Sunday, August 30, 2026
લાઇટ જાય ત્યારે...
ગુજરાતનાં ઘણાં ગામ એવાં છે, જ્યાં વરસાદની સીઝનમાં લાઈટ જતી નથી--તે સિવાય પણ વારંવાર જાય છે. લાઇટ જવી તે પ્રચલિત શબ્દપ્રયોગ છે. તેની અસરો એટલી જીવનસ્પર્શી હોય છે કે તેના અર્થવિચલનની પંચાતમાં કોઈ પડતું નથી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે વીજપ્રવાહ રુંધાય છે અથવા ખોટકાય છે. કારણ કે, ‘લાઇટ જાય’ ત્યારે ફક્ત લાઇટ જ નહીં, પંખો, ફ્રિજ, એસી બધું જતું રહે છે. તો પછી ફક્ત લાઇટ પર જ જવાનું આળ શા માટે? પણ પ્રચલિત પ્રયોગો શબ્દકોશોને કે નિયમોને ગાંઠતા નથી. એટલે, ઘરની લાઇટ (બત્તો) જ્યાંની ત્યાં જ રહેતી હોવા છતાં, કહેવાય તો એમ જ છે કે લાઇટો ગઈ.
ઘણા લોકો લાઇટો જાય તેનાથી દુઃખી થઈને સરકારી વીજકંપનીઓની ટીકા કરે છે. એવા લોકો દેશદ્રોહી છે ને તેમણે પાકિસ્તાન જતા રહેવું જોઈએ—એવું હજુ સુધી કહેવાયું નથી, પણ કહેવાય તો નવાઈ ન લાગવી જોઈએ. કારણ કે આવાં વિધાનો ગામોમાં લાઇટ જવા જેટલાં જ સામાન્ય છે. લાઇટ પહેલાં પણ જતી હતી. તે આ સરકારની વિશેષ સિદ્ધિ નથી. ફરક એટલો કે પહેલાં લાઇટો જતી હતી ત્યારે લોકો તે માટે વીજકંપનીનો અને સરકારનો દોષ કાઢી શકતા હતા. હવે સૌ જાણે છે કે વર્ષ 2014 પછી દેશમાં જે કંઈ ન થવાનું થાય તેમાં સરકારની કોઈ જવાબદારી હોતી નથી. કુશાસન, દુશાસન ને અશાસનથી સરકાર જે હદે અલિપ્ત રહે છે તે જોતાં, આ સરકારને જલકમલવત્ અથવા ખરેખર તો ‘જલ-કમલમ્-વત્’ પણ કહી શકાય. વારેવારે લાઇટ જવા પાછળ (પણ) તે જવાહરલાલ નહેરુનો વાંક કાઢે તો તેની વાત હોંશે હોંશે માની લે, એવો એક સમુદાય તેણે પાળેલો છે. પહેલી નજરે એવું લાગે કે એ સમુદાયની વિચારપ્રક્રિયા શરીરના જે ખંડમાં ચાલવી જોઈએ, ત્યાંની લાઇટ જતી રહી હશે, પણ થોડા વધારે અનુભવે સમજાય કે ત્યાં તો વાયરિંગ જ થયું નથી. એટલે લાઇટ આવવાની કોઈ સંભાવના નથી.
એટલું નોંધવું જોઈએ કે લાઇટ જાય તેને હંમેશાં ખરાબ કે નકારાત્મક ન કહી શકાય. સૂર્ય જેવો સૂર્ય, આટલી બધી ઊર્જા સાથે, ઉગે છે તેમ આથમી પણ નથી જતો? અને ચોમાસામાં તો દિવસ દરમિયાન ગમે ત્યારે વાદળો ચડી આવે ત્યારે સૂર્યની ‘લાઇટ’ જતી રહેતી નથી? તો પછી માનવસર્જિત લાઇટની શી વિસાત? તેનું આવવું-જવું એ તો સંસારનું ચક્ર અટકી પડ્યું નથી, તેની નિશાની છે.
અંધકાર અને પ્રકાશ એક સિક્કાની બે બાજુ છે, એવું કોઈકે તો કહ્યું જ હશે—જ્ઞાનની ઉચ્ચ અવસ્થામાં નહીં, તો લાઇટ ગયા પછી અંધારામાં બેઠાં બેઠાં પણ કહ્યું હશે. એટલે, લાઇટ જાય તો તેની બહુ હાય હાય કરવી ન જોઈએ. આપણો તો ચિંતકોનો પ્રદેશ છે. કોલમેકોલમે ને કલમેકલમે ચિંતકો લહેરાય છે. તેમનું વાચકવૃંદ સમજે છે કે જે આવે છે, તેનું જવાનું નક્કી છે. એટલું જ નહીં, તેનાથી પણ ઊચ્ચ ભૂમિકા એ છે કે આવવું એ પોતે જ જવાનું કારણ છે. તેને ટાઢા પહોરની ફિલસૂફી ગણી લેવાને બદલે વિચાર કરોઃ કોઈ ઘરમાં લાઇટ આવી જ ન હોય, વીજળીનું કનેક્શન જ ન હોય, તો ત્યાં કદી લાઇટ જવાની અગવડ પડે ખરી? કહેવત છે ને કે મડાને વીજળીનો ભો ન હોય. મૃતદેહ જોખમ શું ને સલામતી શું?
એ દૃષ્ટિએ જોતાં લાઇટ જવાની ફરિયાદ ભરેલા પેટના ચાળા લાગે. લાઇટ જવાની બૂમો પાડતા લોકોએ ખરેખર તો તેમની પાસે જઈ શકે એવી લાઇટ હોવા બદલ આનંદ મનાવવો જોઈએ અને સરકારમાઇબાપનો આભાર માનવો જોઈએ. આટલું કહ્યા પછી એ નોંધવું જોઈએ કે લાઇટ જવાની ફરિયાદની ગંભીરતા છેક કાઢી નાખવા જેવી પણ નથી. આધુનિક જીવનપદ્ધતિમાં માણસ લાઇટ પર એટલો આધારિત અને તેનો ગુલામ બની ગયો છે કે લાઇટ જતી રહે તો તેના જીવનમાં ધોળા દિવસે અંધારું સર્જાઈ શકે. ઘર કે ઓફિસ કે દુકાનમાં ભાગ્યે જ એવું કશું હોય છે, જે લાઇટ વિના ચાલતું હોય. એમાં પણ લાઇટ લાંબો સમય માટે જતી રહે અને મોબાઇલ ફોનનું ચાર્જિંગ થયેલું ન હોય તો, લાઇટ અને ચાર્જર વિના માણસની સ્થિતિ જલ બિન મછલી જેવી થઈ શકે છે અને માણસના મગજની બત્તી પણ ગુલ થઈ શકે છે.
એ જ તર્કને આગળ વધારતાં એવું પણ લાગે કે એક રીતે લાઇટ જાય તે આપણી સ્વતંત્રતા માટે સારું જ છે. લાઇટ જતાં નવરો પડી ગયેલો માણસ એ કરવા બેસે છે, જે કરવાનું તેણે છોડી દીધું છેઃ વિચાર. તે કંઈ પણ કર્યા વિના, પગ વાળીને શાંતિથી બેસે છે અને વિચારે છે કે પહેલાં લાઇટો ક્યાં હતી? છતાં માણસો જીવતા જ હતા ને? લાઇટે આવીને આપણને પરાધીન બનાવ્યા. હવે અંગ્રજોની ગુલામી ગઈ તો પણ લાઇટની ગુલામી ચાલુ છે અને તેનો અહેસાસ સુદ્ધાં આપણને થતો નથી. ભલું થજો ગયેલી લાઇટનું કે જેથી આપણી પરાધીનતાનું ભાન થયું અને લાઇટ જવાની ઘટનામાં સ્વતંત્રતા મળ્યાના આનંદનો અહેસાસ થયો.
આમ પણ,
સ્વતંત્રતાના અને લોકશાહી મૂલ્યોનો આનંદ હવે ઘણુંખરું બંધારણીય સંસ્થાઓ અને સરકાર
પાસેથી તો મળવાનો નથી, તો પછી એવા ક્ષણિક આનંદ માટે ગયેલી લાઇટ પણ શું ખોટી?
Tuesday, August 25, 2026
કૃતિ અને આસ્વાદ
લોકગીતોના કોઈ કવિ નથી હોતા. લખનાર કોઈક તો હોય, પણ પછી તે એટલું પ્રચલિત થઈ જાય કે તે લોકોનું બની જાય. ઘણી વાર એનાથી ઉલટું પણ થાય. લોકગીતને કોઈ પોતાના નામે ચડાવી મારે ને પોતાનું બનાવી દે. આપણી વાત એક તાજા લોકગીત વિશેની છે, જે એટલું તાજું છે કે હજુ તેને કોઈ લોકગીત પણ કહેતું નથી. છતાં, તે જે રીતે પ્રચલિત થયું અને તેના રચનાકાર જે રીતે અજાણ રહ્યા, એ બંને કારણોસર તેને લોકગીત કહેવામાં બહુ અતિશયોક્તિ નહીં થાય. ઝડપથી રચાતા સોશિયલ મિડીયાના ઇતિહાસમાં તો તેને લોકગીત-સમકક્ષ દરજ્જો મળી જ ચૂક્યો છે. લોકગીતની જેમ તેની બધી પંક્તિઓ એક જ ઢાળમાં ગવાય છે. લોકગીતના જ અંદાજમાં તેના શબ્દોના પાઠફેર પણ જોવા મળે છે. છતાં, વ્યાપક સ્વીકૃતિ પામેલા તેના શબ્દો આ પ્રમાણે છેઃ
છપ્પન ઇંચકા છોટા બંદર
પેપર લીક કર ગયા બંદર
દેખો કૈસે છિપ ગયા બંદર
દલીલ ખાતર કોઈ કહી શકે કે આ ક્યાં ગીત છે? આ તો સૂત્રો કે નારા છે. કોઈ કાવ્યરસિકને તે ત્રિપદી લાગે, તો કોઈને આખી ચોપાઈમાં એક કડી કે છપ્પામાં ત્રણ કડી ખૂટતી પણ લાગે. એ બધી સ્વરૂપલક્ષી ચર્ચા દિવસો સુધી ચલાવી શકાય. તેમ છતાં, તેનો સર્વમાન્ય અંત ન આવે એવું બને અથવા તેના વિશે બે દિવસનો સેમિનાર યોજી શકાય, જેના અંતે છેવટે સૌને ભોજનનો સ્વાદ જ યાદ રહે..એટલે, તે પિંજણ બાજુ પર રાખીને, કૃતિના આસ્વાદ તરફ આગળ વધીએ.
કેટલાક અવળચંડા લોકો કહેશે કે આ કડીઓની વચ્ચે વચ્ચે આવતી ધ્રુવપંક્તિ અહીં કેમ નથી લખી? તેમને એટલું જ કહેવાનું કે એમ કરવા જતાં ધ્રુવપંક્તિની જ ગરમાગરમ ચર્ચા એટલી ચાલે કે બીજી પંક્તિઓની સાહિત્યિક ચર્ચા કરવાનું અશક્ય બની જાય અને કૃતિ સાથે અન્યાય થાય. માટે, અહીં ફક્ત કૃતિના નક્કર સાહિત્યપદાર્થની-- કેટલાક લોકો જરા વજન ઉમેરવા કહે છે તેમ, સાહિત્યપદારથની—જ વાત કરીએ.
કૃતિની પહેલી કડીથી ગુજરાતી કાવ્યરસિકોને તરત ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ યાદ આવે તો નવાઈ નહીં. “ચૌદ વરસની ચારણકન્યા” હવે વિચારો. તેની સાથે નવા લોકગીતની પહેલી કડીને કેટલું સામ્ય છે. બંને પંક્તિમાં કવિએ મુખ્ય પાત્રનો સાવ સ્થૂળ પરિચય એકદમ સાદી રીતે આપી દીધો છે.
આસ્વાદમાં આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતાઃ કોઈ મેઘાણીપ્રેમી એવું ન માને કે તેમની ‘ચારણકન્યા’ની નવા લોકગીત સાથે સરખામણી થઈ રહી છે. બંને સાવ જુદાં સ્થળ, સમય, હેતુ અને મિજાજ આલેખતી કૃતિઓ છે. બંનેમાં રહેલા મૂળભૂત જુસ્સાની સરખામણી કરવી હોય તો થઈ શકે, પણ તે જરૂરી નથી.
અગાઉ નોંધ્યું તેમ, બંનેમાં પાત્રોની પરિચય-પંક્તિ છેતરામણી સાદગી ધરાવે છે. છતાં, આખી કૃતિમાંથી પસાર થયા પછી નવેસરથી તે પંક્તિ વાંચતાં સમજાય છે કે તેમાં ઠાંસીને વ્યંજના ભરેલી છે. કવિ બંદર માટે બે વિશેષણ વાપરે છેઃ છોટા અને છપ્પન ઇંચકા. આ બંને વિશેષણ પરસ્પર પૂરક છે કે વિરોધી, તે કવિએ ભાવકો પર છોડ્યું છે. એટલે તેનાં બે અર્થઘટન થઈ શકેઃ બંદર સાવ નાનું, માંડ છપ્પન ઇંચનું છે અથવા બંદર વાતો છપ્પન ઇંચની કરે છે, પણ છે સાવ નાનું. અર્થ ગમે તે લઈએ, પણ એટલું નક્કી કે આ પંક્તિ થકી ભાવકના ચિત્તરૂપી મંચ પર એક પાત્ર ખડું થઈ જાય છેઃ છપ્પન ઇંચ કા છોટા બંદર.
ઘણા કવિતાપ્રેમીઓ આ પંક્તિનું કાવ્યતત્ત્વ સમજવાને બદલે, તેનો શબ્દાર્થ પકડીને આનંદ લે છે, પણ સૂફી કવિતા-ગઝલોનો પરિચય ધરાવનારાને યાદ હશે કે તેમાં કવિ પ્રિયતમાને કહેતા હોય એવું લાગે, પણ તે કહેતા હોય ઈશ્વરને. એવી રીતે ઊંડાણથી નવા લોકગીતનો અર્થ સમજવો હોય તો તેના માટે કેટલાક ગુજરાતી કથાકારો ને તેમના ભક્તવર્તુળો જેવી મૌલિક અર્થઘટન શક્તિ જોઈએ. એવી શક્તિથી કામ લેતાં પ્રથમ પંક્તિનો સાવ નવો જ અર્થ મનમાં ઉઘડે છે. અને એ છેડો ઉકલ્યો, એટલે પછી આખી કૃતિ સડસડાટ ઉકલતી ચાલે છે.
કવિ કહેવા એવું માગે છે કે માણસનું દિલ બંદર જેવું છે. તેને છપ્પન ઇંચનું કહ્યું છે, કારણ કે તે માણસની (છપ્પનની) છાતીમાં રહેલું હોય છે. સૌ જાણે છે કે આપણી પરંપરામાં મનને મર્કટ સાથે સરખાવ્યું છે. એ જ પરંપરાની આ વાત છે. તો છપ્પન ઇંચનું આ બંદર શું કરે છે? તે પેપરો લીક કરી નાખે છે.એટલે કે, માણસની પરીક્ષા થવાની હોય તે પહેલાં, અંદરના અવાજ રૂપે તેને આગોતરી ચેતવણીઓ આપે છે. પણ સૌ જાણે છે કે અંતરાત્માના અવાજને કોઈ ગણકારતું નથી. આવું વારંવાર થયા પછી અંદરનો અવાજ બંધ આવતો બંધ થઈ જાય છે, જાણે એ અવાજ પેદા કરતું દિલ ક્યાંક છુપાઈ જાય છે. એ વાતને રમતિયાળ સ્વરૂપે કવિએ છેલ્લી પંક્તિમાં મુકી આપી છેઃ દેખો કૈસે છિપ ગયા બંદર.
આમ, દેહધારી અને તેના આત્માના અવાજ વચ્ચેના સંઘર્ષ અને તેમાં થતી અંતરાત્માની હારને માર્મિક રીતે વર્ણવતી આ કૃતિ ભારતની આધ્યાત્મિક પરંપરાને આગળ ધપાવનારી છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત તેને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો રજૂ કરતી કૃતિ તરીકે અભ્યાસક્રમમાં સ્થાન આપવું જોઈએ.