Monday, December 29, 2014

ગુજરાતમાં શિક્ષણ : ખતરનાક અખતરા

નવેમ્બર, ૨૦૧૪માં ગુજરાતના શિક્ષણવિભાગે બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશનો પોતાનો જ નિર્ણય રદ કર્યો. અહેવાલો પ્રમાણે, શિક્ષણવિભાગે સ્વીકાર્યું કે તેના આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

સૌથી પહેલાં તો, સરકારી રાહે લેવાયેલું એક પગલું ખોટું હતું અને તેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થયું એ સ્વીકારવા બદલ તથા એ રદ કરવા બદલ શિક્ષણવિભાગને હાર્દિક અભિનંદન. બાકી, સામાન્ય રીતે નેતાઓ અને ખાસ તો સરકારી બાબુઓ ‘ડગલું ભર્યું કે ન હઠવું’નો મિજાજ ધરાવતા હોય છે. (ભયંકર નિષ્ફળતા છતાં ચાલુ રહેલી સેમેસ્ટર પ્રથા તેનું ઉત્તમ ઉદાહરણ છે.)

એન્જિનિયરિંગની જેમ બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશનો નિર્ણય જાહેર થયો ત્યારે આ કોલમમાં (‘દૃષ્ટિકોણ’, ૨૪-૬-૧૪) અને બીજે પણ તેના વ્યવહારુ અમલ વિશે ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ નિર્ણયના કારણે કેવી સ્થિતિ સર્જાઇ શકે છે, તેની વિગતવાર સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાંની ઘણી સાચી પુરવાર થઇ. વિદ્યાર્થીઓને ઍડમિશન માટે અહીંથી તહીં અથડાવું પડ્યું. તેમાં સમય, શક્તિ અને નાણાંનો ઘુમાડો થયો. સેલ્ફ ફાયનાન્સ્ડ બેઠકો ભરાઇ જાય અને ગ્રાન્ટેડ બેઠકો ખાલી રહે એવું પણ બન્યું.

એક તરફ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ વગરના રહ્યા, તો બીજી બાજુ કૉલેજમાં બેઠકો ખાલી રહી. ‘તારીખ પે તારીખ’ની જેમ પ્રવેશનાં ‘રાઉન્ડ પે રાઉન્ડ’ ચાલ્યાં અને કાર્યવાહી એટલી લંબાઇ કે પહેલા સેમેસ્ટરમાં અભ્યાસનો સમય મહિનાઓમાં નહીં, અઠવાડિયાંમાં રહ્યો. કેન્દ્રીય પ્રવેશપદ્ધતિનું તંત્ર ગોઠવવા માટે દરેક વિસ્તારની એક-એક કૉલેજમાં શિક્ષણવિભાગે પ્રવેશકેન્દ્રો ખોલવાં પડ્યાં. એ કેન્દ્રો ચલાવવા પેટે કૉલેજોને અપાયેલી રકમ સહિત આખી કાર્યવાહીનો કુલ ખર્ચ લાખમાં નહીં, કરોડમાં પહોંચ્યો.

બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશ દાખલ કરવા જતાં અરાજકતા સર્જાશે, એનું અનુમાન કરવા માટે સામાન્ય સમજની જરૂર હતી. પરંતુ સ્વાર્થવશ, સ્થાપિત હિતોવશ, અહમ્‌વશ કે પછી આ બધાના ઓછાવત્તા મિશ્રણને કારણે બાબુશાહીનું વલણ પોતે લીધેલા નિર્ણયને સોનાનો ગણવા-ગણાવવાનું હોય છે. માટે સવાલ એ થાય કે આ જાતનો અખતરો એક વર્ષ પૂરતો દાખલ કર્યા પછી, તેને પાછો ખેંચી લેવામાં આવે તો તેને માટે ઉત્તરદાયી કોણ?

કામ થતું હોય ત્યારે પૂરતી તકેદારી રાખી હોવા છતાં ભૂલ થઇ શકે. એ અક્ષમ્ય નથી. ભૂલનો સ્વીકાર અને સુધાર આવકાર્ય છે. પરંતુ શિક્ષણવિભાગે પોતાનો અખતરો નિષ્ફળ ગયા પછી એટલું તો જણાવવાનું રહે છે કે કેન્દ્રીય પ્રવેશપદ્ધતિ દાખલ કરતાં પહેલાં તેમણે દેખીતી સમસ્યાઓનો વિચાર કર્યો હતો? અને તેનો ઉકેલ શી રીતે આવશે, એવી તેમની ધારણા હતી? આખા નિર્ણય સાથે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને કરોડો રૂપિયા સંકળાયેલા હોય ત્યારે કમ સે કમ આટલી કવાયત આવશ્યક ગણાય. એ થઇ હોય તો તેની સંતોષકારક વિગતો શિક્ષણવિભાગે જાહેર કરવી જોઇએ અને ન થઇ હોય તો તેના માટે જવાબદાર કોણ, એ જણાવવામાં આવે.

શિક્ષણવિભાગની કોરટબાજી

એન્જિનિયરિંગ માટે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ ઘણા વખતથી અમલમાં છે, પણ તેમાં વિદ્યાર્થીના ટકા કેવી રીતે ગણવા, એના વાંધા છે. એ માટે વપરાતા બે ટેક્‌નિકલ શબ્દો છે : ‘પર્સન્ટેજ’ અને ‘પર્સન્ટાઇલ’. પર્સન્ટેજ એટલે બોર્ડની પરીક્ષા તથા જેઇઇ-જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ-માં વિદ્યાર્થીએ મેળવેલા માર્ક, જે નિરપેક્ષ હોય છે. ‘પર્સન્ટાઇલ’ એટલે આગળ જણાવેલી બન્ને પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલો ક્રમ, જે સાપેક્ષ હોય છે.

લાગલગાટ છેલ્લાં બે વર્ષથી શિક્ષણવિભાગ દ્વારા અપનાવવામાં આવેલી પ્રવેશની ફોર્મ્યુલાને અદાલતમાં પડકારવામાં આવે છે. બે વર્ષ પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં સરકારની હાર થયા પછી એ સુપ્રીમ કોર્ટમાં ગઇ. એ કેસનો હજુ ફેંસલો આવે તે પહેલાં, બીજા વર્ષે શિક્ષણવિભાગે પોતાની જ વિવાદી ફોર્મ્યુલામાં ફેરફાર કરીને નવી ફોર્મ્યુલા અપનાવી. તેને પણ પડકારવામાં આવી. હાઇકોર્ટે તેને પણ કાયદાથી વિસંગત ગણાવી અને કહ્યું કે મેરિટની ગણતરી બાબતે કાયદાના અર્થઘટન કરતાં શિક્ષણવિભાગનું અર્થઘટન જુદું પડે છે. એટલે સરકાર ફરી સુપ્રીમ કોર્ટમાં ગઇ. દરમિયાન, સંબંધિત કાયદામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો, જેથી મેરિટની ફોર્મ્યુલા કાયદાને સુસંગત બની જાય.

આગળના બન્ને દાખલા શિક્ષણવિભાગની કાર્યપદ્ધતિ અને તેની માનસિકતા પર ઠીક ઠીક પ્રકાશ પાડે છે. નવાઇની વાત એ છે કે એક તરફ શિક્ષણના ‘ગુજરાત મૉડેલ’નો આંખ મીંચીને જયજયકાર થઇ રહ્યો છે, ત્યારે આ બધા મુદ્દા સેંકડો વિદ્યાર્થીઓને સ્પર્શતા હોવા છતાં, એમાં સરકારની જવાબદારી વિશે ભાગ્યે જ કશી વાત થાય છે.

ઇ-કન્ટેન્ટ એટલે?

ગયા અઠવાડિયે સમાચાર હતા કે શિક્ષણવિભાગ હવે પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓમાં ‘ઇ-કન્ટેન્ટ’ દાખલ કરવા માગે છે. અત્યાર લગી ખાનગી શાળાઓમાં કમ્પ્યુટર, ઇ-લર્નિંગ અને સ્માર્ટ ક્લાસના નામે મોટે ભાગે વધારે ફી પડાવવાનો ધંધો જ ચાલ્યો છે. શિક્ષણમાં મૌલિક રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાને બદલે, સાવ બાળબોધી રીતે, ફક્ત કમ્પ્યુટર છે એટલા માટે- અને ખાસ તો ફી લઇએ છીએ એટલા માટે- બાળકોને કમ્પ્યુટર સામે બેસાડી દેવામાં આવે છે. પરંતુ ગણિત-વિજ્ઞાન-સમાજશાસ્ત્ર જેવા વિષયો રસપ્રદ રીતે શીખવી શકવાની કમ્પ્યુટરની ક્ષમતાનો એક ટકો પણ વપરાતો નથી.

શિક્ષણ સૌથી મોટાં બજારોમાંનું એક છે. (નેતાઓ અને ઉદ્યોગપતિઓ અમસ્તા તેમાં સીધી કે આડકતરી રીતે સંકળાતા હશે?) અત્યાર લગી ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરાતા ઇ-કન્ટેન્ટને સરકાર માન્યતા આપતી ન હતી. સમાચાર પ્રમાણે, હવે સરકાર યોગ્ય ચકાસણી અને દસ સ્કૂલોમાં એક વર્ષ માટે ઇ-કન્ટેન્ટનો અખતરો કરશે, તેની સમીક્ષા કરવામાં આવશે (સમીક્ષાની ફી પેટે રુ.૨૫ હજાર લેવામાં આવશે) અને પછી નક્કી કરવામાં આવશે કે એ કન્ટેન્ટ સરકારની માન્યતાને લાયક છે કે નહીં.

સરકારી યોજનાઓની ખૂબી એ હોય છે કે કાગળ પર તે રૂડીરુપાળી અને પૂરતી તકેદારી લેતી હોય એવી જણાય. પરંતુ વાસ્તવિક અનુભવ સાવ જુદા હોય છે. સરકારી શાળાઓમાં ઇ-કન્ટેન્ટ પહોંચાડવા મળે તે કોઇ પણ કંપની માટે કમાણીની બહુ મોટી તક છે. સરકારી તંત્ર સાથે પનારો પાડનારા બરાબર સમજતા હોય છે કે કઇ ચાંપ દબાવવાથી  ક્યાં લાઇટ થાય ને કોને ત્યાં અંધારું કરી શકાય. પુસ્તકો, સ્ટેશનરી, છાપકામ, અભ્યાસનાં ને પ્રયોગનાં સાધનો- આવી શાળાવિષયક સામગ્રીનો સરકારી ધંધો અત્યાર લગી મોટે ભાગે લગભગ અપારદર્શક રહ્યો છે. તેમાં વિદ્યાર્થીઓ કે શાળાઓ ખાટ્યાં હોય એવું જૂજ કિસ્સામાં જ બનતું હશે. બાકી, મોટે ભાગે પાંચ રૂપિયાની વસ્તુ પચાસ રૂપિયામાં વેચીને, તેમાંથી વીસ રૂપિયા સાહેબોને પ્રસાદી તરીકે ધરવાનો રિવાજ છે. આવા ભ્રષ્ટાચારની પહોંચો ફાટતી નથી, તેમ એને પડકારવામાં પણ આવતો નથી. સપાટી પર ચાલતી ‘ખાતો નથી, ખાવા દેતો નથી’ની રૂડીરૂપાળી વાતો તળે આવું બઘું ખદબદતું રહે છે. મૂળ લાભાર્થીઓ (નિશાળો) માટે તે મફતમાં, સરકાર તરફથી આવતું હોવાથી, તે ઝાઝી પંચાતમાં પડતા નથી. એટલે સપ્લાય કરનારા અને ઓર્ડર મંજૂર કરનારા  બેરોકટોક કમાણી કરતા રહે છે. તેમાં અપવાદો હશે, પરંતુ અપવાદોથી છેવટે એ જ સાબીત થાય છે કે નિયમ તો આ જ છે.

આવી સ્થિતિમાં ઇ-કન્ટેન્ટની વાત સાંભળીને આનંદ થવાને બદલે ધ્રાસ્કો પડવો સ્વાભાવિક છે. કેમ કે, આ કન્ટેન્ટ મોટે ભાગે ડીવીડી સ્વરૂપે હશે. ડીવીડી માટે ક્લીનર, કવર, કબાટ અને બીજી કલ્પી ન શકાય એવી સંબંધિત સામગ્રી, ડીવીડી તૂટી જાય (કે તૂટી ગયેલી બતાવવામાં આવે તો તેની જગ્યાએ બીજી ડીવીડી... આમ હજારો સ્કૂલોમાં અઢળક નફો કમાવી આપનારાં કેટકેટલાં સંભવિત ધંધાક્ષેત્રો ઇ-કન્ટેન્ટની સરકારી માન્યતાથી ખુલી જશે.

નિષ્ણાતોની સમિતિ ઇ-કન્ટેન્ટની ચકાસણી કરશે, પણ એમ તો આવી સમિતિઓ પાઠ્યપુસ્તકોની ચકાસણી પણ ક્યાં નથી કરતી? તેનાથી પાઠ્યપુસ્તકોની ગુણવત્તામાં સરકારે શું ઉકાળી લીઘું? ગુણવત્તા તો બહુ દૂરની વાત છે, પાઠ્યપુસ્તકો સમયસર પહોંચાડવાનું પ્રાથમિક કામ પણ ‘ગુજરાત મૉડેલ’થી પોરસાતી સરકારનો શિક્ષણવિભાગ કરી શકતો નથી. માન્યું કે લાખોની સંખ્યામાં પુસ્તકો છાપવા અને પહોંચાડવાનું કામ અઘરું છે, પણ તે આટલાં વર્ષેય આવડી ન રહે?

અમેરિકા સહિતના દેશોમાં ઇ-લર્નિંગના નામે ઇન્ટરનેટ પર મફતમાં શિક્ષણનું અનોખું મૉડેલ ઊભું થઇ રહ્યું છે. તેમાં સરકાર કરતાં પણ વધારે ખાનગી કંપનીઓ  અઢળક નાણાં રોકી રહી છે. ‘ખાન્સ એકેડેમી’ જેવી ઑનલાઇન સંસ્થાઓ ઉપરાંત હાર્વર્ડ જેવી અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ પોતાના કોર્સ ઇન્ટરનેટ પર મફત ભણવા માટે ખુલ્લા મૂકી રહી છે- અને થોડી ફી લઇને પ્રમાણપત્ર પણ આપે છે- ત્યારે ગુજરાતનું શિક્ષણખાતું સરકારમાન્ય ડીવીડી સામગ્રીથી ઇ-કન્ટેન્ટના યુગમાં પ્રવેશ કરશે. આ ચેષ્ટા ડિજિટલ મ્યુઝિક પ્લેયર શોધાઇ ગયાં હોય ત્યારે નવેસરથી અને સરકારી રાહે કેસેટ પ્લેયરો દાખલ કરવા જેવી અને એમ કરીને આઘુનિકતાનો સંતોષ અનુભવવા જેવી છે.

દરેક બાબતમાં કોંગ્રેસ-ભાજપ લઇ આવનારા એટલું સમજતા નથી કે શિક્ષણના ધંધામાં સરકાર બદલાય તેમ ફાયદો ખાટનારા બદલાઇ શકે, પણ દરેક કિસ્સામાં નુકસાનાર્થીઓ તો આપણે, ગુજરાતના નાગરિકો જ રહેવાના છીએ.
(૯-૧૨-૧૪)

Friday, December 26, 2014

ટાઢા પહોરના ચિંતન-ટુકડા

શાસ્ત્રોમાં કહ્યું છે કે ચિંતા કરાવે તે ચિંતક. શબ્દકોશમાં આવું નથી કહ્યું. પણ શબ્દકોશના આધારે ચિંતન ન થાય. નિબંધ ન લખાય. લોકો પર પ્રભાવ ન પડાય. મહાકવિ અખાએ કહ્યું છે ને, ‘શબ્દકોશને શું વળગે ભૂર, કૉલમમાં જે જીતે તે શૂર.’

ચિંતનલેખની એક અનિવાર્ય શરત એ છે કે બે ફકરા વચ્ચે કશો સંબંધ ન હોવો જોઇએ. બન્ને એકબીજાથી સ્વતંત્ર હોવા જોઇએ. સ્વતંત્રતા કેવડો મોટો ગુણ છે, તે જાણવા માટે વાચકો પર ગુણ ભરીને અવતરણો ઠાલવી શકાય છે. ઘણા લોકો મને પણ મહાપુરૂષ માને છે અને પૂરી નમ્રતા સાથે મારે તેમનો આ આક્ષેપ સ્વીકારવો પડે છે. હું માનું છું કે સ્વતંત્રતા - ખાસ કરીને, બે ફકરા વચ્ચેની સ્વતંત્રતા- બહુ દુર્લભ ચીજ છે. મેઘાણીએ ગાયું છે ને, ‘તુજ નામમાં, ઓ સ્વતંત્રતા...’

સામાન્ય માણસ કરી કરીને શાની ચિંતા કરે? છોકરાંનાં એડમિશનની...બાપાની દવાની...પોતાની નોકરીની...મકાનની લોનની...પેટ્રોલના ભાવની...નોકરીમાં પગારવધારાની...પણ ચિંતકને આ ન શોભે. સમષ્ટિ સાથે એકરૂપતા ધરાવતો ચિંતક તો એની ચિંતા કરે કે વર્ષોથી જેની મુલાકાત લીધી નથી એવા મારા વતનની સીમમાં, બાળપણમાં જેના ટેટા પાડતા હતા એ વડ હજુ છે? જો નથી તો તેનું શું થયું હશે? મારા હાથનોે સ્પર્શ પામેલા વડનાં ડાળખાં કોઇ ગરીબ પરિવારના બે ટંકના રોટલાનું આંધણ બન્યાં હશે? ફક્ત માણસ-માણસ વચ્ચે જ નહીં, માણસ અને વૃક્ષો વચ્ચે પણ કેવા લેણદેણના સંબંધો હોય છે?

‘પ્રકૃતિને આપણે જાળવી શકતા નથી, એટલે પ્રકૃતિ આપણને જાળવતી નથી’ એવું લખ્યા પછી થાય છે, ‘વાહ, આવું સુંદર અવતરણ. જો ગાંધી કે ચર્ચિલે આવું કહ્યું હોત તો લોકોએ તેની ટાંકાટાંક કરી મૂકી હોત. ચિંતકો બઘું કલ્પનામાંથી નીપજાવે એવું નથી. આ અવતરણ ચિંતકનો સ્વાનુભવ છે. ચિંતકોની અનુભવસૃષ્ટિ વિશાળ હોય છે. તેમાં પ્રકૃતિ કહેતાં કુદરતથી માંડીને પ્રકૃતિ નામધારી મહિલા સુધીની સૃષ્ટિ સમાવિષ્ટ હોઇ શકે છે. ચિંતકે કોઇ પ્રકૃતિને કરેલા પ્રસ્તાવના જવાબમાં તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હોય, ત્યારે ચિંતક ‘રુદ્રતામાં રમ્યતા’ વિશે લખી શકે છે.

પ્રકૃતિના કિસ્સા પરથી કોઇ એમ ન વિચારે કે શાસ્ત્રો અને ફિલસૂફીનું ડહાપણ ડહોળનાર એક મહિલા સમક્ષ અભદ્ર પ્રસ્તાવ મૂકે તે શોભાસ્પદ છે? આખી વાતમાં આચાર અને વિચારની વિસંગતતાનો કોઇ પ્રશ્ન જ નથી. વિચારોના આચાર(અથાણું) કરતાં આચારના વિચારો કરવાની પ્રક્રિયા વર્તમાન ચિંતકધર્મને વઘુ અનુરૂપ છે.

***

નાનપણમાં પાડોશમાં રહેતા અને મોટા અવાજે દાતણ કરતા એક કાકા પાસેથી કહેવત સાંભળતી હતી : કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સીમ ભણી. અક્ષરજ્ઞાનના અભાવે એ કાકા લલિત નિબંધો-ચિંતનલેખોના રસ્મોરિવાજથી પરિચિત ન હતા. એટલે એમણે સીમ ભણી તાણતાં શિયાળો જ જોયાં હતાં, માણસો નહીં.

છાપાં-સામયિકોનાં કટારો ને લેખોમાં સીમભણી તાણતા માણસોનાં શબ્દદેહે દર્શન કરી શકાય છે. વાત સાલ્વાડોર ડાલીની હોય કે સરદાર પટેલની, પણ એમાં ગામની સીમ અચૂક આવી જાય- જાણે એ ચિંતક ઓછા ને તલાટી વધારે હોય. સીમના અસીમ ઉલ્લેખો વાંચીને ‘ખુલ જા સીમ સીમ’ વાળો અલીબાબા પણ યાદ આવી જાય. પણ ચિંતનલેખમાં ‘અરેબિયન’ને બદલે ‘ફરેબિયન’ નાઇટ્‌સની કથાઓ વધારે હોય છે.

દરેક ગામને કે ખેતરને સીમ હોય છે, પણ ચિંતકો-નિંબધકારોનાં ગામ-ખેતરની સીમની વાત ન્યારી છે. સ્વર્ગલોક શી અલૌકિક એવી સીમમાં માણેલાં સુખોની પૂરી યાદી લેખકો ન આપે એ સમજી શકાય એમ છે, પણ કહી શકાય-છાપી શકાય એવી એક પણ બાબત તે ચૂકતા નથી. એ વાતો સત્ય હોય કે કાલ્પનિક, પણ તેનો હેતુ બહુ શુદ્ધ હોય છે : વાચકોને પલાળવા, શહેરીકરણમાં ‘ક્યાંક, કશુંક’ ખોવાયું છે એ યાદ કરાવવું અને ખાસ તો, પોતાની સંવેદનશીલતાની ધાક બેસાડી દેવી.

સામાન્ય લોકોને દસ-બાર વર્ષની ઉંંમરે આંબા પરથી પાડેલી કેરીઓ યાદ આવે છે, પણ કેરીઓ પાડવાની એ ક્રિયા સાથે અલૌકિક અનુભૂતિ સાંકળવાનું આવડતું નથી. તેમનામાં અને નિબંધકારોમાં એ જ ફરક છે. નિબંધકારો ‘રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ’થી રાજી કે દુઃખી થઇ શકે છે. ત્રીસ વર્ષ પહેલાં પાડેલા આંબલીના કાતરાની ખટાશને યાદ કરતાં તેમના દાંત અત્યારે પણ ખટાઇ જાય છે. આંબા પરથી કેરીઓ પાડવામાં ફ્રેન્ચ ક્રાંતિ અને સ્વતંત્રતા-સમાનતા-બંધુતાના સિદ્ધાંતોનાં, સખીઓ સાથે સાતોડિયું રમવાની વાતમાં સ્ત્રીસમાનતાનાં અને સગડી પર મૂકેલા મકાઇના ડોડા માટે ‘તાપમાં શેકાવાથી તે મધુર બને છે’ એવી ફિલસૂફીનાં પ્રદર્શનથી અહોભાવિત થનારા જ ચિંતનનો સાચો આનંદ માણી શકે છે. બાકીના લોકોએ મહાન ચિંતનલેખોને બદલે ક્ષુલ્લક, નગણ્ય, તુચ્છ, વાસ્તવલક્ષી વાતોથી ચલાવી લેવું પડે છે.

***

સીમની જેમ શહેરીકરણ પણ નિબંધ-ચિંતનનો પ્રિય વિષય છે. જેમ કે, ‘મેકડોનલ્ડ’માં હવે બાજરીના રોટલાના બેઝ પર પીત્ઝા શરુ થવાના છે. શહેરીકરણથી ત્રસ્ત અને એકલતાથી ગ્રસ્ત આધુનિક સંસ્કૃતિમાં આ દિવસ અચૂક આવશે, એવું મને લાગતું હતું.

રોટલાની શાન ‘મેકડોનલ્ડ’વાળા શું જાણે? અમારા ગામના શંભુ મહારાજના હાથના રોટલા ખાધા હોય તો ‘મેકડોનાલ્ડ’ના રસોઇયા સન્યાસ લઇને શંભુ મહારાજના ચેલા બની જાય. શંભુ મહારાજનો રોટલો એટલે જાણે બે પરિમાણમાં તૈયાર થયેલી પૃથ્વી! રોટલો ગરમ હોય ત્યારે તો ફુલીને એવો દડો થાય કે બેઝબોલ રમવામાં વાપરી શકાય. બેઝબોલનો બોલ બનાવતી એક અમેરિકન કંપનીએ રોટલાના પેટન્ટ માટે અરજી કરી હતી, પણ તે નામંજૂર થઇ. કારણ કે તેના પેટન્ટ શંભુ મહારાજ પાસે નહીં, પણ મેકડોનલ્ડ પાસે છે. ‘મેકડોનલ્ડ’ વાળા કેવા રોટલા બનાવે છે, એ તો ખબર નથી. (કોઇ વાચક-વાચિકા ઇચ્છે તો તેમની સાથે હું ‘મેકડોનલ્ડ’માં આવવા તૈયાર છું. મારા વાચકો માટે હું કંઇ પણ કરી શકું છું.)

બીજા વિશ્વયુદ્ધના સમયે હિટલરનાં વિમાનો બ્રિટનની શેરીઓને ધમરોળી રહ્યાં હતાં ત્યારે અસ્વસ્થ ચર્ચિલ સ્વસ્થ ચિત્તપ્રકૃત્તિ કેળવવા માટે રોટલો અને છાશ ખાતા હોવાનું તેમના એક સહાયકે નોંઘ્યુંં હતું. એ નોંધ ધરાવતી ડાયરી પાછળથી અંગ્રેજોએ ગુમ કરી દીધી, પરંતુ આપત્તિકાળમાં ભારતીય ભોજનનો આશરો લેવો પડ્યો, એની દાઝમાં ચર્ચિલ આજીવન ભારતને ગાળો દેતા રહ્યા. હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે આ ઘટના અંગે વધુ તપાસ કરી હતી. તપાસનું મુખ્ય પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડમાં રહેવાનાં ઠેકાણાં શોધવામાં મને જરાય તકલીફ ન પડી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ યજમાન...

Tuesday, December 23, 2014

પેશાવર હત્યાકાંડ : કરુણતા અને તક

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર કે મુંબઇનાં વિવિધ સ્થળો પર ત્રાસવાદી હુમલાની યાદ અપાવે એવો ગંભીર અને કરુણ હુમલો ગયા સપ્તાહે પેશાવરમાં થયો. પાકિસ્તાનમાં સૈન્ય દ્વારા સંચાલિત ૧૪૬ સ્કૂલોમાંથી પેશાવરસ્થિત એકથી દસ ધોરણ સુધીની સ્કૂલમાં ત્રાસવાદીઓ ધૂસી ગયા, અંધાઘૂંધ ગોળીબાર કર્યો, ૧૩૨ બાળકો સહિત ૧૪૧ લોકોની ઠંડા કલેજે હત્યા કરી અને પાકિસ્તાની લશ્કરની જવાબી કાર્યવાહી પછી આઠ કલાકના અંતે ઠાર મરાયા.

‘તહેરીક-એ-તાલિબાન’ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનોના સમુહ-સંગઠને આ હુમલાની ગૌરવપૂર્વક જવાબદારી લીધી. તેમણે જાહેર કર્યું કે વઝીરીસ્તાન વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યની લશ્કરી કાર્યવાહી(‘ઝર્બે અઝ્‌બ’- પેગંબરી તલવારનો ફટકો)ના જવાબમાં આ સંહારલીલા આચરવામાં આવી હતી, જેથી ‘નિર્દોષોનાં મૃત્યુથી અમને કેવી પીડા થતી હશે, એનો તમને ખ્યાલ આવે.’

નક્સલવાદ અને ત્રાસવાદ 

કેટલાક ભારતવાસીઓને આ દલીલ કદાચ જાણીતી લાગે, કેમ કે, નક્સલવાદીઓ પણ પોતાની હિંસા વાજબી ઠરાવવા માટે કંઇક આ જ પ્રકારની દલીલ કરે છે. ભારતમાં નક્સલવાદીઓ મુખ્યત્વે લશ્કરી કે પોલીસ ટુકડીઓને નિશાન બનાવે છે. તેમનો આરોપ છે કે લશ્કર-પોલીસ, ટૂંકમાં સરકાર, શોષણખોર અને અત્યાચારી છે. તે સ્થાનિક લોકો પર અત્યાચાર ગુજારે છે. માટે, તેને પાઠ શીખવવો જોઇએ. નક્સલવાદીઓ અને પાકિસ્તાની તાલિબાનો વચ્ચે બીજું સામ્ય એ વાતનું  છે કે બન્ને ચૂંટાયેલી સરકારોને સ્વીકારતાં નથી અને તેમને ઉથલાવીને પોતાની સરકાર રચવાના મનસૂબા સેવે છે. માટે, તેમની સાથે વાટાઘાટો કરવામાં આવે તો પણ, સરવાળે તેમાંથી કશું નીપજતું નથી. સરકારનું અસ્તિત્ત્વ સ્વીકારવા જેવા પાયાના મુદ્દે મતભેદ હોય, ત્યાં સુલેહ શી રીતે થાય? નક્સલવાદીઓની જેમ પાકિસ્તાની તાલિબાનો પણ પોતાનો પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં સમાંતર સરકાર અને સમાંતર ન્યાયતંત્ર ચલાવે છે. કર ઉઘરાવે છે, ન્યાય તોળે છે અને સજા પણ ફટકારે છે. સરકારી તંત્ર તેમના રાજમાં દખલ કરવાની હિંમત કરે, તો તેને આકરી કિંમત ચૂકવવી પડે છે.

પાકિસ્તાની તાલિબાનો અને નક્સલવાદીઓ વચ્ચેનો મોટો તફાવત ધર્મ અને આશયનો છે. બન્ને (ભલે અસંતોષકારક છતાં) લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને ઉથલાવી પાડવા ઇચ્છે છે, પણ નક્સલવાદીઓ, કમ સે કમ કહેવા પૂરતા, ગરીબ લોકોને શોષણખોરી અને અત્યાચારોમાંથી મુક્તિ અપાવવા ઇચ્છે છે. (ત્યાર પછી ભલે તે નક્સલવાદીઓની આપખુદશાહીમાં ફસાય) નક્સલવાદીઓને ધર્મનું કશું ખેંચાણ નથી, તેમની હિંસા ધર્મઝનૂનપ્રેરિત નથી અને વૈશ્વિક ત્રાસવાદ સાથે તેને કશો સંબંધ નથી.

પાકિસ્તાની તાલિબાનોનું તંત્ર સાવ ઉલટું છે. તેમની પાસે ઇસ્લામની આગવી, સંકુચિત અને ભયંકર સમજ છે. પોતાની સમજણ પ્રમાણેના રૂઢિચુસ્ત ઇસ્લામને તે શસ્ત્રબળથી લોકો પર લાદવા ઇચ્છે છે. ભવિષ્યમાં જનરલ ઝિયા જેવો કોઇ કટ્ટર અને ઘાતકી શાસક પાકિસ્તાન પર ચડી બેસે, તો શક્ય છે કે પાકિસ્તાની તાલિબાનો તેની સાથે સમાધાન સાધી શકે. અત્યારના પાકિસ્તાનમાં પણ ઇસ્લામના નામે તાલિબાનો પ્રત્યે સહાનુભૂતિ રાખનાર એક વર્ગ છે. પેશાવરમાં થયેલી નિર્દોષ બાળકોની કતલ પછી તાલિબાનોએ સહાનુભૂતિકારોનો થોડો અંશ ગુમાવ્યો હશે અથવા આ બનાવ પછી તાલિબાનો માટે જાહેરમાં સહાનુભૂતિ વ્યક્ત કરવાનું કે ‘છેવટે તે આપણા જ માણસ છે’ એવું ‘ઉદાર’ વલણ દર્શાવવાનું અઘરું બનશે.

વર્તમાન પાકિસ્તાનમાં જનરલ ઝિયા જેવા કોઇ શાસકને મોકળું મેદાન મળવાની સંભાવના નથી. કારણ કે, તાલિબાનો પ્રત્યેનો ઝુકાવ કે લગાવ પાકિસ્તાનના અમુક વર્ગની વાસ્તવિકતા હોય તો, સત્તાનાં સૂત્રો સંભાળનારા વર્ગ માટે અમેરિકા સાથેની ‘દોસ્તી’ જાળવવાનો તકાદો પણ મોટો છે. ‘દોસ્તી’ શબ્દ અવતરણ ચિહ્નમાં લખવાનું કારણ એ કે પાકિસ્તાનને અમેરિકા જેવો મિત્ર અને અમેરિકા જેવો શત્રુ શોઘ્યો જડે એમ નથી.

વટવૃક્ષનાં મૂળીયાં

અમેરિકાએ પાકિસ્તાનને અનેક પ્રકારે આર્થિક અને લશ્કરી મદદ કરી છે. પરંતુ પાકિસ્તાનની વર્તમાન અવદશા માટે પણ અમેરિકા  ઘણી હદે જવાબદાર છે. દક્ષિણ એશિયામાં પોતાનાં ક્ષેત્રીય હિતો ખાતર રશિયાતરફી ભારતની સામે, અમેરિકાએ પાકિસ્તાનને ખોળે લીઘું. અફઘાનિસ્તાનની ‘ધર્મવિરોધી’ અને સામ્યવાદતરફી સરકાર સામે સ્થાનિક લોકોમાં તીવ્ર અસંતોષ વ્યાપ્યો, ત્યારે એ સરકારના બચાવ માટે ૧૯૭૯માં રશિયાનું સૈન્ય અફઘાનિસ્તાન પહોંચ્યું. અમેરિકાને અફઘાન મુજાહિદો (‘ધર્મયોદ્ધાઓ’) જીતે એમાં નહીં, પણ રશિયાને ફટકા પડે તેમાં રસ હતો. તેણે અફઘાનિસ્તાન-પાકિસ્તાનના લડાયક  પખ્તુનો અને બીજા ઝનૂનીઓના હાથમાં આઘુનિક હથિયાર આપ્યાં.

બીજાને મારવા સર્જેલા નવરા પડે એટલે માલિકની સામે બંદૂક તાણે, એવું જ પાકિસ્તાની કટ્ટરવાદીઓની બાબતમાં થયું. રશિયાએ થાકીને અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભર્યા પછી ત્રાસવાદીઓને થયું કે અમેરિકાએ તેમનો હાથા તરીકે ઉપયોગ કર્યો અને પછી તેમને રેઢા મૂકી દીધા. એટલે, તેમણે અમેરિકા સામે મોરચો માંડ્યો. લાદેન પણ અસલમાં અમેરિકાની આ નીતિની જ નીપજ હતો. અફઘાનિસ્તાનમાં સત્તાના શૂન્યાવકાશમાં ખૂંખાર- કટ્ટર તાલિબાનો પાંગર્યા અને સત્તા સુધી પહોંચ્યા. એટલે એક આખો દેશ જાણે ત્રાસવાદીઓના હાથમાં આવી ગયો. રશિયા સામેની લડતમાં તાલિબાનો અને પાકિસ્તાની ઝનૂનીઓ સાથે હતા. એટલ તમની વચ્ચે ધર્મ અને હિંસાની મજબૂત કડી હતી.

અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાનના પ્રાંતો ‘ફાટા’-  (ફેડરલી કન્ટ્રોલ્ડ ટ્રાઇબલ એજન્સીઝ-કેન્દ્રશાસિત કબીલાઇ વિસ્તારો) અને સરહદ પ્રાંત (નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ)ના લડાયક પખ્તુનો હિંસાના રંગે પૂરેપૂરા રંગાઇ ચૂક્યા હતા. તેમનો ખરો મેળ તાલિબાનો સાથે હતો અને પાકિસ્તાનની સરકારો તેમને વતાવતી ન હતી. પાકિસ્તાની સૈન્ય અને જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ.ની તો તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ રહી. પરિણામે  આ વિસ્તારોમાંથી એક્સપોર્ટ ક્વૉલિટીનો ત્રાસવાદ પેદા થયો, જેણે અમેરિકા સહિતના દેશોમાં તબાહી મચાવી અને તેમનો ખોફ વહોરી લીધો.

અમેરિકાએ પાકિસ્તાનમાં થાણાં બનાવીને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે હુમલા શરૂ કર્યા, એટલે પાકિસ્તાનની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઇ. અમેરિકાની આ ચેષ્ટાથી પાકિસ્તાનમાં લોકોની અમેરિકાવિરોધી લાગણી તીવ્ર બને. ‘અમેરિકા પાકિસ્તાનને ખંડિયું રાષ્ટ્ર ગણે છે’ એવા પ્રચારને બળ મળે અને લોકો પશ્ચિમવિરોધી- કટ્ટર ઇસ્લામની વાત કરતાં જૂથો ભણી ઢળે. બીજી તરફ, અમેરિકા સાથે મળીને કે તેના દબાણથી પાકિસ્તાની સૈન્ય તાલિબાની વિસ્તારો પર કાર્યવાહી કરે. એટલે તાલિબાનોને પાકિસ્તાની સૈન્ય તથા સરકાર સામે હિંસક વાંધા પડે. તેમાં પાકિસ્તાની પ્રજાની સેન્ડવિચ થાય. તાલિબાનો સામે જીવનું જોખમ ને અમેરિકા સામે સ્વમાનનું.

પાકિસ્તાની સરકારોને એક હાથ અમેરિકા સાથે હાથ મિલાવેલો રાખવો પડે, તો બીજો હાથ ખાનગી રાહે તાલિબાનો સામે પણ લંબાયેલો હોય. ભારતમાં આતંક મચાવતા ત્રાસવાદીઓને પાકિસ્તાન મોકળું મેદાન પૂરું પાડે અને તેને દેશપ્રેમનો ભાગ ગણે. પાકિસ્તાન પોતે ‘સારા (પોતાના કામના) ત્રાસવાદી’ અને ‘ખરાબ ત્રાસવાદી’એવા ભેદ પાડે. પછી પાકિસ્તાન ત્રાસવાદીઓ અને તાલિબાનોનો અખાડો ન બને, તો બીજું શું થાય?

સરહદ પ્રાંત (હાલનું નામ ‘ખૈબર પખ્તુનવા’)માં તાલિબાની દાદાગીરી અવગણીને મલાલા યુસુફઝઇ ભણતી હતી અને ‘છોકરીઓએ નહીં ભણવાનું’ એવા તાલિબાની આદેશનું ઉલ્લંઘન કરીને, એની સામે ઝુંબેશ ચલાવતી હતી. તેની આ કામગીરીની આંતરરાષ્ટ્રિય સ્તરે નોંધ લેવાતાં તાલિબાનોના એક માણસે બાર વર્ષની મલાલાને કપાળમાં ગોળી મારી દીધી. સારવાર માટે તેને તત્કાળ બ્રિટન લઇ જવાતાં તે બચી ગઇ અને આ વર્ષે શાંતિના નોબેલ પારિતોષિકથી સન્માનિત થઇ. પરંતુ મલાલાના કિસ્સા વખતે પાકિસ્તાનમાં એવું કહેનારા પણ હતા કે આ  તો પાકિસ્તાનને- તાલિબાનોને બદનામ કરવા માટેનો અમેરિકાનો સ્ટન્ટ છે.

જાણીતા પાકિસ્તાની લેખક નદીમ પરચાએ લખ્યું હતું તેમ, પેશાવરના હુમલા પહેલાંના તમામ પ્રસંગે હિંસા આચરનારા સિવાયના કોઇ ને કોઇ પરિબળનો હાથ શોધી કાઢવામાં આવતો હતો. જાણે, આખી વાતમાં પાકિસ્તાનનો કશો વાંક ન હોય. કેટલાક રાજકીય પક્ષો પણ આ પ્રકારની છેતરામણી વિચારસરણીને આગળ ધપાવીને, સચ્ચાઇ સ્વીકારવાનું કે તેની ચર્ચા કરવાનું ટાળતા હતા. છેલ્લા થોડા મહિનાથી પાકિસ્તાને કબીલાઇ ‘ફાટા’ વિસ્તારોમાં મોટા પાયે લશ્કરી કાર્યવાહી આરંભી અને તાલિબાનોનો સફાયો શરૂ કર્યો, ત્યારે પણ પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માટે તલપાપડ ઇમરાનખાને કહ્યું હતું કે તેમની સરકાર હોત તો તે ‘ફાટા’માં લશ્કર ન મોકલત. કરાચીનું એરપોર્ટ કબજે કરી શકતા પાકિસ્તાની તાલિબાનો માટે ઇમરાનખાન જેવા નેતાઓ આટલી કૂણી લાગણી જાહેરમાં પ્રગટ કરી શકતા હતા. આમ કરવાથી તેમને કટ્ટરત તત્ત્વોના રાજકીય ટેકાની આશા રહેતી હતી.

પેશાવરના હુમલાની કરુણતા પછી પાકિસ્તાન માટે એક નવી તક ઊભી થઇ છે. તાલિબાનોને ‘પોતીકા’ ગણવા કે નહીં, તેની અવઢવમાંથી મુક્ત થઇને, ‘સારા’ અને ‘ખરાબ’ ત્રાસવાદીઓ વચ્ચે ભેદ પાડવાનું બંધ કરીને પાકિસ્તાન પોતાની શાંતિ મેળવી શકે છે.

બીજે અશાંતિ ફેલાવીને ઘરઆંગણે શાંતિ મેળવી શકાતી નથી, એ હજુ પણ ન સમજાય તો ક્યારે સમજાશે? 

Monday, December 22, 2014

ધર્મ : વર્તન અને પરિવર્તન

સાચા હિંદુ ધર્મના અભ્યાસીઓથી માંડીને હિંદુત્વનું રાજકારણ ખેલનારા લોકો અને સર્વોચ્ચ અદાલત જેવી સંસ્થા પણ એક બાબત વખતોવખત ગાઇવગાડીને કહેતાં રહ્યાં છે : હિંદુ ધર્મ એ પરંપરાગત અર્થમાં, એક ધર્મગ્રંથ-એક ધર્મપુરુષ ધરાવતો ધર્મ નથી. સાચો હિંદુ ધર્મ અસલમાં જીવન જીવવાની રીત છે.

હિંદુ ધર્મનું ઊભું થયેલું માળખું એક તરફ એટલું સંકુચિત, બંધિયાર અને દમનકારી હોઇ શકે છે કે તે જ્ઞાતિપ્રથાના બોજ તળે શુદ્રો-અતિશુદ્રોને સદંતર કચડી નાખે. તેમને સાવ માણસમાંથી જ કાઢી નાખે. બીજી તરફ તે એટલું ઉદાર પણ હોઇ શકે છે કે નાસ્તિકોને પણ પોતાનામાં સમાવી શકે. ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મો પોતપોતાની સર્વોપરિતામાં રાચતા હોય અને ‘અમારા શરણમાં આવ્યા સિવાય ઉદ્ધાર નથી’, એવો દાવો ધરાવતા હોય ત્યારે અસલી હિંદુ ધર્મની વિશાળતા નોંધપાત્ર ગણાય.

જે રીતે માણસને બીજા ધર્મીમાંથી મુસ્લિમ, ખ્રિસ્તી કે બૌદ્ધ બનાવી શકાય છે, એવી રીતે સદીઓ સુધી તેને હિંદુ બનાવી શકાતો ન હતો. કેમ કે, હિંદુ કેવળ જન્મથી બની શકાતું હતું. (બીજા લોકોને હિંદુ ધર્મમાં લાવ્યા પછી જ્ઞાતિ-નિસરણીના કયા પગથીયે મૂકવા, એવા પેટાસવાલ પણ ખરા) ધર્મને નામે ચાલતા પાખંડના વિરોધી અને વૈદિક ધર્મના આગ્રહી દયાનંદ સરસ્વતીને લાગ્યું કે કમ સે કમ, હિંદુમાંથી મુસ્લિમ કે ખ્રિસ્તી બનેલાને ફરી પાછા હિંદુ બનાવવાની કોઇ વ્યવસ્થા હોવી જોઇએ. પરિણામે ‘આર્યસમાજ’ દ્વારા ‘શુદ્ધિ’ની વિધિ દાખલ કરવામાં આવી. એ પગલું ‘જીવન જીવવાની રીત’નો વિશાળ દરજ્જો ધરાવતા હિંદુ ધર્મને સંકોચીને દીવાલ-દરવાજાવાળો બનાવવાની દિશાનું હતું. ‘શુદ્ધિ’ શબ્દથી જ એ સૂચિત થતું હતું કે બીજા ધર્મમાં જનાર ‘અશુદ્ધ’ થાય અને તે હિંદુ બને ત્યારે જ ફરી ‘શુદ્ધ’ થાય.

વીસમી સદીના આરંભકાળમાં ‘શુદ્ધિ’ની ઝુંબેશનું ઠીક ઠીક જોર હતું અને કોમી તનાવમાં તેનાથી બળતણ પણ ઉમેરાતું હતું. ગાંધીજીના આડી લાઇને ચડેલા પુત્ર હરિલાલે કેટલાક લોકોની ચડવણીથી, મુખ્યત્વે પિતાને દુભવવા માટે ઇસ્લામ અંગીકાર કર્યો.ત્યાર પછી થોડા સમયમાં ‘શુદ્ધિ’ની ક્રિયાથી તે પાછા હિંદુ પણ બની ગયા. વિચારવા જેવો સવાલ એ છે કે હરિલાલ મુસ્લિમ બન્યા તેમાં ઇસ્લામનો અને પાછા હિંદુ બન્યા તેમાં હિંદુ ધર્મનો શો દહાડો વળ્યો? આવા કિસ્સામાં સામાન્ય રીતે બંધિયાર મનોદશા ધરાવતી ધર્મસંસ્થાઓ મજબૂત થાય છે ને ધર્મનું હાર્દ- તેનું પોત- તેની સાત્ત્વિકતા નબળાં પડે છે.

પાકિસ્તાનના પિતા-કમ-રાષ્ટ્રપિતા ગણાતા મહંમદઅલી ઝીણાના દાદાનું નામ પૂજાભાઇ ઠક્કર હતું. માછલીનો ધંધો કરતા પૂજાભાઇએ ચોખલિયા હિંદુ સમાજની ટીકાઓથી કંટાળીને, એક ખોજા વેપારીના સૂચનથી ધર્મપરિવર્તન કર્યું. પત્ની-બાળકોએ તેમના આ પગલાનો વિરોધ કરતાં, પૂજાભાઇએ હિંદુ ધર્મમાં પાછા આવવાનો પ્રયાસ કરી જોયો, પણ રૂઢિચુસ્ત હિંદુ ધર્મગુરુઓ તરફથી એ માટેની સંમતિ મળે એમ ન હતી. ‘આર્યસમાજ’ની ‘શુદ્ધિ’ઝુંબેશનું લક્ષ્ય સંભવતઃ આ પ્રકારના હિંદુઓ હતા. ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓએ શરૂ કરેલી ‘સેવા અને ધર્માંતર’ની ઝુંબેશ સામે હિંદુ ધર્મ વતી પ્રતિકારનો પણ ખ્યાલ ખરો.

‘શુદ્ધિ’ ચળવળથી થોડા લોકો હિંદુ ધર્મમાં પાછા ફરી શક્યા. પણ એ સિદ્ધિ મહદ્‌ અંશે સંખ્યાત્મક હતી. હિંદુ ધર્મમાં ધર્માંતરનું કે ‘શુદ્ધિ’નું (સંઘ પરિવારના શબ્દોમાં ‘ઘરવાપસી’નું) તત્ત્વ દાખલ કરનારે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના પ્રચારકોની જ નકલ કરી હતી. વેરભાવે ભજવું કે અનુકરણ કરવું, તે આનું નામ. ઇસ્લામ અને ખ્રિસ્તી આ બન્ને ધર્મોના પ્રચારકો માનતા હતા કે પરધર્મીઓને પોતાના ધર્મમાં સામેલ કરવાથી પુણ્ય મળશે- પોતાને અને પોતાનો ધર્મ અપનાવનારને પણ. પુણ્યના ખ્યાલ સિવાય બીજો આશય પોતાના ધર્મના લોકોની સંખ્યા વધારવાનો અને દુનિયામાં પોતાના ધર્મનો જયજયકાર ફેલાવવાનો હતો.

આવા ઝનૂન કે આશયના અભાવને કારણે, તત્ત્વતઃ હિંદુ ધર્મ કેટલીક બાબતોમાં ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ કરતાં ચડિયાતો ગણાતો હતો. પરંતુ હિંદુ ધર્મના કહેવાતા હિતચિંતકોથી હિંદુ ધર્મનું આ ચડિયાતાપણું જાણે જીરવાતું ન હતું. હિંદુ ધર્મ તેના સત્ત્વ કે ખુલ્લાપણા ઉપર નહીં, પણ ધર્મ પાળનારાંની સંખ્યાના કારણે ટક્યો હોય અને તેમની સંખ્યા ઘટે તો હિંદુ ધર્મ ખતરામાં આવી જાય- એવો હાઉ હિંદુ ધર્મના કેટલાક ઠેકેદારોએ ઊભો કર્યો.

પોતાને હિંદુ ધર્મના ખરા હિતેચ્છુ ગણતા હોય એવા લોકોએ ધર્મપરિવર્તનના મુદ્દે મુખ્ય બે બાબત વિચારવાની હોય  : ૧) બળજબરીથી હિંદુ ધર્મ છોડવો પડ્યો હોય તે ઇચ્છે તો, બજરંગદળ-વિશ્વ હિંદુ પરિષદ પ્રકારની સંસ્થાઓનાં રમકડાં બન્યા વિના, જાતે જ સહેલાઇથી પાછા ફરી શકે, એટલી મોકળાશ રાખવી. ૨) સ્વેચ્છાએ કે લાલચથી બીજો ધર્મ અપનાવનારાએ હિંદુઓના કયા અને કેટલા ત્રાસથી આવો નિર્ણય લીધો, એ સમજવું અને એ કારણો દૂર કરવાની ઝુંબેશ આદરવી.

એને બદલે હિંદુત્વનું રાજકારણ ખેલતી સંઘ પરિવારની સંસ્થાઓએ ધર્મપરિવર્તનનો વિરોધ કરવાની ‘હિંદુત્વ ખતરેમેં’ પ્રકારની નીતિ અપનાવી, જે તેમના કોમવાદી રાજકારણને એકદમ અનુકૂળ હતી. તેનાથી હિંદુ ધર્મમાં આંતરિક સુધારો કરવાની જવાબદારીમાંથી છટકી જવાતું હતું અને હિંદુઓને ‘હિંદુ રાષ્ટ્ર’નાં રંગીન સ્વપ્નાં બતાવીને, પોતાની સંસ્થાની પાંખમાં લેવાની સંભાવના હતી.

એ જ અભરખામાંથી હિંદુ ધર્મમાં પુનઃપ્રવેશ ઉર્ફે ‘ઘરવાપસી’નો કાર્યક્રમ આવ્યો- ખાસ કરીને ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓ ઘણી સક્રિય હતી તે આદિવાસી વિસ્તારોમાં. અત્યારે આગ્રામાં ગરીબ મુસ્લિમ પરિવારોને રેશનકાર્ડ અને બીજી લાલચો આપીને હિંદુ બનાવવાના વિવાદમાં પણ કેન્દ્રસ્થાને ‘ઘરવાપસી’ ઝુંબેશ છે.

ભાજપી નેતાઓને અસલમાં ધર્મપરિવર્તન સામે જૂનો વાંધો છે. અમિત શાહે ધર્મપરિવર્તનવિરોધી કડક કાયદો લાવવાની વાત કરી છે. કેટલાંક રાજ્યોમાં લાલચથી થતું ધર્મપરિવર્તન રોકવા માટેના કાયદા છે, પરંતુ રાષ્ટ્રિય સ્તરે એવો કાયદો નથી. થોડા મુસ્લિમોને પાછા હિંદુ બનાવવાના નિમિત્તે વિપક્ષો કકળાટ મચાવે અને ધર્મપરિવર્તનને લગતા કડક કાયદાની માગણી કરે, તેમાં સરવાળે ભાજપનું જ કામ થાય છે. કેમ કે, હમણાં સુધી બીજો ધર્મ છોડીને હિંદુ થનારનું પ્રમાણ ઓછું અને હિંદુ ધર્મ છોડીને બીજો ધર્મ અપનાવનારનું પ્રમાણ વધારે હોય છે. આ સંજોગોમાં ધર્માંતર અંગે કડક કાયદા બને તો તેમને યથેચ્છ વાપરવાની સગવડ થઇ જાય.

ધર્મ અને ધર્માંતર વ્યક્તિનો અંગત મામલો છે. સરકારના સંદર્ભે તેમાં જોવાનું એટલું હોય કે ધર્માંતરના પ્રયાસોમાં સરકાર કે રાજકીય પક્ષોની શી ભૂમિકા છે? સ્થાનિક તંત્રનું કેવું વલણ છે? અને વ્યક્તિના ધાર્મિક સ્વાતંત્ર્યનો ભંગ થાય છે કે કેમ? વાચાળ વડાપ્રધાને આગ્રાના ધર્માંતરના મુદ્દે મૌન ધારણ કર્યું, તો કેન્દ્ર સરકારે ‘આ તો રાજ્ય સરકારનો વિષય છે’ એવું ટેક્‌નિકલ વલણ લીઘું. ૨૭ પરિવારો મુસ્લિમમાંથી હિંદુ નહીં, પણ હિંદુમાંથી મુસ્લિમ થયાં હોત તો પણ તેમનું વલણ આવું જ હોત? પડદા પાછળ તેમણે કશા દોરીસંચાર ન કર્યા હોત? અને આગ્રામાં પણ એવું કશું થયું છે કે કેમ? એ સવાલોના આધારભૂત જવાબ મળતા નથી.

દરમિયાન, આગ્રાની ઘટના પછી કેટલાંક મુસ્લિમ જૂથોએ લાલચથી ધર્માંતરનો વિરોધ કર્યો છે. ધર્માંતરની બાબતમાં પક્ષકાર કે સહાનુભૂતિકાર હોય એવા મુસ્લિમ કે ખ્રિસ્તી ધાર્મિક સમુદાયો કંઇ ન બોલે એમાં જ તેમની શોભા છે. કારણ કે ‘લાલચથી થયેલાં ધર્મપરિવર્તન યોગ્ય નથી’ એવું શાણપણ ધર્મપરિવર્તન વિશે ઉત્સાહી ખ્રિસ્તી અને મુસ્લિમ ધાર્મિકોએ વધારે યાદ રાખવા જેવું છે. ધર્મપરિવર્તન બાબતે ગાંધીજીનો સાદો અને સચોટ મુદ્દો એટલો હતો કે દરેક પોતે જે ધર્મ પાળે છે, એ ધર્મનું ઉત્તમ રીતે પાલન કરે. ખ્રિસ્તી મિશનરીઓ ગરીબ હિંદુની સેવા કરતા હોય તો ભલે, પણ ધર્મોપદેશની વાત આવે ત્યારે તેમણે એ લોકોને સારા હિંદુ બનવા પ્રેરવા જોઇએ.

ડૉ.આંબેડકર જેવા વિદ્વાન લડવૈયાની સમસ્યા અલગ હતી. હિંદુ ધર્મે તેમને અને તેમના અનેક જ્ઞાતિબંઘુઓને પશુ કરતાં પણ ઉતરતા ગણ્યા હતા. હિંદુ તરીકે જન્મીને સિલસિલાબંધ, અમાનવીય અન્યાયોનો ભોગ બન્યા પછી તેમના માટે ધર્મ એ ધીક્કારનો પર્યાય બન્યો હતો. તેમના માટે નવો ધર્મ અપનાવવાની એટલી જરૂરિયાત કે તાલાવેલી ન હતી, જેટલી હિંદુ ધર્મ છોડવાની. હિંદુ ધર્મના કહેવાતા ઠેકેદારોને તે આંચકો આપવા માગતા હતા કે ‘તમારો ધર્મ અમને માણસમાં ગણતો નથી. કૂતરાંને મંદિરમાં પ્રવેશવા દે છે, પણ દલિતોને મંદિરમાં પગ મૂકવા દેતો નથી. ઢોરોને પાણી પીવા દે છે, પણ દલિતોને પાણી પીવા દેતો નથી. જો આ જ તમારો ધરમ હોય તો એને રાખો તમારી સાથે. અમે આ ચાલ્યા.’

ધર્મપરિવર્તન આંબેડકર માટે આઘ્યાત્મિક કરતાં પણ વધારે ભેદભાવવિરોધી ઝુંબેશનું નિવેદન હતું. ઊંડા અભ્યાસી હોવાને કારણે તેમણે બૌદ્ધ ધર્મ પર પસંદગી ઉતારી. પરંતુ તેમના સામુહિક ધર્માંતરના પાંચ દાયકા પછી સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે ધર્માંતર અસમાનતાનો અંત નથી આણી શકતું. ભારતમાં જ્ઞાતિગત સામાજિક અસમાનતા પેદા હિંદુ ધર્મમાંથી થઇ, પણ તેનો ચેપ બધા ધર્મોમાં ફેલાઇ ચૂક્યો છે. ધર્માંતરિત દલિતોને ડૉ.આંબેડકરે અપનાવેલા બૌદ્ધ ધર્મમાં પણ અલગ દરજ્જો હોઇ શકે, તો બીજા ધર્મોની ક્યાં વાત કરવી? તેમ છતાં, ‘શૉક થેરપી’ તરીકે દલિતો માટે ધર્માંતરનું હથિયાર હાથવગું છે. તેમાં નવા ધર્મની આસક્તિ કરતાં, જૂના અત્યાચારી ધર્મ પ્રત્યેની ખીજ વધારે હોય છે. ધર્માંતર માટે તૈયાર બાકીના લોકોનું મહત્ત્વ ધર્મનો વેપાર કરનારા માટે એક કૉમોડિટીથી વિશેષ કંઇ નથી. ધર્માંતરના એ આખા ઉપક્રમમાં સાચા ધર્મની ઉપસ્થિતિ કેવળ નામ પૂરતી જ રહી જાય છે. 

Thursday, December 18, 2014

બોલીને ફરી જવું : એક ઊચ્ચ ભાવના

નૈતિકતાની વાત નીકળે એટલે રિવાજ મુજબ ગાંધીજીને યાદ કરવા પડે- નૈતિકતાનો અભાવ વાજબી ઠરાવવાનો હોય ત્યારે તો ખાસ. એ નીવડેલી પરંપરા પ્રમાણે, આ લેખનો આરંભ પણ ‘ગાંધીજીએ કહ્યું હતું...’થી કરવાનો છે.

તો, ગાંધીજીએ કહ્યું હતું કે ‘મારી બે વાતો જુદી જણાય, તો પછીથી કહેલી વાત સાચી માનવી.’ બીજા એક મહાપુરૂષે કહેલું અને ડૉ.આંબેડકરે ટાંકેલું કે ‘સાતત્ય (દર વખતે એકની એક જ વાત કહ્યા કરવી) એ મૂર્ખ માણસનું લક્ષણ છે.’ તેમ છતાં, નેતાઓ બોલીને ફરી જાય, ત્યારે સામાન્ય માણસો કકળાટ મચાવે છે. કેમ જાણે, નૈતિકતામાં તે ગાંધી-આંબેડકરને પણ આંટી જવા માગતા હોય.

વર્તમાન સરકાર પર બોલીને ફરી જવાના ઘણા આરોપ થયા છે. હકીકતમાં આ વાક્ય ‘સૂર્ય પૂર્વમાં ઉગે છે’ પ્રકારનું છે. તે દરેક કાળમાં એટલે કે દરેક ‘વર્તમાન’ સરકાર માટે સાચું હોઇ શકે છે. સૌ જાણે છે કે સરકારનું કામ જ બોલીને ફરી જવાનું છે અને વિપક્ષોનું કામ એ બદલ સરકારની ટીકા કરવાનું છે. પરંતુ સહેજ વિચારતાં સમજાશે કે જો બોલીને ફરી જવું, એ ખરેખર નિંદનીય કે દુષ્ટતાભર્યું કાર્ય હોત તો સત્તા મળ્યા પછી વિપક્ષો પોતે પણ શા માટે બોલીને ફરી જવામાં પ્રવૃત્ત થઇ જતા હોત?

સહેજ અતિરેકના દોષ સાથે કહી શકાય કે બોલીને ફરી જવું એ સત્તાધારીઓનો લોકશાહીદીધો વિશેષાધિકાર છે. નેતાઓ ખોટા વાયદા આપીને ચૂંટણી જીતે છે કે પછી ચૂંટણી જીતવા માટે તેમને ખોટા વાયદા આપવા પડે છે? એ ‘પહેલાં મરઘી કે પહેલું ઇંડું?’ એ પ્રકારનો ઉત્ક્રાંતિપ્રશ્ન છે. એક શાયરે કહ્યંું છે કે જે જન્મે છે, એ સૌ મરણનું કારણ લઇને આવે છે. એવી જ રીતે, જે રાજકારણમાં અને ખાસ કરીને ચૂંટણીકારણમાં ઝંપલાવે છે, એ સૌ બોલીને ફરી જવાનું મજબૂત કારણ લઇને આવે છે. જોે તે બોલીને ફરી ન જાય, તો વિપક્ષો ટીકા શાની કરે? અને ટીકા કરતો, સંસદની કાર્યવાહી ખોરવતો, વાઇબ્રન્ટ વિપક્ષ ન હોય તો લોકશાહી નબળી ન પડે? આમ, સુજ્ઞ વાચકો જોઇ શકે છે કે ધબકતા વિપક્ષ અને જીવંત લોકશાહી માટે પણ સત્તાધારીઓએ બોલીને ફરી જવું અનિવાર્ય છે.

નિત્યનૂતન, નિત્યપરિવર્તનશીલ જગતમાં એક જ સિદ્ધાંત કે એક જ માન્યતા પર ટકી રહેવું એ નકરું પછાતપણું નહીં તો બીજું શું છે? બોલીને ફરી જવા જેવી નીતાંત લોકશાહી-પોષક પ્રવૃત્તિ કલંકિત-ટીકાસ્પદ શા માટે ગણાતી હશે, તેનો જવાબ ઇતિહાસના થોડાઘણા અભ્યાસમાંથી મળી રહે છે. અસલના રાજાશાહી ભારતમાં રજપૂત રાજાઓની બોલબાલા હતી. રજપૂતોની વચનપક્કાઇને ઇતિહાસમાં બહુ બઢાવીચઢાવીને રજૂ કરવામાં આવી છે. ‘શૂરા બોલ્યા ના ફરે...’ પ્રકારનાં કવિતોથી માંડીને દીધેલા વજન કાજે જીવ કુરબાન કરી દેનારાના ઘણા કિસ્સા ઇતિહાસમાં મળી આવે છે. તેના કારણે, રાજાશાહીનાં ઘણાં તત્ત્વોની જેમ, બોલીને ન ફરવાના ગુણને પણ લોકો હજુ સુધી અહોભાવથી જુએ છે અને એવી અપેક્ષા રાખે છે કે વર્તમાન શાસકોએ રજપૂતી રિવાજ પ્રમાણે વર્તવું.

લોકો તો અબુધ છે, પણ લોકશાહી શાસકોના હૈયે દેશનું હિત વસેલું છે. એ સમજે છે કે ટેક અને શૌર્યના અતિશયોક્તિભર્યા ખ્યાલો રાજાશાહીમાં ચાલે. એના કેફમાં ને કેફમાં રજપૂતોનાં રાજપાાટ ડૂલી ગયાં ને હિઝ હાઇનેસો આમઆદમીઓ થઇ ગયા. દેશની એટલે કે પોતાની આવી અવદશા ન થાય એ માટે, અબુધ નાગરિકોની નારાજગી વહોરીને પણ લોકશાહીના સત્તાધીશો બોલેલું પાળતા નથી અને  સાતત્યપૂર્વક બોલીને ફરી જવાનો આગ્રહ સેવે છે. તેેમના આ લોકશાહીપ્રેમની અને પોતાની પ્રતિષ્ઠાનના ભોગે પણ લોકશાહીની રક્ષા કરવાની વૃત્તિની કદર કરવાની બાજુ પર રહી. ઊલટું, વાંકદેખું મીડિયા અને છિદ્રાન્વેષી વિશ્લેષકો નેતાઓની ટીકા કરે, તેમને તળિયા વગરના લોટા સાથે સરખાવે, ‘અભી બોલા, અભી ફોક’ જેવાં મહેણાં મારે, ત્યારે લોકશાહીપ્રેમીઓનો જીવ કપાઇ જાય છે.

બોલીને ફરી જવું એ ખાવાના ખેલ નથી. (પીવાના ખેલ હોઇ શકે છે. કારણ કે ગુજરાતમાં પ્રતિબંધિત એવાં પીણાં પીધા પછી, અગાઉ પોતે શું બોલ્યા હતા એ યાદ રાખવામાં મગજ સહકાર આપતું નથી.) સચિન તેંડુલકરને બેટિંગ કરતા જોઇને કે આશા ભોસલેને ગીત ગાતાં જોઇને ઘડીભર થાય કે ‘એંહ, એમાં શું? આ તો હું પણ કરી શકું.’ એવી જ રીતે, બોલીને ફરી જવાના નિષ્ણાત કલાકારો પોતાની કળાનો પ્રયાગ કરે, ત્યારે ઘણાના મનમાં ‘આ તો હું પણ કરી શકું’નો ભાવ પેદા થાય છે. હકીકતમાં સારું બેટિંગ કરવું કે રીઢા નેતાઓની જેમ બોલીને ફરી જવું, એ સૌ કોઇ માટે સહજસાઘ્ય નથી. એના માટે નિરંતર સાધના કરવી પડે છે. યાદશક્તિને એવી રીતે કેળવવી પડે છે કે જેથી તેને ભૂતકાળમાંથી કેવળ બીજાનાં નિવેદનો યાદ રહે અને પોતાની પાટી કોરી થતી જાય.

આ સાધના ફક્ત રાજનેતાઓ જ કરે છે એવું માની લેવાની જરૂર નથી. અખબારી કટારોથી માંડીને સામાજિક વ્યવહારોમાં બોલીને ફરી જવાની કળાના અનેક આરાધકો મળી આવે છે. તે નમ્ર હોવાથી પોતાની સિદ્ધિનાં ગાણાં ગાતા નથી. ઊલટું, તે એમ જ કહે છે કે એ તો બોલેલું પાળનારા એકવચની છે. પરંતુ, ‘ચંદ્ર છુપે નહીં બાદલ છાયો’ની જેમ, બોલીને ફરી જવાની તેમની પ્રતિભા એમ તેમની નમ્રતા તળે લાંબો સમય છાની રહી શકતી નથી.

ટૂંકા રસ્તે લોકપ્રિય થવાથી માંડીને જાહેર જીવનમાં આગળ વધવા જેવી અનેક બાબતોમાં બોલીને ફરી જવાનું કૌશલ્ય ઘણું ઉપયોગી નીવડે છે. આ સિદ્ધાંત અપનાવવાથી જીવનનાં પરસ્પર વિરોધાભાસી, પણ અનુકૂળ ‘સત્યો’ને અપનાવી શકાય છે. જેમ કે, એક જ સમયે ગાંધીના સિદ્ધાંતની વાત કરી શકાય છે, એન્કાઉન્ટરોની તરફેણ થઇ શકે છે, દુર્યોધનનાં લક્ષણધારીઓની ભક્તિ કરતાં કરતાં કૃષ્ણને ટાંકી શકાય છે,  ગીતાનું લાકડું મેનેજમેન્ટના માંકડા સાથે ભીડાવી શકાય છે,  આત્મશ્લાઘાનાં અફીણ ઘોળતાં ઘોળતાં પ્રેરણા અને પોઝિટિવ થિંકિંગનાં પિયુષ પાઇ શકાય છે, હળહળતું જૂઠાણું બોલતી વખતે ‘હું તો વીર સાચ્ચેસાચ્ચું કહી દેવાવાળો’નો દાવો કરી શકાય છે અને પોતાના દેખીતા વિરોધાભાસો પોતાની જેમ બીજા પણ નજરઅંદાજ કરશે- ના, એને વધાવી લેશે, એવી આશા રાખી શકાય છે. કંઇક કોડીલાઓની આવી આશા ફળતી જોઇએ અને બોલીને ફરી જવાની તેમની લીલાનો જયજયકાર જોઇએ ત્યારે બોલીને ફરી જવાની પ્રવૃત્તિના - તથા તેની સાથે સીધો સંબંધ ધરાવતી લોકશાહીના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી થાય છે.

બોલીને ફરી જવાની ચેષ્ટા અંગ્રેજીમાં ‘યુ ટર્ન’ તરીકે ઓળખાય છે. પરંતુ સંસ્કૃતિના અભ્યાસીઓ જાણે છે કે ‘યુ ટર્ન’ એ હંમેશાં પાછળ તરફની ગતિ નથી હોતી. હાલની ઉપભોક્તાવાદી અને વસ્તુકેન્દ્રી સંસ્કૃતિથી ચિંતિત ઘણા લોકો માને છે કે માનવજાતે ઉજ્જવળ ભવિષ્ય ભણી ગતિ કરવી હશે તો હાલના રસ્તે સીધા ચાલવાને બદલે ‘યુ ટર્ન’ લેવો પડશે. જે રસ્તો- ‘યુ ટર્ન’- આખી માનવજાતના હિત માટે પ્રબોધાતો હોય, તેને કલંકિત કે ખરાબ શી રીતે ગણી શકાય? અને ‘યુ ટર્ન’ લેનારા નેતાઓ સામે શી રીતે આંગળી ચીંધી શકાય? સ 

Tuesday, December 16, 2014

‘નેતાજી’ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ : રહસ્યનું રાજકારણ

સુભાષચંદ્ર બોઝ વિશેની કેટલીક ગુપ્ત ફાઇલો પરથી પડદો ઊંચકવાનો ઇન્કાર કરીને એનડીએ સરકારે વઘુ એક બાબતમાં શીર્ષાસન કર્યું છે, એટલું જ નહીં, નેતાજીના મૃત્યુના રહસ્ય પર વઘુ એક પડ પણ ચડાવ્યું છે

ભારતની આઝાદીની લડાઇમાં સુભાષચંદ્ર બોઝનું સ્થાન વિશિષ્ટ અને ઇતિહાસના પ્રવાહમાં વમળો પેદા કરનારનું રહ્યું છે. અભ્યાસમાં તેજસ્વી અને મિજાજમાં તેજ, જુવાનવયથી લશ્કરી ગણવેશ પહેરવશ પ્રત્યે ખેંચાણ ધરાવનારા અને સાવ જુવાન વયે કોંગ્રેસપ્રમુખના અભિનંદન-સરઘસમાં લશ્કરી ગણવેશમાં ફરનારા સુભાષચંદ્ર બોઝ ઘણી બાબતોમાં ગાંધી-નેહરુ-સરદાર ધરી કરતાં સામા છેડે હતા.
Subhash Chandra Bose

ગાંધીજીની માન્યતા ધરાવતા ઉમેદવારને હરાવીને કોંગ્રેસના પ્રમુખ બનેલા સુભાષચંદ્રની યુવાપેઢીમાં લોકપ્રિયતા જવાહરલાલ નેહરુની હરીફાઇ કરે એવી હતી. ગાંધીજીના વિરોધને કારણે કોંગ્રેસના રાજકારણમાંથી અલગ થયેલા, અંગ્રેજો દ્વારા નજરકેદ કરાયેલા અને તેમને હાથતાળી આપીને વિદેશ પહોંચનારા સુભાષચંદ્રના જીવનનો આખરી અઘ્યાય સસ્પેન્સ ફિલ્મ જેવો રોમાંચક, પણ કપાયેલા અંતવાળી સસ્પેન્સ ફિલ્મ જેવો અઘૂરો રહ્યો.

ભારતની સત્તાવાર તવારીખ પ્રમાણે, ૧૮ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ તાઇવાન (એ વખતના ફોરમોસા)માં વિમાન અકસ્માતમાં નેતાજીનું મૃત્યુ થયું. ત્યાર પછી એક તપાસસમિતિ ને બે તપાસપંચ નીમાઇ ગયાં. પરંતુ એ કવાયત પછી નેતાજીના મૃત્યુનું રહસ્ય ઉકલવાને બદલે વઘુ ગુંચવાયું. નેતાજીના મૃત્યુની પહેલવહેલી તપાસનો દાવો અંગ્રેજીમાં લખતા એક ગુજરાતી પત્રકાર હરિન શાહે કર્યો હતો. ‘ફ્રી પ્રેસ ઑફ ઇન્ડિયા’ ન્યૂઝ એજન્સીના પ્રતિનિધિ તરીક ચીનમાં થોડો સમય રહેલા હરિનભાઇને ચીનના વડા સાથે એક પત્રકારમંડળમાં ફૉરમોસા (તાઇવાન) જવાની તક મળી. ફૉરમોસાના પાટનગર તાઇપેઇમાં નેતાજીને અકસ્માત થયો હોવાની અને ત્યાં જ તેમની અંતિમ ક્ષણો વીતી હોવાની વાત હતી.

હરિન શાહે ફોરમોસાના પાટનગર તાઇપેઇની પોતાની તપાસ અને મુલાકાતના આધારે એક પુસ્તક લખ્યું : ‘વર્ડિક્ટ ફ્રૉમ ફૉરમોસા : ગૅલન્ટ ઍન્ડ ઑફ નેતાજી’/ Verdict from Formosa : Gallant End oF Netaji. નેતાજીની આખરી સારવાર કરનારી નર્સથી માંડીને તેમની અંતિમ વિધિ જ્યાં થઇ હતી તે સ્મશાનના ઇન્ચાર્જ અને કેટલાક લશ્કરી અફસરોને મળ્યાનો હરિન શાહનો દાવો હતો. તાઇપેઇની મ્યુનિસિપાલિટીમાં સુભાષચંદ્ર બોઝનું મનાતું ડેથ સર્ટિફિકેટ પણ પહેલવહેલું હરિન શાહે હસ્તગત કર્યું હતું.

નેતાજીના સાથીદાર, આઝાદ હિંદ ફૌજના અફસર અને ‘લાલ કિલ્લા કેસ’ના એક હીરો શાહનવાઝ હુસૈનની આગેવાની હેઠળ ૧૯૫૬માં નેહરુ સરકારે એક તપાસસમિતિ નીમી. લગભગ એ જ અરસામાં હરિન શાહનું પુસ્તક પ્રકાશિત થયું. એ બન્નેમાં નેતાજીના મૃત્યુના સમાચાર પર આખરી-કાયમી મહોર મારવાની વાત હતી. પરંતુ એ કેસ બંધ થયો નહીં. સુભાષચંદ્ર બોઝ સ્થાપિત રાજકીય પક્ષ ‘ફૉરવર્ડ બ્લૉક’ના એક નેતા અને અઘ્યાપક સમર ગુહાએ ‘નેતાજી : ડેડ ઑર અલાઇવ’ / Netaji : Dead Or Alive? એ શીર્ષક ધરાવતું એક પુસ્તક લખ્યું. પ્રો.ગુહા જેવા કેટલાક લોકોના દબાણથી જ ૧૯૭૩માં નિવૃત્ત ન્યાયાધીશ જી.ડી.ખોસલાના અઘ્યક્ષપદે ખોસલાપંચની રચના કરવામાં આવી. તેમાં સમર ગુહા પણ સભ્ય હતા. ગુહાએ પોતાના પુસ્તકમાં હરિન શાહની ઘણી સામગ્રીને કપોળકલ્પિત ગણાવી. હરિન શાહ સાથે ૧૯૯૬માં વિગતે વાત કરવાની તક મળી ત્યારે, સ્વાભાવિક રીતે જ તેમણે પોતાના પુસ્તકની માહિતીનું સમર્થન કર્યું હતું. પરંતુ શાહ અને ગુહા બન્નેના પુસ્તકોના સ્વતંત્ર વાચન પછી પણ ઘણા સવાલ અઘૂરા રહી જતા હતા.

૧૯૯૯માં મુખરજી પંચે એ નેતાજીના મૃત્યુની વઘુ એક તપાસ હાથ ધરી ત્યારે એ પંંચે જૂની માન્યતા પર મહોર મારીને આગળ વધી જવાને બદલે ઊંડી તપાસ કરી. પરંતુ તેનો અહેવાલ તત્કાલીન યુપીએ સરકારે સ્વીકારવાની કે જાહેર કરવાની ના પાડી દીધી. એમ કહેવામાં આવ્યું કે એ અહેવાલ જાહેર કરવાથી ભારતના વિદેશો સાથેના સંબંધો સહિત બીજા ઘણા પ્રશ્નો ઊભા થઇ શકે એમ છે.

નેહરુ સરકારથી માંડીને યુપીએ સરકાર સુધી નેતાજીના મૃત્યુની વાતને જ આગળ કરવામાં આવી અને જાપાનના રેનકોજી મંદિરમાં સચવાયેલા અસ્થિકળશ નેતાજીના જ છે, એમ ભારપૂર્વક રજૂ કરાતું રહ્યું. ત્યારે ચાલતી એક મુખ્ય અટકળ એ હતી કે જવાહરલાલ નેહરુ-સુભાષચંદ્ર બોઝ વચ્ચેની હરીફાઇને કારણે કોંગ્રેસી સરકારો સત્ય બહાર આવે તેમ ઇચ્છતી નથી. ‘સરકારે નેતાજીના મૃત્યુને લગતી ફાઇલો જાહેર કરવી જોઇએ. લોકોને સાચી માહિતી જાણવાનો અધિકાર છે’ એવાં નિવેદનો વિપક્ષ તરીકે ભાજપે ઘણી વાર કર્યાં, પરંતુ હવે ભાજપની-એનડીએની સરકાર છે ત્યારે માહિતી અધિકાર અંતર્ગત હેઠળ થયેલી એક અરજીના જવાબમાં આ સરકારે પણ યુપીએ સરકારની જેમ નેતાજીના મૃત્યુને લગતી ફાઇલો જાહેર કરવાની ના પાડી દીધી છે.

નેતાજીના મૃત્યુ અને આઝાદ હિંદ ફોજ અંગેની કુલ ૪૧ ફાઇલ છે. આ ફાઇલોનો સમયગાળો ૧૯૫૩થી ૨૦૦૦ વચ્ચેનો છે. તેમાંથી બે સિવાયની બધી ફાઇલો ખાનગી રાખવામાં આવી છે. આઝાદી પછીનાં વર્ષો સુધી નેતાજી જીવીત હોવાની અનેક અફવાઓ સાંભળવા મળતી હતી. ‘નેતાજી રશિયાથી ભારત આવીને ગુપચુપ એક આશ્રમ રાખીને સ્વામી શારદાનંદ તરીકે રહ્યા હતા, ભારત સરકારે જ તેમને ૧૦૦ એકર જમીન આપી હતી અને ભારતની આઝાદીનું ઘ્યેય સિદ્ધ થઇ ગયા પછી તે સક્રિય રાજકારણમાં રહેવા ઇચ્છતા ન હતા’- આ વાતને સત્ય સાબીત કરવા માટે ઉત્તરાખંડનું એક સંગઠન હજુ પણ પ્રયાસ કરી રહ્યું છે.

બીજી તરફ, જે ખાનગી માહિતી જાહેર કરવાથી ભારતના ‘આંતરરાષ્ટ્રિય સંબંધો બગડે એમ છે’- એ સરકારી દાવાને સમર્થન આપતાં કેટલાંક સંશોધન પણ થયાં છે. અનુજ ધર નામના એક પત્રકારે ‘ઇન્ડિયાઝ બિગેસ્ટ કવર અપ’/ India's Biggest Cover Up (ભારત સરકારે કરેલો સૌથી મોટો ઢાંકપિછોડો) એ શીર્ષક હેઠળ બે વર્ષ પહેલાં એક પુસ્તક લખ્યું હતું, તો હમણાં પ્રો. પુરબી રોયે ‘ધ સર્ચ ફૉર નેતાજી : ન્યૂ ફાઇન્ડિંગ્સ’/ The Search For Netaji : New Findings નામે એક વિગતવાર પુસ્તક લખ્યું છે. જાદવપુર યુનિવર્સિટી (બંગાળ)માં ડીપાર્ટમેન્ટ ઑફ ઇન્ટરનેશનલ રીલેશન્સમાં સેવાઓ આપી ચૂકેલાં અને લગભગ દોઢેક દાયકાથી નેતાજીના મૃત્યુના રહસ્ય વિશે કામ કરતાં પ્રો.રોયે રશિયન ભાષાની પોતાની જાણકારી ખપમાં લગાડીને કેટલાક રશિયન દસ્તાવેજ પણ પહેલી વાર હસ્તગત કર્યા છે.

પ્રો.રૉય અને અગાઉ પણ કેટલાક લોકો એવું સૂચવી રહ્યા છે કે નેતાજીના વિમાનને ખરેખર અકસ્માત થયો જ ન હતો. એ સહીસલામત રશિયા પહોંચી ગયા હતા. આટલી બાબતમાં એકમત હોય એવા લોકો પણ રશિયામાં નેતાજીનું શું થયું, એ વિશે મતભેદ ધરાવે છે. પ્રો.રૉય રશિયાના ‘ફિલ્મ એન્ડ ફોટોગ્રાફિક ડીપાર્ટમેન્ટ’ (સરકારી આર્કાઇવ્ઝ)માંથી બીજા વિશ્વયુદ્ધના સમયનો સુભાષબાબુનો ફોટો પણ લઇ આવ્યાં છે. રશિયાના આર્કાઇવ્ઝમાં ભારતીય નેતાઓમાં ફક્ત ગાંધીજીની તસવીર હતી. તેમની સાથે બીજા કોઇ નહીં ને સુભાષચંદ્રની તસવીર શા માટે, એવો સવાલ પણ ઊભો થયો છે.

એક થિયરી પ્રમાણે રશિયા હેમખેમ પહોંચેલા નેતાજીને સ્તાલિને જેલભેગા કર્યા હતા અને ‘ગુલાગ’ તરીકે ઓળખાતી સાઇબીરીયાની ખતરનાક જેલમાં જ નેતાજીનો અંત આવ્યો. આ અનુમાન છે, પરંતુ નેતાજીનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું ન હતું અને તે રશિયા પહોંચ્યા હતા, એવું માનનારા અભ્યાસીઓની સંખ્યા મોટી છે. હવે રશિયામાં નેતાજીનું શું થયું હતું તેની વિગતો બહાર આવે, તો ભારત-રશિયા સંબંધ બગડી શકે. એટલે યુપીએ કે એનડીએની સરકારો નેતાજીના મૃત્યુ અંગેની વિગત જાહેર કરવા માગતી નથી- એવું કહેવામાં આવે છે.

નેતાજીના મૃત્યુને લગતી વિગતો બેશક રસ, જિજ્ઞાસા અને કુતુહલનો વિષય છે. પરંતુ તેને નકરી લાગણીનો વિષય બનાવવાથી કામ સુધરવાને બદલે બગડે છે. જોકે, રાજકારણ ખેલતા નેતાઓ તથા નેતાજીના ભક્તો માટે લાગણી જ સૌથી કામની ચીજ હોય છે. બાકી, કેપ્ટન લક્ષ્મી સહગલ જેવાં નેતાજીનાં સાથીદાર ‘નેતાજી જીવે છે કે મૃત્યુ પામ્યા?’ અને ‘તેમનું મૃત્યુ કેવી રીતે થયું?’ એના વિવાદમાં ભાગ્યે જ પડ્યાં.૧૯૯૯માં તેમની સાથે થયેલી દીર્ઘ મુલાકાતો દરમિયાન, તેમણે કદી નેતાજીને લગતાં અટકળ-અનુમાનો કે તેના રાજકારણ વિશે વાત કરવાની વૃત્તિ ન દેખાડી. તેમણે નેતાજીના રસ્તે ચાલીને યથાશક્તિ લોકોની સેવા કરવાનો પ્રયાસ કર્યો.

મૃત્યુની વિગતો જાહેર થાય એ માટે પ્રયાસ કરવામાં કશું ખોટું નથી, પણ મૃત્યુની ચર્ચામાં જીવન અને જીવનકાર્ય કોરાણે ન મૂકાઇ જાય, એ પણ એટલું જ અગત્યનું નથી? 

Thursday, December 11, 2014

બટાટાનું શાક : એક રસાદાર સ્મરણ

અનેક જૈન મિત્રોની નારાજગીનું જોખમ વહોરી લઇને પણ કહેવું પડશે કે કઠોર પરિશ્રમનો અને અગાઉ જ્ઞાતિભોજનમાં બનતા બટાટાના રસાવાળા શાકનો કોઇ વિકલ્પ નથી. આયુર્વેદવાળા ભલે સીઝન પ્રમાણે રીંગણથી માંડીને કારેલાંને ‘શાકનો રાજા’ ગણાવ્યા કરે. એ બઘું ‘લાલબાગચ્યા રાજા’ની નકલમાં ઊભા થઇ ગયેલા ‘આંબાવાડીચ્યા રાજા’ ને ‘મણિનગરચ્યા રાજા’  જેવું છે. અસલી રાજા તો એક જ : બટાટા.

કળાજગતમાં એબ્સ્ટ્રેક્ટ ચિત્રો દોરનારને સાદા સ્કેચ દોરતા આવડવા જરૂરી છે (ઇચ્છનીય છે), તેમ પાકશાસ્ત્રમાં અવનવા અખતરા કરનારાને પણ સીધુંસાદું બટાટાનું શાક આવડવું અનિવાર્ય છે. બલ્કે, બટાટાનું શાક એ પાકકળાકૌશલ્યની પ્રાથમિક કસોટી છે. ગુજરાત ટુરિઝમની બચ્ચન-બાનીમાં ‘ગુજરાતી-હિંદી’નો વઘાર કરીને કહી શકાય, ‘જિસકો બટાટા નહીં ફાયા, ઉસકો કુચ્છ નહીં ફાયા.’ ભ્રષ્ટ આચારનો રેલો છેક ગુજરાતી ડાઇનિંગ હૉલ સુધી પહોંચી ગયો હોય અને ત્યાં પણ ગુજરાતીના નામે, ગુજરાતીના બદલે રાજસ્થાની પીરસાતું હોય ત્યારે, ગુજરાતની અસ્મિતા જેટલો જ કે તેનાથી પણ વધારે અગત્યનો મુદ્દો ગુજરાતી સ્વાદવાળા બટાટાના શાકની અસ્મિતાનો બની જાય છે.

સરેરાશ ભારતીય જેમ જ્ઞાતિવાદી હોય છે, તેમ સરેરાશ ભોજનપ્રેમી ગુજરાતી જ્ઞાતિભોજનમાં બનતા બટાટાના શાકના પ્રેમી હોય છે : સીઘુંસાદું, ‘વેનિલા’, બટાટાનું રસાદાર શાક. તેમાં કોઇ કાજુ-દ્રાક્ષની ગરબડ નહીં, ફુદીનાના ‘પંચ’ નહીં, તેને ‘રિચ’ બનાવવા કે દેખાડવાનો દાખડો નહીં. બસ, બટાટાનાં છાલવાળાં, મોટાં ફોડવાં અને ઘટ્ટ રસો. આવું શાક પતરાળામાં પડ્યું હોય ત્યારે તેની આગળ પકવાન પણ પાણી ભરે.

પણ એ જ તકલીફ છે : જ્ઞાતિના ભેદભાવ નાબૂદ કરવાને બદલે, આપણે જ્ઞાતિભોજન માટે બનતું બટાટાનું શાક ગુજરાતી થાળીમાંથી નાબૂદ કરી દીઘું છે. આવું શાક પણ પતરાળાની જેમ ‘એન્ટિક’ બની ગયું છે. હવે બટાટાના રસાવાળા શાકના નામે જે પદાર્થ પીરસાય છે તેમાં અને અસલના બટાટાના શાકમાં અસલી સરદાર અને છોટે સરદાર જેટલો તફાવત હોય છે.

આટલાં વખાણ વાંચીને કોઇનેે - ખાસ કરીને નવી પેઢીના વાચકોને- લાગી શકે છે કે જરા અતિશયોક્તિ થઇ રહી છે. આવી શંકા કરનારનો વાંક નથી. ‘હાય, કમબખ્ત, તૂને પી હી નહીં’ એવું કહેતા શાયરની જેમ, આવા લોકોને પણ કહી શકાય કે ‘તમે એ ચાખ્યું જ ન હોય, એટલે તેનો જાદુ તમને કેમ ખબર પડે?’

જ્ઞાતિભોજનની પંગતનું એ દૃશ્ય જરા કલ્પી જુઓ : જુદાં જુદાં રજવાડાંને ભેગાં કરીને બનાવેલા ભારત જેવું, જુદાં જુદાં પાનને સળીઓથી જોડીને તૈયાર કરાયેલું ખાખી કે લીલાશ પડતા રંગનું, ઉપસેલી કિનારી વગરનું એક પતરાળું હોય, તેમાં મોરચા સરકારની અસ્થિરતાની યાદ અપાવતો એક ઉબડખાબડ પડિયો હોય, પીરસણીયા વાનગીઓ લઇને પંગત ધમરોળવા માટે મેદાને પડે, એટલે બેઠેલા લોકો પણ સાવધાન થઇ જાય. પીરસણીયો ઉતાવળ કરીને, જેમતેમ પીરસીને જતો ન રહે અને ‘સ્પેસિફિકેશન’ પર બરાબર ઘ્યાન આપે, એ માટે જમવા બેઠેલા લોકોએ કમર કસવી ને બાંયો ચડાવવી પડે. ‘એ ભાઇ, કચુંબરમાં મરચું ન આવવા દેતા અને સહેજ આ બાજુ મૂકજો...મોળી દાળ છે? શું ભલા માણસ, આટલો ખર્ચો કર્યો એને એક મોળી દાળ શું ભારે પડવાની હતી? ઠીક છે, જે હોય તે રેડો...જુઓ, લીલવાના શાકમાં તેલ ન આવવા દેતા...અને રાયતું થોડું વધારે તો આપો...આમ ચકલીની ચરક જેટલું શું પીરસો છો? માણસ ફુલવડી શાની સાથે ખાય?...અને બટાટાના શાકમાં જરા રસો આવવા દેજો, મોટાં ને મોટાં ઢીમચાં ન મૂકતા... (અથવા)...રસો શું ધબકારો છો? જરા  ફોડવાં તો આવવા દો. પછી કોણ જાણે તમે ક્યારે પાછા દેખાશો...’

જ્ઞાતિભોજનમાં બટાટાના શાકના અનેકવિધ ઉપયોગ હતા. ભોજનાર્થીને તે કામધેનુ લાગતું હોય તો નવાઇ નહીં. નાની ટેકરીઓ જેવડું કદ ધરાવતાં બટાટાનાં છાંડાવાળાં ફોડવાં જમવામાં જ નહીં, અન્યત્ર પણ મજબૂત આધાર પૂરો પાડતાં હતાં. એ વખતે પડિયાની સ્થિરતાના પ્રશ્નો ગંભીર હતા. રાજકીય પક્ષોના નિવેદનબાજોની જેમ, મોટા ભાગના પડિયા ઘડીમાં આ તરફ ઢળતા, તો ઘડીમાં પેલી તરફ. એમાં પણ અંદર દાળ ભરાયા પછી તેમની સ્થિતિ ઓર નાજુક બનતી. કમંડળમાંથી દાળ રેડાઇ રહી હોય ત્યારે જ, પડિયો જાણે ભાવાવેશમાં આવી ગયો હોય અથવા જ્ઞાતિભોજનમાં બનતી ખાસ પ્રકારની દાળની સુગંધમાત્રથી ડોલી ઉઠ્યો હોય તેમ હલબલી ઉઠતો. એ વખતે, જમવા બેસનાર બાળક હોય તો પીરસનાર અથવા બાજુમાં બેઠેલા વડીલ સૂચના આપતા, ‘પડિયાને બટાટાના ફોડવાનો ટેકો કર.’ એટલે શ્રીકૃષ્ણ ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરે છે એવું નહીં, તો પણ લગભગ એ જ કક્ષાનું દૃશ્ય સર્જાતું. બટાટાનું મોટું ફોડવું બહારથી ટેકો આપીને પડિયાને સ્થિરતા પ્રદાન કરતું હતું અને ભોજનોત્સુકો ઉચાટ રાખ્યા વિના દાળનું આચમન કરતા હતા. બટાટાના ફોડવાથી પડિયાને મળેલી સ્થિરતા, રાજકીય ટેકા કરતાં વધારે ટકાઉ અને ભરોસાપાત્ર રહેતી.

બટાટાના શાકનો સ્વાદ સ્વતંત્રપણે એટલો સમૃદ્ધ રહેતો કે તેને પુરી સાથે અને દાળ-ભાત સાથે, એમ બન્ને રીતે આરોગી શકાતું હતું. એ સિવાય શોખીનો ચમચી વિના, આંગળીઓની મદદથી દાળની સાથે બટાટાનું શાક પણ એકલું ખાતા હતા. સ્વાદદ્વેષીઓ કહેતા કે એ શાકમાં આંબલી નાખવાને કારણે તેનો સ્વાદ દાઢે વળગે છે. એ દલીલ સાચી હોય તો પણ કનૈયાલાલ મુનશી- એલેકઝાન્ડર ડુમાની વાત જેવી છે. ધારો કે મુનશીએ ડુમાની રચનાઓમાંથી પ્લૉટ ઉઠાવીને લખ્યું હોય તો બીજા પણ એવું કરીને મુનશી બની બતાવે. અત્યારના શાક બનાવનારા ક્યાં હાઇજિનિક રસોઇ બનાવીને ઊંધા વળી જાય છે? એમને આંબલી નાખતાં કોણ રોકે છે? પરંતુ મુનશી બનવું કે જ્ઞાતિભોજનવાળું બટાટાનું શાક બનાવવું એમ રસ્તામાં પડ્યું છે?

બટાટાના રસાવાળા શાકનો યુગ હવે આથમી ચૂક્યો છે. એ કબૂલવું ગમતું નથી, છતાં સાચું છે. હવે ડીશ દીઠ તોતિંગ ચાર્જ લેતા મહારાજો બટાટાનાં અવનવાં શાક બનાવે છે, જેને સ્ટાર્ટરથી માંડીને ડેઝર્ટની, ફરસાણથી માંડીને મીઠાઇની, ટૂંકમાં  બટાટાના રસાવાળા શાક સિવાયની કોઇ પણ કેટેગરીમાં મૂકી શકાય. કેટલાક કેવળ પરંપરાથી પ્રેરાઇને કે તેની પાછળ ઢસડાઇને બટાટાના શાકનો રસો બનાવી નાખે છે, પણ એમ બટાટાનાં ફોડવાં અને રસો ભેગો કરી નાખવાથી બટાટાનું અસલ, રસાવાળું શાક થોડું બની જાય? એ માટે ડ્રાયફ્રુટઘેલી અને ‘મોંધું એટલું સારું’ની માનસિકતાથી મુક્ત થઇને, માત્ર ને માત્ર સ્વાદદેવતાની આરાધના કરવી પડે, ‘લૂલીને આટલાં બધાં લાડ લડાવવાં સારાં નહીં’ એવા ઉપાલંભ સાંભળવાની તૈયારી રાખવી પડે અને પુરાતનવાદી તરીકે ખપી જવાનું જોખમ વહોરી લેવું પડે. આજકાલ તો જોકે સંસ્કૃતિના નામે પુરાતનવાદી બનવાનો ચાલ જોરમાં છે. પરંતુ સંસ્કૃતિના પુનરોત્થાનની વાતો કરનારા બટાટાના રસાવાળા શાકને બાકાત રાખીને શા કાંદા કાઢી લેવાના? 

Wednesday, December 10, 2014

ડૉ.આંબેડકર અને ટિળક પિતા-પુત્ર : સંબંધોના બે ધ્રુવ

લોકમાન્ય ટિળક મહાન દેશભક્ત છતાં જ્ઞાતિની બાબતમાં રૂઢિચુસ્ત હતા, જ્યારે તેમના સુધારક પુત્ર શ્રીધરપંતે ૩૨ વર્ષની વયે આપઘાત કરતાં પહેલાં, જીવનનો છેલ્લો પત્ર ડૉ.આંબેડકરને લખ્યો હતો.

સ્વરાજની લડતમાં સંકળાયેલા કેટલાક આગેવાનોના ઘરમાં ‘દીવા તળે અંધારું’ જેવા કિસ્સા બન્યા હતા. તેમાં સૌથી જાણીતો કિસ્સો ગાંધીજી અને હરિલાલનો. મોતીલાલ નેહરુના સમકાલીન, ‘દેશબંઘુ’  ચિત્તરંજન દાસનો એકનો એક પુત્ર ભૂંડે હાલ મૃત્યુ પામ્યો હતો. એમ તો, ગાંધીયુગ પહેલાં ભારતના રાજકારણમાં જેમનો ડંકો વાગતો હતો, તે ‘લોકમાન્ય’ બાળગંગાધર ટિળકના એક પુત્રે પણ આત્મહત્યા કરી હતી.

પરંતુ બીજા કિસ્સા અને લોકમાન્ય ટિળક/ Lokmanya Tilakના પુત્ર શ્રીધરપંત / Shridhar Pant Tilak ના કિસ્સામાં પાયાનો ફરક હતો : શ્રીધરપંત તેમના રૂઢિચુસ્ત પિતાનો બ્રાહ્મણવાદી અભિગમ છોડીને, સમાજસુધારાના રસ્તે આગળ વઘ્યા, ડૉ.આંબેડકરના સંપર્કમાં આવ્યા અને તેમના સહયોગી બની રહ્યા. ૧૯૨૮માં અકાળે આત્મહત્યા કરતાં પહેલાં છેલ્લો પત્ર ડૉ.આંબેડકરને લખ્યો હતો.

ડૉ.આંબેડકરે જેમનામાંથી પ્રેરણા મેળવી એવા ‘મહાત્મા પહેલાંના મહાત્મા’ જોતિરાવ ફૂલે લોકમાન્ય ટિળકના સમકાલીન હતા. ટિળકનાં સાપ્તાહિકો ‘મરાઠા’ અને ‘કેસરી’ જોતિબાની જુસ્સાભરી સુધારક પ્રવૃત્તિઓની ટીકા કરવામાં કશી પાછી પાની કરતાં નહીં. છતાં, એક વાર કોલ્હાપુરના દીવાને ટિળકનાં બન્ને સાપ્તાહિકો સામે બદનક્ષીનો દાવો કર્યો, ત્યારે તે ટિળકના પક્ષે રહ્યા. એટલું જ નહીં, જોેતિબાના કહેવાથી તેમના એક સાથીદારે લોકમાન્ય ટિળક માટે જામીનગીરી આપી હતી.  અદાલતી કાર્યવાહી પછી ટિળક અને તેમના સાથીદાર અગરકરને ૧૦૧ દિવસની જેલ થઇ. ત્યાર પછી સજા ભોગવીને બહાર આવેલા ટિળક-અગરકરનું સ્વાગત કરવામાં પણ જોતિબા મોખરે હતા. છતાં, ટિળક-અગરકર-ચિપળૂણકર જેવા રૂઢિવાદીઓનું માનસપરિવર્તન થયું નહીં. ટિળક મહારાજની દેશભક્તિ અને અંગ્રેજો સામેની તેમની લડાયકવૃત્તિ પૂર્ણપણે આદરણીય હોવા છતાં, જ્ઞાતિભેદની બાબતમાં તેમનું વલણ ખેદ ઉપજાવે એવું હતું.

બાળગંગાધર ’લોકમાન્ય’ તિલક / Lokmanya Tilak 

૧૯૨૦માં મૃત્યુ પામેલા ટિળકનો અંતકાળ જાહેર જીવનમાં ડૉ.આંબેડકરનો ઉદયકાળ હતો. તેમણે ૩૧ જાન્યુઆરી, ૧૯૨૦ના રોજ મરાઠી પાક્ષિક ‘મૂકનાયક’ શરૂ કર્યું અને તેની જાહેરખબર લોકમાન્ય ટિળકના ‘કેસરી’ છાપવા માટે મોકલી. એ વખતે ટિળક જીવીત હતા, પરંતુ ‘કેસરી’માં ડૉ.આંબેડકરના ‘મૂકનાયક’ની જાહેરાત ન છપાઇ. અલબત્ત, આ ઘટનાક્રમ અંગે થોડા મતાંતર છે. કેટલાક લખે છે કે ‘કેસરી’એ મફત લખાણ છાપવાની ના પાડી હતી અને રૂપિયા લઇને જાહેરખબર છાપવાની તૈયારી બતાવી હતી.

ખુદ આંબેડકરે ૨૮ ઑક્ટોબર, ૧૯૫૪ના રોજ મુંબઇના પુરંદરે સ્ટેડિયમમાં એક પ્રવચનમાં કહ્યું હતું, ‘એક વાર મેં ‘કેસરી’ માટે જાહરખબર મોકલી. સાથે રૂ.૩નો મનીઑર્ડર પણ મોકલ્યો. પણ જગ્યાના અભાવનું કારણ આપીને મારી જાહેરખબર પાછી મોકલી આપવામાં આવી. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ને ફોન કર્યો ત્યારે તેમને એવું લાગ્યું, જાણે બૂમબરાડા પાડતો કોઇ ભીખારી તેમની સાથે વાત કરતો હોય. તેમણે કશો પ્રતિભાવ ન આપ્યો.’ (‘થૉટ્‌સ એન્ડ ફિલોસોફી ઑફ ડૉ.બી.આર.આંબેડકર’- સી.ડી.નાઇક, પાનું ૧૩૩)

આમ, ‘લોકમાન્ય’ ટિળક અને ડૉ.આંબેડકર જ્ઞાતિસંઘર્ષના બે અંતિમો પર ઊભા હતા. ટિળકનું અવસાન થયું ત્યારે આંબેડકર લંડનમાં હતા. ટિળકના મૃત્યુનાં સાત વર્ષ પછી તેમણે લખ્યું હતું,  ‘‘ટિળક જેવી એકાદ વ્યક્તિએ બહિષ્કૃત સમાજમાં જન્મ લીધો હોત અને બ્રિટિશ રાજના સમયમાં આવેલા પલટાનો લાભ લઇને તેમણે એવું જ ઊચ્ચ શિક્ષણ મેળવ્યું હોત તો, ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવી ગર્જના કરવાને બદલે તેમણે ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવી એ મારું કર્તવ્ય છે’ એમ કહ્યું હોત.’’ (‘બહિષ્કૃત ભારત’, ૨૯-૭-૧૯૨૭. સંદર્ભ : ધનંજય કીર)

સમાજ સમતા સંઘના સાથીદારો
સાથે ડો.આંબેડકર/ Dr.Ambedkar
ડૉ.આંબેડકરની આ કલ્પનામાં થોડો આશાવાદ અને થોડો ટિળકયુગ પછીના ગાંધીયુગ માટેનો નીચો અભિપ્રાય પણ કારણભૂત હશે. બાકી, ‘લોકમાન્ય’ના પુત્ર શ્રીધરપંત ઉર્ફે બાપુરાવે ક્યાં બહિષ્કૃત સમાજમાં જન્મ લીધો હતો? તેમ છતાં, અસ્પૃશ્યતા સામેની ઝુંબેશમાં તે પૂરા જુસ્સાથી જોડાઇ ગયા હતા. લોકમાન્ય ટિળકે અંગ્રેજી રાજ સામે રાષ્ટ્રિય ભાવના જાગ્રત કરવા માટે ગણેશોત્સવની ઉજવણી શરૂ કરાવી. પરંતુ શ્રીધરપંત ટિળકે ૧૯૨૭ના ગણેશોત્સવમાં અસ્પૃશ્યોનો શ્રીકૃષ્ણ મેળાનો કાર્યક્રમ પૂણેના ગાયકવાડ વાડામાં રાખ્યો. અસ્પૃશ્યો નક્કી કરેલા સ્થળે પ્રવેશ્યા ત્યારે ભારે ધક્કામુક્કી થઇ હતી અને શ્રીધરપંતનો ઉગ્ર વિરોધ થયો હતો. પરંતુ તેમણે ધીરજ ન ખોઇ. તેમની આવી લાગણીના પ્રતિઘોષ તરીકે પૂણેના દલિતોએ એક સભા ભરીને શ્રીધરપંતનું સન્માન કર્યું હતું.

ડૉ.આંબેડકરે ૧૯૨૭માં ‘સમાજ સમતા સંઘ’ની સ્થાપના કરી, તો બીજા જ વર્ષે શ્રીધરપંતે પોતાના ઘરમાં એ સંસ્થાની શાખા શરૂ કરી. તેની પહેલી બેઠકમાં ભાગ લેવા માટે પૂના ગયેલા ડૉ.આંબેડકરે ઊંડી લાગણી સાથે કહ્યું હતું, ‘‘એમાં કોઇ શંકા નથી કે શ્રીધરપંતે (સમાજ સમતા) સંઘને સ્થાન આપીને અને સમાનતાના સિદ્ધાંતને ટેકો આપીને ભારે સાહસનું કામ કર્યું છે. જો આ ફરજ યોગ્ય રીતે અને સતત અદા થઇ શકશે, તો લોકો કહેશે કે તેમણે તેમના પિતા કરતાં હજાર ગણું વધારે મહત્ત્વનું કામ કર્યું છે. લોકમાન્ય ટિળકના ઘરમાં રહીને તેમની ટીકા કરવાનો મારો કોઇ ઇરાદો નથી. રાજકીય ક્ષેત્રમાં તેમણે દર્શાવેલી હિંમત વિશે સૌ સંમત થશે. પણ સામાજિક બાબતોમાં તેમણે પોતાની જવાબદારી અદા કરી નહીં, તેમાં કોઇ શંકા નથી.’

શ્રીધરપંત ઉર્ફે બાપુરાવ ટિળકની દુર્લભ તસવીર
Rare photo of Shridhar Pant aka Bapurao Tlak

ફેબ્રુઆરી, ૧૯૨૮માં શ્રીધરપંતનું પુસ્તક ‘માઝા વ્યાસંગ’ પ્રગટ થયું. તેની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું હતું, ‘હવે મારાથી વિશેષ સાહિત્યસેવા થશે એવી ઉમેદ રાખવી વ્યર્થ છે...બાકી રહેલું આયુષ્ય કઇ ઘડીએ પૂરું થઇ જશે...’ તેમના જીવનમાં એક દુઃખ કોર્ટ-કચેરીનું હતું. ‘કેસરી’નાં ટ્રસ્ટનો વિવાદ હતો. તેમના બે બનેવી (લોકમાન્ય ટિળકના જમાઇ) તેમની સામે પડ્યા હતા. એક તરફ સમાજસુધારાનો સંઘર્ષ અને બીજી તરફ કોર્ટકાર્યવાહીનો ત્રાસ, આ બન્નેથી કંટાળીને  આત્મહત્યા કરતાં પહેલાં તેમણે પૂનાના કલેક્ટરને લખ્યું હતું, ‘હું વકીલો ને અદાલતોનો શિકાર થવા જન્મ્યો ન હતો. અદાલતોનું વાતાવરણ મને ગુંગળાવે છે. હું સ્વતંત્રતા ચાહું છું ને મારો આત્મા આઝાદી ઝંખે છે. આત્મહત્યાથી તે મુક્ત બની જશે.’ (મૂળ લખાણ અંગ્રેજીમાં)

શુક્રવાર, તા.૨૫ મે, ૧૯૨૮ની સાંજે, ૩૨ વર્ષની વયે શ્રીધરપંતે ભાબુર્ડા (પૂના) પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી. એ જ દિવસે, આપઘાતના થોડા કલાક પહેલાં જીવનનો છેલ્લો પત્ર તેમણે ડૉ.આંબેડકરને લખ્યો. અત્યંત સુઘડ, મરોડદાર અક્ષરે મરાઠીમાં લખાયેલો એ પત્ર અહીં આપ્યો છે. (મૂળ લખાણ વાંચવા માટે ફોટો પર ક્લિક કરો)
આત્મહત્યા કરતાં પહેલાં શ્રીધરપંત ટિળકે ડો.આંબેડકરને
લખેલો છેલ્લો પત્ર : એક દુર્લભ દસ્તાવેજ
 Shridhar Pant Tilak's departing letter to Dr.Ambedkar 

પત્રમાં શ્રીધરપંતે ‘ક.સા.ન.વિ.વિ.’ (‘કળવણે સાદર નમસ્કાર વિનંતી વિશેષ’- સાદર નમસ્કાર સાથે વિશેષ વિનંતી પાઠવું છું કે) એવી લાક્ષણિક મરાઠી શરૂઆત પછી લખ્યું હતું,

‘આ પત્ર તમારા હાથમાં આવશે તે પહેલાં હું આ લોકને છોડી ગયો છું, એવી વાત મોટે ભાગે તમારા કાને પડી ગઇ હશે. તમારા સમાજ સમતા સંઘના કામને સરસ રીતે આગળ વધારવા માટે, વઘુ ને વઘુ પ્રમાણમાં સુશિક્ષિત અને સુધારાવાદી યુવાનોનું લક્ષ્ય આ ચળવળ તરફ જાય તે જરૂરી છે. તમે અહર્નિશ આ કામ કરો જ છો એનો મને સંતોષ છે. તમારા આ પ્રયત્નોને પરમેશ્વર યશ આપશે એવી પણ મને ખાતરી લાગે છે. મહારાષ્ટ્રના યુવાનો નિશ્ચય કરે તો  અસ્પૃશ્યતાનિવારણનો પ્રશ્ન પાંચ જ વર્ષમાં ઉકલી જાય. મારા બહિષ્કૃત બંઘુઓની તકલીફોની કથની ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રત્યક્ષ મૂકવા માટે હું આગળ જાઉં છું. મિત્રમંડળને મારા સપ્રેમ નમસ્કાર. આપણી વચ્ચે આવો ભાવ રહે એવી જ વિનંતી.’

લોકમાન્ય ટિળકે માર્ચ, ૧૯૧૮માં મુંબઇમાં ભરાયેલી એક સભામાં અસ્પૃશ્યતાનો અંત આણવાની વાત કરી હતી, પરંતુ પોતે તેના અમલની પ્રતિજ્ઞા પર સહી કરી નહીં. એ જ પિતાનો પુત્ર પોતાના છેલ્લા પત્રમાં ‘બહિષ્કૃત બંઘુઓની તકલીફોની કથની ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં’ રૂબરૂ મૂકવાની વાત ડૉ.આંબેડકરને લખે, એ ઘટના સમાનતાના સંઘર્ષમાં નાની પણ નોંધપાત્ર ગણવી રહી.

Friday, December 05, 2014

સ્વિસ બેન્કના ખાતેદારનો ઇન્ટરવ્યુ

કાળાં નાણાંની વાત કરવામાં હવે જોખમ છે. નાણાંમંત્રી જેટલી ક્યાંક ઠપકો ન આપી બેસે કે ‘શું કાળાં નાણાંની માળા લઇને મંડ્યા છો? એ તો કંઇ બહાદુરી બતાવવાનો વિષય છે? જરા છાના રહો.’

જેટલીનાં આ સુવાક્યો સાંભળીને મન તો એવું થાય કે ટાઇમટ્રાવેલની કોઇ કરામત દ્વારા ભૂતકાળમાં જઇ શકાતું હોય તો, જેટલીનું વર્તમાન અવતરણ કાળા નાણાં વિશેના ભૂતકાળમાં કકળાટ મચાવનારા જેટલીના માથે મારીએ. પણ આવું શક્ય હોય તો જે થઇ શકે એની સ્ક્રિપ્ટ એવી થાય કે ‘ઇન્ટરસ્ટેલર’ કરતાં વધારે રોમાંચક ફિલ્મ બની શકે.

જેટલીને ઉગેલી ડહાપણની- અને દુઃખતી- દાઢ દબાવવાને બદલે, સ્વિસ બેન્કમાં ખાતું ધરાવતા કોઇ જણનો કાલ્પનિક ઇન્ટરવ્યુ કર્યો હોય તો?‘ઇન્ટરવ્યુ કાલ્પનિક કેમ?’ એવું કોઇ પૂછે તો કહી શકાય, ‘જેવું ખાતું, એવો ઇન્ટરવ્યુ.’
***
સ : નમસ્તે. સૉરી, સ્વિસ બેન્કમાં ગ્રાહકના સ્વાગત માટે શું કહેવામાં  આવે છે, એ હું જાણતો નથી. એટલે સીધાસાદા ‘નમસ્તે’થી જ ચલાવવું પડે છે.

જ : (તોફાની સ્મિત સાથે) કંઇ વાંધો નહીં. હવે તો સ્વિસ બેન્કવાળા પણ ‘નમસ્તે’ જ કહે છે.

સ : શું વાત કરો છો? યુ મીન, એટલા બધા ભારતીયો સ્વિસ બેન્કમાં ખાતાં ખોલાવે છે કે બેન્કવાળા હિંદી શીખી ગયા છે?

જ : આલ્પ્સ પર હિંદીમાં સૂચનાઓ લખેલી હોય, તો સ્વિસ બેન્કવાળાને ‘નમસ્તે’ ન આવડે? ધંધો કરવો હોય તો બઘું કરવું પડે.

સ : બઘું એટલે? કાળાંધોળાં પણ કરવાં પડે?

જ : જુઓ, તમે વિપક્ષની ભાષામાં વાત કરો છો..

સ : વિપક્ષ એટલે? કોંગ્રેસ? કે ભાજપ?

જ : તમે સમજ્યા નહીં. ભારતમાં વિપક્ષ એટલે વિપક્ષ જ. કોંગ્રેસ હોય કે ભાજપ, એ વિપક્ષમાં હોય ત્યારે એક જ ભાષામાં વાત કરે. ભાજપ વિપક્ષમાં હતો ત્યારે એ કાળાં નાણાંના મુદ્દે કેવો કકળાટ મચાવતો હતો ને કોંગ્રેસવાળા ઠાવકાઇના ઉપદેશ ઝીંકતા હતા? હવે ભાજપને સત્તા મળી એટલે એ ઠાવકાઇના ઉપદેશ ઝીંકે છે ને કોંગ્રેસવાળા કકળાટ મચાવે છે. લોકશાહી આમ જ વાઇબ્રન્ટ રહે.

સ : તમે તો ભારતની ઉજ્જવળ અને ધબકતી લોકશાહી પરંપરાના જાણકાર નીકળ્યા...

જ : ભાઇ, ધંધામાં રહેવું હોય તો બઘું કરવું પડે...

સ : આ તમે ‘વિપક્ષો’ની વાત કરો છો? ઠાવકાઇ ને વિરોધ, બઘું એ લોકો ધંધામાં રહેવા માટે જ કરે છે, એમ તમારું કહેવું છે?

જ : એ તમે જાણો. હું તો મારી વાત કરું છું...મને એમ હતું કે આપણે વિપક્ષોની કે રાજકારણની કે લોકશાહીની નહીં, મારી વાત કરવા માટે મળ્યા છીએ.

સ : હા, બિલકુલ. એમ જ છે. (ગુસપુસ અવાજે) સાંભળ્યું છે કે તમારું સ્વિસ બેન્કમાં ખાતું છે.

જ : (મોટેથી) હા, છે. એમાં કંઇ ગભરાવાની જરૂર નથી. સ્વિસ બેન્કમાં ખાતું હોવું એ કંઇ ગુનો છે? કાયદાની કઇ કલમમાં લખ્યું છે કે સ્વિસ બેન્કમાં ખાતું ન હોવું જોઇએ?

સ : ના, ગુનો તો નથી. પણ બધા એવું માને છે કે સ્વિસ બેન્કમાં ખાતું હોય એટલે નક્કી દાળમાં કંઇક કાળું હોય.

જ : બધા માને એમાં હું શું કરું? એવું હોય તો સરકારે ‘જનધન યોજના’ હેઠળ બધાનાં ખાતાં સ્ટેટ બેન્કને બદલે સ્વિસ બેન્કમાં જ ખોલી આપવામાં જોઇએ. પછી સ્વિસ બેન્કનાં ખાતાં વિશેનો આખો કકળાટ જ શમી જશે.

સ : આઇડીયા તો સારો છે. પણ મને વધારે રસ તમારા ખાતા વિશે જાણવામાં છે. તમારું ખાતું કેવા પ્રકારનું છે?

જ : તમને શું લાગે છે? એ નાની બચત માટેનું ખાતું હશે? કે કરન્ટ અકાઉન્ટ હશે, જેમાંથી હું મારા છાપાવાળાનું ને ચાવાળાનું બિલ ચૂકવતો હોઇશ?

સઃ ખબર નથી એટલે તો તમને પૂછું છું.

જ : સ્વિસ બેન્કમાં દરેક અકાઉન્ટ સ્પેશ્યલ હોય.

સ : સ્પેશ્યલ એટલે? ખાતામાં રૂપિયા ન હોય તો પણ રૂપિયા ઉપાડવા મળે એવું?

જ : મિડલ ક્લાસ લોકોની આ જ તકલીફ છે. તમારી કલ્પનાની પહોંચ આટલી જ હોય. સ્પેશ્યલ અકાઉન્ટ એટલે એવું કે જેમાં તમારા ખાતામાં રૂપિયા હોય તો પણ તેમાં ઝીરો બેલેન્સ દેખાડે.

સ : શું વાત કરો છો? તો પછી આપણે રૂપિયા ઉપાડવા હોય ત્યારે? અને પાસબુક-ચેકબુકનું શું?

જ : આ તે કંઇ પી.એફ. કે લોનના હપ્તાનું ખાતું થોડું છે કે તેમાં પાસબુક-ચેકબુકની જરૂર પડે? આપણે જોઇએ ત્યારે આપણી રકમ મળી જાય. પણ એ સિવાય તે ઝીરો બેલેન્સ દેખાડે.

સ : તો પછી ‘કેવાયસી’- ‘નો યોર કસ્ટમર’નું ફોર્મ...

જ : આમાં ‘કેવાયસી’ ન હોય- ‘ડીકેવાયસી’ હોય. ડોન્ટ નો યોર કસ્ટમર. એકાદ જણ સિવાય બેન્કમાં બીજા કોઇને ખબર જ ન હોય કે કસ્ટમર કોણ છે.

સ : તો પછી આવી જોખમી જગ્યાએ મહેનતના રૂપિયા શી રીતે મૂકાય?

જ : પણ ત્યાં મહેનતના રૂપિયા મૂકવાના, એવું કોણે કહ્યું? ત્યાં તો વધારાની રકમ મૂકવાની હોય.

સ : વધારાની કે ઉપરની?

જ : એનો આધાર તમે શું કરો છો એની પર છે. તમે નેતા હો તો ‘ઉપરની’ અને ઉદ્યોગપતિ હો તો, જેવો જેનો ધંધો...

સ : અમારા જેવા કોઇએ સ્વિસ બેન્કમાં અકાઉન્ટ ખોલાવવું હોય તો શું કરવું પડે?

જ : પહેલાં તો અહીંની બેન્કમાંથી લોન લેવી પડે.

સ : એ સિવાય કોઇ રસ્તો નથી?

જ : છે ને. તમારા નામે બીજો કોઇ અકાઉન્ટ ખોલાવે અને ઑપરેટ કરે.

સ : એમ નહીં. અમારે જ ખોલાવવું હોય ને અમારે જ વાપરવું હોય તો?

જ : શું કરવા? ફોનબિલ કે લાઇટનાં બિલ ભરવા?

સ : ના, બસ. વટ પાડવા.

જ : તો વટ પાડવા માટે અકાઉન્ટ ખોલાવવાની ક્યાં જરૂર છે? એ સિવાય પણ ‘મારું અકાઉન્ટ છે’ એમ કહીને વટ પાડી જ શકાય છે ને? તમારું અકાઉન્ટ છે કે નહીં, એ કોણ જોવા જવાનું છે?

સ : વાત તો વિચારવા જેવી છે... એક મિનિટ...તો પછી તમારું સ્વિસ બેન્કમાં અકાઉન્ટ...ખરેખર છે?

(એનો જવાબ આપવાને બદલે તેમણે સ્મિત કર્યું. તેનો અર્થ એ હતો કે સ્વિસ બેન્કનાં ખાતાંના મુદ્દે તમે વઘુ એક વાર ઉલ્લુ બની ગયા.)

Wednesday, December 03, 2014

ભેદભાવવિરોધી લડાઇ : પ્રતીકો અને સચ્ચાઇ

એકાદ અઠવાડિયામાં અમેરિકામાં બનેલી ઘટનાઓ ભેદભાવ સામે લડતા કે તેની સામે વાંધો ધરાવતા દરેક જણ માટે આંચકાજનક અને બોધપ્રેરક છે. સાવ ટૂંકમાં તેનો ઘટનાક્રમ આટલો : કાળા લોકોની બહુમતી ધરાવતા ફર્ગ્યુસન શહેરમાં પોલીસ તરીકે ધોળા લોકોની બહુમતી છે. આ વર્ષના ઑગસ્ટમાં એક ધોળા પોલીસ ડેરન વિલ્સને ૧૮ વર્ષના કાળા યુવાન માઇકલ બ્રાઉનને આંતર્યો. બ્રાઉને એક સ્ટોરમાંથી સિગરેટની ચોરી કરી હતી. વિલ્સને તેને પડકાર્યા પછી શું થયું એ વિશે ભારે મતભેદ છે. પણ ત્યારે પછી વિલ્સને કાળા યુવાન બ્રાઉન પર  એક ડઝન ગોળીઓ છોડી. તેમાંથી લગભગ અડધી ખાલી ગઇ, કેટલીક હાથ પર વાગી અને ચાર ગોળી છાતી કે ઉપરના ભાગમાં વાગી.

ગોળીબાર કરનાર પોલીસે પોતાના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું? પોતાને મળેલા હકનો દુરુપયોગ કર્યો? ધોળા પોલીસે કાળા યુવાનની હત્યા કરી? ટૂંકમાં, પોલીસે ગુનો કર્યો? અને તેની સામે અદાલતમાં કેસ ચલાવવો જોઇએ? આ સવાલોના જવાબ શોધવા માટે નવ ધોળા અને ત્રણ કાળા, એમ કુલ બાર સભ્યોની ન્યાયસમિતિ (ગ્રાન્ડ જ્યુરી) બેસાડવામાં આવી. જ્યુરીએ ફેંસલો આપ્યો કે ધોળા પોલીસે ગોળીઓ છોડવામાં કોઇ ગુનો કર્યો નથી અને કાયદાનું જરાય ઉલ્લંઘન કર્યું નથી. માટે, તેની સામે અદાલતમાં કામ ચલાવી શકાય નહીં.

જ્યુરીનો ફેંસલો બહાર પડતાં જ અસંતોષ ફાટી નીકળ્યો. ફર્ગ્યુસન ઉપરાંત અમેરિકાના બીજા શહેરોમાં પણ મોટી સંખ્યામાં કાળા લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તોડફોડ, મકાનોને આગ ચાંપવાના બનાવ અને થોડી લૂંટફાટ પણ થઇ. આરોપમુક્ત થયેલા ધોળા પોલીસે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પોતે કશું ખોટું કર્યું નથી અને પોતાનો અંતરાત્મા સાફ છે, એમ કહ્યું. મૃત યુવાનનાં પરિવારજનોએ આ નિવેદનને જખમ પર નમક જેવું ગણાવ્યું. કાળા પ્રમુખ બરાક ઓબામાએ ગ્રાન્ડ જ્યુરીનો ફેંસલો સ્વીકારવા અને શાંતિપૂર્ણ વિરોધ કરવા અપીલ કરી. સાથે તેમણે કાળા લોકોના સંદર્ભે કાનૂનીતંત્રના કેટલાક પ્રશ્નો હોવાનું પણ સ્વીકાર્યું.

ફર્ગ્યુસનના બનાવના પડઘા શમે ત્યાં, ૨૨ નવેમ્બરના રોજ ક્લીવલેન્ડમાં રમકડાની બંદૂક લઇને નીકળેલા બાર વર્ષના કાળા કિશોરને પોલીસે ઢાળી દીધો. સવાલ એકલદોકલ કિસ્સાનો નથી, પરંતુ મૂળગામી, વ્યાપક ભેદભાવનો છે. અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર એક કાળો માણસ પ્રમુખ બન્યો હોય ત્યારે આવા બનાવ જુદું જ પરિમાણ ધારણ કરે છે અને ભેદભાવ સામેની લડાઇ કેટલી પેચીદી છે, તેનો ખ્યાલ આપે છે.

કેદ અને ગુલામી

અસમાનતા કે ભેદભાવ સામેની લડાઇ અકલ્પનીય હદે લાંબી- પેઢીઓ કે ક્યારેક સદીઓ સુધી ચાલનારી- હોઇ શકે છે. વાસ્તવિકતા એ છે કે અસમાનતા વગરનો સમાજ કેવળ કલ્પના છે. પરંતુ એટલી જ મહત્ત્વની વાસ્તવિકતા એ છે કે અસમાનતા સામેની- ભેદભાવ સામેની લડાઇ અને સમાનતા હાંસલ કરવાની ઝંખનામાં જ માણસ હોવાની સાર્થકતા રહેલી છે.

અસમાનતા કે ભેદભાવને ‘આ તો આમ જ રહેશે. એમાં આપણાથી શું થાય?’ એમ કહીને સ્વીકારી લેનાર માણસ રહેતો નથી. એ ગુલામ બની જાય છે- અસમાનતાનો ગુલામ. તેની સરખામણીમાં, અસમાનતા વેઠતો છતાં તેનાથી છટપટાહટ અનુભવતો, તેની સામે યથાશક્તિ અવાજ ઉઠાવતો કે અવાજ ઉઠાવવો જોઇએ એવું વિચારતો માણસ કેવળ અસમાનતાનો કેદી હોય છે- તેનો ગુલામ નહીં. કેદી મુક્તિ વિશે વિચારી શકે છે અને પ્રયાસ કરે તો કદાચ મુક્ત થઇ પણ શકે છે. પરંતુ ગુલામી માણસના માણસપણા પર - એટલે કે માણસ તરીકે સ્વતંત્ર રીતે વિચારી શકવાની ક્ષમતા પર- એસિડ રેડી દે છે.

અસમાનતા-ભેદભાવ સામેની લડાઇ અનેક કોઠાના યુદ્ધ જેવી છે. તેમાં એક લડાઇ જીતવાથી યુદ્ધ જીતી જવાતું નથી. છતાં બીજી લડાઇ લડવાનું બળ મળે છે એ પણ એટલું જ સાચું છે. આ લડાઇ ફક્ત કાયદાથી લડી શકાતી નથી અને ફક્ત સામાજિક સ્તરે પણ લડી શકાતી નથી. બન્ને મોરચા એકબીજા માટે પૂરક નીવડે છે. અમેરિકાની સિવિલ રાઇટ્‌સ મુવમેન્ટ અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા નેતાઓના પ્રતાપે અમેરિકામાં અનેક અન્યાયી કાયદા નાબૂદ થયા. ત્યાર પહેલાં કાળા લોકો સામેનો ભેદભાવ ‘સત્તાવાર’ અને અદાલતમાં પડકારી ન શકાય એવો હતો. સાઠના દાયકામાં આંદોલનો અને ચળવળ દ્વારા કાયદાકીય જીત મેળવવામાં કાળા લોકો સફળ થયા, જેમ લાંબી અને કટુ લડાઇ પછી ડૉ.આંબેડકર ભારતમાં અસ્પૃશ્યતાને ગેરકાયદે બનાવવામાં સફળ થયા.

પરંતુ સામાજિક પરિવર્તનનું શું? આ અઠવાડિયે ડૉ.આંબેડકરની વઘુ એક પુણ્યતિથી અને તેનાં ઉજવણાં આવશે, ત્યારે તેમને હારતોરા કરીને કે ‘જય ભીમ’ના નારા લગાવીને સંતુષ્ટ થઇ જવાને બદલે, આ સવાલ વિશે સતત વિચારવા જેવું છે. એક કાળા યુવાનની હત્યાથી અમેરિકાભરના કાળા લોકો આંદોલિત થઇ ઉઠે છે. પોતાના કે પોતાના સમરંગીઓના મનમાં રહેલા અન્યાયબોધ અને પોલીસતંત્ર-ન્યાયતંત્ર પ્રત્યેના અવિશ્વાસનો પડછાયો તેમને ફર્ગ્યુસન કે ક્લીવલેન્ડના કેસમાં દેખાય છે અને તે વિચારે છે કે અમેરિકાના પ્રમુખપદે એક કાળો માણસ બેસી શકતો હોય, ત્યાર પછી પણ આવું શા માટે?

ભેદભાવ સામેની લડાઇમાં પ્રતીકોનું આગવું મહત્ત્વ છે. બસમાં ધોળા મુસાફરને જગ્યા આપવા માટે પોતાની બેઠક પરથી ઉઠવાની ના પાડનાર રોઝા પાર્ક્‌સના કિસ્સાને સિવિલ રાઇટ્‌સની ચળવળનું પ્રતીક બનાવવામાં આવે છે. એમાં કશું ખોટું નથી. કેમ કે, પ્રતીકો એક મર્યાદામાં રહીને આ પ્રકારના આંદોલનોને કેવળ ‘કાનૂની’ કે ‘બંધારણીય’ (ટૂંકમાં, શુષ્ક) બનતાં અટકાવે છે અને તેમાં માનવીય ભીનાશનો ઉમેરો કરે છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા નેતા કાનૂની અને માનવીય એમ બન્ને પાસાં સાથે રાખીને લડતને આગળ લઇ જાય છે. લડતના અંતે કાનૂની ફતેહ મળે છે અને કાળા લોકોને કાગળ પર જ નહીં, વ્યવહારમાં પણ ઘણાં ક્ષેત્રોમાં સમાનતા મળે છે.

સમાનતાનો એક અર્થ ‘સમાન વ્યવહાર’ છે, તો બીજો અગત્યનો અર્થ છે ‘સમાન તક’. ભારતમાં દલિતો પ્રત્યે બિનદલિતોના વ્યવહારમાં આ બન્ને મોરચે ઘણું કામ બાકી છે. ઉપરથી, દલિતોમાં અંદરોઅંદર પેટાજ્ઞાતિવાદ અને હુંસાતુંસી-ભેદભાવ એટલાં વધી ગયાં છે કે અત્યારે ખુદ ડૉ.આંબેડકર આવે તો એ પણ કોના, એના માટે દલિત પેટાજ્ઞાતિઓ વચ્ચે અંદરોઅંદર ખેંચતાણ થાય.

ડૉ.આંબેડકર ભેદભાવને ગેરકાયદે ઠરાવતી કેટલીક બાબતો બંધારણમાં સામેલ કરી શક્યા, એ મોટી જીત હતી. પરંતુ આગળ કહ્યું તેમ, એક લડાઇથી યુદ્ધ જીતાતું નથી. કાનૂની જોગવાઇઓનું મહત્ત્વ જરાય ઓછું આંક્યા વિના અને તેમના દ્વારા આવેલા હકારાત્મક પરિવર્તનને નજરઅંદાજ કર્યા વિના, એટલું સ્પષ્ટ છે કે લાંબા ગાળાના પરિવર્તન માટે સામાજિક જાગૃતિ વધારે અગત્યની છે. તેમાં પ્રતીક અગત્યનાં છે : બાબુ જગજીવનરામ વડાપ્રધાન બન્યા હોત તો તેનાથી ભારતના દલિતોનો ઉદ્ધાર ન થઇ ગયો હોત, પણ દલિતોની ભેદભાવ સામેની લડતને બળ મળે એવા તરંગ અવશ્ય પેદા થયાં હોત. એક સુખદેવ થોરાટ યુજીસીના અઘ્યક્ષ બને, એક કે.જી.બાલાકૃષ્ણન્‌ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બને, એક મીરા કુમાર લોકસભાનાં અઘ્યક્ષ બને કે પછી એક બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ બને...આ દરેકનું પ્રતીકાત્મક મહત્ત્વ ઓછું નથી.

ઓબામાનું પ્રમુખ બનવું ‘યસ, આઇ કેન’નો સૂત્રાત્મક આત્મવિશ્વાસ પ્રગટાવવામાં નિમિત્ત બની શકે છે, અમેરિકામાં રંગભેદનો અંત આવી ગયો અને હવે અમેરિકાનો સમાજ ‘પોસ્ટ રેસિઅલ સોસાયટી’ (રંગભેદનાબૂદી પછીનો સમાજ) બન્યો હોવાનો અહેસાસ ઊભો કરી શકે છે, હતાશા કે હારણવૃત્તિથી ગ્રસ્ત કાળા લોકોને ઓબામાનું પ્રમુખપદું એવો ચોંટિયો પણ ભરી શકે છે કે ‘બહાનાં છોડો ને આગળ આવો. જુઓ, તમારામાં ક્ષમતા હશે તો રંગભેદને અવગણીને તમે ઉપર પહોંચી શકશો અને રંગભેદને ખતમ કરવામાં તમે નિમિત્ત બની શકશો.’

પરંતુ પ્રતીકોનું મહત્ત્વ છે, તેમ એની મર્યાદાઓ પણ છે- અને એ વધારે મોટી હોય છે. ભેદભાવનો ભોગ બનેલા સમાજ માટે વિજયપ્રતીકો કે સિદ્ધિપ્રતીકો એન્સેથેસિયાનું કામ કરી શકે છે. એક ઓપ્રા વીન્ફ્રે, એક બરાક ઓબામા કે એક માઇકલ જોર્ડનની સફળતાથી આખો સમાજ પોતાની રોજિંદી વાસ્તવિકતા ભૂલીને ગાફેલિયતમાં કે આત્મનિંદામાં સરી શકે છે. (‘આપણા લોકો આગળ આવી ગયા. હવે આપણે કંઇ કરવાની જરૂર નથી.’ અથવા ‘આ લોકો આગળ આવી ગયા ને આપણે નથી આવી શક્યા. તો ભેદભાવ કરનારામાં નહીં, આપણામાં જ કંઇક ખોટ હોવી જોઇએ’)સએવી જ રીતે, થોડા કાળા લોકોની સફળતાની કથાઓથી ભેદભાવગ્રસ્ત માનસ ધરાવતા ધોળા લોકોને પણ પોતાની માનસિકતા બદલવાની જરૂર લાગતી નથી. ‘પ્રતિભા હોય તો ભીંત ફાડીને પીપળા ઉગી જ નીકળે છે’ એ જાતની દલીલો થતી રહે છે. તેનો ગર્ભિત અર્થ એ જ હોય છે કે ‘આપણે તો ભેદભાવની ભીંત અડીખમ જ રાખવાના. એને ફાડીને જે પીપળાને ઉગવું હોય તે ઉગે.’ સમાજમાં પીપળા નિયમ લેખે નહીં, અપવાદ તરીકે ભીંતમાં ઉગવા જોઇએ. એટલી સાદી સમજણ તેમાં ચૂકી જવાય છે.

અમેરિકાના ઇતિહાસના પહેલા કાળા પ્રમુખ ઓબામાની લાગલગાટ બીજી મુદતના અંત ભાગમાં, ફર્ગ્યુસનમાં બનેલી ઘટનાએ ભેદભાવ સામેની લડાઇમાં પ્રતીકોની મર્યાદા અને લડાઇની નિરંતરતા ચીંધી આપ્યાં છે. એ બોધપાઠ ભારતમાં દલિતો પ્રત્યેના ભેદભાવનો વિરોધ કરતા સૌ કોઇ માટે પણ કામનો છે. 

Monday, December 01, 2014

ક્રિકેટ : જેન્ટલમેનની રમત નહીં, વહીવટદારોની રાજરમત

‘ભારતમાં ક્રિકેટને ધર્મની સમકક્ષ ગણવામાં આવે છે’- એ જાણીતી વાત દેશની સર્વોચ્ચ અદાલતે પણ ગયા સપ્તાહે નોંધી. અદાલતનો ઘ્વનિ ક્રિકેટનું માહત્મ્ય પ્રસ્થાપિત કરવાનો હતો. પરંતુ આ સરખામણી બીજી ઘણી રીતે સાચી છે : (ક્રિકેટ ચાલુ હોય ત્યારે) દેશમાં ધર્મનું અફીણઘેન વધારે છે કે ક્રિકેટનું, એ નક્કી કરવું અઘરું થઇ પડે છે.  મૂળ વસ્તુને બાજુ પર રાખીને, વહીવટદારોએ મચાવેલો ઉત્પાત અને ફેલાવેલો સડો પણ બન્નેમાં સામાન્ય છે. ધર્મ અને ક્રિકેટમાં મોટો ફરક  એ છે કે ક્રિકેટવાળાને ગોરખધંધા કર્યા પછી ધર્મના પગે પડવા જવું પડે છે (જેમ બીસીસીઆઇ-કુખ્યાત શ્રીનિવાસન ઉપરણાં-અબોટિયાં પહેરીને મંદિરે પહોંચી જાય છે), જ્યારે ક્રિકેટવાળા હજુ સુધી એટલા (નેતાઓ જેટલા) બળુકા થયા નથી કે ધર્મના ધંધાદારીઓને છાવરી શકે.

ધર્મના કે ક્રિકેટના વહીવટદારો સામે વાંધા પાડ્યા પછી એક સત્ય સ્વીકારવું રહ્યું : બહુમતી જનસમુહ એ લોકોના ગોરખધંધા તરફ ઉપેક્ષા સેવે છે અને ઘેનમાંથી જાગવા તૈયાર નથી. પરિણામે રામપાલો ને શ્રીનિવાસનો ‘યુગે યુગે’ નહીં, દાયકે દાયકે આવતા જ રહે છે. સિત્તેર-એંસીના દાયકામાં ભારતીય ક્રિકેટજગતમાં વહીવટદાર તરીકે રાજસિંઘ ડુંગરપુરનો સિતારો બુલંદ હતો. એ વખતે ક્રિકેટની રમતમાંથી રૂપિયાની ટંકશાળ પડતી ન હતી. પણ તક માટે હુંસાતુંસી થતી હતી. ભારતીય ક્રિકેટમાં સુનિલ ગાવસ્કરના વર્ચસ્વ માટે તેમની નિર્વિવાદ પ્રતિભા ઉપરાંત ક્રિકેટકારણમાં સક્રિય તેમના મામા માધવ મંત્રીનું નામ પણ લેવાતું હતું. વન ડે ક્રિકેટ અને આંતરરાષ્ટ્રિય સ્પર્ધાઓમાં ભારતની- એટલે કે બીસીસીઆઇની- ક્રિકેટટીમનો સિતારો બુલંદ થયો, એટલે આ રમતનો વહીવટ સત્તાકારણનો અખાડો બન્યો. સ્ટેડિયમ પર રમાતી રમત કરતાં બોર્ડરૂમના ખેલ વધારે અટપટા અને પેચીદા બન્યા. રીવર્સ સ્વિંગ અને ગુગલી, બાઉન્સર અને હુક, રન આઉટ અને સ્ટમ્પિંગ - આ બઘું ક્રિકેટ કરતાં પણ વધારે ટાઢા ઝનૂનથી બોર્ડરૂમમાં બનવા લાગ્યું.

એક સમય હતો જ્યારે કોલકાતાના ઉદ્યોગપતિ જગમોહન દાલમિયા ક્રિકેટજગતના કિંગ ગણાતા હતા. છેક ૧૯૭૯થી બીસીસીઆઇ (બૉર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા)માં સક્રિય દાલમિયા અને તેમના સાથીદાર બિન્દ્રાએ ૧૯૯૦ના દાયકામાં ભારતીય ક્રિકેટની તાસીર બદલી નાખી અને બીસીસીઆઇને સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડ બનાવી દીઘું. ક્રિકેટ રમતા દેશોમાં સૌથી મોટું બજાર અને સૌથી સમૃદ્ધ ક્રિકેટબોર્ડ - આ બન્ને દાલમિયાના ખિસ્સામાં હતા. તેના જોરે ૧૯૯૭માં તે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અઘ્યક્ષ બની ગયા. પરંતુ ત્યાં સુધીમાં ક્રિકેટમાં રહેલાં નાણાં નેતાઓને દેખાઇ ગયાં હતાં. આ નવા ઉદ્‌ભવેલા સત્તા-સંપત્તિકેન્દ્ર પર કબજો મેળવવા માટે ખતરનાક ખેલ શરૂ થઇ ચૂક્યા હતા. અનેક વિવાદોની વચ્ચે દાલમિયાએ ૨૦૦૫ સુધી બીસીસીઆઇ પર પોતાનું પ્રભુત્વ જમાવેલું રાખ્યું, પણ છેવટે શરદ પવારે તેમને રાજરમતમાં ચિત કર્યા.

દાલમિયા સામે નાણાંકીય ગોટાળાના આરોપ થયા, ત્યારે ‘અમૂલ’ બટરની જાહેરાતમાં મુકાયેલી પંચલાઇન હતી : ‘દાલમિયામેં કુછ કાલા હૈ?’ તેની સાથે લખ્યું હતું, ‘મસ્કા ખાઓ, પૈસા નહીં.’ રોષે ભરાયેલા દાલમિયાએ ‘અમૂલ’ સામે રૂ.૫૦૦ કરોડનો બદનક્ષીનો દાવો માંડવાની ધમકી આપી હતી. જોકે, એવું કંઇ થયું નહીં. પરંતુ એ ક્ષણો દાલમિયાની કારકિર્દીના સૂર્યાસ્તની હતી. ત્યારે બીસીસીઆઇના વઘુ એક વિવાદાસ્પદ બૉસ થનારા નારાયણસ્વામી શ્રીનિવાસન્‌ની કારકિર્દીનો ઉદય થઇ ચૂક્યો હતો.


બીસીસીઆઇના પ્રમુખ મુથૈયાની આંગળી ઝાલીને શ્રીનિવાસન્‌  તમિલાનાડુ ક્રિકેટ એસોસિએશનમાં દાખલ થયા. ત્યારે ખુદ મુથૈયાને અંદાજ ન હતો કે તેમણે કુહાડા પર પગ માર્યો છે. શ્રીનિવાસન્‌ ત્યારે બાપીકી સિમેન્ટ કંપની ‘ઇન્ડિયન સિમેન્ટ્‌સ’નું સામ્રાજ્ય સંભાળતાા હતા અને ચેન્નઇ (ત્યારના મદ્રાસ)ના શેરીફપદે રહી ચૂક્યા પછી, તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના સભ્યપદની ચૂંટણી હારી ચૂક્યા હતા. આઠ-આઠ મુદત સુધી પ્રમુખપદે રહ્યા પછી, કાયદા પ્રમાણે મુથૈયાને નિવૃત્ત થવાનું આવ્યું, ત્યારે તેમણે ‘પોતાના માણસ’ તરીકે શ્રીનિવાસનને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખપદે ગોઠવી દીધા. આ હોદ્દેથી શ્રીનિવાસન્‌ને બીસીસીઆઇમાં પ્રવેશ મળ્યો.

સત્તા અને સંપત્તિનાં સમીકરણ બરાબર સમજતા શ્રીનિવાસની પદ્ધતિસરની આગેકૂચ વિશે એકાદ વર્ષ પહેલાં ‘ઓપન’ સાપ્તાહિકમાં પ્રગટ થયેલા એક લેખમાંથી ઘણી વિગત મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે, શ્રીનિવાસને પહેલાં તમિલનાડુમાંથી મુથૈયાના વફાદારોને પોતાના કરી લીધા. એ માટે જરૂરી નાણાંનો તેમની પાસે તોટો ન હતો. બીસીસીઆઇમાં દાલમિયાના દબદબાના છેલ્લા દિવસો હતા ત્યારે શ્રીનિવાસન્‌ દાલમિયાની પડખે હતા. એટલું જ નહીં, નિવૃત્ત થતા દાલમિયા માટે ‘પેટ્રન-ઇન-ચીફ’ જેવો નવો હોદ્દો ઊભો કરવાનું સૂચન પણ શ્રીનિવાસન્‌નું હતું અને વર્ષ ૨૦૦૬માં દાલમિયા સામે નાણાંકીય ગેરરીતિના આરોપો જે સમિતિએ કર્યા, તેના અઘ્યક્ષ પણ શ્રીનિવાસન્‌ હતા. ત્યાં સુધીમાં એ બીસીસીઆઇના ખજાનચી બની ચૂક્યા હતા અને પ્રમુખપદું તેમના માટે હાથવેેંતમાં હતું. દાલમિયા આરોપોમાંથી નિર્દોષ પુરવાર થઇને બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખપદે પાછા ફર્યા ત્યારે શ્રીનિવાસને ફરી તેમની સાથે સંધિ કરી લીધી. કારણ કે બીસીસીઆઇના પ્રમુખ બનવા માટે તેમને એ બધાના મતની જરૂર હતી.

કોઇ રાજકીય ઉથલપાથલના ઘટનાક્રમ જેવા લાગતા આ બનાવો રમતના રાજકારણની અસલિયત છતી કરે છે, જેના મૂળમાં રમતને કારણે પેદા થતાં અઢળક નાણાં અને તેના પણ મૂળમાં રમત માટેની લોકોની અવિચારી ઘેલછા કારણભૂત છે. એટલે જ, લલિત મોદી જેવા વહીવટદાર આઇપીએલનું મનોરંજન શરૂ કર્યા પછી સફળતાને જીરવી ન શક્યા અને તેમને પરદેશ જતા રહેવું પડ્યું, ત્યારે શ્રીનિવાસન્‌ આઇપીએલ અને ટ્‌વેન્ટી ટ્‌વેન્ટી સહિતની તમામ તકો ઝડપી લેવા માટે ઉત્સુક હતા. સાદું પ્રમાણભાન બાજુ પર મૂકીને બીસીસીઆઇના વડા હોવા છતાં, તેમણે ચેન્નઇની ટીમ ખરીદી. પછી બચાવ એવો કર્યો કે ટીમ તો એમની કંપની ‘ઇન્ડિયન સીમેન્ટ’ની માલિકીની હતી. (ભારતની ટીમનો કેેપ્ટન ધોની શ્રીનિવાસન્‌ની ટીમનો પણ કેપ્ટન હતો અને આ ટીમ લાગલગાટ બે વર્ષ ચેમ્પિયન પણ બની). વધારે કકળાટ થાય તે પહેલાં શ્રીનિવાસને કાયદો બદલી નાખ્યો અને વહીવટદારો કે ખેલાડીઓ ટીમના માલિક ન બની શકે, એવી જોગવાઇ રદ કરી નાખી.
courtesy : sandeep adhyaru

મેચફિક્સિંગ જેવી બાબતને લઇને પાઘડીનો વળ છેડે આવ્યો અને શ્રીનિવાસન્‌ના જમાઇ ગુરુનાથ મેયપ્પનની ફસામણી થઇ, ત્યારે પણ શ્રીનિવાસની બેશરમી અને રીઢાપણું તેમને વડાપ્રધાનપદ માટે લાયક બનાવે એ હદનાં હતાં. સર્વોચ્ચ અદાલતે તપાસસમિતિ નીમી ત્યારે શ્રીનિવાસન્‌ એવું રટણ કરતા રહ્યા કે ‘મારી પૂછપરછ થઇ નથી. પછી હું શા માટે રાજીનામું આપું?’ પછી જાહેર થયું કે તેમની પૂછપરછ થઇ હતી, ત્યારે વળી તેમણે પોતાનું ગાણું બદલી નાખ્યું.

તપાસ ચાલે ત્યાં સુધી અદાલતે તેમને બાજુ પર મૂકીને સુનિલ ગાવસ્કરને બોર્ડના પ્રમુખ નીમ્યા. પરંતુ શ્રીનિવાસન્‌ પાસે સંપત્તિ અને સંપર્કોનું એવું જોર હતું કે બીસીસીઆઇના પ્રમુખ તરીકે શંકાના દાયરામાં રહેલો અને બાજુ પર હટાવાયેલો આ માણસ એ જ ગાળામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનો ચેરમેન બની ગયો. પ્રધાન તરીકે નાલાયક ઠરેલા માણસને વડાપ્રધાન બનાવવામાં આવે એવી આ વાત હતી. પણ ભ્રષ્ટાચાર સામે બૂમબરાડા પાડતા નેતાઓને તેમના નાક તળે ખદબદતી આ ગંદકી વિશે કશું કહેવાનું હતું. શ્રીનિવાસન્‌ના મુદ્દે ભાજપી જેટલી ને કોંગ્રેસી રાજીવ શુક્લનું મૌન એકસરખું અકળાવનારું હતું.

અદાલતે નીમેલી મુદગલ સમિતિના અહેવાલમાં સ્પષ્ટ થયું કે મેચફિક્સિંગમાં શ્રીનિવાસનની સંડોવણી ભલે ન હોય, પણ તેમની જાણકારી તો હતી અને તેમણે આંખ આડા કાન કર્યાં હતાં. આ અહેવાલનું મનગમતું અર્થઘટન તારવીને શ્રીનિવાસને એવો પ્રચાર શરૂ કર્યો કે ‘અદાલતમાંથી મને ક્લીનચીટ મળી ગઇ છે. માટે હવે મને બીસીસીઆઇનો પ્રમુખ બનાવી દેવો જોઇએ.’ ક્લીનચીટનો  દાવ બધાને એકસરખો ફળતો નથી. આ કિસ્સામાં સર્વોચ્ચ અદાલતે ખોંખારીને કહેવું પડ્યું કે શ્રીનિવાસન્‌ને કોઇ ક્લીનચીટ મળી નથી અને તે આઇપીએલની ટીમના માલિક કેવી રીતે બની શકે?
courtesy : sandeep adhyaru

અદાલતના કડક વલણ પછી ક્રિકેટના રાજકારણમાં શ્રીનિવાસન્‌ની કારકિર્દીનો તત્કાળ અંત આવે એમ તો નથી. કારણ કે આઇસીસીમાં હજુ તે પ્રમુખ છે અને બીસીસીઆઇને રીમોટ કન્ટ્રોલથી ચલાવી શકે એમ છે. ધારો કે કોઇ કારણસર શ્રીનિવાસન્‌ની ક્રિકેટ કારકિર્દીનો અંત આવે તો પણ નવા આવનાર દાલમિયા-લલિત મોદી-શ્રીનિવાસન્‌ની ‘ઉજ્જવળ’ પરંપરાના નહીં હોય, એની કોઇ ખાતરી નથી. કેપ્ટન ધોની જેવા ખેલાડી તપાસપંચ આગળ જૂઠું બોલે ને સચિન તેંડુલકર નિવૃત્ત થયા પછી પણ આત્મકથામાં મેચ ફિક્સિંગનો ‘મ’ ન પાડે, ત્યારે શ્રીનિવાસન્‌ જેવાઓ ફાવ્યા જ કરે, એમાં શી નવાઇ? 

Thursday, November 27, 2014

એન.આર.આઇ.ના સ્વપ્નનું ભારત

પ્રચારસમ્રાટ વડાપ્રધાન મનોરંજન ક્ષેત્રે વિશ્વવિજયના મૂડમાં લાગે છે. અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં મોટા પાયાના મનોરંજક કાર્યક્રમો જ્યાં યોજાય છે, એવાં સ્થળોએ તેમની સભાઓ થઇ. તેમાં બિનનિવાસી ભારતીયો - એન.આર.આઇ.- ઉમટી પડ્યા. કાંકરિયામાં બાળકોના મનોરંજન માટે ‘અટલ એક્સપ્રેસ’ ટ્રેન ચાલે છે. ઓસ્ટ્રેલિયામાં  ‘મોદી એક્સપ્રેસ’ ટ્રેન દોડાવવામાં આવી. પહેલાં ફક્ત ગુજરાતમાં સરકારની યોજનાઓથી માંડીને રાહતસામગ્રીનાં પેકેટ પર તત્કાલીન મુખ્ય મંત્રી મોદીની તસવીરો ને નામ જોવા મળતાં હતાં. હવે અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાનના મનોરંજન કાર્યક્રમો નિમિત્તે અપાતા ભૂંસા-ચવાણા સાથે પણ તેમનું નામ જોડી દેવામાં આવે છે (‘મોદીમિક્સ’). એમ કરવાથી ભૂંસાનું બહુમાન થયું ગણાય કે વડાપ્રધાનનું, એ વિશે તેમના ચાહકોમાં ગંભીર મતભેદ છે. આખી વાતમાં વડાપ્રધાનનું (કે ભૂંસાનું) બહુમાન થાય કે અવમૂલ્યન, એ અંગે પણ કેટલાકનેે શંકા છે.

અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં મુગ્ધ મેદની સમક્ષ વડાપ્રધાને ‘તમારા સ્વપ્નનું ભારત’ બનાવવાનો વાયદો આપ્યો. સરકાર જેમને સગવડે એન.આર.આઇ., તો મન ફાવે ત્યારે ‘સ્વચ્છતાપ્રેમી’ તરીકે ખપાવી દે  છે એવા ગાંધીજીએ ‘મારા સ્વપ્નનું ભારત’ આલેખ્યું હતું. (નોંધ : તેમનું સ્વપ્ન ભારતના વડાપ્રધાન બનવાનું ન હતું.) વડાપ્રધાન વિદેશોમાં તેમના મનોરંજન કાર્યક્રમમાં ‘તમારા સ્વપ્નનું ભારત’ કહે, ત્યારે એન.આર.આઇ. જનતાથી ભરેલો હોલ હર્ષનાદથી ગુંજી ઉઠે છે. અહીં બેઠાં બેઠાં અહેવાલ વાંચનારને તો એવું જ લાગે કે સભા પૂરી થયા પછી બહાર નીકળીને તરત અમેરિકા (કે ઓસ્ટ્રેલિયા)નાં ગ્રીન કાર્ડ-સિટિઝનશીપની હોળીનો કાર્યક્રમ થયો હશે.

ભારતીયોની માફક એન.આર.આઇ.ના અનેક પ્રકારભેદ છે. તેમાંથી બધા નહીં, પણ બહુમતી વર્ગના ‘સ્વપ્નું ભારત’ એટલે શું? એ કેવું હોય? તેમાં શું હોય? એ વિશે કાલ્પનિક છતાં પૂરેપૂરો વાસ્તવિકતા આધારિત એક સંવાદ.

સ : કેમ છો?

જ : ઑરાઇટ. જેશીક્રષ્ણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર.

સ : તમે તો બહુ ધાર્મિક. કહેવું પડે.

જ : અઠવાડિયે એક જ વાર અને એ પણ ઘરે રાંધ્યા વિના ગુજરાતી ભોજન તૈયાર મળતું હોય તો ધાર્મિક થવામાં શું જાય છે? પણ તમને દેશી લોકોને અમારો સંઘર્ષ નહીં સમજાય. વડાપ્રધાન જેવા કોઇક જ એ સમજી શકે.

સ : કયો સંઘર્ષ? તૈયાર ભાણે જમવાનો? કે મંદિરમાંથી મળતા લાભને દેશપ્રેમ, સંસ્કૃતિ જેવી ભવ્ય બાબતો સાથે સાંકળવાનો?

જ : તમારો પ્રોબ્લેમ શો છે? અમે સમજી શકીએ છીએ કે તમને અમારી ઇર્ષ્યા આવતી હશે, પણ, વૅલ, એમાં તો...

સ : પ્રોબ્લેમનું લીસ્ટ તો લાંબું છે ને તે અમારા પ્રોબ્લેમનું છે કે તમારા, એ નક્કી કરવાનું અઘરું પડશે. એ વાત છોડો. આપણે તમારા સ્વપ્નના ભારત વિશે વાત કરીએ.

જ : વાઉ. મારા સ્વપ્નનું ભારત. મને બહુ જ ગમે છે. ભારત મારો દેશ છે. હું ભારતને ચાહું છું...

સ : એ તો તમે ભણતા હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આગળ પ્રતિજ્ઞામાં આવતું હતું.

જ : આઇ નો. અને શું અમારી સ્કૂલ, મારા ક્લાસમેટ્‌સ, ઘરેથી ઉઘાડા પગે દોટ કાઢીને અમે સ્કૂલે પહોંચી જતા હતા.

સ : હા, પણ એ તો નોસ્ટાલ્જિયા થયો. અતીતરાગ. આપણે ભવિષ્યરાગની વાત કરવાની છે. તમારા સ્વપ્નનું ભારત...

જ : કરેક્ટ. મારા સ્વપ્નનું ભારત. પહેલી વાત કહું તો, એમાં કોઇને અમેરિકા નહીં આવવું પડે...

સ : એ તો તમારા સ્વપ્નના અમેરિકાની વાત થઇ. કારણ કે ત્યારે પણ તમે તો અમેરિકામાં જ હોવાના.

જ : (ગુંચવાઇને) હા એટલે ના, પણ...હું એમ કહેવા માગતો હતો કે બધા પોતાના ગામમાં જ રહેતા હશે. પાડોશીઓ સાથે વાટકીવ્યવહાર ચાલતો હશે. છોકરાં કમ્પ્યુટર પર ‘ટેમ્પલ રન’ કે ‘એન્ગ્રી બર્ડ’ નહીં, શેરીઓમાં ગિલ્લીદંડા-લખોટીઓ રમતાં હશે, લોકો ફેસબુક-વોટ્‌સેપ પર નહીં, ઓટલા પર પંચાત કરતા હશે, આપણી સંસ્કૃતિની એટલી ઉન્નતિ થઇ હશે કે ફળિયામાં ઝગડો થાય ત્યારે લોકો ગાળો પણ સંસ્કૃતમાં બોલતાં હશે, વર્ષમાંથી છ મહિના જ્ઞાતિભોજનો થતાં હશે, આપણી સંસ્કૃતિના ઉત્કર્ષનો અભ્યાસ કરવા માટે અમેરિકાથી ધોળિયાઓ ગુજરાતી-હિંદી-સંસ્કૃત શીખીને ભારતના વિઝા માટે અપ્લાય કરતા હશે  ને અમારી ભલામણો શોધવા આવતા હશે...અને અમે ભારત આવીએ ત્યારે સ્વર્ગમાંથી ઉતરી આવેલા દેવતાઓ જેવાં માનપાન અમને મળતાં હશે.

સઃ પણ ભારતની સમસ્યાઓ વિશે તમારું શું દર્શન છે?

જ : દર્શન? ઑફ કોર્સ. દરેક માણસ ગામના મંદિરે સવાર-સાંજ નિયમિત દર્શન કરવા જતો હશે. ભારતને અમેરિકા જેવું બનાવવાનો શોર્ટેસ્ટ કટ એ જ છે : ટેમ્પલ-બેઝ્‌ડ કલ્ચર, સોસાયટી એન્ડ ઇકોનૉમી.

સ : એટલે?

જ : તમે ઇન્ડિયાના પ્રોબ્લેમ્સની વાત કરી ને? દેશમાં બેકારીનો મોટો પ્રોબ્લેમ છે. બિલિયન પીપલ માટે સરકાર પણ બિચારી શું કરે? એટલે દરેક ગામમાં ગોચરની જમીન પર એક મોટું મંદિર હોય.

સ : પણ ગોચરની જમીન તો હોવી જોઇએ ને...બધી જમીનનો વહીવટ- સૉરી, ‘વિકાસ’- થઇ ગયો હોય તો?

જ : નો ઇશ્યુઝ. ગામમાં ક્યાંય ન મળે તો ઝુંપડાં તોડીને પણ એક મંદિર ઊભું કરી દેવાનું. વિકાસ માટે કોઇકે તો ભોગ આપવો જ પડે. તમારે તો મંદિર માટે ફક્ત ઇચ્છા વ્યક્ત કરવાની. પોતાની ફ્રેન્ચાઇઝ ખોલવા માટે ‘એક્સ્પ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ’ દેખાડનારા ઘણા સંપ્રદાય મળી જશે. એમને એક્સાપાન્શન કરવું હશે. (ખભો ઉલાળીને) ફાઇન. તમને શું પ્રોબ્લેમ છે? તમારે એટલું ગોઠવી દેવાનું કે ગામમાં જે લોકો પાસે કામ ન હોય એ બધા મંદિરમાં સવાર-સાંજ સેવા આપવા જાય અને એ બધાને મંદિરમાંથી મફત ગુજરાતી ભોજન મળે...એકદમ અમેરિકન સીસ્ટમ...

સ : બીજી કઇ અમેરિકન સીસ્ટમ તમે ભારતમાં દાખલ કરવા માગો છો?

જ : અમારે ત્યાં અમેરિકામાં કારિયાઓનો (બ્લેક લોકોનો) બહુ ત્રાસ છે, પણ કાયદા એવા ખરાબ છે કે પોલીસ કાચું કાપે ને પેલો ‘સૂ’ કરે તો કોર્ટમાં સરકારને ભારે પડી જાય. સમાનતા, સિવિલ લિબર્ટીઝ ને એફર્મેટિવ એક્શન ને એવા બધા વાયડા કાયદા અમેરિકામાં ભલે રહ્યા. ત્યાં આપણા ઇન્ડિયનો માટે પણ એ કામના છે. કારણ કે ઘણા ધોરીયા બોલે ભલે નહીં, પણ હજુ આપણને કારીયા જ ગણે છે.

સ : અને તમે જેમને કાળીયા ગણો છો...

જ : એ તો કારીયા જ હોય તો તેમને બીજું શું કહે?

સ : ઓકે, પણ તમે કહેેવા શું માગો છો?

જ : એ જ કે ભવિષ્યમાં સુપરપાવર બનવાની લ્હાયમાં આવા બધા હ્યુમન રાઇટ્‌સ ને સિવિલ લીબર્ટીના કાયદા ઇન્ડિયામાં ઘાલવાની જરૂર નથી. અમેરિકામાં તો આવા કાયદા ઇન્ડિયનો માટે કામના છે, પણ ઇન્ડિયામાં તો બધા ઇન્ડિયન્સ જ છે. પછી ત્યાં કોના માટે આવા કાયદા રાખવાના?

સ : તમારું ચિંતન બહુ ગહન છે. તમારા સ્વપ્નનું ભારત બનાવવા માગતા વડાપ્રધાનશ્રીને તમે આ મુલાકાત દ્વારા કોઇ સંદેશો પહોંચાડવા માગો છો?

(અચાનક પાછળથી કોઇ માથાફરેલ એન.આર.આઇ. આવીને કહે છે) : હા, અમારું સ્વપ્નું પૂરું થાય, પછી અમને જગાડજો.

(બન્ને એન.આર.આઇ. એકબીજા સામે પ્રશ્નાર્થસૂચક નજરે જુએ છે અને કાતરિયાં ખાય છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ નહીં, ‘મોદીમિક્સ’ તરીકે ઓળખાતા ચવાણાનો વરસાદ થાય છે અને ઇન્ટરવ્યુનો અંત આવે છે)

Tuesday, November 25, 2014

ખોટું કરવાનો ‘અધિકાર’

‘દીવાર’માં અમિતાભ બચ્ચન શશિ કપૂરને ‘જાઓ, પહેલે ઉસ આદમીકા સાઇન લેકે આઓ...’ એમ કહીને કુટુંબ સાથે થયેલા અન્યાયની આખી યાદી સંભળાવે છે, ત્યારે દર્શકો પણ મનોમન અમિતાભ સાથે સંમત થઇ જાય છે. પછી નાનો ભાઇ શશિ કપૂર સાવ સાદું સત્ય સમજાવે છે. તેના શબ્દો જુદા હશે, પણ સાર આ છે :
આપણે અન્યાયનો ભોગ બન્યા હોઇએ, એટલે આપણને અન્યાય કરવાનો અબાધિત અધિકાર મળી જતો નથી. બીજા સાથે અન્યાય આચરીને, આપણી સાથે થયેલો અન્યાય સરભર કરી શકાતો નથી- એને વાજબી પણ ઠરાવી શકાતો નથી. અન્યાયનો છેદ ઉડાડવાથી અન્યાયનો ગુણાકાર થાય છે. અન્યાયનો અંત લાવવો છે? તો ન્યાયબુદ્ધિ ને માણસાઇ નેવે મૂક્યા વિના, અન્યાય સામે લડો. અન્યાયને અન્યાયથી કાપશો, તો  ડાળખાં કપાશે, પણ મૂળીયાં વધારે મજબૂત થશે. અન્યાયને મૂળમાંથી કાઢવો હોય તો તેનો સામનો ન્યાયી રીતે કરો...

છતાં, તાળીઓ મોટે ભાગે અમિતાભના ડાયલોગ પર જ પડે છે. કારણ કે તેમાં ‘મર્દાના’ વાત છે. ‘મર્દાનગી’ની લોકોની વ્યાખ્યા સમજવી અઘરી છે. સતત અસલામતીમાં જીવનારા, બહાર ગર્જનાઓ કરીને ભીતર ફફડાટ અનુભવનારા, કમાન્ડોના ઝુંડથી ઘેરાયેલા નેતાઓ લોકોને ‘મરદ’ લાગે છે. માંડ છ-સાત દાયકા પહેલાં આ જ દેશમાં ગાંધી-સરદાર જેવા આત્મબળની ‘મર્દાનગી’ ધરાવતા નેતાઓ થઇ ગયા હોય, ત્યારે આ વિરોધાભાસ વધારે ઘેરો લાગે છે.

સિત્તેરના દાયકાનો ‘દીવાર’નો ડાયલોગ ઘણા સમયથી જાહેર જીવનની ફિલસૂફી અને જાહેર વિમર્શની એક ધરી બની ગયો હોય એમ લાગે છે. અંગ્રેજી લેખક તરીકે વિખ્યાત એવા ગુજરાતી સલીલ ત્રિપાઠીએ ‘દીવાર સિન્ડ્રોમ’ માટે પ્રયોજેલો શબ્દ હતો : ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ (સમાન તકનો અધિકાર)- પરંતુ તેમણે જે સંદર્ભમાં આ શબ્દ વાપર્યો, તેનું ગુજરાતી થાય : ખોટું કરવાની સમાન તકોનો અધિકાર. આ વિચિત્ર અને વિકૃત તર્કબાજીને અમિતાભના ‘દીવાર’ના ડાયલોગ જેવો પ્રતિસાદ મળતો રહ્યો છે. કારણ કે, આ દલીલબાજીમાં ઝાઝું નહીં વિચારવાની સુવિધા છે. એટલું જ નહીં, ઝાઝું વિચાર્યા વિના ‘સ્માર્ટ’ દેખાવાનો અને દલીલમાં સામેવાળાને પાડી દીધાનો આભાસી સંતોષ પણ છે.

જાતે વિચારો

ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે ‘યોગગુરુ’ રામદેવ માટે ઝેડ કેટેગરીની સિક્યોરીટી મંજૂર કરી. ચૂંટણી પહેલાં પોતાનું રાજકીય મહત્ત્વ સ્થાપિત કરવા માટે રામદેવે કાળાં નાણાં વિશે આડેધડ, અદ્ધરતાલ નિવેદનો કર્યાં હતાં. ‘એક ભક્તે ભેટમાં આપેલા’ ટાપુ સહિત રામદેવની પોતાની સંપત્તિ અને તેમના વ્યવસાયને લગતા ઘણા સવાલ નાગરિકોના મનમાં થાય એવા છે. પરંતુ કોંગ્રેસવિરોધના વાતાવરણમાં રામદેવ ઉંચકાઇ ગયા.  દેશમાં અન્ના હજારેની બોલબાલા હતી ત્યારે રહી ગયાની લાગણી અનુભવતા રામદેવે રામલીલા મેદાનમાં શક્તિપ્રદર્શન કર્યું, પરંતુ પોલીસ આવી ત્યારે આ ‘યોગગુરુ’, અડ્ડા પર રેઇડ પડતાં ઊભી પૂંછડીએ નાસી છૂટતા જુગારીઓની જેમ, સાડી પહેરીને મંચ પરથી ઠેકડો મારીને નાસી ગયા. (તેમનો દાવો એવો હતો કે એ ત્યાં રહ્યા હોત તો તેમના માટે જાનનું જોખમ હતું)

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક અને સાથીદાર તરીકે ચૂંટણી પહેલાં તેમણે પોતાનો મોભો જમાવી દીધો હતો. હવે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે ત્યારે નાગરિક તરીકે સ્વાભાવિક એવો સવાલ થાય કે રામદેવને ઝેડ સિક્યોરિટીની જરૂર છે? કે પછી ‘સૈંયા ભયે કોતવાલ’ સ્કીમ હેઠળ, કેવળ વટ પાડવા માટે- વિશેષાધિકાર તરીકે તે આપવામાં આવી છે? અને રામદેવ માટે તહેનાત વીસ-બાવીસ પોલીસના કાફલાનો ખર્ચ કોણ ભોગવશે?

પરંતુ આ પ્રકારની ટીકા થાય, એટલે ‘ખોટું કરવાનો અધિકાર’ ભોગવવા ઉત્સુક લોકો કૂદી પડે છે, ‘રોબર્ટ વાડ્રા-પ્રિયંકા ગાંધીને સુરક્ષા મળતી હતી ત્યારે તમે કેમ ચૂપ હતા?’

ચબરાક પ્રચારકો એવી સલુકાઇથી આવો આક્રમક બચાવ તરતો મૂકી દે છે કે તેને હવામાંથી ઝીલી લેનારાને અંદેશો પણ ન આવે. એ તો એમ જ માને કે આ તેમની મૌલિક દલીલ છે અને તે એટલી જબ્બર છે કે ‘વિરોધીઓ’ ચૂપ થઇ જશે.

વાડ્રાની દલીલ કરનારે ઠંડકથી વિચારીને પોતાની જાતને આટલા સવાલ પૂછવા જોઇએ : ૧) રામદેવની સામે હું વાડ્રાનું ‘પત્તું’ ઉતરું છું, એટલે વાડ્રાની સિક્યોરિટી બિનજરૂરી હતી, તેમ રામદેવની સિક્યોરિટી પણ બિનજરૂરી છે, એ તો હું કબૂલું છું ને? ૨) શું હું એક ખોટા કામનો બીજા ખોટા કામથી છેદ ઉડાડવા માગું છું? ૩) નાગરિક તરીકે મારે મને જે ખોટું લાગતું હોય તેનો- વાડ્રાની, રામદેવની કે બન્નેની સુરક્ષાનો- વિરોધ કરવો જોઇએ? કે પછી વિરોધી પક્ષનું ખોટું કામ આગળ ધરીને, મારા પક્ષના ખોટા કામનો બચાવ કરવો જોઇએ? ૪) હું જેનો કટ્ટર વિરોધ કરું છું તેનાં ચોક્કસ પગલાંનો ઉપયોગ, હું જેનું કટ્ટર સમર્થન કરું છું તેમનાં એવા જ પગલાંનો બચાવ કરવા કે તેને વાજબી ઠરાવવા  કરું, તો પછી હું સામાન્ય નાગરિક કહેવાઉં કે કંઠી ધરાવતો વફાદાર?

આ કવાયત પોતાની જાતની ઓળખ માટે છે. તેને જાહેરમાં કરવી જરૂરી નથી. પણ તેનાથી પોતાની જાતનું સાચું મૂલ્યાંકન કરી શકાય અને આપણે પોતાનું વિચારેલું બોલીએ છીએ કે હવામાંથી ઝીલી લીધેલું, એટલો તો ખ્યાલ આવશે. સાથોસાથ, હુંસાતુંસી માટે હોંશે હોંશે કરાતી દલીલો જાતની તપાસમાં કેવી ને કેટલી ટકે છે, એ પણ સમજાશે.

‘તમે’ નહીં, ‘આપણે’

રામદેવ-વાડ્રા સુરક્ષામુદ્દો અપવાદરૂપ નથી. મુઠ્ઠી પછાડીને ‘ખોટું કરવાનો અધિકાર’ માગનારા પાસે ‘ઇક્વલ ઑપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ’ની લાંબી યાદી તૈયાર છે અને તેમાં સતત ઉમેરો થતો રહેવાનો છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ અદાણીની કંપની સાથે ઓસ્ટ્રેલિયામાં ખાણકામ માટે એક અબજ ડોલર સુધીની લોન આપવાનો  એમઓયુ કર્યો. અદાણીની કંપનીના માથે અઢળક દેવું છે, જેનું વ્યાજ ભરવામાં કંપનીની મોટા ભાગની આવક જતી રહે છે. પ્રોજેક્ટમાંથી થનાર ફાયદા આડે ઘણા ‘જો’ અને ‘તો’ છે, એક જ બેન્ક માટે એક અબજ ડૉલરની રકમ બહુ મોટી કહેવાય...

છતાં અદાણી સાથેના એમઓયુ અંગે સવાલ ઉઠાવવામાં આવે, એટલે વફાદારો કહેશે, ‘એમ તો સ્ટેટ બેન્કે બીજી બેન્કોના સમુહ સાથે મળીને, કોંગ્રેસી સાંસદ નવીન જિંદાલની કંપનીને પણ આથી વઘુ રકમની લોન આપી હતી. માલ્યાને આડેધડ લોન પણ યુપીએ સરકારના જમાનામાં આપવામાં આવી હતી.’

ભક્તજનોને આ દલીલ માફક આવી જશે. તેમાં પોતાની લાગણી ઉમેરીને આ દલીલ તે બીજા આગળ ઝીંકવા લાગશે. એ વખતે એમને એટલો પણ વિચાર નહીં આવે કે ‘ધારો કે યુપીએ સરકારે ઉદ્યોગપતિઓ માટે બેન્કો લૂંટાવી દીધી, તો એનડીએ સરકારે પણ એમ જ કરવાનું? અને આ જ દલીલ હોય તો પછી બન્ને સરકારોમાં કંઇ ફરક ખરો? ચૂંટણી પહેલાં થતી ભ્રષ્ટાચારવિરોધની અને સુશાસનની કવિતાઓનું શું? આપણો વિરોધ ભ્રષ્ટાચાર સામે હતો કે ફક્ત યુપીએ (કોંગ્રેસ) દ્વારા થતા ભ્રષ્ટાચાર સામે? અને એવું જ હતું તો પછી આપણો વિરોધ નાગરિક તરીકેનો હતો કે કોંગ્રેસવિરોધી, ભાજપપ્રેમી કે મોદીભક્ત તરીકેનો હતો?

આખી વાતમાં એ ચર્ચા તો અલગ જ છે કે અદાણી સાથે થયેલા એમઓયુ અને જિંદાલને અપાયેલી લોનમાં તાત્ત્વિક રીતે જ ફરક છે. દલીલ પ્રમાણે જિંદાલને બેન્કોના સમુહે લોન આપી હતી, જ્યારે અદાણી સાથે કેવળ એક જ સરકારી બેન્કે આવડી મોટી રકમનો કરાર કર્યો છે. ઉપરાંત, અદાણીનો પ્રોજેક્ટ પણ ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત નથી. કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં આકાર લેવાનો છે. આ બધી હકીકતોને લઇને ચર્ચા કરવાને બદલે, આખી વાતને ભાજપ-કોંગ્રેસના ખાનામાં ગોઠવી દેવાથી દેશનું કે નાગરિકોનું કોઇ હિત સધાતું નથી.

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત વખતે જે રીતે લોકશાહીનું ચીરહરણ થયું અને મતદારોની આંખમાં ઘૂળ નાખવામાં આવી તેના વિશે તો ઝાઝી ચર્ચા જ ન થઇ. બાકી, તેને કોંગ્રેસે અગાઉ કરેલા કોઇ પાપ સામે મૂકીને ‘એ વખતે તમે ક્યાં ગયા હતા?’ જેવો સગવડીયો સવાલ પુછાયો હોત. યુપીએ સરકાર ગઇ ને એનડીએની સરકાર આવી, છતાં બીસીસીઆઇ-ખ્યાત શ્રીનિવાસનને કશો ફરક પડ્યો નથી. તેમના માટે પહેલાં પણ અચ્છે દિન હતા ને હવે પણ અચ્છે દિન છે.

રામપાલ, આસારામ, નિર્મલબાબા જેવા ઘૂર્ત અને ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની ટીકા થાય, એટલે એક વર્ગ બાંયો ચડાવીને મેદાનમાં કૂદી પડે છે કે ‘તમને ફક્ત હિંદુ સાઘુસંતો જ કેમ દેખાય છે? તાકાત હોય તો મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મગુરુઓની ટીકા કરો ને?’ સમાજમાં આસારામો અને રામપાલોના હાથ મજબૂત બનાવવામાં આવા દલીલબાજોનો મોટો ફાળો હોય છે. તેમને એટલી સાદી વાત સમજાતી નથી કે હિંદુ તરીકે તેમને બહુ ગૌરવ હોય તો સૌથી પહેલાં એમણે જ આસારામો અને રામપાલો સામે મોરચો માંડવો જોઇએ. અત્યારે ચોતરફ દિલ્હીની જામા મસ્જિદના બુખારીની ટીકા થઇ રહી છે. છતાં ‘તાકાત હોય તો મુસ્લિમ ધર્મગુરુઓની ટીકા કરો’ એવી દલીલ વીંઝનારા એ વાતની નોંધ નહીં લે. કારણ કે એ તેમની આક્રમક બચાવપદ્ધતિમાં બંધ બેસતી વાત નથી.

દેશના નાગરિક તરીકે આપણું કામ એક પક્ષનાં કુકર્મોની સામે બીજાં પક્ષનાં કુકર્મોનો છેદ ઉડાડવાનું નહીં, પણ બન્નેનો અલાયદો હિસાબ માગવાનું છે. ‘..તમે ક્યાં હતા?’ ને ‘તમે શું કરતા હતા?’ જેવા સવાલ પૂછીને ફરજઅદાયગીનો ઓડકાર ખાઇ લેવાને બદલે ‘આપણે શું કરવું જોઇએ?’ એ સવાલ વધારે અગત્યનો છે. 

Friday, November 21, 2014

‘કાળું નાણું’ નહીં, જય શ્યામલક્ષ્મી માતા

નવી સરકારનું ખાતું સમજાતું નથી : એક તરફ એ દેશમાં ગરીબમાં ગરીબ લોકોનાં બેન્કખાતાં ઉઘાડવા માટે ‘જનધન’ યોજના જાહેર કરે છે, તો બીજી તરફ જે ખાતાં ઑલરેડી ખુલી ચૂકેલાં છે- ભલે ને તે સ્વિસ બેન્કમાં ખુલેલાં હોય- તેને બંધ કરવાની ફિરાકમાં છે. સરકારી ‘જનધન યોજના’નું સૂત્ર છે : ‘આપકા ખાતા ભાગ્યવિધાતા’. હિંદી ભાષાનું ખપજોગું અથવા વ્યવહારુ જ્ઞાન ધરાવતા ઘણા લોકોને આ સૂત્રથી ગેરસમજ થાય છે. તેમને લાગે છે કે સરકાર તેમને ચેતવણી આપી રહી છે : ‘સંભાળજો, તમારાા ભાગ્યવિધાતા હોવાનો દાવો કરનારા લોકો જ (તમારું ધન) ખાઇ રહ્યા છે.’

સવાલ એ છે કે સ્વિસ બેન્કનાં ખાતાં રહેલું ધન પણ ‘જનધન’ નથી તો શું ‘પશુધન’ છે? કેટલાક ચોખલિયા એને ‘પરજનધન’ કે ‘પરધન’ ગણી શકે, પરંતુ તાત્ત્વિક રીતે બઘું નાણું બીજાનું (એટલે કે સરકારી) નથી હોતું? ભલભલા ચુસ્ત ગાંધીવાદી પણ એમ ન કહી શકે કે ‘હું તો સ્વાવલંબન-સ્વાશ્રયમાં માનું છું. રોજ ચરખા પર પાંચસો-પાંચસોની ખાદીની નોટો કાંતું નહીં ત્યાં સુધી સૂતો નથી.’

‘બધા માણસ એક જ કુદરતનાં સંતાન હોય તો તેમાં કાળા-ધોળાના ભેદ શા માટે?’ એવો સવાલ શાણા લોકો અવારનવાર પૂછતા હોય છે. પરંતુ નાણાંની વાત આવે એટલે, બીજી ઘણી ભાવનાઓની જેમ, સમાનતાની ભાવના પણ લોકોના મનમાંથી વરાળ થઇને ઉડી જાય છે. ‘રીઝર્વ બેન્ક જ નાણાં છાપતી હોય તો તેમાં કાળાં શું ને ધોળાં શું?’ આવો મૂળભૂત સમાનતાલક્ષી સવાલ લોકોને થતો નથી. ઊલટું, આવી સમદૃષ્ટિ ધરાવનારા લોકોને તે જાહેરમાં તુચ્છકારથી (અને મનમાં અહોભાવથી) જુએ છે.

નાણાંને જ્યાં લક્ષ્મી ગણવામાં આવે છે, એ સંસ્કૃતિમાં નાણાંનો તુચ્છકાર થાય અને એ પણ કેવળ તેના રંગને કારણે, એમાં સંસ્કૃતિનું હળાહળ અપમાન છે. ફિલ્મો અને કળાકૃતિઓના મામલે ‘સંસ્કૃતિ પર હુમલો’ના બહાને ગુંડાગીરી કરવા ઉતરી પડતી પ્રજાએ ખરેખર તો કાળાં નાણાંના સંરક્ષણ માટે મેદાને ઉતરવું જોઇએ અને ‘શ્યામલક્ષ્મીસંરક્ષણ દળ’ કે ‘અખિલ ભારતીય કૃષ્ણલક્ષ્મીસંરક્ષક સેના’ જેવું કોઇ સંગઠન ઊભું કરવું જોઇએ. આ સંગઠનના લોકોએ કોંગ્રેસ સાથે જોડાવું કે ભાજપ સાથે કે પછી બિનરાજકીય રહીને તમામ રાજકીય પક્ષોને સેવા આપવી, એ સંસ્થાપકોએ નક્કી કરવાનું રહે. પણ તેમને કદી કામની અને ઑર્ડરની ખોટ નહીં પડે એટલું અવશ્ય કહી શકાય.

નવરચિત સંગઠનનું મુખ્ય કામ સૌથી પહેલાં તો લોકોને એ સમજાવવાનું રહેશે કે ‘ખબરદાર, જો કોઇએ ‘શ્યામલક્ષ્મી’ માટે કાળાં નાણાં જેવો અપમાનજનક શબ્દપ્રયોગ વાપર્યો છે તો. અમે એવો વિરોધ કરીશું કે ભારત છોડીને કાયમ માટે દુબઇ જતા રહેવાનો વારો આવશે.’ કર્મઠ કાર્યકરોને આ ધમકી મોળી કે ભવિષ્યલક્ષી લાગવાનો સંભવ છે. તેમના હાથમાં આવતી ખંજવાળ સંપૂર્ણપણે વર્તમાનકાળની હોય ત્યારે ભવિષ્યની રાહ કોણ જુએ? તેમના લાભાર્થે એવાં આયોજન પણ કરી શકાય કે ‘જે પ્રસાર માઘ્યમો શ્યામલક્ષ્મીનો ઉલ્લેખ ‘કાળાં નાણાં’ તરીકે કરશે તેમની ઑફિસની સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.’ તેમાં માઘ્યમના કર્તાહર્તાઓની શ્યામલક્ષ્મીની વિગતો જાહેર કરવાથી માંડીને ઑફિસમાં ધૂસી જઇને તોડફોડ કરવા સુધીની બાબતો સમાવિષ્ટ હોઇ શકે. ‘જે લોકો જાહેરમાં ‘કાળાં નાણાં’ જેવા સંસ્કૃતિઘાતી શબ્દોનો પ્રયોગ કરશે, તેમની હાલત  રામાયણ-મહાભારત વિશે સંશોધનપૂર્વક ગ્રંથો લખનારા વિદ્વાનો જેવી કે કળા દ્વારા મુક્ત અભિવ્યક્તિ કરનારા કલાકારો જેવી થશે. તેમને જાહેરમાં સંસ્કૃતિદ્રોહી તરીકે ચીતરીને ધીક્કારપાત્ર બનાવી દેવામાં આવશે.’ - એવું પણ જાહેર કરી શકાય.

આ વર્ણનમાં જેમને અતિશયોક્તિ લાગતી હોય તેમને યાદ કરાવવાનું કે સંસ્કૃતિદ્રોહના નામે આ બધા પ્રકારની ગુંડાગીરી થઇ ચૂકી છે. તેમાં કશું કાલ્પનિક નથી, તો પછી સંસ્કૃતિની વ્યાખ્યામાં વહેરોઆંતરો શા માટે? સીતાનું કે સરસ્વતીનું ‘અપમાન’ આપણને આટલું ખટકતું હોય, તો લક્ષ્મીનું શા માટે નહીં? ફક્ત એટલા માટે કે તે શ્યામ છે? શ્યામને લઇને કવિતાઓ ને કવિતડાંનો વરસાદ વરસાવનારી અને તેને હોંશે હોંશે ઝીલનારી સંસ્કૃતિમાં શ્યામ રંગ પ્રત્યે આટલો દ્વેષભાવ કે ઉપેક્ષાભાવ કેમ?  

એક વાર શ્યામલક્ષ્મીને બળુકું સંરક્ષણ મળવાની શરૂઆત થઇ જાય, એટલે સૌથી મોટો ફાયદો એ થશે કે દેશમાંથી કાળા નાણાંની સમસ્યા દૂર થઇ જશે. ના, કાળું નાણું દૂર નહીં થાય, પણ તેને સમસ્યા ગણીને શરમાવાને બદલે તેને સંસ્કૃતિ ગણીને હરખાવા માટે લોકો પ્રેરાશે. આફતને અવસરમાં પલટાવવાના અગાઉ આવા ઘણા પ્રયોગ સફળતાપૂર્વક થઇ ચૂક્યા છે, તો એક પ્રયોગ ઓર સહી.

કાળા નાણાંને પ્રતિષ્ઠા અપાવવી એ સંસ્કૃતિકાર્ય છે, એવી પ્રતિજ્ઞા લીધા પછી સૌથી પહેલાં તો એકાદ પુરાણનો હવાલો આપીને લક્ષ્મીજીના શ્યામસ્વરૂપ વિશેની કથા શોધી કાઢવી જરૂરી છે. જેમ કે,  લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનથી ખાનગીમાં થોડાં ઘરેણાં મૂકી રાખ્યાં હોય. એક દિવસ નારદમુનિ આવે અને વિષ્ણુ ભગવાનની મશ્કરી કરતાં કહે કે ‘માણસો તો ઇન્કમટેક્સવાળાથી ઘરેણાં છુપાવે છે, પણ પ્રભુ, તમે ઘરેણાં કોનાથી સંતાડ્યાં છે?’ વિષ્ણુ ભગવાન આરોપનો ઇન્કાર કરે. નારદજી તેમને અમુકતમુક જગ્યાએ જોવાનું કહે અને ત્યાંથી સંતાડેલાં ઘરેણાં નીકળે એટલે વિષ્ણુ ભગવાન નારાજ થાય. એ જ વખતે લક્ષ્મીજીનો પ્રવેશ થાય, વિષ્ણુ ભગવાન ઘડીકમાં ઘરેણાંની, તો ઘડીકમાં લક્ષ્મીજીની સામે ગુસ્સાથી જુએ. કચવાટથી લક્ષ્મીજીનો રંગ શ્યામ પડી જાય. ઘરેણાં છુપાવવા પાછળ સંસારહિતની કઇ લાગણી કામ કરતી હતી એ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને સમજાવે, એટલે મામલો થાળે પડી જાય, પણ લક્ષ્મીજીનું એ વખતનું સ્વરૂપ શ્યામલક્ષ્મી તરીકે પ્રચલિત બને.

પૌરાણિક કથા પછીનું બીજું પગથિયું તેમને એક વાર ફાળવી દેવાનું છે. સંતોષીમાનો શુક્રવાર એમ શ્યામલક્ષ્મીમાતાનો રવિવાર. કારણ કે તેમના ભક્તો અઠવાડિયામાં છ દિવસ તો કામ કરતા હોય. બીજું કારણ એ કે શ્યામલક્ષ્મીનાં અસલી મંદિર જેવી કેટલીક સ્વિસ બેન્કો રવિવારે પણ ખુલ્લી હોય છે. પછી રહ્યું શ્યામલક્ષ્મીમાતાનું ‘અમારી બીજી કોઇ શાખા નથી’ પ્રકારનું મંદિર. તેમાં પ્રસાદ તરીકે કોઇ પણ ધાતુના, પણ સિક્કા જ રાખવાના. ઉપર એક તરફ શ્યામલક્ષ્મીનું ચિત્ર હોય અને પાછળ જુદા જુદા આંકડા લખેલા હોય. ભેટ મૂકનારને શ્યામલક્ષ્મીમાતાના પ્રસાદ તરીકે સિક્કો મળે. ભાવિક ભક્તો ધનતેરસના દિવસે એ સિક્કાને પૂજનમાં પણ મૂકી શકે.

શ્યામલક્ષ્મીનું મંદિર થવાથી એક ફાયદો એ થશે કે લોકોએ પોતાની શ્યામલક્ષ્મી વિદેશી ‘મંદિરો’ (બેન્કો)માં મૂકવા જવું નહીં પડે. ઘરબેઠાં, ‘સ્વર્ગાદપિ ગરિયસી’ એવી જન્મભૂમિમાં રહીને જ, પોતાની શ્યામલક્ષ્મીનો અસરકારક વહીવટ શ્યામલક્ષ્મીમાતાનાં મંદિરો થકી કરી શકાશે. અમુક એકરમાં પથરાયેલાં શ્યામલક્ષ્મીનાં મંદિર પછી તો ઠેકઠેકાણે ખુલવા લાગશે અને મલ્ટીપ્લેક્સ મંદિરોની વર્તમાન ફેશન પ્રમાણે, એ મંદિરમાં પછી તો ગમે તે અને બધા દેવીદેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી શકાશે. શ્યામલક્ષ્મીને હડઘૂત કરવાને બદલે પૂજવાનો ખરો પરચો તો ત્યારે મળશે વિદેશની શ્યામલક્ષ્મી લિકેન્સ્ટાઇન કે મોરેશિયસની બેન્કોને બદલે ભારતનાં શ્યામલક્ષ્મી મંદિરોમાં ઠલવાશે અને ભારતનાં શ્યામલક્ષ્મી સ્થાનકોનો જયજયકાર વ્યાપી રહેશે.

(તા.ક. : શ્યામલક્ષ્મીવ્રત, વાર કે તેમના મંદિરનો આઇડિયા વાપરનારે આ લખનારને યોગ્ય અને શ્યામ નહીં એવી લક્ષ્મી ચૂકવવી જરૂરી છે)