Showing posts with label COVID-19. Show all posts
Showing posts with label COVID-19. Show all posts

Saturday, May 29, 2021

વૅક્સિન મૈત્રી : ૮૪ ટકા જૂઠાણું, ૧૬ ટકા સચ્ચાઈ

એપ્રિલ-મે, ૨૦૨૧માં કરપીણ રીતે નિષ્ફળ પુરવાર થયેલી સરકારનાં તેવર થોડા વખત પહેલાં સુધી સાવ જુદાં હતાં. નવા શબ્દપ્રયોગો અને સ્લોગનમાં માહેર સરકાર તરફથી મુકાયેલો નવો ઘુઘરો હતોઃ 'વૅક્સિન મૈત્રી.' કેટલાકને વાસ્તવિકતા કરતાં સ્લોગનબાજી વધારે અનુકૂળ આવે છે. કરૂણ વાસ્તવિકતા ભૂલાવીને 'દવાઈ ભી, કડાઈ ભી'  કેવું મહાન સૂત્ર છે તેની વાત કરતાં તે ઓળઘોળ થઈ શકે છે. વેક્સિન મૈત્રીનો મામલો પણ કંઈક એવો જ થયો. 

કોવિશિલ્ડ અને કોવેક્સિન--એ બંને વિશે કેટલીક પાયાની વિગતો આપતી એક પોસ્ટ જાન્યુઆરીમાં મુકી હતી. તેમાંથી સ્પષ્ટ થતું હતું કે સિરમ ઇન્સ્ટિટ્યૂટને ભારત સરકારે કશી મદદ કરી નથી. પણ રસીકરણને લગતી વૈશ્વિક કામગીરી કરતી સંસ્થા 'GAVI'એ તેને ૩૦ કરોડ ડૉલર ફાળવ્યા છે. માટે, સ્વાભાવિક રીતે જ સિરમ ઇન્સ્ટિટ્યૂટની પણ કોઈ વળતી જવાબદારી હશે. 

પરંતુ જોતજોતાંમાં 'વેક્સિન મૈત્રી'ની ડુગડુગી વાગવાની ચાલુ થઈ. સરકાર તરફથી એવા દાવા થવા લાગ્યા કે વેક્સિન મૈત્રી કાર્યક્રમ અંતર્ગત ૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ મોકલવામાં આવ્યા છે. (તેના એક નમૂના તરીકે એપ્રિલ ૯, ૨૦૨૧ના રોજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ જારી કરેલી આ પ્રેસનોટ) 'વિશ્વગુરુ' તરીકે ભારતનો જયજયકાર કરવાનો અને દુનિયાની મદદે આવેલા ભારતની છાપ ઊભી કરવાનો કાર્યક્રમ જોરશોરથી ચાલ્યો.

ત્યાર પછી ભારતમાં કોરોનાનો ક્રૂર સપાટો ચાલ્યો. કદી ન જોઈ હોય એવી કરુણ પરિસ્થિતિ..દવા-ઇન્જેક્શન-ઑક્સિજનથી માંડીને અનેક બાબતોમાં અભૂતપૂર્વ અરાજકતા સર્જાઈ. આટલી નિષ્ફળતા ઓછી હોય તેમ, અલગ પ્રકારના મિસમૅનેજમૅન્ટના પરિણામે રસીનો પુરવઠો ખૂટી પડ્યો અને રસીકરણ કાર્યક્રમ ધીમો પાડવાનો વારો આવ્યો. 

ઘરઆંગણે રસી ખૂટી ગઈ એટલે સ્વાભાવિક રીતે જ, પૂરતી ગણતરી વિના પરદેશમાં રસી મોકલવા બદલ સરકારની આકરી ટીકા થઈ. કેમ કે, સરકારે પોતે જ 'વેક્સિન મૈત્રી'ના વાવટા ખોડ્યા હતા અને 'વેક્સિન મૈત્રી' અંતર્ગત '૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ'ના દાવા કર્યા હતા. 

પગ તળે રેલો આવ્યો, એટલે સરકારે વેક્સિન-મૈત્રીના વાવટા ધીમે રહીને સંકેલ્યા. સરકાર તરફથી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો તરફથી) આ સ્પષ્ટતા ક્યારે થઈ, એ તો ખ્યાલ નથી. પણ ભાજપના પ્રવક્તાએ પંદરેક દિવસ પહેલાં (મે ૧૨, ૨૦૨૧ના રોજ) કહ્યું કે ભારતે પરદેશ મોકલેલા ૬.૬૩ કરોડથી પણ વધુ ડોઝમાંથી ૮૪ ટકા હિસ્સો તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારીઓનો હિસ્સો હતો. (લિન્ક

ઉપરના વિધાનનો સ્પષ્ટ અર્થ એટલો થાય કે-

૧. સરકારની વેક્સિન મૈત્રીની વાતોમાં ૮૪ ટકા જૂઠાણું અને ૧૬ ટકા સચ્ચાઈ હતાં. 

૨. વેક્સિન મેત્રીના રૂપાળા નામ હેઠળ ગણાવાતા રસીના કુલ જથ્થામાંથી ૮૪ ટકા હિસ્સો મોકલવામાં ભારત સરકારનો કોઈ હિસ્સો ન હતો. એ ભારત સરકારનો નિર્ણય પણ ન હતો. એ તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારી (commercial and licensing liabilities) હતી.

એટલે જ, આ સરકાર કંઈ પણ કહે--અને લેખિતમાં કહે--તો પણ તેની પર વિશ્વાસ નહીં, શંકા જ પડે છે અને દેશના કમનસીબે ઘણુંખરું એ શંકા સાચી જ પડે છે.

Tuesday, May 25, 2021

મિટિંગ-ગંગા, ઇમેજ-ચંગા

એક મિટિંગ ભરાઈ છે. તેમાં મહત્ત્વના મુ્દ્દા અંગે ચર્ચા ચાલે છે.  

અફસર: આ પેલું શબવાહિનીનું શું કરીશું?

કર્મચારી ૧: હવે તો મરણાંક ઓછો થયો છે. એટલે કહેવામાં વાંધો નથી કે હવે તો શબવાહિનીની ખરેખર અછત નથી.

કર્મચારી ૨: પણ કહેતી વખતે જરા ધ્યાન રાખવું પડે. ‘હવે’ અને ‘ખરેખર’ જેવા શબ્દો કહીશું તો લોકો તૂટી પડશે કે પહેલાં ખરેખર શબવાહિનીની અછત હતી. 

અફસર: તમને શું લાગે છે? આપણે શબવાહિની જેવા વિષય પર આટલો સમય બગાડવા ભેગાં થયાં છીએ? હું તો પેલી શબવાહિની ગંગાની વાત કરતો હતો.

કર્મચારી ૩: અરે હા, એ કવિતાએ તો જબરો ઉપાડો લીધો ને કાંઈ. મને તો એમ કે ગુજરાતમાં ગળપણવાળી કવિતા જ ખપે.

કર્મચારી ૧: આપણે એ લાઇનના ઘણા લોકો જોડે દોસ્તી છે. આપણે એમને ક્લબમાં બોલાવીએ ને એટલે. તેમાંથી એક જણે મને જવાબ આપવાને બદલે સામું પૂછ્યું કે પેલું ‘કોલાવરી કોલાવરી ડી’ ગાયન કેમ ચાલ્યું હતું?

કર્મચારી ૩: (માથું ખંજવાળીને) કેમ ચાલ્યું હતું?

કર્મચારી ૧: એમને પણ ખબર ન હતી. એટલે કહે, એવું જ છે. અમુક વસ્તુ કેમ ચાલે છે, એની ચૂંથમાં નહીં પડવાનું . એ ચાલતી હોય ત્યારે એની અડફેટે આવી ન જવાય એટલું જ ધ્યાન રાખવાનું. 

અફસર: લોકલાગણી?

કર્મચારી ૧: ના. ધંધાનું ધ્યાન.
અફસર: પણ ઘણાએ તો એનો બહુ વિરોધ કર્યો. 

કર્મચારી ૨: કેમ સાહેબ? ધંધાનું ધ્યાન એક જ રીતે રખાય?

કર્મચારી ૩: પણ મારા હિસાબે, કવિતાની તરફેણ કરનારા બધા ચોખ્ખા ન હોય ને વિરોધ કરનારા બધા વેચાયેલા પણ ન હોય. ખરું કે નહીં?

કર્મચારી ૧: ચોક્કસ વળી. ઘણા માટે આ ધંધાનો નહીં, ધાર્મિક લાગણીનો મુદ્દો બની ગયો.

અફસર: ગંગાને શબવાહિની કહી એટલે? 

કર્મચારી ૧: ના ભઈ ના. એવું હોત તો ગંગામાં વહેતા મૃતદેહોથી જ તેમની લાગણી ન દુભાઈ ગઈ હોત? પણ સાહેબધર્મીઓ માટે તો ધાર્મિક લાગણી એટલે સાહેબની ટીકા.

કર્મચારી ૩: પણ એક વિદ્વાને તો મને એવું સમજાવ્યું કે ગંગામાં મૃતદેહો વહેતા મુકવા એ તો આપણી પરંપરા છે. એ તો સનાતન ધર્મ ને આપદ્ ધર્મ ને યુગ ધર્મ ને એવું બધું ભારેભારે કહેતા હતા ને કંઈક નામો પણ ગબડાવતા હતા. 

કર્મચારી ૧: પછી?

કર્મચારી ૩: હું તો તેમના પગે પડી ગયો. મેં કહ્યું કે મહારાજ, તમારા શાસ્ત્રજ્ઞાન આગળ મારી શી વિસાત? તમે કહેતા હો તો તમારા માટેની આવી વ્યવસ્થાની જવાબદારી હું ઉપાડી લઉં. હું તો ઇચ્છું કે તમે સવા સો વરસ જીવો ને પછી વિદાય લો. ત્યારે હું તો ન હોઉં. એ વખતે તમને આવી શાસ્ત્રોક્ત ગતિ પ્રાપ્ત થાય એની જવાબદારી મારા વારસોને ચીંધતો જાઉં.

અફસર: શું વાત કરો છો. 

કર્મચારી ૩: ભઈ, આપણે આનાથી વધારે શું કરી શકીએ? 

કર્મચારી ૧: તેમણે શું કહ્યું?

કર્મચારી ૩: મને એમ કે મારી વાત સાંભળીને તે રાજી થશે. પણ એ તો નારાજ થઈ ગયા અને ધુંધવાતા રામ..રામ..બોલતા ચાલ્યા ગયા. એમના ગયા પછી મને કોઈકે સમજાવ્યું કે કે એ રામ..રામ.. નહીં, નથુરામ..નથુરામ...બોલતા હતા. ફરી ધ્યાન રાખજો. 

કર્મચારી ૨: વાહ, શી એમની ધાર્મિકતા ને શી એમની શાસ્ત્રસમજ. 

અફસર: પણ આપણી ચર્ચા તો ઊભી જ છે. એ કવિતાનું કરવાનું શું?

કર્મચારી ૩: સૉરી સાહેબ, પણ મારે પહેલાં તો એક ચોખવટ પૂછવી છેઃ કવિતા એ રાજ્યનો વિષય ગણાય કે કેન્દ્રનો? 

કર્મચારી ૧: એવી કોઈ માર્ગદર્શિકા નથી. વત્તા કવિતા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ એક્ટમાં આવે કે નહીં, એ પણ સ્પષ્ટ થતું નથી. 

અફસર: કવિતા નબળી હોય તો ડિઝાસ્ટર એક્ટમાં ન આવે. પણ કવિતા સબળી હોય ને સરકાર માટે ડિઝાસ્ટર જેવી પુરવાર થાય તો કદાચ આપણે તેને એક્ટમાં આવરી શકીએ. 

કર્મચારી ૨: અને આપણી તરફેણમાં બોલનારા આટલા બધા લોકોની સેવાઓનું શું?

અફસર: સેવાઓ? (મોટેથી હસે છે) તમે આટલા બધા ભોળા રહેશો તો કેમ ચાલશે?... પણ મૂળ સવાલ એ છે કે આ કવિતાનું શું કરવું?

કર્મચારી ૧: સાહેબ, આ તો જંગલમાં સિંહ સામે મળે તો શું કરવું, એના જેવો સવાલ છે. જે કરવાનું હતું એ તો કવિતાએ કરી જ લીધું છે. 

અફસર: તમને શું લાગે છે? લોકો ખરેખર આટલા દુઃખી હશે? કે આ દેશને બદનામ કરવાનું કાવતરું છે?

કર્મચારી ૧: સાહેબ, મને તો બિલ્લા-રંગાને બદનામ કરવાનું કાવતરું લાગે છે.

અફસર: શીઇઇઇઇઇશ...એ બે નામ તો આપણે ચર્ચામાં લાવવાનાં જ નથી. મારા સવાલનો જવાબ વિચારવાનો છે. 

કર્મચારી ૧: સાહેબ, મેં આ લાઇનના કેટલાક લોકો જોડે વાત કરી. એમને તો લાગે છે કે લોકો જરાય દુઃખી નથી અને હોય તો પણ એમાં આપણી કશી જવાબદારી નથી. જે થયું એના માટે લોકો જ જવાબદાર છે. એટલે મને તો લાગે છે કે કવિતા લખનારને છોડો, લોકો સામે જ રાજદ્રોહની કાર્યવાહી અંગે વિચારવું જોઈએ—અને શક્ય હોય તો શબવાહિની બની ગયેલી ગંગામાં તરતા મૃતદેહોને પણ તેમાં સામેલ કરવા અંગે વિચારવું જોઈએ. આખરે તો આપણી એટલે કે દેશની ઇમેજનો સવાલ છે, સાહેબ.

Monday, May 17, 2021

મોટિવેશનની મહામારી

વર્તમાન મહામારીમાં સૌથી મોટી, ગંભીર અને અક્ષમ્ય જવાબદારી સરકારની જ છે. 

પરંતુ અફસોસ અને ગુજરાતી તરીકેની શરમ સાથે જણાવવાનું કે--
નપાવટ, ચાપલૂસ, ખોળે બેઠેલા કે ખોળે બેસવા ઉત્સુક, આત્મકેન્દ્રી, વક્તા તરીકેનો ધંધો ધમધમતો રાખવા માટે સત્તાનો વિરોધ કરવાની પ્રામાણિકતા ગુમાવી કે વેચી બેઠેલા મોટિવેશનલિયાઓ આપણું જ પાપ છે. 

પ્રજા તરીકે આપણે જ તેમને માથે ચડાવ્યા છે. તેમની ૯૯ અપ્રામાણિકતાઓ નજરઅંદાજ કરીને, 'ગમે તે કહો, પણ એમનો પેલો લેખ બાકી ટૉપ હતો'--એવાં ઓવારણાં લીધાં છે. તેમના એક સારા લેખના બદલામાં સો હલકાઈઓ હોંશે હોંશે માફ કરતા રહ્યા છીએ. 

તે વણઝારાના ખોળે બેસે કે નરેન્દ્ર મોદીના-- એ તો તેમનાં લખ્ખણ બતાવતાં જ રહ્યાં છે. આપણે, ગુજરાતીઓ, દોડી દોડીને તેમની પાસે મૂરખ બનવા ધસી જઈએ છીએ અને મૂરખ બન્યા પછી સંસ્કારિતાનો-ધન્યતાનો અનુભવ કરીને રાજી થઈએ છીએ. 

પ્રજામાં કેટલાક તો વળી એવા હોય છે, જે મોઢે ટીકા કરતા જાય અને અંદરથી આવા નમૂનાઓને સેલિબ્રિટી ગણીને પ્રભાવિત થતા જાય. તો કેટલાક બંને બાજુ 'વાહ, વાહ' કરીને સંબંધો સાચવી આવે. આવા પ્રજાકીય પ્રતિભાવથી નવા લખનારા પણ લોકોને મૂરખ બનવાના જ રવાડે ચડ્યા છે. 

આવું લખનારી પ્રજાતિની ટીકા કરવામાં આવે ત્યારે તેમનો કાયમી આરોપ: 'લોકોને અમારી લોકપ્રિયતાની ઇર્ષ્યા આવે છે.'  ના બાબા કે બેબી, એવું ન હોય. તમારા રસ્તે મળતી, તમને મળી છે એવી લોકપ્રિયતાની ઠેકાણાસરના કોઈ માણસને ઇર્ષ્યા ન આવે. (તમને અંદરોઅંદર એકબીજાની ઇર્ષ્યા આવે એ જુદી વાત થઈ) એવી લોકપ્રિયતા વિશે અરેરાટી કે અનુકંપા જ થાય. ખેદ ઉપજે છે આપણી પ્રજા માટે,  જે ખોળને ગોળ ગણીને ધન્યતામાં જીવન કાઢી નાખે છે. 

આવા લેખકો અને આવી પ્રજાની જુગલબંદીને કારણે, આજની કારમી ઘડીમાં પ્રેરણાનાં આ બારમાસી ખાબોચિયાં લોકોનાં દુઃખદર્દથી નથી છલકતાં,  સરકારની ટીકા માટેનાં આંસુથી છલકે છે. 

મોટિવેશનલિયાઓમાંથી કેટલાંક સાવ સામે છે ને કેટલાક બંને બાજુ હાજરી પુરાવીને ધંધો સાચવી લે છે. બોલવાનો સ્વભાવ ન હોય તો મૌન નથી રહેતા. પણ કૂદી કૂદીને સરકારના બચાવમાં ઉતરી પડે છે  તે લોકો આજે પીડીત લોકોની સાથે નથી. હોય પણ ક્યાંથી? એવી અપેક્ષા રાખનારાનો જ વાંક છે. 

મહામારીમાં કોની કેટલી જવાબદારી, એ વિશેની લિન્ક તો છેક છેલ્લે આપી છે, પણ તળિયા વગરના, લોકવિરોધી, ચાપલૂસ મોટિવેશનલિયાઓની મહામારી માટે પ્રજા તરીકે આપણી જવાબદારી સૌથી મોટી છે. 

તમારા અણગમતા એક-બે લખનારાને ગાળ દઈને સંતોષ માની લેવાને બદલે આવી આખી પ્રજાતિ માટે વિચારી જોજો. તેમના ઉપદ્રવમાં આપણી ભૂમિકા કેટલી મોટી છે, એ પણ વિચારજો અને જાતે વિચારી જોજો.

જાતે વિચારવાનું શરૂ નહીં કરો તો આ મોટિવેશનલિયાઓની મહામારી હજુ વકરશે. વકર્યા જ કરશે.

Friday, May 14, 2021

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા: પારૂલ ખખ્ખરની કવિતા નિમિત્તે

ફેસબુક પર પારૂલબહેન ખખ્ખરની કવિતા મુકાયા પછી ઘણી શૅર થઈ, શરૂઆતમાં ઘણી વખણાઈ અને પછી ટ્રોલિંગ પણ શરૂ થયું. સમર્થનમાં અને વિરોધમાં પ્રતિકાવ્યો લખાયાં. સવારે એ કવિતા મુકાયા પછી, મેં તે કવિતા અને ઇલિયાસ શેખે કરેલો તેનો હિંદી અનુવાદ શૅર તો કર્યાં. ઉપરાંત, ફેસબુક પર એ મુદ્દે જે કંઈ લખ્યું તે રેકોર્ડ પૂરતું અહીં મુકું છું.

***

મે ૧૧, ૨૦૨૧ (બપોરે)

અમુક પ્રકારની પ્રજા એટલી 'સંસ્કારી' હોય છે કે તેમને કશુંક પદ્યમાં લખાઈને આવે તો જ અડે.
તો લો, તમારા માટે Parul Khakhar ની આ કવિતા.
આભાર પારૂલબહેન, આ લખવા બદલ.
*
બીજી વાતઃ અત્યારે સાચી પરિસ્થિતિનું બયાન કરનારાની હિંમતને બિરદાવીને છટકી જશો નહીં. પારૂલબહેન કે બીજા કોઈ લોકો આગળ બહાદુરીના સીન નાખવા માટે ન લખતાં હોય. (બતાવવાની બહાદુરી માટે લખતી પ્રજા જુદી હોય છે. એ તો અત્યારે કેમ કરીને બધા છેડા સાચવવા, એમાં વ્યસ્ત હોય.)
 

તેમણે આપણા સમાજમાં વ્યાપેલી ભયંકર વ્યથાનું પ્રતિબિંબ પાડ્યું છે અને તેમાં સરકારની સીધી જવાબદારી-આવામાં પણ હેડલાઇનો મૅનેેજ કરવાની સરકારની વૃત્તિ સામે આયનો બતાવ્યો છે. આ તેમની પ્રતિબદ્ધતા છે.
તેમની પ્રતિબદ્ધતાને સલામ કરીને નીકળી જવાને બદલે, આ સમજ ઉગે-વધે-વિસ્તરે એ માટેના પ્રયત્નોમાં આપણાથી બનતું કરી છૂટીએ.
 

પારૂલબહેને સર્જકધર્મ અદા કર્યો. આપણે નાગરિકધર્મ અદા કરીએ.
ફરી એક વાર પારૂલબહેનને ધન્યવાદ સાથે તેમની કવિતા.
*
એક અવાજે મડદા બોલ્યાં 'સબ કુછ ચંગા-ચંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.


રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે 'વાહ રે બિલ્લા-રંગા'!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો  'રાજા મેરા નંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
-પારુલ ખખ્ખર
***

મે ૧૧, ૨૦૨૧ (રાત્રે)

આજે બપોરે Parul Khakharની કવિતા અને પછી તેનો Iliyas Shaikhએ કરેલો હિંદી અનુવાદ વાંચીને બહુ સારું લાગ્યું. વાસ્તવિકતાને ઉજાગર કરતા અવાજોમાં એક કવયિત્રીનો અવાજ પણ ઉમેરાયો તેનો આનંદ થયો. મૂળ કવિતા અને અનુવાદ ફેસબુક અને ટિ્વટર પર ભાવથી શૅર પણ કર્યાં.

- સાથોસાથ, એવું પણ થયું કે જેમને અત્યાર સુધી આટઆટલા અહેવાલો, કરુણ પ્રસંગો, સરકારનું ગુનાઈત મિસમૅનેજમૅન્ટ, લોકોની વ્યથાવેદના--એ કશું અડ્યું ન હોય અને ફક્ત એક કવિતાથી જ વેદનાનો સણકો આવ્યો હોય, તેમણે પોતાનું સંવેદનતંત્ર વેળાસર ચૅક કરાવી લેવું જોઈએ. તેના વાયરિંગમાં નક્કી ગરબડ હોવી જોઈએ. 

- લોકોની વેદનાને વાચા આપનાર-તે માટે સરકારની કે સ્થાપિત હિતોની ટીકા કરનારને મૂક કે બોલકો સાથ આપવો જ જોઈએ. પરંતુ 'તેજાબી કલમ'થી માંડીને એવાં બીજાં નિરર્થક વિશેષણો વાપરવાથી બચવું જોઈએ. એમ કરવાથી ઘણાં નુકસાન થઈ શકે છે. 

- ગુજરાતી લેખનમાં તેજાબી કલમના નામે બહુ ધુપ્પલ ચાલ્યાં છે. લખનારનું કામ સહેતુક તેજાબી લખાણની નાટકીયા પટાબાજી ખેલીને ઉત્તેજનાપૂર્ણ મનોરંજન પૂરું પાડવાનું નથી. તેનાથી વાંચનારને કામચલાઉ કીક મળી શકે--વિચાર નહીં. ઉલટું, ઘણી વાર તો એ વાંચનારની સ્વતંત્ર વિચારશક્તિ હણી લેવાનું કામ પણ કરી શકે છે. એ જોતાં તેમના માટે 'તેજાબી'ને બદલે 'અફીણી' વિશેષણ વધારે યોગ્ય ન ગણાય? અને લખનાર સાવધ ન રહે (જેવું ફેસબુક જેવાં માધ્યમમાં બહુ બનતું હોય છે) તો તે ખુદ પોતાની 'તેજાબી' છબીના પ્રેમમાં પડીને અવગતે જઈ શકે છે. 

- પારૂલબહેનની કવિતા કે એ પ્રકારનાં બીજાં અનેક લખાણોનો આશય એ જ હોય છે કે લોકો એક યા બીજા પક્ષે તાળીઓ વગાડીને, 'વાહ, વાહ ક્યા બાત હૈ' કરીને, ખંખેરીને જતા રહેવાને બદલે જાતે વિચારતા-સંવેદન અનુભવતા થાય. અભિવ્યક્તિ સૌ પોતપોતાની પ્રકૃતિ ને આવડત પ્રમાણે કરે કે ન પણ કરે, પરંતુ આટલી મોટી મહામારી અને આટલી કરુણ માનવસર્જિત ગેરવ્યવસ્થા ચાલતાં હોય ત્યારે, કહેવાતી તટસ્થતા છોડીને વાસ્તવિકતા સ્વીકારવા-સમજવા-અનુભવવાનું જરૂરી છે. 

માટે, જે ગમે તેની પ્રશંસા જરૂર કરવી. પણ મુશાયરમાં છીછરી દાદ આપનારા જેવા ન બની જવું, વિશેષણોનો અતિરેક ટાળવો અને ફક્ત વખાણ કરીને અટકી ન જવું.  ત્યાંથી કામ પૂરું નહીં, શરૂ થાય છે.

***

કેટલાક પ્રાથમિક મુદ્દા અને નિરીક્ષણો~
મે ૧૨, ૨૦૨૧ (બપોરે)
૧. ભૂતકાળમાં જેમણે મોદીનું-ભાજપનું (કે વણઝારા સહિતની મોદીની ઇકો-સિસ્ટમનું) સમર્થન કર્યું હોય એવી કોઈ પણ વ્યક્તિ અત્યારે મોદીની-ભાજપની ટીકા કરી જ શકે. દરેક વ્યક્તિને સમજ વિસ્તારવાનો અને સમજ પ્રમાણે વિચાર બદલવાનો કુદરતી અધિકાર છે.

૨. ‘અમે તો મુદ્દા-આધારિત સ્ટેન્ડ લઈએ છીએ.’ તે આમ તો બહુ આદર્શ લાગે એવું વિધાન છે. પણ ગુજરાતીમાં લખનારાની વાસ્તવિકતા ધ્યાનમાં રાખતાં, તે 'મુદ્દા-આધારિત' નહીં, 'વહેણ-આધારિત' વધારે હોય છે. તેમના ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નું ગુજરાતી એવું થાય કે ‘વહેણ જોઈને અમે વણઝારાની આરતી પણ ઉતારીએ ને વહેણ જોઈને મોદીની ટીકા પણ કરી લઈએ. હા, અમે તો સખ્ખત મુદ્દા-આધારિત.’

અત્યારના સમયની વાત કરીએ તો, તેમાં ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નો મતલબ છેઃ ‘અમારે સરકારને છાવરવી છે. પણ માત્ર એવું કરીએ તો લોકોની નજરમાંથી સાવ ઉતરી જવાય. એટલે અમે અક્ષમ્ય રીતે નિષ્ફળ ગયેલી સરકારનો બચાવ કરતા રહીને, વચ્ચે વચ્ચે સરકારને ચૂંટલીઓ ખણતા રહીશું ને સરકારની વર્ચ્યુઅલ સોડમાં રહેતાં રહેતાં તટસ્થતાનો ખેલ પાડતાં રહીશું. મુદ્દા-આધારિત. સમજ્યા કે નહીં?

૩. અત્યારના સંજોગોમાં સરકારની ચમચાગીરી (બીજો હળવો શબ્દ જડતો નથી) કરવી હોય અથવા સરકારની ગુડ બુકમાં રહેવું હોય એ જ માણસ, સરકારની ઘોર નિષ્ફળતા-નઠોરતાને ‘બૅલેન્સ કરવા માટે’ સરકારનાં વખાણ કરી શકે. (એવા ‘બૅલેન્સ’ માટે તલ જેવડી સરકારી કામગીરીને તરબૂચ જેવડી ચિતરીને લોકોને મૂરખ બનાવવા પડે એનો વાંધો નહીં.) સરકારના બચાવકારો કે સમર્થકોનો ત્રીજો પ્રકાર કોઈ લાભ વિના, કોમવાદી કે બીજા પ્રકારના દ્વેષથી સરકારની પડખે રહેવાનો છે. આ સિવાયના કોઈ પ્રકારો જાણમાં નથી.

૪. આપણી સાથે અંગત નિકટતા ધરાવતી વ્યક્તિ આપણા વિચારની વિરોધી હોઈ જ શકે. અને તેમ છતાં તે અંગત રહી જ શકે. આવા સંજોગોમાં વૈચારિક બાબતે તેમની ટીકા કે પ્રશંસા કશું કરવાની જરૂર નથી. તે વ્યક્તિગત કારણોસર અંગત હતાં, છે ને રહેશે. પરંતુ એક તરફ સરકારનો વિરોધ કરવો અને બીજી તરફ, તેના બચાવકારો-'બૅલેન્સવાદીઓ'ને વૈચારિક સમર્થન આપવું, એ હળાહળ વૈચારિક અપ્રામાણિકતા છે. સંબંધ અને પ્રામાણિકતાને એકબીજાની અવેજીમાં રાખવાની જરૂર નથી. આપણી ઘણી પ્રજા મૂરખ બનાવનારની શોધમાં રહેતી હોય છે. એટલે લોકો તો આ રીતે પણ મૂરખ બની જશે. પરંતુ  લખનાર તેની જાણબહાર તેની વૈચારિક અપ્રામાણિકતા બતાવી બેસશે.

૫. ગઈ કાલે પણ લખ્યું હતું કે લખનારા માટે તેજાબી કલમને એવી બધી અતિશયોક્તિઓ ન કરવી. સિંહ-સિંહણ જંગલમાં હોય ને ત્યાં જ શોભે. કંઈ પણ લખવા માટે સિંહ કે સિંહણના કલેજાની નહીં કે છપ્પનની છાતીની કે એવી બધી ફિલ્મી જરૂરિયાતો નથી હોતી. (એ બધી જરૂરિયાતો સીન નાખવા માટે જ હોય છે). ચમચાગીરી કે 'સરકારી તટસ્થતા' સિવાયનું લખવા માટે મૂળભૂત રીતે સંવેદનશીલતાની અને પ્રતિબદ્ધતાની જ જરૂર હોય છે.

૬. એક નાગરિક તરીકે મારા માટે તો, પારૂલબહેને આ કવિતા લખી એટલું પૂરતું છે. લોકોની વ્યથા જોઈને, લોકો વતી સરકારની સામે ઉઠતા કડક ટીકાના સૂરમાં વધુ એક સૂર ઉમેરાયો તેનો આનંદ છે. પણ એ પહેલો સૂર નથી ને છેલ્લો પણ નહીં. પારૂલબહેને પણ એવો કશો દાવો કર્યો નથી. આવા વખતે ‘સિંહણનું કલેજું’ વગેરે ઠાલાં વિશેષણો લખવાથી એવો સંદેશો જાય છે કે ‘આ તો ભઈ, આપણું કામ નહીં. સિંહ/સિંહણનું કલેજું જોઈએ.’

ખરેખર તો, એવું ન હોય. આ દરેક નાગરિકનું અને તેની પહોંચમાં આવે એવું કામ છે. કેટલાક કિસ્સામાં એવી પણ શંકા જાય કે કશી બહાદુરી વિના, માત્ર પ્રતીતિથી લખનારને સિંહ/સિંહણ સાથે સરખાવવાનો હેતુ પોતાનું નમાલાપણું ઢાંકવાનો તો નહીં હોય?

૭. પારૂલબહેનની કવિતા પરિસ્થિતિનું બયાન છે. તે કવિતા બને છે કે નહીં, તેની પંડિતાઈભરી ચર્ચા આવતા વર્ષે રાખવી. તે અત્યારે લખાઈ તે પ્રશંસાને પાત્ર છે. અત્યારે એટલું જ વિચારવું-કહેવું કે તેમાં આલેખાયેલી વાત હકીકત છે કે નહીં? સાહેબની ટીકાથી મૂળીયાં બળી ગયાં હોય, તો સાહિત્યનો ને કાવ્યશાસ્ત્રનો માપદંડ લઈને કવિતાને ઝૂડવાની જરૂર નથી.

૮. ‘આ કવિતા રાજકીય નથી’ અથવા તો ‘તેની ફલાણી કડીનો અર્થ ખરેખર તો આવો નહીં, પણ તેવો થાય છે’—આ બધું માત્ર ને માત્ર સરકારની ચાપલૂસીમાં ખપશે. કેમ કે, કવિતાનો એક જ અર્થ થાય છે અને તે સાફ સમજાય એવો છે.

૯. પારૂલબહેન વિશે પણ ચુકાદા ફાડવાની જરૂર નથી. હું તેમને ઓળખતો નથી ને તેની જરૂર પણ નથી. તેમણે કશો દાવો કર્યો નથી. કવિતાને મળેલા બંને પ્રકારના પ્રચંડ પ્રતિસાદથી કોઈ પણ માણસ ડઘાઈ જાય. ટ્રોલિંગ વગેરેથી ન ટેવાયેલો સામાન્ય માણસ ભક્તોના આક્રમણથી ડીફેન્સિવ પણ બની જાય. તેમણે બહાદુરીના કશા દાવા વિના, પ્રતીતિપૂર્વક કવિતા લખી. એ આપણા માટે પૂરતું હોવું જોઈએ.

આપણે જ એમને સિંહણનાં કલેજાવાળાં જાહેર કરીએ ને આપણે જ એમની કથિત પીછેહઠની ટીકા કરીએ, તો એ બંને આપણા પ્રોબ્લેમ છે—એમના નહીં. તેમને નાયિકા કે ખલનાયિકા બનાવવાથી બચવા જેવું છે. તેમની કવિતામાં પ્રતિબિંબિત થતી કરુણતા અને વેદનાને યાદ રાખવા જેવી છે. અસલી ચીજ એ છે.
(મુદ્દા શાંતિથી વિચારજો અને યોગ્ય લાગે તો શૅર કરી શકો છો)

Tuesday, May 11, 2021

કળીયુગની ભક્તસંહિતા

--પછી શિષ્યોએ પૂછ્યું કે ‘હે ગુરુદેવ, મધ્યકાળમાં ભક્તોની ઓળખ સરળ હતી. તે ભજનો રચતાં, ગાતાં અને ભવિષ્યનાં પાઠ્યપુસ્તકો માટે સામગ્રી પૂરી પાડવાની કોઈ સભાનતા વિના, દુનિયાદારીનું ભાન ભૂલીને ઈશ્વરની ભક્તિમાં લીન રહેતાં. પરંતુ ઘોર કળીયુગમાં ભક્તોની પિછાણ શી રીતે કરવી? અમારા સંશયનું છેદન અને જિજ્ઞાસાનું શમન કરો.’

ગુરુ બોલ્યા,
‘હે શિષ્યો, ઘોર કળીયુગમાં જ્યારે વિદ્યાને બદલે અવિદ્યાનો મહિમા છે, ત્યારે તમારાં સંશય અને જિજ્ઞાસા વિશે જાણીને હું પ્રસન્ન થયો છું. તેથી જેટલું બોલીને હું પૉઝિટિવિટીના કે પ્રેરણાના કે લાઇફ-કોચિંગના વર્ગોમાંથી તગડી રકમ પ્રાપ્ત કરી શકું, તેટલું જ્ઞાન હું તમને—મારા ટ્યૂશનાર્થીઓને—વધારાની કોઈ ફી વિના આપીશ.’

 ‘હે શિષ્યો, જેમ વરસાદ વિશે જાણવા માટે વાદળાં વિશે જાણવું આવશ્યક છે, તેમ કળીકાળમાં ભક્તોના પ્રકાર વિશે જાણતાં પહેલાં તેમના આરાધ્ય વિશે જાણવું અનિવાર્ય છે. અલબત્ત, વર્તમાન કાલખંડમાં ગુર્જરદેશ અને સમગ્રતયા ભારતવર્ષમાં એક જ આરાધ્ય વિદ્યમાન હોવાનું પ્રતીત થાય છે. એટલે તેમના ભક્તોને લક્ષ્યમાં રાખીને હું મીમાંસા કરીશ.’

‘ભક્તોના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે. પહેલો અને મુખ્ય પ્રકાર ભારતની પ્રાચીન ભક્ત પરંપરા સાથે સીધું સામ્ય ધરાવે છે. પ્રાચીન ભક્તો પોતાની ભક્તિ છુપાવવાને બદલે તેને બેધડક જાહેર કરતા હતા. સંજોગો વિપરીત હોય કે અનુકૂલ, ભક્તિથી નુકસાન થવાનો સંભવ હોય કે ફાયદો, તે આવો કશો વિચાર કરવાને બદલે, લોકલાજથી ડર્યા વિના કે લોકનિંદાથી ડગ્યા વિના, ‘એવા રે અમે એવા’ કહેતા હતા. વર્તમાનમાં પણ આ પ્રકારના ભક્તો નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે. તે લાભાલાભ જોવાને બદલે, પ્રતિષ્ઠાનું કે સન્માનનું બલિદાન આપીને પણ ભક્તિમાર્ગેથી ચળતા નથી. વાસ્તવિકતાનાં ગમે તેટલાં પ્રમાણપુરાવા કે આલેખન તેમને ભક્તિમાર્ગેથી પાછા વાળી શકતાં નથી. આરાધ્ય સાથે તેમનું મનોસંધાન એ હદે એકરૂપ થયેલું હોય છે કે બ્રેઇન સ્ટ્રોકને પણ તે માસ્ટર સ્ટ્રોક ગણીને તેનો ઉત્સવ મનાવી શકે છે.’

‘આવા ભક્તોની ઓળખ જરાય કઠણ નથી. તમારું ધ્યાન ન હોય તો તે તમને સામેથી ઢંઢોળીને પોતાની ભક્તિના પુરાવા અને નિદર્શન આપ્યા કરશે. એક ચૂકી ગયા તો બીજું ને બીજું ચૂક્યા તો ત્રીજું. હા, એટલું ખરું કે આટલી પ્રખર ભક્તિ માટે કયાં પરિબળ જવાબદાર છે તે દરેક પ્રસંગે જાણવું શક્ય નથી હોતું. પરંતુ સામાન્ય રીતે વિધર્મીદ્વેષ અને વિચારદોષથી માંડીને આર્થિક પ્રલોભન જેવાં કારણોમાંથી તે જન્મે છે અને પોતાની ઓળખના પર્યાય તરીકે તે સ્થિર થાય છે. ત્યાર પછીનો તબક્કો ભક્ત અને આરાધ્યના--જીવ અને શિવના—એકપક્ષી એકત્વનો છે. તેમાં આરાધ્યના અપમાનમાં ભક્તને પોતાનું અપમાન લાગે છે અને આરાધ્યની અક્ષમ્ય ભૂલ અભૂતપૂર્વ ઐતિહાસિક સિદ્ધિ લાગે છે. સંસારમાં આવા ભક્તોના વિચરણથી ભક્તિમાર્ગ ફૂલેફાલે છે.’

આટલું કહીને ગુરુજી અટક્યા, કપાળ પર એકઠી થયેલી રેખાઓને વેરવિખેર થવા થોડી ક્ષણો આપી, પછી પાણીના બે ઘૂંટ પીને, ઊંડો શ્વાસ લઈને તેમણે આગળ ચલાવ્યું.

‘બીજા પ્રકારના ભક્તો સંસારના સામાન્ય વ્યાપારો પૂરી સ્વસ્થતાથી પાર પાડે છે. પોતે ભક્ત છે એવું જાહેર કરવું તેમને ગમતું નથી. પોતાના આરાધ્યની છબી ચિત્તમાં સ્થાપીને તે આશ્વસ્ત અને સંતુષ્ટ હોય છે. ભક્ત તરીકે ઓળખાવાની તેમને કોઈ એષણા હોતી નથી. ઉલટું તે પોતે સંસારીઓને છેતરવા માટે એવો સ્વાંગ ધરે છે, જાણે તે ભક્ત નથી. કેમ કે, તેમને મન આ તેમના અને તેમના આરાધ્ય વચ્ચેનો સંબંધ છે. તેને દુનિયા સમક્ષ છતો કરીને એ સંબંધની નજાકતને શા માટે આંચ આવવા દેવી? પરંતુ કસોટીની ઘડીમાં આરાધ્ય પર પ્રહારો થાય ત્યારે આવા ભક્તો પાછા પડતા નથી. તે આરાધ્યના સીધા કે આડકતરા સમર્થનમાં તર્કાભાસી દાખલાદલીલો કરે છે, આરાધ્યના ટીકાકારોની સમજશક્તિ વિશે શંકા વ્યક્ત કરે છે અને ઠાવકાઈ છોડ્યા વિના, અંતરમાં રહેલી આરાધ્યની છબી છતી થઈ ન જાય એ રીતે, આરાધ્યના આક્રમક કે રક્ષણાત્મક બચાવમાં પ્રવૃત્ત રહે છે. તેમને ભક્ત કહેવામાં આવે, તો તે અંદરથી ટાઢક અનુભવતા હોવા છતાં સંસારીઓને અંધારામાં રાખવા માટે હળવો રોષ પણ વ્યક્ત કરે છે.’

‘અને ત્રીજો પ્રકાર?’ એક શિષ્યે અધીરાઈથી પૂછ્યું.

‘એ પ્રકારની ઓળખ ઘણા માટે કસોટીરૂપ બની રહે છે. પહેલા બંને પ્રકારના ભક્તો બરાબર સમજે છે કે પોતે ભક્ત છે. પરંતુ ત્રીજા પ્રકારના ભક્તો પોતાની જાતને પણ એવું જ ઠસાવે છે કે તે ભક્ત નથી. કુદરતની લીલા એવી છે કે આ કિસ્સામાં જાતને છેતરવી સહેલી છે, પણ બીજાને છેતરવાનું અઘરું છે. કોઈને જ્યારે તેમના આરાધ્યના પહાડ જેવડા દોષ રજકણ જેવા લાગતા હોય, એ દોષની ટીકા કરનારા દિશા ભટકી ગયેલા કે સમાજના-દેશના હિતશત્રુ લાગતા હોય, આરાધ્યના ગૌરવ અને આરાધ્યની પીડા સામે બાકીના લોકોની પીડા અને ગૌરવ તેમને ગૌણ લાગતાં હોય, તે હકારાત્મકતા, ચિંતન, આશા, પ્રેરણાની પીંછીથી આરાધ્યના ટીકાકારોને હલકા ચીતરીને, આરાધ્યને આંચમુક્ત રાખવા પ્રવૃત્ત હોય, ત્યારે તેમને આ પ્રકારના ભક્ત જાણવા. જો તે સ્વીકારતા હોત તો બીજા પ્રકારમાં હોત. એટલે આ કિસ્સામાં તેમનો અસ્વીકાર એ પણ તેમની ભક્તિનું પ્રમાણ છે. અસ્તુ.’

આ સાંભળીને જેમ શિષ્યોની જિજ્ઞાસાનું શમન થયું, તેમ વાચકોની જિજ્ઞાસાનું પણ થાઓ.

Saturday, May 08, 2021

એક નેતાની કોરોના ડાયરી

આ તે કંઈ જીવન છે? ચોમેર જ્યાં જુઓ ત્યાં અવ્યવસ્થાના, લાઇનોના અને મોતના જ સમાચાર. આપણે આવું કશું કરાવ્યું ન હોય છતાં આ બધું થાય ત્યારે સમજાય છે કે આપણાથી મોટી પણ કોઈ શક્તિ હશે. ‘લોકશક્તિ’ તો, મને કોઈએ કહેલું કે ટ્રેનનું નામ છે. એટલે બીજી કોઈ શક્તિ હોવી જોઈએ.

કોરોનાએ જબરી કસોટી કરી લીધી. ના, આ તો ખાનગી ડાયરી છે. એટલે લોકોને પડેલી હાડમારીની વાત નથી કરતો. પણ ક્યાંય બહાર જવાય નહીં. લોકોને મોં તો આમ પણ ક્યાં બતાવતા હતા? પણ આડા દિવસે લોકો ચલાવી લેતા હતા. અને પાંચ વર્ષે વોટ તો સાહેબના નામે જ માગવાના હતા. રૂપિયાની આત્મનિર્ભરતા પણ આવી ગઈ હોય. હવે તકલીફ એ થઈ છે કે બહાર નીકળીને જાહેરમાં દેખાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું પડે છે.

મારું સોશિયલ મિડીયા સંભાળનારો છોકરો કહેતો હતો કે લોકો બહુ ગુસ્સામાં છે. જોકે તેણે એમ પણ કહ્યું કે આવા વાતાવરણમાં પણ આપણો બચાવ કરનારા લોકો નીકળી આવે છે. એટલું જ નહીં, એ લોકો આપણો એવી રીતે બચાવ કરે છે કે આપણે પણ નવાઈ પામી જઈએ. એણે મને કેટલાંક લખાણ દેખાડ્યાં. તે જોઈને મને યાદ આવ્યું. બી.એ.માં ભણતો હતો ત્યારે એક સાહેબ ભક્તિયુગની કવિતાઓ ભણાવતા હતા. મને થાય છે કે એક વાર કોરોના પતી જાય ને બધાનાં મગજ ઠેકાણે આવી જાય, પછી સાહિત્યના પાઠ્યપુસ્તકમાં અત્યારના ભક્તિયુગનાં લખાણ મુકવાં જોઈશે, જેથી નવી પેઢી વંઠી જઈને સ્વતંત્ર રીતે વિચાર કરવાને બદલે આપણા દેશની ભક્તિની પરંપરાના રસ્તે ચાલે.

હું તો આવી બધી બાબતોમાં બહુ એડવાન્સ ચાલુ છું. સાહેબમાંથી પ્રેરણા લેવી પડે કે નહીં? હજુ તો મારે બહુ આગળ જવાનું છે. એટલે મેં એક વીસી જોડેથી નંબર લઈને એક પ્રોફેસરને ફોન કર્યો. એ તો મારી વાત સાંભળીને રાજી થઈ ગયો. કહે, કેમ નહીં, સાહેબ? આપણે અભ્યાસક્રમમાં તેને ‘ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનમાં અનુઆધુનિક ભક્તિયુગ’ એવા વિષય તરીકે દાખલ કરી દઈશું. પછી કહે, ‘સાહેબ, આ વિષય પર હું આજથી જ ચોપડી લખવાની શરૂઆત કરી દઉં છું. આ વિષય જાહેર થશે ત્યારે બજારમાં ફક્ત મારી એકલાની જ ચોપડી હશે. તમે જો એને ટેક્સ્ટ બુક તરીકે કરાવી આપો તો...’

હું સમજી ગયો. કહ્યું, ‘માસ્તર, ચિંતા ના કર. ટેક્સ્ટ બુક તારી ને ગાઇડેય તારી, બસ?’ બિચારો ખુશ ખુશ થઈ ગયો. કેટલા બધા આશીર્વાદ આપ્યા—અને લોકો કહે છે, અમે ખોવાઈ ગયા છીએ. કામ નથી કરતા. તેમને કોણ સમજાવે કે બધાં કામ માટે દેખાવું જરૂરી નથી.
***
રોજ દહાડો ઉગે ને કંઈક નવું સળગતું લાકડું આવે છે. આ કોરોનાએ તો જિંદગી ઝેર કરી દીધી છે. ના, ઘરમાં કોઈને ઓક્સિજનની તંગી નથી નડી કે દવાખાને-દવાખાને ફરવું નથી પડ્યું. પણ હવે કહે છે કે રાજકીય રેલી નહીં કાઢવાની. ચૂંટણી સરઘસ નહીં કાઢવાના. સભા નહીં ભરવાની. આ તે કોરોના છે કે આચારસંહિતા? અરે, આચારસંહિતાનો તો હવે આચાર બનાવીને ભાખરી જોડે ખાઈ ગયા,પણ કોરોનાનું શું કરવું? સભા-સરઘસ-રેલી-યાત્રા ના કાઢીએ, તો જનતાની સેવા કેવી રીતે કરવી? લોકસંપર્કનું એ એક તો માધ્યમ રહ્યું હતું. તે પણ છીનવાઈ જાય તો આપણી લોકશાહી શી રીતે ધબકતી રહેશે?

હું જરા લાગણીમાં તણાઈ ગયો. મારે આટલા સ્વાર્થી ન બનવું જોઈએ. એમ તો સાહેબ પણ બિચારા કેટલા બધા મહિનાથી પરદેશ નથી ગયા વિશ્વગુરુના રોલ માટે તેમણે દાઢી વધારી હશે, પણ એ તો શરૂ થતાં પહેલાં જ ઘાંચમાં પડ્યું. માણસને કેટલું વીતતું હશે? એની સામે મારા દુઃખની શી વિસાત? કમ સે કમ, મને એ વાતનું તો અભિમાન છે કે ચાલુ કોરોનાએ બંગાળની રેલીઓમાં ભીડની હાજરીના વિક્રમો તૂટ્યા. કોરોનાના વિક્રમની ચિંતા શા માટે કરવી? એ તો આમ પણ કુદરતી આફતમાં જ ગણાય છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે (આવું મને એક ચેનલવાળાએ કહેલું) કે માણસની ખરી કસોટી મુશ્કેલીના સમયમાં થાય છે. મને જોકે એવું થયું કે આવું તો હું પણ કહી શકું. એમાં શી મોટી વાત છે? પણ સવાલ કસોટીનો છે અને હું જ નહીં, મારા બીજા સાથીદારો પણ કસોટી આપવા તૈયાર છીએ, બલકે આપી જ રહ્યા છીએ. લોકોને એવું લાગે છે કે અમે આ કસોટીમાં ઊંધા પડી જઈશું. એમને ક્યાં ખબર છે કે આવા સમયમાં કસોટીઓનું દબાણ કામચલાઉ હોય છે. એટલો સમય હેમખેમ નીકળી જાય તો પછી માસ પ્રમોશનની ગોઠવણ હાથવગી રાખેલી જ હોય છે. લોકો એટલું બધું અને એટલી ઝડપથી ભૂલી જાય છે કે તે અમને માસ પ્રમોશનવાળાને ડિસ્ટિંક્શનવાળા માની લે છે. કોરોના તો મટી જશે, પણ રાહત એ વાતની છે કે લોકોની ખરાબ યાદશક્તિ ટકી રહેવાની છે.

ગમે તે કહો, આખરે છે તો લોકશાહી. લોકો છે, તેમની ખરાબ યાદશક્તિ છે, તેમનાં સંકુચિત સમીકરણો છે...આ બધું છે તો અમે છીએ ને અમે છીએ તો લોકશાહી છે. જય હિંદ.

Tuesday, May 04, 2021

એક કોરોના-મિટિંગ

કોરોનાની વણસેલી પરિસ્થિતિને જોતાં સાહેબ અને અધિકારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ છે. એક પછી એક માસ્કધારીઓ આવે છે અને લાંબા ટેબલની ફરતે ગોઠવાય છે.

અધિકારી ૧ (પ્યૂનને): ભાઈ, એસી વધાર જરા. પરસેવો છૂટી ગયો છે. 

પ્યૂન: સાહેબ, એસી વધારે જ છે. ક્યારનું ઠંડું કરી રાખ્યું છે. પણ તમને લોકોના ગુસ્સાને લીધે કદાચ...

(અધિકારી ડોળા કાઢે છે. એટલે પ્યૂન બોલતો અટકી જાય છે.)

અધિકારી ૨: આવા વખતે માસ્ક કેટલા સારા પડે, નહીં? 

અધિકારી ૩: હાસ્તો, ઇન્ફેક્શનની ચિંતા નહીં

અધિકારી ૨: ને ઓળખાઈ જવાની પણ. 

(સાહેબની પધરામણી થાય છે. સાહેબ પણ પરસેવો લૂછે છે. અધિકારી ૧ પ્યૂન સામે જુએ છે. પ્યૂન નીચું જોઈ જાય છે.)

સાહેબ: તમે લોકો શું કરો છો? આ બધું શું છે?

ખૂણામાંથી અવાજ: આ સવાલ પહેલાં તમારે તમારી જાતને પૂછવો જોઈએ એવું નથી લાગતું?

(સાહેબ ચમકીને અવાજ તરફ જુએ છે, પણ કંઈ દેખાતું નથી.)

સાહેબ (અધિકારી ૧ને) : તમે હમણાં કંઈ સાંભળ્યું?

અધિકારી ૧: તમે સાંભળ્યું, સાહેબ?

સાહેબ: ના.

અધિકારી ૧: બસ તો પછી, સાહેબ. તમે જે ન સાંભળી શકો, એ મેં શી રીતે સાંભળ્યું હોય? મારાથી સંભળાય જ શી રીતે? હું તો રાજ્યનો એટલે કે પક્ષનો એટલે કે આપનો...

ખૂણામાંથી અવાજ: ટૂંકમાં રાજ્યના લોકો સિવાય બધાનો...

(સાહેબ અવાજને અવગણીને ખોંખારો ખાય છે અને કપાળેથી પરસેવો લૂછીને ફરી શરૂ કરે છે. આ વખતે પ્યૂન મૂછમાં હસતો પાણી લાવવાના બહાને બહાર જતો રહે છે)

સાહેબ: તમને ખબર છે, આવું ને આવું ચાલશે તો શું થશે?

અધિકારી ૪: હા, સાહેબ. આપણે ચૂંટણી હારી જઈશું.

અધિકારી ૫: અહીં લોકોના જીવ જાય છે, સ્મશાનમાં ભઠ્ઠીઓ ને લાકડાં ખૂટી પડ્યાં છે ને તમને ચૂંટણીની પડી છે?

ખૂણામાંનો અવાજ: કોણે બોલવાના ડાયલોગ કોણ બોલે છે....

(સાહેબના હાવભાવ પરથી જણાય છે કે તેમણે અવાજ સાંભળ્યો તો છે. પણ તે અકળામણથી અવગણે છે.)

સાહેબ (અધિકારી ૪ને): પરિસ્થિતિ આટલી ગંભીર છે—વાત ચૂંટણીમાં ખરાબ અસર પડવા સુધી આવી ગઈ છે અને તમે લોકો કંઈ કરતા નથી? તમને સમજાતું નથી કે દેશના ભવિષ્યનો સવાલ છે? 

અધિકારી ૪: એવું નથી સાહેબ, અમે થાય એટલું બધું કરીએ છીએ. (એમ કહીને આખા રાજ્યમાં આટલા બેડ છે, આટલો ઓક્સિજન છે, આટલી રેમડેસિવિર છે એવા આંકડા બોલવાના ચાલુ કરે છે.)

સાહેબ : તમે લોકો મને મૂરખ સમજો છો? આ તો કાલે આપણી જાહેરખબરમાં છાપવાના આંકડા છે. 

અધિકારી ૧ : સૉરી સાહેબ. ભૂલથી બીજું કાગળ આવી ગયું હતું. અમારો ઇરાદો તમને ગેરરસ્તે દોરવાનો કે તમારા સવાલનો ઉડાઉ જવાબ ન હતો. રીઅલી સૉરી.

સાહેબ: ઇટ્સ ઑલ રાઇટ. આગળ વધો. બોલો. તમે શું કર્યું?

અધિકારી ૧ : સાહેબ, પેલું રેમડેસિવિરનાં ઇન્જેક્શનવાળું થયું હતું ને? 

સાહેબ (સહેજ ચિઢાઈને) : હા, તે એનું શું છે? એવાં સળગતાં લાકડાં શું કરવા યાદ કરાવો છો?

અધિકારી ૧ : ના સાહેબ. એ જ કહેવા માટે કે એ સળગતું લાકડું કેવું એક જ દિવસમાં ઓલવી નાખ્યું? પછી એના વિશે કોઈએ કંઈ લખ્યું?

સાહેબ: ઠીક છે. પણ આ તો ડૅમેજ કન્ટ્રોલ થયો. પૉઝિટિવ કામ શું કર્યું?

અધિકારી ૨ : હોય સાહેબ? સૂચના મુજબ સોશિયલ મિડીયા પર કેટલા બધા લોકોને પૉઝિટિવ લખવા અને પૉઝિટિવિટી ફેલાવવા લગાડી દીધા છે. બીજા કેટલાકને એવું સોંપી દીધું છે કે તમે મહારાષ્ટ્ર અને બંગાળની, રેલી સિવાયની, વાતો લાવતા રહો. ત્રીજો વર્ગ ‘દેશે તમારા માટે શું કર્યું એ નહીં, તમે દેશ માટે શું કર્યું એ કહો.’—એવું બધું લખીને રોષે ભરાયેલા લોકોને શરમમાં નાખવા કોશિશ કરે છે. તમે કહેતા હો તો ટીકાકારો પર યુએપીએ કે રાજદ્રોહ...?

સાહેબ (પ્રસન્નતા માંડમાંડ ખાળીને) : હમણાં એ રહેવા દો. પછી જોઈશું. અત્યારે આપણે મુખ્ય કામમાં ધ્યાન આપો. 

ખૂણાનો અવાજ: મુખ્ય કામ એટલે મેટ્રો કે કોઈ નવું વિશ્વનું વધુ મોટામાં મોટું સ્ટેડિયમ કે સ્ટેચ્યુ ઑફ કૅલેમિટી કે એવું કંઈ? 

સાહેબ (ગિન્નાઈને, અધિકારી ૧ને) : સૌથી પહેલાં તો, આવતી વખતથી તમે મિટિંગનું સ્થળ બદલી નાખજો. અને બીજો મિટિંગ હૉલ ન હોય તો તે બંધાવી દેજો. આ જગ્યામાં કંઈક લાગે છે. ભૂત-પ્રેત-આત્મા...તમે માનો છો એવું કંઈ?

અધિકારી ૧ : બિલકુલ નહીં સાહેબ. હું તો આત્મામાં કે આત્માના અવાજમાં—કશાયમાં નથી માનતો. 

સાહેબ: વેરી ગુડ. દેશ આવી રીતે વિજ્ઞાનના રસ્તે ચાલશે તો જ આગળ આવશે. 

અધિકારી ૧ : પણ અગાઉના અધિકારી કહેતા હતા કે આ રૂમમાં ઘણાને આત્માનો ખોવાયેલો અવાજ સંભળાય છે.

સાહેબ: છોડો એ વાત. આપણે એટલું કરી દો કે જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, ગામડે ગામડે આપણા કાર્યકરો નીમી દો. 

અધિકારી ૧ : એ લોકોને કોરોના-મૅનેજમૅન્ટ ફાવશે?

સાહેબ : એની કોણ વાત કરે છે? એ લોકો સ્થાનિક લોકોનો ગુસ્સો ઉતરે, એટલે તેમને ફરી આપણી બાજુ વાળી લેશે. એક વાર આવતી ચૂંટણી આપણે જીતી જઈએ તો કોરોના-ફોરોનાને તો જોઈ લઈશું. 

(ગુજરાતમિત્ર, રવિવારની પૂર્તિ, ૨૫-૪-૨૧. લખ્યા તા. ૨૧-૪-૨૧)

Monday, May 03, 2021

સરકારની જવાબદારી કેટલી?

વર્તમાન મહામારીમાં સરકારની ફરજનાં મુખ્યત્વે આટલાં ક્ષેત્રો ગણાય.

૧) આગોતરું આયોજન અને તૈયારી કરવાં. 

૨) આવી મહામારી સંપૂર્ણપણે ટળી ન હોય ત્યાં સુધી નિષ્ણાતોને સાથે રાખવા, તેમની સલાહ સાંભળવી અને રાજકીય અનુકૂળતા પ્રમાણે નહીં, લોકોના હિતમાં જરૂરી હોય તે બધાનો અમલ કરવો. 

૩) વાઇરસ ફરી ત્રાટકે ત્યારે તેનો ફેલાવો ઘટાડવાના પ્રયાસ કરવા. 

૪) મેળાવડા ટાળવા-નિયમો પાળવા-ધાર્મિક લાગણીઓ પંપાળવાની લાલચ ટાળવી-ચૂંટણીઓ પાછી ઠેલવી. 

૫) ટેસ્ટિંગ માટેની શક્ય એટલી વધુ સુવિધા અને ક્ષમતા ઊભાં કરવાં. 

૬) લોકોને સાચી માહિતી અને સાચું માર્ગદર્શન મળી રહે તે માટેનાં ઠેકઠેકાણે કેન્દ્રો, હેલ્પલાઇન, સોશિયલ મિડીયા કે બીજી  ટૅક્નોલોજીની મદદથી સંવાદ સાધવો. 

૭) સરકારે હાથ ઊંચા નથી કરી દીધા, પણ તે લોકોની સાથે છે—અને કેવળ પ્રસિદ્ધિ મેળવવા કે પોતે કેવાં મહાન પગલાં લીધાં તેના દાવા કરવા માટે નહીં, લોકોને વાસ્તવિક રીતે મદદરૂપ થવા માટે—તેનો અહેસાસ કરાવવો.

૮) બીમારોને યોગ્ય સારવાર મળી રહે તે માટેની અસરકારક વ્યવસ્થા ગોઠવવી. 

૯) જરૂરી દવાઓ, ઑક્સિજન અને મૅડિકલ સાધનોની અછત ન સર્જાય અને તે દર્દીઓને મળી રહે તે જોવું. મોટાં શહેરોમાં તે લેવા માટે બહુ દૂર દૂર સુધી ન જવું પડે તેવું ગોઠવવું.

૧૦) તેનાં કાળાં બજાર ન થાય તે જોવું અને શક્ય હોય તો દર્દીને તે રાહત ભાવે આપવા પ્રયત્ન કરવો.

૧૧) આટલી મોટી આફતમાં પહોંચી વળવા માટે શક્ય એટલી સંસ્થાઓ-સંગઠનો-લોકોને જોતરવા પ્રયાસ કરવો. એ માટે પોતાનો અહંકાર બાજુ પર મુકવો અને વિચારધારાના વિરોધી હોય તેમની પણ મદદ માગવી.

૧૨) જૂઠાણાં ફેલાવવાં નહીં. ગૌરવ લેવાના અને પ્રસિદ્ધિ ખાટવાના ઉધામા થોડા સમય માટે બંધ કરવા.  દરેક બાબતને વડાપ્રધાન-મુખ્ય મંત્રીના જયજયકારમાં ઝબકોળીને રજૂ કરવી નહીં.
***

આ યાદી હજુ ઘણી લંબાઈ શકે. તેમાં પેટામુદ્દા ઉમેરી શકાય. પરંતુ સરકારની કામગીરીના વ્યાપનો અંદાજ આપવા માટે આટલું પૂરતું છે. 

કોઈ પણ સરકાર આટલું કરે ત્યાં સુધી એ કશી ધાડ નથી મારતી. આ બધું તેની ફરજમાં આવે છે. સરકાર પ્રત્યે ભક્તિભાવ ન હોય એવી કોઈ પણ વ્યક્તિને સમજાઈ જશે કે ઉપરની લગભગ તમામ બાબતોમાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. 

ફક્ત બે જ ઉદાહરણઃ એક મહિના પછી પણ હજુ રેમડેસિવિરનાં ઇન્જેક્શન સહેલાઈથી મળતાં થયાં નથી અને હજુ પણ ઑક્સિજનના અભાવે લોકો મૃત્યુ પામે છે. 

***

સરકારી તંત્રમાં થયેલો વ્યક્તિગત સારો અનુભવ કોઈ શૅર કરે કે તે બાબતનો આનંદ કરે, તે સરકારની ભક્તિ નથી. પરંતુ એ વ્યક્તિ પોતાના અનુભવનું સામાન્યીકરણ કરીને, સરકારની એકંદર કામગીરીને બિરદાવવા બેસી જાય ત્યારે તે ભક્તિ બની જાય છે. કારણ કે, તેમાં બીજા અસંખ્ય લોકોની પીડા-વેદના-સ્વજનમૃત્યુની કારમી વાસ્તવિકતાનો ઇન્કાર કે અસ્વીકાર થાય છે.  

ઉપરની યાદીમાંથી સરકાર કશુંક, થોડુંઘણું કરે કે તરત તેનાં ગીતડાં ગાવા બેસી જવું કે પછી સરકારનું ઉપરાણું તાણીને ‘ઓચિંતી આફત આવે તો સરકાર પણ બિચારી શું કરે’—એમ કહેવું, એ ભક્તિનો પોઝિટિવ ટેસ્ટ છે. સરકારની મુશ્કેલી સમજવા માટે પારાવાર ઉત્સુક અને સરકારના ટીકાકારોને ઉપદેશ આપવા તલપાપડ લોકો પોતાની જાતને 'તટસ્થ', 'પોઝિટિવ', ‘બંને બાજુનું જોનાર’ કે બીજું જે ગણતા હોય તે, પણ સાદા શબ્દોમાં તે ભક્તિમાર્ગી ગણાય. સામાન્ય રીતે આ માર્ગે કોઈ ભૂલથી ચઢતું નથી. છતાં, જેને એવું લાગતું હોય કે ભૂલથી કુંડાળામાં પગ પડી ગયો, તેમના માટે પાછા ફરવાનો સહેલો રસ્તો છેઃ સરકારની ટીકાને બદલે નાગરિકોની મુશ્કેલીઓ અંગે વધુ જીવ બાળવો-વધુ દુઃખી થવું.

જે ભક્તો કહેતા હોય કે 'અણધારી આફત આવી પડી, તેમાં સરકાર શું કરે' અને 'આવી તો કોઈને કલ્પના પણ નહીં' તેમને અહીં આપેલી લિન્ક અથવા ગુગલ પર શોધીને એ પ્રકારની બીજી લિન્ક આપવી. તેમાં ચોખ્ખું લખ્યું છે કે  નવેમ્બર 2020માં સંસદીય સમિતિએ કેવી ચિંતા કરી હતી અને  ઑક્સિજનના ઉત્પાદન અંગે પણ કેવી ભલામણ કરી હતી. શોધતાં આવા બીજા પણ ઘણા પુરાવા મળશે.

https://www.newindianexpress.com/nation/2021/apr/24/covid-19-parliamentary-panel-asked-govt-in-november-last-to-augment-oxygen-production-cap-price-2294406.html 

ઑક્સિજનના ઉત્પાદન અંગેની તૈયારીમાં સરકારી ગેરવહીવટ કેવો હતો તેનો ખ્યાલ આપતી આ લિન્ક પણ સાથે આપી શકાય.

https://www.barandbench.com/columns/10-things-to-know-about-oxygen-regulation-in-india

***

વાઇરસનો ચેપ આટલો વકર્યો તેના માટે લોકોની બેદરકારી બેશક એક મોટું પરિબળ છે. સાથોસાથ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી માંડીને નેતાઓની ફાંકાફોજદારી સુધી સરકાર પક્ષે લોકોને કયો સંદેશો આપ્યો છે? વડપ્રધાન લાખ-લાખ માણસની રેલીઓ કાઢતા હોય, રાજ્યના પક્ષપ્રમુખ માસ્ક વગર દાદા થઈને ફરતા હોય...

તેમ છતાં, બે ખોટાનો સામસામો છેદ નથી ઉડાડી શકાતો. લોકોની ભૂલ છે તે છે જ. પરંતુ તે વાઇરસનો ચેપ ફેલાવાના તબક્કા સુધી. (ઉપરની યાદીમાં તબક્કો ૩ અને ૪)  એ સિવાયના બધા જ તબક્કામાં લોકો નથી આવતા. એટલે, જવાબદારીનો આળિયોગાળિયો લોકોના માથે નાખીને સરકારને બેકસૂર ઠરાવવાની અથવા સરકારનો દોષ ઓછો કરવાની ભરમાવું નહીં. 

**

આ ઉપરાંત બીજા બે જવાબદારો છેઃ અફસરશાહી  અને નફાખોરો-કાળાં બજારિયા-કૌભાંડીઓ-સંઘરાખોરો. બીજો વર્ગ મહદ્ અંશે સામજિક દૂષણ છે. તેમાં કોઈ સત્તાધીશની સામેલગીરી ન હોય તો તે સરકારનો દોષ નથી. 

બાકી રહી અફસરશાહી. કોરોના જેવી પરિસ્થિતિમાં અફસરો શું કરી શકે? સરકારને ઢંઢોળી શકે, આગોતરું આયોજન કરી શકે, તેને અણગમતી વાસ્તવિકતા બતાવી શકે, તેનો મુકાબલો કરવાનું આયોજન રજૂ કરી શકે, તેમાં આવતી અડચણોના પોતાની આવડતથી ઉકેલ કાઢી શકે, આયોજનને અમલી બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે. આઇ.એ.એસ. થયેલા લોકોની આવડત ધ્યાનમાં રાખતાં, તેમની પાસેથી આટલી અપેક્ષા રાખવાનું જરાય વધુ પડતું નથી.

તેમણે કમ સે કમ શું ન કરવું જોઈએ? સરકારને છાવરવી ન જોઈએ, તેના વતી જૂઠું ન બોલવું જોઈએ, તેના ઇમેજ મૅનેજમૅન્ટ અને હેડલાઇન મૅનેજમૅન્ટની લોકવિરોધી કામગીરી કરવી ન જોઈએ. ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા અહીં લખવાની જરૂર નથી. એ તો કાયમી છે.

બીજા વેવના ખતરનાક સ્વરૂપના એક મહિના પછી પણ જે ભયંકર સ્થિતિ છે, તે ધ્યાનમાં રાખતાં કરવા જેવાં કામમાંથી બહુ ઓછાં થઈ શક્યાં હશે, એવું સહેજે માની શકાય. અફસરોનાં સારાં કામનો જશ સરકાર લે છે-તે પોતાની દેખરેખ-સૂચના-આગેવાની તળે થયેલાં ગણાવે છે. માટે જે કંઈ ન થયું તેની નિષ્ફળતાનો અપજશ પણ સરકારનો જ ગણાય. 

મોટા ભાગના અફસરો નેતાઓની મરજીથી ઉપરવટ જઈને કંઈ કરતા નથી અથવા કરી શકતા નથી. એટલા માટે પણ અફસરશાહીના અપજશની સંપૂર્ણ જવાબદારી સરકારની ગણાય. એને બદલે સરકાર 'સિસ્ટમ' કહેતાં અફસરશાહીના માથે દોષનો ટોપલો ઢોળીને પોતે સાફ છટકી જવાની ફિરાકમાં રહે છે.
***

જાહેર-ખાનગી, સેવાભાવી-વ્યાવસાયિક, એમ હોસ્પિટલના તમામ પ્રકારના સ્ટાફથી માંડીને સ્વૈચ્છિક પ્રયત્નો દ્વારા દર્દીઓને મદદરૂપ થનારા તબીબી કર્મીઓ પોતપોતાની આવડત અને મર્યાદા પ્રમાણે કામ કરતા રહ્યા છે. બધાં માણસ સરખાં ન હોય—અને ખાસ કરીને આવા સંજોગોમાં ભલભલાની કસોટી થઈ જાય. તેમ છતાં જે કંઈ થઈ શક્યું તેમાં તબીબી સેવાકર્મીઓની કામગીરીનો મોટો ફાળો છે. આવા કપરા સંજોગોમાં કામ કરનારાં સૌ કોઈ તબીબી કર્મીઓને સલામ.

Monday, April 26, 2021

સાહેબના બચાવની છેલ્લી છેલ્લી દલીલો

નરેન્દ્ર મોદીના તમામ સમર્થકો ખડી પડે એવા, નાગરિકો માટે કરુણ અને અરાજકતાભર્યા માહોલમાં, કેટલાક ભક્તોની ભક્તિ હજુ અવિચળ તપે છે. તે એક યા બીજી રીતે નરેન્દ્ર મોદીના-કેન્દ્ર સરકારના-ગુજરાતની રાજ્ય સરકારના બચાવમાં-પ્રશંસામાં લખ્યા કરે છે. તેમની ભક્તિપૂર્ણ દલીલો સામે અસલિયત મુકતાં પહેલાં નરેન્દ્ર મોદીના ભક્તો અને તેમના ટીકાકારો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજી લેવો જરૂરી છે.
***
ભક્તો નરેન્દ્ર મોદીની ભક્તિની બાબતમાં એક જ પ્રકારની લાગણીથી દોરવાતા હોય છે. એક સમયે મોદી-સમર્થકોમાં પણ જુદા જુદા પ્રકાર હતા. જેમ કે, ડાબેરીઓના વિરોધી, કોંગ્રેસના વિરોધી, ગાંધી-નહેરુના વિરોધી, મુસલમાનોના વિરોધી… ઘણાખરાનો વિરોધ ધિક્કારની કક્ષાનો હતો. પરંતુ આટલા વખતમાં ધ્રુવીકરણનું વલોણું એવું ફર્યું છે કે મોદીના બધા સમર્થકો એકરસ (સમરસ) થઈ ગયા છે. તેમની વચ્ચેના ભેદ મટી ગયા છે. તે મહદ્ અંશે એક જ પ્રકારની ચાવીથી, એક જ ચીલે હંકાનારા અથવા હંકારનારા થઈ ગયાં છે.

બીજી તરફ છે નરેન્દ્ર મોદીના ટીકાકારો. તેમનામાં હજુ પણ અનેક પ્રકાર છે. કોંગ્રેસી, ડાબેરી, ‘આપ’વાળા, ગાંધીવાદી, આંબેડકરવાદી, મધ્યમ માર્ગી, મોદીમોહમાંથી નિર્ભ્રાંત થયેલા, નાગરિક ભૂમિકાએ રહીને ટીકા કરનારા…હજુ બીજા હશે. દેખીતું છે કે આટલા બધા જુદા જુદા વિચારવાળા લોકોને એક રીમોટ કન્ટ્રોલથી ન હંકારી શકાય. ધ્રુવીકરણનું વલોણું ફરતું રહ્યું તેમ ભક્તોની તીવ્રતાની સાથે મોદીવિરોધીઓની તીવ્રતા બેશક વધી છે. ઘણી વાર તેમાં અસ્વસ્થતા અને આત્યંતિકતા પણ ભળી જાય છે. છતાં, તેમનો કોઈ એક સમુહ નથી, જેને સાયબર સેલની માફક કે આર.એસ.એસ.ની માફક એકજથ્થે મેદાનમાં ઉતારી શકાય. તેમાંથી ઘણા બધા તો મોદીવિરોધ સિવાયની સારી એવી બાબતોમાં એકબીજાના ટીકાકાર કે વિરોધી પણ હોઈ શકે છે. પરંતુ મોદીભક્તો એવો પ્રચાર કરે છે કે મોદીનો વિરોધ કરનારા બધા એકરૂપ-એકજૂથ છે.
***
દેશ માટે સર્જાયેલી અભૂતપૂર્વ કરુણતાના માહોલમાં વડાપ્રધાન મોદીની અને તેમની સરકારની જવાબદારી એટલી સીધી છે કે તેમના ભક્તોને કદાચ પહેલી વાર તેમનું કામ અઘરું લાગી રહ્યું છે. પહેલી વાર તે આક્રમણને બદલે મોટા પાયે બચાવની, મૌનની કે કામચલાઉ સ્વીકારની ભૂમિકામાં જોવા મળે છે.

મોદી અને તેમની સરકારની જવાબદારી અંગ્રેજીમાં જેને ‘કમિશન એન્ડ ઓમિશન’ કહે છે, એવી બંને પ્રકારની છે. એટલે કે, તેમણે જે કર્યું છે—ફાંકાફોજદારી, ઇમેજ મૅનેજમૅન્ટ, ચૂંટણી રેલીઓ, ક્રિકેટ મેચ, કુંભમેળો, કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન વગેરે—
અને જે નથી કર્યું—કોરોના તરફથી એક વારની ચેતવણી મળ્યા પછી કરવી જોઈતી તૈયારીઓ, આફત આવ્યા પછી બધું લક્ષ્ય તેના ઉકેલમાં પરોવવાની સન્નિષ્ઠતા, ભૂલોનો સ્વીકાર કરીને તેમાંથી શીખવાની-સુધરવાની તત્પરતા વગેરે—

આ બંને બાબતો વર્તમાન કરુણ પરિસ્થિતિના અને અરાજકતાના સર્જનમાં મોટા પાયે જવાબદાર છે. લોકોની બેદરકારીનો મુદ્દો ચોક્કસપણે છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં. પરંતુ લોકોની બેદરકારી તળે સર્વસત્તાધીશ સરકારની આગવી બેદરકારી કોઈ રીતે સંતાડી શકાય એમ નથી.
***
એટલે છેલ્લા ઉપાય તરીકે, બધું ભૂલાવી દેનારું કશુંક મોટું ગતકડું ન મળે ત્યાં સુધી, કપરો સમય કાઢવા માટે ભક્તો અવનવી દલીલો રજૂ કરી રહ્યા છે. તેમની સાથે સંવાદ કે ચર્ચાની કોઈ ભૂમિકા જ બનતી નથી. એટલે ચર્ચાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ અનુમાન નથી, ભૂતકાળના અનેક પ્રયાસોની નિષ્ફળતામાંથી મળેલો બોધપાઠ છે.

પરંતુ સોશિયલ મિડીયા પર હજુ પણ સાહેબની તરફેણમાં અવનવી દલીલો રજૂ થઈ રહી છે. ઢચુપચુ માનસિકતા ધરાવતા લોકોને તેમ જ ન્યાયના ભોગે ‘તટસ્થ’ દેખાવાના શોખ ધરાવતા લોકોને ખેંચવાનો અથવા કમ સે કમ વિમુખ થતા અટકાવવાનો તેમનો પ્રયાસ છે. આવી દલીલ કરનારા સાથે ગંભીર ચર્ચામાં ઉતરવું એ સમયનો સંપૂર્ણપણે બગાડ છે. પરંતુ તેમની દલીલો વાંચીને મનમાં જરા જેટલી પણ અવઢવ જાગે નહીં એટલા પૂરતી, એ દલીલો વિશે પ્રાથમિક ટિપ્પણીઓ. આવા કપરા સમયે ભક્તો કેવી કેવી દલીલો કરતા હતા તેના દસ્તાવેજીકરણ તરીકે પણ એ ભવિષ્યમાં ખપ લાગશે.
***

૧. ‘આમાં નરેન્દ્ર મોદી શું કરે? આ તો સિસ્ટમની નિષ્ફળતા છે.’
સાહેબે પોતાના જયજયકાર, વિરોધીઓ વિશેનાં જૂઠાણાંના પ્રચાર, ચૂંટણીઓની જીત અને ખરીદવેચાણ સિવાય બીજી કેટલી સિસ્ટમ દેશમાં ધબકતી રાખી છે? ઘણીખરી સિસ્ટમોને પંગુ બનાવીને સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ કરી નાખ્યું. બધાં સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં અને હવે અચાનક સિસ્ટમ ક્યાંથી આવી ગઈ? અને સિસ્ટમ સરકારના કાબૂની બહાર હોય તો પછી સરકાર થઈને શાના ફરે છે?

૨. ‘દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, મોદી મહાન યુદ્ધ લડી રહ્યા છે. આ કપરી ઘડીમાં અમે એમની સાથે છીએ. જય હિંદ.’

દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં વડાપ્રધાન અને તેમની સરકારના મહાન પ્રદાન વિશે તો કંઈક કહો. ભરકોરોનાએ બંગાળમાં સભાઓ પર સભાઓ ગજવતા, તક મળ્યે સુફિયાણી ભાષણબાજીમાં સરી જતા સાહેબ માટે પોતાની ઇમેજ સિવાય બીજું કોઈ યુદ્ધ મહાન નથી. આટલી સાદી સમજ કોઈ નહીં આપી શકે. એ તો જાતે જ ઉગાડવી પડશે. આ કપરી ઘડીમાં કાં પેઇડ હોય કાં સામે ઊભેલો હાથી નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય, તે જ આવી કરપીણ રીતે કાલી જાહેરાત કરી શકે. અત્યારે તેમની સાથે હોવાનું એનું ગુજરાતી એટલું જ થાય કે તેમના ઇમેજ મૅનેજમૅન્ટમા તેમની સાથે છો અને લોકોની દુર્દશાથી નહીં, તેમની ઇમેજને પડતા ઘસરકાથી તમને વધારે અકળામણ થાય છે. જય હિંદ બોલવાથી વ્યક્તિભક્તિ દેશપ્રેમ નથી બની જતી.

૩. ‘તમારે તો બેઠાં બેઠાં ટીકા કરવી છે. કામ કરો તો ખબર પડે.’
અચ્છા? તો દુનિયાભરની એકહથ્થુ સત્તા ગજવામાં ઘાલીને ફરતી સરકાર રાજીનામું આપી દે, જે જે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ગળાં દબાવ્યાં છે એ બધાને મુક્ત રીતે શ્વાસ લેવા દે અને બધી રાજકીય ગણતરીઓ છોડી દે. પછી જુઓ, લોકો કામ ઉપાડી લે છે કે નહીં. પણ સત્તા જરાય છોડવી નથી. લોકોને અંતિમ સંસ્કાર માટે લાકડાં મળતાં નથી ત્યારે કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરવાના અભરખા હજુ જતા નથી. અને બીજાને કામ કરવાની શીખામણ આપતાં શરમ નથી આવતી?

૪. 'કોંગ્રેસનું રાજ હોત તો આથી પણ ખરાબ સ્થિતિ હોત.'
આ દેશે આનાથી વધારે ખરાબ સ્થિતિ ક્યારેય જોઈ નથી, એવું ઘણી હદે નરેન્દ્ર મોદીના ‘શાણા’ સમર્થક મનાતા શેખર ગુપ્તાએ ગઈ કાલે લખ્યું, ત્યારે અનુપમ ખેર ‘આયેગા તો મોદી હી’ લખીને પોતાની અસલિયત વધુ એક વાર બતાવી ગયા. સાહેબોએ લોકશાહીનાં અનેક સત્તાકેન્દ્રોને, નાગરિક સંગઠનોને, સ્વૈચ્છિક સંસ્થાઓને નષ્ટ કર્યાં અથવા ભક્ત બનાવ્યાં અને પોતાના સિવાય કોઈ રહે જ નહીં, એવી આપખુદશાહી તરફ દેશને લઈ ગયા, તેનું આ પરિણામ છે. એટલે બીજું કોઈ હોત તો આનાથી ખરાબ સ્થિતિ હોત એવી દલીલ અસ્થાને જ નહીં, ખોટી છે. આટઆટલું થયા પછી પોતાની ઇમેજને જ્યાં પહેલા ક્રમે મુકવામાં આવતી હોય, એનાથી વધારે ખરાબ સ્થિતિ દેશના નાગરિકો માટે શી હોવાની?

૫. 'બધી ટીકા સાચી, પણ બીજું છે કોણ? વિપક્ષો પણ નિષ્ફળ ગયા છે.'
રાજકારણમાં વિકલ્પો રેડીમેડ નથી આવતા. સંજોગો વિકલ્પ ઊભા કરે છે. વિપક્ષોમાંથી સભ્યો ખરીદ કરવાના, વિરોધીઓને યેનકેનપ્રકારેણ દબાવવાના અને પછી ભોળા થઈને કહેવાનું કે બીજું છે કોણ? એક વાર ગાળીયો છૂટો તો કરો. બહુ બધા આઝાદ થશે ને વિકલ્પો ઊભા થશે. અને વિપક્ષોની નિષ્ફળતાની વાત સાચી હોવા છતાં સરકારની નિષ્ફળતા સામે તેનું કશું વજૂદ નથી. આટલા પ્રચંડ મિસમૅનેજમૅન્ટ પછી અને વ્યક્તિગત વેદના-સ્નેહીસ્વજનોની વિદાય વેઠ્યા પછી પણ, ‘આ તો ન જ જોઈએ’—એટલી લાગણી મનમાં ન જાગતી હોય તો તમે પણ એમના સાગરીત જ છો. પછી કાલા થઈને ફરિયાદ કરવા ન બેસશો.
 
૬. ‘હા, ખોટુ થયું છે, પણ વિરોધીઓ ઉછળી ઉછળીને રાજી થઈ રહ્યા છે.’
કેટલાંય સ્વજનો-સગાં-સ્નેહીઓ-અડોશીપડોશીઓ પીડાય છે. તેનાં રોષ-પીડા-વેદના-ત્રાસમાં રાજી થવા કોણ નવરું છે? પણ બહુ ફુલાવેલો રંગીન ફુગ્ગો ફુટી ગયો એ તો માણસ કહે કે ન કહે? અને તે એક વાર નહીં, તેને મનમાં ઉભરો થાય એટલી વાર કહેશે અને ફુગ્ગો ફૂટ્યો એનો હાશકારો પણ વ્યક્ત કરશે. એનાથી બીજી બધી બાબતોનો શોક મટી જતો નથી. પણ એ લોકોના હાશકારાથી તમને આટલી તકલીફ કેમ પડે છે?

૭. ‘બધી વાત સાચી, પણ અત્યારે સરકારની ટીકા કરવાનું ટાણું નથી. અત્યારે આ સમય કાઢી નાખીએ. ટીકા પછી કરીશું.’
વર્તમાન કટોકટીમાં કોઈ પણ રીતે મદદરૂપ થવું એનો અર્થ એવો હરગીઝ નથી કે સરકારની ટીકા ન કરવી. એ બંને સાથે થઈ જ શકે છે. પણ સરકારની ટીકાથી લ્હાય અનુભવતા ભક્તો આખી વાતને એ રીતે રજૂ કરે છે, જાણે આ બંનેમાંથી એક જ બાબત શક્ય હોય.
કોઈક વળી ‘બધો રોષ ચૂંટણીમાં ઠાલવજો’ એવું સૂચવવા પણ ઇચ્છતું હોય. છતાં આપણી માનસિકતામાં ‘પછી’નું ગુજરાતી થાય છે ‘ક્યારેય નહીં’. અને સરકારની ટીકા અત્યારે ચાલુ વર્તમાનકાળમાં, ચોતરફ હાલાકી છે ત્યારે જો કરવાની ના પડાતી હોય, તો બધું સામાન્ય થઈ ગયા પછી આ જ લોકો એમ નહીં કહે કે ‘ગઈગુજરી ભૂલી જાવ?’ ત્યારે એ લોકોને ભૂતકાળની હાલાકી યાદ કરાવીને તેમનો રોષ જગાડવામાં-લોકશાહી ઢબે રોષ ઠાલવવામાં મદદરૂપ થવાના છે? માટે, સરકારની ટીકા કરવાની ના પાડે, એવી કોઈ પણ સલાહને શંકાની નજરે જોવી. એ માટેનાં પૂરતાં કારણ છે.

Saturday, April 24, 2021

નરેન્દ્ર મોદીની ટીકાઃ વર્તમાન અને ભવિષ્ય

હમણાંથી મનમાં થોડાંઘણાં રોજિદાં કામકાજ-દિનચર્યા અને એટલી જ રોજિંદી બનેલી કરુણતા ઉપરાંત બીજા જે કેટલાક ટ્રેક ચાલે છે, તેમાંનો એક નરેન્દ્ર મોદી વિશે ટીકા કરતા થયેલા લોકો વિશેનો પણ છે.

દરેક વ્યક્તિને બદલાતી સમજ પ્રમાણે તેના વિચાર બદલવાનો અધિકાર છે. માણસ જેમ સમજણો થાય તેમ તેની માન્યતાઓ, માનસિકતા, દૃષ્ટિબિંદુ અને ઉપલબ્ધ માહિતીમાં ફેરફાર થઈ શકે. જીવનને તે નજીકથી જુએ. કદાચ થોડું વધારે સમજે અને દૃષ્ટિ વિસ્તરે, તો વિચાર સારી રીતે બદલાઈ શકે. કોઈ કાળે કદાચ ગાંધીજી બકવાસ લાગતા હોય ને નથુરામ ગોડસે મહાન લાગતો હોય. પછી ઇતિહાસની બધી આંટીઘૂંટીઓ બાજુ પર રાખીને, પ્રેમ અને ધિક્કાર વચ્ચેનો પાયાનો ભેદ સમજાતો થાય, તો ખ્યાલ આવે કે ગાંધીજી ભગવાન નથી, પણ ગોડસે કોઈ રીતે મહાન નથી.

બધી વખતે સમજના અભાવનો સવાલ ન પણ હોય. સમજ ઘણી વાર સ્થાપિત હિતની ગણતરીઓમાં, પૂર્વગ્રહોમાં, ધિક્કારમાં કે ડાબેરી-જમણેરી વિચારધારાઓમાં કેદ થઈ ગઈ હોય. એવી સ્થિતિમાં માણસ મોટો તો થાય, પણ સમજણો ધરાર ન થાય અથવા તેને ગોડસેમહિમા પ્રકારની વૃત્તિ-પ્રવૃત્તિઓમાં જ પોતાની ‘સમજ’નું માહત્મ્ય ને સાર્થક્ય લાગે.
***

બીજા પ્રકારમાં, માણસ નરેન્દ્ર મોદી પ્રત્યે ભાવ ધરાવતો હોય. પછી ધીમે ધીમે અસલિયત સમજાતી જાય, તેમ તેનો પ્રેમ ઓસરે. પ્રગટ ટીકાકાર ન બને, તો પણ તે પ્રેમી ન રહે. કોરોના લેવલની નિષ્ફળતા પછી તે પ્રગટ ટીકાકાર પણ બની શકે. ત્યાર પછી તે પાછળ જુએ તો તેને પોતાને સમજાય કે નરેન્દ્ર મોદીએ દરેક તબક્કે, દરેક પગથીયે પોતે શું છે તે જણાવ્યુ્ં જ હતું—અસલિયત છુપાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ (જેમ કે, સદ્‌ભાવના ઉપવાસ) અને ઘણું ખરું તો, એવો કોઈ પ્રયાસ ન કર્યો ત્યારે પણ.

સવાલ જોનારનો હતો. ત્યારે એ ન જોઈ શકવા બદલ માણસને અફસોસ થઈ શકે. તેને સમજાય કે કોંગ્રેસનો કે ડાબેરી આત્યંતિકતાનો (એ અલગ બાબતો છે) વાજબી વિરોધ કરતાં કરતાં ક્યારે ધિક્કારકેન્દ્રી અને વ્યક્તિપૂજાકેન્દ્રી પ્રવાહમાં તણાઈ જવાયું તેનો ખ્યાલ જ ન રહ્યો. વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોરનારા લોકો તો હતા. તેમાંથી કેટલાકનાં સ્થાપિત હિત હશે-કોંગ્રેસ પ્રત્યેની રાજકીય વફાદારી હશે, તો કેટલાક આવી કોઈ ગણતરી વગર પણ સાચી વાત કરતા હશે. છતાં આપણે નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર બધાને કોંગ્રેસી, હિંદુવિરોધી વગેરે ગણીને ઉતારી પાડ્યા. ધિક્કારમોહની કે વ્યક્તિમોહની કે બંને પટ્ટી ઉતારીને, જાતે જોવા-વિચારવાનું ન સૂઝ્યું કે ન ફાવ્યું. હવે એ બરાબર દેખાય છે- સમજાય છે.

આ પ્રકારના વિચાર પરિવર્તન માટે હાલમાં ૧૮ વર્ષથી ૨૮-૩૦ વર્ષના હોય એવા લોકો સૌથી લાયક ગણાય. કારણ કે તેમનો જન્મ/ઉછેર મોદીરાજમાં જ થયો. તે સિવાયની દુનિયા જોતાં-સમજતાં તેમને વાર લાગી શકે. પછી ખુલ્લી આંખે-ખુલ્લા મને જોતાં બધું સમજાવા લાગ્યું હોય. ૧૮-૩૦ના વયજૂથમાં જેમનું આવી રીતે વિચાર પરિવર્તન થયું હોય અને મોદીની નીતિરીતિઓના ટીકાકાર બન્યા હોય તે સૌને અભિનંદન—જાતે વિચાર કરતા અને સાચાખોટાની પરખ કરત થયા એ બદલ. એ વિચારશક્તિ બીજા પક્ષના શાસકો માટે અને એ સિવાય જીવનમાં પણ કામ લાગશે.
***
૨૦૦૨માં જે લોકો ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય (અત્યારે લગભગ ૩૫ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના), એ લોકોનું કોરોનાઈ મિસમૅનેજમૅન્ટ પછી વિચાર પરિવર્તન થાય અને તે મોદીના ટીકાકાર બને તો તેમણે જાતે વિચારવું રહ્યું કે હમણાં સુધી તે કયાં કારણોસર નરેન્દ્ર મોદીના ચાહક, સમર્થક, પ્રેમી કે ભક્ત હતા? એ માટે તેમના મનમાં ઉગી શકે એવાં કેટલાંક સંભવિત કારણો અને તેના આધારે આવા ટીકાકારોના ભવિષ્યના વલણનું અનુમાન.

સંભાવના ૧: ‘તેમણે મુસલમાનોને સીધા દોર કરી દીધા. આપણે તો બૉસ આવો જ માણસ જોઈતો હતો. હિંદુઓનો ઉદ્ધારક.’
ભવિષ્યની સંભાવનાઃ આ પ્રકારે વિચારનારા લોકો અત્યારે ટાઢા પડેલા હશે અથવા કદાચ ટીકા કરતા હશે. પણ એક વાર સ્થિતિ સામાન્ય થઈ જશે, એટલે તે ફરી મોદીભક્તિમાં જોડાઈ જશે. મોદીની નોટબંધી સહિતની અનેક અરાજકતાઓને તેમણે ભૂલાવી દીધી, તેમ આને પણ ભૂલાવી દેશે. મોદીપ્રેમના તેમના પ્રબળ કારણમાં ચાલુ અરાજકતાથી પડેલું ગાબડું કામચલાઉ જ નીવડશે.

સંભાવના ૨: ‘કાંકરિયા લેકફ્રન્ટ, રીવરફ્રન્ટ, બીઆરટીએસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મૅટ્રો, સૅન્ટ્રલ વિસ્ટા...આપણે તો આવો વિકાસપ્રેમી માણસ જોઈએ...અને હા, કૌંસમાં પેલું મુસલમાનોવાળું તો ખરું જ.’

ભવિષ્યની સંભાવનાઃ આ રીતે વિચારનારાના મનમાં લોકોને શાની વધારે જરૂર છે, શાની હમણાં જરૂર નથી ને શાના વિના સદંતર ચાલી શકે એમ છે, એ વિશેની સમજની ભારે ગડબડ છે. તેમને વડાપ્રધાનના ‘વૅનિટી પ્રોજેક્ટ’ (તેમનો જયજયકાર થાય એવા પ્રોજેક્ટ) અને ઘણાખરા દેશવાસીઓની જરૂરિયાત વચ્ચેનો તફાવત બહુ સમજાતો નથી. ઝાકઝમાળ, ચમકદમક અને ભવ્યતાથી તે અંજાઈ જાય છે. એ અંજામણીમાં તેમનું ખિસ્સું કાપીને કોઈ તેમના લોકશાહી અધિકારો લઈ જાય તો પણ તેમને ખબર પડતી નથી કે ખબર પડે તો બહુ વાંધો પડતો નથી. અત્યારની મહાઅરાજકતા પછી તેમની પ્રાથમિકતાઓની સમજમાં ફરક પડ્યો હોય અને એ ફરક સ્મશાનવૈરાગ્ય જેવો બની રહેવાને બદલે તેમના મનમાં ઠરે, તો અર્થ સરે. બાકી, તે પણ ભક્તિમાં પાછા ફરી જશે.

આવું લખવામાં કોઈ કડવાશ નહીં, વ્યાપક માનસિકતાનું બયાન છે. અદાલતે જેને બળાત્કારના આરોપમાં દોષી ઠરાવીને સજા ફટકારી, એવા જેલગ્રસ્ત આશારામને અનુયાયીઓ મળી રહેતા હોય ને તેમના જૂના અનુયાયી ખડતા ન હોય, તો પછી અહીં તો એકહથ્થુ રાજ્યસત્તા અને વડાપ્રધાનનો હોદ્દો ધરાવતા નરેન્દ્ર મોદી છે. 

સંભાવના ૩: ‘આપણે તો ભાઈ, ધંધાદારી છીએ. લોકલાગણીના પૂરમાં નાવ હંકારવાની છે ને આપણા વાવટા ફરકાવવાના છે. પૂર મોદીતરફી, તો આપણે એ તરફ. આપણે તો ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ, ચિંતનાત્મક, પોઝિટિવ, હકારાત્મક દુકાનનો સવાલ છે. મોદીજી તો શું, તેમના અનુચરના અનુચરની પણ બાંય પકડી લઈએ ને તેની આરતી ઉતારી લઈએ. અત્યારે જુવાળ મોદીવિરોધી છે? તો આપણે તેમના ટીકાકાર...મોદીજી પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ વિચારે છે? તો આપણે પણ આપણા સ્વાર્થ સિવાય નીતિ-અનીતિ જેવું કંઈ શા માટે વિચારીએ?’ 

ભવિષ્યની સંભાવનાઃ લોકલાગણીનો પ્રવાહ મોટા પાયે અને લાંબા સમય સુધી મોદીવિરોધી રહેશે, તો આ લોકોનો મોદીવિરોધ ટકી રહેશે. કારણ કે તેમની મોદીભક્તિમાં પણ મુખ્ય કારણ સત્તાધીશની ચાપલૂસીનું ને લોકપ્રવાહ સાથે વહેતા રહેવાનું હતું. અલબત્ત, તેમની માનસિકતામાં પહેલું કે બીજું કારણ પણ અંશતઃ જવાબદાર હોઈ શકે, જે તેમનું મોદી માટેનું ખેંચાણ ઘણી હદે જળવાયેલું રાખે.

સંભાવના ૪: ‘અમને એમ હતું કે દેશના અર્થતંત્રનો ઉદ્ધાર/સરહદો પર છાકો/આતંકવાદ-નક્સલવાદનો ખાત્મો/ઢીલુંપોચું નહીં, પણ નિર્ણાયક નેતૃત્વ મોદી જ આપી શકશે.’  

ભવિષ્યની સંભાવનાઃ નિર્ણાયક નેતૃત્વ કહેતાં સરમુખત્યારી માનસિકતા મળી અને તે પણ લગભગ બધા મોરચે નિષ્ફળ નીવડી, એવો અહેસાસ તેમને થયો? એ ન થયો હોય અને ફક્ત કોરોના સમયની અરાજકતાથી જ તે દુઃખી થયા હોય, તો તેમની પણ ભક્તિમાર્ગે પાછા વળી જવાની શક્યતા વધારે. 

સંભાવના ૫: ‘ધીમે ધીમે સમજાવા તો લાગ્યું હતું કે દાવા કરતાં બધું બહુ જુદું છે. પછી તો એ પણ સમજાવા લાગ્યું કે આમાં તો નકરાં ભોપાળાં છે. પણ અમે એટલા આગળ વધી ગયા હતા કે પાછા શી રીતે ફરવું? પોકળતાનો અહેસાસ થઈ ગયા પછી પણ, પાછા ફરવા માટે એક મોટા આંચકાની જરૂર હતી. તે આ મળ્યો.’

ભવિષ્યની સંભાવનાઃ આવું જેમને થયું હશે તે મોદીની નીતિરીતિઓના ટીકાકાર તરીકે ટકી રહેશે. ફક્ત મોદી પર જ નહીં, કોઈની પણ ઉપર નહીં મોહાવાનું તે શીખી શકે તો ઉત્તમ. કારણ કે, સરકાર ગમે તે હોય, તેને માથે ન ચડાવાય, ઉદ્ધારક તરીકે ન સ્થપાય. એવું કરીએ તો શું થાય એ કમ સે કમ અત્યારે તો કહેવાની જરૂર નથી.
***

આ તો મુખ્ય પ્રકારો છે. અત્યાર લગી મોદીની તરફેણ કરતા અને હવે વિરોધમાં આવેલા લોકોના એ સિવાયના પ્રકાર પણ હોઈ શકે છે અથવા એક જ વ્યક્તિમાં એકથી વધુ પ્રકારોના અંશ હોઈ શકે છે.  

કોઈને થાય કે મુકોને આ બધી પંચાત. ગમે તે કારણે, પણ લોકો ટીકા કરતા થયા, એટલું પૂરતું નથી? 

તેનો સ્પષ્ટ જવાબ છેઃ ના, એટલું જરાય પૂરતું નથી. કટોકટીની ટીકા કરનારામાં ગાંધીવાદી-સમાજવાદી-સામ્યવાદી-જૂના કોંગ્રેસી એવાં કંઈક જૂથોની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ પણ હતાં. નરેન્દ્ર મોદી પોતે કટોકટીના વિરોધની તેમની કામગીરીની ગાથાઓ લખી ચૂક્યા છે. પણ નરેન્દ્ર મોદીના રાજમાં જણાયું કે તેમનો અને જમણેરી વિચારધારાવાળા બીજા લોકોનો વિરોધ કટોકટી સામે નહીં, ઇન્દિરા ગાંધીની કટોકટી સામે હતો. તેમનો વારો આવ્યો ત્યારે તેમણે ઘણીખરી બાબતોમાં કટોકટીથી પણ ખરાબ પરિસ્થિતિ લાવીને મુકી દીધી. એટલા માટે, ફક્ત મોદીના વિરોધથી રાજી થઈ જવાને બદલે, એ વિરોધ કરનારની માનસિકતા અને વિરોધ માટેનાં તેમનાં કારણો જાણવા-સમજવાનું જરૂરી છે.  
***

વર્તમાન કટોકટીમાં પણ જે લોકો મોદીનો બચાવ કરવાનું, ઉપરાણું લેવાનું, તેમને ટેકો આપવાનું છોડી શકતા નથી અથવા તેમની નિષ્ફળતાઓ પર ઢાંકપિછોડો કરવા માટે લાગેલા રહે છે, તેમની સમજ માટે કોઈ શબ્દો નથી. તેના માટે બે મિનીટનુ મૌન.

Monday, April 19, 2021

કારમા કોરોના-કાળમાં સરકારની ટીકા અને તરફેણઃ કેટલાક પ્રકાર

અત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના ભયંકર મિસમૅનેજમૅન્ટની ટીકા કરનારા લોકોના મુખ્યત્વે આટલા પ્રકાર પાડી શકાય.

૧. (મારા જેવા લોકો) જે વર્ષોથી નરેન્દ્ર મોદીની આત્મમુગ્ધતાની, રાજકીય ફાયદા માટે કોમવાદના ઉપયોગની, સત્તાના અમર્યાદ કેન્દ્રીકરણની તથા આપખુદ કુશાસનની ટીકા કરતા રહ્યા છે. તેમને મન વર્તમાન પરિસ્થિતિમાં માત્રાનો જ ફરક છે, પ્રકારનો નહીં. 

૨. જે લોકોને પોતપોતાનાં કારણસર ધીમે ધીમે કુશાસનનું સત્ય સમજાતું ગયું. તે ખુલીને ટીકા ભલે કરતા નહીં, પણ મનથી સમજતા હતા અને સરકારનું ઉપરાણું લેવું છોડી દીધું હતું. તે લખતા થયા. 

૩. જે લોકોને ગયા વર્ષે કોરોનાના પહેલા આક્રમણ વખતે, લૉક ડાઉનમાં સર્જાયેલી અંધાધૂંધી, પગપાળા ચાલતા ગયેલા લોકો, આરોગ્યસેતુ એપના દાવા, ધમણ વેન્ટિલેટર અને એવી બીજી અનેક અરાજકતાઓથી સમજાયું કે આ સરકારને જૂઠાણા ને અસરકારક પ્રચાર સિવાય ભાગ્યે જ બીજું કંઈ ફાવે છે. એટલે ગયા વર્ષથી તેમનો કલર ઉતરવા માંડ્યો અને તે પણ સમજતા-ક્યારેક લખતા થયા.

૪. પાકો રંગ ધરાવનારા કેટલાક લોકો પણ આ વખતની અરાજકતા અને તેની ઉપર અભિમાની અવગણના તથા સરાસર જૂઠાણાં જોઈને દુઃખી થયા અને સરકારની ટીકા કરતા થયા.

૫. ‘શાણી’ આઇટેમો, જેમણે અત્યાર સુધી સાતત્યપૂર્વકની જીહજૂરી કર્યે રાખી અને વચ્ચે વચ્ચે, ‘અમે તો આવું પણ લખ્યું હતું’—એવી છટકબારી ખુલ્લી રાખવા પૂરતી પ્રતીકાત્મક ટીકા કરી હતી. તેમણે જોયું કે અત્યારે સરકારની ટીકા કરવાથી ભક્ત વાચકવર્ગ બહુ નારાજ નહીં થાય, સરકારવિરોધી ટીકાના પૂરમાં તેમની ટીકા પણ સરકારપક્ષે વિશેષ વાંધો લેવાયા વિના નીકળી જશે  ઉપરાંત, સરકારની ટીકા નહીં કરવાથી તેમની અસલિયત સાવ ભોળાભટાક લોકો આગળ પણ ઉઘાડી પડી જશે.
*

તેમ છતાં, હજુ ઘણાને સરકારની ટીકા કરવાપણું લાગતું નથી. કેટલાંક કારણઃ

૧. ‘અમે તો બા, પોલિટિક્સમાં પડીએ જ નહીં. અમે તો બા, બહુ ઠરેલ, બહુ સંસ્કારી, બહુ સાહિત્યકળાપ્રેમી.’

૨. ‘એંહ, આ સરકારની ટીકા? કદી નહીં. અમે કોંગ્રેસી નથી. અમે ડાબેરી, અર્બન નક્સલ, હિંદુત્વદ્વેષી, મુસ્લિમતરફી, રાષ્ટ્રવિરોધી નથી. અમે તો આ સરકારની પડખે જ ઊભા રહેવાના. ચાહે ગમે તે થાય.’ (‘કારણ કે આ સરકાર અમારા દ્વેષ, અમારી કુંઠા, અમારા ભય, અમારા પૂર્વગ્રહ જેવી બાબતોનું આબાદ પ્રતિનિધિત્વ કરે છે.’)

૩. ‘અમને પણ લાગે છે કે પાણી માથા પરથી વહી ગયું છે. છતાં, મોદીભક્તિની સાથે અમે અમારી જાતને સાંકળી લીધી છે-અમારી આબરૂને હોડમાં ગણી લીધી છે. એટલે બધું સમજતા હોવા છતાં, અમે કશું નહીં લખીએ-બોલીએ. તમે સમજો, આમાં અમારી પણ આબરૂનો સવાલ થઈ જાય છે.’

૩. ‘અમે તો પોઝિટિવ થિંકિંગમાં માનીએ છીએ. આવા સમયે નકારાત્મક વાતો ન ફેલાવવી જોઈએ. (‘અમને સચ્ચાઈ કરતાં હકારાત્મકતા વધારે વહાલી છે. ખાસ કરીને સચ્ચાઈ અમારાં રાજકીય વલણોને અનુકૂળ ન હોય ત્યારે.’)

૪. ‘આવી બાબતોમાં રાજકારણ ન લાવવું જોઈએ.’ (‘એ તો ત્યારે જ લવાય, જ્યારે અમારા વહાલા નેતાને ફાયદો થતો હોય.’)

૫. ‘કૉંગ્રેસ હોત તો પણ શું ઉખાડી લેવાની હતી? એના કરતાં આ શું ખોટા છે?’ (અને મૂળ તો, અમને ભાજપનું સંકુચિત, હિંદુ ધર્મના હાર્દથી વિપરીત અને કોમવાદી, રાજકીય ‘હિંદુત્વ’ અમને બહુ ભાવે છે. એના માટે અમે બધું વેઠવા તૈયાર છીએ. અમારો વાંધો અનિષ્ટ સામે નહીં, ફક્ત કોંગ્રેસનાં અનિષ્ટ સામે હતો.) 

૬. ‘તમારા ઘરમાં દસ માણસ રહેતાં હોય ને એ બધાંને એક સાથે પેટમાં ગરબડ થાય, તો ઘરમાં દસ શૌચાલય હોય? બસ, સરકારને એવું જ થયું છે. હેંહેંહે. ’ (‘સરકારનો બચાવ કરવાનો આવે ત્યારે અમે કોઈ પણ હદે જઈ શકીએ. સરકારની કામગીરીનું-તેની ફરજનું-તેના સ્કેલનું મૂળભૂત અજ્ઞાન દર્શાવતી રમૂજ પણ ખપમાં લઈ શકીએ.’)

Thursday, February 18, 2021

કોવેક્સિનમાં 'નંબર વન' ગુજરાત

ભારત સરકારે ઑક્સફર્ડની (પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યુમાં નિર્મિત) વેક્સિન કોવિશિલ્ડના ૧.૧ કરોડ ડોઝ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ૫૫ લાખ ડોઝનો ઓર્ડર આપેલો છે. બંને આમ તો વેક્સિન છે અને સરકારે તે બંનેને મંજૂરી આપી છે. છતાં, મંજૂરીનો પ્રકાર જુદો છે અને આપણને સતત ‘ભારતીય વેક્સિન પર ભરોસો રાખવાનું’ કહેવામાં આવે છે.
કારણ કે--

  1. બ્રિટનમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તૈયાર કરેલી અને ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટમાં નિર્મિત કોવિશિલ્ડ તેના ક્લિનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા કરી ચૂકી હતી. ત્રીજા તબક્કાનાં પરિણામ ‘લાન્સેટ’ જેવા પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થઈ ચૂક્યાં હતાં. એટલે બ્રિટનની સરકારે તેને મંજૂરી આપી. ત્યાર પછી ભારતે પણ તેને મંજૂરી આપી.
  2. હૈદરાબાદની કંપની ભારત બાયોટેક દ્વારા બીજી સંસ્થાઓના સહયોગથી વિકસાવાઈ રહેલી કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો ચાલતો હતો (હજુ ચાલે છે). હજુ સુધી તેના પહેલા તબક્કાના ટ્રાયલનાં પરિણામ જ ‘લાન્સેટ’માં પ્રગટ થયાં છે. છતાં, તેને ભારત સરકારે ઇમર્જન્સી સિચ્યુએશનમાં, ક્લિનિકલ ટ્રાયલ મોડમાં, રિસ્ટ્રિક્ટેડ યુઝ મા્ટે—એટલે કે, કટોકટીભર્યા કાળમાં, ક્લિનિકલ ટ્રાયલના ધોરણે, મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી આપી છે. તેના ક્લિનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થયા નથી અને તેનાં પરિણામો નિષ્ણાતોની આંખ તળેથી નીકળીને પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયાં નથી. માટે, તેની અસરકારકતા વિજ્ઞાનપ્રમાણિત નહીં, પણ ભરોસાનો વિષય છે.
  3. કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને રસીકરણ ઝુંબેશનો ભાગ બનાવવા માટે એવું કહેવામાં આવે છે કે સરકારે બધું જોઈવિચારીને, તબીબી તેમ જ નૈતિક બાબતોની તપાસ કરીને, પરવાનગી આપી છે. તે સાચું હોય તો પણ, તેનાથી કોવેક્સિનનો ડોઝ ક્લિનિકલ ટ્રાયલ મટી જતો નથી. સામાન્ય ક્લિનિકલ ટ્રાયલ અને કોવેક્સિનના સરેઆમ ક્લિનિકલ ટ્રાયલ વચ્ચે ફરક એક જ છેઃ ક્લિનિકલ ટ્રાયલમાં એક જૂથને દવા અને બીજા જૂથને સાદું-નિર્દોષ પ્રવાહી આપવામાં આવે છે અને તેમની પર થયેલી અસરની સરખામણી કરવામાં આવે છે, જ્યારે આ ક્લિનિકલ ટ્રાયલમાં માત્ર રસી જ આપવામાં આવે છે. એટલે બીજા કોઈ સાથે સરખામણીનો સવાલ આવતો નથી.
  4. કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ માટેના નિયમો લાગુ પડે છે. તેના માટે રસી લેનારે પૂરતી જાણકારી સાથેનું સંમતિપત્ર (ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ ફોર્મ) ભરવું ફરજિયાત છે. સંમતિપત્ર સ્થાનિક ભાષામાં હોવું જરૂરી છે. રસી લેતાં પહેલાં તે શાંતિથી વાંચવાનો અને તેને લગતા પ્રશ્નો પૂછવાનો રસી લેનારનો અધિકાર છે. કારણ કે તે રસીકરણ ઝુંબેશમાં નહીં, ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈ રહ્યા છે. અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિની રસી માટે પસંદગી કરવામાં આવે છે. પણ જો તે વાંચી ન શકતી હોય તો સંમતિપત્ર તેને વાંચી સંભળાવવું પડે છે.
  5. કઈ અવસ્થા ધરાવતા કે કઈ સારવાર લેતા લોકો કોવેક્સિન ન લઈ શકે, તેની પણ યાદી આપવામાં આવી છે. કારણ કે એ રસીની અસરો હજુ સુધી ભરોસાનો વિષય છે—વૈજ્ઞાનિક પુરાવાનો નહીં.
  6. રસી ચોક્કસ રોગ સામે પ્રતિકારકતા પેદા કરવા માટે લેવાની હોય છે. રસી નવી હોય કે ક્લિનિકલ ટ્રાયલના તબક્કે હોય ત્યારે મુખ્ય સવાલો હોય છેઃ તેની આડઅસર છે? તેની અસર ક્યારથી શરૂ થશે? તે ક્યાં સુધી ટકશે? આડઅસર ન થાય તે સારી બાબત છે. પણ તે રસી લેવાનો મુખ્ય હેતુ નથી, એટલું યાદ રાખવું પડે.
  7. કોવિશિલ્ડ રસીકરણ ઝુંબેશનો ભાગ છે, જ્યારે કોવેક્સિન સરકારમાન્ય ક્લિનિકલ ટ્રાયલ છે. ક્લિનિકલ ટ્રાયલમાં ફરજિયાત ભાગ લેવાની ફરજ ન પાડી શકાય, દબાણ ન કરી શકાય, 'સાહેબ નારાજ થશે'ની બીક પણ ન બતાવી શકાય. એવું કરવામાં આવે તો પછી રસી લઈ લીધાનાં બનાવટી પ્રમાણપત્રોનો ધંધો (જો શરૂ નહીં થયો હોય તો) શરૂ થઈ જશે. એના કરતાં પણ મહત્ત્વનો મુદ્દો એ કે આ ભારત છે, ચીન નથી. નથી ને?


આટલી હકીકતો જાણીતી હતી. આજે સરકારી આંકડાથી એ પણ જાણવા મળ્યું કે છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, કેરળ, ઉત્તર પ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળ—આ સાત રાજ્યોમાં કેન્દ્ર સરકારે કોવિશિલ્ડની સાથે સાથે કોવેક્સિનના ડોઝ પણ મોકલ્યા હતા. ગુજરાતના અપાયેલા કોવેક્સિનના ૧,૫૦,૪૦૦ ડોઝમાંથી ગુજરાત સરકારે ૧,૦૬,૦૪૩ ડોઝ અત્યાર સુધીમાં લોકોને આપી દીધા છે.

બીજાં છમાંથી બે રાજ્યો છત્તીસગઢ અને કેરળે તેમને કેન્દ્ર તરફથી અપાયેલા કોવેક્સિનના ડોઝમાંથી એક પણ ડોઝ લોકોને આપ્યો નથી. ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકારે ૧,૬૫,૨૮૦ ડોઝ આપ્યા હતા. તેમાંથી રાજ્ય સરકારે ફક્ત ૯,૪૫૮ ડોઝ જ લોકોને આપ્યા છે. (બાકી કોવિશિલ્ડના આશરે ૧૯ લાખ ડોઝમાંથી ૬.૬ લાખ ડોઝ ઉ.પ્ર.સરકારે લોકોને આપ્યા છે)

તો ગુજરાતમાં ફેબ્રુઆરી ૯,૨૦૨૧ સુધીમાં કોવેક્સિનના ૧,૦૬,૦૪૩ ડોઝ અપાઈ ચૂક્યા છે. તે લેનારમાંથી જે લોકો આ વાંચતા હોય તેમની પાસેથી આટલી જાણકારી આપવા વિનંતી.
  • તમે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ ફોર્મ જોયું હતું?
  • તે ગુજરાતીમાં હતું કે અંગ્રેજીમાં કે બીજી કોઈ ભાષામાં?
  • તે ફોર્મ તમે વાંચ્યું હતું?
  • તે ફોર્મમાં તમે સહી કરી હતી?
  • ફોર્મમાં સહી વાંચીને કરી હતી કે વાંચ્યા વિના?
  • એ સિવાય બીજું કોઈ ફોર્મ ભર્યું હતું?
  • રસી લેવા માટે તમારી પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું?
આ સવાલના જવાબ ફક્ત કોવેક્સિન લેનાર અથવા તેને આપવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કે આધારભૂત માહિતી ધરાવતા લોકોએ જ આપવા વિનંતી.

Thursday, July 23, 2020

સાબુનું સમાજશાસ્ત્ર

કોરોનાકાળમાં સેનિટાઇઝરો, પેલી ઐતિહાસિક ઉક્તિની જેમ, આવ્યાં અને છવાઈ ગયાં. તેમાં જૂનાપુરાણા તંદુરસ્તીની ને સૌંદર્યની ને આરોગ્યની ને એવી કંઈક રક્ષા કરનારા સાબુ જાણે ધોવાઈ ગયા. સામાન્ય સંજોગોમાં તો સાબુનો મહિમા ગાવાનો ન થાય. કેમ કે અભિનેતા-અભિનેત્રીઓ અઢળક નાણાં લઈને સાબુનાં અપ્રમાણસરનાં ગુણગાન ગાતાં જ હોય છે. પરંતુ અચાનક ખાબકતા પરગ્રહની જેમ ત્રાટકેલાં સેનિટાઇઝરોએ સાબુને હાંસિયામાં ધકેલી દીધા છે, ત્યારે તેમના વિશે વિચાર કરવાનો આ યોગ્ય સમય છે. આમ પણ, લદ્દાખ સરહદે શું થયું તેનો વિચાર કરી શકીએ તેમ નથી. કારણ કે સરકાર તરફથી કશી સત્તાવાર માહિતી મળતી નથી. ચીન અને કોરોનાના ધમપછાડા વચ્ચે ધારાસભ્યોના ખરીદવેચાણની પ્રવૃત્તિ શી રીતે ચાલતી હશે, એ સામાન્ય બુદ્ધિ ધરાવતા માણસના મગજમાં બેસે એવું નથી. પોલીસ અને પ્રધાનપુત્રમાંથી કોણ કોના બાપનું નોકર છે કે નથી, એ વિશે સુનિતા યાદવે સ્પષ્ટતા કરી દીધા પછી કોઈએ વિચારવાનુંj રહ્યું નથી. કોરોનાના કેસ સીધા લાખમાં વધી રહ્યા છે. એ વિશે સરકાર કશું વિચારતી હોય એવું લાગતું નથી, તો લોકો વિચારીને શું કરવાના? માટે, નાગરિકોએ વિચારવા માટે સાબુમહિમા જેવા મુદ્દા સૌથી સલામત છે.

શ્રીશ્રી નહીં, અસલી રવિશંકર મહારાજનું લોકો દ્વારા અઢળક ટંકાયેલું ને ભાગ્યે જ આચરાયેલું સૂત્ર હતું, ‘ઘસાઈને ઉજળા થઈએ.’ સાબુનું થોડુંક જુદું જીવનસૂત્ર છેઃ ‘ઘસીને ઉજળા કરીએ’. આ સૂત્ર અસલમાં કપડાંને લાગુ પડતું હતું, પણ ભારતીય યુવતીઓ વિશ્વસુંદરી બનવા માંડી, એટલે સૌંદર્ય પ્રત્યેની લોકોની જાગૃતિ એટલી વધી ગઈ કે સાબુ મેલ કાઢવા નહીં, ઉજળા થવા માટે વપરાવા લાગ્યો. ભારતમાં ધોળા હોવું એ સોંદર્યનો પર્યાય છે અને એ ગેરમાન્યતા પ્રસારવામાં સાબુએ ઘણો ભાગ ભજવ્યો છે. ટીવી પર સાબુની જાહેરખબરો જોતાં લાગે કે માણસોને ખાવાનું નહીં મળે તો ચાલી જશે, પણ ચોક્કસ બ્રાન્ડનો સાબુ મેળવવો એ તેમનો નાગરિકસિદ્ધ અધિકાર છે.

લોકોને લોકશાહીના નામનું નવડાવી નાખવા આતુર નેતાઓ માટે આ ગમતી વાત છે. કેમ કે, એક વાર માણસ પોતાના વિકાસને સાબુ થકી માપતો થઈ જાય, એટલે તેનામાં રહેલા નાગરિક વિશે નેતાઓને કદી ચિંતા કરવી પડતી નથી. તે એમ જ વિચારે છે કે ‘મારાં મા-બાપ પથ્થર ઘસીને નહાતાં હતાં, હું મોટો થયો ત્યારે બે રૂપિયાના લાલ સાબુના બે ભાગ કરીને, તેના એક અડધીયાથી નહાતો, પણ અત્યારે હું સુડતાલીસ રૂપિયાનો સાબુ વાપરું છું અને સિત્તેર રૂપિયાવાળો એક સાબુ મારા ધ્યાનમાં જ છે. મારી બેબી માટે તો હું ઇમ્પોર્ટેડ સાબુ લાવીશ. મેં જે વેઠ્યું છે તે એને નહીં વેઠવા દઉં.’

ઉદારીકરણ પહેલાંના સમયમાં ગ્રાહકો પાસે પસંદગી ઘણી મર્યાદિત હતી. ત્યારે પરદેશી સગાંવહાલાં ઘણી વાર આકર્ષક સુગંધવાળા સાબુ લઈને આવતાં. જેમની જિંદગી આખી લાલ સાબુ જોઈને ગઈ હોય અને સાબુમાંથી સુગંધ આવે એ વાત જેમને નેતા સાચું બોલે એવી આશ્ચર્યજનક લાગતી હોય, તેમની પાસે આવા પરદેશી સાબુ આવતાં તે સુખદ મૂંઝવણમાં મુકાઈ જતા. ગીતમાં હીરો હીરોઇનને ‘તુઝે દેખું કે પ્યાર કરું?’ એવું પૂછે, તેમ આ લોકોને સાબુ માટે થતું: આ સાબુની સુગંધ લઉં કે તેનાથી સ્નાન કરું? સુગંધ લીધા કરવામાં એ સાબુના સ્નાનથી વંચિત રહી જવાની બીક રહેતી અને સ્નાન કરી નાખવામાં સાબુ ગુમાવી દેવાની બીક. ટૂંકમાં કહીએ તો, લોક ડાઉન ચાલુ રાખવું કે નહીં, એ પ્રકારની મૂંઝવણ જેના બંને વિકલ્પોમાં નુકસાન જ હોય અને જે વિકલ્પ પસંદ કરીએતે ઓછો ખરાબ ધારીને અપનાવવાનો હોય.

એક સ્નેહી દ્વારા ઇંગ્લેન્ડથી સુગંધિત સાબુ આવ્યા પછી એક મિત્ર તેના પ્રેમમાં એવા પડ્યા હતા કે તેમણે સાબુ બાથરૂમને બદલે કબાટમાં મૂક્યો હતો. જ્યારે કબાટ ખોલે ત્યારે તે રૅપરની આરપાર આવતી (કે રૅપરની) સુગંધનો ‘કશ’ લઈ લેતા હતા. ‘સાબુ કેવો છે?’ એવું મિત્રો પૂછે ત્યારે તે છપ્પન ઇંચનું સ્મિત કરીને કહેતા, ‘બહુ ટૉપ છે... વાપરવાનું મન જ નથી થતું.’ સાબુ હોય કે સમજ, તેને વાપરવાને બદલે તેની સુગંધીના નશામાં રહેવાનું જ મન થયા કરતું હોય તો તે નકામું. પણ આવી બાબતમાં કોઈ સમજાવ્યું સમજે? ઘણા મહિના પછી મિત્રોના સતત આગ્રહને માન આપીને તેમણે આખરે સાબુનું અનાવરણ કર્યું, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સાબુની સુગંધી નહીં, તેનું સ્વરૂપ પણ વર્તમાનકાળ મટીને ભૂતકાળ બની ચૂક્યું હતું. સાબુ પથ્થર જેવો થઈ ગયો હતો અને તેને શરીરે લગાડતાં જૂના જમાનાના પથ્થર-સ્નાન જેવો જ અહેસાસ થતો હતો. દિલ પર સુકાયેલા સાબુનો નહીં, અસલી પથ્થર મૂકીને તેમણે એ સાબુને ફેંકી દેવો પડ્યો ત્યારે કેટલાક મિત્રોને લાગ્યું હતું કે દુઃખી મિત્ર ક્યાંક સાબુની શોકસભા ન રાખી દે. એ વખતે ફેસબુક ન હતું. બાકી તેમણે ‘મારા સાબુનું અવસાન’ એવું સ્ટેટસ લખ્યું હોત તો પણ નીચે પચાસ-સો ‘આર.આઇ.પી.’ની કમેન્ટ આવી ગઈ હોત.

ફક્ત સ્નાન-દ્રવ્યોના જ નહીં, સૌંદર્ય પ્રસાધનોના બજારમાં દબદબો ભોગવ્યા પછી કોરોનાકાળની પેદાશ જેવાં સેનિટાઇઝરના મુકાબલે સાબુ હાંફી ગયા છે. એ હાંફને કારણે નીકળતા ફીણને લોકો સાબુમાંથી નીકળતું સીધુંસાદું ફીણ ગણી લે છે, એ સાબુ-સમાજની કમનસીબી છે.

Tuesday, July 07, 2020

માસ્ક પ્રમોશન

ના, આ લેખને સ્કૂલો-કોલેજોમાં કોરોનાને લીધે અપાયેલાં માસ પ્રમોશન સાથે કશી લેવાદેવા નથી. તે કોરોનાકાળમાં માથે પડેલા ને શબ્દાર્થમાં મોઢે ચઢાવાયેલા માસ્ક વિશે છે. હોલિવુડની બે ફિલ્મોમાં માસ્ક ઉર્ફે એક જાદુઈ મહોરાની કથા હતી, જે પહેરવાથી માણસ સર્વશક્તિમાન થઈ જાય. એમ તો સર્વશક્તિમાન બનવાની ઝંખનાથી ચહેરા ઉપર મહોરું (માસ્ક) પહેરીને ફરતા મહાનુભાવોની આપણને પણ ક્યાં નવાઈ છે? પરંતુ આજે વાત કરવાની છે કોરોનાને કારણે ફરજિયાતપણે ધારણ કરવા પડેલા માસ્કની.

ભદ્રંભદ્રે જેને ‘સૂક્ષ્માતિસૂક્ષ્મ મુકુટવિષાણુ આગમનનિર્ગમનઅવરોધક મુખોષ્ટનાસિકાદીરક્ષણાર્થ કર્ણદ્વયસમર્થિત વસ્ત્રપટ્ટીકા’ કહ્યો હોત, તે માસ્ક વર્તમાન વેશભૂષાની વિશિષ્ટતા છે. ‘ગામના મોઢે ગળણું ન બંધાય’—એવી કહેણીમાં પરિવર્તન કરીને પોલીસ તથા સરકાર ગામના મોઢે માસ્ક બંધાવવા ઇચ્છે છે.  કોરોનાની વાસ્તવિક બીકને કારણે હાલના સમયમાં માસ્ક પહેરવા માટે કોઈ કારણની જરૂર નથી. હા, તે ન પહેરવા માટે અને ન પહેરીને પણ પોલીસની કરડી નજર કે દંડાત્મક કાર્યવાહીમાંથી બચવા માટે મજબૂત કારણની જરૂર પડી શકે છે. કેમ કે, માસ્ક પહેરવો (કે ન પહેરવો) એ કેવળ આરોગ્યનો નહીં, કાયદો-વ્યવસ્થાનો પણ પ્રશ્ન હોઈ શકે છે. ભારતમાં ઘણી વાર કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો સિવાયની બધી જ બાબતો કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન બની શકે છે અને નિર્દોષો પર પોલીસ કસ્ટડીમાં થતા અત્યાચારોને કારણે ઘણી વાર કાયદો-વ્યવસ્થાના જાળવનારા ખુદ કાયદો-વ્યવસ્થા માટે પ્રશ્ન બની રહે છે. 

ઘણા ભારતીયો તો મોટા માણસ પણ એટલે જ બનવા ઇચ્છે છે કે જેથી તે કાયદાનો બેધડક ભંગ કરી શકે- તેમને ક્ષુલ્લક કાયદા નડે નહીં અને કાયદાને તે ક્ષુલ્લક ગણી શકે. આવી મહત્ત્વાકાંક્ષાઓથી દોરવાઈને પણ કેટલાક લોકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળે છે. કોઈ પૂછે તો તે કહી દે છે કે ‘આવું કંઈ પણ થાય ને કોઈ ટેં ટે કરે તો ફલાણા સાહેબને ફોન લગાડી દેવાનો. એ સંભાળી લેશે.’

ઘણા આસ્તિકો અત્યાર સુધી એમ માનતા હતા કે ભગવાને કાન ચશ્મા પહેરવા આપ્યા છે. પણ કોરોનાના કેર વચ્ચે નવપલ્લવિત થયેલી શ્રદ્ધાથી તે કહે છે, ‘જોઈ હજાર હાથવાળાની લીલા? તે કોરોના આપે છે તો માસ્ક પહેરવા માટે કાન પણ આપે છે.’ આ સાંભળીને જેમનાં પ્રિયજનો કોરોનામાં મૃત્યુ પામ્યાં હોય કે હેરાન થયાં હોય એ સિવાયનાં સૌ કોઈ હજાર હાથવાળાની લીલા આગળ નતમસ્તક કે નતમાસ્ક થઈ જાય છે. પરંતુ બધા આટલી આસ્તિકતા ક્યાંથી લાવે? એવા લોકોને પોતાની અશ્રદ્ધા માસ્કને કારણે પડતી અગવડો દ્વારા વ્યક્ત કરે છે. 

વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં સફેદ એપ્રન પહેરતી વખતે જેમ ડૉક્ટર જેવી કામચલાઉ ‘કીક’ આવે છે, એવું જ માસ્ક પહેર્યા પછીની શરૂઆતની મિનિટોમાં બનવા સંભવ છે. શરૂ શરૂમાં માસ્ક પહેરનારને એવું લાગી શકે છે કે તે ઑપરેશન થીએટરમાં કે રીસર્ચ લેબોરેટરીમાં કાર્યરત છે. પરંતુ માસ્ક પહેર્યા પછી થોડી વારમાં લાગે છે કે આપણે ડૉક્ટર ન બન્યા, તે સારું જ થયું—આરોગ્યક્ષેત્રનું તો ખરું જ, આપણું પોતાનું પણ. બાકી, કેટલો બધો સમય માસ્ક પહેરી રાખવો પડત? 

દેખીતું છે કે માસ્ક પહેરીને ફરવાનું પહેલી તકે ફાવી ન જાય. હેલમેટ ફરજિયાત પહેરવાનો કાયદો થયો ત્યારે તેના વિરોધમાં જાતજાતનાં કારણ રજૂ કરવામાં આવતાં હતાં. તેની સરખામણીમાં માસ્ક સામે બહુ દલીલો થઈ નથી. બંને નહીં પહેરવાનું જોખમી જ છે. છતાં, હેલમેટ નહીં પહેરવાથી થતું જોખમ વ્યક્તિ પૂરતું મર્યાદિત છે, જ્યારે માસ્ક નહીં પહેરવાથી પોતાને તેમ જ બીજાને પણ અસલામતી અને જોખમ લાગે છે. પરંતુ ‘ખતરોંકે ખિલાડી’નો કે ‘આપણને કંઈ ન થાય’નો વહેમ ધરાવતા ઘણા લોકો માસ્ક પહેર્યા વગર નીકળી પડે છે. કેટલાક અશિસ્તપ્રેમી વળી હાથમાં માસ્ક ઝુલાવતા ઝુલાવતા ‘મારી પાસે છે, પણ હું નહીં પહેરું. જાવ, થાય તે કરી લો’—એવો સંદેશો પ્રસારિત કરતા હોય તેમ નીકળે છે. 

માસ્ક ધારણ કરવાની સૌથી લોકપ્રિય સ્ટાઇલ તેને નીચો, ગળા સુધી ઉતારવાની છે. ઘણા લોકોને જેમ ચશ્મા જરૂર ન હોય ત્યારે તેને કપાળે ચડાવીને વાતચીત કરવાની (અને ક્યારેક તો એ રીતે ચશ્મા શોધવાની) ટેવ હોય છે. એવું જ માસ્કની બાબતમાં બને છે. આ રીત સલાહભરેલી નથી અને જોખમી છે, એવાં બોધવચનો તેમના માસ્કના એક છેડેથી પ્રવેશીને બીજા છેડેથી નીકળી જાય છે. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દર્શન આપતા મોટા માણસોથી માંડીને સડક પર ફરતા લોકો સુધી માસ્કની આ શૈલી પ્રચલિત છે. શક્ય છે કે તે શબ્દોનો ઉપયોગ કર્યા ‘અમે માસ્કથી ગળે આવી ગયા છીએ’ એવું દર્શાવવા માગતા હોય. વધારે આશાવાદી કલ્પના કરીને કહી શકાય કે તે કદાચ પ્રતીકાત્મક રીતે માસ્કનો નહીં, કોરોના વાઇરસનો વિરોધ કરી રહ્યા હોય. પરંતુ તેમના અને આપણા સૌના કમનસીબે કોરોના વાઇરસની કળાદૃષ્ટિ એટલી વિકસિત નથી. એટલે આવા પ્રતિકાત્મક સંદેશાની તેમની પર કશી અસર થવા સંભવ નથી. ઉલટું, માસ્ક ગળે લટકતો રાખવાથી વાઇરસ પણ ગળે પડે એવી ભીતિ રહે છે. 

વિલન જેવા કોરોના સામે બચ્ચનગીરી (કે શશિ કપૂરગીરી) કરવી હોય તો માસ્ક મોં-નાક સરખાં ઢંકાય એમ પહેરવો પડે. પછી જ કહી શકાય કે ‘મેરે પાસ માસ્ક હૈ’.

Monday, June 29, 2020

ખમણ અને કોરોના

ખમણ અને કોરોના—બંને વચ્ચે એટલો જ સંબંધ છે, જેટલો ગૃહ મંત્રી અમિત શાહને વતન પરત ફરવા માગતા શ્રમિકો જોડે હતો. (એટલે કે, કશો જ નહીં) તેમ છતાં, અમિત શાહ ગૃહ મંત્રી રહી શકતા હોય, તો ખમણ અને કોરોના મથાળામાં સાથે કેમ ન રહી શકે? પછી તો એવું છે કે અમિત શાહ ગૃહ મંત્રી હોય એટલે શ્રમિકો સાથે તેમનો કંઈ ને કંઈ સંબંધ જોડી કઢાય. એવી જ રીતે, કોરોના અને ખમણ સાથે મુક્યા પછી તેમની વચ્ચેનો સંબંધ પણ કેમ ન જોડી શકાય? 

આજકાલ કોરોનાની સાથે જુદાં જુદાં ઉત્પાદનો એવું પણ કહી રહ્યાં છે કે અમારાથી કોરોના ફેલાતો નથી. જેમ કે, કેટલાંક છાપાં. એ જુદી વાત છે કે ઘણાં છાપાંને ખતરનાક બનવા માટે કોરોના ફેલાવવાની જરૂર પડતી નથી. તેમની સામગ્રી જ એવી હોય છે કે તેનાથી જાહેર જીવન પંગુ બને-નાગરિકવૃત્તિને શ્વાચ્છોશ્વાસની તકલીફ પડવા માંડે. તો છાપાં કે બીજાં કેટલાંક ઉત્પાદનોની જેમ ખમણ વેચનારા પણ એવો દાવો કરી શકે કે અમારાં ખમણથી ફક્ત સ્વાદ ફેલાય છે, કોરોના નહીં. જેન્ડર-બૅલેન્સ એટલે કે નર-નારી સમાનતાનો ખ્યાલ રાખીને આગળના વિધાનમાં ખમણ સાથે ખમણીને પણ સામેલ કરી લેવી. લોચાનું શું કરવું, એ અલગથી નક્કી કરવું પડે. જરૂર પડ્યે તેના માટે સરકાર હુકમ-અધિનિયમ-માર્ગદર્શિકા જેવું કંઈક બહાર પાડી શકે. તેમાં પણ અવઢવ લાગતી હોય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના અમલમાં લોચાનો, વધુ એક લોચાનો, સમાવેશ કરી શકાય. એક જમાનામાં લોચો ફક્ત સુરતનો વખણાતો, પણ કોરોનાકાળમાં દિલ્હી-ગાંધીનગરના લોચાએ સુરતને ક્યાંય પાછળ રાખી દીધું છે—એવું ફક્ત સુરતીઓ જ નહીં, ગુજરાતભરના અને દેશભરના લોકો પણ કરી શકે છે.

કોરોનાકાળમાં માસ્કની જેમ આયુર્વેદિક ચીજવસ્તુઓનું બજાર પણ ઉંચકાયું છે. તેનો લાભ લઈને ખમણવાળા ‘આયુર્વેદિક ખમણ’નો એક પ્રકાર ઉમેરી શકે છે અથવા ‘બહુખમણા વસુંધરા’ એવી ગુર્જરભૂમિના સાહસિક દુકાનદારો ખમણના દરેક પ્રકાર આગળ ‘આયુર્વેદિક’ વિશેષણ ઔચિત્ય જોયા વિના લગાડી શકે છે, (જેમ ઘણા હોદ્દેદારોનાં નામની આગળ તેમની પાત્રતા જોયા વિના, કેવળ હોદ્દાની રૂએ માનનીય કે ઓનરેબલ લખવામાં આવે છે.) એવું થાય તો ટૂંક સમયમાં બજારમાં આયુર્વેદિક મરીવાળાં ખમણ, આયુર્વેદિક દહીં ખમણ, આયુર્વેદિક વાટી દાળનાં ખમણ, આયુર્વેદિક રસાદાર ખમણ—જેવાં નામ ઠેકઠેકાણે વાંચવા મળશે. પહેલાં દરેક વસ્તુની ‘ઑર્ગેનિક’ આવૃત્તિ બજારમાં મૂકવાની કોશિશ રહેતી હતી. હવે દરેકમાં, કમ સે કમ માર્કેટિંગ પૂરતો, આયુર્વેદનો વઘાર કરવાનું વલણ વધી શકે છે. 

સરેરાશ ભારતીયોને સંસ્કૃતમાં ‘આજે રવિવાર થયો’ એમ કહો તો પણ તેમના ચહેરા પર પવિત્ર શ્લોક સાંભળ્યા જેવો અહોભાવ પથરાઈ જશે. એવું જ ઘણાના મનમાં આયુર્વેદ માટે હોય છે. આયુર્વેદની ચિકિત્સાપદ્ધતિ વિશેના કોઈના અભ્યાસી ભાવની વાત નથી, પણ કેવળ આંખ મીંચીને હાથ જોડી દેવાની વૃત્તિ હોય તેમને સામે આયુર્વેદ છે કે આસારામ, તેનાથી ઝઝો ફરક પડતો નથી. આસારામથી માંડીને રામદેવ સુધીના ઘણા વેપારીઓ ધર્મ-યોગ-આયુર્વેદ-સંસ્કૃતિ-પરંપરા-સ્વદેશીની સાથે આયુર્વેદની ભેળ બનાવીને તેને સફળતાથી વેચી રહ્યા છે. આયુર્વેદમાં મોટા મોટા વિદ્વાનો થઈ ગયા-હજુ પણ કેટલાક વિદ્યમાન હશે. પણ અત્યારનો જમાનો ચરક-સુશ્રુતનો નહીં, બાબા રામદેવનો છે. તેમની ગુજરાતની કોઈ શાખાએ હજુ સુધી ખમણ બનાવવાની પહેલ કેમ નહીં કરી હોય? તે (વિવાદો સિવાયની) ગરમ વસ્તુઓ નથી બનાવતા એ જાણીએ છીએ, પણ આયુર્વેદિક, સ્વદેશી ખમણલોટનાં પેકેટ તો વેચી શકાય ને? કે એ ધંધામાં પણ કોઈ બહુરાષ્ટ્રીય કંપની ઝંપલાવે, પછી જ વિચારવાનું?

કેમય કરીને ગળે ન ઉતરી શકે એવા સરકારી દાવા હોંશેહોંશે ગળી જનારા ઘણાને ખમણ જેવી ખાણીપીણીની બાબતમાં દુનિયાભરની પૂછપરછ કરવાની ટેવ હોય છે. તેમાં પણ ‘આયુર્વેદિક ખમણ’ વાંચીને તેમનાં એન્ટેના ઊંચાં થઈ શકે છે. માટે આયુર્વેદિક ખમણનો અખતરો કરનારાએ આવા જિજ્ઞાસુઓના એલોપથિક—એટલે કે તત્કાળ અસર ઇચ્છતા, તત્કાળ જવાબ માગતા—સવાલો માટે તૈયાર રહેવું. એવા ઉત્સાહીઓ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’માં ‘યુનિટી’ ક્યાં છે એવું પૂછે કે ન પૂછે, પણ આયુર્વેદિક ખમણમાં આયુર્વેદિક શું છે, તે જરૂર પૂછશે અને ભલું હશે તો પોતાનો આયુર્વેદપ્રેમ-કમ-આયુર્વેદજ્ઞાન દર્શાવવા માટે બે સૂચન પણ કરશે. કોઈ આકરા વળી ‘ખમણ તે વળી આયુર્વેદિક હોતાં હશે?’ એવો આત્યંતિક સવાલ-કમ-અભિપ્રાય વ્યક્ત કરી બેસશે. તેમને લેખના આરંભે સૂચવેલા જવાબથી સંતોષ નહીં થાય (કે શ્રમિકોનું ધ્યાન ન રાખવા છતાં અમિત શાહ ગૃહ મંત્રી હોઈ શકે, તો ખમણ આયુર્વેદિક કેમ ન હોઈ શકે?) એવા સંશયાત્માઓના મનનું સમાધાન કરવા માટે ‘આર્યાભિષેક—હિંદુસ્થાનનો વૈદરાજ’ જેવા કોઈ મહાગ્રંથનો હવાલો આપી શકાય છે. ભોગેજોગે કોઈ પાના નંબર પૂછી પાડે તો કહી શકાય કે ‘તમે એક વાર ઑર્ડર તો આપો, તમને એ જ પાનામાં ખમણ પૅક કરેલાં મળશે, બસ?’

તેમ છતાં કોઈ છાલ ન છોડે તો છેલ્લો વિકલ્પ તો છે જઃ આ ખમણ ખાધા પછી તમારે ઘણું પાણી પીવું પડશે (અથવા પાણી જ નહીં પીવું પડે) અને આયુર્વેદમાં લખ્યું છે કે જમ્યા પછી પાણી પીવું સારું (કે સારું નહીં). એ રીતે, તમે જ કહો, આ ખમણ આયુર્વેદિક થયાં કે નહીં? 

Tuesday, June 02, 2020

ઉઘડતા લૉક ડાઉને

સદીમાં એકાદ વાર આવે એવી મહામારી અને એવા અસાધારણ સંજોગોમાં લેવાયેલા લૉક ડાઉનના નિર્ણયથી ભારત જેવા દેશનાં ચક્રો ચાલતાં બંધ થઈ ગયાં. આટલા લાંબા સમય સુધી દેશભરમાં રેલવે બંધ રહી હોય એવું અગાઉ ભાગ્યે જ બન્યું હશે. દેશવાસીઓના મોટા હિસ્સાએ જાણે નજરકેદ વેઠવાની આવી—ભલે તેનો આશય પોતાની ને કુટુંબની સલામતીનો હતો. છેલ્લા થોડા વખતથી તબક્કાવાર લૉક ડાઉનની સાંકળ ઢીલી કરાઈ રહી હતી હતી, છેવટે આજથી જાહેર પરિવહન, એસ.ટી. બસ અને સીટી બસ શરૂ થઈ છે. કેટલીક ટ્રેનો પણ. આટલા લાંબા સમયથી જકડાયેલાં સૌને મુક્તિનો આનંદદાયક અહેસાસ લાગશે. જૂજ કન્ટેઇન્મેન્ટ ઝૉનમાં પણ આખો વિસ્તાર આવરી લેવાને બદલે તેમને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે, મર્યાદિત પેટાવિસ્તાર પૂરતા ચાલુ રખાયા છે.

આ તબક્કે આશા એવી રહે છે કે ધીમે ધીમે સ્થિતિ પૂર્વવત્ બને અને કુદરતી કારણોથી વાઇરસનો પ્રસાર કાબૂમાં આવે. સરકાર પણ એવી આશા રાખી રહી છે. કેમ કે, શરૂઆતનાં લૉક ડાઉન જો કેન્દ્ર સરકારની નિર્ણયશક્તિનું—આયોજનનું નહીં, નિર્ણયશક્તિનું—પ્રતીક હતાં, તો છેલ્લાં બે-એક લૉક ડાઉન સરકારની ગુંચવાડાગ્રસ્ત દશાના નમૂના બની રહ્યાં. અગાઉના લૉક ડાઉનની મુદત પૂરી થતી હોય, પરિસ્થિતિમાં ઝાઝો સુધારો ન થયો હોય, છતાં કંઈક તો કરવાનું જ હોય અને શું કરવું તેની ખબર પડતી ન હોય, એવી સ્થિતિમાં સરકારે ધકેલ પંચા દોઢસો કરીને આદેશોના ખડકલા સાથે લૉક ડાઉન આગળ ધપાવ્યે રાખ્યાં. હવે બધું ખુલી રહ્યું છે અને સમુસૂતરું ચાલે એવી આશા રાખીએ તો, જોતજોતાંમાં વિગતો ભૂલાવા લાગશે અને લૉક ડાઉન એ સરકારે લીધેલા સમયસર અગમચેતીના પગલા તરીકે, તેની મહાન વ્યૂહરચના તરીકે અને અમેરિકાની સરખામણીમાં કોરાના સામેના જંગમાં આપણી જીત તરીકે ઉલ્લેખાવા લાગશે. તેની શરૂઆત તો થઈ જ ચૂકી છે. વડાપ્રધાને તેમની બીજી મુદતના પહેલા વર્ષના સરવૈયામાં કોરોના સામેની લડાઈનો સફળતાની રીતે જ ઉલ્લેખ કર્યો છે.

વડાપ્રધાનનું કામ પોતાની તથા સરકારની પહાડ જેવડી નિષ્ફળતાઓને ઢાંકવાનું છે. તેમની પાસેથી આત્મખોજ કે પ્રામાણિક એકરારની અપેક્ષા રખાય એમ નથી. પરંતુ આજે નહીં ને થોડા મહિના કે વરસ પછી, કોરોનામુદ્દે તેમના વિજય સરઘસમાં જોડાઈ જતી વખતે એટલું યાદ રાખવાનું ભૂલતા નહીં કે પહેલા લૉક ડાઉનનો નિર્ણય યોગ્ય હોવા છતાં, વડાપ્રધાનની આત્મમુગ્ધતા અને મિથ્યાભિમાની અવિચારીપણાને કારણે, આ દેશના લાખો સ્થળાંતરિત શ્રમિકોને તેમણે દાયકાઓમાં નહીં જોવા મળેલી આફતમાં ધકેલી દીધા. એટલું જ નહીં, ત્યાર પછી બે મહિના સુધી તેમની પીડાને ગણકારી સુદ્ધાં નહીં. શાસકીય નિષ્ફળતા અને તેના અહંકારનો આ નમૂનો આઝાદ ભારતના ઇતિહાસમાં વડાપ્રધાનને તેમની અપેક્ષા કરતાં જુદા પ્રકારના અવ્વલ સ્થાને જરૂર મૂકી દેશે. તેમના સમર્થકોનો આક્રમક બચાવ કે પંડિતોની થિયરી—આ કશું ઇતિહાસમાંથી તેમનું આ સ્થાન છીનવી નહીં શકે. કેમ કે, એ તેમની આપકમાઈ છે. 

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી-કમ-આરોગ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જયંતી રવિ વડાપ્રધાનના અહંકારમાંથી અને વાસ્તવિકતાનો ઇન્કાર કરવામાંથી જાણે પ્રેરણા લેતાં હોય તેમ આ મહિનાઓમાં વર્તતાં રહ્યાં છે. સાવ શરૂઆતમાં ઘરે ઘરે ફરીને કેટલા લોકોનાં સર્વેક્ષણ કરી નાખવામાં આવ્યાં, તેને લગતા માની ન શકાય એવા દાવાથી આરોગ્ય સચિવ જયંતી રવિએ શરૂઆત કરી હતી. તેમણે કરેલું અમદાવાદની પરિસ્થિતિનું હેન્ડલિંગ મૅનેજમેન્ટનાં પાઠ્યપુસ્તકોમાં મૂકવું પડે એવું છે—મૅનેજમેન્ટ કેવી રીતે ન કરવું તે માટે. ઇમેજઘેલી રાજ્ય સરકારથી અલગ તરીને કંઈક ઠેકાણાસરની વાત કરનારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી પણ એ અહંકારી મિસમૅનેજમેન્ટનો જ હિસ્સો જણાઈ હતી, જેના પગલે નહેરાને નિષ્ફળ ઠરાવવા માટે ભાજપના સાયબર સેલની સેવાઓ પણ લેવામાં આવી. અમદાવાદ કોરોના જેટલું જ અહંકારભર્યા મિસમૅનેજમેન્ટની મહામારીનો ભોગ બન્યું. બીમાર માણસ પોતાના ખર્ચે ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટ કરાવવા ઇચ્છતો હોય તો તેને સરકાર પાસેથી પરવાનગી લેવી પડે અને સરકાર તે આપવામાં ઠાગાઠૈયા કરે. કારણ કે, તેને આંકડો ઓછો બતાવવાની લ્હાય લાગી હોય. પછી હાઇ કોર્ટને વચ્ચે પડવું પડે, ત્યારે આપણે આનંદ મનાવવાનો, એમ? આપણે હાઇ કોર્ટને ચૂંટી હતી કે સરકારને? શાસનની સાદી બાબતોમાં હાઇ કોર્ટે આદેશ આપવા પડવાના હોય, તો આ ચૂંટાયેલા નમૂનાઓને શું કરવાના? જાહેરખબરોમાં ને હોર્ડિંગોમાં તેમનાં થોબડાં જોઈને જ રાજી થવાનું? અને જયંતી રવિ ગમે તેટલાં મોટાં અફસર હોય, લોકોએ તેમને ચૂંટીને મોકલ્યાં નથી. તેમના સાહેબો તેમનું જે કરવું હોય તે કરે, પણ નાગરિકોએ આ જવાબ તેમના સાહેબો પાસે માગવાનો છે. (એ જુદી વાત છે કે જયંતી રવિ ૨૦૦૨માં ગોધરાના કલેક્ટર તરીકે ઇતિહાસના પાને ચડેલાં અને ૨૦૨૦માં ફરી વાર, મહામારીમાં રાજ્યનાં આરોગ્ય સચિવ તરીકે તેમનું નામ ઇતિહાસના ચોપડે ચડ્યું છે—કેવી રીતે, એ તો સૌ જાણે છે.)

રાષ્ટ્રીય સ્તરે સ્થળાંતરિત શ્રમિકોની પીડા પ્રત્યે સરકારની ગુનાઈત ઉદાસીનતા-અસંવેદનશીલતા અને અમદાવાદમાં (હજુ તો ચાલુ વર્તમાનકાળ ગણાય એવા) કોરાનાના ખતરા વચ્ચે રાજ્યના વહીવટી તંત્રની નિષ્ફળતા—આ બંને એવા બોધપાઠ છે, જે લૉક ડાઉન ખૂલી ગયાની ઉજવણીમાં ભલે ઘડી-બે ઘડી બાજુ પર રખાય, પણ ત્યાર પછી એ ભૂલવા જેવા નથી. એ ભૂલી જવાનો અને ‘આપણે કેવો જોરદાર મુકાબલો કર્યો’ના વરઘોડામાં જોડાઈ જવાનો મતલબ થશેઃ જડ, અહંકારી, અસંવેદનશીલોની યાદીમાં કેટલાક શાસકો અને કેટલાક અફસરોની સાથે પોતાનું નામ પણ હોંશે હોંશે નોંધાવી દેવું.
(નિરીક્ષક વેબવિશેષ,  ૦૧-૦૬-૨૦૨૦)

Saturday, May 30, 2020

છાણના દેવ, કપાસિયાની આંખો : જેવી સરકાર, તેવા સૉલિસિટર જનરલ



મોડે મોડેથી સર્વોચ્ચ અદાલતે શ્રમિકોની અવદશા ભણી જોયું છે અને સામે ચાલીને, સુઓ-મોટો, કેસ દાખલ કર્યો છે. તેનું નામ છેઃ પ્રૉબ્લેમ્સ એન્ડ મિઝરીઝ ઑફ માઇગ્રન્ટ વર્કર્સ’. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ કે. કૌલ અને જસ્ટિસ એમ. આર. શાહની બનેલી બૅન્ચે ૨૮ મે, ૨૦૨૦ના રોજ આ કેસની સુનાવણી દરમિયાન સરકારને ઘણા સવાલ કર્યા અને નિર્દેશો પણ આપ્યા. તેમાંથી કેટલીક વિગતો પ્રસાર માધ્યમોનાં મથાળાંમાં આવી છે. પરંતુ સુનાવણી દરમિયાન સરકારનો પક્ષ રજૂ કરનાર સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતો ખાસ જાણવા જેવી છે. આટલી મોટી મહામારી અને શ્રમિકોની સરકારસર્જિત કારુણી પછી, સોલિસિટર જનરલ (હવે પછી SG) કઈ ભાષામાં વાત કરી રહ્યા છે અને શ્રમિકોની પીડા અંગે દાદ માગનાર સામે સહાનુભૂતિને બદલે સતત શેરીયુદ્ધછાપ વળતા પ્રહારની મુદ્રામાં જ પેશ આવે છે, એ જોવા જેવું છે. હોદ્દાને ભાગ્યે જ શોભે એવા તેમના આ મિજાજ પરથી તેમના સાહેબોની માનસિકતાનો પણ ઠીક અંદાજ મળી રહે એમ છે.

સૌથી પહેલાં તેમના કેટલાક સંવાદ જોઈએ, જે લાઇવ લૉ વેબસાઇટના સૌજન્યથી અહીં ટાંક્યા છે. (મૂળ સંવાદમાંથી ધ્યાન ખેંચવા માટે આ લેખ પૂરતા કેટલાક શબ્દો અને શબ્દપ્રયોગોનો રંગ બદલ્યો છે)

SG: મારી એક ફરિયાદ છે. કેટલાક મીડિયા રિપોર્ટ અને કેટલાક લોકો વિશેહું બે ફરિયાદ નોંધાવવા માગું છું. એવા કેટલાક લોકો છેપ્રૉફેટ ઓફ ડૂમ (કાળવાણી કાઢનારા)જે ખોટી માહિતી ફેલાવે છે. દેશ માટે જરાય વિવેક દર્શાવતા નથી. આ લોકો સોશિયલ મીડિયા પર લખ્યા કરે છે ને ઇન્ટરવ્યૂ આપતા ફરે છે. (સરકાર દ્વારા) જે થાય છે તેની સાદી પહોંચ સુદ્ધાં તે આપી શકતા નથી..રાજ્ય સરકારો અને મંત્રીઓ રાત જાગીને કામ કરી રહ્યા છે. તેની નોંધ લેવા જેટલો દેશપ્રેમ પણ તેમનામાં (ટીકાકારોમાં) નથી. માનવજાત સૌથી કઠણ પડકારનો સામનો કરી રહી છે. છે. કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ને અટકાવવા માટે ઘણું કરી રહી છે, પણ આપણા દેશમાં રહેલા પ્રોફેટ્સ ઓફ ડૂમ નકારાત્મકતા, નકારાત્મકતા અને નકારાત્મકતા જ ફેલાવી રહ્યા છે. આ આર્મ ચેર ઇન્ટલેક્ચુઅલ્સ રાષ્ટ્રના પ્રયાસોને જોઈ શકતા નથી.

એક ફોટોગ્રાફર ૧૯૮૩માં સુદાન ગયો. ત્યાં એક બાળક બેહાલ અવસ્થામાં પડ્યું હતું અને ગીધ બાળકના મૃત્યુની રાહ જોતું બેઠું હતું. ફોટોગ્રાફરે એ ફોટો પાડ્યો. ન્યૂ યોર્ક ટાઇમ્સમાં એ ફોટો છપાયો અને ફોટોગ્રાફરને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું. ચાર મહિના પછી તેણે આત્મહત્યા કરી લીધી. એક પત્રકારે તેને પૂછ્યું હતું, ‘પછી બાળકનું શું થયું?’ ફોટોગ્રાફરે કહ્યું, ‘મને ખબર નથી. હું તો ઘરે આવી ગયો હતો. એટલે પત્રકારે તેને પૂછ્યું, ‘ત્યાં કેટલાં ગીધ હતાં?’ ફોટોગ્રાફરે કહ્યું એક. પત્રકાર કહે, ‘ના, બે હતાં. એકના હાથમાં કૅમેરા હતો.

આર્મચેર એક્ટિવિસ્ટોને ન્યાયાધીશો તો જ તટસ્થ લાગે, જો તે સરકારની ઝાટકણી કાઢે. મુઠ્ઠીભર લોકો જ આખી સંસ્થા પર કબજો કરવા માગશે તો એડીએમ જબલપુરના કિસ્સા જેવું થશે. (શ્રમિકોના મામલામાં) દરમિયાન થવા માગતા બધા લોકોએ બાળક અને ગીધવાળી વાત યાદ રાખવા જેવી છે.

પૂછવા જેવો સવાલ તો એ છે કે તેમણે શું પ્રદાન કર્યું? અદાલતે તેમને તેમના પ્રદાન વિશે એફિડેવિટ ફાઇલ કરવા કહેવું જોઈએ? સોશિયલ મીડિયા પર લખવા સિવાય, લેખો લખવા સિવાય કે ઇન્ટરવ્યૂ આપવા સિવાય? સફાઈ કર્મચારીથી માંડીને વડાપ્રધાન સુધીના લોકો અણથક કામ કરી રહ્યા છે.

કોઈને આ પ્લેટફોર્મ રાજકીય ઉપયોગ માટે વાપરવા ન દેતા. (શ્રમિકોનો મુદ્દો લઈને) અદાલતમાં આવનારા લોકોને પહેલાં એમના પ્રદાનની એફિડેવિટ ફાઇલ કરવા દો.

જસ્ટિસ સંજય કૃષ્ણ કૌલઃ સંસ્થાના હિસ્સારૂપ વ્યક્તિઓ જ માનતી હોય કે તેં સંસ્થાને ઉતારી પાડી શકે છે, તો તે કમનસીબ છે. આપણે આપણા અંતરાત્મા પ્રમાણે વર્તવું જોઈએ.

SG: કેટલીક હાઇ કોર્ટો સમાંતર સરકાર ચલાવી રહી છે.
***
આગળની વાતો સોલિસિટર જનરલે અદાલત સમક્ષ કરેલી આરંભિક રજૂઆતમાંથી લીધી છે. તેમાંથી ધ્યાન ખેંચે એવી કેટલીક બાબતોઃ
૧) સરકારના અણઘડ-અસંવેદનશીલ મૅનેજમૅન્ટની ટીકા કરનારા સામે SG પ્રાથમિક ધોરણે દેશ, દેશપ્રેમ, દેશ માટેનો વિવેક વચ્ચે લઈ આવે છે અને એવું સિદ્ધ કરવા માગે છે કે સરકારની ટીકા કરનારા બધા દેશવિરોધી છે અથવા તેમને દેશ માટે લાગણી નથી. આ તરકીબ જૂની ભલે થઈ, પણ સરકારને લાગે છે કે તે હજુ અસરકારક નીવડી શકે છે—ખાસ કરીને સરકારને વર્તમાન શરમજનક સ્થિતિમાંથી ઓછામાં ઓછા રાજકીય નુકસાન સાથે બહાર કાઢવામાં.
૨) બીજું શસ્ત્ર એટલે સચ્ચાઈને નકારાત્મકતા તરીકે ખપાવી દેવી અને પછી નકારાત્મકતાની ટીકા કરવી. આવી કહેવાતી, સગવડિયા અને કુશાસન પ્રત્યે આંખમીંચામણાંના પર્યાય જેવી હકારાત્મકતા વિશે આ પાનાં પર અગાઉ ઘણું આવી ચૂક્યું છે. તેના પુનરાવર્તનની જરૂર નથી.
૩) કરુણ સચ્ચાઈ બતાવતા પત્રકારો ને તસવીરકારો ખૂંચે છે. એટલે તેમને ગીધ તરીકે બદનામ કરી દેવાય તો નિરાંત થાય. જેમનાં પોતાનાં નાક કપાયેલાં હોય તેમને ખબર હોય છે કે પોતાનું નાક તો સાંધી શકાય તેમ નથી. એવા સંજોગોમાં શરમ કેમ છુપાવવી અને કેમ કરીને લાજવાને બદલે ગાજતા ફરવું? સિમ્પલઃ નાકવાળા લોકોનાં નાક પણ કાપવા માંડો. એટલે આપોઆપ બધા સરખા લાગશે, પછી રહેશે ફક્ત  નકટાઓ અને તેમાં તો આપણને કોણ પહોંચે એમ છે? બાકી, સરકાર રાતદિવસ જાગે છે તો પત્રકારો પણ રાતદિવસ એક કરીને પરિસ્થિતિ ઉજાગર કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં કોરોનાગ્રસ્ત પણ બની રહ્યા છે. પણ પોતાનું કામ નિષ્ઠાથી કરવા બદલ તેમને દેશના SG તેમની સરખામણી ગીધ સાથે કરવી જોઈએ, એવો ઈશારો કરે છે—અને હા, કાશ્મીરના ફોટોગ્રાફરોને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું તેની બળતરા પણ કાબૂમાં રહી શકતી નથી અને આવા ઠેકાણે પણ ફૂટી નીકળે છે.
૪) શ્રમિકોની મુશ્કેલી માટે અદાલતમાં આવનારાને સરખા જવાબ આપવાને બદલે તમે શું કર્યું? એવું દેશનો સોલિસિટર જનરલ પૂછે તે વૉટઅબાઉટરી એટલે કે ત્યારે-તમે-ક્યાં-હતા માનસિકતાનો કનિષ્ઠ નમૂનો છે. આ સરકારને કોઈ સવાલ પૂછે તેની એટલી બધી ચીડ હોય એમ લાગે છે કે પોતે લોકોને ઉત્તરદાયી છે એ વાત તેના વર્તનમાં ક્યાંય દેખાતી જ નથી. અદાલતો કાંઠલા પકડીને પૂછે નહીં, ત્યાં સુધી તો તે પ્રશ્ન પણ સાંભળતા નથી-સીધા વળતા પ્રહાર માટે મચી પડે છે અને અદાલત પૂછે ત્યારે સાચા જવાબ આપવાને બદલે બીજાં તિકડમ લડાવે છે.
૫) પાછા અદાલતને પણ યાદ અપાવી દે છે કે આ લોકો તો તમારા વિશે પણ ખરાબ બોલે છે. (મતલબ, તમે આવા લોકોની વાત ગણકારશો?) પરંતુ કેટલાંક રાજ્યોની હાઇ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા આદેશ આપ્યા એ તેમનાથી સહન થતા નથી અને બખાળાબાજીમાં બોલી જાય છે કે કેટલીક હાઇ કોર્ટો  સમાંતર સરકાર ચલાવે છે. તેમની આ વાત પરથી તેમના મનમાં અદાલતો માટે કેવો ભાવ છે, તે પણ સ્પષ્ટ થઈ જાય છે.
***
હવે કેટલીક વ્યક્તિઓ સાથે આ દેશના સોલિસિટર જનરલનો દલીલ કરવાનો અંદાજ જુઓઃ

અદાલતઃ શ્રમિકોની નોંધણી, પરિવહન અને ભોજન-પાણીની વ્યવસ્થામાં ઘણાં ગાબડાં અમારા ધ્યાને આવ્યાં છે. નોંધણી પછી પણ પોતાના વારા માટે શ્રમિકોએ બહુ વખત સુધી રાહ જોવી પડે છે.
ધારાશાસ્ત્રી ઇન્દિરા જયસિંઘઃ ચાર કરોડ સ્થળાંતરિત શ્રમિકો પાછા જવાની રાહ જોઈને બેઠાં છે. SG કહે છે કે આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટે વપરાતી ટ્રેનો બીજે વાળી શકાય નહીં. પણ અત્યારે કુલ ૩ ટકા ટ્રેનો વપરાઈ રહી છે.
SG: તમે જેમને પાછા જવું નથી એવા બાકીના શ્રમિકોને પાછા જવા માટે ઉશ્કેરી રહ્યા છો?
ઇન્દિરા જયસિંઘઃ (ટ્રેનોનું પ્રમાણ) અમે રેલવેની અખબારી યાદીમાંથી સંખ્યા આપી છે અને સ્થળાંતરિત શ્રમિકોનો આંકડો કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રત કરાયેલા એક અહેવાલમાંથી ટાંક્યો છે.

ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલઃ વર્તમાન સ્થિતિમાં બધા શ્રમિકોને ઘરે પહોંચતાં ત્રણ મહિના લાગી જશે.
SG: એ લોકો ઘરે જવા માગતા નથી, એ સમજાય છે તમને?
સિબ્બલઃ એવું તમે શી રીતે કહી શકો?
SG: મેં કહ્યું ને કે લોકો સ્થાનિક ઉશ્કેરણીને કારણે પગપાળા નીકળી પડ્યા હતા.

સિબ્બલઃ આ હ્યુમેનિટેરિઅન (લોકહિતને લગતી) કટોકટી છે. તેને રાજકારણ સાથે કશી લેવાદેવા નથી ને તેને અંગત રીતે લેવાની જરૂર નથી.
SG: આ રાજકીય મંચ ન બનવો જોઈએ.
સિબ્બલઃ આ હ્યુમેનિટેરિઅન કટોકટી છે.
SG: આ કટોકટીમાં તમારું શું યોગદાન છે?
સિબ્બલઃ ચાર કરોડ રૂ. એ મારું યોગદાન છે.

અદાલતઃ (બિહારના સરકારના ધારાશાસ્ત્રીને) તમારું રાજ્ય એક માત્ર એવું રાજ્ય છે, જે ટિકિટના રૂપિયા પાછા આપે છે. પણ માણસ પાસે (ટિકિટ ખરીદવાના) રૂપિયા તો હોવા જોઈએ ને. કોઈ શ્રમિક પાસેથી ભાડું વસૂલવાનું નથી..એ ખર્ચ માટે રાજ્યો વચ્ચે ગોઠવણ થવી જોઈએ.
બિહાર સરકાર વતી ધારાશાસ્ત્રી મનીષ કે. સિંઘવીઃ મેં તો સાંભળ્યું છે કે ટિકિટના રૂપિયા કેન્દ્ર-રાજ્ય ૮૫ ટકા-૧૫ ટકાના ધોરણે ચૂકવવાનાં છે.
SG: દરેક રાજ્યનું જુદું આયોજન છે.
***
સુનાવણીની શરૂઆતમાં અદાલતે વતન પાછા ફરતા શ્રમિકોના રેલવેના ભાડા બાબતે શી સ્થિતિ છે તેની ચોખવટ પૂછી. SGનો જવાબ હતોઃ શ્રમિકો જ્યાંથી બેસે તે રાજ્ય ટિકિટનો ખર્ચ ભોગવે છે કે પછી શ્રમિકો જ્યાં પહોંચ તે રાજ્ય એ ખર્ચ ભોગવે છે. કેટલાક કિસ્સામાં, શ્રમિકો જ્યાં પહોંચે છે તે રાજ્યો તેમને ટિકિટના રૂપિયા ચૂકવી આપે છે...શ્રમિકોનું ટિકિટભાડું કેન્દ્રસ્તરેથી નક્કી કરી શકાય નહીં. માટે એ રાજ્યો પર છોડી દેવાયું છે. (આપણને સવાલ થાય કે શ્રમિકો પાસેથી ભાડું લેવું જ નહીં, એવું તો કેન્દ્ર નક્કી કરી શકે કે નહીં? રેલવે તો કેન્દ્રની માલિકીની છે.) અદાલતે કહ્યું કે શ્રમિકોને ખબર ન હોય કે કયું રાજ્ય ભાડું ચૂકવશે કે તેમની પાસે પરિવહનની કોઈ સુવિધા ઉપલબ્ધ છે કે નહીં. માટે આ બાબતે એકસરખી નીતિ હોવી જોઈએ. નહીંતર ગુંચવાડા થશે. ત્યાર પછી અદાલતે બધા સ્થળાંતરિતોને તેમના વતન પહોંચાડવા માટે કેટલો સમય લાગશે અને પ્રવાસ માટે નોંધણી કર્યા પછી તેમને કેટલો સમય રાહ જોવી પડે છે, તે પૂછ્યું. અદાલતના વધુ કેટલાક સવાલ હતાઃ જેમને હજી લઈ જવાના બાકી છે, તેમની પાસેથી કોઈ પણ તબક્કે કોઈ પણ પ્રકારની રકમની માગણી કરવામાં આવી છે? ફુડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે અનાજનો પૂરતો જથ્થો છે, એવા સંજોગોમાં પાછા જવાની વાટ જોતા લોકોને અન્ન પૂરું પાડવામાં આવે છે? તેમને જ્યાં જવું છે ત્યાં પહોંચાડવામાં કેટલો સમય લાગશે? તેમની અન્ન અને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેની દેખરેખ માટે શી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે?’ અદાલતે કહ્યું કે કેન્દ્ર સરકાર કશું કરતી નથી એવું અમે કહેતા નથી. પણ હજુ બીજાં પગલાં લેવાની જરૂર છે.

SGએ જવાબ આપતાં કહ્યું કે આશરે ૧ કરોડ સ્થળાંતરિતોને અત્યાર લગીમાં તેમના સ્થાને પહોંચાડી દેવાયા છે. છે. ઘણા ઠેકાણે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થતાં શ્રમિકોએ પાછા જવાની ના પાડી છે. તેનો અંદાજ રાજ્યો વધુ સારી રીતે આપી શકશે.

અદાલતે ફરી પૂછ્યું, ‘સ્થળાંતરિતોને તેમના સ્થાને પહોંચાડવામાં કેટલો સમય લાગશે? તે માટે શી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે? તેમને ખબર છે કે તેમને પાંચમા કે સાતમા કે દસમા દિવસે લઈ જવામાં આવશે? એક માણસને કહેવામાં આવ્યું હોય કે તેને પાછો લઈ જવામાં આવશે તો કંઈક તો ઠેકાણું હોય ને કે તેને અઠવાડિયામાં કે દસ દહાડામાં લઈ જવાશે. એ સમયગાળો કેટલો છે?’

SGએ કહ્યું કે તેને લગતી ચોક્કસ માહિતી રાજ્યો પાસે હશે અને રાજ્યો તેને લગતો અહેવાલ સુપ્રત કરી શકે. હું માહિતી એકત્ર કરીને પાછો આવીશ. એ વ્યવસ્થા રાજ્યસ્તરે ગોઠવાયેલી છે. એટલે તેમની પાસેથી માહિતી મેળવવી પડશે. હું જવાબદારી તેમના માથે નાખી રહ્યો નથી. રાજ્યો એકબીજા સાથે મળીને કામ કરી રહ્યાં છે.

અગાઉ SGએ અદાલતને માહિતી આપતાં કહ્યું હતું કે ટ્રેનો થકી રોજના ૧.૮૫ લાખ શ્રમિકોને લઈ જવાયા છે. એ પ્રમાણે, ૫૦ લાખ શ્રમિકો ટ્રેનથી અને ૪૭ લાખ શ્રમિકોને સડકરસ્તે લઈ જવાયા છે. તેમણે કહ્યું કે ભારતીય રેલવે તરફથી ૮૪ લાખ ભોજન મફત આપવામાં આવ્યાં છે. રેલવે દ્વારા ભોજન અને પાણી મફત અપાય છે. પહેલું ભોજન રાજ્ય સરકાર તરફથી હોય છે. એક વાર ટ્રેન ચાલુ થાય ત્યાર પછી રેલવે ભોજન આપે છે. મુસાફરી ટૂંકી હોય તો એક ભાણું ને લાંબી હોય તો બે ભાણાં.

SGએ કહ્યું કે શ્રમિકોને પડેલી મુશ્કેલીઓના કેટલાક છૂટાછવાયા બનાવોને મીડિયામાં વારંવાર બતાવવામાં આવે છે. છૂટાછવાયા બનાવો વારંવાર બતાવવાને કારણે ઘેરી અસર પડે છે.તેમણે કહ્યું કે ઘણા કિસ્સામાં સ્થાનિક ઉશ્કેરણીને કારણે શ્રમિકો ચાલતા જવા પ્રેરાયા. ચાલતા લોકો વિશે સરકારને (રાજ્યને) જેવી ખબર પડે કે તરત બસ તેમની પાસે પહોંચે છે અને તેમને નજીકના રેલવે સ્ટેશને લઈ જાય છે.
***
ટૂંકમાં, સોલિસિટર જનરલની આક્રમક રજૂઆત પરથી એવું લાગે કે છૂટાછવાયા બનાવો સિવાય બધા શ્રમિકોનું સરકાર બરાબર ધ્યાન રાખી રહી છે, શ્રમિકોની પીડાને લગતા જે સમાચાર આવે છે તે નકારાત્મકતા કે પુનરાવર્તનનું પરિણામ છે. પીડિતોનાં વિરોધ પ્રદર્શન જ નહીં, દેશભરમાંથી લાખો લોકો સડક પર ચાલતા વતન જવા નીકળી પડે તેમાં સોલિસિટર જનરલને સ્થાનિક ઉશ્કેરણી જવાબદાર લાગે છે. શું અમદાવાદ કે શું દેશ, આ સરકારનું મિથ્યાભિમાન તેના કેટલાક અફસરોમાં એવું ઉતરી આવ્યું છે કે એ લોકો સચ્ચાઈનો ધરાર અને મક્કમતાપૂર્વક અસ્વીકાર કર્યે જ જાય છે.
(નિરીક્ષક વેબવિશેષ, ૩૦-૦૫-૨૦)