Showing posts with label bofors. Show all posts
Showing posts with label bofors. Show all posts

Thursday, May 03, 2012

બોફર્સમુદ્દે કોંગ્રેસના યુવા નેતાઓની બેઠક


ઇ.સ.-ઇન્ટરનેટ સંવત - પૂર્વેના ભારતમાં એક કૌભાંડ થયું હતું. આમ તો ઘણાં થયાં, પણ તેમાં આ સૌથી વધારે ચગ્યું. બોફર્સ તોપોની ખરીદીમાં કટકી ખવાઇ. એ જમાનો ગ્લોબલાઇઝેશન પહેલાંનો હતો. લોકો સંકુચિત મગજના હતા. નેતાઓ પણ જોશીલા ન હતા. ભ્રષ્ટાચારી હોવાને તે ખરાબ બાબત ગણતા હતા. કલમાડીઓ કે યેદીયુરપ્પાઓની જેમ, ભ્રષ્ટ હોવામાં બહાદુરી છે એવું તેમને સમજાયું ન હતું. ત્યારની પ્રજા પણ અત્યારના જેટલી ‘ફોરવર્ડ’ ન હતી. એ ભ્રષ્ટાચારી હોવાને ખરાબ ગણતી હતી. ‘ગમે તેવો હોય, પણ મરદ માણસ છે બાકી’ એવા શબ્દોમાં ભ્રષ્ટાચારીઓ પર વારી જતા અત્યારના લોકો હજુ જન્મ્યા ન હતા અથવા જન્મ્યા હોય તો ભમરડા રમતા હતા.

બોફર્સ કૌભાંડનું ભૂત પચીસ વર્ષે ફરી ઘુણ્યું છે. વિરોધપક્ષો કહે છે કે સરકારે નવેસરથી તપાસ કરવી જોઇએ. કોંગ્રેસે અને સીબીઆઇએ આખી વાતને હસી કાઢી છે, પણ આ મુદ્દો જોર પકડે તો શું કરવું એ વિશે કોંગ્રેસી નેતાઓની એક બેઠક મળી છે. તેમાં જૂના નેતાઓ ઉપરાંત યુવા નેતાઓને ખાસ હાજર રાખવામાં આવ્યા છે.

સોનિયા ગાંધી મનમોહનસિંઘ સામે અને ડો.સિંઘ પ્રણવ મુખર્જી સામે જોઇને હળવો ઇશારો કરે છે, એટલે પ્રણવદા સંચાલન માટે સજ્જ થાય છે.

પ્રણવ મુખર્જીઃ આપણે આજે બોફર્સકાંડની સિલ્વર જ્યુબિલીના પ્રસંગે એકઠા થયા છીએ.


યુવા નેતા ૧: અરે, પહેલાંથી કહ્યું હોત તો આપણે ૨૫ કિલોની, તોપના આકારની કેક તૈયાર ન કરાવત?

મુખર્જીઃ આપણે સિલ્વર જ્યુબિલી ઉજવવા નહીં, પણ હવે શું કરવું એની વ્યૂહરચના વિચારવા ભેગા થયા છીએ.
યુવા નેતા ૨: આ બોફર્સ એક્ચુલી શું હતું? મને આઇડીયા તો છે કે એમાં કીકબેક (કટકી)ના પ્રોબ્લેમને લીધે લોકોની કીક ખાવી પડી.

ચિદમ્બરમ્‌: વાયકા એવી છે કે બોફર્સ કંપનીએ આ ખરીદી માટે રૂ.૬૪ કરોડની કટકી આપી હતી.

યુવા નેતા ૩: ઓહ નો. આ બધો કકળાટ ફક્ત ચોંસઠ કરોડ રૂપૈડી માટે છે? મને એમ કે ૬૪ હજાર કરોડને બધા ટૂંકમાં ૬૪ કરોડ કહેતા હશે.

મુખર્જી (સુખદ ભૂતકાળમાં ખોવાઇ જતાં) : એ જમાનો જુદો હતો. લોકસભામાં આપણો પક્ષ ૪૦૦થી પણ વધારે બેઠકો જીત્યો હતો.

યુવા નેતા ૪: મને કોઇ કહેતું હતું કે એ ચૂંટણીમાં આપણું પ્રતીક પંજો નહીં, પણ સળગતી ચિતા હતું એ સાચી વાત છે?

દિગ્વિજયસિંઘઃ ભાઇ, તમારે પક્ષના ઇતિહાસ વિશે જાણવું હોય તો મિટિંગ પૂરી થયા પછી મળજો અને ત્યાં સુધી તમારી જિજ્ઞાસાને કાબૂમાં રાખજો. નહીંતર...(રાહુલ ગાંધી સામે જુએ છે. રાહુલ ડો.સિંઘ સામે અને ડો.સિંઘ સોનિયા ગાંધી સામે જુએ છે.)

યુવા નેતા ૧: આ મામલો સ્વિત્ઝર્લેન્ડનો છે ને?

મુખર્જીઃ ના, કંપની સ્વીડનની હતી અને એની તપાસ કરનાર સ્વીડનનો પોલીસ વડો હતો.

યુવા નેતા ૧: અચ્છા. તો આપણી પાસે એક બ્રિલિયન્ટ આઇડીયા છે. ફરહાન અખ્તર આપણો જીગરી છે. એને આપણે કહીએ કે એ તેની નવી ફિલ્મ સ્પેનને બદલે હવે સ્વીડનમાં ઉતારે. જોઇએ તો એનું નામ ‘કટકી ના મિલેગી દોબારા’ રાખે. આપણે જ એને ફાઇનાન્સ કરીએ. એ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને સ્વીડનના પોલીસવડાનો રોલ આપીએ. લિન્ડસ્ટોર્મને સ્ક્રીપ્ટ કન્સલ્ટન્ટ તરીકે રાખીએ અને વિદ્યા બાલનને હીરોઇન બનાવીએ. પછી જુઓ મઝા. સ્વીડનનું નામ પડતાં જ લોકોને બોફર્સ નહીં, પણ વિદ્યા બાલન ને અમિતાભ બચ્ચન ને સ્વીડનનાં લોકેશન જ યાદ રહેશે.

કપિલ સિબ્બલઃ આ તો બહુ લાંબો રસ્તો છે. મારી ‘ગુગલ’ સાથે વાટાઘાટો ચાલી રહી છે. એ લોકો માની જાય તો આપણે એવું કરવા માગીએ છીએ કે ગુગલ સર્ચમાં કોઇ ‘બોફર્સ’ કે ‘બોફર્સ સ્કેન્ડલ’ કે ‘બોફર્સ કીકબેક’ લખે, તો તેના રીઝલ્ટ તરીકે કારગીલના યુદ્ધમાં બોફર્સ તોપે કેટલું સરસ કામ આપ્યું, તેના સમાચાર જ આવે.

ચારે યુવા નેતાઓઃ વાઉ. તમે તો અમારા કરતાં પણ વધારે ટેક-સાવી નીકળ્યા. કૂલ આઇડીયા છે.

ચિદમ્બરમ્‌: બહુ રાજી થવાની જરૂર નથી. આપણા માટે સૌથી મોટો પ્રશ્ન ક્વોત્રોકીનો છે.

યુવા નેતા ૨: ઓ રીઅલી? ક્વોત્રોકી અન્કલ કોણ છે?

દિગ્વિજયસિંઘઃ જરા મોં સંભાળીને. એ તારા અન્કલ ક્યારથી થઇ ગયા?  એ તો રાહુલજીના અન્કલ છે...કોઇ મોટા માણસનું નામ સાંભળ્યું નથી ને અન્કલ કહીને લાગી પડ્યા નથી.

યુવા નેતા ૨: સોરી, પણ એ અન્કલ એટલે મામા કે કાકા?

આ વખતે સોનિયા ગાંધી રાહુલ સામે કરડાકીથી જુએ છે. રાહુલ દિગ્વજિયસિંઘને નજરના રીમોટ કન્ટ્રોલથી ‘પૉઝ’ કરવા કોશિશ કરે છે. વાત આડા પાટે ચડતી જોઇને પ્રણવ મુખર્જી મેદાનમાં આવે છે.

મુખર્જીઃ ઇનફ ઇઝ ઇનફ. આપણે ભાજપની નહીં, કોંગ્રેસની મિટિંગમાં બેઠા છીએ, એટલું પણ મારે યાદ કરાવવું પડે?

ચિદમ્બરમ્‌: વિપક્ષો ક્વોત્રોકીનો મુદ્દો ચગાવશે. કારણ કે એ (હળવા સાદે) ઇટાલિયન છે.

યુવા નેતા ૪: તો એમાં શું થઇ ગયું? એમ તો પિત્ઝા પણ ઇટાલિયન છે ને પાસ્તા પણ. (બીજા યુવા નેતાઓ સામે જોઇને) આ તો કયા જમાનાની વાત કરે છે? આખેઆખાં ઇટાલિયન રેસ્તોરાં ખુલી ગયાં ને તમે ઇટાલિયનની વાતથી દબાતા ફરો છો?

કપિલ સિબ્બલઃ તમારી વાત તમારી જગ્યાએ સાચી છે. તમે પિત્ઝા ને પાસ્તામાં મોટા થયા એટલે તમને આખી સ્થિતિની ગંભીરતા નહીં સમજાય. પણ વિપક્ષો આ જ મુદ્દો લઇ પડશે.

યુવા નેતા ૧: તો અસલી મુદ્દો ક્વોત્રોકી ઇટાલિયન છે એટલો જ છે. બરાબર?

મુખર્જી (ખચકાતાં): લગભગ..કદાચ..મોટે ભાગે..એવું ઘણાને લાગે છે...એવું મેં સાંભળ્યું છે...મને ચોક્કસ ખાતરી નથી...

યુવા નેતા ૨: તો એમાં શી મોટી વાત છે? આપણી પાસે બીજો જિનિયસ આઇડીયા છે. એ અમલમાં મુકીશું તો એક જ ઝાટકે, આપણે અને આપણો પક્ષ અને સોનિયાજી ને રાહુલજી બોફર્સની ફાયરિંગ રેન્જની બહાર.

બધા વડીલ નેતાઓઃ (ઉત્સુકતાથી) એમ? શું? કયો?

યુવા નેતા ૨: ક્વોત્રોકીનું નામ જ એવું ઇટાલિયન છે કે તે માણસનું ન હોય તો કોઇ વાનગીનું છે એવું લાગે. કશી ખબર ન પડતી હોય એને પણ એટલું સમજાય કે આ ઇટાલિયન માણસનો કંઇક ગોટાળો છે. આપણે એમનું નામ જ બદલી નાખીએ તો? આપણે એમને કહીએ કે એ પોતાનું નામ ઓટ્ટાવિયો ક્વોત્રોકીને બદલે ઓ.વી.કાત્રક કરાવી નાખે. બસ, પછી જ્યારે પણ એમનું નામ છપાશે ત્યારે લોકો વિચારશે કે ‘હશે કોઇ દેશી કૌભાંડકારી. એમાં શું આટલી બબાલ કરવાની? અને એ પણ પાંસઠ કરોડ રૂપૈડી માટે? મરવા દો કાત્રકને.’

 આ સૂચન સાંભળતાં જ સૌ એકબીજા સાથે સંભાવનાઓની ચર્ચા કરવા મચી પડે છે અને સામુહિક ગણગણાટથી બેઠકમાં અવિધિસરનો વિરામ પડે છે.

Wednesday, May 02, 2012

બોફર્સ : પચીસ વર્ષે પુનરાગમન


બોફર્સ/Bofors તોપની ખરીદીમાં કટકીનું કૌભાંડ ૧૯૮૭માં જાહેર થયું તેનાં ૧૯ વર્ષ પહેલાં એક બ્રિટિશ ફિલ્મ આવી હતીઃ ‘ધ બોફર્સ ગન’. અસલમાં ‘ઇવેન્ટ્‌સ વ્હાઇલ ગાર્ડિંગ ધ બોફર્સ ગન’ એવા સફળ નાટક પરથી બનેલી આ ફિલ્મનું કથાવસ્તુ બહુ સાદું હતું : મિત્રદેશોના કબજા તળેના જર્મનીમાં એક બોફર્સ ગનનું સામ્યવાદી હુમલાની સંભાવના સામે રક્ષણ કરવાનું છે. એ જવાબદારી એક બ્રિટિશ સૈનિકટુકડીને આપવામાં આવી છે. એ ટુકડીના ઉપરી અને બીજા લોકો વચ્ચેના સંવાદ, તનાવ, તેમની સમસ્યાઓ વિશે જ આખું નાટક ચાલે છે. બોફર્સ તોપ તેમાં નિમિત્તમાત્ર છે.

ભારતમાં પણ બોફર્સ કૌભાંડને નિમિત્ત બનાવીને, તેની આજુબાજુનાં પાત્રો, તેમનું રાજકારણ, આંતરિક ખેંચતાણો, લોભ, લાલસા, મહત્ત્વાકાંક્ષા, જૂઠાણાં, રહસ્ય જેવા તત્ત્વોને ગુંથીને ‘ઇવેન્ટ્‌સ વ્હાઇલ ગાર્ડિંગ ધ બોફર્સ સીક્રેટ’ જેવું કોઇ નાટક લખી શકાય એમ છે.

રાજીવ ગાંધી સરકારે ૧૯૮૬માં સ્વિત્ઝર્લેન્ડની એબી બોફર્સ કંપની સાથે ૪૧૦ તોપની ખરીદીનો સોદો કર્યો. કુલ રકમ હતીઃ રૂ.૧,૪૩૭ કરોડ. બોફર્સ કંપની એ અરસામાં શસ્ત્રો વેચવાની બાબતે નિયમોના ઉલ્લંઘન માટે શંકાના દાયરામાં હતી જ. એ તપાસમાંથી રેડિયોના પત્રકારોએ આકસ્મિક રીતે મેળવેલી માહિતીના આધારે,એપ્રિલ ૧૬, ૧૯૮૭ના રોજ સ્વીડિશ રેડિયો પરથી જાહેર થયું કે સોદો પાર પાડવા માટે બોફર્સ કંપનીએ ભારતીય નેતાઓને કટકી (લાંચ) આપી છે.

આ જાહેરાતના પગલે જાગેલા વંટોળીયાને ગયા મહિને પચીસ વર્ષ પૂરાં થયાં. દરમિયાન ઘણું બની ગયું. ‘મિસ્ટર ક્લીન’ની કોરી પાટી સાથે રાજકારણમાં આવેલા રાજીવ ગાંધી/Rajiv Gandhiની છબી બોફર્સ કૌભાંડમાં સાવ ખરડાઇ ગઇ. ઇંદિરા ગાંધીની હત્યા પછીના સહાનુભૂતિથી છલકાતા વાતાવરણમાં ૧૯૮૪ની લોકસભા ચૂંટણી થઇ ત્યારે ૪૦૪ બેઠક મેળવનારા રાજીવ ગાંધી બોફર્સના મુદ્દે ૧૯૮૯ની ચૂંટણી હારી ગયા. આ સોદામાં ઇટાલિયન ‘બિઝનેસમેન’ (વચેટિયા) ઓટ્ટાવિઓ ક્વોત્રોકી/ Ottavio Quattrocchi સામે આંગળી ચીંધાઇ, જે ગાંધી પરિવારની નિકટ મનાતા હતા. (ઘણાં વર્ષો સુધી તેમનો ઉલ્લેખ ‘ક્વાત્રોચ્ચી’ તરીકે થતો હતો.)

રાજીવ ગાંધીની ૧૯૯૧માં હત્યા થઇ, પણ બોફર્સનું કલંક પણ તેમની સાથે વળગેલું રહ્યું. સરકારી તપાસસંસ્થાઓ અને કાયદાની આંટીધૂંટીમાં રાજીવ ગાંધી કદી સીધી રીતે દોષિત પુરવાર થઇ શક્યા નહીં, પણ તેમની છાપ એટલી હદે બગડી ગઇ કે ‘ગલી ગલીમેં શોર હૈ, રાજીવ ગાંધી ચોર હૈ’ એવું એક બાળકી લાઇવ રેડિયો પ્રસારણ દરમિયાન બોલી ગઇ. કોંગ્રેસના લાખ પ્રયાસ છતાં અને ૨૦૦૪માં દિલ્હીની વડી અદાલતે બોફર્સ કૌભાંડમાંથી રાજીવ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા છતાં, તેમની પર લાગેલો બોફર્સનો ધબ્બો સદંતર દૂર થઇ શક્યો નહીં. એ જ તેમના માટે ખરી સજા બની.

આખો મામલો સોદા પેટે બોફર્સ કંપનીએ ચૂકવેલી રૂ.૬૪ કરોડની કટકીનો હતો. સ્વીડિશ રેડિયોની જાહેરાતનાં ૧૨ વર્ષ પછી સીબીઆઇએ ક્વોત્રોકી, શસ્ત્રસોદાના ‘બિઝનેસમેન’વિશ્વેશ્વરનાથ ચઢ્ઢા અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ એસ.કે.ભટનાગર જેવા લોકો સામે આરોપનામું રજૂ કર્યું.  ધરપકડ ટાળવા ૧૯૯૩માં જ વિદેશ સરકી ગયેલા ક્વોત્રોકીના પ્રત્યાર્પણ માટે- તેમની ભારતને સોંપણી થાય એ માટે- કમને થતા હોય એવા પ્રયાસ આરંભાયા. પરંતુ તપાસની ગતિ ધીમી અને  ઇરાદા મોળા હતા. વર્ષ ૨૦૦૧માં ચઢ્ઢા અને ભટનાગર પણ રાજીવ ગાંધીની જેમ મૃતકોની યાદીમાં જોડાઇ જતાં, મોટા આરોપીઓમાં ક્વોેત્રોકી જ બચ્યા. મલેશિયાની સરકારે ક્વોત્રોકીની ધરપકડ તો કરી, પણ ભારતને તેમની સોંપણી કરવાની ના પાડી દીધી. બ્રિટને ૨૦૦૩માં ક્વોત્રોકીનાં બેન્કખાતાં સ્થગિત કરી દીધાં. પરંતુ બે વર્ષ પછી સીબીઆઇએ બ્રિટનની તપાસસંસ્થાને કહી દીઘું કે ક્વોત્રોકીના બ્રિટિશ ખાતાંમાં રહેલાં નાણાં બોફર્સકાંડ સાથે સંબંધિત નથી. બોફર્સકાંડના મુદ્દે રહસ્યના કેન્દ્રરૂપ બની ગયેલા ‘મિસ્ટર ક્યુ’ ઉર્ફે ક્વોત્રોકીની ૨૦૦૭માં આર્જેન્ટિના સરકારે ધરપકડ કરી, પણ ફરી એક વાર સીબીઆઇ તેમનો કબજો મેળવી શકી નહીં.

વચ્ચે થોડા અરસા માટે બોફર્સકાંડમાં હિંદુજાબંઘુઓનાં નામ (સીબીઆઇના ચાર્જશીટમાં) આવ્યાં, પણ દિલ્હીની વડી અદાલતે તેમને નિર્દોષ ઠરાવ્યા. ત્યાર પહેલાં, રાજીવ ગાંધીની હયાતીમાં તેમના ખાસ મિત્ર તરીકે રાજકારણમાં આવેલા અમિતાભ બચ્ચન અને તેમના ભાઇ અજિતાભ બચ્ચનનાં નામ પણ કેટલાંક પ્રસાર માઘ્યમોએ બોફર્સ સાથે સાંકળ્યાં. બચ્ચનબંઘુઓની છબી પર એટલી હદે કીચડ ઉછળ્યો કે વ્યથિત થયેલા બિમાર કવિ-પિતા હરિવંશરાયે અમિતાભને એક વાર ‘આ બઘું સાચું છે?’ એવું પૂછવું પડ્યું. પિતા સમક્ષ અમિતાભે પોતાની નિર્દોષતાની ખાતરી આપી, પણ ‘બાબુજી’એ આ સવાલ પૂછવો પડ્યો એ જ અમિતાભને બહુ વસમું લાગ્યું.

છેવટે, સપ્ટેમ્બર ૨૦૦૯માં સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરીને ક્વોત્રોકી સામે પુરાવાના અભાવનું કારણ આગળ કરીને, બધા કેસ પાછા ખેંચી લીધા. તેમ છતાં, જાન્યુઆરી ૨૦૧૧માં ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો કે બોફર્સકાંડમાં ક્વોત્રોકી અને વિન ચઢ્ઢાને રૂ.૪૧.૨૪ કરોડની લાંચ અપાઇ હતી, જેનો ભાર દેશની તિજોરી પર આવ્યો હતો. આ જાહેરાત પછી પણ સીબીઆઇને ક્વોત્રોકી સામેના કેસ પાછા ખેંચવાના વલણમાં ફેરફાર કરવાની જરૂર લાગી નહીં.

સરવાળે, (અપાયેલી લાંચ કરતાં ઘણા વધારે), કરોડો રૂપિયાના ખર્ચે અને પચીસ વર્ષે એટલું સાબીત થયું કે બોફર્સની ખરીદીમાં કોઇ પણ પ્રકારે લાંચની આપ-લે થઇ હોય એવા પુરાવા મળ્યા નથી.

સીધી વાત, વિરોધાભાસી દાવા

પચીસ વર્ષમાં બીજું શું ન બને? ૧૯૯૯માં ભારત-પાકિસ્તાન વચ્ચે કારગીલમાં યુદ્ધ થયું. તેમાં બોફર્સ તોપે એવો રંગ રાખ્યો કે ‘બોફર્સ’ નામ એટલા સમય પૂરતું, થોડુંઘણું વાંચતાલખતા લોકોમાં, ભ્રષ્ટાચારને બદલે ગૌરવનું પ્રતીક બન્યું. કારગીલની પહાડીમાં બોફર્સ તોપને તેની મૂળ બનાવટ કરતાં જુદી અને મૌલિક રીતે કામે લગાડવા બદલ, ભારતીય સૈન્યની ઘણી પ્રશંસા થઇ. બોફર્સ કંપની પોતે પોતાની બનાવેલી તોપની નવી ક્ષમતાઓ-નવા ઉપયોગથી પરિચિત થઇ. લોકો એટલું માનતા થયા કે બોફર્સની ખરીદીમાં કટકી થઇ, પણ તોપોની ગુણવત્તામાં કશો વાંધો નથી.

બોફર્સ કૌભાંડનો પત્તો લાગ્યા પછી,સ્વીડિશ પોલીસ વડા સ્ટેન લિન્ડસ્ટોર્મે એકાદ વર્ષ સુધી આ રહસ્યો કોની સમક્ષ ખુલ્લાં કરવાં, તેની પૂરતી ચકાસણી કરી અને ‘ધ હિંદુ’નાં સ્વીડન ખાતેનાં પ્રતિનિધિ ચિત્રા સુબ્રમણ્યમ પર તેમણે પસંદગી ઉતારી. તત્કાલીન તંત્રી એન.રામ સ્વીડન ગયા અને તેમની હાજરીમાં લિન્ડસ્ટોર્મે દસ્તાવેજોનો પહેલો જથ્થો ચિત્રા સુબ્રમણ્યમને આપ્યો. એ સાથે જ ‘ધ હિંદુ’માં બોફર્સ કૌભાંડ વિશે વિગતવાર માહિતી આવવા લાગી. અલબત્ત, તેમાં સનસનાટીથી દૂર રહીને તથ્યોનું પૂરું ઘ્યાન રખાતું હતું. (તેનો એક નમૂનોઃ ‘ધ હિંદુ’ના અહેવાલોમાં બોફર્સકાંડ સંબંધે કદી અમિતાભ બચ્ચન સામે આંગળી ચીંધવામાં આવી ન હતી.) વર્ષો સુધી ચાલેલા બોફર્સ વિશેના અહેવાલોમાં ચિત્રા સુબ્રમણ્યમ પત્રકારત્વનાં નાયિકા તરીકે ઉભરી આવ્યાં. વાસ્તવમાં તેમની સાથે એન.રામ અને ‘ધ હિંદુ’ના બીજા પત્રકારોનો પણ મહત્ત્વનો હિસ્સો હતો, જે રામે હંમેશાં જાહેરમાં સ્વીકાર્યો છે.

બોફર્સકાંડનાં પચીસ વર્ષે બે યોગાનુયોગ બન્યાઃ અમેરિકાની કોલંબિયા સ્કૂલ ઓફ જર્નાલિઝમના શતાબ્દિવર્ષ નિમિત્તે, તેમણે પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા થયેલા મહત્ત્વના ૫૦ અહેવાલોની એક યાદી જાહેર કરી. તેમાં ૧૯૬૮માં પાસ થયલા તેમના વિદ્યાર્થી એન.રામના બોફર્સ વિષયક અહેવાલોનો સમાવેશ થતો હતો.
 એન.રામનાં એ વખતનાં સહકર્મી અને હવે સક્રિય પત્રકારત્વ છોડીને સ્વીડનમાં જ વસેલાં ચિત્રા સુબ્રમણ્યમે, પડદા પાછળ રહીને આખું કૌભાંડ બહાર પાડનારા સ્વીડિશ પોલીસવડા લિન્ડસ્ટોર્મનો ઇન્ટરવ્યુ કર્યો. એ સાથે જ, પહેલી વાર બોફર્સકાંડમાં વ્હીસલબ્લોઅર- અનીતિ સામે અવાજ ઉઠાવનાર- તરીકે લિન્ડસ્ટોર્મની ઓળખ જાહેર થઇ. લિન્ડસ્ટોર્મે ઘણી મુદ્દાની વાતો કરી, પરંતુ ભારતમાં બને છે તેમ, કોઇને સમગ્ર ચિત્રમાં રસ ન હતો. પચીસ વર્ષ પછી પણ દરેકે લિન્ડસ્ટોર્મની વાતમાં ક્યાંથી, કેટલો રાજકીય ફાયદો લઇ શકાય છે એ જ જોયું. એટલે કે, શસ્ત્રખરીદીનાં કૌભાંડોનું પ્રતીક બની રહેલા બોફર્સકાંડના પચીસ વર્ષ પછી પણ, ભારતીય નેતાઓ કશું શીખ્યા નથી. કદાચ તેમણે એટલો જ બોધપાઠ લીધો લાગે છે કે કૌભાંડોમાં ઝડપી-પ્રામાણિક તપાસ કરીને, તેમને કદી તાર્કિક અંત સુધી પહોંચાડવાં નહીં.

લિન્ડસ્ટોર્મે ચિત્રા સુબ્રમણ્યમ ‘ધ હૂટ’ વેબસાઇટ માટે આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘રાજીવ ગાંધીએ પોતે લાંચ લીધી નથી, પરંતુ ત્યાર પછી ક્વાત્રોકીના મુદ્દે થયેલા ઢાંકપીછોડામાં તેમની સક્રિય ભૂમિકા હતી.’ આ વાતને કેટલાક કોંગ્રેસીઓ રાજીવ ગાંધીને આપેલી ‘ક્લીનચીટ’ તરીકે ખપાવવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કરે છે, તો કેટલાક કોંગ્રેસીઓ ‘સ્વીડનના ભૂતપૂર્વ પોલીસવડાનાં વિધાનોને આટલું મહત્ત્વ અપાતું હશે?’ એવી વાહિયાત દલીલ કરી રહ્યા છે. પરંતુ રાજીવ ગાંધીએ કરેલા ભીનું સંકેલવાના પ્રયાસ વિશે અત્યાર સુધી જે કેવળ છાપ હતી, તે લિન્ડસ્ટોર્મની મુલાકાતમાંથી હકીકત બનીને બહાર આવે છે. પાછલાં વર્ષોમાં અનેક કૌભાંડોમાં ખરડાઇ ચૂકેલી કોંગ્રેસને ભ્રષ્ટ સાબીત કરવા માટે હવે બોફર્સકાંડની જરૂર નથી. બોફર્સ સાથે કોંગ્રેસનો સંબંધ હવે ફક્ત રાજીવ ગાંધીની ‘પ્રતિષ્ઠા’ અને ક્વાત્રોકીના ગાંધી પરિવાર સાથેના સંબંધો પૂરતો જ રહ્યો છે.

વિપક્ષો- ખાસ કરીને ભાજપ- આનાથી ખુશખુશાલ થઇને...બીજું તો શું કરે? સંસદની કાર્યવાહી ખોરવી રહ્યા છે. કોંગ્રેસને (યોગ્ય રીતે જ) ભ્રષ્ટાચારથી ખદબદતી અને ભાજપને તેનાથી ચડિયાતો માનનારાના લાભાર્થે બે હકીકતઃ લિન્ડસ્ટોર્મે ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘એક વાર અમે સત્તામાં આવીશું તો પછી આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું’ એવી બડાશો કંઇક લોકો મારી ઓફિસમાં આવીને મારી ગયા. પછી ભારતમાં (ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સહિત) બધાની સરકાર આવી ગઇ, પણ કોઇએ બોફર્સના મુદ્દે કશું નક્કર કામ કર્યું નથી. લિન્ડસ્ટોર્મે એટલી હદ સુધી કહ્યું કે પહેલી ટીમને બાદ કરતાં, બીજી એક પણ ભારતીય તપાસટુકડી સ્વીડનમાં આવ્યા પછી મને મળી નથી.

કોઇ પણ દિશામાં ફૂટી શકતી તોપ જેવી પ્રતિષ્ઠા ધરાવતા ડો.સુબ્રમણ્યમ્‌ સ્વામીએ એટલી હદે કહ્યું કે સોનિયા ગાંધીની પૂછપરછ થવાનો તબક્કો આવ્યો ત્યારે ભાજપની આગેવાની હેઠળ એનડીએની જ સરકાર હતી. છતાં, એ સરકારે સોનિયાની પૂછપરછ થવા દીધી નહીં.

લિન્ડસ્ટોર્મના ઇન્ટરવ્યુ પછી વિપક્ષો નવેસરથી તપાસની માગણી કરી રહ્યા છે- અને આમ કરવામાં તેમને જરાય શરમ નથી આવતી. કારણ કે, તેમને બોફર્સકાંડના સત્ય સુધી પહોંચવામાં નહીં, પણ તેનો બને એટલો રાજકીય ઉપયોગ કરી લેવામાં રસ છે.