Tuesday, July 23, 2024

કાલિદાસ અને ભજિયાં

દુનિયામાં, એટલે કે સોશિયલ મિડીયાની  દુનિયામાં, મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છેઃ વરસાદની વાતથી જેમને ‘મેઘદૂત’, કાલિદાસ, કવિતાઓ, રમેશ પારેખ વગેરે યાદ આવે તે અને વરસાદના ઉલ્લેખમાત્રથી જેમને ભજિયાં યાદ આવે તે. હળહળતા ધ્રુવીકરણના જમાનામાં પણ આ બંને પ્રકારો વચ્ચે છાવણીઓ પડી ગઈ નથી, એટલું સારું છે. તેના કારણે, એવા પણ લોકો જોવા મળે છે, જે ભજિયાં ખાતાં ખાતાં કાલિદાસની વાત કરતા હોય અથવા ‘મેઘદૂત’ની પંક્તિઓની સાથે ભજિયાંનો આનંદ માણતા હોય.

વરસાદને ભજિયાં સાથે દેખીતો કશો સંબંધ નથી. જો એવો સંબંધ હોત તો ભજિયાં બારમાસી વાનગીને બદલે ફક્ત ચોમાસુ ચીજ ન ગણાતી હોત? પરંતુ ભજિયાંપ્રેમીઓ માને છે કે કોઈ પણ ઋતુમાં, કોઈ પણ સમયે ભજિયાં આરોગવાથી પુણ્યની તો ખબર નથી, પણ એકસરખો આનંદ પ્રાપ્ત થાય છે. તેમની આ માન્યતા સાથે અસંમત થવું અઘરું છે. ભજિયાંની બીજી મહત્તા એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી વાનગી છે. રોમિલા થાપડ જેવાં વિદૂષી ઇતિહાસકારે પણ ક્યાંય એવો દાવો કર્યાનું જાણ્યું નથી કે ભજિયાં ગ્રીકો, મધ્ય એશિયાના હુમલાખોરો કે ગઝની-ઘોરી ભારત લઈ આવ્યા. ગુપ્ત સામ્રાજ્યનો અમુક સમયગાળો ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાય છે, તેનું એક બિનસત્તાવાર કારણ એ હોવું જોઈએ કે ત્યારે પણ ભારતમાં ભજિયાં બનતાં હશે. કોઈ પણ સમયગાળો ભજિયાં વિના સુવર્ણકાળ બની જ શી રીતે શકે? સમૃદ્ધિ હદ વટાવી ગઈ હોય તો શક્ય છે કે ભજિયાં સોનાની થાળીમાં ખવાતાં કે સોનાની તાવડીમાં ઉતરતાં હોય. સદીઓ પછી ખોદકામ કરતાં દટાયેલી ચીજવસ્તુઓ-હાડપિંજરો કે નગરો મળે, પણ ભજિયાનો એકેય અવશેષ ન મળે, તેના આધારે એમ થોડું માની લેવાય કે ભજિયાં ત્યારે ચલણમાં ન હતાં? એવી જ રીતે, ભજિયાંને સંસ્કૃતમાં શું કહેવાય, તે ન આવડતું હોય, તેનાથી પણ સ્વદેશી તરીકેનો તેનો મહિમા ઓછો થઈ જતો નથી.

ભદ્રંભદ્રે મુંબઈ જઈને ભજિયાં ખાધાં ન હતાં, એટલે તેના સંસ્કૃતપ્રચૂર નામથી આપણે વંચિત રહ્યા, પણ ઘણા લોકો ભજિયાંને પકોડા કહે છે. વડાપ્રધાન મોદીએ તો પકોડા તળવાના વ્યવસાયને બેરોજગારી દૂર કરીને રોજગાર સર્જવા માટે ખપમાં લેવા કહ્યું હતું. સાંભળવામાં તે હાસ્યાસ્પદ લાગે તો લાગે, પણ વડાપ્રધાનની સમસ્યા-ઉકેલની પદ્ધતિમાં તે બરાબર બંધ બેસે છે. થોડા સમય પછી તે ભજિયાં તળવાની લારીને સ્ટાર્ટ અપનો દરજ્જો આપવાની જાહેરાત કરે અને દેશભરમાં ચાલતી ભજિયાંની લારી-દુકાનોને સ્ટાર્ટ અપમાં ગણી લે, તો સ્ટાર્ટ અપ ક્ષેત્રે ભારત આખા વિશ્વમાં અવ્વલ સ્થાને પહોંચી જાય અને તેના વિશ્વગુરુપદ વિશે કોઈના મનમાં કશી શંકા ન રહે.

ભજિયાંની જેમ કવિતા પણ, અથવા કવિતાની જેમ ભજિયાં પણ, ઘાણમાં ઉતરતાં હોય છે—વરસાદ આવે ત્યારે તો ખાસ. બંનેનો ચાહકવર્ગ એવો પ્રતિબદ્ધ હોય છે કે ભજિયું કે કવિતા કાચાં ઉતરે તો પણ તેનાં વખાણમાં કચાશ રાખતો નથી. એવાં ભજિયાંથી પેટને અને કવિતાથી સાહિત્યને નુકસાન થવું હોય તો થાય. ગુણવત્તા કે આડઅસરોના મુદ્દે કવિતાપ્રેમીઓ-ભજિયાંપ્રેમીઓ સાથે દલીલમાં ઉતરવાનો મતલબ છે લડાઈ વહોરી લેવી. ભજિયાંની ટીકા કરવામાં એટલી રાહત ખરી કે બહુ ખબર પડતી હોય તો જાતે જ ઉતારી લો ને—એવું સાંભળવા ન મળે.

બંને બાબતોમાં પ્રયોગશીલતા અને પ્રયોગખોરી વચ્ચેનો તફાવત ઘણી વાર ભૂંસાઈ જતો હોય છે. એક સમુહ માને છે કે કોઈ પણ ખાદ્ય ચીજનાં ભજિયાં બની શકે અને કોઈ પણ ચીજ પર, કોઈ પણ સ્વરૂપમાં કવિતા લખી શકાય. ભજિયાં-પ્રયોગવીરો બટાટા-કેળાં-મરચાં-રતાળુ-ડુંગળી જેવી ભજિયાંઘરાનાની પરંપરાનો ત્યાગ કરીને ચીઝ, ચોકલેટ અને આઇસક્રીમનાં ભજિયાં ઉતારવા સુધી પહોંચી ગયા છે. દેખીતું છે કે એવાં ભજિયાંનું ઔચિત્ય જ નહીં, માહત્મ્ય પણ સ્વાદિષ્ટ હોવામાં નહીં, કેવળ હોવામાં એટલે કે અસ્તિત્વ ધારણ કરવામાં હોય છે. એટલે, પ્રયોગખોર કવિતાઓની જેમ તેમને વિવેચનના સ્થાપિત નિયમો લાગુ પાડી શકાતા નથી.

આખી વાતનો બીજો પક્ષ એવો પણ છે કે ઘણા વિવેચકો ભજિયાંના ગુણદોષને બદલે, તેની લોકપ્રિયતાને કેન્દ્રસ્થાને રાખીને તેનું વિવેચન કરે છે અને તે સંભવતઃ આરોગ્યને નુકસાનકારક હોઈ શકે છે માટે નહીં, પણ તે અત્યંત લોકપ્રિય છે એટલા માટે તેમની ટીકા કરે છે. એટલું જ નહીં, લોકપ્રિય બનેલી કોઈ પણ કૃતિની ગુણવત્તાની પરખ કર્યા વિના, કેવળ લોકપ્રિયતાના આધારે તેને ગરમાગરમ ભજિયાં જેવી હલકી ગણાવી દે છે. કૃતિની પરખ કરતી વખતે લોકપ્રિયતા ગુણ પણ નથી ને દોષ પણ નહીં, એટલું સમજવા-સ્વીકારવા માટે ગુજરાતી અધ્યાપકો-વિવેચકોએ ભજિયાં ખાવાનું શરૂ કરે, તો તેનાથી ભજિયાં બનાવનારને જ નહીં, ગુજરાતી સાહિત્યને પણ લાભ થવા સંભવ છે.

કવિ કાલિદાસે ‘મેઘદૂત’ લખ્યું, તેમાં ક્યાંય ભજિયાંનો ઉલ્લેખ આવતો નથી. શક્ય છે કે તેમના જમાનામાં પણ વિવેચકોની માનસિકતા આગળ જણાવી એવી હોય અને કાલિદાસને થયું હોય કે નકામું ભજિયાના વાંકે કવિતાને ગાળ પડશે. એના કરતાં યક્ષને ભજિયાંથી દૂર રાખેલો જ સારો. યક્ષ જાતે રસોઈ ન જાણતો હોય તો શક્ય છે કે અષાઢના પ્રથમ દિવસે તેને પ્રિયતમા જેટલી જ કે તેના કરતાં પણ વધારે તીવ્રતાથી પ્રિયતમાના હાથનાં ભજિયાંની યાદ આવી હોય.

--અને કોને ખબર, કાલિદાસને વરસાદી મોસમમાં ભજિયાં ખાતાં ખાતાં જ ‘મેઘદૂત’ની પ્રેરણા મળી હોય?

Sunday, June 09, 2024

ચૂંટણી 2024, ઇવીએમ અને ચૂંટણી પંચ

ચૂંટણીનાં પરિણામો દુઃખી ભક્તો કહે છે, ઇવીએમ વિશે વાત કરો. ભક્તોનો તો સાવ ગયેલો કેસ હોય છે. તેમને તથ્યો સાથે કે હકીકત સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે, તેમને કશું કહેવાની જરૂર નથી.

બીજું, ઇવીએમ હેક થઈ શકે એ વાતમાં મને કદી વિશ્વાસ પડ્યો નથી. ભૂતકાળમાં એકથી વધારે વાર એ વિશે ચોખ્ખા શબ્દોમાં લખી ચૂક્યો છું. ઘણા વાંચનારને તે યાદ પણ હશે. મોદીના બીજા ટીકાકારો ઇવીએમની વાત લાવે, ત્યારે તેમની સાથે પણ અસંમતિ જ રહી છે. કારણ કે ઇવીએમ હેક કરવા માટે, તેના એકેએક યુનિટમાં રહેલી ચીપ હેક કરવી પડે. તે ચીપ પ્રી-પ્રોગ્રામ કરીને અંદર મુકી શકાય, પણ એકએક ઇવીએમમાં તે કરવું અશક્યની હદે અઘરું છે.

હા, આખેઆખાં ઇવીએમની હેરફેર થઈ શકે. સ્થાનિક વહીવટી તંત્ર ખિસ્સામાં હોય ત્યારે તો ખાસ. અલબત્ત, એ સહેલું જરાય નથી. છતાં, એકથી વધારે વાર વાહનોમાં રેઢો પડેલો ઇવીએમનો જથ્થો શંકા ઉપજાવનારો હતો. અને તેના કદી સંતોષકારક ખુલાસા મળ્યા નથી તે હકીકત છે.

પરંતુ આ વખતે કરવા જેવી વાત ઇવીએમ અને આખી ચૂંટણીનો વહીવટ કરતા ચૂંટણી પંચની છે. આ વખતે આખેઆખું ચૂંટણી પંચ હેક થઈ ગયું હતું. ભક્તોને તો તે ન દેખાય, બલ્કે તેમને તો હેક થયેલું ચૂંટણી પંચ જ સારું લાગે, પણ પરિણામ પછી અત્યારે તેની વાત ખાસ કરવા જેવી છે.

ગયા વર્ષ સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂંક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને વિપક્ષના નેતા—એમ ત્રણ જણની સમિતિ કરતી હતી. તેમાં સંતુલન જળવાયેલું હતું, પણ બધી સત્તા પોતાની પાસે લઈ લેવા હરાયા થયેલા મોદીએ ગયા વર્ષે કાયદામાં ફેરફાર કરીને સમિતિમાંથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કાઢી નાખ્યા. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને મુકી દીધા. એટલે સરકાર ઇચ્છે તે જ અધિકારી ચૂંટણી કમિશનર બની શકે.

આ વર્ષે માર્ચમાં એક ચૂંટણી કમિશનરે વહેલી નિવૃત્તિ લઈ લીધી. એ માટે તેમણે અંગત કારણો આગળ કર્યાં હતાં, પણ ત્યાર પછી ચૂંટણી કમિશનરોનું જે સરકારતરફી વલણ રહ્યું તે જોતાં એવું ધારી શકાય કે પેલા કમિશનરને એ બધું પોતાનાથી નહીં થાય એવું લાગ્યું હશે. એ ધારણા છે, પણ સાવ નિરાધાર નથી.

પછી ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે એવી રીતે સાત તબક્કામાં તેને વહેંચવામાં આવી કે જેથી વડાપ્રધાન બધે પ્રચાર પર પૂરતું ધ્યાન આપી શકે—તેમને પૂરતો સમય મળે અને મહત્ત્વનાં રાજ્યોમાં એક સાથે, એક સમયે ચૂંટણી ન હોય.

ચૂંટણીનું સમયપત્રક તો સૌથી નાનામાં નાનું, ઓછામાં ઓછું અને ક્ષમ્ય ગણાય એવું કારસ્તાન હતું. ત્યાર પછી ચૂંટણી પંચે જે રીતે ચૂંટણીની આચારસંહિતાનો મોદી એન્ડ કંપની દ્વારા મોટા પાયે ભંગ ચૂપચાપ થવા દીધો તે અક્ષમ્ય હતું. નૈતિકતા-ફૈતિકતા છોડો, સાદા કાયદાની-આઇપીસીની દૃષ્ટિએ પણ ઘણી બાબતો ગુનો બને તેમ હતી.

મોદી તેમનાં ભાષણોમાં હડહડતાં જૂઠાણાં ફેલાવતા હતા. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય લખ્યું ન હોય એવું તેમનાં ભાષણોમાં પ્રચારતા હતા. દેશનો વડોપ્રધાન કહે કે કોંગ્રેસના ઢંઢેરામાં આવું લખ્યું છે—અને એ સાવ જૂઠાણું હોય, તો તેની ગંભીરતા કેટલી કહેવાય? પણ ચૂંટણી પંચે કશાં પગલાં ન લીધાં.

મોદી તેમનાં ભાષણોમાં આ દેશના નાગરિક એવા મુસલમાનો વિરુદ્ધ બેફામ બોલતા હતા અને લોકોને ઉશ્કેરતા હતા. આઇપીસીની કલમો પ્રમાણે એ ગુનો થાય, પણ મોદીરાજમાં એ વાત એટલી સામાન્ય થઈ ચૂકી હતી કે ચૂંટણી પંચે પણ તે ચાલવા દીધી.

એ સિવાય સડકછાપ ભાષણો માટે તો મોદી જાણીતા છે જ. તેમાં પણ આ વખતે બધી હદો વટાવી. તેમ છતાં, બહાદુરીના દાવા કરીને મોદીની ભક્તિ કરી લેતા લોકોએ આ બધી બાબતોને એ તો રાજકારણ હોય. તેમાં આવું બધું જ હોય. એ તો આવું જ ચાલે—એમ કહીને આ બાબતોને છાવરવાનો પ્રયત્ન કર્યો અને હજુ આજે પણ કરે છે.

અગાઉ કોઈ વડાપ્રધાન બંધારણીય હોદ્દે રહીને આટલા લાંબા સમય સુધી (ચૂંટણી પ્રચાર દરમિયાન) આટલી મોટી માત્રામાં, આટલું બેફામ કે આટલું જૂઠું બોલ્યા નથી. પણ પ્રગટ ભક્તો કે સલુકાઈથી સરકારવિરોધી તરીકેની છાપ ઉભી કર્યા પછી મોદીની ભક્તિ કરી લેનારાઓ—તે બધાને તેમાં કશું ખોટું ન લાગ્યું. એ તો ઠીક, પણ ચૂંટણી પંચે પણ મોદીના બેફામ, બેકાબૂ વિષવમનને નજરઅંદાજ કર્યું.

સામાન્ય રીતે ચૂંટણીપ્રચારમાં કોઈ ઉમેદવાર હદ વટાવે તો ચૂંટણી પંચ તેને વ્યક્તિગત નોટીસ આપે. મોદીએ અનેક વાર હદ વટાવી. તેમાંથી એક વાર પગલાં લેવાનું દબાણ ઊભું થયું, ત્યારે ચૂંટણી પંચે શું કર્યું? તેણે નોટીસ તો આપી, પણ મોદીને નહીં, ભાજપના પક્ષપ્રમુખને—અને સાથે કોંગ્રેસના પક્ષપ્રમુખને પણ આપી દીધી. અને કહ્યું કે તમારા સ્ટાર પ્રચારકોને કહો, બોલવામાં ધ્યાન રાખે. બસ, પગલાં લેવાઈ ગયાં.

આટલું ઓછું હોય તેમ, ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતમાં મતગણતરીનો ડેટા જાહેર કરવામાં અખાડા કર્યા. પહેલા બે કે ત્રણ તબક્કામાં જાહેર કરેલી ટકાવારીમાં પાંચ ટકાનો વધારો કેવી રીતે થયો, તેનો ચૂંટણી પંચે કર્યો નહીં. તેમાં કશો ગોટાળો ન હોય ને ગણતરીની ભૂલ હોય તો પણ જવાબ આપવાની ચૂંટણી પંચની ફરજ છે. તેને બદલે ચૂંટણી પંચે પણ મોદીની માફક અકડાઈભર્યું વલણ લીધું. છેવટે સર્વોચ્ચ અદાલતે દરમિયાન થવું પડ્યું.

ચૂંટણી પંચના આવા વલણને કારણે, મતગણતરી વિશ્વસનિય રીતે થશે કે નહીં, તેની વાજબી શંકા ઊભી થઈ. ચૂંટણી પંચે તબક્કા પૂરા થતા જાય તેમ મતદાનના આંકડા આપવાનું રાખ્યું હોત તો આટલી શંકા ન પડત. પણ એક વાર વિશ્વસનિયતા ગઈ એટલે પૂનમ અગ્રવાલ નામનાં એક પત્રકારે અને ત્યાર પછી બીજા ઘણા લોકોએ ફોર્મ 17 (સી)નો મુદ્દો ઊભો કર્યો. મતદાનના દિવસે સાંજે કુલ મત અને પડેલા મતની વિગતો ઇવીએમના નંબર સાથે પોલિંગ એજન્ટોને આપવાની હોય છે. તે વિગતોનો જાહેર થયેલાં પરિણામોના આંકડા સાથે તાળો બેસાડીને ગરબડ થઈ હોય તો જાણી શકાય. એટલે, ઘણા લોકોએ ફોર્મ  17 (સી) ભેગાં કર્યાં. પરંતુ તેમાં કોઈ ગરબડ થયાની ફરિયાદ નથી મળી. એટલે 17 (સી)ની જરૂર ન પડી. પણ ચૂંટણી પંચે ડેટા આપવાનો ઇન્કાર કરીને સામે ચાલીને પોતાની વિશ્વસનિયતા પર કુહાડો માર્યો હતો.

આમ, આ ચૂંટણીમાં મોદીના અહંકારથી પહેલાં ચૂંટણી પંચની વિશ્વસનિયતા ગઈ છે. તે પાછી લાવવા માટે સૌથી પહેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કાયદો પહેલાં જેવો કરવો જોઈએ. તેનાથી કમ સે કમ ઇરાદાની યોગ્યતા વિશે તો ખ્યાલ આવશે.

બાકી, મોદી આમ તો મહાન છે અને નાનીમોટી તકલીફ તો દરેક નેતામાં હોય—એવા જુદા પ્રકારના ભક્ત-આખ્યાનોથી બચજો. મોદીનો અહંકાર, સ્વમોહ અને સત્તાનું ભયંકર કેન્દ્રીકરણ કરવાની તેમની લાલસા તેમને બીજા ખરાબ નેતાઓ કરતાં અનેક ગણા વધારે ખતરનાક બનાવે છે—દેશ માટે અને સમાજ માટે. દેશની બંધારણીય સંસ્થાઓ અને સામાજિક પોતથી માંડીને મિડીયાની તેમણે જે દુર્દશા કરી છે, એ જોઈને પણ તમને સમજાતું ન હોય, તો હજુ તમારે કેટલા પુરાવા જોઈએ? ના, તેનો અર્થ તો એવો છે કે તમને ગમે તેટલા પુરાવા કે હકીકતોથી કશો ફરક નથી પડતો. કારણ કે, તમારા માટે તો તમારો સ્વાર્થ અથવા તમારી ભક્તિ જ સર્વસ્વ છે.

Saturday, June 08, 2024

થોડું પરિણામોથી હટીને, થોડું અંગત...

ચૂંટણી પહેલાં, દરમિયાન કે પછી, તેનાં ચર્ચા-વિગતો-આંકડા-વિશ્લેષણો-સર્વેક્ષણોમાં વર્ષો પહેલાં, દૂરદર્શનના જમાનામાં રસ પડતો હતો. પક્ષીય રાજકારણમાં એક હદથી વધારે રસ કદી પડ્યો નહીં. કોઈ રાજકીય નેતાની હારથી પહેલવહેલી વાર આનંદ આવ્યો હોય તો તે વી.પી.સિંઘ સામે રાજીવ ગાંધીની હારથી. કારણ કે વી.પી. તે વખતે લડવૈયા લાગતા હતા--અન્ડરડોગ અને રાજીવ સત્તાધીશ. તે વખતની ચૂંટણીજાહેરાતો અને કાર્ટૂનનાં કટિગ હજુ સચવાયેલાં છે.

ત્યાર પછી રાજકારણમાં રસ ફક્ત સામાન્ય જ્ઞાન પૂરતો રહ્યો. 1992માં બાબરી મસ્જિદ તૂટી કે ત્યાર પછી રમખાણો થતાં, ત્યારે પણ પક્ષીય રાજકારણ કદી અડ્યું નહીં. રાજકારણમાં કઈ હદે રસ ન હતો, તેનું એક ઉદાહરણઃ પત્રકારત્વમાં આવ્યા પછી મારી પહેલી સ્ટોરી 'અભિયાન'ના જે અંકમાં છપાઈ, તે જ અંકમાં પ્રિય મિત્ર અનિલ દેવપુરકરની શંકરસિંહના બળવા વિશેની સનસનીખેજ સ્ટોરી છપાઈ હતી. પણ તે મારા મનમાં રજિસ્ટર જ ન થઈ. વિધાનસભામાં સ્પીકર ચંદુ ડાભીએ કળા કરી, ત્યારે મને તો અમારા તંત્રી વિનોદ પંડ્યાએ શોધીને રમેશ પારેખની કવિતા 'ચંદુડાયણ' છાપી, એ જ યાદ રહ્યું હતું. શંકરસિંહે નવો પક્ષ સ્થાપ્યો તેના રિપોર્ટિંગ માટે પ્રશાંત દયાળની સાથે હું પણ ગયો હતો અને આખા કાર્યક્રમનો માહોલ વર્ણવતો રિપોર્ટ પણ મેં લખ્યો હતો. છતાં, તે દિશામાં કદી રસ પડ્યો નહીં. હા, પહેલેથી મૂળભૂત વલણ સત્તા-એસ્ટાબ્લિશમેન્ટથી વિરોધી ખરું.
ધીમે ધીમે એવી માન્યતા દૃઢ થતી ગઈ કે 'સહિતો' (Haves) પાસે-પામતાપહોંચતા લોકો પાસે તો તેમની આખી સિસ્ટમ હોય, આપણે આપણી તાકાત પ્રમાણે 'રહિતો' (Have nots) સાથે--તેમની ન્યાયી લડાઈઓના સમર્થનમાં, માથે ભાર રાખ્યા વિના, જ્યારે જ્યાં જેટલું શક્ય હોય તેટલું રહેવાનું હોય.
*
રાજકીય ફાયદા માટે રાજકારણની ઝાળ પહેલી વાર 2002માં અડી. ભાજપનો કોમવાદ ખટકતો હતો, પણ મારા ગામમાં તેનું બહુ ચલણ ન હતું. તે 2002માં પહેલી વાર જોવા મળ્યું અને પછી તો મારા ગામ જેવાં ગુજરાતનાં અનેક ગામમાં તેને મોટા પાયે, પદ્ધતિસર વકરાવવામાં આવ્યું.
ભાજપના કોમવાદની સાથે નરેન્દ્ર મોદીનો હદ બહારનો અહંકાર જોઈને થયું કે બધા પક્ષો ખરાબ, પણ ભાજપ અને મોદીનું સંયોજન લોકો માટે, રાજ્ય માટે, દેશ માટે સૌથી ખતરનાક છે. રેકોર્ડ ખાતર નોંધવું જોઈએ કે આજ સુધી માંડ બે કે ત્રણ વાર કોંગ્રેસવાળાએ પણ મને બોલવા માટે બોલાવ્યો હતો. તેમને કદાચ એમ હશે કે હું નરેન્દ્ર મોદીને ધોઈ નાખીને તેમને મઝા કરાવી દઈશ. પણ ત્યારે તેમને મેં પૂછ્યું હતું કે મોદી તો જે છે તે છે અને એ વિશેના મારા અભિપ્રાયો જાહેર છે, પણ મારે તમને પૂછવાનું છે કે 2002 અને પછીના ગાળામાં તમે શું કર્યું? મને હંમેશાં એવો અંદેશો (હંચ) રહ્યો છે કે કેટલાક કોંગ્રેસી નેતાઓ સાથે મોદીએ ગોઠવી લીધું, તેને કારણે મોદી કાયદાની પકડથી બચી શક્યા, જ્યારે અમિત શાહને થોડો વખત સાબરમતી જેલ સેવવાની આવી. આ અંદેશો છે ને તેના કોઈ પુરાવા નથી, એ ખરું.
2002થી શરૂ થયેલી કોમવાદ અને અહંકારના સંયોજનની યાત્રા ઉપર વિકાસના વાઘા પહેરાવાય કે અસ્મિતાના, મને મારી સીધીસાદી સમજથી સ્પષ્ટ દેખાતું હતું કે આ માણસ ગુજરાતના બહુમતી લોકોને મૂરખ બનાવી રહ્યો છે. મૂરખ બનનારો પણ મોટો સમુદાય હતો. તેમાંથી જે સ્વાર્થ ખાતર મૂરખ બનતા હતા, તેમના માટે મારા મનમાં આશ્ચર્ય કે સવાલ ન હતા. ખરો ખેદ જેમને હું મારા જેવા-આપણા જેવા લોકો ગણતો હતો, તેવાએ જાણેઅજાણે મોદીના ડાબલા પહેરી લીધા તેનો થયો.
ડાબલા પહેરવાના કારણમાં કોંગ્રેસ પ્રત્યેના વાજબી અભાવથી માંડીને ડાબેરીઓની આત્યંતિકતા પ્રત્યેના વાજબી અભાવ જેવાં ઘણાં કારણ હશે, પણ છેવટે એ બધા હરીફરીને મોદીના ખોળામાં જ લાંગર્યા, ઠર્યા અને મોદીની ખરાબમાં ખરાબ ચેષ્ટાઓના અને પગલાંના કંઠીબંધા બચાવકર્તા બની રહ્યા. પછી તો મોદી સાથે તેમણે જાતને એવી એકરૂપ કરી દીધી કે મોદીની ટીકાને તે પોતાનું અપમાન સમજવા લાગ્યા. મોદીનાં બચાવને તેમણે વધુ ને વધુ માત્રામાં પોતાની આબરૂ સાથે સાંકળી લીધો અને તેમાં-એટલી બાબત પૂરતા, ભક્તિપ્રેરિત દુર્બુદ્ધિના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
રાહુલ ગાંધી મહાન નેતા નથી. પણ તેમનાં પ્રવચનોની દુષ્ટતાપૂર્વક એડિટ કરેલી વિડીયો મોટા પાયે બતાવી બતાવીને તેમને ડફોળ સાબીત કરી દેવામાં આવ્યા. હજુ પણ કેટલાક લોકો માને છે કે રાહુલ ગાંધીએ બટાટા છીણો ને સોનું નીકળે એવું કહ્યું હતું. પરંતુ દેશના વડા તરીકે, વાદળો હોવાથી રડારમાં વિમાન નહીં પકડાય, એવી વાત હોંશિયારી મારવા કરનાર કેવડો મોટો ને દેશ માટે કેટલો નુકસાનકારક ડફોળ કહેવાય તે આ ભકતોને નહીં દેખાય. ભક્તોની દરેક દલીલના તાર્કિક જવાબ હોય છે, પણ તેમને તર્ક સાથે કશી લેવાદેવા હોતી નથી. ઘણાને તો જે લખ્યું છે તે વાંચવા-સમજવા જેટલી પણ પરવા હોતી નથી. ભક્તિનું ભૂત જ માથે સવાર હોય છે. એટલે, ઘણા સમયથી ભક્તોને જવાબ આપવાનું બંધ કર્યુ છે.
*
2002થી 2024 સુધી મોદી વિશેનું મૂલ્યાંકન બદલાય એવું કશું તેમણે કર્યું નથી. ભપકાબાજી, રેકોર્ડબ્રેક સ્વમોહ, આસમાનને આંબતો અહંકાર, સડકછાપ ભાષણો, નક્કર મુદ્દા વિશેની સમજ કે સમજવાની ઇચ્છાનો અભાવ અને કોઈનું નહીં સાંભળવાની જિદ-- આ બધાને કારણે નરેન્દ્ર મોદી જે કંઈ કરે તે સમજવું મારા માટે બહુ સહેલું બની જતું. તે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરે કે નોટબંધી, સૌથી પહેલાં તેમાં પોતાની જાતનો જયજયકાર હોય-ઇતિહાસપુરુષ બનવાની ખદબદતી, અફાટ લાલસા હોય. બીજું બધું પછી.
સત્તાધીશ તરીકેની પ્રાથમિક ફરજોમાં પણ હદ બહારની બેશરમથી જશ લૂંટવાનું મોડેલ મોદી મોડેલનો એક હિસ્સો છે. શિક્ષકોને અપોઇન્ટમેન્ટના કાગળ પહેલાં ટપાલી આપતા હતા. મુખ્ય મંત્રી તરીકે મોદીએ ગાંધીનગરમાં કાર્યક્રમો યોજીને શિક્ષકોને અપોઇન્ટમેન્ટ લેટર આપવાના શરૂ કર્યા, કેમ જાણે તેમની કૌટુંબિક પેઢીમાં નોકરી આપતા હોય. આવાં તો એટલાં બધાં ઉદાહરણ છે કે લખતાં થાક લાગે. જાતનો જયજયકાર કરવા માટે અને સતત ચર્ચામાં રહેવા માટે કંઈક મોટું તો કરવું પડે. અને તે કંઈક કરવાથી લોકોને થોડોઘણો ફાયદો થાય. એટલે ભક્તપ્રજા ગુણગાન ગાવા બેસી જાય અને પંડિત વિશ્લેષકો પોતાના પાંડિત્યના માપદંડથી તેને માપવા બેસી જાય. ભક્તો તે ફાયદો ગણાવ્યા કરે ને મને તે ફાયદા પાછળનો મૂળ આશય તથા મિસમેનેજમેન્ટ દેખાય. લાંબા ગાળે ભક્તોને પણ કદાચ તે દેખાય, પણ દેખાય તોય સ્વીકારે નહીં તેનું નામ તો ભક્ત. બાકી, બીઆરટીએસ જાતના જયજયકાર માટે નહીં, પણ લોકો માટે બનાવી હોત તો અમદાવાદની બસ વ્યવસ્થાની આવી હાલત ન થઈ હોત. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર માટે બનાવ્યું હોત તો લોકો ત્યાંથી પાછા આવીને સરદારની મહાનતાની વાતો કરતા હોત—ત્યાંના બગીચા ને ઝૂની અને મોંઘી ફીની નહીં.
એક મોટા ઉદાહરણથી વાત કરીએ તો, નોટબંધી થઈ ત્યારે અમારા પરિચિત-આદરણીય સ્નેહીઓથી માંડીને સ્વામિનાથન અંકલેસરિયા-ઐયર જેવા એકંદરે સારા લેખકો પણ મોદીએ કેવું મહાન પગલું લીધું અને તેનાથી દેશને કેટલો ફાયદો થશે, તેનાં અર્થશાસ્ત્રીય ગણિતો સમજાવવા બેસી ગયા. પહેલી વાર નોટબંધી જાહેર કરી ત્યારે મને પણ થયું કે ભલું થયું, ભાંગી જંજાળ. કારણ કે મોટી રકમની નોટો ભ્રષ્ટાચાર માટે બહુ સુવિધારૂપ બનતી હોય છે. પણ પછી તો મોદીએ બે હજારની નોટ જારી કરી. એટલે બહુ ઝડપથી, કશી આંતરસૂઝ કે ઊંડી પંડિતાઈથી નહીં, પણ મોદીના અહંકારી, સ્વમુગ્ધ અને નિતાંત સ્વાર્થી સ્વભાવ વિશેની પાકી ખાતરીને કારણે, તે વખતે મિત્રોને કહ્યું હતું કે તમે ખોટાં ચકલાં ચૂંથો છો. તમે જે ગણતરી કરો છો તેની મોદીને કશી પરવા નથી. તેમને તો છાકો પાડવો હતો અને બીજા પણ કેટલાક હેતુ હતા. તપાસી લેજો, તેમણે તે વખતે જાહેર કરેલો એક પણ હેતુ બર આવ્યો નથી--અને મહેરબાની કરીને તેનાથી ડિજિટલ પેમેન્ટ વધ્યું છે એવું ન કહેતા. કારણ કે, તે તો નોટબંધીની જાહેરાતની બહુ પછી આવેલો વિચાર હતો.
એડીસી બેન્કમાં જમા થઈ ગયેલા અઢળક રૂપિયાથી માંડીને કંઈ કેટલીય સ્ટોરીઓ ફોલો અપ વગર દબાઈ ગઈ. પણ ભક્તિ કોને કહી છે? નહીં સ્વીકારવાનું એટલે નહીં સ્વીકારવાનું. મોદીના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર અભૂતપૂર્વ માત્રામાં વધ્યો --અને આવું હું નથી કહેતો. સરકાર સાથે કામ પાડનારા અનેક લોકોએ કહ્યું છે. તમે પણ તપાસ કરી જોજો. સરકારી રાહે ચાલતા શિક્ષણ અને આરોગ્યની ઉપર રહીને ઘોર ખોદી નાખવામાં આવી--અને તો પણ તેની ગંભીરતા સમજ્યા-સ્વીકાર્યા વિના, ભક્તો વિકાસ-વિકાસના મંજિરા વગાડતા રહ્યા. અલ્યાઓ, શિક્ષણ ને આરોગ્ય વિના કેવો વિકાસ? આ બંને ક્ષેત્રોની શી સ્થિતિ છે તે એ ક્ષેત્રો સાથે સંકળાયેલા કોઈ પણ માણસને પૂછી જોજો.
*
સો વાતની એક વાત એક જ છે કે શાસક ગમે તે હોય, તેને માપમાં રાખવાનો હોય. તેને યાદ અપાવવાનું હોય કે તું અમારો રાજા નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ છું. તારી સત્તાનો મદ કાબૂમાં રાખજે. આવો સંદેશો મોદી જેવા અહંકારીઓને તો ખાસ આપવાનો હોય. પણ ભક્તોએ આંખે પટ્ટી બાંધીને મોદીનો અહંકાર પોષ્યો. દસ વર્ષમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાની હિંમત ન હોય તેવા અહંકારી ડરપોક માણસમાં કેટલીય મહાનતાનું આરોપણ કરી નાખ્યું ને છેલ્લે છેલ્લે તો પ્રેસ કોન્ફરન્સ ન કરી તે કેમ સારું છે, તે પણ શોધી કાઢ્યું. આવા ભક્તો જેને મળે તેનું શું થાય? અખાએ કહ્યું હતું તેમ, ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો...વાળો ઘાટ થયો. એટલે જ, છેલ્લે છેલ્લે તો તેમણે પોતે જાહેર કરી દીધું કે તે ભગવાને ખાસ કામ માટે મોકલેલા જણ છે. બાયોલોજિકલ એટલે કે માના પેટે જન્મેલા નથી. ભક્તો પણ એવા કે તેમને રામ અને મોદી વચ્ચે પસંદગી કરવાની આવે, તો તે મોદીની પસંદગી કરે. આ કલ્પના નથી. મોદીની આંગળી પકડીને ચાલતા રામનું ચિત્ર જોઈને કેટલા ભક્તોએ ટીકા કરી હતી?
આવા અહંકારી અને ઝેર ફેલાવનારા શાસકને એક મોટા વર્ગ તરફથી સતત મળેલા સતત પોષણ અને પ્રોત્સાહન લીધે દેશની અને સમાજની દશા બેઠી. આઇટી સેલનાં જૂઠાણાં, કોમી ઝેર અને ટ્રોલિંગ દેશભક્તિ ગણાવા લાગ્યાં. આપણા દેશની બંધારણીય સંસ્થાઓને, શાસકોના ઉત્તરદાયિત્વ સહિતનાં અનેક લોકશાહી મૂલ્યોને અને ખાસ તો સમાજના પોતને ગંભીર નુકસાન પહોંચ્યું છે. હવે મોદીની ત્રીજી મુદત શરૂ થઈ છે. તે જે ઉંમરે પહોંચ્યા છે, તે જોતાં હવે તેમની સુધરવાની શક્યતા નહીંવત્ છે. પ્રાણ અને પ્રકૃતિ ભેગાં જ જાય.
ભક્તો ભક્તિપરંપરામાં વિચારે છે કે મોદી જીત્યા છતાં તેમના ટીકાકારોને મઝા કેમ આવે છે. પણ તેમને ક્યાંથી સમજાય કે આજકાલ નીતિશ અને નાયડુ સામે મોદી જે રીતે અહંકારને અભરાઈ પર ચડાવીને, બોલે તો વિનમ્ર હોકે, વાત કરે છે તે જોવાની અને બદલાયેલી બોડી લેન્ગ્વેજ જોવાની મઝા આવે છે. મોદી સરકારને બદલે એનડીએ સરકાર બોલતા અહંકારના પોપડા ખરી ગયેલા પૂતળાને જોવાની મઝા આવે છે. પોતાના ફોટામાંથી બધાને દૂર કરતા જણને ચડી ચડીને ગ્રુપ ફોટા પડાવતા જોવાની મઝા આવે છે.
આવતી ચૂંટણી બહુ દૂર છે. પણ ગુજરાતે 26માંથી 25 બેઠક આપી છે--ભલે થોડી લીડ ઘટાડી છે--ત્યારે આટલી વાત ફરી એક વાર શેર કરવા જેવી લાગી. મારું કામ મોદીને હરાવવાનું નથી. મોદી હારે તો આગળ લખેલાં કારણસર મને બહુ આનંદ થાય, પણ મારા કે કોઈના લખવાથી-બોલવાથી તે હારે, એવા ભ્રમમાં હું કદી નહોતો અને નથી. એટલે 'તમે ગમે તે લખો, પણ આવશે તો મોદી'—એવી ભક્તસહજ દલીલની મારી પર સ્વાભાવિક રીતે જ કશી અસર નથી થતી.
મોદી નહીં તો કોણ, એ દલીલ ભક્ત ન હોય એવા લોકોમાં પણ બહુ ચાલે છે. મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે આવ્યા ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી બની શકે એવા પાંચ-સાત નેતાઓ હતા—અને હું ફક્ત ભાજપનો આંકડો આપું છું. તે વડાપ્રધાન બન્યા ત્યારે પણ ભાજપમાંથી વડાપ્રધાન બની શકે એવા બીજા નેતાઓ હતા. તે બધાનું શું થયું, તે સૌ જાણે છે. હકીકત તો એ છે કે ગુજરાતમાં અને દેશમાં અનેકવિધ મોરચે મોદીના શાસનકાળમાં જેટલું નુકસાન થયું છે, એટલું નુકસાન બીજું કોઈ કરી શકે એમ નથી. પોતાનો સિક્કો જમાવવાની લ્હાયમાં ને બધી સત્તા પોતાની પાસે કેન્દ્રિત કરવાની લ્હાયમાં તેમણે સ્થાપિત માળખાંનો અંત આણ્યો છે, તે એકાદ દિવસના સમાચાર બનીને રહી જતું હોય છે.
ચૂંટણી પંચ જેટલું દબાયેલું ને આજ્ઞાંકિત આ ચૂંટણી વખતે દેખાયું, એટલું કદી નજીકના ભૂતકાળમાં ન હતું. તેનું કામ ચૂંટણીની કેવળ માળખાકીય સુવિધાઓ ગોઠવવાનું ને સાચી ગણતરી કરવાનું નથી. ચૂંટણીની આચારસંહિતાનું રોજેરોજ ચીરહરણ કરનારા સામે આંખ આડા કાન કરીને ચૂંટણી પંચે પોતાની વિશ્વસનિયતાની ઘોર ખોદી છે. તે હકીકતમાં આવેલાં પરિણામોથી કશો ફરક પડતો નથી.
સત્તાની ટીકા કરવાની વાતને હું કદી બહાદુરી કે તેજાબી કલમ સાથે સાંકળતો નથી. મારા માટે તે સાદી સમજ અને પ્રતીતિ—કોમન સેન્સ અને કન્વિક્શન—નો મામલો છે. પણ કોરોના કે રાજકોટ કે મોરબી જેવું કંઈક થાય ત્યારે સરકારની બેધડક ટીકા કરનારા તરીકેની વાહવાહ લૂંટનારા મોદી અને અમિત શાહની વાતમાં કેવા લાઇનમાં ઊભા રહી જાય છે, લાગ આવ્યે કેવાં ભક્તિગીતો ગાઈ નાખે છે—અને છતાં લોકો પર વીર-સરકારથી-નહીં- બીવાવાળાની છાપ ઉપસાવી શકે છે. એ જોઈને થાય છે કે આપણી પ્રજાનો અમુક વર્ગ મૂર્ખ બનવા માટે જ સર્જાયેલો છે. આ લોકો તેને મૂર્ખ નહીં બનાવે તો તે બીજા કોઈ મૂર્ખ બનાવનારને શોધી લેશે.
ઝાઝું લખ્યું છે, થોડું કરીને વાંચજો અને વિચારજો.

Tuesday, June 04, 2024

2024ની ચૂંટણીનાં પરિણામઃ શાંતિથી વિચારતાં--

પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયાં છેઃ અત્યારે (સાંજે સાત વાગ્યે) ઇન્ડિયન એક્સપ્રેસ બતાવે છેઃ એનડીએ-296, યુપીએ-229, અન્ય-18.

મતલબ, ભાજપ એકલપંડે સ્પષ્ટ બહુમતીથી 30-35 બેઠકો દૂર રહેશે, પણ એનડીએની સરકાર સહેલાઈથી બની જશે. હા, તેના માટે નાણાંકોથળીઓ ઢીલી કરવી પડશે અને સત્તાના થોડા ટુકડા આપવા પડશે.
પોતાની માના પેટે નહીં જન્મેલા, પણ ભગવાને સીધા મોકલેલા ભાઈ દુનિયાભરનું ઝેર, ધિક્કાર અને જૂઠાણાં ફેલાવ્યા પછી પણ જીત્યા તે ખેદની વાત છે, પણ (અત્યારની વ્યાપક માન્યતા પ્રમાણે) તેમના અભિમાનને ફટકો પડ્યો છે, તે આનંદની વાત છે.
આ પરિણામોથી ભાજપ-સંઘ પરિવારનાં આંતરિક સમીકરણોમાં સળવળાટ અને ફેરફાર થાય, તો ભવિષ્યમાં સરમુખત્યારશાહી માનસિકતામાંથી મુક્તિ માટેની આશા વધારે ઉજળી બને.
વર્ષો પછી વિપક્ષો સારો સરવાળો લાવ્યા છે, એટલે આગળ ઉપર તે લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખશે અને મોદી તથા તેમની ટ્રોલસેના દ્વારા ચાલતી ઝેરી ઝુંબેશો સામે એક કાઉન્ટર નેરેટિવ--વાસ્તવિકતાનું બયાન કરતી પ્રચારધારા--ચાલુ રાખશે, તો સંઘર્ષ પણ વધશે.
જોવાનું એ છે કે ત્રીજી મુદતને આજ સાંજના ભાષણમાં નહીં, પણ અમલીકરણમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ કેવી રીતે લે છે. એટલે કે, યુટ્યુબ ચેનલો પર સકંજો કસતો કાયદો કે એક ચૂંટણીની જોગવાઈ જેવી સરમુખત્યારશાહી તરફ ધકેલતી બાબતો તે ઉતાવળે આણી દે છે? હવે લોકસભામાં ખરડા પસાર કરાવતાં તેમને તકલીફ તો પડશે, સિવાય કે અમિત શાહનું રાબેતા મુજબનું ફ્લોર મેનેજમેન્ટ અને અન્ય મેનેજમેન્ટ સફળ થતું રહે.
ચૂંટણી પહેલાં સુધી લગભગ એકતરફી લાગતું વાતાવરણ કેવી રીતે બદલાઈ ગયું, એ સમજવું અઘરું છે. ફક્ત યોગેન્દ્ર યાદવ એવા હતા, જેમણે ભાજપ માટે 240થી 260 બેઠકોની આગાહી કરી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે બધું બરાબર નથી એવું પણ તેમણે કહ્યું હતું. તે સાચા પડ્યા છે અને બોલવે-મિજાજે-અહંકારમાં ભાજપના પ્રવક્તા જેવા ભાસતા પ્રશાંત કિશોર ખોટા પડ્યા છે.
ગોદી મિડીયા તરીકે ઓળખાતા બેશરમ અને કરોડરજ્જુ વગરના એન્કરોએ આખો વખત આરતી ઉતારવાને બદલે અને કોમવાદી-વિભાજનકારી એજેન્ડા ચલાવવાને બદલે, થોડુંઘણું પત્રકારત્વ કર્યું હોત તો મોદીને અઘરું પડ્યું હોત. ગોદી મિડીયાની આજે હાર થઈ છે અને સોશિયલ મિડીયા તથા બીજાં માધ્યમોથી સરકારની અનીતિ-અત્યાચારો-દુશાસન સામે અવાજ ઉઠાવનારા લોકોને નવું બળ મળ્યું છે.
બળાત્કારી પ્રજ્વલ રેવન્ના કર્ણાટકની હાસન બેઠક પરથી હારી ગયો છે, પણ સરકારી સુરક્ષાછત્રપ્રાપ્ત છેડતીબાજ બ્રિજભૂષણશરણ સિંઘનો છોકરો ઉત્તર પ્રદેશની કૈસરનગર બેઠકથી જીતી ગયો છે.
બદતમીજી અને બદમિજાજીના પૂતળા જેવી સ્મૃતિ ઇરાની હારી ગઈ છે, પણ છીછરાપણાનું, અફાટ ભક્તિનું અને મોદીભક્ત-સ્પેશ્યલ અહંકારનું પ્રદર્શન કરનાર કંગના રનૌત મંડીથી જીતી ગઈ છે. કનૈયાકુમારની સામે મનોજ તિવારી જીતી જાય, એ કેવી કરુણતા છે, તે જોવા માટે મનોજ તિવારીના એક-બે ઇન્ટરવ્યૂ જોવા બસ થઈ પડશે.
નોન-બાયોલોજિકલ મહાપુરુષ વારાણસીથી 1.52 લાખ મતે જીત્યા છે. 2014માં તેમની સરસાઈ હતીઃ 3.72 લાખ મત. 2019માં 4.79 મત. અને આ વખતે 1.52 લાખ મત.
ભગવાન નામના રામે બેશરમીથી ચરી ખાધા પછી, તેમને ઘર અપાવ્યાનો ઘનચક્કર જેવો દાવો કર્યા પછી, અયોધ્યા જે મતવિસ્તારમાં આવે છે તે ફૈઝાબાદમાં ભાજપની હાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની ગતિ અવળી થઈ છે અને ભાજપને સૌથી મોટો અને આકરો ફટકો પડ્યો છે. ભાજપને 80માંથી અત્યારે 32 બેઠકો બતાવે છે. 2019માં તેને 62 બેઠકો મળી હતી.
રાયબરેલીમાં રાહુલ ગાંધીની અંદાજિત સરસાઈ છેઃ 3.90 લાખ મત. ગુજરાતમાં ગેનીબહેન આશરે 30 હજાર મતથી આગળ છે અને હવે તે સરસાઈ કપાઈ શકે એમ નથી.
ઘણાબધાએ એવી આશા વ્યક્ત કરી છે કે હવે મોદી-શાહ એન્ડ કંપનીનું બેફામપણું ઓછું થશે, બંધારણીય સંસ્થાઓના જીવમાં જીવ આવશે અને તે નિર્ભીકતાથી કામ કરી શકશે, એજન્સીઓનો ઉઘાડેછોગ બેફામ દુરુપયોગ ઓછો થશે, મોદીની આત્મમુગ્ધતા ઓછી થશે વગેરે...
આવું થાય તો બહુ આનંદની વાત છે.
આવું થવાની શક્યતા અત્યારે ઊભી થઈ છે, તે આજ પૂરતું હાશકારાનો અનુભવ કરાવે છે.
કાપવાનો રસ્તો ઘણો લાંબો છે, પણ વચ્ચે આવેલો આટલો વિસામો રાહત આપનારો છે.

Wednesday, May 22, 2024

ભસતી કોયલ

બાળપણથી કોયલનાં ગુણગાન વાંચતા-સાંભળતા આવેલા ગુજરાતી વાચકોને મથાળું વાંચીને આઘાત લાગી શકે અથવા આ લખનારની માનસિક સ્વસ્થતા વિશે શંકા જાગે. પણ એટલી ખાતરી રાખજો કે આઘાત (કદાચ) પહેલી વાર સચ્ચાઈ વાંચ્યાનો હશે અને લેખ પૂરો થતાં સુધીમાં બીજા મુદ્દા વિશે પણ કશી શંકા નહીં રહે.

કોયલડી ને કાગ, વાને વરતારો નહીં/ જીભલડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે—આવો બોધયુક્ત દુહો એક સમયે જાણીતો હતો. તેનો સાર સ્પષ્ટ છેઃ કાગડો ને કોયલ રંગે તો સરખાં, પણ બોલે ત્યારે કાગડાના પૈસા પડી જાય (ને કોયલના ન પડે). કદાચ આ જ પ્રકારની સમજ સાથે, એક સમયે સુમધુર કંઠ ધરાવતાં લતા મંગેશકરને કોયલની ઉપમા અપાતી હતી અને ગાયિકાઓ માટે કોકિલકંઠીજેવું વિશેષણ વપરાતું હતું. કુહુ કુહુ બોલતી કોયલિયાનું ગીતસંગીતમય સ્વરૂપ અત્યંત કર્ણપ્રિય લાગતું હતું. સ્કૂલના ક્લાસમાં બહુ વાતો કરતી છોકરીઓને હંમેશાં કાબરની ઉપમા મળતી—કદી કોયલની નહીં. કિશોરાવસ્થાની મુગ્ધતામાં વાંચેલા ચિંતકોએ પણ વસંતમાં કોયલના ટહુકાનું માર્કેટિંગ કરવામાં કશું બાકી રાખ્યું ન હતું.

અત્યાર લગી થયેલો કોયલ-મહિમા ખોટો નથી, પણ તે ચિત્રની એક બાજુ છે. તેની ભાગ્યે જ ઉલ્લેખાયેલી બીજી બાજુ એક જૂના ગીતના મુખડામાં વ્યક્ત થઈ છેઃ કાહે કોયલ શોર મચાયે રે. અલબત્ત, ગીતમાં નાયિકાને તત્ત્વતઃ કોયલના અવાજ સામે વાંધો નથી. પણ મોહે અપના કોઈ યાદ આયે રે—એ કારણથી તેને મીઠા અવાજે ગાતી કોયલ શોર મચાવતી લાગે છે. એટલે, તેમાં કોયલના કંઠની મીઠાશનાં વખાણ જ છે.

પરંતુ કોયલ વિશેની સઘળી અહોભાવયુક્ત માહિતી બાજુ પર રાખતાં જણાશે કે કોયલની કુહુ ભલે મીઠી હોય, પણ તેનું સળંગ-ઉપરાછાપરી પુનરાવર્તન ત્રાસરૂપ બની જાય છે. ઉનાળાની ઋતુમાં ઘણી કોયલો ઓફિસે જઈને અંગુઠો પાડવાનો હોય એટલી નિયમિતતાથી સવારના પહોરમાં ઘરની બાજુના કોઈ વૃક્ષ પર આવી જાય છે. જેમની સવાર માણસોના સમયે—એટલે કે આઠેક વાગ્યે—પડતી હોય, એવા લોકોની આંખોમાં હજુ તો ઊંઘના અવશેષ વેરાયેલા હોય, ત્યાં કોયલ શરૂ પડી જાય છેઃ કૂહુ...કૂહુ...કૂહુ.. પહેલાં બે-ત્રણ વાર તેમાં ટહુકાનો અહેસાસ થાય છે, પણ પછી આવર્તન ચાલુ રને ચાલુ હે છે. ચાર-છ વાર એક જ સૂરમાં કૂહુ કૂહુ કર્યા પછી તેનો સૂર ઊંચો જાય છે. આમ, એક વારમાં તે પંદર-વીસ વાર, એકશ્વાસે,  કુહૂ...કુહૂ મચાવે છે. બે-પાંચ ટહુકા સુધી તેનો અવાજ લતા મંગેશકરના પચાસના દાયકાના અવાજ જેવો લાગે છે, પણ પછી તે સાંભળીને એંસી-નેવુના દાયકામાં અને તે પણ ઊંચા સૂરમાં ગાતાં લતા મંગેશકરના અવાજની યાદ તાજી થાય છે અને કહેવાનું મન થાય છે,બહેન, જરા ધીમેથી ચીસો પાડ.

બે-ત્રણ સૂરમાં પંદર-વીસ વાર કૂહૂ...કુહૂનો એક રાઉન્ડ પૂરો થાય અને સાંભળનારના કાનને સહેજ હાશકારો થાય, ત્યાં તો ફરી એ જ ક્રમ શરૂ થઈ જાય છે. આવું ઘણી વાર અડધો કલાક-કલાક સુધી ચાલી શકે છે. પછી થોડો પોરો ખાઈને વળી તે મંડી પડે છે. ક્યારેક તો કોયલની એવી ચીસાચીસ બે-ચાર કલાક સુધી ચાલે છે. તે સાંભળીને કાન પાકી જાય છે, પણ કોયલની જાહેર ઇમેજ અને લોકલાજને કારણે કોયલ બહુ કકળાટ કરે છે-- એવી ફરિયાદ કરતાં લોકો ખચકાય છે. તેમને બીક લાગે છે કે ક્યાંક કોયલના કકળાટ સામે આંગળી ચીંધવા જતાં, ફરિયાદી સાથે આરોપી જેવો વ્યવહાર કરવાની વર્તમાન પદ્ધતિ પ્રમાણે, પોતાને ખુલાસા આપવા ન પડે.

ઘણા લોકો સુખી હોય છે. તેમને ગમે તેટલા ઘોંઘાટથી બહુ ફરક પડતો નથી. ડીજેના સ્પીકરની પાસે ઊભા રહીને નાચી શકતા કે નાચ્યા વગર પણ તેનો કાનફાડુ ઘોંઘાટ માણી શકતા લોકોને કોયલ સામે કશો વાંધો ન હોય તે સમજી શકાય છે. પરંતુ કેટલાક લોકોને ઘોંઘાટની એલર્જી હોય છે. ભારતમાં ધૂળની એલર્જી હોવી ને ઘોંઘાટની એલર્જી હોવી, એ બંને સરખી ગંભીર સમસ્યાઓ છે. કારણ કે, આ બંને બાબતોથી ભારતમાં કદી છૂટકારો મળવાનો નથી. છતાં, કોયલ મંડી ને મંડી રહે અને કેમે કરીને બંધ ન થતી હોય, ત્યારે તેના ઘોંઘાટથી ત્રાસેલા લોકોના મનમાં અનેક નકારાત્મક વિચારો આવે છે.

મનમાં થાય છે કે રાત પડ્યે કૂતરાં ભસતાં હોય તેમની તરફ પથ્થર ફેંકીને તેમને અહિંસક રીતે ભગાડી શકાય છે, પણ ધોળે દહાડે ભસવા જેટલી જ કર્કશતાથી ચીસાચીસ કોયલનું શું કરવું? પહેલાં તો કઈ દિશામાંથી કોયલનો અવાજ આવે છે તે નક્કી કરવું પડે. પહેલાંનો સમય હોત તો, શબ્દવેધ બાણ ચલાવીને કોયલને નુકસાન પહોંચાડ્યા વિના, તેને ઉડાડી શકે એવા કોઈ જણની તલાશ કરી શકાત. એ વિકલ્પ હાથવગો ન હોવાથી, કૂતરાંની જેમ કોયલની દિશામાં પથ્થર ફેંકવાનો વિચાર આવે છે. પણ તે વ્યવહારુ રીતે શક્ય હોતો નથી. શહેરોમાં ગીચ ફ્લેટોની વચ્ચે કે સોસાયટીના કોમન પ્લોટમાં ક્યાંક એકાદ ઝાડ હોય ને ત્યાં કોયલ બેઠી પણ હોય. છતાં, એ તરફ પથ્થર ફેંક્યા પછી, તે આડોઅવળો જાય તો?

રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો—જેવી સિચ્યુએશન જરા જુદી રીતે સર્જાય, કોયલની ચીસો તેના ઠેકાણે રહે અને પથ્થર ફેંકનારે ખુલાસા કરવાનો વારો આવે.

Monday, May 13, 2024

બગીચામાં ચાલતાં ચાલતાં

ચાલવું એ કસરત કહેવાય ને લોકોએ તે કરવી જોઈએ—એ વૈજ્ઞાનિક શોધ માટે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી જવાબદાર છે. પહેલાં, એટલે કે વીસેક વર્ષ પહેલાં સુધી, મોટા ભાગના લોકો માટે ચાલવું એ સામાન્ય જ નહીં, ફરજિયાત ક્રિયા હતું. પછી દ્વિચક્રી વાહનોનો પગપેસારો વધ્યો. એટલે, દૂધ લેવા, બજાર જવા કે પાનના ગલ્લે આંટો મારવા માટે પણ દ્વિચક્રી વપરાતું થયું. હવે કસરત લેખે ચાલવા જનારા પણ ચાલવા જવાના સ્થળ સુધી પહોંચવા માટે દ્વિચક્રીનો ઉપયોગ કરે છે.


જોકે, એમાં બધો તેમનો વાંક નથી. કારણ કે, કસરત માટે તો ઠીક, કામ માટે પણ રસ્તા પર ચાલવું ખતરનાક નીવડી શકે છે. આરોગ્ય સુધારવા માટે રસ્તા પર ચાલવા જનાર માતેલા વાહનની ટક્કર ખાઈને, આરોગ્યને બદલે અંગભંગ પામે એવું પણ બની શકે. બીજાના એવા અનુભવ સાંભળ્યા પછી, પોતાના એકંદર આરોગ્ય ઉપરાંત શરીરનાં હાડકાંની જાળવણી કરવા ઇચ્છતા લોકો બગીચામાં ચાલવા જવાનું પસંદ કરે છે.

પહેલાંના બગીચા ફક્ત આનંદપ્રમોદ માટે અને હિંદી ફિલ્મોનું માનીએ તો, પ્રેમી-પ્રેમિકાઓના મિલન તથા ગાયન માટે હતા. પછીનાં વર્ષોમાં શહેરોમાં અને તેની દેખાદેખી નાનાં નગરોમાં પણ બગીચામાં ચાલવાના ટ્રેક તૈયાર કરવામાં આવ્યા—જાણે ટ્રેનને ચાલવા માટે પાટા હોય, તેમ ચાલનારાને ચાલવા માટે ટ્રેક. ફરક એટલો કે આવા ટ્રેક પર અનેક જણ એકસાથે, આગળપાછળ ચાલી શકે અને સિગ્નલ ન હોવા છતાં, ગંભીર અકસ્માત થવાની શક્યતા નહીંવત્.

ટ્રેન સાથેની સરખામણી આગળ વધારતાં કહી શકાય કે બગીચામાં ચાલનારાના પણ ટ્રેનની જેમ જુદા જુદા પ્રકાર હોય છે. કેટલાક ચાલનારા સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવા હોય. તે ઝડપભેર ચાલે, પાછા વચ્ચે ક્યાંક થોભે, પાછા ચાલવાનું આગળ વધારે. કેટલાક લોકલ ટ્રેન જેવા હોય. થોડું ચાલે, વળી પાછું કોઈ મળે એટલે વાતો કરવા ઊભા રહે. પછી આગળ વધે ને ફરી કોઈ પરિચિત દેખાય તો એ સામેથી બૂમ પાડે અને તેમને ઊભા રાખીને વાતો કરે. તેમનું એક ચક્કર પૂરું થાય ત્યારે સુપરફાસ્ટ ચાલક અઢી-ત્રણ રાઉન્ડ પૂરા કરી ચૂકયા હોય. (ચાલક શબ્દ આમ તો ચલાવનાર માટે વપરાય છે, પણ રક્ષે તે રક્ષક, તો ચાલે તે ચાલક કેમ નહીં?)

કેટલાક ચાલકો વળી સુપરફાસ્ટને પણ હંફાવે એવા—દુરન્તો એક્સપ્રેસ જેવા—હોય, જે એક વાર ચાલવાનું શરૂ કર્યા પછી, તેમણે નિશ્ચિત કરેલો સમય પૂરો ન થાય, ત્યાં સુધી અટકે જ નહીં. જાણે, અમદાવાદથી ઉપડ્યા એટલે સીધા મુંબઈ. રસ્તામાં ગમે તેટલા ઓળખીતા મળે, ગમે તેટલી ગીરદી હોય, બાળકો રમતાં હોય, અમુક ભાગમાં રસ્તો ખરાબ હોય, ટ્રેક પર કૂતરાં લડતાં હોય કે લડીને સુઈ ગયાં હોય, પણ દુરાન્તો પ્રકારના ચાલકો તેમની ગતિ અટકાવ્યા વિના ધમધમાટ આગળ વધતા રહે. તેમની એકનિષ્ઠતા અને તેમનું ફોકસ જોઈને એવી પણ શંકા જાય કે આ લોકો ચાલવાના બહાને કંઈ બીજું તો નથી કરી રહ્યાને? કેટલાક દુરાન્તો-પ્રકારો એટલી ગંભીર કે ઝનૂની મુખમુદ્રાથી ચાલતા હોય કે તે કોઈ પ્રકારની તાંત્રિક વિધિ કરી રહ્યા હોય એવું લાગે. તેમને જોઈને વિચાર આવે કે એક જમાનામાં વંદે ભારત ટ્રેનોને અથડાતી હતી એવી કોઈ ભેંસ આ ચાલનારાને અથડાય તો ચાલનારા જેટલી જ ભેંસની પણ ચિંતા કરવી પડે.

તેમનાથી સાવ સામા છેડે આવે ગુડ્ઝ ટ્રેન પ્રકારના ચાલનારા. તે એકલા ન હોય. તેમની સાથે બે-ચાર મિત્રો કે પરિવારનાં નાનાં સભ્યો હોય. એ બધા ચાલવાના ટ્રેક પર આસ્તે આસ્તે, જોનારને યથેચ્છ લાગે એવી રીતે, આગળ વધતા હોય. તેમની ઝડપ એટલી ઓછી હોય કે એવું લાગે, જાણે તે રાત બગીચામાં જ વીતાવવાનાં હોય અને એટલે તેમને કશી ઉતાવળ જ ન હોય. આવી ગુડ્ઝ ટ્રેનમાં બાળકો હોય તો તે વળી મૂળ ટ્રેનથી છૂટા પડીને, બીજી લાઈને ફંટાઈ ગયેલા ડબ્બાની જેમ આમતેમ છૂટાં ફરતાં હોય. વળી પાછાં તે આગળથી મુખ્ય ટ્રેન સાથે ભેગાં પણ થઈ જાય. આવાં જૂથ ઘણી વાર આખો ટ્રેક રોકીને ચાલતાં હોય.

માણસને વાહનોની એવી ટેવ પડી ગઈ હોય છે કે પગપાળા ચાલતી વખતે પણ આગળ ગુડ્ઝ ટ્રેન-પ્રકાર કે તેનો કોઈ છૂટો પડી ગયેલો ડબ્બો લહેરાતો જુએ, એટલે પહેલો વિચાર હોર્ન મારવાનો આવે. પછી યાદ આવે કે આપણે તો ચાલવા આવ્યા છીએ. અહીં હોર્ન ન હોય. તરત બીજો વિચાર આવેઃ ટ્રેક પર વાહન ભલે ન હોય, પણ છૂટું હોર્ન રખાય કે નહીં? જેથી ટ્રેક પર વચ્ચે ને વચ્ચે આવતા લોકોને આઘા ખસવાનો સંકેત આપી શકાય.

કોઈ માણસ રસ્તા પર બેકાળજીથી ચાલતો હોય તો તેને ઠપકો આપતાં કહેવામાં આવે છે, ‘આ રોડ છે, બગીચો નથી. જરા જોઈને ચાલો.’ પણ બગીચામાં આડા આવતા લોકોને આવું શી રીતે કહેવાય? રાન્તો-સુપરફાસ્ટ પ્રકારના ચાલનારાને તો ઉલટો રસ્તામાં આવતા લોકો અવળો ઠપકો આપતાં કહે શકે, ‘જરા ધીમે ચાલો. આટલી બધી ઉતાવળ શી છે? આ એક્સપ્રેસ હાઇ વે નથી, બગીચો છે.’

ટ્રેક પરનો આવો બધો ખેલ માંડ અડધા કલાક-કલાકનો હોય છે. પછી બધાએ ટ્રેકને બગીચામાં મુકીને ઘરે જ જવાનું હોય છે. પણ એમ તો, આ બધો—જીવનનો-ખેલ માંડ સાઠ-સિત્તેર-એંસી વર્ષોનો જ હોય છે ને?

Sunday, May 12, 2024

હાસ્યવ્યંગની વિડીયોનાં ચાર વર્ષ

કોરોનાકાળમાં ટ્વિટર પર આવ્યો અને થોડા દિવસમાં હાસ્યવ્યંગની વિડીયો બનાવવાનું શરૂ કર્યું. મે, 2020. એ વાતને ચાર વર્ષ પૂરાં થયાં. આ સાથે મુકેલી વિડીયો 326મી છે.


ટ્વિટરની મર્યાદા 2 મિનીટ અને 20 સેકન્ડ. તેમાં જે કળા કરવી હોય તે કરી નાખવાની. (હવે પેઇડ બ્લુ ટીક મેળવવાથી તે મર્યાદા વધારી શકાય છે, પણ એવો કોઈ વિચાર નથી.) પહેલી સો વિડીયો તો રોજની એક લેખે કરી. એટલે ખબર પડી કે આ ફોર્મમાં વાંધો નહીં આવે. પણ પછી
વિડીયો બનાવવા માટેના સમયનો પ્રશ્ન રહેતો હતો.
પહેલેથી સ્ક્રીપ્ટ લખતો ન હતો. એટલે આઇડીયા વિચારીને અથવા તેના સાવ ઉપરછલ્લા મુદ્દા નોંધીને કેમેરા ચાલુ કરી દેવાનો. તેની સામે બોલી જવાનું. પછી તેમાંથી ખપજોગું કાઢી લેવાનું. ઘણી વાર સામગ્રી વધારે થઈ હોય. તેને 2:20 મિનીટમાં સમાવવામાં તકલીફ પડે. બે-પાંચ સેકન્ડ એડિટ કરવા માટે ખાસ્સી મહેનત પડે. ફોનના જ સીધાસાદા સોફ્ટવેરમાં કટિંગનું કામ કરવાનું. આશય એટલો કે ઓછામાં ઓછા સમયમાં થવું જોઈએ. તેના કારણે વિડીયોની ટેકનિકલ ગુણવત્તા ચકાચક ન હોય, પણ તેની બહુ પરવા ન હતી. વ્યાવસાયિક ધોરણે કે એવી ગંભીરતાથી કરવું હોય તો ટેકનિકલ બાબતમાં ધ્યાન રાખવું પડે, મારો ઉદ્યમ નીતાંત આપઉલટથી હતો. તેમાં આવતી સામગ્રી મારા હિસાબે ને મારા ધોરણે નબળી ન જવી જોઈએ તે જ મુખ્ય નિસબત.
અનુભવે જોયું કે મોટા ભાગના લોકો સામગ્રી સારી હોય તો ટેકનિકલ મર્યાદાઓ નજરઅંદાજ કરી શકે છે. એટલું જ નહીં, સારી સામગ્રીની તે દિલથી કદર કરી શકે છે. એવું ન કરી શકે તેવા જીવાત્માઓ (ફેસબુક પર એક જણે કહ્યું હતું તેમ) વિડીયોમાં કેટલા કટ આવ્યા, તેની ગણતરી રાખે છે. 😊 હકીકતમાં, મહત્તમ 2:20 મિનીટની આખી વિડીયો જોયા પછી તેમાં જેને કટ ગણવા સિવાય બીજું કશું કહેવાનું ન હોય, તેમને આશ્વાસન અને શુભેચ્છા સિવાય બીજું કંઈ જ આપવાનું થતું નથી.
વડાપ્રધાનની આપખુદશાહી, દેશ માટે ખતરનાક એવો તેમનો સ્વ-મોહ, ભપકાબાજી, હળહળતાં જૂઠાણાં જેવી બાબતો હાસ્યવ્યંગ વિડીયોના માધ્યમથી, ઘણુંખરું ઉગ્ર બન્યા વિના પણ, આ વિડીયો દ્વારા મુકી શકાઈ તેનો મને સંતોષ છે. એવું કરતી, જે લાગે છે તે કહેવું જોઈએ અને વ્યંગ આવડે છે તો તે ભાષામાં પણ કહેવું જોઈએ, એવી પ્રતીતિથી વિશેષ કોઈ ભાવ અનુભવ્યો નથી—બહાદુરીનો કે સાહસનો તો બિલકુલ નહીં. તેનાથી પરિવર્તન આવી જશે, એવો ભ્રમ પણ કદી સેવ્યો નથી. અમુક સમય અને સંજોગોમાં, જે કહેવા જેવું હોય તે કહેવાની જરૂર હોય છે. તેને ફરજના અર્થમાં ધર્મ તરીકે સ્વીકારીને, લેખનની જેમ વિડીયોના માધ્યમથી પણ તે કરી શકાયું, તેનો હંમેશાં આનંદ રહ્યો છે.
કેવળ નિજાનંદ માટે અને આગળ જણાવ્યું એ રીતે, ધર્મપૂર્વક શરૂ કરેલી આ હિંદી વિડીયોથી ટ્વિટર પર કલ્પનાતીત પ્રેમાદર મળ્યો છે. ગુજરાતી પત્રકારત્વ-લેખનમાં મારા કામથી સાવ અજાણ હોય એવા રાષ્ટ્રીય સ્તરના ઘણા આદરણીય-પ્રિય લોકો ટ્વિટર થકી સીધાં સંપર્કમાં આવ્યાં છે. તે બોનસ છે. ફેસબુક પર પણ આ વિડીયોને સાંભળી-જોઈને કદર કરનારા સૌનો આભાર.

Sunday, April 14, 2024

પરસંગ આયો ને (નર્મદ-મેઘાણીનાં) ગીતો ગવાયાં...

રાહતદરના ક્લિનિકના આરંભપ્રસંગે ગીત ગાતા ડો. દુર્ગેશ મોદી,
સાથે નર્મદ-મેઘાણી પુસ્તકાલય (મીઠાખળી)ના જયેશ પટેલ
સંજય ભાવે દ્વારા મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન, સાથે ડો. દુર્ગેશ મોદી
ડો. દુર્ગેશ મોદીએ પ્રસંગે હાજર રહેલાં તેમનાં ગુજરાતી શિક્ષિકા હેતલબહેનને
અને સાહિત્યપ્રેમ જગાડવામાં તેમની ભૂમિકાને ભાવપૂર્વક યાદ કર્યાં હતાં. (ફોટોઃ બિનીત મોદી)

ગઈ કાલે સવારે, 'કમઠાણ'ના ગીતના અંદાજમાં કહું તો, એક 'પરસંગ' હતો. મિત્ર ડો. દુર્ગેશ મોદીનું નર્મદ-મેઘાણી ક્લિનિક હાલના નર્મદ-મેઘાણી પુસ્તકાલયથી ખસેડાઈને વધુ મોકળાશવા અને સુવિધાભર્યા ઠેકાણે શરૂ થયું. 

એક સ્પષ્ટતાઃ ડો. દુર્ગેશ મોદી મજબૂત સાહિત્યપ્રેમી અને સરસ લેખક હોવા છતાં, તેમનું નર્મદ-મેઘાણી ક્લિનિક ગુજરાતી કૃતિઓની સાહિત્યિકતા તપાસવા માટેનું ક્લિનિક નથી. (કાશ, એવું કોઈ પ્રમાણભૂત ક્લિનિક હોત.) તે રાહત દરે તબીબી નિદાન માટેનું ઠેકાણું છે. 

'સાર્થક જલસો'ના વાંચનારા ડો. દુર્ગેશ મોદીને તેમના લેખોથી ઓળખતા હશે. એમ.ડી. થયેલા દુર્ગેશ માટેનો પ્રેમ પહેલાં તેમના લખાણથી થયો હતો. ચંદુભાઈ મહેરિયા અને હું કોરોનાકાળમાં રોજેરોજ 'ડિજિટલ નિરક્ષક' કાઢતા હતા, તેમાં એક વાર દુર્ગેશનો લેખ આવ્યો. ત્યારે તે દિલ્હી એમ.ડી. કરતા હતા અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં કાર્યરત હતા. તેમની ભાષા વાંચીને મને થયું કે આ વળી કઈ મૂર્તિ છે, જે આ વયજૂથમાં અને આ જમાનામાં આટલી સરસ રીતે લખી શકે છે? એટલે પ્રકાશ ન. શાહ પાસેથી નંબર મેળવીને તેમને ફોન કર્યો. ત્યારથી શરૂ થયેલી દોસ્તીને હવે તો ઘણાં પડ ચડ્યાં છે. 

નર્મદ-મેઘાણી પુસ્તકાલય સાથે સંકળાયેલા દુર્ગેશમાં સાચી નિસબત અને સાહિત્ય-કળા-વિદ્યાવ્યાસંગ ભરપૂર છલકે છે, જેનો પરચો તેમની સાથેના વ્યવહારમાં સાહજિકતાથી મળતો રહે છે. પરંતુ, આ બધાની ઉપર, એક ડોક્ટર તરીકેની તેમની સજ્જતા સુખદ આશ્ચર્ય ઉપજાવે એવી છે. 

દુર્ગેશને ડોક્ટર તરીકે મળીએ ત્યારે તે--

  •  આપણી વાત નિરાંતે સાંભળે છે. (એનો અર્થ એવો નહીં કે બધી વાર્તાઓ કરવી. પણ સામેવાળાને મુદ્દાસર જેટલું કહેવું હોય તે સાંભળવાની ધીરજ દુર્ગેશમાં છે) 
  •  આપણા સંબંધિત સવાલોના જવાબ તે ખુલાસાવાર અને વૈજ્ઞાનિક ઢબે છતાં શુદ્ધ ગુજરાતીમાં સમજાય એવી રીતે આપે છે. 
  • ન સમજાય તો ફરી પણ પૂછી શકાય છે. 
  • પોતાની કામગીરીના ક્ષેત્રમાં લેટેસ્ટ શું ચાલી રહ્યું છે એની ખબર અને તેનો અભ્યાસ રાખે છે. 
  • અત્યંત શાસ્ત્રીય ઢબે, છતાં જરા પણ માસ્તરીયા નહીં, એવી રીતે સચોટ નિદાન પર આવે છે. (તેનો અત્યંત સુખદ અનુભવ રજનીકુમાર પંડ્યાની માંદગી વખતે થયો.) 
  • અને આ કશાનો ભાર લઈને ફરતા નથી. 

પૂર્ણસમય તો તે એક વરિષ્ઠ ડોક્ટર સાથે કામ કરે છે, પણ અઠવાડિયામાં એક દિવસ, શનિવારે, અઢી-ત્રણ કલાક તે અત્યંત રાહત દરે, દર્દીઓને તપાસે છે. બે વર્ષ પહેલાં આ ઉપક્રમની શરૂઆત આંબેડકરજયંતિના દિવસે થઈ હતી. ગઈ કાલથી હવે સ્થળ બદલાયું. 

નવા સ્થળે, પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા, માધવ રામાનુજ અને બીજા ઘણા સ્ને્હી-મિત્રો-વડીલોની હાજરીમાં, ક્લિનિકની શરૂઆત નર્મદ અને મેઘાણીનાં ગીતો ગાવાથી થઈ. દુર્ગેશે અને નર્મદ-મેઘાણી પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે મીઠાખળીની પોતાની જગ્યા આપનાર મિત્ર જયેશભાઈએ સરસ રીતે ગાયું. દુર્ગેશે નર્મદ અને મેઘાણી વિશે પોતે લખેલી એક અંગ્રેજી કવિતા વાંચી અને Sanjay Bhaveએ મેઘાણીની રચના 'કવિ તને કેમ ગમે?'નું પઠન કર્યું. એમ એક વિશિષ્ટ ઉપક્રમનો અનોખો આરંભ થયો. 

નવું સરનામું :  

નર્મદ - મેઘાણી ક્લિનિક  આશિમા હાઉસ - બેઝમેન્ટ, શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય (એમ. જે. લાઇબ્રેરી)ની બાજુના ખાંચામાં, મેટ્રોના બ્રિજની સમાંતરે, એલિસબ્રિજ, અમદાવાદ 

સમય : દર શનિવારે : સવારે ૧૦ થી ૧૨:૩૦

Saturday, April 06, 2024

સાર્થક પ્રકાશનઃ બારમા વર્ષે

https://saarthakprakashan.com/

6 એપ્રિલ, 2013ના રોજ ગુરુજનો, મિત્રો અને સ્નેહીઓની હાજરીમાં, યાદગાર કાર્યક્રમ સાથે શરૂ થયેલું 'સાર્થક પ્રકાશન' આજે બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. 11 વર્ષ એક લાંબો સમયગાળો છે. દરમિયાન આપણી આસપાસ ઘણું બધું બદલાયું છે. પરંતુ જે ધ્યેય સાથે 'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું હતું, તે બદલાયું નથી અને તેનો બહુ આનંદ છે, સંતોષ છે. તે માટે અમને આર્થિક, નૈતિક કે બીજી કોઈ પણ રીતનું બળ પૂરું પાડનાર સૌ સ્નેહીઓ-મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

પુસ્તકસંખ્યાની દૃષ્ટિએ 'સાર્થક' નાનું અને અમારી વ્યસ્તતાઓનો ભોગ બનતું આવ્યું છે. તેના કારણે 11 વર્ષમાં પુસ્તકસંખ્યા પચાસનો આંકડો પાર કરી શકી છે. વધુ પુસ્તક થયાં હોત તો અમને ગમ્યું હોત, પણ નથી થયાં તેનો રંજ કે વસવસો નથી. બીજાં અનેક કામ વચ્ચે સમય મળ્યો, અનુકૂળતાઓ થઈ તેમ પુસ્તકો આવતાં રહ્યાં છે. 

'કટિબંધ' સિવાયની અશ્વિની ભટ્ટની બધી નવલકથાઓ  'સાર્થક'માં પ્રગટ થઈ ચૂકી છે. 'કટિબંધ' આ મહિને છપાવા જાય એમ લાગે છે. ત્યાર પછી પણ અશ્વિનીભાઈનાં-તેમનાં વિશેનાં બે-ત્રણ પુસ્તકોની સામગ્રી છે. તેમાં અમારી અનુકૂળતા ઉપરાંત તેમના અમેરિકાસ્થિત પુત્ર નીલની અનુકૂળતા પ્રમાણે આગળ વધવાનું છે. એટલે તેના સમયગાળા વિશે અંદાજ બાંધી શકાતો નથી. છતાં આ વર્ષે તે આવી જાય એવો અમારો પૂરો પ્રયાસ રહેશે.

એવી જ રીતે, વર્ષોથી અમારા નામે બાકી બોલતો રામચંદ્ર ગુહાના અત્યંત અગત્યના પુસ્તક 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'નો અનુવાદ આખરે તૈયાર છે. તેનું પ્રૂફ પણ થઈ ગયું છે. હવે ફાઇનલ ચેકિંગ ચાલે છે. તે બે ભાગમાં, આશરે હજારથી પણ વધુ પાનાંમાં, પ્રગટ થશે. તે પણ આ વર્ષે, બને તો બે-ત્રણ મહિનામાં, પ્રગટ કરવાનું આયોજન છે.

આ ઉપરાંત, આ વર્ષે પ્રકાશન માટે તૈયાર એવાં પુસ્તકોની યાદીઃ

(1) ઝવેરચંદ મેઘાણીના 'સમરાંગણ'નો અશોક મેઘાણીએ કરેલો અંગ્રેજી અનુવાદ

(2) પ્રકાશ ન. શાહના 'દિવ્ય ભાસ્કર'ની બુધવાર પૂર્તિમાં આવતા સાંસ્કૃતિક લેખોનો સંગ્રહ (જે તેમના લેખોનું પહેલું પુસ્તક હશે)

(3) બિનીત મોદીએ તૈયાર કરેલું, છેક મુંબઈ રાજ્યથી લઈને 2024 સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સભ્યોની પૂરી વિગત આપતું સંદર્ભપુસ્તક

(4) ધૈવત ત્રિવેદીના 'વિસ્મય'ના વધુ બે ભાગ

આટલું તો એકદમ તૈયાર છે. તે સિવાય બીજાં કેટલાંક પુસ્તક પણ આ વર્ષે પ્રગટ કરવાની તૈયારી ચાલે છે. તેની વિગતો યથાસમય.

*

'સાર્થક પ્રકાશન' શરૂ કર્યું ત્યારે સામયિક શરૂ કરવાનો જરાય ખ્યાલ ન હતો. છતાં, ઓક્ટોબર 2013થી છ માસિક તરીકે 'સાર્થક જલસો' શરૂ થયું. તેના 19 અંક પ્રગટ થઈ ચૂક્યા છે અને મે, 2024ની મધ્યમાં તેનો અંક નં. 20 પ્રગટ થશે. કોઈ પણ પ્રકારના ચોકઠામાં ન સમાય એવા આ વિશિષ્ટ સામયિકના 20 અંક થાય, તેનો અમારે મન બહુ મહિમા છે.

યોગ્ય પ્રચારપ્રસારના અભાવે હજુ ઘણા પ્રેમી વાચકો 'સાર્થક જલસો' વિશે ન જાણતા હોય એવું બને. જે મિત્રોને 'સાર્થક જલસો'ની વાચનસામગ્રી ગમે છે, તેમને વિનંતી કે તે અમને તેમના એવા એક-બે વાચનરસિક મિત્રોનાં નામ-ફોનનંબર-સરનામાં મોકલાવે, જેમને 'સાર્થક જલસો' વિશે ખ્યાલ ન હોય અને જેમને આ પ્રકારની સામગ્રીમાં રસ પડે એમ હોય. (સરનામાં 98252 90796- કાર્તિક શાહ પર મોકલવાં) જે મિત્રોને 'સાર્થક'નાં નવાં આવતાં પુસ્તકો વિશે કે 'સાર્થક જલસો'નો નવો અંક પ્રગટ થાય તેની માહિતી મેળવવાની ઇચ્છા હોય તે પણ આગળ જણાવેલા નંબર પર તેમનું નામ વોટ્સએપથી મોકલી આપે.

*

અમદાવાદમાં એકાદ વાર સૌ મિત્રો-વાચકો સાથે મળી શકાય, એવા કાર્યક્રમનું આયોજન પણ આ વર્ષે ગણતરીમાં છે. તે સિવાય પોતાના શહેરમાં બીજા વાચકો સાથે મળીને આવો કાર્યક્રમ યોજવા ઇચ્છુક મિત્રો કાર્તિકભાઈનો સંપર્ક કરી શકે છે. પરસ્પર અનુકૂળ હશે તો એવી રીતે અમદાવાદ સિવાય બીજે પણ મિત્રોને મળવાનું બની શકે છે.

મળીએ. રૂબરૂ કે પછી શબ્દો થકી.

*

પછીથી સંપર્કમાં આવેલા મિત્રો 'સાર્થક પ્રકાશન'ના આરંભના યાદગાર સમારંભ વિશે જોવા-જાણવા ઇચ્છતા હોય તો તેના અહેવાલોની લિન્કઃ એક, બે, ત્રણ, ચાર, પાંચ



Thursday, March 28, 2024

(શાકા)હાર અને જીત

પોતાને બાકીનાથી ચડિયાતી માનતી એક જ્ઞાતિ વિશે એક રમૂજ હતીઃ

‘કોઈ માણસ (આગળ જણાવેલી) જ્ઞાતિનો છે એવી ખબર પડતાં કેટલી વાર લાગે?’
‘બે મિનીટ.’
‘એમ? શી રીતે?’
‘એ માણસ જાતે જ કહી દે. એનાથી રહેવાય જ નહીં.’
આ રમૂજ તમામ પ્રકારના ઓળખના અભિમાન માટે સાચી છે, પછી તે અભિમાન શાકાહારી તરીકેનું હોય કે માંસાહારી તરીકેનું.

શાકાહારી-માંસાહારીની ખેંચતાણ નવી નથી. દાયકાઓથી માંસાહારીઓ શાકાહારીઓનો ‘દાળભાતખાઉ’ તરીકે અને શાકાહારીઓ માંસાહારીઓનો ‘માંસમચ્છીખાઉ’ તરીકે એકડો કાઢતા રહ્યા છે. શાકાહાર સારો કે માંસાહાર કે બંને સારા કે બંને ખરાબ—એ માહિતીલેખનો વિષય છે, પણ બંને બાજુમાંથી જે ઝનૂનીઓ હોય તેમની માનસિકતા હાસ્યલેખનો વિષય છે.

ભારતીયોને બીજું કશું સ્પર્શે કે ન સ્પર્શે, સ્પર્શ બહુ સ્પર્શે છે. એટલે જ, દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિ-પરંપરામાં નથી એવી અસ્પૃશ્યતા ભારતમાં અમુક હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને પરંપરાવાદીઓને તો તે વળી ગૌરવવંતો પણ લાગે છે. પરંપરામાં, ખાસ કરીને કોઈ પણ ધર્મની પરંપરામાં, તર્ક થોપી બેસાડવાનું સૌથી સહેલું અને સાચો તર્ક શોધવાનું બહુ અઘરું હોય છે. અસ્પૃશ્યતા ધર્મ સાથે સંકળાયેલી છે કે નહીં, તે નક્કી કરવાનું કામ ધર્મના એવા જાણકારોનું છે, જેમને નરેન્દ્ર મોદીની આંગળી પકડીને ચાલતા રામના ચિત્ર સામે સરખો વાંધો પડતો હોય, જેમને ખબર હોય કે વૈદિક ગણિતને વેદ સાથે કશી લેવાદેવા નથી અને પુષ્પક વિમાન એ વિજ્ઞાનકથા નહીં, સાદી કથા છે. ટૂંકમાં, જેમને ધર્મ સાથે સંકળાયેલી જ્ઞાનપરંપરાનો સાચો અભ્યાસ હોય.

અસ્પૃશ્યતા ધર્મમાં હોય કે ન હોય, પણ તે સદીઓથી ચાલતી રહી છે ધર્મના નામે અને તેનો ઇન્કાર થઈ એમ નથી. આમ કહ્યા પછી યાદ આવે છે કે આજકાલ તો ગમે તેવા સ્થાપિત સત્યનો પણ ઇન્કાર થઈ શકે છે અને ઇન્કાર કરનારને સરકાર તરફથી ને સમાજ તરફથી પુરસ્કૃત કરવામાં આવે એવું પણ બને છે. છતાં, મુદ્દો એ નથી.

મુદ્દો એ છે કે ધર્મના નામે આચરાતી ઘણી ક્રૂરતાઓ હાસ્યાસ્પદ તર્ક ધરાવતી હોય છે. અસ્પૃશ્યતા પણ એવી જ એક હાસ્યાસ્પદ ક્રૂરતા છે. અત્યાર લગી તેનો સંબંધ અમુક જ્ઞાતિઓ સાથે હતો. ચોક્કસ જ્ઞાતિના લોકોને સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાય, એવું મનાતું હતું. નવા જમાનામાં એટલે કે ન્યૂ ઇન્ડિયામાં કેટલાક શાકાહારીઓ હવે તેમના મનમાં ધરબી રાખેલી માંસાહારીઓ પ્રત્યેની અસ્પૃશ્યતા ગૌરવપૂર્વક જાહેર કરી રહ્યા છે. ‘અમે તો માંસાહારમાં વપરાયેલી અને ધોવાઈને સ્વચ્છ થયેલી ચમચી પણ શાકાહારી ભોજન માટે ન વાપરીએ. કારણ કે અમે શુદ્ધ શાકાહારી છીએ.’—એવી દલીલથી માંડીને ‘શાકાહારી ભોજનની ડિલીવરી કરવા માટે અમે ફક્ત શાકાહારી માણસોને જ પસંદ કરીશું’—એવી બાહેંધરીઓ ઉત્તમતાના ભાવ સાથે જાહેર કરવામાં આવે છે.

રેસ્તોરાંમાંથી ભોજન લોકોના ઘરે પહોંચાડતી એક જાણીતી ફૂડ ડીલીવરી કંપનીના એક ભાઈએ તો એટલી હદ સુધી જાહેરાત કરી દીધી કે શાકાહારી ભોજનની ડીલીવરી કરનારા સ્ટાફનો યુનિફોર્મ પણ અલગ રાખવામાં આવશે.
તેમની જાહેરાતની આકરી ટીકા થયા પછી તેમણે અલગ યુનિફોર્મનો નિર્ણય માંડવાળ રાખ્યો છે, પણ અલાયદા શાકાહારી સ્ટાફ માટેની તેમની બાંહેધરી ચાલુ છે.

ઘણા શાકાહારીઓને માંસાહારનાં દર્શન, સુગંધ કે ઉલ્લેખમાત્રથી સુગ ચડી શકે છે. તેનાથી દૂર રહેવું એ તેમનો અધિકાર છે. પરંતુ માંસાહાર કરનારા લોકો ઉતરતી કોટીના, નીચલી જાતિઓના, અપવિત્ર, વિધર્મી કે ધર્મભ્રષ્ટ છે—એવી માન્યતા વ્યક્ત કરવી એ કોઈનો કે કોઈના પિતાશ્રીનો અધિકાર નથી. એટલે જ, માંસાહાર કરનાર શાકાહારને સ્પર્શે તો શાકાહાર અપવિત્ર થઈ જાય, એમ માનવું પૂર્વગ્રહ અને અમુક કિસ્સામાં જ્ઞાતિવાદ કે ધાર્મિક દ્વેષ પણ હોઈ શકે છે.

આ એવી તાર્કિક વાત છે, જે માસિક સ્રાવના દિવસોમાં સ્ત્રીને અસ્પૃશ્ય ગણનારી પ્રજાને સમજાવવી અઘરી છે. કેમ કે, ભારતીય પરંપરામાં અપવિત્રતાને ઇલેક્ટ્રિસિટીની જેમ સ્પર્શથી પ્રસરનારી ગણવામાં આવે છે. કહેવાતા અપવિત્ર માણસને સ્પર્શનાર અપવિત્ર થઈ જાય અને તેને અડનાર ત્રીજો માણસ પણ અભડાઈ જાય. તે બધાએ સ્વચ્છ થવું પડે. આટલું કડક ધોરણ એ પ્રજા રાખે છે, જે અન્યથા ગંદકીમાં રાચે છે અને ગંદકી કરતાં જરાય ખચકાતી નથી. કેમ કે, પવિત્ર લોકોને ગંદકી કરવાનો અધિકાર છે અનેં તેમણે કરેલી ગંદકી સાફ કરનારને સ્પર્શવાથી અપવિત્ર થઈ જવાય, એવું સમીકરણ છે.

રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ના એક કટાક્ષલેખમાં એ મતલબનો સવાલ હતો કે અસ્પૃશ્યને ઘીની લાકડીથી મારવામાં આવે તો મારનાર અભડાય કે નહીં? ન્યૂ ઇન્ડિયામાં, માંસાહાર અને તે કરનારા સામે નવેસરથી જાગેલા ઓળખ-અભિમાનમાં પાઠકસાહેબનો સવાલ જુદી રીતે પ્રસ્તુત બને છે. માંસાહાર કરનાર શાકાહારીના ભોજનના પેકેટ પર પાણીની છાંટ નાખીને તેની ડીલીવરી કરે, તો અભડાયેલો ખોરાક પાછો પવિત્ર થઈ જાય? શાકાહારી ખોરાક ડિલીવરી કરનાર શાકાહારનું પડીકું લઈને માંસાહારી હોટેલની બહારથી પસાર થાય અને તેના રસોડામાંથી બહાર નીકળતી હવા તેને અડે, તો શાકાહારી કે તેની પાસે રહેલો ખોરાક કે બંને અપવિત્ર બને? શાકાહારી ડીલીવરી કરનાર જે વાહન ચલાવતો હોય તેનાં સ્પેરપાર્ટમાં કોઈ પ્રાણીજ પદાર્થનો અંશ હોય તો તેની પાસે રહેલો શાકાહારી ખોરાક અખાદ્ય બને?

એક દેશ તરીકે આટલા મહત્ત્વના અને સળગતા સવાલ આપણી સમક્ષ ઊભા હોય ત્યારે બંધારણ અને લોકશાહીના હાર્દનો ઘડોલાડવો કરવાનાં સતત ચાલતાં કાવતરાં વિશે ચિંતા કરનારને દેશદ્રોહી નહીં તો બીજું શું કહીએ?