Showing posts with label war. Show all posts
Showing posts with label war. Show all posts

Wednesday, October 26, 2016

લડાઇની ખાઇ, વ્યક્તિઓની ઊંચાઇ

ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધો અને બીજા સંઘર્ષ એટલા નક્કર છે કે ગમે તેટલા શાંતિપ્રેમી હોય તે પણ ઐતિહાસિક તથ્યનો ઇન્કાર કરી શકે નહીં : કારગીલયુદ્ધ અડઘું ગણીએ તો બન્ને દેશો વચ્ચે સાડા ત્રણ યુદ્ધો થઇ ચૂક્યાં છે. એ સિવાયનો તનાવગ્રસ્ત સમયગાળો પણ નાનો નથી. જેની સાથે આવા સંબંધ હોય એ દેશ સાથે કોઇ મૈત્રીની તો ઠીક, શાંતિની વાત કરે તો પણ રાષ્ટ્રદ્રોહીગણાઇ જાય, એવું વાતાવરણ હોય છે.

પરંતુ દેશપ્રેમના ઉત્સાહમાં અને સૈન્ય કાર્યવાહીના મોહમાં દેશ તથા વ્યક્તિ વચ્ચેનો ફરક પાડવાનું જરૂરી બની જાય છે. સામાન્ય સંજોગોમાં આ તફાવત સૈદ્ધાંતિક હોવાથી, એ ફક્ત આદર્શવાદી વાત માટે સારોજણાય. આવી વાત કરનારને એવો પણ ટોણો મારવામાં આવે કે એ તો તમારું કોઇ યુદ્ધમાં ગયું હોય તો તમને ખબર પડે. એમ ને એમ બધું ડહાપણ ડહોળવું સહેલું છે.વિચારવાની આ રીત આંખનો બદલો આંખથીઅથવા ફિલ્મી ભાષામાં કહીએ તો ખૂનકા બદલા ખૂનથી લેવાની છે. એ સાચી નથી, પણ માનવસહજ છે. મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે આ રીતને એકમાત્ર સાચી અને દેશપ્રેમના  પુરાવા જેવી રીત ગણાવવામાં આવે છે.

પરંતુ જેમણે પોતાનું સ્વજન યુદ્ધમાં ખોયું હોય, એ પોતે આદર્શની વાત કરે અને એવો વ્યવહાર કરે ત્યારે? પાંચેક વર્ષ પહેલાં આવા બે કિસ્સા પ્રસાર માધ્યમોમાં છવાયા હતા અને પછી ભૂલાઇ પણ ગયા. વર્તમાન સંજોગો એ પ્રસંગો ફરી યાદ કરવા જેવા છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે કચ્છ સરહદે એક સાદું, બીચક્રાફ્‌ટ પ્રકારનું વિમાન પાકિસ્તાને તોડી પાડ્યું હતું. તેના પાઇલટ જહાંગીર એન્જિનિયર ઉપરાંત વિમાનમાં સવાર ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતા, તેમનાં પત્ની સરોજબહેન, ગુજરાતી પત્રકાર કે.પી.શાહ અને બીજા ત્રણ સાથીદારો મૃત્યુ પામ્યા. કાળો કેર મચ્યો. બિનલશ્કરી વિમાન પર આવા હુમલાથી ભારતીયોના મનમાં રોષ અને કડવાશ પેદા થયાં. આ ઘટના ગુજરાતની-ભારતની તવારીખમાં કાળા અક્ષરે લખાઇ ગઇ.

એ બનાવના ચાર દાયકા પછી પાકિસ્તાન એર ફોર્સના એક નિવૃત્ત અફસરે કયા સંજોગોમાં એ વિમાન તોડી પાડવામાં આવ્યું તેનું વિગતે વર્ણન કરીને ઘટના તાજી કરી. એ વાંચીને વિમાનને તોડી પાડનાર પાકિસ્તાની ફાઇટર પાઇલટ કૈસ હુસૈને પહેલ કરી, તેમણે કેટલાક સંપર્કની મદદથી બીચક્રાફ્‌ટના ભારતીય પાઇલટ જહાંગીર એન્જિનિયરનાં વિદેશમાં વસેલાં પુત્રી ફરીદા સિંઘનો પતો મેળવ્યો અને તેમને એક ઇ-મેઇલ લખ્યો. અસાધારણ કહેવાય એવા આ ઇ-મેઇલમાં તેમણે તે દિવસે ખરેખર શું બન્યું હતું તેનું વર્ણન કરતાં લખ્યું કે સરહદી વિસ્તારમાં બીચક્રાફ્‌ટની સંદેહાસ્પદ હાજરી માલુમ પડતાં તેમણે ઉડાન ભરી અને બીચક્રાફ્‌ટને આંતર્યું. પાકિસ્તાનને શંકા ગઇ કે આ વિમાન સરહદી મોરચો ખોલવા માટે તપાસ અભિયાન પર છે. (એ વખતે યુદ્ધ પંજાબ અને કાશ્મીર મોરચે ચાલતું હતું.)

યુદ્ધના નિયમ પ્રમાણે, કૈસ હુસૈને બદીનમાં બેઠેલા તેમના ઉપરી પાસેથી આદેશ માગ્યો. તેમના જ શબ્દોમાં કહીએ તો, ‘ત્રણ-ચાર લાંબી મિનીટો વીત્યા પછીવિમાનને શૂટ કરવાનો આદેશ મળ્યો અને તેમણે એ આદેશનું પાલન કર્યું. એ વખતે તેમના મનમાં પરાક્રમનો ભાવ હતો. બેઝ પર પાછા ફર્યા પછી તેમને વધાવી લેવામાં આવ્યા. પરંતુ ૨૦૧૧માં એર કોમોડોર કૈસર તુફૈલે આખી ઘટના તાજી કરતાં કૈસ હુસૈને જહાંગીર એન્જિનિયરના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો.  ઇ-મેઇલમાં તેમણે લખ્યું હતું,‘મિસિસ સિંઘ, આટલી વિગતો મેં તમને એ દર્શાવવા માટે આપી છે કે જે કંઇ થયું તે ફરજને આધીન રહીને થયું હતું. પ્રેમ અને યુદ્ધમાં કંઇ પણ ચાલેએવો કોઇ ખ્યાલ આ કાર્યવાહી પાછળ ન હતો...હું યુદ્ધના નિયમ પ્રમાણે ચાલ્યો હતો, પરંતુ તેનાથી કિમતી જિંદગીઓનું નુકસાન થયું. એ કેવી રીતે થયું તે અગત્યનું નથી, પણ એ કોઇ પણ માણસને ખટકે એવું છે ને હું પણ તેમાં અપવાદ નથી. હું તમારા માટે, તમારા પરિવાર માટે અને બાકીના સાતેય મૃતકોના પરિવાર માટે દિલગીરી અનુભવું છું..૪૬ વર્ષ પહેલાં થયેલા તમારા પિતાના મૃત્યુ બદલ તમને આશ્વાસન આપવા માટે તમને રૂબરૂ મળવાની તક ઊભી થશે, તો હું બન્ને હાથે એ તક ઝડપી લઇશ. તમારા પરિવારનાં બીજાં સભ્યોને પણ તમે મારી લાગણી પહોંચાડશો તો હું ખૂબ આભારી થઇશ..
Qais Husain/ કૈસ હુસૈન
આ શબ્દોમાં પોતાની કાર્યવાહી વિશે અફસોસનો જરાય ભાવ નથી. કેમ કે, તે યુદ્ધની ફરજના ભાગરૂપે થઇ હતી. પરંતુ તેમાં વ્યક્ત થયેલી લાગણી અને પોતાના હાથે જેનું મૃત્યુ થયું હોય એવા પરિવાર સુધી આ રીતે દિલગીરીના ભાવ સાથે પહોંચવાની નૈતિકતા-નૈતિક હિંમત પ્રશંસનીય છે.

આ પત્રનો ફરીદા સિંઘે આપેલો જવાબ પણ નમૂનેદાર હતો.  તેમણે લખ્યું,‘આ પત્ર લખવા માટે હિંમત જોઇએ (અને નમ્રતાપૂર્વક કહું તો) તેનો જવાબ આપવા માટે પણ...હા, આ બનાવે અમારું જીવન પલટી નાખ્યું. પરંતુ ત્યાર પછીના સંઘર્ષોમાં ક્યારેય, એક ક્ષણ માટે પણ, અમે મારા પિતાના મૃત્યુ માટે જવાબદાર વ્યક્તિ માટે કડવાશ રાખી નથી. અમે એ ક્યારેય ભૂલ્યાં નહીં કે આ બધું યુદ્ધની કરુણતાના ગુંચવાડાનું પરિણામ હતું. યુદ્ધ અને શાંતિની ખતરનાક રમતોમાં આપણે કેવળ પ્યાદાં હોઇએ છીએ.પોતાના સદ્‌ગત પિતાના કેટલાક ગુણોનું વર્ણન કર્યું અને તેમની ઉદારતા-બીજાનું દુઃખ સમજી શકવાની તેમની શક્તિનો વિશેષ ઉલ્લેખ કરીને લખ્યું કે કડવાશભર્યાં અને અવિચારી યુદ્ધો સારા માણસોને પણ કેવું નુકસાન પહોંચાડી શકે છે તેનું આ બનાવ ઉત્તમ ઉદાહરણ છે. ફરીથી તમારો આભાર. હું જાણું છું કે તમારા માટે આ લખવું સહેલું નહીં હોય...આ પત્ર જાહેર થયો તેનાથી ફક્ત વ્યક્તિગત જ નહીં,વધારે વ્યાપક સ્તરે રૂઝ આવવાની પ્રક્રિયા થશે. અને સૌથી અગત્યનું, મારા પિતાને પણ એ બહુ જ ગમ્યું હોત કે (આ પત્રવ્યવહારથી) બે પ્રજા વચ્ચે ક્ષમાની ભાવનાનો ચમકારો થાય--એવી બે પ્રજા, જે છેવટે એક જ છે.
પરમવીર ચક્ર અરુણ ખેતરપાળ/ Arun Khetarpal

બ્રિગેડીયર એમ.એલ.ખેતરપાળ અને તેમનાં પત્ની /
 Brigadier M.L.Khetarpal and his wife

આવો એક કિસ્સો સૌથી યુવાન વયે (મરણોત્તર) પરમવીર ચક્ર મેળવનાર સેકન્ડ લેફ્‌ટનન્ટ અરુણ ખેતરપાળના પિતા સાથે ૨૦૦૩માં બન્યો હતો. તેમના ૮૧ વર્ષના પિતા, બ્રિગેડીયર એમ.એલ.ખેતરપાળ છેલ્લી વારપાકિસ્તાનમાં આવેલા પોતાના વતન સરગોધાનાં દર્શનકરવા ગયા, ત્યારે તેમના મિત્રના મિત્ર એવા પાકિસ્તાની યજમાન બ્રિગેડીયર કે.એમ.નાસીરને ત્યાં તેમનો ઉતારો હતો. નાસીરે તેમની આત્મીયતાભરી મહેમાનગતિ કરી. આખરે છેલ્લી રાત્રે, ભોજન પછીની બેઠકમાં નાસીરે રહસ્યસ્ફોટ કર્યો, ‘એ કહેતાં મને પારાવાર અફસોસ થાય છે કે અરુણ ખેતરપાળની ટેન્કને તેમણે છોડેલો ગોળો જ વાગ્યો હતો.જૂની પેઢીના અને ધર્મયુદ્ધના રંગે નહીં રંગાયેલા ફૌજી તરીકે બન્ને બ્રિગડીયરો જાણતા હતા કે યુદ્ધમાં સામે વ્યક્તિ કોણ છે એ જોવાતું નથી ને દેખાતું પણ નથી. બ્રિગેડીયર ખેતરપાળ આ વાત-આ એકરાર પચાવી ગયા, પરંતુ પોતાની પત્નીને આ વાત કહી ન શક્યા.

ક્ષમા માગવા માટે જિગર જોઇએ, પણ ક્ષમા આપવા માટે તેનાથી વધારે મનોબળની જરૂર પડે છે.   

Monday, July 21, 2014

૧૯૬૨ના યુદ્ધ-ધબડકા વિશેના હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : રાજકીય વિવાદ વગરની વરવી વાસ્તવિકતા

ચીન સામેના ૧૯૬૨ના યુદ્ધમાં ભારતની રાજકીય અને લશ્કરી નેતાગીરીએ ક્યાં અને કેવું કાચું કાપ્યું? બાવન વર્ષ પછી પણ ‘ટૉપ સીક્રેટ’ ગણાતા રીપોર્ટના ચુનંદા અને આંચકાજનક અંશ 


પ્રચારને કારણે ઊભી થયેલી સામાન્ય છાપ એવી છે કે ૧૯૬૨માં પંડિત નેહરુ ઉંઘતા ઝડપાયા. તે વિશ્વશાંતિના મોહમાં ‘હિંદી-ચીની ભાઇ ભાઇ’નું રટણ કરતા રહ્યા અને ચીની સૈનિકો ભારતની હદમાં ધૂસણખોરી કરી ગયા એનો તેમને ખ્યાલ જ ન રહ્યો. પરંતુ વાસ્તવિકતા એનાથી ઘણી વધારે પેચીદી છે.

ચીન સામે ભારતના પરાજયની લશ્કરી રાહે તપાસનું કામ ડિસેમ્બર, ૧૯૬૨માં લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સ/ Lt.General Henderson Brooksને સોંપાયું હતું. બ્રિગેડીઅર પી.એસ.ભગતને તેમના સહાયક તરીકે નીમવામાં આવ્યા. હેન્ડરસન બ્રુક્સે ફક્ત ચાર મહિનામાં સોંપી દીધેલો વિસ્તૃત તપાસ અહેવાલ પાંચ દાયકા પછી પણ ‘ટૉપ સીક્રેટ’ રાખવામાં આવ્યો છે. ‘અહેવાલમાં પંડિત નેહરુ દોષી ઠરતા હોવાથી કોંગ્રેસી સરકારો એ રીપોર્ટ જાહેર કરતી નથી’ એવો આરોપ અત્યાર સુધી થતો હતો. પરંતુ વાજપેયીની એનડીએ સરકારે પણ તેને જાહેર ન કર્યો.

ભારત-ચીન યુદ્ધ વિશે સંશોધનાત્મક પુસ્તક લખનાર ૮૭ વર્ષીય ઓસ્ટ્રેલિયન પત્રકાર Neville Maxwell/ નેવિલ મેક્સવેલે થોડા મહિના પહેલાં આ અહેવાલનો મોટો હિસ્સો પોતાની વેબસાઇટ થકી મફત ડાઉનલોડ માટે ખુલ્લો મૂકી દીધો. ત્યારે વિપક્ષી નેતા તરીકે અરુણ જેટલીએ આખો અહેવાલ જાહેર કરવાનો આગ્રહ રાખ્યો હતો અને આટલાં વર્ષે સચ્ચાઇ જાણવાના લોકોના જાણવાના અધિકારની વકીલાત કરી હતી. હવે પોતે સંરક્ષણ મંત્રી બન્યા પછી તે પણ હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ જાહેર કરવા માગતા નથી. તેમની મનાઇનું સાચું કારણ અટકળનો વિષય હોવાથી એમાં પડવાને બદલે, નક્કર હકીકતોની વાત કરવા જેવી છે.

હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટનાં તારણ એવું સૂચવે છે કે ૧૯૬૨ના ધબડકા માટે પંડિત નેહરુની ગાફેલિયત ઉપરાંત તેમનો વઘુ પડતો ઉત્સાહ અને પૂરતી લશ્કરી સજ્જતા વિનાની ‘ફોરવર્ડ પૉલિસી’ કારણભૂત હતાં. ‘ફોરવર્ડ પૉલિસી’ એટલે કોઇનો કબજો ન હોય એવા સરહદી વિસ્તારોમાં આગળ સુધી ચોકીઓ સ્થાપવાની આક્રમક નીતિ,  જે ચીનની લશ્કરી જમાવટના અને કાશ્મીર સરહદે ઘૂસણખોરીના પ્રતિભાવ તરીકે અપનાવવામાં આવી હતી.

પત્રકાર નેવિલ મેક્સવેલે આ અહેવાલમાંથી ઘણી હકીકતોનો પોતાના પુસ્તક ‘ઇન્ડિયાઝ ચાયના વૉર’ (૧૯૭૦)માં ઉપયોગ કર્યો હતો. છતાં મોટા ભાગના લોકો માટે એ સામગ્રી એટલી પરિચિત નથી. આ વર્ષે મેક્સવેલે ડાઉનલોડ કરવા માટે ખુલ્લા મૂકી દીધેલા હેન્ડરસન બૂ્રક્સ રીપોર્ટના પહેલા ભાગનાં કુલ ૧૯૦ પાનાંમાંથી ૬૪ પાનાં ગાયબ છે. છતાં, જેટલું જાહેર થયું છે તે પણ પૂરતું આંચકાજનક છે.

***

  • નવેમ્બર ૨, ૧૯૬૧ના રોજ વડાપ્રધાનની કચેરીમાં એક મિટિંગ થઇ. તેમાં બીજા લોકો ઉપરાંત સંરક્ષણ મંત્રી, વિદેશ સચિવ, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના ડાયરેક્ટર હાજર હતા. આઇબીના ડાયરેક્ટરનો મત એવો હતો કે ‘(સરહદ પર) આપણે નવી ચોકીઓ ઊભી કરીશું તો પણ ચીન કશી પ્રતિક્રિયા નહીં આપે અને એ લોકો બળપ્રયોગ કરવાની સ્થિતિમાં હશે તો પણ એવું કરે એવી શક્યતા નથી.’ સપરંતુ આર્મી હેડ ક્વાર્ટર્સના એન્યુઅલ ઇન્ટેલીજન્સ રીવ્યુ (૧૯૫૯-૬૦)માં સાફ જણાવાયું હતું કે તેમના તાબા હેઠળના વિસ્તારોમાંથી કોઇ પણ ભાગ પાછો મેળવવાનો પ્રયાસ થશે તો ચીન બળપ્રયોગ દ્વારા પ્રતિકાર કરશે. (પૃ. ૮)
  • વડાપ્રધાનની કચેરીમાં મળેલી મિટિંગમાં ‘ફોરવર્ડ પૉલિસી’ના સંદર્ભે મુખ્ય ત્રણ નિર્ણય લેવામાં આવ્યા.  ૧) લદ્દાખમાં આપણી હાલની ચોકીઓથી આંતરરાષ્ટ્રિય સરહદ તરફ શક્ય એટલા આગળ સુધી પેટ્રોલિંગ કરવું...જેથી ચીની સૈનિકો આગળ વધતા અટકે અને જ્યાં આપણી હદમાં તે ધૂસી ગયા હોય ત્યાં તેમનું પ્રભુત્વ રોકી શકાય. સ્વરક્ષણ  સિવાય બીજા કોઇ સંજોગોમાં ચીની સૈનિકો સાથે ઘર્ષણમાં ઉતરવું નહીં.   ૨) ઉત્તર પ્રદેશ અને ઉત્તરી વિસ્તારોમાં (ચીની ધૂસણખોરીની) લદ્દાખ જેવી તકલીફ નથી. ત્યાં આપણે શક્ય હોય એટલા આગળ વધવું અને આખી સરહદ પર અસરકારક કબજો જમાવવો. એ સરહદે જ્યાં ગાબડાં લાગે તે ચોકીઓ કે પેટ્રોલિંગથી ભરી દેવાં. ૩) વહીવટી અને કામગીરીને લગતી (ઑપરેશનલ) અનેક મર્યાદાઓને ઘ્યાનમાં રાખીને આપણાં દળોને સરહદ પર એવી જગ્યાઓએ તહેનાત કરવાં કે જે જગ્યાઓ ફોરવર્ડ પોસ્ટ (છેક સરહદ પર રહેલી મોખરાની જગ્યાઓ)ની પાછળ હોય, જ્યાં આસાનીથી તેમને પુરવઠો પહોંચાડી શકાય અને જ્યાંથી તે જરૂર પડ્યે ઝડપભેર ફોરવર્ડ પોસ્ટ પર પહોંચી શકે...  આમ, મિટિંગમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવો હોય તો, પૂરતી સંખ્યામાં સૈન્યબળ ઊભું થયા પછી જ કરી શકાય. વેસ્ટર્ન કમાન્ડે  અગાઉથી જણાવ્યું હતું કે લદ્દાખ સરહદે અસરકારક સંરક્ષણ માટે સૈન્યની ઓછામાં ઓછી એક ડિવિઝનની જરૂર પડશે. (પૃ.૮-૯)
  • આર્મી હેડક્વાર્ટરે મિટિંગનાં ત્રણ સૂચનોમાંથી ત્રીજું- પૂરતા સૈન્યબળને લગતું- સૂચન કોરાણે મૂકીને બાકીનાં બે સૂચન પોતાના વિવિધ કમાન્ડ્‌ઝને મોકલી આપ્યાં...સરકાર પર ગુમાવેલા પ્રદેશ મેળવવા માટે રાજકીય દૃષ્ટિએ આતુર હતી છતાં તેણે સાવચેતીપૂર્વકની નીતિ સૂચવી હતી, જ્યારે આર્મી હેડક્વાર્ટર્સે તેના કમાન્ડ્‌સને પાઠવેલો નીતિવિષયક આદેશ લશ્કરી દૃષ્ટિએ નબળો (અનસાઉન્ડ) હતો....આર્મી હેડક્વાર્ટર્સે સરકારી સૂચન પ્રમાણે પૂરતું પીઠબળ ઊભું કરવાને બદલે, બારોબર ‘ફોરવર્ડ પૉલિસી’નો અમલ શરૂ કર્યો. (પૃ.૯-૧૦) 
  • ‘ફોરવર્ડ પૉલિસી’ બાબતે ચીન તરફથી પહેલો પ્રતિકાર ૨૨ એપ્રિલ, ૧૯૬૨ના રોજ થયો. (પૃ.૧૧) 
  •  વેસ્ટર્ન કમાન્ડે ૧૫ મે, ૧૯૬૨ના રોજ આર્મી હેડક્વાર્ટર્સને જાણ કરી કે ચીની હુમલાની સંભાવના ઘ્યાનમાં રાખીને ગલવાન નદી પાસે કોઇ ચોકી ઊભી કરવામાં ન આવે. પરંતુ હેડક્વાર્ટ્‌ર્સે આ સૂચન ફગાવીને ૫ જુલાઇ, ૧૯૬૨ના રોજ ત્યાં ચોકી ઊભી કરી. ચોકી સ્થપાઇ ગયા પછી વેસ્ટર્ન કમાન્ડે કહ્યું કે ત્યાં સૈનિકોને જમીન રસ્તે નહીં, પણ હવાઇ માર્ગે મોકલવા જોઇએ, જેથી ચીની સૈનિકો સાથે સંઘર્ષ ટાળી શકાય. પણ આર્મી હેડક્વાર્ટર્સે જમીન રસ્તે જ સૈનિકો મોકલ્યા. ચીની સૈનિકોએ તેમને આંતર્યા અને ચોકી સુધી પહોંચવા દીધા નહીં. (પૃ.૧૨)
  •  જુલાઇ, ૧૯૬૨ સુધીમાં ‘ફોરવર્ડ પૉલિસી’ અંતર્ગત લેહ વિસ્તારમાં નવી ૩૬ ચોકી ઊભી કરવામાં આવી. (ચોકીઓની કુલ સંખ્યાઃ ૬૦)તેના લીધે ભારતનું પાંખું સૈન્યબળ ઓર વેરવિખેર અને વિભાજીત થઇ ગયું. નવી ચોકીઓને મજબૂત ટેકો પૂરો પાડવાને બદલે, આ ચોકીઓને લીધે ભારતીય સૈન્યની હાલત નબળી પડી. (પૃ.૧૩, ૧૫) 
  • નવી ચોકીઓ પછી ભારત અને ચીન વચ્ચે સાવ આમનેસામને આવી ગયાં. ચીન તરફથી પ્રતિકાર શરૂ થતાં, ૨૨ જુલાઇ, ૧૯૬૨ના રોજ આર્મી હેડક્વાર્ટર્સ તરફથી સૂચના મળી કે ચોકીઓ પર ખતરો હોય ત્યારે ચીની સૈનિકો પર કરવો. (જૂની નીતિ ફક્ત સ્વબચાવમાં ગોળીબાર કરવાની હતી) આમ, જુલાઇ, ૧૯૬૨ના અંત સુધીમાં બન્ને પક્ષો વચ્ચે તણખામાંથી ભડકો થાય એટલો તનાવ સર્જાયો. (પૃ.૧૪)
  •  ભારતના અપૂરતા સૈન્યબળથી ચિંતિત વેસ્ટર્ન કમાન્ડે ૧૫ ઑગસ્ટ, ૧૯૬૨ના રોજ લેહની વાસ્તવિક સ્થિતિ અંગેનું પુનઃમુલ્યાંકન હેડક્વાર્ટર્સને મોકલ્યું. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે આપણા સંદેશાવ્યવહાર કે શસ્ત્રસરંજામ- કશાંનાં ઠેકાણાં નથી. આ સ્થિતિમાં જો યુદ્ધ થશે તો આપણે  પાકા પાયે પછડાટ ખાઇશું. (પૃ.૧૫) તેમાં એમ પણ જણાવવામાં આવ્યું કે ‘રાજકીય નિર્દેશો લશ્કરી સંસાધનો પર આધારિત હોય એ જરૂરી છે. એ બન્ને વચ્ચે સંબંધ ન હોય તો આપણે નૈતિક અને ભૌતિક એમ બન્ને રીતે, આપણે જેટલું ગુમાવ્યું છે એનાથી પણ વધારે ખોવાનો વારો આવે, એવી સ્થિતિ સર્જાઇ શકે છે. આપણા વિસ્તારો પર ચીનના ગેરકાયદે દાવાનો પ્રતિકાર કરવા માટે અપનાવેલી નીતિનો અસરકારક અમલ કરી શકાય એ માટે લશ્કરને સજ્જ કરવું રહ્યું અને તેનો કોઇ શોર્ટ કટ નથી.’ (પૃ.૧૬) 
  • આટઆટલી ચેતવણી છતાં આર્મી હેડક્વાર્ટર્સની આંખ ઉઘડતી ન હતી. તેમને એવું લાગતું હતું કે લદ્દાખમાં ચીન મોટા પાયે લશ્કરી કાર્યવાહી નહીં કરે. એટલું જ નહીં, અત્યાર લગી ચીને કશું નોંધપાત્ર કર્યું નથી તેને એમણે ‘ફોરવર્ડ પૉલિસી’ની સફળતા માની લીધી...ડેપ્યુટી ચીફ ઑફ ધ જનરલ સ્ટાફે લેફ્‌ટનન્ટ જનરલ એલ.પી.સેનને છેક સપ્ટેમ્બર, ૧૯૬૨માં એવું કહ્યું હતું, ‘લદ્દાખના અનુભવ પરથી લાગે છે કે થોડાં રાઉન્ડ ગોળીબાર કરીશું તો ચીનાઓ ભાગી છૂટશે.’ (પૃ.૧૭)
(લદ્દાખના મોરચે મૂર્ખામીભર્યા આત્મવિશ્વાસમાં રાચતા આર્મી હેડક્વાર્ટર્સ અને કેટલાક અફસરો-બાબુઓ-નેતાઓનું અરુણાચલ પ્રદેશના મોરચે કેવું વલણ હતું? તેની વાત આવતા સપ્તાહે)

Thursday, July 17, 2014

૧૯૬૨ના યુદ્ધમાં ચીન સામે ભારતના ધબડકાનો હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ : બાવન વર્ષે બાવો બોલ્યો...

વાત નવી નથી. ફક્ત તેમાં આવેલો વળાંક વિચિત્ર છે.

ચીન સાથેના યુદ્ધમાં ભારતને ભૂંડી રીતે ખુવારી અને હાર વેઠવાં પડ્યાં, એ ૧૯૬૨નો બનાવ. તેના પરિણામે વડાપ્રધાન નેહરુની છબીને લાગેલો ધબ્બો હજુ દૂર થઇ શક્યો નથી. ઉલટું, નક્કર હકીકતો સાથે બીજા પ્રચારની ભેળસેળથી એ વધારે ઘેરો બન્યો છે.

ભારત તરફથી યુદ્ધમાં ક્યાં કાચું કપાયું, તેની લશ્કરી રાહે તપાસ માટે ૧૪ ડિસેમ્બર, ૧૯૬૨ના રોજ લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સ/ Henderson Brooks (અને તેમની મદદ માટે બ્રિગેડીઅર પી.એસ.ભગત)ની તપાસ સમિતિ નીમવામાં આવી હતી. તેનાં પાંચ તપાસક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં : તાલીમ, શસ્ત્રસરંજામ, કમાન્ડ સીસ્ટમ, સૈનિકોની શારીરિક સજ્જતા અને દરેક સ્તરે પોતાના સૈનિકો પર પ્રભાવ પાડવાની કમાન્ડરોની ક્ષમતા. તપાસ મુખ્યત્વે નેફા/NEFA (નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એડમિનિસ્ટ્રેશન- હાલના અરુણાચલ પ્રદેશ)માં ભારતને વેઠવા પડેલા પરાજય પર કેન્દ્રિત રહેવાની હતી. આ તપાસ રાજકીય નહીં, પણ લશ્કરી હતી. તેના તપાસક્ષેત્રમાં રાજકીય દખલીગીરીનો સમાવેશ થતો ન હતો. તપાસ બિનરાજકીય હોવાને કારણે સમિતિએ ચાર મહિનામાં વિગતવાર અહેવાલ તૈયાર કરી દીધો. એ સંરક્ષણ મંત્રી યશવંતરાવ ચવાણને પણ આપવામાં આવ્યો. તેમણે વડાપ્રધાન નેહરુ સુધી તે પહોંચાડ્યો અને ભારતીય લશ્કરમાં અસંતોષ ન જાગે એ રીતે, સંસદમાં સલુકાઇથી (અને ખોટેખોટો) વડાપ્રધાનનો બચાવ પણ કર્યો.

‘હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ’/ Henderson Brooks Report તરીકે ઓળખાતો આ ‘ટૉપ સીક્રેટ’ અહેવાલ ત્યારથી કુતૂહલ, વિવાદ અને આક્ષેપોનું કેન્દ્ર રહ્યો છે. વર્ષો સુધી કોંગ્રેસી સરકારોએ, રાષ્ટ્રિય સુરક્ષા અને સંવેદનશીલ માહિતીનું કારણ આગળ ધરીને અહેવાલને ગુપ્ત રાખ્યો. એ વખતે થતી વાજબી શંકા એવી હતી કે અહેવાલમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ગાફેલિયત કે તેમણે લીધેલા ખોટા નિર્ણયોની વિગત હશે. એટલે કોંગ્રેસ અહેવાલ છુપાવી રહી છે.

અહેવાલને લગતો પહેલો ધડાકો ૧૯૭૦માં થયો, જ્યારે ઓસ્ટ્રેલિયન પત્રકાર નેવિલ મેક્સવેલ/ Neville Mexwell નું પુસ્તક ‘ઇન્ડિયાઝ ચાયના વૉર’/ India's China War પ્રકાશિત થયું. મેક્સવેલનો દાવો હતો કે તેમણે ‘ટૉપ સીક્રેટ’ ગણાતા હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટની નકલ હસ્તગત કરી હતી. પોતાના દાવાના ટેકામાં તેમણે રીપોર્ટમાંથી ઘણાં ટાંચણ આપ્યાં હતાં.

પરંતુ આ વર્ષે, ૭ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ ૮૭ વર્ષના નેવિલ મેક્સવેલે વઘુ મોટો ધડાકો કર્યો. ‘માય હેન્ડરસન બ્રુક્સ આલ્બાટ્રૉસ’ (હેન્ડરસન બૂ્રક્સ અહેવાલનો અભિશાપ) એ મથાળા હેઠળ મેક્સવેલે અહેવાલ સંબંધિત પોતાના અનુભવોનું ટૂંકું વિવરણ આપ્યું, પોતના પ્રસ્તાવ છતાં છેક વર્ષ ૨૦૧૨માં કેટલાંક અગ્રણી ભારતીય પ્રકાશનો આ અહેવાલ છાપવા તૈયાર ન થયા તેનું આશ્ચર્ય જાહેર કર્યું, ભારત સરકારે હજુ સુધી તેને ડીક્લાસિફાય કર્યો નથી- ખુલ્લો મૂક્યો નથી, એ બાબતનો ખેદ વ્યક્ત કર્યો અને લખ્યું, ‘ક્યાં સુધી હું આ અહેવાલનો બોજ વેંઢાર્યા કરીશ? મારી ભાવિ પેઢીના માથે એ બોજ મૂકીને જવાને બદલે, હું પોતે જ ઇન્ટરનેટના માઘ્યમથી એ (ખાનગી) અહેવાલ જાહેરમાં મૂકું છું.’

મેક્સવેલે એવી ચોખવટ પણ કરી કે ‘મેં અહીં (બ્લોગ પર) ખુલ્લા મૂકેલા ‘ટૉપ સીક્રેટ’ રીપોર્ટમાં બે ઠેકાણે ગાબડાં છે, જે ઇરાદાપૂર્વકનાં નહીં, પણ કોપી કાઢવામાં થયેલી ભૂલને કારણે છે.’ એ વાત સાચી હોય કે ન પણ હોય, છતાં દરેક પાનાના લખાણની ઉપર નીચે ‘ટૉપ સિક્રેટ’ લખેલા હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટનાં ૧૨૬ પાનાં મૂળ સ્વરૂપે પહેલી વાર વાંચવા મળ્યાં.

‘ધર્મ’ : વિપક્ષી અને સરકારી

રીપોર્ટ જાહેર થયો ત્યારે યુપીએ સરકારનું રાજ હતું. એટલે રાજ્યસભામાં વિપક્ષી નેતા અરુણ જેટલીએ વિવાદમાં ઝંપલાવ્યું. તેમણે એ વિશે લખેલો એક બ્લોગ વાંચીને એવું લાગે કે જેટલીએ રીપોર્ટ જોયા વિના, ફક્ત છાપાંના ઉપરછલ્લા અહેવાલ વાંચીને જ પથરા ફેંક્યા છે. તેમણે લખ્યું, ‘શું અહેવાલનો પહેલો ભાગ (જ) જાહેર કરાયો છે? પ્રસાર માઘ્યમોના અહેવાલ પ્રમાણે રીપોર્ટનાં ૧૧૨થી ૧૬૭ સુધીનાં પાનાં જાહેર કરવામાં આવ્યાં નથી. એ શું એટલા માટે ખાનગી રખાયાં છે કે તેમાં ત્યારના સત્તાધીશોને ક્ષોભજનક સ્થિતિમાં મૂકનારી વિગતો છે? પહેલાં ૧૧૧ પાનાં જાહેર કરી દેવાયાં છે ત્યારે એ જરૂરી છે કે બાકીનાં પાનાં પણ જાહેર કરવામાં આવે, જેથી તેના વિશે અનધિકૃત સ્રોતોમાંથી આવતી વિગતોથી લોકમત દોરવાય નહીં.’

સર્વોચ્ચ અદાલતના નામી વકીલ તરીકે ખ્યાતિ ધરાવતા જેટલીની દલીલનું હાર્દ સાચું હોવા છતાં, પ્રાથમિક વિગતો ખોટી હતી. ઇન્ટરનેટ પર મૂકાયેલો અહેવાલ કુલ ૧૧૧ નહીં, પણ ૧૨૬ (ટાઇપ કરેલાં) પાનાંનો છે. તેમાંથી મથાળાનું પહેલું પાનું બાદ કરીને બીજા પાનાથી નંબર શરૂ થાય છે. મથાળાના પાને સ્પષ્ટ રીતે ‘પાર્ટ ૧’ એવું લખવામાં આવ્યું છે. એટલે એ શંકા કે સવાલનો વિષય નથી.

જેટલીના લખાણ પરથી એવી છાપ પડે કે ૧૬૭ પાનાંના રીપોર્ટમાં ૧ થી ૧૧૧ પાનાં જાહેર કરાયાં છે અને ત્યાર પછીનાં દાબી રખાયાં છે. હકીકતમાં અહેવાલ પર સામાન્ય નજર ફેરવવાથી દેખાય એમ છે કે તેનાં કુલ પાનાં ૧૯૦ છે. તેમાં ૧૧૧મા પાના પર  લગાડેલી ચબરખીમાં નોંધ છે કે ‘પાના નં.૧૧૨-૧૫૭ મિસિંગ છે.’ તેના આધારે કેટલાક અહેવાલોએ અને તેની પરથી જેટલીએ એવું તારણ કાઢી લીઘું લાગે છે કે અહેવાલનાં ૧થી ૧૧૧ પાનાં જાહેર કરાયાં. બાકી, સહેજ ઝીણવટથી જોતાં જણાય છે કે ૧૯૦ પાનાંના અહેવાલમાં વચ્ચે આટલાં પાનાં ગાયબ છે : ૨૦ થી ૨૯, ૩૫, ૧૦૪ થી ૧૧૦ અને ૧૮૭. (ગાબડાંની સંખ્યા ખુદ મેક્સવેલે જણાવ્યા કરતાં વધારે છે.)

જેટલીની વિગતોમાં રહેલી કચાશની વાત કર્યા પછી, બીજો અને મુખ્ય મુદ્દો તેમની કેન્દ્રીય દલીલનો લઇએ. તેમણે લખ્યું હતું,‘છેલ્લાં બાવન વર્ષથી તમામ સરકારોને આ રીપોર્ટ જાહેર કરવાપણું લાગ્યું નથી. એ નિમિત્તે જુના દસ્તાવેજોને ડીક્લાસિફાય કરવા અંગે કેટલાક વાજબી સવાલ ઊભા થાય છે. શું આ પ્રકારના દસ્તાવેજો કાયમ માટે લોકોની નજરથી ઓઝલ રાખવા? આંતરિક સુરક્ષાને લગતા દસ્તાવેજ હોય તો થોડા સમય માટે તેમને ગુપ્ત રાખવાથી જાહેર હિત સાધી શકાય. પણ તેમને કાયમ માટે ‘ટૉપ સીક્રેટ’ રાખવાનું વ્યાપક જાહેર હિતમાં ન પણ હોય. સુરક્ષાને લગતા દસ્તાવેજો લાંબા ગાળે પ્રાસંગિકતા ગુમાવી બેસે છે...ભૂતકાળની ભૂલો વિશે જાણવાનો અને તેને સુધારવાના પગલાં લેવાનો કોઇ પણ સમાજને અધિકાર છે...આ અહેવાલ ઘણા દાયકા પહેલાં જાહેર કરાવો જોઇતો હતો... શું ૧૯૬૨ની ‘હિમાલય જેવડી ભૂલ’ (હિમાલયન બ્લન્ડર) ખરેખર ‘નેહરુની ભૂલ’(નેહરુવિઅન બ્લન્ડર) હતી?’ (૧૯ માર્ચ, ૨૦૧૪)

પછીના ચાર મહિનામાં ભારતની સરકાર બદલાઇ. અરુણ જેટલી સંરક્ષણ અને નાણાં જેવાં બબ્બે જવાબદાર ખાતાંના મંત્રી બન્યા.  ત્યાર પછી રાજ્યસભામાં હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ વિશેના સવાલનો લેખિત જવાબ આપતાં ગયા સપ્તાહે જેટલીએ કહ્યું, ‘હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ ટૉપ સીક્રેટ દસ્તાવેજ છે અને હજુ સુધી તેને ડીક્લાસિફાય કરવામાં આવ્યો નથી. આ રીપોર્ટને આખેઆખો કે અંશતઃ જાહેર કરવાનું કે તેને લગતી કોઇ વિગતો આપવાનું રાષ્ટ્રહિતમાં નથી.’ (૮ જુલાઇ, ૨૦૧૪)

બીજી સરકારોના રાજમાં ડીઝલના ભાવ વધે તે મોંઘવારી અને અમે ભાવ વધારીએ તે રાષ્ટ્રહિતમાં કડવી દવા, બીજી સરકારો રીપોર્ટ સંતાડી રાખે તે દિલચોરી ને અમે એ જાહેર ન કરીએ તો રાષ્ટ્રહિત- આવો બિનધાસ્ત, આક્રમક દંભ ભાજપને બરાબર ફાવે છે.

ભાજપનાં મોટા ભાગનાં પહેલાં કરી ચૂકેલી કોંગ્રેસ માનતી હશે કે આ રીપોર્ટ જાહેર કરવાથી પોતાની સામે રાજકીય ખતરો ઉભો થાય તો? કોંગ્રેસને સમજાવું જોઇએ કે એ તો વગર રીપોર્ટે પણ થઇ શકે છે. બીજી તરફ, જવાહરલાલ નેહરુ અને વર્તમાન કોંગ્રેસને એક ગણીને, તેમને ગાળો દેવાથી જેમને રાષ્ટ્રપ્રેમનો ઓડકાર આવી જાય છે, એવું ભક્તમંડળ આંખો ન ખોલવા માટે કૃતનિશ્ચયી છે. ‘રાજકારણમાં તો આવું જ હોય’ એવી દલીલ કરનારાએ સમજવું જોઇએ કે એ બચાવ નેતાઓનો છે. નેતાઓ કે પક્ષની ભક્તિમાં આપણો કશો સ્વાર્થ ન હોય તો નાગરિક તરીકે આપણે એવી નાકકટ્ટી દલીલ શા માટે કરવી જોઇએ?

હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ અંગે ચાર જ મહિનામાં જેટલીએ સઢ ફેરવી નાખ્યા, તેની આકરી ટીકા થતાં સરકારે પુનઃવિચારની મુદ્રા ધારણ કરવી પડી અને અહેવાલ જાહેર કરવો કે નહીં, એ નક્કી કરવાનું કામ ‘કેબિનેટ કમિટી ઓફ ડીફેન્સ’ને સોંપવાની હિલચાલ દર્શાવી છે. ‘ધ હિંદુ’માં અનામી સરકારી સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે,‘આમાં જેટલી શું માને છે એ અગત્યનું નથી. આ અહેવાલ જાહેર થાય તેની સામે લશ્કરનો અને મંત્રાલયનો વિરોધ છે. કેબિનેટે એકથી વધારે વાર આ અહેવાલને ડીક્લાસિફાય ન કરવાના નિર્ણય લીધા છે. એ સંજોગોમાં સંરક્ષણમંત્રી કેવળ પોતાની મરજીથી અહેવાલ જાહેર કરી શકે નહીં.’

આ પ્રકારના અનુભવોમાંથી રાજકીય પક્ષો બોધપાઠ મેળવે અને વિપક્ષની ભૂમિકા નિભાવતી વખતે યાદ રાખે એ જરૂરી હોવા છતાં બનતું નથી. અગાઉ ભાજપના અને અત્યારે કોંગ્રેસના કિસ્સામાં સ્પષ્ટ છે તેમ, એમની ભૂમિકા માત્ર ને માત્ર ખંડનાત્મક - નકારાત્મક બની જાય છે- અને એ પણ મોટે ભાગે વ્યાપક લોકહિતની નહીં, સંકુચિત પક્ષીય હિતની બાબતોમાં. તેમની આવી ખુલ્લી બેશરમીમાંથી કશો બોધપાઠ ન લેનારા લોકો ‘ટૉપ સીક્રેટ’ અહેવાલમાંથી બોધપાઠો મેળવી લેશે એવી આશા રાખવી વઘુ પડતી લાગે. છતાં, આશા અમર છે. 

Sunday, March 16, 2014

યુદ્ધભૂમિ ક્રિમીઆનાં બે અમર પાત્રો : ફ્‌લોરેન્સ નાઇટિંગલ અને લીઓ તોલ્સ્તોય

ક્રિમીઆ પર વર્ચસ્વ માટે યુક્રેન અને રશિયા વચ્ચેનો તનાવ આંતરરાષ્ટ્રિય કટોકટીમાં પરિણમ્યો છે. પરંતુ વ્યૂહાત્મક સ્થાન ધરાવતા ક્રિમીઆનો યુદ્ધ સાથે જૂનો સંબંધ છે. દોઢ સદી પહેલાં લડાયેલા ક્રિમીઅન વૉરનાં બે યાદગાર પાત્રો એટલે દંતકથા સમાન બની ગયેલાં નર્સ ફ્‌લોરેન્સ નાઇટિંગલ અને ‘વૉર એન્ડ પીસ’ સહિતની અનેક કૃતિઓના સર્જક- યુદ્ધવિરોધી-શાંતિવાદી લીઓ તોલ્સ્તોય..

રશિયા અને અમેરિકાને યુદ્ધભૂમિમાં આમનેસામને આવવાનો પ્રસંગ ઊભો થાય એવી પરિસ્થિતિ દાયકાઓ પછી સર્જાઇ રહી છે. તેના માટે કારણભૂત છે રશિયાના પાડોશી દેશ યુક્રેનના એક હિસ્સા જેવું ક્રિમીઆ. નકશામાં ક્રિમીઆ અને યુક્રેન જુદા દેશ લાગે. પરંતુ ખુદ રશિયાએ ૧૯૫૪માં ક્રિમીઆનો (કાળા સમુદ્રનો) દરિયાકાંઠો ધરાવતો વ્યૂહાત્મક પ્રદેશ યુક્રેનને સોંપ્યો હતો. સોવિયેત સંઘના વિઘટન પછી યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો ત્યારે તેની સાથે રશિયાએ કરેલા કરાર અંતર્ગત રશિયાનું નૌકાદળનું થાણું ક્રિમીઆમાં રાખવામાં આવ્યું હતું. આ કરારની મુદત વર્ષ ૨૦૧૦માં પૂરી થતાં તેને વર્ષ ૨૦૪૨ સુધી લંબાવવામાં આવી હતી.

દરમિયાન, રશિયા સાથે વધારે સંબંધ રાખવો કે યુરોપિઅન યુનિઅન સાથે, એ મુદ્દે થયેલા બિનલોહિયાળ વિદ્રોહમાં યુક્રેનના રશિયાતરફી પ્રમુખે સત્તા છોડવી પડી. ત્યારથી રશિયાના આક્રમક પ્રમુખ અને ભૂતકાળમાં તેની જાસુસી સંસ્થા કે.જી.બી.માં ફરજ બજાવી ચુકેલા પુતિના પેટમાં તેલ રેડાયું. તેમણે યુક્રેન પર ધોંસ જમાવવા માટે ક્રિમીઆ કબજે કરી લીઘું અને યુક્રેનમાં વસતા રશિયન લોકોના ‘સંરક્ષણ’ માટે લશ્કરી કાર્યવાહીની ધમકી આપી.

આ લેખનો વિષય અલબત્ત ક્રિમીઆની વર્તમાન ગતિવિધી નહીં, પણ દોઢ સદી પહેલાં ક્રિમીઆમાં લડાયેલું યુદ્ધ છે. ઇ.સ.૧૮૫૩ થી ૧૮૫૬ વચ્ચે એક તરફ બ્રિટન-ફ્રાન્સ અને ઓટ્ટોમન સામ્રાજ્ય તથા બીજી તરફ રશિયા વચ્ચે લડાયેલો એટલો યાદગાર છે કે ક્રિમીઆની વર્તમાન કટોકટી વખતે પણ તે સાંભરી આવે. ક્રિમીઆનો જંગ ઇતિહાસમાં પહેલા ‘મીડિયા વૉર’ તરીકે ઓળખાય છે. કારણ કે આ યુદ્ધમાં પહેલી વાર મોરચા પરના ‘જીવંત’ અહેવાલો અને તસવીરો સામાન્ય નાગરિકો સુધી ગરમાગરમ સ્વરૂપે પહોંચ્યા. બ્રિટનના ‘ડેઇલી ન્યૂઝ’ અને ‘ઇલસ્ટ્રેટેડ લન્ડન’ જેવાં પ્રકાશનોએ યુદ્ધના વાસ્તવિક સમાચારો ઉપરાંત દેશભક્તિના નામે મસાલેદાર ખબરો પેદા કરવાનું કામ પણ કર્યું. એ સમયે રેલવે અને ટેલીગ્રામ આવી ચૂક્યાં હતાં. યુદ્ધમાં સૈન્ય અને સમાચારોની હેરફેર માટે આ બન્ને આઘુનિક શોધોનો ઉપયોગ પણ પહેલી વાર ક્રિમીઆ વૉરમાં થયો (જેનું ક્રિમીઆ વૉરના બીજા જ વર્ષે ભારતમાં ૧૮૫૭ના સંગ્રામમાં પુનરાવર્તન થયું)

ક્રિમીઆ વૉરે - અથવા ખરું કહો તો, એ યુદ્ધમાંથી મીડિયાએ- સર્જેલું સૌથી યાદગાર પાત્ર એટલે ફ્‌લોરેન્સ નાઇટિંગલ. યુદ્ધમાં નર્સટુકડીનાં અધિકારી તરીકે સેવા આપનારી ફ્‌લોરેન્સ નાઇટિંગલની ‘લેડી વિથ અ લેમ્પ’ તરીકેની છબી અને લોકમાનસ પર તેની અસર એટલી પ્રબળ છે કે બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોને ૨૦૧૦માં જન્મેલી તેમની પુત્રીનું નામ ફ્‌લોરેન્સ પાડ્યું હતું. અલબત્ત, યુદ્ધના દાયકાઓ પછી જરા સ્વસ્થતાપૂર્વક થયેલા અભ્યાસો જણાવે છે કે ફ્‌લોરેન્સ નાઇટિંગલની કામગીરી ઉત્તમ હોવા છતાં, તેમની આજુબાજુ દંતકથા સર્જવાનું કામ મીડિયાએ કર્યું હતું. ચોક્સાઇપૂર્વક કહેવું હોય તો ‘ઇલસ્ટ્રેટેડ લન્ડન’ના ૨૪ ફેબ્રુઆરી, ૧૮૫૫ના અંકમાં છપાયેલા એક ચિત્રથી દંતકથાની શરૂઆત થઇ. એ ચિત્રમાં એક યુવતી હાથમાં ફાનસ લઇને, ઘાયલ સિપાહીઓની હોસ્પિટલમાં તેમની સેવાશુશ્રુષા માટે ધૂમી રહી હતી. યુદ્ધની તનાવભરી અને આતંકિત મનોદશામાં એ ચિત્ર ભારે આશ્વાસનકારી લાગતું હતું. જનમાનસ સેવા, વીરતા અને દેશદાઝનાં મૂર્તિમંત પ્રતીકો શોધવા માટે તલપાપડ હોય એવા યુદ્ધકાળમાં ફ્‌લોરેન્સ નાઇટિંગલનું ચિત્ર અંગ્રેજ પ્રજાના મનમાં વસી ગયું.
Florence Nightingale's drawing in `Illustrated London` 
‘ટાઇમ્સ’ સહિતનાં બીજાં પ્રકાશનોએ પણ ફ્‌લોરેન્સના ચિત્રને એવું ચગાવ્યું કે જોતજોતાંમાં તે પોસ્ટરોથી માંડીને વાસણો પર દેખાવા લાગ્યું. તેના નામે ગીતો ને કવિતા લખાવા લાગ્યાં.  ખૂબીની વાત તો એ છે કે ફ્‌લોરેન્સનાં ચિત્રો તૈયાર કરનાર મોટા ભાગના લોકોએ આ નર્સને કદી જોઇ પણ ન હતી- અને જે રીતે તેમનું નામ ચલણી બની ગયું એ રીતે તેમને જોવાની જરૂર પણ ન હતી. એક નાજુક-નમણી સેવાભાવી યુવતી યુદ્ધના મોરચે ઘવાયેલા, કણસતા, પીડાતા સૈનિકોની વચ્ચે ઠંડી બહાદુરીપૂર્વક ધૂમી વળે એ ‘સ્ટોરી’ જ તેમના માટે ‘સબસે બડી ખબર’ હતી.

બ્રિટનમાં જ્યારે વિક્ટોરિયા યુગ ચાલતો હતો અને રૂઢિચુસ્ત સમાજમાં ઉમરાવશાહીની બોલબાલા હતી, ત્યારે રાજપરિવારની સભ્ય ન હોય એવી કોઇ વ્યક્તિની આટલી પ્રસિદ્ધિ અકલ્પનીય ગણાતી હતી. પરંતુ ફ્‌લોરેન્સ ખરા અર્થમાં એવાં ‘સેલિબ્રિટી’ બની ચૂક્યાં હતાં કે ઑગસ્ટ, ૧૮૫૬માં યુદ્ધમોરચેથી બ્રિટન પાછા ફરતી વખતે ધસારો ખાળવા માટે તેમને નામ બદલીને (‘મિસ સ્મિથ’ તરીકે) ગુપચુપ આવવું પડ્યું હતું. બ્રિટનમાં રાણી વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટે ફ્‌લોરેન્સને ખાસ મળવા બોલાવ્યાં હતાં.
ફ્લોરેન્સ નાઇટિંગલની તસવીર અને હસ્તાક્ષર
બ્રિટનમાં એક તરફ ફ્‌લોરેન્સ નાઇટિંગલ વિશેની દંતકથાઓ અને તેમના વિશેનું અલાયદું મ્યુઝીયમ અડીખમ છે, તો બીજી તરફ ફ્‌લોરેન્સ વિશેની સાચી હકીકતો પણ ઉજાગર કરવામાં આવે છે. નર્સ તરીકે આવી ખ્યાતિ મેળવ્યા પછી ફ્‌લોરેન્સે પુસ્તકો લખ્યાં, નર્સિંગના ક્ષેત્રના કેટલાક પાયાના સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા અને નર્સિંગની સ્કૂલ સ્થાપી. પરંતુ ૯૦ વર્ષના લાંબા આયુષ્યમાં યુદ્ધ પછીનાં પચાસેક વર્ષનો તેમનો સમયગાળો એક વિશિષ્ટ બીમારીમાં વીત્યો. મુખ્યત્વે ઢોરોમાં જોવા મળતી એ બીમારીને કારણે બીજાની સારવાર માટે વિખ્યાત થનારાં ફ્‌લોરેન્સ ખુદ અશક્ત અને તાવગ્રસ્ત રહેતાં, એક સાથે એક-બેથી વઘુ લોકોને મળી શકતાં ન હતાં. ‘ફ્‌લોરેન્સ નાઇટિંગલ : ધ વુમન એન્ડ ધ લેજન્ડ’ના લેખકે બી.બી.સી.ના પત્રકારને  કહ્યું હતું કે, ‘ફ્‌લોરેન્સ પોતે ‘લેડી વિથ ધ લેમ્પ’ની છબીને બહુ મહત્ત્વ આપતાં ન હતાં. એ સૈનિકોની હોસ્પિટલમાં રાત્રે રાઉન્ડ મારવા નીકળતાં ખરાં, પણ મૂળભૂત રીતે એ નર્સ ન હતાં. તેમનું કામ તો, યુદ્ધમોરચે મહિલા નર્સને મોકલવાનો અખતરો કેવો રહે છે એ જોવાનું હતું.’

ક્રિમીઆના યુદ્ધમાં રાજવી અને ઉમરાવ પરિવારોના આવડત વગરના લોકો અફસર તરીકે ગયા તો ખરા, પણ મોરચા પર તે નિષ્ફળ નીવડ્યા. એટલે એ યુદ્ધમાં સન્માન પામેલા ઘણા સૈનિકો ‘ઊંચા’ નહીં, પણ સામાન્ય પરિવારના હતા. અંગ્રેજી રાજનો બહુ પ્રતિષ્ઠિત ગણાતો યુદ્ધચંદ્રક ‘વિક્ટોરિયા ક્રોસ’ પણ ક્રિમીઆના યુદ્ધ પછી, ૧૮૫૬માં શરૂ કરવામાં આવ્યો હતો.

ફ્‌લોરેન્સ નાઇટિંગલે ક્રિમીઆના યુદ્ધને બ્રિટન અને ફ્રાન્સ સહિતના દેશોની લોકસ્મૃતિમાં ચિરંજીવ બનાવી દીઘું, તો રશિયાના પક્ષે યુદ્ધમેદાનમાં ઉતરેલા ઉમરાવજાદા લીઓ તોલ્સ્તોયે એ જ યુદ્ધ વિશે  વિશ્વસાહિત્યને અને વિશ્વવિચારને બે યાદગાર પુસ્તક આપ્યાં. યુદ્ધના એક દાયકા પછી લખાયેલી તેમની મહાનવલ ‘વૉર એન્ડ પીસ’માં ક્રિમીઆના યુદ્ધમાં તેમણે જાતે જોયેલી દારુણતા અને યુદ્ધની નિરર્થકતાનો અર્ક હતો, પરંતુ સેવાસ્તોપોલ શહેરના ઘેરાના તેમના અનુભવો તો તેમણે એ જ સમયે કાગળ પર ઉતાર્યા હતા.
***
‘યુદ્ધસ્ય કથા રમ્યાઃ’ એવું કહેવાય છે, પણ તેમાં એટલું ઉમેરવું પડે કે આ કથા ફક્ત કહેનારા-સાંભળનારા-વાંચનારા માટે જ રમ્ય હોય છે. યુદ્ધ જીવનારા માટે એ અનુભવ ભયાનક રસથી ભરપૂર હોય છે. યુદ્ધની ‘કથા’માં - તેની કરુણતાને ઘણી વાર ગાળી નાખવામાં આવે છે.  યુદ્ધને જીવનારા સુદ્ધાં એ કરુણતા પર વીરતા કે શહાદતનો લેપ ચઢાવીને તેને મહીમાવંતી કરે છે, પરંતુ તોલ્સ્તોય જેવો માણસ રણમેદાને ઉતરે ત્યારે તે શું અનુભવે?

ક્રિમીઆના યુદ્ધમાં એક તરફ રશિયાની ફોજ હતી અને આક્રમણ કરનાર તરીકે અંગ્રેજ તથા ફ્રેન્ચ સૈન્યો. ઇ.સ.૧૮૫૩થી ૧૮૫૬ સુધી લડાયેલા આ યુદ્ધમાં અંદાજે પાંચેક લાખ સૈનિકો માર્યા ગયા. આવા લોહીયાળ જંગમાં ૨૬ વર્ષના રશિયન ઉમરાવજાદા લીઓ તોલ્સ્તોય સેવાસ્તોપોલના મોરચે ઉતર્યા. સેકન્ડ લેફ્‌ટનન્ટનો હોદ્દો ધરાવતા તોલ્સ્તોયે ત્યારે લખવાનું થોડું થોડું શરૂ કર્યું હતું. ઇ.સ.૧૮૫૨-૫૪ દરમિયાન રશિયાએ કોકેસસ પર ચઢાઇ કરી, તેમાં પણ તોલ્સ્તોય ફૌજી તરીકે સામેલ હતા. એ અનુભવ પરથી તેમણે ‘ધ રેઇડ’ જેવી કેટલીક વાર્તાઓ લખી. પરંતુ લેખક તરીકે તેમની ખ્યાતિની શરૂઆત સેવાસ્તોપોલ વિશેનાં તેમનાં ત્રણ લખાણથી થઇઃ : ‘સેવાસ્તોપોલ ઇન ડિસેમ્બર’, ‘સેવાસ્તોપોલ ઇન મે (૧૮૫૫)’ અને ‘સેવાસ્તોપોલ ઇન ઑગસ્ટ (૧૯૫૫)’.
સેવાસ્તોપોલના મોરચે ગયેલા સેકન્ડ લેફ્ટનન્ટ તોલ્સ્તોય
સંયુક્ત રીતે ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’ અથવા ‘સેવાસ્તોપોલ સ્ટોરીઝ’ તરીકે ઓળખાતી આ કથાઓ રશિયામાં બહોળી પ્રસિદ્ધિ પામી. ‘ધ કન્ટેમ્પરરી’ સામયિકમાં એ છપાઇ કાલ્પનિક વાર્તા તરીકે, પણ તેમાં રહેલું સચ્ચાઇનું બયાન અકળાવનારું હતું. સેવાસ્તોપોલની પહેલી કથાથી તોલ્સ્તોયને યુદ્ધની ભવ્ય છબી વિશે સવાલ થવા લાગ્યા હતા. તેમણે લખ્યું હતું, ‘તમે યુદ્ધને લશ્કરી બેન્ડના તાલે થતા સુંદર, સુવ્યવસ્થિત,ચમકદાર આયોજન તરીકે નહીં..પણ તેના વાસ્તવિક સ્વરૂપે- લોહી, પીડા અને મોત તરીકે- જોશો.’

સૈનિકો મોરચે ખાઇઓ બનાવીને તેમાં ઉતરી જાય અને ત્યાંથી સામેના પક્ષ ગોળાબારુદનો મારો કરે, એવી ટેક્‌નિક પહેલા વિશ્વયુદ્ધના છ દાયકા પહેલાં ક્રિમીઆના યુદ્ધમાં વપરાઇ હતી. આવી ખાઇઓમાં લોહીથી લથપથ ઘાયલ કે મૃત દેહો, તેમને લઇ જવા માટે આવતી- કીચુડાટી બોલાવતી ધક્કાગાડી, તેમાં ખડકાઇને સ્મશાનભણી જતાં  શરીર... આ બઘું જોયા પછી યુદ્ધની કથા તોલ્સ્તોયને શી રીતે રમ્ય લાગે?

છતાં, પહેલી કથામાં તેમણે યુદ્ધની દારુણતાની સાથોસાથ સેવાસ્તોપોલ પરનો હુમલો ખાળનાર રશિયન સૈનિકોની દેશભક્તિ, બહાદુરી અને દિલેરીનાં વખાણ કર્યાં હતાં. યુદ્ધ સમયે લખાતી પ્રચારસામગ્રીની શૈલીમાં તોલ્સ્તોયે લખ્યું હતું, ‘સેવાસ્તોપોલ છોડતી વખતે એ બાબતની ખાતરી થાય છે કે આ શહેર કદી દુશ્મનોના હાથમાં નહીં પડે. રશિયન સૈનિકોની બહાદુરી અને તેમના સાહસનો વિજય થશે. આ સૈનિકો પોતાની માભોમ કાજે જીવ આપવા રાજી છે. સેવાસ્તોપોલની મહાગાથા રશિયામાં ચિરકાળ સુધી યાદ રહેશે, જેના નાયક રશિયાના લોકો હતા.’
સેવાસ્તોપોલની લડાઇનું એક ચિત્ર
રશિયન સૈન્યને બિરદાવતી અને  સમ્રાટ (ઝાર) પ્રત્યે વફાદારી પ્રગટાવતી સેવાસ્તોપોલની પહેલી કથા ખૂબ વખણાઇ. ખુદ સમ્રાટ એેલેક્ઝાન્ડર બીજો તોલ્સ્તોયનો ચાહક બન્યો, પણ આ ભાવ લાંબો ટક્યો નહીં. બીજી કથા ‘સેવાસ્તોપોલ ઇન મે’માં તોલ્સ્તોયે વ્યંગમાં બોળેલા ચાબખા શરૂ કર્યા. યુદ્ધની નિરર્થક જાનહાનિથી ત્રાસેલા તોલ્સ્તોયે લખ્યું કે સેંકડો સૈનિકોને સામસામા ઉતારવાને બદલે, રશિયા અને દુશ્મન દેશોએ તેમના સૈન્યમાં ફક્ત એક-એક માણસ રાખવો જોઇએ. એ બે જણ સામસામા લડી લે અને જે જીતે તેનો પક્ષ સેવાસ્તોપોલ જીત્યો ગણાય. તોલ્સ્તોયે લખ્યું કે મોટા પાયે લોહી વહાવવાને બદલે આ વધારે માનવતાપૂર્ણ રસ્તો છે.

‘સેવાસ્તોપોલ ઇન મે’માં તોલ્સ્તોયે એક એવું દૃશ્ય આલેખ્યું હતું, જેમાં પોતપોતાના મૃતદેહો ભેગા કરવા માટે રશિયન અને ફ્રેન્ચ સૈનિકો થોડો સમય યુદ્ધવિરામ જાહેર કરે છે. એ વખતે રશિયાનો અને ફ્રાન્સનો એક સૈનિક સાહજિક ક્રમમાં નજીક આવે છે અને સિગરેટ હોલ્ડરની આપ-લે કરે છે. ફ્રેન્ચ સૈનિક પોતાના પરિચિત રશિયન લેફ્‌ટનન્ટને યાદ કરે છે અને રશિયન સૈનિકને કહે છે કે એમને મારા વતી ‘હેલો’ કહેજો.

યુદ્ધ ચાલુ હોય, મોરચે સૈનિકો લડતા હોય - અને મોતને ભેટતા હોય- ત્યારે કયા શાસકને આવું લખાણ ગમે? ‘ધ કન્ટેમ્પરરી’માં તોલ્સ્તોયની બીજી કથા છપાઇ ખરી, પણ તેમાં ફક્ત બે જ માણસો વચ્ચે  યુદ્ધ કરાવવા જેવી વાતો સેન્સરબોર્ડે કઢાવી નાખી. રશિયન અને ફ્રેન્ચ સૈનિકો વચ્ચેના સંવાદનું દૃશ્ય કાઢ્‌યું નહીં, પણ તેમાં એટલું ઉમેરાવ્યું કે ‘આપણે યુદ્ધની શરૂઆત કરી નથી, એટલું આશ્વાસન જરૂર લેવું જોઇએ. આપણે કેવળ આપણી માતૃભૂમિનું રક્ષણ કરીએ છીએ.’ (આ વાત સદંતર ખોટી હતી. યુદ્ધની શરૂઆત રશિયાએ જ કરી હતી.)

પહેલી કથામાં રશિયન સૈનિકો અને અફસરોનાં વખાણ કરનાર તોલ્સ્તોયે જાતઅનુભવ પછી બાકીની બન્ને કથાઓમાં ફૌજી અફસરોની ટીકા કરવામાં કશું બાકી ન રાખ્યું. લશ્કરમાં ફરજનો બહુ મહીમા હોય. પણ તોલ્સ્તોયે લખ્યું, ‘ટૂંકી બુદ્ધિ ધરાવતા મોટા ભાગના લોકોની જેમ એનામાં પણ ફરજની ભાવના વઘુ પડતી જાગ્રત થયેલી હતી.’ રશિયાના સૈનિકો એકાદ લશ્કરી ચંદ્રક કે પગારવધારા માટે કાયમી ધોરણે યુદ્ધ કરવાા ને સેંકડો લોકોને હણી નાખવા તૈયાર રહેતા હતા, એવું પણ તેમણે લખ્યું. બીજી કથામાં નાયકનું એકેય પાત્ર ન રાખીને તેમણે ચોખ્ખા શબ્દોમાં લખ્યું કે મારી કથામાં નાયકપદે કોઇ વ્યક્તિ નહીં, પણ સૌથી મહાન એવું સત્ય જ રહેશે. ‘બેમાંથી એક વાત સાચી લાગે છે : યુદ્ધ નીતાંત પાગલપણું છે અથવા માણસ આ પાગલપણું આચરતો હોય તો એ દેખાડે છે કે માણસ સામાન્ય રીતે મનાય છે એવું બુદ્ધિશાળી પ્રાણી નથી.’ આ વાક્યો ઉપર પણ રશિયાના સેન્સર બોર્ડની કાતર ફરી ગઇ.

‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’ના જ ગાળામાં યુવાન તોલ્સ્તોયનો એક  નિબંધ ‘અ પ્રોજેક્ટ ફોર રીઓર્ગેનાઇઝિંગ ધ આર્મી’ પ્રગટ થયો હતો. તેમાં એમણે રશિયન લશ્કરનાં મુખ્ય છ દૂષણ ગણાવ્યાં હતાં : અપૂરતી ખાદ્યસામગ્રી, શિક્ષણનો અભાવ, લાયક માણસને બઢતી મળવા આડેના અવરોધ, (મનમાં રહેલી) અત્યાચારી તરીકેની હવા, ખંડણી અને સિનિયોરિટી. (હા, તોલ્સ્તોયે ‘સિનિયોરિટી’- વરિષ્ઠતાને પણ રશિયન સૈન્યનું દૂષણ ગણાવ્યું હતું.) આ તમામ લક્ષણો ચરિતાર્થ કરતાં પાત્રો તેમણે ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’માં સર્જ્યાં.

મોરચા પર રશિયન સૈનિકો ખુવાર થઇ રહ્યા હતા, ત્યારે તેમના અફસરો સલામતીમાં અને અમનચમનમાં મહાલતા હતા. ઉમરાવપુત્ર હોવાને કારણે તોલ્સ્તોય ખુદ અફસર હતા. પણ પોતાના સૈનિકોના મોત વિશે રશિયન અફસરોની નિષ્ઠુર બેપરવાઇ જોઇને તે કકળી ઉઠ્યા. તેમણે સર્જેલા એક દૃશ્યમાં ચાની ચુસ્કીઓ ભરતાં ભરતાં અફસરો એવી ફાલતુ વાતો કરતા હતા અને તેમાં વચ્ચે વચ્ચે ફ્રેન્ચ ભાષાનાં વાક્યો છાંટતા હતા. તેમાં બે વક્રતા હતી : આ અફસરોને ફાલતુ પંચાત કરતી વખતે યુદ્ધ અને તેમાં થતી ખુવારી અડતી ન હતી. એટલી જ કાતિલ બીજી વાત એ હતી કે રશિયાના ભદ્ર સમાજમાં ફ્રેન્ચ બોલવાની ફેશન હતી. એટલે સેવાસ્તોપોલના મોરચે ફ્રેન્ચો સામે યુદ્ધ લડી રહ્યા હોવા છતાં, એ લોકો ફ્રેન્ચમાં વાક્યો બોલવાનો મોહ તજી શકતા ન હતા.

સેવાસ્તોપોલના મોરચે તોલ્સ્તોય પહોંચ્યા ત્યારે રશિયાની પીછેહઠ શરૂ થઇ ચૂકી હતી. આખરે રશિયાને સંધિ કરવાની ફરજ પડી અને કાળા સમુદ્રના વિસ્તારમાંથી તેને પોતાનું સૈન્ય તથા નૌકાસૈન્ય પાછું ખસેડી લેવું પડ્યું. ૧૮૫૬માં યુદ્ધના અંત પછી સેકન્ડ લેફ્‌ટનન્ટ તોલ્સ્તોયને ‘ચેર્નાયાના યુદ્ધમાં બહાદુરી અને દૃઢ આચરણ દર્શાવવા બદલ’ લેફ્‌ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી. પરંતુ તોલ્સ્તોયે લશ્કરી કારકિર્દી છોડીને પોતાના ઘર યાસ્નાયા પોલ્યાનાનો રસ્તો પકડ્યો. તેના એકાદ દાયકા પછી ‘વૉર એન્ડ પીસ’ જેવી મહાનવલ લખીને અને ત્યાર પછીના પોતાના ચિંતનથી યુદ્ધવિરોધી અને શાંતિવાદી તરીકે તે વિશ્વપ્રસિદ્ધ બન્યા.

વર્ષ ૨૦૧૦માં તોલ્સ્તોયના અવસાનની શતાબ્દિ નિમિત્તે રશિયાની સ્પેસ એજન્સી ‘રોસ્કોસ્મોસ’ દ્વારા જાહેર કરાયું હતું કે તોલ્સ્તોયને અંજલિરૂપે તેમના પુસ્તક ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’ને અવકાશમાં મોકલવામાં આવશે. તોલ્સ્તોયના બીજા સાહિત્યની સરખામણીમાં આ લખાણો પ્રમાણમાં ઓછાં જાણીતાં કહી શકાય. છતાં,  તેમના યુદ્ધવિરોધી વિચારોનાં મૂળ ‘સેવાસ્તોપોલ સ્કેચીઝ’માં પડેલાં હોવાથી તેમનું મહત્ત્વ વિશિષ્ટ છે.

Tuesday, March 05, 2013

બાંગલાદેશઃ નજીકના ઇતિહાસનું લોહિયાળ અનુસંધાન

છેલ્લા એકાદ મહિનાથી ખદખદી રહેલા આપણા સાખપાડોશી દેશ બાંગલાદેશમાં મોટા પાયે લોહિયાળ તોફાન ફાટી નીકળ્યાં છે. તે સીધીસાદી ગુંડાગીરી કે હિંસાચાર નથી, પણ નજીકના ઇતિહાસમાં થયેલા ગુનાનો ન્યાય તોળવાની મથામણનું પરિણામ છે. અમુક અંશે ભારતના અન્ના આંદોલનની યાદ અપાવે એવા- પણ તેના કરતાં વધારે અસરકારક અને ચડિયાતા બાંગલાદેશી અહિંસક જનઆંદોલનમાં હિંસા શી રીતે પ્રગટી? આંદોલનનો હેતુ શો છે? અને ભારતીય તરીકે શા માટે આપણને  તેમાં રસ પડવો જોઇએ? એવા સવાલોમાં ઉંડા ઉતરતાં પહેલાં, ભારતના સંદર્ભે બાંગલાદેશનું થોડું બેકગ્રાઉન્ડ.

કટોકટીનાં મંડાણ

અખંડ ભારતના નકશા પર ધાર્મિક બહુમતી પ્રમાણે પેન્સિલ ચલાવીને ભારત-પાકિસ્તાનની સરહદ આંકનાર સિરિલ રેડક્લીફે બંગાળના બે ભાગ કરી નાખ્યાઃ મુસ્લિમોનું મોટું પ્રમાણ ધરાવતો પ્રદેશ પૂર્વ પાકિસ્તાન બન્યો અને હિંદુ બહુમતી ધરાવતો પ્રદેશ પશ્ચિમ બંગાળ. હકીકતમાં બંગાળ પ્રાંતની સૌથી મોટી ઓળખ કે અસ્મિતા હતી બંગાળી ભાષા. હિંદુ હોય કે મુસ્લિમ, તે બંગાળીભાષી તરીકે ઓળખાવામાં ગૌરવ લેતા હતા. પરંતુ ધર્મના આધારે ભાગલા પડ્યા પછી, તે પાકિસ્તાનનો હિસ્સો બન્યા. રૂઢિચુસ્ત અને ધર્મકેન્દ્રી પાકિસ્તાનમાં સ્વાભાવિક રીતે જ તેમને ગુંગળામણ થવા લાગી.

છેક છેડે આવેલા પૂર્વ પાકિસ્તાન સાથે (પશ્ચિમ) પાકિસ્તાનનું વર્તન ઓરમાયું રહેતું. પૂર્વ પાકિસ્તાનની અવામી લીગના નેતા શેખ મુજીબુર રહેમાન પૂર્વ બંગાળમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા, પણ પાકિસ્તાની શાસકોને તે દીઠા ગમતા ન હતા. તેનાં ઘણાં કારણોમાં એક એ હતું કે શેખ મુજીબની ઓળખમાં ઇસ્લામ બીજા ક્રમે અને બંગાળીપણું પહેલા ક્રમે આવતું હતું. લોકશાહી મૂલ્યોમાં માનતા મુજીબને પોતાના લોકોના હક માટે પોતાના દેશ-પાકિસ્તાન- સાથે જ લડવાનું આવ્યું.

માર્ચ, ૧૯૭૧માં પાકિસ્તાનમાં થયેલી ચૂંટણીમાં શેખ મુજીબની અવામી લીગની જીત થઇ. તેમનો પક્ષ પૂર્વ પાકિસ્તાન માટે વઘુ સ્વતંત્રતા- વઘુ અધિકારોની માગણી કરતો હતો. ચૂંટણી પછી સરકાર રચવા અંગે સૈન્ય અને રાજકીય પક્ષો વચ્ચે તડજોડ ચાલી, ત્યારે પૂર્વ બંગાળના લોકોને ખાતરી થઇ ગઇ કે પાકિસ્તાનમાં તેમને કદી બરાબરીનું સ્થાન મળવાનું નથી. તેના પરિણામે અવામી લીગે સવિનય કાનૂનભંગનું હથિયાર અજમાવ્યું, જે જોતજોતાંમાં હિંસાખોરીમાં પરિણમ્યું. પાકિસ્તાનના સરમુખત્યાર યાહ્યાખાને અવામી લીગનું આંદોલન વધારે વકરે તે પહેલાં લશ્કરને છૂટો દોર આપી દીધો અને ગમે તે ભોગે પૂર્વ બંગાળને કચડીને કાબૂમાં રાખવાની ઘાતકી નીતિ અપનાવી. તેના પરિણામે પૂર્વ બંગાળમાં ભયાનક કતલ ચાલી, જે વિએતનામ કે કંબોડિયાના જગવિખ્યાત બનેલા હત્યાકાંડો કરતાં જરાય ઉતરતી ન હતી. પરંતુ એ વખતે અમેરિકા (પશ્ચિમ) પાકિસ્તાનના પક્ષે હોવાથી, આંતરરાષ્ટ્રિય સ્તરે તેની ખાસ નોંધ ન લેવાઇ.

પાકિસ્તાની લશ્કર દ્વારા પદ્ધતિસર હાથ ધરાયેલા હત્યાકાંડોમાં બંગાળીઓનાં ગામનાં ગામ ખતમ કરી નાખવામાં આવ્યાં. ભોગ બનેલાઓમાં હિંદુઓનું નોંધપાત્ર પ્રમાણ હતું. પૂર્વ બંગાળનું આંદોલન દિશાહીન બની જાય એ માટે બૌદ્ધિકોને અને યુનિવર્સિટીના આગળ પડતા અઘ્યાપકો- વિદ્યાર્થીઓને વીણી વીણીને ખતમ કરવામાં આવ્યા.  કેટલા લોકોની હત્યા થઇ હશે તેનો સાચો અંદાજ મળવો અઘરો છે, પણ ઓછામાં ઓછા ત્રણેક લાખ લોકોને પાકિસ્તાની સૈન્યે ઠંડા કલેજે મારી નાખ્યા. (સ્થાનિક લોકો દ્વારા અપાતો આંકડો ત્રીસ લાખનો છે.)

વીસમી સદીના યુદ્ધ સિવાયના સમયગાળામાં થયેલા સૌથી ભયંકર હત્યાકાંડોમાં સ્થાન પામે, એવી પૂર્વ બંગાળની સ્થિતિ હતી. પરંતુ આંતરરાષ્ટ્રિય સમુદાય એ વિશે અજાણ હતો અથવા આંખ આડા કાન કરતો હતો. બીજી તરફ પાકિસ્તાની પ્રમુખ યાહ્યાખાન ઠંડા કલેજે કેવાં જૂઠાણાં ચલાવતા હતા, તેનો એક નમૂનો અત્યારે પણ યુટ્યુબ પર મોજૂદ તેમના એક વિડીયો ઇન્ટરવ્યુમાં જોવા-સાંભળવા મળી શકે છે.  જુલાઇ ૩૧, ૧૯૭૧ના રોજ લેવાયેલા ઇન્ટર્વ્યુમાં બાંગલાદેશી શરણાર્થીઓ વિશેના સવાલનો જવાબ આપતાં યાહ્યાખાને ધરાર જૂઠાણું ઉચ્ચાર્યું હતું કે ‘તમે જોયા એ લોકો શરણાર્થી હતા જ નહીં.’

(યાહ્યાખાનનો વિડીયો ઇન્ટરવ્યુ)

‘તમારું લશ્કર પૂર્વ પાકિસ્તાનીઓની પાછળ પડી ગયું છે?’ એવા અણીયાળા સવાલના ઉત્તર તરીકે છટાથી સિગરેટનો કશ લઇને યાહ્યાખાને કહ્યું, ‘કઇ સરકાર પોતાના નાગરિકોની પાછળ પડી જાય? ઉલટું, પાકિસ્તાની સૈન્યે પૂર્વ પાકિસ્તાનના ૭ કરોડ લોકોને અવામી લીગના અલગતાવાદી રાજકારણ તથા ઉશ્કેરણીથી સર્જાયેલી સશસ્ત્ર વિદ્રોહની સ્થિતિથી બચાવ્યા છે.’ યાહ્યાખાનની ફિશિયારીઓ સાંભળીને પત્રકારે ફરી તેમને પૂછ્‌યું, ‘એટલે તમે કહેવા માગો છો કે પૂર્વ પાકિસ્તાનમાં કોઇ પ્રકારનો જેનોસાઇડ- પદ્ધતિસરનો સામુહિક નરસંહાર થયો નથી?’ અને યાહ્યાખાને કહ્યું, ‘મોસ્ટ સર્ટનલી નોટ.’

પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલા પદ્ધતિસરના જનસંહારમાં જમાતે ઇસ્લામી, અલ બદ્ર જેવાં ‘ઇસ્લામી’ સંગઠનો પણ પાકિસ્તાની સૈન્ય સાથે ભળ્યાં હતાં. તેમને બંગાળી ઓળખ સામે વાંધો હતો. એટલે પોતાના જ લોકો સામે હત્યા-બળાત્કાર-લૂંટફાટ-આગ જેવા ગુના આચરતાં તેમને કશો જ ખચકાટ ન થયો.

પાકિસ્તાન આખી દુનિયાથી હકીકત છુપાવતું હતું, પરંતુ તેની  સીધી અસર પાડોશી દેશ તરીકે ભારત પર થવા લાગી. બાંગલાદેશથી શરણાર્થીઓનાં ધાડાંનાં ધાડાં જીવ બચાવવા માટે સરહદ ઓળંગીને ભારતમાં આવવા લાગ્યાં. ભારત તેમને મરવા માટે પાછાં મોકલી શકે એમ ન હતું અને તેમને પાલવવાનો આર્થિક બોજ ભારતને પરવડે એમ ન હતો.

માય નેમ ઇઝ એન્થની મેસ્કરનહસ

યાહ્યાખાન અને પાકિસ્તાનના ભ્રામક પ્રચારનો ભંડો ફોડવામાં એક પત્રકારની ભૂમિકા બહુ અગત્યની બની રહી. બીબીસીની વેબસાઇટ પરથી મળતી વિગતો પ્રમાણે, ગોવામાં જન્મેલા અને કરાચીમાં રહેતા ખ્રિસ્તીધર્મી પત્રકાર એન્થની મેસ્કરનહસે/ Anthony Mascarenhas પૂર્વ પાકિસ્તાનની સાચી પરિસ્થિતિ દુનિયા સમક્ષ જાણ કરી.

પૂર્વ પાકિસ્તાનમાંથી વિદેશી પત્રકારોને પાકિસ્તાની સરકારે રવાના કરી દીધા હતા. એટલે દુનિયા સમક્ષ તટસ્થ દેખાવા માટે પાકિસ્તાની સરકારે પોતાના ચુનંદા આઠ પત્રકારોને પૂર્વ પાકિસ્તાન મોકલવાનું નક્કી કર્યું. એ લોકો ત્યાં જઇને દસ દિવસ રહે અને સરકારી હુકમ પ્રમાણેના અહેવાલ લખે, તો તેનાથી દુનિયાને ખાતરી કરાવી શકાય કે ત્યાં બઘું સમુંસૂતરું છે. આ આઠ પત્રકારોમાં એન્થનીનો પણ સમાવેશ થતો હતો. સરકાર દ્વારા પ્રાયોજિત પ્રવાસ કરી આવ્યા પછી બાકીના સાતે ફરમાસુ અહેવાલો લખી દીધા, પણ એન્થની એ કરી શક્યા નહીં. પૂર્વ પાકિસ્તાનની સચ્ચાઇ અને ભયાનક નરસંહાર નજરે જોયા પછી એન્થનીને થયું કે જો તે આ વાતો નહીં લખે, તો બીજું કશું જ નહીં લખી શકે. પણ આ બઘું લખવું ક્યાં? પાકિસ્તાનમાં પ્રસાર માઘ્યમો પર સરકારનો લોખંડી સકંજો ભીડાયેલો હતો. વિદેશી છાપામાં લખી શકાય, પણ અહેવાલ છપાયા પછી કરાચીમાં રહેતા એન્થનીના પરિવાર- પત્ની અને પાંચ બાળકો-નું શું થાય?

એન્થનીએ હિંમત હાર્યા વિના, બહાદુરીથી અને યોજનાપૂર્વક આગળ વધવાનું નક્કી કર્યું. પહેલાં એ બિમાર બહેનની ખબર કાઢવાના બહાને લંડન જઇને ‘સન્ડે ટાઇમ્સ’ના તંત્રીને મળ્યા અને વિગતે વાત કરી. તેમણે અહેવાલ છાપવાની તૈયારી બતાવી એટલે એન્થનીએ નક્કી થયા મુજબ કરાંચીના ઘરે ટેલીગ્રામ કર્યો, ‘એન્સ ઓપરેશન વોઝ સક્સેસફુલ’. આ સંકેત હતો કે પરિવારે લંડન આવવાની તૈયારી કરવાની છે.

સરકારને શંકા ન જાય એટલે એન્થની પાકિસ્તાન પાછા આવ્યા. તેમનું પરિવાર લંડન પહોંચ્યું, પણ એ વખતે પાકિસ્તાનમાં એવો કાયદો હતો કે પાકિસ્તાની નાગરિકો વર્ષે એક જ વાર વિદેશ પ્રવાસ કરી શકે. એટલે બીજી વાર એન્થનીએ પાકિસ્તાનથી જમીનમાર્ગે અફઘાનિસ્તાન જવું પડ્યું. ત્યાંથી એ લંડન પહોંચ્યા. લંડનમાં આખું પરિવાર ભેગું થયું, તેના બીજા જ દિવસે જૂન ૧૩, ૧૯૭૧ના રોજ લંડનના ‘સન્ડે ટાઇમ્સ’માં ‘જેનોસાઇડ’ના મોટા મથાળા સાથે, પૂર્વ પાકિસ્તાન વિશેનો અહેવાલ પ્રગટ થયો.

(એન્થની મેસ્કરનહસનો વિડીયો ઇન્ટરવ્યુ)

એન્થની મેસ્કરનહસની પત્ની સાથે વાતચીત કરીને બીબીસી  માટે અહેવાલ તૈયાર કરનાર માર્ક ડમેટે નોંઘ્યું છે કે પાકિસ્તાની સૈન્યમાં ગાઢ સંપર્કો ધરાવતા એન્થનીનો અહેવાલ વાંચીને પાકિસ્તાની છાવણીમાં  તરખાટ મચી ગયો. ‘દેશદ્રોહ’થી ‘છેતરપીંડી’ અને ‘ભારતનું કાવતરું’ જેવા આરોપો થયા. ભારતનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ‘સન્ડે ટાઇમ્સ’ના તંત્રીને કહ્યું, ‘એન્થનીના અહેવાલથી મને એટલો આંચકો લાગ્યો કે હું યુદ્ધની પૂર્વતૈયારી તરીકે યુરોપના દેશો અને મોસ્કોની રાજદ્વારી મુલાકાતે રવાના થઇ.’

આખરે ડિસેમ્બર, ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે સીઘું યુદ્ધ ફાટી નીકળ્યું, જેના અંતે ભારતીય સૈન્યે પાકિસ્તાનને નિર્ણાયક રીતે હરાવ્યું અને પૂર્વ પાકિસ્તાનનો અલગ રાષ્ટ્ર ‘બાંગલાદેશ’ તરીકે જન્મ થયો. ભારતમાં તેનો વિજયોત્સવ ચાલ્યો, પણ બાંગલાદેશમાં એ પ્રકરણ સંતોષકારક રીતે પૂરું થયું નહીં. બાંગલા પ્રજા પર ભયાનક અત્યાચારો કરનાર પાકિસ્તાની સૈન્યના લોકોને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર અંતર્ગત માફી બક્ષવામાં આવી. ત્યાર પછી બાંગલા દેશમાં રહીને પાકિસ્તાની સૈન્ય સાથે ભળી ગયેલા રઝાકારો, જમાતે ઇસ્લામી અને અલ બદ્ર જેવા સંગઠનના હિંસાખોરોનો પ્રશ્ન ઊભો રહ્યો. એ લોકો સામે કાનૂની કાર્યવાહી ચલાવીને યથાયોગ્ય સજા ફટકારવા માટે, વર્ષ ૨૦૧૦માં બાંગલાદેશનાં વડાપ્રધાન (શેખ મુજીબનાં પુત્રી, અવામી લીગનાં પ્રમુખ) શેખ હસીનાએ વોર ક્રાઇમ ટ્રિબ્યુનલની રચના કરી. તેના દ્વારા જૂના દોષીઓને મૃત્યુદંડ અને આજીવન કેદની સજાઓ જાહેર થતાં, બાંગલાદેશમાં નવેસરથી હિંસા અને અશાંતિ ફાટી નીકળ્યાં છે. તેનાં કારણો અને રાજકારણની વાત આવતા સપ્તાહે. 

Wednesday, January 23, 2013

અમન = આંખ આડા કાન? પાકિસ્તાનદ્વેષ = દેશપ્રેમ?

પાકિસ્તાન વિશે કોઇ સરેરાશ ભારતીયને સારું બોલવાનું થાય, એવાં કારણ કે નિમિત્ત ભાગ્યે જ હોય છે. હા, પાકિસ્તાની મિત્રો હોઇ શકે, પ્રિય ગાયક-ગાયિકા, લેખક કે શાયર પાકિસ્તાની હોઇ શકે, પાકિસ્તાનમાં છેલ્લા શ્વાસ લેનાર મંટો જેવા લેખક, નૂરજહાં જેવી ગાયિકા કે ગુલામહૈદર જેવા સંગીતકારની મઝાર પર જવાની ઇચ્છા થઇ શકે, પણ એક દેશ તરીકે પાકિસ્તાન વિશે મોટા ભાગના ભારતીયના મનમાં સદભાવ હોતો નથી. ઘણાખરાના મનમાં દુર્ભાવ હોય છે. તેનાં ઘણાં કારણ પણ છે. મુખ્ય કારણ: 1947થી 1999 સુધી બન્ને દેશો વચ્ચે થયેલાં સત્તાવાર યુદ્ધ અને "પ્રોક્સી વૉરજેવા સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા, જેનાં મૂળિયાં પાકિસ્તાન સુધી લંબાય છે.

                યુદ્ધોમાં દરેક વખતે ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને વ્યૂહાત્મક ચાલબાજીમાં મોટે ભાગે ભારત હારતું રહ્યું. એટલે બન્ને બાજુના લોકોને દુ:ખી થવા માટે ને આશ્ર્વાસન લેવા માટે કારણ મળતાં રહ્યાં છે.

અવિશ્વાસનો પાયો

નહીં ભારતમાં, નહીં પાકિસ્તાનમાં એવા અલાયદા કાશ્મીરનાં દીવાસ્વપ્નોમાં રાચતા હિંદુ મહારાજાએ વિભાજન વખતે વેળાસર ભારત સાથે જોડાણ ન કર્યું. તેનો ગેરલાભ લઇને પાકિસ્તાને સાદા પોશાકમાં પોતાના સૈનિકો કાશ્મીરમાં ઘુસાડ્યા. મહારાજા ભારત સાથેના જોડાણકરાર પર સહી ન કરે ત્યાં સુધી ભારત તેમને સત્તાવાર રીતે મદદ કરી શકે નહીં. પાણી છેક માથા સુધી આવ્યું ત્યારે રાજાને ભાન થયું.  તેમણે ન છૂટકે કરાર પર સહી કરી, એટલે ભારતના ગૃહહમંત્રી સરદાર પટેલે શબ્દાર્થમાં યુદ્ધના ધોરણે કાશ્મીર લશ્કર મોકલી આપ્યું.

                મોડું તો થયું હતું, પણ પાકિસ્તાની હુમલાખોરો લૂંટફાટની લાલચમાં પડ્યા હોવાથી તે ધીમા પડ્યા હતા. તેનો ફાયદો એ થયો કે એમનાથી પહેલાં ભારતીય સૈન્યના જવાનો શ્રીનગર પહોંચી ગયા અને તેને બચાવી લીધું. આ રીતે, બાકાયદા વિભાજન પછી તદ્દન હુમલાખોરીથી બથાવી પાડેલો કાશ્મીરનો 78,114 ચોરસ કિલોમીટરનો હિસ્સો પાકિસ્તાન ગળી ગયું. વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ એકપક્ષી હુમલાને દ્વિપક્ષી તકરારનો દરજ્જો આપ્યો ને એ મુદ્દે આંતરરાષ્ટ્રિય દખલગીરી સ્વીકારી. ત્યારથી કાશ્મીરના બે ભાગ પડ્યા: ભારતમાં આવેલું કાશ્મીર અને પાકિસ્તાનના કબજા હેઠળનું (પાકિસ્તાન ઓક્‌યુપાઇડ) કાશ્મીર.

                વિભાજનનાં 65 વર્ષ પછી પણ કાશ્મીરનો ઘા ભારત માટે દૂઝતો અને પાકિસ્તાની સત્તાધીશો માટે દૂઝણો રહ્યો છે. કાશ્મીરમાં ફિલ્મોનાં શૂટિંગ થતાં હતાં એવા શાંતિના થોડા સમયને બાદ કરતાં, છેલ્લા થોડા દાયકામાં કાશ્મીરના ખાતે ભારતના ચોપડે ખુવારી અને નુકસાન જ લખાયેલાં છે, જ્યારે પાકિસ્તાન માટે કાશ્મીર મુદ્દે વકરો એટલો નફો છે. સામાન્ય પાકિસ્તાનીઓને સામાન્ય ભારતીયો પ્રત્યે દુશ્મનાવટ નથી, એ સાચું હોય તો પણ, કાશ્મીર એ તેમની દુ:ખતી રગ છે તેનો ઇન્કાર થઇ શકે એમ નથી. કાશ્મીરના નામે પાકિસ્તાની શાસકો તેમના નાગરિકોમાં ભારતવિરોધી લાગણી જગાડી શકે છે, એ હકીકત છે.

પૂરા કદનાં બે યુદ્ધ

વિભાજન સમયની સશસ્ત્ર કાર્યવાહીમાં પાકિસ્તાન પોતાની સંડોવણીનો ઇન્કાર કરતું હતું, પરંતુ ત્યાર પછી 1965 અને 1971માં બન્ને દેશોનાં સૈન્યો વચ્ચે થયેલાં યુદ્ધમાં આવો કોઇ અવકાશ ન હતો. કારણ કે ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદે ઠેકઠેકાણે મોરચા ખુલી ગયા.

                નેહરુની વિદાય પછી 1965માં લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. ત્યારે પાકિસ્તાને "ટ્રાયલ બલુનની જેમ એપ્રિલ, 1965માં કચ્છના મોરચે છમકલું કરી જોયું. છૂટાછવાયા મુકાબલાનાં બે-ત્રણ રાઉન્ડને અંતે, બ્રિટનના વડાપ્રધાન વિલ્સનની દરમિયાનગીરીથી બન્ને પક્ષોએ યુદ્ધવિરામ કર્યો. પરંતુ વિલ્સન કરારના પરિણામે કચ્છ-સિંધ સરહદી વિવાદનું પણ (કાશ્મીરની જેમ) આંતરરાષ્ટ્રિયકરણ થયું અને ભારત રાજદ્વારી વાટાઘાટોમાં નબળું પુરવાર થયું..

                કચ્છના અનુભવથી રંગમાં આવી ગયેલા પાકિસ્તાની પ્રમુખ ઐયુબખાને પાંચ મહિના પછી ભારત સાથે પૂરા કદનું યુદ્ધ માંડ્યું. પરંતુ અમેરિકાની કૃપાથી અત્યાધુનિક શસ્ત્રસરંજામ ધરાવતા પાકિસ્તાનનો ભારતીય સૈન્ય સામે ગજ વાગ્યો નહીં. ભારતે હાજી પીરના ઘાટ સહિતના કેટલાક મહવના પ્રદેશો મેળવ્યા, પણ ફરી એક વાર, આ વખતે રશિયા વચ્ચે પડ્યું. ઘણી બાબતોમાં રશિયા પર આધાર રાખતું ભારત રશિયાની ઇચ્છા અવગણી શકે એમ ન હતું. એટલે યુદ્ધના મેદાન પર સૈનિકોનાં બલિદાનથી મેળવેલા પ્રદેશો તાશ્કંદ કરારના નામે ભારતે પાકિસ્તાનને પાછા ધરી દેવા પડ્યા. વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી તો તાશ્કંદથી જીવતા પાછા પણ ન ફરી શક્‌યા. રહસ્યમય સંજોગોમાં તાશ્કંદમાં તેમના ઉતારે તેમનું અવસાન થયું..

                બાંગલાદેશી શરણાર્થીઓના મુદ્દે પાકિસ્તાન સાથે થયેલું 1971નું યુદ્ધ પાકિસ્તાન માટે બેવડો ફટકો મારનારું નીવડ્યું. એ યુદ્ધમાં ભારતે બે ભાગમાં વહેંચાયેલા પાકિસ્તાનમાંથી પૂર્વ પાકિસ્તાનને કાયમ માટે અલગ પાડી દીધું અને સ્થાનિક બાંગલા પ્રજાની ઇચ્છા પ્રમાણે અલગ બાંગલાદેશ રચાયો. પાકિસ્તાનના સ્થાપક મહંમદઅલી ઝીણાની "ટુ નેશન થિયરીભાંગી પડી. કેવળ એક ધર્મની પ્રજાથી એક રાષ્ટ્ર બની જતું નથી, એ પાઠ આટલી કિંમત ચૂકવ્યા પછી પણ પાકિસ્તાન શીખી શક્‌યું નહીં એ જુદી વાત છે. પાકિસ્તાન માટે બીજી શરમજનક વાત એ હતી કે તેના આશરે 93 હજાર સૈનિકો યુદ્ધકેદી તરીકે પકડાયા.

                ભારત માટે આનાથી વધારે નિર્ણાયક જીત કઇ હોઇ શકે? પરંતુ નક્કર જીતનાં ફળ મંત્રણાઓ વખતે ખોઇ બેસવાનો સિલસિલો ઇંદિરા ગાંધીએ પણ ચાલુ રાખ્યો. શિમલા કરારના નામે તેમણે પાકિસ્તાનના તમામ યુદ્ધકેદીઓને છોડી મૂક્યા, પરંતુ બદલામાં ભારતના બે હજારથી પણ વધુ યુદ્ધકેદીઓ પાકિસ્તાન પાસેથી તે છોડાવી શક્‌યાં નહીં. પાકિસ્તાને પોતાની મરજી મુજબ જાહેર કરેલા 616 યુદ્ધકેદીઓને ભારતે ચૂપચાપ, બાકીનાની ઝાઝી પડપૂછ કર્યા વિના, સ્વીકારી લીધા. તેની પરથી ખ્યાલ જ ન આવે કે ખરેખર યુદ્ધ કોણ જીત્યું ગણાય.

                ભારતના દૃષ્ટિકોણથી શિમલાકરારનાં પરિણામ શરમજનક બન્યાં અને પાકિસ્તાની શાસકોને તેનાથી થોડું આશ્ર્વાસન મળ્યું. પરંતુ  પાકિસ્તાનના દૃષ્ટિકોણથી વિચારતાં, યુદ્ધના મેદાનમાં મળેલી નામોશી બહુ ભારે હતી. તેની સરખામણીમાં શિમલા કરાર તો નાક કપાયા પછી એ જગ્યાએ બંધાયેલા પાટા જેવા ગણાય. એટલે પાકિસ્તાની શાસકોના પ્રિય એજેન્ડા એવા ભારતદ્વેષનું તાપણું અખંડ જલતું રહ્યું. પાકિસ્તાની રાજકારણમાં ભારે દખલગીરી ધરાવતા પાકિસ્તાની લશ્કરને ભારત પ્રત્યે સદભાવ જાગવાનો સવાલ ન હતો. તેમને માટે ભારત કાયમી ધોરણે શત્રુ હતું અને રહેવાનું હતું. સીધા યુદ્ધથી અગાઉની હારનો બદલો ન લેવાય તો બીજી રીતે, પણ ભારતને લોહીલુહાણ રાખવું એ તેમની માનસિકતા જળવાઇ રહી.

અવિશ્વસનીયતાનો અવિરત સિલસિલો

1971ના યુદ્ધનાં ત્રણ જ વર્ષ પછી ભારતે પોખરણમાં સફળ પરમાણુપરીક્ષણ કર્યું એટલે પાકિસ્તાની શાસકોના અને પડદા પાછળના સાાધીશોના પેટમાં તેલ રેડાયું. "બાય, બોરો, સ્ટીલ’ (ખરીદો, ઉછીનું લાવો કે તફડાવો)ના સિદ્ધાંતથી પાકિસ્તાને ડો.અબ્દુલ કાદીરની રાહબરી હેઠળ અણુકાર્યક્રમનો આરંભ કર્યો. બડાશખોર ભુત્તોએ "પાકિસ્તાનની પ્રજા ઘાસ ખાઇને પણ અણુબોમ્બ બનાવશેએવી શેખી મારી. છેવટે, પાકિસ્તાને 1998માં, ભારતના બીજા રાઉન્ડના પરીક્ષણના થોડા સમય પછી, પોતાની પરમાણુતાકાતનું સફળ પરીક્ષણ-કમ-પ્રદર્શન કર્યું.

                દરમિયાન, સિઆચીન ગ્લેશઇરના બર્ફીલા વિસ્તારની વિષમતાને લીધે સરહદ અંકાયેલી ન હતી, ત્યાં પાકિસ્તાને અડીંગો જમાવ્યો. ભારતે 1984માં થોડા સૈનિકોની પ્રચંડ બહાદુરીથી સિઆચીન જીતી લીધું.. ત્યારથી સિઆચીનમાં પોતપોતાનાં થાણાં જાળવી રાખવા માટે બન્ને દેશો કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યા  છે અને સંખ્યાબંધ સૈનિકો માટે બર્ફીલું વાતાવરણ સૌથી મોટો શત્રુ પુરવાર થયું છે. છતાં, પાકિસ્તાન પર વિશ્ર્વાસ મુકીને ભારત મહામહેનતે હાંસલ કરેલી ઊંચાઇવાળી ચોકી છોડી શકે એમ નથી.

                પાકિસ્તાન પર વિશ્ર્વાસ ન મુકી શકાય, તેનો છેલ્લો દાખલો 1999માં ભારતને મળ્યો. શિયાળામાં ભારતીય સૈનિકો કાશ્મીરની ઊંચાઇ પરની કેટલીક ચોકીઓ રેઢી મુકીને નીચે આવી જતા હતા. પાકિસ્તાને એ વિશ્ર્વાસ તોડ્યો. તકનો લાભ લઇને પાકિસ્તાની સૈન્યે  કારગીલની રેઢી પડેલી ચોકીઓ પર કબજો જમાવી દીધો. એ ચોકીઓ પાછી મેળવવા માટે ભારતે પૂરું જોર લગાડવું પડ્યું અને ભારે આર્થિક તથા માનવખુવારી વેઠવી પડી. અલબા, એ યુદ્ધ બીજી સરહદો સુધી ન વિસ્તરતાં, ફક્ત કારગીલ સુધી મર્યાદિત રહ્યું. પાકિસ્તાનના આ વિશ્ર્વાસભંગ અને દુ:સાહસે એ થિયરી પણ ખોટી પાડી કે બન્ને દેશો પાસે પરમાણુ હથિયાર હોય, તો એ દેશો માપમાં રહે અને યુદ્ધ ન કરે. મુંબઇ પરનો ત્રાસવાદી હુમલો, પાકિસ્તાનની ભૂમિ પરથી થયેલો તેનો દોરીસંચાર અને તેમાં પોતાની જવાબદારી સ્વીકારવાના પાકિસ્તાનના ઠાગાઠૈયાથી બન્ને દેશો વચ્ચેના અવિશ્ર્વાસમાં વધારો થયો.

સંતુલિત માર્ગ

બન્ને દેશો વચ્ચેના ઇતિહાસનો સાર એટલો કે ભારત એક દેશ તરીકે પાકિસ્તાનની હરકતો પ્રત્યે આંખ આડા કાન કરી શકે એમ નથી. તેનો અર્થ એવો હરગીઝ ન થાય કે પાકિસ્તાનને ગાળો દેનારા કે પાકિસ્તાનને ખતમ કરી નાખવું જોઇએ, એવી વાતો કરનારા બધા દેશભક્તો છે અને શાંતિની વાત કરનારા દેશદ્રોહી.

                પાકિસ્તાનમાં રાજકીય ફાયદા માટે ભારતને શત્રુ ચીતરવાનો, તેમ ભારતમાં પાકિસ્તાનનો ભય બતાવીને લોકોની કોમવાદી માનસિકતા પોષવા-વકરાવવાનો અને રાજકારણમાં તેનો લાભ મેળવવાનો ઉદ્યોગ ચાલે છે. "ભારતની એકતા અને અખંડીતતાના ઓઠા હેઠળ ભારતના હિંદુ-મુસ્લિમો વચ્ચે વિખવાદ ભડકાવતા નેતાઓથી હિંદુઓએ અને "મુસ્લિમોની સ્વાભાવિક વફાદારી પાકિસ્તાન પ્રત્યે હોયએવી લાગણી પોષતા નેતાઓથી મુસ્લિમોએ ચેતવા જેવું છે.

                પાકિસ્તાનને પાઠ શીખવવાની કે "ઇઝરાઇલવાળી’ (કે સની દેઓલવાળી) કરવાની માગણીઓ કરતા સૌએ સમજવું પડે કે બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધ- ભલે એ દુશ્મનીના કેમ ન હોય- ફેસબુક પર કે પાનના ગલ્લા પર થતી ચર્ચાની જેમ ન ચાલી શકે. ડિપ્લોમસી તરીકે ઓળખાતા કૌટિલ્યબુદ્ધિ અને વેપારી સ્વાર્થબુદ્ધિના મિશ્રણથી કામ લેવું એ શાણપણનો તકાદો છે. એકબીજા દેશના કલાકારો કે ખેલાડીઓનો બહિષ્કાર કરવાથી, પાકિસ્તાનના કટ્ટકરપંથીઓના હાથ મજબૂત કરવા સિવાય ખાસ કંઇ સિદ્ધ થતું નથી. શાસકોએ પાકિસ્તાની સરકારને અને એટલી જ ઠંડી મક્કમતાથી શિવસેના પ્રકારના "દેશપ્રેમીઓને પોતાનો "નો નોનસેન્સઅભિગમ બતાવી આપવો પડે. એ માટેનું માર્ગદર્શન ટીવી ચેનલની ટીઆરપી-કેન્દ્રી ચર્ચાઓમાંથી નહીં, પણ છેલ્લાં દસ વર્ષમાં ભારત-પાકિસ્તાન સરહદે ઘટેલી ખુવારી જોઇ શકતા ઠંડા કલેજાના સલાહકારો પાસેથી મેળવવું પડે.
          
 `દેશપ્રેમના સની દેઓલ વર્ઝન કે ફેસબુક પ્રકારથી ફિલ્મ કે ગપ્પાંગોષ્ઠિ ચાલી જાય, દેશ નહીં.