Showing posts with label kedarnath. Show all posts
Showing posts with label kedarnath. Show all posts

Thursday, July 11, 2013

કેદારનાથમાં કુદરતની સાથોસાથ બેદરકારી, ગાફેલિયત અને લોભનું તાંડવ


કેદારનાથ/Kedarnathની દુર્ઘટનામાં થયેલાં હજારો મોતની કરૂણતા ભૂલાઇ જાય, લાગણીનો ઉભરો શમી જાય અને બઘું રાબેતા મુજબ થઇ જાય, એ પહેલાં કેટલીક હકીકતો અને તેના બોધપાઠ અંકે કરવા જેવા છે. નુકસાનમાં નફાની આશ્વાસનકારી દૃષ્ટિએ વિચારીએ તો, હજારોનાં સ્વજન છીનવી લઇને ક્રૂર આંચકો આપનારી આ દુર્ઘટનાએ હિમાલયના છીનવાઇ રહેલા પ્રાકૃતિક સંતુલન વિશે લોકોનું ઘ્યાન દોર્યું છે. નરી આંખે જોઇ શકાય એવી ઉત્તરાખંડની અવદશા છતી કરવા માટે મોટી દુર્ઘટનાની જરૂર પડે એ શરમજનક સચ્ચાઇ છે. પરંતુ તેમાંથી પણ કશો બોધપાઠ લેવામાં ન આવે તો એ ગુનાઇત સ્વાર્થઅંધતા ગણાય.
ઉત્તરાખંડના પહાડી ઇલાકામાં પ્રવાસન મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે. રાજ્યમાં પ્રવાસીઓ જેટલા વધારે એટલા સ્થાનિક લોકો પણ રાજી ને શાસકો પણ ખુશ. એમાં પ્રવાસીઓની સંખ્યા પર અંકુશ રાખવા જેવો ‘ખોટનો ધંધો’ કોણ વિચારે? ઉલટું, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના અને પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવાના શક્ય એટલા વઘુ પ્રયાસ થાય. પ્રવાસીઓ માટે સૌથી પાયાની જરૂરિયાત ઉતારાની. વર્ષ ૨૦૦૬ના એક અભ્યાસ પ્રમાણે, એ વર્ષે ઉત્તરાખંડમાં આવતા દર ૧૦ લાખ પ્રવાસીઓ દીઠ હોટેલ-ગેસ્ટ હાઉસની સંખ્યા માંડ ૧૦૨.૫ હતી અને ફક્ત ૩૩૭ પથારીઓ ઉપલબ્ધ હતી.

આ સ્થિતિમાં સૌથી પહેલો વિચાર પ્રવાસીઓની સુવિધા - અને પોતાની કમાણી- ખાતર નવાં બાંધકામ ઊભાં કરવાનો આવે. હોટેલ-ગેસ્ટહાઉસ-ભાડાનાં ઘર...આમાંથી ઘણુંબઘું કાયદેસર ન પણ હોય. જમીનો પચાવીને ગેરકાયદે બાંધકામ કરવામાં સરેરાશ ભારતીયો વિશેષ પ્રતિભાશાળી હોય છે- પછી તે ગામડું હોય કે શહેર. કમાઇ લેવાના આશયને કારણે સલામતી કે નિયમોનો વિચાર કર્યા વિના, જ્યાં તક અને જગ્યા મળે ત્યાં મકાનો તાણી બાંધવામાં આવે. છતાં ઉતારા ઓછા જ પડે.

ધંધાનો આવો ધીકતો મોકો હોય ત્યારે પર્યાવરણ તો ઠીક, સામાન્ય સુરક્ષાના કે પોતાની લાંબા ગાળાની સલામતીના વિચાર પણ ક્યાંથી આવે? જાતે તો ઠીક, સરકારી હુકમનામા પછી પણ લોકો સમજતા નથી અને સરકાર તેનો નિષ્ઠાપૂર્વક-કડકાઇથી અમલ કરાવી શકતી નથી. બાકી, ઉત્તરાખંડની સરકારે સત્તાવાર રીતે ઠરાવેલું છે કે નદીના પટના ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઇ પણ જાતનું બાંધકામ થઇ શકે નહીં. હિમાલયના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે નદીઓમાં ભારે પૂરની નવાઇ નથી. નદીના તટથી સલામત અંતર રાખવામાં પર્યાવરણ કરતાં પણ પહેલો મુદ્દો જાનના જોખમનો આવે છે. પરંતુ ચોમાસા સિવાયની મોસમમાં એ જમીન આકર્ષક રીતે ખાલી લાગતી હોવાથી, ત્યાં પણ બિનધાસ્ત મકાનો ઊભાં કરી દેવામાં આવે છે. તેની સામે રાજ્ય સરકારના આંખ આડા કાન પછી, ઉત્તરાખંડની વડી અદાલતે કડકાઇ દાખવી હતી. આ વર્ષના આરંભે અદાલતે નદીકાંઠે ૨૦૦ મીટરની હદમાં બંધાયેલાં તમામ ગેરકાયદે બાંધકામ તોડી નાખવાનો આદેશ આપ્યો. પરંતુ કોઇ પણ પ્રકારની જમીનને કેવળ રીઅલ એસ્ટેટ તરીકે જોવા ટેવાયેલા લોકો હાઇકોર્ટનો ચુકાદો ઘોળીને પી ગયા અને સરકારે કદી તેના અમલમાં ઉત્સાહ દેખાડ્યો નહીં. એમાંનાં ઘણાં મકાનનો કેદારનાથના પુરમાં વારો ચડી ગયો. પુર ભલે કુદરતી હોય પણ તેમાં થયેલા ભારે નુકસાનમાં માણસોનો  ફાળો મોટો હતો.

દુર્ઘટના થકી થતી તબાહીને વધારે ગંભીર બનાવતો બીજો મોટો મુદ્દો છે : નદીના પટમાં થતું ખોદાણ અને ખાણકામ. સામાન્ય માન્યતા એવી હોય કે પહાડી વિસ્તારોમાં ડાયનેમાઇટથી ધડાકા કરીને ખનીજ શોધવાની પ્રવૃત્તિથી પહાડી ભૂસ્તરોને ખલેલ પહોંચે છે અને તે અસ્થિર બને છે. આ તો ખરૂં જ, પણ પ્રવાસનને કારણે રીઅલ એસ્ટેટમાં તેજી આવે એટલે બાંધકામ માટે સામગ્રીની જરૂર પડે. એટલે રેતી અને પથ્થરો જેવી માટે કોન્ટ્રાક્ટરો કાયદેસર કે સ્થાનિક સત્તાધીશોને સાધીને નદીના પટ ખોદી કાઢે છે.(હિમાલયની નદીઓમાં કાંપની સાથોસાથ નાનામોટા કદના પથ્થરોનો કાટમાળ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.)  જમીનનું ધોવાણ અટકાવવામાં અગત્યની ભૂમિકા ધરાવતાં જંગલોની પણ સરકારને પરવા નથી. ખનીજના ખાણકામ માટે જંગલો લીઝ પર આપી દેવામાં આવે છે. ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં ટાંકેલા આંકડા પ્રમાણે, ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું, તેના પહેલા દાયકામાં (૨૦૦૦-૨૦૧૦) રાજ્ય સરકારે જંગલ વિસ્તાર ગણાયેલી આશરે ૩૯૦૦ હેક્ટર જમીન ખાણકામ માટે ફાળવી દીધી હતી.

સ્વામી નિગમાનંદ જેવા સન્યાસી નદીઓના પટમાં આડેધડ સરકારી ખાણકામનો વિરોધ કરતા રહ્યા અને તેના વિરોધમાં ઉપવાસ કરીને મોતને ભેટ્યા. પરંતુ સરકારો પર તેની કશી અસર પડી નહીં. ઉલટું, સરકારે પહાડી ઇલાકાની મપાયા વગરની જમીન જંગલવિભાગ પાસેથી લઇને મહેસૂલવિભાગને હસ્તક કરી દીધી, જેથી એ ગેરકાયદે ખાણકામ અટકાવી શકે અને કાયદેસર રીતે ખાણકામ માટે જમીનોની હરાજી કરીને રાજ્ય માટે તગડી રકમ ઉપજાવી શકે.

ભારતમાં સામાન્ય રીતે બને છે તેમ, ઉત્તરાખંડનાં કુદરતી સંસાધનનો આડેધડ ઉપયોગ અટકાવવામાં કોંગ્રેસ અને ભાજપ એકસરખાં નકામાં પુરવાર થયાં છે. વિકાસની લ્હાયમાં ઘણી વાર તે રાજ્યની ભૂગોળને અને તેના તકાદાને વિસારે પાડી દેતાં હોય એવી છાપ ઉભી થાય છે. ‘ડાઉન ટુ અર્થ’નાં તંત્રી અને જાણીતાં પર્યાવરણવિદ્‌ સુનીતા નારાયણે એક લેખમાં નોંઘ્યું છે કે (નદીઓના ધસમસતા પ્રવાહની સંપત્તિ ધરાવતા) ઉત્તરાખંડમાં હાઇડ્રોઇલેક્ટ્રિક-જળવિદ્યુત પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે, એ મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે, પરંતુ ‘અત્યારે ગંગા નદી પર બની ચૂકેલા અને સૂચિત પ્રોજેક્ટનો કુલ આંકડો ૭૦ની આસપાસ છે.’ મર્યાદિત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં પ્રોજેક્ટ માટે તેમણે વાપરેલો શબ્દપ્રયોગ છેઃ બમ્પર ટુ બમ્પર. અડોઅડ.
ઉત્તરાખંડમાં બિલાડીના ટોપની જેમ ઉભા થયેલા-થઇ રહેલા જળવિદ્યુતના પ્રોજેક્ટ
(wildlife institute of India/ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા)


બંધ બની જાય એટલે નદીઓમાં વહેતો પાણીનો પ્રવાહ સરોવરમાં સંઘરાય અને ચોમાસા સિવાય નદીઓના પટ કોરા બને. એટલે તેમાં બેફામ ખોદકામની ભીતિ રહે છે. એ ઉપરાંત, ભારતમાં હવે થતાં બાંધકામમાં સૌથી મોટો પ્રશ્ન ગુણવત્તાનો છે. બ્રિટિશ રાજમાં બંધાયેલો નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ અડીખમ રહીને એક સદી પૂરી કરી શકે છે, પરંતુ સ્વ-રાજમાં અને ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઇ જેવાં મહાનગરોમાં કરોડોના ખર્ચે બંધાયેલા ફ્‌લાય ઓવર કે રસ્તામાં ગમે ત્યારે તિરાડો ને ગાબડાં પડે છે. ઉત્તરાખંડ જેવા ભૌગોલિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં પણ સરકારો કશી વિશેષ સાવચેતી રાખતી હોય એવું હજુ સુધી લાગ્યું નથી.

કેદારનાથની દુર્ઘટનાનો સૌથી મોટો બોધપાઠ એ છે કે માણસે હિમાલય જેવી પ્રાકૃતિક જગ્યાએ સલામત રહેવું હોય તો પ્રકૃતિની અદબ જાળવતાં શીખવું પડશે. ખાસ કરીને રાજ્ય સરકારોએ ટૂંકા ગાળાના ફાયદાની સંકુચિત દૃષ્ટિથી વિચારવાને બદલે, આખા વિસ્તારના ઇતિહાસ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં વિચારતાં શીખવું પડશે. હિમાલય જેવા જણસરૂપ પ્રદેશને જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અલાયદી ‘હિમાલયન પોલિસી’ તૈયાર કરે અને તેને અમલમાં મૂકે, એવી માગણી લાંબા સમયથી થઇ રહી છે. આવી માગણી કરનારાને પર્યાવરણપ્રેમી કે પર્યાવરણવાદી તરીકે ખતવી કાઢવાને બદલે, તેમની માગણીઓમાં રહેલાં વાજબી અને વૈજ્ઞાનિક તથ્યો ઘ્યાન પર લેવાં જોઇએ અને એ પ્રમાણે નીતિ ઘડીને અમલમાં મૂકવી જોઇએ. આ દિશામાં સૌથી પહેલા પગલા તરીકે ગેરકાયદે ખાણકામ-ખોદકામ તત્કાળ બંધ થવાં જોઇએ અને કાયદેસર અપાયેલી લીઝમાં નફા-નુકસાનની ગણતરી કેવળ રૂપિયાપૈસામાં કરવાને બદલે, પર્યાવરણને થતું નુકસાન પણ લેખામાં લેવું જોઇએ.

ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરી આપવાના ધંધા મેદાની ઇલાકામાં ઠીક છે, પણ હિમાલયમાં એ કામ લાગતા નથી. કુદરત પોતાની ‘ઇમ્પેક્ટ ફી’ બહુ ક્રૂર રીતે વસૂલી શકે છે. કેદારનાથ દુર્ઘટનાનો એ પણ એક બોધપાઠ છે. 

Monday, July 01, 2013

કેદારનાથ દુર્ઘટના(1) : કુદરતી કોપને વકરાવતો માનવીનો ‘વિકાસ’

બે વર્ષ પહેલાંની વાત છે. ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના નામે અન્ના હજારે અને બાબા રામદેવ દેશભરમાં છવાયેલા હતા. નવ દિવસમા ઉપવાસમાં બીમાર પડી ગયેલા રામદેવને દેહરાદુનની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. એ જ હોસ્પિટલમાં ૩૪ વર્ષના સ્વામી નિગમાનંદે પાંચેક મહિનાના ઉપવાસ પછી ૧૩ જુન, ૨૦૧૧ના રોજ દેહ છોડ્યો. પ્રસાર માઘ્યમોમાં તેમની છૂટીછવાઇ નોંધ આવી, પણ બાબા-અન્ના જુગલબંધીના ટીઆરપી-ફ્રેન્ડલી સમાચારો સામે સ્વામી નિગમાનંદના સમાચાર ખૂણામાં ધકેલાઇ ગયા.
swami nigamanand/ સ્વામી નિગમાનંદ
પાંચેક હજારથી પણ વઘુ માણસોનો ભોગ લેનાર કેદારનાથ દુર્ઘટના પછી સ્વામી નિગમાનંદ યાદ આવવાનું કારણ? આમ તો કારણ યાદ કરાવવું પડે એ પણ કરૂણતા છે. કારણ કે સ્વામી નિગમાનંદ ગંગાના પટમાં થતા બેફામ ખોદકામ અને ખાણકામ સામે ઝઝૂમતા હતા. તેમને અને તેમના સાથીદારોને ચિંતા હતી કે આ રીતે ગંગા નદી અને તેની આસપાસના પર્યાવરણનો ખુરદો બોલી જશે. ‘ગંગા બચાવો’ અભિયાન હેઠળ અગાઉ પણ ઘણી વાર સ્વામી નિગમાનંદ ઉપવાસ કરી ચૂક્યા હતા. પરંતુ કુંભમેળા જેવા પ્રસંગે ધાર્મિક લાગણી સાચવી લેવા પૂરતું ખોદકામ-ખાણકામ મોકૂફ રહેતું હતું અને પ્રસંગ પૂરો થયા પછી ફરી શરૂ. તેમાં ન કોઇ ધારાધોરણ હતાં, ન કોઇ મર્યાદા. આખા વિસ્તારના પર્યાવરણ અને તેમાં રહેતા લોકોની સલામતી સાથે સીધો સંબંધ ધરાવતો આ મુદ્દો સરકારને મન ફક્ત ‘ધાર્મિક લાગણી’નો હતો. લોકોની સલામતી સાથેના તેના સંબંધનો પ્રત્યક્ષ પુરાવો કેદારનાથની દુર્ઘટનાથી મળી ગયો.

કેદારનાથમાં સમસ્યાની શરૂઆત વાદળ ફાટવાથી- એક સાથે  ભારે વરસાદ તૂટી પડવાથી- થઇ. આ ઘટના સદંતર કુદરતી હતી. તેના માટે કોઇ માનવીય દખલને દોષ આપી શકાય નહીં. હિમાલય જેવા પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડે ત્યારે શું થાય? એક તો, પોચી પડી ગયેલી જમીન અને તેની પર રહેલા મોટા પથ્થર કે ભેખડો ધસી પડે. પથ્થર-ભેખડોનું કદ આખેઆખા મકાન જેટલું હોઇ શકે અને તે ઢોળાવ પરથી ગબડે ત્યારે તેની અસર કેવી થાય એ કલ્પી શકાય છે.

બીજું, હિમાલય જેવા પ્રદેશમાં અનેક હિમનદીઓ હોય. બરફ ઓગળતાં તેમાંથી વહી નીકળતું પાણી જુદી જુદી ધારાઓ-ઉપનદીના રૂપમાં નદીઓને મળે. વરસાદને કારણે કે એ સિવાય પણ ભૂસ્ખલન થાય- જમીન ધસી પડે અને તેનો પથ્થર-ભેખડો-માટી સહિતનો કાટમાળ એકાદ ઉપનદીમાં ઠલવાય. તેના લીધે નદી અને ઉપનદી વચ્ચે પથ્થરો-ભેખડોની એક એવી દિવાલ રચાઇ જાય કે જેને કારણે નદીનું વહેણ ત્યાં
અટકી પડે. (જુઓ આકૃતિ) જાણે નદીના પ્રવાહ પર બંધાયેલો કુદરતી બંધ.

 તળાવનું આકસ્મિક સર્જન અને વિસર્જન
(સૌજન્યઃ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ)
સામાન્ય સંજોગોમાં આ બંધની પાછળના તળાવમાં નદીનું પાણી સંઘરાયેલું હોય, પરંતુ ભારે વરસાદ પડે ત્યારે ‘કુદરતી બંધ’ના અસ્તિત્વ સામે ખતરો ઉભો થાય. ભૂસ્ખલનને કારણે નદીના પાણી આડે રચાયેલો એ કુદરતી બંધ તૂટે, એટલે તેની પાછળ કેદ થયેલું પાણી ધસમસતા વેગે છૂટે અને નદીમાં ભારે પૂર આવે. તેના પરિણામે નદીના પટની આસપાસ આવતાં ગામમાં પાણી ફરી વળે.

અન્ય શક્યતા એવી રહે કે પહાડી પ્રદેશમાં રચાયેલા તળાવમાં ભૂસ્ખલનને કારણે એટલા મોટા પ્રમાણમાં કાટમાળ ઠલવાય કે તળાવનું સ્તર ઊંચું ને ઊંચું જાય અને એક તબક્કે તેનું પાણી મર્યાદા તોડીને બહાર નીકળી જાય. આને ‘તળાવ ફાટ્યું’ એવું કહેવાય. આ પણ કુદરતી ઘટના છે. તેને અટકાવવા માટે માણસ કશું કરી શકે નહીં, પરંતુ તળાવ ફાટ્યા પછી શું કરવું એમાં માણસની ભૂમિકા અને તેની દાનતનો સવાલ આવે છે.

Kedarnath/ કેદારનાથ, ઇ.સ.૧૮૮૨ : માનવવસ્તીથી દૂર, હિમાલયના ખોળે
ઉપરની બન્ને તસવીરો (જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)
ગાંધીવાદી લેખક-પર્યાવરણના અભ્યાસી અને જળસંચયની કામગીરીમાં ઊંડા ઉતરેલા અનુપમ મિશ્રે ૧૯૭૭માં તેમની ચમોલી વિસ્તારની યાત્રાનું એક વર્ણન લખ્યું હતું. તેમાં એમણે ૧૯૭૦માં થયેલી એક દુર્ઘટનાની વાત કરી હતી. એ વર્ષે આશરે આઠેક મીટર લાંબું,  દોઢેક કિલોમીટર પહોળું અને ત્રણસો ફૂટ ઊંડું ગૌના તાલ (તળાવ) ફાટ્યું હતું. વરસાદ અને ભૂસ્ખલનને કારણે આખી રાત વૃક્ષો, પથ્થરો અને ભેખડો સહિતનો કુદરતી કાટમાળ ગૌના તાલમાં ઠલવાતો રહ્યો. એક મોટી શીલાથી તળાવને કુદરતી તાળું વાગેલું હતું, પણ જળસપાટીની સાથે વધેલા દબાણે શીલાને ઉખેડી નાખી અને તળાવનું સઘળું પાણી બહાર વહી ગયું. આજે ત્યાં કેવળ ખાઇ છે અને તળાવમાં ઠલવાયેલો કાટમાળ. અનુપમ મિશ્રાએ નોંઘ્યું છે કે કાટમાળ તળાવના મોટા વિસ્તારમાં સમાઇ જવાને બદલે બહાર પડ્યો હોત તો જાનહાનિના આંકડા બહુ જુદા (ભારે) હોત.

ઇ.સ.૧૮૯૩માં ગૌના તાલની જગ્યાએ ફક્ત ખાઇ હતી.  જમીન ધસી પડવાની એક ઘટના વખતે મોટી શીલા આવીને ખાઇના સાંકડા ‘મોઢા’ આગળ ગોઠવાઇ ગઇ.  ખાઇમાં કેટલીક નદીઓનું પાણી ભરાયું, એટલે ગૌના તાલ રચાયું. અંગ્રેજ શાસકોએ આ તળાવને કારણે ઊભા થયેલા જોખમને ઘ્યાનમાં રાખીને, નજીકના ગામમાં એક તાર કચેરી - ટેલીગ્રામ ઓફિસ સ્થાપી. ત્યાંથી તળાવના સ્તર પર દેખરેખ રાખવામાં આવતી હતી. ૧૮૯૪માં તળાવનું સ્તર ભયજનક રીતે વધતાં તાર કચેરીમાંથી વહીવટી તંત્રને ટેલીગ્રામ દ્વારા આગોતરી ચેતવણી મોકલવામાં આવી. તેને કારણે નદીકાંઠાનાં ગામને વેળાસર જાણ થઇ અને મોટી જાનહાનિ ટળી ગઇ.

અનુપમ મિશ્રે નોંઘ્યું છે કે ‘ઇ.સ.૧૮૭૪માં ગૌના તળાવ ફાટવાનું છે એવી ચેતવણીનો તાર મળ્યો હતો, પણ ૧૯૭૦માં તો (આવી કોઇ ચેતવણી સિવાય) સીધા તળાવ ફાટવાના સમાચાર જ મળ્યા.’ અહીં વહીવટી તંત્રની કુશળતા અને દાનતનો પ્રશ્ન આવે છે.

આ બન્ને બાબતો ૧૯૭૦થી ૨૦૧૩ સુધીમાં, ટેલીગ્રામ યુગથી કમ્પ્યુટરયુગ સુધી પહોંચતાં, સુધરવાને બદલે વણસી છે. વર્ષ ૨૦૦૦માં ઉત્તરાખંડનું અલગ રાજ્ય અસ્તિત્ત્વમાં આવતાં, આવક અને વિકાસની લ્હાયમાં ત્યાંની સરકારોએ પર્યાવરણનો ઠંડા કલેજે દાટ વળવા દીધો છે. પર્યાવરણના મુદ્દે અંતિમવાદી વલણ લેવાની કે કોઇ પણ નવાં મકાન-રસ્તા-પુલ-ઉદ્યોગ-વીજમથકનો આંખ મીંચીને વિરોધ કરવાની વાત નથી. તેનો મતલબ એવો કે પર્યાવરણની ચિંતાને કેવળ ‘એનજીઓ પ્રવૃત્તિ’ ગણીને તેની ઉપેક્ષા કરવી? ખાસ કરીને હિમાલય જેવા ભૂસ્તરીય રીતે સંવેદનશીલ પ્રદેશમાં? પૃથ્વીના બીજા પર્વતોની સરખામણીમાં સાત  કરોડથી અઢી કરોડ વર્ષ પહેલાંના ગાળામાં અસ્તિત્ત્વમાં આવેલો હિમાલય ભૂસ્તરશાસ્ત્રના હિસાબે હજુ ‘જુવાન અને અસ્થિર’ ગણાય છે. તેમાં સતત ઉથલપાથલો ચાલતી રહે છે, જે ભૂકંપના આંચકા અને ભૂસ્ખલનો સ્વરૂપે જોવા મળે છે.

આવા વિસ્તારમાં બાંધકામ અને વિકાસને લગતા માપદંડ  મેદાની પ્રદેશ કરતાં વધારે આકરા ન હોવા જોઇએ? હિમાલયમાં આવેલાં તીર્થસ્થાનો અને ત્યાં સુધી બનેલી સડકો પછી થયેલા યાત્રાળુઓના પ્રચંડ ધસારાને કારણે પરિસ્થિતિ વધારે નાજુક બને છે. છતાં, વહીવટી તંત્રની  અને આયોજકોની સ્વાર્થપ્રેરિત કે ગાફેલિયતમાંથી જન્મેલી બેકાળજીને લીધે આ પ્રદેશોમાં કરૂણ અકસ્માત બનતા રહે છે.

(સરકાર શું કરી શકે? અને વિવિધ પક્ષની સરકારોએ શું કર્યું નથી? તેની વાત આવતા સપ્તાહે)


જાતરાધામ બન્યું આવકધામ
યાત્રાળુઓના ધસારા અને યાત્રાધામોના વ્યાવસાયીકરણનો મુદ્દો છેલ્લાં થોડાં વર્ષોમાં અત્યંત ગંભીર બન્યો છે, પરંતુ તેની શરૂઆત ક્યારની થઇ ચૂકી હતી. આઝાદી પહેલાંના સમયમાં હિમાલયનાં તીર્થસ્થાનો ખૂંદી વળેલા સ્વામી આનંદે તેમના પુસ્તક ‘બરફ રસ્તે બદરીનાથ’માં લખ્યું છે, ‘આ પ્રદેશમાં દારૂનાં પીઠાં ક્યાંએ નહોતાં. વીસ વરસ અગાઉ ટિહરીના રાજાએ આવકની બળતરાએ દર આઠ-દશ માઇલે જાત્રાના રસ્તાઓ ઉપર પણ નાંખ્યાં. આને ‘ભઠ્ઠી’ઓ કહે છે. કારણ રાજ્ય પાસેથી ઇજારો રાખનાર ત્યાં જ ભઠ્ઠી નાંખી દારૂ ગાળે છે ને વેચે છે. કહે છે કે રાજા આ ઇજારાઓમાંથી વરસે ૭-૮ લાખ રૂ.ની આવક કરતો. આ દારૂભઠ્ઠીઓનાં ઝૂંપડાં જાત્રા રસ્તે બબ્બે ચચ્ચાર માઇલ પર આવતી ચા-દૂધની પહાડી હોટલો જેમ જ ઘાસફૂસનાં બનેલાં હોય છે. તેથી અજાણ્યો મુસાફર કે જાત્રાળુ છેતરાઇને તેમાં પેસવા જાાય છે. પણ તરત જ તેને પાછા ફરવું પડે છે. ’