Showing posts with label law. Show all posts
Showing posts with label law. Show all posts

Tuesday, December 17, 2019

સિટીઝન અમૅન્ડમૅન્ટ બિલ (CAB), ૨૦૧૯ : અગત્યના મુદ્દા

( ઉર્વીશ કોઠારી, 'નિરીક્ષક', ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯માંથી)
ભારતીય નાગરિકતાના એક નિયમમાં પાયાનો ફેરફાર કરતો ખરડો લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થઈ ગયો છે.

સંસદીય લોકશાહીની કલ્પના થાય ત્યારે તેમાં એક ભયસ્થાન હોય છેઃ Brute Majority/આંકડાકીય બહુમતીનું નકરી દાદાગીરી જેવું જોર. વર્તમાન સરકાર પાસે એવી બહુમતી છે. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાસે પણ એવી બહુમતી હતી. આવી બહુમતી હોય ત્યારે, કેવળ સંખ્યાના જોરે (અલબત્ત લોકોના નામે) સરકાર ઇચ્છે તેવો કાયદો બનાવી શકે. તેમાં બે જ અડચણ હોયઃ ૧) રાષ્ટ્રપતિ સહી કરે તો જ ખરડો કાયદો બને. રાષ્ટ્રપતિ પોતાના નીમેલા હોય, તો આ અડચણ રહેતીનથી. ૨) કાયદો ઘડવાની સર્વોપરી સત્તા સંસદ પાસે છે. છતાં, તે બ્રુટ મેજોરિટીના જોરે બંધારણના હાર્દથી વિપરીત કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારી શકાય છે અને સર્વોચ્ચ અદાલત તે કાયદાને રદબાતલ કરી શકે છે. (યાદ આવે છે ત્યાં સુધી, રાજીવ ગાંધીની સરકાર ડીફેમેશન બિલ લાવી હતી. પણ તેનો વ્યાપક લોકવિરોધ થતાં એ ખરડો પડતો મૂકવો પડેલો. તેનું એક કારણ એ પણ હતું કે તેમાં રેલો સીધો છાપાં-મેગેઝીન પર આવતો હતો.) ત્રીજી સંભવિત અડચણ હોઈ શકે લોકોનો વિરોધ.

વર્તમાન સરકારે નાગરિકતાને લગતા કાયદામાં ફેરફાર બંને ગૃહોમાંથી પસાર કરાવી દીધો, તેનો ઠીક ઠીક વિરોધ થયો છે—અને વર્તમાન સરકારની કાર્યપદ્ધતિની ખાસિયત પ્રમાણે, એ વિરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે. એ સંજોગોમાં આ ખરડાનો વિરોધ કેમ થયો એ સમજવું જરૂરી બની જાય છે. આ ખરડા થકી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ડિસેમ્બર, ૨૦૧૪ સુધી ભારતમાં વસેલા અને ભારતની નાગરિકતા ન ધરાવતા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકપદું આપવામાં આવશે. આ યાદીમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી છે.

કાયદામાં થયેલા આ ફેરફાર (અમૅન્ડમૅન્ટ) પ્રત્યે વાંધાનાં મુખ્ય બે સાવ જુદા જુદાં કારણ છેઃ

૧) બીજા દેશોમાંથી આશ્રય લેનાર કે ઘૂસણખોરી કરનારને ધર્મના આધારે નાગરિકતા આપવાનો નિર્ણય. ભારતના બંધારણ પ્રમાણે અને ભારતની પરંપરા પ્રમાણે ધર્મ એ નાગરિકતાનો આધાર બની શકે નહીં અને બનવો પણ જોઈએ નહીં. એ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં બનતો હોય તો ભલે, પણ ભારતમાં તો નહીં જ. માટે, આ બાબતની ઉગ્ર ટીકા થઈ રહી છે.

૨) ઇશાન ભારતનાં રાજ્યોમાં પ્રશ્ન જુદો છે. ત્યાંની મુખ્ય ચિંતા સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાનિક વસ્તીનું પ્રમાણ જાળવવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમને (દા.ત. આસામને) મુસ્લિમ બાંગ્લાદેશીઓ જેટલો જ વાંધો હિંદુ બાંગ્લાદેશીઓ સામે પણ છે. કેમ કે, સવાલ ફક્ત હિંદુ-મુસ્લિમનો નહીં, આસામી સંસ્કૃતિ વિરુદ્ધ બંગાળી સંસ્કૃતિનો પણ છે. એવી જ રીતે, ઈશાન ભારતમાં બીજે, બિનમુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવે તેના કારણે, સ્થાનિક જાતિઓ અને સમુદાયોના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર થશે અને સરવાળે સ્થાનિકોનું મહત્ત્વ ઘટી જશે, એવી બીક વિરોધનું મુખ્ય કારણ છે. મણિપુરમાં નવી જોગવાઈ લાગુ નહીં પડે, તેવી સ્પષ્ટતા છતાં ત્યાંના લોકોને સરકાર પર ભરોસો નથી. એટલે તે પણ વિરોધ કરી રહ્યા છે.

આમ, કહી શકાય કે સરકારે જુદાં જુદાં કારણ, જુદી જુદી ગંભીરતા અને જુદી જુદી અસરો ધરાવતા બે મોરચા એક સાથે ખોલી નાખ્યા છે. આવું કરવાની શી જરૂર હતી? તેના બે-ત્રણ જવાબ છે.
*
બાંગલાદેશી ઘુસણખોરો એ ભાજપનો-સંઘ પરિવારનો પ્રિય મુદ્દો છે. અલબત્ત, તેમની ઘુસણખોરોની વ્યાખ્યામાં ફક્ત મુસ્લિમ ઘુસણખોરો આવે છે, જ્યારે આસામી લોકોને બાંગલાદેશથી ગેરકાયદે આવેલા મુસ્લિમ અને હિંદુ બન્ને ઘુસણખોરો સામે વાંધો છે. મુસ્લિમોની સંખ્યા ઘણી મોટી છે, એટલે અને પરંપરાગત કારણોસર તેમની સામે વાંધો પણ મોટો હોય. હિંદુઓની સંખ્યા નાની છે. એટલે ‘બધા મુસ્લિમ ઘુસણખોરોને નાગરિકતામાંથી બાકાત કરી નાખો, તો અમે થોડા હિંદુ ઘુસણખોરોને સ્વીકારી પણ લઈએ’—એવું સમાધાન આસામમાં અમુક વર્ગને લોકોને કદાચ સ્વીકાર્ય બને.

ભાજપ સરકારે આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) નો કાર્યક્રમ ઉપાડીને રાજ્યના લોકોની નાગરિકતાની તપાસ ચલાવી અને નાગરિકોની નવેસરથી યાદી બનાવી, ત્યારે આસામના લોકોની અને ભાજપના સમર્થકોની અપેક્ષા ઉપર પ્રમાણે બને એવી હશે. તેને બદલે થયું એવું કે આસામમાં 3.11 કરોડ લોકોનાં નામ કાયદેસર નાગરિક તરીકેની યાદીમાં આવ્યાં અને આશરે 19 લાખ લોકો તેમાંથી બાકાત રહી ગયા.તેમાંથી આશરે 12 લાખ હિંદુ હતા.

અપેક્ષાથી વિપરીત, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ કાયદેસરની નાગરિકતાથી બાકાત રહી ગયા, એટલે ભાજપશાસિત રાજ્ય સરકારના મંત્રીઓથી માંડીને સંઘ પરિવાર સુધીના બધાએ NRCની આખરી યાદીનો વિરોધ કર્યો. હવે આ બારેક લાખ હિંદુઓને કાયદેસરના નાગરિક બનાવવા હોય—અને એ સિવાયના પાંચેક લાખ મુસ્લિમોને નાગરિકતા ન આપવી હોય તો—તો નાગરિકતાના કાયદામાં ધર્મઆધારિત ફેરફાર કરવો પડે. તે આ ફેરફાર કર્યો.

આમ કરોડોના ખર્ચે થયેલી કવાયત અને અનેક લોકોની હેરાનગતિ પછી (નોટબંધીની જેમ જ) આસામમાં સિટિઝન રજિસ્ટરનો હેતુ સિદ્ધ થયો નહીં. ઊલટું, ગેરકાયદે જાહેર થયેલા હિંદુઓનો પ્રશ્ન ઊભો થયો, જેના માટે મુસ્લિમોને બાકાત રાખીને બીજા બધાને નાગરિકતા આપવાનો ફેરફાર કરવાનો વારો આવ્યો.
*
ફરી સિટિઝન અમૅન્ડમૅન્ટ બિલ અંગેના મુખ્ય વાંધાની વાત (જે ઇશાન ભારતમાં થઈ રહેલા વિરોધ કરતાં પણ વધારે વ્યાપક, વધારે પાયાની છે). હવે તો રાષ્ટ્રપતિએ તેની પર સહી કરી દીધી હોવાથી તે ફેરફાર કાયદાનો હિસ્સો બની જશે. તેમાં પહેલી વાર ચોક્કસ સંજોગોમાં ભારતના નાગરિકત્વ માટે ધર્મને માપદંડ તરીકે રાખવામાં આવ્યો છે અને મુસ્લિમો પ્રત્યેના વિરોધને, ભલે ગમે તેટલું નિર્દોષ કે અવિરોધી લાગે એવું મહોરું પહેરાવીને પણ, કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

- સાંસદોમાં જે ખરડો વાચન માટે વહેંચવામાં આવ્યો તેમાં અને ત્યાર પહેલાંની ચર્ચામાં એક શબ્દ બહુ અગત્યનો હતોઃ ‘પર્સીક્યુશન’. એટલે કે, સતામણી. ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી સતાવાયેલા બિનમુસ્લિમો માટે આ ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ પસાર થયેલા ખરડામાં ‘પર્સીક્યુશન’નો ઉલ્લેખ જ નથી. (https://www.telegraphindia.com/india/persecution-hole-in-citizenship-amendment-bill-fuels-theories/cid/1726169) તેનું એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે ૨૦૧૪ પહેલાંના અરસામાં પાકિસ્તાન, બાંગલાદેશ કે અફઘાનિસ્તાનમાં ધાર્મિક કારણોસર સતામણી થઈ હતી, એવું પુરવાર શી રીતે થઈ શકે? સામાન્ય સંજોગોમાં તેના પુરાવા શી રીતે હોય? એટલે, ખરડાની ચર્ચામાં ધાર્મિક સતામણી કેન્દ્રસ્થાને રહી, પણ કાયદામાં એ શબ્દની, ખરું જોતાં એ માપદંડની, બાદબાકી થઈ ગઈ.

- ભાગલા ને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી પામેલા બિનમુસ્લિમો—આટલે સુધીનો સરકારી એજેન્ડા તેમની અત્યાર લગીની ચાલચલગત પ્રમાણેનો હતો. પણ પાકિસ્તાન, બાંગ્લાદેશની સાથે અફઘાનિસ્તાનનો ઉમેરો કરીને આ સરકારે તેમની વિભાજનકારી નીતિ તથા હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં નવું પરિમાણ ઉમેર્યું. ભાગલા પછીના કોઈ પણ તબક્કે અફઘાનિસ્તાન સાથે ભારતની સરહદ મળતી નથી. પરંતુ ત્યાં ઇસ્લામી રાજ્ય છે, એટલે ત્યાં સતાવાયેલા બિનમુસ્લિમ અહીં આવ્યા હોય તો તેમને પણ આશરો આપવો—એવું નક્કી કરવામાં આવ્યું.

તેનો આડકતરો સંદેશો એ થાય કે જેમ સતાવાયેલા યહુદીઓ માટે ઇઝરાઇલ છે, તેમ સતાવાયેલા હિંદુઓ (અને સાવ ચોખ્ખેચોખ્ખું હજું કહેવાતું નથી એટલે, સાથે શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો) માટે ભારત છે. આવો ભેદભાવ ત્યારે વાજબી ગણાય, જ્યારે સતાવાયેલા ભારતીયોને (હિંદુઓને કે બીજાઓને)અન્ય કોઈ દેશ સંઘરતો ન હોય અથવા બધે તેમની ધર્મના લીધે અમુક પ્રકારેસતામણી થતી હોય(જેવું યહુદીઓના કિસ્સામાં હતું). પરંતુ હિંદુ અને બાકીના ધર્મી ભારતીયો પશ્ચિમી દેશોથી માંડીને ઇસ્લામી શાસન ધરાવતા અખાતી દેશોમાં બધે વસે છે. એવા સંજોગોમાં હિંદુ રાષ્ટ્રનો આભાસ આવા ભેદભાવથી આપી શકાય અને તેનો રાજકીય લાભ ખાટી શકાય.

કાયદામાં ફેરફાર કરનારાને ખબર છે કે સર્વોચ્ચ અદાલતમાં આ ફેરફારને પડકારવામાં આવશે અને કદાચ અદાલત તેને રદ પણ કરી દે. એવું થાય તો, નાક તો છે નહીં, એટલે એ ચિંતા નથી. પણ પોતે આવો ફેરફાર કરીને હિંદુ હિતનું (ને મુસ્લિમોને બાકાત રાખવાનું) મહાન કામ કર્યું, એવા સંદેશાના ઢોલ વગાડીને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તો ઊભું કરી જ શકાશે (બલ્કે, એવું ધ્રુવીકરણ ઊભું થઈ જ રહ્યું છે. તેમાં પંખો નવેસરથી ચાલુ કરવાનો તો છે નહીં, એક-બે પર ચાલતો હોય તેને જ છ પર લઈ જવાનો હોય) રામ મંદિર-૩૭૦નો કાર્યક્રમ પૂરો થયા પછી પણ મંદી પીછો ન છોડતી હોય, ત્યારે નાગરિકતાના નિયમમાં ફેરફાર અને નાગરિકતાનું રજિસ્ટર આવતી ચૂંટણી માટે કોમી ધ્રુવીકરણના નવા મુદ્દા તરીકે બહુ કામના બની શકે છે—અદાલત ફેરફાર રદ કરે તો પણ. અને કોઈ કારણસર અદાલત ફેરફાર બહાલ રાખે, તો કથિત હિંદુહિત અને અકથિત મુસ્લિમવિરોધના મુગટમાં વધુ એક પીછું.
*
નાગરિકતાના કાયદામાં ફેરફાર કરીને અમિત શાહ આસામમાં તેમની જ સરકારની નાગરિકતા ચકાસણી કવાયતમાં નાપાસ થયેલા બારેક લાખ હિંદુઓને નાગરિકતા અપાવી દેશે. કારણ કે તે હિંદુ છે. તેનાથી રાષ્ટ્રીય સ્તરે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો તેમનો એજેન્ડા તો સચવાઈ જશે, પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના બાંગલાદેશી ઘુસણખોરોનો વિરોધ કરતા આસામીઓના અજંપાનું શું? તેમને બાર લાખ હિંદુઓને નવા કાયદા પ્રમાણે નાગરિકતા મળે તેની સામે વાંધો ન હોય તો પણ, તે એનાથી ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમોને ઘુસણખોર જાહેર કરીને તેમને બહાર કાઢવા માટે દબાણ નહીં કરે? અથવા સરકારે આસામીઓને રીઝવવા માટે નવેસરથી, મુસ્લિમ ઘૂસણખોરો સામે ચીપીયા પછાડવાના બાકી રહેશે.

આસામના અનુભવ પછી પણ અમિત શાહ ભારતભરમાં સિટિઝન રજિસ્ટર લાગુ કરવા માગે છે, એ તેમની ધ્રુવીકરણ માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે. તે જાણે છે કે નાગરિકોને બે ભાગમાં વહેંચી દઈએ અને ઠીક ઠીક માત્રામાં હિંદુઓના મનમાં મુસ્લિમવિરોધનું તાપણું ગમે તેમ કરીને સળગતું રાખીએ, તેને હવા આપ્યા કરીએ, તો (તો જ) આપણું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે. બાકી, નબળામાં નબળા વિપક્ષ છતાં આર્થિક સમસ્યાઓના સ્ટીમ રોલર નીચે કચડાઈ જવાનો વારો આવશે. એટલે તે અને હવે તેમની પાછળ અદૃશ્ય હાથ તરીકે કામ કરતા તેમના સાહેબ દેશની એકતાના નામે દેશના નાગરિકોને વિભાજિત કરી રહ્યા છે અને અસ્થિરતા ફેલાવી રહ્યા છે. સમસ્યા ઉકેલવાના નામે નવી સમસ્યાઓ ઊભી કરીને, તેમાંથી પોતાનો ફાયદો કેવી રીતે કાઢી લેવો, તેની વેતરણ કરવી એ ચાણક્યબુદ્ધિ નથી, નીતાંત દુષ્ટ બુદ્ધિ છે.

માટે CAB અને NCRના વિરોધનો વિરોધ કરતી વખતે, સરકારી ટીકાકારોની ટીકામાં રહેલાં છીંડાં જરૂર બતાવીએ ને એ બાબતે તેમની ટીકા કરીએ, તેમનો રાજકીય એજેન્ડા હોય તો જરૂર ખુલ્લો પાડીએ,પણ વ્યાપક અનિષ્ટની ગંભીરતા પરથી નજર હઠાવ્યા વિના.

વિરોધીઓની ટીકામાં રહેલાં (વાજબી) છીંડાં દર્શાવવામાં, આપણે વ્યાપક અનિષ્ટને નજરઅંદાજ કરી બેસીએ કે તેની ગંભીરતાને વિરોધીઓની મર્યાદા સામે મૂકીને, સામસામો છેદ ઉડાડી દેવામાં આપણે જાણેઅજાણે સરકારના સાથીદાર તો નથી બની જતા ને? એ વિચારવાનું છે.

નોંધઃ આ લેખ લખાયા પછી ખરડો કાયદો બની જતાં તે હવે બિલને બદલે એક્ટ તરીકે ઓળખાય છેઃ CAB નહીં, CAA.
કાયદાના આ ફેરફારના વિરોધમાં જામીયા મિલીયા યુનિવર્સિટીથી શરૂઆત થયા પછી દેશભરમાં અલગ અલગ ઠેકાણે તેનો વિરોધ થઈ રહ્યો છે. ગમે તેવા વિરોધમાં હિંસા ભળે, તો તે વિરોધના મુદ્દાને મોળો પાડી નાખે. એટલે હિંસાથી તો દૂર જ રહેવા જેવું છે. સાથોસાથ, હિંસાની ટીકા કરવા જતાં, વિરોધના મૂળ મુદ્દાને વખોડી કાઢવા જેવો નથી. બલ્કે, કાયદાના ફેરફારની વિરોધમાં સાથે ઊભા રહેવા જેવું છે. કેમ કે, તેમાં જે થયું ને જે થઈ શકે એમ છે, એ બંનેનો વિરોધ છે.

Wednesday, May 31, 2017

ધર્મ, રૂઢિચુસ્તતા, બંધારણ અને માનવતા

ત્રણ વાર 'તલાક' અને મુસ્લિમ સમાજ વિશે લખવામાં અતિસરળીકરણ થઈ જવાની સંભાવના ઘણી રહે છે. સૌ પ્રથમ તો, આ રીતે તલાક આપવા તે ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહીં, એ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનવણી પૂરી થઈ ચૂકી છે. બીજી વાતઃ ત્રણ તલાકનો વિરોધ કરનારાએ યાદ રાખવાનું છે કે આ જોગવાઈનો ઉપયોગ કરનારા મુસ્લિમોનું પ્રમાણ નજીવું છે. માટે, વ્યાપક મુસ્લિમ સમાજને ટ્રિપલ તલાકના નામે બદનામ કરી શકાય નહીં.

'ટ્રિપલ તલાક'ના વિરોધનો વિરોધ કરનારે યાદ રાખવું જોઇએ કે અદાલતમાં દાદ મુસ્લિમ મહિલાઓએ માગી છે. આથી, મામલો 'મુસ્લિમ વિરુદ્ધ હિંદુ' કે 'મુસ્લિમ વિરુદ્ધ અન્ય ધર્મીઓ' જેવી ખેંચતાણનો નથી અને તેને એ ખાનામાં ન મૂકવો જોઇએ. કોઇ મુસ્લિમ એવું ઇચ્છે કે 'બીજા ધર્મના લોકોને અમારી અંગત ધાર્મિક બાબતમાં કે પરંપરામાં અભિપ્રાય આપવાનો અધિકાર નથી', તો તેમનું આ વલણ લોકશાહી દેશમાં સ્વીકારી શકાય નહીં. મુસ્લિમદ્વેષમાં સરી પડ્યા વિના કે કોમવાદના રાજકારણના હાથા બન્યા વિના, સામાજિક જાગૃતિના ભાગ તરીકે આવા રિવાજની બેશક ટીકા કરી શકાય. અન્યાયી લાગતા (ત્રાસવાદવિરોધી જેવા) કાયદાની ટીકા થઈ શકતી હોય છે, તો અન્યાયી જણાતી પરંપરાની કેમ નહીં?

ટીકા કરનારે એટલું ધ્યાન રાખવાનું કે તેમની ટીકાનો ધક્કો સ્ત્રીને થતા અન્યાયમાંથી અને 'આવું તો કેવી રીતે ચલાવી લેવાય?' એવી પ્રતીતિમાંથી આવવો જોઇએ-- નહીં કે મુસ્લિમોની છડેચોક, આકરી ટીકા કરવાની તક મળી-તેમના પ્રત્યેનો દ્વેષ ફેલાવવાની કે દૃઢ કરવાની તક મળી એમાંથી.  મુસ્લિમોએ પણ કઈ ટીકા દ્વેષથી થાય અને કઈ ટીકા સદભાવથી, તેનો ફરક સમજવો પડે અને એ સ્વીકારવું પડે કે બીજા પક્ષના કુરિવાજ પ્રત્યે આંગળી ચીંધવાથી પોતાનો કુરિવાજ વાજબી ઠરી જતો નથી. આ તબક્કે કોઈને એવો સવાલ થાય કે 'ટ્રિપલ તલાકને પરબારો 'કુરિવાજ' કેમ કહી શકાય? અને એવું કહી દેનારા તમે કોણ?’ તેનો સાદો જવાબ આટલો જ છેઃ કોઈ પુરૂષ પોતાની પત્નીને ત્રણ વાર 'તલાક' બોલીને છૂટાછેડા આપી શકતો હોય (અને સ્ત્રી પાસે એવો વિકલ્પ ન હોય) ત્યારે, એ રિવાજ સમાનતાની અને કુદરતી ન્યાયની સાદી સમજનો ભંગ કરે છે--અને એટલું સમજવા માટે કોઈ ગ્રંથના કે બંધારણના અભ્યાસની જરૂર નથી.

મોટા ભાગના મુસ્લિમો ટ્રિપલ તલાકની અનિષ્ટ જોગવાઈનો ઉપયોગ કરતા નથી, તે આનંદની વાત છે. એ જ કારણથી, મુસ્લિમોએ--ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે-- ટ્રિપલ તલાકની નાબૂદીની સામેથી જાહેરાત કરવી જોઈએ. ઇસ્લામની શક્તિ ને ધાર્મિક મુસ્લિમોનું આત્મસન્માન એટલાં તકલાદી ન હોય કે 'ટ્રિપલ તલાક'ની નાબૂદીથી તેને ઘસરકો પહોંચે. પર્સનલ લૉ બૉર્ડને કે ટ્રિપલ તલાકના વિરોધનો વિરોધ કરનારા ઘણાને ડોશી મરે તેનો ભય નથી. જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે. એક વાર મુસ્લિમોના અંગત ધાર્મિક મામલામાં દખલના દરવાજા ખુલી ગયા, તો ભવિષ્યમાં દરેક બાબતમાં બીજા લોકોનો ચંચુપાત વધી શકે છે--ખાસ કરીને, સામાજિક-ધાર્મિક મુદ્દામાંથી રાજકીય રોકડી કરવા ઇચ્છતા નેતાઓનો.  આ બીક વાજબી છે, પરંતુ તેનો ઉકેલ ટ્રિપલ તલાક જેવા મુદ્દાને ધાર્મિક ઓળખ સાથે સાંકળવામાં કે ટ્રિપલ તલાકના ટીકાકારોને તેમના પક્ષનાં છીંડાં બતાવવામાં નથી.

ધર્મના નામે ચાલતા કુરિવાજ-અનિષ્ટ પરંપરાઓનો વિરોધ બીજા ધર્મના લોકો કરતાં એ ધર્મનો માણસ વધારે સારી રીતે કરી શકે. અનેક ખાસિયતો અને જ્ઞાતિપ્રથા જેવાં તોતિંગ અનિષ્ટ ધરાવતા હિંદુ ધર્મમાં અનેક સંતકવિઓથી માંડીને વિદ્રોહીઓ અને સમાજસુધારકો થયા. તેમણે સમાજનો--ખાસ કરીને પોતાના ધર્મના લોકોનો-- આકરો વિરોધ વેઠીને પણ પોતાની વાત મુકી. એટલા પ્રમાણમાં ભારતીય મુસ્લિમ સમુદાયમાં એવું ન બન્યું.  1857ના સંગ્રામ પછીના અરસામાં મુસ્લિમોને અંગ્રેજી કેળવણી ભણી વાળનાર સર સૈયદ અહમદ હોય,  મહંમદ ઇકબાલ જેવા મોટા ગજાના કવિ હોય કે પછી એક જમાનામાં 'મુસ્લિમ ગોખલે' બનવા ઇચ્છતા મહંમદઅલી ઝીણા, એ બધાને આખરે સમાજસુધારાને બદલે એક યા બીજા પ્રકારની પરંપરાગત ધાર્મિક ઓળખના શરણે જવું પડ્યું. બીજી તરફ બાદશાહખાન જેવા નેતાઓ ઇસ્લામને વળગીને અહિંસાના રસ્તે ચાલ્યા કે ડૉ.અન્સારી-મૌલાના આઝાદ જેવા નેતાઓએ ગાંધીજીની કૉંગ્રેસ સાથે તેમની કારકિર્દી સાંકળી, ત્યારે વ્યાપક મુસ્લિમ સમર્થન મેળવવાનું- ટકાવી રાખવાનું તેમના માટે અઘરું સાબીત થયું. (બાદશાહખાને અંગ્રેજોની જેલ કરતાં મુ્સ્લિમોના અલગ દેશ પાકિસ્તાનની જેલમાં વધુ સમય વીતાવ્યો-વધુ અત્યાચાર વેઠ્યા)

આમ પણ, ધાર્મિક ઓળખનો મામલો પેચીદો હોય છે.  મુસ્લિમોનો અલગ દેશ માગનાર ઝીણા મૂળભૂત રીતે ધાર્મિક ન હતા, જ્યારે ભારતને પાકિસ્તાનનું હિંદુ અડધીયું ન બનવા દેનાર ગાંધીજી પોતાની જાતને ચુસ્ત હિંદુ તરીકે ઓળખાવતા હતા. અત્યારની આઇ.ટી.ની પરિભાષામાં ધર્મને ઘણે અંશે ઑપરેટિંગ સીસ્ટમ (OS) સાથે સરખાવી શકાય. ઑપરેટિગ સીસ્ટમના સૉફ્ટવેરમાં રહેલાં છીંડાં કે નબળી કડીઓ થકી વાઇરસ ઘૂસી આવે અથવા સમય પ્રમાણે ફેરફાર (અપડેટ્સ) ન થયા હોય તો પણ વાઇરસ આવી પડે.  મૂળ ઑપરેટિગ સીસ્ટમ ખરાબ નથી હોતી, પણ અસહિષ્ણુતાના પર્યાય જેવી 'ધાર્મિક લાગણી’, ધર્મનું સગવડીયું અર્થઘટન કે ધર્મઝનૂન જેવા વાઇરસ ઑપરેટિગ સીસ્ટમને ખરાબ કરે છે. એ સમયે બે વિકલ્પ રહે છેઃ વાઇરસને ક્લીન કરીને ઑપરેટિગ સીસ્ટમને ચોખ્ખી રાખવી અથવા વાઇરસને પણ ઑપરેટિગ સીસ્ટમના હિસ્સા તરીકે ગણીને, વાઇરસની ટીકાને ઓપરેટિંગ સીસ્ટમની ટીકા ગણવી.  ધાર્મિક સ્વતંત્રતામાં પોતાના ધર્મને બગાડવાની કે તેને ચૂપચાપ બગડવા દેવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? એ પોતાની જાતને ધાર્મિક ગણતા સૌએ વિચારવા જેવો સવાલ છે.

ધર્મનો સંબંધ નૈતિકતા અને નૈતિક ફરજ સાથે છે. તેને કાયદા અને બંધારણના પથ્થર પર કસવામાં આવે એ સ્થિતિ આમ તો ઇચ્છનીય નથી. પરંતુ ધર્મના નામે ધાર્મિક લાગણી,  અનિષ્ટ રિવાજો, પરધર્મીઓ માટેના દ્વેષ, હિંસા, શોષણ, દુરાચાર જેવી લાગણીઓ ઉભરાવા લાગે, ત્યારે કોરટકચેરી વિના આરો રહેતો નથી. ધર્મના મામલે ઘણી વાર અદાલતો પણ યથાસ્થિતિને બહુ છંછેડવાનું પસંદ કરતી નથી અને 'ધાર્મિક લાગણી'ને શક્ય એટલી જાળવી લેવાનો પ્રયાસ કરે છે. ટ્રિપલ તલાક વિશેની સુનવણીમાં સર્વોચ્ચ અદાલતે એ મતલબનું કહ્યું હતું કે જો આ રિવાજ ધર્મનો અભિન્ન હિસ્સો હશે તો અદાલત તેને બહાલી આપશે. ધર્મના નામે ચાલતા રિવાજ અને માનવતા---એ બન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવે, ત્યારે માનવતાને તડકે મૂકનારા ખરેખર તો તેમનો ધર્મ ચૂકે છે અને તેમના ધર્મને નીચો પાડે છે. કારણ કે કોઈ ધર્મ માનવતાની ઉપર હોઈ ન શકે અને માનવતાને અવગણવાનું કહેનાર સાચો ધર્મ ન કહેવાય. 

Friday, December 27, 2013

દેવયાની ખોબ્રાગડે પ્રકરણ : સખ્તાઇ અને ‘સ્વમાન’ની હૂંસાતૂંસીમાં સમજણનો મરો

તખ્તો શેરીયુદ્ધ કરતાં ખાસ જુદો નથી.

અમેરિકી પક્ષ જાણે કહી રહ્યો છે : ‘સંબંધ ને દોસ્તી ને બઘું ઠીક છે, પણ અમારી શેરીમાં અમારો કાયદો ચાલશે. હજુ સમજણ ન પડી હોય તો સમજી લેજો. પછી કહેતા નહીં કે કહ્યું ન હતું.’

ભારતીય પક્ષ જાણે કહી રહ્યો છે : ‘આજે તો એને બતાવી દેવું છે. રોજેરોજની શી માથાકુટ? એ સમજે છે શું એના મનમાં? ક્યારના બોલતા નથી એટલે?’

 - અને આશ્ચર્યની વાત એ છે કે ઠાવકાશ અને સલુકાઇના પર્યાય જેવા ડિપ્લોમેટિક-રાજદ્વારી સંબંધોના ક્ષેત્રે ભારત-અમેરિકા વચ્ચે આવી સ્થિતિ સર્જાઇ છે. દેખાતું છે કે કોઇ એક પક્ષ તેના માટે સંપૂર્ણ જવાબદાર ન હોઇ શકે.
મૂળ વાત આટલી હતી : ઇન્ડિયન ફોરન સર્વિસનાં દેવયાની ખોબ્રાગડે અમેરિકામાં આવેલા ભારતીય દૂતાવાસમાં કામ કરતાં હતાં. ભારતીય પરંપરા પ્રમાણે તેમણે ઘરકામમાં મદદ માટે ભારતથી કામવાળાં બહેનને બોલાવ્યાં. ડિપ્લોમેટ-રાજદ્વારી તરીકે તે આ સુવિધા મેળવી શકે અને તેમના વિઝાની વ્યવસ્થા કરાવી શકે.

આ રીતે આવેલાં કામવાળાં બહેનને પગાર અમેરિકાના ધોરણ પ્રમાણે ચૂકવવાનો થાય. દેવયાની ખોબ્રાગડેએ અમેરિકાની સરકારમાં ત્યાંના કાયદા પ્રમાણેનો કરાર રજૂ કર્યો. તેમાં બીજી બાબતો ઉપરાંત અઠવાડિયે ૪૦ કલાક કામની અને ન્યૂ યોર્કના લધુતમ વેતન મુજબ કલાકના સવા સાત ડોલરનું મહેનતાણું ચૂકવવાની બાંહેધરી આપવામાં આવી હતી. એ પ્રમાણે કામવાળાં બહેનને અઠવાડિયે (૪૦ કલાકના હિસાબે) ૨૯૦ ડોલર અને મહિને અંદાજે ૧,૨૭૬ ડોલર ચૂકવવાના થાય. (ભારતીય ચલણમાં અંદાજે સિત્તેરેક હજાર રૂપિયા). પરંતુ દેવયાનીએ કામવાળાં બહેન સાથે બીજો કરાર કર્યો હતો. તેમાં કામવાળાં બહેનને ભારતીય ચલણના ફક્ત રૂ.ત્રીસ હજાર ચૂકવવાની વાત હતી.

બે જુદા કરાર બનાવીને અમેરિકન સરકાર સમક્ષ ખોટો કરાર રજૂ કરવામાં કાયદાનો ભંગ થતો હતો. ઉપરાંત, ખોટાં કાગળીયાં કરીને માણસને અમેરિકા બોલાવવા બદલ હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો પણ ખરો. આ બન્ને ગુનાનો આરોપી સામાન્ય અમેરિકન નાગરિક હોય તો તેને ભારે પડી જાય. પરંતુ રાજદ્વારી સંબંધોમાં આ પ્રકારની વર્તણૂંક પરસ્પર નભાવી લેવાની વૃત્તિ ઘણી વાર જોવા મળે છે.  ઉપરાંત, આંતરરાષ્ટ્રિય કરારો પ્રમાણે, રાજદ્વારી અફસરોને કેટલીક વિશેષ છૂટછાટો- ડિપ્લોમેટિક ઇમ્યુનિટી- મળે છે. ગંભીર ગુનામાં ન સંડોવાયેલા હોય ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાતી નથી. અલબત્ત, કયો ગુનો ગંભીર ગણવો તેનો આધાર સામાન્ય રીતે બન્ને દેશો વચ્ચેના સંબંધ પર હોય છે.

અમેરિકામાં તહેનાત ભારતીય રાજદ્વારી અફસરો ઘરકામ કરનારા ‘માણસો’ના મુદ્દે (યોગ્ય રીતે) ઠીક ઠીક બદનામ થયેલા છે. અમેરિકાના ધોરણ પ્રમાણેનો પગાર ન ચૂકવવો, વધારે કલાક કામ કરાવવું- આ બધી ભારતીય રાજદ્વારીઓની જાણીતી અને ઘણી હદે નભાવી લેવાતી ગરબડો છે. વાત એનાથી વધે- એટલે કે જાતીય શોષણનો આરોપ આવે અથવા કામ કરનાર પોતે કામના અઢળક કલાક-ઓછા વળતરથી ત્રાસીને ઉહાપોહ કરે ત્યારે મુશ્કેલી થાય.

દેવયાની ખોબ્રાગડેના કિસ્સામાં, કામવાળાં બહેનને ઓછો પગાર ચૂકવાતો હતોં અને દેવયાનીએ અમેરિકાને ખોટો કરાર આપ્યો હતો, એ હકીકતનો ઇન્કાર ભારતીય પક્ષ કરતો નથી. એ કરી શકે એમ પણ નથી. પરંતુ તેની સામે અમેરિકાએ લીધેલાં પગલાં અને તેની રીત અપ્રમાણસરનાં આકરાં હતાં, એ મુખ્ય મુદ્દો બન્યો છે.

જેમ કે, ખોટા દસ્તાવેજ અને હ્યુમન ટ્રાફિકિંગના આરોપ બદલ  દેવયાનીને જાતે અદાલતમાં હાજર થવાનું કહી શકાયું હોત. એને બદલે, દીકરીઓ સ્કૂલે મૂકવા ગયાં હતાં ત્યારે તેમની ધરપકડ થઇ, તેમની  ‘સ્ટ્રીપસર્ચ’ (નિર્વસ્ત્ર તપાસ) થઇ, જે અમેરિકા માટે સામાન્ય પણ બીજા લોકોને આકરો લાગી શકે એવો રિવાજ છે. અદાલતમાં રજૂ કરતાં પહેલાં  ચાર કલાક માટે તેમને સામાન્ય ગુનેગારો સાથે રાખવામાં આવ્યાં, હાથકડી પહેરાવવામાં આવી અને અદાલતમાં તેમણે પોતાની પરના આરોપ કબૂલ ન કરતાં, તેમને અઢી લાખ ડોલરના જામીન પર છોડી મૂકવામાં આવ્યાં. ‘નોટ ગિલ્ટી’ કહેવાથી તત્કાળ જામીન પર છોડી શકાય એવો ગુનો, એક રાજદ્વારીની ધરપકડ કરવી પડે એ કક્ષાનો ‘ગંભીર’ કહેવાય કે કેમ, એ એક સવાલ છે.

આ ઘટનાક્રમમાં ‘કેવિટી સર્ચ’ જેવા મુદ્દા લીધા નથી. ફક્ત એટલું જ નોંઘ્યું છે, જેનો અમેરિકાએ પણ સ્વીકાર કર્યો હોય. ભારતે જવાબી પગલા તરીકે અને અમેરિકાને બતાવી દેવા માટે, દિલ્હીમાં અમેરિકાના દૂતાવાસના કર્મચારીઓના કેટલાક વિશેષાધિકારો અને કેટલીક સુવિધાઓમાં કાપ મૂકી દીધો. દૂતાવાસમાં કામવાળાને કેટલો પગાર ચૂકવાય છે તેની વિગતો માગવામાં આવી. એટલું જ નહીં, સલામતીના હેતુ માટે દૂતાવાસની બહાર ગોઠવાયેલી આડશો (બેરિકેડ્‌સ) ખસેડી લેવાઇ. (અલબત્ત, પછીથી એવો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો હતો કે આડશો ખસેડવાને આ કિસ્સા સાથે લેવાદેવા નથી. ઘણા વખતથી એ વિશે માથાકૂટ ચાલતી હતી.) રાજદ્વારી સંબંધોમાં આ પ્રકારની પ્રતિક્રિયા, ખાસ કરીને મૈત્રીપૂર્ણ સંબંધ હોય એવા દેશો સામે, ભાગ્યે જ અપાતી હોય છે.

ભારતની તીવ્ર પ્રતિક્રિયાથી અમેરિકા જાગ્યું અને ભડક્યું. અહીં ‘અમેરિકા’ એટલે કોણ, એ ચોખવટ પણ કરી લેવા જેવી છે.  પહેલી વાત તો એ કે દેવયાની સામેનો કેસ ખુદ અમેરિકાની સરકારે- એટલે કે તેના ગૃહવિભાગે- કર્યો હતો. એ કરતાં પહેલાં  ભારતના વિદેશી બાબતોના વિભાગને જાણ કરવામાં આવી હતી કે નહીં? ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ ના અહેવાલ પ્રમાણે,   સપ્ટેમ્બર, ૨૦૧૩માં ભારત સરકારને દેવયાની સામેની સંભવિત કાર્યવાહી વિશે જાણ કરવામાં આવી હતી. પરંતુ ભારતે તેમને પાછાં બોલાવી લીધાં નહીં. આવું કેમ કર્યું. એના જવાબમાં વિદેશી બાબતોના મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું, ‘આવું થશે એવી અપેક્ષા રાખી ન હતી.’ (ડિસેમ્બર ૧૯,૨૦૧૩)

ભારતની તીવ્ર પ્રતિક્રિયા પછી અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ્‌સ (ગૃહમંત્રી) જોન કેરીએ દિલગીરી વ્યક્ત કરતો ફોન કર્યો, જે વિદેશી બાબતોના મંત્રી સલમાન ખુર્શીદે ધરાર ન લીધો. એટલે તેમણે ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર સાથે વાત કરી અને ‘દેવયાની જેવડી બે છોકરીઓના પિતા’ તરીકે પોતાની લાગણી વ્યક્ત કરી. પરંતુ એના થોડા સમય પછી ચિત્રમાં આવ્યા સધર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યુયોર્કના સરકારી વકીલ (એટર્ની) પ્રીતિન્દરસિંઘ ‘પ્રીત’ ભરારા.

વૉલસ્ટ્રીટમાં આર્થિક ગોટાળા કરનારા સહિત અનેક મોટાં માથાંની પાછળ પડી જનારા પ્રીત ભરારા કાયદાપાલનમાં કડક-પ્રામાણિક-ઉત્સાહી તરીકે જાણીતા છે. તે અમેરિકાના ગૃહખાતાના નહીં, પણ ન્યાયખાતાના અધિકારી ગણાય. તેમણે દેવયાની ખોબ્રાગડેના કેસમાં ભારે કડકાઇ તો દાખવી, પણ જોન કેરીની દિલગીરીના થોડા સમય પછી, ન્યાયતંત્ર તરફથી કડક અને આક્રમક બચાવ રજૂ કર્યો. સામાન્ય આરોપીઓની સરખામણીમાં દેવયાની ખોબ્રાગડે સાથે કેવો ઉદાર વ્યવહાર કરવામાં આવ્યો હતો-પોલીસે કોફી પીવડાવી, ફોન રાખવા અને કરવા દીધા, સ્કૂલની બહાર હાથકડી ન પહેરાવી - તેની વિગતો આપવાની સાથે ભરારાએ કામવાળાં બહેનના શોષણનો મુદ્દો ઉભો કર્યો અને ‘એ વિક્ટિમની અને તેમનાં કુુટુંબીજનોની ખરાબ દશા વિશે કેમ કશો ઉહાપોહ નથી થતો’ એવો ટોણો માર્યો. તેમના નિવેદનનો સાર  હતો કે દેવયાની ખોબ્રાગડે  કાયદાનો ભંગ કરે તો અમારે શું આંખ આડા કાન કરવાના? કાયદાના અમલની બાબતમાં અમે કોઇની સાડા બારી રાખતા નથી.

પ્રીત ભરારાનો કાયદાપાલનનો જોસ્સો આવકાર્ય છે, પણ તેમના પત્રમાં રહેલો મૂળભૂત વિરોધાભાસ એ ચૂકી ગયા. એક તરફ તેમણે દેવયાની રાજદ્વારી અફસર છે અને એ રૂએ તે કેટલીક વિશેષ છૂટછાટો મેળવવાના હકદાર છે, એનો ઉલ્લેખ ન કર્યો. સામાન્ય આરોપી તરીકે જ તેમનું વર્ણન કર્યું. પરંતુ બીજી તરફ તેમણે દેવયાની સાથે બીજા આરોપીની સરખામણીમાં કેવું (એમના મત પ્રમાણેનું) ‘કૂણું’ વલણ દાખવ્યું એની  વિગતો પણ આપી. સવાલ એ થાય કે ભરારા દેવયાની ખોબ્રાગડેને રાજદ્વારી ગણતા હોય તો તેમણે કેમ ફક્ત નાની બાબતોમાં કેમ છૂટછાટો આપી અને મોટાં અપમાન થવાં દીધાં? (દેવયાની પર ખૂન કે દાણચોરી પ્રકારનો આરોપ તો હતો નહીં.) અને જો એ દેવયાનીને સામાન્ય નાગરિક ગણતા હોય, તો પછી એક સામાન્ય અમેરિકનને આરોપીને ન મળે એવી છૂટછાટો, ભરારા જેવા ચુસ્ત કાયદાપાલકે દેવયાનીને શા માટે આપી?

પ્રીત ભરારા ઉત્સાહમાં વઘુ પડતા તણાયા છે, એવું માનતી વખતે એ યાદ રાખવું પડે કે ગૃહવિભાગની સંમતિ વિના તેમનું આ વલણ સંભવે નહીં. ગૃહવિભાગે ભરારાના નિવેદનમાં ટાપસી પુરી નથી કે તેનો વિરોધ પણ કર્યો નથી. પરંતુ ભારતની માગણી મુજબ માફી માગવાનો અને દેવયાની સામેના કેસ પાછા ખેંચવાનો સાફ ઇન્કાર કર્યો છે. આ જાતના કેસમાં બંધબારણે સમજૂતી થઇ શકે, પણ ઉઘાડેછોગ તે પાછા ખેંચી શકાય કે કેમ, એ પણ સવાલ છે.

છેલ્લે, બીજા બે અગત્યના મુદ્દા ટૂંકમાં : ઘરકામ કરનારા પ્રત્યે સરેરાશ ભારતીયોનું વર્તન માણસ જેવું નથી હોતું. તેમનું મહત્તમ શોષણ કરી લેવાની શરમજનક ભાવના જાણે ભારતીયતાનો પર્યાય હોય એવી બની ગઇ છે. એવી જ રીતે, આઇ.એ.એસ.પિતાનાં પુત્રી અને અઢળક સંપત્તિ ધરાવતાં દેવયાની જન્મે દલિત છે, એટલા માત્રથી તેમના દલિતપણાને ઉછાળવાનું બિલકુલ યોગ્ય નથી. એમ કરવાથી, દલિતો સાથે થતા વાસ્તવિક ભેદભાવનો ઇન્કાર કરનારા, ‘દલિતો ખોટી બૂમાબૂમ કરે છે’ એવું કહેનારા દલિતદ્વેષીઓને મોકળું મેદાન મળે છે.  

Tuesday, September 24, 2013

વકીલાતનો વ્યવસાય : હક, ફરજ અને ધર્મ

દિલ્હીમાં યુવતી પર સામુહિક અત્યાચાર ગુજારીને તેને અધરસ્તે ફેંકી દેનારા ગુનેગારોને અદાલતે ફાંસીની સજા ફરમાવી. સુધરેલા ગણાતા માનવસમાજમાં મૃત્યુદંડની સજા હોવી જોઇએ કે નહીં  અને મૃત્યુદંડની સજાની બીકે ગુના અટકાવી શકાય કે નહીં, એ અલગ ચર્ચાનો મુદ્દો છે, પણ ગુનેગારોનો ગુનો મૃત્યુદંડને લાયક હતો એ વિશે બેમત હોઇ શકે?

જવાબ છે : હા, જો તમે ગુનેગારોના વકીલ હો તો. ગુનેગારોના વકીલ એ.પી.સિંઘે કહ્યું કે અદાલતનો ચુકાદો ભાવના અને રાજકારણથી દોરવાયેલો છે...‘મારી છોકરી રાત્રે ઘરની બહાર એના બોયફ્રેન્ડ સાથે પગ મૂકે અને લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધે તો હું એને જીવતી સળગાવી દઉં.’ તેમના આ વિધાનથી ભારે હોબાળો થયા પછી સિંઘે ફેરવી તોળ્યું અને કહ્યું કે તેમને સતત ઉશ્કેરણીજનક પ્રશ્નો પૂછવામાં આવતા હતા કે ‘આની જગ્યાએ તમારી છોકરી હોય તો તમે શું કરો?’ એટલે ઉશ્કેરાટમાં તેમનાથી આવો જવાબ અપાઇ ગયો. સિંઘનો આ ખુલાસો સાચો ન હોય અને સિંઘ ખરેખર આવું માનતા હોય તો જરાય નવાઇ પામવા જેવું નથી. ખાપ પંચાયતોથી માંડીને વ્યક્તિગત રૂઢિચુસ્તતા અને ‘ખાનદાનકી ઇજ્જત’ના ખોટા ખ્યાલે આ પ્રકારની હત્યાઓ થતી જ રહે છે.

પરંતુ અહીં ચર્ચાનો મુદ્દો છે : વકીલ તરીકે સિંઘની ભૂમિકા. તેમને ગુનેગારોના વકીલ બનવાનો અને તેમને ન્યાય અપાવવાનો પૂરો હક છે. બલ્કે, વકીલ તરીકે એ તેમની ફરજ છે. પરંતુ એ ફરજની હદ કેટલી? પોતાના અસીલનો કોઇ પણ ભોગે બચાવ કરવો અને ન્યાય જેવા મૂળભૂત ખ્યાલને કેવળ શતરંજની રમત જેવી બૌદ્ધિક ચાલબાજીના સ્તરે ઉતારી પાડવો, એ પણ વકીલની ફરજમાં જ આવે?

ન્યાયના નામે

રામ જેઠમલાણી ભારતના ટોચના વકીલોમાં ગણાય છે. સામાન્ય માણસોમાં તેમની ‘ખ્યાતિ’ મોટા ગુનેગારોના કેસ લડનારા વકીલ તરીકેની છે. તેમણે આસારામના વકીલ થવાનું પસંદ કર્યું અને કહ્યું કે આસારામ પર આરોપો મુકનાર છોકરી પુરૂષો પ્રત્યે આકર્ષણની માનસિક બીમારી ધરાવે છે.

જાતીય સતામણી કે અત્યાચારના કેસમાં બચાવ પક્ષના વકીલોનું પહેલું કામ ફરિયાદને બદનામ કરવાનું અને તેને ભારતીય પરંપરા પ્રમાણે ‘લૂઝ કેરેક્ટર’ની વ્યક્તિ તરીકે રજૂ કરવાનું હોય છે. નબળામાં નબળા વકીલથી માંડીને સિંઘો અને જેઠમલાણીઓ આ દાવ ખેલવાનું ચૂકતા નથી. સિંઘે દિલ્હીના કેસમાં મૃતક યુવતીની ચાલચલગતને કેસમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, જે અદાલતે એક ઝાટકે કાઢી નાખ્યો. રામ જેઠમલાણી એમ ગાંજ્યા જાય એવા નથી. તે એમના અસીલ આસારામના બચાવ માટે બરાડી બરાડીને આખી દુનિયાને દોષ દઇ શકે છે. પ્રસાર માઘ્યમો અને પત્રકારો કાયમ માટે જેઠમલાણીના રોષનો ભોગ બનતાં આવ્યાં છે.

‘ટ્રાયલ બાય મીડિયા’- અદાલતમાં કાર્યવાહી થાય એ પહેલાં જ પ્રસાર માઘ્યમો કોઇને ગુનેગાર ઠેરવી દે, એ ગંભીર બાબત છે. તેની સામે જેઠમલાણીનો કે કોઇ પણ વ્યક્તિનો વાંધો વાજબી ગણાય. પણ નામીચા, ધનવાન આરોપીઓના કેસ લેનારા જેઠમલાણી જેવા વકીલો પાસે પોતાના આક્રમક બચાવ માટેની સૌથી હાથવગી દલીલ છે : ‘ગંભીરમાં ગંભીર ગુનો કરનારને ન્યાય મેળવવાનો અધિકાર છે. અદાલતમાં તેનો પક્ષ રજૂ કરવો અને તેને પોતાની વાત કહેવાની પૂરી તક આપવી, એ ન્યાયના હિતમાં વકીલ તરીકે અમારી ફરજ છે.’

દલીલ તરીકે વાત સો ટકા સાચી છે. મુંબઇ પર ત્રાસવાદી હુમલો કરનાર અજમલ કસાબને પણ વકીલ મળવો જોઇએ. કારણ કે તેમાં ગુનેગારની સુવિધાનો નહીં, આપણી ન્યાયપ્રણાલિની વિશ્વસનિયતાનો સવાલ છે. આરોપીને ફક્ત માન્યતાના આધારે ગુનેગાર ન ઠરાવી શકાય. પરંતુ વાત આટલેથી પૂરી થતી નથી. સૌથી અગત્યનો સવાલ છે : વકીલ પોતાના અસીલના બચાવ માટે કેટલી હદે જઇ શકે? અને વકીલ માટે પ્રાથમિકતા નક્કી કરવાની આવે તો પહેલું શું આવે? દેખીતી હકીકત સામે સગવડપૂર્વક આંખ આડા કાન કરીને, ન્યાયની આંટીધૂંટીથી-છટકબારીઓથી કે સામેના પક્ષની કોઇ નબળાઇથી સિદ્ધ કરેલું પોતાના અસીલનું હિત? કે આખા કિસ્સામાં તોળાવો જોઇતો ન્યાય?

વધારે તાત્ત્વિક રીતે એવું પણ પૂછી શકાય કે કોઇ પણ કેસમાં ‘ન્યાય’ની સર્વસામાન્ય વ્યાખ્યા એક જ હોય? કે આરોપીનો ન્યાય અને ફરિયાદીનો ન્યાય જુદાં જુદાં હોઇ શકે?

ન્યાય આખરે ન્યાય જ હોય અને સૌ કોઇનું આખરી ઘ્યેય કેસમાં ન્યાય થવો જોઇએ, એવું હોય તો? સ્વાભાવિક છે કે બન્ને પક્ષના વકીલો માટે અસીલનું હિત મહત્ત્વનું, પણ આખા કેસમાં ન્યાય થાય એ વધારે મહત્ત્વનું બની રહે. પરંતુ વ્યવહારમાં આવું થતું નથી. હાઇ પ્રોફાઇલ ગણાતા, માલેતુજાર કે પ્રસિદ્ધ આરોપીઓના કેસમાં પ્રસાર માઘ્યમો અને બચાવ પક્ષના વકીલો, બન્ને અંતીમવાદી વલણ અપનાવે છે. પ્રસાર માઘ્યમો અને તેની સાથે સંકળાયેલો લોકમત આરોપીને ઝડપથી, બને તો તત્કાળ, સજા થાય એ માટેની ગેરવાજબી આતુરતા દર્શાવે છે, તો બચાવપક્ષના વકીલ ‘મારો અસીલ જાણીતો કે પૈસાદાર માણસ છે, એટલે તેના પ્રત્યે વધારે કડકાઇ દેખાડવી ન જોઇએ અને તેનો સાચો ન્યાય થવો જોઇએ’ એ મુદ્દો તાણીને એટલી હદ સુધી લઇ જાય છે કે ‘મારો અસીલ જાણીતો કે પૈસાદાર માણસ હોવાથી તેને ભેરવી મરાયો છે અને મીડિયાવાળા તેની પાછળ પડી ગયા છે.’

બચાવ પક્ષના વકીલ ‘મારા અસીલને ન્યાય મેળવવાનો અધિકાર છે’ એવું માને ત્યાં સુધી બરાબર, પણ જેઠમલાણી જેવા વકીલો ‘મારા અસીલને મનગમતો ન્યાય મેળવવાનો અધિકાર છે’ એવું માનતા હોય એમ લાગે છે.

આચારસંહિતાનું અથાણું

બાર કાઉન્સિલ- વકીલમંડળે ‘વ્યાવસાયિક વર્તણૂંક’માં ચૂક બદલ એ.પી.સિંઘને કારણદર્શક નોટિસ આપી છે. પણ જેઠમલાણી જેવા વકીલો દ્વારા ઉત્સાહપૂર્વક અને બચાવના ઝનૂન સાથે લડવામાં આવતા મોટા આરોપીઓના કેસમાં બાર કાઉન્સિલ ભાગ્યે જ કશું કરી શકે. ‘અસીલને વફાદાર રહેવાની ફરજ’ની વાત કરતા વકીલો બાર કાઉન્સિલની આચારસંહિતના એક નિયમનો ઉલ્લેખ ભાગ્યે જ કરે છે.   ‘રીફ્‌યુઝ ટુ રીપ્રેઝન્ટ ક્લાયન્ટ્‌સ હુ ઇન્સિસ્ટ ઓન અનફેર મીન્સ’. એટલે કે ગરબડગોટાળા કરવાનો આગ્રહ રાખતા હોય એવા અસીલો વતી રજૂઆત ન કરવી, એ પણ અદાલત પ્રત્યે વકીલોની ફરજ ગણવામાં આવી છે.
‘આ બાબતમાં વકીલે પોતાની નિર્ણયશક્તિ કામે લગાડવી અને પોતાના અસીલની સૂચનાઓનું આંખ મીંચીને પાલન કરવું નહીં. ...કેસ દરમિયાન ખોટા આધારો રજૂ કરીને (સામેના) પક્ષોની આબરૂને હાનિ પહોંચાડવી નહીં.’

 આ જોગવાઇનો ઘ્વનિ એવો છે કે કોઇ અસીલ ગેરવાજબી અથવા અયોગ્ય રીતે કેસ લડવાની વાત કરતો હોય (‘ગમે તે કરો, પણ મને બચાવી લો’) તો વકીલ એનો કેસ લેવાનો ઇન્કાર કરી શકે છે અને તેમાં ન્યાયની કશી કુસેવા થતી નથી. પરંતુ જેઠમલાણી જેવા વકીલોને  આ પ્રકારના કેસ વઘુ માફક આવતા હોય એમ જણાય છે. તેનાં ઘણાં કારણો હોઇ શકે છે : અઢળક ફી, ભારે પ્રસિદ્ધિ, કાનૂની દાવપેચ લડાવવામાંથી મળતી ‘કીક’ અને એવા દાવપેચ માટે કાનુની વ્યવસ્થામાં મળી રહેતી પૂરતી મોકળાશ.

અંગ્રેજોએ ઊભા કરેલા કાનૂની માળખામાં સચ્ચાઇ કરતાં વાચાળતા, ચબરાકી, પ્રભાવ, આક્રમકતા જેવાં પરિબળો વધારે કારગત નીવડી શકે છે. એટલે જ, વલ્લભભાઇ પટેલ ‘સરદાર’ બન્યા તે પહેલાં  સફળ ફોજદારી વકીલ તરીકે જાણીતા હતા. આખા મુંબઇ રાજ્યમાં ખેડા જિલ્લો અને તેમાં પણ બોરસદ તાલુકો સૌથી વઘુ ગુનાખોરી ધરાવતો હતો. બેરિસ્ટર બન્યા પહેલાં પ્લીડર તરીકે વલ્લભભાઇ બોરસદમાં પ્રેક્ટિસ કરતા હતા. તેમના અસીલો ધડાધડ નિર્દોષ છૂટી જવા લાગ્યા એટલે સરકારે તપાસ કાઢી. તેમાં જાણવા મળ્યું કે વલ્લભભાઇ વકીલના પ્રતાપે આરોપીઓ છૂટી જાય છે. એટલે સરકારે આખી કોર્ટ બોરસદથી આણંદ ખસેડી દીધી.

વલ્લભભાઇ પણ પાછળ પાછળ આણંદ ગયા અને કામ ચાલુ રાખ્યું. એકાદ વર્ષ પછી સરકારે ફરી કોર્ટ બોરસદ લાવવાનો નિર્ણય લીધો. ગાંધીને મળ્યા પહેલાંના વલ્લભભાઇ મોટા માણસ થવા અને ઓછી મહેનતે વઘુ રૂપિયા કમાઇ શકાય એટલે વકીલાતના વ્યવસાયમાં આવ્યા હતા. ૧૯૦૦-૧૯૧૦ના જમાનામાં વલ્લભભાઇની પ્રેક્ટિસ એટલી ધીકતી હતી કે અમદાવાદના વકીલો તેમની ઇર્ષ્યા કરતા. વલ્લભભાઇને ન્યાય ખાતર એટલું ઉમેરવું જોઇએ કે એ સમયે ઘણી વાર અંગ્રેજ અફસરો અંગત અદાવતથી કે સ્વતંત્ર મિજાજના માણસો પર ખોટેખોટા કેસ કરીને તેમને ફસાવી દેતા હતા અને તેમને ગુનાખોરી ભણી પણ ધકેલતા હતા. એવા ઘણાના કેસ પણ વલ્લભભાઇ લડ્યા.

અંગ્રેજોના કાનૂની માળખાની આ તાસીરને કારણે ‘હિંદ સ્વરાજ’ (૧૯૦૯)માં ગાંધીજીએ વકીલો માટે આખું પ્રકરણ ફાળવ્યું. તેમાં એમણે કેટલાક વકીલોની પ્રશંસનીય કામગીરીનો ઉલ્લેખ કર્યા પછી લખ્યું કે એ લોકો પોતે વકીલ છે એ ભૂલી ગયા પછી જ સારા માણસ બની શક્યા છે. ‘તેઓનો (વકીલોનો) ધંધો તેઓને અનીતિ શીખવનારો છે. તેઓ બૂરી લાલચમાં પડે છે. તેમાંથી ઊગરનારા થોડા  જ છે...વકીલની ફરજ થઇ પડી કે તેણે તો અસીલનો પક્ષ ખેંચવો. અસીલ ધારતો ન હોય તેવી દલીલો અસીલના પક્ષની તેણે શોધવી...વધારેમાં વધારે નુકસાન તેઓના હાથે એ થયું છે કે અંગ્રેજી ઘૂંસરી આપણા ગળામાં સજ્જડ પેસી ગઇ છે...અંગ્રેજોએ અદાલતોની મારફતે આપણી ઉપર દાબ બેસાડ્યો છે ને તે અદાલતો આપણે વકીલ ન થઇએ તો ચાલી જ ન શકે...વકીલો કેમ થયા, તેઓએ કેવી ઘાલાવેલી કરી એ બઘું જો તમે સમજી શકો તો મારા જેટલો જ તિરસ્કાર તમને એ ધંધા તરફ છૂટશે.’

અંગ્રેજોની વિદાયના છ દાયકા પછી પણ તેમની કાનૂની વ્યવસ્થામાં પાંગરેલા જેઠમલાણી પ્રકારના વકીલો ગાંધીજીની ટીકા  અપ્રસ્તુત ન થઇ જાય એ માટે ઘણી મહેનત કરી રહ્યા છે. પોતાની હરકતોમાં ખોટું શું છે એ તેમણે સમજવું હોય તો આસારામ બાપુને બદલે ગાંધીબાપુ સુધી જવું પડે. 

Tuesday, February 19, 2013

જાતીય અત્યાચાર અંગે વર્મા પંચની ભલામણો : અનોખો અહેવાલ, અધકચરો વટહુકમ


ભારતનાં તપાસપંચ તેમની અત્યંત ધીમી ગતિ માટે કુખ્યાત છે. સમય અને રૂપિયાના ઘુમાડા પછી તૈયાર કરાતા તેમના દળદાર અહેવાલ ગમે તેટલા અભ્યાસપૂર્ણ હોય અને તેમાં કરાયેલાં સૂચન ગમે તેટલાં ઉપયોગી, છતાં એ થોથાં પોટલાંમાં બંધાઇને કે સરકારી તિજોરીમાં પુરાઇને રહી જાય છે.

જસ્ટિસ વર્મા પંચનો અહેવાલ એ રીતે ‘ભારતીય પરંપરા’માં નથી.  દિલ્હીમાં યુવતી પર સામુહિક અત્યાચારની ઘટના ૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ બની. તેના વિરોધમાં લોકો સડક પર ઉતરી આવ્યા. યુવતીની હાલત સુધરતી ન હતી અને (લોકવિરોધના લીધે) સરકારની હાલત બગડી રહી હતી. ૨૬ ડિસેમ્બરના રોજ તેને સિંગાપોર લઇ જવામાં આવી, જ્યાં ત્રણ દિવસ પછી તેનું અવસાન થયું. દરમિયાન, લોકોનો  રોષ ઠંડો પાડવા માટે સરકારે ડિસેમ્બર, ૨૩ના રોજ નિવૃત્ત જસ્ટિસ જે.એસ.વર્માના અઘ્યક્ષપદે એક પંચ નીમ્યું.

સરકારી પંચો પર શી રીતે ભરોસો મૂકવો? મોટા ભાગના લોકો (યોગ્ય રીતે જ) માને છે કે પંચ-કમિશન રચવાં એટલે લોકોના જુસ્સા પર ટાઢું પાણી રેડવાનો અને સમય પસાર કરવાનો ખેલ. પરંતુ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચના અઘ્યક્ષ તરીકેના હોદ્દા નિભાવી ચૂકેલા જસ્ટિસ વર્માએ તેમાં ભવ્ય અપવાદ સર્જ્યો. ભારતના હિસાબે તો પ્રકાશની ઝડપે ગણાય એટલા ટૂંકા સમયમાં- ફક્ત એક જ મહિનામાં-  ૬૪૪ પાનાંનો અહેવાલ તેમણે વડાપ્રધાનને મોકલી આપ્યો. પંચના અઘ્યક્ષ (નિવૃત્ત) જસ્ટિસ વર્મા ઉપરાંત પંચના બે સભ્યો (નિવૃત્ત) જસ્ટિસ લીલા સેઠ અને ગોપાલ સુબ્રમણ્યમે દિલ દઇને કામ કર્યું છે, એવું ફક્ત ઝડપ પરથી નહીં, અહેવાલની ગુણવત્તા પરથી પણ જણાઇ આવે છે.

‘એમેન્ડમેન્ટ્‌સ ટુ ક્રિમિનલ લૉ’ જેવા ટેકનિકલ નામે ઓળખાયેલો વર્મા અહેવાલ ફક્ત શારીરિક બળાત્કાર જેવા સપાટી પરના મુદ્દા વિશે અરેરાટી વ્યક્ત કરીને અટકી જતો નથી. સ્વૈચ્છિક- સરકારી સંસ્થાઓ તથા વ્યક્તિઓ સાથેની વાતચીત અને  સામે ચાલીને લોકોએ પૂરી પાડેલી માહિતીના આધારે તૈયાર કરાયેલો આ અહેવાલ સ્ત્રી પર અત્યાચારનાં મૂળ સુધી જાય છે. બળાત્કારને લગતા કાયદામાં રહેલાં અઢળક છીંડાં ચીંધીને તેને પૂરવાના ઉપાય પણ તેમાં દર્શાવાયા છે.

બીજા અહેવાલોની જેમ વર્મા અહેવાલને માળિયે ચડાવી દેવાનું  સરકારને પાલવે એમ ન હતું. બલ્કે, એના પરથી પગલાં લેવાનો બધો રાજકીય જશ કેવળ શાસક મોરચાને મળે, એવી પણ સરકારની ભાવના હશે. એટલે સંસદનું બજેટ સત્ર ચાલુ થવાની રાહ જોયા વિના, વર્મા અહેવાલના આધારે વટહુકમનો કાચો ખરડો તૈયાર કરવામાં આવ્યો. મંત્રીમંડળે તેને પોતાની ભલામણ સાથે રાષ્ટ્રપતિભવન મોકલી આપ્યો. રાષ્ટ્રપતિએ બે જ દિવસમાં, ૩ ફેબુ્રઆરીના રોજ ‘ક્રિમિનલ લૉ (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ,૨૦૧૩’ જાહેર કરી દીધો.

આમ, દોઢ મહિના જેટલા ટૂંકા સમયમાં ‘નક્કર પગલાં’ લેવાની પ્રજાકીય માગણીને સરકારે સંતોષવી પડી- અને એ પણ રાષ્ટ્રપતિના વટહુકમ સ્વરૂપે. જનઆંદોલનો તો ભારતમાં ઘણાં થયાં છે, પણ આટલું ઝડપી પરિણામ ભાગ્યે જ મળ્યું હશે. લોકપાલ મુદ્દે આંદોલન વધારે જોશીલું ને હથિયાર તરીકે આમરણ ઉપવાસ હોવા છતાં આવી સફળતા મળી ન હતી.

વટહુકમ જારી થઇ ગયા પછી ગરમાગરમ ચર્ચા એ જાગી છે કે વટહુકમની જોગવાઇઓમાં આંદોલનનો હેતુ સિદ્ધ થઇ ગયો? કે પછી સરકારે વર્મા અહેવાલના આરસપહાણમાંથી સુંદર મૂર્તિ બનાવવાને બદલે, ચટણી વાટવાનો દસ્તો (પથ્થર) બનાવીને સંતોષ માની લીધો છે?

સમજણનો વિસ્તાર

સરકારી વટહુકમ અને વર્મા કમિટીની જોગવાઇઓ વચ્ચે રહેલું મોટું અંતર હળવી ટીપ્પણીથી માંડીને કડક ટીકાનો વિષય બન્યું છે. શરૂઆત એક અભિપ્રાયના કેટલાક અંશથી કરીએ.

‘સરકારે દાખવેલી પ્રશંસનીય ઉતાવળ છતાં, તેણે વર્મા સમિતિના અહેવાલરૂપી વૃક્ષનાં સૌથી નીચે લટકતાં ફળ પર જ ઘ્યાન આપ્યું હોય એવું લાગે છે. પતિ દ્વારા પત્ની પર થતા બળાત્કાર, ફૌજીઓને બળાત્કારના ગુનામાં અદાલતી કાર્યવાહી સામે મળતું ખાસ રક્ષણ,  કાનૂની દૃષ્ટિએ અપ્રસ્તુત ખાપ પંચાયતો- આવા વિવાદાસ્પદ મુદ્દા અંગે સરકારી વટહુકમ વર્મા અહેવાલ જેટલો ગંભીર જણાતો નથી...સમયસંજોગો પ્રમાણે ઉતાવળે કાર્યવાહી કરવાની લ્હાયમાં કે પછી તકરારી અને ઘણાને ખટકે એવા મુદ્દા ટાળવા માટે વર્માસમિતિના અહેવાલમાંથી અમુક જ મુદ્દા લેવામાં આવ્યા છે. તેનાથી વર્માસમિતિની મહેનતને ન્યાય મળતો નથી...કહેવાય છે કે ‘એ જોબ વેલ-બીગન ઇઝ હાફ ડન’ (કામ સારી રીતે શરૂ થાય એટલે અડઘું પત્યું સમજવું). એ રીતે જોતાં સરકારે તેના માટે અસ્વાભાવિક પણ પ્રશંસનીય ઝડપથી વર્માસમિતિના અહેવાલના આધારે વટહુકમ આણ્યો છે,  પણ આ કામ હજુ ફક્ત અડધે રસ્તે પહોંચ્યું છે. અહેવાલના વઘુ વિવાદાસ્પદ મુદ્દા અંગે પણ સરકારે આવાં જ ખંત અને ઉતાવળથી કામ કરવું જોઇએ અને એ બાબતે પોતાની રાજકીય ઇચ્છાશક્તિનો પરચો આપવો જોઇએ.’

આ અભિપ્રાય ક્યાં મુકાયો હશે? નવાઇ લાગે એવો જવાબઃ તે ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ પર મુકાયો છે. શક્ય છે કે એ સમાચારના સંકલન તરીકે હોય (જોકે એવી કોઇ સ્પષ્ટતા થયેલી નથી), છતાં કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર છે ત્યારે ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ કેન્દ્ર સરકારને વધારે વિવાદાસ્પદ મુદ્દા હાથમાં લેવા અને રાજકીય ઇચ્છાશક્તિ બતાવવા કહે તે સુખદ આશ્ચર્યની વાત છે.

વર્માસમિતિના અહેવાલના કેન્દ્રસ્થાને રહેલો સૌથી અગત્યનો અને ક્રાંતિકારી મુદ્દો હતોઃ બળાત્કાર મુખ્યત્વે વાસનાનું નહીં, પણ પિતૃસત્તાક સમાજવ્યવસ્થાનું પરિણામ છે. અહેવાલના પહેલા પ્રકરણનો પહેલો મુદ્દો જ એ હતો કે બળાત્કાર, જાતીય હિંસા, છેડછાડ વગેરે પીડિતા પર થતી ભયંકર અસરોને કારણે ચિંતાનો વિષય છે. પરંતુ કાયદાના શાસનને વરેલો સમાજ આ બધી હરકતો ચલાવી લે એ પણ એટલું જ ચિંતાજનક છે. સ્ત્રીઓના પાયાના અધિકાર અંગે સમાજને જગાડવા- તેને વિચારતો કરવા માટે આવી ધૃણાસ્પદ ઘટનાની જરૂર પડે, એ વિશે પણ અહેવાલમાં ટીપ્પણી કરવામાં આવી હતી.  

જસ્ટિસ વર્માએ જાતીય અત્યાચારને લગતા કાયદામાં ‘બળાત્કાર’ને બદલે જાતીય હુમલાની વાત કરીને આખા ગુનાનો વ્યાપ વધારી દીધો. અહેવાલમાં સાફ શબ્દોમાં જણાવાયું હતું કે ‘વર્તમાન અરાજકતા અને અસલામતી માટે કાનૂની જોગવાઇઓનો નહીં, પણ સુશાસનનો અભાવ કારણભૂત છે. વધારે કાયદાની જરૂર હોત તો અનેક સંસ્થાઓ અને અદાલતી ચુકાદાઓ હજુ અમલ થયા વગરનાં ઘૂળ ખાય છે (એમનો અમલ થયો હોત)...કારીગરે પાનાંપકડ સાથે તકરાર કરવાને બદલે કામ કરવાની પદ્ધતિ સુધારવી જોઇએ. આ મુદ્દે સુધારો ન થાય ત્યાં સુધી કાયદાનાં થોથાંમાં ઉમેરા કરવાથી કશો ફરક પડવાનો નથી.’

વટહુકમ સામેના વાંધા 

વર્માસમિતિએ ફક્ત સજાઓમાં વધારો કરીને બેસી જવાને બદલે અભિગમમાં પરિવર્તન આણવું પડે એવા કેટલાક સુધારા સૂચવ્યા. તેમાંનું એક ક્રાંતિકારી સૂચન એવું હતું કે પતિ પણ તેની પત્ની પર જાતીય જબરદસ્તી કરી શકે નહીં- અને કરે તો એને બળાત્કાર ગણીને  પત્ની ફરિયાદ નોંધાવી શકે. આ જોગવાઇમાં પત્નીના દેહને પતિની મિલકત ગણીને તેનો યથેચ્છ ભોગવટો કરવાની ‘સાંસ્કૃતિક પરંપરા’ જોખમાતી હતી. એટલે સરકારે આ સૂચનનો અસ્વીકાર કર્યો.

બીજો અગત્યનો સુધારો એ હતો કે બળાત્કાર ફક્ત પુરૂષ જ કરી શકે, જ્યારે એ ગુનામાં સહભાગી તરીકે સ્ત્રી અને પુરૂષ બન્ને હોઇ શકે. એટલે કે સામુહિક અત્યાચારના બનાવમાં એક યા બીજી રીતે સામેલ એવી સ્ત્રી પર બળાત્કારના ગુનાની કલમો લગાડીને તેને એ પ્રમાણે સજા મળવી જોઇએ. પુરૂષ કોઇ સંજોગોમાં સ્ત્રી પર બળાત્કારની ફરિયાદ નોંધાવી શકે નહીં.

ઇશાન ભારતનાં રાજ્યોમાં ખાસ કાયદાના રક્ષણ હેઠળ ફરજ બજાવતાં ભારતીય લશ્કરી દળો સામે બળાત્કારના આરોપ થતા રહે છે. એવા આરોપીઓ સામે અદાલતમાં કામ ચલાવતાં પહેલાં તેમને ઉપરીની મંજૂરી લેવાનું ફરજિયાત હતું, પણ વર્માસમિતિના અહેવાલમાં એ શરત કાઢી નાખવાનું સૂચન હતું. આવા કંઇક મહત્ત્વના મુદ્દા સરકારી વટહુકમમાં ગાયબ છે. એટલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને નારી સંગઠનોએ વટહુકમ સામે આંદોલન ચાલુ રાખ્યું છે. તેમના વાંધાના કેટલાક મુખ્ય મુદ્દાઃ

વટહુકમથી વ્યાખ્યાનો વિસ્તાર થયો છે -અને ફક્ત બળાત્કારને બદલે જાતીય હુમલાની વાત અંદર આવી છે- પણ કાયદાનો વ્યાપ ખાસ વઘ્યો નથી. બળાત્કાર ફક્ત પુરૂષ જ કરી શકે. માટે બળાત્કારના કિસ્સામાં પુરૂષ કદી ફરિયાદી ન હોઇ શકે. એટલી મૂળભૂત વાત વટહુકમમાં સ્વીકારવામાં આવી નથી. મહિલા સંગઠનોને એનો મોટો વાંધો છે. એવી જ રીતે, પત્ની પર પતિ દ્વારા થતા બળાત્કાર અને  યુવાનો વચ્ચે પરસ્પર સંમતીથી બંધાતા સંબંધો અંગે પણ વટહુકમમાં મૌન સેવવામાં આવ્યું છે. વર્માસમિતિએ જેની આકરી ટીકા કરી હતી એવી ખાપ પંચાયતોને આ પ્રકારના મૌનથી ફાવતું જડે છે.

એવી જ રીતે, સૈન્યના સભ્યો સામે બળાત્કારનો આરોપ થાય ત્યારે તેમનો કેસ સામાન્ય અદાલતમાં જ ચાલવો જોઇએ, એવી વર્માસમિતિની ભલામણ સરકારે સ્વીકારી નથી. એ પ્રકારના ગુનામાં ભોગ બનનારને ન્યાય મેળવવા માટે આરોપીઓના ઉપરીની મરજી પર આધારિત રહેવું પડશે. પોલીસ કસ્ટડીમાં થયેલા બળાત્કાર અંગે ફક્ત આરોપી જ નહીં, તેના ઉપરી પણ જવાબદાર ગણાશે એવી વર્માસમિતિની ભલામણ સરકારે સ્વીકારી નથી. ચોક્કસ જ્ઞાતિ કે ધર્મના લોકો પર અત્યાચાર તરીકે કરવામાં આવતા બળાત્કારને અહેવાલમાં ‘એગ્રેવેટેડ સેક્સ્યુઅલ એસોલ્ટ’ ગણવામાં આવ્યા હતા, પણ સરકારી વટહુકમમાં એમનો કશો ઉલ્લેખ જોવા મળતો નથી. ન્યાયાધીશ, પોલીસ અને જાહેર સેવક સામે બળાત્કારના આરોપ અંગેની કાર્યવાહી કરતાં પહેલાં તેમના ઉપરીની મંજૂરીની જરૂર ન હોવી જોઇએ, એવી અહેવાલની ભલામણ સરકારે સ્વીકારી નથી.

આ યાદી હજુ લંબાઇ શકે એમ છે. પરંતુ તેનો સાર એટલો જ કે, મહિલાવિરોધી હિંસા વિશે વટહુકમ આવી ગયો એટલે એ ઝુંબેશ પૂરી થયેલી સમજવાની નથી. ખરો જંગ હજુ શરૂ થયો છે. સાથોસાથ, એ પણ યાદ રાખવાનું કે લોકોએ વ્યક્ત કરેલો રોષ સાવ એળે ગયો નથી. સ્ત્રીવિરોધી હિંસાના મુદ્દે દીવાદાંડી બને એવો વર્માસમિતિનો અહેવાલ આખી ઝુંબેશની નોંધપાત્ર ઉપલબ્ધિ છે.