Thursday, May 15, 2025
કેટલીક ટૂંકી નોંધોઃ ત્રાસવાદી હુમલો, ધર્મ, ટ્રોલિંગ અને જૂઠા જયજયકાર વિશે
છેલ્લા થોડા વખતમાં ફેસબુક પર લખેલી અને અહીં સંઘરી મુકવા જેવી લાગેલી કેટલીક પોસ્ટનું સંકલન.
*
(17-4-25)

સિંહ સાથે સંવાદ
થોડા સમય પહેલાં હાસ્યલેખક મિત્ર નટવર પંડ્યાએ સિંહ સામે મળે તો શું કરવું, એ વિશે લખ્યું હતું. તે વાંચ્યા પછી વિચાર આવ્યો કે સિક્કાની બીજી બાજુ વિશે પણ વિચારવું જોઈએઃ સિંહ સામે મળે તો શું ન કરવું?
દેશકાળ અને માણસે માણસે તેના જવાબ
અલગ હોઈ શકે છે. જેમ કે, સવા સો વર્ષ પહેલાંનાં ગુજરાતમાં કોઈને કહેવાનું થાત કે
સિંહ સામે મળે તો તેની સાથે ‘ત્હારું’ લખાય કે ‘તારું’, નર્મદ મહાન કે દલપત—એવી બધી ‘સાક્ષરી’ ચર્ચા ન કરવી. સિંહને—અને ખરું પૂછો તો, ઘણાખરા
માણસોને પણ—વધારાના ‘હ’કારથી કશો ફરક નથી પડતો. જોકે, હવે આવી સલાહ જરા સમજીવિચારીને આપવી પડે. કારણ
કે, અત્યારે હકારાત્મકતાનો-પોઝિટિવ થિંકિંગનો-પ્રેરણાનો-મોટિવેશનનો વાયરસ અમુક
અર્થમાં અને અમુક ક્ષેત્રોમાં કોરોના કરતાં વધારે આતંક મચાવી રહ્યો છે. કોઈ ‘હ’કારાત્મક અને હકારાત્મક વચ્ચે ભેળસેળ કરી નાખે, તો
પછી નબળી-પોલી-જૂઠી હકારાત્મકતા સામેનો વિરોધ દેશદ્રોહ કેમ નથી, તેના ખુલાસા કરતાં
ફરવું પડે.
વાત જરા આડા પાટે ચડી ગઈ. આવું
સિંહ સામે મળે તો ન કરવું. કારણ કે, માણસ સામે મળે ત્યારે સિંહના મનમાં લગભગ
એવા જ પ્રકારની લાગણી થાય છે, જેવી ઘણા
કવિઓને સામે મળેલા સંભવિત શ્રોતાને જોઈને થાયઃ તૂટી પડવાની. અને તૂટી પડવાના
મામલે, સિંહો મોક ડ્રિલમાં માનતા નથી—સિવાય કે તે સરકસના હોય. કારણ કે, તેમને મોટા
સમુદાયને મૂરખ બનાવવાની કે તેમને ગમે તે રીતે રિઝવવાની જરૂર હોતી નથી.
ઘણા લોકો એવા હોય છે કે જેમને સામે
કોણ છે, તેનાથી કશો ફરક પડતો નથી. તેમને જે કહેવાનું હોય તે કહીને જ જંપે (કે
છોડે) છે. તેમનું કહેવાનું પ્રી-રેકોર્ડેડ સંદેશા જેવું હોય છે. આવા લોકોએ સિંહ
સામે મળે ત્યારે ખાસ સાચવવું. કારણ કે, સિંહને કોઈની પણ મનકી બાત સાંભળવાની ટેવ કે
જરૂર હોતી નથી—અને તેનાં વખાણ કરવાની તો બિલકુલ નહીં. કારણ કે, સિંહ પર
ઇડી-સીબીઆઇ-આઇટીની રેડ પાડવાનું વ્યવહારમાં શક્ય નથી અને કેટલાક સિંહપાલકો
નેતાપાલકો પણ હોય, તો પછી આખો મામલો ઘરપરિવારનો- આંતરિક થઈ જાય છે.
એક જ્ઞાતિવિશેષ માટે (સત્ય-આધારિત)
રમૂજ પ્રચલિત છે કે સાંભળનારને તે વ્યક્તિની જ્ઞાતિ વિશે શી રીતે ખબર પડે? જવાબ બહુ સહેલો છે. એ જ્ઞાતિવિશેષની
વ્યક્તિ વાતચીતની શરૂઆતમાં જાતે જ હોંશે હોંશે પોતાની જ્ઞાતિનું એલાન કરી દેશે. (આ
કિસ્સામાં બંધબેસતી પાઘડી પહેરવી આવકાર્ય છે. કેમ કે, તે સ્વજાગૃતિનું પ્રતીક હોઈ
શકે છે.) આવા જ્ઞાતિગૌરવગ્રસ્ત લોકોએ પણ સિંહની સામે સાચવવું. કેમ કે, સિંહોમાં કે
ગમે તેટલાં હિંસક પ્રાણીઓમાં પણ હિંસાનું એક ધોરણ હોય છે. તે ગમે તેટલી લોહિયાળ
હોય, પણ જ્ઞાતિના ભેદભાવ જેટલી ક્રૂર નથી હોતી.
કેટલાક લોકો બહુ સામાજિક હોય છે.
તેમને લાગે છે કે સારી રીતે, સન્નિષ્ઠતાથી બોલવાચાલવાથી ઉભરાતી ગટરથી માંડીને ગ્લોબલ
વોર્મિંગ સુધીની બધી સમસ્યાઓ ઉકેલી શકાય છે. એવા લોકો સિંહને મળે તો બને કે તે
સિંહણની તબિયત વિશે કે તેમનાં બાળકો આજકાલ પરદેશના કયા ઝૂમાં છે, એ પૂછી બેસે અને
પછી લગે હાથ પોતાનાં પરદેશનિવાસી સંતાનોનો બાયો-ડેટા વર્ણવવાનું શરૂ કરી દે. એવા
લોકો પર, ન કરે નારાયણ ને સિંહ હુમલો કરે, તો પણ બદનામી તો સિંહની જ થાય. હિંસક તો
સિંહ જ ગણાય. કોઈને એવો વિચાર ન આવે કે સિંહ પેલા ભાઈના સંતાનચાલીસાથી પણ ખિજાયો
હોઈ શકે.
કેટલાકને એવો વહેમ હોય છે કે તે કોઈની પણ વાંત શાંતિથી સાંભળીને, તેમને યથાયોગ્ય સલાહ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમના મનમાં તેમનું પોતાનું સ્થાન કોઈ નિષ્ણાત મનોચિકિત્સક કે માનસશાસ્ત્રીથી કમ નથી હોતું. તે લોકો સિંહની ત્રાડ સાંભળીને પણ દોટ મૂકવાને બદલે એવું વિચારતા હોય કે ‘તે ભલે ગુસ્સે થાય, હું તેને અભિવ્યક્ત થવાની પૂરેપૂરી તક આપીશ. તેને જજ નહીં કરું.’, તો તેમણે એક વાત યાદ રાખવી જોઈએઃ તે વેળાસર સિંહથી વિરુદ્ધ દિશામાં દોટ નહીં કાઢે તો, અમસ્તી પણ પછી તેમને એકેય તક મળવાની નથી.
પહેલાં કહેવાતું હતું કે માણસ
સોશ્યલ એનિમલ (સામાજિક પ્રાણી છે.) હવે કહી શકાય કે તે ‘સોશ્યલ મિડીયા એનિમલ’ (સોશ્યલ મિડીયામાં રાચતું પ્રાણી) છે. સોશ્યલ મિડીયાના જમાનામાં બધા જ ઇન્ફ્લુઅન્સર છે. (એક નિર્દોષ સવાલઃ ‘ઇન્ફ્લુઅન્સર’ શબ્દથી ઇન્ફ્લુએન્ઝાની-મહામારીની
યાદ આવે છે?) એવા સ્વઘોષિત ઇન્ફ્લુઅન્સર સિંહની સામે આવી જાય, તો તેમનો આત્મવિશ્વાસ જોઈને
સિંહ પણ કદાચ બે ઘડી મોળો પડી જાય. ઇન્ફ્લુઅન્સર પોતાના ફોલોઅર્સ, લાઇક્સ, તેમાંથી
મળતા રૂપિયાપૈસા, પ્રસિદ્ધિ અને તેના કારણે થઈ રહેલો જયજયકાર—ટૂંકમાં, તેમને લાગતી
માનસિક અસલામતી સિવાયનું બધું—ગણાવવા બેસે, તો સિંહને પણ થાય કે તેનો અવતાર એળે
ગયો.
ઇન્ફ્લુસરના ક્ષણિક પ્રભાવમાંથી બહાર આવ્યા પછી, શક્ય છે કે સિંહ (‘દીવાર’ ફિલ્મનો સંવાદ) ‘મેરે પાસ મા હૈ’ એટલું પણ ન બોલે. તે બોલ્યા વિના દર્શાવી શકે છે કે ઇન્ફ્લુએન્સર પાસે બધું જ હશે, પણ પોતાની પાસે એક થપાટમાં સામેવાળાના આખા જીવન પર ગંભીર ઇન્ફ્લુઅન્સ પાડી શકે, એવો ધારદાર-વજનદાર પંજો છે.
અલબત્ત, મોટા ભાગના લોકોના જીવનમાં
સામે સિંહ કરતાં કૂતરું મળે એવી સંભાવનાઓ ઘણી વધારે હોય છે. ત્યારે શું કરવું, તેની
વાત ફરી ક્યારેક.
Tuesday, April 29, 2025
થોડું અંદર ઉતરીને, થોડું વિચારધારા વિશે...
મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે.
Wednesday, April 23, 2025
ત્રાસવાદી હુમલોઃ નાગરિક ભૂમિકાએ
ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે.
Wednesday, April 16, 2025
પ્રેરણાનાં ખાબોચિયાંમાં છબછબિયાં
એમનું નામ તો પરેશભાઈ, પણ તેમને થોડુંઘણું ઓળખનારા ઘણી વાર તેમને પ્રેરકભાઈ કહીને બોલાવતા. તે સાંભળીને નામબગાડાથી નારાજ થવાને બદલે, ખિતાબ મળ્યો હોય એમ પરેશભાઈ હરખાતા. ચહેરા પર સ્થિતપ્રજ્ઞતા જાળવવી જોઈએ. એટલે તે જળવાતી. પણ તેમના હોઠના ખૂણા હસું હસું થઈ જતા. ક્યારેક તે નમ્રતાનો તકાદો જાળવવા કહેતા,‘અરે...અરે... તમારી કદર સર આંખો પર, પણ હું પરેશ જ ઠીક છું...આટલું બધું ન હોય.’
જવાબમાં સામેવાળા તરફથી પ્રશંસાનાં
બે-ચાર વાક્યો વધુ આવતાં અને જોનારને લાગતું, જાણે પરેશભાઈ ક્ષોભસંકોચથી ઓગળીને વહેવા
માંડશે.
લોકોની જીભે સરસ્વતી હોય છે.
પરેશભાઈની જીભે પ્રેરણાદેવીનો વાસ હતો. પ્રેરક વક્તા, અંગ્રેજીમાં કહીએ તો
મોટિવેશનલ સ્પીકર, તરીકે તેમનો ડંકો વાગતો હતો. સામાજિક ક્લબોથી માંડીને પોલીસ
વેલફેર સુધીની એકેય સંસ્થા એવી નહીં હોય, જ્યાં પરેશભાઈ બોલી ન આવ્યા હોય.
સિનિયર સીટીઝન-જુનિયર ચેમ્બર,
મહિલા મંડળો-કીટી પાર્ટીઓ, લગ્ન સમારંભો ને પ્રાર્થનાસભાઓ, નવી પેઢી-જૂની પેઢી,
એનઆરઆઇ-આરઆઇ, ઓડિયન્સ ગમે તે હોય, પરેશભાઈની પ્રેરણાની પાઇપલાઇનમાંથી પુરવઠો કદી
ખૂટતો નહીં.
વહેલામાં વહેલી તકે કરોડપતિ બનવા
માગતા લોકોને સંબોધીને પરેશભાઈ કહેતા ‘તમે ઇચ્છો તો આવતી કાલે ધીરુભાઈ
અંબાણી બની શકો એમ છો.’ તે બોલતી વખતે તેમના અવાજમાં રહેલો રણકો સાંભળનારને એવો અડી જતો કે તે પોતાની
જાતને રિલાયન્સની મુખ્ય ઓફિસની મુખ્ય ખુરશી પર બેઠેલા જણ તરીકે જોવા માંડતો.
હકડેઠઠ ભરાયેલા હોલમાં પરેશભાઈ
પૂછતા,‘કોને કોને મર્સિડીઝ લેવી છે?’
સવાલ સાંભળતાં ફી ભરીને હોલમાં
ખુરશીઓ પર બેઠેલા તો ઠીક, દરવાજે ઊભેલા ગાર્ડની આંગળી પણ ઊંચી થઈ જતી હતી. એ દૃશ્ય
જોઈને પરેશભાઈ પોરસ ચઢાવતા,‘વાહ, મારા મર્સિડીઝમાલિકો, તમે
અહીં આંગળી ઊંચી કરીને જે તીવ્રતાથી ઇચ્છા વ્યક્ત કરી છે, તેનું બહુ મહત્ત્વ છે.
તેના લીધે તમે મર્સિડીઝથી એક ડગલું નજીક ગયા છો. તમારી અને મર્સિડીઝ વચ્ચેના
અંતરમાંથી એક ડગલું ઓછું થયું છે.’ પરેશભાઈ એકેએક શબ્દ એવો છૂટો
પાડીને, મમળાવીને બોલતા કે તેમના મોઢેથી મર્સિડીઝ સાંભળનારને મર્સિડીઝ આંખ સામે દેખાવા
લાગતી.
‘પણ બાકીનાં પગથિયાં સહેલાં નથી’ પરેશભાઈ કહેતા. એ સાથે જ ઊંચી થયેલી બધી આંગળીઓ,
પવનમાં ઉંચે ઉડ્યા પછી નીચે આવી પડતાં કાગળિયાંની જેમ, નીચે આવીને, લપાઈ જતી. નિરાશ
થવાનો સવાલ ન હતો. ખબર હતી કે સહેલું નથી. એટલે તો પરેશભાઈના શરણે આવ્યા હતા.
પરેશભાનો પાવર એવો કે બુદ્ધના
જમાનામાં થયા હોત અને બુદ્ધ રાજકુમાર-અવસ્થામાં હતા ત્યારે તેમને ભેટી ગયા હોત, તો
તેમણે રાજકુમાર સિદ્ધાર્થને પણ સમજાવી દીધું હોત કે બુદ્ધ બનવા માટે ઘરબાર છોડવાની
જરૂર નથી. મીન્સ કે, ઘર છોડવું પડે, પણ એ તો ઠેકઠેકાણે, શહેરે શહેરે વ્યાખ્યાનો આપવા
માટે—કાયમ માટે ને બૈરાંછોકરાંને તજીને નહીં.
પરેશભાઈ નમ્ર હતા અને તેની સાબિતી
એ હતી કે તે પોતે આવું માનતા હતા. એટલે, રજનીશની જેમ તેમણે પોતાની જાતને બુદ્ધ કે
ઓશો કે એવું કશું નામ આપ્યું ન હતું. પરંતુ તેમને એટલી ખબર હતી કે આ દુનિયાને
તેમની પ્રેરણાની બહુ જરૂર છે અને એ નહીં મળે તો લોકો બિચારા શું કરશે? તેમના વિધ્નસંતોષી ટીકાકારો કહેતા, ‘ધરમ-સંપ્રદાયના નામે લોકોને છેતરાવાનાં ઠેકાણાં ઓછાં હતાં, તે પરેશભાઈએ તેમાં પ્રેરણાનું નવું તૂત ઘૂસાડ્યું?’ અલબત્ત, પ્રેરકભાઈ, એટલે કે પરેશભાઈ, તેમાંથી પણ હકારાત્મક અર્થ તારવીને એ
બાબત પર ભાર મૂકતા કે આ વાક્ય હકીકતમાં તેમને પ્રેરણાવિશ્વના આદિપુરુષ તરીકે
સ્થાપિત કરે છે અને સૂચવે છે કે પ્રેરણાવિહોણી આ ધરતી પર પ્રેરણાની ગંગાના ભગીરથ જો
કોઈ હોય તો તે પરેશભાઈ હતા.
પરેશભાઈ જે પ્રતીતિથી બુલંદ અવાજે
કહેતા કે ‘નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ’, તે સાંભળીને લાગતું કે ઉપરથી નેપોલિયન બેઠો બેઠો પરેશભાઈ પર ફૂલ વરસાવતો
હશે. એને પણ થશે કે ફ્રાન્સમાં નહીં તો ગુજરાતમાં, મારો કો’ક વારસદાર નીકળ્યો ખરો.
‘હું એસએસસીમાં નાપાસ થયો ત્યારે
મારાં માબાપને લાગ્યું હતું કે આ છોકરો હવે શું કરશે?’ એ પરેશભાઈની પ્રિય પ્રેરક કથા હતી—પોતાની હતી એટલે નહીં, પણ ખરેખર પ્રેરક હતી
એટલે. શૂન્યમાંથી સર્જનની કે અંગ્રેજીમાં જેને રેગ્સ ટુ રીચીઝ—રંકમાંથી રાય બનવાની
કથાઓ કહે છે, એમાં કશી ધાડ મારવાની હોતી નથી. એવી કથાઓમાં મોટે ભાગે તો માણસ ઊંધો
પડીને મહેનત કરે કાં કોઈ હાથ પકડનાર મળી જાય કાં હાથ મારવાની તક મળી જાય, એટલે કામ
પત્યું. તેમાં પરેશભાઈવાળી પ્રેરણાની કશી જરૂર નહીં.
પરેશભાઈની કમાલ એ હતી કે તેમણે એક
શૂન્યમાંથી અનેક શૂન્યોનું સર્જન કર્યું. ફક્ત બેન્ક બેલેન્સમાં દેખાતાં એકડા
પછીનાં શૂન્યોનું જ નહીં, ભવ્ય રીતે નિરર્થક હોય એવાં પ્રેરણાનાં શૂન્યોનું પણ. તેમને
સાંભળનારા અશ્રદ્ધાળુઓ કહેતા કે ‘આવું તો સામાન્ય બુદ્ધિ ધરાવતો કોઈ
પણ માણસ કહી શકે. તેમાં નવું શું છે?’ ખુદ પરેશભાઈ કહેતા કે સફળ થવામાં કશું રોકેટ સાયન્સ કે કોકા કોલા જેવી સિક્રેટ
ફોર્મ્યુલા નથી. તમે ઇચ્છો તે ક્ષેત્રમાં તમે પણ સફળતા મેળવી શકો—એવી સફળતા કે
દુનિયા જોતી રહી જાય.
જોકે, શ્રોતાઓને અમેરિકાના પ્રમુખપદે શી રીતે પહોંચાય તેનો નકશો સુદ્ધાં આંકી આપતા પરેશભાઈ એક કારકિર્દીની દિશા ને તેના દરવાજા શ્રોતાઓ માટે સદા બંધ રાખતા હતા.
તે કારકિર્દી વિશે ફોડ પાડીને
કહેવાની જરૂર ખરી?
Tuesday, April 08, 2025
સંભવામિ સ્વાર્થે સ્વાર્થે
(દિવંગત વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની ‘બિલોરી’શ્રેણીની કથાઓને અંજલિ તરીકે આ વ્યંગકથા)
‘મરનારનું સ્થાન મારા જીવનમાં ઇસુ ખ્રિસ્ત જેવું હતું.’ બોલીને વાલ્મિક ભટ્ટે લાંબો પોઝ લીધો. ઊંડો શ્વાસ ભર્યા પછી, સ્ટીમ એન્જિન વરાળ કાઢે તેવા અવાજ સાથે શ્વાસ બહાર કાઢ્યો અને એક નજરે ઓડિયન્સ તરફ જોયું.
ઓડિયન્સ આ નવીન ઉપમાથી ચકિત થઈ
ગયું. તાળીઓનો ગડગડાટ થયો. એકાદ ખૂણેથી અવાજ આવ્યો, ‘ક્યા બાત હૈ...’
પણ એમાં ઓડિયન્સનો કે દાદ આપનારનો
વાંક નહીં. વાલ્મિક ભટ્ટ તેમનાં લખાણમાં આવતી મૌલિકતાના ચમકારા—ના, ઝગારા-- માટે
બ્રહ્માંડવિખ્યાત હતા. મંગળ પર જીવસૃષ્ટિ નથી તેનો સૌથી મહત્ત્વનો પુરાવો એ ગણાતો હતો
કે મંગળ પરથી વાલ્મિકભાઈના કોઈ ચાહકનો પત્ર, કે હવેના જમાનામાં વોટ્સએપ સંદેશો,
આવ્યો ન હતો. લેખકઆલમમાં છૂટક સંવેદનના જથ્થાબંધ વેપારી તરીકે તેમની નામના હતી.
મેં મનોમન વિચાર્યું, ‘તેમના જેવા મહાન માણસ માટે વેપારી જેવો શબ્દ વપરાય? એ તો શબ્દોના... શબ્દોના..શબ્દોના સોદાગર? ના, સહેલાણી? ના, સારથી. શબ્દના સારથી. હા, આ
બરાબર છે.’
વાલ્મિક ભટ્ટ શબ્દોના સારથી હતા
અને શબ્દો તેમના ઘોડા. તે ઇચ્છે ત્યારે શબ્દો રેસના ઘોડા થઈ જાય ને ઇચ્છે ત્યારે
વરઘોડાના ઘોડા. શબ્દો પરની તેમની માલિકી જોઈને લોકો ‘ક્યા બાત હૈ...’ કરી ઉઠતા હતા.
‘પણ ઇસુ ખ્રિસ્ત જેવું સ્થાન એટલે
એક્ઝેક્ટલી શું?’ એવો મુદ્દાનો સવાલ આવી સભાઓમાં ન
થવો જોઈએ. છતાં થયો.
જાણે અંતર્યામી હોય તેમ, વાલ્મિક
ભટ્ટના મોઢેથી બીજું વાક્ય નીકળ્યું, ‘આપણે સમયના બે ભાગ કેવી રીતે પાડીએ
છીએ?’
હોલના અંધારમાંથી કોઈ હળવેકથી
બોલ્યું,‘તમારા ભાષણ પહેલાં ને તમારા ભાષણ પછી.’ પણ તે એટલું ધીમેથી બોલાયું હતું કે ઓડિયન્સ તરીકે મને સંભળાય. મંચ પરથી લાગણીની
લહાણી કરી રહેલા વાલ્મિક ભટ્ટ સુધી ન પહોંચે.
‘સમયને આપણે બે તબક્કામાં વહેંચીએ
છીએ’ ઓડિયન્સના કૂતૂહલનું શમન કરતાં વાલ્મિક ભટ્ટ બોલ્યા,
‘ઇસુ પહેલાં અને ઇસુ પછી. બી.સી. અને એ.ડી. એવી રીતે, મારા જીવનના પણ બે ભાગ
પાડી શકાયઃ દીક્ષિતસાહેબને મળતાં પહેલાં અને તેમને મળ્યા પછી.’
‘ઓહો. તો આમ વાત છે.’ ઓડિયન્સમાં રહસ્યોદ્ઘાટન થયું. વાલ્મિક ભટ્ટે આગળ ચલાવ્યું,‘હું તો વકીલ હતો. તમે જે વાલ્મિક ભટ્ટને ઓળખો છો તેને બનાવનાર તો
દીક્ષિતસાહેબ.’
‘શું વાત છે? આવડો મોટો લેખક અને પાછો આવડો મોટો વકીલ ને એને લેખક બનાવનાર આ દીક્ષિતસાહેબ?’ મને નવેસરથી અહોભાવનો એટેક આવ્યો. વાલ્મિક ભટ્ટનાં લખાણોમાં તો કદી ઉલ્લેખ વાંચ્યો નથી. તેમની ચોપડીઓનાં બધાં ફંક્શનમાં જોશી મને લઈ જતો હતો. તેમાં પણ કદી વાલ્મિકના મોઢે દીક્ષિતસાહેબનો દ સરખો સાંભળ્યો નથી. કદાચ જોશીને ખબર હશે. એ વાલ્મિક ભટ્ટનો અઠંગ વાચક છે
—અને સભામાં દીક્ષિતસાહેબનું નામ
લેતી વખતે વાલ્મિક ભટ્ટના ચહેરા પર કંઈક અજબ પ્રકારનો ભાવ નહોતો આવ્યો? આમ તો હું બેઠો હતો એટલે પાછળથી ન દેખાત. પણ મોટા
સ્ક્રીન પર વાલ્મિકના ચહેરાનો ક્લોઝ અપ ટપકાં ટપકાં સ્વરૂપે દેખાતો હતો. એ
ટપકાંનાં લીધે એવું લાગ્યું હશે? ખબર નથી. હોય તો હોય પણ ખરું. જેના
માટે બહુ આદર હોય એવા જણ માટે ભૂતકાળમાં વાત કરવાનું સહેલું છે કંઈ? શોભા હજુ મને નથી કહેતી કે તમારા બાપાની વાત નીકળે
ત્યારે હજુ તમે બાળક થઈ જાવ છો?
કાર્યક્રમના થોડા દિવસ પછી એક બેસણામાં જોશી મળી ગયો. મેં તેના પ્રિય લેખક વિશે તેને પણ ખબર ન હોય એવી માહિતી આપવાના ભાવથી કહ્યું,‘ જોશી, એક સવાલનો જવાબ આપઃ વાલ્મિક ભટ્ટના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને કોણ છે?’
જોશી બેસણામાં ભજનની વચ્ચે વચ્ચે
અધ્યાત્મ વચનો ઉચ્ચારતા સંચાલકની શબ્દાળુતા વિશે વિચારી રહ્યો હોય એવું તેના ચહેરા
પરથી લાગ્યું. એટલે, મારો સવાલ સમજ્યા વિના, લગભગ પ્રતિક્રિયારૂપે તેણે કહ્યું, ‘વાલ્મિક તો હિંદુ છે. તેના જીવનમાં ઇસુ વળી ક્યાંથી આવ્યા?’ પણ મને તેની સામે તાકી રહેલો જોઈને તે બેસણાની તકલાદી
અધ્યાત્મસૃષ્ટિમાંથી બહાર આવ્યો.‘અરે, તું વાલ્મિકની ક્યાંક પેલી
કાલખંડ ને સમયના ભાગ ને ઇસુ પહેલાં-પછીની વાત તો નથી કરતો ને?’
મને થયું, જણ છે તો પાકો. એને બધી
ખબર છે. પણ હવે પૂછ્યું જ છે તો તેના મોઢે નામ પણ જાણી લઉં.
જોશી નામ મમળાવતો હોય એમ બોલ્યો, ‘વાલ્મિકના જીવનમાં ઇસુ... ઘોઘારીસાહેબ? મીરચંદાણીસાહેબ? પારેખસાહેબ? સાગઠિયાસાહેબ?’
‘ના.’ મેં વિજયી સ્મિત સાથે કહ્યું, ‘દીક્ષિતસાહેબની શોકસભામાં વાલ્મિકે
કહ્યું હતું કે તેના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને દીક્ષિતસાહેબ છે. તેના જીવનને
બે ભાગમાં...’
‘ખબર છે...ખબર છે, હવે...’જોશી મને વચ્ચેથી અટકાવીને બોલ્યો. ‘વાલ્મિકના ઇસુ ખ્રિસ્તો સમય,
સંજોગો ને સ્વાર્થ પ્રમાણે બદલાયા કરે. વિમાન એક વાર રન વે પર દોડ્યા પછી ઉડે
ત્યારે રન વેને સાથે લઈને ઉડે છે?’
અચાનક, હોલમાં દીક્ષિતસાહેબનું નામ
લેતી વખતે વાલ્મિકના ચહેરા પર દેખાયેલો ભાવ મનમાં તાજો થયો અને ઝબકારો થયોઃ વાલ્મિક
ભટ્ટના જીવનસમયને નહીં, તેમના જીવનસંબંધને બે ભાગમાં વહેંચવા પડેઃ કોઈને પોતાના
જીવનના ઇસુ ખ્રિસ્ત જાહેર કરતી વખતે અને જાહેર કરીને ભૂલી ગયા પછી...’
એ સાથે મનમાં અનેક ક્રોસ ખોડાયેલા દેખાયા, જેની પર વાલ્મિક ભટ્ટના ‘ઇસુ ખ્રિસ્તો’ની લાઇન પડી ગઈ હતી.