Thursday, May 18, 2023
ગરમી ખાળવાના ઉપાય
કેટલાક લોકો પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે—પછી ભલે તે સમાધાનમાં બીજી સમસ્યાઓ છુપાયેલી હોય. એવા જ્ઞાનીજનો ક્યારેક મોટિવેશનલ સ્પીકર સ્વરૂપે તો ક્યારેક સ્વઘોષિત ગુરુ તરીકે, ક્યારેક મૂલ્યનિરપેક્ષ પોઝિટિવ થિંકિંગના પડીકા તરીકે તો ક્યારેક વિશુદ્ધ સરકારી અફસર તરીકે સમાજ પર ખાબકતા રહે છે. ગરમીનો ચઢતો પારો અચ્છાખાસા સ્વસ્થ માણસોને દેવદાસ (હારેલા) બનાવવા લાગે, ત્યારે ગરમી વિશેનું ચિંતન શરૂ થાય છે. ગરમી ચાળીસ ડિગ્રીને વટાવી જાય તો તેનાથી બચવા શું કરવું જોઈએ? એવો સવાલ આગળ જણાવેલી પ્રજાતિને કરવામાં આવે તો કેવા જવાબ મળી શકે? કેટલીક કલ્પનાઃ
‘આ બધું તો ભાઈ, આપણી પર છે. આપ ભલા તો જગ ભલા.’ તેમને યાદ કરાવવામાં આવે કે તમારું જેનરિક માર્ગદર્શન નહીં, પણ ચોક્કસ વિષય પરની તમારી સલાહ માગવામાં આવી રહી છે. ત્યારે તે કહી શકે છે, ‘ઓહો, ગરમી. ગરમી વિશે અને ઉનાળાની બપોરના સૌંદર્ય વિશે કાકાસાહેબ કાલેલકરનો એક સરસ નિબંધ છે. એમ તો મેં પણ કાકાસાહેબના પગલે ચાલીને એક નિબંધ લખેલો. બસ, એ હવે પાઠ્યપુસ્તકમાં આવે એની જ રાહ છે.’ તેમની વાત સાંભળીને એવું જ લાગે, જાણે પાઠ્યપુસ્તકમાં તેમના નિબંધના સમાવેશથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉકલી જશે.
મોટિવેશનલ સ્પીકરોને ઉકેલ પૂછતાં એ કહી શકે છે, ‘એક વાર હું અમેરિકામાં હતો અને અચાનક ગરમી વધી ગઈ.’ તેમને ખબર હોય છે કે લોકોને વાર્તા બહુ ગમે છે અને વિચારવાનો બહુ કંટાળો છે. એટલે તેમને વાર્તાઓ કહેવી અને એવું ઠસાવવું કે આવી વાર્તાઓથી તમારી વિચારશક્તિ બહુ ખીલશે અથવા ખીલી ચૂકી છે, તમે જ જગતનું શ્રેષ્ઠ ઓડિયન્સ છો અને અમેરિકા પણ મારી સલાહ માગે તો હું આપવા તૈયાર છું. તમને થશે કે આખી વાતમાં ગરમીનો મુકાબલો શી રીતે કરવો એ વાત તો આવી જ નહીં. પણ મોટિવેશનલોનું ઘણુંખરું એવું જ હોય. તેમાં મુદ્દો નહીં, તે મુદ્દાની આસપાસ પોતાને કે પોતાના ધારી લીધેલા શાણપણને કેન્દ્રમાં રાખીને તેમણે બનાવેલી વાર્તા મુખ્ય હોય છે.
છૂટકના ભાવે જથ્થાબંધમાં મોટિવેશન વેચતા બીજા પ્રકારના મોટિવેશનવિક્રેતાઓની પીન એ વાત પર ચોંટી ગઈ હોય છે કે આપણે ધારીએ તો કશું અશક્ય નથી. પાણીપુરીમાંથી પાણી રકાબીમાં ન ઢળે એવી રીતે કેમ ખાવું ત્યાંથી માંડીને ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓ કેમ ચલાવવી, ત્યાં સુધીની વાતો અને ખાસ તો માલેતુજારોનાં કિસ્સાકહાણી હાથવગાં રાખે છે--ન જાણે ક્યારે તેની જરૂર પડી જાય. તેમને ગરમી વિશે પૂછવામાં આવે તો તે કહી શકે છે, ‘લોકોને ધીરુભાઈ અંબાણી થવું છે, પણ ગરમી સહન થતી નથી. એવું શી રીતે ચાલે?’ અને પછી ધીરુભાઈએ વેઠેલી ગરમીના ધીરુભાઈને પણ ખબર ન હોય એવા કિસ્સા તે કહી શકે છે. ઝકરબર્ગ, મસ્ક, બિલ ગેટ્સ, વોરન બફેટ જેવાં નામ તેમના મોઢેથી એવી રીતે નીકળે છે, જાણે એ બધા એક પાટલી પર બેસીને ભણ્યા હોય અને આ જણ એકલો જ આ મહત્ત્વના કામ માટે પડતર રહી ગયો હોય.
કેટલાક વક્તાઓ રોજ પોતાના વિશે જૂઠો ભ્રમ સેવવાને કારણે જોતજોતાંમાં પોતે જ પોતાની મહાનતાના પ્રેમમાં પડી જાય છે. નાર્સિસસ એકલો અમથો બદનામ થયો. તે આ પ્રજાતિને સાંભળે તો તેને ખ્યાલ આવે કે તેમણે કેટલો વિકાસ સાધ્યો છે. આ જૂથના લોકો સમક્ષ ગરમી વિશે ફરિયાદ કરતાં તે કહી શકે, ‘મને તો કદી ગરમી લાગતી જ નથી. કારણ કે હું કાયમ એસીમાં રહું છું. આટલું સિમ્પલ સોલ્યુશન છે, પણ આપણા લોકોને ખોટી ફરિયાદો કરવાની ખોટી ટેવ પડી ગઈ છે. હાય ગરમી, હાય ગરમી શું કરવાનું? તરબૂચ ખાવ, કેરીનો રસ ખાવ (કે પીઓ), ફાલસાનો જ્યુસ પીઓ, છાશ પીઓ, લસ્સી પીઓ—આટલા બધા તો વિકલ્પ છે. દરેક બાબતમાં ગરીબી-ગરીબીને શું રડવાની? પણ જાતે હાડકાં હલાવવાં ન હોય તેનું શું થઈ શકે? આપણો દેશ આમ જ પાછળ રહી ગયો છે. બાકી, હું જ્યારે ટિમ્બકટુ ગયો ત્યારે ત્યાંના મેયરે સ્વાગતપ્રવચનમાં મારા વિચારોથી અભિભૂત થઈને કહ્યું હતું કે...’
થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમ વખતે ગરમીને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. અલબત્ત, એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલાઓમાં જેમનો કશો વાંક નીકળ્યો ન હોય, તેમનો ગરમીમાં થયેલાં મરણ માટે તો શી રીતે વાંક હોઈ શકે? આવા મહાનુભાવોની ભક્તસેના અને ટ્રોલસેના સમક્ષ ભૂલેચૂકે ગરમીના પ્રકોપની વાત કરવામાં આવે તો તે તરત મેદાનમાં આવી જશે, ‘તમને તો બધું વાંકું જ દેખાય છે. અગાઉની સરકારો વખતે તમે ક્યાં ગયા હતા? તમે બધા દંભી સેક્યુલરિયા ડાબેરી રાષ્ટ્રવિરોધી હિંદુવિરોધી (આ બધું એક સાથે જ અને બને ત્યાં સુધી સમજ્યા વિના બોલવાનો રિવાજ છે)... કંઈ ન ચાલ્યું તો છેવટે ગરમીની ફરિયાદ કરીને સરકારને બદનામ કરવા આવી પહોંચ્યા? ખબરદાર હવે ફરી ગરમીના પ્રકોપ વિશે ફરિયાદ કરી છે તો. અમારે ધાર્મિક-સમકક્ષ બની ગયેલી રાજકીય લાગણી દુભાવવા બદલ તમને સીધા કરવા પડશે.’
દુભાવાના-દુઃખી થવાના કિસ્સામાં માનવીય લાગણી ગૌણ અને બાકીની લાગણીઓ મુખ્ય બની
જાય, ત્યારે પેદા થતું (પ્ર)દૂષણ સમાજના પર્યાવરણ માટે જોખમી બની જાય છે. ઉદાહરણ
ટાંકવાની જરૂર લાગે છે?
Tuesday, May 02, 2023
દાંતના દુખાવા પર સર્જિકલ સ્ટ્રાઇક
દાંત
કાઢવા ને કઢાવવામાં કેટલો ફેર છે, તે સમજવા ભાષા શીખવાની જરૂર નથી. એક વાર દાંતનો
(કે દાઢનો) દુખાવો ઉપડે, એટલે તે સમજાઈ જાય છે. સમાધાનના બધા પ્રયાસ કર્યા પછી ‘યુદ્ધ એ જ કલ્યાણ’ની ભૂમિકાએ પહોંચતા જણની જેમ, દાંતનો
દુખાવો નાથવાના નિષ્ફળ પ્રયાસ પછી છેવટે સર્જિકલ સ્ટ્રાઇકનો વિકલ્પ પસંદ કરવામાં
આવે છે. દુખાવગ્રસ્તને ખબર હોય છે કે પીડામુક્તિનો વિકલ્પ પોતે ઓછો પીડાદાયી નથી.
છતાં, લાંબા ગાળાની પીડા ટાળવા તે ટૂંકા ગાળાની પીડા વહોરી લેવાનું અને
ખાંડણિયામાં માથું મુકવાનું પસંદ કરે છે.
દુખતા દાંતના કિસ્સામાં ખાંડણિયાની ભૂમિકા ખુરશી ભજવે છે, પણ તેના વિશે દુખાવાગ્રસ્તને ધીમે ધીમે જાણ થાય છે. દુખતો દાંત લઈને તે ડોક્ટર પાસે પહોંચે ત્યારે વેઇટિંગ રૂમમાં દાંતની સારવારને લગતી સામગ્રી ચોતરફ દાંતીયાં કરતી હોય એવું લાગે છે. કેટલાંક દવાખાનાંમાં વેઇટિંગ રૂમ અને દંતચિકિત્સાખંડ વચ્ચે અભેદ્ય પડદો કે બારણું હોય છે. તેથી અંદર શું ચાલતું હશે તેની દર્દીએ કલ્પના કરવાની રહે છે. દાંતના દુખાવાને કારણે અને ખાસ તો અંદર ગયા પછી શું થશે, તેની કલ્પનાને કારણે દંતપીડિત પર વેઇટિંગ રૂમના એસીની અસર થતી નથી. કેટલાંક દવાખાનાં પારદર્શકતામાં માને છે. તેમાં બહાર બેઠેલો દર્દી અંદર શું ચાલે છે તે જોઈ શકે છે. તે સમયની દંતપીડિત ‘હવે મારો વારો છે’–ની બેચેની અનુભવે છે.
આખરે તેડું આવે છે અને દંતપીડિતને અંદર પ્રવેશ મળે છે. ત્યાંની સૌથી ધ્યાનાકર્ષક ચીજ હોય છે ખુરશી. ખુરશીની ખેંચતાણમાં કોઈ પણ હદે જેવું, એ માણસની સામાન્ય તાસીર હોય છે, પરંતુ ડેન્ટિસ્ટની ખુરશીને તેમાં અપવાદરૂપ ગણવી પડે. તેને જોતાં જ માણસના મનમાં ખુરશી પ્રત્યે વૈરાગ્યભાવ પેદા થાય છે. એવો વિચાર પણ આવે છે કે હોદ્દેદારો માટે ગાદીવાળી રિવોલ્વિંગ ચેરને બદલે ડેન્ટલ ચેર રાખી હોય તો કદાચ હોદ્દા માટે બહુ ખેંચતાણ ન થાય.
ડેન્ટિસ્ટની ખાસ પ્રકારની ખુરશીમાંથી બીજાં બધાં લટકણિયાં કાઢી લેવામાં આવે તો તે એટલી આરામદાયક હોય છે કે તેની પર આરામથી લાંબા થઈને સુઈ શકાય. પરંતુ દર્દી તરીકે ત્યાં બેસવાનું હોય ત્યારે તે બધા આરામ સહિત કાંટાળી લાગે છે. કોઈ માણસને કહેવામાં આવે કે ‘તારા જીવનના ત્રીસ દિવસ બાકી રહ્યા છે અને એટલા દિવસમાં તારે જે મોજ કરવી હોય તે કર’, તો મોટા ભાગના લોકોને ભલભલી આનંદદાયક પ્રવૃત્તિ વખતે પણ મનમાં અજંપો રહે. એવું જ આ ખુરશીનું હોય છે. જે સંજોગોમાં તેની પર બેસવાનું થાય છે, તેમાં તેની આરામદાયકતાની નિરાંતને બદલે અમંગળની આશંકા જ મનમાં છવાયેલી રહે છે. સાથે, સ્વસ્થ રહેવાના પ્રયાસરૂપે એવો વિચાર પણ આવી જાય છે કે ચાર્લી ચેપ્લિન આવી ખુરશીને લઈને કેટકેટલી ગમ્મતો કરી શકે?
છબીમાંના ભગવાનની જેમ ડેન્ટિસ્ટની ખુરશી પણ ચાર હાથવાળી હોય એવું લાગે છે. તેની દરેક બાજુએ કોઈ ને કોઈ પ્રકારની સામગ્રી ગોઠવાયેલી હોય છે. એટલે તે કોઈ સાઇ-ફાઇ ફિલ્મના સજ્જ યંત્રમાનવ જેવી પણ લાગી શકે છે. ડોક્ટર ન આવે ત્યાં સુધી એ ખુરશી પર માથું ઢાળીને બેઠેલો જણ ખુરશીનાં આજુબાજુનાં લટકણીયાં જોવા-સમજવાનો પ્રયાસ કરે છે. પણ તેનાથી મન બીજે વળવાને બદલે, ખુરશીના જુદા જુદા હિસ્સા શી રીતે દાંત પરના આક્રમણ માટે ઉપયોગમાં લેવાશે, તેના વિચારે ચડી જાય છે. તેનાથી બેચેની વધતાં તે ખુરશીનો અભ્યાસ માંડવાળ કરીને, શાંતિથી ડોક્ટરની રાહ જોવાનું પસંદ કરે છે.
ડોક્ટર આવતાં પહેલાં તેમના સહાયકો આવીને નિર્જીવ લાગતી ખુરશીમાં પ્રાણપ્રતિષ્ઠાનો આરંભ કરે છે. ખુરશી પર બેઠેલા જણ ઉપર ત્યારે કશું જ થતું ન હોવા છતાં, તેની આસપાસની ગતિવિધિ જે રીતે શરૂ થાય તે જોઈને તેને લાગે છે કે હવે સર્જિકલ સ્ટ્રાઇકનો સમય આવી પહોંચ્યો છે. એવામાં કમાન્ડર-ઇન-ચીફ જેવા ડોક્ટર પ્રગટ થાય છે. તે આવીને બધું જુએ છે, દર્દીને થોડું આશ્વાસન અને થોડી હૈયાધારણ આપે છે અને દર્દીનું મોં પહોળું કરીને કામગીરીનો આરંભ કરે છે.
ડેન્ટિસ્ટને ત્યાં જતાં પહેલાં, મોં મહત્તમ પહોળું કરવાની પ્રેક્ટિસ પાણીપુરી ખાતી વખતે હોય છે. પરંતુ ખુમચા પર મોં પહોળું કરીને પુરી અંદર પધરાવ્યા પછી, તરત મોં બંધ કરવાની રજા હોય છે. ડેન્ટિસ્ટને ત્યાં મોં પાણીપુરી મુકતાં કરવું પડે તેનાથી પણ વધારે ખોલવું અને પછી ખુલ્લું રાખવું પડે છે. ત્યાંથી કસોટીની શરૂઆત થાય છે. મોં પહોળું રાખવાનું અઘરું પડે ત્યારે ડોક્ટર આશ્વાસન, પ્રોત્સાહન અને ઠપકાના મિશ્રણ જેવાં વચનો ઉચ્ચારીને, દર્દીના મોંમાં કશોક નક્કર પદાર્થ મુકીને મોં પહોળું રાખે છે. ત્યારે મનોદશા એવી હોય છે કે તે નક્કર પદાર્થ પણ ચાવી જવાનું મન થાય.
એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યા પછી દર્દીની દશા વર્તમાન શાસકોના સમર્થકો જેવી થઈ જાય છે. તેમને એવું લાગે છે કે આ બધું તો બીજા સાથે થઈ રહ્યું છે ને મારે એની સાથે કશી લેવાદેવા નથી. છેવટે ડોક્ટર કામગીરી પૂરી થયાની જાહેરાત કરે ત્યારે, એનેસ્થેશિયાની અસરથી મોં દડા જેવું થઈ ગયું હોય એવું લાગે છે, પણ ખુરશીમાંથી મુક્તિ મળ્યાના આનંદમાં બાકીનું બધું ભૂલાઈ જાય છે.
Wednesday, April 26, 2023
દાંતનો દુખાવો
આસ્તિકો માને છે કે ‘દાંત આપનાર ચાવણું (ચવાણું નહીં) પણ
આપશે.’ તે વિશે
મતમતાંતર હોઈ શકે છે, પણ એક વાત નક્કી છેઃ દાંત આપનાર દાંતનો દુખાવો પણ આપે છે. (દાંતમાં
દાઢનો પણ સમાવેશ ગણી લેવો)
એવી કથા સાંભળેલી કે ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે લઈ જતા હતા, ત્યારે એક માણસને તેના દુખતા દાંતની પરવા હતી. આ વાત ભલે તે માણસની અસંવેદનશીલતાની ટીકા માટે હોય, પણ એક વાત નકકી છેઃ તે કથા રચનારને પોતાને કદી દાંતનો દુખાવો નહીં થયો હોય. બાકી, તેને સમજાયું હોત કે દાંતના દુખાવાની પીડા ઉપડ્યા પછી માણસને ઇસુ ખ્રિસ્તના નહીં, પોતાના વધસ્તંભની પીડા પણ ગૌણ લાગી શકે. કારણ કે, તે પીડા અભૂતપૂર્વ હોય છે.
મહાન સર્જકો પરકાયાપ્રવેશ કરીને બીજાનાં મનોજગત આલેખી શકે છે, પણ સ્વાનુભવ વિના બીજાના દાંતની પીડાનું આલેખન લગભગ અશક્ય છે. તે સચ્ચાઈ પહેલી વાર દાંતની પીડા ઉપડે ત્યારે જ સમજાય છે. સાથે એ પણ ખ્યાલ આવે છે કે આપમુઆ વિના સ્વર્ગે ભલે ન જવાય, પણ નરકે તો જઈ શકાય છે. કેમ કે, દાંતમાં ઉપડેલી ભયંકર પીડા સદેહે નરકનો અનુભવ કરાવે એવી હોય છે.
દાંતનો દુખાવો ઉપડવાનું કોઈ તત્કાળ કારણ હોય એવું જરૂરી નથી. માણસ હસતો-રમતો હોય અને અચાનક તેની મુખરેખાઓ વંકાઈ જાય છે, મોંમાંથી હળવો સીસકારો નીકળી જાય છે. તેને થાય છે કે અચાનક મોંમાં જઈને કોણ પીડાબોમ્બ ફોડી આવ્યું. જડબું આમતેમ હલાવીને, તે પીડા પર કાબૂ મેળવવા પ્રયાસ કરે છે. ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે યે તો અભી ઝાંકી હૈ.
ઘણા કિસ્સામાં પીડા બેસી જાય છે, પણ કેટલીક વાર સમય જતાં દુખાવાની માત્રા વધવા લાગે છે અને માણસને સમજાતું નથી કે તેની સાથે આ શું અને શા માટે થઈ રહ્યું છે. પહેલી વાર પ્રેમમાં પડનાર જેવી વિશિષ્ટ, મૂંઝવણભરી અનુભૂતિ તેને થાય છે. ન બેસવાથી સારું લાગે, ન ચાલવાથી, ન સુવાથી સારું લાગે, ન જાગવાથી, પણ આ પીડા મીઠી નહીં, અસહ્ય હોય છે. કર્મફળમાં માનતા લોકોને થાય છે કે નક્કી ગયા જન્મનાં કર્મો આ જન્મે આંટી ગયાં લાગે છે. પ્રામાણિક માણસો પોતાનાં આ જન્મનાં કર્મો વિશે વિચારતા થઈ જાય છે.
સામાન્ય માણસોને દાંતના ડોક્ટરની જરૂર પડતી નથી. એટલે ફેમિલી ડોક્ટર હોય, તેમ દાંતના ફેમિલી ડોક્ટર, કમ સે કમ અમુક ઉંમર સુધી, હોતા નથી. બીજી તરફ દુખાવાગ્રસ્તની પીડા એવા અસહ્ય સ્તરે પહોંચે છે કે તેને પકડ, સાણસી, હથોડી જેવાં ઘરગથ્થુ ઓજારો વડે દુખતા દાંતનું ઉચ્છેદન કરી નાખવાના વિચાર આવે છે. પહેલાં દુખાવો કાબૂમાં રાખવા અને પછી તેની માત્રા ખૂબ વધી જતાં, દુખાવો સહી શકાય તે માટે તે મોમાં લવિંગ રાખે છે, પાણી ભરેલું રાખે છે, દુખતો ભાગ બહારથી ને અંદરથી દબાવી જોવા પ્રયાસ કરે છે, એ તરફ બરફનો ગાંગડો રાખે છે—પરંતુ દુખતો દાંત ગાંઠતો નથી.
પરિવારજનોમાંથી કોઈને દાંતના દુખાવાનો અનુભવ ન હોય તો તેમને નવાઈ લાગે છે કે આને અચાનક શું થઈ ગયું? આટલી બધી હાયવોય કેમ કરે છે? દાંતની અસર મગજ પર થાય કે કેમ, એ વિશે પણ તે ઇન્ટરનેટ પર સર્ચ કરી જુએ છે. પરંતુ ઘરમાં એકાદ અનુભવી હોય તો તે તરત સમજી જાય છે અને દાંતના ડોક્ટરને ફોન કરે છે. દુખાવાનો પ્રકાર જાણ્યા પછી, દર્દીને તપાસતાં પહેલાં તે દુખાવાશામક ગોળી આપે, ત્યારે દર્દીને પહેલાં તો શંકા જાય છે. તેને લાગે છે કે આટલી અમથી ગોળીથી મરણતોલ લાગતો દુખાવો શી રીતે મટશે? પણ તેને બંદૂકની ગોળીની અસર યાદ આવતાં, તે ગોળીના કદને બદલે તેની અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ‘હવે મારાં દુઃખોનો અંત હાથવેંતમાં છે’ એવી હાશ અનુભવે છે. તેના દુઃખનો ઇન્ટરવલ પડ્યો છે અને ધ એન્ડ તો હજુ ઘણો દૂર છે—એ કઠોર વાસ્તવિકતાથી તે અજાણ હોય છે.
ગોળીઓથી દુખાવો શમી ગયા પછી દર્દીને આવતો પહેલો વિચાર એ હોય છે કે ‘હવે ડોક્ટરને ત્યાં જવાની શી જરૂર?’ પણ ભારે ગોળીઓની ઓસરતી અસર અને સંભવિત આડઅસરથી તેની સાન ઠેકાણે આવે છે અને કાશીએ કરવત મુકાવવા જતો હોય એવી ગંભીર તૈયારી સાથે તે ડોક્ટર પાસે જવા તૈયાર થાય છે. ઘણા લોકોએ દાંતના ડોક્ટરની કામગીરી જોઈ નથી હોતી. એટલે તેમના મનમાં અવનવાં કલ્પનાચિત્રો રચાય છે, જેમાં તે દોડતો હોય અને દાંતના ડોક્ટર પક્કડ હાથમાં લઈને તેની પાછળ દોડતા હોય, પાછળ તેમનો આખો સ્ટાફ પણ ધસી આવતો હોય અથવા દવાખાનાનો યુનિફોર્મ પહેરેલા ચાર લોકોએ તેને પકડ્યો હોય અને દાંતના ડોક્ટર હાથમાં હથોડી ને ડિસમિસ લઈને, તેમના દાંત દેખાય એવું અટ્ટહાસ્ય કરતા હોય. દાંતના ડોક્ટરો ને દવાખાનાં વિશે સાંભળેલી રમૂજો યાદ આવી જાય છે અને ‘ડોક્ટર મારી ચીસ સાંભળીને નાસી ગયેલા લોકોનું બિલ મારી પાસેથી વસૂલ નહીં કરે ને’—એવો વિચાર પણ આવી જાય છે.
આવી મનોસ્થિતિમાં દાંતના દવાખાને
પહોંચ્યા પછી શરૂ થતા નવા અનુભવની વાત આવતા અઠવાડિયે.
Monday, April 17, 2023
ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે. આ રહ્યાં તેનાં દસ કારણ : રામચંદ્ર ગુહા
(ગાંધીજીની હત્યાની 75મી તિથીએ રામચંદ્ર ગુહાએ લખેલા લેખનો ગુજરાતી અનુવાદ. મૂળ લેખની લિન્ક )
કારણ 1
ગાંધીજીએ ભારતને અને જગતને અન્યાયી સત્તાધીશો
સામે હિંસાના પ્રયોગ વિના લડવાનું સાધન આપ્યું. નવાઈની વાત એ છે કે સત્યાગ્રહના
વિચારનો જન્મ જોહાનિસબર્ગના એમ્પાયર થિએટરમાં સપ્ટેમ્બર 11, 1906ના રોજ થયો હતો,
જ્યાં રંગભેદગ્રસ્ત કાયદાનો વિરોધ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીયોની સભા
મળી હતી. તેનાં 95 વર્ષ પછી ત્રાસવાદીઓએ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર ઉડાડી દીધું. બે 9/11 : એકમાં અહિંસક
લડતના રસ્તે ન્યાયની માગણી તથા અંગત બલિદાન; બીજામાં હિંસા
અને બળપ્રયોગના રસ્તે શત્રુને ડારવાનો ઇરાદો.
ઇતિહાસે દર્શાવી આપ્યું છે કે અન્યાયનો મુકાબલો કરવાના મામલે બીજા વિકલ્પોની સરખામણીમાં સત્યાગ્રહ વધારે નૈતિક તેમ જ વધારે અસરકારક નીવડ્યો છે. દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં તેના પ્રયોગો પછી ગાંધીજીની એ પદ્ધતિનું અનુકરણ બીજાં ઘણાં ઠેકાણે થયું, જેમાં અમેરિકામાં કાળા લોકોએ આદરેલી નાગરિક અધિકારોની લડત સૌથી નોંધપાત્ર હતી.
કારણ 2
દેશ અને દેશની સંસ્કૃતિ માટેનો ગાંધીજીનો પ્રેમ,
જેના કારણે તેમાં રહેલી અનેક વિકૃતિઓને ઓળખીને તેને સુધારવા માટે તેમણે પ્રયાસ
કર્યો. ઇતિહાસકાર સુનિલ ખીલનાનીએ એક વાર કહ્યું હતું કે ગાંધીજી ફક્ત અંગ્રેજો
સામે જ નહીં, ભારત સામે પણ લડી રહ્યા હતા. ગાંધીજી તેમના-આપણા સમાજમાં રહેલી
ઊંડી અને વ્યાપક અસમાનતાને પિછાણતા હતા. અસ્પૃશ્યતા
સામેની તેમની ઝુંબેશ ભારતીયોને સ્વરાજ માટે વધુ લાયક બનાવવાની ઇચ્છાનું પરિણામ
હતી. તે નખશીખ નારીવાદી ન હોવા છતાં, મહિલાઓને જાહેર જીવનમાં આણવા માટે તેમણે ઘણું
કર્યું.
કારણ 3
ધર્મિષ્ઠ હિંદુ હોવા છતાં તેમણે ધર્મના આધારે
નાગરિકતાના ખ્યાલનો ઇન્કાર કર્યો. જ્ઞાતિપ્રથાએ હિંદુઓને ઊભા વહેર્યા છે, તો ધર્મે ભારતને આડું વહેર્યું છે. આ ઊભા અને
ઘણી વાર ઐતિહાસિક રીતે આમનેસામને રહેલા વિભાગો વચ્ચે સેતુ બનાવવા માટે ગાંધીજી મથતા
રહ્યા. હિંદુ-મુસલમાન એકતા તેમની કાયમી નિસબત રહી. એના માટે તે જીવ્યા અને આખરે, તેના માટે મૃત્યુ વહોરવા પણ તૈયાર રહ્યા.
કારણ 4
ગુજરાતી સંસ્કૃતિમાં તરબોળ હોવા છતાં અને
ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હોવા છતાં, તે સંકુચિત
પ્રાંતવાદી ન હતા. પોતાના સિવાયના ધર્મો માટે તેમના મનમાં આદરપ્રેમ હતાં. એવી જ
રીતે ગુજરાતી સિવાયની ભાષાઓ માટે પણ તેમના મનમાં આદરભાવ રહ્યો. ભારતના ધાર્મિક અને
ભાષાકીય વૈવિધ્ય માટેની તેમની સમજ વિદેશનિવાસ દરમિયાન વધારે ઊંડી બની, જ્યાં તેમના સાથીદારો તરીકે હિંદુઓની સાથોસાથ
મુસલમાનો અને પારસીઓ પણ હતા, ગુજરાતીઓની સાથે
તમિલો પણ હતા.
કારણ 5
તે દેશભક્ત હોવાની સાથે વૈશ્વિક પણ હતા. ભારતીય
સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેના વારસાની કદર કરવાની સાથે તેમને એ પણ ખ્યાલ હતો કે
વીસમી સદીમાં કોઈ પણ દેશ કૂવામાંનો દેડકો બનીને રહી શકે નહીં. બીજાના આયનામાં
જાતને જોવાના પણ ફાયદા હોય છે. તેમની પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય બંને પ્રકારના
પ્રભાવ હતા. તેમના તાત્ત્વિક અને રાજકીય દૃષ્ટિબિંદુમાં તોલ્સ્તોય અને રસ્કિન
જેટલા જ ગોખલે અને રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) હતા. વિવિધ વંશીય ઓળખ ધરાવતા લોકો
સાથે તેમની ગાઢ દોસ્તી થઈ. તેમાં હેન્રી અને મિલિ પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ જેવા તેમના
મિત્રોનો સમાવેશ થાય. તે સૌએ તેમના અંગત અને જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
અહીં થોભીને એટલું અંકે કરવું જોઈએ કે ગાંધીજીના વારસા જેવી આ પાંચ બાબતો ન હોત, તો સ્વતંત્ર ભારતે કદાચ સાવ જુદો રસ્તો લીધો હોત. ગાંધીજી હિંસાને બદલે સંવાદને પ્રાધાન્ય આપતા હતા, એટલે (નિર્ણયો લેવામાં હિંસાનો રસ્તો અપનાવનારા એશિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશોની માફક) ભારતમાં એકપક્ષીય આપખુદશાહી રાજ્યવ્યવસ્થાને બદલે બહુપક્ષીય લોકશાહી સ્થપાઈ. ગાંધીજી અને ડો. આંબેડકર જેવા લોકોએ જાતિ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો હોવાને કારણે, તે સિદ્ધાંતોનો ભારતના બંધારણમાં સમાવેશ થયો. ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ધાર્મિક અને ભાષાકીય સ્વતંત્રતાનો આગ્રહ રાખ્યો હોવાથી, બીજા ઘણા દેશોમાં બન્યું તેનાથી વિપરીત, ભારતે કોઈ એક ધર્મ કે ભાષાના ચડિયાતાપણાને આધારે નાગરિકતા નક્કી ન કરી.
આંબેડકર અને નેહરુના દાખલા પરથી સ્પષ્ટ થાય છે
તેમ, લોકશાહી મૂલ્યો અને સમાવેશક રાજકીય સંસ્કાર
કેવળ ગાંધીજીની દેન હતી, એવું કહેવાનો આશય નથી. અલબત્ત, વ્યક્તિગત નેતાગીરી અને લોકશાહી, સાંસ્કૃતિક વિવિધતા તથા સામાજિક સમાનતા અંગે
વારંવારના આગ્રહ થકી ગાંધીજીની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.
કારણ 6
ગાંધીજી જમાના કરતાં આગળ રહેલા પર્યાવરણવાદી
હતા. અવિરત વૃદ્ધિ અને ગ્રાહકવાદથી કેવો ધબડકો સર્જાશે તેનો અંદાજ તેમને હતો.
ડિસેમ્બર 1928માં તેમણે લખ્યું હતું, ‘ઈશ્વર હિંદુસ્તાનને યંત્રયુગથી અને સંસારને
યંત્રમય હિંદુસ્તાનથી બચાવો. આજે એક મૂઠી જેટલી કોમ (ઇંગ્લેન્ડ) આર્થિક લૂંટને
પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો 33
કરોડ લોકોની પ્રજા આ માર્ગે ચડે તો આખા સંસારને વેરાન કરી નાખે.’ આ એકદમ સાચું ભવિષ્યદર્શન છે. પશ્ચિમે આરંભેલા
અઢળક મૂડી, અઢળક સંસાધનો અને અઢળક
ઊર્જા હજમ કરી જતા ઔદ્યોગિકીકરણના રસ્તે આગળ ચાલતા ચીન અને ભારતને કારણે ખરેખર
દુનિયા ઉજ્જડ થઈ જવાનો ખતરો છે. પોતાના જીવન અને કાર્યમાં ગાંધીજીએ સંયમ અને
જવાબદારીની હિમાયત કરી, જેના વ્યાપક
સ્તરે સ્વીકાર ઉપર પૃથ્વીનું ભવિષ્ય આધાર રાખે છે.
કારણ 7
ગાંધીજીમાં નીતનવા પ્રસંગો અને અનુભવો સાથે
વિકસવાની અને ઉત્ક્રાંત થવાની ક્ષમતા હતી. વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેન્સના નામે
ચડેલું એક અવતરણ છે, ‘હકીકતો બદલાય, ત્યારે હું મારું
મન પણ બદલું છું. તમારું કેમ છે?’ હકીકતમાં
ગાંધીજીએ 1934માં કહ્યું હતું, ‘મારાં વચનોમાં સર્વકાળે અવિરોધ હોવો જ જોઈએ એવો
આગ્રહ કદી રાખ્યો નથી. જે ક્ષણે મને જે સત્ય ભાસે તે પ્રમાણે હું બોલું ને આચરું
તો મારાં વાણી ને આચરણમાં ગમે એટલા વિરોધો બતાવવામાં આવે એની મને પરવા નથી.‘
પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ ખાસ કરીને
ત્રણ મહત્ત્વની બાબતોમાં તેમના વિચાર બદલ્યા.
એ ત્રણ બાબતો હતીઃ વંશીયતા (રેસ), જ્ઞાતિ (કાસ્ટ) અને જાતિ (જેન્ડર). આ ત્રણે
મુદ્દે અગાઉ તેમના મનમાં રહેલા પૂર્વગ્રહોને બદલે તેમણે વધારે પ્રગતિશીલ ભૂમિકા
અપનાવી. સભાન વિચાર વગરના વંશવાદી વલણથી શરૂઆત કરીને તે વંશવાદના મુખ્ય વિરોધી
બન્યા. જ્ઞાતિઆધારિત ઊંચનીચના ભદભાવને અચકાતાં-ખચકાતાં પડકાર આપવાનું શરૂ કર્યા
પછી તેમણે તેનો સીધો અને ખુલ્લો પ્રતિકાર કર્યો. મહિલાઓને બિનરાજકીય ભૂમિકામાં
રાખતાં રાખતાં છેવટે તેમણે મહિલાઓને સંપૂર્ણપણે જાહેર જીવનમાં અને આઝાદીની લડાઈમાં
સામેલ કરી.
કારણ 8
ગાંધીજીમાં અનુયાયીઓમાંથી નેતા બનાવવાની ગજબ
ફાવટ હતી. તે પ્રતિભાને પિછાણતા, તેને
પોષતા-વિકસાવતા અને પછી તેને સ્વતંત્રપણે આગળ જવા દેતા. તેમની આસપાસ ઉમેટેલા
અનુયાયીઓમાંથી કેટલાય સ્વતંત્રપણે ઇતિહાસના ઘડવૈયા બન્યા. તેમના અનુયાયીમાંથી નેતા
બનેલા લોકોમાંથી કેટલાંક મહત્ત્વનાં નામઃ જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી
ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકિર હુસૈન, જે.બી. કૃપાલાણી, જે.સી. કુમારપ્પા, સરલાદેવી (કેથરીન મેરી હેલમેન) અને બીજા ઘણા.
ભાવિ નેતાઓ ઉછેરી શકવાની ગાંધીજીની ક્ષમતા
ભારતના સૌથી પ્રભાવશાળી ત્રણ વડાપ્રધાનોની સરખામણીએ વિરોધાભાસ સર્જે છે. જવાહરલાલ
નેહરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી ચરિત્ર અને
રાજકીય વિચારધારાની રીતે ઘણા જુદા છે. પરંતુ પક્ષ, સરકાર અને દેશને
પોતાની સાથે-પોતાના સમાનાર્થી તરીકે સાંકળી દેવાની બાબતમાં તે સરખા છે. ઇન્દિરા
ગાંધી સત્તાના વ્યક્તિકરણને નેહરુ કરતાં ઘણું આગળ લઈ ગયાં અને મોદી તેને ઇન્દિરા
ગાંધી કરતાં પણ બહુ આગળ લઈ ગયા. એ ત્રણે પોતાને અનિવાર્ય અને તેમનું સ્થાન કોઈ લઈ
ન શકે એવાં માનતાં હતાં. તેમણે પછીની પેઢીના નેતાઓ ઊભા કરવાની દિશામાં ભાગ્યે જ
કંઈ કર્યું. (રાજકારણ સિવાય ભારતના કોર્પોરેટ જગતના વડાઓ અને સ્વૈચ્છિક સંસ્થાના
વડાઓમાં પણ સત્તાના વ્યક્તિકરણની લાક્ષણિકતા જોવા મળે છે, જે સંસ્થાને પોતાની સાથે એકરૂપ બનાવી દે છે.)
કારણ 9
ગાંધીજીમાં વિરોધી મત ધરાવનારનો દૃષ્ટિકોણ
જોવા-સમજવાની અને તેમની સાથે સંવાદ સાધીને સન્માનભર્યા સમાધાન સુધી પહોંચવાની
તૈયારી હતી. એટલે, આંબેડકર અને ઝીણા જેવા રાજકીય વિરોધીઓ સાથે અને દક્ષિણ
આફ્રિકામાં તેમ જ ભારતમાં શાહી પ્રતિનિધિઓ સાથે તે ધીરજપૂર્વક વર્ષો સુધી સમાધાનની
ભોંય ભાંગવાના પ્રયાસ કરતા રહ્યા. તેમને અણગમા કે તીવ્ર નાપસંદગી કેવળ બૌદ્ધિક અને
રાજકીય હતાં, અંગત નહીં –અને તે પણ ઉકેલી શકાય એવી તેમને આશા હતી. મનમાં દુર્ભાવ
સંઘરી રાખવાની ક્ષમતા તેમનામાં ન હતી.
કારણ 10
ગાંધીજીનું રાજકીય જીવન સંપૂર્ણપણે પારદર્શક
હતું. આશ્રમમાં કોઈ પણ જઈ શકતું, તેમની સાથે ચર્ચા કરી શકતું અને છેવટે થયું પણ
એવું કે એક માણસ સાવ સરળતાથી તેમની નજીક પહોંચી ગયો અને તેમની હત્યા કરી નાખી.
તેમના કે આપણા સમયમાં સુરક્ષાની જંજાળો વચ્ચે જીવતા નેતાઓની સરખામણીમાં તે કેટલો
મોટો વિરોધાભાસ કહેવાય.
ગાંધીજીના જીવનમાંથી મેં તારવેલા બોધપાઠ ફક્ત આ દેશ માટે જ પ્રસ્તુત છે એવું નથી. અલબત્ત, ધાર્મિક બહુમતીવાદની આબોહવામાં, અપમાન અને બુરાઈથી ગ્રસ્ત રાજકીય સંસ્કૃતિમાં, જૂઠાણાં અને અસત્યો ફેલાવતા નેતાઓ અને સરકારોની વચ્ચે, પ્રાકૃતિક પર્યાવરણના સત્યાનાશની સાથે, વ્યક્તિભક્તિના માહોલમાં ભારતને કદાચ તેની સૌથી વધારે જરૂર છે.
Friday, March 31, 2023
પાણીપૂરીનું પોલિટિક્સ
ભારતના વડાપ્રધાને જાપાનના વડાપ્રધાનને પાણીપૂરી ખવડાવી, એટલે પાણીપૂરીને પ્રસાર માધ્યમોમાં સ્થાન મળ્યું. હિંદીભાષીઓ પાણીપૂરીને ગોલગપ્પા કહે છે, પણ વડાપ્રધાન અને ગપ્પા—એ બંને શબ્દો સાથે મુકવાથી દંડાત્મક કાર્યવાહીની પૂરી સંભાવના રહે છે. માટે, તેને પાણીપૂરી કહેવાનું જ ઠીક રહેશે.
પાણીપૂરી અને
વડાપ્રધાન વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે પાણીપૂરીને લોકપ્રિયતા મેળવવા માટે
જૂઠું બોલવું પડતું નથી, ધિક્કારના મસાલાની જરૂર પડતી નથી, સામાજિક-અસામાજિક
પ્રસાર માધ્યમોમાં સતત છવાયેલા રહેવું પડતું નથી અને પોતાના જયજયકાર માટે (બીજાના)
લાખો રૂપિયાનો ધુમાડો કરવો પડતો નથી. કદી સાંભળ્યું કે પાણીપૂરીની લોકપ્રિયતા માટે
આખો સાયબર સેલ નિભાવવામાં આવે છે? અને તેની પરથી
વોટ્સએપ પર સતત ગેરમાહિતીનો પ્રવાહ વહેતો કરવામાં આવે છે?
હકીકત એ પણ છે કે
પાણીપૂરીને વડાપ્રધાનપદે બેસાડી શકાતી નથી. એટલે તેને વડાપ્રધાનપદના વિકલ્પ તરીકે
રજૂ કરવાનો કોઈ ઇરાદો નથી. તે જાણીને પાણીપૂરીને પણ હાશ થવી જોઈએ કે તેણે રાજદ્રોહ
કે ત્રાસવાદવિરોધી કાયદા જેવી કોઈ કાર્યવાહીનો ડર રાખવાની જરૂર નથી. વડાપ્રધાનના
વિરોધમાં પોસ્ટર લગાડનારા સામે આકરી કાર્યવાહી થઈ જતી હોય તો તેમના વિકલ્પ તરીકે
રજૂ થનારે કેટલી તૈયારી રાખવી પડે?
પાણીપૂરીનાં
સાંસ્કૃતિક પાસાંની વાત કરીએ તો, સૌપ્રથમ તે ભારતીય સંયુક્ત કુટુંબપ્રથાના
મહિમાનું પ્રતિક છે. નામ તેનું ભલે પાણીપૂરી હોય, પણ તેમાં ચણા, બટાટા, મસાલો,
ખાટી ચટણી, ગળી ચટણી, પાણી વગેરે ભેગાં ન થાય ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી.
સંયુક્ત કુટુંબની જેમ સંયુક્ત પાણીપૂરીના પ્રશ્નો હોય છે. ચટણી વધારે પડી જાય,
મસાલો ઓછો પડે, ચણા ચડ્યા ન હોય—ટૂંકમાં, સંયુક્ત કુટુંબની જેમ સભ્યો જેટલા વધારે,
એટલી તેમાંથી એકાદના વંકાવાની સંભાવના પણ વધારે. છતાં, માણસ એક વાર ગાંઠ વાળે કે ‘ગમે તે થાય, મને સંયુક્ત કુટુંબ જ ગમે.’ તો બધી મુશ્કેલીઓ ગૌણ થઈ જાય છે. એવું જ પાણીપૂરીનું
પણ છે. તેના ઘટકો ગમે તેટલા આડાઅવળા થાય, પણ છેવટે પાણીપૂરી તો પાણીપૂરી જ રહે છે.
સવાલ સાચા
પ્રેમનો છે. લૈલામજનુ જેવી અનેક પ્રેમકહાનીઓનાં મુખ્ય બે પાત્રો બહુ સુંદર હતાં,
એવું ક્યાંય લખેલું નથી. તે પાત્રો એકબીજાને બહુ સુંદર લાગતાં હતાં. કારણ કે તે
એકબીજાના પ્રેમમાં હતાં. પાણીપૂરી અને તેમના પ્રેમીઓનો પણ એવો જ નાતો હોય છે. બિનપ્રેમીઓને
તે કદી સમજાતું નથી. પ્રેમીઓને ભાવે સારી પાણીપૂરી, પણ ચાલે ગમે તે પાણીપૂરી.
પોતાને ભાવતા સ્વાદ કરતાં સાવ જુદી પાણીપૂરી મળી જાય તો પણ, તે પડ્યું પાનું (કે
પાણી) નિભાવી લેવાની સહિષ્ણુતા-ઉદારતાથી, જેવી મળે તેવી પાણીપૂરીનો આનંદ માણે છે. વચ્ચે
વચ્ચે ‘યું હોતા તો ક્યા હોતા’ એવી ફરિયાદો કરે ખરા,
પણ ટીકા કરતાં કરતાં મોંમાં પાણીપૂરી ઓરવાનું ચાલુ રહે છે.
આધુનિક પાશ્ચાત્ય સભ્યતાએ ભારતીય પરંપરા સામે જે કેટલાક પાયાના પડકાર ઊભા
કર્યા છે, તેમાંનો એક છેઃ પાણીપૂરી ખાવી શી રીતે? ભારતીય
પદ્ધતિમાં ભોજન માટે હાથનો ઉપયોગ થાય છે. પાણીપૂરી ખાવા માટે હાથના પણ વિશિષ્ટ
કૌશલ્યની જરૂર પડે છે. જેમ કે, માણસ જેવો આકાર ધરાવતા યંત્રમાનવને રોટલી કે દાળભાત
ખાતાં શીખવવું ઓછું અઘરું હશે, પણ તેને પાણીપૂરી ખાવાનું શીખવવું ભારે કઠણ નીવડી
શકે છે. પાણી ભરેલી પૂરી પર હાથનું દબાણ એટલું હોવું જોઈએ કે પૂરી છટકે નહીં, પણ
દબાણ એટલું વધારે ન હોય કે પૂરી ફસડાઈ પડે. ડીશમાં પડેલી પૂરીને કયા ખૂણેથી પકડવી,
ત્યાર પછી હાથને કોણીથી કયા ખૂણે વાળવો કે જેથી પૂરીની અંદર રહેલું સત્ત્વ બહાર
પડી ન જાય અને પૂરી મોં સુધી લઈ જતી વખતે હાથનો ખૂણો કેટલો રાખવો—આવા સવાલ
એન્જિનિયરિંગમાં પૂછાતા ન હોય, પછી ભારત રોબોટિક્સમાં ક્યાંથી આગળ આવે?
પૂરીના કદમાપ
વિશે પણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે
લોકો મન ફાવે એટલી નાની-મોટી પૂરીઓ બનાવે છે. કેટલીક પૂરીઓ એટલી મોટી અને ફુલેલી
હોય છે કે સીધોસાદો માણસ મહંમદઅલી ઝીણા બનીને વિચારવા માંડે, ‘આના ભાગલા કરવા જોઈશે.’ પણ સૌ જાણે છે કે ભાગલાનું કામ સૈદ્ધાંતિક
રીતે ગમે તેટલું સહેલું લાગે, વ્યવહારમાં તેમાં કકળાટનો પાર નથી હોતો. એટલે, મોટા
ભાગના લોકો, મોં કરતાં પૂરી ગમે તેટલી મોટી હોય તો પણ, પૂરીની એકતા-અખંડિતતાનો ભંગ
કર્યા વિના, તેને મોમાં ઠાંસવાનો પ્રયાસ કરે છે. ઘણાખરા કિસ્સામાં પૂરી અંદર ઘુસી
તો જાય છે, પણ ખાનારનું મોં થોડા સમય પૂરતું બંધ થઈ જાય છે. ક્યારેક પૂરી મોંમાં
જાય તે પહેલાં જ તેનું વિસર્જન થઈ જાય છે. તેની અંદરનું પાણી ડીશમાં રેલાય છે, પણ
ખાનાર હિંમત હાર્યા વિના, પૂરીનો જેટલો હિસ્સો મોંમાં જાય એટલો ઘુસાડવાનો પ્રયાસ
કરીને, તે પૂરીને ખવાયેલી જાહેર કરે છે.
કોચિંગ ક્લાસનો
ધમધમતો ધંધો ધરાવતા ભારતમાં પાણીપૂરી બનાવવાના ક્લાસ ચાલતા હોય તે સંભવ છે, પણ હજુ
સુધી કોઈને પાણીપૂરી કેમ ખાવી તેના ક્લાસ ખોલવાનો વિચાર આવ્યો નથી. બાકી, તેની
જરૂર ફક્ત જાપાનના વડાપ્રધાન જેવા વિદેશીઓને જ નહીં, પૂરીના મોટા કદ અને
ચિત્રવિચિત્ર આકારથી પીડીત ભારતીયોને પણ પડી શકે છે.
Sunday, March 12, 2023
મોહનથાળ કે ચીકી?
ખરેખર, આપણામાંથી ઘણા લોકોને કયો મુદ્દો મહત્ત્વનો, તે સમજાતું નથી. વારે વારે બંધારણીય સંસ્થાઓની સ્વાયતત્તા પર પડેલી તરાપનો કકળાટ કરનારા, સરકાર પર તપાસસંસ્થાઓના દુરુપયોગનો આરોપ મુકનારા, સરકાર જૂઠું બોલે છે એવું કહેનારા—આવા અનેક પ્રકારના લોકો અંબાજીના પ્રસાદમાં મોહનથાળને પદભ્રષ્ટ કરીને ચીક્કીને બેસાડી દીધી, ત્યારે મૌન છે. તેમનું રૂંવાડું પણ નથી ફરકતું. તેમને દંભી બૌદ્ધિકો નહીં તો બીજું શું કહેવાય?
મોહનથાળ-ચીકી વિવાદે ધાર્મિકતાને વિશાળ અને વ્યાપક બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પહેલાં ધાર્મિકતાની વ્યાખ્યામાં ‘મંદિર વહીં બનાયેંગે’ જેવાં સૂત્રોનો સમાવેશ થતો હતો, તે વિસ્તરીને હવે ‘મોહનથાળ વહીં બનાયેંગે’ સુધી પહોંચ્યો છે. તે દર્શાવે છે કે ભક્તો પછાત રહી જવાને બદલે, જમાના સાથે તાલ મિલાવી રહ્યા છે. પહેલાં ‘પરસાદિયા ભગત’ જેવા શબ્દપ્રયોગો કોઈની ટીકા માટે વપરાતા હતા અને ધર્મસ્થાનોમાં પ્રસાદના મહત્ત્વ વિશે ચર્ચા કરનારા ભૂખ્ખડ કે ખાઉધરામાં ખપી જતા હતા. તેને બદલે, અંબાજીમાં પ્રસાદના મુદ્દે ધર્મયુદ્ધનાં મંડાણ જેવો માહોલ ગયા સપ્તાહે સર્જાયો. પ્રસાર માધ્યમોએ પણ પૂરી ગંભીરતાથી, નાગરિક અધિકારોના સંરક્ષણ માટે કટિબદ્ધ થઈને, મોહનથાળ-ચીકી વિવાદમાં ઝંપલાવ્યું. કેટલાકે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ ઉર્ફે ખોજી પત્રકારિતાનો અભરાઈએ ચડાવેલો સંસ્કાર યાદ કરીને પ્રસાદના કોન્ટ્રાક્ટથી માંડીને મોહનથાળના ઇતિહાસ સુધીની શોધખોળ આદરી.
બિનગુજરાતીઓ ભલે ટીકા કરતા કે ગુજરાતીઓને આંદોલન કરતાં નથી આવડતું. હકીકત એ છે કે કયા મુદ્દે આંદોલન થાય, તેની પ્રાથમિકતા ઘણા ગુજરાતીઓમાં સ્પષ્ટ રીતે અંકિત હોય છે. તેમને ખબર છે કે ગુજરાત વિદ્યાપીઠમાં સરકારને અનુકૂળ કુલપતિને બેસાડી દેવાય કે પછી પરીક્ષાનાં પેપર-બેપર ફૂટે તેની બહુ હાયવોય કરવાની ન હોય. બહુ એવું લાગે તો થોડું બૂમરાણ કરીને સરકી જવાનું. પણ મોહનથાળ-ચીકી તો સનાતન ધર્મનો પ્રાણપ્રશ્ન છે. નરેન્દ્રભાઈ કે અમિતભાઈ જ્યાં સુધી કંઈ ન કહે, ત્યાં સુધી એ મુદ્દે ખુલીને વિરોધ કરવો, એ ધાર્મિક ફરજ છે, એવું ઘણાને લાગે છે.
આ લખાતું હતું ત્યાં સુધી સરકાર આખા મુદ્દામાં દાખલ થઈ ન હતી. સરકારને પણ ખબર હોય છે કે લોકશાહી-બંધારણીય સંસ્થાઓ જેવા મુદ્દામાં તો ઉપરવાળો-ઉપરવાળા બેઠા છે. બીબીસી જેવા હજાર આવે તો પણ કશું ઉખડવાનું નથી. પણ મોહનથાળના મુદ્દે એવી ખાતરી નથી. કારણ કે, તે લોકોની ધાર્મિક લાગણીનો સવાલ છે—અને ધાર્મિક લાગણીનો જીન સાથે હોય ત્યાં સુધી જ સારો. તે સામે પડે તો તકલીફ. એ જ કારણથી, આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં લગભગ ફરી એક વાર પ્રસાદ તરીકે મોહનથાળ શરૂ થઈ ચૂક્યો હશે—અને ચીકીવાળા ભાઈની ભક્તિ ફળશે, તો બંને પ્રસાદ પણ રહી શકે છે.
પ્રસાદવિવાદના ઉકેલ અંગે વિચારતાં કેટલાક વિકલ્પ સૂઝ્યા. જેમ કે, મોહનથાળ હટાવવો જ હોય તો નવો જે કોઈ પ્રસાદ રાખવામાં આવે, તેનું નામ ‘મોદીથાળ’ રાખવું જોઈએ. સરદાર પટેલ સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ હટાવીને નરેન્દ્ર મોદીનું નામ મુકી દેવાયા પછી પણ લોકોને વાંધો પડતો નથી, તો સરદાર પટેલની સરખામણીમાં મોહનથાળની શી વિસાત? મૂળ સવાલ ભક્તોને સંતોષવાનો છે. તો ‘મોદીથાળ’ નામ જુદા પ્રકારના પણ એટલા જ વિશાળ એવા ભક્તસમુદાયને સહેલાઈથી પ્રસન્ન કરી શકશે અને બે-ચાર દહાડામાં ઘણાખરા લોકો ભૂલી પણ જશે કે અંબાજીમાં પ્રસાદ તરીકે ક્યારેક મોહનથાળ અપાતો હતો. સોશિયલ મિડીયા ઉપર પણ એવો પ્રચાર શરૂ થઈ જશે કે મોહનથાળનું મૂળ નામ ‘મોદીથાળ’ જ હતું અને અંબાજીના ગબ્બર પર પહેલાં તે જ અપાતો હતો. પછી જવાહરલાલ નેહરુએ ગાંધીજીની યાદમાં તેનું નામ ‘મોહનથાળ’ પાડ્યું. એટલે હવે તેનું નામ ફરી એક વાર ‘મોદીથાળ’ કરવામાં આવે, તો તે ઐતિહાસિક રીતે ઉચિત છે અને કોંગ્રેસે ભ્રષ્ટ કરેલા ઐતિહાસિક ગૌરવની પુનઃસ્થાપના કરવા બરાબર છે.
ઉપરની થિયરી કલ્પનાને બદલે ઐતિહાસિક હકીકત તરીકે વોટ્સએપ પર વાંચવા મળે તો નવાઈ પામવી નહીં, એવી ચેતવણી પણ અહીં આપી દેવી જરૂરી છે. બીજો વિકલ્પ પણ એટલો જ સહેલો અને અસરકારક લાગે છે. વર્તમાન સરકારની સમસ્યાઉકેલની પદ્ધતિને તે બંધબેસતો પણ છે, એટલે તેમાં ઉપર પૂછવું પડે એવો પણ લાગતું નથી. એક સમસ્યાને ઉકેલવા માટે સરકારનું સામાન્ય વલણ બીજા નવા વિવાદ ઉભા કરીને લોકોનું ધ્યાન તે દિશામાં દોરી જવાનું હોય છે. વિચારો કે એક તરફ મોહનથાળ-ચીકીનું ઠેકાણું ન પડ્યું હોય ત્યાં રણછોડરાયના ડાકોરમાં ગોટા મળતા બંધ થઈ જાય તો?
સ્વાભાવિક છે, ડાકોરમાં ગોટા મળતા બંધ થાય તેને કોંગ્રેસનું, ડાબેરીઓનું, માઓવાદીઓનું, હિંદુવિરોધીઓનું કે ચીનનું કાવતરું તો ગણાવી શકાય નહીં. કારણ કે, ગોટા તો બહાર દુકાન પર વેચાતા મળે છે. પણ ગોટા ડાકોરની અને ડાકોરના ઠાકોરની સાથે એટલા અભિન્નપણે જોડાઈ ગયેલા છે કે તેને ધાર્મિક લાગણીનો મુદ્દો ગણાવવામાં કે બનાવવામાં જરાય અતિશયોક્તિ ન લાગે-જરાય તકલીફ ન પડે. મોહનથાળની સાથે ગોટાની પુનઃસ્થાપના જેવા બબ્બે મહાપડકારો સનાતન ધર્મના ભક્તો સામે ખડા થાય, ત્યારે તેમની મુંઝવણનો પાર ન રહે. એક જમાનામાં ગાંધીજીના નમક સત્યાગ્રહમાં લોકો ઠેકઠેકાણે મીઠું પકવતા હતા, તેમ લોકો અંબાજીમાં મોહનથાળ ને ડાકોરમાં ગોટા બનાવવા માંડે...
--અને ચોતરફ
સનાતન ધર્મનો જયજયકાર થઈને સતયુગ વ્યાપી રહે.
Friday, February 24, 2023
જુદા છે વિચારો સમોસે સમોસે
ભારતની લોકશાહી સાથે સૌથી જૂનો સંબંધ ધરાવતી જૂજ વાનગીઓમાં સમોસાનો સમાવેશ કરવો પડે. ‘એક કચોરી, દો સમોસા/ ---- તેરા ક્યા ભરોસા’—એ ભારતીય ચૂંટણીઓમાં વપરાતાં સૌથી જૂનાં સૂત્રોમાંનું એક છે. તેનો આશય ભલે સમોસાના બહુમાનનો નહીં, સૂત્રમાં જેનું નામ આવતું હોય તે નેતાના અપમાનનો હોય. છતાં, સમોસા વિના એ સૂત્ર, એ સૂત્ર વિના ચૂંટણી અને ચૂંટણી વિના ભારતની લોકશાહી અધૂરાં છે. એટલે તર્કશાસ્ત્રના ન્યાયે સમોસા વિના ભારતની લોકશાહી અધૂરી છે.
સમોસાનાં
કદ-રૂપ-રંગ-સ્વાદ-ચટણી-આરોગવાની પદ્ધતિ ઇત્યાદિમાં જોવા મળતું વૈવિધ્ય પણ લોકશાહી
ભારતની યાદ અપાવે છે. વડાપ્રધાન જ્યાં સુધી ‘એક દેશ, એક સમોસું’ એવું સૂત્ર ન આપે ત્યાં સુધી,
લોકશાહીની તો સલામતીની તો ખાતરી નથી, પણ સમોસાનું વૈવિધ્ય સલામત છે.
કેટલાક
સમોસા કદમાં એટલા મોટા હોય છે કે તેમને ફાઇટર વિમાનમાંથી બોમ્બની જગ્યાએ ફેંકવામાં
આવે તો વગર ધડાકે તે કોઈનું લમણું તોડી શકે અથવા તેની અણીદાર ધાર બોમ્બની કરચની
જેમ ખૂંતી શકે. તેના સાવ સામા છેડે, અમદાવાદમાં જેને ‘નવતાડના સમોસા’ તરીકે ઓળખાતા સમોસા આવે. તેમનું કદ
એટલું ટચૂકડું હોય છે કે જો તાતાની નેનો કાર ચાલી ગઈ હોત તો થોડાં વર્ષમાં નવતાડના
સમોસા ‘નેનો સમોસા’ તરીકે ઓળખાતા થઈ જાત.
અંગ્રેજીમાં
‘ગ્રામર નાઝી’ તરીકે ઓળખાતા, ગુજરાતીમાં ભાષાઝનૂની
કહી શકાય એવા લોકોને સવાલ થશે કે સમોસાના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં? ભાષાની
ચિંતા કરવા જેવી છે, પણ ચોવીસે કલાક ભાષાની ચિંતા કરવાથી ચિતા કરનારની માનસિક
પરિસ્થિતિ બીજાએ ચિંતા કરવી પડે એવી થઈ શકે છે. અને સમોસાને લાગે વળગે છે ત્યાં
સુધી, તેના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં, તેના કરતાં ઘણા વધારે ગંભીર પ્રશ્નો
સમોસાસૃષ્ટિમાં વિદ્યમાન છે.
શરણાઈ
વર્ષો સુધી જુગલબંદીનું વાદ્ય ગણાતું હતું. પરંતુ ઉસ્તાદ બિસ્મિલ્લાખાને તેને
એકલવાદ્ય તરીકે પ્રતિષ્ઠા અપાવી. એવી જ રીતે, ચટણીની જુગલબંદીમાં શોભતા સમોસાને
એકલવાનગીનો દરજ્જો અપાવવા માટે કેટલાક ફરસાણિસ્ટો કૃતનિશ્ચયી હોય છે. ‘ફરસાણિસ્ટ’ સાચો શબ્દ છે કે નહીં, તેની ચિંતા
કરવાને બદલે, તેમના દ્વારા થતો દાવો સાચો છે કે નહીં, તે સમોસાપ્રેમીઓ માટે વધારે
મહત્ત્વનો સવાલ છે.
કેટલાક,
ખાસ કરીને રેલવે સ્ટેશન પર સ્ટોલ ધરાવતા, લોકો બિનધાસ્ત ચટણી વગરના સમોસા વેચે છે.
તેમાં ચટણીનું સ્થાન ગૌરવ લે છે. કોઈ નવોસવો જણ સમોસા લીધા પછી ચટણીની માગણી કરે,
ત્યારે તેણે સ્ટોલધારકના ચહેરા પર એવો તમતમાટ પથરાઈ જાય છે, જાણે માગનારે તેની
આબરૂ પર હાથ નાખ્યો હોય. તે લાગણી જો ભૌતિક સ્વરૂપ ધારણ કરે, તો એકાદ હજાર ટેટાની
લૂમ જેટલી ધડબડાટી બોલે. પરંતુ નવોદિત ગ્રાહક લાગણીની લિપિ સમજતો નથી. તેના
લાભાર્થે, માંડ સંયમ ધરીને, સ્ટોલધારક તેને સમજાવે છે, ‘ભાઈ, આ તો ફલાણાના સમોસા છે. તેમાં
ચટણી ન આવે.’
ગ્રાહકને
વળી કમતિ સુઝે અથવા તે નવેનવો ગ્રાહકસુરક્ષાના પાઠ ભણીને આવ્યો હોય તો તે વળતી
દલીલ કરશે, ‘અરે,
એવું તે થોડું ચાલે? આખી
દુનિયા સમોસા જોડે ચટણી આપે છે.’ આ
બોલતી વખતે તેના અવાજમાં રહેલો રણકો ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું લઈને જંપીશ’—એ સ્તરનો હોય છે. સ્ટોલમાલિક
ગમ્મતના મૂડમાં હોય તો કહી શકે કે ‘સાવ
ખોટી વાત. કારણ કે સમોસા આખી દુનિયામાં મળતા જ નથી.’ પરંતુ સમોસા સાથે ચટણીની માગણીથી
થયેલા સ્વમાનભંગના અહેસાસમાં તેની હાસ્યવૃત્તિને બહાર નીકળવાની જગ્યા મળતી નથી.
એટલે તે ટૂંકમાં, કડકાઈથી જવાબ આપે છે, ‘દુનિયા આપતી હોય તો આપે. અમારે ત્યાં એવો રિવાજ નથી. કોઈને પણ પૂછી
જુઓ.’
મોટા
ભાગની દુકાનોમાં સમોસાની સાથે એક કે વધુ પ્રકારની ચટણી અપાય છે. ત્યાં ઢચુપચુ
માનસિકતા ધરાવતા ગ્રાહકનો ઘણોખરો સમય ચટણીનું પ્રમાણ નક્કી કરવામાં વીતે છે, લાલ
ચટણી નાખ્યા પછી એવું લાગે છે કે સ્વાદ વધારે ગળ્યો થઈ ગયો ને લીલી ચટણી નાખ્યા
પછી તે વધારે તીખો લાગે છે. આમ ને આમ ‘દો આરઝુમેં કટ ગયે, દો ઇંતઝારમેં’ જેવું થાય છે અને સમોસું પૂરું થઈ
જાય છે. ત્યાર પછી ગ્રાહકને ખ્યાલ આવે છે કે શરૂઆતમાં બંને ચટણીઓ સાથે નખાવી દીધા
પછી, તેણે ચટણીનાં પાત્રોથી દૂર ખસી જવાની જરૂર હતી.
સમોસાનું
સ્વતંત્ર વાનગી તરીકે પ્રસ્થાપિત થવું ઘણાને ખૂંચે છે. એવા લોકો, વિકાસના નામે જેમ
ઝૂંપડાં ઢાંકી દેવામાં આવે છે કે અસલી સમસ્યાઓને સાવ ભળતાસળતા વિવાદો તળે સંતાડી
દેવામાં આવે છે એવી રીતે, સમોસાની સ્વતંત્રતાને બીજી અવનવી ચીજોથી ઢાંકી દેવાનો
પ્રયાસ કરે છે. એક ડિશમાં સમોસું લઈને, સૌથી પહેલાં તે સમોસાને બરાબર ભાંગી નાખે
છે. પછી તેમાં રગડો, દહીં, ડુંગળી, સેવ, કેચપ, લાલ-લીલી ચટણી, ભલું હોય તો ચીઝ અને
બીજું જે સૂઝે તે ઠપકારે છે. આવા સમોસાને ભવ્ય નામ આપીને તેની ઊંચી કિંમત વસૂલવામાં
આવે છે, પણ તેમાં સમોસાનો મૂળ સ્વાદ ખોવાઈ ગયો છે તે જણાવવામાં સ્ટોલમાલિકને અને
જાણવામાં ગ્રાહકને રસ નથી હોતો. એટલે સમોસાની સ્થિતિ પણ ભારતની લોકશાહી જેવી થાય
છે. તેનું અસ્તિત્વ હોય છે, પણ તેની ઉપર એટલા (કુ)સંસ્કાર થાય છે કે તેનો મૂળ
સ્વાદ શોધ્યો જડતો નથી.
Sunday, February 05, 2023
બીરેન વિશે...
![]() |
ફોટોઃ શચિ કોઠારી, 2011 |
વહેવાર તો એવો છે કે બીરેને (ગઈ કાલે)
મારી વર્ષગાંઠ નિમિત્તે લખ્યું (લિન્ક), તો મારે તેની વર્ષગાંઠે લખવું. પણ અમને
જાણનારા બધા જાણે છે—અને બીરેને લખ્યું પણ છે—કે અમારી વચ્ચે ‘વ્યવહાર’નો વ્યવહાર
નથી. એટલે થયું કે બીરેન વિશે થોડું તેના લખાણના અનુસંધાને જ લખી દઉં, જેથી ઉત્તરાર્ધ-સિક્વલ માટે ઉત્સુક મિત્રોને બહુ રાહ જોવી ન પડે.
***
મારા પહેલા સ્વતંત્ર પુસ્તક ‘સરદારઃ સાચો માણસ,
સાચી વાત’ (2005)ના અર્પણમાં મેં લખ્યું હતું, ‘વાચન-સંગીત-કળાના સંસ્કાર આપનાર મિત્રવત્ મોટાભાઈ બીરેનને’.
મહેમદાવાદ જેવા ગામમાં રહીને અમુક પ્રકારની રુચિ મારામાં ક્યાંથી આવી, તેવો સવાલ મને કદી થયો નથી. જવાબ મને ખબર છેઃ તે બીરેનમાંથી આવી છે.
પણ મહત્ત્વનો સવાલ છેઃ બીરેનમાં તે ક્યાંથી આવી? સમજની સફાઈ, કળા-સંગીત-સાહિત્ય-વાચન-લેખનની
રૂચિ...આ બધું તેનામાં ક્યાંથી આવ્યું?
કોઈ કહી શકે કે એ બધું તો જન્મજાત હોય. હું પણ
એવું જ માનું છું. તેમાં બીરેનની બે મુખ્ય સિદ્ધિ છે. 1) જન્મજાત ગુણોને તેણે પ્રગટ થઈને ઉછરવા-પાંગરવા દીધા અને તે ગુણોના
વૃદ્ધિવિકાસમાં પોતે જે કંઈ કરવાપણું હોય તે બધું કર્યું.
2) બે દાયકાથી વધુ સમય સુધી આઇપીસીએલની નોકરી કરવા
છતાં, તેણે પોતીકાપણું અને વિશેષતાઓ ન ખોયાં.
રૂપિયાપૈસાની, ઓવરટાઇમોની ને એવી બધી લ્હાયમાં
અટવાઈને, તેમાં જીવનસાર્થક્ય માની લેવાને બદલે,
જીવનમૂડી જેવી અસલી ચીજોને તેણે સદાય છાતીસરસી
ચાંપેલી રાખી. એ બધી ચીજોને તેણે બચાવી ને એ બધી ચીજોએ તેને બચાવ્યો.
છ વર્ષ નાના ભાઈ તરીકે શરૂઆતમાં મારી ભૂમિકા
ઝીલનારની હતી. તે બહુ ઝડપથી જોડીદારની થઈ. તેણે મને નાનો ગણવાનું બંધ કરીને
સરખેસરખો ગણવાનું શરૂ કર્યું. મોટાભાઈગીરી કરવાને બદલે તે સાથી, માર્ગદર્શક અને નિત્ય આગળ લઈ જનાર બન્યો. પત્રકારત્વમાં આવ્યાનાં
વર્ષો પહેલાંથી અમારે એટલું બધું બનતું કે સામાજિક પ્રસંગે ક્યાંક ગયા હોઈએ તો પણ
અમે એક બાજુ પર ઊભા રહીને કલાકો સુધી વાતો કરતા હોઈએ. એક વાર મિત્ર વિપુલ રાવલની
નાની બહેન ટીની--હવે મનિષા કાકા--એ પૂછ્યું પણ હતું, ‘તમે લોકો આટલી બધી શું વાતો કરો? ’ તેના કહેવાનો સૂર એવો હતો કે ભાઈબંધો આટલી વાત કરે તો સમજ્યા,
પણ બે ભાઈઓને આટલી બધી વાતો કરવાની હોય?
મનગમતા કલાકારોને મળવા મુંબઈ જવાનો ઉપક્રમ શરૂ
કર્યો ત્યારે હું 19નો, બીરેન 25નો. મુંબઈમાં ઇસ્ટ કઈ બાજુ ને વેસ્ટ કઈ
બાજુ કહેવાય, તેની મને ખબર ન પડે. ફોન પર વાત કરતાં
ફાવે નહીં. એ વખતે બીરેન સાથે હોય એટલે કશી ચિંતા નહીં. રૂબરૂ વાત કરવામાં મને
વાંધો ન આવે. પણ તે સિવાયનું બધું બીરેનના હવાલે.
બીરેનની રગ સહજ હાસ્યની. મારી સહજ વ્યંગની.
બીરેન એવી એવી વસ્તુઓ અને વાતોમાંથી, કેટલીક વાર તો
સાવ ફાલતુ લાગે એવી વાતમાંથી મમરો મુકીને રમૂજ પેદા કરી શકે, પણ તે અંગત વર્તુળોમાં-મિત્રોમાં. બાકી, તેની (સાચી) છાપ શાંત, સરળ, પ્રેમાળ, સમજુ જણની. અમારા બંનેમાંથી સત્તાવાર
રીતે હાસ્યલેખો લખવાની પહેલી તક મને મળી. ત્યાર પછી મારી દીકરીનો જન્મ થયો અને
બીરેન પરિવાર તેને જોવા આવ્યો, ત્યારે મેં બીરેનને કહ્યું હતું,
‘એની પર હાથ ફેરવજે, તારા જેવી સેન્સ ઓફ હ્યુમર આવે.’ હું એવી શુભેચ્છાઓ કે આશીર્વાદો ફળે
એમાં માનતો નથી. મેં ‘એવું થાય તો કેટલું સારું’ એ ભાવથી કહ્યું હતું, પણ ખરેખર એવું થયું છે અને એનો મને અનહદ આનંદ છે. બીરેનની ઘણી
રમૂજોમાં બીજાને પીચ પડે તે પહેલાં મારી દીકરીને એ પકડાઈ જાય છે.
બીરેનની દીકરી શચિ એટલે અમારા પરિવારમાં પહેલું
બાળક. મહેમદાવાદ ઉછરી, એટલે મને અત્યંત વહાલી. બાળકો સાથે
મારો પનારો નહીંવત્. બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવાય, એ વાતમાં હું સંમત નહીં. છતાં, બિંદુ-વિપુલ રાવલના પુત્ર નીલ પર સૌથી પહેલાં વહાલ ઉપજ્યું. ત્યાર
પછી શચિ આવી. તે મારી થાળીમાંથી જમે. હિંચકે મારા ખોળામાં બેસીને સુએ. હવે શચિને
ત્યાં દીકરો છે. પણ શચિ માટેનો જૂનો ભાવ અકબંધ છે. શચિ-ઇશાન-આસ્થા વચ્ચેનું આત્મીય
સમીકરણ બીરેનની અને મારી જોડીને ફક્ત મજબૂત આધાર જ નહીં, વધારાનું બળ આપનારું નીવડ્યું છે. તેમાં હવે શચિના પતિ સિદ્ધાર્થનો
પણ ઉમેરો થયો છે. સોનલ અને કામિની વચ્ચેના સમીકરણે અમારી જોડીને કદી કસોટીરૂપ
અવસ્થામાં નહીં મુકવાનું અને પછી તો પરસ્પર મજબૂત ટેકારૂપ બનવાનું કામ કર્યું છે.
![]() |
(ડાબેથી) ઇશાન, આસ્થા, શચિ, નીલ (L to R) Ishan, Aastha, Shachi, Neel. 2012 |
બીરેને વીઆરએસ લીધી, ત્યાર પછી એ ઘરે રહીને કામ કરે છે. એટલે ઘણા લોકોને એવું લાગે છે કે બીરેન નિવૃત્ત છે અને એને ગમે ત્યારે ફોન કરાય. હકીકતમાં તે મારા કરતાં પણ વધારે પ્રવૃત્ત-વ્યસ્ત હોય છે. છતાં, ઘણી વાર એની પ્રકૃતિસહજ સૌમ્યતાને લીધે એ લોકોને કહી શકતો નથી કે ભાઈ, હું તમે ધારો છો એના કરતાં ઘણો વધારે વ્યસ્ત છું. હું બહાર (અમદાવાદ-નડિયાદ) જાઉં છું એટલે લોકોને વધારે વ્યસ્ત લાગું છું.
બીજું કારણ અમારી છાપનું પણ છે. વડીલ સગાંસ્નેહીઓ કહેતા કે બીરેન અમારા દાદા જેવો (ચીમનલાલ કોઠારી જેવો) છે—ફક્ત ચહેરેમહોરે નહીં, સૌમ્યતાની બાબતમાં. તે ગુણમાં મમ્મી (સ્મિતાબહેન કોઠારી)નો મજબૂત વારસો પણ ભળ્યો છે. સોનલ હંમેશાં કહે કે બીરેનભાઈ એટલે સ્મિતાબહેનની ‘દીકરી’. (લાગણી, બીજાની કાળજી રાખવાની વૃત્તિ, સૌમ્યતાના અર્થમાં અને મમ્મી સાથે નિરાંતે અનેક વિષયો પર વાતો કરવાની બાબતમાં)
મારી કિશોરાવસ્થાથી કોઈ શું વિચારે છે તેની પરવા નહીં કરવાની વૃત્તિ વિકસી, ત્યારે શરૂઆતમાં વૈચારિક મજબૂતી બીરેનની અને ઉદ્દંડતા મારી—એવી વહેંચણી હતી. પછી અમારી ચર્ચાઓમાંથી ઘણી સ્પષ્ટતાઓ થઈ, મારો વૈચારિક પાયો મજબૂત બન્યો. અત્યંત સાદગીથી, માત્ર પરિવારજનોની હાજરીમાં લગ્ન કરવાના અમારા બંનેના નિર્ણયમાં સૌથી વધારે મુશ્કેલી અને કસોટી બીરેનના લગ્ન વખતે થઈ. પછી મારું પણ એ જ રીતે લગ્ન થયું. પાંચ-સાત કુટુંબીજનોની હાજરીમાં. તે વખતના વિરોધ સામે અણનમ રહેવા જેટલી સજ્જતા અને મક્કમતા અમે કેળવી લીધી હતી. આજે પણ એ બંને લગ્નપ્રસંગો વિચાર પ્રમાણે આચરી શકવાનો ઊંડો સંતોષ આપે છે.
યોગ્ય દિશાના વાચનમાં પણ બીરેનના લીધે હું આગળ વધ્યો. શ્રીલાલ શુક્લની હિંદી વ્યંગ નવલકથા ‘રાગ દરબારી’ પહેલી વાર બીરેને વાંચીને પછી મને આગ્રહપૂર્વક વાંચવા આપેલી. તે 1990ના દાયકાની શરૂઆતનાં વર્ષો હશે. તેણે ખાસ કહ્યું હતું કે શરૂઆતનાં પાનાંમાં રસ ન પડે એવું લાગે તો પણ અચૂક વાંચજે. ત્યારથી ‘રાગ દરબારી’ની સંખ્યાબંધ ચીજો અમારી વચ્ચેના કાયમી રેફરન્સ પોઇન્ટ બની ગઈ. એવા બીજા પણ અનેક રેફરન્સ પોઇન્ટ છે, જેના ઉલ્લેખમાત્રથી અમે બીજી કશી પિંજણ વિના ટૂંકમાં સમજી જઈએ છીએ.
જૂનાં ગીતો હવે સાથે સાંભળવાનું ઓછું બને છે, પણ પહેલાં અનેક સેશનોમાં અમે ગીતો ભરપૂર માણ્યાં છે અને હજુ પણ શચિના સાસરે જવાનું થાય અને થોડા કલાકની મુસાફરી હોય ત્યારે એકાદ ટાઇમ અમે બહુ વખતથી સાથે બેસીને નહીં સાંભળેલાં ગીતો મુકીએ છીએ અને ફરી તે ગીતોનો અને તે ગીતો સાથે સાંભળવાનો આનંદ લઈએ છીએ.
ભણતરકાળમાં મિત્રોની કમી હતી ત્યારે બીરેનના-IYCના મિત્રો સાથે હું જુનિયર તરીકે હળતોભળતો થયો. મને ઊભા રહેવા માટે આત્મવિશ્વાસની જે ભોંયની જરૂર હતી, તેનો મોટો હિસ્સો બીરેનના સાથ ઉપરાંત જૂના ગીતસંગીતના શોખ-અભ્યાસે-વાચને આપ્યો, તો થોડો હિસ્સો IYCના મિત્રોની સોબતે પણ આપ્યો. મિત્ર વિપુલ રાવલનું ઘર IYCનો અડ્ડો હતું. હું પણ ત્યાંનો નિયમિત મુલાકાતી બન્યો અને છેવટ સુધી રહ્યો. છેલ્લે બીજા બધા બહાર નીકળી ગયા હતા ત્યારે ચોક્સી (અજય પરીખ) અને હું—અમે બંનેએ રાત્રે 17, નારાયણ સોસાયટીના ઘરે જવાનું ચાલુ રાખ્યું હતું.
બીરેનનો અને મારો ચહેરો મળતો આવે છે કે નહીં, તે અમારી વચ્ચેની કાયમી રમૂજનો બહુ જૂનો વિષય. પાછલાં વર્ષોમાં અમારી બંનેની ‘તંદુરસ્તી’ વધ્યા પછી અમારા ચહેરા સરખા હોવા વિશે અમને બહુ શંકા રહી નથી, પણ શરૂઆતમાં આવું કોઈ કહે ત્યારે અમે તેમાંથી બહુ રમૂજ લેતા હતા. શારીરિક સામ્યથી વિપરીત, અમારી વચ્ચે સ્વભાવનો બહુ મોટો તફાવત છે, એવું ઘણાને લાગે છે. તે છે પણ ખરો. એટલે, અમને અલપઝલપ મળનારને અમારી વચ્ચેના એકતાર-એકસૂરનો ખ્યાલ કદાચ ન પણ આવે. (અને એવું થાય ત્યારે અમે તેની પણ મઝા લઈએ) અમારા ટેમ્પરામેન્ટ-મિજાજ બહુ જુદા છે, પણ એ ફરક કેવળ અભિવ્યક્તિનો છે-વૈચારિક સ્પષ્ટતાનો નહીં, એ પકડાતાં ઘણાને વાર લાગે છે.
નહીં બોલાયેલું સમજવાની અને નહીં કહેવાયેલું સાંભળવાની અમારી સિદ્ધિ—સિદ્ધ કરેલી વૃત્તિ—અડીખમ છે. અમે બંને પચાસ વટાવી ગયા, સંતાનો મોટાં થઈ ગયાં, એટલે તોફાનની સંભાવના ધરાવતો સમયગાળો પૂરો થઈ ગયો છે અને તેમાં એ વૃત્તિનો કાંગરો પણ ખર્યો નથી. એટલે હવે એવી કોઈ શક્યતા નથી. હકીકત તો એ છે કે અમારા મનમાં એ વૃત્તિને સભાનપણે જાળવવાની કે રક્ષવાની અસલામતી કદી જાગી જ નથી.
કારણ કે, આ ખાલી ભાઈપણું નથી. ભાઈબંધી પણ છે—લોહીના સંબંધે સ્થપાયેલી ને દાયકાઓની તડકીછાંયડીમાંથી હેમખેમ પાર ઉતરેલી ભાઈબંધી.