Saturday, July 24, 2021

પત્રકારત્વ-લેખનને પૂરક એવી દસ્તાવેજીકરણની સફર

(ભાગ-૧) (ભાગ-૨) (ભાગ-૩) (ભાગ-૪) (ભાગ-૫) (ભાગ-૬) (ભાગ-૭) (ભાગ-૮) (ભાગ-૯) (ભાગ-૧૦) (ભાગ-૧૧)  (ભાગ-૧૨) (ભાગ-૧૩) (ભાગ-૧૪) (ભાગ-૧૫) (ભાગ-૧૬) (ભાગ-૧૭) (ભાગ-૧૮) (ભાગ-૧૯) (ભાગ-૨૦) (ભાગ-૨૧) (ભાગ-૨૨) (ભાગ-૨૩) (ભાગ-૨૪) (ભાગ-૨૫) (ભાગ-૨૬) (ભાગ-૨૭) (ભાગ-૨૮) (ભાગ-૨૯) (ભાગ-૩૦) (ભાગ-૩૧) (ભાગ-૩૨) (ભાગ-૩૩) (ભાગ-૩૪) (ભાગ-૩૫) (ભાગ-૩૬) (ભાગ-૩૭) (ભાગ-૩૮) (ભાગ-૩૯) (ભાગ-૪૦) (ભાગ-૪૧) (ભાગ-૪૨) (ભાગ-૪૩) (ભાગ-૪૪) (ભાગ-૪૫) (ભાગ-૪૬) (ભાગ-૪૭) (ભાગ-૪૮) (ભાગ-૪૯)

પત્રકારત્વની સફરની શ્રેણી વાંચતી વખતે કેટલાંક મિત્રોએ એવી જિજ્ઞાસા પ્રગટ કરી કે ‘તમે આટલું બધું, જરૂર પડ્યે હાથમાં આવે એ રીતે સાચવ્યું કેવી રીતે? તમે દસ્તાવેજીકરણ શી રીતે કરો છો?’ દસ્તાવેજીકરણની ખાસિયતને કેટલાક લોકો મારું ‘ટ્રેડ સિક્રેટ’ પણ માનતા હોય છે. એ વિશે હું ન લખું અને તે ‘રહસ્ય’ જ રહે, તો તેના નામે ભવિષ્યમાં જેવી વાર્તાઓ કરવી હોય તેવી કરી શકાય. પણ એ વિકલ્પ જતો કરીને દસ્તાવેજીકરણ વિશે લખવાનો પ્રયાસ કરી જોઉં. તેમાં ઘણી અંગત અને પત્રકારત્વની સફરમાં અપ્રસ્તુત લાગે એવી વાતો હશે. પણ તેની બાદબાકી કરીને લખવું શક્ય નથી.

વસ્તુઓ સાચવવાની, ઠેકાણે મુકવાની આદતની શરૂઆત કૌટુંબિક પરંપરાથી થઈ. ઘરમાં મમ્મી, કદાચ દાદી અને અમારા કૌટુંબિક વડીલ કનુકાકા—આ લોકો સાચવણીનાં બહુ આગ્રહી. ઝીણામાં ઝીણી ચીજો સાચવીને સંઘરે. એ જમાનાના રિવાજ પ્રમાણે, ક્યારેક તો વસ્તુઓ વાપરે પણ નહીં. ફક્ત સાચવે. એ રીતે ઘરમાં ઘણું સચવાયેલું. જૂનાં વાસણ, દાદાનું નામ ધરાવતી ક્રૉકરી, દાદાના નામના પ્રથમાક્ષરો CCK ધરાવતી શેતરંજીઓ, પતરાની મોટી પેટીઓ, પપ્પા-કાકાઓ-ફોઈના લગ્નની કંકોત્રીઓ, તેમાં આવેલા ચાંલ્લાની નોટો, જૂનાં પ્રમાણપત્રો…

મમ્મી-પપ્પાનાં લગ્ન વખતની નોટ
દાદાજીના સમયની કીટલી
મારાં મમ્મી ચોક્સાઈનાં જબરાં આગ્રહી. ભારે કામગરાં પણ ખરાં. અત્યારે ૮૨ વર્ષની ઉંમરે પણ તે ખાલી બેઠેલાં ભાગ્યે જ જોવા મળે. જે વસ્તુ જ્યાંથી લીધી ત્યાં જ મૂકવી, એ તેમની પદ્ધતિ. તે બાબતમાં સ્કૂલકાળમાં હું ભારે અવ્યવસ્થિત. તેમને મારી ઘણી ચિંતા થાય. બીરેન મારી સરખામણીમાં ખાસ્સો વ્યવસ્થિત. છ વર્ષ મોટો. વધારે ઠરેલ. તેનામાં પણ સાચવવાના કૌટુંબિક સંસ્કાર હતા. નાનપણમાં તે એક વાર વૅકેશનમાં મુંબઈ કાકાને ઘેર ગયો, ત્યારે પિતરાઈ ભાઈઓ સાથે તેણે જોયેલી અઢળક ફિલ્મોની ટિકિટો ક્યાંય સુધી એક પાકિટમાં સંઘરી રાખી હતી. (એમ તો મેં પણ ‘હેલ્લારો’ની ટિકિટ રહેવા દીધી છે.)

વાચન અને ફિલ્મસંગીતમાં રસ પડવાનું શરૂ થયા પછી મારામાં ખાસ્સો બદલાવ આવ્યો. ફિલ્મસંગીત વિશે ત્યારે ઉપલબ્ધ ટાંચાં સંસાધનો અને આર્થિક મર્યાદાઓ વચ્ચે અમે શોખ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. તેમાંથી નાના પાયે દસ્તાવેજીકરણ શરૂ થયું. રેડિયો પર જૂનાં ગીત સાંભળતી વખતે, જે ગીત ગમે અને અજાણ્યાં લાગે તેની પહેલી લીટી અને બીજી જે કંઈ વિગત સંભળાઈ હોય, તે અમે એક ચબરખીમાં નોંધી લઈએ. એમ કરતાં ઘણી ચબરખીઓ થાય ત્યાર પછી તેમાંથી સંગીતકાર કે ગાયક પ્રમાણે એક કાગળમાં યાદી બનાવીએ. શા માટે? એક આશય એવો કે ભવિષ્યમાં એ ગીતો મેળવવાનાં છે એવી ખબર પડે. એ વખતે ગુગલ નહીં. ફિલ્મી સાહિત્ય નહીંવત્. એટલે આવી યાદીઓ બનાવવાનો ભારે મહિમા હતો. અમારાથી બમણી-ત્રણ ગણી ઉંમરના લોકો પણ મુકેશની ને કિશોરકુમારની ને રફીની ને શંકર-જયકિશનની ને એવી યાદીઓ બનાવતા. બીજો આશય ફક્ત જાણકારીનો. ત્રણ દાયકા પછી પણ, રેડિયો સિલોનની યુટ્યુબ ચેનલ પર ક્યારેક કોઈ ગીતના શબ્દો કાને પડે, ત્યારે અચાનક બત્તી થાય છે, ‘ઓહ, આ તો ચબરખીમાં લખેલું તે.’

ગરમીની રાત્રે બીરેન અને હું પતરાંની અગાસીમાં સૂતા હોઈએ, સાથે રેડિયો હોય. અંધારામાં કાગળ-પેનથી લખતાં ફાવે નહીં. એટલે ચોક સાથે રાખીએ અને કોઈ ગીતની વિગત લખવા જેવી લાગે તો ભીંત પર લખી દઈએ. સવારે ઉઠ્યા પછી તે ચબરખીમાં નોંધી લેવાની. એક વાર તો રાત્રે ભીંત પર એક ગીતના શબ્દો લખ્યા હતા ને અડધી રાત્રે વરસાદ પડતાં ગાદલાં વાળીને અંદર દોડવું પડ્યું. તેમાં ભીંત પર લખેલા ગીતના શબ્દો ભૂંસાઈ ગયા. એ વાત વર્ષો પછી ‘ગુજરાત સમાચાર’ની નીચે કીટલી પર લલિત લાડ સાથે અનાયાસે નીકળી. ત્યારે તે વિભાવરી વર્મા નામે રવિવારની પૂર્તિમાં નવલકથા લખતા હતા અને કદાચ તેમાં આર.જે.ની સ્ટોરી હતી. લખેલું ગીત વરસાદથી ધોવાઈ ગયાની વાતમાં તેમને એટલો રસ પડ્યો કે મને કહીને નવલકથામાં તેમણે એ વાતનો ઉપયોગ કર્યો હતો.

ચાહક-વાચક તરીકે રજનીકુમાર પંડ્યાના સંપર્કમાં આવ્યા પછી તેમની પાસેથી બીજી ઘણી બાબતો ઉપરાંત દસ્તાવેજીકરણ અને ચોક્સાઈના વધુ પાઠ જોઈને શીખવા મળ્યા. તેમને રૂબરૂ મળ્યા પણ ન હતા, ત્યારે એસ.ડી. બર્મન વિશેના અમારા એક પત્રના જવાબમાં તેમણે એસ.ડી.બર્મનનું સંગીત ધરાવતી ફિલ્મોની આખી ફિલ્મોગ્રાફી (ફિલ્મવાર ગીતોની સૂચિ)ની ઝેરોક્સ અમને મોકલી આપી. ત્યારે અમને જાણ થઈ કે હાથે બનાવેલાં લિસ્ટ ઉપરાંત સુવ્યવસ્થિત ફિલ્મોગ્રાફી જેવું પણ હોય છે. રજનીભાઈ પાસેથી જ અમને હરમંદિરસિંઘ ‘હમરાઝે’ સંપાદિત કરેલા ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ વિશે માહિતી મળી. ૧૯૩૧થી ૧૯૮૦ સુધી પાંચ દાયકાના પાંચ ખંડમાં આશ્ચર્યચકિત થઈ જવાય એવું તે દસ્તાવેજીકરણ હતું. તેનો એક નમૂનો અહીં આપું છું. (ફોટો એન્લાર્જ કરીને ઝીણવટથી જોશો તો વધુ ખ્યાલ આવશે.)

ગીતકોશ જોયા પછી ચબરખીઓ બનાવવાની જરૂર ન રહી. ‘હમરાઝ’ છેક ૧૯૭૧થી ‘લિસ્નર્સ બુલેટિન’ નામે એક ત્રૈમાસિક કાઢતા હતા. તેનું અમે લવાજમ ભર્યું. એટલું જ નહીં, ચારસો-સાડા ચારસો રૂપિયા જેટલી, ત્યારે માતબર લાગતી રકમ ખર્ચવાનું નક્કી કરીને તેના બધા જૂના અંક મંગાવી લીધા. અંક તો આવી ગયા, પણ તેમાં ક્યાં શું છે તે શોધવાની બહુ તકલીફ પડતી હતી. એટલે મેં ખપ પૂરતું શું ક્યાં છે તેની યાદી બનાવવાનું શરૂ કર્યું. હું જે કરતો હતો તેને સૂચિ કહેવાય, એ પણ મને ખબર ન હતી. (વર્ષો પછી ‘હમરાઝે’ પોતે ‘લિસ્નર્સ બુલેટિન’ની સંપૂર્ણ સામગ્રીની છાપેલી સૂચિ તૈયાર કરી, ત્યારે અમે તેમને અમારી આદિસૂચિ વિશે વાત કરી હતી.)

રજનીભાઈ પાસે જૂનું ઘણું સચવાયેલું જોવા મળે. તેમાંથી જરૂર પડ્યે બધું મળે જ એવું જરૂરી નહીં. તે હંમેશાં ઉમાશંકર જોશીને ટાંકીને કહે, ‘અહીંથી કશું ખોવાતું નથી ને અહીં કશું જડતું નથી.’ તેમને ત્યાં કામ કરતા હરગોવિંદભાઈ માટે તેમણે એક જોડકણું બનાવ્યું હતું, ‘કરે શું જગતનો નાથ, ફરે જ્યાં હરગોવિંદનો હાથ’. છતાં, હરગોવિંદભાઈના કારણે ઘણું મળી આવતું હતું. રજનીભાઈની પોતાની સાચવણ અને તેમાં નવી ટૅક્નોલોજિનો ઉપયોગ કરવાની તત્પરતા ઘણી. એટલે ડિજિટલ ડાયરી અને રેકોર્ડરવાળા ફોન જેવી સામગ્રી અને દસ્તાવેજીકરણ માટે ટૅક્નોલોજિના ઉપયોગો તેમની પાસે જોયા-જાણ્યા.

લેખન-વાચન-સંગીતની બાબતમાં મારું સંપૂર્ણ ઘડતર બીરેનની સાથે થયું. બીરેન વડોદરા રહેવા ગયો ત્યારે એ ભાગ પૂરો થઈ ચૂક્યો હતો. ત્યાર પછી અમારી વચ્ચેનો સતત સંવાદ અને આદાનપ્રદાન ચાલુ રહ્યાં. પણ મહેમદાવાદનું ઘર મોટું હોવાથી પુસ્તકો, કેસેટ, રેકોર્ડ વગેરે બધું ત્યાં રહ્યું. મારા પત્રકારત્વમાં પ્રવેશ પછી, મારે એની જરૂર વધારે પડશે, એવી સમજથી પણ અમારો સહિયારો ખજાનો મહેમદાવાદમાં રહ્યો. બીરેન નોકરી કરતો હતો ત્યારે ઘરે હોવાને કારણે તેની જાળવણીનું કામ પહેલેથી મારું જ હતું.

હું બીએસ.સી.માં ભણતો હતો ત્યારે બીરેને ‘ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’નું લવાજમ ભર્યું. ત્યાર પહેલાં ઘરમાં અંગ્રેજી છાપું સુદ્ધાં કદી આવતું ન હતું. ગુજરાતી છાપું પણ ખાસ્સો સમય બંધ રહ્યું હતું અને એક પાડોશીને ત્યાંથી વાંચવા લાવવું પડતું હતું. ‘વિકલી’ આવ્યું અને અમારી નવી ઘડાતી સમજમાં મૂલ્યવાન ઉમેરા લાવ્યું. ફોટોગ્રાફી, કળા અને કાર્ટૂનની અમારી જે કંઈ સમજ ખીલી, તેમાં પ્રીતિશ નાંદીના તંત્રીપદ હેઠળના ‘વિકલી’નો બહુ મોટો ફાળો છે. ‘વિકલી’માંથી રસ પડે એવા વિષયનાં પાનાં અમે ફાડી લેતા અને તેની ફાઇલ કે દેશી રીતે ગુંદરથી ચોંટાડીને બાઇન્ડિંગ તૈયાર કરતા. મારિયો મિરાન્ડા અને હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનાં અમે અમારી દેશી રીતે બાઇન્ડિંગ તૈયાર કર્યાં હતાં, જેથી સાચવવામાં અને ઉપયોગ કરવામાં સુવિધા રહે. શરૂઆતની મુલાકાતોમાં એક વાર એ બાઇન્ડિંગ અમે મોરપરિયાને બતાવ્યું, ત્યારે તે પણ ચકિત થઈ ગયા હતા. ત્યારે તે રેડિયોલોજિસ્ટ તરીકે ચોપાટી પર એન.એમ. મેડિકલમાં બેસતા હતા. ત્યાં કામ કરતા એક ભાઈને તેમણે ઉત્સાહથી અમારું બાઇન્ડિંગ બતાવતાં કહ્યું હતું, ‘આ લોકોએ મારા કાર્ટૂનનાં કમ્પાઇલેશન કર્યું છે.’
હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનું અમે તૈયાર કરેલું સંકલન અને તેની પર મોરપરિયાએ તેમના કૅરિકેચર સાથે કરી આપેલા હસ્તાક્ષર, ૧૯૯૨
મોરપરિયાની જેમ 'વિકલી'માંથી જ તૈયાર કરેલું મારિઓ મિરાન્ડાનાં કાર્ટૂનનું સંકલન
સૌથી પહેલાં ક્રિકેટમાં ઘણો રસ હતો. ત્યારે છાપાંમાંથી ક્રિકેટને લગતા સમાચારનાં કટિંગ કરીને એક ફાઇલમાં રાખતા. ‘દૂરદર્શન’ પર ‘બૉડીલાઇન’ સિરીઝ શરૂ થઈ ત્યારે ‘ગુજરાત સમાચાર’માં બૉડીલાઇનની ટેસ્ટ સિરીઝ વિશે લેખમાળા આવી હતી. તેનાં પણ કટિંગ રાખ્યાં હતું. તેમાં લેખકનું નામ છેલ્લા ભાગમાં આવ્યું હોવાથી તે મનમાં નોંધાયું ન હતું. પણ પછી નગેન્દ્રભાઈ સાથે કામ કરતી વખતે જાણ થઈ કે એ લેખમાળા તેમણે લખી હતી.  ‘આવું બધું રાખીને શું કરવાનું?’ એવો સવાલ કોઈએ કર્યો ન હતો અને અમને થયો ન હતો. મઝા આવતી હતી. કંઈક સાર્થકતા લાગતી હતી. એટલું પૂરતું હતું. કટિંગ ભેગાં કરવાનુ્ં વાતાવરણ ઘરમાં ન હતું. એ અમારાથી શરૂ થયું
નગેન્દ્ર વિજયે ગુજરાત સમાચારમાં લખેલી ત્રણ ભાગની શ્રેણીનો પહેલો ભાગ
જુદી જુદી ક્રિકેટ ટીમના ક્રિકેટરોની જન્મતારીખની બીરેને તૈયાર કરેલી યાદી. તેમાં પાછળથી મેં કેટલાક ઉમેરા કર્યા હતા. આ પાનાંની પાછળ વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનના ક્રિકેટરોની જન્મતારીખો લખેલી છે.
વાંચવાનું શરૂ થયા પછી અમારું પત્રલેખન શરૂ થયું. ગમતા અને નહીં ગમતા કટારલેખકો સાથે પત્રવ્યવહાર થયો. બીરેન આઇ.પી.સી.એલ.માં કામ કરે અને વડોદરાથી મહેમદાવાદ આવ-જા કરે. એટલે ઘણી વાર પત્રોનો ખરડો હું લખી રાખું. પછી અમે બંને મળીને તેને ફાઇનલ કરીએ અને અમારાં સંયુક્ત નામથી પત્ર જાય. એવા પત્રોના ખરડા પણ ફાડીને ફેંકી દેવાને બદલે અમે તે એક ફાઇલમાં રાખતા હતા. (ફાઇલ એટલે કાણાં પાડીને ફાઇલ કરવાનાં એમ નહીં, પણ તેમાં છૂટા કાગળ સ્વરૂપે રહેવા દેવાના.) એ ફાઇલ હજુ છે. એવી જ રીતે, ઘરે આવતા મિત્રોના પત્રો પણ સાચવીને રાખવાનું શરૂ કર્યું. આશય એટલો જ કે ભવિષ્યમાં ક્યારેક વાંચવાની મઝા આવે. બિનીત મોદીના અને હરીશભાઈ રઘુવંશીના ત્રણેક દાયકા પહેલાંના પત્રોનો મોટો જથ્થો અને બીજા ઘણા પત્રો હજુ સચવાયેલા છે. નવા બનેલા મિત્રોમાં ટૅક્નોલોજિને કારણે પત્રલેખન લગભગ બંધ થયું. છતાં નિશા કે આરતી જેવાં મિત્રોએ ચહીને પત્ર લખ્યો હોય અથવા ક્યાંકથી કાર્ડ મોકલ્યું હોય તો તે પણ આ ખાનામાં જમા છે.
પત્રકારત્વમાં આવ્યા પછી સાચવણીની સામગ્રીનો વ્યાપ વધ્યો. ઘર જૂનું અને મોટું હતું. એટલે જગ્યાની અનુકૂળતા પણ હતી. બરાબર યાદ છે, ‘અભિયાન’ના ગાળામાં કે તે છોડ્યા પછી તરતના અરસામાં એક વાર દીપક (સોલિયા) અને હેતલ (દેસાઈ) મહેમદાવાદના ઘરે આવ્યાં હતાં. ઘરના ઉપરના માળે જૂના દાદર પર ‘અભિયાન’ના અંકોની થપ્પી પડેલી હતી. તે જોઈને દીપકે હસતાં હસતાં પૂછ્યું, ‘ક્રમમાં ગોઠવેલાં તો નહીં જ હોય ને?’ મેં કહ્યું, ‘બિલકુલ ક્રમમાં જ છે. એમાં મેં કશું કર્યું નથી. હું તો નવો અંક આવે એટલે તેને જૂના અંકની ઉપર મૂકતો હતો, બસ.’ તેમાં એક ઉમેરો એટલો કે વચ્ચેથી કોઈ અંક લીધો હોય અને તે પાછો મૂકવાનો થાય, ત્યારે તેની જગ્યાએ જ મૂકવાની પદ્ધતિ રાખી હતી.
 
પત્રકારત્વમાં આવ્યા પછી શરૂઆતમાં ફક્ત જૂનાં ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’નાં કટિંગ હતાં. વિષયોની પણ કમી રહેતી. રસના વિષય મર્યાદિત હતા. પરંતુ ‘સીટીલાઇફ’માં નગેન્દ્રભાઈ સાથે કામ કર્યા પછી વિષયો સૂઝવા લાગ્યા. અનેક બાબતોમાં, કમ સે કમ લખવા પૂરતો, રસ પડતો થયો. તે વખતે મેં જોયું કે નગેન્દ્રભાઈ પાસે તેમનાં અને તેમના પિતા વિજયગુપ્ત મૌર્યના સમયનાં કટિંગનો મોટો ખજાનો હતો. ત્યારે પણ મને એટલું સમજાતું હતું કે કટિંગ તો કાંતિ ભટ્ટ પાસે પણ હતાં ને નગેન્દ્ર વિજય પાસે પણ. ફક્ત કટિંગથી ઉત્તમ પત્રકારત્વ ન થઈ શકે. માહિતી અને વિગતો બેશક જોઈએ. પણ ઘણું મહત્ત્વ તેને સમજવાની, સરળતાથી સમજાવવાની અને સારી રીતે લખી શકવાની આવડતનું હોય છે, જે નગેન્દ્રભાઈની હતી. એટલે તેમની નકલ ખાતર કે અંજાઈને નહીં, પણ એક પદ્ધતિ તરીકે-અભિગમ તરીકે મને થયું કે મારે મુખ્યત્વે લેખો લખવાના હોય (રિપોર્ટિંગ કરવાનું ન હોય) તો મારી પાસે કટિંગ હોવાં જોઈએ.

એ અરસામાં, ‘સંદેશ’ની બીજી ઇનિંગ વખતે, મારી પાસે દેશનાં સાત સારાં અંગ્રેજી પેપર આવતાં હતાં. ઉપરાંત, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ઘરે આવતાં. તેમાંથી મેં કટિંગ રાખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે જથ્થો વધતો ગયો, તેમ હું વિષયવાર કાગળની કોથળીઓમાં કટિંગ મુકતો ગયો. એક તબક્કો એવો આવ્યો કે મારી પાસે આશરે સવાસોથી દોઢસો વિષયનાં કટિંગ હતાં. તેમાં આઇ.ટી.ને લગતી જ પંદર-વીસ કોથળીઓ હશે. જેમ કે, સર્ચ એન્જિન, સર્વિસ પ્રોવાઇડર, ઇ-કોમર્સ, વાયટુકે, ડૉટ કૉમ બબલ, અવનવી વેબસાઇટો, ‘હિંદુ’માં આવતી ‘નેટસ્પીક’ કોલમ… ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’માં એ વખતે ICE નામની પૂર્તિ આવતી હતીઃઇન્ટરનેટ, કમ્યુનિકેશન, એન્ટરટેઇનમેન્ટ. તે આખેઆખી પૂર્તિઓ હું રાખી મૂકતો હતો. છાપાંમાં સમાચારની આસપાસ હું લીટીઓ દોરી દેતો. મમ્મી કે સોનલ તે કાપીને તેની પર તારીખ લખીને પ્લાસ્ટિકની એક કોથળીમાં મુકી દેતાં. એવો મોટો જથ્થો ભેગો થાય, બે-ત્રણ કોથળીઓ ભેગી થાય, એટલે એક દિવસ સવારથી હું કટિંગ ગોઠવણીનું મહાઅભિયાન આદરતો. તેના વિશે પત્રકારત્વની સફરમાં લખ્યું છે. એટલે પુનરાવર્તન કરતો નથી.

સમાચારો ઉપરાંત છાપાંની ઑફિસમાં અને જીવનમાં પણ બનતી ઘણી બધી ઘટનાઓનો રેકોર્ડ રાખવાની મને ટેવ હતી. તેનો સીધો ઉપયોગ કરવાનો કશો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયામાં રસ પડે અને પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ આપણે ત્યાં મોટે ભાગે ન હોય. એટલા માટે પણ હું પ્રક્રિયા સાથે સંકળાયેલી, મામુલી લાગતી ચીજો જાળવી રાખવા પ્રયાસ કરું. કોઈ વ્યક્તિ, સંસ્થા કે ક્ષેત્રની લાક્ષણિકતા વ્યક્ત કરતું કંઈ હાથમાં આવે અને મને તે રાખવા જેવું લાગે, તો તે પણ રાખી મુકું. તેની મહાનતાનો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયાની યાદગીરીનો આશય હોય.

તે અભિગમને કારણે ‘સીટીલાઇફ’ના અંકો કાઢતી વખતે ડાયરીમાં બનાવેલાં શીડ્યુલ કે ‘આરપાર’ના વિશેષાંકોના વિચાર વખતે કરેલી રાઇટિંગ પૅડમાં કરેલી કાચી નોંધો સચવાઈ રહ્યાં છે. એવું જ કેટલીક ચિઠ્ઠી-ચબરખીઓ વિશે. અમુક રસપ્રદ ચિઠ્ઠી-ચબરખીઓને જાળવી રાખવા જેવી લાગે, એટલે તેમને રાખી લઉં. તેમને અમુક સમયગાળાના ફોલ્ડરમાં મુકી દઉં. જેમ કે, અભિયાન, સીટીલાઇફ, સંદેશ એવા સમયગાળાનાં એક કે વધુ ફોલ્ડર હોય. ‘અભિયાન’માં થોડો સમય રિપોર્ટિંગ કરેલું તે વખતની નોટો પણ છે. ડાયરી, પૅડ, નોટો બધું જાળવી રાખ્યું હોય અને ચોક્કસ ઠેકાણે તેનો થપ્પો મૂક્યો હોય. જરૂર પડે ત્યારે એ થપ્પામાંથી થોડું ફેંદતાં મોટે ભાગે મળી આવે. ૨૦૦૫ પછી ઑફિસોમાં અંતરંગ રીતે કામ કરવાનું બંધ કર્યું. એટલે ત્યાર પછીની એવી ચીજો ખાસ નથી.
પાંચેક વર્ષની રોજનીશીઓ અને પત્રકારત્વમાં અંદરથી કામ કરતો હતો ત્યારની નોટો-પેડ અને બીજી સામગ્રી
રોજિંદી ડાયરી લખવાનું શરૂ કર્યું, તે પણ દસ્તાવેજીકરણ માટે બહુ ઉપયોગી બન્યું. તે ટેવ વાચનના અને પત્રલેખનના પ્રેમની સાથે આવી હતી. તે સમયે ઘણા લોકો ડાયરી રાખતા હશે. એટલે તેમાં કશી મૌલિકતા ન હતી. પણ લખવાની વૃત્તિને લીધે હું વિગતવાર લખતો હતો. ૧૯૯૧માં ગુજરાત રિફાઇનરીના એપ્રેન્ટિસ તરીકે તાલીમ લેવા માટે છ મહિના મુંબઈ રહ્યો હતો, ત્યારે અમે થોડા મિત્રો બે દિવસ માટે માથેરાન ગયા હતા. તે પ્રવાસની ઘણી વિગતો નોંધાયેલી છે. એક વાર અમે એલિફન્ટા ગયા હતા. તે પ્રવાસની ટિકિટ પણ યાદગીરી માટે ડાયરીના પાછળના ફોલ્ડમાં રહેવા દીધી હતી.

પત્રકારત્વમાં આવ્યા પછી પ્રિય લોકોને વારંવાર મળતો હતો, પત્રકારત્વમાં અને જીવનમાં ઘણું બનતું હતું. તે થોડુંઘણું ડાયરીમા નોંધાયું. તેમાંથી ઘણુંખરું પ્રગટ પણ નહીં થાય. છતાં, મારા માટે તે જૂના પત્રો જેવું જ, રોમાંચપ્રેરક અને ટાઇમટ્રાવેલ કરાવનારું છે.

સાચવણ-દસ્તાવેજીકરણ પાછળ રહેલો વધુ એક અભિગમ એ કે વ્યક્તિની મહત્તા સમજવા માટે હું તેમના મૃત્યુ સુધી રાહ જોતો ન હતો. ચાલુ વર્તમાનકાળમાં મને જે મહત્તાપૂર્ણ કે ગુરુજન કે ગાઢ મિત્ર પણ લાગે, તેમની સહજતાથી મળતી ચીજોમાંથી કેટલીક હું સાચવવાની કોશિશ કરું. રજનીકુમાર પંડ્યાનું વ્યક્તિત્વ ઉજાગર કરતી કોઈ ચિઠ્ઠી, ‘સીટીલાઇફ’માં જાહેરખબર મેળવવા માટે નગેન્દ્ર વિજયે અંગ્રેજીમાં તૈયાર કરેલું લખાણ કે તેમણે લખીને ચેકો મારેલું કોઈ ગુજરાતી લખાણ, ‘અભિયાન’ જૂથના બપોરના અખબાર ‘સમાંતર’માં હસમુખ ગાંધીએ લખેલો અને પછી વધુ પડતો અંગત પ્રહારાત્મક હોવાથી રદ કરાયેલો તંત્રીલેખ… આવું ઘણું મને મળે તો હું તે સાચવી રાખું.

આઇ.પી.સી.એલ.માં બીરેનના પહેલા પગારમાંથી છ પુસ્તકો અને પછી બે ઑડિયો કૅસેટ ખરીદી, તે પુસ્તક અને સંગીતના સંગ્રહની શરૂઆત. પહેલેથી નક્કી હતું કે સંગ્રહ ખાતર સંગ્રહ કે ‘અમારી પાસે આટલા હજાર પુસ્તકો છે કે તેટલા હજાર ગીતો છે’—એવા ફાંકા મારવા માટે કશું કરવાનું નથી. સંગ્રહના આંકડા ફેંકનારા પ્રત્યે મને હંમેશાં અભાવ રહ્યો. ધીમે ધીમે અમારી પાસેનાં પુસ્તકો વધતાં ગયાં, તેમ કબાટ ઉમેરાતાં રહ્યાં. એવું જ ઑડિયો કેસેટ, એલ.પી. અને સીડીનું. મોટા ભાગનું વીણીચૂંટીને ખરીદેલું. ઘણું સેકન્ડ હેન્ડમાંથી. કોઈની પાસેથી મળ્યું, તેમાં પણ બને ત્યાં સુધી પસંદગી જાળવી. એટલે સાવ નકામું હોય એવું તો બહુ ઓછું. કેટલોક કચરો કચરાના નમૂના તરીકે રાખેલો ખરો.

બધાં પુસ્તકોનું વિષય પ્રમાણે અને લૉજિક પ્રમાણે જાડું વિભાગીકરણ કર્યું હતું. કેસેટોમાં સંગીતકારો પ્રમાણે, ગાયકો પ્રમાણે. ફિલ્મોમાં પણ એક સંગીતકારની ફિલ્મોની કેસેટ-રેકોર્ડ એક સાથે હોય એવી પદ્ધતિ રાખી. એટલે મોટો જથ્થો થયા પછી પણ, જોઈતી વસ્તુ મોટે ભાગે મળી રહે. વસ્તુ સાચવવી તે એક વાત છે અને જોઈએ ત્યારે મળે તે બીજી. તેના માટેની મુખ્ય ચાવી એ જ હોય છે કે તેને મૂળ જગ્યાએ પાછી મૂકવામાં આળસ ન કરવી. થોડી તસ્દી લઈને તેને જ્યાંથી લીધી ત્યાં જ મુકીએ તો, બીજી વાર તે તેની જગ્યાએથી જ નીકળે. તેમાં કશું સંશોધન નથી. બધા જાણે જ છે. સવાલ આળસને કામચલાઉ ધોરણે કોરાણે મુકવાનો હોય છે.

વધુ પુસ્તકો થયા પછી, કબાટનાં ખાનાં પ્રમાણે પુસ્તકોની સૂચિ કરવાની રીત વધારે વૈજ્ઞાનિક હોય છે. તેના થકી, કમ્પ્યુટરની યાદીમાં પુસ્તકનું નામ જોઈને, એ પુસ્તક કયા કબાટના કયા ખાનામાં હશે, તે શોધી શકાય. પણ હું પહેલેથી ‘ઑર્ગેનિક’ રીતમાં ગયો. એટલે ચોક્કસ પ્રકાર, લેખકો અને તર્ક પ્રમાણે પુસ્તકો ગોઠવાતાં ગયાં. ત્યાર પછી વૈજ્ઞાનિક રીત અપનાવવાનું ન થયું. થોડાં વર્ષ પહેલાં એક વાર રતિલાલ બોરીસાગરના ઘરે ગયો, ત્યારે તેમણે કબાટોમાં ગોઠવેલાં પુસ્તક દેખાયાં. બધાં પુસ્તક પર તેમણે ખાખી પૂઠાં ચડાવ્યાં હતાં અને પુસ્તકની પીઠ પર નામ લખેલાં હતાં. ગોઠવણની રીતે એ બહુ વ્યવસ્થિત લાગતું હતું. છતાં, મેં બોરીસાગરસાહેબ સાથે શિષ્યભાવે એવો ધોખો કર્યો હતો કે પુસ્તકનાં ટાઇટલ ઢાંકીને તેમને વ્યવસ્થિત રાખવાનો શો અર્થ? પુસ્તકના દેખાવનો પણ એક અહેસાસ હોય છે. ઘણી વાર કોઈ પુસ્તક કે કોઈ ચીજવસ્તુ શોધવાની થાય ત્યારે સૌથી પહેલાં મનમાં તેનો દેખાવ આવે છે—ઘણી વાર તો તેની સંભવિત જગ્યા સહિત.

ક્યારેક એવું પણ થાય કે પુસ્તક કે કટિંગ મનમાં દેખાતું હોય, પણ બહાર મળે નહીં. તે વખતે બહુ અકળામણ થાય. જૂનું ઘર ઉતાર્યું અને એ જ જગ્યાએ નવું ઘર થયું, તેની હેરફેરમાં કેટલીક ચીજો ગઈ તે ગઈ. પ્લાસ્ટિકની પારદર્શક સફેદ કોથળીમાં પૅક કરેલું માચિસની જૂની છાપોનું બંડલ, નાનપણમાં જેનાથી રમતા હતા તે ફિલ્મના ફોટા, નાની પટ્ટીઓ, છેક માથા સુધી લખોટીઓથી ભરેલો ‘નાયસિલ’નો વાદળી રંગનો ભૂરા ઢાંકણાવાળો ઊભો ડબ્બો, તેની અંદર રહેલી રંગબેરંગી લખોટીઓ, જેને અમે ‘કંચા’ કહેતા હતા… આ બધું મનમાં દેખાય છે, પણ ઘરમાં મોજૂદ નથી.

કૌટુંબિક પરંપરા સાચવણીની હતી. બીરેને અને મેં તેમાં દસ્તાવેજીકરણનું પડ ઉમેર્યું. તે પ્રક્રિયા પ્રકૃતિ બની હોવાથી હજુ ચાલુ જ છે અને ચાલુ રહેશે. આ કામમાં રોમેન્ટિક કશું નથી. તે વૃત્તિ ઉપરાંત મહેનત અને સમય માગે છે. તે કરવામાં કે ન કરવામાં કશી ધાડ મારવાની નથી. એટલે કે, કરનારા કશી કમાલ નથી કરતાં અને ન કરનાર કશો ગુનો નથી કરતાં. એવી જ રીતે, આ કરનારા બધા નવરા નથી થઈ જતા અને ન કરનાર ક્રિએટીવ નથી થઈ જતા. આ કામ કરવામાં રસ, પ્રાથમિકતા, કરનારના મનમાં વસેલી તેની મહત્તા, પરિપ્રેક્ષ્ય, ચોક્કસ દૃષ્ટિ, તેનો યોગ્ય ઉપયોગ...આ બધાં પરિબળો બહુ અગત્યનાં છે. તે સિવાયનો નકરો સંગ્રહ બીજા કોઈ પણ સંગ્રહ જેવો, અહમ્ પુષ્ટ કરનારો પણ સરવાળે નિરર્થક ઢગલો બની રહે. પરંતુ આગળ જણાવેલી રીતે સંગ્રહ કર્યો હોય તો તેમાંથી આનંદ મેળવવા માટે કોઈનાં વખાણની કે કોઈની પીઠથાબડની જરૂર નથી પડતી. પુસ્તકોના આંકડા કે ફિલ્મોની સંખ્યા કે કેસેટ-સીડી-ડીવીડીનો જથ્થો ફેંકવાની પણ જરૂર નથી પડતી. તે ચીજો પોતે જ આનંદ અને રોમાંચ આપવા સક્ષમ છે. 

સંદેશાવ્યવહારનાં અને કામકાજનાં માધ્યમો ડિજિટલ થયા પછી પુસ્તકો સિવાય બીજી ચીજો ઉમેરાવાનું પ્રમાણ ઘટ્યું છે. દસ્તાવેજીકરણ ડિજિટલ સ્વરૂપે ચાલુ જ છે, પણ હાથથી સ્પર્શી શકાય એવી ચીજોનો અહેસાસ જુદો હોય છે. આ લેખ હાથેથી લખ્યો હોત તો તેના એકાદ-બે ડ્રાફ્ટ થયા હોત અને કાગળ પર પડેલા હસ્તાક્ષરની પણ એક મઝા હોત. વીસ વર્ષ પછી તે જોવાનો રોમાંચ હોત. હસ્તાક્ષરની મઝા ચાલુ રહે તે માટે ક્યારેક ડાયરી લખું છું, જેથી ક્યારેક વીસ વર્ષ પહેલાંની ડાયરી જોતાં નીપજે છે, એવો રોમાંચ ભવિષ્યમાં પણ મળી શકે. 

Wednesday, July 14, 2021

વડાપ્રધાનથી જૂઠું બોલાય?

કેટલીક બાબતોમાં વર્તમાન વડાપ્રધાન પર તમને ગમે તેટલો ભરોસો હોય, તો પણ સવાલ વાંચીને દુભાઈ ન જશો. આ તાત્ત્વિક સવાલ છે. આ સવાલ એવો પણ હોઈ શકત કે વડાપ્રધાનથી સાચું બોલાય? ગુજરાતીના ચિંતનલેખો વાંચનારા જાણે છે કે સત્ય-અસત્ય, સચ્ચાઈ-જૂઠાણું આ બધી તાત્ત્વિક બાબતો છે. તેના ઉકેલ માટે લાંબી માથાકૂટ કરવી પડે. પણ લેખકોના સારા અને (સારા વાચકોના ખરાબ) નસીબે, સત્ય-અસત્ય વિશે લખવા માટે તેનો અભ્યાસ કરવાની જરૂર હોતી નથી. યથાયોગ્ય અભ્યાસ કરીને લખવામાં આવતો લેખ માહિતીલેખનો ઉતરતો દરજ્જો પામે છે. ગોળગોળ વાતો કરીને, કાંગારૂની જેમ અહીંતહીં વિષયાંતરના ઠેકડા મારતો લેખ જ છેવટે ગુજરાતી ચિંતનલેખની ઊંચાઈએ પહોંચી શકે છે.

તો ચિંતનીય સવાલ એ છે કે વડાપ્રધાનથી જૂઠું બોલાય કે નહીં? તમામ રાજનેતાઓ પર જૂઠું બોલવાના આરોપ થતા રહે છે. નકટા લેખકોની જેમ એવા જ નેતાઓ તેમની સાચી ટીકાને તેમની લોકપ્રિયતાના પુરાવા તરીકે ખપાવવા પ્રયત્નશીલ રહે છે. એટલે તેમની પર જૂઠું બોલવાનો આરોપ મુકાય ત્યારે તે કહી શકે છે કે ‘જુઓ, સત્યાસત્ય તો દર્શનશાસ્ત્રનો વિષય છે અને હું શાસક છું. હું દર્શનશાસ્ત્રમાં ઊંડો ઉતરવા રહું, તો મારા મુખ્ય શસ્ત્ર એવા પ્રદર્શનશાસ્ત્રનું શું થાય?’

આમ, રાજનેતાઓ પાસે જૂઠું બોલવાનું નક્કર કારણ મોજૂદ છે. પરંતુ ઘણા શાસકો પર, જેમ કે વર્તમાન વડાપ્રધાન પર, પારાવાર જૂઠું બોલવાના આરોપ લાગે છે. પારાવારના પ્રવાસી હોવું એ કવિતામાં સારી બાબત છે, પણ જૂઠું બોલવાના સંદર્ભે તે મુશ્કેલી પ્રેરી શકે છે. લોકોને થાય છે કે ‘વડાપ્રધાન થઈને તમે ઠંડા કલેજે જૂઠાણાં ગબડાવો તો અમારે ભરોસો ક્યાં રાખવો?’ આજકાલ કહેતાં ભારતમાં લોકશાહીને ૭૪ વર્ષ પૂરાં થશે. એટલા સમયમાં ઘણા ‘વી ધ પીપલ ઑફ ઇન્ડિયા’ સમજી ચૂક્યા છે કે રાજનેતા બિચારા જૂઠાણું ન બોલે તો રાજ શી રીતે કરે? આવા ઉદારચરિત નાગરિકોની અપેક્ષા એટલી હોય છે કે ‘તમે જૂઠું બોલવામાં થોડું ધારાધોરણ રાખો. સાવ અમારી સામાન્ય બુદ્ધિનું અપમાન થાય એવાં જૂઠાણાં ન બોલો. નદીમાં જેમ ભયજનક સપાટીના આંકા પાડેલા હોય છે, એવી રીતે તમે જૂઠાણાંમાં કમ સે કમ ભયજનક સપાટી જેવું કંઈક તો રાખો.’ આ સંદર્ભે વર્તમાન વડાપ્રધાન સામે કેટલાક લોકોની એવી ફરિયાદ છે કે તે ગમે ત્યારે, મન થાય ત્યારે,  ભયજનક સપાટીને ભયજનક સરળતાથી પાર કરી નાખે છે.

આ તો આરોપ છે. સત્ય વિશેના દાર્શનિક ચિંતનની આ જ મઝા છે. તેમાં કયો આરોપ છે ને કઈ સચ્ચાઈ તે ચર્ચા અનંત રીતે ચલાવી શકાય છે. જૂઠામાં જૂઠો માણસ કોઠાકબાડા કરીને  નિર્દોષ સાબીત થયા પછી ‘છેવટે સત્યનો જ વિજય થાય છે’ એવું કહી શકે છે—ટીવી કેમેરા સામે આવું કહેતી વખતે તે હસે, ત્યારે તેના હાસ્યના એકેએક બિંદુમાંથી જૂઠાણું ટપકતું દેખાય તો પણ.

આરોપ ગમે તે હોય--અને તે પુરવાર પણ થઈ જાય તો પણ—‘સત્યનો વિજય થશે’ એવું કોઈ પણ કહી શકે છે. માટે એ દિશામાં ન જતાં, વિચારવાનું એ રહે છે કે વડાપ્રધાનથી જૂઠું બોલાય? પહેલી વાત તો એ છે કે વડાપ્રધાન પણ માણસ છે. (જેમને એ વિશે શંકા હોય તેમણે ધીરજ અને સહિષ્ણુતા રાખવી). માણસમાત્ર જૂઠું બોલવાને પાત્ર હોય છે. એક દાર્શનિક માન્યતા એવી છે (અથવા નહીં હોય તો વડાપ્રધાનના પ્રેમી લેખકો ઊભી કરી દેશે) કે ભારતના બંધારણમાં જીવન જીવવાનો જે મૂળભૂત અધિકાર છે (રાઇટ ટુ લાઇફ) તેમાં આપોઆપ જૂઠું બોલવાના અધિકાર (રાઇટ ટુ લાઇ)નો સમાવેશ થઈ જાય છે. લોકશાહીમાં વડાપ્રધાન ભલે તેમના પોતાના વિશે ગમે તે ધારતા હોય કે લોકો સાથે ગમે તેવો વ્યવહાર કરતા હોય,પણ તે રાજા નથી. તે આગેવાન નાગરિક છે અને નાગરિક તરીકે તેમને મળતો ‘રાઇટ ટુ લાઇ’ કોઈ છીનવી શકે નહીં. આવી દલીલ હજુ સુધી ભારત સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં ભલે નથી થઈ, પણ જાગ્રત નાગરિકોએ માનસિક આઘાતથી બચવા માટે આગોતરી તૈયારી રાખવી જોઈએ.

નાગરિક તરીકેનો અધિકાર સિદ્ધ થયા પછી કોઈને એવો વિચાર આવે કે ‘વડાપ્રધાનથી કેટલું જૂઠું બોલાય?’ આ સવાલ પ્રમાણમાં ઉદાર છે. તેમાં ‘બોલાય કે નહીં?’ એવો ધમકીસૂચક પ્રશ્ન નથી. ‘કેટલું બોલાય? એવો પ્રમાણસૂચક સવાલ છે. તેમાં ‘કીડીને કણ અને હાથીને મણ’વાળો ન્યાય લાગુ પાડી શકાય. દરેકને પોતપોતાના હોદ્દા પ્રમાણે બોલવાની સત્તા હોય છે. જેમ કે, ગામનો સરપંચ રાજ્યના મુખ્ય મંત્રી જેવું ન બોલી શકે. હોદ્દા પ્રમાણે બોલવાની સત્તામાં, બોલવાના પ્રકાર સ્પષ્ટ કરવામાં આવ્યા નથી. એટલે તેમાં આપોઆપ હોદ્દા પ્રમાણે જૂઠું બોલવાની સત્તાનો સમાવેશ થઈ જવો જોઈએ.

‘કેટલું જૂઠું બોલવું?’ તેમાં વળી બે પેટાસવાલ છેઃ ‘કેટલું હળહળતું?’ અને ‘કેટલી વખત?’ આ બંનેમાં પણ હોદ્દાના મોભાનો ખ્યાલ રાખીને જ નક્કી કરી શકાય કે વડાપ્રધાન ઇચ્છે એટલી વખત, ઇચ્છે એટલા વિષયોમાં, ઇચ્છે એટલી હદે જૂઠું બોલી શકે છે. આવી સમજ ખાસ્સા લોકોમાં તો ઉગી ચૂકી છે. બાકીનામાં જે દિવસે તે સમજ આવી જશે, એ દિવસે દેશમાં લોકશાહીનું પૂરેપૂરું ‘કલ્યાણ’ થઈ જશે.