Showing posts with label sonia gandhi. Show all posts
Showing posts with label sonia gandhi. Show all posts

Tuesday, May 24, 2016

કોંગ્રેસ : જાગીને જુએ તો...

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીએ કોંગ્રેસ વિશે કેટલાંક જૂનાં સત્યો તાજાં અને નવાં સત્યો ઉજાગર કરી આપ્યાં.

જેમ કે, કોંગ્રેસ શીતનિદ્રામાં સરી ગયેલો પક્ષ છે. શીતનિદ્રામાં જનારાં પ્રાણીઓ શિયાળો પૂરો થયે ફરી જીવતાં થવાની તક હોય છે, પણ એ જીવતાં થાય જ એ અનિવાર્ય નથી. છેલ્લાં બે વર્ષમાં કોંગ્રેસની વર્તણૂંક જોતાં તે ફરી ચેતનવંતી થશે કે કેમ, એ વિશે ગંભીર શંકાઓ જાગી હતી. ચૂંટણીનાં પરિણામ એ શંકાને ટેકો કરી રહ્યાં છે. આંકડાપ્રેમીઓએ કહ્યું છે તેમ, હવે ભારતના માંડ છ ટકા ભૌગોલિક હિસ્સા પર કોંગ્રેસશાસિત સરકાર બચી છે. નવાઇ એની પણ નથી. સૃષ્ટિની જેમ રાજકારણમાં આવી ઉથલપાથલો થયા કરે. પરંતુ કોંગ્રેસની બોધપાઠ નહીં લેવાની વૃત્તિ નોંધપાત્ર છે.

લોકસભાની ચૂંટણીમાં બેઠકસંખ્યાની રીતે બે આંકડામાં આવી ગયેલી અને સંખ્યાત્મક રીતે વિરોધપક્ષના નેતાનો દરજ્જો પણ ન મળે, એટલી હદે કોકડું થઇ ગયેલી કોંગ્રેસ માટે એ પણ એક તક હતી. કેટલીક વાર સાદી સારવાર કામ ન લાગે, ત્યારે શોક થેરપી કામ કરતી હોય છે. એ ન્યાયે લોકસભામાં પછડાટ પછી કોંગ્રેસ નવેસરથી મોટું મશીન ચાલુ કરવાની કવાયત આદરી શકી હોત. રાજકારણમાં કશું અશક્ય કે કાયમી નથી હોતું. પરંતુ રાહુલ ગાંધી-સોનિયા ગાંધીનો સતત બચાવ કરવાની, તેમને કોઇ દોષ નહીં આપવાની અને જે કંઇ સારું થાય તે બધાનું શ્રેય એમને જ આપવાની વૃત્તિથી કોંગ્રેસ શાહમૃગ અને ડાયનોસોરનું વિચિત્ર સંયોજન બની ગઇ છે. વિધાનસભાની ચૂંટણીઓમાં કોઇ એક જ પક્ષ નિર્વિવાદપણે પરાજિત તરીકે ઉભર્યો હોય તો એ કોંગ્રેસ છે. પરંતુ હજુ એ પાંચ ચૂંટણીઓના સરવાળામાં પોતાની બેઠકો વધારે છે, એવાં આશ્વાસનો લીધા કરશે તો તેનું રહ્યુંસહ્યું ડૂબવાનું પણ નક્કી છે.

કોંગ્રેસે એ સ્વીકારી લેવાની જરૂર છે કે તેની સીધી સ્પર્ધા હવે ભાજપ સાથે નથી. કારણ કે કોંગ્રેસ હવે રાષ્ટ્રિય પક્ષ રહ્યો નથી. યુપીએના જમાનાની રાજસી માનસિકતામાંથી બહાર આવીને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી અને તેમના સલાહકાર મંડળે હવે ઇંચ-ઇંચ જમીન માટે, ખરું જોતાં અસ્તિત્ત્વ માટે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે. અને તેમાં જવાહરલાલ નેહરુની મહાનતા કે ઇંદિરા ગાંધીની કાબાગીરી કોઇ કામ આવે તેમ નથી. સોનિયા ગાંધીએ રાજકારણમાં કેળવેલી અને દર્શાવેલી રાજકીય ચતુરાઇ પણ સંઘર્ષ કરીને નવેસરથી બેઠા થવાની પ્રક્રિયામાં કેટલી કામ આવે એ સવાલ છે. માટે, કોંગ્રેસ ભવ્ય ભૂતકાળના મિથ્યાભિમાનમાંથી જેટલી વહેલી બહાર આવે અને જમીની કામધંધે લાગે, એટલું એનું ભલું છે.

બીજા અનેક લાયક ઉમેદવારો મૂકીને રાહુલ ગાંધીને વડાપ્રધાનપદ માટે રજૂ કરવાનું જોખમ કોંગ્રેસે લીધું અને તેનું પરિણામ પણ ભોગવ્યું. ઠીક છે. પણ એક દાયકા સુધી રાહુલ ગાંધીને દૂધપાક ખેલાડી તરીકે રમાડીને અને વાસ્તવિક સત્તાથી-જવાબદારીથી-ઉત્તરદાયિત્વથી દૂર રાખીને એક રીતે કોંગ્રેસે પોતાનું અને રાહુલ ગાંધીનું મોટું નુકસાન કર્યું છે. લોકો બીજા બધાથી કંટાળીને જ્યાં સુધી રાહુલ ગાંધીને વડાપ્રધાન નહીં બનાવે ત્યાં સુધી અમે રાહ જોવા તૈયાર છીએ એવી વૃત્તિને વફાદારી નહીં, આત્મઘાત કહેવાય અને આવું માનનાર હિતેચ્છુ નહીં, હિતશત્રુ ગણાય. ધારો કે રાહુલ ગાંધી અત્યંત સજ્જન હોય, તો પણ આ ક્ષેત્રમાં તે નિષ્ફળ ગયા છે તેનો સ્વીકાર જેટલો ઝડપથી થાય, એટલો કોંગ્રેસના અને દેશના ફાયદામાં છે.

કોંગ્રેસ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેની તાકાત ગણાતું તેનું વૈવિધ્ય ગાંધી પરિવારની ધરી ન હોય તો વેરવિખેર થઇ શકે છે. જુદા જુદા ક્ષેત્રીય નેતાઓની ભારી ગાંધી પરિવારનું દોરડું ન હોય તો છૂટી પડી જાય. બીજી તરફ, એ દોરડું જ એટલું મજબૂત રહ્યું નથી કે તે ભારીને એકજૂટ રાખીને મુકામ સુધી પહોંચાડી શકે. આ સંજોગોમાં દોરડું બદલાય અથવા ભારી છૂટી પડે. આસામમાં ત્રણ મુદતથી મુખ્ય મંત્રી રહેલા કોંગ્રેસી તરુણ ગોગોઇ પુત્રપ્રેમમાં પોતાના સમર્થ સાથી હિમંતાવિશ્વ શર્માની ઉપેક્ષા કરતા રહ્યા. ચૂંટણી જીતાડવામાં મહત્ત્વના ખેલાડી ગણાતા શર્મા છેવટે નારાજ થઇને ભાજપમાં જોડાઇ ગયા અને આસામમાંથી કોંગ્રેસનું શાસન ઉખાડવામાં મહત્ત્વનું પરિબળ બની રહ્યા. પુત્રપ્રેમ અને રાજકીય ભવિષ્ય—બન્ને સાથે લાંબા સમય સુધી ફળદાયી બની શકતાં નથી. ગોગોઇ હોય કે ગાંધી, માવતરોએ આ વાત સમજવાની હોય છે. પરંતુ સાહેબને (કે મેડમને) કોણ કહે કે તમારું મોં પક્ષપાતથી ગંધાય છે?

ભાજપ ભલે ગમે તેવા દાવા કરે, આસામમાં તેનો વિજય મહદ્ અંશે ભાજપની નીતિવિષયક બાબતો થકી નહીં, કોંગ્રેસથી અસંતુષ્ટ નેતાઓ ભાજપમાં ભળ્યા અને તેમની મદદથી (તથા કેન્દ્રના હાઇકમાન્ડની દખલગીરી વિના) સ્થાનિક સ્તરે અસરકારક વ્યૂહરચનાઓ ગોઠવાઇ, તેના કારણે થયો છે. બાકી, ભાજપી રાજકારણના સ્વીકારનો જ મામલો હોત તો પશ્ચિમ બંગાળમાં ભાજપી નેતાગીરીએ કઇ વાતે કસર છોડી હતી? પરંતુ પક્ષપ્રમુખ અમિત શાહની કહેવાતી જાદુગરી હવામાં ઓગળી ગઇ અને બંગાળમાં ભાજપને પરાજયનો કડવો ઘૂંટડો પીવો પડ્યો.

કોંગ્રેસની મુશ્કેલી એ છે કે તેણે હવે ફક્ત ભાજપ સામે નહીં, બીજા અનેક વ્યક્તિકેન્દ્રી ક્ષેત્રિય પક્ષોના મુખિયા સાથે પનારો પાડવાનો થશે—અને એ પણ પોતે સિંહાસન પર બેસીને અને એ લોકોને દરબારી તરીકે ગણીને નહીં. તેમને સરખેસરખા અને હકીકતમાં તો પોતાના કરતાં વધારે સત્તા ધરાવતા નેતાઓ તરીકે સ્વીકારીને. કારણ કે એ નેતાઓ પાસે કંઇ નહીં તો છેવટે એક રાજ્ય તો એવું છે, જ્યાં તેમનો દબદબો હોય અને તેમના પક્ષની સરકાર હોય. કોંગ્રેસ પાસે કર્ણાટકના અપવાદને બાદ કરતાં એવું એકેય મોટું રાજ્ય બચ્યું નથી. એટલે કોંગ્રેસ માટે સૌથી પહેલું કામ રાષ્ટ્રિય સ્તરે ભાજપને ટક્કર આપવાનું નહીં, થોડાં કે એકાદ રાજ્યમાં પણ નવેસરથી પોતાનો પાયો ઊભો કરવાનું છે. એ કામ હાઇકમાન્ડના રીમોટ કન્ટ્રોલથી નહીં, સ્થાનિક નેતાગીરીના સ્વીકારથી ને તેમને મોકળાશ આપવાથી શક્ય બને છે.

હજુ કોંગ્રેસ અને કોંગ્રેસીઓ એવી આશા સેવતાં હશે કે રાહુલ ગાંધી ભલે ન ચાલ્યા, પ્રિયંકા ગાંધી આવશે અને કોંગ્રેસનો ઉદ્ધાર કરી નાખશે તો ગાંધીપરિવારના ભક્તો તેને વિજેતા વ્યૂહરચના તરીકે ભલે વધાવી લે, પણ કોંગ્રેસ માટે એ નાલેશી ગણાશે. પ્રિયંકા ગાંધી જીતાડે કે નહીં એ મુદ્દો જ નથી. કોંગ્રેસ કારમી પછડાટો ખાધા પછી બેઠા થવાની ક્ષમતા ગુમાવી ચૂકી હોય અને પ્રિયંકા ગાંધી જેવા શોર્ટકટ ઉપર હજુ પણ તેનો આધાર હોય, તો એ ગાફેલિયતની-પરિવારભક્તિની હદ ગણાય.


સોનિયા ગાંધી માટે સવાલ ભલે તેમના પુત્રની કારકિર્દીનો કે પક્ષના શાસનનો હોય, નાગરિકો માટે રાષ્ટ્રિય સ્તરના અસરકારક વિપક્ષનું હોવું એ લોકશાહીની તંદુરસ્તીનો પ્રશ્ન છે. 

Tuesday, April 29, 2014

મતદાર : ‘ઑડિયન્સ’ કે નાગરિક?

એક ભાઇને એવી ટેવ કે પોતે ચમકતો ગુલાબી ઝભ્ભો પહેરીને આવ્યા હોય, પણ કેવાં કપડાં પહેરવાં જોઇએ તેની વાત નીકળે એટલે એ જોસ્સાભેર કહી દે, ‘હેંહેંહે, ચમકતો અને એ પણ ગુલાબી ઝભ્ભો- એવું તે કંઇ આપણાથી પહેરાતું હશે?’આટલી ઉઘાડી બેશરમી અને બેધડક છેતરપીંડી છતાં, તેમને ખાતરી હોય કે આમ કહેતી વખતે તેમણે પોતે ચમકતો ગુલાબી ઝભ્ભો જ પહેર્યો છે, એ લોકો નજરઅંદાજ કરશે. દસમાંથી સાત લોકો જોયું- ન જોયું કરશે. બાકીના ત્રણમાંથી એકાદ જણ ગણગણાટ કરી શકે છે, પણ સંખ્યાત્મક લોકશાહીમાં તેમની શી વિસાત?

લોકોને આત્મવિશ્વાસપૂર્વક મૂર્ખ બનાવીને કે ભપકાદાર-ભવ્ય જૂઠાણાંથી તેમને આંજીને ‘છવાઇ જવાની’ તરકીબ કટારલેખન કરતાં ઘણી વધારે ગંભીરતાથી રાજકારણમાં પ્રયોજાતી રહી છે.

જેમ કે, કોંગ્રેસ દ્વારા થતી સેક્યુલારિઝમની વાર્તાઓ. કોંગ્રેસે મુસ્લિમ સમાજના પ્રગતિશીલ હિસ્સાને હાંસિયામાં ધકેલીને જૂનવાણી બળોને પ્રોત્સાહન આપ્યું છે - અને આ કરતી વખતે તેની જીભે રટણ તો સેક્યુલારિઝમનું જ હોય. ગુજરાતની કોમી હિંસા વખતે ઘણા કોંગ્રેસીઓ ટોળાં સાથે જોડાઇ ગયા હતા. એટલું જ નહીં, હુલ્લડબાજીના આરોપસર જેલમાં ગયેલા કેટલાકને સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ટિફીન પણ પહોંચાડતા હોવાનું નોંધાયું છે. આ એક બાબતમાં સક્રિયતાને બાદ કરતાં, ગુજરાતનું વાતાવરણ થાળે પાડવામાં કોંગ્રેસી નેતાઓ લગભગ નિષ્ક્રિય અને સદંતર નિષ્ફળ રહ્યા. છતાં, તેમનો દાવો તો સેક્યુલારિઝમનો જ. સોનિયા ગાંધી ચૂંટણી વખતે મુસ્લિમ ધર્મગુરુને મળવા જાય અને તેમની પાસેથી કોંગ્રેસતરફી મતદાન માટેની અપીલો કરાવે. છતાં માળા સેક્યુલારિઝમની જપવાની. સહેંહેંહેં, ચમકતો અને એ પણ ગુલાબી ઝભ્ભો - એવું તે કંઇ આપણાથી પહેરાતું હશે?

૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોના ઘેરા ડાઘ ધોવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરવાનો નહીં. હૃદયપૂર્વકની માફી પણ બાજુ પર રહી. ઉલટું, ટાઇટલર જેવા નેતાઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવાને બદલે તેમને ચાલુ રાખવાના. પણ ગુજરાતની કોમી હિંસાની વાત આવે એટલે કકળાટ મચાવવાનો. હેંહેંહેં...આપણે તો આવું કરતા હોઇશું?

પણ એક વાત સ્વીકારવી પડે. આ ‘કળા’માં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ખરેખર નંબર વન ‘કળાકાર’ છે. વડાપ્રધાન બનવા માટે તલપાપડ મોદીએ તેમના ચૂંટણીપ્રચારમાં  જે વચન અને નિવેદન આપ્યાં છે, તેમાં રહેલા કાતિલ દંભનું અને બેશરમ આત્મવિશ્વાસનું પ્રમાણ ભયજનક સપાટી વટાવી ગયું છે.  આ નિવેદનો ‘ચમકતા ગુલાબી ઝભ્ભા’ કરતાં ઘણાં વધારે મહત્ત્વપૂર્ણ વિષયો અંગેનાં છે.

એ જુદી વાત છે કે મોદીની સામે અથવા તેમની વાત આવે એટલે ઘણા લોકો નાગરિક મટીને ઑડિયન્સ બની જાય છે- જાદુનો ખેલ જોવા જતું ઑડિયન્સ. જાદુગરો પ્રામાણિક હોય છે. એટલે એ મનોરંજન માટે ઑડિયન્સને નિર્દોષ રીતે છેતરે છે, જ્યારે નેતાઓની - અને અહીં વાત થાય છે તે વડાપ્રધાનપદના ઉમેદવારની- છેતરપીંડી નિર્દોષ હોતી નથી.  તેમણે ઊભું કરેલું સામુહિક સંમોહન ‘ઑડિયન્સ’ને ભીંત ભૂલાવે છે.

આરોપ વઘુ પડતો તીખો લાગે છે? તો, વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકેની મોદીએ આપેલાં વચન અને એ જ બાબતોમાં મુખ્ય મંત્રી તરીકેની તેમની વર્તણૂંકને સાથે મુકવાથી કાતિલ દંભનો મુદ્દો સ્પષ્ટ થઇ જશે.

વડાપ્રધાન બન્યા પછી દેશમાં સ્વચ્છ-ભ્રષ્ટાચારમુકત શાસન આપવાનો દાવો ‘અબકી બાર, મોદી સરકાર’ના પ્રચારમાં કરવામાં આવે છે. પરંતુ એ જ મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે રાજ્યમાં લોકાયુક્તની નિમણૂંકમાં રોડાં નાખવામાં કોઇ કસર છોડી ન હતી,  એ ઉઘાડી અને જાણીતી સચ્ચાઇ છે. સ્વચ્છ-ભ્રષ્ટાચારમુક્ત શાસન ધરાવનાર મુખ્ય મંત્રીએ લોકાયુક્તથી ગભરાવાની જરૂર ન હોય. પરંતુ  અન્ના આંદોલનને હોંશે હોંશે સગવડીયો ટેકો આપનાર મોદી પોતાના શાસનમાં તટસ્થ લોકાયુક્ત નીમાય એ શક્યતાથી શિયાંવિયાં થતા હતા.

‘કેગ’ના અહેવાલના આધારે કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ કરવામાં મુખ્ય મંત્રી મોદી બહુ ઉત્સાહી. પરંતુ એ જ ‘કેગ’ દ્વારા ગુજરાત સરકારના નાણાંકીય વ્યવહારોની ટીકા થઇ, ત્યારે મુખ્ય મંત્રી તરીકે મોદીએ શું કર્યું? રાજીનામું આપી દીઘુંં? ગળે ઉતરે એવો તાર્કિક ખુલાસો આપ્યો? ના, તેમણે વિધાનસભામાં છેક છેલ્લા દિવસે કેવળ ઔપચારિકતા ખાતર ‘કેગ’નો અહેવાલ રજૂ કર્યો હતો. એ જ મોદી વડાપ્રધાન બન્યા પછી ભ્રષ્ટાચારમુક્ત શાસનનો વાયદો કરે છે.

મહિલા સુરક્ષા વિશે વાત કરવા માટે પણ ‘મોદી સરકાર’ ઉત્સુક હોય છે. એક મુલાકાતમાં તેમણે ગુજરાતની નવરાત્રિનો દાખલો આપીને, પોતાના રાજમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એની વાત કરી હતી. ગુજરાતના નાગરિકોએ વિચારવાનો પ્રશ્ન : ગુજરાતની બહેન-દીકરીઓ મુખ્ય મંત્રી મોદીના રાજ પછી જ- એટલે કે ૨૦૦૧ પછી જ-નવરાત્રિમાં રાત્રે બિનધાસ્ત હરતીફરતી થઇ? ત્યાર પહેલાં એ અસલામતીથી ઘરમાં ગોંધાઇ રહેતી હતી?

પોતે વડાપ્રધાન બને તો રાજકારણને અપરાધીઓથી મુક્ત બનાવશે એવો વાયદો મોદીએ કર્યો છે. તેમણે કહ્યું છે કે એ વડાપ્રધાન બનશે તો દાગી સાંસદો-વિધાનસભ્યો સામે ઝડપથી કેસ ચલાવવા માટે  સર્વોચ્ચ અદાલતને કહેશે. પ્રશ્ન એ થાય કે કોઇ વડાપ્રધાન ગમે તેટલો સારો ઇરાદો હોવા છતાં, અમુક કેસ ઝડપથી ચલાવવા એવું સર્વોચ્ચ અદાલતને કહી શકે? સર્વોચ્ચ અદાલત વડાપ્રધાનની સૂચના પ્રમાણે વર્તતી સંસ્થા નથી. માટે, વડાપ્રધાન બનતાં પહેલાં કોઇ ઉમેદવાર ‘સર્વોચ્ચ અદાલતને હું આમ કહી દઇશ’ એવી વાત કરે ત્યારે તેના અજ્ઞાન કે આપખુદ આત્મવિશ્વાસ વિશે ચિંતા થવી ન જોઇએ?

રહી વાત તેમના અપરાધીમુક્ત રાજકારણના દાવાની. ‘હેંહેંહેં, આપણે તે કંઇ ચમકતો ગુલાબી ઝભ્ભો પહેરતા હોઇશું?’ સ્ટાઇલનો તે વઘુ એક ઉત્તમ નમૂનો છે. સૌ જાણે છે : અમિત શાહ મોદીનો જમણો હાથ છે - અને તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કે કટોકટીના વિરોધમાં નહીં, નકલી એન્કાઉન્ટરના કેસમાં જેલ જઇને જામીન પર છૂટેલા છે.

અમિત શાહ મંત્રીપદે હોય કે ન હોય, ગુજરાતની ‘મોદી સરકાર’માં તેમના હાથ બહુ લાંબા રહ્યા છે. ‘સાહેબ’ના આદેશથી એક ગુજરાતી યુવતી પર જાસુસી કરાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે અમિત શાહ વગોવાઇ ચૂક્યા છે. તેમણે, સંભવતઃ ‘સાહેબ’ના આદેશથી જ, એક નિર્દોષ છોકરીની જાસુસી માટે અને તેની રજેરજની હિલચાલની વિગતો મેળવવા માટે તેની પાછળ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ લગાડી દીધી હતી. એ આખો વાર્તાલાપ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને અખબારોમાં પણ આવી ચૂક્યો છે.

અમિત શાહના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પોલીસ અફસરો સહિત ડઝનબંધ વિશ્વાસુ પોલીસ અધિકારીઓ જેલમાં અથવા જામીન પર છે. (દરમિયાન, એકેય એન્કાઉન્ટર રાજ્યના હિતમાં કે મુખ્ય મંત્રીનો જીવ બચાવવા માટે થયાં ન હતાં એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે.) ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણજયંતિ ઉજવાઇ ત્યારે યોજાયેલા ભવ્ય સમારંભમાં મુખ્ય મંત્રી સહિત આખું મંત્રીમંડળ મંચ પર ઉપસ્થિત હતું, પરંતુ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ  ધરપકડની આશંકાથી એ સમારંભમાં ગેરહાજર રહ્યા હતા. આ અમિત શાહને જમણા હાથ તરીકે રાખીને મોદી રાજકારણમાંથી અપરાધીઓને દૂર કરવાનો વાયદો આપે છે.

ફક્ત અમિત શાહ જ શા માટે, કોમી હિંસાનાં આરોપી માયાબહેન કોડનાનીને મુખ્ય મંત્રી મોદીએ પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીની પકડ સંપૂર્ણ હોવા છતાં, તેમના મંત્રીમંડળમાં બાબુભાઇ બોખીરીયા અને પુરુષોત્તમ સોલંકી જેવા અપરાધનો ઇતિહાસ ધરાવતા નેતાઓને સ્થાન મળતું રહ્યું છે. અને આ જ મોદી મુખ્ય મંત્રીને બદલે વડાપ્રધાન બની ગયા પછી, રાજકારણને અપરાધીમુક્ત બનાવી દેવાનો વાયદો આપે છે. ટીવી પર મોદીના ફિક્સ્ડ લાગતા ઇન્ટરવ્યુ લેનારા કોઇ એમને પૂછતા નથી કે અમિત શાહ, બોખીરીયા, સોલંકી જેવા મહાનુભાવો વિશે મોદીને શું કહેવાનું છે. ‘અપરાધી સાબીત ન થાય ત્યાં સુધી નિર્દોષ’ની ઘીસીપીટી રેકોર્ડ જ વગાડવાની હોય તો પછી કોંગ્રેસમાં અને મોદીમાં ફરક શો? અને આટલી ગર્જનાઓનો શો અર્થ છે?

ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શિક્ષત ઉમેદવારનું સરકારી રાહે શોષણ કરવા માટે ‘વિદ્યાસહાયક’ અને ‘અઘ્યાપકસહાયક’ જેવી વિશિષ્ટ વ્યવસ્થાઓ ઊભી કરી છે. પાંચ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મામુલી પગારમાં શિક્ષિતો પાસે નોકરી કરાવવી, એ રાજ્યસ્તરે મોદીનો રોજગારીનો ખ્યાલ છે અને વડાપ્રધાન બન્યા પછી એ રાષ્ટ્રિય સ્તરે બેરોજગારી દૂર કરવાના છે.

યાદ રહે, આ વાતોમાં ક્યાંય મુસ્લિમોનો કે ૨૦૦૨ની કોમી હિંસાનો મુદ્દો તો હજુ સુધી આવ્યો જ નથી. એ સિવાયના મુદ્દા પણ પૂરતા ગંભીર અને ચિંતાજનક છે. લોકો ભલે મનમોહનસિંઘને ‘મૌનમોહન’ કહે, ભીંસમાં આવે ત્યારે નરેન્દ્ર મોદીને પણ ‘મૌનમોહન’ બનતાં વાર લાગતી નથી. (એક ઉદાહરણ : આશ્રમમાં બાળકોની હત્યાના મુદ્દે મુખ્ય મંત્રીનું નિવેદન કદી જોયું-સાંભળ્યું?)

આગળ લખેલી બધી વિગતો જાહેર છે. પ્રસાર માઘ્યમોમાં આવી ચૂકી છે. હવે મતદારોએ નક્કી કરવાનું છે કે તે ‘ઑડિયન્સ’ છે કે જાગ્રત નાગરિક? તે કાતિલ દંભથી છેતરાવા ઉત્સુક છે? કે ખુલ્લી આંખે- ખુલ્લા મને જોઇ-વિચારી શકે છે? આ ચૂંટણીમાં પસંદગી કોઇ પક્ષ કે નેતાની નહીં, આ સવાલોના જવાબની થવાની છે.

Friday, March 28, 2014

ચૂંટણીડાયરીનાં પાનાં

ઉનાળાની અને લોકસભાની ચૂંટણીની ગરમીમાં તાપ અને અસલામતીથી પરસેવે રેબઝેબ થતા નેતાઓ કમ સે કમ એક બાબતમાં- ડાયરી લખવામાં- પ્રામાણિક હોય તો કેવાં લખાણ વાંચવા મળે?
***

સોનિયા ગાંધીની ડાયરી 

આજે જાગવામાં બહુ મોડું થયું. ઘણા બધા લોકો મારા વિશે અને કોંગ્રેસ વિશે પણ આવું માને છે કે અમે મોડાં જાગ્યાં છીએ... બટર લેટ ધેન નેવર. હા, ‘બેટર’ નહીં, ‘બટર’ જ લખ્યું છે. અમારી પાર્ટીને બ્રેડ મળે કે ન મળે, અમને કદી બટરની તંગી પડવાની નથી. કારણ કે અમને હજુુ એવું જ કહેવામાં આવે છે કે ‘આપણને ૩૦૦ સીટ આરામથી મળી જશે.’ મેં ઇન્ડિયન માયથોલૉજી વાંચી છે. આફ્‌ટરઑલ, આય એમ એન ઇન્ડિયન બહુ. ‘નરો વા, કુંજરો વા’ વિશે મેં સાંભળ્યું છે. એટલે ૩૦૦ સીટની વાત કરનારાને જેવી હું સહેજ કડકાઇથી પૂછું કે ‘કઇ સીટની વાત કરો છો?’ એટલે એ તરત ગેંગેંફેંફેં થઇને કહે છે,‘હું તો મલ્ટીપ્લેક્સમાં ગ્રુપ શોના બુકિંગની વાત કરતો હતો.’

મને ખુશામત જરાય ગમતી નથી. મેં કેટલી વાર લોકોને કહ્યું છે કે ‘તમે મને ખરાબ લાગવાની ચિંતા કર્યા વિના સાચી વાત કરો.’ તો એ લોકો કહે છે, ‘મૅડમ, અમે સાચું જ કહીએ છીએ. જરાય મસકા મારતા નથી, પણ હકીકત એ છે કે આ નરેન્દ્ર મોદી તમારાથી ગભરાય છે.’ આ સાંભળીને મેં ડોળા કાઢ્‌યા. એટલે એ કહે, ‘હું જરાય ખુશામત કરતો નથી, પણ તમે જ વિચારો. મોદી તમારાથી ગભરાતા ન હોત અને તમારી લોકપ્રિયતાથી ચિંતિત ન હોત તો એ રાયબરેલીમાં તમારી સામે કે અમેઠીમાં રાહુલબાબા સામે ન ઊભા હોત?’

મેં એમને પૂછ્‌યું, ‘પક્ષ માટે તમે શું કરવા ધારો છો? એ થોડી વાર મારી સામે જોઇ રહ્યા. પછી ઘડીકમાં અહમદભાઇ સામે, તો ઘડીકમાં મઘુસુદન મિસ્ત્રી સામે જોવા લાગ્યા અને પછી ધીમે રહીને કંઇ ગણગણીને જતા રહ્યા. એમના ગયા પછી અહમદભાઇએ મને કહ્યું કે મેડમ, તમારો સવાલ બહુ અદ્‌ભૂત હતો- ‘કેબીસી’માં એક કરોડ રૂપિયા માટે પૂછાય એવો, પણ હમણાં આવા સવાલ ન પૂછતાં. પેલો એવું કહીને ગયો કે ‘મારી ભાજપ સાથે વાટાઘાટો ચાલે જ છે. તમે ટિકિટ નહીં આપો તો અસંતુષ્ટ બનીને, અંદર રહીને ભાંગફોડ કરવાની આપણી પરંપરા આગળ ધપાવવાને બદલે, પક્ષના હિતમાં મારે ભાજપમાં જોડાઇ જવું પડશે.’

રાહુલ ગાંધીની ડાયરી

મારું નામ રાહુલ ગાંધી છે. હું કોંગ્રેસનો વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી...એટલે કે છું...એટલે કે આમ છું, પણ આમ નથી...

આટલાં વર્ષે આ બઘું લખવું પડે એ શોભાસ્પદ ન કહેવાય, પણ સાલું, સોરી, મને હમણાનું કોઇ પૂછતું જ નથી. સમાચારોમાં મફલર ને દાઢી બે જ દેખાય છે. મેં કરાંજી કરાંજીને બોલી જોયું, આક્રમક નિવેદન કર્યાં, દાઢી વધારી જોઇ, છપ્પનની છાતીવાળા કુર્તા મંગાવી જોયા, પણ કોણ જાણે કેમ, મીડિયાને મારામાં રસ પડતો નથી. સમારે શું કરવું જોઇએ? એવું પૂછ્‌યું, તો એક જણે કહ્યું, ‘શેઠ, આપણી પાસે સખ્ખત આઇડીયા છે. તમે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરો અને એ પાછું ખેંચવાની છેલ્લી તારીખે તમે ઉમેદવારી પાછી ખેંચી લો. પછી જુઓ. દેશવિદેશમાં મીડિયા કેવી તમારી નોંધ લેશે. ઇન્ટરવ્યુ પર ઇન્ટરવ્યુ...

‘ઇન્ટરવ્યુ’ સાંભળીને મને અર્નબ ગોસ્વામી યાદ આવ્યો. ના, મારે ઇન્ટરવ્યુ નથી આપવો. ના, મારે પણ મોદી થવું છે. મારે ઇન્ટરવ્યુ નથી આપવો. મારે પણ મોદી જેવા પ્રીફેબ્રિકેટેડ ઇન્ટરવ્યુ જ આપવા છે. પરંતુ મારા અંતરનો આર્તનાદ કોઇ મીડિયાવાળા સાંભળતા નથી અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની સલાહ આપે છે.

એ માણસે તો એવું પણ કહ્યું કે તમારા કુટુંબમાં બલિદાનની ઉજ્જવળ પરંપરા છે. તમારા પિતાએ જીવનનું બલિદાન આપ્યું, તમારાં માતાએ ચૂંટાયા પછી વડાપ્રધાનપદનો ત્યાગ કર્યો, તો તમારે ચૂંટાતા પહેલાં- ચૂંટણીનો જ ત્યાગ કરીને, સર્વોચ્ચ બલિદાન આપવું જોઇએ. ત્યાર પછી તમારી તરફેણમાં સહાનુભૂતિનું એવું મોજું ઊભું થશે કે વારાણસીમાંથી મીરા કુમાર પણ મોદી સામે ઊભાં રહે તો એ જીતી જાય.

ખરેખર આવું હોય? કે કોઇ મને ચગડોળે ચડાવી રહ્યું છે? મિસ્ત્રીઅંકલને પૂછવું પડશે. પણ એવું હોય તો કરી જોવા જેવું ખરું. મારા ત્યાગથી આખા દેશમાં કોંગ્રેસ જીતી જતી હોય, તો પછી છ મહિનામાં પેટાચૂંટણી લડીને લોકસભામાં ચૂંટાઇ જતાં મને ક્યાં નથી આવડતું? પણ લાગે છે કે મારી આટલી તીવ્ર પ્રતિભાની હજુ ભારતના લોકોને પરખ નથી. એ નરેન્દ્ર મોદી ને અરવિંદ કેજરીવાલ પર એટલા મોહાઇ ગયા છે કે તેમને અમે દેખાતા જ નથી.

કંઇ વાંધો નહીં. એક વાર અમારી સરકાર બની જવા દો. પછી હું પણ રાડિયા ટેપનો કેસ કાઢીને એકે એકને જોઇ લઇશ.

નરેન્દ્ર મોદીની ડાયરી

મેં ચોખ્ખું કહ્યું હતું કે મારા લખવા માટેની ડાયરી ૫૬ સેન્ટીમીટરની લાવજો અને એના દરેક પાના પર ૫૬ લીટી હોવી જોઇએ. પરંતુ બધા હવે અડવાણી થવા જાય છે. વાતે વાતે વાંધા ને વાંકાં. આવી રીતે દેશ કેમ ચાલશે? હું જ્યારે પણ દેશની ચિંતા કરું ત્યારે કેટલાક લોકો ગુસપુસ કરે છે કે ‘સાહેબ, તમે હજુ વડાપ્રધાન થયા નથી.’ આ મને ગમતું નથી, પણ સારું છે. કારણ કે હું ઘણી વાર આ વાત ભૂલી જાઉં છું.

મારા ટીકાકારો કહે છે કે મારી છાતી છપ્પનની નથી. એટલે હું માત્ર વારાણસીથી ચૂંટણી લડવાને બદલે બબ્બે ઠેકાણેથી ચૂંટણી લડી રહ્યો છું. પરંતુ ભારતના સવા અબજ લોકો ભારતનું આવું અપમાન નહીં ચલાવી લે...હવે ‘છ કરોડ’ને બદલે ‘સવા અબજ’ બોલવાની ટેવ પાડવી પડશે...ટીકાકારો કોઇ રીતે સમજવા માગતા નથી. બાકી, હું સૌથી મોટા સલામતીકાફલા સાથેનો સૌથી બહાદુર મુખ્ય મંત્રી ગણાતો હોઉં, તો બે ઠેકાણે લડીને છપ્પનની છાતીવાળો કેમ ન ગણાઉં? કોઇ પત્રકારને ખુલ્લમખુલ્લો ઇન્ટરવ્યુ આપ્યા વિના, ‘મારી સામે લડવાની કોઇની હિંમત નથી’ એવું કહી શકતો હોઉં અને લોકો સ્વીકારી પણ લેતા હોય, તો હું બે જગ્યાએથી લડું તેમાં શો પ્રોબ્લેમ છે?

કેટલાક લોકો કહે છે કે હું અરવિંદ કેજરીવાલથી બીઉં છું અને મેેં એને ગાંધીનગરમાં ઑફિસથી પાંચ કિલોમીટર દૂર રોકી લેવાને બદલે એને બોલાવીને ‘ચાય પે ચર્ચા’ કરી હોત, તો એ આટલો બગડત નહીં.  પણ એ મફલરવાળાનું ઠેકાણું નહીં. ક્યારે પોતાના માથેથી મફલર કાઢીને આપણા ગળામાં વીંટાળી દે...પછી એનડીએની સરકાર બને તો પણ આપણે ક્યાંક રાજ્યપાલ બનવાનો વારો આવે. હું દેશની બહુ બધી સેવા કરવા ઇચ્છું છું. રાજ્યપાલ બનવાથી મારો મોક્ષ થાય એમ નથી ને વડાપ્રધાન બનું નહીં તો પછી સીબીઆઇ ને ન્યાયતંત્ર મારો પીછો છોડે એમ નથી. લોકો અમથા કહે છે કે પાપો ધોવા માટે ગંગા વારાણસીમાં વહે છે. હાથમાં વડાપ્રધાનપદું આવે તો પછી ગંગા જ ગંગા હોય છે.

અરવિંદ કેજરીવાલની ડાયરી

???
??? ???
??? ??? ???
??? ??? ??? ???
(પ્રશ્નો પૂછ્‌યા વિના આ દેશનો ઉદ્ધાર થવાનો નથી, એ બધાને સતત યાદ કરાવવું. બહારના પ્રશ્નો એટલા થવા જોઇએ કે પાર્ટીમાં કોઇ પ્રશ્ન થવાની શક્યતા ન રહે.)

Wednesday, December 18, 2013

પરાજય પછી કોંગ્રેસની મંથનબેઠક

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ વિશે વિચાર કરવા માટે કોંગ્રેસની બેઠક યોજાઇ છે. મિટિંગરૂમમાં ખૂણેખાંચરે કશુંક મરેલું ભરાઇ ગયું હોય એવી ગંધ આવી રહી છે. અનુભવીઓ તેને પરાજયની ગંધ તરીકે ઓળખાવે છે, તો જાણકારોનો મત છે કે રૂમમાં કશું ભરાયું નથી, સત્તાસ્થાનેથી પક્ષના દિવસ ભરાઇ ગયા છે.

કોઇ ફળદ્રુપ દિમાગી કર્મચારીએ કોંગ્રેસના ચૂંટણીપ્રચારનું એક પોસ્ટર ફ્રેેમ કરાવીને, તેની પર ફુલહાર લગાડીને, એક ખુરશી પર એવી રીતે મૂક્યું છે કે દાખલ થતાં સૌથી પહેલી નજર એની પર પડે.  રૂમમાં આવનારા કોઇ નેતાને આ ફ્રેમ જોઇને વાંધો પડતો નથી કે ‘આ કોણે લગાડ્યું?’ એવું પૂછવાનું સૂઝતું નથી. સૌ બેસણાના અંદાજમાં ગંભીર ચહેરે ફ્રેમ પાસે જાય છે, બે હાથ જોડીને અધખુલી આંખે નમન કરે છે અને પોતાની આ ચેષ્ટા બીજા નોંધી રહ્યા છે કે નહીં એ તીરછી નજરે જોઇ લે છે. ત્યાર પછી એ ખુરશી પર બેસી જાય છે.

એવામાં રાહુલ ગાંધી આવે છે. તેમણે પોતાનો કાયમી પોશાક- સફેદ કુર્તો-પાયજામો- પહેર્યો છે, પણ આજે તે પ્રસંગને અનુરૂપ લાગે છે. તેમના આંખોમાં ઉજાગરો દેખાય છે. તેમની પાછળ સોનિયા ગાંધી દાખલ થાય છે. તેમના હાથમાં સ્ટીલની લાંબી ફુટપટ્ટી અને ચહેરા પર કડકાઇનો ભાવ છે. એ જોઇને બેઠેલા નેતાઓના શરીરમાંથી ઘુ્રજારીની આછી લહેર દોડી જાય છે. છતાં, સૌ ચહેરા પરની સ્વસ્થતા ટકાવી રાખે છે. અહમદ પટેલ ક્યારે આવીને ગોઠવાઇ ગયા, એ ખબર પડતી નથી. સોનિયા ગાંધીના હાથમાં ફુટપટ્ટી જોઇને કેટલાક સંશયાત્માઓ કોની કોની હથેળી લાલ છે, એ દૂરથી તપાસવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમાં ખાસ સફળતા મળતી નથી.

સોનિયા ગાંધી રાબેતા મુજબ એક ખુરશી ભણી જોઇને મિટિંગ શરૂ કરવા ઇશારો કરે છે, પણ રાહુલ ગાંધી ખુસપુસ અવાજે તેમનું ઘ્યાન દોરતાં કહે છે કે એ ખુરશી ખાલી છે. કારણ કે પ્રણવ મુખર્જી હવે રાષ્ટ્રપતિ બની ગયા છે. સોનિયા ગાંધી થોડો વિચાર કરીને જાતે જ મિટિંગની શરૂઆત કરે છે.

સોનિયા ગાંધી : ભાઇઓ અને (શીલા દીક્ષિત સામે જોઇને) બહેનો, તમે જાણો છો કે આપણે શા માટે ભેગા થયા છીએ.

નેતા ૧ : હાસ્તો, ખરખરો કરવા...

સોનિયા : (કડકાઇથી) ખરખરો એટલે? તમે પેલા ગુજરાતી જૈન નાસ્તાની વાત કરો છો? કહેવા શું માગો છો?

નેતા ૨ : વાહ મેડમ, શું કલ્પના છે...ખરખરો- એક ગુજરાતી વાનગી... આને કહેવાય કલ્પનાશક્તિ.

નેતા ૩ : રીઅલી ગ્રેટ, મેડમ. આ એક જ કલ્પના પર તમને ૨૦૧૪માં ભારતનાં વડાપ્રધાન બનાવી દેવાં જોઇએ.

સોનિયા :કન્ટ્રોલ યોરસેલ્ફ...તમારી આ ચાપલૂસીને કારણે જ પક્ષની આવી દશા થઇ છે. તમે લોકો મને સાચું કહેતા જ નથી..

ખૂણાનો અવાજ : .. પણ તમે અમારું સાંભળો છો જ ક્યારે?

(રાહુલ ગાંધી અવાજની દિશામાં જુએ છે, પણ કોણ બોલ્યું એ સમજાતું નથી.)

સોનિયા : આ ચૂંટણીએ આપણને સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે કે..

નેતા ૨ : ...આપણે હજુ ૨૦૧૪માં સરકાર રચી શકીએ એમ છીએ. લોકો કહે છે એટલી આપણી બદનામી થઇ નથી. હજુ આ દેશમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી શકાય છે. ભરોસો ન પડતો હોય તો પૂછો રાજસ્થાન-મઘ્ય પ્રદેશ-છત્તીસગઢમાં જીતેલા કોંગ્રેસી ઉમેદવારોને.  વિરોધીઓ કહે છે એવી આપણા વિરુદ્ધની આંધી હોય તો આ લોકો શી રીતે ચૂંટાયા?

નેતા ૩ : જબ તક સૂરજ-ચાંદ રહેગા...

નેતા ૪ : સોનિયાજી-રાહુલજીકા નામ રહેગા.

ખૂણાનો અવાજ : પણ હવે નામ નહીં, સત્તા રાખવાની વાત છે.

રાહુલ : (અવાજને અવગણીને) તમે લોકો ક્યારે સુધરશો? મમ્મીએ તમને કહ્યું તો ખરું કે ચાપલૂસીએ જ આપણને ડૂબાડ્યા છે...

નેતા ૫ : રાહુલજીની વાત તદ્દન સાચી છે. પક્ષના પરાજય વિશે કેવું સચોટ, ઊંડાણભર્યું અને પ્રેરણાસભર નિદાન છે એમનું! રાહુલજી, અત્યાર સુધી હું કેવળ આપની નેતાગીરીનો ભક્ત હતો, પણ હવે આપની રાજકીય સમજણને સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થાય છે. આપની આગેવાની હેઠળ ભારતનો ઉદ્ધાર થઇ જશે, એ મને સાફ દેખાય છે. બોલો...રાહુલજીકી જય

(રાહુલ ગાંધી મૂંઝાઇ જાય છે અને વિચાર કરે છે કે ‘ચાપલૂસી ન કરશો’ એવું આ લોકોને કઇ ભાષામાં સમજાવું?)

સોનિયા : (કડક મુખમુદ્રા ધારણ કરીને) આ ચૂંટણીનાં પરિણામ પરથી ચોખ્ખું દેખાય છે કે આપણે બદલાવું પડશે.

ખૂણાનો અવાજ : એને ‘બદલાવું’ નહીં, ‘સુધરવું’ કહેવાય.

(રાહુલ ગાંધી આ વખતે ઊભા થઇને અવાજ ક્યાંથી આવે છે તે શોધવા પ્રયાસ કરે છે. પણ સામે એ જ
આજ્ઞાંકિત ચહેરા દેખાતાં ગુંચવાઇને પાછા બેસી જાય છે.)

સોનિયા : સૌથી પહેલાં આપણે પરાજય કબૂલીને તેનાં કારણ સમજવાં પડશે.

(બધા નેતાઓ એકબીજા સામે જોવા લાગે છે. સોનિયા ગાંધી ‘ઓર્ડર ઓર્ડર’ના અંદાજમાં ફુટપટ્ટી પછાડે છે, એટલે પરાજયના કારણનો જવાબ આપતા હોય તેમ સૌ રાહુલ ગાંધી સામે જોવા માંડે છે.)

નેતા ૫ : મેડમ, પરાજયમાં આપણો કશો વાંક નથી. આ બધી પેલા અરવિંદ કેજરીવાલની, ભાજપની અને મતદારોની બદમાશી છે. તેમનું કાવતરું છે. ખરેખર તો આ ચૂંટણીની સીબીઆઇ પાસે તપાસ કરાવવી જોઇએ. મને તેમાં મોટા પાયે ગોટાળાની શંકા છે.

ખૂણાનો અવાજ : હા, ગોટાળો તો લાગે જ છે. દિલ્હીમાં કોંગ્રેસની આઠ બેઠકો પણ કેવી રીતે આવે?

નેતા ૨ : મેડમ, આપણે મીડિયાની ટીકાને ઘ્યાનમાં ન લેવી જોઇએ. એ બધા તો ખાય તેનું ગાય. મારું સૂચન છે કે આપણે વિધાનસભાની આવી કોઇ ચૂંટણી થઇ હતી, એ વાત ભૂલી જઇએ અને પૂરા જુસ્સાથી ૨૦૧૪ની ચૂંટણી માટે કામે લાગી જઇએ. અમે પ્રતિજ્ઞા લઇએ છીએ કે રાહુલબાબાને અમે વડાપ્રધાન બનાવીને જ
જંપીશું. બોલો, રાહુલજી કી...

ખૂણાનો અવાજ : ...ઐસીકી તૈસી.

રાહુલ ગાંધી : (ખિજાઇને) અરે, આપણી વાતચીતમાં વચ્ચે ડબકાં કોણ મૂકે છે? તમને લોકોને કોઇનો અવાજ સંભળાય છે?

(બધા નેતા આજ્ઞાંકિતતાથી નકારમાં ડોકાં ઘુણાવે છે.)

નેતા ૪ : અમને તો કંઇ સંભળાતું નથી, પણ રાહુલજી, આપ મહાન છો. શક્ય છે કે મહાત્માઓની જેમ તમને પણ અંતરાત્માનો અવાજ સંભળાતો હોય...એ ફક્ત તમે જ સાંભળી શકો અને તમને એ અવાજ સંભળાયો એનો અર્થ એ જ કે તમે મહાત્મા છો. હવે કોંગ્રેસના ભવિષ્યની ચિંતા કરવાની અમારે લગીરેય જરૂર નથી.

નેતા ૫ : તમારા જેવા નેતાના હાથમાં કોંગ્રેસ જ્યાં હશે ત્યાં સલામત રહેશે એની અમને ખાતરી છે.

ખૂણાનો અવાજ : ...અને ચૂંટણી પછી કોંગ્રેસ ક્યાં હશે, એ વિશે મને ખાતરી છે.

રાહુલ : તમારા સૌના સહયોગથી હું તમને એવો ચમત્કાર બતાવીશ કે જે તમે કલ્પી પણ ન શકો.

સોનિયા : રાહુલ, તું આમ ગોળ ગોળ બોલ્યા વિના ચોખ્ખી વાત કર, નહીંતર ગેરસમજણ થશે. (નેતાઓ તરફ જોઇને) એ પક્ષને તાળું મારવાની વાત નથી કરતો.

રાહુલ : મારી પાસે એક માસ્ટર પ્લાન છે, પણ એની વાત આ રૂમની બહાર ન જવી જોઇએ. કારણ કે એ ટૉપ સિક્રેટ છે. એની પર હજુ કામ કરવાનું છે.

સોનિયા : (મનોમન) ચાલો, પ્લાનને મીડિયામાં બધે કેવી રીતે કેવી રીતે પહોંચાડવો, એટલું તો રાહુલ શીખ્યો...અત્યારથી આ બધાને ખંજવાળ આવતી હશે કે ક્યારે બહાર જઇએ ને ખાનગીમાં પત્રકારોને બોલાવીને પ્લાનની વિગતો લીક કરી દઇએ.

રાહુલ : તો પ્લાન એ છે કે...

બધા નેતાઓ : બોલો રાહુલ ગાંધીકી...

રાહુલ : (ઘુંધવાઇને) તમારી લોકોની આ ટેવ ક્યારે સુધરશે?

ખૂણાનો અવાજ : પક્ષપલટો કરશે ત્યારે..

રાહુલ (અદૃશ્ય અવાજથી ચમકીને, જરા ઉતાવળે) : તો મારી યોજના એ છે કે અત્યારે આપણામાંથી જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ ન હોય એવા નેતાઓએ સાગમટે આમઆદમી પાર્ટીમાં જોડાઇ જશે...હું, સચિન, જ્યોતિરાદિત્ય, મિલિંદ, જિતેન અને બીજા પણ ઘણા. મમ્મી, શીલાઆન્ટી એ બધાં કોંગ્રેસમાં રહેશે.

સોનિયા : પછી?

રાહુલ : (‘જોયું? કેવું જોરદાર લાવ્યો?’ના અંદાજમાં) પછી કંઇ નહીં. સ્વચ્છ રાજકારણ ઇચ્છતા બધા લોકોને કેજરીવાલે પોતાની સાથે જોડાઇ જવા કહ્યું છે. એટલે અમને એ ના નહીં પાડી શકે. લોકસભાની ચૂંટણીમાં આપણે કેજરીવાલના નિયમો પ્રમાણે લડીશું તો જીતવાના બહુ ચાન્સ છે. પણ કેજરીવાલને સંપૂર્ણ બહુમતી નહીં મળે. દિલ્હી જેવું થશે. એ વખતે આપણે ફરી આમઆદમી પક્ષમાંથી અલગ જૂથ- ‘રાહુલ કોંગ્રેસ’- તરીકે છૂટા પડી જઇશું અને કોંગ્રેસના મમી જેવી મમ્મી કોંગ્રેસના જીતેલા ઉમેદવારો સાથે મોરચો કરીને સરકાર રચીશું.

નેતાઓ ૧-૬ : બ્રિલિયન્ટ આઇડીયા. એક કાંકરે કેટકેટલાં પંખી મરી જશે. યુ આર જિનિયસ. રાહુલજી આપ આગે બઢો, હમ ‘આપ’કે સાથ હૈં

(સોનિયા ગાંધી આશ્ચર્ય અને આઘાતથી ફૂટપટ્ટી પંપાળતાં રાહુલ સામે જોઇ રહે છે અને નેતાઓ રાહુલને ઘેરી વળે છે. તેમને ઘોંઘાટમાં મિટિંગનું અનૌપચારિક સમાપન થાય છે.)

Wednesday, December 11, 2013

બે નિબંધ : જો હું વડાપ્રધાન હોઉં તો?

સ્કૂલની પરીક્ષામાં આ પ્રકારનો એકાદ નિબંધ અચૂક પૂછાતો હતો, જેને ઓપ્શનમાં કાઢી નાખવાની સુવિધા ઉપલબ્ધ રહેતી. ધારો કે એવો જ નિબંધ ગુજરાતમાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓને વગર ઓપ્શને લખવાનું કહેવામાં આવે તો?
***

કોંગ્રેસી નેતાનો નિબંધ

કેમ ભાઇ? જૂનું વેર કાઢવાનું છે કે આવો નિબંધ લખવા આપો છો? તમને ખબર તો છે ઃ અમારે ત્યાં વડાપ્રધાન બનવાનું સ્વપ્ન પણ જોવું હોય તો ગાંધી અટક હોવી જોઇએ. બહુ તો વાડ્રા અટક કદાચ ચાલે. એ સિવાય ટાઢા પહોરનાં સપનાં જોઇને ટાઇમ બગાડવાને બદલે, ભાજપની સરકાર છે ત્યાં સુધી બે સારાં કામ ન કરાવી લઇએ? લોકશાહીમાં અસરકારક વિપક્ષ એને જ કહેવાય જે વિપક્ષમાં રહીને પણ પોતાની ફાઇલો ચલાવી શકે અને કોન્ટ્રાક્ટ પાસ કરાવી શકે.

તેમ છતાં, હાઇકમાન્ડ બધાની વફાદારીની ખાતરી કરવા માટે આવી નિબંધસ્પર્ધા કાઢે અને તેમાં ફરજિયાત સૌએ ભાગ લેવાનો એવું જાહેર કરે તો હું કંઇક આવો નિબંધ લખું :

‘હું કોંગ્રેસ પક્ષનો અદનો સેવક છું. મારો પી.એ., મારો ડ્રાયવર, મારા ટેકેદારો - આ બધા કોંગ્રેસના અદના સેવકો છે અને અમે જે છીએ તે સ્થિતિમાં બહુ રાજી છીએ. અમે તો સ્વપ્ન જોઇએ છે કે આવતી કાલે સોનાનો સૂરજ ઉગશે અને રાહુલબાબા અથવા પ્રિયંકામેડમ કે થોડાં વર્ષ પછી તેમની બેટી ભારતનું વડાપ્રધાનપદ શોભાવતાં હશે. છતાં, હાઇકમાન્ડના  આદેશથી ડૉ.મનમોહનસિંઘની જેમ મારે પણ, ન કરે નારાયણ ને વડાપ્રધાન બનવાનું થાય તો હું ખાતરી આપું છું કે હું રાહુલબાબાની અને સોનિયાજીની પાદુકાઓ રાખીને, તેમની આજ્ઞા પ્રમાણે શાસન કરીશ. એમ કરવામાં આજ સુધી કોને સંકોચ થયો છે કે મને થાય? હું દર્શાવી આપીશ કે કોંગ્રેસી નેતાઓ વડાપ્રધાનપદના ભૂખ્યા નથી. ઉપવાસ કોંગ્રેસ પક્ષના આરંભકાળથી તેની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે, એવું પક્ષના ઇતિહાસમાં કહેવાય છે. તેની પાછળનું અસલી રહસ્ય એ જ છે કે ગાંધી પરિવાર સિવાયના બીજા સૌ નેતાઓ વડાપ્રધાનપદની ભૂખ તજી શકે અને સાત્ત્વિકતાનું ગૌરવ પણ લઇ શકે.

ઘણા લોકોને એવું હશે કે કોંગ્રેસી વડાપ્રધાન તરીકે મને ભાજપને ખતમ કરી નાખવાનાં સપનાં આવશે. આવું માનનારા બહુ ભોળા કહેવાય. મારા લેવલે પણ મને સમજાય છે કે ભાજપ સિવાય બીજો કોઇ, થોડોઘણો ઠેકાણાવાળો પક્ષ હોત તો અમારાં પાટિયાં ક્યારનાં ઉતરી ગયાં હોત. ભલું થજો ભાજપનું કે કોઇ નક્કર કારણ વિના અમારું રાજ દસ વર્ષ અખંડ ચાલ્યું. આવા વિપક્ષને ખતમ કરવાનું તો સપનું પણ જોવું, એ લોકશાહીનો દ્રોહ કરવા જેવું ગણાય. અને એ તો સૌ જાણે છે કે અમારો પક્ષ, કટોકટી ન લાદે ત્યાં સુધી, લોકશાહીનો બિલકુલ દ્રોહી નથી.

વડાપ્રધાન તરીકેનું સપનું જોવાનું જ હોય તો હું એવું પસંદ કરું કે હું આજીવન વડાપ્રધાન રહું - અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ભાજપ જ હોય. આજીવન વડાપ્રધાનપદની મારી ઇચ્છામાં જેમને લોભલાલચની ગંધ આવતી હોય તેમને હું કોંગ્રેસની પરંપરા ઘ્યાનમાં રાખવા વિનંતી કરું છું. ત્યાર પછી જ સમજાશે કે મારી ભાવિ પેઢીઓ માટે કશી અપેક્ષા રાખ્યા વિના, હું ફક્ત મારા પોતાના જીવન પૂરતો વડાપ્રધાન બની રહેવા ઇચ્છું, એ પક્ષ અને દેશ માટે કેટલો મોટો ત્યાગ કહેવાય. ત્યાગવાળી વાત ન સમજાય તો બહુ ચિંતા ન કરવી. અમસ્તી પણ અમારા કોંગ્રેસનાં સાદગી અને ત્યાગની વાત ઘણાને સમજાતી નથી- પછી એ સોનિયાજીનો સત્તાત્યાગ હોય કે રાહુલજીનો જવાબદારી-ત્યાગ.

***

ભાજપી નેતાનો નિબંધ 

હું તો તમને શુભેચ્છક ગણતો હતો. ખબર નહીં કે તમે પણ મને પતાવી દેવા માગો છો. ભાજપમાં રહીને વડાપ્રધાન બનવાનું સપનું જોવા કરતાં, રૂપિયા ખર્ચીને પ્રવેશટિકિટ લઇને કાંકરિયા તળાવે જઇને આપઘાત કરવાનું કહેવું હતું ને. બઘું એક નું એક જ થાત. હરેન પંડ્યાનું નામ સાંભળ્યું છે? અને સંજય જોશીનું? એકના નામ આગળ ને બીજાની રાજકીય કારકિર્દી આગળ ‘સ્વ.’નું વિશેષણ લાગી ગયું- અને આ લોકો  વડાપ્રધાનપદના નહીં, ફક્ત મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ગણાતા હતા.

વડાપ્રધાન બનવાનું કોને ન ગમે? રાજનાથસિંઘને પણ ગમે ને સુષ્મા સ્વરાજને પણ ગમે. કોઇ બનાવતું હોય તો વૈંકેયા નાયડુને પણ ગમે ને અરુણ જેટલીને પણ ગમે. પરંતુ અમારા પક્ષમાં પચાસ વર્ષથી નીચેના લોકોમાં શિસ્ત એવી મજબૂત છે કે તેમની વચ્ચે વડાપ્રધાનપદ માટે કદી ખેંચતાણ થાય એમ નથી. (નોંધ ઃ આગળ લખેલાં બધાં નામ અમાર  વરિષ્ઠ - એટલે કે પચાસ વટાવી ચૂકેલા- નેતાઓનાં છે.) કોંગ્રેસમાં ગાંધી પરિવારનું છે એવું સ્થાન અમારે ત્યાં સંઘ પરિવારનું છે. એ કોઇને કંઇ પણ બનાવી શકે. નીરોમાંથી હીરો ને હીરોમાંથી ઝીરો.  અડવાણીજી તેમના બ્લોગ પર આ વિશે વધારે પ્રકાશ પાડી શકશે. આમ પણ અમારા પરિવારે તેમની પાસે હવે બ્લોગ લખવા સિવાય ખાસ કંઇ કામ રહેવા દીઘું નથી.

આટલું કહ્યા પછી હજુ પણ મૂળ સવાલનો જવાબ આપવાનું ફરજિયાત હોય તો, મારે કહેવું જોઇએ કે વડાપ્રધાનપદે શાંતિથી બેસવી માટે નાયબ વડાપ્રધાન કોને બનાવવા એ પહેલાં પાકું કરી લેવું પડે. જરૂર પડ્યે, સમયસંજોગોને માન આપીને એકથી વઘુ નાયબ વડાપ્રધાન રાખવાનું વિચારી શકાય. વધારે મૌલિકતાથી કામ લેવું હોય તો એ  હોદ્દો ફરતો રાખીને દર મહિને તેની પર જુદા જુદા નેતાઓને મૂકી શકાય. એમ કરવાથી અમારા બધા નેતાઓને ઉચ્ચ હોદ્દાની તાલીમ મળે, દેશ પાસે વડાપ્રધાનપદના ઉમેદવારોના અઢળક વિકલ્પ મળે અને પક્ષની આંતરિક લોકશાહી, જો મોદીજીના પ્રભાવ પછી પણ ટકી રહી હોય તો, મજબૂત થાય.

જો હું વડાપ્રધાન બનું તો માહિતી-પ્રસારણ ખાતામાં પણ કેટલાક પેટાવિભાગ પાડું અને બ્લોગખાતું અડવાણીજીને, ટ્‌વીટરખાતું મોદીજીને સોંપું. દેશના હિતમાં એમની શક્તિઓનો શ્રેષ્ઠ - અથવા ઓછામાં ઓછો નુકસાનકારક- ઉપયોગ કદાચ ત્યાં કરી શકાય. વડાપ્રધાનપદેથી હું એવો આદેશ પણ જારી કરું કે હવે પછીથી કોઇએ સ્વેચ્છાથી પોતાની જાતને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો અધિકાર નથી.
વડાપ્રધાન બન્યા પછી ખાનગી રાહે બંધારણીય નિષ્ણાતોની સલાહ પણ લઉં કે જમ્મુ-કાશ્મીરમાં છે એવી ૩૭૦મી કલમ કોઇ રીતે લોકસભામાં લાગુ પાડી શકાય કે કેમ. કાશ્મીરમાં જેમ બહારના લોકો જમીન ખરીદી શકતા નથી, એવી રીતે હું પણ એવું કરું કે લોકસભામાં સત્તાધારી પક્ષ તરીકે ભાજપ સિવાય બીજું કોઇ બેસી શકે નહીં અને વડાપ્રધાન તરીકે આજીવન હું જ રહું. કોઇને એમાં સત્તાલાલસા દેખાય તો ભલે. મારો ઇરાદો સદા વત્સલા એવી માતૃભૂમિની આજીવન સેવા કરવાનો અને એનાં ચરણોમાં જ પ્રાણ ત્યાગવાનો છે, જેથી હું મારી માતૃભૂમિને અસ્થિરતામાંથી અને માતૃપક્ષને સત્તાની ખેંચતાણમાંથી  બચાવી શકું. 

Tuesday, July 09, 2013

અન્નસુરક્ષા : વટહુકમ અને વાસ્તવિકતા

લોકસભાની ચૂંટણીનાં ઘેરાતાં વાદળ વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર અન્નસુરક્ષા કાયદાનું પત્તું ઉતરી છે. માઘ્યમિક શાળાના નાગરિકશાસ્ત્રમાં આવે છે કે ખરડો સંસદના બન્ને ગૃહોમાં પસાર થાય અને તેની પર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ એ કાયદો બને છે. પરંતુ પાઠ્યપુસ્તકમાં એવું તો ન જ આવતું હોય કે વિરોધ પક્ષો મહત્ત્વના મુદ્દાની ચર્ચા બાજુએ રાખીને, કેવળ રાજકીય ગણતરીઓ ખાતર સંસદની કામગીરી ખોરવી નાખતા હોય અને સત્તાધારી પક્ષને રાજકીય લાભ ખાતર કોઇ કાયદો તત્કાળ પસાર કરી દેવાની જરૂર હોય ત્યારે શું કરવું?

પરંતુ માઘ્યમિક શાળામાં આવતું નાગરિકશાસ્ત્ર પાઠ્યપુસ્તકની બહાર ભાગ્યે જ કામ લાગે છે. રાજકીય પક્ષો એ બરાબર જાણે છે. એટલે કોંગ્રેસે અન્નસુરક્ષાને લગતા કાયદાની ઉતાવળનો પોતાની રીતે રસ્તો કાઢી લીધો : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અન્નસુરક્ષાને લગતા વટહુકમ/ Food Security Ordinance પર સહી કરીને તેને કાયદેસર રીતે કાયદાનું સ્વરૂપ આપી દીઘું. આ કાયદા વિશે સાવ સાદી ભાષામાં સમજૂતી આટલી જ આપી શકાય કે તેના થકી ગરીબોને ત્રણ રૂપિયે કિલો ચોખા, બે રૂપિયે કિલો ઘઉં અને એક રૂપિયે કિલો જાડું ધાન મળશે. સસ્તા ભાવનું આ અનાજ મહિને પાંચ-પાંચ કિલો મળી શકશે. એટલું જ નહીં, આ કાયદાના માપદંડમાં બંધબેસતા લોકો દયાદાન પેટે નહીં, અધિકાર તરીકે આ લાભ મેળવી શકશે અને તેનાથી વંચિત રહેલા લોકો અદાલતમાં સરકાર સામે ફરિયાદ કરી શકશે.

ગરીબકલ્યાણના નામે 

કોંગ્રેસની ગરીબી દૂર કરવાની વ્યાખ્યા અને બૌદ્ધિક સમજણ આવી લહાણીથી આગળ વધી શકતી નથી એ ખેદની વાત છે. (ભારતના બીજા રાજકીય પક્ષો પણ આ બાબતમાં કોંગ્રેસ કરતાં ખાસ જુદા નથી.) અગાઉ કોંગ્રેસે ‘ધ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ’- ટૂંકમાં ‘મનરેગા’-નો ખેલ પાડ્યો હતો. તેની પાછળ કોંગ્રેસે રજૂ કરેલો આશાવાદ એવો હતો કે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની મોટી સમસ્યા છે. એ દૂર કરવામાં આવે તો ગરીબોનું કલ્યાણ થાય. એટલે આ યોજનાના લાભાર્થી બનતા પરિવારના પુખ્ત વયના સભ્યોને નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસની ખાતરીબંધ રોજગારી આપવી. આ પ્રકારે રોજગારી ન મળે તો વ્યક્તિ સરકાર સામે દાવો માંડી શકે એવી પણ જોગવાઇ ‘મનરેગા’ના કાયદામાં હતી.

કોંગ્રેસની ‘ફ્‌લેગશિપ’ - સૌથી મોખરાની - યોજના તરીકે ઓળખાયેલી ‘મનરેગા’ની અનેક આંટીધૂંટી અને તેના અભ્યાસો અલગ લેખનો વિષય છે. તેના આખરી પરિણામ વિશે શું કહેવું? એ યોજનાનાં સાત-આઠ વર્ષ પછી પણ કેન્દ્ર સરકારને અન્નસુરક્ષા યોજના કરવી પડે છે. એટલે કે ખુદ કેન્દ્ર સરકાર સ્વીકારે છે કે ‘મનરેગા’ સહિતની યોજનાઓ સફળ થઇ હોય તો પણ, હજુ મોટી સંખ્યામાં એવાં પરિવારો છે જે બે ટંક ખાવાભેળાં થવા જેટલું પણ કમાતાં નથી. રીઢા રાજકારણીઓ જોકે આ જાતના વિરોધાભાસથી શરમાવાને બદલે, નવી યોજનાનો ગાઇવગાડીને પ્રચાર કરે છે અને માની લે છે કે લોકો આટલી ઉઘાડી સચ્ચાઇ સમજી નહીં શકે. (આવો ભરોસો ન હોત તો ગુજરાતના વિકાસનાં અવિરત ગુણગાન ગાનારા મુખ્ય મંત્રી કયા મોઢે મોટા પાયે ગરીબમેળા યોજતા હોત?)

કોંગ્રેસી નેતાઓ અન્નસુરક્ષાના વટહુકમને ‘ગેમચેન્જર’ ગણાવી રહ્યા છે. આ પ્રકારના શબ્દપ્રયોગો ચૂંટણીનો માહોલ જામે તેમ વઘુ ને વઘુ પ્રમાણમાં સાંભળવા મળશે. કોંગ્રેસી નેતાઓ એવું પણ કહે છે કે ‘આ યોજના સોનિયા ગાંધીને પ્રિય છે.’ તેનું ‘ગુજરાતી’ એવું થાય કે ‘સોનિયા ગાંધી મહાન ગરીબતરફી છે અને તેમના મનમાં તો હંમેશાં ગરીબોની ચિંતા રહે છે, પણ આવા અપવાદોને બાદ કરતાં દુષ્ટ સરકાર તેમને ગાંઠતી નથી.’

કોંગ્રેસની કામગીરીનો અછડતો પણ અંદાજ હોય એવા સૌ કોઇ જાણે છે કે કોંગ્રેસમાં સોનિયા ગાંધીની ઇચ્છા કે સંમતિ વિના પાંદડું પણ ફરકતું નથી. એટલે ‘મનરેગા’ કે ‘અન્નસુરક્ષા’ જેવી યોજનાઓ ઉપરાંત બીજું જે કંઇ થાય એમાં પણ સોનિયા ગાંધીની સક્રિય કે નિષ્ક્રિય સંમતિ માનવી રહી. અસંમતિ હોય તો તેમણે કદી જાહેર કરી નથી- અને એ સોનિયા ગાંધી છે, મહાત્મા ગાંધી નહીં. એટલે કોંગ્રેસને તેમની હોય એટલી જ જરૂર તેમને કોંગ્રેસની છે. (સીધી વાત છેઃ કેવળ અનુમાન ખાતર વાત કરીએ તો, સોનિયા કે ગાંધી પરિવાર વિનાની કોંગ્રેસ કલ્પી શકાય, પણ કોંગ્રેસ વગર રાજકારણમાં સક્રિય સોનિયા ગાંધીની કલ્પના થઇ શકે?) ઘણા કોંગ્રેસીઓને આ સચ્ચાઇનો અહેસાસ થતો નથી એ જુદી વાત છે.

સડેલી માનસિકતા

અન્નસુરક્ષા વટહુકમ દ્વારા ફરી કોંગ્રેસે ગરીબો પ્રત્યે ટૂંકા રસ્તે અને ઉપલકિયા સહાનુભૂતિ દર્શાવવાનો રાજકીય ખેલ શરૂ કર્યો છે. પરંતુ અન્નના અભાવના મામલે યુપીએ સરકાર મુલ્લા નસીરૂદ્દીનની જેમ, રૂપિયો જ્યાં ખોવાયો છે ત્યાં નહીં પણ, જ્યાં અજવાળું છે ત્યાં ફાંફાં મારે છે. ‘અન્નસુરક્ષા’ - એ શબ્દ સાંભળતાં જ ઘણા ભારતીયોના મનમાં ‘ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’ના ગોદામોમાં સડતા સેંકડો ટન અનાજની યાદ તાજી થાય તો નવાઇ નહીં.

વર્ષ ૨૦૧૧માં કરોડો રૂપિયાની કિંમતનું ૧૦ લાખ ટન અનાજ ફુડ કોર્પોરેશનનાં ગોદામોમાં સડી ગયું. સમાચાર પ્રમાણે, કોર્પોરેશને ગોદામોમાં સંઘરેલું અનાજ બગડી ન જાય એ માટે રૂ. ૨૪૨ કરોડનો ખર્ચ કર્યો હતો. તેમ છતાં અનાજ સડ્યું એટલે સડેલા અનાજનો નિકાલ કરવા માટે રૂ.૨.૫૯ કરોડ ખર્ચ્યા. ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ અખબારના ૨૦ જૂન, ૨૦૧૩ના એક અહેવાલ પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં અનાજના બગાડને કારણે સરકારને રૂ.૪૫ કરોડ રૂપિયાની ખોટ ગઇ છે ઃ રૂ.પ કરોડની કિંમતના ઘઉં અને રૂ.૪૦ કરોડની કિંમતના ચોખાનો મુખ્યત્વે સ્ટોરેજ અને હેન્ડલિંગમાં બગાડ થયો છે. એ જ અહેવાલ સાથે ‘ઇન્સ્ટિટ્યુટ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ’નો અભ્યાસ ટાંકીને જણાવાયું છે કે આખા ઓસ્ટ્રેલિયામાં જેટલા ઘઉં પાકે છે, એટલા ઘઉંનો તો ભારતમાં ફક્ત બગાડ થાય છે. તેમાં જણાવ્યા પ્રમાણે, દર વર્ષે કુલ ઉત્પાદનના આશરે ૨૪ ટકા ઘઉં માણસના મોં સુધી પહોંચવાને બદલે બગડી જાય છે અને તેમને ફેંકી દેવા પડે છે.

આ બગાડને ભારતમાં મોટા પ્રમાણમાં કુપોષણથી પીડાતાં બાળકો અને બે ટંક ખાવા ભેળાં ન થતાં પરિવારોની સાથે મુકવામાં આવે ત્યારે તેની કરૂણતા છતી થાય છે. પરંતુ સરકારો જાણે આ બન્ને બાબતો સાવ અલગ હોય એ રીતે વર્તે છે અને અન્નસુરક્ષાના મોટા દાવા કરતી વખતે બગાડના પ્રાણપ્રશ્નના ઉકેલ વિશે વિચારતી નથી. સરકારી ગોદામોમાં સડતા અનાજ અને બહાર ભૂખે મરતા લોકોની વિસંગતતાથી વ્યથિત સર્વોચ્ચ અદાલતે બે વર્ષ પહેલાં સરકારને ઠપકો આપ્યો હતો અને અનાજ બગડી જાય તે પહેલાં જરૂરતમંદો સુધી પહોંચાડવા હુકમ કર્યો હતો. પરંતુ અનાજના ગેરવહીવટની વ્યવસ્થા એટલી મજબૂત બની ચૂકી છે કે નિષ્ઠાવાન પ્રયાસ વિના તેમાં સુધારો શક્ય નથી. ખરી વાત એ પણ છે કે ફુડ કોર્પોરેશનનાં ગોદામો અને જાહેર વિતરણ પ્રણાલિનો વહીવટ સુધારવાનું કામ લાંબું અને શુષ્ક છે. તેનાં પરિણામ આવતાં વાર લાગે અને કદાચ પોતાના શાસનકાળમાં ન પણ આવે. ‘તરત દાન અને મહાપુણ્ય (કે મતપુણ્ય)માં માનતા રાજકીય પક્ષોને એ રસ્તો માફક આવતો નથી. એટલે તે અન્નસુરક્ષા જેવા ટૂંકા અને મત ઉઘરાવવામાં મદદરૂપ થાય એવા રસ્તા શોધી કાઢે છે.

આર્થિક બોજ અને અસરકારકતા

દેશના નાગરિકોનો ભૂખમરો દૂર કરવાના કામમાં રૂપિયા ગણવાના ન હોય. એની પ્રાથમિકતા સૌથી પહેલી હોવી જોઇએ. અન્નસુરક્ષા વટહુકમ અંતર્ગત દેશના ૧.૨ અબજ લોકોમાંથી આશરે ૮૦ કરોડ લોકો આવરી લેવાય એવી સરકારની ધારણા છે. સાંભળવામાં આ બહુ સારું લાગે છે, પણ અમલની વાત આવે ત્યારે આ જાતની યોજનાઓમાં અઢળક નાણાં ખર્ચાય છે અને મૂળ સમસ્યા મહદ્‌ અંશે ઠેરની ઠેર રહે છે. આ પ્રકારની યોજના માટે ફાળવાતા અને વપરાતા તોતિંગ બજેટની દેશના અર્થતંત્ર પર અવળી અસર પડે છે, જે પડતા-આખડતા અર્થતંત્રને વાગેલા પાટુ જેવી નીવડે છે.

વર્ષ ૨૦૧૩-૧૪ના બજેટમાં ફુડ સબસિડીનો અંદાજ રૂ.૯૦ હજાર કરોડ જેટલો માંડવામાં આવ્યો હતો, પરંતુ નવા કાયદા પછી એ રકમ રૂ.૧.૨૪ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. સુરજિત ભલ્લા જેવા અભ્યાસીએ ગણતરી માંડીને લખ્યું છે કે અન્નસુરક્ષાનો કાયદો અમલમાં આવ્યા પછી પહેલા જ વર્ષે ફુડ સબસિડીનો બોજ વધીને રૂ.૩.૧૪ લાખ કરોડ થશે. ભારતના કુલ જીડીપી-કુલ ઘરેલુ ઉત્પાદન-નો એ ત્રણ ટકા હિસ્સો છે.

નવા કાયદાના અમલ માટે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મોટા પાયે (આશરે ૧૧ હજાર કર્મચારીઓની) ભરતીઝુંબેશ હાથ ધરશે એવા પણ સમાચાર છે. એ બધો ખર્ચ કર્યા પછી પણ જે મૂળભૂત હેતુસર આ કાયદો બનાવ્યાની વાત થાય છે, એ હેતુ સરશે કે કેમ એ અબજો રૂપિયાનો સવાલ છે.

સરકારોની અત્યાર સુધીની મથરાવટી જોતાં તેનો જવાબ ‘ના’ માં મળે એવી સંભાવના ઘણી મોટી છે. 

Sunday, May 19, 2013

૧૯૮૪થી ૨૦૧૪ : ન્યાય, નૈતિકતા અને નકટાપણું

(16-4-2013 ના રોજ પ્રગટ થયેલો લેખ)

લોકસભાની ચૂંટણીની હવા બંધાઇ રહી છે. રાજ્યકક્ષાના પક્ષો ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવવા માટે આઘાપાછા થઇ રહ્યા છે. ભારતના મુખ્ય બે રાષ્ટ્રિય પક્ષો પોતપોતાનાં કેટલાંક પત્તાં ઉતરી રહ્યાં છે અને કેટલાંક હજુ તેમણે પાકા ખેલીની જેમ છાતીસરસાં ચાંપીને રાખ્યાં છે. એટલે, દેખીતી રીતે લોકસભા ૨૦૧૪નો મુકાબલો રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો હોવાનાં ઢોલનગારાં અત્યારે વાગતાં હોય તો પણ, ચૂંટણી સુધીમાં યમુના નદીમાંથી ઘણું (પ્રદૂષિત) પાણી વહેવાનું બાકી છે.

ભારતીય લોકશાહીનો સામાન્ય ખ્યાલ ધરાવતા- એટલે કે લગભગ બધા- મતદારો જાણે છે કે ભારતમાં કોઇ વ્યક્તિની વડાપ્રધાન તરીકે ચૂંટણી થતી નથી. પક્ષને બહુમતી મળે છે અને એ પક્ષ નક્કી કરે તે નેતા વડાપ્રધાન થાય છે. એટલે અત્યારે આખો જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો લાગતો હોય તો એટલા માટે કે આવું ચિત્ર લોકોના મનમાં ઠસાવવા માટે લખલૂટ ખર્ચે મસમોટાં પ્રચારતંત્રો કામે લાગ્યાં છે. આમ પણ ભારત વ્યક્તિપૂજાનો દેશ છે. એટલે પ્રચારતંત્રોનું કામ બહુ અઘરૂં નથી અને રહી વાત એમની અસરકારકતાની. તો, ગુજરાતના મુખ્ય મંત્રી છીંક ખાય તેને પણ સમાચાર તરીકે ચમકાવવાની પ્રસાર માઘ્યમોની આતુરતા સ્વયંભૂ હશે એમ માની લેવું અઘરું છે.

આ તબક્કે બિનકેફી અવસ્થામાં રહેલા નાગરિક તરીકે આપણી પાસે કયા વિકલ્પ છે, એ વિચારવા જેવું છે. કોઇ પણ દેશના રાજદૂતની બીજા દેશમાં નિમણૂંક થાય ત્યારે એ દેશના વડા પાસે તેમણે સત્તાવાર રીતે પોતાના ‘ક્રેડેન્શિયલ્સ’- લાયકાત  અને અધિકારને લગતાં પ્રમાણ- રજૂ કરવા પડે છે. ધારો કે કોંગ્રેસ અને ભાજપ, એ બન્ને આપણા નાગરિકો સમક્ષ પોતપોતાની લાયકાતનાં પ્રમાણ રજૂ કરે તો કેવાં લાગે? અને નાગરિક તરીકે આપણી પાસે કયા વિકલ્પ છે?

આવો વિચાર ગયા સપ્તાહે (એપ્રિલ, ૨૦૧૩ના બીજા અઠવાડિયામાં) કોંગ્રેસી નેતા જગદીશ ટાઇટલર/ Jagdish Tytler સામેના અદાલતી આદેશથી આવ્યો. ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોના એક આરોપી તરીકે ટાઇટલર સામેની તપાસનો સીબીઆઇએ વીંટો વાળીને ક્લોઝર રીપોર્ટ ફાઇલ કરી દીધો હતો. પરંતુ  એક અરજીના જવાબમાં અદાલતે સીબીઆઇને ફરી ટાઇટલર સામેનો કેસ ખોલવાનો આદેશ આપ્યો. આવું બીજી વાર બન્યું. અગાઉ પણ એક વાર સીબીઆઇએ (કહેવાની જરૂર છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારમાં?) ટાઇટલર કેસમાં ક્લોઝર રીપોર્ટ સુપ્રત કરી દીધો હતો- મતલબ કે શીખ હત્યાકાંડમાં ટાઇટલર સામે કોઇ કેસ બનતો નથી અને તે નિર્દોષ છે.

અદાલતે કહ્યું કે એક તપાસસંસ્થા તરીકે સીબીઆઇ સાક્ષીઓની વિશ્વસનીયતા સામે આંગળી ચીંધી શકે છે અને યોગ્ય લાગે તો તપાસ બંધ પણ કરી શકે છે. પરંતુ કોઇ સાક્ષીનું નિવેદન નહીં લેવાનો- અને એ રીતે અદાલતનો પોતાના સ્વતંત્ર નિર્ણય પર પહોંચતી અટકાવવાનો- સીબીઆઇને અધિકાર નથી. આનું ‘ગુજરાતી’ એટલું જ કે સીબીઆઇએ પોતાનાથી સરખી તપાસ ન થાય તો કરવી, પણ બીજાના (અદાલતના) રસ્તામાં રોડાં નાખવાં નહીં.

બેશરમ પ્રતિભાવ

૨૯ વર્ષ પહેલાંના ઘાતકી હત્યાકાંડના આરોપી ટાઇટલર અત્યારે ૬૯ વર્ષના છે. ભારતના રાજકારણમાં આ ઉંમર બહુ મોટી ન કહેવાય. છતાં, શીખવિરોધી હત્યાકાંડના દાગ સાથે ટાઇટલર કોંગ્રેસ જેવા પક્ષમાં ૨૯ વર્ષ હેમખેમ જ નહીં, રંગેચંગે કાઢી શક્યા - અને હજુ પણ તેમને વાંધો આવે એમ નથી, એ હકીકત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના મતદાર તરીકે આપણને ડરાવે એવી છે.

 હત્યાકાંડના આરોપોમાં ફરી તપાસ કરવાના અદાલતી નિર્ણય પછી ટાઇટલર કહે છે કે ‘મારી સામે અદાલતમાં આરોપો ઘડાશે એ જ ઘડીએ હું કોઇ પણ હોદ્દે નહીં રહું. કારણ કે તેનાથી પક્ષને નીચાજોણું થાય અને મારે મન પક્ષ કરતાં વધીને કશું જ નથી.’ તો ટાઇટલરનો મહાન પક્ષ શું કહે છે? પક્ષનાં પ્રવક્તા રેણુકા ચૌધરીએ છાપેલો જવાબ આપતાં કહ્યું છે કે ‘અત્યારથી ટાઇટલર સામે પગલાં લેવાનું બહુ ઉતાવળીયું ગણાશે. પહેલાં તેમની વિરુદ્ધ કંઇક નક્કર પુરવાર તો થાય. હજુ મામલો અદાલતમાં છે અને અમે અદાલતના અધિકારક્ષેત્રનું કોઇ રીતે ઉલ્લંઘન કરવા માગતાં નથી. એટલે અત્યારે એ વિશે વાત કરવાનો કશો અર્થ નથી.’

જગદીશ ટાઇટલર એમના પક્ષને નીચાજોણું થવાની વાત કરે છે, કેમ જાણે એમને ખબર ન હોય કે એ મુદ્દે તેમના પક્ષની આબરૂ તળિયાના પણ તળિયે બેઠેલી છે. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની શીખ અંગરક્ષકો દ્વારા થયેલી હત્યા પછી ફાટી નીકળેલાં શીખવિરોધી રમખાણોને રાજીવ ગાંધીએ સ્વાભાવિક પ્રતિક્રિયા જેવાં ઠરાવ્યાં એ તો ભયંકર હતું, પરંતુ એ દિવસોનો ઓતાર અને ઓથાર ઉતરી ગયા પછી પણ રાજીવ ગાંધી, સોનિયા ગાંધી કે હવે વડાપ્રધાનપદના યુવા તાલીમાર્થી - એપ્રેન્ટીસ- રાહુલ ગાંધી, કોઇને શીખ હત્યાકાંડ વિશે હૃદયપૂર્વક વસવસો કરવા જેવું અને નાકલીટી તાણવા જેવું લાગતું નથી. કહેવા ખાતર કોંગ્રેસી સરકારે શીખ હત્યાકાંડની માફી માગી છે, પણ એ શીખ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘ પાસે મંગાવીને કોંગ્રેસે પોતાની ખોરી દાનતનો જ પરિચય આપ્યો છે. એ માફી સોનિયા ગાંધીના મોઢે વધારે શોભી હોત- કોંગ્રેસનાં કર્તાહર્તા તરીકે તેમ જ ઇન્દિરા ગાંધીનાં પરિવારજન તરીકે.

માફી ન માગવાથી પણ વધારે ગંભીર અને અક્ષમ્ય ગુનો એ છે કે કોંગ્રેસે શીખ હત્યાકાંડના આરોપી સજ્જનકુમાર અને જગદીશ ટાઇટલરને છાવર્યા છે, તેમને હોદ્દા આપ્યા છે અને તેમની સામેની તપાસ ઢીલી થાય એવા બધા પ્રયાસ કર્યા છે. આ તબક્કે શીખ હત્યાકાંડમાં કોંગ્રેસની દુષ્ટતાનો રાજકીય લાભ ખાટવા તલપાપડ ભાજપના પાયદળને  કે કલમદળને એટલું યાદ કરાવી દેવાનું કે ૧૯૮૪ પછી કેન્દ્રમાં પાંચ વર્ષ સુધી ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર પણ હતી જ. કોંગ્રેસની ગુનાઇત ઉદાસીનતાની આકરી ટીકા કરવાનો અધિકાર ફક્ત નાગરિકોને છે. ભાજપપ્રેમીઓ કે ભાજપીઓએ તો એ વાતનો હિસાબ આપવાનો છે કે તેમની સરકારે શીખવિરોધી હત્યાકાંડના કોંગ્રેસી આરોપીઓ સામે શું કર્યું? અને પોતાની સરકાર ન હતી ત્યારે, નજીવી વાતોમાં સંસદ ખોરવી નાખવા ઉત્સાહી ભાજપે ફરિયાદી શીખોને ન્યાય અપાવવા કશું કર્યું? કે પછી પોતાનું ગુજરાત, ૨૦૦૨નું પાપ સંતાડવા માટે દિલ્હીના શીખોના ઘાનો રાજકીય ઉપયોગ કર્યો રાખ્યો?

બીજા શબ્દોમાં, કોંગ્રેસની સરકારે શીખોને ઘા આપ્યા અને સજ્જનકુમાર-ટાઇટલરોને છાવરીને તેની પર મીઠું ભભરાવ્યું, તો ભાજપે એ ઘામાંથી પોતાના ૨૦૦૨ના ગંભીર દરદની રસી બનાવી લીધી. પરંતુ શીખોના ઘા પર મલમ લગાડવાનું કે તેને રૂઝવવાનું કામ બન્નેમાંથી કોઇ પક્ષે કર્યું નથી.

ટાઇટલર - કે પછી નરેન્દ્ર મોદી- જેવા લોકો જ્યારે કહે કે ‘અમારી સામેના આરોપ પુરવાર થશે તો અમે જાહેર જીવન છોડી દઇશું અથવા અમને ફાંસી આપી દેજો’ ત્યારે હસવું કે રડવું એની ખબર પડતી. કારણ કે આરોપો સાબીત થશે તો પછી તેમને તેમની ન્યાયપ્રિયતાને કારણે નહીં, પણ જખ મારીને આરોપી તરીકે સજા ભોગવવી પડશે. એમાં તેમણે શી ધાડ મારી? આ તો કોઇ ખિસ્સાકાતરુ એમ કહે કે ‘હું પકડાઇ જઉં તો મને બે ધોલ મારજો’ એવી વાત થઇ. પરંતુ નૈતિકતા કે ન્યાયપ્રિયતાનું ખરું ધોરણ એ હોય કે ટાઇટલર પહેલાં હોદ્દો છોડી દે અને પછી પોતાની સામેની તપાસ થવા દે. કોંગ્રેસના પક્ષેથી નીતિમત્તાનું ધોરણ એ હોવું જોઇએ કે પોતાના નેતાઓ સામે ગંભીર આરોપ થાય અને એ ચકાસવા પડે એટલા દમદાર લાગે, ત્યારે એ સૌથી પહેલાં એ નેતાની પડખે ઊભવાને બદલે, તેમને પક્ષના બધા હોદ્દેથી છૂટા કરે. પક્ષમાં એમનું સભ્યપદું ભલે ચાલુ રહેતું. એ સૌથી છેલ્લે - એટલે કે આરોપ પુરવાર થયા પછી- રદ થાય.

એને બદલે કોંગ્રેસ ૨૯ વર્ષ પછી અને એ પણ બીજી વાર ટાઇટલર સામેની તપાસ અદાલતના આદેશથી ફરી ખુલે ત્યારે પણ કહે છે કે ટાઇટલર સામે પગલાં લેવાનું અત્યારે બહુ ઉતાવળીયું કે વહેલું ગણાશે. આ એ પક્ષ છે જેના ટોચના નેતાએ હત્યાકાંડને શરૂઆતના દિવસોમાં વાજબી ઠરાવ્યો હતો અને તેના કેટલાક નેતાઓ હિંસામાં સંડોવણી ધરાવતા હોવા છતાં, તેમને કદી મામુલી સજા પણ કરવામાં આવી નથી. અદાલતમાં ગુનો પુરવાર કરવા માટે કાનૂની આંટીધૂંટીઓના રસ્તેથી નીકળવું પડે છે અને તેમાં અટવાઇ જવાનો ડર રહે છે, પણ આ લોકોને પક્ષમાંથી હાંકી કાઢવા કે કમ સે કમ તેમની પાસેથી હોદ્દા લઇ લેવા માટે આવા કોઇ પુરાવાની જરૂર નથી. એ સત્તા પક્ષને હસ્તક હોય છે. પરંતુ આવા નેતાઓને ચૂંટણીની ટિકિટો ને હોદ્દા આપવામાં પક્ષનું રુંવાડું પણ ફરકતું નથી. એ તો કોઇ તેમની પર જાહેરમાં જૂતું ફેંકે કે પછી અદાલત તેમની સામેની તપાસ ફરી ખોલાવે ત્યારે પક્ષની જાડી ચામડી માંડ સળવળે છે.

આ કોંગ્રેસનો વિકલ્પ એટલે ભાજપ, જેના વડાપ્રધાનપદના એક ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. ‘ઓપન’ સામયિકના પત્રકાર મનુ જોસેફે લખ્યું હતું તેમ, કોલેજ કક્ષાની ડીબેટ સ્પર્ધાઓ જેવી (છીછરી) કક્ષાની છતાં (કે એટલે જ) અત્યંત લોકપ્રિય બનેલી વક્તૃત્વશક્તિ ધરાવતા નરેન્દ્ર મોદી સામે ૨૦૦૨ની હિંસાની જવાબદારીની વાત આવે એટલે તેમની વાચા હણાઇ જાય છે. રાજનેતાને વડાપ્રધાનપદની વાસના હોય એમાં કશું ખોટું નથી, પણ પોતાની વાસનાને માતૃભૂમિ પ્રત્યેની ૠણચૂકવણીનું લેબલ મારવામાં મનુ જોસેફે કહી છે એ પ્રકારની વક્તૃત્વશક્તિ જોઇએ. ગુજરાતના મુખ્ય મંત્રીને હજુ ૨૦૦૨માં તેમના ‘સુશાસન’માં થયેલી કોમી હિંસાના જવાબો આપવાના બાકી છે. ગુજરાતના તેમની વ્યાખ્યામાં ન આવતા ઘણા ગુજરાતીઓનું ૠણ ચૂકવ્યાં પહેલાં તેમને કેન્દ્રમાં ૠણ ચૂકવવા પહોંચી જવું છે. તેમના પક્ષે કોમી હિંસાનો વસવસો,એ વખતે સરકારી તંત્રની નિષ્ફળતાનો એકરાર અને પછીનાં વર્ષોમાં તેમના બેફામ વાણીવિલાસ અંગેની દિલગીરી સાંભળવાનાં બાકી છે. રહી વાત એમના પક્ષની. તો ગુજરાતના મુખ્ય મંત્રીનું સ્વકેન્દ્રી સ્ટીમરોલર ફરી ગયા પછી ‘કયો પક્ષ?’ એવું પૂછવાની સ્થિતિ આવવાની છે.

 -અને આ બન્ને પક્ષો આપણી પાસે ૨૦૧૪ની ચૂંટણીમાં મત માગવાના છે. લાગે છે કે મન કઠણ કરવાની શરૂઆત અત્યારથી જ કરી દેવી પડશે.

Tuesday, February 26, 2013

માફીઃ કારણ અને રાજકારણ

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા અને માફી વિશેની ચર્ચા જગાડતા ગયા. કેમેરોને જલિયાંવાલા બાગની મુલાકાત લીધી અને લખ્યું કે એ બ્રિટનના ઇતિહાસની ‘ભારે શરમજનક’ (ડીપલી શેમફુલ) ઘટના હતી.

એ વાંચીને મોટા ભાગના લોકોને થાય કે, ‘એમાં નવું શું છે? આ ભાઇને કેમ છેક અત્યારે ખબર પડી?’ પણ રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય રાજકારણ સામાન્ય વ્યવહારની જેમ ચાલતું નથી. એમાં બતાવવાના ને બ્રશ કરવાના, ચાવવાના ને બચકાં ભરવાના દાંત જુદા જુદા હોય છે- અને એને દંભ નહીં, ડિપ્લોમસી કહેવામાં આવે છે. એ ફલક પર જોતાં, સત્તાસ્થાને રહીને જલિયાંવાલા બાગ હત્યાકાંડ વિશે શરમ વ્યક્ત કરનારા કેમેરોન પહેલા બ્રિટિશ વડાપ્રધાન  છે.

કેમેરોને પોતાના ટૂંકા લખાણમાં જેમને ટાંક્યા તે વિન્સ્ટન્ટ ચર્ચિલ હત્યાકાંડના બીજા જ વર્ષે (૧૯૨૦માં) આ બનાવને ‘મોન્સ્ટરસ ઇવેન્ટ’ (રાક્ષસી ઘટના) ગણાવી ચૂક્યા હતા. અલબત્ત, આ ઘટનાના મૂળમાં રહેલા બ્રિટિશ સામ્રાજ્યવાદના તે કટ્ટર સમર્થક હતા. તેમને વાંધો એ હતો કે બ્રિટન આવી (દેખીતી) રીતે લોહીથી હાથ ખરડીને ધંધો નથી કરતું.

આઝાદીની સુવર્ણજયંતિ નિમિત્તે ૧૯૯૭માં ભારત આવેલાં બ્રિટનનાં રાણી એલિઝાબેથે અમૃતસર જઇને જલિયાંવાલા બાગની ઘટનાને ‘એ ડિસ્ટ્રેસિંગ એપિસોડ’ તરીકે ઓળખાવી હતી અને કહ્યું હતું કે ‘ઇતિહાસ ફરી લખી શકાતો નથી.’ બફાટ કરવા માટે જાણીતા રાણીના પતિ (હા, બ્રિટનમાં રાણીના પતિ ‘રાજા’ હોતા નથી- ‘રાણીના પતિ’ જ કહેવાય છે) પ્રિન્સ ફિલિપે હત્યાકાંડમાં ભોગ બનેલા લોકોની સંખ્યા વિશે શંકા કરીને વિવાદ ઉભો કર્યો હતો. આ બધામાં તથ્યની સૌથી નજીક પહોંચ્યા ટોની બ્લેર. વડાપ્રધાન બનતા પહેલાં ભારતની મુલાકાતે આવેલા બ્લેરે અમૃતસર જઇને કહ્યું હતું કે જલિયાંવાલા બાગનું સ્મારક ‘ધ વર્સ્ટ આસ્પેક્ટ્‌સ ઓફ કોલોનિઅલિઝમ’- સંસ્થાનવાદના સૌથી ભયંકર પાસાં-ની યાદ અપાવે છે.

આગળ જણાવેલાં વિધાનોમાંથી એક પણ વિધાન જોકે ‘માફી’ ગણી શકાય એવું નથી. તેમાં એટલો સ્વીકાર છે કે જે થયું તે ખોટું હતું. કેમેરોને તો જલિયાંવાલા બાગ વિશે ‘ડીપલી શેમફુલ’ લખ્યા પછી સ્પષ્ટતા કરવી પડી કે તેમણે માફી માગી નથી. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ તેમના જન્મનાં પણ ૪૦ વર્ષ પહેલાં થયો હતો...એવી રીતે ઇતિહાસમાં પાછળ જઇને  માફી માગવાપાત્ર ઘટનાઓ શોધી કાઢવી બરાબર નથી.’

કેમેરોનના અફસોસ વ્યક્ત કરતા નિવેદનના પગલે ‘કોહેનૂર’ હીરા અંગે પણ વાત નીકળી. બ્રિટીશ શાસકોએ મહારાજા રણજિતસિંઘના વારસદારો પાસેથી પડાવી લીધેલો ‘કોહેનૂર’ બ્રિટનની રાણીના તાજમાં જડાયેલો છે. કેમેરોને કહી દીઘું કે ‘કોહેનૂર પાછો આપવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી. (તેની માગણી કરવી) એ યોગ્ય અભિગમ નથી...આઇ ડોન્ટ બિલીવ ઇન રીટર્નીઝમ...આઇ ડોન્ટ થિન્ક ધેટ્‌સ સેન્સિબલ’. એટલે કે, ભૂતકાળમાં બ્રિટિશરોની ગુલામી વેઠી ચૂકેલા દેશો બ્રિટન પાસેથી વઘુમાં વઘુ શાબ્દિક અફસોસની આશા રાખી શકે. બાકી, તેમની જે સંપત્તિ લૂંટાઇને બ્રિટન પહોંચી છે, તે ભૂલી જવાની. એની મસ્તી નહીં. કેમેરોને કહ્યું કે એ બઘું મ્યુઝીયમમાં રહે અને દુનિયાભરનાં મ્યુઝીયમો સાથે સંકળાયેલું રહે, એ જ યોગ્ય છે.  તો સામાન્ય નાગરિકોને સવાલ થાય કે ભાઇ, માફી નહોતી માગવી, કોહેનૂર પાછો નથી આપવો, તો જલિયાંવાલા બાગનું પ્રકરણ ખોલવાની શી જરૂર હતી?  તેનો સંભવિત જવાબઃ બ્રિટનમાં મોટી સંખ્યામાં ભારતીય મતદારો છે. તેમાં પણ શીખોનો સારો એવો પ્રભાવ છે. જલિયાંવાલા બાગ વિશે શાબ્દિક ખરખરો કરીને આ મતદારોને પલાળવાની તક શા માટે ન લેવી?

આ તે કંઇ માફી કહેવાય?

રાજકારણમાં કે એ સિવાયના વ્યવહારમાં માફી કેવળ જીભ હલાવવાની પ્રક્રિયા ન હોઇ શકે. ‘સોરી’ કહેવું બેશક જરૂરી છે, પણ એ બિલકુલ પૂરતું નથી- જેના વિશે માફી માગવામાં આવતી હોય એ ઘટના નજીકના ભૂતકાળની હોય, માફી માગનારનો તેની સાથે સીધો સંબંધ હોય અને તેના છેડા હજુ લટકતા હોય ત્યારે તો ખાસ.

નજીકના ભૂતકાળનાં દુષ્કૃત્યોની ન્યાયપ્રક્રિયા બાકી હોય ત્યારે, બીજું કંઇ કર્યા વિના લુખ્ખું ‘સોરી’ કહી દેવામાં એકરાર નહીં, પણ (જવાબદારીનો) ઉલાળિયો થાય છે. એવા લોકો ‘સોરી તો કહ્યું, હવે શું છે?’ એ પ્રકારની માનસિકતા પ્રદર્શીત કરતા રહે છે. દિલ્હીના શીખ હત્યાકાંડનાં વર્ષો પછી કોંગ્રેસી વડાપ્રધાન ડો.મનમોહનસિંઘે માફી તો માગી, પણ એ માફીનો આશય એક રાજકીય ઔપચારિકતા પૂરી કરવાનો હોય એવું વધારે લાગ્યું. મનથી મંગાયેલી માફીમાં ‘ફરી આવું નહીં કરું-નહીં થવા દઉં’નો ભાવ મુખ્ય હોય છે, જ્યારે કોંગ્રેસે તો માફી પહેલાં અને પછી પણ શીખ હત્યાકાંડના આરોપીઓને છાવર્યા છે, તેમને પક્ષની ટિકિટ આપી છે. ખરેખર તો કોંગ્રેસે હત્યાકાંડના આરોપીઓને તગેડી મૂકવાને બદલે છાવરવા બદલ, અલગથી માફી માગવાની થાય.

એવી જ રીતે રાજીવ ગાંધી હત્યાકાંડ પછી સાત વર્ષ જીવ્યા, છતાં તેમણે હત્યાકાંડ અને તેને વાજબી ઠરાવતા પોતાના નિવેદન વિશે કદી જાહેર માફી માગી નહીં. ડો.મનમોહન સિંઘે જે રીતે સાફ શબ્દોમાં માફી માગી, એટલી સ્પષ્ટતાથી રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધીએ કદી માફી ન માગી. રાજીવ ગાંધીનાં વિધવા તરીકે તેમની પાસેથી એ અપેક્ષા ન રાખીએ, પણ એ કોંગ્રેસનાં પ્રમુખ બને ત્યારે તેમની ફરજ બને છે.  એ હત્યાકાંડના આરોપીઓનો ન્યાય થયો નથી અને ઘા રૂઝાયા નથી ત્યારે તો ખાસ.

જાહેરમાં બઘું સમુંસૂતરું દેખાતું હોય, એટલે ઘા રૂઝાઇ ગયા એમ માની લેવું, એ જાતને અને બીજાને છેતરવાનો ધંધો છે. કેવળ લૂલી હલાવીને માફી માગ્યા પછી ભોગ બનેલાને બઘું ભૂલી જઇને આગળ વધવા કહેવું, એ ગુનાઇત બેશરમી છે. ભોગ બનેલા બઘું ભૂલી જાય એવું વર્તન અને એવો માહોલ માફી માગનાર તરફથી ઉભાં થવાં જોઇએ. કોંગ્રેસના આ કલંકની સામે ગુજરાતના મુખ્ય મંત્રીએ સવાયું કલંક સર્જાવા દીઘું. એમણે પોતાના શાસનમાં થયેલી કોમી હિંસા પર પોતાની રાજકીય કારકિર્દી બનાવી દીધી. શીખ હત્યાકાંડની તમામ પાશવતા પછી પણ કોંગ્રેસ એનો રાજકીય ફાયદામાં ઉપયોગ કરી શકે એમ ન હતી. ગુજરાતના મુખ્ય મંત્રી પાસે એ ફાયદો વધારાનો હતો. ગુજરાતની કોમી હિંસા પછી ‘મુસ્લિમોને પાઠ શીખવનાર’ તરીકે એ પોતાની છબી ઉભી કરી શકે એમ હતા. તેમાં એમને કેટલી સફળતા મળી, એ જાણવું હોય તો મુખ્ય મંત્રીના સમર્થકોને ખાનગીમાં - અને એક જ લીટીમાં- મુખ્ય મંત્રી પ્રત્યે તેમના અહોભાવનું કારણ પૂછી જોજો.

હત્યાકાંડમાં હજુ સુધી તેમની સંડોવણી પુરવાર થઇ નથી, પણ રાજ્યમાં મહિનાઓ સુધી ચાલેલી હિંસા દરમિયાન મુખ્ય મંત્રી તરીકે કોણ હતું? એ જાણવા માટે એકેય અદાલતની જરૂર નથી. હવે વડાપ્રધાન થઉં-થઉં કરતા મુખ્ય મંત્રી વર્ષો પહેલાં એક વાર ગુજરાતની હિંસાને ‘આખી જિંદગી ખભે રહેનારા બોજ’ તરીકે ઓળખાવી ચૂક્યા હતા, પરંતુ ‘રાષ્ટ્રિય સ્તરે મોટી ભૂમિકા’ ભજવવાની બધી આતુરતા પછી પણ, પોતાના રાજમાં થયેલી કોમી હિંસા વિશે અફસોસ વ્યક્ત કરતાં તેમની જીભ ઉપડતી નથી. શીખ હત્યાકાંડની સરખામણીએ ગુજરાતની કોમી હિંસામાં જે કંઇ ન્યાય શક્ય બન્યો છે, તે સરકારને લીધે નહીં, પણ સરકારના હોવા છતાં અને સર્વોચ્ચ અદાલતની કડક દરમિયાનગીરીથી થયો છે.

એક-બે વાર મુખ્ય મંત્રીએ પી.આર. કવાયતના ભાગરૂપે ગોળ ગોળ ભાષામાં ‘માણસમાત્ર ભૂલને પાત્ર’, ભગવાન ફરી ભૂલ ન કરવાની તાકાત આપે- એ મતલબનાં નિવેદન કર્યાં છે. પરંતુ જે ‘ભૂલો’ની રાજકીય રોકડી કરી હોય તેના માટે માફી માગવાનું અઘરું પડે એ સ્વાભાવિક છે.

નવી પરંપરા

શીખ હત્યાકાંડ કે ગુજરાતની હિંસાની સરખામણીમાં પોતાના  પૂર્વસૂરિઓથી થયેલી ભૂલો વિશે વસવસો વ્યક્ત કરવાનું વધારે સહેલું છે. કારણ કે તેમાં માફી માગનાર વિચારે છે કે પોતાની વ્યક્તિગત ભૂલ ન હોવા છતાં માફી માગવાને કારણે પોતે હકીકતમાં ઉજળા દેખાઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ૨૦૦૮માં સ્થાનિક આદિવાસીઓની માફી માગી. પહેલા વિશ્વયુદ્ધથી લગભગ ૧૯૭૦ સુધી, આદિવાસી બાળકોને ‘સુધરેલા’ વાતાવરણમાં ઉછેરવા માટે સરકારી રાહે તેમને કુટુંબ-સમાજથી વિખૂટાં પાડી દેવાતાં હતાં. ‘સ્ટોલન જનરેશન’ તરીકે ઓળખાયેલી આદિવાસીઓની આખી પેઢીઓ સાથે થયેલા અન્યાયનો સ્વીકાર સંસદમાં મંગાયેલી સત્તાવાર માફી દ્વારા થયો. ત્યાર પછી પણ આદિવાસીઓ સાથેના ભેદભાવની ફરિયાદ સંપૂર્ણપણે દૂર થઇ નથી, એ જુદી વાત છે.

નજીકના ઇતિહાસમાં ન્યાય અને વળતરનો સૌથી ઐતિહાસિક કહેવાય એવો સિલસિલો દક્ષિણ આફ્રિકામાં ચાલ્યો. ત્યાં ગોરાઓના રંગભેદી શાસનના અંત પછી નેલ્સન મંડેલાની આગેવાની હેઠળ રચાયેલી નવી સરકારે અગાઉની સરકારમાં હિંસાનો ભોગ બનેલા લોકોને ન્યાય મળે તથા વળતર પણ મળે, એ માટે આખું તંત્ર ઉભું કર્યું. તેમાં ગુનેગારોને અનિવાર્યપણે સજા મળે એવું જરૂરી ન હતું. તંત્રનો થોડો ઝોક માફી તરફનો અને એક નવી શરૂઆત તરફનો હતો, પણ એ માફી ભોગ બનનાર તરફથી મળે તે જરૂરી ગણાતું હતું.

ગયા વર્ષે અમેરિકાની સંસદે ૧૮૮૨થી ૧૯૪૩ સુધી અમલમાં રહેલા ચાઇનીઝ એક્સક્લુઝન એક્ટ માટે અમેરિકામાં વસતા ચીની લોકોની માફી માગી. આ કાયદા હેઠળ ચીનના લોકોને સત્તાવાર ધોરણે નાગરિકત્વથી વંચિત રાખવામાં આવતા હતા. ફ્રાંસના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદેએ ફ્રાંસના ભૂતપર્વ સંસ્થાન અલ્જિરિયાની સંસદમાં જઇને, સંસ્થાનવાદી શાસન ઘાતકી તથા અન્યાયી હોવાનું જણાવ્યું.

આ પ્રકારના માફીપ્રસંગો હવે વધી રહ્યા છે. છતાં સત્તા કે સર્વોપરિતાના ખ્યાલને કારણે જેને સાચા અર્થમાં માફી કહેવાય, એ મોટા ભાગના કિસ્સામાં છેટી રહી જાય છે. સાચી માફી એને કહેવાય જે માગ્યા પછી માગનારના મનનો ભાર હળવો થાય અને આપનારના મનમાં રહેલો ડંખનો કાંટો નીકળી જાય. એ સિવાય જે કંઇ થાય તે રાજકારણ કે માર્કેટિંગ હોઇ શકે- માફી નહીં. 

Tuesday, October 16, 2012

સમસ્યાઉકેલની ‘ નિર્મલબાબા પદ્ધતિ’


ધરમનો ધંધો કરનારાં ભારતનાં અનેક બાવા-બાવી-બાપુ-માતાઓમાં નિર્મલબાબાનું સ્થાન જરા જુદું છે. ભૂતકાળમાં કોઇએ આશીર્વાદ આપવા માટે માથે પગ મૂકીને, તો કોઇએ ફૂંકેલું પાણી આપીને લોકોનાં દુઃખદર્દ મટાડવાનો ધંધો - કે ધંધા- કર્યા હતા. પરંતુ હાસ્યાસ્પદતાની બાબતમાં નિર્મલબાબા એ સૌને ટપી ગયા. ટીવી પર આવતો નિર્મલબાબાનો દરબાર, મગજ ઠેકાણે હોય એવો કોઇ પણ માણસ જુએ, તો તેને ‘કોમેડી સરકસ’ જેવા કાર્યક્રમ જોવાની જરૂર ન પડે. લોકોની સમસ્યાના નિર્મલબાબા દ્વારા સૂચવાતા મૌલિક ઉકેલો સાંભળીને સ્વસ્થ માણસ બે ઘડી આંખો ચોળતો અને ‘જે જોઉં છું તે સાચું છે?’ એવું વિચારતો થઇ જાય. નિર્મલબાબાના દરબારમાં બબ્બે હજાર રૂપિયા ચૂકવીને બેઠેલા લોકોની ઠઠ જોઇને તર્ક, વિવેકબુદ્ધિ- અરે, સાદીસીધી સામાન્ય બુદ્ધિ પરથી વિશ્વાસ ઉઠી જાય.

નિર્મલબાબા એકદમ પ્રસન્ન ચહેરો રાખીને કોઇને પાણીપુરી ખાવાનો, તો કોઇને સમોસા સાથે લાલને બદલે લીલી ચટણી ખાવાનો ઇલાજ સૂચવે. કોઇને કહે કે મેળામાં વાંસળી વેચતા છોકરા પાસેથી વાંસળી ખરીદજો, તો કોઇને કહે કે પાકિટ ડાબા ખિસ્સાને બદલે જમણા ખિસ્સામાં મૂકજો. આમ કરવાથી સૌ સારું થઇ જશે.

મઝાની વાત એ છે કે નિર્મલબાબા ઉઘાડેછોગ જે કરે છે તેને છેતરપીંડી કહેવાય કે નહીં, એના માટે ચર્ચાઓ થાય. કોઇ વળી એવો મુદ્દો ગબડાવે કે ‘એક ખ્રિસ્તી પ્રચારક આવું જ કરે છે એનો વિરોધ નથી કરતા ને નિર્મલબાબા જ કેમ દેખાય છે? કારણ કે તમે હિંદુવિરોધી છો...’ (આટલું વાંચીને પણ કોઇને ‘વાત તો વિચારવા જેવી છે’ એવું લાગે તો નવાઇ નહીં.)

‘નિર્મલકાંડ’નો સાર એટલો કે કોઇ સમસ્યાના દેખીતી રીતે મોંમાથા વગરના ઉકેલ વહેતા કરી દેવામાં આવે, તો પણ ઘણા લોકોને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. ભલે ઉકેલના પાયામાં જ તર્ક અને વિવેકબુદ્ધિનો છેદ ઉડી જતો હોય. ભારત, અમર્ત્ય સેનના જાણીતા  પ્રયોગ (‘આર્ગ્યુમેન્ટેટીવ ઇન્ડિયન’) પ્રમાણે, ચર્ચાપ્રધાન દેશ છે. વાહિયાતમાં વાહિયાત ઉકેલમાંથી પોતાને ગમતો કે અનુકૂળ પડતો એકાદ અર્થ શોધીને, લોકો બાલની ખાલ ઉતારવા બેસી જશે. સમય વીતતાં સમસ્યાનો ઉકેલ આવવાને બદલે, ઉકેલની ચર્ચા અપ્રસ્તુત બની જશે. ત્યાં સુધી બીજા ‘નિર્મલબાબા’ બીજી કોઇ સમસ્યાનો વાહિયાત ઉકેલ સૂચવીને મેદાનમાં ઉતરી ચૂક્યા હશે.

હરિયાણાની હાસ્યાસ્પદ કરુણતા

નિર્મલબાબા ફક્ત તેમને પૂછાયેલા અંગત સવાલોના હાસ્યાસ્પદ-અતાર્કિક જવાબો આપે છે, પણ દેશના જાહેર જીવનમાં રહેલાં ઘણાં લોકો-પક્ષો-સંસ્થાઓ નિર્મલબાબાને સારા કહેવડાવે એવું વલણ જાહેર પ્રશ્નો પ્રત્યે દાખવે છે. તાજો દાખલો હરિયાણાનો આપી શકાય. એક જ મહિનામાં યુવતીઓ પર બળાત્કારના ૧૭ કેસ નોંધાતાં, હરિયાણા  વિવાદના કેન્દ્રમાં આવ્યું.

‘ખાપ પંચાયત’/Khap તરીકે ઓળખાતાં હરિયાણાના જાટ લોકોનાં જ્ઞાતિપંચ પાસે આ સમસ્યાનો ‘નિર્મલીય’ ઉકેલ તૈયાર હતો. તેમના પ્રવક્તાએ પૂરી ગંભીરતા સાથે (‘લાલને બદલે લીલી ચટણી ખાવ’ના અંદાજમાં) કહ્યું કે ‘ટીવી-ઇન્ટરનેટ-મોબાઇલ ફોનને કારણે છોકરાંની વૃત્તિઓ બહેકવા માંડે છે, પણ કાયદાના બાધને કારણે નાની ઉંમરે લગ્ન થઇ શકતાં નથી. એટલે પછી બળાત્કાર અને સામુહિક બળાત્કારના કિસ્સા બને છે. એ નીવારવા માટે લગ્નવય ઘટાડીને ૧૬ વર્ષ કરી નાખવી જોઇએ. એટલે ત્યાર પછી છોકરાં હરાયાં ન ફરે.’

તેમનો ઉકેલ જાણીને એવું લાગે, જાણે ફક્ત હરિયાણામાં જ લગ્નવયમર્યાદાનો કાયદો હશે, જેના પાપે ત્યાં મહિનામાં સત્તર બળાત્કારના કિસ્સા બને છે. બાકીના દેશમાં આ જ કાયદો હોવા છતાં  હરિયાણા જેટલી અરાજકતા કેમ નથી? એ વિશે વિચારવાની ‘ખાપ પંચાયતો’ને શી જરૂર? છોકરીની મરજી વિરુદ્ધ તેની પર જોરજુલમી કે સામુહિક જુલમ થાય એ ‘ખાપ’ પંચાયતને મન મુદ્દો જ નથી. તેમના પ્રવક્તાના વિધાનનો અર્થ એવો પણ થાય કે ‘તમે બિચારા છોકરાઓને ૨૧ વર્ષ સુધી પરણવા ન દો, તો પછી કુદરતી ઇચ્છાઓથી પ્રેરિત છોકરા બીજું શું કરે?’ આ મઘ્ય યુગ નહીં પણ એકવીસમી સદી ચાલી રહી છે રાજાશાહી નહીં પણ લોકશાહી છે, આ ફક્ત છોકરાઓની ઇચ્છાપૂર્તિનો નહીં, છોકરીઓના સ્વમાનનો અને સ્વત્વનો સવાલ છે- એવા ખ્યાલો ‘ખાપ પંચાયત’ માટે અજાણ્યા છે.

માની લો કે ખાપ પંચાયત તો લોકશાહી માળખાથી બહારની, મઘ્ય યુગની માનસિકતા ધરાવતી સંસ્થા તરીકે કુખ્યાત છે, પણ લોકશાહી માળખામાં રહેલાંનું શું? હરિયાણામાં કોંગ્રેસની સરકાર છે. પોતાના રાજમાં આટલી મોટી સંખ્યામાં બળાત્કારો થાય તે વિશે હરિયાણા કોંગ્રેસના નેતાઓ શું કહે છે? પંજાબ કોંગ્રેસના પ્રવક્ત ધરમબીરે પત્રકાર પરિષદમાં બહાદુરીપૂર્વક જાહેર કર્યું, ‘મને એ કહેવામાં જરાય ખચકાટ નથી કે સામુહિક બળાત્કારના ૯૦ ટકા કિસ્સામાં, છોકરી એક જણ સાથે સંબંધ માટે પોતાની મરજીથી તૈયાર હોય છે, પણ પછી તે બીજા વાસનાગ્રસ્ત લોકોનો ભોગ બની જાય છે.’ આ વાક્યનું ‘ગુજરાતી’ એવું થાય કે ‘છોકરી એક જણ સાથે પોતાની મરજીથી સંબંધ બાંધવા તૈયાર હોય અને એની પર સામુહિક અત્યાચાર થાય તો ભોગ એના.’

ત્યાર પહેલાં સત્તાધારી પક્ષના એક નેતાએ તત્કાળ કહી દીઘું હતું કે ‘આ સરકારને બદનામ કરવાનું કાવતરું છે.’ હરિયાણા હોય કે ગુજરાત, સવાલ એ થાય કે સરકારને બદનામ કરવાનાં કાવતરાં આટલાં બધાં ઘડાતાં હોય અને સરકાર પોતે એવું માનતી હોય, તો પછી એ ‘કાવતરાખોરો’ સામે કશાં પગલાં કેમ લેતી નથી? કેમ તમાચા પર તમાચા ખાઇને બેસી રહે છે?

નિર્મલબાબાની હરીફાઇ કરવામાં ભારતીય લોકદળના નેતા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચૌટાલા પાછળ રહે? તેમણે  લગ્નવયમર્યાદા ઘટાડવાના ખાપ પંચાયતના સૂચનને ટેકો આપ્યો. આ મુદ્દે તેમની આકરી ટીકા થઇ, એટલે ચૌટાલાએ ફેરવી તોળ્યું, પણ તેમનો ખુલાસો મૂળ વિધાન કરતાં વધારે નમૂનેદાર હતોઃ ‘મેં પત્રકારોને કહ્યું હતું કે મોગલોના વખતમાં છોકરીઓને ઉપાડી જવામાં આવતી ને તેમની પર અત્યાચાર થતો હતો. આવા બનાવો અને તેમાંથી પેદા થતી ક્ષોભજનક સ્થિતિ ટાળવા માટે પરિવારો પોતાની છોકરીઓને નાની ઉંમરે પરણાવી દેતા હતા.’ આવું વિધાન ચૌટાલાએ કયા સંદર્ભમાં અને કોના ટેકામાં કહ્યું હશે, એ સમજી શકાય એવું છે.

બાકી રહી ગયાં હતાં તે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી પણ હરિયાણા જઇ આવ્યાં. અત્યાચારનો ભોગ બનેલી એક યુવતીને મળ્યાં, પણ કોંગ્રેસી સરકારની નિષ્ફળતાની ટીકા કરવાનું તો બાજુ પર રહ્યું. સોનિયાએ કહ્યું,‘આ બઘું ફક્ત હરિયાણા પૂરતું મર્યાદિત નથી. આખા દેશમાં એ થાય છે.’ આવું કહેતી વખતે તેમને એટલું પણ યાદ નહીં રહ્યું હોય કે દેશ પર તેમના પક્ષની આગેવાની હેઠળની સરકારનું રાજ ચાલે છે? કોંગ્રેસી પ્રવક્તા રેણુકા ચૌધરીએ સોનિયા ગાંધીના વિધાનનો વિચારવિસ્તાર કર્યો. તેમણે કહ્યું, ‘હરિયાણાની કોંગ્રેસી સરકાર પર શા માટે દોષનો ટોપલો ઢોળવો જોઇએ? મહિલાઓ સામેના ગુનાનું પ્રમાણ ફક્ત આપણા દેશમાં જ નહીં, વિશ્વભરમાં વઘ્યું છે. આ પ્રશ્ન સૌ બૌદ્ધિકો માટે પડકારરૂપ છે.’

હરિયાણમાં આટલા મોટા પ્રમાણમાં યુવતીઓ કેમ અત્યાચાર કે સામુહિક અત્યાચારનો ભોગ બને છે? તેમાં દલિત યુવતીઓનું પ્રમાણ કેમ વધારે છે? હરિયાણામાં દલિતો પર અત્યાચારની જૂની અને આકરી પરંપરા તેમાં કેટલે અંશે જવાબદાર છે? અને એ સિલસિલો અટકાવવા માટે વિવિધ રાજકીય પક્ષોની સરકારોએ શું કર્યું? ભારતના બંધારણનો છડેચોક ભંગ કરતી ખાપ પંચાયતો સામે તમામ રાજકીય પક્ષો કેમ મીંદડી બની જાય છે? સામુહિક અત્યાચારોના સિલસિલા પછી આવા સવાલો વિશે ચર્ચા થવાને બદલે, અસરગ્રસ્તોને એ જાણવા મળે છે કે મોગલોના સમયમાં શું થતું હતું અને ફક્ત હરિયાણાં નહીં, ભારતમાં અને વિશ્વભરમાં આ જ ચાલી રહ્યું છે. એટલે કે, આનંદો. તમે દેશ કે દુનિયાથી પાછળ પડી ગયાં નથી.

વ્યાપક ‘નિર્મલતા’

દેશની સમસ્યાઓ સાથે કામ પાડવાની ‘નિર્મલ પદ્ધતિ’ પ્રમાણે, ચોતરફ ભ્રષ્ટાચારના આરોપોથી ખરડાયેલી સરકારના વડાપ્રધાન ખાનગી કંપનીઓની લેણદેણમાંથી ભ્રષ્ટાચાર મીટાવવાની વાતો કરે છે. વાત ખોટી નથી, પણ એ તેમના મોઢેથી લાલ-લીલી ચટણી જેટલી જ એબ્સર્ડ લાગે છે. કોંગ્રેસપ્રમુખના જમાઇ રોબર્ટ વાડ્રા, ડીએલએફ અને હરિયાણા સરકાર વચ્ચેના આર્થિક વ્યવહાર અંગે પ્રશ્નો થાય- અને ફક્ત અરવિંદ ‘આડેધડ’ કેજરીવાલ જ નહીં, આર્થિક અખબારો હિસાબી વિસંગતીઓ ચીંધી બતાવે, ત્યારે કોંગ્રેસી નિર્મલબાબાઓ કેવા જવાબ આપે છે?

એક તરફ જાહેર કરવામાં આવે છે કે રોબર્ટ ‘પ્રાઇવેટ સિટિઝન’ છે અને બીજી બાજુ કેન્દ્રિય મંત્રીઓની આખી ફોજ ટીવી સ્ટુડિયોમાં એક ‘પ્રાઇવેટ સિટિઝન’ને ચોખ્ખાઇનાં પ્રમાણપત્રો આપવા માટે ઉમટી પડે છે. અરવિંદ કેજરીવાલ બેશક બેફામ છે, પણ રોબર્ટની કંપનીના નાણાંકીય વ્યવહારોમાં સારી એવી સમજૂતીની જરૂર હોવાનું, અત્યાર સુધીના દસ્તાવેજો પરથી જણાયું છે. તેની સ્પષ્ટતા કરવાને બદલે, આખો પક્ષ ‘પ્રાઇવેટ સિટિઝન’ના આક્રમક બચાવ માટે ઉતરી પડે છે અને એમ કરીને રોબર્ટ પ્રાઇવેટ સિટિઝન હોવાના દાવાને હાસ્યાસ્પદ બનાવી મૂકે છે. પરંતુ કોઇ પણ હાસ્યાસ્પદ બાબત ગંભીરતાથી રજૂ કરવામાં આવે અને એ ચાલી પણ જતી હોય, ત્યારે નિર્મલબાબાના દરબારની સફળતાને યાદ કરવી.

ગુજરાતના લોકોને જોકે અતાર્કિકતા અને હાસ્યાસ્પદ ગંભીરતા માટે નિર્મલબાબા સુધી લાંબા થવાની જરૂર નથી. દસ વર્ષની સજા કાપીને જેલમાંથી છૂટેલો જણ ‘જોયું? આપણે કેવા બહાર આવી ગયા’ એમ કહીને પોરસાય, કંઇક એવી રીતે, બ્રિટનનો દસ વર્ષનો પ્રતિબંધ દૂર થતાં મુખ્ય મંત્રી ‘દેર આયે, દુરસ્ત આયે’નો હરખ કરે છે. પોતાના મંત્રીમંડળના મંત્રી ફક્ત હિંસા જ નહીં, વ્યાપક હિંસાનું કાવતરું કરવા જેવા ગુનાસર જેલમાં જાય, ચોક્કસ કેસ ગુજરાતને બદલે બીજા રાજ્યની અદાલતમાં ખસેડવામાં આવે, છતાં એ બધા વચ્ચે તેમના વડા એવા મુખ્ય મંત્રી બેદાગ ગણાય છે. ગુજરાતમાં કુપોષણના ઊંચા દરનો પ્રશ્ન આવે ત્યારે મુખ્ય મંત્રી નિર્મલબાબાની અદામાં, તથ્ય કે તર્કની ચિંતા રાખ્યા વિના, કહી દે છે કે ‘ગુજરાત શાકાહારી અને મઘ્મય વર્ગીય (મીડલ ક્લાસ) રાજ્ય છે. મીડલ ક્લાસ આરોગ્ય કરતાં સૌંદર્ય બાબતે વધારે સભાન છે...મા દીકરીને દૂધ પીવાનું કહે તો દીકરી કહે છે કે હું નહીં પીઉં. પીશ તો જાડી થઇ જઇશ...અમે એમાં પરિવર્તન આણવા માગીએ છીએ.’

તેમ છતાં, નિર્મલબાબાના ભક્તોની જેમ મુખ્ય મંત્રીનું ભક્તવૃંદ કાંસીજોડા લઇને મંડી પડે છે કે ‘અમારા બાબા તો ગ્રેટ છે, પણ દુષ્ટ લોકો તેમની સફળતા સાંખી શકતા નથી. એટલે તેમને બદનામ કરે છે.’

આવતા વર્ષના ‘ભારતરત્ન’ માટે નિર્મલબાબા કેમ રહેશે?

Thursday, July 26, 2012

ગૉડ પાર્ટિકલ: કેટલાક ભારતીય પ્રતિભાવ


વિજ્ઞાનીઓએ હિગ્સ-બોસોન જેવું વિચિત્ર નામ ધરાવતું કંઇક શોધી કાઢ્‌યું તેમાં દુનિયાભરનાં પ્રસારમાઘ્યમો ગાંડાં થયાં. આપણે ત્યાં યોગેશ ઊર્ફે પપ્પુ, જીતેશ ઉર્ફે લાલો અને કેતન ઉર્ફે છોટુ જેવાં લાડકાં નામ હોય છે, એવી રીતે હિગ્સ-બોસોનનું લાડકું નામ છેઃ ગૉડ પાર્ટિકલ.

ખીજ પાડનારા કે તેનો શિકાર બનનારાને ખબર હશે કે ઘણી વાર આખી ખીજમાંથી તેનો અડધો હિસ્સો કાયમી ઉપનામ તરીકે ટકી જાય છે. જેમ કે ‘રાજુ ગોળપાપડી’ આગળ જતાં ફક્ત ‘રાજુ પાપડી’ તરીકે ઓળખાય છે. હિગ્સ-બોસોનને પહેલાં કોઇ વિજ્ઞાનીએ ‘ગોડડેમ પાર્ટિકલ’ (હાથમાં ન આવતો એવો કમબખ્ત કણ) કહેલો, પણ વખત જતાં એમાંથી ‘ગૉડ પાર્ટિકલ’ જળવાઇ રહ્યું. એટલે અહીં તેનો ઉલ્લેખ ગૉડ પાર્ટિકલ તરીકે જ કરીશું, પણ એ દરેક વખતે ખરાઇનો આગ્રહ ધરાવનારે ‘ગૉડ’ની પાછળ ‘ડેમ’ શબ્દ મનોમન ઉમેરીને વાંચવું.

ગૉડ પાર્ટિકલ વિશેનાં લખાણોમાંથી કેટલાંક એટલી ગેરસમજણ ફેલાવનારાં હતાં કે એ વાંચ્યા પછી ‘ગૉડ પાર્ટિકલ’ને ‘ફ્રૉડ પાર્ટિકલ’ તરીકે ઓળખવાનું મન થઇ જાય. ગૉડ પાર્ટિકલ વિશે લખનારા-વાત કરનારા બધા કહે છે કે એની સમજણ આપવાનું બહુ અઘરું છે, છતાં એ ચીજ બહુ અગત્યની છે. તો સમજાવટનું કામ ભારતમાં જુદા જુદા રાજકીય નેતાઓને સોંપવામાં આવે અથવા એ વિશે તેમના પ્રતિભાવ લેવામાં આવે તો?

***

દિગ્વિજયસિંઘ


બિગ બેન્ગ (પ્રચંડ સ્ફોટ)માં રાજીવજીની હત્યા થયા પછી અમારા બ્રહ્માંડ જેવી કોંગ્રેસ તો હતી. તેમાં અમારા જેવા મૂળભૂત કણો પણ હતા. પરંતુ અમારું કશું વજન ન હતું. અમે આમતેમ ફરી ખાતા હતા.  પરંતુ કાળક્રમે મેડમ પાર્ટીમાં સક્રિય બન્યાં- જાણે અમારા બ્રહ્માંડમાં હિગ્સ ફિલ્ડ પેદા થયું. અમને દળવિહોણા કણોને હિગ્સ ફિલ્ડ જેવાં મેડમની ઓથ મળતાં અમારામાં દળ આવ્યું, અમે સૌ ભેગા થઇ શક્યા અને આજે યુપીએની સરકાર સ્વરૂપે જે અગાધ બ્રહ્માંડ દેખાય છે તેનું સર્જન થયું.

અમારા સ્ટાન્ડર્ડ મોડેલમાં, આર્થિક હિત થકી એકબીજા સાથે જકડી રાખતો સ્ટ્રોંગ ફોર્સ, ડો.સિંઘનો જેને જેટલાં કૌભાંડ કરવાં હોય તેની છૂટ આપતો વીક ફોર્સ અને અહમદભાઇનો આંચકા-આકર્ષણના સંમિશ્રણ જેવો વિદ્યુતચુંબકીય ફોર્સ કામ એકબીજા સાથે મળીને અમારું અત્યારનું બ્રહ્માંડ રચે છે. પરિવારભક્તિ એ સૌ કોંગ્રેસીઓને જ્યાં છે ત્યાં, ભ્રમણકક્ષામાં ફરતા છતાં સ્થાયી રાખતું ગુરૂત્વાકર્ષણ બળ છે. તેના જોરે નાના કોંગ્રેસીઓ મોટા સાથે, મોટા કોંગ્રેસીઓ નેતાઓ સાથે, નેતાઓ મંત્રી સાથે, મંત્રીઓ અહમદભાઇ સાથે અને અહમદભાઇ મેડમ સાથે સંકળાયેલા છે. આ ગુરૂત્વાકર્ષણ બળ અદૃશ્ય છે, છતાં તેની અસરમાંથી કોઇ છટકી શકતું નથી. કોઇ તેની પકડમાંથી છૂટવાનો પ્રયાસ કરે તો  શિસ્તભંગનાં પગલાં થકી તેને ગુરુત્વાકર્ષણની મજબૂતીનો અહેસાસ થઇ જાય છે- ન્યૂટનને માથા પર સફરજન પડવાથી થયો હતો એમ. આ બઘું મારા ઘરનું નથી. આઇન્સ્ટાઇને કહ્યું છે.

તમને થશે કે અમારા બ્રહ્માંડમાં હજુ સુધી રાહુલબાબાની વાત કેમ ન આવી? પરંતુ એમનું કામકાજ ગોળગોળ ફરતા ઇલેક્ટ્રોન જેવું છે. અત્યાર સુધી બિહાર-ઉત્તર પ્રદેશની ચૂંટણી અમે તેમની આગેવાનીમાં હારી ગયા. એટલે કેટલાક લોકો એમના માથે ૠણભાર (નેગેટીવ ચાર્જ) મૂકે છે, પણ ખરું પૂછો તો અમારા પક્ષમાં વીજળીનો સંચાર કરવાની ક્ષમતા એ જ ધરાવે છે. અમારી પાસે ઝળહળ પ્રકાશવાળા ફોટોન જેવા ફિલ્મસ્ટાર બહુ નથી, પણ ફોટોન જેવા દળ વગરના, બહારથી ચમકતા પણ અંદરથી ખાલી, કણોનું અમારે કશું કામ નથી.
 અમારું બ્રહ્માંડ સંકોચાઇ રહ્યું છે કે વિસ્તરી રહ્યું છે? એવો સવાલ કેટલાક લોકોને થાય છે. યુપીએનો પ્રભાવ જે રીતે ઓસરી રહ્યો છે એ જોતાં બ્રહ્માંડના સંકોચનની થીયરી સાચી લાગે છે, પણ જે ઝડપે મમતા બેનરજી, શરદ પવાર જેવા સાથીપક્ષો અમારાથી દૂર ભાગી રહ્યા છે તેની પરથી લાગે છે કે કદાચ અમારું બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. પણ અમને એનાથી કશો ફરક પડતો નથી. અમારા માટે તો અમે ભલા ને અમારું ગુરુત્વાકર્ષણ ભલું. સૂર્ય-ચંદ્ર ને પૃથ્વીને ગુરુત્વાકર્ષણ પ્રમાણે વર્તવામાં કશી શરમ નડતી ન હોય તો અમને શાની શરમ?

નરેન્દ્રભાઇ મોદી

ખરેખર તો આ પાર્ટિકલનું નામ મારા નામ પરથી ‘મોડ પાર્ટિકલ’ પાડવામાં આવ્યું હતું, પણ મારો એટલે કે ગુજરાતનો જયજયકાર સાંખી ન શકતી સેક્યુલર ટોળકીના કાવતરાને લીધે તેનું નામ  છેલ્લી ઘડીએ બદલી નાખવામાં આવ્યું. મને અમેરિકાનો વીસા ન મળ્યો એ માટે આ ટોળકી જ કારણભૂત હતી.

એ વાતમાં કોઇ શંકા નથી કે ગુજરાતમાં ઘણા લોકો માટે હું જ ‘ગૉડ પાર્ટિકલ’ છું. એવા લોકોની દૃઢ શ્રદ્ધા છે કે હું આવ્યો તે પહેલાં ગુજરાતમાં બઘું હતું, પણ તેમાં સ્થિરતા ને વજન ન હતું. હું આવ્યો ને બસ, ગુજરાતમાં સૃષ્ટિનું પ્રાગટ્ય થયું. મારા આવતાં પહેલાં કંઇક લખનારા પોતાની સગવડ પ્રમાણે મારી પહેલાંના મુખ્ય મંત્રીઓની, કોમવાદી વિચારધારાની અને એવી પરચૂરણ આરતીઓ ઉતારી ખાતા હતા. પણ ગુજરાતની સત્તા પર ગૉડ પાર્ટિકલ સમકક્ષ એવો હું આવ્યો એટલે દળ અને સ્થિરતા વગરના એ લોકોએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે મારી આરતી ઉતારીને મારામાંથી દળ મેળવ્યું અને તેના જોરે હું જેના કેન્દ્રસ્થાને હોઉં એવી આખેઆખી સૃષ્ટિ રચી નાખી. તેમણે સૂચવ્યું કે મારા નામ પરથી  ગૉડ પાર્ટિકલનું વૈજ્ઞાનિક નામ ‘મોદોન’ પાડવું જોઇએ, પણ હમણાં મેં એમને વાર્યા છે અને કહ્યું છે કે એક વાર પેલું દિલ્હીવાળું થઇ જવા દો. પછી બઘું જોઇશું.

કેશુભાઇ પટેલ

ગૉડ પાર્ટિકલની શોધની વાતો ફક્ત ગુજરાતને જ નહીં, સમગ્ર વિશ્વને ભયભીત બનાવવાનો કારસો છે. મીડિયામાં તેના પ્રભાવની વાતો વાંચીને લોકો ભયભીત બન્યા છે. આવો લપોડશંખ જેવો ગૉડ પાર્ટિકલ કોઇને ખપતો નથી. આપણે હવે ક્યાં સુધી ભયભીત બનીને બેસી રહીશું? જ્યાં સુધી કોઇ પાટીદાર વિજ્ઞાની નહીં બને અને એ ગૉડ પાર્ટિકલ નહીં શોધી કાઢે, ત્યાં લગી આપણે ગૉડ પાર્ટિકલની વાતો પર ઘ્યાન આપવાની જરૂર નથી. ગૉડ પાર્ટિકલના ભય અને આતંકનો વિરોધ કરવા માટે અમે રાજકોટમાં જંગી સંમેલન યોજીશું. સૌરાષ્ટ્રના ગામેગામ રેલી કાઢીશું. કોઇ સમુદાયે ગૉડ પાર્ટિકલના નામે થતા પ્રચારના આક્રમણથી ભયભીત થવાની જરૂર નથી. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોથી ગૉડ પાર્ટિકલની અસલિયત ખબર પડી જશે.

મમતા બેનરજી

સત્યેન્દ્રનાથ બોઝ બંગાળી હતા. એટલે ગૉડ પાર્ટિકલમાંથી મળનારા તમામ ફાયદામાં કેન્દ્ર સરકારે સૌથી મોટો હિસ્સો બંગાળને આપવો જોઇએ. એવું નહીં થાય તો હું યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લઇશ.

Thursday, May 03, 2012

બોફર્સમુદ્દે કોંગ્રેસના યુવા નેતાઓની બેઠક


ઇ.સ.-ઇન્ટરનેટ સંવત - પૂર્વેના ભારતમાં એક કૌભાંડ થયું હતું. આમ તો ઘણાં થયાં, પણ તેમાં આ સૌથી વધારે ચગ્યું. બોફર્સ તોપોની ખરીદીમાં કટકી ખવાઇ. એ જમાનો ગ્લોબલાઇઝેશન પહેલાંનો હતો. લોકો સંકુચિત મગજના હતા. નેતાઓ પણ જોશીલા ન હતા. ભ્રષ્ટાચારી હોવાને તે ખરાબ બાબત ગણતા હતા. કલમાડીઓ કે યેદીયુરપ્પાઓની જેમ, ભ્રષ્ટ હોવામાં બહાદુરી છે એવું તેમને સમજાયું ન હતું. ત્યારની પ્રજા પણ અત્યારના જેટલી ‘ફોરવર્ડ’ ન હતી. એ ભ્રષ્ટાચારી હોવાને ખરાબ ગણતી હતી. ‘ગમે તેવો હોય, પણ મરદ માણસ છે બાકી’ એવા શબ્દોમાં ભ્રષ્ટાચારીઓ પર વારી જતા અત્યારના લોકો હજુ જન્મ્યા ન હતા અથવા જન્મ્યા હોય તો ભમરડા રમતા હતા.

બોફર્સ કૌભાંડનું ભૂત પચીસ વર્ષે ફરી ઘુણ્યું છે. વિરોધપક્ષો કહે છે કે સરકારે નવેસરથી તપાસ કરવી જોઇએ. કોંગ્રેસે અને સીબીઆઇએ આખી વાતને હસી કાઢી છે, પણ આ મુદ્દો જોર પકડે તો શું કરવું એ વિશે કોંગ્રેસી નેતાઓની એક બેઠક મળી છે. તેમાં જૂના નેતાઓ ઉપરાંત યુવા નેતાઓને ખાસ હાજર રાખવામાં આવ્યા છે.

સોનિયા ગાંધી મનમોહનસિંઘ સામે અને ડો.સિંઘ પ્રણવ મુખર્જી સામે જોઇને હળવો ઇશારો કરે છે, એટલે પ્રણવદા સંચાલન માટે સજ્જ થાય છે.

પ્રણવ મુખર્જીઃ આપણે આજે બોફર્સકાંડની સિલ્વર જ્યુબિલીના પ્રસંગે એકઠા થયા છીએ.


યુવા નેતા ૧: અરે, પહેલાંથી કહ્યું હોત તો આપણે ૨૫ કિલોની, તોપના આકારની કેક તૈયાર ન કરાવત?

મુખર્જીઃ આપણે સિલ્વર જ્યુબિલી ઉજવવા નહીં, પણ હવે શું કરવું એની વ્યૂહરચના વિચારવા ભેગા થયા છીએ.
યુવા નેતા ૨: આ બોફર્સ એક્ચુલી શું હતું? મને આઇડીયા તો છે કે એમાં કીકબેક (કટકી)ના પ્રોબ્લેમને લીધે લોકોની કીક ખાવી પડી.

ચિદમ્બરમ્‌: વાયકા એવી છે કે બોફર્સ કંપનીએ આ ખરીદી માટે રૂ.૬૪ કરોડની કટકી આપી હતી.

યુવા નેતા ૩: ઓહ નો. આ બધો કકળાટ ફક્ત ચોંસઠ કરોડ રૂપૈડી માટે છે? મને એમ કે ૬૪ હજાર કરોડને બધા ટૂંકમાં ૬૪ કરોડ કહેતા હશે.

મુખર્જી (સુખદ ભૂતકાળમાં ખોવાઇ જતાં) : એ જમાનો જુદો હતો. લોકસભામાં આપણો પક્ષ ૪૦૦થી પણ વધારે બેઠકો જીત્યો હતો.

યુવા નેતા ૪: મને કોઇ કહેતું હતું કે એ ચૂંટણીમાં આપણું પ્રતીક પંજો નહીં, પણ સળગતી ચિતા હતું એ સાચી વાત છે?

દિગ્વિજયસિંઘઃ ભાઇ, તમારે પક્ષના ઇતિહાસ વિશે જાણવું હોય તો મિટિંગ પૂરી થયા પછી મળજો અને ત્યાં સુધી તમારી જિજ્ઞાસાને કાબૂમાં રાખજો. નહીંતર...(રાહુલ ગાંધી સામે જુએ છે. રાહુલ ડો.સિંઘ સામે અને ડો.સિંઘ સોનિયા ગાંધી સામે જુએ છે.)

યુવા નેતા ૧: આ મામલો સ્વિત્ઝર્લેન્ડનો છે ને?

મુખર્જીઃ ના, કંપની સ્વીડનની હતી અને એની તપાસ કરનાર સ્વીડનનો પોલીસ વડો હતો.

યુવા નેતા ૧: અચ્છા. તો આપણી પાસે એક બ્રિલિયન્ટ આઇડીયા છે. ફરહાન અખ્તર આપણો જીગરી છે. એને આપણે કહીએ કે એ તેની નવી ફિલ્મ સ્પેનને બદલે હવે સ્વીડનમાં ઉતારે. જોઇએ તો એનું નામ ‘કટકી ના મિલેગી દોબારા’ રાખે. આપણે જ એને ફાઇનાન્સ કરીએ. એ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને સ્વીડનના પોલીસવડાનો રોલ આપીએ. લિન્ડસ્ટોર્મને સ્ક્રીપ્ટ કન્સલ્ટન્ટ તરીકે રાખીએ અને વિદ્યા બાલનને હીરોઇન બનાવીએ. પછી જુઓ મઝા. સ્વીડનનું નામ પડતાં જ લોકોને બોફર્સ નહીં, પણ વિદ્યા બાલન ને અમિતાભ બચ્ચન ને સ્વીડનનાં લોકેશન જ યાદ રહેશે.

કપિલ સિબ્બલઃ આ તો બહુ લાંબો રસ્તો છે. મારી ‘ગુગલ’ સાથે વાટાઘાટો ચાલી રહી છે. એ લોકો માની જાય તો આપણે એવું કરવા માગીએ છીએ કે ગુગલ સર્ચમાં કોઇ ‘બોફર્સ’ કે ‘બોફર્સ સ્કેન્ડલ’ કે ‘બોફર્સ કીકબેક’ લખે, તો તેના રીઝલ્ટ તરીકે કારગીલના યુદ્ધમાં બોફર્સ તોપે કેટલું સરસ કામ આપ્યું, તેના સમાચાર જ આવે.

ચારે યુવા નેતાઓઃ વાઉ. તમે તો અમારા કરતાં પણ વધારે ટેક-સાવી નીકળ્યા. કૂલ આઇડીયા છે.

ચિદમ્બરમ્‌: બહુ રાજી થવાની જરૂર નથી. આપણા માટે સૌથી મોટો પ્રશ્ન ક્વોત્રોકીનો છે.

યુવા નેતા ૨: ઓ રીઅલી? ક્વોત્રોકી અન્કલ કોણ છે?

દિગ્વિજયસિંઘઃ જરા મોં સંભાળીને. એ તારા અન્કલ ક્યારથી થઇ ગયા?  એ તો રાહુલજીના અન્કલ છે...કોઇ મોટા માણસનું નામ સાંભળ્યું નથી ને અન્કલ કહીને લાગી પડ્યા નથી.

યુવા નેતા ૨: સોરી, પણ એ અન્કલ એટલે મામા કે કાકા?

આ વખતે સોનિયા ગાંધી રાહુલ સામે કરડાકીથી જુએ છે. રાહુલ દિગ્વજિયસિંઘને નજરના રીમોટ કન્ટ્રોલથી ‘પૉઝ’ કરવા કોશિશ કરે છે. વાત આડા પાટે ચડતી જોઇને પ્રણવ મુખર્જી મેદાનમાં આવે છે.

મુખર્જીઃ ઇનફ ઇઝ ઇનફ. આપણે ભાજપની નહીં, કોંગ્રેસની મિટિંગમાં બેઠા છીએ, એટલું પણ મારે યાદ કરાવવું પડે?

ચિદમ્બરમ્‌: વિપક્ષો ક્વોત્રોકીનો મુદ્દો ચગાવશે. કારણ કે એ (હળવા સાદે) ઇટાલિયન છે.

યુવા નેતા ૪: તો એમાં શું થઇ ગયું? એમ તો પિત્ઝા પણ ઇટાલિયન છે ને પાસ્તા પણ. (બીજા યુવા નેતાઓ સામે જોઇને) આ તો કયા જમાનાની વાત કરે છે? આખેઆખાં ઇટાલિયન રેસ્તોરાં ખુલી ગયાં ને તમે ઇટાલિયનની વાતથી દબાતા ફરો છો?

કપિલ સિબ્બલઃ તમારી વાત તમારી જગ્યાએ સાચી છે. તમે પિત્ઝા ને પાસ્તામાં મોટા થયા એટલે તમને આખી સ્થિતિની ગંભીરતા નહીં સમજાય. પણ વિપક્ષો આ જ મુદ્દો લઇ પડશે.

યુવા નેતા ૧: તો અસલી મુદ્દો ક્વોત્રોકી ઇટાલિયન છે એટલો જ છે. બરાબર?

મુખર્જી (ખચકાતાં): લગભગ..કદાચ..મોટે ભાગે..એવું ઘણાને લાગે છે...એવું મેં સાંભળ્યું છે...મને ચોક્કસ ખાતરી નથી...

યુવા નેતા ૨: તો એમાં શી મોટી વાત છે? આપણી પાસે બીજો જિનિયસ આઇડીયા છે. એ અમલમાં મુકીશું તો એક જ ઝાટકે, આપણે અને આપણો પક્ષ અને સોનિયાજી ને રાહુલજી બોફર્સની ફાયરિંગ રેન્જની બહાર.

બધા વડીલ નેતાઓઃ (ઉત્સુકતાથી) એમ? શું? કયો?

યુવા નેતા ૨: ક્વોત્રોકીનું નામ જ એવું ઇટાલિયન છે કે તે માણસનું ન હોય તો કોઇ વાનગીનું છે એવું લાગે. કશી ખબર ન પડતી હોય એને પણ એટલું સમજાય કે આ ઇટાલિયન માણસનો કંઇક ગોટાળો છે. આપણે એમનું નામ જ બદલી નાખીએ તો? આપણે એમને કહીએ કે એ પોતાનું નામ ઓટ્ટાવિયો ક્વોત્રોકીને બદલે ઓ.વી.કાત્રક કરાવી નાખે. બસ, પછી જ્યારે પણ એમનું નામ છપાશે ત્યારે લોકો વિચારશે કે ‘હશે કોઇ દેશી કૌભાંડકારી. એમાં શું આટલી બબાલ કરવાની? અને એ પણ પાંસઠ કરોડ રૂપૈડી માટે? મરવા દો કાત્રકને.’

 આ સૂચન સાંભળતાં જ સૌ એકબીજા સાથે સંભાવનાઓની ચર્ચા કરવા મચી પડે છે અને સામુહિક ગણગણાટથી બેઠકમાં અવિધિસરનો વિરામ પડે છે.

Tuesday, February 07, 2012

ડો.સુબ્રમણ્યન્‌ સ્વામી: કોયડા જેવો ઉકેલ

ડો. સુબ્રમણ્યન્‌ સ્વામી/ Subramanian Swamy અને પ્રશાંત ભૂષણની રજૂઆત પછી, સર્વોચ્ચ અદાલતે ૮ કંપનીઓને ૨૦૦૮માં ફાળવાયેલાં ૧૨૨ ટુ-જી લાયસન્સ રદ કરવાનો ચુકાદો આપ્યો. ડો.સ્વામીએ આ ચુકાદાને ‘બેસ્ટ પોસિબલ જજમેન્ટ’ ગણાવ્યો. ‘જનલોકપાલ’ખ્યાત- અન્નામંડળનાં સભ્ય કિરણ બેદીએ ટ્‌વીટર પર લખ્યું,‘અભિનંદન, ડો.સ્વામી. તમે આ દેશની નીયતી બદલી રહ્યા છો.’

યુપીએ સરકારનું નાક (જો રહ્યું હોય તો) કાપતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો જ નહીં, ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર લાવવાનું અને તેની પાછળ મચ્યા રહેવાનું મોટું શ્રેય ડો.સ્વામીને જાય છે. ૭૨ વર્ષની વયે તેમનો જુસ્સો અને લડાકુ વૃત્તિ દાદ માગી લે એવાં છે. તે ઇચ્છે એના વિશે સાડા બારી રાખ્યા વિના બોલી શકે છે. એ જુદી વાત છે કે કોના વિશે એવું ઇચ્છવું તે જાહેર હિત નહીં, પણ અંગત પસંદગીના આધારે નક્કી થાય છે અને એ સતત બદલાતું રહે છે.

ક્યારેક તે કરૂણાનિધિને પાડવા માટે જયલલિતાને મદદ કરી શકે છે, તો ક્યારેક જયલલિતાને પછાડવા માટે કરૂણાનિધિની સાથે બેસી શકે છે. વાજપેયી સરકારને ગબડાવવા માટે તે સોનિયા ગાંધી સાથે હાથ મિલાવી શકે છે અને હિંદુત્વની રાજકીય લોબી સાથે રહીને તે સોનિયા ગાંધી વિશે તે બેફામ આરોપો કરી શકે છે. સ્વામીને વર્ષોથી જાણતા લોકોને આ બઘું નવાઇભર્યું લાગતું નથી. એ જાણે છે કે સુબ્રમણ્યન્‌ સ્વામી આજ સુધી પોતાના સિવાય બીજા કોઇના થયા નથી અને થાય એવું લાગતું પણ નથી.

સ્વામી જેની સામે પડી જાય, તેના વિરોધીઓને તે મહાન લડવૈયા- દેશભક્ત- ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકાર- હિંદુહિતરક્ષક અને એવું ઘણું બઘું લાગી શકે છે. પક્ષીય વફાદારી કે ખેંચાણ ન ધરાવતા લોકો માટે સ્વામી અનેક વિરોધાભાસી લક્ષણોનું પડીકું છે. તેમને ન્યાય માટે ઝઝૂમતા ‘હીરો’ ગણીને ખભે બેસાડી શકાય એમ નથી ને કુટિલ ખલનાયકમાં ખપાવીને હાંસિયાની બહાર કાઢી મૂકાય એમ નથી. તેમને ક્યારે ગંભીરતાથી લેવા અને ક્યારે ન લેવા એ કોયડો છે, પણ છેલ્લા થોડા સમયમાં તેમની રજૂઆતોને અદાલતમાંથી મળેલો ટેકો અને સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આણવાનું તેમનું ઝનૂન જોતાં તેમને અવગણી શકાય એમ પણ નથી.

‘વન મેન પાર્ટી’ : કાવતરાંકથાનો ભંડાર
સુબ્રમણ્યન્‌ સ્વામી વિશે પ્રાથમિક માહિતી મેળવવા માટે તેમની વેબસાઇટ જોઇએ, ત્યારે સૌથી પહેલાં જનતા પક્ષનું એક સમયે બહુ જાણીતું અને હવે વિસરાઇ ગયેલું ચિહ્ન- હળધારી ખેડૂત- નજરે પડે છે. તેના પરથી યાદ આવે કે કટોકટી પછીની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડનાર જનતા પક્ષ ખંડિત થતો થતો છેવટે ડો.સ્વામીના ભાગમાં આવ્યો છે અને ‘વન મેન પાર્ટી’ તરીકે અસ્ત પામ્યો છે. (‘વન મેન આર્મી’ની જેમ, ‘વન મેન પાર્ટી’નો શબ્દપ્રયોગ ડો.સ્વામી માટે પણ થાય છે.)

વેબસાઇટ પર ચીસો પાડીને ઘ્યાન ખેંચતી બીજી હકીકત છેઃ ડો.સ્વામીનો સોનિયા ગાંધી પરિવાર અને કોંગ્રેસ માટેનો તેમનો હળાહળ દુર્ભાવ, જે ભાજપતરફી સહાનુભૂતિ ધરાવતા લોકોને બહુ ભાવે છે. ‘ડુ યુ નો યોર સોનિયા?’ (સોનિયા ગાંધીને તમે બરાબર ઓળખો છો?) એ મથાળા હેઠળ પોતાની વેબસાઇટ પર સ્વામીએ સોનિયા ગાંધી વિરુદ્ધ ગંભીર આરોપો કર્યા છે. તેમાં સોનિયા ગાંધીના રશિયાની જાસુસી સંસ્થા કેજીબી સાથેના સંબંધોથી માંડીને અનેક એવી વાતો છે, જેને માની લેવા માટે સામાન્ય બુદ્ધિ પૂરતી ન થાય. એ માટે ભાજપ જેવા કોઇ પક્ષની વિચારધારાનાં ચશ્માં પહેરવાં પડે કે કોન્સ્પીરસી થિયરી- કાવતરાંબાજી માટેનો ઊંડો રસ કેળવવો પડે.

સોનિયા ગાંધીને આઘુનિક રોબર્ટ ક્લાઇવ સાથે સરખાવનારા ડો.સ્વામીનો આરોપ છે કે બોફર્સ કૌભાંડથી માંડીને સ્પેક્ટ્રમ કૌભાંડ સુધીની રકમોનો મોટો હિસ્સો છેવટે સોનિયા ગાંધીને જ પહોંચ્યો છે. તેમના આરોપ વાંચીને સોનિયા ગાંધીના રાજકીય વિરોધીઓ કે ફેસબુક-ટ્‌વીટર પર કોંગ્રેસના વિરોધને દેશભક્તિનું પ્રમાણ ગણાવીને તાળીઓ ઉઘરાવનારાને મઝા પડે એ તો સમજી શકાય એવું છે. સાથોસાથ, બીજો નાનો વર્ગ પણ સ્વામીને ગંભીરતાથી લે છે- અથવા તેને ગંભીરતાથી લેવા જોઇએ એવું માને છે. એ વર્ગની દલીલ છે કે ‘સોનિયા ગાંધી વિશે ડો.સ્વામીએ કરેલા આરોપોમાં કશું તથ્ય ન હોય, તો સોનિયા તેમની સામે બદનક્ષીનો આરોપ શા માટે નથી કરતાં? મતલબ સાફ છેઃ ડો.સ્વામીના આરોપોમાં તથ્ય છે.’

આ દલીલ ક્ષણ-બે ક્ષણ સામેવાળાને વિચારતા કરી મૂકે એવી છે. છતાં, સહેજ વિચારતાં તેની પોકળતા છતી થઇ જાય છે. સોનિયા ગાંધી બદનક્ષીનો દાવો ન કરે એટલા માત્રથી તેમની પરના આરોપ શી રીતે વજૂદભર્યા માની શકાય? રાજકારણમાં દરેક વખત મૌનને સંમતિ તરીકે ખપાવી શકાતું નથી. ઘણી વાર તે આરોપ પ્રત્યે ઉપેક્ષા અને આરોપ કરનારને પ્રોત્સાહન નહીં આપવાની વૃત્તિ સૂચવતું હોય છે.

સોનિયા ગાંધી વિશેના આક્ષેપોનું બેફામપણું જોતાં, ડો.સ્વામીને ગંભીરતાથી લેવાનું ભાગ્યે જ મન થાય. પરંતુ આગળ જણાવ્યું તેમ, ડો.સ્વામીને સાવેસાવ હળવાશથી લઇ શકાય એમ નથી. તેમની વાતોમાં આડેધડ આરોપો અને વજૂદ ધરાવતા આરોપોનું અજાયબ અને છૂટું પાડી ન શકાય એવું મિશ્રણ જોવા મળે છે. તેમાં સ્વામીનું રાજકારણ, તેમનો તકવાદ અને સ્વાર્થ ભળતાં એ લગભગ ન ઉકેલી શકાય એવો કોયડો બની રહે છે.

તેજસ્વીતા અને તકવાદ
જાહેર ક્ષેત્રની કોઇ પણ વ્યક્તિ કરતાં ડો.સ્વામીને જુદાં જુદાં ખાનાંમાં ઓળખવાનું વધારે જરૂરી છે. ડો.સ્વામીનાં વિવિધ પાસાં ‘તહલકા’ (૩૧ ડિસેમ્બર, ૨૦૧૧)ની કવર સ્ટોરીમાં અશોક મલિકે ચીવટપૂર્વક આલેખ્યાં છે. એક તરફ એ તેજસ્વી વિદ્યાર્થી અને અભ્યાસી અઘ્યાપક તરીકે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે અને તેમાં કશી અતિશયોક્તિ નથી. ચોવીસમા વર્ષે ગણિતમાં પીએચ.ડી. થયેલા, ગણિતશાસ્ત્રી પિતાના પુત્ર સ્વામી સિત્તેરના દાયકામાં ચીન વિશેના નામી અભ્યાસી તરીકે ખ્યાતિ પામ્યા. તેમનાં ગણિત અંગેનાં પેપરની ગુણવત્તાથી હાર્વર્ડ જેવી વિશ્વખ્યાત યુનિવર્સિટીએ તેમને ફેલોશીપ આપી હતી. ઉદારીકરણ અને અમેરિકા-ઇઝરાઇલ સાથે સારા સંબંધો રાખવાના આગ્રહી સ્વામીને ભારતમાં રાજકારણ સિવાયનાં ક્ષેત્રોમાં વ્યાપેલા રાજકારણનો કડવો સ્વાદ પણ પહેલેથી ચાખવા મળતો રહ્યો. એવા પ્રસંગોએ સ્વામીમાં રહેલી તેજસ્વીતાને સ્વકેન્દ્રી બનાવવામાં અને ‘આક્રમણ દ્વારા સ્વબચાવ’ તરફ વાળવામાં કેટલો ભાગ ભજવ્યો એ કહેવું અઘરું છે, પરંતુ તેમનામાં લડાકુ વૃત્તિને પહેલીથી કમી ન હતી.

દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને આઇ.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં અઘ્યાપક તરીકે તેમને રાજકારણનો અને પોતાના રાજકીય વિચારોને કારણે થતા અન્યાયનો સામનો કરવો પડ્યો- વેઠવું પણ પડ્યું. સિત્તેરના દાયકામાં ૧૦ ટકા આર્થિક વિકાસ દરની વાત કરનાર સાંસદ સુબ્રમણ્યન્‌ સ્વામી માટે ઇંદિરા ગાંધીએ ‘સાન્ટાક્લોઝ વિથ અનરિઆલિસ્ટીક આઇડીયાઝ’ (શેખચલ્લી) જેવા શબ્દો વાપર્યા હતા. (પછીનાં વર્ષોએ બતાવી આપ્યું કે એ માન ખરેખર ઇંદિરા ગાંધીને પોતાને મળવું જોઇતું હતું.)

તેજસ્વી અને કેવળ જુદા વિચારોને કારણે અન્યાયનો ભોગ બનેલા સ્વામીનું બીજું પાસું રાજકીય છે. પક્ષીય વફાદારી જેવો શબ્દ તેમના શબ્દકોશમાં નથી. એનો અર્થ એવો પણ નથી કે પ્રજાહિતને કારણે તે પક્ષીય વફાદારીમાં બંધાઇ શકતા નથી. ભાજપના માતૃપક્ષ જનસંઘે પહેલી વાર તેમને ૧૯૭૪માં રાજ્યસભામાં મોકલ્યા ત્યારથી એ પક્ષ સાથે તેમના સંબંધોમાં ચડાવઉતાર થતા રહ્યા છે. ભાજપના ટોચના નેતા વાજપેયીને સ્વામી માટે જરાય ભાવ ન હતો. અશોક મલિકે નોંઘ્યા પ્રમાણે, કટોકટી પછી ઇંદિરા ગાંધીને હરાવીને જનતા પક્ષની સરકાર બની ત્યારે મોરારજી દેસાઇએ ડો.સ્વામીને રાજ્યકક્ષાના નાણાંમંત્રી બનાવવા સૂચવ્યું હતું, પણ વાજપેયીએ તેમનો પ્રસ્તાવ ઉડાડી દીધો. ડો.સ્વામી પોતાના વિરોધીનો વિરોધ કરતા હોય ત્યાં સુધી સૌને સારા લાગે છે, પણ તેમની સાથે બેસનારાને એટલું સમજાઇ જાય છે કે સ્વામીની બંદૂકને ધડો નથી. અત્યારે આપણી બાજુ રહીને ફૂટતી હોય તે ક્યારે આપણી સામે ફૂટવા માંડે, કહેવાય નહીં. એટલે રીઢા રાજકારણીઓ સ્વામીથી સલામત અંતર રાખે છે.

આ વાતનું સૌથી નમૂનેદાર ઉદાહરણ છેઃ સોનિયા ગાંધી સાથે ડો.સ્વામીના સંબંધ. એ પોતે રાજીવને પોતાના મિત્ર ગણાવે છે. બોફર્સ કટકીમાં સોનિયા ગાંધી ઉપરાંત વી.પી.સિંઘથી માંડીને બીજા ઘણા લોકો સંકળાયેલા હોવાનો તેમનો આરોપ છે. પરંતુ ૧૯૯૮માં ભાજપ સરકારને ટકી રહેવા માટે જયલલિતાના ટેકાની જરૂર હતી, ત્યારે જયલલિતાના પ્રતિનિધિ તરીકે ડો.સ્વામીએ વાજપેયી સાથેનો જૂનો હિસાબ ચૂકતે કરવાની તક ઊભી કરી લીધી. (સ્વામીને ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશકાર તરીકે ઓળખાવવા આતુર લોકોએ, સ્પેક્ટ્રમ કૌભાંડમાં તેમની ભૂમિકાનો એક પણ માર્ક ઘટાડ્યા વિના જાણવું જોઇએ કે એ જયલલિતાના પણ સાથીદાર હતા.)

જયલલિતાના ટેકાના બદલામાં ડો.સ્વામીએ વાજપેયી પાસે નાણાં મંત્રાલયની માગણી કરી. વાજપેયીએ માગણી કબૂલ રાખી કે નહીં એ વિશે મતાંતર છે, પણ ટેકો મળ્યો ને સરકાર બની ગઇ પછી સ્વામીને મંત્રીપદું ન મળ્યું. છંછેડાયેલા સ્વામીએ દિલ્હીની એક હોટેલમાં પાર્ટી રાખીને જયલલિતા અને સોનિયાને મેળવ્યાં. ત્યાર પછી વાજપેયીની સરકાર જયલલિતાના ટેકા વિના ગબડી પડી. સ્વામીનો એવો પણ દાવો છે કે સોનિયા ગાંધીએ બિનકોંગ્રેસી-બિનભાજપી સરકારને ટેકો આપવાનું વચન આપ્યું હતું. ટૂંકમાં, એ વખતે સ્વામીને સોનિયા સામે વાંધો ન હતો- અથવા તેમની શૈલીમાં કહીએ તો, સોનિયા સામે વાંધો ક્યારે પાડવો એ તેમના મનમાં નક્કી હતું.

ફરીથી ભાજપની સરકાર બની ત્યારે જયલલિતા-સોનિયા ગાંધીના પક્ષોએ ચૂંટણીજોડાણ કર્યું, પણ ડો.સ્વામીને તેમણે દૂર જ રાખ્યા. એટલે ૧૯૭૪ થી ૧૯૯૯ સુધી સાંસદ રહેલા સ્વામીને ચૂંટણીના રાજકારણથી છેટું પડી ગયું. ત્યાર પછી એ ચૂંટણી લડ્યા ખરા, પણ જીતી શક્યા નથી.

સ્પેક્ટ્રમ કૌભાંડના મુદ્દે લડત ઉપાડીને સ્વામી ફરી એક વાર પ્રકાશમાં આવી ગયા છે. હવે તેમણે સોનિયા ગાંધી અને પી.ચિદમ્બરમ્‌ સામે નિશાન તાક્યાં છે અને અંશતઃ સફળતા પણ મેળવી છે. ગુજરાતની કોંગ્રેસ જેવા ખોખલા કેન્દ્રના ભાજપને ડો.સ્વામીમાં મજબૂત સાથીનાં દર્શન થાય તો નવાઇ ન લાગવી જોઇએ. બાકી રહ્યા સામાન્ય નાગરિકો. તેમણે સ્વામીની લડતની આડપેદાશોથી જેટલું જનહિત સધાય તેનો આનંદ માણવો જોઇએ, પણ સ્વામીની લડતનાં મુખ્ય નિશાન અને તેની પાછળનાં કારણ નજરઅંદાજ કર્યા વિના.

Friday, December 16, 2011

ઇન્ટરનેટ સેન્સરશીપ: કોંગ્રેસી નેતાઓની સમુહચર્ચા

માહિતી-પ્રસારણ મંત્રી કપિલ સિબ્બલે ગયા અઠવાડિયે ઇન્ટરનેટ પર મુકાતી સામગ્રીમાં દેખરેખ અને કાપકૂપની વાત કરી છે. અંગ્રેજીમાં એને સેન્સરશીપ કહેવાય. આ નિર્ણય લેતાં પહેલાં યુપીએના નેતાઓની એક બેઠક મળી હોત, તો તેમાં કેવી ચર્ચાઓ થઇ હોત?
***
કપિલ સિબ્બલ (કાર્યવાહી શરૂ કરવાની પરવાનગી માગતી નજરે સોનિયા ગાંધી સામે જોઇને): આજે આપણે એક અગત્યના નિર્ણય માટે ભેગા મળ્યા છીએ.

ચિદમ્બરમ્‌: જો એ નિર્ણય પ્રણવ મુખર્જીએ લીધેલો હોય તો હું અત્યારથી તેની સામે મારો વાંધો નોંધાવું છું.

મમતા બેનરજીઃ અમારી પાર્ટી ધમકી આપવાને બદલે યુપીએ સરકારમાંથી ખરેખર ખસી જાય તો શું કરવું, એની ચિંતા કરતા હો તો છોડી દેજો. અમે ૨૦૧૪ સુધી તમને છોડીને ક્યાંય જવાનાં નથી.

રાહુલ ગાંધીઃ માયાવતી સામે સીબીઆઇની તપાસ ક્યારથી ચાલુ કરાવવી એનો નિર્ણય લેવાનો છે?

દિગ્વિજયસિંઘઃ અન્નાના ઉપવાસનો વિચાર કરીને મગજ બગાડવાની જરૂર નથી. એમના માટે મેં નવાં વિશેષણ તૈયાર રાખ્યાં છે. એક નમૂનો આપું? ‘આઇ.એસ.આઇ.ના એજન્ટ’ - કારણ કે પાકિસ્તાનમાં પણ એમને બોલાવનારા છે. કેવું લાગ્યું?

(સોનિયા ગાંધી મનમોહનસિંઘ સામે કડક નજરે જુએ છે. મનમોહનસિંઘઘ દયામણી નજરે સિબ્બલ સામે જુએ છે. એટલે સિબ્બલ વાત આગળ વધારે છે.)

સિબ્બલઃ ના, હું જે કહેવાનો છું તેના પ્રત્યાઘાત વધારે ઘેરા પડે એમ છે.

પ્રણવ મુખર્જીઃ વર્ષો પહેલાં ઇન્દિરાજીએ આવી જ રીતે એક બેઠક બોલાવી હતી. એ બેઠકમાંથી અમે ઘેર ગયા અને બીજા દિવસે સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે દેશમાં કટોકટી જાહેર થઇ છે. ત્યારથી આવું બઘું સાંભળીને મારા પેટમાં ફાળ પડે છે.

રાહુલ ગાંધીઃ પણ મને તો એવો ખ્યાલ છે કે કટોકટીને આપણા પક્ષે બંધારણીય દરજ્જો આપેલો...

(સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામે જુએ છે. રાહુલ ગાંધી દિગ્વિજયસિંઘ સામે જોઇને પછી સોનિયા ગાંધી સામે પ્રશ્નસૂચક નજરે જુએ છે. જાણે કહેતા હોય,‘દિગ્વિજયસિંઘે મને આવું જ શીખવ્યું છે. એમાં કંઇ ગરબડ છે?’)

ઓમર અબ્દુલ્લા (સમવયસ્કની મજાક કરવાના અંદાજમાં): તમે ક્યાં સુધી યુવાન રહેશો રાહુલ? આપણાં લગ્ન ન થાય, ત્યાં સુધી લોકો આપણને યુવાન જ ગણ્યા કરશે, એવી ગેરસમજણમાં ન રહેતા ને એ આશાએ અપરણીત પણ ન રહેતા. પરણીએ કે ન પરણીએ, ક્યારેક તો મોટા થવું પડે.

સિબ્બલઃ રાહુલબાબાનું લગ્ન ચોક્કસપણે રાષ્ટ્રહિતનો ગંભીર મુદ્દો છે, પણ આજે આપણી મિટિંગનો વિષય જુદો છે. તમે બધા ફેસબુક-ટ્‌વીટર-ગુગલ-યાહુ એ બધા વિશે જાણતા હશો..તમારામાંથી કેટલા લોકોનાં ફેસબુક કે ટ્‌વીટર પર એકાઉન્ટ છે?

(શાંતિ છવાઇ જાય છે. રાહુલ ગાંધી ચૂપકીદી તોડે છે.)

રાહુલઃ ટિ્‌વટર-ફેસબુક સ્વિત્ઝર્લેન્ડની બેન્કોનાં નામ નથી કે તેમાં ખાતું હોય એમણે ગભરાવું પડે. બોલો..કહી દો.. (સિબ્બલ સામે જોઇને) ટિ્‌વટરના એકાઉન્ટને કારણે શશિ થરૂરની જે દશા થઇ, એ જોયા પછી આપણા નેતાઓ એ વિશે વાત કરતાં ગભરાય છે.

પ્રણવ મુખર્જીઃ અમે ફેસબુક-ટિ્‌વટર કરીએ તો પછી છાશવારે નીકળતા કૌભાંડો અને ભ્રષ્ટાચારના આરોપોમાં બચાવ કોણ તૈયાર કરે? (ચિદમ્બરમ્‌ સામે જોઇને) કરનારા તો કૌભાંડો કરીને ખાતું બદલી નાખે છે ને પછી જવાબો અમારે આપવાના થાય છે.

સિબ્બલઃ મેં તો અમસ્તું વાતની ભૂમિકા બાંધવા પૂછ્‌યું. આ જમાનામાં ટિ્‌વટર-ફેસબુક-ગુગલ વિશે બધા જાણતા જ હોય...

રાહુલ ગાંધીઃ પણ એનું અત્યારે શું છે? યુવા કોંગ્રેસના નવા સભ્યોની નોંધણી ફેસબુક પર કરવાની છે? મને નથી લાગતું કે એ આઇડીયા બહુ ચાલે. હું આ દેશમાં ફર્યો છું, મેં જાતે ગામડાં જોયાં છે, દલિતોની ઝૂંપડીમાં જઇને ભોજન કર્યું છે. આપણા દેશના લાખો ગરીબો-દલિતો પાસે દિવસમાં એક ટંક ફેસબુક અપડેટ કરવાનાં ફાંફાં હોય, ત્યારે ફેસબુક આધારીત સભ્યપદને આટલું મહત્ત્વ શી રીતે આપી શકાય?

દિગ્વિજયસિંઘ (‘જોયું? આને કહેવાય તાલીમ’ના અંદાજમાં): વાહ, તમારા મનમાં આમઆદમીની કેટલી ચિંતા છે. જ્યાં સુધી તમે છો ત્યાં સુધી કોંગ્રેસનું ભવિષ્ય સુરક્ષિત છે.

સિબ્બલઃ ખરી વાત છે, પણ આપણે આજે વર્તમાનની વાત કરવાની છે. મને જાણવા મળ્યું છે કે ફેસબુક પર લોકો આપણને બધાને બહુ ભાંડે છે, આપણા ગમે તેવા ફોટા મૂકે છે, આપણે ઝૂડવાની એકેય તક જતી કરતા નથી, આપણાં ગમે તેવાં મોઢાં ચિતરે છે, ગમે તેનાં મોઢાં આપણા ધડ ઉપર બેસાડી દે છે... આ બધી અત્યાર સુધી ખબર હતી, પણ હમણાં મેં જે જોયું, તે જોઇને મને થયું કે મારી આંખો કેમ ન ફૂટી ગઇ?

મમતા બેનરજીઃ હા, એ વાત ખરી. માહિતી-પ્રસારણ મંત્રીની આંખો સાજીસમી હોય, તો પછી પોતાની સરકાર હોવાનો શો અર્થ?

સિબ્બલઃ ના, વાત એવી છે કે લોકો હવે ડોક્ટરસાહેબના (વડાપ્રધાનના) અને મેડમના (સોનિયા ગાંધીના) ફોટા સાથે પણ ચેડાં કરવા લાગ્યા છે. એ જોઇને મારું લોહી ઉકળી ઉઠ્યું. ગુસ્સાની અને નિઃસહાયતાની લાગણી મને ઘેરી વળી. થયું કે લેપટોપ માર્ગ આપે તો સમાઇ જાઉં. હું આટલું અટકાવી શકતો ન હોઉં તો માહિતી-પ્રસારણ મંત્રી તરીકે મારી નિષ્ફળતા કહેવાય.

મમતા બેનરજીઃ ખરી વાત છે. અમારા પક્ષના એક જણને હજુ કેબિનેટમાં લેવાના બાકી જ છે. તમે કહેતા હો તો તમારી જગ્યાએ...

સિબ્બલઃ તમારી લાગણીની હું કદર કરું છું, પણ હું બીજું કંઇક કહેવા માગું છું. મને લાગે છે કે આપણે ફેસબુક-ટ્‌વીટર જેવા કકળાટ પર પ્રતિબંધ ફટકારી દઇએ તો કેવું રહે? (બોલીને સોનિયા ગાંધી તરફ જુએ છે- જાણે પૂછતા હોય, ‘બરાબર બોલાયું ને?’)

દિગ્વિજયસિંઘઃ અદ્‌ભૂત વિચાર છે. તમારો નથી લાગતો.

ચિદમ્બરમ્‌: સારો વિચાર છે, પણ આ જાહેરાત માહિતી-પ્રસારણ મંત્રાલય દ્વારા થશે તો તેનો અવળો અર્થ નીકળશે. લોકો ‘કટોકટી’ અને ‘સેન્સરશીપ’ જેવા શબ્દો લઇને વિરોધ કરવા મચી પડશે. હકીકતે, આ જાહેરાત ગરીબીનાબૂદીકાર્યક્રમના ભાગ રૂપે થવી જોઇએ.

રાહુલ ગાંધીઃ હું સમજી ગયો. લાખો લોકોને એક ટંક ફેસબુક અપડેટ કરવાનાં ફાંફાં હોય ત્યારે ફેસબુક-ટ્‌વીટરની સેવાઓ પર પ્રતિબંધ મૂકી દઇએ તો પછી બધા સરખાઃ જેની પાસે કમ્પ્યુટર-મોબાઇલ હોય તે પણ ફેસબુક-વંચિત અને એ સુવિધા ન હોય તે પણ ફેસબુક-વંચિત. આને કહેવાય અસલી સમાનતા અને સમાજવાદ. દાદીમાને આ સમાજવાદનાં પ્રણેતા તરીકે નોબેલ શાંતિ પારિતોષિક અથવા અર્થશાસ્ત્ર માટેનું પારિતોષિક કેમ ન મળ્યું, એની મને નવાઇ લાગે છે.

દિગ્વિજયસિંઘઃ એમાં જીવ બાળવો નહીં. એમણે ગાંધીજીને પણ નોબેલ પારિતોષિકથી વંચિત રાખ્યા હતા. એમાં ખરાબ કોનું દેખાયું? આપણું કે એમનું?

મમતા બેનરજીઃ એક મિનીટ, આ બધી શાની વાતો ચાલી રહી છે? ફેસબુક-ટ્‌વીટર બંગાળમાં કારખાનું ખોલવાનાં હોય તો એની પરના પ્રતિબંધને મારો ટેકો છે, પણ એવું ન હોય તો અમારે વિચારવું પડે.

(સોનિયા ગાંધી પ્રણવ મુખર્જી સામે જુએ છે.)

પ્રણવ મુખર્જી (પરાણે હસતાં) : કેમ નહીં! વિચારવું એ તમારો અધિકાર છે ને ગણકારવું નહીં એ અમારો વિશેષાધિકાર. જુઓ વાતવાતમાં યાદ આવ્યું. આ મિટિંગ પૂરી થાય પછી આપણે બેસીને બંગાળ માટેના પેકેજની ચર્ચા કરવાની છે.

શરદ પવારઃ હું આ પ્રકારની સેન્સરશીપનો વિરોધ કરું છું. પેલો હરવિન્દર ગમે ત્યારે તો હોસ્પિટલમાંથી બહાર આવશે. પછી હું શું કરું?

ચિદમ્બરમ્‌: તમે ચિંતા ન કરતા. તમને ટ્રીપલ ઝેડ સુરક્ષા આપીશું ને તમારી ઓફિસના પંખા પણ બદલી નાખીશું જેથી તમે બેઠા હો ત્યાં પંખા પડે નહીં. પણ તમારે યુપીએની એકતા દર્શાવવા ખાતર આ દરખાસ્ત માનવી પડશે.

શરદ પવારઃ સારું, પણ તમે સાવ પ્રતિબંધ મૂકી દેવાની વાત ન કરશો.

મમતા બેનરજીઃ હું પણ એ જ વિચારતી હતી. અત્યારે ફક્ત વાંધાજનક સામગ્રી પર અંકુશ મૂકવાનો ઇરાદો જાહેર કરો.

રાહુલ ગાંધીઃ ખરી વાત છે. એવું નહીં કરીએ તો, માયાવતી આખા ઉત્તર પ્રદેશના દરેક આંબેડકર પાર્ક ને દરેક કાંશીરામ સ્મારકમાં ફેસબુક-ટિ્‌વટરનાં મફત કેન્દ્રો ખોલશે ને આપણા પ્રતિબંધની સાથે આપણા પક્ષના પણ ભૂંડા હાલ થશે.

દિગ્વિજયસિંઘ: તમારી રાજકીય પુખ્તતા જોઇને મને લાગે છે કે આ વખતે ઉત્તર પ્રદેશ આપણા હાથમાં આવ્યું સમજો.

(સોનિયા ગાંધીના ચહેરા પર આછા સ્મિતનો આભાસ થાય છે. એ સાથે જ મિટિંગ બરખાસ્ત, કલ્પનાની હદ પૂરી અને વાસ્તવિકતાનો પ્રદેશ શરૂ થઇ જાય છે. કપિલ સિબ્બલ કહે છે કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટો પર મુકાતી વાંધાજનક, સરકારવિરોધી સામગ્રી વિશે કંપનીઓ પોતે ઘ્યાન નહીં રાખે તો પછી સરકારે ઘ્યાન રાખવું પડશે.)

Wednesday, June 29, 2011

(ચ્યુઇંગ) ‘ગમ’ કા ‘ફસાના’ કિસકો સુનાયેં

ઇંદિરા ગાંધીના કટોકટી કાળના સાથીદાર અને યુપીએ સરકારના કટોકટીભર્યા સમયગાળાના મંત્રી પ્રણવ મુખર્જીની કેબિનમાં ઠેકઠેકાણે ચ્યુઇંગ ગમ કે ટચૂકડાં રેકોર્ડર ચોંટાડાયેલાં હોવાનું બૂમરાણ ગયા અઠવાડિયે મચ્યું. દેશના નાણાં મંત્રી હોવાના નાતે ચ્યુઇંગ ગમ (પ્રચલિત બોલીમાં ‘ચિંગમ’) વહેંચવી એ પ્રણવ મુખર્જીની કામગીરીનો હિસ્સો છે. તેમના દ્વારા છૂટા હાથે વહેંચાતી જીડીપી, ગ્રોથ રેટ જેવી ચ્યુઇંગ ગમો ચાવવાથી દાંત અને દેશ મજબૂત થવાની ઉજળી આશા રહે છે. એકાદ સારી ચ્યુઇંગ ગમ કંપનીએ હજુ સુધી મુખર્જીમોશાયને કેમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા નથી એ નવાઇની વાત છે. અગાઉના અવતારમાં પ્રણવ મુખર્જી ચુંગી (પાઇપ)થી ઓળખાતા હતા, પરંતુ તેમની ઓફિસમાં ચોંટાડાયેલી ચ્યુઇંગ ગમોના વિવાદ પછી, નવી પેઢી તેમને ચુંગીથી નહીં, પણ ચ્યુઇંગ ગમથી યાદ રાખે એવી શક્યતા વધારે છે.

પ્રણવ મુખર્જીની કેબિનમાં જાસૂસી થતી હતી કે નહીં એની અનંત ચર્ચામાં પડવાને બદલે, ધારો કે ત્યાં ખરેખર ટચૂકડાં રેકોર્ડર મુકાયેલાં હોત તો? અને એ જ રૂમમાં થોડા દિવસો પહેલાં યુપીએ સરકારની અગત્યની ખાનગી બેઠકો પણ થઇ હોત તો? કેવા સંવાદ તેમાં ઝીલાયા હોત તેની કાલ્પનિક ઝલકઃ

સોનિયા ગાંધીઃ આજે બધાને મોડી રાત્રે અને આ જગ્યાએ બોલાવવા પડ્યા છે. પણ છૂટકો ન હતો. બાબાનું આપણે શું કરવાનું છે?

દિગ્વિજયસિંઘઃ વડાપ્રધાન બનાવી દો. આમ ને આમ તો એ જીવનમાં ને રાજકારણમાં- બેય રીતે કોડભર્યો કુંવારો રહી જશે ને એનું પાપ અમને લાગશે.

ચિદમ્બરમઃ પાપના હિસાબો ના કાઢશો. ગણવા બેસીશું તો રાત આખી પૂરી થઇ જશે ને હિસાબ અધુરો રહેશે.

મનમોહનસિંઘઃ (ગણગણાટ જેવા અવાજે) બરાબર છે.

સોનિયા ગાંધીઃ (ઉંચા અવાજે) વોટ? ડોક્ટર શું વાત કરો છો તમે?

મનમોહનસિંઘઃ મેડમ, મેં તો દિગ્વિજયસિંઘની વાતમાં ટાપસી પૂરી હતી. હું ક્યારનો તૈયાર છું. તમે ઇશારો કરો એટલે બાબા માટે જગ્યા ખાલી કરી આપું. એમાં આટલું વિચારવાનું કેવું? અને અરધી રાત્રે ગુપ્ત બેઠક બોલાવવાની શી જરૂર? મેં તો જાહેરમાં કહેલું છે.

સોનિયા ગાંધીઃ અરે, પણ હું તો રાહુલબાબાની નહીં, રામદેવબાબાની વાત કરું છું.

પ્રણવ મુખર્જીઃ કેમ? એમને પણ વડાપ્રધાન બનવું છે?

કપિલ સિબ્બલઃ આમ તો એ ના પાડે છે, પણ એમને શીર્ષાસન કરતાં કેટલી વાર? સવાલ વડાપ્રધાનપદનો નથી. એ રામલીલા મેદાનમાં ઉપવાસ ચાલુ કરવાના છે.

ચિદમ્બરમઃ તો એમની પાસેથી કાર્યક્રમ પેટે મનોરંજન વેરાની આગોતરી વસૂલાતની નોટિસ કાઢો. વગર આસને સીધાદોર થઇ જશે.

રાહુલ ગાંધીઃ પણ આમાં મનોરંજન વેરો ક્યાં આવ્યો?

ચિદમ્બરમઃ (મનમાં) બાબાઓની આ જ તકલીફ છે (જાહેરમાં) બાબા ઉપવાસ કરશે, એટલે ટીવીવાળા ઉમટી પડશે અને ચોવીસે કલાક ટીવી પર બાબાના ઉપવાસ ને એમનો ઉપદેશ ચાલ્યા કરશે. આ બન્નેમાંથી લોકોને ભરપૂર મનોરંજન મળશે અને બાબાની ચેનલ સહિત બીજી ચેનલોને તગડી કમાણી થશે.

મનમોહનસિંઘઃ (ઉંડો શ્વાસ લઇને) અત્યારે બાબા સામે કોઇ પણ પગલાં લઇશું તો આપણું ખરાબ દેખાશે.

દિગ્વિજયસિંઘઃ ડોક્ટર, તમે બાબાની યોગશિબિરમાં બેઠા હો તેમ ઉંડા શ્વાસ લેવાનું પ્લીઝ બંધ કરો. આપણું ખરાબ એટલે કેટલું ખરાબ દેખાશે? સ્પેક્ટ્રમ કૌભાંડ ને કોમનવેલ્થ કૌભાંડ કરતાં પણ વધારે ખરાબ?

મનમોહનસિંઘ પ્રાર્થનાભરી નજરે સોનિયા ગાંધી સામે જુએ છે. જાણે કહેતા હોય, ‘આ દિગ્વિજયસિંઘને કંઇક કહો.’ પણ સોનિયા ગાંધી કપિલ સિબ્બલ તરફ જોઇને સવાલ કરે છે.

સોનિયા ગાંધીઃ શું લાગે છે? શું કરવું જોઇએ? શું કરી શકાય? શું થઇ શકે?

દિગ્વિજયસિંઘઃ વાહ. શું તમારી ભાષા પરની પકડ છે. હવે તમને સરસ રીતે બોલતાં આવડી ગયું છે. ખરેખર તો તમારે જ વડાપ્રધાન બની જવું જોઇએ.

પ્રણવ મુખર્જીઃ આપણે વડાપ્રધાન કોને બનાવવા એની નહીં, પણ બાબા રામદેવના ઉપવાસની જાહેરાતનું શું કરવું એની ચર્ચા કરવા ભેગા મળ્યા છીએ. મહેરબાની કરીને વાત આડા પાટે ચડાવશો નહીં.

દિગ્વિજયસિંઘઃ આડા પાટે જનારાં રેલવે મંત્રી હવે બંગાળના મુખ્ય મંત્રી થઇ ગયાં. તમે થોડી વધારે મહેનત કરી હોત અને આપણી વધારે બેઠકો આવી હોત તો એમની જગ્યાએ તમે મુખ્ય મંત્રી થયા હોત.

આ વખતે મનમોહનસિંઘ- પ્રણવ મુખર્જીની સાથે બીજા થોડા નેતાઓ પણ સોનિયા ગાંધી સામ પ્રાર્થનાભરી નજરે જુએ છે. સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામે અને રાહુલ દિગ્વિજયસિંઘ સામે જુએ છે. એટલે તે બોલતા બંધ થાય છે.

સિબ્બલઃ મારી પાસે એક બ્રિલિયન્ટ આઇડીયા છે. આઇ.આઇ.એમ. ને આઇ.આઇ.ટી.ના અધ્યાપકોને ન આવે એવો.

પ્રણવ મુખર્જીઃ એમ ના કહેતા કે બાબા રામદેવની ધરપકડ કરી લો.

સિબ્બલઃ ઓહ નો. તમને કેવી રીતે ખબર પડી ગઇ? તમે પરદેશમાં ભણેલા છો?

સોનિયા ગાંધીઃ એ ભણેલા ગમે ત્યાં હશે, પણ મારાં સાસુમા સાથે ‘ગણેલા’ છે... કોઇ નક્કર, અમલમાં મૂકી શકાય એવી યોજના વિચારો.

સિબ્બલઃ મારી જોડે બીજો આઇડીયા તૈયાર જ છે. બાબાને આવતી લોકસભામાં કોંગ્રેસની ટિકિટ આપી દો.

પ્રણવ મુખર્જીઃ આ કેસ ટિકિટથી પતે એવો લાગતો નથી અને આપણે સહેજ પણ ચૂક કરીશું તો આપણી સરકારની ટિકિટ ફાટી જશે.

સિબ્બલઃ તો ત્રીજો આઇડીયા...અન્ના હઝારેને જ બાબા રામદેવનું શું કરવું એ પૂછી જોઇએ તો?

સોનિયા ગાંધીઃ હવે ચોથો આઇડીયા ન આપતા. નહીંતર મને પાંચમો આઇડીયા તમારું શું કરવું એ વિશેનો આવશે... બાબા દિલ્હી કેવી રીતે આવવાના છે? યૌગિક શક્તિઓથી ઉડીને કે કમર્શિયલ ફ્લાઇટમાં?

દિગ્વિજયસિંઘઃ ચાર્ટર પ્લેનમાં.

સોનિયા ગાંધીઃ ફાઇન. તો ચાર મંત્રીઓ એમને એરપોર્ટ લેવા જાવ. સિબ્બલ, તમે ખાસ જજો. તમારી પાસે બહુ આઇડીયા છે અને પ્રણવદા, તમે સિબ્બલના આઇડીયા કાબૂમાં રાખવા માટે...

મનમોહનસિંઘઃ પણ ચચ્ચાર પ્રધાનો એરપોર્ટ જશે તો લોકો શું વિચારશે?

દિગ્વિજયસિંઘઃ એ જ કે ડોક્ટર બહુ નબળા વડાપ્રધાન છે... પણ મને નથી લાગતું કે એનાથી કંઇ ફરક પડે...

મનમોહનસિંઘઃ (સહેજ શરમાતાં) થેન્ક્સ.

દિગ્વિજયસિંઘઃ ...કારણ કે લોકો તો ક્યારના આવું માને છે. આપણને એનાથી કંઇ ફરક પડ્યો?

ફરી એક વાર મનમોહન સિંઘ સોનિયા ગાંધી સામે, સોનિયા રાહુલ સામે અને રાહુલ દિગ્વિજયસિંઘ સામે જુએ છે અને એ જ અવસ્થામાં મિટિંગ પૂરી થયેલી જાહેર કરવામાં આવે છે.