Thursday, May 15, 2025

કેટલીક ટૂંકી નોંધોઃ ત્રાસવાદી હુમલો, ધર્મ, ટ્રોલિંગ અને જૂઠા જયજયકાર વિશે

 છેલ્લા થોડા વખતમાં ફેસબુક પર લખેલી અને અહીં સંઘરી મુકવા જેવી લાગેલી કેટલીક પોસ્ટનું સંકલન.

*

(17-4-25)

જૂઠાણાં પર રાચનારા અને જૂઠાણાં પર સામ્રાજ્યો ઊભાં કરીને ટકાવનારાને બહુ બધા દુશ્મન લાગતા હોય છે. તેમાં પણ સ્વતંત્ર વિચારસરણી ધરાવતા લોકો ને એવી વિચારસરણી ખીલવતાં ઠેકાણાં તેમનાં કટ્ટર દુશ્મન હોય છે.
અમેરિકાની હાવર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ટ્રમ્પની આપખુદશાહીને તાબે ન થઈ એટલે ટ્રમ્પે તેનું કરોડો ડોલરનું ફંડિંગ અટકાવી દીધું.
ભારતમાં તેના માટે જુદા રસ્તા અપનાવાયા છે. સરકારી યુનિવર્સિટીઓમાં વિચારધારાવાળા ને લાયકાત વગરના લોકોને ઉપર બેસાડી દેવામાં આવે છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીઓના માલિકો-ભાગીદારોને ડરાવવામાં આવે છે.
સરકારી શાળાઓ માટે એવી સ્થિતિ પેદા કરવામાં આવે છે કે તેમને ટકી રહેવાનું અઘરું પડી જાય અને ખાનગી નિશાળો ફૂલેફાલે.
આવું ધીમું ઝેર છેલ્લા ઘણા સમયથી એવું પ્રસર્યું અને સમાજના ઘણા લોકોને તેની સરત જ ન રહી. હવે તેનાં પરિણામ ભોગવવાનાં છે.
આ સ્થિતિ માટેની પહેલી ગુનેગાર સરકાર છે. ત્યાર પછી ગુનેગારોની યાદી લાંબી છે. તેમાં ઘણા અધ્યાપકોથી લઈને વાલીઓ અને સમાજના કહેવાતા અગ્રણી 'ભણેલાગણેલા' લોકોને સમાવેશ થાય છે.
શિક્ષણને બદલે જૂઠાણાંને, અભ્યાસકેન્દ્રી-વિદ્યાકીય ગૌરવને બદલે દ્વેષ અને મિથ્યાભિમાન-કેન્દ્રી ચીપિયાપછાડ ચાલે ત્યારે દેશને અલગથી, બહારના દુશ્મનની જરૂર નથી પડતી.
અમેરિકા અને ભારત તેનાં એવાં બે ઉદાહરણ છે.
*
(20-4-25)
સાદું નાગરિકશાસ્ત્રઃ
1. બંધારણ કાયદાની ઉપર છે.
2. સંસદે કાયદો બનાવવાનો હોય છે.
3. સર્વોચ્ચ અદાલતે બંધારણના હાર્દનું રક્ષણ કરવાનું હોય છે.
4. કોઈ પણ કાયદો બંધારણના હાર્દનું ભંગ કરતો લાગે, ત્યારે સર્વોચ્ચ અદાલત તેને કચરાટોપલીમાં નાખી શકે છે. તે આપખુદશાહી નથી, બંધારણીય સંમતુલા છે. અંગ્રેજીમાં તેને ચેકસ એન્ડ બેલેન્સીસ કહેવાય છે.
5. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો મેનેજ થઈ જાય, એ લોકશાહી માટે સૌથી મોટો ખતરો હોય છે.
6. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સત્તાપક્ષ પ્રત્યે સાશંક રહે, તે લોકતંત્ર માટે અત્યંત જરૂરી છે. આ નિયમ તમામ પક્ષની સરકારોને લાગુ પડે છે.
7. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગરબડ માટે દોષી ઠેરવનાર ચુકાદો અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ આપ્યો હતો. તેના માટે આજેય તેમને આદરથી યાદ કરાય છે.
8. આજે કોઈ ન્યાયાધીશ નિષ્પક્ષ ન્યાયિક તપાસ કરીને નરેન્દ્ર મોદીને કે અમિત શાહને દોષી ઠેરવે, એવી કલ્પના સુદ્ધાં કરી શકાય છે?
9. કટોકટીના વિરોધનાં ગીતડાં ગાતી વખતે યાદ રાખવાનું હોય છે કે એ ફક્ત ઇન્દિરા ગાંધીની જ નહીં, તમામ પ્રકારની આપખુદશાહીના વિરોધમાં હોય.
*
કોંગ્રેસે કરેલા એક પણ પાપનો બચાવ કર્યા વિના, વર્ષોથી મોદીની નીતિરીતિની આકરી ટીકા કરતો રહ્યો છું. તેેમની કરણીનાં પરિણામ કેવાં માઠાં આવશે, તેનો સામાન્ય સમજથી ખ્યાલ આપતો રહ્યો છું.
હવે તો એ બધી અમંગળ આશંકાઓ ભવિષ્ય મટીને વર્તમાન બની ચૂકી છે. તેમ છતાં, જે લોકો મોદીભક્તિમાં ડૂબકાં ખાય છે, આંખો પર બાંધેલા ભ્રમના કે દ્વેષના પાટા ખોલવા તૈયાર નથી અને એવી જ અવસ્થામાં દલીલો કરવા આવી પડે છે, એવા લોકોને મારે કશું જ કહેવાનું નથી.
કારણ કે, આ મુદ્દે તેમની સાથે સંવાદ કરી શકાય એ માટેની લાયકાત તેમણે ક્યારની ગુમાવી દીધી છે.
('આ મુદ્દે'--એ શબ્દો ખાસ નોંધવા. કારણ કે, આંખે પટ્ટી હોવાને કારણે ઘણાને ગુજરાતીમાં લખેલું પણ પૂરું વંચાતું નથી.)
*
(23-4-25)
ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે.
ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો.
હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે.
ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે--આવું સરળીકરણ સગવડીયું અને મહદ્ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે.
નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મિડીયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો--એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખુલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી--હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું.
માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી.
ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.
*
(28-4-25)
ઘણા વખતથી ચાલતો આખો ખેલ એ છે કે સ્વસ્થ વિચારની કોશિશ કરનારા સામે મોરચો માંડો, તેમનો આક્રમક વિરોધ કરો, તેમને મહેસૂસ કરાવો કે તે અનિષ્ટોના તરફી છે અને માટે અનિષ્ટ છે. તેમને અસંવેદનશીલ ઠરાવી દો, હિંદુઓના દુશ્મન ઘોષિત કરી દો, જાહેર કરી દો કે તેમને દેશની પરવા નથી. વગેરે વગેરે...
આ ખેલના મુખ્ય બે ફાયદા છેઃ સ્વસ્થ વિચારની કોશિશ કરનારા ઢીલાપોચા હોય તો શેહમાં આવી જાય. ઘણા કિસ્સામાં જોવા મળે છે તેમ, માનસિક ઢચપચુપણું અનુભવીને કે ચાલુ પ્રવાહ સાથે રહેવા કે કજિયાનું મોં કાળું કરીને સઢ ફેરવી પણ નાખે.
કારણ કે, ધિક્કાર ફેલાવનારા કેટલાક લોકો અર્ધસત્યોનો સગવડીયો ઉપયોગ કરવામાં માહેર હોય છે. તે એકાદબે ઠેકાણે એવાં લપસણાં અર્ધસત્યો લખી નાખે કે માણસ સહેજ ચૂક્યો તો લપસીને સીધો ધિક્કારના ખદબદતા ખાબોચિયામાં. અથવા તેને પોતાને જ કેટલાંક સાદાં સત્યો સમજાવી સમજાવીને એવો કંટાળો આવે કે આત્મસંશય થવા લાગે ને કંઈ નહીં તો માથાકૂટ ટાળવા પણ એ બધું બંધ કરી દે.
બીજો ફાયદો એ કે સ્વસ્થ વિચારની કોશિશ કરનારા લખતા બંધ ન થાય તો પણ, તેમની વિરુદ્ધ બખાળા કાઢીને પોતાની 'બિરાદરી' આગળ વટ પાડી શકાય કે જોયું, મેં પેલાનાં કે પેલીનાં કેવાં છોતરાં કાઢી નાખ્યાં.
આ બધી લીલામાં સામાજિક ઝેર અને હિંસકતા-ધિક્કારનું તત્ત્વ ન હોત, તો એ બાળલીલા લાગત. પણ અફસોસ.
*
(29-4-25)
મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે. તેમના વલણનો વિરોધ કરનારા લોકોમાં કેટલા પ્રકારો અને પેટાપ્રકારો હોઈ શકે એની તેમને ખબર જ નથી અથવા તે યાદ કરવા માગતા નથી.
તેમની ધિક્કારની વિચારધારાનો જે વિરોધ કરે, એ બધા ડાબેરી, વામપંથી વિચારધારાવાળા--એવું પણ કેટલાક માને છે. ડાબેરી એટલે શું ને ડાબેરી એટલે કોણ નહીં--એટલી સાદી સમજણ કે સ્પષ્ટતા તેમનામાં હોતી નથી. પણ સમજણનો બધો અભાવ તે ધિક્કારથી અને વ્યક્તિપૂજાથી સરભર કરી લે છે. એટલે તેમને કશી ખોટ સાલતી નથી.
ડાબેરી કોને કહેવાય, તે વિશેનું અજ્ઞાન જોકે ગુજરાતમાં જ્ઞાનપીઠવિજેતા સુધી પહોંચેલું છે. વર્ષો પહેલાં એવા એક વિજેતાએ કોઈને મારી ઓળખાણ આપતાં કહ્યું હતું,'આ ઉર્વીશ કોઠારી. ડાબેરી છે, પણ સારું લખે છે.' 😃 હવે તમે જ કહો, તેમની આ દશા હોય, તો ફેસબુક પરના લોકોનો શો વાંક કાઢવો?
હકીકતમાં, મારા જેવા ઘણા લોકો કોઈ જડ વિચારધારામાં માનતા નથી. ડાબેરી એટલે હળવાથી આત્યંતિક ક્રમમાં જઈએ તો, સમાજવાદી, સામ્યવાદી, માઓવાદી અને તેમના અસંખ્ય પેટાપ્રકારો. હું નથી આંબેડકરવાદી, નથી ગાંધીવાદી. મને ગાંધી અને આંબેડકર બંને બહુ ગમે છે, ફૂલે તો મારા માટે હીરો છે, પણ ગમતા લોકો સાથે, પાયાના-મૂળભૂત ન હોય એવા મુદ્દે,અસંમતિ હોઈ શકે અને હોય છે. છતાં, તેમને, ગાંધી-આંબેડકરને, દિલથી ચાહી શકાય છે.
વિચારધારાના અર્થમાં હું સેક્યુલર પણ નથી. કારણ કે, વિચારધારા એને કહેવાય, જે સભાનતાથી અપનાવી હોય. મારી સાદી સમજ સહઅસ્તિત્ત્વમાં, સમાનતામાં અને માનવતામાં માનવાની છે. એ સમજ આખી જિંદગી ઘડતાં રહેવું પડે છે. શાસનનો-સ્થાપિત હિતોનો શક્ય એટલો વિરોધ, એ તેનો એક ભાગ છે. તેનો અંત નથી.
આ સમજ સતત ફાઇનટ્યુન કરવી પડે છે અને છેવટે તો, ઉપર જઈએ પછી જ નક્કી થાય કે 100માંથી કેટલા માર્ક આવ્યા. પણ આવી જે કંઈ સમજ છે તેને સેક્યુલરિઝમ, સ્યુડો-સેક્યુલરિઝમ, વામપંથ, ડાબેરી, હિંદુત્વવિરોધી--એવું બધું કહેવાય, એ તો આવી સમજથી જેમને તકલીફ થતી હતી ને થાય છે, તેમણે આપેલાં લેબલ છે. એટલે જ, એવાં લેબલ મને કદી અડતાં નથી.
ઘણા લોકો માને છે કે મારો એકમાત્ર ધંધો ને કામ ને હોબી મોદીને ગાળો દેવાની છે. સ્વાભાવિક રીતે જ આવા લોકોની સામાન્ય સમજના ગંભીર પ્રશ્નો હોય છે (એ તો આપણે ઉપર જોયું.) બાકી, રોજ પા-અડધા કલાકની મારી ફેસબુકચર્યા જોઈને અને તેમાં પણ બીજું કંઈ યાદ રાખ્યા વિના, ફક્ત મોદીની ટીકા યાદ રાખીને પછી, તે આવો અભિપ્રાય બાંધે તો તેમાં હું કશી મદદ કરી શકું નહીં. હકીકત એમ છે કે, મારા અનેક પ્રકારના રસ અને લખાણમાંથી મોદીપ્રેમીઓને ફક્ત મોદીની ટીકા જ 'સ્પર્શી' જાય છે અને મારો ફક્ત એટલો જ ભાગ યાદ રહી જાય છે.
મુદ્દાઆધારિત મૂલ્યાંકનના નામે, નરેન્દ્ર મોદીની આરતી ઉતારીને, તેમની કથિત કુશળતાના કી-બોર્ડસિપાહી બનીને, અમિત શાહ વિશે કદી કશું ન ઉચ્ચારીને, પછી સરકારના કે સરકારી તંત્રના છોંતરા કાઢી નાખવા--એવા ખેલ ગુજરાતમાં બહુ વખતથી ચાલે છે. યુટ્યુબ ચેનલોમાં પણ, જૂજ અપવાદોને બાદ કરતાં એ લગભગ ધોરણ બની ગયું છે. આખરે તો, પાપી વ્યૂનો સવાલ છે.
હું સમજું છું કે મોદી-શાહને સાચવી લઈને, વારેતહેવારે તે કેવા મહાન છે તેની બિરદાવલીઓ ગાઈ લેવી એ કસદાર ધંધો છે. એવા ધંધાર્થીઓ વિશે મારે કશું કહેવાનું નથી. કારણ કે, તે ધંધાદારીઓ છે અને તેમનું વિશ્લેષણ ન હોય.
હું સમજું છું કે સરકારનું બહુ દબાણ હોઈ શકે છે. હું કોઈને શહીદ બનવાની સલાહ નથી આપતો. જેનો આટલો મોટો હિસ્સો સારાસારવિવેક ગિરવે મુકીને બેઠો હોય, એવી પ્રજા માટે શહીદ ન થવાય--એટલી સમજણ મને પણ પડે છે. તેનો અર્થ એવો નહીં કે મોદી-શાહની આરતીઓ ઉતારીને, બાકીના તંત્ર કે સરકારની છાલ કાઢીને બહાદુરીના ફડાકા મારવાના. પણ બહુ મોટી સંખ્યામાં વાચકો આવા ખેલ પારખી શકતા નથી, એ હકીકત છે--પ્રજાકીય લક્ષણ કહી શકાય એટલી વ્યાપક હકીકત.
જોકે, ગુજરાતી પ્રજાને તેજાબી કલમ કે તેજાબી અભિપ્રાયો કે છોતરા કાઢી નાખવાના નામે મૂરખ બનાવવાનો ને પોતે કેવા બહાદુર છે તે દેખાડવાનો ખેલ આજકાલનો નથી. મારું એવું ખાનગી અને બિનઆધારભૂત છતાં પાયાદાર 'સંશોધન' છે કે ગુજરાતની પ્રજાને કેટલી આસાનીથી મૂરખ બનાવી શકાય છે, તેની જાણ નેતાઓ કરતાં પણ પહેલાં આપણા ઘણા કટારલેખકોને થઈ ગઈ હતી. એટલે વાચકો-દર્શકો આગળ તટસ્થતાના નામે આરતીઓ ઉતારવાનો, સાચવીને ટીકા કરવાનો ને ધૂર્તતાને બહાદુરી તરીકે રજૂ કરવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, યુ નો.
મોદીની કે શાસનની ટીકા કરવામાં મને કદી બહાદુરીનો અનુભવ નથી થયો. મારે મન એ કેવળ પ્રતીતિનો--મને જે લાગે છે તે કહેવાનો--મામલો છે. એથી ઓછો નહીં. એથી વધારે નહીં. તે કોઈ અદૃશ્ય કે દૃશ્ય વાચકવર્ગને કે શ્રોતાવર્ગને ધ્યાનમાં રાખીને, કે તેમને અંકે કરવા માટે કરાતી કસરત નથી.
હા, એવું બને છે કે ટીકા કરવા લાયક બધી બાબતોની એકસરખી તીવ્રતાથી ટીકા કરી શકાતી નથી. સમય, સંજોગો, પૂરતી જાણકારીનો અભાવ, બીજી પ્રતિકૂળતાઓથી માંડીને પ્રાથમિકતા જેવાં ઘણાં પરિબળો તેમાં કામ કરે છે. મંત્રી ન હોય એવા માણસ માટે આવું કરવું ફરજિયાત નથી, એ બાબતે હું નિશ્ચિત અને નિશ્ચિંત છું.
મને એક બાબતનું સૌથી વધારે ગૌરવ છેઃ મેં કદી કોઈના પણ હીન, માનવતાવિરુદ્ધ કામનો બચાવ કર્યો નથી, તેને છાવર્યું નથી કે તેને ધોકા પડતા હોય ત્યારે તેમના બચાવ ખાતર ધ્યાન બીજે ભટકાવવા દોડી ગયો નથી. મોદીપ્રેમીઓ તેમના વિચારવિરોધીઓ માટે જાતજાતનાં અને સમજ વગરનાં વિશેષણો વાપરવાની સાથેસાથે ક્યારેક આવી રીતે પણ પોતાની જાતનું મૂલ્યાંકન કરી જુએ.
બને કે તેમને પોતાના વિશે કંઈક વધુ જાણવાનું મળે.
*
(2-5-25)
સુરતમાં 'ગોડસેને ગાંધીકો ક્યૂં મારા'નો કાર્યક્રમ રદ થયો અને ટેકનિકલ કારણો આપીને આખી વાતને વાજબી ઠરાવવાની કોશિશ થઈ રહી છે.
ઓકે, તો ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી અને તેની પાછળ કેવા વિચાર કામ કરતા હતા, તેની વાત કરવી, એ આ દેશમાં લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ છે.
કેમ?
જવાબઃ કાર્યક્રમમાં જે બોલાય તે સોશિયલ મિડીયા પર ચડે ને કોઈ નારાજ થાય ને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય તો? તેના કરતાં જે બોલાવાનું હોય તે પોલીસને પહેલેથી બતાવી દેવું જોઈએ.
મતલબ, હવે, આવા કાર્યક્રમમાં જે બોલાવાનું હોય તે પોલીસને પહેલેથી કહેવાનું. વધારે ચોખવટથી કહીએ તો, તેમની પાસેથી પાસ કરાવવાનું અને તેમને ખાતરી અપાવવાની કે આમાં કશું વાંધાજનક--એટલે કે સત્તાધીશોને વાંધો પડે એવું કંઈ નથી.
ઇંદિરા ગાંધીની કટોકટી વખતે આવું હતું. પછી નરેન્દ્ર મોદીના રાજ મુખ્ય મંત્રી હતા ત્યારે ધીમે ધીમે કરીને ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો પર અઘોષિત પ્રતિબંધ મુકાઈ ગયો. વિરોધ પ્રદર્શન એટલે શું, એ જ ગુજરાતની પ્રજા ભૂલી ગઈ. પછી તેનો અફસોસ ક્યાંથી થાય?
પોલીસની દયા ખાવાનું મન થાય, પણ તે સામાન્ય પોલીસની. તેમના ઉપરીઓ ખુલીને જે નથી કહી શકતા તે એ કે, સત્તાપક્ષ નારાજ થાય એવું કંઈ ન કરશો. નહીં તો, સત્તાપક્ષનું સીધું કે આડકતરું સમર્થન ધરાવતા ગુંડા આવીને કાર્યક્રમના સ્થળે તોફાન મચાવશે ને અમે કંઈ નહીં કરી શકીએ. 'તમે સમજુ થઈને આવાં, અશાંતિ પ્રેરે એવાં આયોજનો કરો છો જ શા માટે?'
હવે તો ભલું પૂછવું, અહિંસાની વાત કરતાં પહેલાં પણ પોલીસની પરવાનગી લેવી પડશે? કારણ કે, અહિંસાની ખુલ્લેઆમ વાત કરવાથી હિંસા અને ધિક્કારમાં માનનારા લોકો નારાજ થાય અને કાર્યક્રમના સ્થળે તોડફોડ કરે તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન થાય?
અને આપણને તો એમ કે પોલીસનું કામ ગુંડાગીરી-ધાંધલ-તોડફોડ કરતા લોકોને રોકવાનું, ટપારવાનું, અટકાવવાનું છે.
*
(3-5-25)
--તો ગુજરાતના અને દેશના લોકો,
આખી વાતમાંથી તમે શું સમજ્યા?
* તમે હિંદુ હો, પણ મુસલમાનોને ધિક્કારતા ન હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમે નરેન્દ્ર મોદીની નીતિઓના ટીકાકાર હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ ન્યાય માગવા માટે અહિંસક રીતે અવાજ ઉઠાવો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ મુખ્ય મંત્રીને કે કોઈ મંત્રીને જાહેરમાં અઘરા સવાલ પૂછો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, તમે લશ્કરી દળમાંથી હો અથવા તમે તમારું પરિવારજન ત્રાસવાદમાં ગુમાવ્યું હોય, તેમ છતાં તમે સહઅસ્તિત્ત્વની અને બધા મુસલમાનોને એક લાકડીએ નહીં હાંકવાની વાત કરતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી--અમારાવાળા રાષ્ટ્રવાદી નથી.
* તમે હિંદુ હો, પણ તમે સરકારો સામે અણીયાળા સવાલ ઊભા કરતી રમૂજો કરો-વ્યંગ કરો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમને હિંદુ ધર્મના નામે થતી બાવાઓની કપટલીલા કે બેશરમ વેપારધંધા સામે વાંધો પડતો હોય, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ બળાત્કારના ગુનેગાર બાવાને મળેલા જામીનની ટીકા કરો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ ખૂન અને બળાત્કારની સજા કાપીને આવેલા લોકોના સન્માનમાં ન જોડાવ, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમે સરકારના દરેક યુ ટર્નને સમર્થન ન આપો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ હિંદુ ધર્મની બધી મર્યાદાઓનો બીજા ધર્મોની મર્યાદાઓ સામે છેદ ન ઉડાડી શકાય એવું માનતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો અને બીજા ધર્મોનાં ખરાબ તત્ત્વો સાથે સ્પર્ધામાં ન ઉતરાય એવું માનતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
ટૂંકમાં, તમે હિંદુ હો એટલું બિલકુલ પૂરતું નથી.
અસલ વાત તો એ છે કે તમે અમારાવાળા હિંદુ હોવા જોઈએ.
આટલું સમજવામાં કેટલી વાર લાગે?
*
(7-5-25)
બધી સ્ટોરી એક લીટીની નથી હોતી. જેમ કે,
‘ઓપરેશન સિંદૂર’—ત્રાસવાદી હુમલાની વળતી કાર્યવાહી તરીકે આવકારદાયક પગલું છે. દાવો કરાયા મુજબનાં લક્ષ્યાંક નિશાન બનાવાયાં હોય તો તે વધુ આનંદની વાત છે. આ પ્રકારની વળતી, સરહદપારનાં ચોક્કસ લક્ષ્યાંક સાથેની, મર્યાદિત સૈન્ય કાર્યવાહીને સમર્થન હોય જ.
રહી વાત વડાપ્રધાનનાં વખાણની. તો ‘ઓપરેશન સિંદૂર’ આવકારદાયક છે. તેનાથી વળતી કાર્યવાહીનો સંતોષ મળ્યો છે. આ પગલાનો આનંદ હોય, ઉન્માદ નહીં. તેના માટે ‘નિર્ણાયક’ કે એવાં બીજાં અતિશયોક્તિભર્યાં વિશેષણો ખડકીને, વડાપ્રધાનના જયજયકારમાં સરી પડવા જેવું નથી. કેમ કે, આવું પહેલી વારનું નથી. બાલાકોટ બધાને યાદ જ હશે. અને થોડા વખત પહેલાંનો આ અહેવાલ પણ રસ ધરાવનારે જોવો.
ત્રાસવાદી હુમલા પછી બધા મુસલમાનો પ્રત્યે ધિક્કાર ફેલાવવાનો ભરપૂર (અને સદ્‌ભાગ્યે નિષ્ફળ) પ્રયાસ થયો. હિમાંશી નરવાલે મુસલમાનોને ધિક્કારવાની ના પાડી તો તેમના વિશે સાવ છેલ્લી પાયરીનું લખાયું. આ બંને ઝુંબેશમાં સામેલ લોકો ‘ઓપરેશન સિંદૂર’ પછી છાતી ફુલાવતા ને બડાઈઓ મારતા દેખાય, ત્યારે વિચારજોઃ તેમનું ‘ભારત’ કયું છે અને શા માટે મારા જેવા ઘણા લોકોના ‘ભારત’ સાથે તેમના ધિક્કારકેન્દ્રી ‘રાષ્ટ્રવાદ’નો મેળ ખાતો નથી. પત્રકારો સમક્ષ વાત કરવા માટે વિંગ કમાન્ડર મોનિકા સિંઘની સાથે કર્નલ સોફિયા કુરેશી હતાં, તેનાથી પણ ધિક્કારના પ્રચારકો કંઈક સમજે તો સારું. હિમાંશી નરવાલના શાબ્દિક લિન્ચિંગ મામલે ચૂપ રહીને કરેલા મસમોટા પાપનું, સાવ નાનકડું પ્રાયશ્ચિત સરકારે કર્નલ કુરેશીને આગળ રાખીને કર્યું છે. તે દેખાડો હોય તો પણ આવકારદાયક છે.
મોક ડ્રિલના નામે ઘણા નાગરિકોને સાંકળતી બ્લેક આઉટની કાર્યવાહી બહુ ગળે ઉતરે એવી નથી. પહેલું કારણ તો એ કે હવેનાં યુદ્ધો જુદી રીતે લડાય છે. તેમાં બ્લેક આઉટની પ્રેક્ટિસની જરૂર હોય એવું સામાન્ય સમજથી તો લાગતું નથી. સૈનિક બાબતોના કોઈ નિષ્ણાત આવો અભિપ્રાય આપે તો જુદી વાત છે.
આશંકા તો એવી પડે કે તે સજાગતાને બદલે યુદ્ધજ્વર ચડાવવાનો કાર્યક્રમ હોઈ શકે. એવો જ્વર ચઢે એટલે સરકાર સામે સવાલો પૂછવાનો પારો માંડ થોડો ચડ્યો હોય તે પણ સાવ ઉતરી જાય. અગાઉ કોરોના વખતે સરકાર આ દાવ અજમાવી ચૂકી છે. એટલે તેની મથરાવટી પર ભરોસો બેસે તેમ નથી. પીડિતોના સવાલને ‘એજન્ડા’માં ખપાવવાનો અહંકાર શાસકોમાં આવી ચૂક્યો હોય, ત્યારે આવો લોકજ્વર તેમના માટે બહુ કામનો હોઈ શકે છે.
છેલ્લી વાતઃ 1971માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળ થયેલી સર્જિકલ સ્ટ્રાઇક કે જવાબી કાર્યવાહી કરતાં એક હજાર ગણી મોટી કાર્યવાહી થઈ હતીઃ પાકિસ્તાનનો એક આખો ટુકડો કપાઈને અલગ દેશ બન્યો હતો. તેનાં ત્રણ જ વર્ષમાં ઇન્દિરા ગાંધીનું કુશાસન ફાટીને ધુમાડે ગયું અને મોટી સંખ્યામાં લોકો ઇન્દિરાભક્તિમાં અંધ ન હતા. એટલે, દેશમાં વ્યાપક અસંતોષ ફાટી નીકળ્યો. કેટલાક ઘટનાક્રમો પછી 1975માં ઇન્દિરા ગાંધીએ સત્તા ટકાવવા માટે કટોકટી લાદવી પડી.
ટૂંકમાં, વડાપ્રધાને જે કર્યું એ તેમનું કામ હતું. જેટલું સારી રીતે કર્યું તેના માટે માપસરનાં અભિનંદન હોય, પણ એવા કામથી તેમની સામે ઊભા થયેલા બીજા અસંખ્ય મહત્ત્વના સવાલ મટી ન જાય.
જે આવો પ્રચાર કરતા હોય કે ‘મોદીએ પાઠ શીખવાડી દીધો. એટલે હવે તેમની ટીકા નહીં કરવાની- તેમને કશું પૂછવાનું નહીં. એ તો છે જ ગ્રેટ. તમને કદર નથી.’ તો એવા પ્રચારકોથી ચેતવું. કારણ કે તે રાષ્ટ્રભક્તિના નામે ખરેખર મોદીભક્તિ કરે છે. કાયદાની હદમાં રહીને મોદીભક્તિ કરવી તે વ્યક્તિનો લોકશાહી અધિકાર છે, પણ એ તેને રાષ્ટ્રભક્તિ ગણાવવા લાગે, ત્યારે તે અધિકાર મટીને છેતરપીંડી બને છે.
જય હિંદ.
*
(11-5-25)
વિક્રમ મિસરીને ટ્રોલ કરાયા તેનાથી કોઈને નવાઈ ન લાગવી જોઈએ.
થોડા દિવસ પહેલાં અહીં એક પોસ્ટમાં લખ્યું હતું તેમ, તમે 'અમારાવાળા હિંદુ' નથી, તો પછી તમે ગમે તે હો, કશો ફરક નથી પડતો. એટલે વહેમમાં રહેવું હોય તો તમારા હિસાબે ને જોખમે રહેજો.
અને એક ઓર વાતઃ ભૂલો ભલે બીજું બધું, પૉપૉની પીપૂડી વગાડવાનું ભૂલશો નહીં. આવા વખતે તો ખાસ નહીં. મોદી એ જ દેશ છે ને મોદીએ કમાલ કરી નાખી ને જોયું? કેવું બતાવી દીધું--એવી બધી કસીદાબાજી બહુ ઉપયોગી છે.
એક ઠેકાણું સાચવી લેવાથી અને વખતોવખત ત્યાં શાબ્દિક ચરણસ્પર્શ કરી લેવાથી, સ્થાનિક સરકારો ને વહીવટી તંત્રોના છોતરા ફાડવાના સીન નાખી શકાતા હોય અને કથિત બહાદુરીના ખેલ પાડી શકાતા હોય, તો સોદો ખોટો નથી.
પાર્ટ ટાઇમ જંબુરા, ફુલ ટાઇમ મદારી.
આપણા લોકોને તો આંખ સામે ચાલતું આટલું બધું નથી દેખાતું, ત્યાં આવા પાર્ટ ટાઇમ-ફુલ ટાઇમ રોલ જોવાની ને યાદ રાખવાની વૃત્તિ ક્યાંથી હોય?
અને એકલા પાર્ટટાઇમ જંબુરાઓનો પણ શો વાંક કાઢવો?
છાણના દેવને કપાસિયાની આંખો.
*
(13-5-25)
પોળની ક્રિકેટમાં પણ આવું ઘણી વાર બનતું.
એક ટીમ હારવા આવે, એટલે છેલ્લા થોડા બોલ બાકી હોય ત્યાં જ 'જીતી ગયા, જીતી ગયા'... કહીને બૂમરાણ મચાવે અને દોટ કાઢીને, કોઈ કશું વિચારે તે પહેલાં, સ્ટમ્પ ઉખાડીને મેદાનમાંથી બહાર ભાગી જાય.
પછી?
પછી શું? જીતનો જશ્ન. વિજયયાત્રા. વિજેતાનો જયજયકાર. વિજેતા કેવા મહાન ખેલાડી છે ને કેવા અપરાજેય છે તેની ગાથાઓ.
અને આ બધા સામે સવાલ કરો
તો તમે પોળવિરોધી, નેગેટિવ વિચારનારા, જીતનારાની ઇર્ષ્યા કરનારા 🙂

સિંહ સાથે સંવાદ

થોડા સમય પહેલાં હાસ્યલેખક મિત્ર નટવર પંડ્યાએ સિંહ સામે મળે તો શું કરવું, એ વિશે લખ્યું હતું. તે વાંચ્યા પછી વિચાર આવ્યો કે સિક્કાની બીજી બાજુ વિશે પણ વિચારવું જોઈએઃ સિંહ સામે મળે તો શું ન કરવું?

દેશકાળ અને માણસે માણસે તેના જવાબ અલગ હોઈ શકે છે. જેમ કે, સવા સો વર્ષ પહેલાંનાં ગુજરાતમાં કોઈને કહેવાનું થાત કે સિંહ સામે મળે તો તેની સાથે ત્હારું લખાય કે તારું, નર્મદ મહાન કે દલપત—એવી બધી સાક્ષરી ચર્ચા ન કરવી. સિંહને—અને ખરું પૂછો તો, ઘણાખરા માણસોને પણ—વધારાના કારથી કશો ફરક નથી પડતો. જોકે, હવે આવી સલાહ જરા સમજીવિચારીને આપવી પડે. કારણ કે, અત્યારે હકારાત્મકતાનો-પોઝિટિવ થિંકિંગનો-પ્રેરણાનો-મોટિવેશનનો વાયરસ અમુક અર્થમાં અને અમુક ક્ષેત્રોમાં કોરોના કરતાં વધારે આતંક મચાવી રહ્યો છે. કોઈ કારાત્મક અને હકારાત્મક વચ્ચે ભેળસેળ કરી નાખે, તો પછી નબળી-પોલી-જૂઠી હકારાત્મકતા સામેનો વિરોધ દેશદ્રોહ કેમ નથી, તેના ખુલાસા કરતાં ફરવું પડે.  

વાત જરા આડા પાટે ચડી ગઈ. આવું સિંહ સામે મળે તો ન કરવું. કારણ કે, માણસ સામે મળે ત્યારે સિંહના મનમાં લગભગ એવા  જ પ્રકારની લાગણી થાય છે, જેવી ઘણા કવિઓને સામે મળેલા સંભવિત શ્રોતાને જોઈને થાયઃ તૂટી પડવાની. અને તૂટી પડવાના મામલે, સિંહો મોક ડ્રિલમાં માનતા નથી—સિવાય કે તે સરકસના હોય. કારણ કે, તેમને મોટા સમુદાયને મૂરખ બનાવવાની કે તેમને ગમે તે રીતે રિઝવવાની જરૂર હોતી નથી.

ઘણા લોકો એવા હોય છે કે જેમને સામે કોણ છે, તેનાથી કશો ફરક પડતો નથી. તેમને જે કહેવાનું હોય તે કહીને જ જંપે (કે છોડે) છે. તેમનું કહેવાનું પ્રી-રેકોર્ડેડ સંદેશા જેવું હોય છે. આવા લોકોએ સિંહ સામે મળે ત્યારે ખાસ સાચવવું. કારણ કે, સિંહને કોઈની પણ મનકી બાત સાંભળવાની ટેવ કે જરૂર હોતી નથી—અને તેનાં વખાણ કરવાની તો બિલકુલ નહીં. કારણ કે, સિંહ પર ઇડી-સીબીઆઇ-આઇટીની રેડ પાડવાનું વ્યવહારમાં શક્ય નથી અને કેટલાક સિંહપાલકો નેતાપાલકો પણ હોય, તો પછી આખો મામલો ઘરપરિવારનો- આંતરિક થઈ જાય છે.

એક જ્ઞાતિવિશેષ માટે (સત્ય-આધારિત) રમૂજ પ્રચલિત છે કે સાંભળનારને તે વ્યક્તિની જ્ઞાતિ વિશે શી રીતે ખબર પડે?  જવાબ બહુ સહેલો છે. એ જ્ઞાતિવિશેષની વ્યક્તિ વાતચીતની શરૂઆતમાં જાતે જ હોંશે હોંશે પોતાની જ્ઞાતિનું એલાન કરી દેશે. (આ કિસ્સામાં બંધબેસતી પાઘડી પહેરવી આવકાર્ય છે. કેમ કે, તે સ્વજાગૃતિનું પ્રતીક હોઈ શકે છે.) આવા જ્ઞાતિગૌરવગ્રસ્ત લોકોએ પણ સિંહની સામે સાચવવું. કેમ કે, સિંહોમાં કે ગમે તેટલાં હિંસક પ્રાણીઓમાં પણ હિંસાનું એક ધોરણ હોય છે. તે ગમે તેટલી લોહિયાળ હોય, પણ જ્ઞાતિના ભેદભાવ જેટલી ક્રૂર નથી હોતી.

કેટલાક લોકો બહુ સામાજિક હોય છે. તેમને લાગે છે કે સારી રીતે, સન્નિષ્ઠતાથી બોલવાચાલવાથી ઉભરાતી ગટરથી માંડીને ગ્લોબલ વોર્મિંગ સુધીની બધી સમસ્યાઓ ઉકેલી શકાય છે. એવા લોકો સિંહને મળે તો બને કે તે સિંહણની તબિયત વિશે કે તેમનાં બાળકો આજકાલ પરદેશના કયા ઝૂમાં છે, એ પૂછી બેસે અને પછી લગે હાથ પોતાનાં પરદેશનિવાસી સંતાનોનો બાયો-ડેટા વર્ણવવાનું શરૂ કરી દે. એવા લોકો પર, ન કરે નારાયણ ને સિંહ હુમલો કરે, તો પણ બદનામી તો સિંહની જ થાય. હિંસક તો સિંહ જ ગણાય. કોઈને એવો વિચાર ન આવે કે સિંહ પેલા ભાઈના સંતાનચાલીસાથી પણ ખિજાયો હોઈ શકે.

કેટલાકને એવો વહેમ હોય છે કે તે કોઈની પણ વાંત શાંતિથી સાંભળીને, તેમને યથાયોગ્ય સલાહ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમના મનમાં તેમનું પોતાનું સ્થાન કોઈ નિષ્ણાત મનોચિકિત્સક કે માનસશાસ્ત્રીથી કમ નથી હોતું. તે લોકો સિંહની ત્રાડ સાંભળીને પણ દોટ મૂકવાને બદલે એવું વિચારતા હોય કે તે ભલે ગુસ્સે થાય, હું તેને અભિવ્યક્ત થવાની પૂરેપૂરી તક આપીશ. તેને જજ નહીં કરું., તો તેમણે એક વાત યાદ રાખવી જોઈએઃ તે વેળાસર સિંહથી વિરુદ્ધ દિશામાં દોટ નહીં કાઢે તો, અમસ્તી પણ પછી તેમને એકેય તક મળવાની નથી.

પહેલાં કહેવાતું હતું કે માણસ સોશ્યલ એનિમલ (સામાજિક પ્રાણી છે.) હવે કહી શકાય કે તે સોશ્યલ મિડીયા એનિમલ (સોશ્યલ મિડીયામાં રાચતું પ્રાણી) છે. સોશ્યલ મિડીયાના જમાનામાં બધા જ ઇન્ફ્લુઅન્સર છે. (એક નિર્દોષ સવાલઃ ઇન્ફ્લુઅન્સર શબ્દથી ઇન્ફ્લુએન્ઝાની-મહામારીની યાદ આવે છે?) એવા સ્વઘોષિત ઇન્ફ્લુઅન્સર સિંહની સામે આવી જાય, તો તેમનો આત્મવિશ્વાસ જોઈને સિંહ પણ કદાચ બે ઘડી મોળો પડી જાય. ઇન્ફ્લુઅન્સર પોતાના ફોલોઅર્સ, લાઇક્સ, તેમાંથી મળતા રૂપિયાપૈસા, પ્રસિદ્ધિ અને તેના કારણે થઈ રહેલો જયજયકાર—ટૂંકમાં, તેમને લાગતી માનસિક અસલામતી સિવાયનું બધું—ગણાવવા બેસે, તો સિંહને પણ થાય કે તેનો અવતાર એળે ગયો.

ઇન્ફ્લુસરના ક્ષણિક પ્રભાવમાંથી બહાર આવ્યા પછી, શક્ય છે કે સિંહ (દીવાર ફિલ્મનો સંવાદ) મેરે પાસ મા હૈ એટલું પણ ન બોલે. તે બોલ્યા વિના દર્શાવી શકે છે કે ઇન્ફ્લુએન્સર પાસે બધું જ હશે, પણ પોતાની પાસે એક થપાટમાં સામેવાળાના આખા જીવન પર ગંભીર ઇન્ફ્લુઅન્સ પાડી શકે, એવો ધારદાર-વજનદાર પંજો છે.  

અલબત્ત, મોટા ભાગના લોકોના જીવનમાં સામે સિંહ કરતાં કૂતરું મળે એવી સંભાવનાઓ ઘણી વધારે હોય છે. ત્યારે શું કરવું, તેની વાત ફરી ક્યારેક.

Tuesday, April 29, 2025

થોડું અંદર ઉતરીને, થોડું વિચારધારા વિશે...

મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે.

તેમના વલણનો વિરોધ કરનારા લોકોમાં કેટલા પ્રકારો અને પેટાપ્રકારો હોઈ શકે એની તેમને ખબર જ નથી અથવા તે યાદ કરવા માગતા નથી.
તેમની ધિક્કારની વિચારધારાનો જે વિરોધ કરે, એ બધા ડાબેરી, વામપંથી વિચારધારાવાળા--એવું પણ કેટલાક માને છે. ડાબેરી એટલે શું ને ડાબેરી એટલે કોણ નહીં--એટલી સાદી સમજણ કે સ્પષ્ટતા તેમનામાં હોતી નથી. પણ સમજણનો બધો અભાવ તે ધિક્કારથી અને વ્યક્તિપૂજાથી સરભર કરી લે છે. એટલે તેમને કશી ખોટ સાલતી નથી.
ડાબેરી કોને કહેવાય, તે વિશેનું અજ્ઞાન જોકે ગુજરાતમાં જ્ઞાનપીઠવિજેતા સુધી પહોંચેલું છે. વર્ષો પહેલાં એવા એક વિજેતાએ કોઈને મારી ઓળખાણ આપતાં કહ્યું હતું,'આ ઉર્વીશ કોઠારી. ડાબેરી છે, પણ સારું લખે છે.'

હવે તમે જ કહો, તેમની આ દશા હોય, તો ફેસબુક પરના લોકોનો શો વાંક કાઢવો?
હકીકતમાં, મારા જેવા ઘણા લોકો કોઈ જડ વિચારધારામાં માનતા નથી. ડાબેરી એટલે હળવાથી આત્યંતિક ક્રમમાં જઈએ તો, સમાજવાદી, સામ્યવાદી, માઓવાદી અને તેમના અસંખ્ય પેટાપ્રકારો. હું નથી આંબેડકરવાદી, નથી ગાંધીવાદી. મને ગાંધી અને આંબેડકર બંને બહુ ગમે છે, ફૂલે તો મારા માટે હીરો છે, પણ ગમતા લોકો સાથે, પાયાના-મૂળભૂત ન હોય એવા મુદ્દે,અસંમતિ હોઈ શકે અને હોય છે. છતાં, તેમને, ગાંધી-આંબેડકરને, દિલથી ચાહી શકાય છે.
વિચારધારાના અર્થમાં હું સેક્યુલર પણ નથી. કારણ કે, વિચારધારા એને કહેવાય, જે સભાનતાથી અપનાવી હોય. મારી સાદી સમજ સહઅસ્તિત્ત્વમાં, સમાનતામાં અને માનવતામાં માનવાની છે. એ સમજ આખી જિંદગી ઘડતાં રહેવું પડે છે. શાસનનો-સ્થાપિત હિતોનો શક્ય એટલો વિરોધ, એ તેનો એક ભાગ છે. તેનો અંત નથી.
આ સમજ સતત ફાઇનટ્યુન કરવી પડે છે અને છેવટે તો, ઉપર જઈએ પછી જ નક્કી થાય કે 100માંથી કેટલા માર્ક આવ્યા. પણ આવી જે કંઈ સમજ છે તેને સેક્યુલરિઝમ, સ્યુડો-સેક્યુલરિઝમ, વામપંથ, ડાબેરી, હિંદુત્વવિરોધી--એવું બધું કહેવાય, એ તો આવી સમજથી જેમને તકલીફ થતી હતી ને થાય છે, તેમણે આપેલાં લેબલ છે. એટલે જ, એવાં લેબલ મને કદી અડતાં નથી.
ઘણા લોકો માને છે કે મારો એકમાત્ર ધંધો ને કામ ને હોબી મોદીને ગાળો દેવાની છે. સ્વાભાવિક રીતે જ આવા લોકોની સામાન્ય સમજના ગંભીર પ્રશ્નો હોય છે (એ તો આપણે ઉપર જોયું.) બાકી, રોજ પા-અડધા કલાકની મારી ફેસબુકચર્યા જોઈને અને તેમાં પણ બીજું કંઈ યાદ રાખ્યા વિના, ફક્ત મોદીની ટીકા યાદ રાખીને પછી, તે આવો અભિપ્રાય બાંધે તો તેમાં હું કશી મદદ કરી શકું નહીં. હકીકત એમ છે કે, મારા અનેક પ્રકારના રસ અને લખાણમાંથી મોદીપ્રેમીઓને ફક્ત મોદીની ટીકા જ 'સ્પર્શી' જાય છે અને મારો ફક્ત એટલો જ ભાગ યાદ રહી જાય છે.
મુદ્દાઆધારિત મૂલ્યાંકનના નામે, નરેન્દ્ર મોદીની આરતી ઉતારીને, તેમની કથિત કુશળતાના કી-બોર્ડસિપાહી બનીને, અમિત શાહ વિશે કદી કશું ન ઉચ્ચારીને, પછી સરકારના કે સરકારી તંત્રના છોંતરા કાઢી નાખવા--એવા ખેલ ગુજરાતમાં બહુ વખતથી ચાલે છે. યુટ્યુબ ચેનલોમાં પણ, જૂજ અપવાદોને બાદ કરતાં એ લગભગ ધોરણ બની ગયું છે. આખરે તો, પાપી વ્યૂનો સવાલ છે.
હું સમજું છું કે મોદી-શાહને સાચવી લઈને, વારેતહેવારે તે કેવા મહાન છે તેની બિરદાવલીઓ ગાઈ લેવી એ કસદાર ધંધો છે. એવા ધંધાર્થીઓ વિશે મારે કશું કહેવાનું નથી. કારણ કે, તે ધંધાદારીઓ છે અને તેમનું વિશ્લેષણ ન હોય.
હું સમજું છું કે સરકારનું બહુ દબાણ હોઈ શકે છે. હું કોઈને શહીદ બનવાની સલાહ નથી આપતો. જેનો આટલો મોટો હિસ્સો સારાસારવિવેક ગિરવે મુકીને બેઠો હોય, એવી પ્રજા માટે શહીદ ન થવાય--એટલી સમજણ મને પણ પડે છે. તેનો અર્થ એવો નહીં કે મોદી-શાહની આરતીઓ ઉતારીને, બાકીના તંત્ર કે સરકારની છાલ કાઢીને બહાદુરીના ફડાકા મારવાના. પણ બહુ મોટી સંખ્યામાં વાચકો આવા ખેલ પારખી શકતા નથી, એ હકીકત છે--પ્રજાકીય લક્ષણ કહી શકાય એટલી વ્યાપક હકીકત.
જોકે, ગુજરાતી પ્રજાને તેજાબી કલમ કે તેજાબી અભિપ્રાયો કે છોતરા કાઢી નાખવાના નામે મૂરખ બનાવવાનો ને પોતે કેવા બહાદુર છે તે દેખાડવાનો ખેલ આજકાલનો નથી. મારું એવું ખાનગી અને બિનઆધારભૂત છતાં પાયાદાર 'સંશોધન' છે કે ગુજરાતની પ્રજાને કેટલી આસાનીથી મૂરખ બનાવી શકાય છે, તેની જાણ નેતાઓ કરતાં પણ પહેલાં આપણા ઘણા કટારલેખકોને થઈ ગઈ હતી. એટલે વાચકો-દર્શકો આગળ તટસ્થતાના નામે આરતીઓ ઉતારવાનો, સાચવીને ટીકા કરવાનો ને ધૂર્તતાને બહાદુરી તરીકે રજૂ કરવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, યુ નો.
મોદીની કે શાસનની ટીકા કરવામાં મને કદી બહાદુરીનો અનુભવ નથી થયો. મારે મન એ કેવળ પ્રતીતિનો--મને જે લાગે છે તે કહેવાનો--મામલો છે. એથી ઓછો નહીં. એથી વધારે નહીં. તે કોઈ અદૃશ્ય કે દૃશ્ય વાચકવર્ગને કે શ્રોતાવર્ગને ધ્યાનમાં રાખીને, કે તેમને અંકે કરવા માટે કરાતી કસરત નથી.
હા, એવું બને છે કે ટીકા કરવા લાયક બધી બાબતોની એકસરખી તીવ્રતાથી ટીકા કરી શકાતી નથી. સમય, સંજોગો, પૂરતી જાણકારીનો અભાવ, બીજી પ્રતિકૂળતાઓથી માંડીને પ્રાથમિકતા જેવાં ઘણાં પરિબળો તેમાં કામ કરે છે. મંત્રી ન હોય એવા માણસ માટે આવું કરવું ફરજિયાત નથી, એ બાબતે હું નિશ્ચિત અને નિશ્ચિંત છું.
મને એક બાબતનું સૌથી વધારે ગૌરવ છેઃ મેં કદી કોઈના પણ હીન, માનવતાવિરુદ્ધ કામનો બચાવ કર્યો નથી, તેને છાવર્યું નથી કે તેને ધોકા પડતા હોય ત્યારે તેમના બચાવ ખાતર ધ્યાન બીજે ભટકાવવા દોડી ગયો નથી. મોદીપ્રેમીઓ તેમના વિચારવિરોધીઓ માટે જાતજાતનાં અને સમજ વગરનાં વિશેષણો વાપરવાની સાથેસાથે ક્યારેક આવી રીતે પણ પોતાની જાતનું મૂલ્યાંકન કરી જુએ.
બને કે તેમને પોતાના વિશે કંઈક વધુ જાણવાનું મળે.

Wednesday, April 23, 2025

ત્રાસવાદી હુમલોઃ નાગરિક ભૂમિકાએ

ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે.

ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો.
હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે.
ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે--આવું સરળીકરણ સગવડીયું અને મહદ્ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે.
નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મિડીયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો--એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખુલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી--હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું.
માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી.
ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.

Wednesday, April 16, 2025

પ્રેરણાનાં ખાબોચિયાંમાં છબછબિયાં

એમનું નામ તો પરેશભાઈ, પણ તેમને થોડુંઘણું ઓળખનારા ઘણી વાર તેમને પ્રેરકભાઈ કહીને બોલાવતા. તે સાંભળીને નામબગાડાથી નારાજ થવાને બદલે, ખિતાબ મળ્યો હોય એમ પરેશભાઈ હરખાતા. ચહેરા પર સ્થિતપ્રજ્ઞતા જાળવવી જોઈએ. એટલે તે જળવાતી. પણ તેમના હોઠના ખૂણા હસું હસું થઈ જતા. ક્યારેક તે નમ્રતાનો તકાદો જાળવવા કહેતા,અરે...અરે... તમારી કદર સર આંખો પર, પણ હું પરેશ જ ઠીક છું...આટલું બધું ન હોય.

જવાબમાં સામેવાળા તરફથી પ્રશંસાનાં બે-ચાર વાક્યો વધુ આવતાં અને જોનારને લાગતું, જાણે પરેશભાઈ ક્ષોભસંકોચથી ઓગળીને વહેવા માંડશે.

લોકોની જીભે સરસ્વતી હોય છે. પરેશભાઈની જીભે પ્રેરણાદેવીનો વાસ હતો. પ્રેરક વક્તા, અંગ્રેજીમાં કહીએ તો મોટિવેશનલ સ્પીકર, તરીકે તેમનો ડંકો વાગતો હતો. સામાજિક ક્લબોથી માંડીને પોલીસ વેલફેર સુધીની એકેય સંસ્થા એવી નહીં હોય, જ્યાં પરેશભાઈ બોલી ન આવ્યા હોય.

સિનિયર સીટીઝન-જુનિયર ચેમ્બર, મહિલા મંડળો-કીટી પાર્ટીઓ, લગ્ન સમારંભો ને પ્રાર્થનાસભાઓ, નવી પેઢી-જૂની પેઢી, એનઆરઆઇ-આરઆઇ, ઓડિયન્સ ગમે તે હોય, પરેશભાઈની પ્રેરણાની પાઇપલાઇનમાંથી પુરવઠો કદી ખૂટતો નહીં.

વહેલામાં વહેલી તકે કરોડપતિ બનવા માગતા લોકોને સંબોધીને પરેશભાઈ કહેતા તમે ઇચ્છો તો આવતી કાલે ધીરુભાઈ અંબાણી બની શકો એમ છો. તે બોલતી વખતે તેમના અવાજમાં રહેલો રણકો સાંભળનારને એવો અડી જતો કે તે પોતાની જાતને રિલાયન્સની મુખ્ય ઓફિસની મુખ્ય ખુરશી પર બેઠેલા જણ તરીકે જોવા માંડતો.

હકડેઠઠ ભરાયેલા હોલમાં પરેશભાઈ પૂછતા,કોને કોને મર્સિડીઝ લેવી છે?’

સવાલ સાંભળતાં ફી ભરીને હોલમાં ખુરશીઓ પર બેઠેલા તો ઠીક, દરવાજે ઊભેલા ગાર્ડની આંગળી પણ ઊંચી થઈ જતી હતી. એ દૃશ્ય જોઈને પરેશભાઈ પોરસ ચઢાવતા,વાહ, મારા મર્સિડીઝમાલિકો, તમે અહીં આંગળી ઊંચી કરીને જે તીવ્રતાથી ઇચ્છા વ્યક્ત કરી છે, તેનું બહુ મહત્ત્વ છે. તેના લીધે તમે મર્સિડીઝથી એક ડગલું નજીક ગયા છો. તમારી અને મર્સિડીઝ વચ્ચેના અંતરમાંથી એક ડગલું ઓછું થયું છે. પરેશભાઈ એકેએક શબ્દ એવો છૂટો પાડીને, મમળાવીને બોલતા કે તેમના મોઢેથી મર્સિડીઝ સાંભળનારને મર્સિડીઝ આંખ સામે દેખાવા લાગતી.

પણ બાકીનાં પગથિયાં સહેલાં નથી પરેશભાઈ કહેતા. એ સાથે જ ઊંચી થયેલી બધી આંગળીઓ, પવનમાં ઉંચે ઉડ્યા પછી નીચે આવી પડતાં કાગળિયાંની જેમ, નીચે આવીને, લપાઈ જતી. નિરાશ થવાનો સવાલ ન હતો. ખબર હતી કે સહેલું નથી. એટલે તો પરેશભાઈના શરણે આવ્યા હતા.

પરેશભાનો પાવર એવો કે બુદ્ધના જમાનામાં થયા હોત અને બુદ્ધ રાજકુમાર-અવસ્થામાં હતા ત્યારે તેમને ભેટી ગયા હોત, તો તેમણે રાજકુમાર સિદ્ધાર્થને પણ સમજાવી દીધું હોત કે બુદ્ધ બનવા માટે ઘરબાર છોડવાની જરૂર નથી. મીન્સ કે, ઘર છોડવું પડે, પણ એ તો ઠેકઠેકાણે, શહેરે શહેરે વ્યાખ્યાનો આપવા માટે—કાયમ માટે ને બૈરાંછોકરાંને તજીને નહીં.

પરેશભાઈ નમ્ર હતા અને તેની સાબિતી એ હતી કે તે પોતે આવું માનતા હતા. એટલે, રજનીશની જેમ તેમણે પોતાની જાતને બુદ્ધ કે ઓશો કે એવું કશું નામ આપ્યું ન હતું. પરંતુ તેમને એટલી ખબર હતી કે આ દુનિયાને તેમની પ્રેરણાની બહુ જરૂર છે અને એ નહીં મળે તો લોકો બિચારા શું કરશે? તેમના વિધ્નસંતોષી ટીકાકારો કહેતા, ધરમ-સંપ્રદાયના નામે લોકોને છેતરાવાનાં ઠેકાણાં ઓછાં હતાં, તે  પરેશભાઈએ તેમાં પ્રેરણાનું નવું તૂત ઘૂસાડ્યું?’ અલબત્ત, પ્રેરકભાઈ, એટલે કે પરેશભાઈ, તેમાંથી પણ હકારાત્મક અર્થ તારવીને એ બાબત પર ભાર મૂકતા કે આ વાક્ય હકીકતમાં તેમને પ્રેરણાવિશ્વના આદિપુરુષ તરીકે સ્થાપિત કરે છે અને સૂચવે છે કે પ્રેરણાવિહોણી આ ધરતી પર પ્રેરણાની ગંગાના ભગીરથ જો કોઈ હોય તો તે પરેશભાઈ હતા.

પરેશભાઈ જે પ્રતીતિથી બુલંદ અવાજે કહેતા કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, તે સાંભળીને લાગતું કે ઉપરથી નેપોલિયન બેઠો બેઠો પરેશભાઈ પર ફૂલ વરસાવતો હશે. એને પણ થશે કે ફ્રાન્સમાં નહીં તો ગુજરાતમાં, મારો કોક વારસદાર નીકળ્યો ખરો.

હું એસએસસીમાં નાપાસ થયો ત્યારે મારાં માબાપને લાગ્યું હતું કે આ છોકરો હવે શું કરશે?’ એ પરેશભાઈની પ્રિય પ્રેરક કથા હતી—પોતાની હતી એટલે નહીં, પણ ખરેખર પ્રેરક હતી એટલે. શૂન્યમાંથી સર્જનની કે અંગ્રેજીમાં જેને રેગ્સ ટુ રીચીઝ—રંકમાંથી રાય બનવાની કથાઓ કહે છે, એમાં કશી ધાડ મારવાની હોતી નથી. એવી કથાઓમાં મોટે ભાગે તો માણસ ઊંધો પડીને મહેનત કરે કાં કોઈ હાથ પકડનાર મળી જાય કાં હાથ મારવાની તક મળી જાય, એટલે કામ પત્યું. તેમાં પરેશભાઈવાળી પ્રેરણાની કશી જરૂર નહીં.

પરેશભાઈની કમાલ એ હતી કે તેમણે એક શૂન્યમાંથી અનેક શૂન્યોનું સર્જન કર્યું. ફક્ત બેન્ક બેલેન્સમાં દેખાતાં એકડા પછીનાં શૂન્યોનું જ નહીં, ભવ્ય રીતે નિરર્થક હોય એવાં પ્રેરણાનાં શૂન્યોનું પણ. તેમને સાંભળનારા અશ્રદ્ધાળુઓ કહેતા કે આવું તો સામાન્ય બુદ્ધિ ધરાવતો કોઈ પણ માણસ કહી શકે. તેમાં નવું શું છે?’ ખુદ પરેશભાઈ કહેતા કે સફળ થવામાં કશું રોકેટ સાયન્સ કે કોકા કોલા જેવી સિક્રેટ ફોર્મ્યુલા નથી. તમે ઇચ્છો તે ક્ષેત્રમાં તમે પણ સફળતા મેળવી શકો—એવી સફળતા કે દુનિયા જોતી રહી જાય.

જોકે, શ્રોતાઓને અમેરિકાના પ્રમુખપદે શી રીતે પહોંચાય તેનો નકશો સુદ્ધાં આંકી આપતા પરેશભાઈ એક કારકિર્દીની દિશા ને તેના દરવાજા શ્રોતાઓ માટે સદા બંધ રાખતા હતા.

તે કારકિર્દી વિશે ફોડ પાડીને કહેવાની જરૂર ખરી?  

Tuesday, April 08, 2025

સંભવામિ સ્વાર્થે સ્વાર્થે

(દિવંગત વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની બિલોરીશ્રેણીની કથાઓને અંજલિ તરીકે આ વ્યંગકથા)

મરનારનું સ્થાન મારા જીવનમાં ઇસુ ખ્રિસ્ત જેવું હતું. બોલીને વાલ્મિક ભટ્ટે લાંબો પોઝ લીધો. ઊંડો શ્વાસ ભર્યા પછી, સ્ટીમ એન્જિન વરાળ કાઢે તેવા અવાજ સાથે શ્વાસ બહાર કાઢ્યો અને એક નજરે ઓડિયન્સ તરફ જોયું.

ઓડિયન્સ આ નવીન ઉપમાથી ચકિત થઈ ગયું. તાળીઓનો ગડગડાટ થયો. એકાદ ખૂણેથી અવાજ આવ્યો, ક્યા બાત હૈ...

પણ એમાં ઓડિયન્સનો કે દાદ આપનારનો વાંક નહીં. વાલ્મિક ભટ્ટ તેમનાં લખાણમાં આવતી મૌલિકતાના ચમકારા—ના, ઝગારા-- માટે બ્રહ્માંડવિખ્યાત હતા. મંગળ પર જીવસૃષ્ટિ નથી તેનો સૌથી મહત્ત્વનો પુરાવો એ ગણાતો હતો કે મંગળ પરથી વાલ્મિકભાઈના કોઈ ચાહકનો પત્ર, કે હવેના જમાનામાં વોટ્સએપ સંદેશો, આવ્યો ન હતો. લેખકઆલમમાં છૂટક સંવેદનના જથ્થાબંધ વેપારી તરીકે તેમની નામના હતી.

મેં મનોમન વિચાર્યું, તેમના જેવા મહાન માણસ માટે વેપારી જેવો શબ્દ વપરાય? એ તો શબ્દોના... શબ્દોના..શબ્દોના સોદાગર? ના, સહેલાણી? ના, સારથી. શબ્દના સારથી. હા, આ બરાબર છે.

વાલ્મિક ભટ્ટ શબ્દોના સારથી હતા અને શબ્દો તેમના ઘોડા. તે ઇચ્છે ત્યારે શબ્દો રેસના ઘોડા થઈ જાય ને ઇચ્છે ત્યારે વરઘોડાના ઘોડા. શબ્દો પરની તેમની માલિકી જોઈને લોકો ક્યા બાત હૈ... કરી ઉઠતા હતા.

પણ ઇસુ ખ્રિસ્ત જેવું સ્થાન એટલે એક્ઝેક્ટલી શું?’ એવો મુદ્દાનો સવાલ આવી સભાઓમાં ન થવો જોઈએ. છતાં થયો.

જાણે અંતર્યામી હોય તેમ, વાલ્મિક ભટ્ટના મોઢેથી બીજું વાક્ય નીકળ્યું, આપણે સમયના બે ભાગ કેવી રીતે પાડીએ છીએ?’

હોલના અંધારમાંથી કોઈ હળવેકથી બોલ્યું,તમારા ભાષણ પહેલાં ને તમારા ભાષણ પછી. પણ તે એટલું ધીમેથી બોલાયું હતું કે ઓડિયન્સ તરીકે મને સંભળાય. મંચ પરથી લાગણીની લહાણી કરી રહેલા વાલ્મિક ભટ્ટ સુધી ન પહોંચે.

સમયને આપણે બે તબક્કામાં વહેંચીએ છીએ ઓડિયન્સના કૂતૂહલનું શમન કરતાં વાલ્મિક ભટ્ટ બોલ્યા, ઇસુ પહેલાં અને ઇસુ પછી. બી.સી. અને એ.ડી. એવી રીતે, મારા જીવનના પણ બે ભાગ પાડી શકાયઃ દીક્ષિતસાહેબને મળતાં પહેલાં અને તેમને મળ્યા પછી.

ઓહો. તો આમ વાત છે. ઓડિયન્સમાં રહસ્યોદ્ઘાટન થયું. વાલ્મિક ભટ્ટે આગળ ચલાવ્યું,હું તો વકીલ હતો. તમે જે વાલ્મિક ભટ્ટને ઓળખો છો તેને બનાવનાર તો દીક્ષિતસાહેબ.

શું વાત છે? આવડો મોટો લેખક અને પાછો આવડો મોટો વકીલ ને એને લેખક બનાવનાર આ દીક્ષિતસાહેબ?’ મને નવેસરથી અહોભાવનો એટેક આવ્યો. વાલ્મિક ભટ્ટનાં લખાણોમાં તો કદી ઉલ્લેખ વાંચ્યો નથી. તેમની ચોપડીઓનાં બધાં ફંક્શનમાં જોશી મને લઈ જતો હતો. તેમાં પણ કદી વાલ્મિકના મોઢે દીક્ષિતસાહેબનો દ સરખો સાંભળ્યો નથી. કદાચ જોશીને ખબર હશે. એ વાલ્મિક ભટ્ટનો અઠંગ વાચક છે

—અને સભામાં દીક્ષિતસાહેબનું નામ લેતી વખતે વાલ્મિક ભટ્ટના ચહેરા પર કંઈક અજબ પ્રકારનો ભાવ નહોતો આવ્યો? આમ તો હું બેઠો હતો એટલે પાછળથી ન દેખાત. પણ મોટા સ્ક્રીન પર વાલ્મિકના ચહેરાનો ક્લોઝ અપ ટપકાં ટપકાં સ્વરૂપે દેખાતો હતો. એ ટપકાંનાં લીધે એવું લાગ્યું હશે? ખબર નથી. હોય તો હોય પણ ખરું. જેના માટે બહુ આદર હોય એવા જણ માટે ભૂતકાળમાં વાત કરવાનું સહેલું છે કંઈ? શોભા હજુ મને નથી કહેતી કે તમારા બાપાની વાત નીકળે ત્યારે હજુ તમે બાળક થઈ જાવ છો?

કાર્યક્રમના થોડા દિવસ પછી એક બેસણામાં જોશી મળી ગયો. મેં તેના પ્રિય લેખક વિશે તેને પણ ખબર ન હોય એવી માહિતી આપવાના ભાવથી કહ્યું, જોશી, એક સવાલનો જવાબ આપઃ વાલ્મિક ભટ્ટના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને કોણ છે?’

જોશી બેસણામાં ભજનની વચ્ચે વચ્ચે અધ્યાત્મ વચનો ઉચ્ચારતા સંચાલકની શબ્દાળુતા વિશે વિચારી રહ્યો હોય એવું તેના ચહેરા પરથી લાગ્યું. એટલે, મારો સવાલ સમજ્યા વિના, લગભગ પ્રતિક્રિયારૂપે તેણે કહ્યું, વાલ્મિક તો હિંદુ છે. તેના જીવનમાં ઇસુ વળી ક્યાંથી આવ્યા?’ પણ મને તેની સામે તાકી રહેલો જોઈને તે બેસણાની તકલાદી અધ્યાત્મસૃષ્ટિમાંથી બહાર આવ્યો.અરે, તું વાલ્મિકની ક્યાંક પેલી કાલખંડ ને સમયના ભાગ ને ઇસુ પહેલાં-પછીની વાત તો નથી કરતો ને?’

મને થયું, જણ છે તો પાકો. એને બધી ખબર છે. પણ હવે પૂછ્યું જ છે તો તેના મોઢે નામ પણ જાણી લઉં.

જોશી નામ મમળાવતો હોય એમ બોલ્યો, વાલ્મિકના જીવનમાં ઇસુ... ઘોઘારીસાહેબ? મીરચંદાણીસાહેબ? પારેખસાહેબ? સાગઠિયાસાહેબ?’

ના. મેં વિજયી સ્મિત સાથે કહ્યું, દીક્ષિતસાહેબની શોકસભામાં વાલ્મિકે કહ્યું હતું કે તેના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને દીક્ષિતસાહેબ છે. તેના જીવનને બે ભાગમાં...

ખબર છે...ખબર છે, હવે...જોશી મને વચ્ચેથી અટકાવીને બોલ્યો. વાલ્મિકના ઇસુ ખ્રિસ્તો સમય, સંજોગો ને સ્વાર્થ પ્રમાણે બદલાયા કરે. વિમાન એક વાર રન વે પર દોડ્યા પછી ઉડે ત્યારે રન વેને સાથે લઈને ઉડે છે?’

અચાનક, હોલમાં દીક્ષિતસાહેબનું નામ લેતી વખતે વાલ્મિકના ચહેરા પર દેખાયેલો ભાવ મનમાં તાજો થયો અને ઝબકારો થયોઃ વાલ્મિક ભટ્ટના જીવનસમયને નહીં, તેમના જીવનસંબંધને બે ભાગમાં વહેંચવા પડેઃ કોઈને પોતાના જીવનના ઇસુ ખ્રિસ્ત જાહેર કરતી વખતે અને જાહેર કરીને ભૂલી ગયા પછી...

એ સાથે મનમાં અનેક ક્રોસ ખોડાયેલા દેખાયા, જેની પર વાલ્મિક ભટ્ટના ઇસુ ખ્રિસ્તોની લાઇન પડી ગઈ હતી.