Friday, March 13, 2026

ડીજેઃ બહુમાળી ઘોંઘાટ

અત્યારે આ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે. ગમે ત્યાં સ્થળ-સમય જોયા વિના ચાલુ પડી જાય છે ને લોહી પી જાય છે.—આવું વિધાન કશા સંદર્ભ વગર કરવામાં આવે તો કવિઓ અને ડાયરાવાળાથી માંડીને મંત્રીઓ સુધીના કોઈ પણ બંધબેસતી પાઘડી પહેરી શકે. એટલે સ્પષ્ટતા કરવી પડે કે હાલ પૂરતી વાત ડીજેની થાય છે.

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો/ ખળખળતી નદીયું રે સાહેલી મારા સપનામાં—એવું એક લોકગીત હતું. તેમાં સહેજ ફેર કરીને ડીજે માટે કહી શકાય, આજ રે આંગણામાં મેં તો બોલતો ડુંગર દીઠો/ધણધણતી શેરીયું રે સાહેલી મારા સપનામાં. અહીં કવિ જે ડુંગરની વાત કરવા માગે છે, તે છે રાક્ષસી સાઇઝનાં સ્પીકરનો ડુંગર. એકની ઉપર એક ગોઠવાયેલાં બહુમાળી સ્પીકરોનું કદ અને તેમની ઊંચાઈ એવાં હોય છે કે દૂરથી અને નિર્જીવ-બંધ અવસ્થામાં પણ તે ભયપ્રેરક લાગે. તે જોઈને માણસની છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થઈ જાય અને તેને ઇશારો આપે,અહીંથી બને એટલો દૂર ભાગવા માંડ. એક વાર આ શરૂ થશે તો તારી ને તારી શ્રવણેન્દ્રીયની ખેર નથી.

ગુજરાતમાં આમ પણ સાદા, મોટિવેશનલ અને એક વાર મોટિવેશનલ તરીકે પ્રખ્યાત થઈ ગયા પછી એ બિરુદ છોડવા તત્પર—એમ તમામ પ્રકારના સ્પીકરોનો ત્રાસ પૂરતો હતો. ઘણા લોકોને વિધાનગૃહોના સ્પીકરો સામે પણ ભારે ફરિયાદ હતી. એટલું ઓછું હોય તેમ, સ્પીકરોની એ યાદીમાં ડીજેનાં સ્પીકરોનો ઉમેરો થયો. મોટિવેશનલ સ્પીકરોની જેમ ડીજેનાં સ્પીકરોને પણ, તે એક વાર બોલવાનું શરૂ કરે, ત્યાર પછી શાંત કેમ પાડવાં, એ સમસ્યા હોય છે. ડીજેનાં સ્પીકર શ્રવણેન્દ્રીયને બહેરી કરીને મગજને સુન્ન કરી નાખે છે, જ્યારે બીજા પ્રકારના સ્પીકર શ્રોતાઓની સામાન્ય બુદ્ધિ પર હુમલો કરીને, તેમની હાલત ખરાબ કરી નાખે છે.

ગીતસંગીત રેલાવતાં સ્પીકરો માટે વાગ્યાં એવો શબ્દપ્રયોગ સામાન્ય છે, પણ ડીજે તરીકે વાગતાં સ્પીકરો સાંભળીને વાગ્યાં શબ્દની યથાર્થતા સ્પષ્ટ થાય છે. કારણ કે, એવી રીતે વાગતાં સ્પીકરો માથું, કાન, દિલ અને આખા શરીર પર હથોડાની જેમ વાગે છે અને આખું ચેતાતંત્ર, સ્નાયુતંત્ર અને કંકાલતંત્ર સુદ્ધાં હચમચાવી મુકે છે. પરદેશમાં આવતાં નોઇઝ કેન્સલેશનનાં મોંઘામાં મોંઘાં સાધનો પણ દેશી ડીજે આગળ નબળાં ને અપૂરતાં પુરવાર થાય છે. કેમ કે, ડીજેના અવાજને નોઇઝ ગણવો તે અમેરિકાની દાદાગીરીને અવિવેક ગણાવવા જેવી અલ્પોક્તિ (અન્ડરસ્ટેટમેન્ટ) છે. અમેરિકા પરથી યાદ આવ્યુઃ કોઈ પરદેશી જાસુસ ભૂલેચૂકે આપણે ત્યાં નીકળેલા ડીજેધારી વરઘોડાને જોઈ લે તો તેને ચોક્કસ એવી શંકા જાય કે ભારત પાસે મોટી સંખ્યામાં વેપન્સ ઓફ માસ ડીસ્ટ્રક્શન છે, એટલું જ નહીં, તે એને છુપાવવાને બદલે, સરેઆમ પોતાના જ નાગરિકો પર છૂટાં મૂકે છે.

સંગીત સામાન્ય રીતે રેલાયું એમ કહેવાય છે, પણ ડીજેમાંથી સંગીત રેલાતું નથી, એ તો છૂટ્ટું ફેંકાય છે અને સામેવાળો ઝીલવા તૈયાર છે કે નહીં તેની પરવા કર્યા વિના, તેના આખા અસ્તિત્ત્વને અદૃશ્ય રીતે ધ્રુજાવી મુકે છે. બાળપણમાં રાક્ષસની કથાઓ સાંભળતી વેળા તેમનું અસ્તિત્વ કાલ્પનિક લાગતું હતું, પણ ડીજેમાંથી નીકળતી ધણધણાટી સાંભળ્યા પછી રાક્ષસીનો ખ્યાલ સંપૂર્ણપણે વાસ્તવિક લાગે છે. એવું લાગે છે, જાણે સ્પીકરનો ખડકલો ધરાવતો ટેમ્પો કે ટ્રક ચોપગા રાક્ષસનું શરીર છે અને તેના આખા અસ્તિત્વનું જોર અવાજ દ્વારા પ્રગટ થઈને આસપાસનાં સૌને આતંકિત કરી રહ્યું છે. સમાજશાસ્ત્રના નવા નવા રવાડે ચડેલા લોકો દરેક બાબતમાં ગંભીર, સમાજશાસ્ત્રીય મુદ્દો શોધીને તેની થિયરી ઘડવાની કોશિશ કરતા હોય છે. એવા લોકો એમ પણ કહી શકે કે ડીજે એ ભારતની ધબકતી, રણકતી, ધ્રુજાવતી ને હણહણતી લોકશાહીનું પ્રતીક છે. કારણ કે, પહેલાં અંગત પ્રસંગમાં જાહેર ઘોંઘાટ કરવાનો એકાધિકાર ફક્ત પૈસાદારોનો હતો. કારણ કે, બેન્ડવાજાંનો ખર્ચ ફક્ત તેમને પોસાતો હતો. ડીજેના આગમન પછી એ અધિકારનું લોકશાહીકરણ થઈ ગયું છે અને હવે ગરીબમાં ગરીબ માણસ પણ થોડા હજાર રૂપિયા ખર્ચીને મન ફાવે ત્યાં, મન ફાવે એટલો ઘોંઘાટ ફેલાવીને લોકશાહીનો આનંદ માણી શકે છે. એ તર્ક મુજબ ડીજેના આસુરી ઘોંઘાટ સામે ફરિયાદ કરનારને લોકશાહીવિરોધી તરીકેનો ઠપકો મળે તો પણ નવાઈ નહીં.

જોકે, અદાલતનો ચુકાદો એમ કરતાં રોકે છે—ના, ડીજેને ઘોંઘાટ ફેલાવતાં નહીં, ડીજેવિરોધને લોકશાહીનો વિરોધ ગણાવતાં. સર્વોચ્ચ અદાલતે ડીજેના ઘોંઘાટ માટે માપદંડ અને સમયમર્યાદા જાહેર કરેલાં છે. પણ શેરીમાં વાગતા ડીજેને સુપ્રીમ કોર્ટ સાથે કોઈ સંબંધ હોઈ શકે અથવા દિલ્હીમાં બેઠેલી સુપ્રીમ કોર્ટને શેરી ધ્રુજાવી મુકતા ડીજે વિશે કંઈક કહેવાનું હોય, એવું કોઈની કલ્પનામાં આવતું નથી. શેરી કે સોસાયટી માટે તો સ્થાનિક પોલીસ સ્ટેશન એ જ સુપ્રીમ કોર્ટ બરાબર હોય છે. ત્યાં મોડી રાત્રે ડીજેની ફરિયાદ નોંધાવવા જતાં, રાતની ઉંઘ બગાડવા બદલ સૌથી પહેલો સીધો કે આડકતરો ઠપકો ફરિયાદીને સાંભળવો પડે એવી સંભાવના પણ રહે છે.

ધાર્મિક વરઘોડામાં વાગતું ડીજે ધર્મ અને સંસ્કૃતિ સમકક્ષ થઈ જાય છે. તેનો વિરોધ કરવા જતાં વિવાદમાં ઉતરવું પડે, પણ સૌથી મોટી મુશ્કેલી એ છે કે ડીજે વાગતું હોય ત્યારે વાદવિવાદ શી રીતે થાય? એ માટે પહેલાં ડીજે બંધ કરવું પડે. એટલે મોટે ભાગે ઇંડુ-મરઘી ન્યાયે ડીજેનું કંઈ થઈ શકતું નથી અને જૂઠાણાં-વાદી સરકારોની જેમ ત્રાસ-વાદી ડીજેની પણ ધીમે ધીમે લોકોને ટેવ પડી જાય છે. 

 

Monday, March 02, 2026

ઇરાન પર અમેરિકા-ઇઝરાઇલનો હુમલો અને ભારત, ટૂંકમાં

ઇરાન વિશે ત્યાંના એક ભાઈનું સરસ અને બહુ વાઇરલ થયેલું લખાણ વાંચ્યું.

તેનો સાર એવો હતો કે રૂઢિચુસ્ત-કટ્ટર નેતા ખામેની તેમને પણ ગમતો ન હતો અને તેનાથી ઘણી પ્રજા દુઃખી હતી, પણ તેનાથી મુક્તિ તેમને આ રીતે, અમેરિકા જેવા 'ઉદ્ધારક' થકી જોઈતી ન હતી. કારણ કે, અમેરિકા જે દેશમાં 'લોકશાહી' સ્થાપવા જાય છે, ત્યાં કાયમી અશાંતિ અને અરાજકતાનો વારસો મુકીને આવે, એવો ઇતિહાસ છે. એટલે કે, બકરું કાઢતાં ઊંટ કે ઊંંટ કાઢતાં ડાયનોસોર આવે, એવું અમેરિકાની દખલથી થતું હોય છે.
અમેરિકા અને ઇઝરાઇલ --બંને ગુંડાગીરી માટે નામીચાં છે. ઇઝરાઇલને અમેરિકાનો કાયમી ટેકો હોય છે. શક્તિશાળી યહૂદી જૂથો અમેરિકા સહિત ઘણાં પશ્ચિમી રાષ્ટ્રો પર જબરો પ્રભાવ ધરાવે છે. એટલે, બાકીની ઘણી બાબતોમાં ઉદારમતવાદી કે માનવતાવાદી વલણ ધરાવતાં 'ન્યૂ યોર્ક ટાઇમ્સ' જેવાં અખબારો કે બીજાં ઘણાં પ્રસાર માધ્યમો ઇઝરાઇલની વાત આવે, એટલે તેનાં બધાં પાપ છાવરવા લાગે છે.
હજુ આઠ-નવ દાયકા પહેલાં ભયંકર-અમાનુષી અત્યાચારોનો ભોગ બનેલી પ્રજાની નેતાગીરી (ઇતિહાસની દૃષ્ટિએ) આટલા ટૂંકા ગાળામાં પોતાના ભૂતપૂર્વ પીડકોની યાદ અપાવે એટલી અમાનુષી શી રીતે બની શકતી હશે? એવો સવાલ કે આશ્ચર્ય નથી થતાં, પણ દુઃખ જરૂર થાય છે.
સામે પક્ષે પેલેસ્ટાઇને પણ ભૂતકાળમાં અનેક વાર હિંસાનો સહારો લઈને પોતાના સાચા કે માની લીધેલા અધિકારો મેળવવાની કોશિશ કરી છે અને તેમના ભાગે નિરાશા જ આવી છે.
વૈશ્વિક રાજકારણનો ખાસ અભ્યાસ નથી, પણ સામાન્ય સમજથી એવું ધારું છું કે આટલા બધા ખરાબ નેતાઓ એક જ સમયે વૈશ્વિક મંચ પર વિવિધ દેશોના મુખિયા હોય, એવું ઓછું બન્યું હશે. જ્યોર્જ બુશ જુનિયર બે મુદત માટે અમેરિકાના વડાપ્રધાન રહ્યા, ત્યારે થયું હતું કે અમેરિકા આનાથી નીચે ન જઈ શકે. પરંતુ ટ્રમ્પે નીચે જવાના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતમાં પણ એવી જ સ્થિતિ છે. આ પ્રકારના નેતાઓ ધ્રુવીકરણ પર, પ્રજામાં ભાગલા પડાવીને, તેના એક વર્ગને સ્વાર્થ પૂરતાં થાબડભાણાં કરીને, જૂની સ્થાપિત સીસ્ટમોને તહસનહસ કરીને, પોતાની સત્તા ધકાવતા રહે છે.
આપણા હોંશીલા અને આત્મમુગ્ધ વડાપ્રધાન ઇઝરાઇલની મુલાકાતે જઈને, તાજ્જો અસ્તિત્વમાં આવેલો એવોર્ડ સ્વીકારી આવ્યા અને થોડા જ દિવસમાં ઇઝરાઇલે ઇરાન પર હુમલો કરી નાખ્યો. છતાં (કે એટલે) વડાપ્રધાને હજુ ઇરાનમાં થયેલી ખુવારી વિશે, તેના સર્વોચ્ચ નેતાના મૃત્યુ અને બોમ્બમારામાં વિદ્યાર્થીનીઓનાં મૃત્યુ વિશે મોં સીવેલું રાખ્યું છે. તે વળી તેમની છીછરી અને દેશ માટે ધબડકારૂપ પુરવાર થયેલી વિદેશનીતિનું વધુ એક ઉદાહરણ છે.
ટેકનોલોજીના સામયિક 'વાયર્ડ'માં એક લેખમાં લખ્યું હતું કે અમેરિકાના કટ્ટરમાં કટ્ટર વેરી જે ઇચ્છે એ બધું અત્યારે અમેરિકામાં તેના પ્રમુખ દ્વારા જ થઈ રહ્યું છે. ભારતનો કિસ્સો પણ ખાસ જુદો નથી. આવા તકલાદી, જૂઠા, ઝેરીલા અને પોલા 'રક્ષકો' હોય તે દેશને અલગથી દુશ્મનોની જરૂર રહે?

Thursday, February 26, 2026

મુદ્દા, પ્રમાણભાન અને ચર્ચા-મથનની અછત

 દેશની સામે રહેલા અને આ સરકારે ઊભા કરેલા કેટલા બધા સળગતા મુદ્દા વિશે ઠરીને, સળંગ કશી ચર્ચા જ થઈ શકતી નથી. અંગ્રેજીમાં જેને ડિસ્કોર્સ કહેવામાં આવે છે, એવાં ચર્ચા-મંથન સામાન્ય રીતે પ્રસાર માધ્યમો ચલાવતાં હોય છે.

સોશ્યલ મિડીયા પર ચર્ચાના નવા મુદ્દા રોજેરોજ અને ક્યારેક તો દિવસમાં બે-ત્રણ વાર ઉભરે છે, પણ તેમાંથી મોટા ભાગના ઉભરાની જેમ ઉભરે છે ને પછી બેસી જાય છે--પછી તે ગંભીર હોય કે કામચલાઉ.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આવા મુદ્દાની યાદી બનાવીએ તો આરામથી પુસ્તક લખાઈ જાય. પણ બીજાં ગમતાં અનેક કામ અને પુસ્તકોનાં કામ ચાલતાં હોય, ત્યાં આવા ગંદવાડમાં હાથ નાખવાનો કંટાળો આવે છે. નોટબંધી પછી બધું સમુંસૂતરું કરવા માટે સો દિવસની મુદત માગી હતી ત્યારથી રોકડનું ચલણ નોટબંધીના સમય કરતાં ઘણું વધારે થઈ ચૂક્યું છે, ત્યાં સુધીની એક સાદી ટાઇમલાઇન આપીએ તો, તેમાં વડાપ્રધાનની દેખીતી અને જાહેર અણઆવડત અને બેશરમી ઉપરાંત, ઘણા લોકોની આંધળી ભક્તિને પણ તેમાં સામેલ કરવી પડી.
પ્રસાર માધ્યમો આ સહેલાઈથી કરી શકે, પણ તેમને ભય કે લાલચ કે બંનેથી ફૂંકી ફૂંકીને પાણી પીવું પડે છે. થોડી ટીકા, થોડી ભક્તિ--એ મોડેલ કેટલાંકે અપનાવ્યું છે. કેટલાકે થોડી ટીકા, ઝાઝી ભક્તિ ચાલુ રાખી છે. પણ અફસોસ એ વાતનો છે કે દેશહિતને ધ્યાનમાં રાખીને જે પ્રકારની ફોલો અપ સ્ટોરી થવી જોઈએ તેનું વાતાવરણ નથી રહ્યું અને કરવા દેનારા પણ નથી રહ્યા. થોડા સમય પહેલાં એક સ્નેહી મિત્રે સ્ટીંગ ઓપરેશન કરીને અમુક વિગતો બહાર પાડવા સૂચવ્યું અને એ માટે બધો ખર્ચ આપવાની તૈયારી બતાવી, ત્યારે તેમને કહેવું પડ્યું હતું કે લોકો આંખ સામે ઉઘાડેછોગ દેખાતું હોય, તે જોવા રાજી નથી, ત્યાં સ્ટીંગ ઓપરેશનનો કશો મતલબ નથી.
હું છાપું કે સાપ્તાહિક કાઢતો હોઉં તો તેના મથાળે રોજ (કે દર અઠવાડિયે) આટલું જરૂર લખું.
ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ ન કર્યાનો આજે ---મો દિવસ.
પણ આવું વાંચીને હવે મોદીભક્તો એવી દલીલ કરે છે કે પ્રેસ કોન્ફરન્સ કરવાની શી જરૂર? આવા લોકો સાથે કશી તાર્કિક વાતની કે સંવાદની પણ ભૂમિકા રહેતી નથી. તેમને સારા મનોચિકિત્સકને દેખાડવાની સલાહ પણ આપી શકાતી નથી. કેમ કે, એ સ્વીકારવા જેટલી સ્વસ્થતા પણ આ મુદ્દે તેમનામાં હોતી નથી. તેમાં કેટલાંક પ્રિયજનો પણ હોઈ શકે છે. તેમનું આ સહસ્ત્રમુખ માનસિક પતન જોવાની તેમ જ દેશના વર્તમાન તેમ જ ભવિષ્યનો જે દાટ વળી ચૂક્યો છે, તે જોવાની પીડા દરેક ઠેકાણાસરના માણસે વેઠવાની આવે છે. તે આમ અંગત નથી હોતી. એટલે, અંગત જીવનની પ્રસન્નતા કે તેના સુખમાં તેનો ઓછાયો પડતો નથી, પણ જાહેર જીવન વિશે નિસબત ધરાવતા નાગરિક તરીકે આ ગાળો ક્યારનો કટોકટીના કાળા સમયને વટીને, તેનાથી ક્યાંય આગળ નીકળી ચૂક્યો છે. તે આવતો દેખાતો હતો, આવી ગયેલો અને ઠરી ચૂકેલો દેખાયો અને હવે તેનાં માઠાં પરિણામ કોમન સેન્સથી જોઈ ને ભાખી શકાય એમ છે.
આવી સ્થિતિમાં અગત્યના અને બિનઅગત્યના, કાયમી અને રોજિંદા મુદ્દા અલગ પાડીને, બંનેની અલગ ગંભીરતાથી, અલગ વજન સાથે અને અલગ સાતત્ય સાથે ચર્ચા થાય તે બહુ જરૂરી છે, પણ તે થઈ રહ્યું નથી તે ઊંડા ખેદની વાત છે.

Monday, February 23, 2026

શ્વાન-સર્વેક્ષણઃ શિક્ષકોના અહેવાલ

થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે શિક્ષકોએ શ્વાન-સર્વેક્ષણનું કામ કરવાનું થશે. આવા મહત્ત્વના સામાજિક-સાંસ્કૃતિક કાર્યને કેટલાક દેશવિરોધી વિધ્નસંતોષીઓએ 'કૂતરાં ગણવાનું કામ' કહીને તેના પ્રત્યે તુચ્છકાર પ્રગટ કર્યો.   'કૂતરાં ગણવાના' કામથી શિક્ષક આલમમાં અસંતોષ વ્યાપ્યો હોવાના અહેવાલ છપાયા. (શ્વાન આલમની એ વિશેની પ્રતિક્રિયા જાણવા મળી શકી નથી.) પરંતુ આ કામને બિનશૈક્ષણિક ધારી લેવાની જરૂર નથી.  વિવિધ વિષયોના શિક્ષકોના શ્વાન-સર્વેક્ષણ-અહેવાલ કેવા હોઈ શકે? થોડી કલ્પનાઃ

ગુજરાતીના શિક્ષકનો અહેવાલ

શ્વાન એટલે કૂતરું. તેમાં લિંગભેદ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. તો નર અને માદા બંને પ્રકારના શ્વાનોનું સર્વેક્ષણ કરવું? બાળ-શ્વાનોને કે શ્વાન-બાળોને તેમાં સામેલ કરવાં કે નહીં?  સક્ષમ અધિકારીશ્રીને તે વિશે પૂછતાં આ બાબતે તેમણે પોતાની અક્ષમતા જાહેર કરી અને કહ્યું કે ગાંધીનગર પૂછવું પડશે. પછી ઓફિસનું બારણું બંધ છે તેની પાકી ખાતરી કરીને એમ પણ કહ્યું કે ગાંધીનગરમાં શ્વાનોનું વિપુલ વૈવિધ્ય જોવા મળે છેઃ લાલચુ, સ્વાર્થી, હિંસક, આજ્ઞાંકિત, આળસુ, ખાઈ બદેલા,  ગળે ખેસ (પટ્ટો) બાંધેલા, અદૃશ્ય પટ્ટો ધરાવતા, પટ્ટો પહેરવા ઉત્સુક, પટ્ટો બદલવા તત્પર, લાળ ટપકાવતા, પૂંછડી પટપટાવતા, હાંફતા, દોડતા, દોડ્યા વિના હાંફતા, હાંફ્યા વિના દોડતા, કારણ વગર ભસતા, ચેતવણી વગર કરડતા, ભસવાનો જવાબ કરડવાથી આપતા, હડે હડે કરવાથી કાબૂમાં રહેતા... ટૂંકમાં, આ વિષય બાબતે ગાંધીનગર જ માર્ગદર્શન આપવા માટે સક્ષમ ગણાય.

તેમની વાતમાંથી નવો પ્રશ્ન ઊભો થયોઃ કમિશનરશ્રીના આદેશમાં સર્વેક્ષણની વ્યાખ્યા કરવામાં આવી નથી, તો સર્વેક્ષણ કેવળ વસતી ગણતરી પૂરતું સીમિત રહેશે કે પછી રંગ-રૂપ-ગુણ-લક્ષણઆધારિત વર્ગીકરણ પણ તેમાં સમાવિષ્ટ છે?

આવું બધું સાંભળીને ઉપરી અધિકારી ઊભા થયા, બારણું બંધ હોવા છતાં, તેમણે એક વાર ખોલીને ફરી તેને બંધ કર્યું, સ્ટોપર મારી અને પછી ગંભીરતાથી આદેશ આપ્યો, ‘જો ઉચિત સમજો, વો કરો.’

સામાજિક વિજ્ઞાનના શિક્ષકનો અહેવાલ

ભારતના બંધારણમાં શ્વાનોને મતાધિકાર આપવામાં આવ્યો નથી. એટલે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રીવીઝન (સર)થી શ્વાનસમુદાયને કોઈ જોખમ નથી.  અલબત્ત, તેમના સર્વેક્ષણની જોગવાઈ કાયદામાં છે.  શું શ્વાન-સર્વેક્ષણનો આદેશ એવું કહેવા માગે છે કે શ્વાનોના અસ્તિત્વને ગણવાનું છે અને દેશના ઘણા નાગરિકસમુદાયોની જેમ કે મણિપુર જેવાં આખેઆખાં રાજ્યોની જેમ અવગણવાનું નથી?

માનનીય સોલિસિટર જનરલ કદાચ કોઈ શ્વાનના પૂંછડી ન પટપટાવવાથી નારાજ થઈ જાય અને તેને દેશવિરોધી કે બાંગ્લાદેશી ઘૂસણખોર જાહેર કરી દેતો?  સોનમ વાંગ્ચૂક જેવા નાગરિક વિશે સોલિસિટર જનરલે અદાલતમાં કરેલી દલીલો જાણ્યા પછી એવું લાગે કે તમામ શ્વાનોને સોલિસિટર જનરલ તરફથી ક્લિન ચીટ મળવી જરૂરી છે.  બાકી,  તેમને એવી શંકા જાય કે કોઈ સર્વેક્ષકે દેશવિરોધી શ્વાનને દેશી શ્વાનોની યાદીમાં ઘુસાડી દેવાનું કાવતરું કર્યું છે તો?   આ અંગે માનનીય સર્વોચ્ચ અદાલત સોલિસિટર જનરલને સ્પષ્ટ નિર્દેશ આપે ત્યાર પછી કામ આગળ વધારી શકાય.

તર્કશાસ્ત્રના શિક્ષકનો અહેવાલ

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. શ્વાન પણ એક સામાજિક પ્રાણી છે. એટલે ઘણી વાર મનુષ્યો શ્વાન જેવું ને શ્વાન મનુષ્યો જેવું વર્તન કરે છે. શ્વાનો મનુષ્યોને ગણતા નથી, એટલે મનુષ્યોએ શ્વાનોને ગણવા પડે છે. શ્વાનોને મનુષ્યોને ઉતરતા ગણે છે. કારણ કે તેમનામાં ઊંચનીચના ભેદભાવ ને જ્ઞાતિવ્યવસ્થા હોતાં નથી. ઘણા શ્વાનો દેખાવમાં એકસરખા લાગે છે. એટલે ધારો કે કોઈ સંસ્થાના કેમ્પસમાં 10 શ્વાન હોય તો, તેમાંથી એક જ શ્વાન 10 વાર દેખાય એવી સંભાવના પણ લક્ષમાં લેવી પડે.  આમ, શ્વાનોની કુલ સંખ્યા જેટલી લાગે, તેનાથી દસ ગણી ઓછી કે દસ ગણી વધુ હોવાની સંભાવના રહે છે.

ગણિતશિક્ષકનો અહેવાલ

શ્વાન-સર્વેક્ષણની કામગીરીનો ઉપયોગ ભલે સામાજિક હોય, પણ તેને સમજવા માટે ગણિત અનિવાર્ય છે. ધારો કે બધા શ્વાનોની ગણતરી થઈ જાય અને તેમની સંખ્યા a  હોય;  બીજા ઘણા શ્વાન ગણતરીમાંથી બાકાત રહી ગયા હશે અથવા સંતાઈ ગયા હશે અથવા નાસી ગયા હશે અથવા સર્વેક્ષક આવ્યા ત્યારે ઉંઘી ગયા હશે, એમ ધારીને તેમની સંખ્યા b ગણવામાં આવે, તો પણ તેમનો આખરી આંકડો એ પ્લસ બી કરવાથી ન મળે.  કારણ કે, તેમાં આ બંને પ્રકારના શ્વાનોની એ સંતતિનો સમાવેશ થતો નથી, જે સર્વેક્ષણ પૂરું થાય, સોંપાય અને પ્રગટ થાય ત્યાં સુધીમાં જન્મશે. તેમનો અંદાજ બાંધવા માટે એ પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુએબી--વાળું સમીકરણ કામ લાગશે. તેમાં એકસ્ટ્રા ટુએબી ક્યાંથી આવ્યા, એવું કોઈ પૂછે તો કહેવાનું કે તે શ્વાનોની નહીં જન્મેલી સંતતિ હશે. આ રીતે ફક્ત એક સંસ્થાના કેમ્પસના નહીં, આખા દેશમાં વસતા શ્વાન પરિવારોના આંકડા કાઢી શકાશે અને વડાપ્રધાનને નવેસરથી શોધેલો એકસ્ટ્રા ટુએબીનો ચમત્કાર અનુભવી શકાશે.

ઇતિહાસના શિક્ષકનો અહેવાલ

સાંભળ્યું છે કે મહંમદ તઘલકે રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડતાં પહેલાં દિલ્હીના શ્વાનોની વસ્તી ગણતરીનો આદેશ આપ્યો હતો. આવા આદેશોને કારણે જ તે તરંગી કહેવાયો હશે. જોકે, દિલ્હીના શ્વાનો ખાતરીપૂર્વક ગણાઈ રહે તે પહેલાં જ રાજધાની દોલતાબાદથી પાછી દિલ્હી આવી ગઈ. એમ તો અકબર બાદશાહે પણ એક વાર બીરબલને દિલ્હીના કાગડાનું સર્વેક્ષણ કરવા કહ્યું હતું.  ત્યારે બિરબલે અડસટ્ટે એક આંકડો ગબડાવી દીધો અને કહ્યું હતું કે જેને અવિશ્વાસ હોય તે ગણતરી કરીને મારો આંકડો ખોટો સાબિત કરી બતાવે. શ્વાન સર્વેક્ષણમાં પણ એ પદ્ધતિ ખપમાંલઈ શકાય?


Tuesday, February 10, 2026

શંખ, ચક્ર અને પદ્મ(શ્રી)

પદ્મશ્રીની પસંદગીની પ્રક્રિયા ઘણાને અદૃશ્ય સ્વયંવર જેવી લાગે છે, જેમાં તે પોતાની જાતને ચોસઠ કળામાં જાણકાર, બત્રીસલક્ષણા મુરતિયા તરીકે કલ્પે છે. આ પ્રક્રિયા ચાલુ થયા પછી તેમને એવાં વિઝન આવે છે કે તે રાજસી પોષાકમાં સજ્જ થઈને, લાંબી લાઇનમાં ઊભા રહીને મોરારાબાપુના આશીર્વાદ મેળવ્યા પછી, સ્વયંવરસ્થળે પહોંચે છે. ત્યાં હાથમાં વરમાળા સાથે મરક મરક કરતી પદમણી (પદ્મશ્રી)ની અને તેમની વચ્ચે એક મોટું ધનુષ્ય પડ્યું છે. તેની પર ઝીણા અક્ષરે કેટલાક શબ્દો કોતરેલા છેઃ ચાપલુસી, સંપૂર્ણ શરણાગતિ, નિર્વ્યાજ ભક્તિ, વફાદારી... જોકે, આ શબ્દો દૂરથી વંચાતા નથી. મુરતિયો હોંશે હોંશે એ ધનુષ્ય ઉપાડવા જાય છે અને...

 ...અને વિઝન અચાનક અદૃશ્ય થઈ જાય છે. એટલે ધનુષ્ય ઉપાડવામાં સફળતા મળી કે નહીં, તે સસ્પેન્સ ખુલતું નથી અને અજંપો થાય છે. તે ટાળવા માટે માણસ આત્મનિર્ભર હોય તો જાતે ને વધારે શાણો હોય તો બીજા લોકો દ્વારા પ્રયાસો આદરે છે. પદ્મશ્રી માટેની પોતાની ભડભડતી આકાંક્ષાઓની કાગળની હોડી તે સંસારના આ અફાટ, તોફાની સાગરમાં તરતી મુકે છે કે મુકાવે છે.

કેટલાક પદ્મપીપાસુઓની રીત છાશ લેવા જતી વખતે દોણી સંતાડવાની હોય છે. પોતાના પદ્મશ્રી માટે શી રીતે પ્રચારઝુંબેશ આદરવી તેનું વિગતવાર માર્ગદર્શન ઓનલાઇન અને ઓફલાઇન જૂથોને આપ્યા પછી તે બહાર પડે છે અને માસુમિયતથી કહી શકે છે,પદ્મશ્રી તો એક નામ છે. ખરો સંતોષ તો દેશ માટે-સમાજ માટે કંઈક કરી છૂટ્યાનો છે. હું એવું નહીં કહું કે મારે પદ્મશ્રી નથી જોઈતો. હું એવું પણ નહીં કહું કે મારે પદ્મશ્રી જોઈએ છે. હું ફક્ત એટલું કહીશ કે મને પદ્મશ્રી મળશે તો એ મારું નહીં, મેં જેમના માટે કામ કર્યું છે તે લોકોનું સન્માન હશે અને દેશના લોકોનું સન્માન થાય તે કોને ન ગમે? ટૂંકમાં, મારે પદ્મશ્રી જોઈએ છે, પણ મારા માટે નહીં, મારા રાજ્યના, દેશના લોકો માટે.

છેલ્લા ઘણા સમયથી આવી દોણીસંતાડ પદ્ધતિ આઉટ ઓફ ફેશન છે. મોટા ભાગના લોકોને તે માફક આવતી નથી અને અકસીર પણ લાગતી નથી. છાપરે ચડીને, શરમાયા વિના, બરાડા પાડીને જૂઠું બોલવું જાહેર વ્યવહારનું અનિવાર્ય અંગ બની ચૂક્યું હોય, ત્યાં દોણી સંતાડવાનું તો બાજુ પર રહ્યું, તેનો સૌથી ઊંચો ખડકલો કરો તો કંઈ થાય. એવા લોકો આતી ક્યા ખંડાલા?’ અભિગમના આરાધકો હોય છે. તે કહે છે,છેલ્લા અમુક વર્ષથી આપણો ટ્રાય ચાલુ જ છે. ગાંધીજીએ કહેલું કે જ્યાં સુધી સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આશ્રમ પાછો નહીં આવું. આપણું બી એવું જ છેઃ જ્યાં સુધી પદ્મશ્રી નહીં મળે ત્યાં સુધી દિલ્હીના આંટાફેરા નહીં છોડું. આપણે બદ્ધાને કહી રાખ્યું છે કે કોઈ જેક હોય તો કહેજો. સાહેબની ભક્તિ તો વર્ષોથી કરીએ જ છીએ, પણ લાઇન એટલી લાંબી છે કે ફક્ત એટલી લાયકાત પૂરતી નથી. લાગવગો લગાડવી જ પડે. અમિતાભ બચ્ચનથી માંડીને આસારામ સુધી ને મુકેશભાઈ-ગૌતમભાઈથી માંડીને સાહેબનો સુટ ખરીદનારા સુધી ક્યાંય પણ તમારી ઓળખાણ હોય તો કહેજો. આપણને ઇગો-પ્રોબ્લેમ નથી. આપણે સામેથી મળવા જઈશું અને આપણને મળી જશે તો આપણા સન્માન સમારંભમાં તેમને સ્ટેજ પર પણ બેસાડીશું. આપણે કશું એકલા ખાટી લેવું નથી.

જોકે, બધા લોકો આ પદ્મેચ્છુકોનો ઉત્સાહ સમજી શકતા નથી અને તેમને અસ્તિત્વવાદી સવાલો પૂછે છે. જેમ કે, ધારો કે તમને પદ્મશ્રી મળી ગયો, તો પછી તમે શું કરશો?’ આ મતલબના સવાલની પાછળ જિજ્ઞાસા છે કે મજાક, એ નક્કી કરવું ઘણી વાર અઘરું હોય છે, પણ સાચા પદ્માકાંક્ષીઓ એવી લપમાં પડતા નથી. કોઈ વળી ચહેરા પરના હાવભાવ જરાય બદલ્યા વિના કહી શકે છે,કેમ? પછી પદ્મભૂષણ નથી?’ કેટલાક જવાબ આપવાને બદલે, પદ્મશ્રી મળી ગયો, તો?’નાં સપનાંમાં ખોવાઈ જાય છે. તેમને મનમાં પદ્મશ્રી કખગ માર્ગ/ચોક લખેલાં પાટિયાં દેખાય છે. તેમને પૂરા જોશથી કહેવાનું મન થાય છે કે પદ્મશ્રી લટકાવીને હું શાક લેવા જઈશ, પેટ્રોલ પુરાવવા જઈશ, પાન ખાવા જઈશ, અરે...નહાવા ને સુવા પણ જઈશ. મારો પદ્મશ્રી છે. જ્યોતીન્દ્ર દવેને વાંચ્યા હોય તે એવું પણ કહી શકે કે પદ્મશ્રીએ મને આટલાં વર્ષ લટકાવ્યો છે. હવે હું તેને લટકાવી-લટકાવીને ફરીશ. કેટલાક પદ્મવિરહીઓને લાગે છે કે પદ્મશ્રી મળ્યા પછી ટ્રાફિકના સિગ્નલે રોકાવું નહીં પડે, ટોલ બૂથ પર ટોલ નહીં ભરવો પડે, લોકો આપણા સર્જનથી નહીં, તો કમ સે કમ પદ્મથી પ્રભાવિત થઈને આપણને મહાન ગણવા લાગશે.

પદ્મશ્રી અંગ્રેજોના જમાનાનો ખિતાબ નહીં, પણ લોકશાહી દેશનું નાગરિક-સન્માન છે—આવી ટેકનિકલ માહિતી તેમને સ્પર્શતી નથી. એમાં તેમનો એક હદથી વધારે વાંક કઢાય એમ પણ નથી. કારણ કે, અત્યારે ઘણાં સન્માનો બિલકુલ રાજાશાહી અંદાજમાં વહેંચાય છે. પહેલાં રાજાઓ પ્રસન્ન થાય ત્યારે લે, મારો સોનાનો હાર એમ કહીને પોતાના ગળામાંથી હાર ઉતારીને આપી દેતા હતા. હવે લોકશાહી છે. એટલે રાજાએ પોતાના ગળામાંથી કશું ઉતારવાનું હોતું નથી. તેણે ફક્ત પોતાની મહાનતાની વાર્તાઓ લોકોના ગળે ઉતારવાની હોય છે.

અને એક દિવસ પદ્મશ્રીની યાદી જાહેર થઈ જાય છે. તેમાં નામ ન દેખાતાં એક જ આશ્વાસન બાકી રહે છેઃ હું તો પદ્મશ્રીથી આગળ નીકળી ચૂક્યો છું. આ જ્ઞાન ક્ષણિક નથી હોતું. છેક બીજા વર્ષની પસંદગી પસંદગી પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી તે પદ્મવંચિતનો પથ અજવાળતું રહે છે.

Tuesday, February 03, 2026

પદ્મશ્રી પુરાણ

એક સમયે પદમણી નાર બનવું ઘણી સ્ત્રીઓનું સપનું રહેતું, એવી જ રીતે, છેલ્લા ઘણા સમયથી પદમશ્રી (પદ્મશ્રી) લેખક થવું એ ઘણા લખનારાની મહત્ત્વાકાંક્ષા હોય છે. રવીન્દ્રનાથ ટાગોર પછી બીજા ભારતીય કોઈ સાહિત્યકારને નોબેલ મળ્યો નથી. તે જાણતા ગુજરાતી કવિ-લેખકો એટલા તો વાસ્તવદર્શી છે કે નોબેલની આશા ન રાખે. જો કોઈ મોરારીબાપુ પાસે ચિઠ્ઠી લખાવીને નોબેલ કમિટી પર મોકલાવી ચૂક્યું હોય, તો આ લખનારનું અજ્ઞાન ક્ષમ્ય ગણવું. નોબેલ-સમકક્ષ ગુજરાતી સાહિત્ય પારિતોષિક શરૂ કરવાની દરખાસ્ત મોરારીબાપુ સમક્ષ નહીં મુકાઈ હોય, એવું માની લેવાનું પણ કોઈ કારણ નથી.

આટલું વાંચીને ગુજરાતી કવિ-લેખકોને સાંભળવા ટેવાયેલા લોકોને એવો સવાલ જરાય નહીં થાય કે સાહિત્યની વાતમાં મોરારીબાપુ આટલા બધા કેમ આવે છે. કેમ કે, ઘણા લખનારાને તો ભાષણમાં વારંવાર મોરારીબાપુનું નામ લેવાનું જાણે ડોક્ટરે કહ્યું હોય, એટલી ચુસ્તીથી તે બાપુસ્મરણ કરતા રહે છે. મોરારીબાપુને પૂજ્ય કહેવા કે પ્રિય, એ વિશે ગુજરાતીમાં નિબંધ, કાવ્ય અને વક્તૃત્વની સ્પર્ધા યોજવામાં આવે અને તેના આયોજક મોરારીબાપુ હોય, તો કવિ-લેખકો-વક્તાઓનો ધસારો ખાળવા માટે પોલીસની મદદ લેવી પડે. તેમનો અને બાપુનો પરસ્પર પ્રેમ કોઈની ટીકાટીપ્પણીનો વિષય ન હોઈ શકે, પણ પોતે મોરારીબાપુના કેટલા ખાસ છે તેનું જાહેર પ્રદર્શન કરવા જતાં, તે બીજી પણ કેટલીક બાબતોનું પ્રદર્શન કરી બેસે છે.

એક તરફ એવું લાગે કે ગુજરાતીમાં લખનારામાંથી ઘણાનું જીવનધ્યેય મોરારીબાપુ સાથેની નિકટતા દેખાડવાનું, તેમણે સ્વહસ્તે પીરસેલો કેરીનો રસ આરોગવાનું અને મોરારીબાપુએ કઈ કથામાં, પોતાનાં કેટલા ગ્રામ/કિલો/મણ વખાણ કર્યાં તે લોકોને જણાવતા રહેવાનું હશે. પરંતુ એક સીઝન એવી પણ આવે છે, જ્યારે તેમની નજર મોરારીબાપુથી આગળ વધે છે—અને પદ્મશ્રી પર જઈને ઠરે છે. વર્ષ 2026ની પદ્મશ્રીની યાદીમાં સ્થાન ધરાવતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર જેવા ગુજરાતી લેખકો જૂજ હશે, જેમણે પોતે એ મેળવવા માટે કશો પ્રયત્ન કર્યો કે કરાવ્યો ન હોય. બાકી, ગુજરાતીમાં લખનારા ઘણા લોકો માટે પદ્મશ્રી મેળવવો એ કરતાં જાળ કરોળિયોન્યાયે, હિંમત હાર્યા વિના સતત પ્રયાસ કરતા રહેવાનો મામલો છે. તેના માટે ઉત્તમ સર્જન આવશ્યક પણ નથી ને પર્યાપ્ત તો બિલકુલ નથી.

કયા લખનારને પોતાનું સર્જન ઉત્તમ ન લાગે? મનમાં તો તેમને એવું જ હોય કે આપણે અંગ્રેજીમાં લખ્યું હોત તો કે દીનો નોબેલ ઝાપટી લીધો હોત, પણ નોબેલવાળાને ગુજરાતી આવડે નહીં ને બાપુનું ત્યાં ચાલે નહીં. એટલે આપણે વાસ્તવિકતા સ્વીકારીને, જે મળવાપાત્ર છે તેને વિસરી જઈને, પદ્મશ્રીથી જ હલાવવું (ચલાવવું) પડશે. જેવાં ગુજરાતનાં નસીબ.

આટલા વાસ્તવદર્શન પછી બીજો તબક્કો આબોહવા જમાવવાનો શરૂ થાય છે. તેમાં અનુચરોથી માંડીને વોટ્સએપ ગ્રુપમાં રહેલા લોકો છૂટુંછવાયું ગાન શરૂ કરે છે, જેની ધ્રુવપંક્તિ હોય છે, તેમને તો પદ્મશ્રી મળવો જોઈએ. પછી ગમે તે સ્થિતિસંજોગોમાં આ ધ્રુવપંક્તિ ટપકી પડે છે, જે ધીમે ધીમે સમૂહગાનનું સ્વરૂપ ધારણ કરે છે અને સમયાંતરે ગવાયા કરે છે. બીજી તરફ, પોતાના વિશે આવું માનતા અને તે માન્યતાને સાચી પાડવા માટે કંઈ પણ કરવા તૈયાર લોકો (જો પહેલેથી ન કરતા હોય તો) સરકારની પ્રશંસા શરૂ કરે છે. ઘણા લોકોની પ્રશંસા એકદમ જાડી, બજારુ અને ભદ્દી હોય છે. તેને જોઈને એક કિલોમીટર દૂરથી ખબર પડી જાય કે પદ્મશ્રી લેવા માટેનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. તેનો અર્થ એવો નહીં કે ગુજરાતી લખનારા-બોલનારામાંથી શિષ્ટતા, સજ્જતા મરી પરવારી છે. કેટલાક એવા પણ હોય છે, જે ચમચાગીરી ન લાગે એ રીતે (મુગલ-એ-આઝમમાં દિલીપકુમાર મધુબાલાના ચહેરા પર પીંછું ફેરવતા હતા એ રીતે) સરકાર પ્રત્યેનો અનુરાગ પ્રગટ કરે છે.

સરકારને પ્રિય થવા માટેની પહેલી શરત એ છે કે તેને અપ્રિય થવાય એવું ભૂતકાળમાં કંઈ પણ કર્યું હોય—અથવા સરકારને તમારા વિશે એવી શંકા હોય—તો તેના ખુલાસા કરવા અને સેન્ટીમીટરમાં શંકા થઈ હોય તો કિલોમીટરમાં તેનું નિવારણ કરવું. તે પછીનો તબક્કો ભલામણકર્તા શોધવાનો છે. જેનું વજન પડે (અને જેને પોતાને લેવાનો બાકી ન હોય, લેવાની ઇચ્છા ન હોય કે મળવાની સંભાવના ન હોય) એવી વ્યક્તિ પાસેથી ભલામણ લખાવવામાં આવે છે. ભલામણપત્ર અમિત શાહ પાસે લખાવવાનો હોય તો, આ પત્ર લઈને આવનાર મારા માણસ છે. તેમને પદ્મશ્રી આપી દેશો. એટલું જ પૂરતું થઈ પડે, પણ બીજા લોકોએ ઘણું લખવું ને જોડવું પડે છે.

તે બધા સાથેની દરખાસ્ત મોકલાઈ જાય પછી શરૂ થાય છે સૌથી અઘરો, પ્રતીક્ષાનો દૌર. વાહન પર ઘરની બહાર નીકળ્યા પછી, ચાર રસ્તે સિગ્નલ લાલને બદલે લીલો મળે તો પણ એવું લાગે છે કે આ વખતે આપણા પાસા સવળા પડી રહ્યા છે. હવે પદ્મશ્રી મળ્યે જ પાર છે. રાજકીય ઉમેદવારો ચૂંટણીનાં પરિણામ આવતાં પહેલાં ફટાકડા ને મીઠાઈનો જથ્થો ખરીદી રાખે તેમ, કોઈ ઉત્સાહી રાષ્ટ્રપતિભવનમાં જતી વખતે પહેરવાનાં કપડાં પણ સીવડાવી શકે છે. પદ્મશ્રી ફલાણા ઢીકણા—એવું લખવાથી લોકો ક્યાંક એવું તો નહીં સમજે ને કે મારું નામ પદ્મશ્રી છે ને ફલાણા એ મારા પિતાનું નામ છે?’ આવો મોળો વિચાર ફગાવીને તે પોતાના નામ આગળ પદ્મશ્રી લખીને, આખું નામ વાંચીને રોમાંચિત થઈ જુએ છે.

--અને તેને થાય છે કે આપણો પદ્મશ્રી પાકો છે. .

(પદ્મશ્રીપુરાણનો ઉત્તરાર્ધ આવતા સપ્તાહે)

Monday, January 19, 2026

ભોજનાગ્રહઃ શસ્ત્ર અને શાસ્ત્ર

‘ભોજનાગ્રહ’ જેવો નવો શબ્દ વાંચીને કોઈને ‘સત્યાગ્રહ’ જેવો જૂનો શબ્દ યાદ આવે તો ભલે. તે બંને વચ્ચે કેટલુંક સામ્ય છેઃ તે અહિંસક આગ્રહો છે. સત્યાગ્રહની જેમ ભોજનાગ્રહમાં પણ છેવટે સામેવાળાનું મન-પરિવર્તન કરવાનું હોય છે. સત્યાગ્રહ અને ભોજનાગ્રહ બંને વ્યક્તિગત તેમ જ સામુહિક રીતે કરી શકાય છે. બંને આગ્રહો જેની સામે કરવામાં આવે, તેની દશા કફોડી થાય છે. કારણ કે, તે સામેના પક્ષ પર દ્વેષ કે હિંસાનો આરોપ મુકી શકતા નથી. આગ્રહી પક્ષે રહેલા પ્રેમનો સ્વીકાર તેમણે કચવાતા મને કરવો પડે છે અને એવું કરવા જતાં, સત્યાગ્રહીઓની થોડી અને ભોજનાગ્રહીઓની અડધી જીત થઈ જાય છે. સામેવાળાનો આગ્રહ તેની જગ્યાએ સાચો હોવા છતાં, પોતે શા માટે તેને વશ નહીં થઈ શકે, તે સમજાવવાનું અને લોકલાગણી પોતાના પક્ષે કરવાનું કઠણ હોય છે.

ગાંધીજીએ સત્યાગ્રહ જેવું અહિંસક શસ્ત્ર અને તેનું શાસ્ત્ર શોધ્યાં, પણ તેનો પ્રતિકાર શી રીતે કરવો તેનું કોઈ શાસ્ત્ર નથી. ભોજનાગ્રહ એ બાબતમાં સત્યાગ્રહ કરતાં અલગ પડે છે. ભોજનાગ્રહનો અહિંસક મુકાબલો કરવાનું બાકાયદા શાસ્ત્ર ભલે ન હોય, પણ ઘણા અનુભવીઓએ વખતોવખત જે પ્રકારે ભોજનાગ્રહનો મુકાબલો કર્યો--અને તેમાં ઓછીવત્તી સફળતા મેળવી--તેના આધારે કેટલીક વ્યૂહરચનાઓ તારવી શકાય.

આરોગ્ય-વ્યૂહ

ભોજનાગ્રહીઓના અહિંસક હુમલા નિષ્ફ્ળ બનાવવા માટે કેટલાક લોકો આરોગ્યને લગતાં કારણોનો સહારો લે છે. જેમ કે,‘હું સહેજ પણ વધારે ખાઉં તો મને એસિડીટી થાય છે.’ અથવા 'ડોક્ટરે કહેલું કે તમારી હોજરી બહુ નાની છે. એટલે વધારે ખાશો તો તકલીફ પડશે.’ અથવા '(ભૂખપૂરતું ખાઈ લીધા પછી) મને અચાનક પેટમાં ચૂંક આવવા લાગી છે. એટલે હવે મારે ઊભા થવું પડશે.’

આ કારણોને એકધારી સફળતા મળતી નથી, તે પણ નોંધવું જોઈએ. તબીબી જાણકારીમાં ઉત્સાહી હોય એવો એકાદ જણ ભોજનાગ્રહીઓના પક્ષે હોય તો એ કહી શકે છે,’અરે, તમતમારે દબાવો. પછી ગોળી લઈ લેજો. એટલે એસિડીટી નહીં થાય. ફલાણાભાઈ કાયમ એવું જ કરે છે.’ અથવા 'ડોક્ટરો તો બધા વહેમ ઘાલે. તેમનું ગણકારવું નહીં. ડોક્ટરનો વ્હેમ વધે કે અમારો પ્રેમ?’ પેટમાં દુઃખવાના બહાનામાં પણ એક્ટિંગની જેમ યોગ્ય ટાઇમિંગ ન જળવાય, તો અવળાં પરિણામ મળવાની ભીતિ રહે છે અને ભૂખપૂરતા ભોજનથી પણ વંચિત રહેવાનો વારો આવી શકે છે.

પ્રસંગ-વ્યૂહ

કેટલાક લોકો આગ્રહ ટાળવા માટે જ્ઞાનપરંપરાને બદલે કથાપરંપરાનો આશ્રય લે છે. મીઠાઈ પીરસવા આવેલા લોકોને અંતરિયાળ રોકીને તે કહે છે,'તમે ભલે પીરસવા આવ્યા, પણ તમને એક વાત કહું. અમારા એક મિત્રના પાડોશી હતા. તેમની દીકરીનું સગપણ કેનેડા કરેલું. લગન વખતે જમાઈ દેશમાં આવ્યા ને મિત્રને ત્યાં જમવાનું રાખ્યું. મિત્રને થયું કે જમાઈને બરાબર ખવડાવીને તેમના માટેનો પ્રેમ વ્યક્ત કરું. જમાઈને પણ થયું કે નવું નવું નક્કી થયું છે ને ક્યાં ના પાડવી? એટલે તેમણે પણ ના પાડ્યા વિના ઠાંસ્યું. પછી રાત્રે ઘરે જતાં જ...'

કથાપ્રવાહમાં પીરસનારનો હાથ અટકી ગયો હોય, પણ હવે વાતનો છેડો લટકતો રહેતાં તેમની ઉત્સુકતા ઉછાળા મારવા લાગે ને તેમને પણ પોતે નવી વાસ્તવિકતાઓથી અજાણ નથી એવું સૂચવવા માટે, કંઈક ઉમેરવાનું મન થાય. એટલે તે કહેશે, ‘હવે આવા કિસ્સા બહુ બને છે. અમારા એક સગા છે. તેમના છોકરાનો ફ્રેન્ડ એક દિવસ ક્રિકેટ રમવા ગયો ને રમતાં રમતાં મેદાન પર જ...’

તે સાંભળીને કથાનો છેડો લટકતો રાખનાર કહેશે, ‘એમ તો જમાઈને કંઈ થયું નહીં. રાત્રે ઘરે જતાં પેટમાં બહુ ગડગડાટી થઈ. એટલે રસ્તામાં એક ઠેકાણે ઊભા રહીને સોડા પી લીધી ને ઠીક થઈ ગયું, પણ ત્યારથી તે ચેતી ગયા છે. આ તો ઠીક છે, પેટમાં દુઃખાવો હતો. છાતીમાં થયો હોત તો?’

આટલે સુધી પહોંચતાં ભોજનાગ્રહી ભૂલી ચૂક્યા હોય છે કે તે અસલમાં ભોજનનો આગ્રહ કરવા આવ્યા હતા. હવે વાતે લીધેલા ગંભીર વળાંક પછી 'જાન બચી તો લાખોં પાયે’નો માહોલ બની જાય છે ને આગ્રહ કરવાનું અવિધિસર રીતે પડતું મૂકવામાં આવે છે.

જ્ઞાન-વ્યૂહ

નવા જમાનામાં જેમની પાસે મોબાઇલ છે તે બધા જ આરોગ્ય-નિષ્ણાતો છે. એટલે કેટલાક લોકો આગ્રહ ટાળવા માટે પ્રસંગ-વ્યૂહને બદલે બીજો રસ્તો અપનાવે છે. તે કહે છે,’મેં હમણાં જ એક રીલ જોઈ હતી. તેના અઢી મિલિયન વ્યૂઝ હતા. તેમાં કહ્યું હતું કે પેટ હંમેશાં સાડા સોળ ટકા ઊણું રાખવું. તે આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે. બીજી એક રીલમાં કોઈ યુનિવર્સિટીવાળાએ રીસર્ચ કર્યું હતું કે 100 ટકા ભૂખ હોય તો 82 ટકા જેટલું જ ખાવું. એનાથી વધારે ખાવામાં આવે, તો આગામી દાયકાઓમાં માણસ મૃત્યુ પામી શકે છે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. બોલો, હવે તમે જ કહો, શું કરવું?’

બૂમરેન્ગ-વ્યૂહ

આગળ વર્ણવેલા વ્યૂહમાં વાચાળતા મહત્ત્વનું પરિબળ છે, પણ કેટલાક લોકો કર્મયોગી હોય છે. તે બાંયો ચડાવીને તૈયાર હોય છે. જેવા ભોજનાગ્રહીઓ નીકળે, તે સાથે જ તે લોકો બમણા જોશથી વળતો આગ્રહ શરૂ કરી દે છે અને પીરસનારના મોંમાં મીઠાઈ ઠાંસવા માંડે છે. આક્રમણના જોશ સાથે આવેલો ભોજનાગ્રહી અચાનક વળતા હુમલાથી ડઘાઈ જાય છે અને જોતજોતાંમાં બંનેમાંથી ભોજનાગ્રહી પક્ષ કયો છે, તે નક્કી કરવું અઘરું થઈ પડે છે.

Tuesday, December 30, 2025

(વજન)કાંટા લગા..

કોઈ પણ સમસ્યાની જેમ વધેલું વજન ઉતારવા માટેનું પહેલું પગથીયું, વધેલા વજનના સ્વીકારમાં છે. ઘણા લોકો તે બાબતે બીજાને અને ખાસ તો જાતને છેતરવામાં રાચે છે. કોઈ સહેજ ટકોર કરે કે તરત તે કહેશે, ના રે, મારું તો સિમેટ્રિકલ બોડી છે. સામેવાળી વ્યક્તિ કહે કે હું તમારું બોડી શેમિંગ નથી કરતી, ફક્ત તમારું ધ્યાન દોરું છું. તો તે કહેશે,વાંધો નહીં. પણ હું જે હકીકત છે એ કહું છું. મારું શરીર જરા સરખું છે. હકીકતમાં, મારો બાંધો એવો છે. ક્યારેક આ બધી દલીલોને બદલે તે એક જ નિવેદન આપીને ચર્ચાનો અંત આણી દે છે,મારું વજન પહેલેથી આટલું જ છે. એ મને ખબર હોય કે તમને?’ જમણા પગમાં દુઃખાવો હોવા છતાં ડાબા પગે ઓપરેશન શરૂ કરતા ડોક્ટર છાંછિયું કરીને ડોક્ટર હું છું કે તમે?’ પૂછે, એવી આ વાત છે.

તેમ છતાં, કોઈ એક ચોઘડિયે વજન વધ્યાની વાત જોર પકડે, એટલે સૌથી પહેલાં વિવાદાસ્પદ માળખાનું સાચું વજન, અને ખાસ તો, તેમાં થઈ રહેલી વૃદ્ધિ માપવા માટે વજનકાંટો ખરીદવાનો નિર્ણય લેવાય છે. મૂળ યોજના તો દર અમુક દિવસે ઓળખીતા ડોક્ટરને ત્યાં જઈને વજન કરવાની હોય છે, પણ તેમાં નિયમિતતા જળવાતી ન હોવાથી, ચાઇનીઝ બનાવટના વજનકાંટાનું બજેટ મંજૂર કરવામાં આવે છે અને એક દિવસ ઘરમાં નવા સભ્યનું આગમન થાય છે,

ગામમાં ચોમેર સ્વદેશીનાં હોર્ડિંગ વાગ્યાં હોય ત્યારે ઘરમાં ચાઇનીઝ વજનકાંટો આણવાથી દેશદ્રોહ તો નહીં થાય? એવો વિચાર આવી જાય છે, પણ જીવનજરૂરી ન હોય એવી ચીજો પણ વિદેશી બનાવટની વાપરતા વડાપ્રધાનને જોઈને થોડું સાંત્વન મળે છે. વજનકાંટો ચાઇનીઝ હોવાથી, કેટલાક ચાઇનીઝ ભોજનપ્રેમી સભ્યો એવી આશા રાખે છે કે ખોખામાંથી કાંટાની સાથે સોયા સોસની એકાદ બોટલ પણ નીકળે તો સારું. પરંતુ તેમને સોસ નહીં, નિરાશા મળે છે. કેમ કે, વજનકાંટો આણવાનું અંતિમ પ્રયોજન ભોજનની માત્રા વધારવાનું નહીં, પણ ઘટાડવાનું હોય છે.

વજનકાંટાને બેટરી નાખીને ચાલુ કર્યા પછી, પહેલી વાર વજનકાંટા પર ઊભા રહેવાની ક્ષણ મોમેન્ટ ઓફ ટ્રુથ—સચ્ચાઈનો સામનો કરવાની ક્ષણ હોય છે. દિલની ધડકન વધી જાય છે. ઇશ્વરમાં ન માનનારાના મનમાં પણ ઘડીક ઇશ્વરસ્મરણનો ઝબકારો આવી જાય છે. છેવટે, યાહોમ કરીને પડવાના જુસ્સા સાથે કાંટા પર બડે અરમાનસે પહેલો પગ અને પછી બીજો પગ મુકવામાં આવે છે. તે સાથે જ કાંટો ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ, શૂન્યના આંકડાથી અપાકર્ષણ અનુભવતો હોય તેમ, તેના સામા છેડે જઈને ઊભો રહે છે. વજન કરાવનાર અને આસપાસ ઊભેલાં કુટુંબીજનો ઉચ્ચકજીવે કાંટો ક્યાં જઈને ઠરે છે તેની રાહ જુએ છે. ઘણાખરા કિસ્સામાં કાંટો અપેક્ષા કરતાં થોડે આગળ જ પહોંચ્યો હોય છે. એટલે, વજન કરાવનાર કાંટો તૈયાર કરનારની ઉલટતપાસ કરે છે. તેં કેલિબરેશન તો કર્યું હતું ને? મારો પગ મુકાવતાં પહેલાં કાંટાને ઝીરો પર તો આવવા દીધો હતો ને? કાંટો ડીફેક્ટિવ-બગડેલો તો નહીં હોય ને?’ પરંતુ બધી શક્યતાઓને એક પછી એક નાબૂદ કર્યા પછી, કાંટાએ ચીંધેલું વજન, કોઈ ઋષિમુનિએ આપેલા શ્રાપની જેમ, ન છૂટકે સ્વીકારવું પડે છે.

નામને સાર્થક કરતા કાંટાએ દર્શાવેલા વજનના આંકડાની અણી એવી ભોંકાય છે કે તેની અસર હેઠળ આકરા સંકલ્પ લેવાય છે. સૌથી પહેલાં, વજન પર ચાંપતી નજર રાખવા માટે રોજ વજન કરવાનું ઠરે છે, પણ પછી કોઈ સમજાવે છે કે મહિને એક વાર વજન કરવાનું પૂરતું છે—બાકીના દિવસોમાં યાદ રાખવાનું કે મહિને એક વાર વજનનો દિવસ આવવાનો છે.

એકાદબે મહિના આ રીતે વજન કર્યા પછી, ધીમે ધીમે વજન કરવાનો દિવસ કયામતના દિવસ જેવો લાગવા માંડે છે. વજન કરવાનું હોય તેના આગલા દિવસે ઉપવાસ કરીને કાંટાની સાન ઠેકાણે લાવવાનું મન થાય છે, પણ એવું શક્ય બનતું નથી. બીજા દિવસની સવાર પડે અને કાંટા પર વજન કરવાનું આવે, એટલે માણસ વિચારે છે કે કાંટાને શી રીતે મહાત કરવો? શરીરની અંદરનું વજન ઓછું કરવાના વિકલ્પે, તે એટલા સમય પૂરતું શરીરની ઉપર રહેલું વજન ઘટાડવાના પ્રયાસ કરે છે. શરીર જાણે ડૂબતી નાવ હોય એમ, તે ઓછુંવત્તું વજન ધરાવતી તમામ વસ્તુઓને ફગાવવા માંડે છે. જીન્સના પેન્ટને બદલે સુતરાઉ લેંઘો પહેરીને, ચશ્મા કાઢીને, પટ્ટો ઉતારીને, ભૂલથી ખિસ્સામાં પેન કે મોબાઇલ ન રહી જાય તેની ચીવટ રાખીને, તે કાંટાનું આરોહણ કરે છે. પરંતુ કાંટો પોતાની નિર્જીવતા પુરવાર કરતાં, અગાઉની એકેય ચેષ્ટાથી પ્રભાવિત થતો નથી અને વજનના અણગમતા આંકડે જઈને ઊભો રહે છે.

આવું દરેક વખતે થતાં, વજન કરાવનાર કાંટાની બેવફાઈથી હતાશા અનુભવે છે અને વિચારે છે કે હવે આ કાંટાનો કાંટો શી રીતે કાઢવો? કાંટામાં કિલોગ્રામ ઉપરાંત બીજા એકમોમાં વજન માપવાનો વિકલ્પ હોય છે. છતાં, તેનાથી આશ્વાસન મળતું નથી. ભારતના નાગરિકો એવું પણ શોધી જુએ છે કે કાંટામાં ક્યાંય છૂપો સ્લોટ (ખાંચો) છે, જેમાંથી રૂપિયા અંદર સેરવીને કાંટા પાસેથી વજનનો ધાર્યો આંકડો મેળવી શકાય?

પરંતુ જેમ કફનને ખિસ્સાં હોતાં નથી, તેમ કાંટાને ખાંચા હોતા નથી. એ ફક્ત કાંટાનું નહીં, વજનનું—અને જીવનનું--પણ સત્ય છે. તે કાંટા પાસેથી સમજવા મળે તો, ગમે તેટલા વાંધા છતાં, કાંટા માટે ખર્ચેલા રૂપિયા વસૂલ લાગે છે. 

Sunday, December 28, 2025

હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છેઃ પ્રતાપ ભાનુ મહેતા



ગઈ કાલે 'અચ્યુત યાજ્ઞિક સ્મૃતિ વ્યાખ્યાન'માં પ્રતાપ ભાનુ મહેતાએ સિવિલાઇઝેશન (સભ્યતા) અને 'સિવિલાઇઝેશનલ સ્ટેટ'ની વાત કરી.

તેમણે એ મતલબનું કહ્યું કે 'સિવિલાઇઝેશનલ સ્ટેટ' યુરોપથી આવેલા 'નેશન સ્ટેટ'થી પણ આગળનું પગથીયું છે, જેમાં પોતાની જૂની સભ્યતાને જ કેન્દ્રમાં રાખવાની અને આધુનિક નેશન સ્ટેટનાં બંધારણથી માંડીને બીજાં બધાં અંગોને ગૌણ ગણવાની વાત હોય છે. સિવિલાઇઝેશનલ સ્ટેટ ભૂતકાળની સભ્યતાની મૂડી લઈને આગળ નથી વધતું. તે ભૂતકાળમાં જ ગોંધી રાખવા ઇચ્છે છે.
આમ તો એવું થાય કે જૂની સભ્યતાને કેન્દ્રમાં રાખવામાં વાંધો શો છે? પણ વાંધો એ છે કે સભ્યતા એટલે શું, તે નક્કી કરવાની આપખુદશાહી સત્તા કેવળ સત્તાધીશ પાસે હોય છે, જે નેશન સ્ટેટના માળખા પ્રમાણે ચૂંટાઈને આવે છે, પણ ત્યાર પછી એ માળખાને બદલ સભ્યતાની સગવડિયા માળા જપે છે. હકીકતમાં તેને સભ્યતાના બહાને પોતાની સત્તા ટકાવવા-વધારવામાં જ રસ હોય છે. અમુક હજાર વર્ષની સભ્યતાના એક માત્ર પ્રતિનિધિ અને તેના અર્થઘટનનો ઇજારો ધરાવતા જણ તરીકે શાસકો બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ સહિતની બધી જ બાબતોનો છેદ ઉડાડતા જાય છે.
શરૂઆતમાં તે લોકસમર્થન (ચૂંટણીમાં મળેલા મત)ના જોરે પોતાનો દંડો પછાડતા હોય છે, પણ પછી તો તેનું મહત્ત્વ પણ ઓછું થઈ જાય છે અને મુખ્ય જોર 'અમુક હજાર વર્ષ જૂની સભ્યતાના એકમેવ પ્રતિનિધિ' તરીકેનું જ બની જાય છે. તેના જોરે તે ગમે તેવાં બિનલોકશાહી, સરમુખત્યારી પગલાં પણ સભ્યતાને આગળ કરીને લોકોના માથે મારી દે છે.
તેમણે કહ્યું કે અત્યારની સરકાર અને આરએસએસ મુસ્લિમ આક્રમણ, અંગ્રેજોનું આક્રમણ અને નહેરુ સરકાર--આ ત્રણને આપણી જૂની સભ્યતામાં પડેલાં મોટાં ભંગાણ માને છે (જે તેમનું સગવડીયું અને ઐતિહાસિક-તથ્યાત્મક રીતે ટકી ન શકે એવું વિકૃત અર્થઘટન છે.). એટલે તેને ભૂંસવા માટે તે બધા પ્રયાસ કરે છે. (અત્યારના ભાઈલોગના કહેવાતા સભ્યતા-પ્રેમમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખીએ તો શું બચે, એ વળી અલગ સવાલ છે)
તેમણે કહ્યું કે હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે. કારણ કે હિંદુત્વે હિંદુ ધર્મને કોલોનાઇઝ કર્યો છે. (લગભગ કોલોનાઇઝ શબ્દ જ વાપર્યો હતો, છતાં ભૂલચૂક લેવીદેવી. સાર એ જ હતો.) ગુજરાતીમાં કહીએ તો, હિંદુત્વે હિંદુ ધર્મને બથાવી પાડ્યો છે.
એક મુદ્દો તેમણે એવો કર્યો કે આપણા બંધારણમાં આણેલાં મૂલ્યો વિશે ડાબેરીઓ અને જમણેરીઓ એવી ટીકા કરતા રહ્યા કે આ બધાં ઉછીનાં પશ્ચિમી મૂલ્યો છે. તેની સામે, આ મૂલ્યો હકીકતમાં ભારતીય સભ્યતામાંથી જ આવેલાં છે--એ હકીકત ભારપૂર્વક સ્થાપિત કરી શકાઈ નહીં.
આખું વ્યાખ્યાન બાકાયદા પોલિટિકલ સાયન્સના લેક્ચર જેવું હતું, એ તેની ખૂબી તરીકે, અને મર્યાદા તરીકે પણ, કહી શકાય.
(તા.ક. કશી લેખિત નોંધ વિના, બીજા દિવસે સવારે ઉઠ્યા પછી મનમાં રહી ગયેલા આ કેટલાક મુદ્દા છે. આખા વ્યાખ્યાનનું રેકોર્ડિંગ થયું છે. તે ઉપલબ્ધ થશે એમ માનું છું.)

Thursday, December 25, 2025

વજનનો ‘વિકાસ’

પહેલી વાર ડોક્ટર કહે કે ‘તમારું વજન વધારે છે’, ત્યારે મોટા ભાગના લોકો મૂછમાં હસીને મનોમન વિચારે છે, ‘ખબર છે. અત્યાર સુધી એના માટે તો આટલી મહેનત ને દોડાદોડ કરી છે. હવે નહીં વધે તો ક્યારે વધશે?’ આ જવાબ બોલાય નહીં તો પણ હોંશિયાર ડોક્ટરોને તે સંભળાઈ જતો હોય છે. એટલે તે કહે છે,’વજન એટલે તમારા મોભાની વાત નથી કરતો—એ તો વધ્યો જ છે ને એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું તો તમારા શારીરિક વજનની વાત કરું છું.’

મોટા ભાગનાં માતાપિતાને તેમનું સંતાન ક્યારે મોટું થઈ જાય, તેની ખબર પડતી નથી. તે વિચારે છે કે હજુ હમણાં તો આપણે એને તેડીને ફરતા હતા, એકડીયું-બગડીયું શીખવાડતા હતા, સાયકલ તો હમણાં શીખવાડી, ને આ હવે પ્રેમમાં પડવાની ને પરણવાની વાત કરે છે? જેમ સંતાનો ધીમે ધીમે મોટાં થવા છતાં, તે અચાનક મોટાં થઈ ગયાં હોય એવું લાગે છે, તેમ શારીરિક વજન પણ ધીમે ધીમે વધવા છતાં, તે અચાનક વધ્યું હોય એમ લાગે છે. વજનધારકને તો એમ જ થાય છે કે હજુ તો મારા લગ્ન વખતનાં શર્ટ હું આરામથી પહેરી શકું છું. એવું કંઈ વજન વધી ગયું નથી. હા, થોડું શરીર ભરાયું છે ને ગાલ થોડા વધારે ભરાયા છે, પણ એ તો સુખની નિશાની. એને કંઈ વજન વધ્યું ન કહેવાય. આ ડોક્ટરો તો અમથા...
ડોક્ટરો અને એલોપથી પ્રત્યેની અશ્રદ્ધા જાહેર કરીને થોડા સમય સુધી વજનવધારા પ્રત્યે આંખ આડા કાન કરી શકાય છે, પરંતુ મન કોને કહ્યું છે? એક વાર ડોક્ટરે ‘વહેમ ઘાલ્યો’, પછી અરીસામાં જોતી વખતે વધેલા વજનના છૂટાછવાયા પુરાવા નજરે પડવા લાગે છે. ખ્યાલ આવે છે કે શરીર ફક્ત ભરાયું નથી, ઠીક ઠીક ભરાયું છે. લગ્ન વખતે લીધેલું શર્ટ જરા ખુલતું હતું, એટલે હવે આવી રહે છે. પણ વચ્ચેનું બટન ક્યારેક આપમેળે ખુલી જાય છે. પહેલાં લાગતું હતું કે તેનો ગાજ ઢીલો થઈ ગયો હશે, પણ ડોક્ટરની ટકોર પછી સમજાય છે કે ગાજ ઢીલો નથી થયો, શર્ટ ફીટ થયું છે. પહેલાં પેટ ટેકરી જેવું હતું, તે ધીમી પણ મક્કમ ગતિએ વધીને ડુંગરા જેવું થયું છે અને ડોક્ટરને ચિંતા છે કે તે પહાડ જેવું ન થઈ જાય.
ડોક્ટરો ખોટેખોટું ભડકાવે છે, એવું આશ્વાસન ઘણા દિવસો સુધી લીધા પછી પણ, બધી વખત મન માનતું નથી. ક્યારેક અંતરાત્માનો અવાજ આવે છે કે ‘હે જીવ, ક્યાં સુધી તું જાતને છેતર્યા કરીશ? અત્યાર લગી તે વધતા વજનની સતત અવગણના કરી છે, પણ તારું પેટ હવે પોકારી પોકારીને કહે છે કે મને વધતું રોકો, મને અટકાવો.’ સંદર્ભ ભલે જુદો હોય, પણ ‘જેને કોઈ ન પહોંચે, તેને તેનું પેટ પહોંચે’—એ વાત વજનવધારાની બાબતમાં પણ સાચી પુરવાર થાય છે. અત્યાર લગી કુટુંબીજનો, હિતેચ્છુઓ, ડોક્ટરો અને સ્વઘોષિત
આરોગ્યનિષ્ણાતો સહિતના લોકોના ટોકવા છતાં ન ગાંઠતો માણસ, છેવટે વધતા પેટમાંથી ઉઠતા અવાજ ભણી ધ્યાન આપવા પ્રેરાય છે. તેને થાય છે કે બીજી ચર્ચા જવા દઈએ તો પણ, પેટ અને વજન વધ્યાં છે એ તો હકીકત છે.
આટલો સ્વીકાર આવ્યા પછી પણ રસ્તો સહેલો નથી. ઘણા લોકોના મનમાં તો આ સ્વીકાર તે વ્યાપક નકારનો હિસ્સો હોય છે. કેમ કે, તે વિચારે છે, ‘જેમ સારો કોલેસ્ટેરોલ અને ખરાબ કોલેસ્ટેરોલ હોય છે, તેમ સારું વધેલું પેટ અને ખરાબ વધેલું પેટ પણ નહીં હોય?’ પછી ડોક્ટર હળવાશથી સમજાવે છે કે સગર્ભા સ્ત્રીઓ સિવાયના કિસ્સામાં બીજી સંભાવના જ લાગુ પડે છે. એટલે હવે પેટ તમને અટકાવી દે, એ પહેલાં તમે પેટને આગળ વધતું અટકાવો.
આરોગ્યને હળવાશથી લેનારા વિચારે છે,‘એમાં શી ધાડ મારવાની છે?’ અત્યાર સુધી જેટલી સહજતાથી તે વધ્યું, એટલી જ સહેલાઈથી તેને ઉતારી દઈશું. પણ ટ્રેકિંગ કરનારા લોકો જાણે છે કે સલામત રીતે ચડવા કરતાં સલામત રીતે ઉતરવાનું વધારે અઘરું નીવડી શકે છે. એવું જ પેટના મામલે થાય છે. તે વધતાં વધી તો જાય છે, પણ તેને ઉતારવાનું ભારે કામ છે. જેમ સંતાનપ્રાપ્તિ માટે, તેમ પેટ ઉતારવા માટે પણ લોકો ‘પથ્થર એટલા પૂજે દેવ’ કરે છે, કંઈક પાઉડરો ને પ્રવાહીઓ અજમાવે છે, અવનવા ટુચકા કરે છે ને ઓસડિયાં ખાય છે. વ્યાવસાયિક ચાલતાં કસરતાલયો (જીમ)ના સભ્ય બને છે. આ બધું તે એટલા માટે કરે છે, જેથી ડોક્ટરે જે કહ્યું છે તે કરવું ન પડે. ડોક્ટરો ખાવાપીવા પર ખાસ્સો અંકુશ મુકવાની અને નિયમિત કસરત કરવાની વાત કરે છે.
સામાન્ય માણસની ભાવના બને ત્યાં સુધી એવી હોય કે આવું કશું કર્યા વિના, થોડું આમતેમ કરવાથી, કસરત-બસરત કરવાથી કે જિમમાં જવાથી કે અમુક પાઉડરો પીવાથી વજન કાબૂમાં આવી જતું હોય તો પહેલાં એ પ્રયત્ન કરી જોવો જોઈએ. તેમાં ખાસ્સો સમય વીતે છે, પણ ધાર્યું પરિણામ મળતું નથી. બધી બાજુથી હાર્યા પછી તે ફરી એક વાર ડોક્ટરને મળે છે અને પહેલી વાર તેમણે શું કહ્યું હતું તે, આ વખતે અમલ કરવાના પવિત્ર ઇરાદા સાથે, સાંભળે છે.
પણ એ તો હિમાલય ચઢવા માટે ઘરેથી ટ્રેનમાં બેસવા જેવું પહેલું પગથીયું હોય છે.