Showing posts with label ISIS. Show all posts
Showing posts with label ISIS. Show all posts
Tuesday, November 24, 2015
ઇસ્લામ માટે આંતરખોજનો તકાદો
ધર્મનો મામલો નાજુક હોય
છે. તેમાં સૌથી ઇચ્છનીય એ છે કે માણસ બીજાના ધર્મમાંથી વાંધા કાઢવાને બદલે, પોતાના ધર્મની મર્યાદાઓ સમજે (પહેલાં તો તેની મર્યાદાઓ હોઇ
શકે એ સ્વીકારે) અને તેમાં જરૂરી સુધારા વિશે ખુલ્લા મને વિચારે.
ધર્મના સ્થાપકો ગમે
તેટલા મહાન હોય,
પણ તેમની વિદાય પછી ધર્મને સંસ્થામાં, સ્થાપિત હિતમાં અને હિંસક ખેંચતાણમાં ફેરવાઇ જતાં વાર લાગતી
નથી. ત્યાર પછી ધર્મસુધારકો ધર્મના નામે ચાલતી
અરાજકતાથી-અન્યાયથી-અમાનવીયતાથી વ્યથિત થઇને સુધારા માટે પહેલ કરે છે. સદીઓ
પહેલાંના યુગમાં,
એ સમયનાં મૂલ્યો અને રાજકીય-સામાજિક-ભૌગોલિક પરિસ્થિતિના
આધારે ધર્મના ઘણા નિયમ નક્કી થયા હોય. તેમાંથી કયા નિયમ કાલગ્રસ્ત-અપ્રસ્તુત થઇ
ગયા છે,
કયા ઉપદેશ માનવસ્વતંત્રતાના આધુનિક વાતાવરણને બાધક નીવડે
એવા છે-- એવા મુદ્દા સુધારકો ઊભા કરે છે.
ઘણાખરા અનુયાયીને પોતાનો
ધર્મ શ્રેષ્ઠતમ અને સંપૂર્ણ લાગવાનો. તેમાં કોઇ પણ પ્રકારના ફેરફારની વાતથી તેમને
રોષ ચડી શકે. પરંતુ શાંતિથી વિચારતાં સમજાશે કે માનવતાકેન્દ્રી સુધારા-સુધારકો
ધર્મોને વધારે પ્રસ્તુત, વધારે માનવીય અને વધારે
આદરણીય-સ્વીકૃત બનાવે છે. ગાંધીજીએ અસ્પૃશ્યતાવિરોધી ઝુંબેશ ઉપાડી ત્યારે કેટલાક
પંડિતો ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરીને અસ્પૃશ્યતાને ધાર્મિક ગણાવવા ઉત્સુક હતા, પણ ગાંધીજીની વાત સ્પષ્ટ હતી : આવી અમાનવીય પ્રથા ગમે તેવાં
શાસ્ત્રોના આધારથી પણ વાજબી ઠરાવી ન શકાય. આઝાદી પછી ભારત હિંદુ રાષ્ટ્ર ન બન્યું
અને બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. એટલે ગમે તેવો રૂઢિચુસ્ત કે
ધર્મધુરંધર પણ ન્યાયની અદાલતમાં ધર્મગ્રંથ ટાંકીને અસ્પૃશ્યતાનું સમર્થન કરી શકે
નહીં ને કરવા જાય તો એ ટકે નહીં. (કેટલીક બાબતોમાં નાગરિકી સ્વતંત્રતાને રૂંધતા
પર્સનલ લૉ આ બાબતમાં અનિચ્છનીય અપવાદ છે.)
કંઇક આવું પશ્ચિમી દેશોમાં
પણ બન્યું. ખ્રિસ્તી ધર્મમાં થયેલા સુધારકોએ અને સમય પ્રમાણે બદલાતી
માનવસ્વતંત્રતાની સમજે ખ્રિસ્તી ધર્મસત્તામાં ઠીક ઠીક પરિવર્તન આણ્યું. ધર્મની
રૂઢિચુસ્તતા અને તેને માનનારા અનુયાયીઓ હંમેશા રહેવાના, પણ રાજ્યસત્તા તરફથી તેને મળતી સત્તાવાર સ્વીકૃતિ બંધ થઇ.
ઇસ્લામનો કેસ આ બાબતમાં
અલગ છે. સુન્ની અને શિયાના હિંસક મતભેદો અને ધાર્મિકતાના નામે હિંસા ઇસ્લામના
આરંભકાળથી હતાં. અફસોસની વાત છે કે તેર-ચૌદ સદી વીતવા છતાં એ સિલસિલો અટક્યો નથી.
એમ તો હિંદુ ધર્મમાં પણ એક જમાનામાં શૈવો અને વૈષ્ણવો વચ્ચે સંઘર્ષ થતા. સમય જતાં
એ શમી ગયા,
પણ ઇસ્લામના શિયા-સુન્ની હિંસક મતભેદો શમવાનું નામ લેતા
નથી. ISISના ઉપાડા પછી કેટલાક
મુસ્લિમોએ લખ્યું છે તેમ, તેના આતંક માટે કેવળ અમેરિકાની
વિદેશનીતિને દોષ આપવાનું યોગ્ય નથી. તેના મૂળમાં સુન્ની-શિયા સંઘર્ષ રહેલો છે.
ઇરાકમાં શિયાઓની બહુમતી હોવા છતાં (સદ્દામ હુસૈન અને તેમની પાર્ટીના) સુન્નીઓનું
રાજ રહ્યું. તેમણે શિયા તો ઠીક, ફાંટાની રીતે
સુન્ની ગણાય એવા કુર્દ લોકોને કચડવામાં કશું બાકી ન રાખ્યું.
સદ્દામ હુસૈન સામે
અમેરિકાની લશ્કરી કાર્યવાહી પછી શિયાઓનું રાજ આવ્યું, તો એમણે સુન્નીઓ પ્રત્યે કિન્નાખોરી રાખી. ISIS સુન્ની સંગઠન છે
અમેરિકાના આક્રમણ પછી સદ્દામ હુસૈનના વિખેરાઇ ગયેલા લશ્કરના ઘણા માણસો તેમાં
પોતાના લશ્કરી અનુભવો સહિત જોડાયેલા છે. અમેરિકાએ ઇરાક પર રહેલો સદ્દામનો લોખંડી
સકંજો દૂર કરીને બદલામાં બીજો કોઇ સકંજો મૂકી ન આપ્યો. તેને કારણે સુન્ની સંગઠન ISISને છૂટો દોર
મળ્યો. એ અમેરિકાની મોટી ભૂલ, પણ સુન્ની-શિયા
વચ્ચેનો ઝઘડો અમેરિકાએ ઊભો કરેલો નથી. યાદ રહે, બન્ને
જૂથો એકબીજા સામેની હિંસક કાર્યવાહી માટે કુરાનનો આધાર આપે છે.
બીજો અગત્યનો મુદ્દો : ભારતમાં
૨૦૧૪માં એનડીએની જીત પછી-બિહારની ચૂંટણી પહેલાના અરસામાં હિંદુ ધર્મના નામે ઘણા
હિંદુત્ત્વવાદીઓએ આત્યંતિક વિધાન કર્યાં. આધુનિક ગણાતો અમેરિકા નવાઇ લાગે એટલી હદે
ધાર્મિક દેશ છે. પરંતુ ભારત-અમેરિકાના બંધારણમાં, તેના શાસનમાં હિંદુ કે ખ્રિસ્તી રાજ્ય સ્થાપવાનો ખ્યાલ નથી. માણસની મૂળભૂત
સ્વતંત્રતા- મૂળભૂત અધિકારો સ્વીકારાયેલા છે. તેનાથી સાવ વિપરીત, ઘણા મુસ્લિમ દેશોના શાસકોને સર્વધર્મસમભાવના મોડેલમાં રસ
પડતો નથી. તેમનું ધ્યેય લોકશાહી પ્રમાણે નહીં, પણ ચુસ્ત ઇસ્લામી રીતે, શરિયા પ્રમાણે
શાસન ચલાવવાનું હોય છે. પોતાની જાતને ખલીફા (વિશ્વના સુન્નીઓનો ગુરુ) ગણાવતો ISISનો બગદાદી જગતમાં
ઇસ્લામી શાસન સ્થાપવા ઇચ્છે છે. તેમાં બીજા ધર્મોના તો ઠીક, ઇસ્લામના બીજા ફિરકાઓના અને કોઇ પણ માણસના મૂળભૂત માનવ
અધિકારો ગમે ત્યારે આંચકી શકાય છે. ઇસ્લામના
નામે હિંસા આચરવાની વાત આવે ત્યારે અમેરિકાનો ટેકો ધરાવતા સાઉદી અરેબિયામાં અને
આતંકી નં.૧ ISISમાં ઝાઝો ફરક હોતો નથી. બન્ને કુરાનના નામે મધ્ય યુગીન સજાઓ ફટકારે છે અને
પોતાની ધાર્મિકતા ઉપર જાતે જ પોરસાય છે.
એક કટ્ટરતાને બીજી
કટ્ટરતાથી વાજબી ઠરાવવા માગતા હિંદુત્વવાદીઓ પાસેથી ઇસ્લામની ટીકા શોભતી નથી, પણ ISISના ઉપાડા પછી
કેટલાક મુસ્લિમોએ ઇસ્લામ અને અંતિમવાદના સંબંધ વિશે ખોંખારીને કહ્યું છે. એક
મુસ્લિમ ભાઇએ લખ્યું છે,‘ ISIS મુસ્લિમ સંગઠન છે અને તે ઇસ્લામિક પ્રોબ્લેમ છે. તે
ઇસ્લામના મર્મસ્થાને થયેલું કેન્સર છે અને મુસ્લિમો તેનો મુકાબલો નહીં કરે ત્યાં
સુધી એ નહીં જાય. ISISના હત્યારા અલ્લાહો અકબરના નારા લગાડે છે. મહિલાઓ પર
અત્યાચારના ટેકામાં તે કુરાનની આયતો ટાંકે છે. ઇસ્લામ ન સ્વીકારે એવા પરધર્મીઓને
તે મારી નાખે છે...તેમાં ભટકી ગયેલા બેકાર યુવાનોથી માંડીને, પ્રોફેશનલ, બિઝનેસમેન અને
કુરાનના ખાં હોય એવા વિદ્વાનો પણ છે. તેમનો ખલીફા અલ બગદાદી ઇસ્લામિક સ્ટડીઝમાં
ડોક્ટરેટ ધરાવે છે.’ મોટા ભાગના મુસ્લિમો
હિંસાનું સમર્થન કરતા નથી તે સાચી અને આવકાર્ય બાબત છે, પરંતુ ‘ઇસ્લામ હિંસાનું
સમર્થન કરતો નથી’,
એવા દાવા સામે કેટલાક મુસ્લિમોએ અણીદાર સવાલ ઉઠાવ્યા છે.
ગમે તેવો મહાન ધર્મ અંગત
માન્યતાનો જ વિષય હોઇ શકે. તેના આધારે રાજ ચલાવી શકાય નહીં. એવી જ રીતે, ગમે તેટલા પવિત્ર પુસ્તકમાં પ્રબોધાયેલી અમાનવીય વર્તણૂંકને
અફર કે અંતિમ સત્ય ગણી શકાય નહીં. બદલાતા સમયમાં તેને અનુયાયી માટે નહીં, પણ નાગરિક માટે અનુરૂપ બનાવવી પડે. આ બન્ને બાબતો મનમાં
રાખીને,
મુસ્લિમો દોષનો આખો
ટોપલો પાશ્ચાત્ય દેશોના માથે ઢોળવાને બદલે, પોતાના ધર્મ વિશે પૂરા આદર સાથે આંતરખોજ કરે અને એવું કરી રહેલા અવાજોને
મોકળાશ આપે એ સમયનો તકાદો છે. બાકી, કુરાન-
શરિયામાંથી પ્રેરણા લેવાનો દાવો કરનાર અલ કાઇદા, બોકો હરામ, ISIS સિલસિલો ચાલુ જ રહેશે.
દુભાઇ જવું સહેલું છે.
વિચારવું અઘરું. પણ ધર્મનું હિત વિચારમાં છે.
Tuesday, November 17, 2015
ત્રાસવાદનો મુકાબલો : નવેસરથી એકડો માંડવાનો સમય
સરખામણી જરા વિચિત્ર લાગે, પણ ત્રાસવાદ અને
ગ્લોબલ વૉર્મિંગ વચ્ચે એક મૂળભૂત સામ્ય છે : બન્નેમાં કરે કોઇ ને ભોગવે કોઇ.
આર્થિક રીતે સમૃદ્ધ દેશોએ અશ્મિજન્ય બળતણના ધુમાડા કરીને અને ઔદ્યોગીકીકરણ થકી પર્યાવરણનો
દાટ વાળ્યો. તેના પરિણામે સર્જાયેલા ગ્લોબલ વૉર્મિંગની અસર વિશ્વના એવા દેશો અને
એવા લોકો પણ ભોગવી રહ્યા છે, જે આ પાપમાં ભાગીદાર ન
હતા.
ન્યૂયોર્ક હોય, મુંબઇ કે પછી
પેરિસ, ત્રાસવાદનો મામલો પણ કંઇક એવો જ છે : એક ઠેકાણે નિર્દોષો પર
અંધાધૂંધ અત્યાચાર થાય, તેનો બદલો લેવાના નામે ત્રાસવાદીઓ બીજા ઠેકાણે
બીજા નિર્દોષોની હત્યા કરે. અમેરિકા અને તેના સાથી (સાગરિત) ફ્રાન્સ-બ્રિટન જેવા
દેશો અફઘાનિસ્તાનમાં-ઇરાકમાં લશ્કરી દખલગીરી કરે અને સરમુખત્યારશાહી દૂર કરવાના
નામે લશ્કર મોકલે, એટલે અલ કાઇદા ને ISIS જેવાં ત્રાસવાદી
સંગઠનો યુરોપ-અમેરિકામાં આતંકવાદી હુમલા કરે, નિર્દોષોની હત્યા
કરે, તેમને સમૃદ્ધિભરી સલામતીના અહેસાસમાંથી બહાર ખેંચીને
લોહીખરડાયેલી અસલામતીમાં રગદોળી નાખે.
પશ્ચિમી દેશો પોતાનાં સ્થાપિત હિતની વૈશ્વિક
શતરંજમાં એટલા ખૂંપેલા હોય કે તેમાંથી બહાર નીકળવાનું તેમને અઘરું પડે. વર્ષોથી
પહોળો કરેલો સાથરો સંકેલવાનું અને સાઉદી અરેબિયા જેવા જૂના સાથીદારોને નારાજ
કરવાનું ગમે પણ નહીં-- ભલે એ ત્રાસવાદના મૂળભૂત કારણોમાં સામેલ હોય. સામે પક્ષે,
ત્રાસવાદીઓ પણ સમયની સાથે વધારે સાધનસજ્જ અને ટેક્નોલોજીસજ્જ થતા જાય. સરવાળે
થાય એવું કે ત્રાસવાદીઓ અને જગતજમાદારી કરતા દેશો શત્રુભાવે એકબીજાને ટકાવી રાખનાર
અને પોષનાર બની રહે : ત્રાસવાદી સંગઠનોના આતંકને આગળ ધરીને પશ્ચિમી દેશો પોતાનાં
લશ્કરી દુઃસાહસો-આક્રમક વલણ વાજબી ઠરાવે અને પશ્ચિમી દેશોના ‘સરકારી આતંકવાદ’
જેવાં પગલાં સામે ‘ધર્મયુદ્ધ’ છેડવાના બહાને
ત્રાસવાદી સંગઠનો અમાનવીય કૃત્યો આચરે. લોહીયાળ હત્યાકાંડોના ટેકામાં ત્રાસવાદીઓ
પાસે ધર્મનાં સગવડીયાં અનર્થઘટનો તૈયાર જ હોય.
રશિયા અફઘાનિસ્તાનમાં અડિંગા જમાવે, પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં
રશિયાને હંફાવતા મુજાહિદો થાય, જેમને અમેરિકાનો ટેકો હોય,
એમાંથી જતે દહાડે લાદેન અને અલ કાઇદા પેદા થાય, તેમના આતંકના
સાંધા જડે- ન જડે ને લાદેનને ખતમ કરવામાં આવે ત્યાં લગી ‘ઇસ્લામિક સ્ટેટ’
(આઇએસઆઇએસ/ ISIS) જેવું સંગઠન વૈશ્વિક સ્તરે ઉપાડો લઇ ચૂક્યું હોય. તેનો પ્રભાવ
અગાઉનાં બધાં ત્રાસવાદી સંગઠનો કરતાં ચાર ચાસણી ચડે એવો થાય, ત્યાં સુધી
અમેરિકા અને સાથી દેશો જોયા કરે અથવા સ્વાર્થ પ્રમાણે મદદ પણ કરે...અને પાણી માથા
ઉપરથી જતું રહ્યા પછી હાંફળાફાંફળા થઇને જાગે.
યુદ્ધની જેમ આ લડાઇ પણ દેશોનાં લશ્કર વિરુદ્ધ
ત્રાસવાદી સંગઠનો પૂરતી મર્યાદિત રહેતી નથી. ત્રાસવાદી સંગઠનોનો હેતુ શક્ય એટલા
નિર્દોષ નાગરિકોની હત્યા કરવાનો હોય છે, જેથી સામાન્ય નાગરિકોમાં
આતંક અને અસલામતીનું વાતાવરણ ફેલાય અને બળુકા દેશોના પગ નીચેની ધરતી ધ્રુજવા
માંડે. પેરિસ કે મુંબઇ જેવા મોકળાશ માટે જાણીતા શહેરનાં રેલવે સ્ટેશન, કોન્સર્ટ હોલ ને
રેસ્તોરાં જેવી જગ્યાએ ત્રાસવાદી હુમલો થાય એટલે સલામતી વ્યવસ્થાના નામે સીસી
કેમેરા, મેટલ ડીટેક્ટરથી માંડીને અનેક બાબતો માટે નવેસરથી ખર્ચા
કરવાના થાય, મોકળાશની સંસ્કૃતિમાં સલામતીના અનેક પ્રકારની
અડચણો ઊભી થાય, નાગરિકોની સલામતીનું કારણ આગળ ધરીને તેમના માનવ
અધિકારો અભરાઇ પર ચડાવવામાં સરકારને છૂટો દોર મળી જાય, દેશમાં વસતા બીજા
ધર્મના કે બીજા દેશના લોકો સામે શંકા અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય. ત્રાસવાદ
નાબૂદ કરવા માટે લાંબા ગાળાનાં પગલાં ન લઇ શકતી સરકારો ‘ઝીરો ટોલરન્સ’
નીતિના દાવા કરીને આખરે એવાં પગલાં લેતી જોવા મળે છે, જેને કારણે દેશમાં
અંદરોઅંદર અવિશ્વાસનું વાતાવરણ વધે.
પરસ્પર અવિશ્વાસ, વેરઝેર અને
અન્યાયબોધની લાગણી ત્રાસવાદના વ્યાપ કે ત્રાસવાદીઓની ભરતી માટે અનુકૂળ વાતાવરણ
પૂરું પાડે છે. પોતાના દેશમાં રહેલા ‘બીજા’ (વિધર્મી, નિરાશ્રિત) લોકો
વિશે બેફામ બોલતા ‘રાષ્ટ્રવાદીઓ’ તેમાં મદદરૂપ થાય
છે. ત્રાસવાદ સામે કડક પગલાંના નામે, લોકલાગણી સંતોષવા માટે
નિર્દોષોની (ફક્ત તેમનો ધર્મ જોઇને) ધરપકડ કરવામાં આવે, તો તેનાથી
ત્રાસવાદની શક્યતા વધે કે ઘટે? પરંતુ લોકલાગણી સંતોષવાની
લ્હાયમાં રાજનેતાઓ એવું બધું વિચારતા નથી. ‘રાષ્ટ્રવાદી’
વિચારધારાના નામે સંકુચિત કોમવાદથી રંગાયેલા લોકોને તત્કાળ દવાથી રાહત લાગવા
માંડે છે. પરંતુ એવા ઉપાયો કેન્સરના દર્દીને મરડાની દવા આપવા જેવા છે.
ઘરઆંગણે-દેશમાં અવિશ્વાસને બદલે વિશ્વાસનું
વાતાવરણ ઊભું થાય, તેનાથી ત્રાસવાદનો અંત આવી જવાનો નથી. પણ
લોકોના મનમાં એકબીજા વિશે ઊભી થતી અસલામતી ઘટી શકે છે. એનું મહત્ત્વ ઘણું છે. કેમ
કે, ત્રાસવાદી ઘટનાઓ ક્યારેક હચમચાવી નાખે છે, પરંતુ આ પ્રકારની
અસલામતી રોજિંદા જીવનમાં માણસને અને તેની સ્વસ્થતાને કોરી ખાય છે. તેને શંકાશીલ
અને કુપ્રચારનો ભોગ બનવાને પાત્ર બનાવે છે. જરા નાટ્યાત્મક રીતે કહીએ તો, એવી અસલામતી
લોકોને રોજેરોજ થોડા થોડા મારે છે.
રહી વાત અલ કાઇદા કે આઇએસઆઇએસ પ્રકારનાં
આતંકવાદી સંગઠનોની. એ વિશે ચાર્લ્સ પીઅર્સે ‘એસ્ક્વાયર’
સામયિકની વેબસાઇટ પર લખેલું નિદાન આબાદ છે. તેમણે લખ્યું છે કે અફઘાન તાલિબાન,
લશ્કરે તૈયબ અને અલ કાઇદા પ્રકારનાં સંગઠનોને સાઉદી અરેબિયા મોટો આર્થિક ટેકો
પૂરો પાડે છે, એવું ૨૦૦૯માં અમેરિકાનાં ગૃહમંત્રી હિલેરી
ક્લિન્ટને કબૂલ્યું હતું. એ સિવાય કતાર, કુવૈત અને સંયુક્ત આરબ
અમીરાત જેવા દેશો પણ ત્રાસવાદીઓને અત્યંત આવશ્યક એવી નાણાંકીય સહાય પૂરી પાડે છે.
ધર્મનું ખોટું અર્થઘટન એ ત્રાસવાદ માટેનો કાચો માલ છે, પરંતુ તેને
બોમ્બનું વ્યવસ્થિત સ્વરૂપ આપવાનું પાપ ધર્મ નહીં, દેશો કરે છે.
ત્રાસવાદને વિશ્વવ્યાપી બનાવવા માટેનું ભંડોળ ધર્મ કે ધર્મગુરુઓ પાસેથી નહીં,
દેશો પાસેથી આવે છે. તેમનો આશય ધર્મનો વાવટો ફરકાવવાનો નહીં, પણ પોતાનાં રાજ
સલામત રાખવાનો હોય છે. એટલે પીઅર્સની તાર્કિક દલીલ એવી છે કે ત્રાસવાદ સામેની
લડાઇને ધર્મકેન્દ્રી પડકાર કે ઇસ્લામવિરોધી લડાઇ તરીકે જોવાને બદલે સાઉદી અરેબિયા
જેવાં રાષ્ટ્રો સામેની લડાઇ તરીકે જોવી પડે. એ દેશો તરફથી ત્રાસવાદીઓને મળતું
ભંડોળ બંધ થાય, એ માટે વિદેશી ખાતાં સીલ કરવાથી માંડીને
(લશ્કરી સિવાયનાં) બધાં પગલાં લેવાં જોઇએ. અમેરિકા સહિતના દેશોએ શસ્ત્રસોદાગર
તરીકેનાં પોતાનાં હિતમાં પણ કાપ મૂકવો પડે.
મુંબઇ કે પેરિસના હુમલા જેવી કરુણ ઘટનાઓ પછી ‘જડબાતોડ જવાબ’ના હાકોટાનો ખાસ
કશો અર્થ સરતો નથી. ત્રાસવાદ વિશેની આંતરરાષ્ટ્રિય સમજૂતીની કવિતાઓથી આગળ વધીને,
હવામાં ગોળીબારો કરીને રાજી થઇ જવાને બદલે, ત્રાસવાદવિરોધી
લડાઇની સમજ અને દિશા બદલવાનું જરૂરી છે.
Subscribe to:
Posts (Atom)