Tuesday, February 27, 2018

અન્યાયબોધની અવળી ગંગા

રસ્તા પર સ્કૂટર સડસડાટ જતું હતું. અચાનક, રૉંગ સાઇડ પરથી એક બાઈક આવ્યું અને સાચા રસ્તે ચાલતા સ્કૂટર સાથે અથડાયું. સ્કૂટર એક તરફ, ચાલક બીજી તરફ. સારું થયું કે બંનેને કશું થયું નહીં. ત્યાં વીર રોંગસાઇડવાળો સ્કૂટરચાલકને ઠપકો આપતાં કહે, ‘યાર, ધીમેથી ચલાવો. આટલું ફાસ્ટ ચલાવાતું હશે?’ અને સ્કૂટરચાલક એ બાઈકવાળાની ઉઘાડેછોગ બેશરમીથી આઘાત પામીને તેની સામે જોઈ જ રહ્યો. શું કહેવું એ નમૂનાને?

આ સંપૂર્ણ સત્યઘટના છે અને ઘણા વાંચનાર સાથે તે જુદા જુદા સ્વરૂપે બની હશે. પરંતુ સવાલ બીજો છેઃ કોઈ વ્યંગકાર લખે તો સારા વ્યંગ તરીકે ખપી જાય, એવું સાચેસાચ અને ગંભીરતાપૂર્વક બનવા લાગે ત્યારે શું કહેવું? --અને ખેદની વાત છે કે આવું વલણ રસ્તા પર થતા અકસ્માતથી માંડીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની ચર્ચાઓમાં પૂરી ઠાવકાઈથી વ્યક્ત થાય છે.

દા.ત. શ્રી 11,400 નીરવ મોદી. તેમણે અને તેમના મામાશ્રીએ એ મતલબની સફાઈ રજૂ કરી, બલ્કે આરોપ મૂક્યો કે પંજાબ નેશનલ બૅન્કે ઉતાવળ કરી નાખી અને બધું ચિતરી માર્યું. એટલે મામલો બગડી ગયો. બાકી, અમે તો પૈસા ચૂકવી જ દેવાના હતા. નીરવ મોદીને ‘આપણા વર્ગના’ ગણનારા કેટલાકે તેમની વાતમાં ટાપશી પણ પુરાવી. સમાચારમાં મથાળું વાંચીને પહેલાં તો લાગ્યું કે કોઈ ટીખળીએ રમૂજ કરી હશે. પછી ખ્યાલ આવ્યો કે આ તો ગંભીરતાપૂર્વક કરાયેલું નિવેદન છે. નીરવ મોદી અૅન્ડ કંપનીએ પંજાબ નેશનલ બૅન્ક સાથે છેતરપીંડી કરીને ખોટા લેટર ઑફ અન્ડરટેકિંગ મેળવ્યે રાખ્યા, એ પહેલા અને પ્રાથમિક ગુનાની કોઈ વાત જ નહીં. અને આરોપી મટીને સીધા ફરિયાદીની ભૂમિકામાં જ આવી જવાનું.

આ તો ખૂન કર્યા પછી ખંજર લોહીલુહાણ થઈ જવાની ફરિયાદ કરે એવી વાત થઈ, પણ ‘આક્રમણ એ બચાવનો સૌથી અસરકારક પ્રકાર છે’ એવી તરકીબ હવે સામાન્ય બની ચૂકી છે. ધોળાઓના વર્ચસ્વમાં માનતા અને તેના માટેના પ્રયાસોમાં કશું ખોટું ન જોતા એક ભાઈનું ખાતું ટ્વિટરે બંધ કર્યું, તો ગયા અઠવાડિયે એ ભાઈએ ટ્વિટર સામે ભેદભાવનો દાવો દાખલ કર્યો. એવો જ દાવ ગુગલમાંથી કાઢી મુકાયેલા એક એન્જિનિયરે કર્યો. તેમણે કહ્યું કે કંપનીના ઉદારમતવાદી રાજકીય વલણ ધરાવતા લોકો દ્વારા તેને સતત હેરાન કરવામાં આવતો હતો. ભેદભાવવિરોધી છાવણી આક્રમણને બદલે બચાવની ભૂમિકામાં આવી જાય, એ આશયથી આ યુક્તિ અજમાવવામાં આવે છે.

આ પ્રકારની ફરિયાદમાં કંઈક અંશે સમૃદ્ધ વર્ગો દ્વારા અનામત માગતી વખતે વ્યક્ત કરાતા અન્યાયબોધ જેવી લાગણી જવાબદાર હોઈ શકે છે. એટલે કે, વ્હાઇટ સુપ્રીમસિસ્ટ (ધોળી ચામડીને કારણે ગુરુતાગ્રંથિમાં રાચનારા) છીએ ને એવા હોવાનો અમારો અધિકાર છે. અમારા એ અધિકારનો ઇન્કાર કરીને, અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે.

આ પ્રકારની દલીલોને ગમે તેટલા રૂપાળા શબ્દોમાં વીંટાળીને રજૂ કરવામાં આવે, પણ તેનું ગુજરાતી એવું થાય કે ‘પ્રગતિશીલ મૂલ્યોમાં-માનવ અધિકારમાં માનતા ને તેના માટે લડતા લોકો અમને સુખેથી ભેદભાવ રાખવા દેતા નથી-અે લોકો ભેગા થઈને મને હેરાન કરે છે. અમને અમારો (બીજાને નીચા-ઉતરતા ગણવાનો) હક ભોગવવા દેતા નથી. આ હળાહળ અન્યાય કહેવાય. અમને ન્યાય મળવો જોઈએ.’

આ પ્રકારની દલીલોનો આશય પોતાના ભેદભાવગ્રસ્ત વર્તનને છુપાવીને, ભેદભાવ સામે લડનારા લોકોને જ ભેદભાવ રાખનાર તરીકે ચિતરવાની હોય છે. ભારતમાં- ગુજરાતમાં સેક્યુલરિઝમ સંદર્ભે પણ આવો આત્યંતિક પ્રચાર ચલાવવામાં આવે છે. કૉંગ્રેસી સેક્યુલરિઝમમાં માનતા લોકોના ઘણા પ્રશ્નો છે, પરંતુ સર્વધર્મસમભાવમાં માનતા બધા લોકોને એક જ કાળા કુચડાથી ચીતરી દેવા, એ બધાને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા અને કોમી હિંસાથી માંડીને કોમવાદ માટે પણ એવું જ ચિત્ર ઉભું કરવું, જાણે સેક્યુલરિસ્ટોએ જ દુકાનો લૂંટવા ને લોકોને સળગાવવા માટે નીકળી પડ્યા હોય.

બીજા કોઈની પણ જેમ સેક્યુલરિસ્ટો ટીકાથી પર ન હોઈ શકે. તેમનાં બેવડાં ધોરણની ટીકા થવી જ જોઈએ. પણ દંભી બિનસાંપ્રદાયિકતા અને હાડોહાડ કોમવાદની સગવડીયા સરખામણી કરીને, હાડોહાડ કોમવાદને નિર્દોષ (કે ધાર્મિક) જાહેર કરવાના આશયથી, દંભી બિનસાંપ્રદાયિકતાને આરોપીના કઠેડામાં ન ઉભી કરી શકાય. દંભી બિનસાંપ્રદાયિકતા સામેની આકરી ટીકા અને તેની સામેનો રોષ તો જ વિશ્વસનીય લાગે, જો તે કોમવાદની વકીલાતના લાભાર્થે ન હોય. તેમાં બિનસાંપ્રદાયિકતા તથા દંભી બિનસાંપ્રદાયિકતા વચ્ચેનો તફાવત પાડવા જેટલો વિવેક જળવાવો જોઈએ.

એવી જ રીતે, હંમણાં એવું પણ ઘણું સાંભળવા મળે છે કે જમણેરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે કે તેમને નીચી નજરે જોવામાં આવે છે. સેક્યુલરિસ્ટોની જેમ ડાબેરીઓના પોતાના પ્રશ્નો છે, પરંતુ ખાસ કરીને ગુજરાતના લોકોએ એક સાદું સત્ય જાણવાની જરૂર છેઃ જે જમણેરી ન હોય કે જમણેરીઓનો વિરોધ કરતા હોય, એ બધા ડાબેરી નથી હોતા. ગરીબોની-શોષિતોની-વંચિતોની વાત કરનારા બધા રાજકીય વિચારધારા પ્રમાણે ડાબેરી નથી હોતા. આપણા મુદ્દાની વાત કરીએ તો, જમણેરીઓ પ્રત્યે રાખવામાં આવતો કહેવાતો ભેદભાવ હકીકતમાં ધર્મના નામે કોમવાદી અભિગમની, રાષ્ટ્રવાદને નામે સંકુચિતતાની, ટુંકમાં જમણેરીઓના ભેદભાવગ્રસ્ત વર્તનની ટીકા હોય છે. પણ ભેદભાવની ટીકાને ભેદભાવ તરીકે ખપાવી દેવાથી પ્રચારમાં જીત મેળવી શકાય છે અને જમાનો પ્રચારનો છે.

બિનસાંપ્રદાયિકતાનો એક રંગ દંભનો છે, એવી જ રીતે શોષણ સામે લડતી સ્વૈચ્છિક સંસ્થાઓનો એક રંગ હળાહળ શોષણખોરીનો છે. બધી સંસ્થાઓને એક લાકડીએ ન હાંકી શકાય, એ તો દેખીતું છે. પરંતુ દુનિયામાં શોષણની સામે લડવાનો દાવો કરનારા અને લડનારા પોતાની સંસ્થાના કર્મચારીઓનું શોષણ કરે, એવી શરમજનક ઘટનાઓની નવાઈ નથી. તેમાં સૌથી શરમજનક ગણાય એવી પરંપરાની વાત એક જાણીતી ફંડિગ એજન્સીના કર્મચારી પર થયેલા આરોપમાંથી બહાર આવી. એ ભાઈ હૈતી દેશમાં કામ કરતા હતા. ત્યાં તેમણે નાણાંના સાટામાં દેહસુખ મેળવ્યું. આ વાત જાહેર થઈ ત્યારે તેમણે, રૉંગ સાઇડેથી આવીને ભટકાયા પછી દાદાગીરી કરતા બાઇકવાળાની જેમ, કહ્યું કે એમાં શું થઈ ગયું? આમ કરવાથી પેલી સ્ત્રીને રોજગારી મળી. બીજાએ વળી એવો બચાવ કર્યો કે આવી સંસ્થાઓમાં કામ કરનારા સંત હોય એવી અપેક્ષા ન રાખવી જોઈએ.

કોઈ સામાન્ય જણ આવી દલીલ કરે તો તેને સમજનો કે સંવેદનશીલતાનો અભાવ કહીએ, પણ આંતરરાષ્ટ્રીય ફંડિગ એજન્સીમાંથી તગડા પગાર લેતા ને દુનિયાભરનું ડહાપણ ડહોળતા લોકો આવી દલીલ કરે ત્યારે તેમાંથી વિકૃતિની અને છલોછલ અહંકારની બૂ આવે છે. માનવ અધિકારનું કામ કરનાર માણસ સંત ન હોય, તો કમ સે કમ, શોષણખોર કે શોષણખોરીને ઉત્તેજન આપનાર પણ ન જ હોઈ શકે. 

Sunday, February 25, 2018

લોકપ્રિયતાઃ આંજી નાખતી રોશનીની આરપાર

સાહિત્ય-લેખનજગતના સૌથી જૂના અને સૌથી નવા વિવાદી વિષયોમાંનો એક છેઃ લોકપ્રિયતા. એક વર્ગ માને છે કે લોકપ્રિય હોય તે કદી ગુણવત્તાવાળું હોઈ જ ન શકે અથવા લોકપ્રિય ન થવામાં જ ગુણવત્તાની મોટાઈ છે. ચોક્કસ લખાણની ગુણવત્તા તપાસવાને બદલે તે લેખકના 'તપ'ના સરવાળા-બાદબાકી માંડે છે અને લખાણનું મૂલ્યાંકન કરતી વખતે તેની લોકપ્રિયતાના નેગેટિવ માર્ક મૂકે છે. લખાણની ગુણવત્તાનું સ્વંતત્ર, નિરપેક્ષ મૂલ્યાંકન આ વર્ગના મોટા ભાગના લોકોને ફાવતું કે અનુકૂળ આવતું નથી.

બીજો વર્ગ માને છે કે લોકપ્રિય હોવું એ જ સર્વોચ્ચ સિદ્ધિ છે-બધી ટીકાનો જવાબ તેમાં આવી જાય છે અને દરેક ટીકા લોકપ્રિય ન બની શકેલા લોકોની બળતરા છે.

આ બંને છેડાની દલીલો પોતપોતાના પૂર્વગ્રહોને પોસનારી, કલ્પી લીધેલી સર્વોચ્ચતામાં રાચનારી અને સચ્ચાઈથી ઘણી દૂર છે. વાંચનારા અવારનવાર તેનું સીધું નિશાન બનતા હોવાથી, આ બાબતોને શાંતિથી, મુદ્દાસર મૂકી આપવાનું જરૂરી લાગે છે.

૧) લોકપ્રિયતા લંબાઈ-પહોળાઈની જેમ માપી શકાય એવી ચીજ નથી. મેળવેલી લોકપ્રિયતાના મામલે 'એક શોભા (ડે) બરાબર કેટલા ચેતન (ભગત)?’ અથવા 'એક રામચંદ્ર (ગુહા) બરાબર કેટલા અમીષ (ત્રિપાઠી)?’ અથવા 'એક વિનોદ ભટ્ટ બરાબર કેટલા બકુલ ત્રિપાઠી?’ એવાં સમીકરણ કાઢવાં અશક્ય છે અને અનિચ્છનીય પણ. (પુસ્તકોના વેચાણના આંકડા પરથી મળતો અંદાજ પણ તદ્દન અપૂરતો હોય છે.)

૨) લેખનક્ષેત્ર રેસ નથી કે જેમાં કોઈ એક જ જીતે ને લોકપ્રિયતાની ટ્રૉફી લઈ જાય. તે ચૂંટણી પણ નથી કે તેમાં એક ચૂંટાય ને બીજા હારી જાય. લેખનક્ષેત્રે પોતપોતાની વિશેષતા થકી અનેક લોકો એક સાથે લોકપ્રિય થાય છે—અને ઉપર જણાવ્યું તેમ, લોકપ્રિયતાનું નિરપેક્ષ માપ કાઢવાનું અશક્ય છે.  સમકાલીનો વચ્ચેની સરખામણી તથા સ્પર્ધા લખાણની ગુણવત્તાની હોય તો તેમાં લખનારને, વાંચનારને તેમ જ સરવાળે સમાજને ફાયદો થાય. પરંતુ લક્ષ્યાંક કેવળ, કોઈ પણ ભોગે, લોકપ્રિયતાનું બને, ત્યારે તેમાં છીછરાપણાની, અપરસને સંતોષવાની, 'હજુ નીચે, હજુ નીચે'ની હરીફાઈ થાય. આવી હરીફાઈમાં વાંચનારને અને સમાજને તો ઠીક, લાંબા ગાળે લખનારને પણ નુકસાન થાય. કારણ કે, તે ઘાણીનો બળદ બનીને પોતાના જ 'લોકપ્રિય' વિષયોના કુંડાળામાં અને તેના વિકાસને કુંઠિત કરનારા 'ચાહકો'ના વર્તુળમાં ગોળગોળ ફર્યા કરે.

૩) લખાણમાં બહુ ઠેકાણું ન હોય, તો પણ લોકપ્રિયતા કેવી રીતે મળે? એવો સવાલ કોઈને થઈ શકે.  ગુજરાતી કટારલેખનમાં ત્રણ-ચાર દાયકાથી તેના કેટલાક નીવડેલા નુસખા ચલણી છે. તેમાં દરેક પેઢીનાં લખનાર પોતપોતાની 'વિશેષતા'પ્રમાણે નવા ઉમેરા કરતાં રહે છે. જેમ કે,  લખાણમાં પોતાની (ધારી લીધેલી કે બઢાવેલીચઢાવેલી) મહત્તાનાં જાતે જ ગુણગાન ગાવાં, પોતાની (મોટે ભાગે કાલ્પનિક) વ્યક્તિગત ખાસિયતોનું વારંવાર વર્ણન કરવું, પોતે કેટલા 'સિદ્ધ’ છે-કેવા વિશિષ્ટ, બહાદુર, રસિક, સાચાબોલા, શેહશરમ નહીં ભરનારા ઇત્યાદિ છે એનો (સાચોખોટો) પ્રચાર જાતે જ કરવો, એના માટે ગલગલિયાં ને હુંસાતુંસી કરતાં ખચકાવું નહીં...

આ બધી બાબતો લખનારની પ્રકૃતિના પ્રતિબિંબ તરીકે, લોટમાં નખાતા મીઠા જેટલા પ્રમાણમાં આવે તો એ માનવીય અને ક્ષમ્ય ગણાય, પણ મોટા ભાગના કિસ્સામાં આગળ જણાવેલી તિકડમબાજીનો જથ્થો લોટ જેટલો અને ગુણવત્તાનું પ્રમાણ મીઠા જેટલું રહી જાય છે. ઘણાખરા વાચકો આવો ભેદ પાડી શકતા નથી અથવા એવી તસ્દી લેતા નથી. અેટલે આ ચક્કર ચાલતું રહે છે.

૪) આવું થોડાં વર્ષ લાગલગાટ ચાલુ રહે એટલે તે ચેઇન રીએક્શન બની જાય છેઃ આપબડાઈથી લોકપ્રિયતા વધે અને લોકપ્રિયતા વધે એટલે આપબડાઈની પ્રવૃત્તિ વધુ ને વધુ બેશરમીપૂર્વક, લગભગ અધિકારના ભાવથી, વધુ ને વધુ સ્વીકૃતિ સાથે વધતી રહે.

વાચકોનો અપરસ બહેકાવતા, તેમની સમક્ષ વિવિધ વેશ કાઢતા, લખનાર તરીકેની લોકપ્રિયતાનો મોટો ભાગ ગુણવત્તા સિવાયના રસ્તે મેળવનારા તેમની ટીકાને 'ઇર્ષ્યાનું પરિણામ'ગણાવે, એ સ્વાભાવિક છે. કારણ કે, સચ્ચાઈ તે જાણે છે, પણ સ્વીકારી શકે એમ નથી. ઉલટું, એ પોતાની તિકડમબાજીને આજના જમાનામાં અનિવાર્ય એવા માર્કેટિંગનો હિસ્સો ગણાવીને, એમની સાથે છીછરાં પાણીમાં છબછબીયાં ન કરનારને વેદીયા કે જૂનવાણી તરીકે ખપાવી શકે છે.

૫) માર્કેટિંગ વિશે પણ સમજી લેવા જેવું છે. તે બે પ્રકારનું હોયઃ લખાણનું અને જાતનું. લખાણનું માર્કેટિંગ એટલે લખાણ વધુમાં વધુ વાંચનારા સુધી પહોંચે એવા પ્રયાસ. જાતનું માર્કેટિંગ એટલે પોતાની બડાઈઓને લખાણમાં ભેળવીને, મહત્તમ મુગ્ધ-ભોળા-અંજાઉ વાચકોને સુધી પહોંચાડવાનો પ્રયાસ.
ઘણા લોકપ્રિય લખનારા માર્કેટિંગ બીજા પ્રકારનું કરે અને ટીકા થાય ત્યારે તે પહેલા પ્રકારના માર્કેટિંગનો મહિમા ગાવા લાગે છે તથા એ કેટલું જરૂરી છે ને એમાં મરજાદી ન રહેવાય, એવી ડહાપણની વાતો કરે છે. કોઈ પણ વાતમાં ડોકાં ધુણાવનારો એક વર્ગ વિચારે છે, 'વાત તો સાચી છે. માર્કેટિંગ કરવામાં શું ખોટું છે?’ એમ તો, જાતનું માર્કેટિંગ કરવું પણ ગુનો નથી. પરંતુ વાત લખનાર તરીકેની ગુણવત્તાની થતી હોય ત્યારે જોવું પડે કે તેમાં લખાણની ગુણવત્તાનો હિસ્સો કેટલો છે અને બેશરમીથી કરેલા જાતના માર્કેટિંગનો કેટલો હિસ્સો.

૬) કોઈ લખનારનાં બધાં લખાણ એકસરખાં ઉત્તમ હોઈ શકે નહીં. લખનારની કક્ષા અને ખાસ તો તેના ઇરાદા તેમનાં બહુમતી લખાણ પરથી નક્કી થાય છે—આક્રમક સ્વબચાવ માટે હથિયારની જેમ વપરાતાં છૂટાંછવાયાં સૅમ્પલ પરથી નહી.

લખનારનો એક વર્ગ પોતાને જે આવડે છે તે, પોતાને જે કહેવું છે-આપવું છે તે, પોતાની જમીન પર રહીને, પોતાની લોકપ્રિયતા ઉભી થશે કે નહીં, એની ગણતરી માંડ્યા વિના લખે છે. તેમનો હેતુ વાચકોને (પોતાની સમજ પ્રમાણેની) સારી સામગ્રી આપવાનો હોય છે.  આવાં લખાણ નકામાં, મીડિઓકર (મધ્યમ બરનાં) કે ઉત્તમ હોઈ શકે. એ લખનારની કક્ષા ને સજ્જતાનો સવાલ છે, પણ તેમની દાનત વાચકોને આંજીને વાચનસામગ્રીના નામે પોતાનું માર્કેટિંગ કરી નાખવાની અને ઝટપટ સેલિબ્રિટી બની જવાની નથી. તેમના પ્રયાસ પ્રામાણિક છે.

લખનારાનો બીજો--અને છેલ્લાં થોડાં વર્ષોમાં ઝડપભેર વધી રહેલો વર્ગ એવો છે, જેમના મનમાં લખાણની ગુણવત્તા બીજા ક્રમે રહે છે અને બહુમતી વાચકોને પહેલી તકે પ્રભાવિત કરવાનું પહેલા ક્રમે. એવાં લખાણોના ઘણા વાચકો લખનારને ફક્ત સરસ લેખક ન ગણતાં, સેલિબ્રિટી ગણવા પ્રેરાય છે (એ માટેની 'પ્રેરણા' લખનારે જ લેખમાં પૂરી પાડેલી હોય છે.)  આવાં લખાણો વિશે ઠરેલ વાચકો સાથે ઠંડા કલેજે વાત કરવામાં આવે તો તરત તે સમજી જાય કે 'હા, ટીકા ઇર્ષ્યાવશ નથી. વાત સાચી છે.’ પણ લખનારે અવિરતપણે કરેલા પોતાના મહિમાની અને તેને મળેલી વ્યાપક સ્વીકૃતિની છાપ એવી જામેલી હોય છે કે સચ્ચાઈ જાણ્યા પછી પણ બહુમતી વાચકો અહોભાવમાંથી નીકળી શકે નહીં. (વાચકોની માનસિકતા અલગ ચર્ચાનો મુદ્દો છે. જોકે, આ વિશ્લેષણના ઘણા મુદ્દા વક્તાઓ અને વક્તવ્યોને લાગુ પાડી શકાય છે.)

ગુજરાતી કટારલેખનમાં અને વક્તવ્યોમાં આ સિલસિલાની શરૂઆત (ઓછામાં ઓછી) ત્રણ-ચાર દાયકા પહેલાં થઈ હતી. હવે તેનો ભરબપોર ચાલી રહ્યો છે.

Thursday, February 22, 2018

ઑપરેશનઃ તનની દુરસ્તી કે મનનો સંતોષ?

(Courtesy : Fortune)
આરોગ્ય ક્ષેત્રે વર્ષોથી જાણીતો એક શબ્દ છેઃ પ્લસીબો/placebo. સાદી ભાષામાં કહીએ તો, મનને પટાવવાની તરકીબ. ઘણી બીમારીઓ નક્કર અને વાસ્તવિક હોય છે, તો કેટલીક બીમારીઓ મનમાંથી પેદા થયેલી હોય છે. તે હોય શારીરિક, એટલે અસલી લાગે. પણ તેનું જન્મસ્થાન માણસનું પોતાનું મન હોય. એવા સંજોગોમાં માણસને દવા જેવી લાગતી કોઈ પણ ગોળી આપી દેવામાં આવે, તો તેને રાહત લાગે. કેમ કે, બીમારીના મૂળ જેવા મનને દવા લીધાનો સંતોષ મળ્યો. એટલે બીમારી ગાયબ.

પ્લસીબો ઇફેક્ટ દવાઓમાં તો હોઈ શકે, પણ ઑપરેશન ઉર્ફે શસ્ત્રક્રિયામાં તેની કોઈ શક્યતા ખરી? પહેલી નજરે તો ન લાગે. કારણ કે, ઑપરેશનમાં દર્દીના શરીરની વાઢકાપ કરવાની હોય છે. દવાની ગોળીને બદલે સાદી ગોળી ગળાવી દેવાય, પણ ઑપરેશનમાં 'ખાલી ખાલી'કેવી રીતે થઈ શકે? બ્રિટનના પ્રતિષ્ઠિત મૅડિકલ જર્નલ 'લાન્સેટ’ (The Lancet)માં ગયા વર્ષે નવેમ્બરમાં એક અભ્યાસ પ્રકાશિત થયો. તેમાં ઑપરેશન કરવાને બદલે દર્દીઓને ફક્ત ઑપરેશન કર્યાનો માનસિક આભાસ આપવામાં આવે તો શું થાય, તેનાં પરિણામ જાહેર થયાં હતાં--અને તે આશ્ચર્ય પમાડે એવાં હતાં.

અભ્યાસ માટે જેમની ધમની (સાદી ભાષામાં 'નળીઓ’) બ્લૉક હોય એવા બસો દર્દીઓને પસંદ કરવામાં આવ્યા. તેમાંથી અડસટ્ટે અમુક લોકોને અૅન્જિઓપ્લાસ્ટીનું ઑપરેશન કરીને, (બ્લૉક થયેલી નળી પહોળી કરવા માટેના) સ્ટૅન્ટ મૂકવામાં આવ્યા, જ્યારે જૂથના બીજા લોકોનું ઑપરેશન તો થયું, પણ તેમની બ્લૉક થયેલી નળીમાં સ્ટૅન્ટ મૂકાયા નહી.  દર્દીઓને એમ જ હતું કે તેમની સર્જરી થઈ ગઈ. દર્દીઓ અને ડૉક્ટર કોઈને ખબર ન હતી કે કયા દર્દીઓ સ્ટૅન્ટ ધરાવે છે અને કયા સ્ટૅન્ટ વગરના છે. તબીબી પ્રયોગની પરિભાષામાં આ રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ ટ્રાયલ હતો, જેનાં પરિણામ આદર્શ ગણાય. કેમ કે, આગોતરી માહિતી ન હોવાને કારણે, પરિણામોમાં પૂર્વગ્રહ ભળવાની શક્યતા ન રહે.

ઑપરેશનનાં છ અઠવાડિયાં પછી દર્દીઓની તપાસ કરવામાં આવી ત્યારે, બધાને એકસરખું સારું લાગતું હતું. જેમને સ્ટૅન્ટ મૂક્યા હતા અને જેમનું દેખાડા પૂરતું ઑપરેશન કર્યું હતું, એ બધા દર્દીઓને દુઃખાવામાં ઘટાડો લાગતો હતો. એટલું જ નહીં, નક્કર કહેવાય એવા ટ્રેડ મિલ પરના ટેસ્ટમાં પણ બંને પ્રકારના દર્દીઓની તબિયતમાં સુધારો જણાયો.

આ અભ્યાસના પગલે ભારે ચર્ચા જાગી. કેમ કે, અૅન્જિઓપ્લાસ્ટીની અસરકારકતા સામે મૂળભૂત સવાલ ઉભો થયો હતો. 'સાયન્ટિફિક અમેરિકન'ના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, અૅન્જિઓપ્લાસ્ટીથી હાર્ટ અૅટેકનો કે તેનાથી ઉભા થતા જાનના જોખમનો ખતરો ઓછો થતો નથી, એ અનેક અભ્યાસોમાં સિદ્ધ થઈ ચૂકેલી હકીકત છે. આ સર્જરીની તરફેણમાં અપાતું મુખ્ય કારણ એ હતું કે તેનાથી એન્જાઇના એટલે કે દુખાવામાં અને શ્વાસમાં તકલીફ પડતી હોય તો રાહત મળે છે. પરંતુ 'લાન્સેટ’માં જે અભ્યાસની વાત કરવામાં આવી હતી, તેમાં અમુક દવાઓ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાથી, સ્ટૅન્ટ ધરાવતા અને નહીં ધરાવતા બધા દર્દીઓને એકસરખી રાહત લાગી હતી.

આ પ્રકારનાં પરિણામ એકથી વધારે અભ્યાસોમાં આવવા લાગે, તો ભવિષ્યમાં અૅન્જિઓપ્લાસ્ટી (અને તેના નામે ચાલતો ધમધોકાર ધંધો) બંધ થાય, એવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. અલબત્ત, એ વિશે એકદમ ઉતાવળે અભિપ્રાય બાંધી લેવાની જરૂર નથી, પણ આ સર્જરી ચાર દાયકાથી ચાલે છે એટલે સાચી (જરૂરી)--એવું પણ માની લેવું નહીં. તબીબી ક્ષેત્રે આવાં 'મૅડિકલ રીવર્સલ'પણ થતાં હોય છે, જેમાં વર્ષો સુધી એક રસ્તે ચાલ્યા પછી એ રસ્તાની મર્યાદાઓનું કે નિરર્થકતાનું ભાન થતાં તેને છોડી દેવો પડે. આ વિષય અંગે અમેરિકાની યુનિવર્સિટી ઑફ શિકાગોના ડૉ.વિનાયક પ્રસાદ અને ડૉ. આદમ સિફુએ 2015માં એક પુસ્તક લખ્યું હતું, જેનું નામ હતું, 'અૅન્ડિંગ મૅડિકલ રીવર્સલઃ ઇમ્પ્રુવિંગ આઉટકમ્સ, સેવિંગ લાઇવ્ઝ'.

વણજોઈતી કે શંકાસ્પદ ઉપયોગીતા ધરાવતી સર્જરીના બીજા પણ નમૂના છે. યુનિવર્સિટી ઑફ સધર્ન ડૅન્માર્કના જોનસ થોર્લન્ડે તેમના અભ્યાસમાં એવું તારણ રજૂ કર્યું હતું કે સર્જરી જેટલી વધારે ઇન્વેઝીવ (જેમાં શરીરની વાઢકાપ થતી હોય), એટલી જ પ્લસીબો ઇફેક્ટ વધારે મજબૂત.  ઑર્થોપેડિક સર્જરીના ઘણા કિસ્સામાં પણ પ્લસીબો ઇફેક્ટ મહત્ત્વનો ભાગ ભજવતી હોવાનું ઘણા અભ્યાસોમાં નોંધાયું છે. યુનિવર્સિટી ઑફ મિનીસોટા (અમેરિકા)નાં ડૉ. જુલી સ્વિટ્ઝર જેવાં અભ્યાસીઓ માને છે કે સાંધા કે પીઠ કે ઘુંટણના દર્દનાં બધાં કારણ અૅક્સ-રે કે MRI થકી જાણી શકાતાં નથી. પરંતુ દર્દીઓ સમક્ષ આ 'પુરાવા’ મૂકવામાં આવે, તેમાં દેખીતી રીતે કશુંક તૂટેલું-ફાટેલું કે આઘુંપાછું દેખાતું હોય, એટલે દર્દી માની લે કે આ જ તેના દુખાવાનું મૂળ કારણ છે. અને સર્જરી પછી એ કારણ ન દેખાય, એટલે તેને મનોમન વધારે સારું લાગવા માંડે.

વર્ષ 2007માં અગીયાર સંશોધકોએ ઘૂંટણને થયેલા નુકસાન અને ઘૂંટણમાં થતા દુઃખાવાને શો સંબંધ છે, તેનો અભ્યાસ રજૂ કર્યો હતો. પ્રચલિત માન્યતા પ્રમાણે તો આપણને સીધો સંબંધ લાગે, પરંતુ 50 વર્ષની ઉંમર ધરાવતા 3,026લોકોનો પંદર મહિના સુધી અભ્યાસ કર્યા પછી હકીકત થોડી જુદી નીકળી. અમેરિકન કૉલેજ ઑફ રુમેટોલૉજીના જર્નલમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસના પરિણામમાં જણાવાયું હતું કે મૅન્સિકલ ડૅમેજ ('ગાદી'ને થયેલા નુકસાન) અને ઘૂંટણના દુઃખાવા વચ્ચે સીધો સંબંધ નથી. પરંતુ આ બંને બાબતો સરવાળે ઑસ્ટિઓ-આર્થરાઇટિસ સાથે જોડાયેલી છે. એક અન્ય અહેવાલમાં બીજા અભ્યાસને ટાંકીને આ જ હકીકત સિદ્ધ કરવામાં આવી હતી. તેના તારણ તરીકે જણાવાયું હતું કે મૅન્સિકલ ટીઅર/ગાદીમાં થોડું નુકસાન હોવા છતાં, માણસ સ્વસ્થ હોઈ શકે. 'ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઑફ મૅડિસીન'માં પીઠના દુખાવાને લગતો 98 લોકો પર થયેલો આવો એક અભ્યાસ 1994માં પ્રગટ થયો હતો. તેનો સાર પણ એ જ હતો કે પીઠનો દુખાવો મણકો ખસી જવાને કારણે કે ત્યાં સોજો આવવાને કારણે હોય એવું બિલકુલ જરૂરી નથી અને દુખાવો ઘણી વાર 'કોઇન્સીડેન્ટલ’ (આકસ્મિક) હોઈ શકે છે.

સર્જરી કરવાનું કહીને તે કરવામાં ન આવે, તો એ પણ છેતરપીંડી કહેવાય—એવી દલીલ ઘણી વાર થાય છે. એ તર્કની રીતે સાચી હોવા છતાં, તેનો મોટો આધાર આવું કરનારના ઇરાદા પર રહે છે. જો તેનો ઇરાદો દર્દીના રૂપિયા વેડફાતા અટકાવીને, તેમના શરીરમાં છેડછાડ કર્યા વિના, તેમને શક્ય એટલા સાજા કરવાનો હોય, તો આવી બનાવટી/sham સર્જરી પ્રયોગાત્મક અને સરવાળે આશીર્વાદરૂપ બની રહે છે. એવી સર્જરી ન થઈ હોત તો લાન્સેટમાં પ્રગટ થયો છે, તે અભ્યાસ શક્ય બન્યો હોત?

(નોંધઃ આ લેખમાં સર્જરીની તરફેણ કે વિરોધમાં છેવટનો કહેવાય એવો કોઈ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો નથી. એ બાબતે કોઈ પણ અભિપ્રાય બાંધતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.)

Wednesday, February 21, 2018

અસલી NPA : બાબુઓ અને નેતાઓ

સૌથી પહેલાં નક્કી કરી લઈએઃ આપણો હેતુ શો છે? કૉંગ્રેસના લાભાર્થે મોદી-ભાજપને દોષી ઠરાવવાનો? મોદી-ભાજપના લાભાર્થે 'આ બધું તો કૉંગ્રેસના રાજમાં થયું હતું’ એવી ભક્તિમય દલીલ કરીને, કૉંગ્રેસ પર ટોપલો ઢોળી દેવાનો? કે પછી જે રૂપિયાનું કૌભાંડ થયું છે, તેના માલિક તરીકે બંને 'ચોકીદારો'ને લાઈનમાં ઉભા કરી દેવાનો?

બંને પક્ષો ઈચ્છે છે કે આપણે રૂપિયાના માલિક તરીકે રજૂ થવાને બદલે, પક્ષીય વફાદારીઓના ગુલામ બનીને રહી જઈએ. ભાજપવાળા દડો કૉંગ્રેસ બાજુ ફેંકે ને કૉંગ્રેસવાળા ભાજપ બાજુ. આ રમતમાં આપણે એવા મશગૂલ થઈ જઈએ કે આ રમતમાં બેમાંથી કોઈ પણ જીતે, આપણે હારવાના જ છીએ, એ સચ્ચાઈ આપણે ભૂલી જઈએ.

સમજવાનો પ્રાથમિક અને મહત્ત્વનો મુદ્દો એ છે કે નીરવ મોદી એન્ડ કંપનીના કૌભાંડમાં દોષી એવા મુખ્ય પક્ષો એક નહીં, (ઓછામાં ઓછા) પાંચ છે. એ દરેકના દોષની માત્રા ઓછીવત્તી હોઈ શકે, પણ તેમના દોષની ગંભીરતા એકસરખી છે. નાગરિક તરીકે આપણે જેમને કઠેડામાં ઉભા રાખવાના થાય અને કાંઠલા પકડીને જેમની પાસેથી જવાબ માગવાના થાય એવા પાંચ પક્ષો એટલે

કૉંગ્રેસઃ નીરવ મોદીના પંજાબ નેશનલ બૅન્ક સાથેના કૌભાંડની શરૂઆત યુપીએ સરકારના રાજમાં થઈ અને લગભગ ચારેક વર્ષ સુધી તે બેરોકટોક ચાલ્યું. ત્યાં લગી સરકારી એજન્સીઓ અને નાણાં મંત્રાલય શું કરતાં હતાં? કોઈ સરકાર કે મંત્રી એવો બચાવ રજૂ કરે કે 'અમને આની ખબર ન હતી' તો, એ નિર્દોષતાનું પ્રમાણ નહીં, ગુનાનો એકરાર ગણાવો જોઈએ. કેમ કે, તમારું જે કામ હોય અને જે કામ માટે તમને રૂપિયા ચૂકવાતા હોય, એ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જાવ તો તેની સજા થાય. (હા, આ લોકપ્રતિનિધિઓ સેવા નથી કરતા, નોકરી કરે છે, પગાર-ભાડાં-ભથ્થાં અને ઘણા કિસ્સામાં તગડી લાંચ પણ લે છે.) હળવામાં હળવી સજા એ હોય કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. ન્યાયી સજા એ ગણાય કે કૌભાંડમાં તેમનું કેવળ અજ્ઞાન હતું કે સામેલગીરી, તેના આધારે જેલનાં વર્ષોની મુદત નક્કી થાય, જેથી ભવિષ્યમાં બીજા લોકો પર દાખલો બેસે.

કૉંગ્રેસના કિસ્સામાં હળવી સજા તો થઈ. લોકોએ તેને 'નોકરી’માંથી બુરી રીતે તગેડી મૂકી. તેની જગ્યાએ પરદેશનું કાળું નાણું 100 દિવસમાં દેશમાં આણી દેવાથી માંડીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીના અનેક વાયદા કરનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.

નરેન્દ્ર મોદી અને ભાજપ: અહેવાલો મુજબ, આ કૌભાંડ યુપીએ સરકારના જમાનાથી ચાલતું હતું. નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યાર પછી સમયાંતરે વડાપ્રધાનની કચેરીને આ કૌભાંડ વિશે જાણ કરવામાં આવી. પરંતુ નીરવ મોદી સામે કોઈ તપાસ કે પગલાં લેવામાં ન આવ્યાં. ઉલટું, દાઓસમાં વડાપ્રધાન સાથેના ગ્રુપફોટોમાં નીરવ મોદી દૃશ્યમાન થયા.

વડાપ્રધાન મોદી પાસેથી આપણે માગવાના જવાબઃ આ કૌભાંડ વિશે તમારી કચેરીને પહેલવહેલી જાણ ક્યારે થઈ? (માહિતી અધિકાર પ્રમાણે ઉપલબ્ધ માહિતી કરતાં જુદો જવાબ આપે તો વડાપ્રધાનને આંતરી શકાય.) જાણ થયા પછી તમે નીરવ મોદીના કૌભાંડમાં કેવી અને કેટલી તપાસ કરાવી? (દસ્તાવેજો પૂરા પાડવામાં આવે તો પાછલી તારીખમાં ઉભા કરી દેવાયેલા નથી, તેની ખાસ ચકાસણી કરવી. ફોરેન્સિક નિષ્ણાતો એ કરી શકે.) તમને બધે ખબર હોવા છતાં, નીરવ મોદી સપરિવાર કેવી રીતે પરદેશ છટકી ગયો? અગાઉ કૉંગ્રેસના મુદ્દે લખ્યું છે તેમ, વેળાસર જાણ થયા છતાં તમને ખબર ન હોય, તો એ તમારી નિર્દોષતા નહીં, ગુનાની કબૂલાત ગણાય. અને ખબર હોવા છતાં કશું ન કર્યું તો એ તમારી સામેલગીરીની અથવા ગુનાઇત આંખ આડા કાનની કબૂલાત ગણાય.

તેમનો ગુનો વધારે ગંભીર એટલા માટે બને છે, કારણ કે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો બહુ ગજવ્યો, ભ્રષ્ટાચારવિરોધ દેખાડી દેવાની લ્હાયમાં નોટબંધી જેવું આત્યંતિક અને જુગારી પગલું પણ ભર્યું. દાવો આટલી બધી પ્રતિબદ્ધતાનો-ચોકીદારીનો અને નીરવ મોદી આટલો મોટો ખેલ ખેલીને નાસી જાય ત્યારે તે ઉંઘતા ઝડપાય (કે જાગતા ઉંઘે)? ગુજરાતીભાષીઓને તો ઢાંકણી અને પાણી જ યાદ આવે.

બૅન્ક-એલ.આઇ.સી-જાહેર સંસ્થાઓ: જાહેર ક્ષેત્રની બૅન્કો અને લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા જેવી કંપનીઓ ઉદારીકરણનાં 27 વર્ષ પછી પણ નીતાંત સરકારી ધોરણે ચાલે છે. સરકારી ધોરણ એટલે સત્તા અફસરોની, રૂપિયા પ્રજાના અને જવાબદારી? કોઈની નહીં. જાહેર ક્ષેત્રની બૅન્કોના અફસરો આડેધડ નાણાં ધીરે અથવા એક પ્રકારની હૂંડીઓ (લેટર ઑફ અન્ડરટેકિંગ-LoU) લખી આપે. અત્યારે અપાયેલા ખુલાસા પ્રમાણે, મુંબઈની ફૉર્ટ શાખાના ડેપ્યુટી મૅનેજર નીરવ મોદીને લાગલગાટ વર્ષો સુધી આવા LoU જારી કરી આપતા રહ્યા. દર ત્રણ વર્ષે બદલી થવાનો નિયમ પણ તેમને લાગુ ન પડ્યો. અને આવું થોડા મહિના નહીં, વર્ષો સુધી ચાલ્યું. સવાલ એ થાય કે ત્યાં સુધી બૅન્કના ઉપરીઓનું તંત્ર શું કરતું હતું? આવું ધ્યાન રાખવું એ તેમની નોકરી છે. એમાં ફરજચૂક થાય તો ડેપ્યુટી મૅનેજરથી શરૂ કરીને, ઉપર જેમની જેમની જવાબદારીમાં-સત્તાક્ષેત્રમાં આ બાબત આવતી હોય અથવા જેમની નજર નીચેથી એ વર્ષના અહેવાલો પસાર થયા હોય, એ સૌ સામે પગલાં લેવાવાં જોઈએ. આ ફક્ત નીરવ મોદી કૌભાંડને જ નહીં, નૉન-પરફૉર્મિંગ અસેટ્સના નામે ચાલતાં બીજી બૅન્કોનાં સંદેહાસ્પદ ધીરાણને પણ લાગુ પડે છે. એવું જ, પંજાબ નેશનલ બૅન્કમાં રોકાણ કરનાર અને થોડા સમય પહેલાં રોકાણમાં વધારો કરનાર એલ.આઈ.સી.ને પણ લાગુ પડે છે. એક અહેવાલ પ્રમાણે, છેલ્લા એક દાયકામાં સરકારે જાહેર ક્ષેત્રની બૅન્કોના ગોટાળાના લાભાર્થે રૂ. ૧ લાખ કરોડથી પણ વધારે રકમ ફાળવી છે. એ રકમ સરકારી એટલે કે પ્રજાકીય છે, જેમાંની ઘણીખરી ફરી એક વાર આવા જ ગોટાળિયાઓને ધીરવામાં ખર્ચાય છે.

નિયામક સંસ્થાઓઃ જાહેર બૅન્ક-વીમો આ બધાં ક્ષેત્રે સંસ્થાઓ સીધા રસ્તે ચાલે, એ માટે નિયામક (રૅગ્યુલેટરી) માળખાં રચવામાં આવે છે (જે પણ સરકારી જ હોય છે.) આ હદનું અંધેર આટલાં વર્ષ સુધી ચાલતું રહે ત્યાં સુધી નિર્ણાયક સંસ્થાઓ શું કરતી હતી? અને તેમની જવાબદારીનું શું? એવી જ રીતે, હિસાબો તપાસનારા અને તેમને પ્રમાણભૂત કરનારા વ્યાવસાયિકો-સંસ્થાઓની જવાબદારીનું શું? છીંડે ચડેલા ચોર માટે ઉભી થયેલી આખી સપોર્ટ સીસ્ટમને કેવી રીતે અવગણી શકાય?

નીરવ મોદી પરિવારઃ એ લોકોનો ગુનો સ્વયંસ્પષ્ટ છે.
આપણે યાદ રાખવાના ગુનેગારો ક્રમાંક ૧થી ૪ સુધીના છે. તેમાંથી કોનો દોષ વધારે ને કોનો ઓછો, એ તપાસથી નક્કી થઈ શકે, પણ તેમાંથી કોઈનો નિર્દોષતાનો દાવો આપણી આંખમાં ધૂળ નાખવા બરાબર ગણાય.

Wednesday, February 14, 2018

‘જો’ અને ‘તો’ : નિરર્થકતાનો ઑચ્છવ

જેને વાંચતાં-લખતાં જ નહીં, જોતાં-સાંભળતાં પણ આવડતું હોય એવી ભારતવર્ષની પ્રજા હવે જાણી ચૂકી હશે કે જો સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો...

આશ્ચર્ય હોય તો ફક્ત એટલું કે ‘જો’ અને ‘તો’નો આ જૂનો અને જાણીતો સિલસિલો કેમ ત્યાંથી શરૂ થઈને ત્યાં જ અટકી જાય છે? કલ્પનાના પતંગ ચગાવવા હોય તો આકાશ મોકળું છે.
***

જો સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હોત તો...

...તો ડિસેમ્બર, 1950માં તેમના મૃત્યુ પછી પંડિત નહેરુ ભારતના બીજા વડાપ્રધાન થાત અને તેમનો શાસનકાળ 1947-1964ને બદલે 1950-1964 થયો હોત—અને સંઘ-જનસંઘ-ભાજપ ઇત્યાદિના નેતાઓ કહેતા હોત, ‘જો સરદાર પટેલ દસેક વર્ષ વધુ જીવ્યા હોત તો...’

...તો સરદારે મહારાજા હરિસિંઘને કહ્યું હોત કે ભારત સાથે જોડાઈ જવું હોય તો ભારત સાથે જોડાવ ને પાકિસ્તાનમાં જવું હોય તો ત્યાં જાવ, પણ જે કરવું હોય તે વેળાસર કરો. સવાલ એ છે કે જો મહારાજા હરિસિંઘે વેળાસર કાશ્મીરને ભારત સાથે જોડી દીધું હોત તો તે બીજાં અનેક રજવાડાંની જેમ ભારતનો હિસ્સો બની જાત. ત્યાર પછી પાકિસ્તાની સૈન્ય છૂપા કે પ્રગટ વેશે કાશ્મીર પર હુમલો કર્યો હોત તો ભારતને કાશ્મીરનું રક્ષણ કરવાનો સત્તાવાર અધિકાર મળી જાત. ભારતના સૈન્યે તેને સરહદ પર જ પડકાર્યું હોત અને કાશ્મીરમાં ઘુસવા ન દીધું હોત.

...તો પણ અત્યારની કાશ્મીરસમસ્યા રહી હોત. કારણ કે અત્યારે જોવા મળતી કાશ્મીર સમસ્યાનાં મૂળ આઝાદીના વખતમાં છે એ સાચું, પણ તેને નવેસરથી અને ઉગ્ર સ્વરૂપ પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝીયાના શાસનકાળમાં મળ્યું. એ વખતે રશિયાએ અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલ્યું. તેની સામે અમેરિકાએ પાકિસ્તાન-અફઘાનિસ્તાનના કટ્ટરપંથીઓને હથિયાર આપ્યાં. આ શસ્ત્રોનો ઉપયોગ કાશ્મીરને નવેસરથી સળગાવવા માટે અને તેમાં પાકિસ્તાનતરફી કટ્ટરવાદ ફેલાવવા માટે પણ કરવામાં આવ્યો.
એટલે મૂળ ‘જો’ અને ‘તો’ પરના નવા ચણાયેલા માળ છેઃ જો રશિયાએ અફઘાનિસ્તાનમાં સૈન્ય ન મોકલ્યું હોત તો....જો અમેરિકાએ પાકિસ્તાનને મદદ ન કરી હોત તો...જો ઝુલ્ફીકારઅલી ભુટ્ટોને ઉખેડીને જનરલ ઝિયા પાકિસ્તાનના સરમુખત્યાર ન બન્યા હોત તો…

***

રાષ્ટ્રવાદના નામે આંગળીચીંધામણાં અને ઢાંકપિછોડા કરવાનો જ મામલો હોય તો સાત દાયકાની સીમા શા માટે રાખવી? આપણી સંસ્કૃતિ તો હજારો વર્ષ જૂની છે.

જો સિંધુ સંસ્કૃતિનું પતન થયું ન હોત તો…
જો ગુપ્ત સામ્રાજ્યનો અસ્ત જ ન થયો હોત તો…

આ બધો વધારે દૂરનો ઈતિહાસ લાગે છે? ઠીક છે. જરા વધુ નજીક આવીએ.

જો ઇ.સ. 1526માં પાણીપતના પહેલા યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીની સામે બાબર હારી ગયો હોત તો...
...તો ભારતમાં મોગલ વંશનું શાસન સ્થપાયું ન હોત.
...તો બાબર ભારતમાં ન હોત. એટલે તેના પૌત્ર અકબરનો પૌત્ર જહાંગીર પણ ગાદીએ ન બેઠો હોત.
...તો જહાંગીરના દરબારમાં અંગ્રેજ એલચી ટૉમસ રો હાજર ન થયો હોત અને જહાંગીરે તેને વેપારની પરવાનગી આપવાનો સવાલ પણ ઉભો ન થાત.
...તો અંગ્રેજોએ ભારતમાં વેપારના બહાને પગપેસારો ન કર્યો હોત.
...તો 1857નો સંગ્રામ થયો ન હોત અને એ થયો જ ન હોત, એટલે નિષ્ફળ પણ ન જાત.
...તો મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ પર સત્યાગ્રહ કરતા ત્યાં જ રોકાઈ પડ્યા હોત અને આજીવન આફ્રિકન નેશનલ કૉંગ્રેસના માર્ગદર્શક બની રહ્યા હોત.
...તો વલ્લભભાઈ બૅરિસ્ટર સુખેથી બૅરિસ્ટરી કરતા હોત અને સમૃદ્ધિમાં જીવન વીતાવ્યું હોત.
...તો કાશ્મીરની કોઈ સમસ્યા જ ન રહી હોત. કારણ કે રાજકીય એકમ તરીકે ભારતનું અસ્તિત્વ જ ન હોત. ભારત પાંચસો-સાતસો રજવાડાંમાં વહેંચાયેલું હોત અને એ..ય તે સંસ્કૃતિના પ્રેમીઓ ઘીદૂધની નદીઓના કિનારે મોજ કરતા હોત.

માટે, કાશ્મીર સમસ્યા માટે ખરેખર જો કોઈ જવાબદાર હોય તો એ ઇબ્રાહિમ લોદી છે.
***

આગળ જણાવેલી ‘જો’ અને ‘તો’ની દલીલો હાસ્યાસ્પદ- શેખચલ્લીના તરંગો જેવી લાગી? તેના વિશે ‘આવું તે કંઈ હોતું હશે?’ અથવા ‘એનું અત્યારે શું છે?’ એવી લાગણી થઈ? તેમાં કૉમન સૅન્સનો અભાવ લાગ્યો?
જવાબ ‘હા’ હોય, તો જણાવવાનું કે એ જ તેનો આશય હતો.

જે આ દલીલોમાંથી ઐતિહાસિક ખાંચાખૂંચી શોધવા બેસે અને તેની સામે ગંભીરતાથી પોતાની ‘જો’ અને ‘તો’ની થિયરીઓ રજૂ કરવા બેસે, તેમને પૂરી સહાનુભૂતિ સાથે જણાવવાનું કે તમે આખું કોળું શાકમાં જવા દઈ રહ્યા છો.

ઈતિહાસનો સૌથી સારો ઉપયોગ તેમાંથી સાચો બોધપાઠ લઈને કરી શકાય છે. ઈતિહાસની તોડેલીમરોડેલી હકીકતો કે અર્ધસત્યો કે પા-સત્યો વર્તમાનમાં તાણીને, તેના જોરે સ્વાર્થ સાધવાની કોશિશ થાય, ત્યારે એ પણ આ લેખમાં રજૂ કરેલી ‘જો’ અને ‘તો’ની દલીલો જેટલું જ અપ્રસ્તુત લાગવું જોઈએ. એ મુદ્દે જો કોઈ ચર્ચા હોઈ શકે તો તેની હાસ્યાસ્પદતાની અથવા તેની પાછળ રહેલા બદઈરાદાઓની જ હોય.

આવા ‘જો’ અને ‘તો’ દેશના વડાપ્રધાનના મોઢેથી નીકળે અને દેશની સંસદમાં ઉચ્ચારાય, ત્યારે સંબંધિત પાત્રોનું જ નહીં, આપણી, ભારતના નાગરિકોની સામાન્ય બુદ્ધિનું પણ અપમાન થતું લાગે છે. કૉંગ્રેસ લાંબો સમય સત્તામાં રહ્યો હોવાને કારણે તેને આવા ‘જો’ અને ‘તો’ નું શરણું લેવું પડ્યું નથી, પરંતુ દાયકાઓથી ચાલતાં આવાં અનેક અર્ધસત્યોને-જૂઠાણાંને રોકવામાં અને કચરાટોપલી ભેગા કરવામાં કૉંગ્રેસની નિષ્ફળતા પણ ઓછી ખેદજનક-શરમજનક નથી. આપણને રવાડે ચડાવવા એ નેતાઓનો ધંધો છે, પણ રવાડે ચડવું કે નહીં, તે આપણી પુખ્તતાનો અને સમજનો સવાલ છે.

Tuesday, February 13, 2018

ન્યાયી સમાજ માટે ઝઝૂમનારાં અસ્મા જહાંગીર

(તંત્રીલેખ, દિવ્ય ભાસ્કર, 13-2-2018)
Asma Jahangir/ અસ્મા જહાંગીર


વિરોધાભાસો તો અનેક છે: છૂપી કે પ્રગટ સરમુખત્યારશાહી માટે જાણીતા પાકિસ્તાનમાં માનવ અધિકારની અણથક-અવિરત લડાઈ લડનાર કોઈ પાકે--અને એ પણ એક સ્ત્રી, એક એવી સ્ત્રી જે રૂઢિચુસ્ત-કટ્ટરપંથી તત્ત્વોની બોલબાલા ધરાવતા સમાજમાં માથું ઊંચું કરીને જીવે, લડે, વેઠે, છતાં હાર્યા-થાક્યા વિના લડત ચાલુ રાખે. વૈશ્વિક સ્તરે પાકિસ્તાનના ચોપડે બોલતા જૂજ હકારાત્મક ઉલ્લેખોમાં તેમનો સમાવેશ થતો હોય, છતાં પાકિસ્તાનમાં તેમની ગણતરી ‘પાકિસ્તાનવિરોધી’ તરીકે થાય, પાકિસ્તાનના ત્રીજા અને બીજા ક્રમનાં સર્વોચ્ચ નાગરિક સન્માન તેમને મળ્યાં હોય, છતાં તેમની કામગીરીથી અસુખ અનુભવના(રા પાકિસ્તાનીઓની સંખ્યા મોટી હોય, 14મી-15મી ઑગસ્ટે ભારતીય પત્રકાર કુલદીપ નાયર સાથે મળીને ભારત-પાકિસ્તાન સરહદે મીણબત્તી લઈને ઊભા રહેવામાં તે આગળ હોય અને સરકારી કે લશ્કરી કે સામાજિક અત્યાચારોનો ભોગ બનેલા માટે સડકો પર ઊતરવામાં પણ તે આગળ હોય... આવાં વ્યક્તિત્વો કોઈ પણ દેશ માટે દુર્લભ હોય છે--પાકિસ્તાન જેવા દેશ માટે તો વિશેષ. એટલે જ અસ્મા જહાંગીરનો મહિમા અને તેમના અવસાનનો ખાલીપો વિશેષ હોય.

66 વર્ષનાં અસ્મા જહાંગીરે હૃદયરોગના હુમલામાં વિદાય લીધી, તે પહેલાં પાકિસ્તાનના અને દુનિયાભરના કર્મશીલોને દર્શાવી આપ્યું કે વિપરીત પરિસ્થિતિમાં પણ કેવી રીતે કામ ચાલુ રખાય. ખૂનની ધમકીઓ તેમને છાશવારે મળતી, તેમની હત્યાનો એક પ્રયાસ તો અમેરિકાના એક અખબારે ખુલ્લો પાડ્યો હતો. ત્યાર પછી પણ અસ્મા સડકો પર ઊતરતાં અચકાતાં નહીં. રૂઢિચુસ્ત મૂલ્યો, સ્ત્રીવિરોધી કાયદા, સરકારી-લશ્કરી કાર્યવાહીમાં ‘ગુમ’ થઈ જતા પાકિસ્તાની નાગરિકો, બાળમજૂરી, ઈશનિંદા (બ્લાસ્ફેમી)ના કાયદાનો ભોગ બનેલા લોકો... આ બધા માટે અસ્મા જહાંગીરની લડાઈ ચાલુ રહી.

અભ્યાસે તો એ વકીલ હતાં. સમૃદ્ધ પરિવારમાં જન્મેલાં ને કૉન્વેન્ટ સ્કૂલમાં ભણેલાં. ધાર્યું હોત તો નિરાંતે વકીલાત કરીને એશોઆરામમાં જીવી શક્યાં હોત. પણ તેમણે પીડિતો-વંચિતો-અન્યાયનો ભોગ બનેલા લોકો માટે જીવવાનું નક્કી કર્યું. એ માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેવું પદ પણ સહજતાથી જતું કર્યું. અઢળક ભંડોળ મળી ગયા પછી સુંવાળા થઈ જતા સગવડીયા અને વહીવટીયા કર્મશીલો કરતાં અસ્મા ઘણાં જુદાં હતાં. સંઘર્ષ તેમના જીવનકાર્યમાં કેન્દ્રસ્થાને રહ્યો. તેમની ઑફિસ પણ પીડિતો માટેનું આશ્રયસ્થાન બની રહી.

તેમને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ હતો. ભ્રષ્ટાચારના બહાને લશ્કરી અફસરો ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી દે, તેનાં એ વિરોધી હતાં. એટલે જુદા જુદા પ્રસંગે તેમણે ચૂંટાયેલી સરકારોની બરતરફીની માગણી કરતા વિપક્ષોને સહકાર ન આપ્યો. તેમને લાગતું હતું કે એમ કરનારા ઇચ્છા-અનિચ્છાએ પાકિસ્તાની લશ્કરની કઠપૂતળી બની રહ્યા છે. કોઈ પાકિસ્તાની સ્ત્રી અમેરિકા-ઇંગ્લેન્ડમાં નહીં, પાકિસ્તાનમાં રહીને પાકિસ્તાની સત્તાસ્થાનોની છડેચોક ટીકા કરે, તે સ્વાભાવિક રીતે જ ભારતીયોને બહુ ભાવે એવી વાત હતી, પરંતુ અસ્મા જહાંગીરની માનવ અધિકારો સામેની અને માનવતા માટેની નિસબત વૈશ્વિક હતી. એટલે તે કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્વારા થતી કડક લશ્કરી કાર્યવાહીને કે પેલેટ ગનના ઉપયોગ જેવી બાબતોને પણ લાગુ પડતી. આવી કંઈક વાત કરે ત્યારે અસ્મા ઘણા ભારતીયો માટે ‘પાકિસ્તાની એજન્ટ’ બની જતાં હતાં અને બાકીના સમયમાં ઘણા પાકિસ્તાનીઓ તેમને ‘ભારતનાં (કે અમેરિકાનાં) એજન્ટ’ તરીકે ખપાવવાની કોશિશ કરતા. અસ્મા જહાંગીરનું જીવનકાર્ય અને તેમણે વેઠેલી કઠણાઈ ધ્યાનમાં લેતાં એ પણ વિચારવા જેવું છે કે પાકિસ્તાનને ધિક્કારતાં ધિક્કારતાં ભારત-ભારતીયો માનવ અધિકારોના મુદ્દે પાકિસ્તાન જેવા ન બની જાય.

Tuesday, February 06, 2018

વિચારહીનતા: વેદના અને ક્લોરોફૉર્મ

ભારત હવે સુપરપાવર બનું બનું કરી રહ્યું છે, એવું કેટલીક બાબતોમાં વિદેશી એજન્સીઓ કહે છે. ધંધો કરવાની સુવિધાની બાબતમાં ભારતે પ્રગતિ કરી છે, મોબાઈલ ફોન અને ઇન્ટરનેટધારકો ભારતમાં કેટલા બધા છે. સરકારી દાવા પ્રમાણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર નોંધ લેવાતી થઈ છે, બુલેટ ટ્રેન, રો રો ફેરી સર્વિસ અને સી પ્લેન સહિતનાં કેટકેટલાં વાહનવ્યવહારનાં સાધન ભારતવર્ષના દરવાજે દસ્તક દઈ રહ્યાં છે. નોટબંધી-જીએસટી નડ્યાં ન હોત તો ભારતનું અર્થતંત્ર સડસડાટ આગળ વધીને ક્યાંનું ક્યાં નીકળી ગયું હોત, ભ્રષ્ટાચારીઓ પર કડક તવાઈ આવી છે (અને તેના પુરાવા તરીકે અગાઉ ઘણો જેલવાસ ભોગવી ચૂકેલા લાલુપ્રસાદ યાદવનું ઉદાહરણ અપાય છે)...બસ, ‘ભારતમાતાકીઈઈઈઈ...’ ની ચિચિયારી સાથેનો બુલંદ જયઘોષ કરી દઈએ એટલે પાર આવે.

દેશને અંધકારયુગમાંથી અજવાસયુગમાં, કહો કે ‘બૂરે દિન’માંથી ‘અચ્છે દિન’માં લઈ આવવાનો જશ જેમને હોંશે હોંશે આપવામાં આવે છે, તે વડાપ્રધાનનો પણ જયજયકાર થઈ રહ્યો છે. એ કેટલો પેઇડ છે અને કેટલો વાસ્તવિક, કેટલો મુગ્ધ છે ને કેટલો પુખ્ત, એ બધી ચર્ચા અસ્થાને છે. વડાપ્રધાનમહિમા સત્ય છે, અાસપાસ દેખાતી વાસ્તવિકતા મિથ્યા છે અને જો તમે ‘સંશયાત્મા’ છો--ઉપર કરાયેલા દાવા માનતા નથી, તો તમારી ખેર નથી: તમે રિલીઝ થવા મથતી એક ફિલ્મ છો ને સામે છે આંખ મીંચીને હિંસા અાચરતી જાતજાતની સેનાઓ; તમે નહીં મળેલું એક ડિગ્રી પ્રમાણપત્ર છો કે પછી એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની સળગી ગયેલી ઑફિસ અને સામે છે ભડભડતો આક્રોશ, જેને ટાઢો પાડવાની કુનેહ કે કાબેલિયત કે દાનત ગેરહાજર જણાય છે.

ટૂંકમાં, તમે સંશયાત્મા છો તો તમારી ખેર નથી. કારણ કે તમે એવા ‘રાષ્ટ્રવિરોધી’ છો જેને ફક્ત ‘નકારાત્મક’ જ દેખાય છે. પોઝિટિવ થિંકિંગનાં પડીકાં નાસ્તાનાં સાદાં પડીકાં કરતાં અનેક ગણાં વધારે મોટાં અને ઘણી વધારે હવા ધરાવતાં હોય છે. રાષ્ટ્રવાદનું પડીકું ખરીદો એટલે સાથે મિથ્યાભિમાનની અઢળક અને નકરી હવા મફત... મફત... મફત.

‘બિચારા નરેન્દ્ર મોદીનો શો વાંક? આગળથી કૉંગ્રેસે એટલું બગાડી મૂક્યું છે કે તેમને સમારકામ કરતાં-સુધારતાં વાર તો લાગે ને’ એવું વડાપ્રધાન તરીકે અતૂટ નિષ્ઠા, અખૂટ આશા અને અછૂટ (ગમે તેવી વાસ્તવિકતા જોયાજાણ્યા પછી પણ ન છૂટે એવી) મુગ્ધતા ધરાવતા લોકો સમજાવે છે. વિચિત્ર જોગાનુજોગ એ છે કે કૉંગ્રેસના કામની સૌથી વધારે ટીકા અને તેના કામની સૌથી વધારે ‘પ્રશંસા’ પણ વર્તમાન એનડીએ સરકારે કરી છે. ટીકા તો ખેર, બહુ જાણીતી છે, પણ પ્રશંસા કઈ? એક કહેણી પ્રમાણે, અનુકરણ એ પ્રશંસાનું સૌથી સીધું ને ચોખ્ખું રૂપ છે--અને આ સરકારના ચોપડે એવી અનેક ચીજો નોંધાયેલી છે, જે તેણે યુપીએ સરકાર પાસેથી મેળવી હોય, તેની પર રહેલું પાટિયું બદલી નાખ્યું હોય અને તેને પોતાના નામે-પોતાની સિદ્ધિ તરીકે ચલાવવાનું શરૂ કર્યું હોય. (બે નમૂના: આધાર કાર્ડ, મહાત્મા ગાંધી રોજગાર યોજના)

વર્તમાન સરકારે ‘યૂ ટર્ન’ લેવાની--એટલે કે પોતાના અગાઉ જાહેર કરેલા વલણથી ફરી જઈને સાવ સામા છેડે બેસવાની--પ્રવૃત્તિનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું છે. અગાઉની સરકાર વખતે આજના શાસકો જે મુદ્દાઓની ઉગ્રતાથી ટીકા કરતા હતા, એવા ઘણા મુદ્દા વર્તમાન સરકારની પૉલિસી બની ગયા છે. એક સાદો નમૂનો છે: બળતણના ભાવ. પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિશે વર્તમાન શાસકોનાં ભૂતકાળનાં નિવેદન યૂ ટ્યૂબ પર કૉમેડીની આખી ચેનલ ચાલુ કરી શકે, એવાં મજબૂત હોય છે. સરકાર તો ખેર, સરકાર છે. પણ નાગરિકો આવી હકીકતોને નજરઅંદાજ કરે અને ઉપરથી તેને યોગ્ય ઠરાવવા બેસે ત્યારે હસવું કે રડવું એ સમજાતું નથી.

શાસકો અને તેમના સમર્થકો ઇચ્છે છે કે આપણે હકારાત્મક રહીએ --ભલે તે કડવી, વ્યક્તિગત અને ઘણીબધી વાર તો સદંતર જૂઠી ટીકાઓ કરીને આટલે સુધી પહોંચ્યા હોય. એ ઇચ્છે છે કે આપણે સરકારની કામગીરી વિશે સદા ‘કીક’ અનુભવતા રહીએ. ‘કીક’ કહેતાં ચોક્કસ પીણાં કે દ્રવ્યોના સેવન પછીની ‘ઉચ્ચ અવસ્થા’ બધાને ન પરવડે. એટલે આમજનતા માટે, વિશાળ જનસમુદાય માટે તો બેહોશ કરનારું-વિચારશક્તિ હરી લેનારું ક્લોરોફૉર્મ જોઈએ. એ ક્લોરોફૉર્મનાં અનેક સ્વરૂપ છે: તથાકથિત રાષ્ટ્રવાદના નામે કોમવાદનું ઝેર, જ્ઞાતિ-જાતિના ભેદભાવોને પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન-પ્રોત્સાહન અથવા તેના પ્રત્યે આંખ આડા કાન, ટોળાનાં ન્યાયને લોકશાહી તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ, તેને મૂક કે બોલકું પ્રોત્સાહન, કાયદાના શાસનનું અવમૂલ્યન... અને આ બધું કર્યા પછી ગાંધી-સરદાર-આંબેડકર જેવાં નામોના જોરે ચરી ખાવાની બેશરમ તત્પરતા.

ક્લોરોફૉર્મની અસર હેઠળ જ આપણે ગૌરવ લઈ શકીએ કે આપણા દેશમાં સેન્સર બોર્ડે મંજૂરી આપેલી અને સર્વોચ્ચ અદાલતે જેનો માર્ગ મોકળો કરી આપ્યો હતો એવી એક ફિલ્મનો તદ્દન જોરજુલમીથી અટકાવવામાં આવે છે, રાજ્ય સરકારો તેમાં તોફાની તત્ત્વોની લાગણી જાળવવાના બહાને તેમને તાબે થઈ જાય છે, વિપક્ષો પણ મોઢામાં મગ ભરીને બેસી જાય છે. પણ મતના રાજકારણની વાત આવે ત્યારે આ જ લોકો એકબીજા સામે આંગળીઓ ચીંધીને આપણને, નાગરિકોને મૂરખ બનાવે છે. અગત્યનું એ છે કે આપણે રાજકીય નેતાઓએ ધરેલી નિસરણીઓ પર ચડી જઈને હોંશે હોંશે મૂરખ બનીએ છીએ અને હિંસક પણ બની શકીએ છીએ. એ વખતે આપણા મનના અરીસામાં તો આપણી છબી મહાન રાષ્ટ્રપ્રેમી, સંસ્કૃતિરક્ષક કે સમાજની (વાંચો: જ્ઞાતિ સમુદાયની) આબરૂના ધ્વજધારી તરીકેની જ ક્યાં નથી હોતી?

એક તરફ જ્ઞાતિવાદ-કોમવાદ અને કથિત ગોરક્ષા જેવા મુદ્દે રાજનેતાઓના મૂક કે બોલકા આશીર્વાદ ધરાવતી હિંસા વકરી રહી છે, ત્યારે જાહેર જીવનમાંથી પ્રતિકારનું શાસ્ત્ર જાણે સાવ લુપ્ત થયું છે. સરકાર પાસે પ્રતિકારના નામે પોલીસબળ અને રાજકીય સ્વાર્થ હેતુ કરાતા આંખ આડા કાન--આ બે વાનાં જ રહ્યાં છે. લોક સાથે, સમાજ સાથે સંવાદ સાધીને, સમસ્યાઓનો કુનેહપૂર્વક ઉકેલ કાઢી આપતી નેતાગીરી શોધી જડતી નથી. લોકપ્રિયતામાં બાણું લાખ માળવાના ધણી લેખાનારા ‘પદ્માવત’ જેવા ઘણા મુદ્દે હિંસાનો માહોલ સર્જાતો અને ફેલાતો અટકાવી શક્યા નથી. સરકારની આ સ્થિતિની સામે, રાજકીય-બિનરાજકીય વિરોધનાં પણ ઠેકાણાં નથી. તે દિશાવિહીન શક્તિપ્રદર્શનોમાં અને લાખોનાં ટોળાં ભેગાં કરીને વડાપ્રધાનની ઝાટકણી કાઢ્યાનો સંતોષ લઈને છૂટાં પડી જાય છે. તેમની પાસે પણ ભવિષ્યનું દર્શન કે આયોજન નથી. ઓવરહેડ ટાંકીમાં કચરો હોય તો આપણા નળમાં શી અપેક્ષા રાખીએ?