Showing posts with label બોલ્યુંચાલ્યું માાફ. Show all posts
Showing posts with label બોલ્યુંચાલ્યું માાફ. Show all posts

Wednesday, January 11, 2017

સરકારી અધિકારીઓનો વાઇબ્રન્ટ નોબેલ સંવાદ

(બોોલ્યુંચાલ્યું માફ)
વાઇબ્રન્ટ ગુજરાતના દ્વિવાર્ષિક સરકારી મહાધુમ્રોત્સવમાં આ વર્ષે નોબેલ પારિતોષિકથી સન્માનિત નવ વિજ્ઞાનીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમની હારોહાર સાહેબ પોતાના હાથના પંજા પાડી આવ્યા. એ ઘટના પછીની ‘ભાવિ વ્યૂહરચના’ વિશે ચુનંદા અધિકારીઓની બેઠક મળે, તો તેમાં કેવી ભાવસભર ચર્ચા થાય? તેનો વાસ્તવિક લાગે એવો કાલ્પનિક અહેવાલ.

અધિકારી ૧ઃ તમે સૌ જાણો છો કે આપણે શાના માટે મળ્યા છીએ. સાહેબે નવ નોબેલવીરો સાથે હાથના પંજા તો પાડી દીધા, પણ તેમના ટીકાકારોએ હવે ‘અંગુઠાછાપ’ જેવો નવો શબ્દ લાવ્યા છેઃ‘પંજાછાપ’. એ મહેણાં મારે છે કે નોબેલવાળાની હરોળમાં પંજો પાડવો, એ બેશરમ ધુસણખોરી કહેવાય. (બીજા અધિકારી સામે જોઇને આગળ વધારવા ઇશારો કરે છે)

અધિકારી ૨ઃ આમ કહેવું એ ફક્ત ગુજરાતનું જ નહીં, હવે તો દેશનું અપમાન છે.  દેશવિરોધીઓ હજુ એ હકીકત સ્વીકારી શકતા નથી કે સાહેબ નોબેલ લીધા વિના જવાના નથી.  આપણી ચર્ચાનો મુદ્દો પણ એ જ છે કે સાહેબને કયા ક્ષેત્રનો નોબેલ મળવો જોઇએ.

અધિકારી ૧ઃ સાહેબને કયા ખાનામાં મુકવા એની મીઠી મુંઝવણ થાય છે. કેમ કે, તે નોબેલનાં બધાં ખાનાંમાં બંધ બેસે છે. સૌથી પહેલાં સૌથી જાણીતા વિષયની- સાહિત્યની વાત કરીએ.

અધિકારી ૩ઃ વિચાર આ ધન્ય છે. સાહેબનો કવિતાસંગ્રહ તેમને સાહિત્યનું નોબેલ અપાવવા માટે પૂરતો છે.

અધિકારી ૭ : એ કાવ્યસંગ્રહને ટાગોરના ‘ગીતાંજલિ’ની હરોળમાં મુકવો હોય તો નવી આવૃત્તિમાં તેનું નામ બદલીને ‘અસત્યો સાથે તું પ્રભુ પરમ તેજે જ લઇ જા’ એવું કરવું જોઇએ. તેનાથી ભારતીય સંસ્કૃતિનો ટચ પણ લાગશે.

બધા અધિકારીઓ (સમુહમાં) : બ્રિલિયન્ટ..

અધિકારી ૭ઃ  અને તેમના કાવ્યસંગ્રહને નોબેલ આપવા સામે કોઇને વાંધો હોય તો, ત્યાર પછી તેમનો બીજો સંગ્રહ આવ્યો નથી એ માટે પણ તેમને સાહિત્યનો નોબેલ મળી શકે.

(અધિકારી ૧-૨નાં ભવાં તંગ થાય છે. પણ તે ચૂપ રહે છે.)

અધિકારી ૧(સાંભળ્યું-ન સાંભળ્યું કરતો ખોંખારો ખાઇને) : શાંતિ માટેનો નોબેલ તો એમને ક્યારનો મળવો જોઇતો હતો...

અધિકારી ૨ઃ ૨૦૦૨ પછી ગુજરાતમાં એકેય રમખાણ થયું નથી એ કેટલી મોટી સિદ્ધિ છે.

અધિકારી ૭ઃ સાચી વાત છે. સાહેબ મુખ્ય મંત્રી હોય ને એકેય રમખાણ ન થાય...એ સિદ્ધિ કહેવાય... એમ જ ને? પણ સાહેબ મુખ્ય મંત્રી ૨૦૦૧માં થયા ન હતા?

અધિકારી ૧ઃ (કડક અવાજે અધિકારી ૭ને) તમને આ મિટિંગ માટે કોણે બોલાવ્યા?

અધિકારી ૭ઃ સોરી સાહેબ, હું તો ફક્ત ડાઉટ ક્લીઅર કરતો હતો, જેથી પ્લાનિંગમાં ક્લેરિટી રહે.

અધિકારી ૩ઃ તમે આ બધી વાતો કરો છે, પણ નોટબંધીમાં તો સાહેબને બબ્બે નોબેલ મળે તેમ છે.

અધિકારી ૧-૨ઃ બબ્બે શાના? અમે તો ફક્ત અર્થશાસ્ત્રના નોબેલની ગણતરી માંડી હતી.

અધિકારી ૩ઃ સાહેબની એ તો કમાલ છે. તેમનું એક લક્ષ્ય બીજા લોકો માટે હોય છે ને બીજું લક્ષ્ય પોતાના માટે. નોટબંધીથી અર્થશાસ્ત્રનો નોબેલ મળે એમાં કશી કમાલ નથી. પણ સવા અબજના દેશને બે મહિનાથી લાઇનમાં ઊભો રાખી દીધો છે. છતાં દેશમાં વ્યાપક સ્તરે  શાંતિ સ્થપાયેલી રહી, એ જેવીતેવી સિદ્ધિ છે? તેના માટે નોબેલથી ઓછું કંઇ ન હોઇ શકે.

અધિકારી ૨ઃ એમ તો રસાયણશાસ્ત્રમાં સાહેબને ક્યારનો નોબેલ મળી જવો જોઇતો હતો. પણ આ લોકોને આપણી કદર જ નથી હોતી. જુઓને, ગાંધીજીને પણ નોબેલ ન જ આપ્યો ને.

અધિકારી ૫ઃ (માથું ખંજવાળતાં) રસાયણશાસ્ત્રમાં એટલે...એક્ઝેક્ટલી કેવી રીતે?

અધિકારી ૧ઃ કેમ? ભૂલી ગયા? ગુજરાતમાં સાહેબે અલગથી લેબોરેટરી સ્થાપીને રીસર્ચ કરવાની ક્યાં જરૂર
છે? ગુજરાત પોતે વિશ્વની સૌથી મોટી ઓપન લેબોરેટરી છે. તેમાં સાહેબે કેવા ઘૂમધડાકાબંધ પ્રયોગો કરેલા છે. પણ નોબેલવાળા સમજે ત્યારે ને.

અધિકારીઓઃ (સમુહ ઉદ્‌ગારમાં) જિનીયસ...

અધિકારી ૨ઃ ભૌતિકશાસ્ત્ર- ફિઝિક્સમાં એમનું પ્રદાન તો બહુચર્ચિત છે જ. તેના વિશે ઘણું લખાઇ ચૂક્યું છે. પણ સાહેબ પોતે તેના માટે જશ લેવા નથી માગતા.

અધિકારી ૧ઃ મહાન વિજ્ઞાનીઓ પોતપોતાની ભાષામાં જ વિજ્ઞાનનાં સંશોધનો રજૂ કરે છે. એમ સાહેબે આપણી રાષ્ટ્રભાષામાં કહ્યું હતું, ‘હર ક્રિયાકી પ્રતિક્રિયા હોતી હૈ.’ ન્યૂટને એમાં જરા ઉમેરો કરીને ગતિનો ત્રીજો નિયમ બનાવી દીધો.

અધિકારી ૧ઃ કોઇ માણસ વહેલો જન્મી જાય એ જ એની કમાલ? ને કોઇ મોડો જન્મે એ તેનો વાંક? ન્યૂટન જેવી વૈચારિક ઊંચાઇ ધરાવનાર જણને ફિઝિક્સનો નોબેલ નહીં મળે તો કોને મળશે?

અધિકારી ૩ઃ નોબેલ નોબેલ પુરસ્કારનો હજુ એક વિષય રહ્યો- મેડિસીન.

(અધિકારી ૧-૨ એકબીજા સામે જોઇને ગહન વિચારમાં ડૂબી જાય છે.)

અધિકારી ૭ઃ તમે પણ શું, સાહેબો? એમાં તો સાહેબનો દાવો સૌથી વધારે મજબૂત છે.

અધિકારીઓઃ કેવી રીતે?

અધિકારી ૭ઃ સાહેબ તેમના ઑર્ગેનિક એનેસ્થેસિયાનો વર્ષોથી પ્રયોગ કરી રહ્યા છે. એમાં કોઇ કેમિકલ વપરાતું નથી અને તેની અસર પણ મર્યાદિત નથી. એની સૌથી મોટી ખૂબી એ છે કે એનેસ્થેસિયાની અસર નીચે રહેલા લોકોને ખબર પણ પડતી નથી. તેમને એવું જ લાગે છે કે તે સામાન્ય સ્થિતિમાં છે. આવા લોકો આગળ ઘટનાઓનાં ગમે તેટલાં ઑપરેશન કરો, ચીરફાડ કરીને અંદરનું બઘું બતાવો, પણ તે ઉંહકારો સરખો કરતા નથી.

અધિકારી ૧ઃ આ તો સુશ્રુત અને ચરક પછી મેડિકલ ક્ષેત્રે ભારતની સૌથી મહત્ત્વની શોધ કહેવાય. હજુ સુધી કોઇનું ધ્યાન કેમ નહીં ગયું હોય?

અધિકારી ૭ઃ કોઇનું એટલે કોનું? નોબેલવાળાનું?

અધિકારી ૨ઃ હા.

અધિકારી ૭ઃ (બેઠક પરથી ઉભા થતાં) સીધી વાત છે...આ કેસ, નોબેલનો નહીં, ઑસ્કારનો છે... ત્યાં એક્ટર-ડાયરેક્ટરથી માંડીને સાઉન્ડ રેકોર્ડિંગ, સીનેમેટોગ્રાફી, સ્પેશ્યલ ઇફેક્ટ્‌સ જેવી બધી કેટેગરીમાં તેમની સામે કોઇ ટકી નહીં શકે... વિચારી જોજો.

(અધિકારી ૭ની વિદાય સાથે બધા અધિકારીઓ ઑસ્કાર એવોર્ડનાં નોમિનેશન માટે શી વિધી છે, તેની ચર્ચા કરવા લાગે છે.)

Thursday, November 17, 2016

ચલણી નોટો વચ્ચે સંવાદ

(બોલ્યુંચાલ્યું માફ)

એક તિજોરીમાં પુરાયેલી ચલણી નોટો વચ્ચે શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું. શરૂઆત એકની ને બેની નોટે કરી હતી.
એકની નોટ : (મર્માળુ હાસ્ય સાથે) કોઇની પાસે હજારના કે પાંચસોના છૂટ્ટા છે?
બેની નોટ : જબ્બર જોક મારી, બાકી. અત્યારે તો હજાર ને પાંચસોની નોટોની જ છુટ્ટી થઇ ગઇ છે, ત્યાં તેમના છૂટ્ટાની વાત કેવી?
હજારની-પાંચસોની નોટ : (ખીજ સાથે, પગ પછાડીને) કહ્યું છે ને કે હર કુત્તેકે દિન આતે હૈ...
બેની નોટ : અને એમ પણ કહ્યું છે કે હર કુત્તેકે દિન જાતે ભી હૈં...
એકની નોટ : બહુ ઠાંસ હતી ને? પણ બજારમાં તમારી ઇજ્જત અને આબરુ કેવી ઝીરો થઇ ગઇ? અને અમે હજુ પણ બજારમાં નીકળીએ તો અમને જોઇને કોઇ મોં બગાડતું નથી. શુકનમાં માનનારા લોકો તો હજુ અમને શોધતા આવે છે--ભલે ને તેમની પાસે પાંચસો-હજારની નોટોનાં બંડલ હોય.
બેની નોટ : અમારી નોટોમાં લોકોએ ચણા-સીંગ ભર્યાં હોય એવા ફોટા કદી છપાયા ન હતા...
એકની નોટ :...ને અમારો ઉપયોગ લોકોએ ચણાની દાળ ખાવાની ચમચી તરીકે કર્યો હોય, એવી રમુજો પણ થઇ ન હતી.
હજારની નોટ : બસ, હવે બંધ થઇ જાવ. ઓછી કિંમતમાં સંતુષ્ટ રહેવાની મેન્ટાલિટીને લીધે જ તમે કદી આગળ નહીં આવો.
પાંચસોની નોટ : એક્ઝેક્ટલી. અમને બંધ કરવાની જાહેરાત ખુદ વડાપ્રધાને કરી. એની પરથી તમને ખબર પડશે કે અમારું મહત્ત્વ કેટલું બઘું છે.
એકની નોટ : હે મોટી નોટો, તમે ખરેખર મોટ્ટી નોટો છો. તમારા અભિમાનનો પાર નથી ને ઇતિહાસ તમે જાણતા નથી. તમે માનો છો કે ઇતિહાસ ફક્ત તમારી આજુબાજુ, તમને કેન્દ્રમાં રાખીને જ રચાય છે.
બેની નોટ : તમને એવો ફાંકો છે ને કે તમારી કિંમત બહુ મોટી? તમને એ ખબર છે કે ૧૯૭૮માં એક હજાર ઉપરાંત પાંચ હજાર અને દસ હજારની નોટો પણ હતી? ચાળીસ વર્ષ પહેલાં એની કિંમત તમારા કરતાં કેટલા ગણી હશે? વિચારી લો. 
એકની નોટ : છતાં તમારા એ પૂર્વજોને રદ કરવાની જાહેરાત કોણે કરેલી, ખબર છે?
પાંચસોની-હજારની નોટ (એક અવાજે) : રાષ્ટ્રપતિએ?...અમેરિકાના પ્રમુખે?...રશિયાના પ્રમુખે?....યુનોના વડાએ?
એકની નોટ : (કેબીસી સ્ટાઇલમાં) ગલત જવાબ. એ જાહેરાત ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચારવાચકે સવારના સમાચારમાં કરી હતી.
પાંચસોની-હજારની નોટ : એ જ તો અમે કહેવા માગીએ છીએ...કે અમારું સ્ટેટસ કેટલું વધ્યું.
એકની નોટ : તમારુ સ્ટેટસ વધ્યું, પણ વડાપ્રધાનના મોભાનું શું? તે ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચારવાચકના સ્તરે આવી ગયો?
પાંચસોની-હજારની નોટ : સ્મૉલ થિન્કિંગ... વડાપ્રધાનને બદલે રીઝર્વ બેન્કના ગવર્નર કે તેમના પ્રવક્તા આવી જાહેરાત કરે, તો લોકોને ખબર કેમ પડે કે આ નિર્ણય વડાપ્રધાને લીધો છે?
એકની નોટ : આવો મોટો નિર્ણય તો વડાપ્રધાન જ લઇ શકે ને. નાનું છોકરુંય સમજે એવી વાત છે.
હજારની નોટ : (ગુઢ સ્મિત સાથે) પણ વડાપ્રધાને ફક્ત નાનાં જ નહીં, મોટાં છોકરાંનેય સમજાવવાનાં-પટાવવાનાં હોય છે.
પાંચસોની નોટ : અત્યારે તમે ભલે અમારી ઠેકડી ઉડાડો ને અમારા કોનમાં શિંગ-ચણા ભરેલા દેખાડો, પણ તમને ખબર હોવી જોઇએ કે અમે સંભવામિ યુગે યુગેના ખાનામાં આવીએ છીએ. આ બારણેથી ગયાં ને આ બારણેથી પાછાં દાખલ--અને આ વખતે મને કંપની આપવા માટે હજારની નોટ નહીં હોય, તો બે હજારની નોટ હશે.
એકની નોટ : (બેની નોટને) આ લોકોનું કામકાજ વાયરસ જેવું છે. નાબૂદ કરો તોય પાછા અક્કરચક્કરમાંથી આવી જાય.
પાંચસોની અને હજારની કેટલીક નોટો (સૂત્રોચ્ચારના અંદાજમાં) : ગર્વસે કહો, હમ બડે નોટ હૈં... જબ તક સુરજચાંદ રહેંગે, દેશમેં બડે નોટ રહેંગે... એક દો,તીન, ચાર, મોટી નોટોનો જયજયકાર...બડે નોટ હટાયેંગે, યુપી-પંજાબ જિતાયેંગે...
એક હજારની નોટ : (અચાનક અટકીને) પેલું છેલ્લું સૂત્ર કેન્સલ ગણવું. એ જરા ઉત્સાહમાં બોલાઇ ગયું...
એકની નોટ : બિલ્ડરો, અફસરો ને નેતાઓ જોડે રહીને તમને પણ એમનો ચેપ લાગ્યો જણાય છે. શરમાવાનું હોય ત્યાં બેશરમ થઇને કૂદાકડા મારી રહ્યાં છો. કાળાં નાણાંનો હાથો બનવાની તમને શરમ નથી આવતી?
પાંચસોની અને હજારની નોટ : તમે લોકો શરમમાં ને શરમમાં જ પાછળ રહી ગયાં. જાતે નહીં તો કોઇનું જોઇને તો શીખો? રાહુલ ગાંધી કેવા નવેસરથી શીખવા પ્રયત્ન કરે છે.
એકની નોટ : પણ એ ક્યારે શીખી રહેશે? લોકોની મુશ્કેલી જાણવા માટે એટીએમ પર લાઇનમાં ઊભા રહેવાનું ને લોકોને સૌથી વધારે મુશ્કેલી આપતી ઝેડ પ્લસ સિક્યોરિટીની વ્યવસ્થા સાથે રાખવાની--હવે તો તેમની પર બાળકબુદ્ધિનો આરોપ પણ મુકાય એમ નથી. બાળકો નારાજ થઇ જાય છે.
બેની નોટ : પણ એક વાત કહો, મોટી નોટો. તમે કોના પક્ષમાં છો?
મોટી નોટો : યે ભી કોઇ પૂછનેકી બાત હૈ? અમીરોના પક્ષમાં.
એકની નોટ : ના, એમ નહીં. રાજકારણમાં કયા પક્ષમાં છો?
પાંચસોની નોટ : સૉરી, એ માહિતી મેળવવાનો અધિકાર તો કાયદામાં પણ હજુ નથી આવ્યો...
એક હજારની નોટ : (આંખ મીંચકારીને) એમ ન પૂછો કે અમે કયા પક્ષમાં છીએ. એમ પૂછો કે અમે કયા પક્ષમાં નથી...
પાંચસોની નોટ : (તરત, એક હજારની નોટના મોં પર હથેળી દાબીને) : તું આ લોકોના ટ્રેપમાં ક્યાં આવે છે? તારે તો હવે ઠીક છે જાણે, વિદાય થવાનું છે...પણ મારે તો હજુ આ જ લોકો સાથે રહેવાનું છે.

(એ સાથે જ દેવોની પુષ્પવૃષ્ટિની જગ્યાએ આકાશમાંથી પાંચસો-હજારની રદ થઇ ગયેલી નોટોનો વરસાદ થાય છે અને સંવાદ પૂરો થાય છે.)

Wednesday, October 19, 2016

સનાતન સભા-સમસ્યાઓ (૩) : કિતને ઇનામ રખે હૈં હમ પર

કેટલીક સભાઓ ઇનામી માટેની હોય છે : તે સ્કૂલના પ્રાર્થનાખંડમાં ભરાતી પેન્સિલ-રબર વિતરણ સભા હોય કે પછી સાહિત્ય પરિષદ દ્વારા અપાતાં ઇનામોનો કાર્યક્રમ. (ન્યાય ખાતર કહેવું જોઇએ કે સ્કૂલના કાર્યક્રમો શિસ્તબદ્ધ હોવાની સંભાવના વધારે છે.) આવા સમારંભોમાં અનેક ઇનામ હોય છે અને તે મેળવનારા પણ અનેક--મંચ પર બિરાજેલા મહાનુભાવો આપતાં થાકે એટલાં. દરેક ઇનામ વખતે એક ફરજિયાત ફોટો અને એ ફરજિયાત ફોટામાં કેમેરા સામે જોઇને પ્રમાણપત્ર બતાવવું-હસવું ફરજિયાત. એ વખતે લાગે કે ‘હસવું અને લોટ ફાકવો’ એ કહેવત બદલીને ‘પ્રમાણપત્ર સ્વીકારવું ને ફોટો પડાવવો’ એવી કરી નાખવી જોઇએ. કારણ કે બન્નેમાં એક સાથે ઘ્યાન આપવું શક્ય નથી. કોઇ વાર એકને અને ઘણી વાર તો બન્નેને અન્યાય થઇ જાય છે.

ઇનામ વિતરણ કાર્યક્રમોનું હાડ (ડીએનએ) જ એવું હોય છે કે તે સમાસુતરા પાર પડી શકે નહીં. જન્મ લેવો એ જેમ મૃત્યુ પામવાનું મૂળ કારણ છે, તેમ ઔપચારિક ઇનામ વિતરણ યોજવું એ લોચા વાગવાનું ને ગોટાળા થવાનું મૂળભૂત કારણ છે. તેમાંથી કોઇ મર્ત્ય મનુષ્ય બાકાત નથી. એટલે જ પદ્મ પુરસ્કાર મેળવનારાઓને પણ મુખ્ય કાર્યક્રમના આગલા દિવસે રીહર્સલ કરાવવાં પડે છે ને જતી જિંદગીએ અભિનય-કમ-શિસ્તના મૂળભૂત પાઠ શીખવવા પડે છે. એ વખતે પદ્મસન્માનિતોને તેમના સ્કૂલના દિવસ યાદ આવી શકે છે અને એવું પણ લાગી શકે છે કે સ્કુલમાં આટલી શિસ્ત રાખી હોત તો શિક્ષકોનો માર ઓછો ખાવો પડત.

ઇનામ વિતરણ વખતે ગોટાળા સર્જાવા માટે પાયાનું કારણ : ઇનામની જાહેરાત કરનાર, ઇનામ તાસકમાં લઇને આવનાર, ઇનામ આપનાર અને ઇનામ લેનાર સાવ જુદી વ્યક્તિઓ હોય છે. તેમને કાર્યક્રમના ચાર ખૂણા પણ ગણી શકાય. આ ચારે ખુણાને એક લાઇનમાં કરવાનું અઘરું ન પડે તો જ નવાઇ. મોટા ભાગના કિસ્સામાં ઇનામની જાહેરાત કરનાર ઉદ્‌ઘોષક ઇનામ લેનારને ઓળખતા નથી હોતા. કેટલાક કિસ્સામાં તો તે મંચ પર બેઠેલા મહાનુભાવોમાંથી બધાને પણ ઓળખતા નથી હોતા.

એટલે ‘અમુકતમુક મહાનુભાવ  ફલાણાં બહેન કે ભાઇને પારિતોષિક એનાયત કરશે’ એવી જાહેરાત થયા પછી શ્રોતાગૃહમાં કોરી ઉત્તેજના નહીં, સસ્પેન્સસભર આતુરતા પ્રસરે છે. જાહેરાત થયા પછી સમારંભમાં મોડા આવનાર સભાગૃહમાં દાખલ થાય, તો લોકોને એવું લાગે છે કે આ ઇનામ મેળવનાર જણ છે. પણ એ જણની નજર મંચ ભણી નહીં, ખાલી ખુરશીની શોધમાં ફરતી હોય છે. અચાનક બાકીની નજરોને પોતાના ભણી તકાયેલી જોઇને તે મૂંઝવણ અનુભવે છે. શરમવાળા માણસને ધરતી મારગ આપે તો સમાઇ જવાનું મન થાય છે. પણ ધરતીમાં ખુરશી નહીં હોય ને ત્યાં પણ ઊભા જ રહેવું પડશે, એ વિચારે તે સમાઇ જવાનો વિચાર પડતો મૂકે છે અને સભાગૃહમાં યોગ્ય --એટલે કે ખાલી--સ્થાન જોઇને બેસી જાય છે.

ઓડિયન્સ તો ઠીક, મંચ પર બેઠેલા મહાનુભાવોની આતુરતાભરી--અને સમય વીત્યા પછી ઉકળાટભરી--દૃષ્ટિ ઓડિયન્સ તરફ મંડાયેલી હોય. તેમ છતાં, ઇનામ લેનાર જણ દેખાય નહીં, ત્યારે સભામાં જાણે કોઇએ શિવધનુષ્ય ઉંચકવાનો પડકાર ફેંક્યો હોય એવું વાતાવરણ સર્જાય છે. ‘અરે, એક આખા ઇનામની જાહેરાત થઇ ગઇ છે, પણ તેનો લેવણહાર આવડા મોટા સભાગૃહમાં કોઇ નથી. કેવો કળજુગ.’

મોટી સંખ્યામાં ઇનામો હોય ત્યારે શરૂઆતની જાહેરાતો લોકરંજક છટામાં કર્યા પછી ધીમે ધીમે ઉદ્‌ઘોષક જેવો ઉદ્‌ઘોષક પણ છવાઇ જવાના મોહમાંથી મુક્ત થવા લાગે છે. (કેવો કળજુગ) શબ્દાળુ ચબરાકીયાં નેવે મૂકીને તે ટેલીફોનની ડીરેક્ટરી વાંચવાના અંદાજમાં એક પછી એક નામ બોલવા માંડે છે. વચ્ચે વચ્ચે ઇનામ લેનારાને ઝડપ કરવાનું સૂચવીને તે યાદ કરાવતા રહે છે કે તે ડિરેક્ટરી નહીં, ઇનામવિજેતાઓની યાદી વાંચી રહ્યા છે. ઇનામો બહુ હોય ત્યારે શરૂઆતમાં મહત્ત્વના મહેેેમાનોના હાથે ઇનામ વિતરણ કરાવાય છે. ઇનામ આપનારાં માથાં થાકવા અથવા ખૂટવા લાગે, એટલે આયોજક ઉદ્‌ઘોષકને કાનમાં ફૂંક મારી દે છે કે જે નજરે ચડે તેના હાથે ઇનામ અપાવવા માંડો. એટલે ઇનામ લેનારની જેમ આપનારની પણ લાઇન પડી જાય છે અને મંચની બન્ને બાજુ એકસરખો ગુંચવાડો પ્રવર્તે છે. ઇનામ લેનાર મુંઝાઇ જાય છે કે કોની પાસેથી ઇનામ લેવાનું છે અને આપનાર પણ કિંકર્તવ્યમુઢ સ્થિતિમાં આવી જાય છે. એમાં પણ ઇનામ પર નામ લખેલાં હોય ત્યારે કાયદો-વ્યવસ્થાના એવા પ્રશ્નો સર્જાય છે કે ઇનામ આપવાની પ્રક્રિયા કામચલાઉ અટકાવી દેવી પડે. થોડી વારમાં ઉપસ્થિત શ્રોતાઓને એવી શંકા જાય છે કે હોલમાં બેઠેલા બધા એકબીજાને ઇનામ આપવા માંડશે.

આવા સમારંભમાં ઇનામ આપનાર કે લેનાર ન હોય તો ચાલે, પણ ફોટો પાડનાર હોવા જોઇએ. આવું ફક્ત ફોટોગ્રાફરો જ નહીં, ઉત્સાહી આયોજકો પણ માનતા લાગે છે. ચોરીમાં બેઠેલા ગોર જેમ લગ્નવિધિ પૂરતું વર-કન્યા કરતાં વધારે મહત્ત્વ ધારણ કરે છે, એવું જ કંઇક ઇનામ સમારંભોમાં ફોટોગ્રાફરોનું થાય છે. તેમની ફ્‌લેશ ન થાય, ત્યાં સુધી ઇનામ અપાવાનો વિધિ પૂરો થયો ગણાતો નથી. મોટા ભાગના કેમેરામન અત્યંત ચુસ્ત અને મનોમન પોતાની જાતને હોય એના કરતાં પણ વધારે ચુસ્ત સમજતા હોય છે. આટલાં ઇનામોનો શો ભાર? ચપટીમાં ઉકેલી દઇશું.  એવો ભાવ તેમના ચહેરા પર લીંપાયેલો હોય છે. પરંતુ ઇનામ લેનારાની લાઇન પડી જાય, એટલે ફોટોગ્રાફર તેની બધી ચુસ્તી સહિત મુંઝાય છે અને એક જ ટેકમાં ફાઇનલ ફોટો પાડવા માટે સંઘર્ષરત બને છે. આવા છુંછા જેવા કામમાં રીટેક કરાવવા પડે એની અકળામણ તેમના ચહેરા પર જણાઇ આવે છે. પરંતુ એ નામોશી વેઠીને પણ તે ઇનામ આપનાર અને લેનાર પાસે રીટેક કરાવતા રહે છે, ‘એક મિનીટ, જરા આ બાજુ જુઓ, પ્લીઝ. (ઇનામ લેનાર તરફ જોઇને) એમ નહીં, તમે આ બાજુ જુઓ..એમ..હં...બરાબર છે. ઓકે.’

આમ ને આમ ઇનામ વિતરણ પૂરું થાય, ત્યારે હાશકારાની છૂપી લાગણી આખા સભાગૃહમાં ફરી વળે છે. તેને સભાગૃહમાંથી લોકો ઉઠી ઉઠીને જતા રહેવાને કારણે વધેલી એેરકન્ડિશનિંગની ઠંડક ગણી ન લેતા. 

Wednesday, October 12, 2016

સનાતન સભા-સમસ્યાઓ (૨) : પુસ્તક અનાવરણ માટેની ‘સર્જિકલ સ્ટ્રાઇક’

(બોલ્યુંચાલ્યું માફ)
ગુજરાતમાં સભા-સમારંભ-કાર્યક્રમો યોજવાના કોર્સ ચાલતા નથી. છતાં લોકોને એ કળા આવડતી નથી. તેનો અર્થ એ થયો કે આધુનિક સમયમાં ભણેલા વિદ્યાર્થીઓના અજ્ઞાન માટે તેમના ભણતરને દોષ દેવામાં આવે છે, તે યોગ્ય નથી. ગયા સપ્તાહે સમારંભની સૌથી મોટી સમસ્યા એવા સંચાલકો ઉપરાંત માઇક અને વક્તાઓના બાયો ડેટાને લઇને ઊભી થતી મુશ્કેલીઓની વાત કરી, પરંતુ હરિકથાની જેમ સભાસમસ્યાકથા પણ અનંત છે. તેનો વઘુ એક અઘ્યાયઃ

કેટલાક સમારંભોમાં બીજા કાર્યક્રમોની સાથે એક મુખ્ય કાર્યક્રમ પુસ્તકનું અનાવરણ કરવાનો હોય છે. પુસ્તકના દૃષ્ટિબિંદુથી આખી વાત વિશે વિચારીએ તો આવી સભાને ‘કૌરવસભા’ જ કહેવી પડે. કેમ કે, તેમાં થોડા લોકો પુસ્તકનું ચીરહરણ કરવા તત્પર હોય છે અને બાકીના લોકો તેમને અટકાવવાને બદલે ચૂપચાપ તમાશો જોયા કરે છે. એટલું જ નહીં, તાળીઓ અને તસવીરો પાડે છે. (આવું તો કૌરવસભામાં પણ થયું ન હતું.)  કોઇ કહેશે કે અનાવરણ અને ચીરહરણ બે બહુ જુદી વાત છે. પરંતુ પહેલાં જ કહ્યું કે અહીં પુસ્તકના દૃષ્ટિબિંદુથી વાત થાય છે, એટલે માણસો તેની સાથે સંમત ન થાય, તે સ્વાભાવિક છે.

કેટલાક ઉત્સાહી આયોજકો જેનું અનાવરણ થવાનું હોય એ પુસ્તકને એટલા વાઘા પહેરાવે છે-એટલાં આવરણ ચઢાવે છે કે જાણે તેને વિમોચન માટે નહીં, કાળસંદૂક (ટાઇમ કેપ્સુલ)માં મૂકવા માટે તૈયાર કરતા હોય અને બસો-પાંચસો-હજાર વર્ષ પછી જ તે ખુલવાનું હોય.  પેકિંગની ઉપર સેલોટેપ અને એની ઉપર વળી પેકિંગનું એક આવરણ અને એની ઉપર લાલ-ભૂરી રેશમી રિબન. આ પ્રક્રિયામાં સેલોટેપનો વપરાશ એટલા છૂટા હાથે થયેલો હોય કે પ્રકાશકને (કે આયોજકને) સાઇડમાં સેલોટેપનો બિઝનેસ હશે એવી પણ શંકા જાય. (અલબત્ત, પુસ્તકનું બજાર અને ખાસ તો, પ્રકાશનઉદ્યોગની વાસ્તવિક પરિસ્થિતિ જોતાં, સ્ટેશનરીનો ધંધો મુખ્ય અને પુસ્તકનો ધંધો સાઇડ પર હોવાની સંભાવના વધારે મજબૂત ગણાય.)

આવી રીતે સજ્જ કરાયેલું પુસ્તક ટ્રેમાં અનાવરણ માટે હાજર કરવામાં આવે, ત્યારે ‘મંચસ્થ મહાનુભાવો’ને એ પુસ્તક ઓછું ને પડકાર વધારે લાગે છે. એવું લાગે છે જાણે કોઇએ પુસ્તકને પેકિંગ મટિરીયલ નહીં, રાણા પ્રતાપશાઇ બખ્તર પહેરાવીને મોકલ્યું હોય. પહેલાંના વખતમાં પડકારજનક કામ કરવાનું હોય ત્યારે રાજદરબારમાં પાનનું બીડું ફેરવવામાં આવતું હતું. જે પરાક્રમી જણ એ પડકાર ઉપાડીને પોતાની બહાદુરી બતાવવા ઇચ્છતો હોય, તેણે તાસકમાંથી પાનનું બીડું લઇ લેવાનું. (અઘરાં કામ માટે ‘બીડું ઝડપવું’ એવો પ્રયોગ આ રીતે વપરાતો થયો) આધુનિક સમયમાં રાજારજવાડાં રહ્યાં નહીં, પાનનાં બીડાં પાંચ-દસ રૂપિયામાં પાનના ગલ્લે મળતાં થઇ ગયાં ને પડકારજનક કામો એટલાં વધી પડ્યાં કે દર કામ દીઠ માણસ પાનનાં બીડાં ખાતો ફરે તો તેને પાન ખરીદવાને બદલે ગલ્લો ખોલવો સહેલો (ને સસ્તો) પડે. પરંતુ પુસ્તક વિમોચન સમારંભમાં પેકિંગનાં આવરણોથી સજ્જ પુસ્તક તાસક ઉર્ફે ટ્રેમાં આવે, ત્યારે એવું લાગે છે જાણે જૂની પરંપરામાં કોઇએ પાનના બીડાની જગ્યાએ પુસ્તક રજૂ કર્યું છે. એ જ પ્રતીક છે ને પડકાર પણ એ જ છે : ખરા બહાદુર હો તો ચહેરા પરની રેખા સુદ્ધાં બદલાય નહીં ને તમારી પોઝિશનમાં પંક્ચર ન પડે એ રીતે પુસ્તકનું પેકિંગ ખોલી બતાવો.

ક્યારેક મંચ પર જેટલા લોકો, એટલાં પુસ્તક પેક કરવામાં  આવે છે, તો ક્યારેક સમુહલગ્ન કે સમુહ યજ્ઞોપવિતના ધોરણે એક જ આવરણમાં બધાં પુસ્તક પેક થાય છે. પેકિંગ એક જ હોય ત્યારે તેને સમારંભની મુખ્ય વ્યક્તિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. તે તાસકમાંથી પેકેટ ઉપાડીને હાથમાં લે છે અને એક નજરે તેની પેકિંગ પદ્ધતિ સમજવાનો પ્રયાસ કરે છે--એટલે કે સેલોટેપ ક્યાં અને કેટલી માત્રામાં લગાડેલી છે અને એવાં કયાં ઠેકાણાં હોઇ શકે છે જ્યાં સેલોટેપ અચૂક હશે, પણ પહેલી નજરે દેખાતી નથી-- તેનો ત્વરિત અંદાજ મેળવી લે છે. પછી જ્યાંથી સેલોટેપનો છેડો ઊંચો થવાની સંભાવના સૌથી ઉજળી હોય, ત્યાં એ સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. એટલે કે નખના ખૂણાથી એ ભાગને સહેજસાજ ઊંચો કરી જુએ છે. આશાવાદી વિમોચકને લાગે છે કે ‘નખ મારીશું ત્યાં સેલોટેપનો છેડો મળી જશે ને એક વાર એ મળી ગયો પછી તો હું છું ને સેલોટેપ છે..’

પરંતુ  ઘણી વખત ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ની જેમ પહેલી જ સેલોટેપ હઠીલી પુરવાર થાય છે. ‘આસનસે મત ડોલ’ની પંક્તિ ચરિતાર્થ કરતી એ ટેપ પેકિંગ સાથે એકાકાર થયેલી લાગે છે. એ સંજોગોમાં આજુબાજુ ઉભેલા લોકો ‘રહેવા દો, આમાં તમારું કામ નહીં’ એવો ભાવ વ્યક્ત કરીને કે વ્યક્ત કર્યા વિના, પુસ્તકનું પેકિંગ હાથમાં લે છે. ક્યારેક એવું પણ બને છે કે પહેલી એક-બે સેલોટેપ સહેલાઇથી ઉખડી જાય છે. એટલે અનાવરણ કરનાર માની લે છે કે ‘બસ, હવે તો અહીંથી આમ ખેચું એટલે પેકિંગ છૂટું ને પુસ્તક ખુલ્લું થઇ જશે.’ પણ જીવનની વરવી વાસ્તવિકતા વ્યક્ત કરતું બ્રહ્મજ્ઞાન તેની રાહ જોતું હોય છે.  પેકિંગમાં સેલોટેપનો પહેલો કોઠો ભેદ્યા પછી બીજો કોઠો તૈયાર જ હોય છે. આવું એકાદ-બે વાર થાય એટલે અનાવરણકર્તાને શંકા પડે છે હજુ આવા કેટલા કોઠા ભેદવાના હશે? અને દ્રૌપદીનાં ચીર પૂરતા કૃષ્ણ ભગવાનની કથાની જેમ, આ પુસ્તકના પેકિંગમાં પણ કોઇ અદૃશ્ય શક્તિ ચીર પૂરી રહી છે કે શું? દ્રૌપદીનાં ચીર નીકળ્યાં જ કરે, તો  દુઃશાસન જેવો દુઃશાસન પણ થાકી ગયો હતો. તેની સરખામણીમાં (એકંદરે અને ઘણુંખરું) સારા કહી શકાય એવા અનાવરણકર્તાની શી વિસાત?

જેમને મુખ્ય મહેમાન તરીકે શોભાવ્યા હોય એવા જણની સ્થિતિ હેમ્લેટ જેવી થાય છે : પેકિંગ ખોલવાના પ્રયાસ ચાલુ રાખું? કે આયોજકો સામે ઠપકાસૂચક નજરે જોઇને તેમને પેકિંગ સોંપી દઉં? તેમની આવી દશા જોઇને આજુબાજુવાળા તેમની વહારે આવે છે અને એક-બે જણ તેમના હાથમાં પુસ્તકનો જે ભાગ આવે, તેનું પેકિંગ ખોલવાનો અને ખુલે નહીં તો તેને ખેંચી કાઢવાનો પ્રયાસ કરે છે. એ વખતે મનોમન પેકિંગ કરનારની સાત પેઢીનું પુણ્યસ્મરણ ચાલુ હોય છે. સભાગૃહમાં બેઠેલા અને સંચાલકની ઉઘરાણીને વશ થઇને વારેઘડીએ તાળીઓ પાડતા, એક-બે વાર સ્ટેન્ડિંગ ઓવેશન આપી ચૂકેલા શ્રોતાઓ અનાવરણની પ્રક્રિયા દરમિયાન દર્શકો બની જાય છે અને ‘પેકિંગ વિરુદ્ધ  મંચસ્થ મહાનુભાવો’ની આ રસાકસીભરી મેચમાંથી ભરપૂર મનોરંજન મેળવે છે. કોઇ અવળચંડા તો વળી બે-ચાર મિત્રો સાથે મળીને કટોકટીની આ ક્ષણો દરમિયાન તાળીઓના ગડગડાટ કરે છે. તેનાથી આયોજકોની અને અનાવરકોની ક્ષોભજનક સ્થિતિ વધારે ઘેરી બને છે.

છેવટે પુસ્તકનું પેકિંગ દૂર થાય તે સાથે જ અનાવરણકર્તાઓનાં ચહેરા પર છવાયેલાં તનાવનાં વાદળ વિખરાય છે અને પ્રસન્નતાનો સૂર્ય ઝળહળી ઉઠે છે. એ સાથે જ  અચાનક સભાગૃહમાં અજવાળું લાગવા માંડે છે. પરંતુ મોટા ભાગના લોકો એવું માને છે કે એ ઝળહળાટ પુસ્તક અનાવરણની ફોટોગ્રાફી કરનારા લોકોની કેમેરા ફ્‌લેશનો છે.

Wednesday, October 05, 2016

કેટલીક સનાતન સભા-સમસ્યાઓ

(બોલ્યુંચાલ્યું માફ)
કહેવત છે કે ગામ હોય ત્યાં ઉકરડો હોય અને રાજ્ય હોય ત્યાં મુખ્ય મંત્રી હોય. (કહેવતનો ઉત્તરાર્ધ અનુભવીઓએ ઉમેરેલો છે. તેને કહેવતના પૂર્વાર્ધ સાથે જોડવો કે નહીં, એ સૌની મુન્સફીનો વિષય છે.) એવી જ રીતે, સભા હોય ત્યાં સમસ્યા હોય. એ જુદી વાત છે કે ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ એવી કવિતા પ્રમાણે આપણા આયોજકો, સંચાલકો, વક્તાઓ અને શ્રોતાઓ સુદ્ધાં સભાનાં સુખદુઃખથી-સભાની સમસ્યાઓથી પર થઇ ગયાં છે.

‘જોયું? ગણતરીમાં અમારો ક્રમ વક્તાઓ કરતાં પહેલો આવ્યો ને? અમે તો ક્યારના કહીએ છીએ...’ એવું સંચાલકો કહી શકે છે. અહીં પહેલાં લખ્યું હતું, ‘મનોમન વિચારી શકે છે.’ પછી થયું, મોટા ભાગના સંચાલકો વિચારી શકતા હોય અને એય પાછું મનોમન અને એ પણ બીજાની મુશ્કેલીઓ વિશે, તો આપણાં ઉઘડી ગયાં ન હોત?

વાત સભાની સમસ્યાઓ પરથી અનાયાસે સીધી સંચાલકો પર પહોંચી ગઇ તે સારું થયું. કારણ કે સભાની સમસ્યાઓ ગણવા બેસીએ ત્યારે, ઘણા કિસ્સામાં શરૂઆત સંચાલકોથી જ થાય છે. સંચાલકોની આદર્શ ભૂમિકા ભારતના રાષ્ટ્રપતિ જેવી હોય છે, પણ સરેરાશ ગુજરાતી સંચાલકો તેને અમેરિકાના રાષ્ટ્રપતિ જેેવી બનાવી દે છે. આ સમજફેરથી સંચાલકો સિવાય બધાને ત્રાસ પડે છે. સભામાં સંચાલનની મુખ્ય જરૂરિયાત એવા સંજોગોમાં જ પડેે, જ્યારે વક્તાઓ તેમને સોંપેલા વિષયથી કે તેમને આપેલી સમયમર્યાદાથી ઘણા બહાર નીકળી જતા લાગે. પત્રકારત્વની ભાષામાં કહીએ તો, સંચાલકોનું કામ સભાનાં કાયદા-ેવ્યવસ્થાની જાળવણી કરવાનું હોય છે. પરંતુ ભૂતકાળમાં કેટલાક પોલીસ અફસરો વિશે સાંભળેલું કે એ પોતે જ ગુંડાઓ રોકીને ખંડણી ઉઘરાવતા હતા. એવી જ રીતે, ઘણા સંચાલકો સભાનાં કાયદો-વ્યવસ્થાની જાળવણી કરવાને બદલે પોતે જ સભાનાં કાયદો-વ્યવસ્થા માટે સૌથી મોટું જોખમ બની જાય છે.

‘સંચાલન’ શબ્દથી તેમને સભાસમારંભનું નહીં, પણ સૃષ્ટિનું સંચાલન કરવા મળ્યું હોય એવી કીક આવે છે. એટલે તે આડેધડ શબ્દોની કીકાકીક કરીને લોકોના કાન અને દિમાગ પર જુલમ ગુજારતા રહે છે. કોઇ કાર્યક્રમના મુખ્ય રજૂઆતકર્તા હોવું તે એક વાત છે, પણ નિમંત્રિત વક્તાઓ બોલવાના હોય અને તેમાં સંચાલક જાતે મુખ્ય રજૂઆતકર્તા બની જાય ત્યારે ખરી દુર્ઘટના થાય છે. એ સભા સુપરમેનના પોશાક જેવી લાગે છે, જેમાં અંદર પહેરવાનું સૌથી ઉપર પહેરેલું હોય. ઘણા સંચાલકો એવી માન્યતાથી પીડાય છે કે દરેક વક્તા બોલી જાય તે પછી--ભલે તે ગુજરાતી ભાષામાં જ બોલ્યો હોય તો પણ--તે શું બોલ્યા છે, તે શ્રોતાઓને સમજાવી દેવું. આમ કરવાથી શ્રોતાઓની સમજ વધે કે ન વધે, પોતાના ફૂટેજ વધે છે. કેટલાક સંચાલકો એવા ભ્રમમાં હોય છે--અને ઘણા આયોજકો તેમને એવા ભ્રમમાં રહેવા દે છે--કે લોકો ખરેખર તો તેમને જ સાંભળવા આવ્યા છે. 'વક્તાઓ-બક્તાઓ તો સમજ્યા હવે.' માણસોને પડતાં દુઃખો જોઇને ઘણા લોકોને થાય છે કે ભગવાન જો આવો જ હોય, તો એનાં કરતાં તે ન હોય તો સારો. ઘણી સભાઓમાં સંચાલકોનો આતંક જોયા પછી મોટે ભાગે આવી જ લાગણી થાય છે.

અલબત્ત, આ તો મુખ્ય અને સૌથી વ્યાપક સમસ્યા થઇ. એ સિવાય નાનીમોટી ઘણી ગૂંચો સભામાં આવી શકે છે. જેમ કે, દગાખોર માઇક. ઘણી વાર માઇક જાણે પહેલેથી નક્કી કરીને બેઠાં હોય કે ‘આજે તો આયોજકોની આબરૂ લઇને જ જંપીશ’, એમ ઘડીકમાં તે ચાલુ થાય છે ને પછી સરકારી સર્વરોની જેમ મનસ્વી રીતે બંધ થઇ જાય છે. શરૂઆતમાં આયોજકોને લાગે છે કે વક્તા નવોદિત હોવાથી તેને માઇકની સ્વિચ વિશે ખબર નથી અથવા ભૂલથી તેનાથી સ્વિચ બંધ થઇ ગઇ છે અથવા સ્વિચ તેને જડતી નથી. પણ એક વાર મોટો અવાજ આવ્યા પછી, ફરી પાછો અવાજ ધીમો થઇ જાય, ત્યારે મંચ પર કે મંચથી દૂર બેઠેલા આયોજક ત્યાં બેઠાં બેઠાં ‘અખિયોંસે ગોલી મારે’  અંદાજમાં સાઉન્ડવાળા સામે જોઇને કાતરિયાં ખાય છે. એકથી વધારે વાર આવું થાય એટલે આયોજક ઘુરકિયાં કરે છે. આ દૃશ્યો જોનારને એવું જ લાગે કે આજના કાર્યક્રમ પછી સાઉન્ડવાળાનું આવી બન્યું. આયોજક સભાના ત્રાસવાદી સંચાલકને સાઉન્ડવાળા પર બે-ત્રણ કલાક સુધી છૂટો મૂકી દેશે.

સાઉન્ડવાળો પણ આવી કોઇ કાલ્પનિક ઘાતકી સજાથી ગભરાયો હોય તેમ દોડતો સ્ટેજ પર આવે છે, માઇક ઠીકઠાક કરે છે અને તેની પર આંગળીના ટકોરા મારીને ‘હેલો, હેલો’ બોલીને માઇક પાછું આપે છે. એ વખતે તેની નજરમાં હળવો ઠપકો પણ વરસતો હોય છે કે ‘ભલા માણસ, માઇક તો બરાબર છે. શું કામ મારી બદનામી કરો છો?’ એક આડવાત : સાઉન્ડવાળો ગમે તેટલો અભણ હોય અને અંગ્રેજી ભાષા ન જાણતા હોય તો પણ તેને ‘હેલો, હેલો, ટેસ્ટિંગ વન ટુ થ્રી’ બોલવા જેટલું અંગ્રેજી તો આવડે જ છે. અંગ્રેજીની આ આવડતને કારણે ભારત અચૂક સુપરપાવર બની શકશે--અને માઇક હવે ફરી નહીં બગડે એવી શ્રદ્ધા સાથે વક્તાઓ અને શ્રોતાઓ આશ્વસ્ત થાય છે.

કેટલાંક માઇક ચાલુ પ્રવચને, જાણે વક્તાનો કે સંચાલકનો ત્રાસ વેઠાતો ન હોય તેમ, ચિત્કારી ઉઠે છે. પ્રેમીના દિલમાંથી નીકળતી આહ આસમાનને ચીરી નાખે છે, એવું કવિઓએ લખ્યું છે. માઇકની ચીસ તરીકે વાગતો સીસોટી જેવો અવાજ એટલો બુલંદ તો હોય છે કે  શ્રોતાઓના કાનમાં ધાક પડી જાય. હોલમાં બેઠેલા પોઝિટિવ થિંકિંગવાળા કે સમજુ લોકો એવું આશ્વાસન લઇ શકે છે કે,‘કાનમાં ધાક પડી જાય અને થોડી સેકન્ડ કે મિનીટ સુધી સંભળાય નહીં, ત્યાં સુધી સાંભળવાના ત્રાસમાંથી જેટલો છૂટકારો મળ્યો તેટલો ખરો.’

જેમ અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા ખૂબ વધી ગઇ હોવા છતાં, તેમાં ભણાવનારા શિક્ષકોની આવડતના ગંભીર પ્રશ્નો છે, તેમ વક્તવ્યો-કાર્યક્રમોનું પ્રમાણ ઘણું વધી ગયું છે, પણ તેને આયોજકોની કે સંબંધિત સંસ્થાની જ્ઞાનપીપાસા ગણી લેવાની જરૂર નથી. જેમને મોટા ઉપાડે કે મોટી ફી ચૂકવીને વક્તવ્ય માટે બોલાવ્યા હોય, તેમણે જીવનમાં જાણીતા થવા ઉપરાંત બીજું શું કર્યું છે, એ વિશે આયોજકો નિર્દોષ હોઇ શકે છે. તેમના માટે વક્તાનું જાણીતા હોવું અથવા તેમના માટે કોઇની ભલામણ હોવી એટલું પૂરતું છે. આવી સ્થિતિમાં જાગ્રત આયોજકો પહેલેથી વક્તાની ‘જીવન ઝરમર’ (એટલે કે બાયો ડેટા) મંગાવી લે છે. કેટલાક આયોજકોને સંચાલકો પર એવો ભરોસો હોય છે કે એ છેલ્લી ઘડીએ વક્તા સાથે વાતચીત કરીને કે શક્ય હોય તો વક્તા પાસે તેમના જ હસ્તાક્ષરમાં લખાવીને તેમનો પરિચય મેળવી લેશે.

પ્રક્રિયાઓ જુદી જુદી હોઇ શકે છે, પણ પરિણામ મોટે ભાગે એક સરખું જ હોય છે : જીવન ઝરમર લખેલી હોય તો વાંચવામાં અને વાતચીતમાં મેળવેલી હોય તો તે બોલવામાં સંચાલકો મૌલિક ભૂલો કરે છે અને એ ભૂલોને તેમની સર્જનાત્મક અભિવ્યક્તિનો ગણવી જોઇએ, એવી આત્મવિશ્વાસભરી અપેક્ષા રાખે છે. થોડા કાર્યક્રમો પછી વક્તા આ બાબતે એટલા રીઢા થઇ જાય છે કે પોતાનો પરિચય વંચાતો હોય ત્યારે તે હોલમાં બંધ રહેલી લાઇટો કે દીવાલ પર બેસાડેલા પંખાની સંખ્યા ગણે છે અથવા સામે દરેક હરોળમાં કેટલી ખુરશીઓ છે, એ મનોમન ગણવાની કોશિશ કરે છે. તેનો એકમાત્ર આશય પરિચયવાળો હિસ્સો દુઃખી થયા વિના વટાવી જવાનો હોય છે.

Wednesday, September 28, 2016

પાડોશી પાકિસ્તાન જેવા હોય ત્યારે...

(બોલ્યુંચાલ્યું માફ)

માનો કે ન માનો, પાકિસ્તાન જેવા પાડોશીઓનો પ્રશ્ન પાકિસ્તાન કરતાં પણ વધારે જૂનો છે. પાકિસ્તાન ૧૯૪૭માં બન્યું, પણ પાડોશીઓ ત્યાર પહેલાંના અસ્તિત્ત્વ ધરાવે છે. પાકિસ્તાન વિશે જેમ કહેવાય છે કે તેના ઘણા સામાન્ય નાગરિકોને ભારત સાથે કશી દુશ્મની નથી. એવું જ પાડોશીઓની બાબતમાં પણ કહી શકાય. કેટલાક પાડોશી બહુ સારા, પ્રેમાળ, મદદરૂપ, સહનશીલ, ઉપયોગી હોય છે.

-પણ એક મિનીટ. પાડોશી સારા છેએટલું કહી દેવું પૂરતું નથી. પેલા પાડોશીને પણ સામે આવી લાગણી થવી જોઇએ. બાકી, ‘અમારા પાડોશી કેટલા સારા...નો મહિમા આ રીતે પણ થઇ શકે : ગમે તેટલા મોટા અવાજે ગાયનો વગાડીએ, તો પણ બિચારા લડવાનું તો બાજુ પર, કદી બોલે નહીં ને ભૂલથી નજર મળી જાય તો એ નજર ફેરવી લે. પાડોશી ધર્મનું કેટલું ઉત્તમ ઉદાહરણ...બોલો!  રોજ સવારે, સોસાયટીનો (કે ફળિયાનો) કચરો વળાઇ જાય, પછી અમારી સવાર પડે. પછી કચરો નીકળે. એટલે સરકારની સ્વચ્છતા ઝુંબેશમાં ફાળો નોંધાવવાના ઉત્સાહ સાથે એ કચરો એકઠો કરીને તેને પાડોશીના ઘરની દીવાલ આગળ ઠાલવી દઇએ. બને ત્યાં સુધી ધ્યાન રાખીએ કે એમના ઘરનું કોઇ બહાર ઊભું ન હોય. પણ ક્યારેક કોઇ હોય ને જોઇ પણ જાય, તો તે આંખ આડા કાન કરી લે...ખરેખર પાંચેય આંગળીએ પૂજ્યા હોય તો જ આવા પાડોશી મળે. દિવાળી વખતે અમે છેક એમના ઘર પાસે જઇને બોમ્બ ને ટેટા ફોડીએ. એમનાથી અવાજ સહન થતો નથી. એટલે બિચારા બારીબારણાં બંધ કરીને બેસી રહે અને અમારો કાર્યક્રમ પૂરો થાય પછી જ બહાર આવે. એક વાર અમારા બોમ્બથી એમની બેબી દઝાઇ હતી. તો પણ બિચારાએ કશું બોલ્યા વિના, બેબીને અંદર બોલાવી લીધી. એમની સજ્જનતા પર અમને એટલો વિશ્વાસ કે બહાર જવાનું હોય ત્યારે અમારી એક ચાવી ત્યાં જ હોય--અને અમારી એટલી આત્મીયતા કે અડધી રાતે પણ પાછાં આવીએ (મોટે ભાગે અડધી રાતે જ પાછા આવવાનું હોય) તો પણ તે આંખ ચોળતા ચોળતા જાગે, દરવાજો ખોલે ને હસતા મોઢે ચાવી આપે...આવા પાડોશીઓ હવે ક્યાં મળે છે?’

વાત સાચી છે. હવે આવાજ પાડોશીઓ મળે છે, જે ઉપર વર્ણવી છે એવી ને એ સિવાયની બીજી ઘણી અસભ્યતાઓ આચરીને, વખત આવ્યે પાડોશીધર્મની આણ આપે. કોઇ વાર તેમની દીવાલ પાસે વાહન પાર્ક કર્યું હોય કે કચરાની ઢગલીમાંથી થોડો કચરો ઉડતો ઉડતો તેમના દરવાજા લગી પહોંચી જાય, ત્યારે પહેલાં તો એ બૂમરાણ મચાવે. પછી જાણ થાય કે વાહન તેમના આદર્શપાડોશીનું છે કે કચરો એમની ઢગલીમાંથી ઉડ્યો છે, એટલે એ વધારે ખીજાય અને પાડોશીને ઠપકો આપવા બેસે, ‘અમે સુધરેલા-સિવિક સેન્સવાળા નથી. પણ તમે તો સુધરેલા છો ને. તમારાં તો અમે કેટલાં વખાણ કરીએ છીએ...અમારાં સગાંવહાલાંમાં પણ તમને બધાં ઓળખે. કારણ કે અમારા મોઢેથી કોઇનાં વખાણ ભાગ્યે જ નીકળે. પણ આ તો વખાણી ખીચડી દાંતે વળગી. તમે અમારા જેવા થઇ જશો, તો પછી અમે વખાણ કોનાં કરીશું? ને તમારી સજ્જનતાનો ભાવ કેવી રીતે પુછાશે?’

આવા પાડોશીઓને ત્રાસવાદી ગણવાની જોગવાઇ એકેય ત્રાસવાદવિરોધી કાયદામાં હોતી નથી. કાયદામાં ને બંધારણમાં આટઆટલા સુધારાની માગણી કરનારા જાગ્રત નાગરિકોમાંથી કોઇએ પણ હજુ સુધી ઘરઆંગણના ત્રાસવાદ સામે સરકાર ક્યારે જાગશે?’ એવો સવાલ ઉઠાવ્યોે નથી. એકેય અત્યાચારપ્રતિબંધક ધારામાં પણ પાડોશીઓ દ્વારા થતા અત્યાચારનો સમાવેશ કરાતો નથી, એ જ દર્શાવે છે કે આપણા કાયદા કેટલા અપૂરતા છે. હવે વિશ્વ પર્યાવરણ દિવસથી માંડીને પ્રતિબંધિત પુસ્તક દિવસસુધીનાં ઉજવણાં થાય છે, પણ રાષ્ટ્રીય દુષ્ટ પાડોશી હૃદયપરિવર્તન સપ્તાહકે રાષ્ટ્રીય માથાભારે પાડોશીપ્રતિકાર દિનજેવી ઉજવણી હજુ કોઇને સુઝી નથી--અને નકામા પાડોશીઓ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે પાડોશીપીડન વર્ષઉજવતા રહે છે.

સારા પાડોશીઓનો એક જ પ્રકાર હોય છે, પણ દુષ્ટ કે ત્રાસદાયક પાડોશીઓના ઘણા પ્રકાર છે. તે શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક ઉપરાંત આધ્યાત્મિક ત્રાસ પણ આપી શકે છે. (મોટેથી ભજનો વગાડીને કે આખા દિવસની કથા લાઉડસ્પીકરનાં ભુંગળાં દ્વારા પ્રસારિત કરીને). તેમાંથી કેટલાક ખરાબ પાડોશીઓ એવા હોય છે, જેમનો સમાવેશ તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથીમાં કરવાનો થાય, જ્યારે કેટલાક બરાબર જાણે છે કે તે શું કરી રહ્યા છે અને એનાં પરિણામ જાણીને જ એ કરતા હોય છે. એટલું જ નહીં, ધાર્યું પરિણામ ન મળે અને પાડોશી પૂરતી માત્રામાં હેરાન થયો હોય એવું ન લાગે, તો તે નિરાશ થાય છે, ખીજે ભરાય છે અને એ બાબતે પણ ઝઘડો કરી શકે છે.

દુર્લભ પ્રજાતિની જેમ સારા પાડોશી લુપ્ત થવાનો ભય રહે છે, પણ ખરાબ પાડોશીઓ નહીં મળે તો શું થશે?’ એવો વિચાર કદી આવતો નથી--વિચાર તો ઠીક, સપનું પણ આવતું નથી. કેમ કે, કેટલાક ત્રાસવાદી પાડોશીઓ સપનામાં પણ ત્રાસ આપી શકે છે. નિરાશાવાદના પ્રતિક તરીકે નહીં, પણ વાસ્તવિકતાના સ્વીકાર તરીકે કહી શકાય કે, આ જગત છે ત્યાં સુધી ખરાબ પાડોશીઓ કદી ખૂટવાના નથી--અને એવું માનવા માટે આસ્તિક હોવાની પણ જરૂર નથી.

ફિલસૂફો કહે છે કે માણસ નહીં, તેનો સમય ખરાબ હોય છે. પરંતુ માણસની આ વ્યાખ્યામાં ઘણા પાડોશીઓનો સમાવેશ થતો નથી. એમની અનિષ્ટતા સમયની મોહતાજ નથી હોતી. સારા-ખરાબ કોઇ પણ સમયમાં એ સાતત્યપૂર્વક એકસરખા ખરાબ રહી શકે છે. એક કાગડો મરે તો સો ગાયોનાં શિંગ ઠરેએવી કહેણી મુજબ, કેટલાક પાડોશીઓ એકે હજારા પ્રકારના હોય છે. તેમના ન હોવાથી આખા વિસ્તારમાં સભ્યતા અને શાંતિ પથરાઇ શકે. પરંતુ બીજી કહેવત પ્રમાણે, બિલ્લી તાકી રહે એટલે શિંકું ભાંગી જતું નથી. કેવળ ઇચ્છવા માત્રથી ખરાબ પાડોશીઓ એમ ઉચાળા ભરતા નથી. એ તમને પૂર્વજન્મમાં માનતા કરીને જ --અને તેમની પાડોશમાં રહેવું પડ્યું એ પૂર્વજન્મનાં કર્મનું ફળ હોવાથી, એ ભોગવ્યા વિના તમારો છૂટકારો નહીં થાય, એવી ખાતરી કરાવીને જ-- જંપે છે.


કહેવતમાં પાડોશીને પહેલો સગોગણાવાયો છે, તે યથાર્થ છે. કારણ કે સગાંની જેમ પાડોશીઓની પસંદગી પણ આપણા હાથમાં નથી હોતી. જે મળે તેમની સાથે પડ્યું પાનું નિભાવી લેવું પડે છે. પાડોશીઓથી કંટાળીને માણસ ઘર બદલે, તો નવી જગ્યાએ નવા પાડોશીઓ જૂના જેવા નહીં મળે, એવી આશા રાખી શકાય છે, પણ એની કોઇ ખાતરી નથી હોતી. લગ્નની જેમ પાડોશીઓમાં પણ અસલિયતની ખબર પડે ત્યારે બહુ મોડું થઇ ચૂક્યું હોય છે...ને માણસ બિચારો એમ કેટલાં ઘર બદલતો ફરે

Wednesday, September 21, 2016

દાદરો કે લિફ્‌ટ?

(બોલ્યુંચાલ્યું માફ)

પગથીયાં ચઢું કે ન ચઢું? આવો હેમ્લેટ સવાલ ઘણા શહેરીઓને  વારંવાર મૂંઝવે છે. તેમનો અંતરાત્મા કહે છે, ‘હે જીવ, તારી ત્રણ-ચાર મણની કાયાને જરા કષ્ટ આપ, તો ભલું થવા માટે તારે આવતા જન્મની રાહ નહીં જોવી પડે. આ જન્મમાં જ તારું ભલું થશે. ડાયેટિશ્યન જોડે જવું નહીં પડે, જિમના રૂપિયા બગાડવા નહીં પડે, ડાયેટ કોક પીવી નહીં પડે ને મોંઘાદાટ સલાડ ખાવાં નહીં પડે. વિચાર છોડ અને કર્મ કર. લિફ્‌ટ છોડ ને દાદરા ચઢ.

પરંતુ અંતરાત્માના અવાજ સાંભળનારની ભારતમાં કેવી દશા થાય છે, તે ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ ભારતવર્ષના લોકોએ જોઇ લીધું. એમ પાછા આપણા લોકો હોશિયાર વિદ્યાર્થી. તરત શીખી ગયા કે આ રસ્તે ન જવાય. એટલે તેમણે પહેલાં તપાસ કરી : અંતરાત્માને ફિક્સ ડિપોઝીટમાં મૂકવાથી વ્યાજ-બ્યાજ મળે ખરું? ખબર પડી કે નાણાંકીય વ્યવહારમાં એની ખાસ કશી કિંમત નથી. એને વેચવાની ને ગીરવે મૂકવાની અનેક વ્યવસ્થાઓ છે, પણ એને વણવપરાયેલો છતાં હેમખેમ રાખીને નાણાંકીય ફાયદો મેળવવાની કોઇ સ્કીમ જડી નહીં. ત્યારથી અંતરાત્માના અવાજનું વજન ભાજપની વરિષ્ઠોની સમિતિના સભ્યો જેવું થઇ ગયું : લખવામાં નામ મોટું, પણ વ્યવહારમાં કશું ઉપજે નહીં.

દાદરા અને લિફ્‌ટના દ્વિભેટે ઉભેલો માણસ અંતરાત્માની અસલિયત વિશે વિચારવાનું શરૂ કરે તે પહેલાં જ તેના બહિરાત્માનો અવાજ શરૂ થઇ જાય છે, ‘હે જીવ (હા, ભારતમાં આધ્યાત્મિક પરંપરા મજબૂત હોવાથી, સંબોધનો આવી રીતે જ થાય), જન્મ્યો ત્યારે તારું વજન શેરમાં હતું. પછી તું મણમાં ગયો ને હવે ટન ભણી ધસી રહ્યો છું. તારું જીવનધ્યેય પ્રગતિ અને વિકાસ છે--અને તું ચતુર નાગરિક હોવાને કારણે જાણે છે કે ભારતમાં શ્રમ કરનાર શોષાય છે ને શ્રમ કરાવનાર કમાય છે. લાંબા રસ્તા લેનાર પાછળ રહે છે ને ટૂંકા રસ્તા અપનાવાર આગળ નીકળી જાય છે. તો પછી હે ત્રણ-મણીયા, તું પણ દાદરા ચઢવાનો ને પરસેવા પાડવાનો મોહ છોડીને, લિફ્‌ટનો શરણે જા. એમાં જ તારું હિત છે. એમાં જ તારી પ્રગતિ છે.

કેટલાક બહિરાત્માઓમાં પણ આધ્યાત્મિકનો પેટાપ્રકાર હોય છે. તે દેહધારીને ભોગવાદના રસ્તે ચડાવવાનો આભાસ આપ્યા વિના, પૂરી સાત્ત્વિકતાથી કહે છે,‘જો ઇશ્વરે ઇચ્છ્‌યું હોત કે તારે દાદરા જ ચઢવા, તો તેમણે લિફ્‌ટ ને લિફ્‌ટનો શોધનાર બનાવ્યાં ન હોત ને એસ્કેલેટર પણ શોધ્યાં ન હોત. ઇશ્વર તને મણમાંથી સવા છ શેર બનાવવા ઇચ્છતા નહીં હોય. એટલે તારી કારકિર્દીને આપે કે ન આપે, પણ તને લિફ્‌ટ આપી છે. એની ઉપેક્ષા અને અવગણના કરવી, એ દૈવી ડીઝાઇનનું અવમાન છે. આ સંસારના નાવનું સુકાન તું ઇશ્વરના હાથમાં સોંપ અને દાદરા ચઢવાનું કષ્ટ લેવાને બદલે, ઇશ્વરીય પ્રસાદ જેવી લિફ્‌ટનો ઉપયોગ કર. શ્રી રામચંદ્ર જે રીતે લંકા પહોંચ્યા, એ જ રીતે લંકાથી પાછા અયોધ્યા ન જઇ શક્યા હોત? પણ તેમણે પુષ્પક વિમાનનો ઉપયોગ કર્યો. તું પણ મિથ્યા શ્રમનો મોહ ટાળ અને લિફ્‌ટનો ઉપયોગ કર. એમ કરતાં તને જરા પણ ખચકાટ થતો હોય તો, લિફ્‌ટના કારણે તારો જેટલો સમય બચ્યો હોય, એટલા સમય માટે તું ઉપર જઇને હરિસ્મરણ કરજે. બસ?’  એેસ્કેલેટર હોય ત્યારે તે કહે છે,‘ઇશ્વરેચ્છા વિના પાંદડું પણ હાલતું નથી એ તને ખબર છે. અહીં તો આખેઆખો દાદરો હાલે ને ચાલે છે. તો પછી તેને ઇશ્વરેચ્છા ગણીને તેને અનુસરવામાં ક્ષોભ શાને?’

દાદરા ચઢવા એ ફક્ત શારીરિક શ્રમનો મામલો નથી. કેટલાક લોકો કાચી ક્ષણે (મેડિકલ ટેસ્ટના રીપોર્ટ આવ્યા પછી તરતની મિનીટોમાં) પ્રતિજ્ઞા લઇ બેઠા હોય છે કે મારે કાગડાકૂતરાના મોતે મરવું નથી. માટે હવે હું આજીવન, જ્યાં સુધી શક્ય હશે ત્યાં દાદરા જ ચઢીશ.શરૂઆતમાં તેમને પાણી દેખી કરે સ્નાનની જેમ, દાદરા જોઇને તેમને ચઢવાનો જ વિચાર આવે છે.

પ્રતિજ્ઞાપાલનના આરંભિક ગાળામાં મલેશિયાના પેટ્રોનાસ ટાવર કે દુબઇના બુર્જ ખલીફા કે પેરિસના એફિલ ટાવરને જોઇને તેમને પહેલો વિચાર આ ઇમારતોની ભવ્યતાનો નહીં, પણ તેમાં કેટલા દાદરા હશે અને એ ચડતાં મને કેટલી વાર લાગે, એ આવે છે. તેમને લાગે છે કે આખું વિશ્વ એક દાદરો છે ને મારો જન્મ એ દાદરા પર ચઢઉતર કરવા માટે જ થયો છે. ક્યારેક વહેલે પરોઢીયે તેમને એવું પણ સ્વપ્ન આવે છે કે કુતુબમિનારના દાદરા ચઢવાની શરૂઆત કરે છે અને ટોચે પહોંચતાં તેમનું કોલેસ્ટેરોલ ધડામ્‌ દઇને સામાન્ય થઇ જાય છે-વજન દસ-વીસ કિલો ઘટી જાય છે.

આવા અરસામાં પ્રતિજ્ઞાપાલકો માટે ઘણી વાર દાદરા ચઢવા કરતાં પ્રતિજ્ઞાપાલનનો--અને દાદરા ચઢવા કરતાં, પોતે દાદરા ચઢઉતર કરે છે તે જાહેર કરવાનો આનંદ વધી જાય છે. પરંતુ તપસ્વી વિશ્વામિત્ર માટે જે કામ મેનકાએ કર્યું, ઉપવાસીઓ માટે ફરાળી જે કામ કરે છે, એવા જ કોઇ અવતાર કાર્ય માટે એસ્કેલેટરની શોધ થઇ હશે. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ મોલમાં એસ્કેલેટર પર પાંચમા માળે પહોંચ્યા હોત અને ત્યાં ઉભેલા ગુરુ દ્રોણે તેમને પૂછ્‌યું હોત, ‘દાદરેથી આવ્યો કે લિફ્‌ટમાં?’, તો સત્યવાદી ધર્મરાજાનો શો જવાબ હોત? ‘નરો વા, કુંજરો વાનો આશરો લીધા વિના તે ગણગણાટીભર્યા અવાજમાં નહીં, ખોંખારીને કહી શક્યા હોત કે દાદરેથી.જ્યોતીન્દ્ર દવેના પ્રખ્યાત નિબંધ મારી વ્યાયામસાધનામાં દંડબેઠક કર્યા?’ એવા વડીલોના સવાલના જવાબમાં નાયક કર્તા અધ્યાહાર રાખીને કહે છે,‘કર્યા.એવો આત્મવિશ્વાસ એસ્કેલેટરમાં ઉપર આવેલો માણસ દાદરા ચઢવા વિશે અનુભવે છે. પોતે ભલે દાદરા ચઢ્‌યો ન હોય, પણ દાદરો પોતે તો ઉપર ચઢ્‌યો ને. આમ પણ, શું સ્થિર છે ને શું ગતિમાન, એ સાપેક્ષ બાબત છે. પૃથ્વી ફરતી હોવા છતાં સ્થિર લાગે છે ને મકાન કે વૃક્ષ સ્થિર ઉભું હોવા છતાં (ચોક્કસ પ્રકારનાં પેયની અસર તળે) ગતિમાન લાગી શકે છે. એ વિશે મિથ્યાભિમાન કેવું? કેટલાક સત્યનિષ્ઠ પ્રતિજ્ઞાપાલકો ચાલુ એસ્કેલેટરે પગથીયાં ચઢવાનું ચાલુ રાખે છે, જેથી એસ્કેલેટરના પાપે દાદરો ચઢ્‌યાનું પુણ્ય ગુમાવવું ન પડે.

વચ્ચે એક સમયગાળો એવો હતો, જ્યારે પગથીયાં ચઢવાં એ ડાઉનમાર્કેટચેષ્ટા ગણાતી હતી : ભણેગણે તે નામું લખે ને ના ભણે તે દીવો ધરેએવી જૂની કહેવતની જેમ, ‘સમૃદ્ધો લિફ્‌ટમાં મહાલે ને શ્રમિકો દાદરા ચઢેએવું મનાતું હતું. ધીમે ધીમે આરોગ્યની સમસ્યાઓ વધવા માંડી અને ઉપર જવા માટે નહીં, પણ વજનકાંટો નીચે ઉતારવા કે સ્થાયી રાખવા માટે પગથિયાંનો મહિમા શરૂ થયો. તેમાં મુશ્કેલી ફક્ત એક જ હતી : પગથિયાં ચઢવામાં એક પણ રૂપિયો ખર્ચવાનો ન હતો કે ઘરની બહાર પણ નીકળવાનું થતું ન હતું. તેથી જેમને કસરત જ કરવી હોય તેમને એ બહુ ઉપયોગી લાગે, પરંતુ કોઇ પણ કાર્ય નાણાં ખર્ચવાથી જ સંતોષકારક રીતે પૂરું થાય એવી દૃઢ માન્યતા ધરાવતા લોકોથી માંડીને, મોર્નિંગ વોક પૂરું થયા પછી ભરપેટ નાસ્તો કરીને ઘરે જતા ઘણાને કસરત તરીકે દાદરા અનુકૂળ આવતા નથી.


માણસના બીજા કેટલાક સંબંધોની જેમ દાદરા સાથેનો તેનો સંબંધ એટલો લપસણો છે કે ગાફેલ રહેનાર વ્યક્તિને પછડાવાનો વારો આવે છે--અને દાદરાને કદી વાગતું નથી.