Monday, April 19, 2021

કારમા કોરોના-કાળમાં સરકારની ટીકા અને તરફેણઃ કેટલાક પ્રકાર

અત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના ભયંકર મિસમૅનેજમૅન્ટની ટીકા કરનારા લોકોના મુખ્યત્વે આટલા પ્રકાર પાડી શકાય.

૧. (મારા જેવા લોકો) જે વર્ષોથી નરેન્દ્ર મોદીની આત્મમુગ્ધતાની, રાજકીય ફાયદા માટે કોમવાદના ઉપયોગની, સત્તાના અમર્યાદ કેન્દ્રીકરણની તથા આપખુદ કુશાસનની ટીકા કરતા રહ્યા છે. તેમને મન વર્તમાન પરિસ્થિતિમાં માત્રાનો જ ફરક છે, પ્રકારનો નહીં. 

૨. જે લોકોને પોતપોતાનાં કારણસર ધીમે ધીમે કુશાસનનું સત્ય સમજાતું ગયું. તે ખુલીને ટીકા ભલે કરતા નહીં, પણ મનથી સમજતા હતા અને સરકારનું ઉપરાણું લેવું છોડી દીધું હતું. તે લખતા થયા. 

૩. જે લોકોને ગયા વર્ષે કોરોનાના પહેલા આક્રમણ વખતે, લૉક ડાઉનમાં સર્જાયેલી અંધાધૂંધી, પગપાળા ચાલતા ગયેલા લોકો, આરોગ્યસેતુ એપના દાવા, ધમણ વેન્ટિલેટર અને એવી બીજી અનેક અરાજકતાઓથી સમજાયું કે આ સરકારને જૂઠાણા ને અસરકારક પ્રચાર સિવાય ભાગ્યે જ બીજું કંઈ ફાવે છે. એટલે ગયા વર્ષથી તેમનો કલર ઉતરવા માંડ્યો અને તે પણ સમજતા-ક્યારેક લખતા થયા.

૪. પાકો રંગ ધરાવનારા કેટલાક લોકો પણ આ વખતની અરાજકતા અને તેની ઉપર અભિમાની અવગણના તથા સરાસર જૂઠાણાં જોઈને દુઃખી થયા અને સરકારની ટીકા કરતા થયા.

૫. ‘શાણી’ આઇટેમો, જેમણે અત્યાર સુધી સાતત્યપૂર્વકની જીહજૂરી કર્યે રાખી અને વચ્ચે વચ્ચે, ‘અમે તો આવું પણ લખ્યું હતું’—એવી છટકબારી ખુલ્લી રાખવા પૂરતી પ્રતીકાત્મક ટીકા કરી હતી. તેમણે જોયું કે અત્યારે સરકારની ટીકા કરવાથી ભક્ત વાચકવર્ગ બહુ નારાજ નહીં થાય, સરકારવિરોધી ટીકાના પૂરમાં તેમની ટીકા પણ સરકારપક્ષે વિશેષ વાંધો લેવાયા વિના નીકળી જશે  ઉપરાંત, સરકારની ટીકા નહીં કરવાથી તેમની અસલિયત સાવ ભોળાભટાક લોકો આગળ પણ ઉઘાડી પડી જશે.
*

તેમ છતાં, હજુ ઘણાને સરકારની ટીકા કરવાપણું લાગતું નથી. કેટલાંક કારણઃ

૧. ‘અમે તો બા, પોલિટિક્સમાં પડીએ જ નહીં. અમે તો બા, બહુ ઠરેલ, બહુ સંસ્કારી, બહુ સાહિત્યકળાપ્રેમી.’

૨. ‘એંહ, આ સરકારની ટીકા? કદી નહીં. અમે કોંગ્રેસી નથી. અમે ડાબેરી, અર્બન નક્સલ, હિંદુત્વદ્વેષી, મુસ્લિમતરફી, રાષ્ટ્રવિરોધી નથી. અમે તો આ સરકારની પડખે જ ઊભા રહેવાના. ચાહે ગમે તે થાય.’ (‘કારણ કે આ સરકાર અમારા દ્વેષ, અમારી કુંઠા, અમારા ભય, અમારા પૂર્વગ્રહ જેવી બાબતોનું આબાદ પ્રતિનિધિત્વ કરે છે.’)

૩. ‘અમને પણ લાગે છે કે પાણી માથા પરથી વહી ગયું છે. છતાં, મોદીભક્તિની સાથે અમે અમારી જાતને સાંકળી લીધી છે-અમારી આબરૂને હોડમાં ગણી લીધી છે. એટલે બધું સમજતા હોવા છતાં, અમે કશું નહીં લખીએ-બોલીએ. તમે સમજો, આમાં અમારી પણ આબરૂનો સવાલ થઈ જાય છે.’

૩. ‘અમે તો પોઝિટિવ થિંકિંગમાં માનીએ છીએ. આવા સમયે નકારાત્મક વાતો ન ફેલાવવી જોઈએ. (‘અમને સચ્ચાઈ કરતાં હકારાત્મકતા વધારે વહાલી છે. ખાસ કરીને સચ્ચાઈ અમારાં રાજકીય વલણોને અનુકૂળ ન હોય ત્યારે.’)

૪. ‘આવી બાબતોમાં રાજકારણ ન લાવવું જોઈએ.’ (‘એ તો ત્યારે જ લવાય, જ્યારે અમારા વહાલા નેતાને ફાયદો થતો હોય.’)

૫. ‘કૉંગ્રેસ હોત તો પણ શું ઉખાડી લેવાની હતી? એના કરતાં આ શું ખોટા છે?’ (અને મૂળ તો, અમને ભાજપનું સંકુચિત, હિંદુ ધર્મના હાર્દથી વિપરીત અને કોમવાદી, રાજકીય ‘હિંદુત્વ’ અમને બહુ ભાવે છે. એના માટે અમે બધું વેઠવા તૈયાર છીએ. અમારો વાંધો અનિષ્ટ સામે નહીં, ફક્ત કોંગ્રેસનાં અનિષ્ટ સામે હતો.) 

૬. ‘તમારા ઘરમાં દસ માણસ રહેતાં હોય ને એ બધાંને એક સાથે પેટમાં ગરબડ થાય, તો ઘરમાં દસ શૌચાલય હોય? બસ, સરકારને એવું જ થયું છે. હેંહેંહે. ’ (‘સરકારનો બચાવ કરવાનો આવે ત્યારે અમે કોઈ પણ હદે જઈ શકીએ. સરકારની કામગીરીનું-તેની ફરજનું-તેના સ્કેલનું મૂળભૂત અજ્ઞાન દર્શાવતી રમૂજ પણ ખપમાં લઈ શકીએ.’)

1 comment:

  1. When the people are deep in the hero worship, then they don't see the reality and follow their revered hero blindly, wherever he takes them and that's what is happening in the current situation.
    this is horrible, highly embarrasing and shameful.

    ReplyDelete