Showing posts with label Asiatic Lions. Show all posts
Showing posts with label Asiatic Lions. Show all posts

Friday, May 03, 2013

ગીરના સિંહ-પરિવારનો ઇન્ટરવ્યુ


ગીરના થોડા સિંહને મઘ્ય પ્રદેશ મોકલવાના અદાલતી નિર્ણયથી ઘણા ગુજરાતી નારાજ થયા. કેટલાકે આંદોલન જેવું પણ કર્યું. મામલો લાગણીનો થઇ ગયો ને વાતાવરણ એવું સર્જાયું, જાણે અદાલતે ગીરના બધા સિંહોને અનરજિસ્ટર્ડ પાર્સલ દ્વારા મઘ્ય પ્રદેશ મોકલી આપવાની વાત કરી  હોય. આવી લાગણીગ્રસ્ત સ્થિતિમાં ગીરના સિંહને પોતાને શું કહેવાનું હશે?
***
સવાલઃ હલો સર.

(સિંહ ત્રાડ પાડે છે).

સવાલઃ એમાં રાડો શું પાડો છો? એકને જવું છે ને જવા નથી મળતું એટલે આખા ગામમાં રાડો પાડે ને બીજાને જવું નથી ને ધકેલે છે એટલે ત્રાડો પાડે..આ દુનિયા પર અજબ છે.

સિંહઃ એ ભાઇ, આ બધી તકલાદી ફિલસૂફી ઝૂડવી હોય તો ચિંતનની કોલમો લખ. મારી જોડે આવી ફાલતુ વાતો માટે સમય નથી.

સવાલઃ તમારો રોષ સમજી શકાય એવો છે, પણ હું તમને મદદ કરવા- તમારી પ્રત્યેનું મારું ૠણ અદા કરવા આવ્યો છું.

સિંહઃ ભાઇ, આ બધી ૠણ અદા કરવાની કવિતાઓ ગાંધીનગરમાં કરજે- ગીરમાં એ નહીં ચાલે. અત્યાર સુધી તમે અમારું બહુ ૠણ અદા કરી દીઘું... અમને માર્યા, લુપ્ત થવાના આરે લાવી દીધા ને પછી અમારા રક્ષણ માટે અભયારણ્ય બનાવીને અમને કઠપૂતળીયા રાજા બનાવી દીધા. તમારી ૠણઅદાયગીથી તો અમે થાક્યા, ભાઇસાબ. હવે ખમૈયા કરો અને અમને અમારી રીતે રહેવા દો તો સારું. ૠણ અદા કરવાનો બહુ શોખ હોય તો પહેલાં તમારા લેણિયાતોનાં તો અદા કરો..પછી અહીં સુધી લાંબા થજો.

સવાલઃ તમે આટલા પોલિટિકલ અને આળા કેમ છો? સૌરાષ્ટ્રમાં પરિવર્તન પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી હારી ગયેલા કે શું?

સિંહઃ તમે મારી ચિંતા છોડો. તમારી વાત કરો. હું સામાન્ય બુદ્ધિની વાત કરું એ તમને પોલિટિકલ કેમ લાગે છે? રાજકારણમાં સામાન્ય બુદ્ધિનું કોઇ સ્થાન રહ્યું નથી કે શું?

સવાલઃ માઠું ન લગાડતા, પણ તમારા નામ પરથી અને ખાસ તો તમારાં નિવેદનો પરથી મને એવી શંકા જાય છે કે તમે ક્યાંક કોંગ્રેસમાં તો...

સિંહઃ મારી વાત એટલી નાખી દીધા જેવી છે કે હું કોંગ્રેસી લાગું? પણ તમારો આ જ પ્રોબ્લેમ છે. કોઇ સહેજ તમારા સાહેબ વિશે નુક્તચીની કરે એટલે એ કોંગ્રેસી થઇ ગયો...તમારા લોકોમાં અક્કલ ક્યારે આવશે? અમે મઘ્ય પ્રદેશ જઇએ ત્યારે?

સવાલઃ ધેર યુ આર. શરૂઆતની બધી વાતો જસ્ટ એમ જ હતી. હું આ મૂળ મુદ્દા પર જ આવતો હતો. તમને મઘ્ય પ્રદેશ જવું ગમશે?

સિંહઃ (આંખ મિંચકારીને) ખજૂરાહો ત્યાં જ આવ્યું ને?

સવાલઃ જુઓ, જુઓ, મેં કહ્યું ને. તમે બહુ પોલિટિકલ છો.

સિંહઃ હું અમસ્તું પૂછું છું એમાં તમને આટલાં મરચાં કેમ લાગે છે? અમે સિંહો મઘ્ય પ્રદેશમાં જઇને ક્યાંક ખજૂરાહોવાળીનો ઉત્તરકાંડ ન કરીએ એની તમને બીક લાગે છે?

સવાલઃ માફ કરજો, પણ તમે હદ વટાવી રહ્યા છો. ગુજરાતના સમ્રાટના એકચક્રી શાસનમાં ખજૂરાહોવાળીની કલ્પના કરવી એ પણ રાજદ્રોહનો ગુનો બની શકે છે એની તમને ખબર લાગતી નથી. ખજૂરાહોકાંડ કરવાના બહુ ધખારા હોય તો એટલું પણ વિચારી લેજો કે તેના સૂત્રધારો અત્યારે ક્યાં ખોવાઇ ગયા છે...

સિંહઃ એટલે તમને મને - જંગલના રાજાને- દાટી આપો છો? બીવડાવો છો? એટલું સમજી લેજો કે હું કોંગ્રેસનો સિંહ નથી..અસલી સિંહ છું અસલી. મારી એક ત્રાડથી જંગલનાં પ્રાણીઓ તો ઠીક, ઝાડપાન પણ ધ્રુજી જાય છે. મને મારા મતવિસ્તારમાં હારી જનારો ન સમજી બેસતા.

(સિંહ ગુસ્સે થઇને જોરથી શેમ્પુની જાહેરખબર માટે પોઝ આપવાનો હોય તેમ કેશવાળીસહિત ડોકું ઘુણાવે છે.)

સવાલઃ તમારે જે સમજવું હોય તે, મેં મારી ફરજ બજાવી. બાકી, એટલું જાણી લેજો કે તમે જે જંગલના રાજા હતા એ જંગલ ક્યારનું જતું રહ્યું. ૧૯૪૭માં ભલભલા ‘સિંહો’નાં રજવાડાંની સાથે તમારું રજવાડું પણ ખતમ. હવે સરકારી સાલિયાણાં પર રહેવાનું હોય એમાં બહુ ગરમી ન કરાય. સરકારમાઇબાપ પ્રત્યે આભારવશ થઇને રહેવાનું અને સરકાર તમારા નામે બહુ ‘ગૌરવ-ગૌરવ’ કહે એનાથી ફુલાઇ નહીં જવાનું. નહીંતર ખોવાઇ જશો...એટલે કે લુપ્ત થઇ જશો.

(ચાલુ વાતચીતે સિંહનું બચ્ચું રડતું રડતું આવે છે)

બચ્ચું: પપ્પા, મારે પેલું રમકડું રમવું છે ને મમ્મી ના પાડે છે.

સિંહઃ (સિંહણ તરફ જોઇને) ભઇ શું છે આ બઘું? કેટલી વાર મેં ના પાડી છે કે મારું કામ ચાલતું હોય ત્યારે આને તારે નહીં મોકલવાનો?

સિંહણઃ (છણકો કરીને) આવા ફાલતુ મીડિયાવાળાઓ સાથે વાત કરો છો એ તે કંઇ કામ કહેવાય? પેલા ‘ડિસ્કવરી’વાળા આવ્યા ત્યારે કેવી મઝા આવી હતી. આપણું કેટલું બઘું શૂટિંગ કર્યું’તું ને તગડો ચેક પણ આપીને ગયા હતા.

સિંહઃ એ બધી વાતો છોડ. આ કેમ રડે છે? એને કયું રમકડું જોઇએ છે?

સિંહણઃ એને પેલી અસ્મિતાબાજી રમવી છે. મેં એને ના પાડી, બહુ સમજાવ્યો કે બેટા, એ તો માણસોનો ખેલ છે. એમાં હાથ ગંદા થાય. આપણાથી ન રમાય, પણ એ માનતો જ નથી.

બચ્ચું: મમ્મી તો પેલું રમવાની પણ ના પાડે છે...

સિંહઃ તું આને અહીંથી લઇ જઇશ? મારો ઇન્ટરવ્યુ ચાલે છે ને વચ્ચે આ બધો કકળાટ...

સિંહણઃ એ મારું સાંભળતો જ નથી. એને બીજાં બચ્ચાં સાથે ગૌરવ-ગૌરવ રમવું છે. હું વિચાર કરું છું કે આવા બધા સંસ્કાર એ ક્યાંથી લઇને આવ્યો હશે?

સિંહઃ વચ્ચે પેલા સરકારી સફારીવાળા એને લઇ ગયા હતા ને...એની બધી અસરો છે. મેં એ વખતે જ તને કહ્યું હતું કે એને ન મોકલ. પણ તને બહુ ધખારા હતા..ટુરિસ્ટો એના ફોટા પાડશે ને છાપાંમાં એના ફોટા છપાશે..

સવાલઃ સોરી, તમારી ફેમિલી મેટરમાં વચ્ચે બોલું છું, પણ ‘અસ્મિતાબાજી’ ને ‘ગૌરવ-ગૌરવ’- એ બધી કઇ રમતો છે? આપણા રાજ્યમાં રમાય છે? મેં તો આવું કંઇ સાંભળ્યું નથી.

સિંહઃ (વિજયી સ્મિત સાથે) હું તમને સમજાવીશ તો ફરી તમે કહેશો કે હું બહુ પોલિટિકલ છું. એેટલે જવા દો. સામાન્ય બુદ્ધિથી વિચારશો તો સમજાઇ જશે. જોકે એ તમે ક્યાંથી લાવશો એ સવાલ ખરો.

સવાલઃ બસ, બસ હવે. તમારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો એનો અર્થ એવો નહીં કે તમે આમ જેમ ફાવે તેમ બોલો. માપમાં રહેજો. નહીં તો આપણા છેડા છેક નરેન્દ્રભાઇ ને અહેમદભાઇ સુધી અડે છે. બે ફોન કરીશ તો મઘ્ય પ્રદેશ તો ઠીક, ભારતનું કોઇ ઝૂ પણ નહીં સંઘરે ને જંગલી ગધેડાના પાંજરામાં નાખી દેશે એ અલગ.

(એવામાં ‘એનિમલ પ્લેનેટ’ના કેમેરામેન આવે છે, એટલે સિંહ પરિવાર ચાલુ ઇન્ટરવ્યુએ કશું કહ્યાકારવ્યા વિના એમને ઇન્ટરવ્યુ આપવા ઉપડી જાય છે અને મુલાકાતનો અવિધિસર અંત આવે છે.)

Tuesday, April 23, 2013

સિંહોના સ્થળાંતરનું ‘સિંહાવલોકન’


સિંહોના સમુહ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ છેઃ ‘પ્રાઇડ’. પરંતુ ગુજરાત માટે ગીર/ Girના સિંહ ખરેખર ‘પ્રાઇડ’ કહેતાં ગૌરવનો મુદ્દો છે. એટલે જ, સર્વોચ્ચ અદાલતે ગીરના કેટલાક સિંહને મઘ્ય પ્રદેશ ખસેડવાનું સૂચન કરતાં, કેટલાક ગુજરાતીઓને ગૌરવભંગની લાગણી થઇ. કોંગ્રેસ અને ભાજપ માટે પણ સિંહો ખસેડવાનો મુદ્દો પ્રાણીસંરક્ષણ કરતાં વધારે ગૌરવના રાજકારણનો છે. એટલે સ્વાભાવિક રીતે જ આ મુદ્દે ઘણા ગૂંચવાડા પ્રવર્તે છે.

વિશ્વભરમાં એક માત્ર ગીરના વિસ્તારમાં જોવા મળતા એશિયાઇ સિંહોને મઘ્ય પ્રદેશ ખસેડવાના મુદ્દાને રાજકારણ અને પ્રાદેશિક ગૌરવ બાજુ પર મૂકીને તપાસવા જેવો છે. એમ કરતાં કેટલાક પાયાના અને નોંધપાત્ર મુદ્દા ઘ્યાનમાં આવે છે.

ગુજરાતના બધા સિંહ મઘ્ય પ્રદેશમાં ખસેડવાના નથી

સાવ પ્રાથમિક અને પાયાની હોવા છતાં આ સ્પષ્ટતા જરૂરી છે. ‘ગુજરાતગૌરવ’, ‘ગુજરાતને અન્યાય’ અને ‘ગુજરાતવિરોધીઓનું કાવતરું’ની સરકારપ્રેરિત પરંપરાગત મનોદશાથી વિચારવા ટેવાયેલા ઘણા લોકો એવું માની બેઠા છે કે ગીરના બધા સિંહોને મઘ્ય પ્રદેશમાં ખસેડી દેવાના છે. તેથી ગુજરાત સિંહવિહોણું થઇ જશે.

હકીકતમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ગીરના એશિયાઇ સિંહો/ Asiatic lionsમાંથી થોડા સિંહોને જ મઘ્ય પ્રદેશ મોકલવાના છે. વર્ષ ૨૦૧૦માં ગીરમાં થયેલી સિંહોની વસતી ગણતરીમાં સિંહોની કુલ સંખ્યા ૪૧૧ નોંધાઇ હતી. (૯૭ સિંહ, ૧૬૨ સિંહણ, ૧૫૨ બચ્ચાં) આ સિવાય જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કૃત્રિમ વાતાવરણમાં સિંહોના પ્રજનન અને ઉછેરનું કેન્દ્ર ચાલે છે. ત્યાં અત્યાર લગી ૧૮૦ એશિયાઇ સિંહ જન્મ્યા છે, જેમાંથી ૧૨૬ સિંહોને એશિયાઇ સિંહના પ્રતિનિધિ તરીકે દુનિયાભરનાં પ્રાણીસંગ્રહાલયોમાં મોકલવામાં આવ્યા છે.

એટલે, જેમને એશિયાઇ સિંહ સાથે ગૌરવ અનુભવવા સિવાય બીજી કશી લેવાદેવા નથી, એવા લોકોએ ચિંતા કરવાનું કશું કારણ નથી. અદાલતના આદેશ પ્રમાણે છ મહિનામાં થોડા સિંહ મઘ્ય પ્રદેશ મોકલી આપવામાં આવે તો પણ તેમની મોટી વસ્તી ગુજરાતમાં રહેવાની છે અને તેમની પર ગૌરવ લેવાનું ચાલુ રાખી શકાશે. સાથે એવું પણ કહી શકાશે કે ‘આ મઘ્ય પ્રદેશમાં જે એશિયાઇ સિંહ તમે જુઓ છો ને? એ અમે એમને આપેલા. બાકી, બિચારા મઘ્ય પ્રદેશવાળા પાસે સિંહ ક્યાંથી હોય?’

અલબત્ત, ભારતીય પરંપરા પ્રમાણે, કોઇ પણ વસ્તુ કે વ્યક્તિનું ગૌરવ લેવું એ સૌથી સહેલું કામ છે. કારણ કે ગૌરવ લેનારના માથે ત્યાર પછી બીજી કશી જવાબદારી રહેતી નથી- પછી તે ગૌરવ ગાંધીજીનું હોય કે ગીરના સિંહનું.

સિંહોનાં વસ્તી-વિસ્તારમાં વધઘટ

હાલમાં સૌરાષ્ટ્રમાં ૧,૪૧૨ ચો.કિલોમીટરના ગીર અભયારણ્ય સહિત ચાર ભૌગોલિક વિસ્તારોમાં એશિયાઇ સિંહોની વસ્તી વહેંચાયેલી છે. પરંતુ એક સમયે તે આખા એશિયા અને અરબસ્તાનમાં જોવા મળતા હતા. ધીમે ધીમે તેમની વસ્તી સંકોચાતી ગઇ. ભારતમાં પણ તેમનો પથારો મોટો હતો. ઉત્તર ભારત અને છેક બિહાર સુધી તેમની ડણકો સંભળાતી. પરંતુ ૧૮૩૦થી ૧૮૮૦ની વચ્ચે ભારતમાં જુદાં જુદાં સ્થળેથી સિંહનો એકડો નીકળતો ગયો અને ગીર તેમનો એકમાત્ર-છેલ્લો મુકામ બન્યું. એ તબક્કે ગીરમાં પણ માંડ ૧૨ સિંહ બચ્યા હોવાનું કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વોટ્‌સને નોંઘ્યું હતું. ત્યાર પછી તેમની સંખ્યા વધી ખરી, પણ તે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાની બહાર નીકળ્યા નહીં.

સૌરાષ્ટ્ર સિંહોને સદી ગયું હોવાનું લાગતું હતું, પણ ૧૯૬૦ના દાયકામાં તેમની સંખ્યા ઘટવા માંડી. ૧૯૬૩માં ગુજરાતના વનવિભાગે કરેલી વસ્તી ગણતરીમાં ૨૮૫ સિંહોની નોંધણી થઇ હતી, પણ પાંચ વર્ષ પછી એ આંકડો ઘટીને ૧૭૭ થઇ ગયો. ૧૯૭૪માં તેમની સંખ્યા માંડ ૧૮૦ હતી. સિંહોના સંરક્ષણ માટે 1965માં ગીરને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું.  તેમ છતાં, એશિયાઇ સિંહ જેવી પ્રજાતિ એક જ મર્યાદિત ભૌગોલિક વિસ્તાર કે રાજ્યના પેટાપ્રદેશમાં વસતી હોય, એ સ્થિતિ ઘણા પ્રકૃતિપ્રેમીઓને જોખમી લાગે છે. કારણ કે પ્રમાણમાં નાના ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત એવી સિંહની વસ્તી રોગચાળાની કે કુદરતી આફતની ઝપટમાં આવી જાય અને તેનું નામોનિશાન ભૂંસાઇ જાય, એવી સંભાવના હંમેશાં ઝળુંબતી રહે છે.

આવું ન બને એ માટેના સંભવિત ઉપાયોમાં એક છેઃ સ્થાનિક સ્તરે ગુજરાત સરકાર દ્વારા રખાતી સતત કાળજી-દેખભાળ અને બીજો ઉપાય છેઃ વસ્તીમાંથી થોડા સિંહોનું સ્થળાંતર. સર્વોચ્ચ અદાલતે અત્યારે સ્થળાંતરનો બીજો ઉપાય સૂચવ્યો છે તેની પાછળ મઘ્ય પ્રદેશ પાછળનો પ્રેમ કે ગુજરાત પ્રત્યેનો અવિશ્વાસ નહીં, પણ કુદરતી આસમાની સુલતાનીનો ખોફ અને સિંહો માટે સલામતીની વધારાની એક વ્યવસ્થા મુખ્ય પરિબળ છે. અદાલતની ભાવના એવી હોય કે ન કરે નારાયણ ને ગીરના બધા સિંહોને કંઇ થઇ જાય તો પણ ભારતમાં એશિયાઇ સિંહનું અસ્તિત્ત્વ નેસ્તનાબૂદ ન થવું જોઇએ. કારણ કે, એશિયાઇ સિંહ ફક્ત ગુજરાતનું નહીં, સમગ્ર ભારતનું ગૌરવ છે, બલ્કે કુદરતનું અણમોલ સર્જન છે, જેની સલામતી અને સુરક્ષા માટે સંકુચિત ગૌરવભાનમાં સર્યા વિના બનતા પ્રયાસ કરવા જોઇએ.

સ્થાનફેરઃ જૂની સમસ્યા, નવા સવાલ

ગીરના સિંહમાંથી થોડાને બીજે વસાવવાનો વિચાર કે તેનો અમલ- કશું નવું નથી. છેક ૧૯૫૮માં ગીરના ત્રણ સિંહને ઉત્તર પ્રદેશના ચંદ્રપ્રભા અભયારણ્યમાં ખસેડવામાં આવ્યા હતા. એ વખતે અલગ ગુજરાત રાજ્ય સ્થપાયું ન હતું. દસ વર્ષમાં ચંદ્રપ્રભા અભયારણ્યમાં સિંહોની સંખ્યા વધીને ૧૧ પર પહોંચી, એટલે બધાને એશિયાઇ સિંહોના ઉજળા ભવિષ્ય અને તેમના સ્થાનફેરની સફળતા વિશે ખાતરી થઇ. પરંતુ ત્યાર પછીના વર્ષે બધા સિંહ ગાયબ થઇ ગયા. તેમનો શિકાર થઇ ગયો કે પછી કોઇ રોગચાળાનો શિકાર બન્યા, એ જાણવા મળ્યું નહીં.

ગીરનું અભયારણ્ય સ્થપાયા પછી પણ, બધી મૂડી એક જગ્યાએ ન રાખવાની સલામત ગણતરીથી પ્રેરાઇને, થોડા સિંહોને બીજે રાખવાનું ઠરાવવામાં આવ્યું. ભારત સરકારે ત્યારે ૧૯૮૬માં મઘ્ય પ્રદેશના કુનો પાલપુર/ Kuno- Palpur અભયારણ્ય પર પસંદગી ઉતારી (જ્યાં સિંહોને મોકલવાનો આદેશ અત્યારે સર્વોચ્ચ અદાલતે આપ્યો છે.) એ વખતની ગુજરાત સરકારે આ નિર્ણયનો આક્રમક વિરોધ કર્યો.

ગુજરાત સરકારની રજૂઆત ત્યારે એવી હતી કે સિંહસંરક્ષણના અસરકારક કાર્યક્રમને લીધે ગીરના સિંહોની વસ્તીમાં વધારો થયો છે અને તેમની સલામતીને કશો ખતરો નથી. ૧૯૮૪માં સિંહોની કુલ વસતી ૨૩૯ હતી, જે ૧૯૯૦માં વધીને ૨૮૪ થઇ. ત્યાર પછી સતત વધતી રહેલી સિંહોની વસ્તીથી ગુજરાત સરકાર સામે દેખીતી બેદરકારીનો આક્ષેપ મૂકી શકાય એવું કોઇ કારણ નથી.  વસતીવધારાને કારણે ગીરના સિંહ ‘ક્રિટિકલી એન્ડેન્જર્ડ’ (ગંભીર રીતે જોખમમાં)ને બદલે હવે ફક્ત ‘એન્ડેન્જર્ડ’ (જોખમમાં) ગણાય છે.   હકીકતમાં ગીરના સિંહો ગીરનું અભયારણ્ય છોડીને બહારના વિસ્તારોમાં ગયા છે, એ સૂચવે છે કે વસતીવધારા પછી ગીરનું અભયારણ્ય સિંહોને નાનું પડી રહ્યું છે.

સિંહોના સ્થાનફેર બાબતે મુદ્દો ગુજરાતની ક્ષમતા-અક્ષમતાનો નહીં, પણ એક જ ભૌગોલિક વિસ્તારમાં થયેલા દુર્લભ પ્રજાતિના કેન્દ્રીકરણનો છે. અદાલતના પ્રયાસને પણ એ પ્રકાશમાં જોવો રહ્યો. પરંતુ સિંહોના હિત માટે તેમાંથી થોડાને ગુજરાતબહાર ખસેડવા જરૂરી લાગતું હોય, તો એ સિંહ માટે મઘ્ય પ્રદેશનું કુનો પાલપુર અભયારણ્ય યોગ્ય ઠેકાણું છે કે કેમ, એ મુદ્દાનો સવાલ છે.

અદાલતે અને અગાઉ ‘વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા’એ કુનો પાલપુર અભયારણ્ય પર પસંદગી ઉતારી હતી. પરંતુ ત્યાં અત્યારે વાઘ અને દીપડા પણ મોજુદ છે. પ્રાણીશાસ્ત્રીઓના મતે સિંહ અને વાઘનું સહઅસ્તિત્ત્વ (કમ સે કમ અત્યારના સમયમાં) ક્યાંય નોંધાયું નથી. એ બન્ને પ્રાણીઓ પોતપોતાની હદ અને પોતાના વિસ્તાર બાબતે અત્યંત ઝનૂની હોય છે. તેમને સાથે, એક અભયારણ્યમાં રાખવાનું ડહાપણભર્યું નથી એવો પ્રબળ મત છે. કુનો પાલપુરમાં સિંહ, વાઘ અને દીપડા એ ત્રણે એક સાથે હોય એવું અભૂતપૂર્વ જોણું ઊભું કરવા માટે પણ આ થઇ રહ્યું છે, એવો પણ એક આરોપ છે.

આરોપને બદલે નક્કર હકીકતની વાત કરીએ તો, પ્રાણીસંરક્ષણની બાબતમાં મઘ્ય પ્રદેશનો રેકોર્ડ ઉજળો નથી. ત્યાં ‘વાઘ બચાવો’ ઝુંબેશ ચાલતી હોવા છતાં છેલ્લા છ મહિનામાં પાંચ વાઘ વીજળીનો કરન્ટ લાગતાં મૃત્યુ પામ્યા છે. તેમાંથી ચાર વાઘ તો બાંધવગઢના પ્રખ્યાત વાઘ અભયારણ્યના હતા. લાંબા સમયથી જેના સંરક્ષણની કાર્યવાહી ચાલે છે એ વાઘની મઘ્ય પ્રદેશમાં આવી સ્થિતિ હોય, તો એશિયાઇ સિંહોને સાચવવામાં તે કેવું ઉકાળશે, એવી ચિંતા સ્વાભાવિક છે.

આટલી ચર્ચા પરથી સ્પષ્ટ છે કે વાસ્તવિક ચિંતા એશિયાઇ સિંહોમાંથી કેટલાકને બીજું ઘર આપીને તેમને સંભવિત આપત્તિથી બચાવવાની છે. તેમાં ગુજરાત વિરુદ્ધ મઘ્ય પ્રદેશનો (નર્મદા બંધવિવાદની યાદ અપાવતો) સંઘર્ષ ન હોવો જોઇએ કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ શિવરાજસિંહ ચૌહાણનો પણ આ પ્રશ્ન નથી.

સાથોસાથ, ગુજરાત સરકાર સિંહોના હિતચિંતનના એકાધિકારનું કે ‘ગુજરાતનું ગૌરવ’નું પૂંછડું પકડીને બેસી રહેવાને બદલે, સિંહોને બીજું વધારે સારું અને સલામત ઘર મળે, એ માટે વૈજ્ઞાનિક આધારપુરાવા સાથે રજૂઆત કરે -કે સિંહોને સલામતી માટે બીજા ઘરની જરૂર નથી એવું નિષ્ણાતોની મદદથી પુરવાર કરી શકે- તો હજુ વેળા વીતી ગઇ નથી.