Showing posts with label bomb-blast. Show all posts
Showing posts with label bomb-blast. Show all posts

Monday, March 07, 2011

લોકશાહીની સમસ્યાઓ અને સ્વામી આનંદનું નિદાન

swami anand

‘...આમપ્રજા રિદ્ધિસિદ્ધિની છાકમછોળથી જેટલી ને તેટલી છેટી રહી છે. બલ્કે તેની હાલાકી બેસુમાર વધી પડી છે. લાંચરુશ્વત..વગર આજે ડગલું દઇ શકાતું નથી. લાખ કરોડ અબજોની જ ભાષામાં બોલવા લખવા ટેવાઇ ગએલા રાજદ્વારીઓએ અમલદાર વર્ગને, ઉદ્યોગપતિઓને, કંત્રાટી વેપારી તમામને, લાખ કરોડની ભાષામાં જ બોલતા કરી મૂક્યા. હજાર પાંચસે પંદરસે ટકા નફાના મારજીન વગર ઉદ્યોગવાળા આજે વાત કરતા નથી...નીતિ ધર્મ, સંયમ, નિયમ વફાદારીનાં તળિયાં જ ટૂટી પડ્યાં અને તેના તરફદાર બાઘા વેવલા ગણાવા લાગ્યા. દગાફટકાની લાજશરમ કોઇને જ રહી નહિ...આ આયોજનોમાં ખેતી અન્ન ઉત્પાદનની કે પ્રજાનાં ઉછરતાં બાળકોને નવટાંક દૂધ મળે એવી યોજનાઓને પ્રાયોરીટી આપવી કે લોખંડ, સીમેન્ટ, રેડિયો, પ્લાસ્ટિક, પીપરમીન્ટને એટલું પણ તારતમ્ય નથી...’

ઉપરનું લખાણ થોડા સુધારા, બલ્કે બગાડા સાથે, ૨૦૧૧માં પણ યથાતથ લાગુ પડી જાય, તે કરુણ વાસ્તવિકતા છે. પરંતુ અસલમાં એ સ્વામી આનંદના ૧૯૬૫ના ઉદ્‌ગાર છે. પહેલાં લોકમાન્ય ટિળક અને પછી ગાંધીજીના નિકટના સહયોગી બનેલા સ્વામીએ લોકસેવા ખાતર ભગવાં વસ્ત્રો છોડ્યાં હતાં(કારણ કે ભારતમાં ભગવાં વસ્ત્રો પહેરનાર કે ટીલાંટપકાં કરનાર ‘યુનિફોર્મ’ની રૂએ સેવા આપનાર નહીં, પણ સેવા લેનાર બની જાય છે.)

ગાંધીજીના સ્વતંત્ર વિચારશક્તિ ધરાવતા સાથી સ્વામી આનંદ- મૂળ નામ હિંમતલાલ દવે- તેમના સ્પષ્ટ વિચારો અને જાનદાર ગુજરાતી ભાષાને લીધે ગાંધીયુગનો તેજસ્વી સિતારો બની રહ્યા. કાકાસાહેબ કાલેલકર તેમના અભિન્ન મિત્ર. બન્નેએ સાથે હિમાલયનો પ્રવાસ કર્યો હતો. ત્યાર પછી મરાઠી માતૃભાષાવાળા કાકાએ ગુજરાતીમાં ‘હિમાલયનો પ્રવાસ’ લખ્યું અને ગુજરાતીએ સ્વામીએ મરાઠીમાં એ જ વિષય પર લખ્યું. તેમના લેખોનો સંગ્રહ ‘ધરતીની આરતી’ ગુજરાતી ભાષાનાં સર્વકાલીન શ્રેષ્ઠ પુસ્તકોમાં સ્થાન પામે એવો છે.

આઝાદી મળ્યા પછીનાં વર્ષોમાં ભારતની પ્રજાકીય અને રાજકીય પડતીથી વ્યથિત સ્વામી હિમાલયમાં રહેતા અને શિયાળામાં નીચે ઉતરીને કેટલીક જગ્યાએ મુકામ કરતા. એ સિલસિલામાં ઘૂળિયા (મહારાષ્ટ્ર)માં શિવાજીરાવ ભાવે સાથે થયેલી તેમની ચર્ચાઓ યજ્ઞ પ્રકાશન દ્વારા ‘સર્વોદય વિચારણા’ નામે ગ્રંથસ્થ થઇ. ૧૯૬૫માં પ્રસિદ્ધ થયેલા એ પુસ્તકના આરંભે સ્વામીએ લખ્યું હતું, ‘આપણા દેશની હાલત અંગે અનેક સળગતા પ્રશ્નો અને સમસ્યાઓ દેશના તમામ સમજુ માણસોને આજે મૂંઝવી રહી છે. તેના નિદાન અને ઇલાજની બાબતમાં અમો બંને પૂરેપૂરા એકમત છીએ એમ જોયા પછી જ એ વિષય ઉપર એક પુસ્તક લખવા મેં પૂ.શિવાજીરાવ ભાવેને વિનંતી કરી...આ પુસ્તકની રૂપરેખા એમની ઘડેલી અને રજૂઆત મારી છે.’

દેશના સળગતા પ્રશ્નો અને સમસ્યાઓ ૧૯૬૫માં હતાં, તેનાથી ૨૦૧૧માં વઘ્યાં અને વકર્યાંર્ છે. કારણ કે ઘણી સમસ્યાઓનાં મૂળીયાં પ્રજાકીય માન્યતાઓ અને પ્રજાકીય વર્તણૂંકમાં પડેલાં છે. આ બન્નેનો બોદી-નમાલી નમ્રતા વિનાનો કે ‘કોઇને ખરાબ લાગશે તો?’ એવી ‘વ્યવહારુ’ ગણતરી સિવાયનો સ્પષ્ટ ચિતાર સ્વામી આનંદના ધસમસતા ગદ્યમાં મળી આવે છે. પોતાની અભિવ્યક્તિની ધાર ઉપર વિચારશીલતાનું પૂરેપૂરું વજન મૂકીને સ્વામીએ લખ્યું છે,‘જે વર્ગ કે વર્ગોની અહીં ટીકા છે, તે જ વર્ગની હું પોતેય પેદાશ છું. મારા નિકટતમ મિત્રો, સાથીઓ, પૂજનીય ગુરુજનો, જેમની પાસેથી જીવનભર મેં અનંત ઉપકાર મેળવ્યો, તે લગભગ બધા એ જ વર્ગના છે. મતલબ કે, આવી રજૂઆત એમને અન્યાય કરનારી કે વઘુ પડતી ગણતો હોઉં તો ક્ષણિક આવેશ અભિનિવેશનો માર્યો હું તે કદાપિ ન કરું,’

સ્વામી જેમને ‘પોતાનાં’ ગણે છે તેમાં ગાંધી-નેહરુની કોંગ્રેસના નેતાઓ, ગાંધીવાદીઓ, સર્વોદયીઓ અને સાઘુસન્યાસીઓ પણ આવી જાય. છતાં, એ લોકોની નિષ્ફળતાઓ અને મર્યાદાઓ પર ઢાંકપિછોડો કરીને આગળ નહીં વધી શકાય, એવી દૃઢ પ્રતીતિ ૨૦૦ પાનાંના આ પુસ્તકમાં ઠેકઠેકાણે જોવા મળે છે.

સવાલજવાબ રૂપે લખાયેલા અને ઉપસંહાર સહિત કુલ ૧૭ પ્રકરણમાં વહેંચાયેલા પુસ્તકમાં એક પ્રશ્ન છેઃ ‘કોંગ્રેસના મોવડીઓથી દેશના શ્રેષ્ઠ નિષ્ઠાવંત માણસો હતા અને એમને હાથે કંઇ ગણતરીની ભૂલો થઇ હોય તો પણ તે પ્રામાણિક ભૂલો હતી. આઝાદી એટલે ભૂલો કરવાનો હક, અમારે એ જોઇએ, એમ અમે લડતકાળેે રોજ અંગ્રેજોને સંભળાવતા. એ બઘું શું ઉપલકિયા હતું?’

આ શબ્દજાળને ચીરતો સ્વામીનો જવાબ હતો ‘ભૂલ કરવાનો હક એ આઝાદીનું એક લક્ષણ છે, સનદ નથી. ભૂલો કરવાનું ફરજિયાત ન હોઇ શકે. વળી માણસ પોતે નકરો પ્રમાણિક અને નિષ્ઠાવાન હોય એટલું બસ નથી. રાજકારણના ક્ષેત્રમાં પ્રજાની સેવા કરનારામાં દૂરંદેશી, કુનેહ, કાર્યક્ષમતા, ત્વરિત નિર્ણયશક્તિ વગેરે ગુણો જોઇએ. સૌથી ઉપર સરદાર પટેલના જેવું છાતીબળ અથવા તો લોકમાન્યની ભાષામાં કહીએ તો ‘લોઢાના ચણા ચાવે’ એવા દાંત જોઇએ...લાખો કરોડો માણસોના ભાગ્યનું સુકાન જેના હાથમાં આવ્યું છે એવા માણસ જ્યારે, ભલે પ્રમાણિક અને ગણતરીની પણ, ભૂલ કરે ત્યારે તેનાં પરિણામ આખી પ્રજાને કદાચ કાળકાળાંતર સુધી ભોગવવાં પડે છે. તેથી ખાનગી જીવનની ભૂલ કરતાં જાહેર જીવનની ભૂલ, ખાસ કરીને પ્રજાના સુકાનીઓના હાથે થતી ભૂલ, હજારગણી વઘુ અક્ષમ્ય છે.’

આઝાદી પછીની બે-ત્રણ ચૂંટણીમાં સ્પષ્ટ થઇ ગયું કે ભારતમાં લોકશાહીના નામે ચૂંટણીશાહી મૂળીયાં જમાવી રહી છે. એટલે ‘ગમે તે હોય, પણ આખરે લોકશાહી રાજતંત્રનો શ્રેષ્ઠ પ્રકાર છે’ એવું આશ્વાસન સ્વામીને મંજૂર ન હતું.

તેમણે લખ્યું ‘અલબત્ત છે. પણ સાચી છાપની ને નકલી છાપ લોકશાહી ઓળખવી જોઇએ. નકરું નામ પાડવાથી કે વાંદરનકલ કર્યાથી સાચી લોકશાહી ખીલતી નથી. પ્રજાની સંગઠિત પુરુષાર્થ શક્તિને જગાડીને તે મારફત દેશની સુવ્યવસ્થા કરવાનું કામ રાજસત્તાનું છે. આજની લોકશાહીના આપણા રાજકર્તાઓને એ સૂઝતું નથી. કોંગ્રેસની રાજવટમાં ઢગલાબંધ ભૂલો થઇ. સત્તાની, વિદેશી હુંડિયામણની અને નોકરશાહીની ઓશિયાળી આપણી આ સરકારને હાથે કોટિકોટિ જનતાનો વિકાસ ન થઇ શકે એ હવે સાબિત થયું. કોંગ્રેસની જગાએ બીજી કોઇ પક્ષપાર્ટીની સરકાર હોત તો પણ એનો આવો જ કરુણ ફેજ થાત એમ લાગે છે.’

‘સાચી સફળતાને સારુ પક્ષવિનાની, સમન્વયદૃષ્ટિ તથા હથોટીવાળી જનશક્તિ જ જગાડવી જોઇએ. જનતાના એવા સંગઠિત સમન્વયભર્યા પુરુષાર્થને જ સાચી લોકશાહી કહી શકાય. ચૂંટણીઓ મારફત સત્તાનાં કેન્દ્રોમાં મોકલવામાં આવતા પ્રતિનિધિઓની બનેલી લોકશાહી એ સાચી લોકશાહી નથી. એ તો પશ્ચિમની પ્રજાઓમાં સેંકડો વરસથી ચાલતી આવેલી ઘરેડની એક કાચી ફિક્કી રોગલી નકલ માત્ર છે.’

લોકશાહી વ્યવસ્થામાં પ્રજાની ભૂમિકા સ્પષ્ટ કરતાં સ્વામીએ ઇંગ્લેંડની લોકશાહીને ‘હજાર વરસથી ચાલતી આવેલી’, ‘રાતદિવસ આંખમાં તેલ આંજીને પ્રજાના હિત તેમ જ અધિકારોની ચોકી કરનારી પ્રજાની તાલીમના અને શિસ્તના તાપમાં તપીતપીને શેકાઇને રીઢી બનેલી’ ગણાવી અને કહ્યું કે તેને સરખામણીમાં ‘ગઇકાલ સુધી ગોરાકાળા જાલીમોની એડી હેઠળ ગુલામી વેઠીને છૂટેલા બીનઅનુભવી’ લોકોની લોકશાહી ‘રામલીલાના રાવણ કુંભકરણ જેવી બેહૂદી, કદરૂપી અને દસેરાના દિવસે બાળવા લાયક જ ગણાય.’

હજુ કંઇક રહી જતું હોય એમ તેમણે ઉમેર્યું, ‘એ સાચી નકલ પણ ન ગણાય...સાચી લોકશાહીમાં સમન્વયવાળી જનશક્તિના પુરુષાર્થ આગળ, ચૂંટણીઓની ધાંધલ અને ધોખાબાજીમાંથી નીપજેલી લોકશાહીનો ક્રમેક્રમે લોપ થવો જોઇએ.’
***
ભારતની પૌરાણિક સંસ્કૃતિ અને તેનો વારસો, કંઇ પણ કર્યા વિના ગૌરવ લેવા માગતા દેશવાસીઓ માટે, એકદમ હાથવગો ગણાય છે. પરંતુ પ્રાચીન ગૌરવમાંથી ઘઉં અને કાંકરા છૂટા પાડવા જેટલું દૈવત, એટલો અધિકાર અને વૈચારિક પ્રામાણિકતા બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. સ્વામી આનંદ એ જૂજ લોકોમાંના એક હતા. સ્વામીના નમૂનેદાર ગદ્યમાં ભારતના ભૂત-વર્તમાન-ભવિષ્યને લગતી ઉપયોગી અને દિશાદર્શક ચર્ચાઓ જોવા મળે છે. એ ચર્ચાઓમાંથી ઘણીખરી હજુ પ્રસ્તુત છે.

ભારતની પ્રાચીનતાના ગૌરવ અને દુનિયામાં તેના વિશિષ્ટ સ્થાન વિશે સ્વામી આનંદ લખે છે,‘દરેક પ્રજામાં આવું મિથ્યાભિમાન હોય જ છે...આપણે બહુ પ્રાચીન પ્રજા છીએ, આપણી પાસે કીમતી પ્રજાકીય અનુભવોનો સંગ્રહ છે, એ વાત કદાચ વજૂદ વિનાની નથી, પણ આપણે તો લગભગ આખા ઇતિહાસકાળ દરમ્યાન મોટે ભાગે બીજી પ્રજાઓના હાથનો કે એકબીજાના ઘરઆંગણેના ભાઇપડોશીના હાથનો માર જ હંમેશાં ખાતા આવ્યા છીએ, એ બીના પણ એટલી જ સાચી છે.’

પ્રાચીનતમ ગણાતા વેદોની ભૂમિકા વિશે પ્રકાશ પાડતાં તેમણે લખ્યું,‘જગતના સાહિત્યોમાં (વેદો જેટલું) પ્રાચીન સાહિત્ય બીજું નથી. પણ એના અસલી અર્થો મોટા ઘુરંધર વિદ્વાનો પણ ભાગ્યે જ સમજી શકતા હોય છે...સ્વામી દયાનંદ જેવા જ્યોતિર્ધરને આર્યસમાજ જેવું બળવાન સંગઠન ઊભું કરવામાં પણ વેદોનો ભારે આધાર મળ્યો. વેદોને પણ ચલણી લોકપ્રિયતા મળી. આ બઘું છતાં એકંદરે વેદસાહિત્ય અતિ અઘરૂં અને દુર્બોધ હોવાથી તેને બહુ જૂજ લોકો સમજ્યા, અગર કહો કે નિશંક નિર્વિવાદપણે ભાગ્યે જ કોઇ સમજ્યા....વેદો વિષે નકરા કર્મકાંડી (મીમાંસક) લોકોએ જે વલણ લીધી તેણે પણ પ્રજાની જડતામાં ફાળો પૂર્યો. ..મીમાંસકોનો કર્મકાંડ જ્ઞાનદૃષ્ટિએ તદ્દન નકામો હતો. તે સામે જ્ઞાનનો સિદ્ધાંત પ્રચારીને શંકરાચાર્યે સમાજમાં અવનવું ચૈતન્ય અને સ્ફૂર્તિ આણ્યાં એ સાચું...છતાં એમણેય ભલે ચિત્તશુદ્ધિ પૂરતો પણ કર્મકાંડને માન્ય રાખ્યો તેથી સમાજની જડતા ટળી નહીં..વિદ્વાનો અને તેમનાં દર્શનોથી સામાન્ય પ્રજાને કશો લાભ ન થયો. ઉલટું પોતે અભણ બાવળાં, હીણા કરમનાં એવી લધુગ્રંથિ પ્રજામાં ઊભી થઇ.

ધર્મના ધંધામાં વ્યાપેલા મોક્ષ અને વૈરાગ્યના લોકપ્રિય ખ્યાલનો છેદ ઉડાડતાં સ્વામી આનંદે નોંઘ્યું છે, ‘જંિદગી ચાર દહાડાનું ચાંદરણું છે, એનો લલોપતો શો? આવા અર્થવાળાં ભજનસાહિત્યની રેલછેલ આપણી બધી ભાષાઓમાં તમે જોશો. આવી આવી ભાવના વિચારણાઓને પરિણામે આપણા જીવનમાંથી દુન્યવી સ્તરની કુલઝપટ જિજ્ઞાસા, પ્રયોગવૃત્તિ, શ્રમનિષ્ઠા, પડોશીધર્મ, બંઘુભાવ, મિલનસારી વગેરે તમામ ગુણો આથમી ગયા. દુન્યવી જીવનમાં ઘણુંખરું અસાર છે એની ના નથી, પણ તે વ્યક્તિને નાતે. પ્રજાકીય જીવન, સૃષ્ટિ-સમષ્ટિનું જીવન તો વહેતી નદી છે...પ્રજાઓના હિતકલ્યાણને ખાતર માણસે પોતાના વ્યક્તિગત સ્વાર્થ કે સુખને કોરે મૂકીને હંમેશાં ઘસાવું, પોતાની જાતનો યજ્ઞ કરવો, એ જ સાચો વૈરાગ, સાચો પરમાર્થ અને મોક્ષપુરુષાર્થ છે. એ વિચારણાનું મહત્ત્વ આપણે ન સમજ્યા...માનવીની ક્ષણભંગુર અસાર હશે, પણ જીવનનાં મૂલ્યો અસાર ક્ષણભંગુર નથી, શાશ્વત સદાકાળનાં છે. માટે એને આપણા જાતપુરુષાર્થથી ઓપીઅજવાળી સવાયાં કરીને આપણી પછી આવનારી પ્રજાને તેની વાટ અજવાળવા સારુ આપતા જવું, એ જ યોગ્ય આદર્શ છે. ’

પૂર્વજન્મના ખ્યાલમાં માનનારા હોવા છતાં સ્વામી આનંદે લખ્યું છે, ‘એ ખ્યાલોએ પણ આપણું પારાવાર નુકસાન જ કર્યું છે...પૂર્વજન્મનાં કર્મનો સિદ્ધાંત એ તાત્ત્વિક સિદ્ધાંત છે. તે ક્યાં લાગૂ પડી શકે ને ક્યાં ન પડે એનો વિવેક આપણે મુદ્દલ કરતા નથી. માણસ માણસ જન્મ્યો, ઘોડો ન જન્મ્યો, એમાં પાછલા જન્મ કે જન્મોનો ભલે કદાચ કંઇ ફાળો હોય, પણ માણસ કામકાજ હાલચાલ કરે છે તે દરેક તેના..પૂર્વજન્મના સંચિત કર્મને આધીન છે, એમાં બીજા કોઇ જાતના નવા તાજા કર્મને માટે અવકાશ જ નથી, એમ જ જો હોય તો તે માણસ માણસ મટીને પૂર્વકર્મના હાથની કઠપૂતળી જ થયો. આ ખ્યાલ જ વાહિયાત છે.’

ઊંચનીચના અને સ્ત્રી પ્રત્યેના ભેદભાવ માટે તેમણે ‘પ્રજાની સાંકડી મનોદશા’ને જવાબદાર ઠેરવી. ‘આપણે તો કુટુંબમાં પણ પુરુષનો દરજ્જો ઊંચો અને સ્ત્રીનો નીચો ઠરાવીને ભેદ ઊભા કર્યા. એ આપણા લોહીમાંસમાં વણાઇ ગયા..સ્મૃતિકારોએ પણ સ્ત્રીને ધરતી અને પુરુષને બીજ તરીકે ઓળખાવીને સ્ત્રીનો દરજ્જો હમેશને માટે હલકો ઠરાવ્યો...સ્ત્રીનો દરજ્જો હલકો લેખાનારી વિચારણાઓ...આપણે ત્યાં એવી તો જામી પડી કે સ્ત્રીનો દરજ્જો બધે કાળે ને બધી અવસ્થામાં પુરુષ કરતાં નીચો ઠર્યો. અહીંથી જ આપણી સર્વય્વાપી અલગતાની આભડછેટિયા મનોદશાનો, જેને વિવેકાનંદ ‘ડોન્ટ ટચીઝમ’ કહેતા, તેનો આરંભ થયો...એક પ્રજા તરીકે આપણી આસપાસ અલગતાનું કોટલું ઊભું કરીને આપણે આપમેળે તેમાં પૂરાયા...એક પ્રજા તરીકે દુનિયાથી અને દુનિયાના જ્ઞાનભાનથી આપણે કપાઇ ગયા!’

નાગરિકધર્મના અભાવનાં મૂળ સ્વામી આનંદે આપણી પરંપરામાં જોયાં: ‘પ્રજાનું રક્ષણ, પોષણ સર્વ કામ સરકારે કરવાનાં, સરકાર એટલે ‘સર્વકાર’, એવી જ ભાવના અત્યારે બધે વર્તી રહી છે. અંગ્રેજી રાજવટે પ્રજાજીવનના અંગેઅંગમાં પ્રવેશ કરીને તેને પોતાને કબજે રાખ્યાં હતાં. તેથી પ્રજાકીય જીવનનાં બધાં ક્ષેત્રો સરકાર જ સંભાળે કે ઘડે ભાંગે, પ્રજાએ તો તેને તે માગે તેટલો સહકાર જ માત્ર પોતાના તરફથી આપવાનો, એવી કલ્પના જ આખી પ્રજામાં ઘર કરી બેઠી છે.’

ધર્મથી માંડીને રાજધર્મ અને પ્રજાધર્મ સુધીના વિષયો પર, દેશહિતને કેન્દ્રમાં રાખીને અળખામણાં સત્ય કહી શકે, એવા ચિંતકો-વિચારકોનો યુગ હવે સાવ આથમણે છે. અઘ્યાત્મનું બજાર કોર્પોરેટ ક્ષેત્રને ટક્કર મારે એવું થઇ ગયું છે. નાગરિકધર્મ જાણે સ્વૈચ્છિક સંસ્થાઓ-એનજીઓ-નો ઇજારો હોય, એવી વૃત્તિ નાગરિકોમાં પ્રવર્તે છે, ત્યારે ફરી જાગૃતિનું પરોઢ ન આવે ત્યો સુધી સ્વામી આનંદ જેવા સમાજચિંતકોના વૈચારિક અજવાસમાં આગળનો રસ્તો શોધવાની કોશિશ કરવા જેવી ખરી.

Monday, October 06, 2008

‘એ વેનસડે’ : એક ઉમેરો

‘એ વેનસડે’ વિશે આ બ્લોગ પર થયેલી ચર્ચાના સંદર્ભમાં આજના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી પાના પર પ્રગટ થયેલા લેખની લિન્ક અહીં મુકી છે, એ જોઇ જવા ભલામણ છે. આ લેખ ‘તહાન’ (કે તહન) ફિલ્મના એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર અને ફિલ્મકાર કમાલ મહંમદે લખ્યો છે. તેનું મથાળું છેઃ ‘સિનેમેટીક પોલિટિક્સ’
http://www.indianexpress.com/news/cinematic-politics/369791/

Wednesday, September 24, 2008

‘એ વેનસડે’ વિશે થોડું (ઘણું) વઘુ

‘જોવા જેવી ફિલ્મ’ના વિભાગમાં ગમતી ફિલ્મો વિશે જેવું ઉપરછલ્લું- ઇમ્પ્રેશનિસ્ટીક કહેવાય એવું- લખું છું, એવું જ ‘ન ગમતી ફિલ્મ’ તરીકે ‘એ વેનસડે’ વિશે લખ્યાથી મિત્રો ખાસ્સા નારાજ થયા છે. ગમતી ફિલ્મોની જેમ અણગમતી ફિલ્મ વિશે ‘ડાબા હાથે’ લખવાથી ચાલી જશે, એવું મને લાગતું હતું. પણ એમ કરવામાં મિત્રો સમક્ષ હું મારો મુદ્દો કે મુદ્દા યોગ્ય રીતે રજૂ કરી શક્યો નહીં, એ બાબતે હું દિલગીર છું અને પાઠ પણ શીખ્યો છું: ‘વખાણ કે ગમો કારણ-તર્ક-મુદ્દામાં ઉતર્યા વિના વ્યક્ત કરી શકાય, પણ (લેખિતમાં) ટીકા કરતી વખતે, એક મિત્રએ કમેન્ટમાં લખ્યું છે તેમ, કાં મુદ્દાસર લખવું કાં લખવું જ નહીં.’ ભલે આકરાપણાથી, પણ મૂળભૂત સૌજન્ય જાળવીને વાંધા વ્યક્ત કરનાર સૌ મિત્રોનો આભાર માનું છું.

હવે થોડુંક ફિલ્મ વિશે મુદ્દાસરઃ

વેનસડેઃ થ્રીલર તરીકે

એ માત્ર થ્રીલર હોત તો મને ગમી ન હોત- થીયેટરમાં જઇને જોવા જેવી ન લાગી હોત, પણ એ મારો એવો અંગત અભિપ્રાય બનત કે જેના વિશે મેં બ્લોગ પર લખ્યું ન હોત. છતાં, ફક્ત ટીકા કરીને આગળ વધવાનું નથી એટલે લખું છું. થ્રીલર તરીકે મને ફિલ્મમાં કેટલાક મૂળભૂત વાંધા એ લાગ્યા કે -

  • એક સામાન્ય માણસ આરડીએક્સ જેવી સામગ્રી, કમ્પ્યુટર અને મોબાઇલને લગતો આઘુનિક સરંજામ તથા આવું મોટું ‘પરાક્રમ’ કરવાની હિંમત અને તે કરતી વખતની ઠંડક ક્યાંથી લાવ્યો, તેનો ખુલાસો ફિલ્મમાં મળતો નથી. આરંભમાં કે વચ્ચે નહીં, તો કમ સે કમ છેલ્લે આખી સ્ટોરીલાઇનને નક્કરતા આપવા માટે તે જરૂરી હતું. ‘કોમનમેનનું ફ્રસ્ટ્રેશન’ ઠીક છે, પણ એ સૌથી નીચેનું પગથીયું છે અને ફિલ્મની સ્ટોરીમાં જે બતાવ્યું છે એ સૌથી ઉપરનું. તેની વચ્ચેનું અંતર શી રીતે તય થયું, તે ‘ડોક્યુમેન્ટરી’ની જેમ નહીં, તો ફિલ્મની જેમ પણ બતાવી શકાય. બતાવવું રહ્યું.
  • ફિલ્મની સ્ટોરીલાઇન બહુ પાતળી છે અને તેને પોણા બે કલાક સુધી લંબાવવા માટે વચ્ચે જે પ્રકારનું અસરકારક અને રેલેવન્ટ પેડિંગ થવું જોઇએ, એ થયું નથી. અહીં થયેલું પેડિંગ મને નબળું લાગ્યું.
  • અનુપમ ખેર અને નસીરૂદ્દીનના અભિનય વિશે જયેશ અઘ્યારૂથી માંડીને જેરી પિન્ટો સુધીના પ્રીતિપાત્રો વખાણ કરતા હોય, ત્યારે તેમનાથી જુદા પડવાનું ગમતું નથી. છતાં, મારી પહેલી પ્રતિક્રિયા તરીકે અને મિત્રોના તીવ્ર પ્રતિભાવો વાંચ્યા પછી નવેસરથી મેં વિચારી જોયું. પણ યાદગાર, નોંધપાત્ર કે ઉલ્લેખનીય એક્ટિંગ કહેવાય એવું કશું મને યાદ આવ્યું નહીં. એમની એક્ટિંગ ખરાબ છે, એવો મતલબ નથી. નસીરૂદ્દીને અને અનુપમ ખેરે ડાયરેક્ટરે કહ્યું એમ કર્યું છે. ફાઇન. પણ એમાં કશું વિશેષ નથી. રોલની ડીમાડ તરીકે ઠંડકવાળા કોમનમેન તરીકેની એક્ટિંગમાં નસીરૂદ્દીનને તેની આવડત કે ક્ષમતાનો બહુ ઓછો હિસ્સો વાપરવાનો થાય છે. અનુપમ ખેર પાસે વધારે તકો અને વધારે વૈવિઘ્યપૂર્ણ સિચ્યુએશન્સ છે. તેમની એક્ટિંગ વિશેષ નોંધપાત્ર છે કે નથી એ વિશે મતભેદ હોઇ શકે. મને નથી લાગી. તમને લાગી હોય તો એનો વિરોધ કરવા ઇચ્છતો નથી.

વેનસડેઃ વર્તમાન સાથેના સંબંધ વિશેઃ

આ ફિલ્મ મેં લખ્યું તેનું મૂળ અને મુખ્ય કારણ વર્તમાન સંદર્ભ સાથેનો તેનો સંબંધ છે. આવી ફિલ્મોનો કોઇ લેખિત દાવો હોય કે ન હોય, તો પણ વર્તમાન અને વાસ્તવિકતા સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ અને ખટકે એવો છે.

  • ફિલ્મનો કેન્દ્રીય ઘ્વનિ એ છે કે ૧) પોલીસ પાસે પૂરતી સત્તા કે સાધનો નથી એટલે પોલીસ લાચારી અનુભવે છે. તેમને છૂટો દોર આપવામાં આવે તો એ અસરકારક બની શકે. પરંતુ, રક્ષણ માટે મુકાયેલો કોન્સ્ટેબલ છોકરીની છેડતી કરે ત્યારે તેનો ઉપરી શું કરે છે? એ આખી સિકવન્સ અને તેની ક્રુડનેસ યાદ કરવા જેવી છે. તેનો સાર એટલો કે કાયદો પડે ખાડામાં. સ્થળ પર જ નિકાલ કરી નાખોઃ પછી એ બીજો પોલીસ હોય, ગુંડો હોય કે પ્રજા હોય.

પોલીસની આ વર્તણૂંકને સ્વીકાર્ય બનાવવાની વાતો કરવી બહુ સહેલી અને આકર્ષક છે. મુ.નગીનદાસ સંઘવીએ આજના ‘ભાસ્કર’ની કળશ પૂર્તિમાં એ જ મતલબનું લખ્યું છે. પરંતુ ફિલ્મ હોય કે મુ. સંઘવીસાહેબ, તે એવું કલ્પીને ચાલે છે કે પોલીસ તો હંમેશાં કાયદો-વ્યવસ્થા અને સચ્ચાઇની સાથે જ રહેશે. આવી ધારણા તે કયા આધારે બાંધવામાં આવે છે તે સમજાતું નથી.

એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોના ભ્રષ્ટાચાર, અમર્યાદ સંપત્તિ, અમર્યાદ દાદાગીરી અને અન્ડરવર્લ્ડના સંપર્કો વિશે આટલું બઘું જાણ્યા પછી અને ગુજરાતમાં કોમી હિંસા દરમિયાન પોલીસ જે હદે તમાશબીન બનીને કે સત્તાધીશોની આજ્ઞાંકિત બનીને ઊભી રહી- પ્રામાણિકતાપૂર્વક ફરજ બજાવનારને પનિશમેન્ટ પોસ્ટિંગ અપાયાં- એ બઘું જાણીને પણ પોલીસને અમર્યાદ સત્તા આપતા કાયદા લાવવાનું અને આપીને તેમની પર આંખ મીંચીને વિશ્વાસ મુકવાનું કહેવામાં આવે છે. આ ચર્ચા આગળ લાંબી ચાલે એમ છે. એ માટે અલગ લેખ કરવા ધારૂં છું. પણ ‘વેનસડે’માં રજૂ થતા ઘટનાક્રમ અને ઝુકાવના સંદર્ભમાં આટલું.

  • ‘સામાન્ય માણસનો બદલો’નો ખ્યાલ આકર્ષક છે- જયેશ અઘ્યારૂ કહે છે તેમ, એ ડાયરેક્ટરનું દ્રષ્ટિબિંદુ હોઇ શકે છે. તો ભલે રહ્યું. મને એ માન્ય નથી. ‘સામાન્ય માણસ હતાશ થઇ જાય, તેનું કોઇ સાંભળે નહીં તો શું કરે?’ આ વાતને ફક્ત હિંદુ સમાજના જ નહીં, મુસ્લિમ સમાજના સંદર્ભમાં પણ વિચારવા જેવી નથી લાગતી? હિંદુ હોય કે મુસ્લિમ, હતાશાને કારણે કોઇને શસ્ત્ર હાથમાં ઉઠાવવાનું લાયસન્સ મળી જતું નથી.

ફિલ્મ રજૂ થાય પછી તે ફક્ત ‘ડાયરેક્ટરનું દ્રષ્ટિબિંદુ’ મટી જાય છે. તેનો વિષય આટલો સંવેદનશીલ અને લોકલાગણીને ચોક્કસ રીતે અસર કરી શકતો હોય ત્યારે તો ખાસ. સામાન્ય માણસોને આટલો બધો ગુસ્સો આવતો હોય અને બે-ચાર ત્રાસવાદીઓને ઉડાડી દેવાથી મઝા પડી જવાની હોય, તો એ બહુ સસ્તો સોદો છે અને નેતાઓને એ જ જોઇએ છેઃ બે-ચાર એન્કાઉન્ટર કરીને વ્યાપક (લાર્જર) સમસ્યાને જાજમ તળે ધકેલી દેવી. આ સંબંધે વઘુ લખવાને બદલે ઓગસ્ટમાં મુકેલો મારો લેખ ‘બોમ્બવિસ્ફોટ અને હિંદુ-મુસ્લિમ સંબંધો’ જોવા ભલામણ છે.

  • ‘દરેક વાતમાં મોદીને વચ્ચે ન લાવશો’ એ કહેવાનું ઠીક ચલણ થઇ ગયું છે. એક લેખ હું એ વિશે પણ કરવાનો છું - ઘણી વાતોમાં મોદીને શા માટે વચ્ચે લાવવા પડે છે અને મને બિનઅંગત કારણોસર મુખ્ય મંત્રી કેમ ગમતા નથી- એ વિશે. પરંતુ મોદીના પ્રેમી તરીકે કે તેમના ઉલ્લેખોથી કંટાળેલા વ્યક્તિ તરીકે આ બાબતથી ખીજાતા લોકોને મારે એટલું જ કહેવાનું કે જે જે મુદ્દે મોદીની ટીકા થાય છે, તેની મેરિટ વિશે તમારે કંઇ કહેવાનું નથી? સરકારી પ્રચારનાં પૂર સામે, મુખ્ય મુદ્દાને બાજુ પર ધકેલવાના સરકારી પ્રયાસો સામે અને અંજાયેલી પ્રજાના મનમાં વાજબી મુદ્દા ઠસાવવા માટે ‘હેમરીંગ’ કરવું પડે, એ ‘પાછળ પડવું’ કહેવાતું હોય તો ભલે કહેવાતું. જે મુદ્દે ટીકા થઇ હોય તે ખોટો હોય, તેમાં ભૂલ હોય, પ્રમાણભાન ન જળવાયું હોય તો કાન પકડજો. સ્વીકારીશ. પણ ‘હવે મોદીને વચ્ચે ન લાવશો.’ એ સૂચન ફક્ત ‘કંટાળો આવે છે’ કે ‘મોદીપ્રેમી તરીકે અમને ગમતું નથી’ એવાં કારણોસર પાળવાનું અઘરૂં છે.

Saturday, September 20, 2008

(ન) જોવા જેવી ફિલ્મઃ એ વેનસડે

આ વિભાગમાં સામાન્ય રીતે જોવા જેવી ફિલ્મ વિશે જ લખવું એવી ગણતરી હતી, પણ આતંકવાદના વર્તમાન માહોલ અને તેમાં ‘કંઇક નવું’ના દાવા સાથે આવેલી આ ફિલ્મ જોયા પછી લાગ્યં કે એના વિશે લખવું જ જોઇએ.


એક લીટીની અને સાવ ‘બાલ ઠાકરેઇશ’ કહેવાય એવી સ્ટોરીલાઇન એવી છે કે ત્રાસવાદીઓ સામે સરકાર અને સરકારી તંત્ર નિષ્ફળ જાય તો નાગરિકોએ બોમ્બ બનાવીને ત્રાસવાદીઓને ઉડાડી દેવા. ચતુરસુજાણો આ વાર્તામાંથી અવનવા ગૂઢાર્થો શોધી કાઢશે, પણ સ્ટોરીનો પાયો એટલો નબળો છે કે તેની પર કોઇ પણ પ્રકારની ચર્ચા ટકી શકે નહીં.

ફિલ્મમાં જે રીતે પોલીસ કમિશનર અનુપમ ખેરને ઘાંટાઘાંટ કરતા, ફિલ્મી પ્રતિભાવો દાખવતા અને મેલોડ્રામેટિક બતાવ્યા છે, તે જોતાં કેટલાક ઠેકાણે ફિલ્મ પેરડી જેવી લાગે છે, તો ઘણી વાર ફારસ જેવી. ફિલ્મના કહેવાતા એન્ટીક્લાઇમેક્સની ચબરાકી વિશે કંઇ લખવું નથી. કારણ કે એ સાવ કૃતક અને વઘુમાં વઘુ, મનોરંજક છે. તકલીફ એ છે કે ફિલ્મનો આશય મનોરંજનનો નહીં, પણ એથી વિશેષ છે. તેને ત્રાસવાદ વિશેની એક સેન્સીબલ ફિલ્મ તરીકે ગણાવવામાં આવે, ત્યારે એ ફિલ્મ કરતાં એવું ગણાવનારા વિશે ઘણા સવાલ ઊભા થઇ શકે છે. ફિલ્મમાં ૧૯૯૩ કે ૨૦૦૨ જેવી સત્ય ઘટનાઓના ચુનંદા ઉલ્લેખ આવે છે, પણ ફિલ્મનું પોત સત્યઘટનાઓનો ભાર ઝીલી શકે એવું નથી. એ સંજોગોમાં આ ઘટનાઓનો ઉલ્લેખ લોકોનો મુસ્લિમો પ્રત્યેનો પૂર્વગ્રહ વધારવા સિવાય બીજું કંઇ કામ કરતો નથી.



ખેરે ગુજરાતના મુખ્ય મંત્રીને આ ફિલ્મ બતાવી હતી. ત્યાર પછી - કદાચ આ ફિલ્મ જોવાની સહનશીલતા દાખવવા બદલ- તેમનાં ભરપેટ વખાણ પણ કર્યાં. તેમની જાડી ગણતરી એટલી જ હતી કે વણઝારાના ગોડફાધર એવા મોદીને ‘ખૂનકા બદલા ખૂન’નો કેન્દ્રીય ઘ્વનિ ધરાવતી આ ફિલ્મ ગમશે જ. તેમની ગણતરી સાચી પણ હતી. ત્રાસવાદને નાથવામાં સમાજ અને ગવર્નન્સની નિષ્ફળતા વિશે ભાગ્યે જ વાત કરતા આ ચતુરો ‘વેનસડે’ જેવી ફિલ્મો દ્વારા લોકલાગણીને અવળી દિશામાં દોરવાની કુસેવા કરે છે. નસીરૂદ્દીન શાહના ચાહકોએ આ ફિલ્મ ખાસ ન જોવી. કેમ કે, નસીરૂદ્દીનની પ્રતિભાનો તેમાં સાવ બગાડ થયો છે.

સાથે આવેલાં એક મિત્રએ અડધી-પોણી ફિલ્મે વોકઆઉટની તત્પરતા બતાવી હતી. બહાર નીકળીને કીટલી પર ચા પીવામાં વધારે મઝા આવશે એવું તેમને લાગ્યું. છતાં અમે ફિલ્મ પૂરી કરી. બહાર નીકળ્યા પછી કીટલી પર ચા પીધી ત્યારે લાગ્યું કે તેમની વાત સાચી હતી.
આ ‘વેનસડે’માં કોઇ ‘ફ્રાઇડે’ (શક્કરવાર) નથી.

Thursday, August 28, 2008

ત્રાસવાદ અને કવિતા : (બોમ્બનો) એક ઘા

તે હોર્ડંિગની ઉપર ચઢીને મુકતાં મુકી દીધો
‘ખૂટ્યો’ તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો
રે! રે! લાગ્યો દિલ પર અને ત્રાસ વર્તાઇ જાતાં
નીચે આવ્યો બોર્ડ ઉપરથી ચીપ ઢીલી થતાંમાં
મેં મુક્યો તે ખળભળી મરે હસ્ત મ્હારાથી જ આ
ઠપકાર્યો દિલ ધડકતે ત્હોય ઉઠી શક્યો ના
ક્યાંથી ઉઠે?કુમળી સરકીટ છેક તેની અહોહો!
આહા! કિંતુ કળ ફરી ને સહેજ ટીકટીક થઇ એ
સુરસુર થાશે, જીવ ઉગારશે, કોણ જાણી શકે એ
જીવ્યો આહા! ત્રાસવાદનાં ગીત ગવડાવવાને
આ વાડીના ચતુર ‘ફૂલ’ને ઠગવાને ફરીને
રે!રે! કિંતુ ફરી કદી હવે હાથ મારી ન આવે
આવે ત્હોયે ઘડી ઘડીએ ઇચ્છતો પડવાને
રે!રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે
નબળી ચીપને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે

Tuesday, August 26, 2008

બોમ્બવિસ્ફોટ અને હિંદુ-મુસ્લિમ સંબંધો

અમદાવાદના બોમ્બધડાકા પછી જળવાઇ રહેલી કોમી શાંતિની દેશભરમાં નોંધ લેવાઇ. ‘ગુજરાતને બદનામ કરવાની ફેશન’ વિશે સગવડીયો કકળાટ કરનારાએ નોંધવું જોઇએ કે ગુજરાતમાં ભાઇચારો, એખલાસ કે સૌહાર્દ નહીં, કોઇ પણ વિશેષણ વગરની સામાન્ય શાંતિ જળવાઇ, એ વિશે ચોતરફથી હાશકારો અને રાજીપો વ્યક્ત થયાં. સરકારે ન કરવા જેવું ન કર્યું અને પરિસ્થિતિ વણસાવવાની દિશામાં સીઘું કે આડકતરી ભૂમિકા અદા ન કરી, એ બદલ ગુજરાત સરકાર અને મુખ્ય મંત્રીની પણ પ્રશંસા થઇ.
વિસ્ફોટો પછીની શાંત સ્થિતિ એક એવો મુકામ છે, જ્યાં ઊભા રહીને ભવિષ્ય અંગે ટાઢકથી- ઉશ્કેરાટ તજીને વિચારી શકાય છે. રાજ્યાશ્રિત કે સરકારી નિષ્ક્રિયતાથી ભડકેલી કોમી હિંસા થકી વગોવાયેલા ગુજરાત માટે આ તક અમૂલ્ય છે. ગુજરાતની વગોવણીથી નારાજ સૌ કોઇએ આ તબક્કે વ્યક્તિગત અને સામુહિક ધોરણે, જાત સાથે અને સમાજ સાથે વાત કરવી રહી.
નારા નહીં, નક્કર કામ
મુખ્ય ચિંતા હિંદુ-મુસ્લિમ સંબંધોની અને તેમની વચ્ચેના તૂટેલા તાણાવાણાની છે. ‘હિંદુ-મુસ્લિમ એકતા’ કે ‘હિંદુ-મુસ્લિમ ભાઇ ભાઇ’ જેવાં આદર્શવાદી સૂત્રો પોકારવાનો સમય ક્યારનો વીતી ગયો છે. એવાં સૂત્રોથી ખરેખર કશો અર્થ સરે કે કેમ, એ પણ સવાલ. કેમ કે, હિંદુ- મુસ્લિમ વચ્ચે કડવાશ ન હતી, ત્યારે સૂત્રોની જરૂર ન હતી અને બન્ને વચ્ચે ખટરાગ થયા પછી સૂત્રોનો કશો અર્થ રહ્યો નથી. એટલે સૌથી પાયાનું કામ રાજકીય કે ગાંધીવાદી નારાબાજીથી દૂર રહીને, વ્યવહારૂ ઉકેલની દિશામાં કામ કરવાનું છે.
સુમેળને- સારા સંબંધને છેક ‘ભાઇ-ભાઇ’ની હદે તાણી જવાની કશી જરૂર નથી. ‘દૂધમાં સાકર’ આદર્શ છે, પણ દીપક સોલિયાએ એક વાર લખ્યું હતું તેમ, દૂધમાં સાકરને બદલે સલાડમાં કાકડી-ટમેટા-કાંદાની જેમ ગોઠવાઇ જવાની અપેક્ષા વઘુ વ્યવહારૂ છે. તેમાં ઓગળી જવાનો ઉપદેશ નથી, પણ એકબીજાને નડ્યા વિના, પોતાની ખાસિયતો જાળવી રાખીને એકબીજાના પૂરક તરીકે ગોઠવાઇ જવાની વાત છે. અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં ઘણા સમયથી હિંદુ-મુસ્લિમ વિસ્તારોના વિભાજનની પ્રક્રિયા ચાલી રહી હતી અને ૨૦૦૨ના હિંસાચાર પછી અમદાવાદ સહિત બીજાં અનેક શહેરો અને ગામમાં એ પ્રક્રિયાનો વેગ વધી ગયો. ભૌગોલિક વિભાજન એટલી હદે થયું છે કે સલાડ એક પ્લેટમાં રહ્યું નથી. કાકડીની પ્લેટ અલગ છે અને ટમેટાંની અલગ. માટે, પહેલું કામ તેમને સાથે ગોઠવવાનું એટલે કે હિંદુ અને મુસ્લિમ બન્ને વચ્ચે તૂટી ગયેલો સંપર્ક સ્થાપિત કરવાનું છે.
સ્કૂલથી માંડીને સામાજિક વ્યવહારમાં હિંદુ અને મુસ્લિમ બે અલગ ઘુ્રવ બની રહ્યા હોય એવું વઘુ ને વઘુ પ્રમાણમાં બની રહ્યું છે. મોટાં શહેરોમાં તો ખાસ. હિંદુઓ અને મુસ્લિમો સીધા સંપર્કમાં આવવાને બદલે, એકબીજા વિશે અટકળો-અનુમાનો કરતા થઇ જાય, ત્યારે મનમાં રહેલી નાનામાં નાની આશંકાઓ મસમોટા પૂર્વગ્રહમાં અને દ્વેષમાં ફેરવાય છે. તિરાડ ખાઇ બને છે. કોંગ્રેસ હોય કે ભાજપ, પ્રજા હળીમળીને રહે એવું કોઇ પક્ષ ઇચ્છતો નથી. તુચ્છ મુદ્દા ચગે નહીં અને પ્રજાની લાગણી દુભાતી ન રહે, તો તેમને અસલી સમસ્યાઓ યાદ આવવા લાગે. એ કયા રાજકીય પક્ષને પોસાય? આટલી સીધીસાદી વાસ્તવિકતા મનમાં રાખીને એક વાત નક્કી કરવી પડેઃ હિંદુ-મુસ્લિમો વચ્ચે ભાઇચારો ઊભો કરવાનું મહાકાર્ય ઉપાડવાની જરૂર નથી. ફક્ત અંતર ઘટાડવાનું કામ થાય તો પણ ઘણું છે.
સ્વૈચ્છિક સંસ્થાઓ અને પોતાની છબીમાં કોમી એકતાનાં પીંછાં ખોસવા આતુર મહાનુભાવો આ સમજે છે. એટલે હિંદુ-મુસ્લિમો વચ્ચેનું અંતર કાયમી ધોરણે ઘટે કે ન ઘટે, પણ એ લોકો વખતોવખત પ્રતીકાત્મક (‘ટોકન’) ચેષ્ટાઓ દ્વારા પોતાનો દરજ્જો પાકો કરી લે છે. મુસ્લિમો રામકથા સાંભળવાથી કે હિંદુઓ ગુજરાતીમાં કુરાન વાંચવાથી સહિષ્ણુ થઇ જશે, એવું માનવામાં ભોળપણ છે. ધર્મગ્રંથો વાંચવાથી કે કથા સાંભળવાથી માણસ સુધરતો હોત તો રામકથા સાંભળનારા કટ્ટરવાદીઓ કે અને કુરાન ટાંકીને આતંક ફેલાવનારા મુસ્લિમો ન સુધરી ગયા હોત?
‘બીજા ધર્મનું દ્રષ્ટિબિંદુ અને તેની ફિલસૂફી જાણવાથી એ ધર્મના અનુયાયીઓ પ્રત્યેની ગેરસમજણો દૂર કરવામાં મદદ મળે છે’ એવી દલીલ કરી શકાય. એ દલીલ આગેવાનો માટે બરાબર છે. ગાંધીજી કુરાન વાંચે કે ખાન અબ્દુલ ગફ્ફારખાન ગીતા વાંચે તેમની ભૂમિકા જુદી છે. બાકી, આમજનતા માટે દરેક ધર્મ તેના અનુયાયીઓ જેટલો જ સારો કે ખરાબ હોય છે. દરેક ધર્મની સૌથી વઘુ બદનામી તેના અનુયાયીઓથી થાય છે. મુસ્લિમદ્વેષ અને ખ્રિસ્તીદ્વેષમાં હિંદુત્વની સાર્થકતા માની બેઠેલા અંતિમવાદીઓના પાપે ‘હિંદુત્વ’ને ગાળ પડે છે અને મુસ્લિમ આતંકવાદીઓનાં કરતૂતોથી ઇસ્લામ આતંકવાદ સાથે સંકળાઇ જાય છે.
વ્યવહારૂ બોધપાઠ
ઇતિહાસના કાંટા અવળી દિશામાં ફેરવી શકાતા નથી. એ ખોટું છે, તેમ સારૂં પણ છે. બન્ને ધર્મના લોકો પોતપોતાના પક્ષે રહેલા ઝનૂનીઓનાં કારસ્તાન અને તેનાં પરિણામ ભોગવ્યા પછી નવેસરથી વિચારવા બેસે, ત્યારે તેમની પાસે થોડા બોધપાઠ હાથવગા રહે છે.
  • વંઠેલો છોકરો ગામમાં તોફાન કરી આવે ત્યારે શું થાય? ગામવાળા તો જે કરે તે, પણ પહેલી બે ધોલ છોકરાનાં માતા કે પિતા જ લગાવે. કારણ કે ગામલોકોને તો ફક્ત ગુસ્સો હોય, જ્યારે માતાપિતાના મનમાં ગુસ્સા ઉપરાંત ‘છોકરાએ અમારૂં નામ બોળ્યું’ એવી વ્યથા પણ હોય. મુસ્લિમ આતંકવાદીઓ પ્રત્યે મુસ્લિમ સમાજે આ વલણ વઘુ ને વઘુ અસરકારક રીતે પ્રગટ કરવું રહ્યું. પાકિસ્તાનના સર્જનનાં ૬૧ વર્ષ પછી ભારતીય મુસ્લિમો પાસે તેમની વફાદારીના પુરાવા માગવા કે એવી માગણીના ટેકામાં છ દાયકા પહેલાં સરદાર પટેલે કરેલા ભાષણને ટાંકવું એ મૂર્ખામી છે. મુદ્દો એ છે કે મુસ્લિમ સમાજને ઇસ્લામની બદનામી કરતા આતંકવાદીઓ સામે માત્ર વાંધો હોય એટલું પૂરતું નથી. એ વાંધો અસરકારક રીતે (પ્રેસનોટ સિવાય) સામાજિક વ્યવહારમાં પ્રગટ થાય એ જરૂરી છે.
  • અસહિષ્ણુતા, હિંદુદ્વેષ અને હિંસક બદલાની વાતો કરનારા ધર્મગુરૂઓને મુસ્લિમ સમાજે પહેલાં ચેતવણી આપવી જોઇએ અને પછી ન સુધરે તો પાઠ શીખવવો જોઇએ. આ પ્રક્રિયામાં કાનૂની માર્ગદર્શન કે મૌલિક આઇડીયા માટે સ્વૈચ્છિક સંસ્થાઓની ખપ પૂરતી અને માત્ર સમાજે નક્કી કરેલા એજેન્ડા પુરતી મદદ લઇ શકાય. સરેરાશ હિંદુ ધર્મગુરૂઓ ધંધામાં વધારે ઘ્યાન આપે છે. એટલે મુસ્લિમદ્વેષ અને હિંસા તેમના એજેન્ડામાં પ્રાથમિકતા ધરાવતાં નથી. એ ખરૂં કે તે પોતાના અનુયાયીઓને હિંસાના માર્ગેથી ભાગ્યે જ પાછા વાળી શકે છે.
  • ગુજરાતમાં ઘણા ઠેકાણે હજુ હિંદુઓ અને મુસ્લિમો સાથેસાથે વસે છે. ત્યાં નવાં ‘જુહાપુરા’ ઊભાં ન થાય, એ સ્થાનિક સામાજિક આગેવાનોની જવાબદારી છે. એ આગેવાનો કોંગ્રેસ-ભાજપના ખેલ કરતા હોય, તો નવા શિક્ષિતોએ આગળ આવવું પડે. શહેરોમાં મુસ્લિમોના અલગ વિસ્તારો થઇ ગયા હોય ત્યાં, એ વિસ્તારોમાં સૌની અવરજવર રહે એવી જાતનાં સંગઠન, કાર્યક્રમ કે પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય. બન્ને સમુદાયોને એકબીજા વિશેની કોઇ પણ ગેરસમજણ હોય તો એ વિશે સામસામે બેસીને વાતચીત થઇ શકે, એટલો સંપર્ક જળવાઇ રહેવો જોઇએ. જેટલો સંપર્ક વધારે, એટલાં અવિશ્વાસ-અસલામતી ઓછાં.
  • આ ‘હિંદુ’સ્તાન છે, એવી માન્યતા મુસ્લિમોના મનમાંથી નીકળી જવી જોઇએ અને મુસ્લિમો ‘પરદેશી આક્રમણખોર’ છે એવું ‘ઐતિહાસિક’ ભૂંસું હિંદુઓના દિમાગમાંથી દૂર થવું જોઇએ. કેમ કે, આપણે ઇતિહાસમાં નહીં, પણ વર્તમાનમાં જીવીએ છીએ. રાજકીય પક્ષો અને કોમના રાજકીય આગેવાનો આ બન્ને ભ્રમણાઓ ટકાવીને એ મુદ્દે લોકોની લાગણી ઉશ્કેરીને પોતાના રોટલા શેકે છે.
  • ‘ભારતમાં મુસ્લિમોની આબાદી હિંદુઓ કરતાં વધી જશે અને એ ભારત પર કબજો કરી લેશે’ એવી દંતકથાઓ પાછળ રહેલી રાજકીય ચાલબાજી હિંદુઓ સમજતા થાય અને હિંદુઓ પ્રચંડ બહુમતિમાં હોવાથી મુસ્લિમોની સલામતી નથી, એવો ખ્યાલ મુસ્લિમો છોડી દે. આ ભારત છે. પાકિસ્તાન નથી. અહીં ભાંગીતૂટી પણ લોકશાહી છે, બંધારણ છે, હકો છે, હકો માટેની લડત કરવાની જગ્યા છે, અદાલતો છે. હવે તો (પોતાના એજેન્ડા પ્રમાણે) ગામ ગજવી નાખનારી સ્વૈચ્છિક સંસ્થાઓ અને ન્યૂઝ ચેનલો પણ છે. એ સંજોગોમાં ભારત જેવા દેશમાં કોસોવો કે રવાન્ડા જેવા જનસંહાર થાય અને મોટી સંખ્યામાં મુસ્લિમોને ખતમ કરી નાખવામાં આવે, એવો ખોફ મુસ્લિમોએ મનમાંથી કાઢી નાખવા જેવો છે.
  • ૨૦૦૨માં મુસ્લિમોને બરાબર પાઠ શીખવ્યાનું જે હિંદુઓ માનતા હશે, તેમણે યાદ રાખવા જેવું છે કે હિંસાથી કોઇ પાઠ શીખવાતો નથી. લાખો યહુદીઓને માર્યા પછી પણ હિટલર યહુદીઓને કોઇ પાઠ શીખવી શક્યો નહીં. ઊલટું, તેનાથી યહુદીઓ જીવ પર આવી ગયા અને બીજા વિશ્વયુદ્ધ પછી ઇઝરાઇલ સ્થાપ્યું. એ જ યહુદીઓનું ઇઝરાઇલ હિંસાથી અને અમેરિકા જેવા દેશનો ટેકો હોવા છતાં ઘરઆંગણે શાંતિ સ્થાપવામાં કેટલું સફળ થયું છે? ઇઝરાઇલના જુસ્સાની વાજબી પ્રશંસા કરતી વખતે મોતના કાયમી ખૌફ નીચે જીવતા તેના નાગરિકોની સ્થિતિ વિશે વિચાર્યું છે કદી?

આગળ જણાવેલી દરેક બાબતો માટે એક સવાલ થઇ શકેઃ ‘આમાં પહેલ કોણ કરે?’ તેનો એક જ જવાબ છેઃ જે પોતાની જાતને વધારે બહાદુર માનતા હોય તે!

Saturday, August 23, 2008

Divya Sandesh from newpapers of Gujarat post blasts

AMRITA SHAH

(In the aftermath of Gujarat Bomb blast, Amrita Shah, a friend and senior writer-analyst from Mumbai, wanted to study the reactions of Gujarati newspapers, which were unusual to say the least. I sent her the material in English with some footnotes and here is the result- Urvish Kothari)

Gujarat Chief Minister Narendra Modi may have won kudos from the rest of India for his quick and responsible handling of a potentially volatile situation following the recent bomb blasts in Ahmedabad. But at home the response has been less enthusiastic. The vernacular press, which openly supported the pro-Hindutva forces at the time of the post-Godhra violence in 2002, so much so that Modi sent appreciative letters to fifteen publications, has been more ambivalent this time round. An analysis of Ahmedabad editions of major Gujarati newspapers Gujarat Samachar, Sandesh and Divya Bhaskar immediately following the blasts (July 27-31) for instance reveals a range of responses that mark a shift, both from the demagogic attitudes of 2002 – which moved the Editors Guild to rush a three-member team to Gujarat at the time -- and towards a leader whose efficacy and views have seemed unassailable over the last eight years.
On immediate sight, the shift seems imperceptible. The prominence given to Modi’s criticism of the central intelligence bureau and to his claim that the ‘Intentions of terrorists will not be allowed to be successful’ along with a photo story on the compensation of victim’s families indicates an administration in control. BJP leader L.K. Advani’s demand for an anti-terror law, a blast victim asking the Prime Minister to emulate Israel’s example in dealing with terrror and Extra Comment, a column in Sandesh also seem to endorse the press’s traditional hardline stance.

But.a closer look reveals a far less single-minded response. Indeed the dominant trend is critical rather than adulatory. The state administration is blamed for various failures, from not taking the modernization of madarsas seriously to the weakening of the state’s intelligence bureau by using it to spy on opposition leaders and protecting ‘cowardly’ leaders. A news item in Sandesh also suggests that communal policies may have destroyed links between Muslim police officers and informers.

It is the chief minister’s image as a guardian of Gujarat however that has proved to be a major liability for him in the post blast scenario. The Congress party’s allegation that the chief minister’s verbosity invited the blasts finds wide play. A statement from state BJP chief Purushottam Rupala made the day before the blasts : `There are no chances of terrorist attack in Gujarat as long as Modi .is there` further underscores the irony as does a two-column box item in Gujarat Samachar which claims :’CM’s boasting blown apart. Terrorists slapped the rulers by serial bombing.’ Even Divya Bhaskar the mildest in its reproaches admits that the state administration was unsuccessful in maintaining security without mentioning the chief minister by name.

The BJP has not gotten off easily either. Sandesh is critical of L. K. Advani, suggesting that he was rushing in to get sympathy in view of the approaching elections and accusing him of being overly preoccupied with his personal security. A column titled 'Chinee kam' in the paper even ridicules the party’s demand for an anti-terrorism law contrasting it unfavourably with Jaswant Singh’s trip to Kandhar.

In 2002, the Editors Guild found an influential section of the Gujarati press biased in favour of the majority Hindu community (the editor of Sandesh whose circulation rose by 150,000 in those traumatic months for instance, told the visiting team that ‘Hindu protection is my duty’). It also found a tendency to distort facts and towards sensationalism. In the recent context these tendencies have also been visible. Bold fonts and a liberal use of red in announcing the rise of terrorism in Gujarat Samachar and the prominence given to VHP’s counter threat in Sandesh seem geared towards an almost incendiary effect.

Speculation too has been rife. The involvement of a suicide bomber in the Civil Hospital blast is confidently asserted (with illustrations) and later denied. The blasts are claimed variously to be hatched in Baroda, Saudi Arabia and Ahmedabad’s Muslim stronghold Juhapura. CDs titled ‘Anarchist’s cookbook-4’ are said to be found in Umargam-Vapi in south Gujarat and chemicals for bombs are said to have been sourced from Ankleshwar. SIMI, Dawood Ibrahim, a maulvi from mangrol are among the suspected masterminds. The involvement of Hindu ‘gaddars’ is also suggested. And customary suspicions about madarsas – their lack of modernization, their financial sources -- are aired. Divya Bhaskar’s reportage veers towards the imaginative attributing the lucky escape in Surat being due to the discovery of a Ganesha idol placed with one of the bombs; the paper also draws an arbitrary profile of terrorists based on 12 traits including rebelliousness, cunning, confidence and so on.

Alongside the sensationalism and wild speculation however, surprisingly, (given the divisive rhetoric of 2002), are also pieces celebrating communal harmony. Sandesh’s Chinee Kam claims Muslims and Hindus want to stay peacefully but 'some misguided unholy organizations have blasted Ahmedabad to settle political scores'. Divya Bhaskar carries a picture of a Muslim Rakhi-maker with the claim that ‘Hindus and Muslims are woven like the threads of a rakhi’. Gujarat Samachar claims ‘terrorists don’t have any religion’ and reports on Hindus helped Muslim victims, quoting the saviours as saying : `think of us as your family members’ The paper also carries a story that talks of ‘operation face-saving’ following the bomb blasts, a rare, unequivocal criticism of the Crime Branch’s anti-minority bias in the mainstream press that talks of the predictable hunt for Muslim history sheeters, naming Maulvi Abdul Hamid of the Dani Limada area of Ahmedabad as being the first victim.of the Crime Branch’s ‘Vanzara pattern’, a reference to the celebrated encounter cop.

It is possible that the media coverage in the wake of the bomb blasts is more a response to a traumatic incident than a long term shift in perceptions that have dominated the state in recent years. Yet it may be a phenomenon worth watching.

(Amrita Shah is author of first ever full fledge biography of Dr.Vikram Sarabhai. She’s currently working on Ahmedabad. )

Wednesday, August 13, 2008

આતંકવાદનો સામનો છેતરામણી નારાબાજીથી

બોમ્બવિસ્ફોટ પછીના ગુજરાતમાં શાણપણ અને સ્વસ્થતાની સાથોસાથ શીખામણો, ઉપદેશો અને પડ્યા પછી ટંગડી ઉંચી રાખવાની ફેશનનો વાયરો પણ વાયો છે. સ્થાપિત - અને વિસ્થાપિત- હિતો પોતપોતાના એજેન્ડાને સદભાવના અને સામાજિક જવાબદારીમાં વીંટાળીને રજૂ કરી રહ્યાં છે.

‘એનડીટીવી ઇમેજિન’ની એક સિરીયલના કાલ્પનિક પાત્રથી માંડીને રાજકારણમાં સંદેહાસ્પદ ભૂમિકા ધરાવતાં વાસ્તવિક પાત્રો સહિત સૌ કોઇ ગુજરાતની પ્રજાને શાબાશી - શીખામણ- ઉપદેશ આપવા અને લગે હાથ પોતાનું કામ સાધી લેવા પ્રયત્નશીલ છે. ‘ગુજરાત-એક જોઇન્ટ ફેમિલી’ અને ‘આતંકવાદ નહીં તોડી શકે આપણા પ્રદેશને’ એવા સંદેશા સાથે સિરીયલનું જસુબેન નામનું પાત્ર મહાત્મા ગાંધીના ઓતારમાં કહે છે,‘સમય છે એકત્ર થવાનો.’ ‘એક’ થવા (સંપ કેળવવા) અને ‘એકત્ર’ થવા (એકઠા થવા) વચ્ચેનો ફરક ન જાણતા લોકોએ ઉપદેશ આપવામાં જરા સાવચેતી રાખવી જોઇએ અથવા પોતાની મૂળ ભાષા (અંગ્રેજી)માં જ ઉપદેશ આપવો જોઇએ એવું નથી લાગતું?
નાક કપાવાથી તંદુરસ્તી બગડે?
થોડા વખત પહેલાં ઓઆરજી-માર્ગ સર્વેક્ષણ ટાંકીને ગુજરાતના મુખ્ય મંત્રીને બિરદાવતાં ટચૂકડી સાઇઝનાં હોર્ડંિગ અમદાવાદમાં ઠેર ઠેર ફૂટી નીકળ્યાં હતાં. ખાસ ઊભાં કરાયેલાં આ હોર્ડંિગ પર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓથી માંડીને ખાનગી ક્લબો અને જાહેર ફિક્સરો સહિત ઘણા મુખ્ય મંત્રીને અભિનંદન પાઠવતા હતા. એક જાણીતા ગાયક કલાકારના ફાઉન્ડેશને ઉત્સાહમાં આવીને મુખ્ય મંત્રીની તસવીર સાથે લખાવ્યું હતું ‘મંદિરોમેં ઘંટ બાજે, મસ્જિદોંમેં હો અજાન, શેખ કા હરમ ઔર દિન-એ-બરહમન આઝાદ હૈ/ અબ કોઇ ગુલશન ના ઉજડે, અબ વતન આઝાદ હૈ’. વતન કોનાથી ઉજડ્યું હતું અને કોનાથી ‘આઝાદ’ છે, તેના વિશે ખુલાસો કરવાની ૨૦૦૨ પછીના ગુજરાતમાં જરૂર જોવામાં આવી ન હતી.

મુખ્ય મંત્રીના જયકાર માટે અસ્તિત્ત્વમાં આવેલાં અને આવ્યાં એવી જ રીતે પોતાનું કામ પૂરૂં કરીને અદ્રશ્ય થઇ ગયેલાં હોર્ડંિગ બોમ્બ વિસ્ફોટ પછી ફરી જોવા મળે છે. આ વખતે તેમનું કામ જરા વધારે પેચીદું છે. અગાઉની જેમ મુખ્ય મંત્રીનો સીધો જયજયકાર થઇ શકે તેમ નથી.

સૌથી પહેલું કામ કપાયેલા નાકની પ્લાસ્ટિક સર્જરી કરવાનું છે. એ કેવી રીતે થાય, તેનો એક નમૂનો ‘ચેમ્બર ઓફ કોમર્સ’ના એક હોર્ડંિગમાં જોવા મળે છે. તેમાં લખ્યું છેઃ ‘આતંકવાદ ગુજરાતની પ્રગતિ રોકી શકશે નહીં.’ આ વિધાન ‘નાક કપાવાથી શરીરની તંદુરસ્તીમાં કશો ફરક પડવાનો નથી ’ એ પ્રકારનું લાગે છે. કોણ કહે છે કે બોમ્બવિસ્ફોટ ગુજરાતની પ્રગતિ રોકવાના આશયથી કરવામાં આવ્યા છે? આતંકવાદીઓના સાચા ઇરાદાને બદલે પોતાને અનુકૂળ થાય એવા ઇરાદા જાહેર કરવા અને પછી એ ઇરાદામાં આતંકવાદીઓ નિષ્ફળ ગયા છે, એવી બડાશો હાંકવી, તેમાં ગુજરાતની પ્રજાની બેવડી કુસેવા થાય છે- અને આ બધાં હોર્ડંિગ જનહિતમાં પ્રકાશિત થાય છે!

‘સલામ છે ગુજરાતને’ એવું મથાળું ધરાવતા એક હોર્ડંિગનું લખાણ છેઃ ‘ન કરી શક્યા ગુજરાતને ભયભીત, ન તોડી શક્યા ગુજરાતની એકતા, ન રોકી શક્યા ગુજરાતનો વિકાસ. આતંકવાદનો કરશે સામનો ગુજરાતની હિંમતવાન અને નીડર જનતા.’ પહેલી નજરે પૌષ્ટિક અને નિર્દોષ લાગતા આ લખાણ વિશે સહેજ વિચાર કરતાં, તેનો ઘ્વનિ અને તેમાં રહેલો સંદેશો સમજી શકાય છે. ‘સલામ છે ગુજરાતને’ એ બરાબર, પણ કઇ ખુશીમાં સલામ? તેનો જવાબ છેઃ ‘ન કરી શક્યા ગુજરાતને ભયભીત.’ આ દાવાનું કોઇ માપ નથી. ગુજરાત ભયભીત થયું હતું કે નહીં, એ અમદાવાદ અને સુરતના રહીશો વધારે સારી રીતે કહી શકે.

છતાં, એ અભિનંદન સ્વીકારવા હોય તો બીજું વિધાન છેઃ ‘ન તોડી શક્યા ગુજરાતની એકતા.’ એ માટે ગુજરાતની જનતાને ખરેખર સલામ છે. થોડા ગુનેગારોનો ગુનો આખી કોમ પર ઓઢાડવાની ભૂલનું પુનરાવર્તન ન કરીને ગુજરાતે નવી આશા જગાડી છે. પરંતુ આ સિદ્ધિ માટે અત્યારે અભિનંદન આપવા નીકળી પડેલા લોકોએ ૨૦૦૨માં કઇ ભૂમિકા ભજવી હતી? એ વખતે તેમણે ગુજરાતની એકતાને જોડવાનું કામ કર્યું હતું કે તોડવાનું? ગુજરાતની એકતાની આટલી જ ચિંતા તેમણે એ વખતે સેવી હોત, તો ગુજરાતની તાસીર, ગુજરાતની સ્થિતિ જુદી હોત. ગુજરાતનાં ઘણાં શહેરો-ગામડાંનું કોમી ધોરણે વિભાજન થયું ત્યારે મૂક અથવા સક્રિય ટેકો આપનારા હવે ગુજરાતની એકતા વિશે હરખ કરે, ત્યારે પ્રજાને મળતાં અભિનંદન સાચાં હોવા છતાં આપનારની ગેરલાયકાતને કારણે એ સ્વીકારી શકાય તેમ નથી.

ત્રીજો દાવો છે ‘ન રોકી શક્યા ગુજરાતનો વિકાસ.’ વિસ્ફોટ થયે હજુ માંડ પખવાડિયું થયું, ત્યાં આ દાવો કેટલો હાસ્યાસ્પદ લાગે તે સમજાવવાની જરૂર લાગે છે? અને આગળ જણાવેલો મુદ્દો ઊભો જ રહે છે ઃ ત્રાસવાદીઓ ગુજરાતનો વિકાસ રોકવા પ્રયાસ કરે છે એવું કોણે કહ્યું?
પ્રજાને પટાવવાનો પ્રયાસ
મોટા ભાગનાં હોર્ડંિગમાં છૂપાયેલો ઘ્વનિ જોકે વધારે ચિંતાજનક છે અને તે રૂપાળા શબ્દોમાં પ્રજાના ગળે ઉતારી દેવાનો પ્રયાસ એથી પણ વધારે ગંભીર છે. એક હોર્ડંિગ કહે છે,‘ગુજરાતના વિકાસને આગળ વધારીએ. આતંકવાદનો સામનો કરીએ.’ ગુજરાતને સલામ કરતું હોર્ડંિગ કહે છે,‘આતંકવાદનો કરશે સામનો ગુજરાતની હિંમતવાન અને નીડર જનતા.’ ગુજરાતની પ્રજાને ‘ચણાના ઝાડ પર’ ચડાવતું આ વિધાન ઘ્યાનથી વાંચવા જેવું છે.

એક સમય હતો, જ્યારે ગુજરાતની પ્રજાને ફક્ત એક જ રાત જાગવાનું હતું અને બાકીના દિવસ મુખ્ય મંત્રી જાગતા રહેવાના હતા. એક સમય હતો, જ્યારે મુખ્ય મંત્રી મોતના સોદાગરોને ચુન ચુન કે મારવાના હાકોટા કરતા હતા અને ગુજરાતની પ્રજા પોતાના મુખ્ય મંત્રીનું વાણીશૌર્ય જોઇને પોરસાતી હતી. હવે એ મુખ્ય મંત્રી કયા મોઢે કહે કે ‘આતંકવાદનો સામનો તમારે કરવો પડશે?’ એટલે મુખ્ય મંત્રીની લાગણીનો પડઘો પાડતા હોય તેમ આ બધા શીખામણીયા શાંતિદૂતો પ્રજાને છાપરે ચડાવતાં કહે છે,‘તમે તો બહુ નીડર છો. તમે તો બહુ હિંમતવાન છો. આગળનું બઘું ભૂલી જાવ અને આતંકવાદનો સામનો તમે જ કરો.’

બુલેટપ્રૂફ બખ્તર નેતાઓ પાસે હોય, સુરક્ષા કર્મચારીઓના કાફલા નેતાઓ પાસે હોય, આખેઆખું પોલીસતંત્ર અને ગુપ્તચર તંત્ર નેતાઓ પાસે હોય અને આતંકવાદનો સામનો પ્રજા કરે! કેવી રીતે? તેનો જવાબ પ્રજાએ હોર્ડંિગ મુકનારા પાસેથી માગવો રહ્યો. હોર્ડંિગ પર મુકાયેલાં લખાણોનું ઝીણવટથી પીંજણ કરવાનું જરૂરી છે. સમસ્યાની ઓળખ જ સાચી નહીં હોય, તો તેનો મુકાબલો કરવા માટેની શીખામણો કે ઉપદેશો ગેરમાર્ગે દોરનારાં અને પ્રજા માટે ઉપયોગીને બદલે નુકસાનકારક સાબીત થશે. અહીં કરેલાં ‘વિચારવિસ્તાર’ પછી હવેથી રસ્તા પરનાં હોર્ડંિગ નજરે પડે ત્યારે તેમાં પ્રજાની બહાદુરીની કદર જરા ઘ્યાનથી વાંચજો. તેમાં જવાબદાર સત્તાધીશોનું બચાવનામું પણ વાંચી શકાશે.
આતંકવાદના મુકાબલાની માયાજાળ
આતંકવાદના મુકાબલાને નાકનો કે ગૌરવનો કે મિથ્યાભિમાનનો મુદ્દો બનાવવા જેવો નથી. ગુજરાતમાં બોમ્બધડાકા થયા, એવા જ ધડાકા બીજાં રાજ્યોમાં પણ થયા છે. (બધાં રાજ્યો પાસે ૨૦૦૨ જેવો, એક યા બીજી રીતે મન પર બોજ બની રહેનારો ભૂતકાળ નથી હોતો એ જુદી વાત છે)

ભારત જેવા દેશમાં આતંકવાદીઓને પહોંચી વળવું અઘરૂં છે. એટલે ગુજરાતમાં બોમ્બધડાકા થાય તે સામાન્ય સંજોગોમાં મુખ્ય મંત્રી માટે નાલેશીનું કારણ ન બન્યું હોત. પણ પોતાની કલ્પી લીધેલી તાકાતના પ્રભાવ હેઠળ તે બોલવામાં પ્રમાણભાન ચૂકતા રહ્યા, હવામાં તલવારો વીંઝતા રહ્યા અને ગુજરાતની શાંતિ માટે અપ્રમાણસરનો જશ લેતા રહ્યા. બોમ્બવિસ્ફોટથી તે વાસ્તવિકતાની ધરતી પર આવે, તો સ્વસ્થ મનોદશામાં ખોટા નિર્ણયો લેવાતા અટકશે અને વાતાવરણમાં સામાન્યતા જળવાઇ રહેશે. પરંતુ હજુ સુધી એ દિશાના સંકેત મળ્યા નથી.

બોમ્બવિસ્ફોટ પછી તરતના દિવસોમાં સુરતની મુલાકાતે ગયેલા મુખ્ય મંત્રીએ ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું,‘આતંકવાદ પ્રોક્સીવોર છે. દેશમાં યુદ્ધ જેવો માહોલ ઊભો ન થાય ત્યાં સુધી તેનો અસરકારક રીતે સામનો ન થઇ શકે.’ ‘યુદ્ધ જેવો માહોલ’ અને ‘અસરકારક સામનો’ આ બન્ને શબ્દપ્રયોગો સાંભળવામાં બહુ અકસીર, પણ અસલમાં બહુ છેતરામણા છે. યુદ્ધ જેવા માહોલમાં ખરેખર સર્જાય તો પ્રજા ખોફ, શંકા, આંધળુકીયાં, અવિશ્વાસ અને ઉચાટના મહોલમાં સરી પડે, પછી આતંકવાદને વચ્ચે વચ્ચે છમકલાં કરવા સિવાય બીજું કંઇ કરવાનું રહેતું નથી. પ્રજાના હૃદયમાં દહેશત ફેલાવવાનું કામ આપમેળે ‘ઓટો મોડ’માં થતું રહે છે.

અમેરિકા જેવો સમૃદ્ધ, સાધનસજ્જ અને સુરક્ષા પાછળ અબજોડોલર ખર્ચનારો દેશ તેના નાગરિકોને આતંકવાદ સામે શાંતિ કે સુરક્ષાનો અહેસાસ કરાવી શક્યો નથી, ત્યારે આતંકવાદના મુકાબલાના દાવા કરતી વખતે શાસકોના પગ ધરતી પર રહે તે જરૂરી છે. બાકી, શાસકો અને શીખામણશૂરા કહે કે ન કહે, આતંકવાદનો મુકાબલો કરવાનું પ્રજાના ભાગે જ આવે છે અને આવવાનું છે.

Monday, August 11, 2008

After Bomb-blast : Reinventing the Wheel

Bombs blasted from bicycles could not damage communal peace of Ahmedabad. Mostly because people didn't want riots. (should I add 'this time'?)
Here is an artwork by a close friend Pranav Adhyaru, who edits Gujarati weekly 'Abhiyaan' from Ahmedabad.
The copy reads : 'from violence to non-violence...Let peace prevail'
Perhaps the most memorable artwork post blast.
Congrates, Pranav.

Wednesday, August 06, 2008

ઝાડ પર લટકતા ન ફૂટેલા બોમ્બનો ઇન્ટરવ્યુ

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. પાણીનો વરસાદ પડે કે ન પડે, બોમ્બની- અને બોમ્બની અફવાઓની-વૃષ્ટિ થઇ રહી છે. અમદાવાદમાં બોમ્બ ફૂટ્યા. સુરતમાં તે ફૂટતા પહેલાં પકડાઇ ગયા. એક જમાનામાં ત્રાસવાદીઓને ‘ચુન ચુનકે’ મારવાની વાતો કરનાર ગુજરાતના મુખ્ય મંત્રીની પોલીસ અને પ્રજા અત્યારે તો ‘ચુન ચુનકે’ બોમ્બ વીણી રહી છે. ગુજરાતની ધરતી ‘સુજલામ્ સુફલામ્’ને બદલે ‘સુધડામ, સુભડામ’ બની ગઇ હોય એવું લાગે છે. ઝાડ પર જરઝવેરાત લટકતાં હોય એવાં દ્રશ્યો ઘણી બાળવાર્તાઓ અને પરીકથાોમાં આવતા હતા. પણ ગુજરાતનાં બાળકો માટે ઝાડ પરથી બોમ્બ લટકતા મળી આવે છે- અને એ પરીકથા નથી. વાસ્તવિકતા છે.

આખી ગરમાગરમીના કેન્દ્રમાં રહેલા બોમ્બમાં જીવ આવે અને એવો ‘જીવતો’ બોમ્બ કોઇ ઝાડ પરથી લટકતો મળી આવે તો?

ખબર છે. સૌથી પહેલો વિચાર પોલીસ સ્ટેશને ફોન કરીને એકવીસ હજાર રૂપિયાની રોકડી કરવાનો આવે. પણ ત્યાર પછી ‘જીવતા’ બોમ્બ સાથે વાતો કરવાની તક મળે તો કેવા પ્રકારની વાતચીત થાય?
***
પ્રશ્ન: તમારો જન્મ ક્યાં થયો હતો?
બોમ્બ: આ ઇન્ટરવ્યુ છે કે ઇન્ટરોગેશન (તપાસ)?
પ્ર: ઇન્ટરોગેશન હોત તો મારે પૂછપરછ કરવાની જરૂર જ ક્યાં હતી? મારે તમને જે સાબીત કરવા હોય, તે સાબીત કરી દેતાં મને ક્યાં નથી આવડતું? પણ એ જવાબદારી પોલીસની છે. આ માત્ર ઇન્ટરવ્યુ જ છે.
બોમ્બ: જાણીને દુઃખ થયું. મેં સાંભળ્યું હતું કે પૂછપરછ કરનારા ઊંદરને વાઘ બનાવીને, પોતે ‘વાઘમારે’ બની જાય છે. મને હતું કે એ લોકો મને પણ સાદા તકલાદી બોમ્બને બદલે મહાવિસ્ફોટક બોમ્બ તરીકે ઓળખાવશે અને મારી ભયંકર છબી ઊભી થશે...
પ્રઃ તમારી નિખાલસતા કાબિલે દાદ છે. તમે પોતે જ પોતાની જાત વિશે ‘તકલાદી’ જેવું વિશેષણ વાપરો છો. અમારી સરકારને તમારી થોડી નિખાલસતા ઉછીની આપશો?
બોમ્બઃ સરકાર નિખાલસ થશે, તો બિચારા માહિતીખાતા પાસે શું કામ રહેશે? એટલે એ વાત જવા દે. મુદ્દાની વાત કર.
પ્રઃ એ જ તો કરતો હતો. તમારો જન્મ ક્યાં...?
બોમ્બ (સવાલ અધવચ્ચેથી કાપીને): મારા જન્મ વિશે શું કહું? તમને કોઇએ કહ્યું નથી કે બાવાનું અને બોમ્બનું મૂળ ન પૂછાય? ના કહ્યું હોય તો હું કહી દઊં છું...
પ્રઃ ઓકે. પહેલો સવાલ છે, એટલે આવો ઉડાઉ જવાબ માન્ય રાખું છું. તમને અહીં કોણ લાવ્યું?
બોમ્બઃ (મોટા અવાજે) એટલે તમે શું કહેવા માગો છો? એમ જ ને કે મને આતંકવાદીઓ નહીં, પણ તકવાદીઓ અહીં લાવ્યા છે અને સરેઆમ રઝળતો મુકી ગયા છે, જેથી લોકો મને શોધી શકે...
પ્રઃ તમે બહુ ગરમ મગજના છો.
બોમ્બઃ એટલે તો બોમ્બ છું. નહીંતર બરફ ન હોત? એકસાથે બોમ્બ અને બરફ બનવાનું રાજકારણમાં ચાલે, ત્રાસકારણમાં નહીં.
પ્રઃ વાહ, તમે તો ચિંતક જેવું બોલો છો.
બોમ્બઃ આટલી ચબરાકીમાં તમને ચિંતન દેખાઇ ગયું? તો એ માપ પ્રમાણે તારે મને બોમ્બને બદલે એટમબોમ્બ ગણવો જોઇએ.
પ્રઃ ખરેખર કહું છું. તમે આમ રસ્તે રઝળવાને બદલે ચિંતન અને પ્રેરણાના માર્કેટમાં આવી જાવ. બહુ મોટું બજાર છે. તેમાં ફૂટી ગયેલી તોપોથી માંડીને હવાઇ ગયેલી ટીકડીઓ સુધી ઘણા પોષાય છે...
બોમ્બઃ તું મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે કે મને કામધંધે લગાડવા?
પ્રઃ સારૂં. તો આપો જવાબ. તમને રાજકારણમાં રસ છે?
બોમ્બઃ ના, પણ રાજકારણીઓને મારામાં રસ છે. તે મારા નામે મત ઉઘરાવવા હંમેશાં પ્રયત્નશીલ હોય છે.
પ્રઃ તમારી સાર્થકતા શામાં છે? ફુટવામાં કે ન ફુટવામાં?
બોમ્બ (‘હે વત્સ!’ની શૈલીમાં) ઃ મારી સાર્થકતા જાણતા પહેલાં તું મારી જીવનફિલસૂફી જાણ, જેથી તારા મનમાં આવા ઉટપટાંગ સવાલો ન જાગે. મારું જીવનસૂત્ર છેઃ ‘બનાવે કોઇ, ફોડે કોઇ અને મરે કોઇ.’ આટલામાં સમજી જા.
પ્રઃ ખરૂં કહું છું. માની જાવ. તમે ચિંતનમાં ચાલી જાવ એમ છો..
બોમ્બઃ પણ હજી મને ફૂટી તો જવા દે. ત્યાં ટકી રહેવા માટે ફૂટી ગયેલા બોમ્બનું ખોખામાં ચોંટેલો હોય એટલો દારૂગોળો જ પૂરતો છે.
પ્રઃ હવે સરકિટ વિશે થોડી વાત કરો.
બોમ્બઃ મારૂં ખાતું પણ મુન્નાભાઇ જેવું છે. સરકિટ વિના મારા જીવનમાં અંધારૂં. સરકિટ ન ચાલે તો મારી કશી કિંમત નહીં. મારી બધી ભાઇગીરી સરકિટ પર આધારિત છે. આ વખતે સરકિટ ચાલી નહીં, એટલે મારે ફૂટવાને બદલે તારા સવાલોના જવાબો આપવા પડે છે.
પ્રઃ બોમ્બ તરીકે તમે હંમેશાં જમીન પર રહેવા ટેવાયેલા છો. ઝાડ પર લટકવાનો અનુભવ કેવો રહ્યો?
બોમ્બઃ બોરિંગ. હવે ફરી હું કહી દેવાનો છું કે મને લટકાવવો હોય તો ફાંસીએ લટકાવજો, પણ ઝાડ પર ન લટકાવશો.
પ્રઃ વાહ, તમે નેતા જેવું વિધાન કર્યું. અમારા નેતાઓ વાતવાતમાં કહેતા હોય છે,‘મારી પરનો આરોપ પુરવાર થાય તો મને ફાંસીએ લટકાવજો.’
બોમ્બઃ તમે વારે વારે નેતાઓને વચ્ચે લાવીને મારી લાગણી શા માટે દુભવો છો? આખરે મારી વિનાશક શક્તિ કેટલી? મારી મારીને હું કેટલા માણસોને મારવાનો હતો? જ્યારે તમારા નેતાઓનાં કારસ્તાનથી કેટલાં માણસો મરે છે? તોય તમે નેતા કરતાં બોમ્બથી વધારે ગભરાવ છો. તમારાં ધોરણ મને સમજાતાં નથી.
પ્રઃ આમ ફુટ્યા વગર જીવ્યા કરવાનું કેવું લાગે છે?
બોમ્બઃ આ લાયકાત મુખ્ય મંત્રીના ઘ્યાન પર આવશે, તો વહેલામોડા ગુજરાતના મંત્રીમંડળમાં આપણો નંબર લાગવાનો પૂરેપૂરો ચાન્સ છે. એમને કહેજે, આપણને ગૃહખાતું ચાલશે.
પ્રઃ છેલ્લો સવાલ. એનો સાચો જવાબ આપજો. તમારા થકી ઘણા નિર્દોષોનાં મૃત્યુ થાય છે. અનેક કુટુંબો ઉજાડવા માટે તમે સીધી કે આડકતરી રીતે જવાબદાર છો. તમારી તાકાતના, ઘૂનના અને કર્મઠતાના કેફમાં તમે આંખે પાટા બાંધી દો છો અને તમારી મમતને કારણે થતું નુકસાન જોઇ શકતા નથી. તમે માનો છો કે તમને તમારૂં કામ કરતાં કોઇ જ રોકી શકે એમ નથી...
બોમ્બ (અધવચ્ચેથી અટકાવીને) : એક મિનીટ, એક મિનીટ. કંઇક ગેરસમજણ થતી લાગે છે. તમે મુખ્ય મંત્રીનો નહીં, મારો- એક બોમ્બનો, ઝાડ પરથી મળેલા જીવતા બોમ્બનો- ઇન્ટવ્યુ લઇ રહ્યા છો...
આ સંવાદ સાથે જ ઇન્ટરવ્યુનો અવિધિસરનો અંત આવે છે.

Friday, August 01, 2008

આંખનું કાજળ ગાલે # 3 : આંખનું કાજળ દાઢીએ?

ગુજરાતના મુખ્ય મંત્રી સુરતમાં ફરી રહ્યા હતા. એક તરફ સુરતમાંથી બધા બોમ્બ મળી આવે અને પાંચ જણની બોમ્બસ્ક્વોડ તેમને ડીફ્યુઝ ન કરે ત્યાં સુધી ફૂટે નહીં, એ સિલસિલા પ્રત્યે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહયા છે, ત્યારે મુખ્ય મંત્રીએ કહેલી બે વાત, તેના અર્થ ઉઘાડીને, અહીં મુકવા જેવી લાગે છેઃ
મુખ્ય મંત્રીઃ દેશભરમાં અગાઉ 11 આતંકવાદી હુમલા થયા છે. ગુજરાતમાં થયેલો હુમલો બારમો છે. એટલે એ અગાઉના હુમલાની જ એક કડી છે.
અર્થઃ ગુજરાતના બોમ્બધડાકા સંદર્ભે- કે બીજી કોઇ પણ રીતે- 2002નો ઘટનાક્રમ અને તેમાં મુખ્ય મંત્રીની કે સરકારની ભૂમિકા વિશે હરફ પણ ઉચ્ચારવો નહીં. આતંકવાદીઓના કહેવાતા ઇ-મેઇલમાં 2002ની વાત આવે તો પણ નહીં.
ગુજરાત દેશનો જ એક હિસ્સો છે, જે અત્યાર સુધી મુખ્ય મંત્રી ભૂલી ગયા હતા, પણ ધડાકાથી તેમની નીંદર ઉડી અને ઠીક યાદ આવ્યું...
અત્યાર સુધી દેશમાં ધડાકા થતા હતા ત્યારે મુખ્ય મંત્રી એમ માનીને મુસ્તાક હતા કે ‘2002માં મુસ્લિમોને આપણે એવો પાઠ શીખવ્યો છે કે હવે કોઇ આઘાપાછા નહીં થાય.’ હવે ધડાકા થયા છે. શું કરવાનું?
મુખ્ય મંત્રીઃ આતંકવાદ પ્રોક્સીવોર છે. દેશમાં યુદ્ધ જેવો માહોલ ઊભો ન થાય ત્યાં સુધી તેનો અસરકારક રીતે સામનો થઇ શકે નહીં.
અર્થઃ ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે શું, તે કવિ કહેશે જરા? ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે સરકાર કરે તે સાચું અને નાગરિકોએ કશું બોલ્યા વગર ચૂપચાપ પોતાના તમામ અધિકારો ‘રાષ્ટ્રની સુરક્ષા કાજે’ સરકારના ચરણે ધરી દેવાના.
- તો પછી આસારામ એન્ડ કંપની સામે પગલાં લેવા માટે પણ ‘યુદ્ધ જેવો માહોલ’ સર્જાય ત્યાં લગી રાહ જોવી પડશે કે શું?

આંખનું કાજળ ગાલે # 2 : 26 તારીખના ધડાકા અને સૂરસૂરિયાં


અમદાવાદમાં 26 જુલાઇના રોજ બોમ્બધડાકા થયા, તેના બીજા દિવસે ‘દિવ્ય ભાસ્કર’ના પહેલા પાને એક લખાણ પ્રગટ થયું હતું. ત્યાર પછી અમદાવાદ સહિત ગુજરાતમાં એસએમએસ પણ ફરતા થઇ ગયા. તેનો સૂર હતોઃ બધી ખરાબ ઘટનાઓ 26મી તારીખે જ બને છે. કેવો યોગાનુયોગ?
પણ યોગાનુયોગ ઊભો કરવાના ઉત્સાહમાં જબરો ગોટાળો થયો. બે ન ભૂલાય એવી તારીખો ખોટી લખાઇ. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવવાની તારીખ હતીઃ 27 ફેબ્રુઆરી. એ જ રીતે મુંબઇ બોમ્બબ્લાસ્ટની તારીખ હતીઃ 11 જુલાઇ. છતાં એ બન્ને બનાવો 26 તારીખે બન્યા હોવાનું ભાસ્કરના છપાઇ ગયું અને એસએમએસ પણ ફરતા થઇ ગયા.
આ દુર્ઘટના 26મીએ નહીં, પણ 27મી એ બની!

Tuesday, July 29, 2008

સાવધાન, બોમ્બવિસ્ફોટથી થયેલા નુકસાનનો ફાયદો બીજું કોઇ ન ઉઠાવી જાય

શ્રેણીબઘ્ધ બોમ્બધડાકા- આ શબ્દ અને તેની સાથે સંકળાયેલો ખૌફ ઘણા સમયથી મુંબઇ-દિલ્હીની હદ છોડી ચૂક્યાં હતાં. હવે તે ધડાકાભેર અમદાવાદ મારફત ગુજરાતમાં પ્રવેશ્યાં છે. ધડાકાથી થતી જાનમાલની ખુવારી મોટી હોય છે. સાથોસાથ, પ્રજાના મનમાં ભયની વૃત્તિ ઘર કરી જાય અને લોકો ઉચાટમાં જીવતા થઇ જાય એ નુકસાન પણ નાનું નથી હોતું. ઉચાટગ્રસ્ત અને અસલામત મનોદશા ધરાવતી પ્રજાને તમામ પ્રકારના નેતાઓ બહુ સહેલાઇથી પોતાના ફાયદામાં વાળી શકે છે. પ્રજાકીય હિતને માથે તોળાતા આ જોખમ સામે ક્યાંય રેડ એલર્ટ જાહેર કરવામાં આવતી નથી. એટલા માટે એ વધારે ખતરનાક છે.

બોમ્બધડાકાનો બેવડો ફટકો
બોમ્બધડાકા જેવી ઘટના બને એટલે સૌથી મોટું નુકસાન નાગરિકોના જીવનું હોય છે. ભારત જેવા દેશમાં નાગરિકોના જીવની ‘કિંમત’ બહુ હોતી નથી. ગરીબોના જીવની તો લગભગ નહીંવત્. મૃતકો વિશે બીજા લોકો આંકડાની રીતે વિચારે છેઃ ‘ત્રીસ-ચાળીસ બહુ ન કહેવાય. સો-દોઢસો હોય તો મામલો ખરેખર ગંભીર કહેવાય.’ હકીકતમાં એક મૃત્યુ થાય તો પણ એક આખો પરિવાર ભાંગી પડે એવું બની શકે છે. બીજું નુકસાન જાહેર અને ખાનગી સંપત્તિનું હોય છે. ઉપરાંત માનસિક આઘાત પણ ખરો.

આટલા બધા મોરચે ફટકા પડ્યા હોય, ત્યારે શાણપણ એમાં છે કે ખાતર પર દીવો ન થાય. જેટલું નુકસાન થઇ ચૂક્યું છે, તેની પાછળ વધારે નુકસાન ન થવા દઇએ, પ્રજાને થયેલા નુકસાનમાંથી બીજું કોઇ ફાયદો ઉઠાવવાની કોશિશ કરે તો તેને સફળ ન થવા દઇએ, તેને ઉત્તેજન ન આપીએ અને તેના ચગડોળે ન ચડીએ. પહેલી નજરે સરકારી સૂચના જેવી લાગતી આ વાત ઠંડા કલેજે વિચારવા જેવી છે. કારણ કે અમદાવાદમાં વિસ્ફોટોને કારણે થયેલી ખુવારી પછી, તેના ‘આફટરશોક’ જેવા વધારાના નુકસાનનો દૌર ચાલુ થઇ શકે છે.
ધડાકા અમુક પક્ષે કરાવ્યા કે તમુક બાવાએ કરાવ્યા, એવાં અનુમાનો ઉછાળવાનો આ સમય નથી. કેમ કે, એવા આરોપ કદી અટકળ કે ગુસપુસથી આગળ વધી શકતા નથી. તેમની સચ્ચાઇ વિવાદાસ્પદ રહેતી હોવાથી એમાં સમય બગાડવાનો અર્થ નથી. પ્રજાકીય દ્રષ્ટિકોણથી જરા જુદી રીતે આ બાબતનો વિચાર કરી શકાયઃ અમદાવાદના બોમ્બવિસ્ફોટોથી કોને કોને ફાયદો મળી શકે એમ છે? અને એ લોકો બોમ્બસિફોટ જેવી કરૂણ ઘટનાનો ફાયદો ખાટી ન જાય, તે માટે આપણે શું કરી શકીએ?
કોને ફાયદો?
‘બોમ્બધડાકાનો ફાયદો? એ કેવી રીતે લેવાય?’ એવું પૂછવા જેટલું ભોળપણ હવે લોકોમાં રહ્યું નથી. એટલે સીધા મુદ્દાની વાત પર આવીએ. સવાલ એ નથી કે ‘બોમ્બધડાકામાંથી કોણ કોણ ફાયદો લેવા માગે છે?’ જાગ્રત નાગરિક તરીકે વિચારવાની વાત એ છે કે ‘બોમ્બધડાકાથી કોને કોને ફાયદો થઇ શકે? અને કેવી રીતે?’

ગુજરાત સિવાય બીજું કોઇ પણ રાજ્ય હોત, તો ધડાકાનો ફાયદો મેળવનારની યાદીમાં સૌથી પહેલું નામ વિરોધપક્ષનું આવ્યું હોત. સામાન્ય રિવાજ પ્રમાણે, જેના શાસનમાં બોમ્બધડાકા થાય તે મુખ્ય મંત્રી અને સરકાર પર વિપક્ષો નિષ્ફળતાનો આરોપ મુકે છે. આ રિવાજ માટે મુખ્યત્વે પ્રજા પ્રત્યેની નિસબત નહીં, પણ હરીફને ભીડાવવાની વૃત્તિ કારણભૂત હોય છે.

પણ ગુજરાતમાં અવળી ગંગા (કે નર્મદા) છે. ગુજરાતમાં બઘું ધડાકાભડાકા વગર સમુંસૂતરું ચાલે, તો મુખ્ય મંત્રી શાંતિ જાળવી રાખ્યાનો જશ મેળવે છે અને બોમ્બધડાકા થાય તો તે આતંકવાદીઓનું નિશાન બનવા બદલ સહાનુભૂતિ અને ‘આતંકવાદીઓને (પકડ્યા પહેલા) નહીં છોડીએ’ની વાતો કરીને અહોભાવ ઉઘરાવી શકે છે.

છેલ્લા થોડા સમયથી ગુજરાતના મુખ્ય મંત્રી કદાચ અત્યારના સુધીના તેમના શાસનકાળનો સૌથી કપરો સમય વીતાવી રહ્યા છે. તેમની પર રાજકીય આફતો ઘણી આવી ને ગઇ, પણ પ્રજાકીય વિશ્વાસનું સ્તર આટલું નીચું કદી ગયું નથી. આસારામના મુદ્દે મૌન, ઢીલાશ અને પ્રજાને બદલે પ્રજા પર હુમલો કરનાર આસારામ એન્ડ કંપનીને રક્ષણ પૂરું પાડવાના મુખ્ય મંત્રીના વલણથી તેમના ઘણા ચુસ્ત સમર્થકો પણ નારાજ થયા છે. તેમનો અહોભાવ સાવ ઓસરી ગયો નથી. પણ સાડા પાંચ કરોડ ગુજરાતીઓના હિતનો દાવો કરતા મુખ્ય મંત્રીનું આ સ્વરૂપ જોઇને તેમને લાગે છે કે ‘આસારામ મુદ્દે પ્રજાહિત અને લોકલાગણીની ધરાર અવગણના મુખ્ય મંત્રી કેવી રીતે કરી શકે?’ આમ, આસારામની સાથોસાથ મુખ્ય મંત્રી પણ પ્રજાના રોષનું કેન્દ્ર બની રહ્યા હતા. બોમ્બધડાકા પછી એ કેન્દ્ર બદલાય અને પ્રજાનો સઘળો રોષ ત્રાસવાદીઓ તરફ, પોટાનાબૂદી તરફ અને અફઝલ ગુરુની ફાંસી જેવા મુદા તરફ કેન્દ્રીત થઇ જાય, તો આસારામ પ્રકરણમાં મુખ્ય મંત્રીની પ્રજાવિરોધી ગણાયેલી ભૂમિકા વિસરાઇ જાય.

આસારામના કહેવાતા સાધકોના ત્રાસ, અત્યાચાર અને ગોરખધંધાના મુદ્દે, ઘણા વખત પછી અમદાવાદમાં અને ગુજરાતમાં લોકોના વિરોધનું મજબૂત વાતાવરણ જામ્યું હતું. પ્રજાનો મિજાજ એટલી હદે ઉગ્ર બન્યો હતો કે ગાંધીનગર જઇને મુખ્ય મંત્રીના હાથે પારણાં કરી આવેલા મૃત બાળકના પિતાને મુખ્ય મંત્રી સાથે કરેલું સમાધન ફોક કરીને ઉપવાસ ચાલુ રાખવા પડ્યા. અઘ્યાત્મના અંચળા હેઠળ ચાલતી આસારામ એન્ડ કંપનીની દાદાગીરી સામે વર્ષોથી ખદબદતો રોષ છેવટે બહાર આવ્યો હતો. આસારામ અમદાવાદથી દિલ્હી પહોંચે ત્યાર પછી જ અમદાવાદ આશ્રમમાં પોલીસની ફોજ ઉતારવા જેવી સરકારી નીતિ છતાં, આસારામની પ્રવૃત્તિઓ પ્રત્યે લોકોના રોષની ભીંસ મજબૂત બની રહી હતી.
- અને બોમ્બધડાકા થયા.

હવે અત્યાર સુધી ઊભો થયેલો લોકજુવાળ બહારના અજ્ઞાત ત્રાસવાદીઓ તરફ ફંટાઇ જશે? એવું થાય તો ધડાકાનો સૌથી મોટો ફાયદો આસારામને થશે. બોમ્બધડાકાનું નુકસાન પ્રજાએ વેઠ્યું. હવે એ નુકસાનનો ફાયદો આસારામને થવા દેવો કે નહીં, તે પ્રજાએ નક્કી કરવાનું છે.

ત્રાસવાદવિરોધનું રાજકારણ અને વાસ્તવિકતા
ત્રાસવાદી હુમલા થાય ત્યારે નેતાઓને પ્રજાની ચિંતા કરતાં પોતાના પક્ષને બચાવવાની અને વિપક્ષોને દોષી ઠરાવવાની તાલાવેલી વધારે હોય છે. ત્રાસવાદ નાથવો એ કોઇ રાજકીય પક્ષનું નહીં, પણ રાજકારણથી પર એવું રાષ્ટ્રિય કક્ષાનું કામ છે. છતાં, ત્રાસવાદી હુમલાની ડમરી શમે તે પહેલાં રાજકારણ ખેલાવાનું શરૂ થઇ જાય છે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હોય કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર, કોઇએ ત્રાસવાદને નાથવામાં બીજાને ભાંડી શકાય એવું કશું પોતે ઉકાળ્યું નથી. હકીકતમાં, એકબીજાને ભાંડવાની વૃત્તિને કારણે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે યોગ્ય સંકલન સધાઇ શકતું નથી. પરિણામે ત્રાસવાદીઓને ફાવતું જડે છે. આટઆટલા ત્રાસવાદી હુમલા છતાં એકેય પક્ષ રાજકીય મતભેદ ભૂલવા જેટલી પુખ્તતા બતાવી શક્યો નથી, એ ત્રાસવાદી હુમલા જેટલી જ અફસોસની વાત છે.
ત્રાસવાદી હુમલા કોઇ રાજકીય પક્ષ પર નહીં, પણ દેશ પર અને દેશની પ્રજા પર થાય છે. પ્રજાનું મનોબળ તૂટી જાય અને તે દહેશતમાં જીવતી થઇ જાય, એ ત્રાસવાદીઓનો મુખ્ય હેતુ હોય છે. સામસામી આરોપબાજી કરીને રાજકીય પક્ષો પોતાની રીતે ત્રાસવાદનાં મૂળીયાં મજબૂત કરવામાં ફાળો આપે છે.

ત્રાસવાદી હુમલામાંથી રાજકીય પક્ષો એન્કાઉન્ટર જેવી ગુનાખોરી કે મુસ્લિમો પ્રત્યેનો દ્વેષ વાજબી ઠેરવવા જેવા રોટલા શેકી લે છે. વર્તમાન મુખ્ય મંત્રીના રાજમાં બાજુ પર હડસેલાઇ ગયેલા ભૂતપૂર્વ હિંદુહિતરક્ષકો નવેસરથી ધિક્કારનું રાજકારણ ખેલવા મેદાને પડે છે. બોમ્બવિસ્ફોટમાં થયેલા નુકસાન પછી, પોતાનો ધંધો કરવા ઈચ્છતા નેતાઓને આપણી હાલાકીમાંથી ફાયદો ઉઠાવવા દેવો કે નહીં તે પણ પ્રજાએ નક્કી કરવાનું છે.

ત્રાસવાદ સામેની લડાઇ લાંબી છે. પ્રજામાં આંતરિક અવિશ્વાસ હોય ત્યાં સુધી એ લડાઇ અસરકારક રીતે લડી શકાતી નથી. પ્રજાના સમુહો વચ્ચે અવિશ્વાસ વધારનારા નેતાઓ એક રીતે ત્રાસવાદીઓના મદદગાર બને છે. પોલીસ અને ઈન્ટેલીજન્સની પૂરી ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે, મહદ્ અંશે પોતાના ફાયદા માટે એ તંત્રનો ઉપયોગ કરનારા નેતાઓ ત્રાસવાદી સામે લડાઇના ખોંખારા ખાય ત્યારે તેમનો અભિનય જોવાલાયક હોય છે.

અમદાવાદમાં બોમ્બધડાકા કરનારાએ આતંક ફેલાવવાનો હેતુ સિદ્ધ કરી લીધો છે. હવે એ જ ધડાકામાંથી બીજા કોણ કેવી રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે, એ જોવા-જાણવા બહુ રાહ નહીં જોવી પડે.

Sunday, July 27, 2008

Ahmedabad shattered : Tiffins, Bicycles and Bombs

Blasts rocked Maninagar and many other suburbs of Ahmedabad yesterday evening.
I took train from Maninagar Station- few yards away from 2 blast sites- aprox 30 minutes after the blasts took place.
As I was not aware of the gravity and spread of the incidence at that time, I wasn't worried much. Only after getting news of more more blasts, sense of grief increased.
Initially, phonelines jammed. Purvi Gajjar, a close friend from Australia, was first to call. Other friends & wellwishers followed.
Thanks for all your concern and warmth.
Aftershocks of bomb-blast will continue to rock public life of gujarat.
Check this blog regularly to have an insight.