Showing posts with label elections 2019. Show all posts
Showing posts with label elections 2019. Show all posts
Tuesday, June 11, 2019
ઉદાર મતઃ ભારતીયતાનો પર્યાય કે વિરોધી?
ચૂંટણીનાં પરિણામથી રાજકીય સિવાયની, ખાસ કરીને સામાજિક બાબતો વિશે મોટા પાયે ચર્ચા છેડાય એવું ઓછું બનતું હોય છે. એવાં પરિણામ પણ ભાગ્યે જ આવતાં હોય છે. ચૂંટણીઓ ભ્રષ્ટાચાર, ગરીબી, રાષ્ટ્રવાદ, ઉદ્ધારકની ખોજ જેવા વિવિધ મુદ્દે લડાતી હોય છે. આ વખતની ચૂંટણી પ્રચારના તબક્કે એવી જ લાગતી હતી. પરંતુ પરિણામ આવ્યા પછી કેટલીક નવી (ગેર)સમજો પ્રચલિત બની રહી છે, જે જાહેર જીવન માટે ચિંતાજનક છે. કેમ કે, તેમાં એક શબ્દની સાથે ભારતીયતાના અર્ક જેવા જીવનમૂલ્યને ઉચ્ચ વર્ગીય, દેશવિરોધી, સામાન્ય જનતાનું વિરોધી અને હારી ગયેલું ગણાવવાનું ચાલી રહ્યું છે. એ મૂલ્ય એટલે સહિષ્ણુતા, ઉદાર મત. આ મૂલ્યમાં વિશ્વાસ ધરાવનાર માટેનો અંગ્રેજી શબ્દ છે ‘લિબરલ’.
એક વાત સૌથી પહેલાં સ્પષ્ટ કરી લેવી જોઈએ. ઉદાર મત અથવા સહિષ્ણુતા એ જીવનમૂલ્ય,ગુણ કે લક્ષણ ચોક્કસ છે, પણ તે સામ્યવાદ કે સમાજવાદ કે મૂડીવાદ કે રાષ્ટ્રવાદ જેવો કોઈ વાદ કે સિદ્ધાંત નથી. એટલે તેની સમજ કે વ્યાખ્યા જડ નથી ને કોઈના વિરોધમાં પણ નથી. ‘ઉદાર મત’ એ શબ્દપ્રયોગમાં ‘ઉદાર’ શબ્દને મહાનતા સાથે નહીં, રોજબરોજના સામાન્ય જીવનમાં જોવા મળતા માનવીય અભિગમ સાથે સાંકળવાનો છે. એટલે કે, એવી ‘ઉદારતા’, એવી વ્યવહારુ માનવતા મોટા ભાગના લોકોમાં મૂળભૂત રીતે જ મોજુદ હોય. આવી માનવતા એટલે અવિશ્વાસ, ધીક્કાર, દ્વેષ, ભોગ બન્યાની લાગણી, ગૌરવ, અસ્મિતા—આ બધું માપમાં, ભયજનક સપાટીથી ઘણું નીચે હોય એવી સ્થિતિ. સોશ્યલ મિડીયા પહેલાંના સમયમાં મોટા ભાગના લોકોની માનસિક સ્થિતિ આવી રીતે ‘ઉદાર’ રહેતી હતી. એવી માનસિકતા વ્યાપક હોય ત્યારે લડાઇઝગડા-તકરારો થાય તો ખરાં, પણ એકંદરે બધા એવું સ્વીકારીને ચાલતા હોય કે વાસણ છે. ખખડે. છેવટે રહેવાનું તો ઘરમાં (ગામમાં-દેશમાં) સાથે જ છે. આ થયો વ્યવહારુ, થિયરીના ભાર વગરનો, રાજકીય અભિપ્રાયોથી સ્વતંત્ર એવો ઉદાર મત.
બીજા ધર્મો પ્રત્યેનો સમભાવ નહીં, તો અભાવ પણ નહીં, બીજા પ્રત્યેનો પ્રેમ નહીં, તો અવિશ્વાસ પણ નહીં, પારકાં માટે કુટુંબી જેવો ભાવ નહીં, તો દુશ્મનાવટની લાગણી પણ નહીં, બીજા માટે દેશવાસી તરીકેનો ઉમળકો નહીં, તો દેશવિરોધી તરીકેનો ધીક્કાર પણ નહીં—આવી માનસિકતા, આવો ઉદાર મત મોટા ભાગના લોકો માટે સહજ હતો અને કદાચ હજુ પણ હોઈ છે. આવો ઉદાર મત ધરાવતા લોકો અત્યાર સુધી ‘લિબરલ’ તરીકે ઓળખાતા ન હતા. કેમ કે, તેમના માટે એ સામાન્ય (નૉર્મલ) માણસ હોવાનો જ અર્થ હતો. તે બોલકા ન હતા. પોતે જે સ્વાભાવિક લાગણી સાથે જીવી રહ્યા છે, તેને ઉદાર મત કહેવાય એવી પણ સભાનતા તેમને નહીં હોય. એટલે તે ઉદાર મતના સિદ્ધાંતશાસ્ત્રી પણ ન હતા અને પોતાની જાતને ઉદાર મતના પ્રતિનિધિ તરીકે પણ ગણતા ન હતા.
ધ્રુવીકરણના રાજકારણે આ પરિસ્થિતિ બદલવાનું શરૂ કર્યું. ભારતભરનાં અનેક સ્થળોએ હિંદુ-મુસ્લિમો ભાઈભાઈ તરીકે ભલે નહીં, પણ શાંતિથી-સંપીને ઊંડી દુશ્મનાવટ કે અવિશ્વાસ વિના રહેતા હતા અને એને ‘સેક્યુલરિઝમ’ કહેવાય એની તેમને ખબર ન હતી-પરવા પણ ન હતી. રાજકીય પક્ષોએ પહેલાં સેક્યુલરિઝમની વ્યાખ્યાને વિકૃત કરી. બંને મુખ્ય રાષ્ટ્રીય પક્ષોએ તેમાં મજબૂત ફાળો આપ્યો. તેના પગલે ચાલેલા દુષ્પ્રચારમાં દેખીતો વાંધો ‘દંભી સેક્યુલરિઝમ’ હોવાનું કહેવાયું. એ સાચું હોત તો દંભનો કચરો કાઢીને સેક્યુલરિજમને શુદ્ધ બનાવવાની દિશામાં કામ થયું હોત. એને બદલે, દંભી સેક્યુલરિઝમની સામે સાચા સેક્યુલરિઝમને નહીં, બે મોઢાળા કોમવાદને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. અને સમીકરણ એવું બેસાડી દેવાયું કે સેક્યુલરિઝમ દંભી જ હોય. જે લોકો સેક્યુલરિઝમના સિદ્ધાંતમાં પડ્યા વિના, સ્વાભાવિક રીતે શાંતિથી સંપીને રહેવામાં માનતા હોય, તેવા લોકો પણ સેક્યુલર તરીકે ખપાવી દેવાયા—અને બદલી કઢાયેલી વ્યાખ્યા પ્રમાણે, સેક્યુલર તો દંભી, હિંદુવિરોધી, દેશવિરોધી જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો, કોમવાદની પ્રતિષ્ઠામાં જે સામેલ ન થાય, તે સૌને દંભી સેક્યુલરિસ્ટ ઠેરવી દેવાયા.
સેક્યુલરિઝમનું ઉદાહરણ એટલા માટે જરૂરી હતું કે સેક્યુલરિઝમને જે રીતે શુદ્ધ કરવાને બદલે, તે મૂલ્યને જ શૂળીએ ચડાવી દેવાયું અને કોમવાદને રાષ્ટ્રવાદ સહિતનાં વિવિધ વસ્ત્રોમાં વીંટાળીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી, એવું જ હવે ‘લિબરલ’ શબ્દ માટે થઈ રહ્યું છે. ઉદાર મતવાદની બોલકી તરફેણ કરતા લોકોના ઘણા પ્રશ્નો હોઈ શકે છે. તેમની વાજબી ટીકાને પૂરો અવકાશ છે. તેમના સતત વિરોધ છતાં સત્તાધારી પક્ષ ફરી ચૂંટાઈ આવ્યો, તેનાથી લિબરલ પંડિતો-વિશ્લેષકોએ ઘણું વિચારવાનું રહે છે. પણ એ મૂળભૂત મૂલ્ય વિશે નહીં. વિશાળ જનસમુદાયમાં રહેલા સ્વાભાવિક ઉદાર મતને છાવણીબદ્ધ થતો કેવી રીતે અટકાવવો એ વિચારવાનું છે. એ રીતે, સંઘર્ષ જેટલો જમણેરી વિચારધારા સામેનો છે, એથી પણ વધારે તે સ્વાભાવિક ઉદાર મતના રક્ષણ-સંવર્ધન-મજબૂતીકરણ માટેનો હોવો જોઈશે.
બીજી તરફ, અણુમતીમાં રહેલા બોલકા અને ટીકાકાર એવા ‘લિબરલ’ને ચૂંટણી પરિણામો પછી હારેલા જાહેર કરીને, તેમની સાથોસાથ આખેઆખા ઉદાર મતને નકામો ઠરાવી દેવાનો પ્રચાર ચાલી રહ્યો છે. કેટલાક બોલકા લિબરલ પણ આ જાળમાં બે રીતે ફસાયા છેઃ 1) જે લોકો જીવન વ્યવહારમાં ઉદાર મત ધરાવે છે, છતાં બીજાં અનેક કારણોસર જેમણે શાસક પક્ષને મત આપ્યો હોવાનો સંભવ છે, એવા લોકોને કોમવાદી કે અણસમજુ જાહેર કરીને. આમ કરવાથી તે સાહજિક રીતે ઉદાર મત ધરાવતા મોટા સમુદાયને વિમુખ કરી રહ્યા છે અને ધ્રુવીકરણની પ્રક્રિયામાં મદદ કરી રહ્યા છે. 2) કેટલાક બોલકા લિબરલ પોતાની જ બિરાદરીના બીજા લોકોનાં મૂલ્યોમાં- વલણોમાં રહેલી મર્યાદાઓને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ-દેખાડીને, સીધી કે આડકતરી રીતે આખેઆખા ઉદાર મત નકામો, દંભી અને હારવાને લાયક ગણાવી રહ્યા છે. તેમના મતે, તે ચૂંટણી પરિણામોને આદર આપી રહ્યા છે, પણ હકીકતમાં તે ચૂંટણી પરિણામોના દબાણ સામે ઝૂકીને કે ચતુરાઈનો દેખાવ જાળવી રાખવા માટે પોતાનાં મૂલ્યો સાથે છેડછાડ કરી રહ્યા છે.
ઉદાર મત માટેની સૌથી મોટી આશા લિબરલ તરીકે જાણીતો ન હોય તેવો વિશાળ જનસમુદાય છે અને સૌથી મોટો પડકાર અત્યાર સુધી છાવણીમાં ન વહેંચાયેલા ને એકજૂથ નહીં એવા સમુદાયને ઘણી હદે છાવણીબદ્ધ-એકજૂથ કરી રહેલી ધ્રુવીકરણની પ્રક્રિયાનો છે. તેમાં સોશ્યલ મિડીયા અને આઇટી સેલોએ શરમજનક રીતે નોંધપાત્ર ફાળો આપ્યો છે.
ઉદાર મતની સ્થિતિ સેક્યુલરિઝમ જેવી થતી અટકાવવાનો અને ‘તમે ઉદાર મતના છો કે દેશપ્રેમી?’ એવું વિભાજન સંપૂર્ણ બનતું અટકાવવાનો આ છેલ્લો મોકો લાગે છે.
એક વાત સૌથી પહેલાં સ્પષ્ટ કરી લેવી જોઈએ. ઉદાર મત અથવા સહિષ્ણુતા એ જીવનમૂલ્ય,ગુણ કે લક્ષણ ચોક્કસ છે, પણ તે સામ્યવાદ કે સમાજવાદ કે મૂડીવાદ કે રાષ્ટ્રવાદ જેવો કોઈ વાદ કે સિદ્ધાંત નથી. એટલે તેની સમજ કે વ્યાખ્યા જડ નથી ને કોઈના વિરોધમાં પણ નથી. ‘ઉદાર મત’ એ શબ્દપ્રયોગમાં ‘ઉદાર’ શબ્દને મહાનતા સાથે નહીં, રોજબરોજના સામાન્ય જીવનમાં જોવા મળતા માનવીય અભિગમ સાથે સાંકળવાનો છે. એટલે કે, એવી ‘ઉદારતા’, એવી વ્યવહારુ માનવતા મોટા ભાગના લોકોમાં મૂળભૂત રીતે જ મોજુદ હોય. આવી માનવતા એટલે અવિશ્વાસ, ધીક્કાર, દ્વેષ, ભોગ બન્યાની લાગણી, ગૌરવ, અસ્મિતા—આ બધું માપમાં, ભયજનક સપાટીથી ઘણું નીચે હોય એવી સ્થિતિ. સોશ્યલ મિડીયા પહેલાંના સમયમાં મોટા ભાગના લોકોની માનસિક સ્થિતિ આવી રીતે ‘ઉદાર’ રહેતી હતી. એવી માનસિકતા વ્યાપક હોય ત્યારે લડાઇઝગડા-તકરારો થાય તો ખરાં, પણ એકંદરે બધા એવું સ્વીકારીને ચાલતા હોય કે વાસણ છે. ખખડે. છેવટે રહેવાનું તો ઘરમાં (ગામમાં-દેશમાં) સાથે જ છે. આ થયો વ્યવહારુ, થિયરીના ભાર વગરનો, રાજકીય અભિપ્રાયોથી સ્વતંત્ર એવો ઉદાર મત.
બીજા ધર્મો પ્રત્યેનો સમભાવ નહીં, તો અભાવ પણ નહીં, બીજા પ્રત્યેનો પ્રેમ નહીં, તો અવિશ્વાસ પણ નહીં, પારકાં માટે કુટુંબી જેવો ભાવ નહીં, તો દુશ્મનાવટની લાગણી પણ નહીં, બીજા માટે દેશવાસી તરીકેનો ઉમળકો નહીં, તો દેશવિરોધી તરીકેનો ધીક્કાર પણ નહીં—આવી માનસિકતા, આવો ઉદાર મત મોટા ભાગના લોકો માટે સહજ હતો અને કદાચ હજુ પણ હોઈ છે. આવો ઉદાર મત ધરાવતા લોકો અત્યાર સુધી ‘લિબરલ’ તરીકે ઓળખાતા ન હતા. કેમ કે, તેમના માટે એ સામાન્ય (નૉર્મલ) માણસ હોવાનો જ અર્થ હતો. તે બોલકા ન હતા. પોતે જે સ્વાભાવિક લાગણી સાથે જીવી રહ્યા છે, તેને ઉદાર મત કહેવાય એવી પણ સભાનતા તેમને નહીં હોય. એટલે તે ઉદાર મતના સિદ્ધાંતશાસ્ત્રી પણ ન હતા અને પોતાની જાતને ઉદાર મતના પ્રતિનિધિ તરીકે પણ ગણતા ન હતા.
ધ્રુવીકરણના રાજકારણે આ પરિસ્થિતિ બદલવાનું શરૂ કર્યું. ભારતભરનાં અનેક સ્થળોએ હિંદુ-મુસ્લિમો ભાઈભાઈ તરીકે ભલે નહીં, પણ શાંતિથી-સંપીને ઊંડી દુશ્મનાવટ કે અવિશ્વાસ વિના રહેતા હતા અને એને ‘સેક્યુલરિઝમ’ કહેવાય એની તેમને ખબર ન હતી-પરવા પણ ન હતી. રાજકીય પક્ષોએ પહેલાં સેક્યુલરિઝમની વ્યાખ્યાને વિકૃત કરી. બંને મુખ્ય રાષ્ટ્રીય પક્ષોએ તેમાં મજબૂત ફાળો આપ્યો. તેના પગલે ચાલેલા દુષ્પ્રચારમાં દેખીતો વાંધો ‘દંભી સેક્યુલરિઝમ’ હોવાનું કહેવાયું. એ સાચું હોત તો દંભનો કચરો કાઢીને સેક્યુલરિજમને શુદ્ધ બનાવવાની દિશામાં કામ થયું હોત. એને બદલે, દંભી સેક્યુલરિઝમની સામે સાચા સેક્યુલરિઝમને નહીં, બે મોઢાળા કોમવાદને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. અને સમીકરણ એવું બેસાડી દેવાયું કે સેક્યુલરિઝમ દંભી જ હોય. જે લોકો સેક્યુલરિઝમના સિદ્ધાંતમાં પડ્યા વિના, સ્વાભાવિક રીતે શાંતિથી સંપીને રહેવામાં માનતા હોય, તેવા લોકો પણ સેક્યુલર તરીકે ખપાવી દેવાયા—અને બદલી કઢાયેલી વ્યાખ્યા પ્રમાણે, સેક્યુલર તો દંભી, હિંદુવિરોધી, દેશવિરોધી જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો, કોમવાદની પ્રતિષ્ઠામાં જે સામેલ ન થાય, તે સૌને દંભી સેક્યુલરિસ્ટ ઠેરવી દેવાયા.
સેક્યુલરિઝમનું ઉદાહરણ એટલા માટે જરૂરી હતું કે સેક્યુલરિઝમને જે રીતે શુદ્ધ કરવાને બદલે, તે મૂલ્યને જ શૂળીએ ચડાવી દેવાયું અને કોમવાદને રાષ્ટ્રવાદ સહિતનાં વિવિધ વસ્ત્રોમાં વીંટાળીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી, એવું જ હવે ‘લિબરલ’ શબ્દ માટે થઈ રહ્યું છે. ઉદાર મતવાદની બોલકી તરફેણ કરતા લોકોના ઘણા પ્રશ્નો હોઈ શકે છે. તેમની વાજબી ટીકાને પૂરો અવકાશ છે. તેમના સતત વિરોધ છતાં સત્તાધારી પક્ષ ફરી ચૂંટાઈ આવ્યો, તેનાથી લિબરલ પંડિતો-વિશ્લેષકોએ ઘણું વિચારવાનું રહે છે. પણ એ મૂળભૂત મૂલ્ય વિશે નહીં. વિશાળ જનસમુદાયમાં રહેલા સ્વાભાવિક ઉદાર મતને છાવણીબદ્ધ થતો કેવી રીતે અટકાવવો એ વિચારવાનું છે. એ રીતે, સંઘર્ષ જેટલો જમણેરી વિચારધારા સામેનો છે, એથી પણ વધારે તે સ્વાભાવિક ઉદાર મતના રક્ષણ-સંવર્ધન-મજબૂતીકરણ માટેનો હોવો જોઈશે.
બીજી તરફ, અણુમતીમાં રહેલા બોલકા અને ટીકાકાર એવા ‘લિબરલ’ને ચૂંટણી પરિણામો પછી હારેલા જાહેર કરીને, તેમની સાથોસાથ આખેઆખા ઉદાર મતને નકામો ઠરાવી દેવાનો પ્રચાર ચાલી રહ્યો છે. કેટલાક બોલકા લિબરલ પણ આ જાળમાં બે રીતે ફસાયા છેઃ 1) જે લોકો જીવન વ્યવહારમાં ઉદાર મત ધરાવે છે, છતાં બીજાં અનેક કારણોસર જેમણે શાસક પક્ષને મત આપ્યો હોવાનો સંભવ છે, એવા લોકોને કોમવાદી કે અણસમજુ જાહેર કરીને. આમ કરવાથી તે સાહજિક રીતે ઉદાર મત ધરાવતા મોટા સમુદાયને વિમુખ કરી રહ્યા છે અને ધ્રુવીકરણની પ્રક્રિયામાં મદદ કરી રહ્યા છે. 2) કેટલાક બોલકા લિબરલ પોતાની જ બિરાદરીના બીજા લોકોનાં મૂલ્યોમાં- વલણોમાં રહેલી મર્યાદાઓને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ-દેખાડીને, સીધી કે આડકતરી રીતે આખેઆખા ઉદાર મત નકામો, દંભી અને હારવાને લાયક ગણાવી રહ્યા છે. તેમના મતે, તે ચૂંટણી પરિણામોને આદર આપી રહ્યા છે, પણ હકીકતમાં તે ચૂંટણી પરિણામોના દબાણ સામે ઝૂકીને કે ચતુરાઈનો દેખાવ જાળવી રાખવા માટે પોતાનાં મૂલ્યો સાથે છેડછાડ કરી રહ્યા છે.
ઉદાર મત માટેની સૌથી મોટી આશા લિબરલ તરીકે જાણીતો ન હોય તેવો વિશાળ જનસમુદાય છે અને સૌથી મોટો પડકાર અત્યાર સુધી છાવણીમાં ન વહેંચાયેલા ને એકજૂથ નહીં એવા સમુદાયને ઘણી હદે છાવણીબદ્ધ-એકજૂથ કરી રહેલી ધ્રુવીકરણની પ્રક્રિયાનો છે. તેમાં સોશ્યલ મિડીયા અને આઇટી સેલોએ શરમજનક રીતે નોંધપાત્ર ફાળો આપ્યો છે.
ઉદાર મતની સ્થિતિ સેક્યુલરિઝમ જેવી થતી અટકાવવાનો અને ‘તમે ઉદાર મતના છો કે દેશપ્રેમી?’ એવું વિભાજન સંપૂર્ણ બનતું અટકાવવાનો આ છેલ્લો મોકો લાગે છે.
Tuesday, May 21, 2019
નાગરિકો માટે પરિણામ પછીના પડકાર
(રવિવાર, ૧૯-૫-૧૯નો લેખ. લખ્યા તારીખઃ ૧૫-૫-૧૯)
ચૂંટણીપ્રચારનાં ગાળાગાળી, હુંસાતુંસી, શાબ્દિક અને શારીરિક હિંસા, ઉશ્કેરણી, ફેંકાફેંકી, ગરમાગરમી... બધાનો અંત આવ્યો. હવે શુક્રવાર સુધી એક્ઝિટ પોલનો ખેલ ચાલશે. પછી પરિણામનુ ઢેનટેણેન, નવી સરકાર અને પછી?
પછી કંઈ નહીં. બધું રાબેતામુજબ. કેમ કે, આપણી લોકશાહી નેતાપક્ષે અને નાગરિકપક્ષે પણ ચૂંટણીકેન્દ્રી બનીને રહી ગઈ છે. ચૂંટણીમાં જે જીતે તે શૂર. તેનાં બધાં પાપ માફ. કારણ કે, લોકોએ ચૂંટ્યા એટલે પાપમાફીની સત્તા ને નવાં પાપ કરવાનો પરવાનો આપી દીધાં છે, એવું આપણના ઘણાખરા નેતાઓ માને છે. યોગી પોતાની સામેના કેસ મુખ્ય મંત્રી બન્યા પછી માંડવાળ કરાવી દે એની નવાઈ નથી લાગતી.
૨૦૧૪માં ભાજપનો ચૂંટણીપ્રચાર જોઈને એવું જ લાગે કે કેન્દ્રમાં એક વાર ભાજપની સરકાર બની જવા દો. પછી વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનો વરસાદ થશે, રૉબર્ટ વાડ્રા જેલના સળીયા ગણતા હશે, ઇમાનદાર અફસર અશોક ખેમકાની બદલીઓ થતી અટકશે, સરકારી નિર્ણયો પારદર્શક બનશે, ભ્રષ્ટાચાર ઘટશે...પરંતુ સરખી બહુમતી મળ્યા પછી અહમથી છલોછલ આત્મવિશ્વાસમાં રાચતા વડાપ્રધાને જે રીતે પાંચ વર્ષની મુદત વેડફી નાખી, વ્યક્તિપૂજા અને ધ્રુવીકરણ સિવાય બીજી કોઈ બાબતને પ્રોત્સાહન આપ્યું નહીં, તેમાં વર્તમાન સરકારની ટીકા તો છે જ. સાથોસાથ, મતદાતા તરીકે-નાગરિક તરીકે આપણા માટેનું વિચારભાથું પણ છે.
રાહુલ ગાંધીએ આ વખતની ચૂંટણીને પ્રેમ વિરુદ્ધ ધીક્કારની લડાઈનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. પણ તેમનો આ સંદેશો ખુદ તેમના પક્ષના નેતાઓ જ અમલમાં મૂકી શક્યા હોય, એવું લાગ્યું નહીં. તે નેતાઓ બિનજરૂરી વિવાદો ઊભા કરતા રહ્યા અને નાગરિકસમાજની અપેક્ષાઓ પર પાણી ફેરવતા રહ્યા. એક તરફ ભાજપને જેમની બહુ એલર્જી છે તેવા બૌદ્ધિકો દેશમાં ઊભા થયેલા ભયગ્રસ્ત અને ઝેરીલા વાતાવરણ તરફ આંગળી ચીંધીને, લોકોને આ ચૂંટણીનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા, ત્યારે વિપક્ષ તરીકે કૉંગ્રેસે આ તકે લોકોને સાચા રસ્તે દોરવાનો મોકો ઝડપ્યો જ નહીં. કેવળ જાહેરખબરો બનાવી દેવાથી કે ઢંઢેરા બહાર પાડી દેવાથી લોકોમાં સંદેશો પહોંચી જશે, એવું શી રીતે માની લેવાય? જમીની હાજરીના મામલે કૉંગ્રેસ ઊણી ઉતરી. કેન્દ્ર સરકાર સામે લોકોના અસંતોષનાં વાજબી કારણો અને પ્રસંગો આવ્યા ત્યારે પણ કૉંગ્રેસ કે બીજા વિરોધ પક્ષો નિવેદનોથી આગળ ભાગ્યે જ વધી શક્યા.
વર્તમાન સરકાર પર ધીક્કારનું વાતાવરણ ફેલાવવાનો આરોપ વાજબી રીતે જ મુકાયો, પણ તેની સામે પ્રેમનું વાતાવરણ કેવું હોય તે કૉંગ્રેસ સહિતના વિપક્ષો દર્શાવી શક્યા નહીં. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ભેટે કે તેમના વિશે શાલીનતાથી વાત કરે ત્યારે જાહેર જીવનની સભ્યતાની રીતે સારું લાગે, પણ મામલો શાલીનતાથી આગળ વધીને, વર્તમાન સમસ્યાઓ અંગેના તેમના આગવા દૃષ્ટિકોણ સુધી ન પહોંચે, ત્યારે કશુંક નહીં, ઘણું બધું ખૂટતું લાગે. ખેતસમસ્યાનો ઉકેલ રાહુલ ગાંધીને પણ લોનમાફીમાં જ દેખાતો હોય અને તે પણ નરેન્દ્ર મોદીની જેમ કશો તર્ક કે નક્કર આધાર પૂરો પાડ્યા વિના નોકરીઓ આપવાના વાયદા કરતા હોય, ત્યારે તેમના દાવા પર ભરોસો કેમ મૂકી શકાય? જૂઠ્ઠાને સાચી રીતે જૂઠ્ઠો કહેવાથી પોતે સાચા નથી થઈ જવાતું, એ નેતાઓ તો નહીં જ કહે. પણ નાગરિક તરીકે આપણે સમજવું પડે.
છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં જે રીતે શેરીયુદ્ધ ચાલ્યું તે નવું નહીં, છતાં ખેદજનક હતું. બંને પક્ષોએ એકબીજાની ગુંડાગીરી પ્રત્યે આંગળીઓ ચીંધી, પણ આપણે તો એટલું જ કહેવાનું થાય કે તમારો પરિચયવિધિ પૂરો થયો હોય તો આગળ વધીએ? એક સીધુંસાદું અને નિર્દોષ કાર્ટૂન કે રમુજી ફેરફાર કરેલી તસવીર સહન કરી શકતાં ન હોય, એવાં મમતા બૅનરજી નરેન્દ્ર મોદી કે અમિત શાહની વાજબી ટીકા કરે, તો પણ તેમના મોઢેથી એ કેટલી શોભે? અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ગુંડાગીરીથી મુક્તિ, સરકારી સત્તાના દુરુપયોગનો અંત, લોકશાહી પરંપરાઓનો આદર...આવું બધું ઇચ્છતા નાગરિકો માટે મમતા બૅનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે ફક્ત નામનો જ ફરક ન રહી જાય? તેમાં પસંદગી કરવાપણું ક્યાં રહ્યું?
આ સવાલ ફક્ત નરેન્દ્ર મોદી કે મમતા બૅનરજી કે રાહુલ ગાંધી પૂરતો સીમિત નથી. ચૂંટણીનાં પરિણામ ગમે તે આવે, ૨૦૧૯ના ભારતમાં કેટલાક ગંભીર પડકાર ઊભા થઈ ચૂક્યા છે અને જૂના પડકારો વકરી ચૂક્યા છે. આપણા આંખ મીંચી દેવાથી કે પક્ષીય વફાદારીના ડાબલા પહેરી લેવાથી તે દૂર થઈ જવાના નથી. નાગરિકો જેટલા વહેલા તે પડકારો ઓળખી લે, તેટલું ભારતની લોકશાહીના હિતમાં છે.
સૌથી પહેલો પડકાર છેક નીચલા સ્તર સુધી ફેલાવાયેલા ધીક્કારનો અને ધ્રુવીકરણનો છે. નેતાઓ કરતાં તેમના ભક્તો વધારે ઝેરીલા, ખતરનાક અને સામાજિક પોતને નુકસાન પહોંચાડનારા નીવડી રહ્યા છે. તેમને ફૂલવાફાલવાનું વાતાવરણ આપવા માટે નેતાઓ જ જવાબદાર છે. પણ સોશ્યલ મિડીયા પર અને જાહેર ચર્ચાઓમાં 'નાગરિકો' ઓછા જોવા મળે છે. મોટા ભાગના લોકો એક યા બીજા પક્ષની કંઠી પહેરીને જ મેદાનમાં ઉતરે છે અને ઘણી વાર તો પોતાના જૂના સામાજિક સંબંધોને હોડમાં મૂકે છે.
ધીક્કારને રાજ્યાશ્રય મળે ત્યારે મોબ લિન્ચિંગની ઘટનાઓ સામાન્ય બને છે. છેક ઉપલા સ્તરેથી મૌન ધરીને આવી ઘટનાઓને આડકતરું સમર્થન આપવામાં આવે, ત્યારે નીચલા સ્તર માટે સંદેશો સ્પષ્ટ બની જાય છે. સાથોસાથ, રાજનેતાઓને ગાળ દેતી વખતે એક વાત ભૂલવા જેવી નથીઃ તેમનો ધીક્કારનો સંદેશો ઝીલનારા અને તેનો અનુકૂળ પડઘો પાડનારા આપણે લોકો છીએ. આપણે ધીક્કાર નહીં ઝીલીએ, તો તેમણે બીજી કોઈ તરકીબ વિચારવી પડશે.
વગર કટોકટીએ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનિયતાનો લોપ એ પણ નવી સરકાર આવ્યા પછી મહત્ત્વનો પડકાર બનશે. નાગરિકો એ બાબતે જાગ્રત નહીં થાય, તો કાન આમળતી તટસ્થ સંસ્થાઓ એકેય સત્તાધીશોને ગમતી નથી હોતી.
સૈન્યને રાજકીય રંગમાં રંગવાના કે તેના થકી વ્યક્તિવિશેષની છબી ઉપસાવવાના પ્રયાસો ભારે જોખમી અને હાડોહાડ બેજવાબદાર છે. એટલું જ નહીં, તે દેશભક્તિથી વિપરીત દેશનું ભારે અહિત કરનારા છે. નકરો પોતાનો જ સ્વાર્થ જોતા નેતાઓ એ નથી સમજતા, એટલે આ બાબતમાં તેમને ટપારવાનું અઘરું કામ પણ, પક્ષીય વફાદારીઓ બાજુ પર રાખીને, આપણે નાગરિકોએ જ કરવાનું છે.
નાગરિકોની સૌથી મોટી જવાબદારી અને તેમની સામેનો સૌથી મોટો પડકાર નવી સરકારને ક્ષુલ્લક મુદ્દાથી દૂર રાખીને, વાસ્તવિક સમસ્યાઓના ઉકેલના પાટે ચલાવવાનો છે. તેમાં નિષ્ફળ જવાશે તો કેવળ નેતાઓને દોષ દઈને છટકી નહીં શકાય.
ચૂંટણીપ્રચારનાં ગાળાગાળી, હુંસાતુંસી, શાબ્દિક અને શારીરિક હિંસા, ઉશ્કેરણી, ફેંકાફેંકી, ગરમાગરમી... બધાનો અંત આવ્યો. હવે શુક્રવાર સુધી એક્ઝિટ પોલનો ખેલ ચાલશે. પછી પરિણામનુ ઢેનટેણેન, નવી સરકાર અને પછી?
પછી કંઈ નહીં. બધું રાબેતામુજબ. કેમ કે, આપણી લોકશાહી નેતાપક્ષે અને નાગરિકપક્ષે પણ ચૂંટણીકેન્દ્રી બનીને રહી ગઈ છે. ચૂંટણીમાં જે જીતે તે શૂર. તેનાં બધાં પાપ માફ. કારણ કે, લોકોએ ચૂંટ્યા એટલે પાપમાફીની સત્તા ને નવાં પાપ કરવાનો પરવાનો આપી દીધાં છે, એવું આપણના ઘણાખરા નેતાઓ માને છે. યોગી પોતાની સામેના કેસ મુખ્ય મંત્રી બન્યા પછી માંડવાળ કરાવી દે એની નવાઈ નથી લાગતી.
૨૦૧૪માં ભાજપનો ચૂંટણીપ્રચાર જોઈને એવું જ લાગે કે કેન્દ્રમાં એક વાર ભાજપની સરકાર બની જવા દો. પછી વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનો વરસાદ થશે, રૉબર્ટ વાડ્રા જેલના સળીયા ગણતા હશે, ઇમાનદાર અફસર અશોક ખેમકાની બદલીઓ થતી અટકશે, સરકારી નિર્ણયો પારદર્શક બનશે, ભ્રષ્ટાચાર ઘટશે...પરંતુ સરખી બહુમતી મળ્યા પછી અહમથી છલોછલ આત્મવિશ્વાસમાં રાચતા વડાપ્રધાને જે રીતે પાંચ વર્ષની મુદત વેડફી નાખી, વ્યક્તિપૂજા અને ધ્રુવીકરણ સિવાય બીજી કોઈ બાબતને પ્રોત્સાહન આપ્યું નહીં, તેમાં વર્તમાન સરકારની ટીકા તો છે જ. સાથોસાથ, મતદાતા તરીકે-નાગરિક તરીકે આપણા માટેનું વિચારભાથું પણ છે.
રાહુલ ગાંધીએ આ વખતની ચૂંટણીને પ્રેમ વિરુદ્ધ ધીક્કારની લડાઈનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. પણ તેમનો આ સંદેશો ખુદ તેમના પક્ષના નેતાઓ જ અમલમાં મૂકી શક્યા હોય, એવું લાગ્યું નહીં. તે નેતાઓ બિનજરૂરી વિવાદો ઊભા કરતા રહ્યા અને નાગરિકસમાજની અપેક્ષાઓ પર પાણી ફેરવતા રહ્યા. એક તરફ ભાજપને જેમની બહુ એલર્જી છે તેવા બૌદ્ધિકો દેશમાં ઊભા થયેલા ભયગ્રસ્ત અને ઝેરીલા વાતાવરણ તરફ આંગળી ચીંધીને, લોકોને આ ચૂંટણીનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા, ત્યારે વિપક્ષ તરીકે કૉંગ્રેસે આ તકે લોકોને સાચા રસ્તે દોરવાનો મોકો ઝડપ્યો જ નહીં. કેવળ જાહેરખબરો બનાવી દેવાથી કે ઢંઢેરા બહાર પાડી દેવાથી લોકોમાં સંદેશો પહોંચી જશે, એવું શી રીતે માની લેવાય? જમીની હાજરીના મામલે કૉંગ્રેસ ઊણી ઉતરી. કેન્દ્ર સરકાર સામે લોકોના અસંતોષનાં વાજબી કારણો અને પ્રસંગો આવ્યા ત્યારે પણ કૉંગ્રેસ કે બીજા વિરોધ પક્ષો નિવેદનોથી આગળ ભાગ્યે જ વધી શક્યા.
વર્તમાન સરકાર પર ધીક્કારનું વાતાવરણ ફેલાવવાનો આરોપ વાજબી રીતે જ મુકાયો, પણ તેની સામે પ્રેમનું વાતાવરણ કેવું હોય તે કૉંગ્રેસ સહિતના વિપક્ષો દર્શાવી શક્યા નહીં. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ભેટે કે તેમના વિશે શાલીનતાથી વાત કરે ત્યારે જાહેર જીવનની સભ્યતાની રીતે સારું લાગે, પણ મામલો શાલીનતાથી આગળ વધીને, વર્તમાન સમસ્યાઓ અંગેના તેમના આગવા દૃષ્ટિકોણ સુધી ન પહોંચે, ત્યારે કશુંક નહીં, ઘણું બધું ખૂટતું લાગે. ખેતસમસ્યાનો ઉકેલ રાહુલ ગાંધીને પણ લોનમાફીમાં જ દેખાતો હોય અને તે પણ નરેન્દ્ર મોદીની જેમ કશો તર્ક કે નક્કર આધાર પૂરો પાડ્યા વિના નોકરીઓ આપવાના વાયદા કરતા હોય, ત્યારે તેમના દાવા પર ભરોસો કેમ મૂકી શકાય? જૂઠ્ઠાને સાચી રીતે જૂઠ્ઠો કહેવાથી પોતે સાચા નથી થઈ જવાતું, એ નેતાઓ તો નહીં જ કહે. પણ નાગરિક તરીકે આપણે સમજવું પડે.
છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં જે રીતે શેરીયુદ્ધ ચાલ્યું તે નવું નહીં, છતાં ખેદજનક હતું. બંને પક્ષોએ એકબીજાની ગુંડાગીરી પ્રત્યે આંગળીઓ ચીંધી, પણ આપણે તો એટલું જ કહેવાનું થાય કે તમારો પરિચયવિધિ પૂરો થયો હોય તો આગળ વધીએ? એક સીધુંસાદું અને નિર્દોષ કાર્ટૂન કે રમુજી ફેરફાર કરેલી તસવીર સહન કરી શકતાં ન હોય, એવાં મમતા બૅનરજી નરેન્દ્ર મોદી કે અમિત શાહની વાજબી ટીકા કરે, તો પણ તેમના મોઢેથી એ કેટલી શોભે? અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ગુંડાગીરીથી મુક્તિ, સરકારી સત્તાના દુરુપયોગનો અંત, લોકશાહી પરંપરાઓનો આદર...આવું બધું ઇચ્છતા નાગરિકો માટે મમતા બૅનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે ફક્ત નામનો જ ફરક ન રહી જાય? તેમાં પસંદગી કરવાપણું ક્યાં રહ્યું?
આ સવાલ ફક્ત નરેન્દ્ર મોદી કે મમતા બૅનરજી કે રાહુલ ગાંધી પૂરતો સીમિત નથી. ચૂંટણીનાં પરિણામ ગમે તે આવે, ૨૦૧૯ના ભારતમાં કેટલાક ગંભીર પડકાર ઊભા થઈ ચૂક્યા છે અને જૂના પડકારો વકરી ચૂક્યા છે. આપણા આંખ મીંચી દેવાથી કે પક્ષીય વફાદારીના ડાબલા પહેરી લેવાથી તે દૂર થઈ જવાના નથી. નાગરિકો જેટલા વહેલા તે પડકારો ઓળખી લે, તેટલું ભારતની લોકશાહીના હિતમાં છે.
સૌથી પહેલો પડકાર છેક નીચલા સ્તર સુધી ફેલાવાયેલા ધીક્કારનો અને ધ્રુવીકરણનો છે. નેતાઓ કરતાં તેમના ભક્તો વધારે ઝેરીલા, ખતરનાક અને સામાજિક પોતને નુકસાન પહોંચાડનારા નીવડી રહ્યા છે. તેમને ફૂલવાફાલવાનું વાતાવરણ આપવા માટે નેતાઓ જ જવાબદાર છે. પણ સોશ્યલ મિડીયા પર અને જાહેર ચર્ચાઓમાં 'નાગરિકો' ઓછા જોવા મળે છે. મોટા ભાગના લોકો એક યા બીજા પક્ષની કંઠી પહેરીને જ મેદાનમાં ઉતરે છે અને ઘણી વાર તો પોતાના જૂના સામાજિક સંબંધોને હોડમાં મૂકે છે.
ધીક્કારને રાજ્યાશ્રય મળે ત્યારે મોબ લિન્ચિંગની ઘટનાઓ સામાન્ય બને છે. છેક ઉપલા સ્તરેથી મૌન ધરીને આવી ઘટનાઓને આડકતરું સમર્થન આપવામાં આવે, ત્યારે નીચલા સ્તર માટે સંદેશો સ્પષ્ટ બની જાય છે. સાથોસાથ, રાજનેતાઓને ગાળ દેતી વખતે એક વાત ભૂલવા જેવી નથીઃ તેમનો ધીક્કારનો સંદેશો ઝીલનારા અને તેનો અનુકૂળ પડઘો પાડનારા આપણે લોકો છીએ. આપણે ધીક્કાર નહીં ઝીલીએ, તો તેમણે બીજી કોઈ તરકીબ વિચારવી પડશે.
વગર કટોકટીએ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનિયતાનો લોપ એ પણ નવી સરકાર આવ્યા પછી મહત્ત્વનો પડકાર બનશે. નાગરિકો એ બાબતે જાગ્રત નહીં થાય, તો કાન આમળતી તટસ્થ સંસ્થાઓ એકેય સત્તાધીશોને ગમતી નથી હોતી.
સૈન્યને રાજકીય રંગમાં રંગવાના કે તેના થકી વ્યક્તિવિશેષની છબી ઉપસાવવાના પ્રયાસો ભારે જોખમી અને હાડોહાડ બેજવાબદાર છે. એટલું જ નહીં, તે દેશભક્તિથી વિપરીત દેશનું ભારે અહિત કરનારા છે. નકરો પોતાનો જ સ્વાર્થ જોતા નેતાઓ એ નથી સમજતા, એટલે આ બાબતમાં તેમને ટપારવાનું અઘરું કામ પણ, પક્ષીય વફાદારીઓ બાજુ પર રાખીને, આપણે નાગરિકોએ જ કરવાનું છે.
નાગરિકોની સૌથી મોટી જવાબદારી અને તેમની સામેનો સૌથી મોટો પડકાર નવી સરકારને ક્ષુલ્લક મુદ્દાથી દૂર રાખીને, વાસ્તવિક સમસ્યાઓના ઉકેલના પાટે ચલાવવાનો છે. તેમાં નિષ્ફળ જવાશે તો કેવળ નેતાઓને દોષ દઈને છટકી નહીં શકાય.
Labels:
elections 2019,
politics
Subscribe to:
Posts (Atom)