ્ક્રીન પર આખું સામયિક પાનાં ફેરવવાના 'ફીલ' સાથે અને એટલી જ સહેલાઇથી જોવા મળશે.


ઉપરનું સામયિક ખોલતાં પહેલાં 100મા અંકનું સંપાદકીય વાંચવાની ઇચ્છા હોય, તેમના માટે અહીં એ આખું લખાણ આપ્યું છે. બાકી, આખો અંક ઉપર ક્લિક કરીને નિરાંતે જોઇ શકાશે.


એક નજર, અત્યાર સુધીની સફર પર (સંપાદકીય)

છાપાં-સામયિકોની દુનિયામાં બાળમરણની નવાઇ નથી. લાખ બુલંદ ઇરાદા ને તૈયારી પછી શરૂ કરેલું પ્રકાશન પણ અકાળે આથમી જાય તો દુઃખ થાય, નવાઇ ન લાગે. સમાંતર ધારાનાં ગણાય એવાં પ્રકાશનોમાં તો પહેલા અંકથી ‘ચાલ્યું એટલું ખરૂં’નો વાસ્તવિક અહેસાસ મનના ખૂણે ઉગી ચૂક્યો હોય. એ સ્થિતિમાં ‘દલિતશક્તિ’ સાડા આઠ વર્ષની સફર કાપીને 100મા અંક સુધી પહોંચ્યું તેનો આનંદ છે.

અત્યાર સુધીની સફર છેક આસાન રહી છે એવું પણ નથી. જાન્યુઆરી 2003માં રંગીન મુખપૃષ્ઠ અને 36 પાનાં સાથે શરૂ થયેલું ‘દલિતશક્તિ’ માર્ચ 2004થી એકરંગી મુખપૃષ્ઠ ધરાવતું થયું અને જુલાઇ 2006થી તેનાં પાનાં 36માંથી ઘટીને 8 થઇ ગયાં- કરવાં પડ્યાં. ત્યાર પછીનાં પાંચ વર્ષમાં એકથી વધુ વખત ‘દલિતશક્તિ’ ચાલુ રાખવું કે કેમ, એ વિશે વિચાર-ચર્ચા થઇ, પણ અંતે તેને ચાલુ રાખવાનું ઠર્યું.

‘દલિતશક્તિ’ના પહેલા અંકથી માર્ટિનભાઇની ભૂમિકા ‘એડિટર-ઇન-ચીફ’ જેવી હતી, તો ચંદુભાઇ મહેરિયા ‘એક્ઝીક્યુટીવ એડિટર’ જેટલી જવાબદારી અને કામગીરી સાથે સક્રિય રહ્યા- ક્રેડિટ લાઇનમાં ભલે તેમનું નામ છપાતું ન હોય. મારા જેવા દલિત સમસ્યા- દલિત વાસ્તવિકતાના ખાસ્સા બિનઅનુભવી સંપાદકનું કામ માર્ટિનભાઇ-ચંદુભાઇના સક્રિય માર્ગદર્શન વિના ચાલ્યું જ ન હોત. તેમની સાથે રહીને ભાર વિના એવું ઘણું શીખવા મળ્યું, જે મુખ્ય ધારાના પત્રકારત્વમાં દાયકાઓ વીતાવ્યા પછી પણ કદાચ ન મળ્યું હોત. શરૂઆતના પાંચ-છ અંકોમાં સહસંપાદક તરીકે પૂર્વી ગજ્જર પણ હતાં. ‘નોખા ચીલે નવસર્જન’ (‘નવસર્જન’ની કામગીરીનાં બાર વર્ષ વિશેનું દસ્તાવેજી પુસ્તક) અમે સાથે લખ્યું હતું. ત્યાર પછી ઓગસ્ટ, 2003માં ઓસ્ટ્રેલિયા જતાં સુધી પૂર્વીએ ‘દલિતશક્તિ’ માટે રીપોર્ટિંગનું કામ કર્યું.

સામયિકમાં આવતી સામગ્રી માટે અમારો મુખ્ય આધાર હતો ‘નવસર્જન’ના કાર્યકરો તરફથી મળતા અહેવાલ. ટૂંકા અહેવાલ ‘પ્રદેશના ખબરઅંતર’માં આવે અને લાંબા અહેવાલ પરથી એક-બે-ત્રણ પાનાંનો લેખ બને. અહેવાલો મોકલનાર સૌ મિત્રોનાં અલગ-અલગ નામ લખવાં શક્ય નથી, પણ આ તબક્કે ‘દલિતશક્તિ’ માટે નિયમિતપણે લખાણો મોકલનારા થોડા મિત્રોથી માંડીને એકલદોકલ લખાણ મોકલનાર સૌનો આભાર. શરૂઆતનાં વર્ષોમાં કાર્યકરોએ- ખાસ કરીને બહેનોએ- લખી મોકલેલી આપવીતી ‘દલિત સાહિત્ય’ જેવા કોઇ લેબલ વિના પ્રગટ થઇ, પણ તેનું સંકલન થાય તો દલિત સાહિત્યમાં માતબર ઉમેરો થાય, એવું ચંદુભાઇ જેવા અભ્યાસી દૃઢપણે માને છે. તેમનો એવો જ અભિપ્રાય પાછલાં વર્ષોમાં પ્રગટ થયેલાં કેન્દ્રનાં વિદ્યાર્થીઓની રોજનીશી-આત્મકથન વિશે છે. માર્ટિનભાઇએ ઘણા અંક સુધી લખેલી ‘આપણી વાત’ વિચારોના ફુગ્ગા ફુલાવતા વિચારક અને વાસ્તવિક કામગીરીનું બળ ધરાવતા વિચારક વચ્ચેનો તફાવત બરાબર દર્શાવી આપે એટલું સબળ-નક્કર અને વિચારપ્રેરક વાચન પૂરું પાડે છે. ‘નવસર્જન’નાં નિયામક મંજુલા પ્રદીપે પણ ક્યારેક પોતાની મુલાકાતો આધારિત અહેવાલ ‘દલિતશક્તિ’ માટે આપ્યા છે.

‘દલિતશક્તિ’માં પ્રગટ થયેલા અનુવાદિત અને અસલ લેખોનું વૈવિધ્ય કેવું છે તેનો પાકો ખ્યાલ 99 અંકોની સૂચિ બનાવતી વખતે આવ્યો. તેમાં ‘ખબરલહરિયા’ના ગ્રામ્ય પત્રકારત્વથી માંડીને ‘ઇકોનોમિક એ્ન્ડ પોલિટિકલ વીકલી’નાં આંતરરાષ્ટ્રિય સ્તરનાં લખાણ આવ્યાં. નોબેલ પારિતોષિક વિજેતા હેરોલ્ડ પિન્ટર અને અરુંધતિ રોયથી માંડીને ભીખુ પારેખ જેવા વિદ્વાનોનાં લખાણ વફાદારીપૂર્વકના અનુવાદ સાથે પ્રગટ થયાં. ઘનશ્યામ શાહ જેવા વિદ્વત્તાના ભાર વગરના વિદ્વાનનો લાભ પણ ‘દલિતશક્તિ’ને મળ્યો છે. ઉપરાંત આંબેડકરના અને તેમના વિશેનાં અનેક મૂલ્યવાન લેખો તો ખરા જ. ડો.આંબેડકરને દેવ બનાવીને ગોખલામાં સ્થાપવાને બદલે માણસ તરીકેની તેમની મહાનતાનો આદર કરવાના વલણને લીધે, એક આંબેડકર વિશેષાંકમાં તેમનાં કાર્ટૂન પણ આપવામાં આવ્યાં હતાં.

ડો.આંબેડકર, પૂનાકરાર, અનામત, આભડછેટ, પિતૃસ્મરણ, અમેરિકાની રંગભેદવિરોધી ચળવળ, ફિલ્મો, દલિતશક્તિ કેન્દ્રના વિદ્યાર્થીઓની રોજનીશી-આત્મકથન જેવા વિષયો પરના ખાસ અંકો ઉપરાંત ચંદુભાઇ મહેરિયા સંપાદિત, દલિત સાહિત્યનાં 229 પુસ્તકોનો ટૂંક પરિચય આપતો દલિત સાહિત્ય વિશેષાંક ‘દલિતશક્તિ’ની અત્યાર સુધીની સફરમાં ખાસ ઉલ્લેખનીય છે. ભેદભાવસૂચક શબ્દો ધરાવતી ગિજુભાઇ બધેકાની બાળવાર્તાઓના યથાતથ પુનઃમુદ્રણ વિશેનો ઊહાપોહ ત્રણ અંક સુધી ચાલ્યો અને ‘નિરીક્ષક’માં આગળ વધ્યો. પરંતુ ઘણે ભાગે બને છે તેમ, ચર્ચા મૂળ મુદ્દો ચૂકીને આડા પાટે ફંટાતાં, તેમાંથી કશું નક્કર-હકારાત્મક નીપજ્યું નહીં.

શરૂઆતનાં વર્ષોમાં પુસ્તક પરિચય, કવિતાનો આસ્વાદ, કવિતાઓ અને ક્યારેક વાર્તા છપાતી હતી. પરંતુ ‘દલિતશક્તિ’ના આઠ પાનાં થયા પછી તેમાં સાહિત્યનો ભાગ્યે જ સમાવેશ થયો છે. (‘દલિતશક્તિ’માં કદી સરકારી કે ખાનગી જાહેરખબર છપાઇ નથી.) સાહિલ પરમાર, સંજય ભાવે, સુવર્ણાબહેન, જિજ્ઞેશ મેવાણી જેવાં સ્નેહી-મિત્રોએ વખતોવખત પ્રેમથી ‘દલિતશક્તિ’ માટે લેખોના અનુવાદ કરી આપ્યા છે.

દસ્તાવેજીકરણ ખાતર એ પણ નોંધવું રહ્યું કે ‘દલિતશક્તિ’ના પાને અતીત સુતરિયા, ચંદ્રેશ મહેતા, પ્રકાશ મહેરિયા જેવાં નામે પ્રગટ થયેલા લેખ ચંદુભાઇ મહેરિયાના અને વિશ્વજીત વાલ્મીકિના નામે છપાયેલા લેખ મારા લખેલા છે. એ સિવાય અનુવાદકનું નામ નહીં ધરાવતા સંખ્યાબંધ અનુવાદો પણ સંપાદકીય જવાબદારીના ભાગરૂપે હોંશથી થયેલા છે. ડંકેશ ઓઝા, ઉમેશ સોલંકી, ઉલ્કા પરમાર વખતોવખત થોડા સમય પૂરતાં ‘દલિતશક્તિ’ સાથે સંકળાયાં હતાં. ઘણા વખત સુધી ‘દલિતશક્તિ’નું પેજમેકિંગ કરનાર રશ્મિભાઇ પંડ્યા અને શરૂઆતના કેટલાક અંકોમાં ચિત્રો દોરનાર રાજેશ રાણા ઉપરાંત અંકોની-લવાજમની વહીવટી જવાબદારી સંભાળનાર પુનિતા રાઠોડ અત્યાર સુધીની સફરના સહયાત્રી તરીકે યાદ આવે છે..

Tuesday, November 02, 2010

અરૂંધતિ રોય, અભિન્નતા અને ‘આઝાદી’ : કાશ્મીર સમસ્યાનો નવો ક્રમ?

બુકર પ્રાઇઝ વિજેતા લેખિકા અરૂંધતિ રોય લેખન ક્ષેત્રમાં ન હોત તો કદાચ એ વકીલાત કરતાં હોત. અત્યાર સુધી માઓવાદથી અણુધડાકા સુધીના અનેક મુદ્દે તેમના લાંબા, આવેગયુક્ત, દલીલાત્મક નિબંધો વાંચ્યા પછી એવું સહેજે ધારી શકાય.

અગાઉ નર્મદા બચાવો આંદોલનની તરફેણમાં તેમણે લખેલા લાંબા લેખથી ખીજાઇને, ધોરણસરના અભ્યાસીની છાપ ધરાવતા રામચંદ્ર ગુહાએ તેમને ‘અરૂણ શૌરી ઓફ ધ લેફ્ટ’ (અરૂણ શૌરીની ડાબેરી આવૃત્તિ) ગણાવ્યાં હતાં. રોય વકીલાત કરતાં હોત તો કદાચ તેમને ‘રામ જેઠમલાણી ઓફ ધ લેફ્ટ’ ગણવાં પડત.
(ગુહા-રોયનું શબ્દયુદ્ધ આખો જુદો વિષય છે. રસ ધરાવતા વાચકો http://www.narmada.org/debates/ramguha/ પર તે વાંચી શકે છે.)

લેખનની કુદરતી પ્રતિભા ધરાવતાં અરૂંધતિ રોય બીજી ઘણી પ્રતિભાઓ ધરાવે છે. તેમાંની એક વિવાદ સર્જવાની પણ ખરી. વંચિતો-શોષિતો-પીડિતોના મુદ્દા હાથ પર લઇને, તેમાં જાતે ઉંડા ઉતરીને તે વિગતો મેળવે છે અને તેમની નવલકથાઇ બાનીમાં વાચકોને પીરસે છે, ત્યારે કેટલાક વાચકો ગુસ્સાથી તો કેટલાક આઘાતથી ખળભળી ઉઠે છે. સ્પષ્ટવાદિતાની સાથે ચબરાકી, નિસબતની સાથે છટા, ઉંડાણની સાથે આત્યંતિકતા, ઝીણવટની સાથે અતિશયોક્તિ- આવાં અનેક વિરોધાભાસી લક્ષણોનું સંયોજન તેમના લખાણને અને તેમના વ્યક્તિત્વને વખતોવખત ચર્ચામાં ગાજતાં રાખે છે.

ગુજરાતની વાત જુદી છે, બાકી તેમના કડક ટીકાકારો પણ તેમને વાંચ્યા વિના રહી શકતા નથી. તેમના મહાલાંબા લેખ એક કે અનેક બેઠકે પૂરા કરવાનું અઘરૂં પડે છે. તેમની સાથે અસંમત થતા બૌદ્ધિકો ઘણા છે. છતાં, અરૂંધતિને અવગણવાનું અઘરૂં છે. કારણ કે, તેમનાં અંગ્રેજી લખાણો પ્રતિષ્ઠિત અને બહુ ફેલાવો ધરાવતાં રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સામયિકો-અખબારોમાં પ્રગટ થાય છે.

એટલા માટે જ, કાશ્મીર મુદ્દા સાથે ઘણા વખતથી સંકળાયેલાં અરૂંધતિ રોય દિલ્હીમાં અને શ્રીનગરમાં જઇને અલગતાવાદી નેતાઓની તરફેણમાં બોલે, ત્યારે તેના પડવા જોઇએ એના કરતાં ઘણા વધારે પડઘા પડે છે. અરૂંધતિએ આ મહીને કાશ્મીરની પ્રજાની આઝાદીની માગણીને પૂરો ટેકો આપતાં કહ્યું કે ‘શ્રીનગરની રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી પ્રજાએ પોતાને શું જોઇએ છે તે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીઘું છે : પ્રજાને જોઇએ છે આઝાદી. આ પ્રજાને કોઇ પ્રતિનિધિનો ખપ નથી. તેમનું પ્રતિનિધિત્વ કોણ કરે છે એ પણ આઝાદી પહેલાંથી ચાલતો વિવાદ છે.’

આટલેથી ન અટકતાં અરૂંધતિએ તેમની પ્રખ્યાત શૈલીમાં એમ પણ કહ્યું કે ‘કાશ્મીર કદી ભારતનો અભિન્ન હિસ્સો ન હતું. તે ઐતિહાસિક તથ્ય છે. ખુદ ભારત સરકારે આ તથ્યનો સ્વીકાર કરેલો છે.’ એટલું જ નહીં, અરૂંધતીએ કહ્યું કે ‘અંગ્રેજી રાજ પછી તરત ભારત કાશ્મીરમાં ‘કોલોનાઇઝિંગ પાવર’/ સંસ્થાનવાદી સત્તા બની ગયું.’

રાજદ્રોહ : અંગ્રેજ ચલે ગયે...
ભારતની એકતા-અખંડિતતા માટે દુઃખતી નસ બની ચૂકેલા કાશ્મીર માટે અરૂંધતિ રોયના મોઢેથી આવાં વચનો સાંભળીને આશ્ચર્ય અને આઘાતથી માંડીને નારાજગી જેવા અનેક પ્રતિભાવો પેદા થયા. પરંતુ તેમાં સૌથી વિચિત્ર અને સૌથી બિનલોકશાહી પ્રતિભાવ હતો : અરૂંધતિ રોય સામે રાજદ્રોહનો કેસ કરવાનો!

રાજદ્રોહનો આરોપ અંગ્રેજોનું પ્રિય હથિયાર હતો. આઝાદી પછી ‘કાળા અંગ્રેજો’એ વખતોવખત એ હથિયાર પ્રજાકીયને બદલે પક્ષીય કે રાજકીય હિત માટે વાપરવાનું ચાલુ રાખ્યું છે. અંગ્રેજી રાજમાં ‘વેજિંગ વોર અગેઇન્સ્ટ ક્રાઉન’ (તાજ સામે બંડ)ના આરોપ હેઠળ તમામ કાયદા નેવે મૂકીને, આરોપીઓને અમર્યાદ સજા થઇ શકતી હતી. આઝાદી મળ્યા પછી, ભારત સરકારને ઉથલાવી પાડવાના કે તેની સામે બંડ કરવાના આરોપ જૂજ અને અપવાદરૂપ રહેવા જોઇતા હતા. પરંતુ સરકારોએ આ ગંભીર આરોપને ઘણી વાર એટલો સસ્તો કરી નાખ્યો કે તે પત્રકારો અને લેખકો પર પણ લાગુ પડાતો થયો.

પત્રકારો કે લેખકો નિર્દોષ જ હોય એવું બિલકુલ જરૂરી નથી. પરંતુ તેમની પર રાજદ્રોહ જેવો અંતીમ કક્ષાનો આરોપ મૂકતાં પહેલાં ઘણો વિચાર કરવો પડે. તેને પહેલા વિકલ્પ તરીકે અપનાવી શકાય નહીં. સારૂં થયું કે અરૂંધતિ રોયના કિસ્સામાં સરકારે ધીરજથી કામ લીઘું અને તેમની પર રાજદ્રોહનો આરોપ લગાડવાનું મૂર્ખામીભર્યું બિનલોકશાહી પગલું લીઘું નહીં. અલબત્ત, પોતાની પર રાજદ્રોહનો આરોપ લાગવાની સંભાવના જાણ્યા પછી અરૂંધતિ રોયે કહી દીઘું હતું કે ‘જે દેશમાં લેખકોને પોતાના મનની વાત કહેવા દેવાને બદલે ચૂપ કરી દેવાતા હોય એ દેશની દયા ખાવી જોઇએ.’

કમ સે કમ, આ વખત પૂરતી, અરૂંધતિની ધરપકડ ન થતાં, દેશની દયા ખાવાનું ટળી ગયું.

પરંતુ અરૂંધતિ રોયે ‘ઐતિહાસિક તથ્ય’ તરીકે કરેલાં વિધાનોનું શું? અને કાશ્મીરની પ્રજાની આઝાદીની માગણીની બીજી વાસ્તવિક બાજુ કઇ છે? અરૂંધતીને શાબ્દિક રીતે ઝૂડી પાડવાનો ઉત્સાહ બાજુ પર રાખીને, મુખ્ય મુદ્દા વિશે વાત થાય તે વધારે જરૂરી છે.

અરૂંધતિનો દાવો અને ઐતિહાસિક સચ્ચાઇ
કાશ્મીર કદી ભારતનું અવિભાજ્ય અંગ ન હતું, એવું ઇતિહાસને ટાંકીને કહી શકાય નહીં. અરૂંધતિ રોયનું આ વિધાન સાવ ખોટું છે. કારણ કે :

૧) ઇતિહાસમાં ‘ભારત’નો એક ભૌગોલિક એકમ તરીકેનો ખ્યાલ ક્યારે આવ્યો, તે વિવાદનો વિષય છે. આજના ભારતનો જન્મ ૧૯૪૭માં થયો એવું સ્વીકારીએ, તો ફક્ત કાશ્મીર જ નહીં, ભારતનાં ૫૫૦થી પણ વઘુ રજવાડાં ભારતનાં ‘છૂટાં’ અને ‘પાછળથી જોડાયેલાં’ અંગ બની જાય.

૨) ૧૯૪૭ પહેલાંના, જૂના ભારતની વાત હોય તો ગુપ્ત સામ્રાજ્ય અને મોગલ સામ્રાજ્ય (ઔરંગઝેબના સમયનું)- આ બન્ને ગાળામાં ‘ભારત’નો ભૌગોલિક વિસ્તાર સૌથી મોટો હતો અને એ બન્ને વખતે કાશ્મીર તેનો હિસ્સો હતું.

એ ખરૂં કે ભારતના ભાગલા વખતે બીજાં સરહદી રાજ્યોની જેમ કાશ્મીર પાસે પણ ભારત અને પાકિસ્તાન- બન્નેમાંથી કોઇ પણ દેશ સાથે જોડાવાનો વિકલ્પ ખુલ્લો હતો. એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રાજકીય શતરંજનાં મુખ્ય ત્રણ મહોરાં હતાં : હિંદુ બહુમતિ-મુસ્લિમ શાસક ધરાવતું જૂનાગઢ, મુસ્લિમ બહુમતિ- હિંદુ શાસક ધરાવતું કાશ્મીર અને મુસ્લિમ શાસક ધરાવતું અતિસમૃદ્ધ હૈદરાબાદ.

ઝીણાએ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવા પટાવી લીઘું, ત્યારે તે જાણતા હતા કે ભૌગોલિક રીતે આ જોડાણ લાંબું ટકશે નહીં, પણ વસ્તીની બહુમતિના જે મુદ્દે જૂનાગઢ ભારતને પાછું આપવાનું થશે, એ જ મુદ્દે કાશ્મીર મેળવી પણ શકાશે.

આટલે સુધી બરાબર હતું, પણ ઝીણાની દાનત કાશ્મીર ઉપરાંત હૈદરાબાદ ઉપર પણ બગડી. સરદાર કાશ્મીર આપીને હૈદરાબાદ જાળવી રાખવા તૈયાર હતા. એટલે ઝીણાએ કાશ્મીરમાં લોકમત લેવાની વાત કરી, ત્યારે સરદારે હૈદરાબાદમાં લોકમત લેવાની વાત કરી.

ઝીણાને લાગતું હતું કે કાશ્મીરનો લોકમત પાકિસ્તાનની તરફેણમાં ને હૈદરાબાદનો લોકમત ભારતની તરફેણમાં જશે. હૈદરાબાદ આટલી સહેલાઇથી ખોવાનું તેમને મંજૂર ન હતું. એટલે લોકમતની દરખાસ્ત પર તેમણે ચોકડી મારી અને કાશ્મીરમાં પણ લોકમતનો આગ્રહ તેમણે પડતો મૂક્યો.

આ તબક્કા સુધી કાશ્મીરના મહારાજાએ ભારત સાથે કે પાકિસ્તાન સાથે પણ જોડાણ કર્યું હોત, તો કાશ્મીર તકરારી મુદ્દો ન બનત. પરંતુ જૂનાગઢ-હૈદરાબાદ ગુમાવનાર ઝીણા કાશ્મીરને કોઇ પણ ભોગે ગુમાવવા તૈયાર ન હતા. આખરે, પાકિસ્તાનના સ્પેલિંગમાં આવતો ‘કે’ કાશ્મીરનો હતો!

ઝીણાએ ધારી લીઘું હતું કે મુસ્લિમ બહુમતિને લીધે કાશ્મીર સીધેસીઘું પાકિસ્તાનને મળી જશે. એવું બન્યું નહીં એટલે તેમણે છૂપા વેશે લશ્કર મોકલ્યું. ગણવેશ વગરના પાકિસ્તાની સૈનિકો અને બીજા ભાડૂતી સૈનિકો શ્રીનગર તરફ આગળ વઘ્યા. એ લોકો રસ્તામાં લૂંટફાટ કરવા ન રહ્યા હોત તો તેમણે શ્રીનગર જીતી પણ લીઘું હોત.
પાણી સાવ માથા પરથી જતું રહ્યું ત્યારે મહારાજા સફાળા જાગ્યા અને તેમણે ભારત સાથેના જોડાણખત પર સહી કરી. ત્યાર પછી સરદાર પટેલની ત્વરા અને મક્કમતાને લીધે ભારતીય સૈનિકો હવાઇ માર્ગે શ્રીનગર પહોંચ્યા અને હુમલાખોરોને હટાવ્યા. છતાં યુદ્ધવિરામ વખતે કાશ્મીરનો નોંધપાત્ર હિસ્સો પાકિસ્તાનના કબજામાં રહ્યો જે ભારતમાં ‘પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર’ અને પાકિસ્તાનમાં ‘આઝાદ કાશ્મીર’ તરીકે ઓળખાયો.

ત્યાર પછીનાં વર્ષોમાં કાશ્મીર કેટલીક બાબતોમાં વિશિષ્ટ રહેવા છતાં, તે કઇ હદે ભારતનું અભિન્ન અંગ બન્યું એ જાણવા માટે ઇતિહાસનાં થોથાં વાંચવાની જરૂર નથી. સિત્તેરના દાયકાની હિંદી ફિલ્મો જોવાનું જ પૂરતું છે. કાશ્મીરમાં ત્યારે લશ્કર પણ ન હતું, અત્યાચાર પણ ન હતા અને હિંસા પણ ન હતી. એ ગાળાના કાશ્મીરની વાત અરૂંધતી રોય કરતાં નથી.

પાકિસ્તાનમાં જનરલ ઝીયાના શાસનકાળ દરમિયાન ‘પ્રોક્સી વોર’ તરીકે કાશ્મીરમાં નવેસરથી હિંસા અને ત્રાસવાદની આગ ભડકી, ભારતીય લશ્કર તૈનાત થયું, તેની સાથે લશ્કરી સખ્તાઇ અને અત્યાચારો પણ આવ્યા. સાથોસાથ, અનેક જવાનો ગુમનામ રીતે શહીદ થયા. આ ઘટનાક્રમમાં ભારતીય લશ્કરના અત્યાચારો યાદ કરતાં અરૂંધતિ પાકિસ્તાને અને જનરલ ઝીયાએ ભજવેલી ભૂમિકાને કેમ ભૂલી જતાં હશે?

બીજો અગત્યનો મુદ્દો ‘આઝાદી’ને લગતો છેઃ કાશ્મીરની પ્રજાનો આઝાદીનો ખ્યાલ છે : નહીં ભારત, નહીં પાકિસ્તાન. બસ, કાશ્મીરનું સ્વતંત્ર અસ્તિત્ત્વ હોય.

આ ખ્યાલ ગમે તેટલો આદર્શ લાગતો હોય, તો પણ તેની વ્યવહારૂતાના ગંભીર પ્રશ્નો છે. એક તરફ ચીન જેવો વિસ્તારવાદી, જમીનભૂખ્યો અને બળુકો પાડોશી જે મળે તે પચાવી પાડવા તત્પર બેઠો છે. અલગ કાશ્મીર તેના માટે સૌથી સહેલો કોળીયો બની જાય. બીજી તરફ, કાશ્મીરની આઝાદીનો વર્તમાન પ્રવાહ પાકિસ્તાન પ્રેરિત મુસ્લિમ અંતિમવાદથી પણ ઠીકઠીક રંગાયેલો છે. ખુદ અરૂંધતિ રોયે બે વર્ષ પહેલાં નોંઘ્યું હતું કે આઝાદ કાશ્મીરમાં ફક્ત અલ્લાહ અને કુરાનની જ બોલબાલા રહેવાની હોય તો તેમાં ન માનતા બાકીના ધર્મના લોકોનું શું થશે?

ભારત સરકારના અવિચારી-અત્યાચારી વલણનો વિરોધ અરૂંધતિ રોય કડકમાં કડક શબ્દોમાં કરી શકે છે, પરંતુ વાસ્તવિકતા ભૂલીને કાશ્મીરની પ્રજાને ‘આઝાદી’ના મૃગજળ પાછળ દોડવામાં પ્રોત્સાહન આપીને અરૂંધતિ જાણેઅજાણે કાશ્મીરની પ્રજાને જ ખોટી આશા બંધાવી રહ્યાં છે અને તેમને વઘુ હતાશાના રસ્તે ધકેલી રહ્યાં છે.