Showing posts with label politics. Show all posts
Showing posts with label politics. Show all posts

Tuesday, August 25, 2026

કૃતિ અને આસ્વાદ

લોકગીતોના કોઈ કવિ નથી હોતા. લખનાર કોઈક તો હોય, પણ પછી તે એટલું પ્રચલિત થઈ જાય કે તે લોકોનું બની જાય. ઘણી વાર એનાથી ઉલટું પણ થાય. લોકગીતને કોઈ પોતાના નામે ચડાવી મારે ને પોતાનું બનાવી દે. આપણી વાત એક તાજા લોકગીત વિશેની છે, જે એટલું તાજું છે કે હજુ તેને કોઈ લોકગીત પણ કહેતું નથી. છતાં, તે જે રીતે પ્રચલિત થયું અને તેના રચનાકાર જે રીતે અજાણ રહ્યા, એ બંને કારણોસર તેને લોકગીત કહેવામાં બહુ અતિશયોક્તિ નહીં થાય. ઝડપથી રચાતા સોશિયલ મિડીયાના ઇતિહાસમાં તો તેને લોકગીત-સમકક્ષ દરજ્જો મળી જ ચૂક્યો છે. લોકગીતની જેમ તેની બધી પંક્તિઓ એક જ ઢાળમાં ગવાય છે. લોકગીતના જ અંદાજમાં તેના શબ્દોના પાઠફેર પણ જોવા મળે છે. છતાં, વ્યાપક સ્વીકૃતિ પામેલા તેના શબ્દો આ પ્રમાણે છેઃ

છપ્પન ઇંચકા છોટા બંદર

પેપર લીક કર ગયા બંદર

દેખો કૈસે છિપ ગયા બંદર

દલીલ ખાતર કોઈ કહી શકે કે આ ક્યાં ગીત છે? આ તો સૂત્રો કે નારા છે. કોઈ કાવ્યરસિકને તે ત્રિપદી લાગે, તો કોઈને આખી ચોપાઈમાં એક કડી કે છપ્પામાં ત્રણ કડી ખૂટતી પણ લાગે. એ બધી સ્વરૂપલક્ષી ચર્ચા દિવસો સુધી ચલાવી શકાય. તેમ છતાં, તેનો સર્વમાન્ય અંત ન આવે એવું બને અથવા તેના વિશે બે દિવસનો સેમિનાર યોજી શકાય, જેના અંતે છેવટે સૌને ભોજનનો સ્વાદ જ યાદ રહે..એટલે, તે પિંજણ બાજુ પર રાખીને, કૃતિના આસ્વાદ તરફ આગળ વધીએ.

કેટલાક અવળચંડા લોકો કહેશે કે આ કડીઓની વચ્ચે વચ્ચે આવતી ધ્રુવપંક્તિ અહીં કેમ નથી લખી? તેમને એટલું જ કહેવાનું કે એમ કરવા જતાં ધ્રુવપંક્તિની જ ગરમાગરમ ચર્ચા એટલી ચાલે કે બીજી પંક્તિઓની સાહિત્યિક ચર્ચા કરવાનું અશક્ય બની જાય અને કૃતિ સાથે અન્યાય થાય. માટે, અહીં ફક્ત કૃતિના નક્કર સાહિત્યપદાર્થની-- કેટલાક લોકો જરા વજન ઉમેરવા કહે છે તેમ, સાહિત્યપદારથની—જ વાત કરીએ.

કૃતિની પહેલી કડીથી ગુજરાતી કાવ્યરસિકોને તરત ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ યાદ આવે તો નવાઈ નહીં. “ચૌદ વરસની ચારણકન્યા”  હવે વિચારો. તેની સાથે નવા લોકગીતની પહેલી કડીને કેટલું સામ્ય છે. બંને પંક્તિમાં કવિએ મુખ્ય પાત્રનો સાવ સ્થૂળ પરિચય એકદમ સાદી રીતે આપી દીધો છે.

આસ્વાદમાં આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતાઃ કોઈ મેઘાણીપ્રેમી એવું ન માને કે તેમની ‘ચારણકન્યા’ની નવા લોકગીત સાથે સરખામણી થઈ રહી છે. બંને સાવ જુદાં સ્થળ, સમય, હેતુ અને મિજાજ આલેખતી કૃતિઓ છે. બંનેમાં રહેલા મૂળભૂત જુસ્સાની સરખામણી કરવી હોય તો થઈ શકે, પણ તે જરૂરી નથી.

અગાઉ નોંધ્યું તેમ, બંનેમાં પાત્રોની પરિચય-પંક્તિ છેતરામણી સાદગી ધરાવે છે. છતાં, આખી કૃતિમાંથી પસાર થયા પછી નવેસરથી તે પંક્તિ વાંચતાં સમજાય છે કે તેમાં ઠાંસીને વ્યંજના ભરેલી છે. કવિ બંદર માટે બે વિશેષણ વાપરે છેઃ છોટા અને છપ્પન ઇંચકા. આ બંને વિશેષણ પરસ્પર પૂરક છે કે વિરોધી, તે કવિએ ભાવકો પર છોડ્યું છે. એટલે તેનાં બે અર્થઘટન થઈ શકેઃ બંદર સાવ નાનું, માંડ છપ્પન ઇંચનું છે અથવા બંદર વાતો છપ્પન ઇંચની કરે છે, પણ છે સાવ નાનું. અર્થ ગમે તે લઈએ, પણ એટલું નક્કી કે આ પંક્તિ થકી ભાવકના ચિત્તરૂપી મંચ પર એક પાત્ર ખડું થઈ જાય છેઃ છપ્પન ઇંચ કા છોટા બંદર.

ઘણા કવિતાપ્રેમીઓ આ પંક્તિનું કાવ્યતત્ત્વ સમજવાને બદલે, તેનો શબ્દાર્થ પકડીને આનંદ લે છે, પણ સૂફી કવિતા-ગઝલોનો પરિચય ધરાવનારાને યાદ હશે કે તેમાં કવિ પ્રિયતમાને કહેતા હોય એવું લાગે, પણ તે કહેતા હોય ઈશ્વરને. એવી રીતે ઊંડાણથી નવા લોકગીતનો અર્થ સમજવો હોય તો તેના માટે કેટલાક ગુજરાતી કથાકારો ને તેમના ભક્તવર્તુળો જેવી મૌલિક અર્થઘટન શક્તિ જોઈએ. એવી શક્તિથી કામ લેતાં પ્રથમ પંક્તિનો સાવ નવો જ અર્થ મનમાં ઉઘડે છે. અને એ છેડો ઉકલ્યો, એટલે પછી આખી કૃતિ સડસડાટ ઉકલતી ચાલે છે.

કવિ કહેવા એવું માગે છે કે માણસનું દિલ બંદર જેવું છે. તેને છપ્પન ઇંચનું કહ્યું છે, કારણ કે તે માણસની (છપ્પનની) છાતીમાં રહેલું હોય છે. સૌ જાણે છે કે આપણી પરંપરામાં મનને મર્કટ સાથે સરખાવ્યું છે. એ જ પરંપરાની આ વાત છે. તો છપ્પન ઇંચનું આ બંદર શું કરે છે? તે પેપરો લીક કરી નાખે છે.એટલે કે, માણસની પરીક્ષા થવાની હોય તે પહેલાં, અંદરના અવાજ રૂપે તેને આગોતરી ચેતવણીઓ આપે છે. પણ સૌ જાણે છે કે અંતરાત્માના અવાજને કોઈ ગણકારતું નથી. આવું વારંવાર થયા પછી અંદરનો અવાજ બંધ આવતો બંધ થઈ જાય છે, જાણે એ અવાજ પેદા કરતું દિલ ક્યાંક છુપાઈ જાય છે. એ વાતને રમતિયાળ સ્વરૂપે કવિએ છેલ્લી પંક્તિમાં મુકી આપી છેઃ દેખો કૈસે છિપ ગયા બંદર.

આમ, દેહધારી અને તેના આત્માના અવાજ વચ્ચેના સંઘર્ષ અને તેમાં થતી અંતરાત્માની હારને માર્મિક રીતે વર્ણવતી આ કૃતિ ભારતની આધ્યાત્મિક પરંપરાને આગળ ધપાવનારી છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત તેને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો રજૂ કરતી કૃતિ તરીકે અભ્યાસક્રમમાં સ્થાન આપવું જોઈએ. 

Saturday, May 09, 2026

ઝેરનો પ્રતિકાર

 નરેન્દ્ર મોદીના ભક્તોને ચાલુ વર્તમાનકાળમાં વસવું પડે છે. કારણ કે થોડા જ દૂરના ભૂતકાળમાં જતાં જુમલાઓના ને ભ્રષ્ટ-ગુનાઇત બેશરમીના ખડકલા ધડાધડ બહાર નીકળવા માંડે છે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પહેલાંના સંખ્યાબંધ વિડીયોમાં તેમણે પછીથી વડાપ્રધાન તરીકે લીધેલા નિર્ણયોની ટીકા સાંભળી શકાશે, પણ ના... ભક્તો ત્યારે પણ હોંશે હોંશે છેતરાયા હતા ને આજે પણ હોંશે હોંશે છેતરાય છે. ત્યારે રવાડે ચડીને છેતરાયા હતા ને આજે આંખ સામે દેખાતી અસલિયત નજરઅંદાજ કરીને છેતરાય છે.
તેનો તાજો દાખલો આજે ટ્વિટર પર ચાલેલી સુવેન્દુ અધિકારી વિશેની મોદીની જૂની વિડીયોનો છે. તેમાં મોદી લાંચ લેતાં રંગેહાથ પકડાયેલા અને ત્યારે મમતા બેનર્જીના સાથીદાર એવા સુવેન્દુ અધિકારીની બરાબર ટીકા કરે છે અને એ પણ તેમના ખાસ, સડકછાપ અંદાજમાં. સાદા ગુજરાતીમાં જેને 'કૂદી કૂદીને' કહી શકાય એવી રીતે.
--અને આજે એ જ મોદી એ જ સુવેન્દુને બંગાળના મુખ્ય મંત્રી બનાવે છે ને ડાહી ડાહી વાતો કરે છે. ત્યારે ભક્તોએ શું કરવાનું? મમતા બેનરજી કેટલાં ખરાબ છે અને એક સમયે સુવેન્દુ તેમના માણસ હતા, તેની પર ફોકસ કરવાનું. તટસ્થતાની વાતો કરવાની અને 'તમે તો મોદીની પાછળ પડી ગયા છો'--એવી લાઇન ચલાવવાની.
આટલો અંધાપો રાજકીય સ્વાર્થ ધરાવતા લોકોમાં હોય તો તેને સ્વાર્થઅંધતા કહેવાય, પણ સ્વાર્થઅંધતા કરતાં વિચારઅંધતા અને ધિક્કાર-અંધતા ઘણી વધારે ખતરનાક છે. કેમ કે, તેની અસરો ફક્ત રાજકારણ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં ઝેર પ્રસારે છે અને છેક મૂળીયાં સુધી પહોંચી જાય છે. તેનો અનુભવ આપણે કરી રહ્યા છીએ.
કેટલાક લોકો માને છે ને એવી ચિંતા પણ કરે છે કે હું મોદીને ધિક્કારું છું ને ચોવીસે કલાક તેમની ટીકા કરવામાં ગાળું છું. એવા લોકોને આશ્વસ્ત કરવા માટે કહી દઉં કે હું તેમની નીતિઓનો, જૂઠાણાંનો, સડકછાપ વક્તવ્યોનો, દેશને ડૂબાડતાં તેમનાં કશી દીર્ઘ કે સાદી દૃષ્ટિ વગરનાં પગલાંનો, ભયંકર (વેપનગ્રેડ) આત્મમુગ્ધતાનો, ધિક્કારને રાજ્યાશ્રય આપવાની રસમનો, તેમના છીછરાપણાનો અને હળહળતા દંભનો, રાજાબાબુ-એડિટ્યુડનો આકરો ટીકાકાર છું, પણ તેમના માટે મનમાં ધિક્કાર નથી. તેમણે દેશને અને સમાજને ભરપાઈ ન થઈ શકે એટલું નુકસાન પહોંચાડ્યું છે એવું પૂરતી હકીકતો સાથે માનું છું. છતાં, તેમના વિશે મનમાં ઝેર નથી. કારણ કે, એવો ધિક્કાર-એવું ઝેર સરવાળે મને જ મારી નાખે. તેમના વિશેના અભિપ્રાયો મારી વિચારસૃષ્ટિનો એક નાનો હિસ્સો છે, પણ તેમના પ્રેમીઓને મારી આખી વિચારસૃષ્ટિમાંથી ફક્ત એટલું જ દેખાય છે અથવા એટલું જ યાદ રહે છે. (તે સિવાય મારા મનોજગતમાં બીજું શું શું છે, તેની એક જ ઝલક લેવી હોય તે મારો બ્લોગ અથવા 'મારી પત્રકારત્વ-લેખનની સફર' પુસ્તક જોઈ શકે છે. )
બીજી તરફ, ઘણાખરા પ્રગટ ભક્તો ઝેરના વેપારી થઈ ગયા છે. સીધાંસાદાં મૂલ્યોની વાત, માનવતાની વાત, સહઅસ્તિત્વની વાત તેમનાથી ખમાતી નથી. તેના ઉલ્લેખમાત્રથી તે ઝેરની ઉલટીઓ કરવા માંડે છે. તેમને લાગે છે કે માનવતાનાં મૂલ્યોની વાત થશે તો આટલા દાયકાઓની મહેનતથી ઊભો કરેલો ને મોટો થયેલો ધિક્કાર ને વેરઝેરનો માંચડો પાછો ફસકી પડશે. એટલે એવી વાત કરનારા લોકો પર ટ્રોલિંગથી માંડીને બીજીત્રીજી રીતે દબાણ કરીને તેમને ચૂપ કરાવવા મથે છે.
અને પ્રચ્છન્ન ભક્તો.
તેમને પૂરેપૂરું સમજાતું નથી અથવા પોતાની ભક્ત-અવસ્થા તે પૂરેપૂરી સ્વીકારી શકતા નથી. એટલે તે 'અમારે તો તમારા જેવું નથી. અમે તો મોદીની મુદ્દાઆધારિત ટીકા કરીએ છીએ'--એવી દલીલ કરીને જાતને આશ્વાસન આપે છે, પણ રોજેરોજ તેમના સાહેબની મુદ્દાઆધારિત ટીકા થાય ત્યારે, 'આ તો હદ કરે છે' એવું તેમને રોજેરોજ વાજબી ટીકાના મુદ્દા પૂરા પાડનારા મોદી વિશે નહીં, પણ એ મુદ્દે મોદીની ટીકા કરનારા લોકો વિશે થાય છે. મુદ્દા ખોટા છે, એવું તે કહી શકે એમ નથી. એટલે પછી તે બીજી ભળતી દલીલો કરે છે. એ તેમના પ્રચ્છન્ન ભક્ત હોવાનું લક્ષણ છે. (ભક્ત શબ્દ આકરો લાગે તો તે પોતાને પ્રેમી કે સમર્થક પણ ગણી શકે છે.)
એવા સંજોગોમાં, ઝેરનાં વાવેતર, ઝેરની ખેતી, ઝેરની ફસલ ને ઝેરનો વેપલો કરનારાઓ સાથે જીભાજોડી કરવા પણ તેમની દુકાને ઊભવું નહીં ને આપણા બારણે નજરે પડે તો પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે તેમને રવાના કરવા અથવા અવગણવા.
ઝેરીલા લોકો સાથે સંવાદની મહત્ત્વાકાંક્ષા મેં તો છોડી દીધી છે. તેમના ઝેરથી સલામત રહેવું એને જ પ્રાથમિક કર્તવ્ય ગણ્યું છે. તમે પણ તેમના ઝેરથી અળગા ને સલામત રહો એવી શુભેચ્છા.

Tuesday, May 05, 2026

બંગાળવિજયના વિશ્લેષણમાં અપાયેલાં કારણો અને હકીકત

બંગાળમાં ભાજપની જંગી જીતનાં ઉત્સાહી વિશ્લેષણોમાં અપાયેલાં મુખ્ય કારણો અને સંબંધિત હકીકત.
1. લોકો મમતાની ગુંડાગીરીથી કંટાળી ગયા હતા.
- મમતા બેનરજીની ગુંડાગીરી જાણીતી છે. તેનાથી લોકો કંટાળે એ ચોક્કસ એક કારણ હોઈ શકે. પરંતુ ગુંડાગીરીથી કંટાળેલા લોકો મોદી-શાહને પસંદ કર? અને તેમનો આટલાં વર્ષોનો રાજ્યોનો અને કેન્દ્રનો રેકોર્ડ સદંતર ન જુએ?
2. મમતા બહુ ભ્રષ્ટાચારી છે.
- એકેય નેતાના ભ્રષ્ટાચારી ન હોવા વિશે બાંહેધરી આપી શકાય એવું રહ્યું નથી. એક સમય હતો જ્યારે મમતા ભૂરી પટ્ટીની સ્લીપર પહેરીને ફરતાં હતાં ને સામાન્ય ઘરમાં રહેતાં હતાં. પછી તો હુગલીમાંથી બહુ પાણી વહી ગયાં. પરંતુ વાંધો મમતાના ભ્રષ્ટાચાર સામે હોય તો તેનો વિકલ્પ રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યના સ્તરે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડનાર ભાજપ હોઈ શકે?
3. લોકોને વિકાસ જોઈએ છે અને મમતા વિકાસવિરોધી છે.
- મોદીની ભાજપે અપનાવેલું વિકાસનું મોડેલ હવે આટલાં વર્ષે ઉઘાડું પડી ગયું છે. ખુલ્લી આંખે જોઈ શકતા કોઈ પણ માણસને સમજાય કે પહેલાં લોકોની સુવિધા માટેનાં કામ થતાં હતાં અને તેમાં ભ્રષ્ટાચાર થતો હતો, જ્યારે હવે તોતિંગ અને અભૂતપૂર્વ સ્તરનો ભ્રષ્ટાચાર કરવા માટે અનિવાર્ય આડપેદાશ તરીકે વિકાસનાં કામ ઊભાં કરવામાં આવે છે, અને તેનો અમલ કેવો થાય છે, એ તો તેની ગુણવત્તા પરથી સ્પષ્ટ છે.
વર્ષ 2014માં ગુજરાતબહારનું કોઈ સામાન્ય માણસ કહે કે અમે વિકાસ માટે મોદીને મત આપ્યો, તો તેની દલીલ સમજી શકાય, પણ 2026માં નિષ્ફળ વિદેશ નીતિ, નિષ્ફળ અર્થનીતિ,તોતિંગ ભ્રષ્ટાચારની અનિવાર્ય પેદાશ તરીકે ઊભી થતી માળખાકીય સુવિધાઓનું અણઘડ આયોજન, લોકોની સુવિધાને બદલે પોતાના જયજયકારને કેન્દ્રમાં રાખીને થતા વેનિટી પ્રોજેક્ટ--આ બધા પછી પણ મોદીના વિકાસના વાવટા ફરકાવવા માટે ને વિશ્લેષણોમાં તેને આગળ કરવા માટે જબરી બેશરમી જોઈએ.
5. મોદીની યોજનાઓ અને વચનોની સામાન્ય લોકો પર બહુ અસર થાય છે.
- શક્ય છે, પણ ચૂંટણી વખતે ચૂંટણીપંચની રહેમનજર તળે, સત્તાવાર સરકારી લાંચ તરીકે જાહેર કરાતી આ યોજનાઓના અમલનો ઇતિહાસ કોઈ નહીં જોતું હોય? જોકે, હકીકત એ પણ છે કે મુખ્ય ધારાનાં પ્રસાર માધ્યમોમાં એ બધાને સાવ ઓછું સ્થાન મળે છે.
6 .મમતા મુસલમાનતરફી છે ને એ જીતશે તો બંગાળમાં ઉર્દુ બોલાતું થઈ જશે.
- મમતા મુસલમાનતરફી છે એ સાબીત કરવું અઘરું પડી શકે, પણ ભાજપ મુસલમાનવિરોધી છે અને ડોગવ્હિસલિંગ કરવામાં--મુસલમાનો સામે સરેઆમ ઉશ્કેરણી ફેલાવવામાં--અતિશય ઉત્સાહી છે, એનો લાંબો ઇતિહાસ અને વર્તમાન છે. તેને પ્રતિસાદ મળે અને તેના લીધે મતોમાં ફાયદો થાય, ત્યારે વિશ્લેષકોએ તેને સ્ટ્રેટેજી કે ચાણક્યનીતિ તરીકે વધાવવાનું હોય કે ચિંતા વ્યક્ત કરવાની હોય?
7. મમતાની આપખુદશાહી ભારે પડી.
-- અને લોકોએ મમતાની આપખુદશાહીથી કંટાળીને મોદી-શાહની ભાજપને મત આપ્યો. 😃 😃 😃
8. મમતાના લાંબા સમયના શાસનથી લોકો કંટાળી ગયા હતા. એટલે સત્તાપક્ષવિરોધી લાગણી- એન્ટીઇન્કમ્બન્સી-એ કામ કર્યું.
- બરાબર. એ લાગણી તો ફક્ત વિપક્ષોની સરકારને જ નડે. કારણ કે, ભાજપની સરકારોમાં તો સુશાસનનો પાર નથી. (જીતના વરઘોડામાં જોડાઈને નાચવાનું ચાલુ કરી દીધા પછી હકીકત ગૌણ બની જાય છે અને કંઈ પણ કહી શકાય છે.)
9. ભાજપના કાર્યકરોએ બહુ મહેનત કરી. અમિત શાહે જોરદાર આયોજન કર્યું.
- આ બંને બાબતો સાચી, પણ અમિત શાહના 'આયોજન'ની વિવિધ દિશાઓ અને પદ્ધતિઓ વિશે પણ પ્રકાશ પાડવાનો કે નહીં?
*

ચૂંટણીપંચ અને અદાલતની સંદેહાસ્પદ ભૂમિકા તથા લાખો મત કપાઈ ગયાની વાત જે વિશ્લેષણમાં પૂરા વજન સાથે ન આવતી હોય અને સાહેબલોકનો, તેમની વ્યૂહરચનાનો, તેમના વક્તૃત્વનો, તેમના આયોજનનો, તેમની રણનીતિનો, તેમની મહેનતનો ગણીગણીને, વીણીવીણીને જયજયકાર થતો હોય, તેને વિશ્લેષણ ન કહેવાય. શું કહેવાય તે અલગથી કહેવાની જરૂર નથી. 

Monday, May 04, 2026

આજનાં અને અગાઉનાં પરિણામો વિશેઃ કેટલીક જમીની હકીકતો

કેન્દ્રમાં અને રાજ્યોમાં શાસનના આટલા લાંબા ગાળામાં સુશાસનનું ઠેકાણાસરનું એકેય કામ કર્યા વિના, અને કુશાસનનાં કામોની લાંબીલસરક યાદી હોવા છતાં, ભાજપ એક પછી એક રાજ્યોમાં ચૂંટણીઓ જીત્યા જ કરે, જીત્યા જ કરે. તેના કારણ તરીકે તટસ્થતાના વહેમમાં ભીંત ભૂલતા વિશ્લેષકો કે સરકારી પત્રકારો-વિશ્લેષકો અમિત શાહના મહાન મેનેજમેન્ટની આરતી ઉતારે તેનાથી ભોળવાઈ જતા નહીં.


જે લોકો કહે કે ભાજપને જીતાડનારા લોકોએ વર્તમાન કુશાસનને જાકારો આપ્યો છે, તેમની વાત પણ યથાતથ માની લેતા નહીં. કારણ કે, કુશાસનના પુરવાર થયેલા રેકોર્ડની બાબતમાં ભાજપ નંબર વન છે. એટલે, કોઈ પ્રજા માત્ર ને માત્ર મમતાના કુશાસનથી કંટાળીને ભાજપને આવી રીતે જીતાડે અને તેમાં બીજી કશી ગોલમાલ ન હોય, એવું માનવા બહુ ભોળપણ જોઈએ.

શાંતિથી વિચારતાં ફક્ત આજનાં જ નહીં, છેલ્લા ઘણા સમયનાં પરિણામો માટે કોઈ એક નહીં, અનેક કારણ જવાબદાર લાગ્યાં છે. કોઈ ચોક્કસ ક્રમ વિના, એવાં થોડાં કારણોની યાદી.

1. ચૂંટણીપંચનો પક્ષપાત.
બીજાં બધાં કારણ પછી. આ કારણ સૌથી પહેલું મુકવું પડે. ચૂંટણીપંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર સામે પાયાદાર અને ગંભીર આરોપો હોવા છતાં, તેમણે એ મુદ્દે તદ્દન ઉડાઉ વલણ દાખવ્યું છે અને પછી તો તટસ્થતાનો દેખાવ કરવાનું પણ છોડી દીધું છે.

વોટચોરીમાં એક ફોટા પર અનેક નામ કે બનાવટી નામોનો ઉમેરો, બનાવટી નામો પકડી પાડતા સોફ્ટવેરનો સગવડ પ્રમાણે ઉપયોગ કે બિનઉપયોગ, સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા અમુક (મુખ્યત્વે ભાજપને પ્રતિકૂળ એવા ભારતના મુસ્લિમ) નાગરિકોનાં નામની બાદબાકી અને નામોનો ઉમેરો-બાદબાકી કરવાની સત્તાનો અપારદર્શક ઉપયોગ—આ ચૂંટણીપંચનાં મુખ્ય પાપ છે. ચૂંટણી પહેલાં સત્તાપક્ષ તરફથી છડેચોક સરકારી રાહે અપાતી લાંચ વિશે ચૂંટણીપંચે કદી વાંધો પાડ્યો નથી. તે તટસ્થ રહેવામાં અને દેખાવામાં, બંને મામલે નિષ્ફળ ગયું છે.

પરંતુ આ સરકારે કાયદો બદલીને ચૂંટણી કમિશનરને વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી સામે અભયદાન આપી દીધું છે. એટલે મુખ્ય ચૂંટણી કમિશનર પણ એવી જ રીતે વર્તે છે. ગૃહ મંત્રી અમિત શાહના ખાસ માણસ તરીકે જાણીતા જ્ઞાનેશકુમારના રાજમાં ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા અનેક વાર થતા આચારસંહિતાના ભંગની કદી નોંધ લેવાતી નથી. તેમની અનેક ગતિવિધિઓ સામે પ્રશ્નાર્થ ઊભા થવા છતાં, તેમણે અણીદાર પ્રશ્નો ઉડાડી દેવાનું કે તેને ટેકનિકાલિટીની ચાદર તળે વલણ દાખવ્યું છે. કારણ કે, તેમને ઉપરના આશીર્વાદની ખાતરી છે. સરકાર કે ન્યાયતંત્ર કોઈને તેની ઊંડી, તલસ્પર્શી અને તટસ્થ તપાસ કરવામાં રસ નથી.
આને અમિત શાહનું મહાન મેનેજમેન્ટ કહેવાતું હોય, તો આપણે કંઈ કહેવાનું નથી.

2. ન્યાયતંત્ર
ન્યાયતંત્રનું નક્કી નહીં. તેને જાગવું હોય ત્યારે જાગે. નહીં તો ન જાગે. ક્યારેક જાગે અને એવું પણ કહી દે (જેમ બંગાળમાં કહ્યું) કે અમુક લાખ લોકો એક ચૂંટણીમાં મત નહીં આપી શકે તો શું ખસી જવાનું છે? આવતી ચૂંટણીમાં મત આપશે.
અને પછી એવું પણ કહી દે કે જે ચૂંટણીનાં પરિણામોમાં જીતનો તફાવત SIRમાં કપાયેલા મતના તફાવત કરતાં ઓછો હોય, તે પરિણામો અમે કન્સીડર કરીશું.
તેનું ગુજરાતી શું થાય, એ તો હવે બંગાળનાં પરિણામોની વિગતવાર માહિતી પછી સમજાશે.

3. કેન્દ્ર સરકારી એજન્સીઓ
અમિત શાહ અને તેમના સાહેબ મન થાય ત્યારે, મન થાય તેની પાછળ કેન્દ્રીય એજન્સીઓને છૂટી મૂકી દે. માણસને જેલમાં ખોસી દે અને તેમનું કામ પૂરું થઈ જાય, પછી પેલો ભાઈ (કે બહેન) નિર્દોષ સાબીત થઈને છૂટી જાય. બહાર આવી જાય. પણ ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું હોય. પ્રણય રોય (એનડી ટીવી)થી માંડીને તૃણમૂલ કોંગ્રેસનું પ્રચારતંત્ર સંભાળનાર સંસ્થાના વડા સુધીના આવા અસંખ્ય દાખલા મોજૂદ છે, જેમાં માત્ર ને માત્ર સરકારનો રસ્તો સાફ કરવા માટે લોકોને જેલમાં પુરી દેવાયા હોય ને કામ પૂરું થઈ ગયા પછી તે બહાર આવી જાય.આને વ્યૂહરચના કહેવાતી હોય તો સરકારી તંત્રનો દુરુપયોગ અથવા સરકારી રાહે ગુંડાગીરી કોને કહેવાય?

4. જૂઠાણાં, કુપ્રચાર અને ઉશ્કેરણી
‘ખાડિયા પાકિસ્તાન બની જશે’થી માંડીને ‘બંગાળમાં ઉર્દુ બોલાતું થઈ જશે’—એવી કોમવાદી ઉશ્કેરણી વિના ભાજપના નેતાઓને ચેન ન પડે. તેમનું ઝેરીલાપણું એટલું કે બાંગલાદેશમાં પણ ઉર્દુ નહીં, બંગાળી બોલાય છે એ જાણવાની તસ્દી ન લે. ગમે તેમ કરીને મુસલમાનોને લઈ આવવાના, બાર-બાર વર્ષથી પોતાનું રાજ હોવા છતાં, દરેક રાજ્યમાં મુસલમાન ઘૂસણખોરોની બીક બતાવવાની (ત્યારે કોઈ તેમને પૂછે નહીં કે તમે એવું કેવું રાજ કરો છો કે હજુ ઘૂસણખોરી ચાલુ છે?), હિંદુઓને ખતરો છે એવું ખોટેખોટું વાતાવરણ ઊભું કરવાનું, બીજાં રાજ્યોમાં પોતાના શાસનનો જે ધબડકાપૂર્ણ રેકોર્ડ છે તેનાથી સદંતર અવળા દાવા ને વાયદા કરવાના (જેમ કે, મહિલાઓની ગરિમા અને સુરક્ષા). પછી ભક્તો તથા તેમના પાળેલા પત્રકારો હોંશે હોંશે, કશા વિશ્લેષણ વિના, આ બધાનો પ્રચાર આગળ વધારે અને વાતાવરણ બનાવે.
વડાપ્રધાન પણ તેમના પદની ગરિમાને વધુ એક વાર અને વારંવાર નેવે મુકીને બધો વખત (વિદેશપ્રવાસ ન કરતા હોય ત્યારે) ચૂંટણીપ્રચાર જ કરતા હોય. તેના માટે સરકારી મશીનરીનો બેફામ, બેરોકટોક દુરુપયોગ થાય અને તેની કશી નોંધ સુદ્ધાં ન લેવાય. તે સાવ બાળબોધી એવાં નાટકો કરે ને આત્મમુગ્ધતાનાં નવાં નવાં શીખરો સર કરે. પરંતુ સોશિયલ મિડીયાને બાદ કરતાં, મુખ્ય ધારામાં એ બધાનું કશું મહત્ત્વ નહીં.

5. ખરીદવેચાણસંઘ
જ્યાં ચૂંટણીઓ હોય ત્યાં ડરાવી-ધમકાવીને, દરોડા પડાવીને શક્ય એટલા વિપક્ષી નેતાઓને પોતાની બાજુ ખેંચવા કોશિશ કરવાની. એ શક્ય ન બને તો પછી અઢળક રૂપિયા બતાવવાના. ભાજપની સરકાર પાસે રૂપિયાનો તોટો નથી. સરકારી રૂપિયાના હિસાબ મળતા નથી અને અમુક હજાર કરોડની રકમના તોતિંગ ગોટાળાની સંભાવના વિશે ‘કેગ’ જેવું ‘કેગ’ ધ્યાન દોરે છે, પણ 2014 પહેલાં જે ‘કેગ’ના શબ્દો પરથી સરકાર હાલી જતી હતી, તે ‘કેગ’નું હવે કોઈ સાંભળતું નથી.
આ ઉપરાંત ગોઠિયા ઉદ્યોગપતિઓની નાણાંકોથળી તો ખરી જ. એટલે, ચૂંટણી પહેલાંથી માંડીને ચૂંટણી જીત્યા પછીના કોઈ પણ તબક્કે, ખરીદવેચાણ અને ધાકધમકી વાપરીને વિપક્ષી નેતાઓને ખેરવી લેવાય છે અને સમર્થકો તો ઠીક, ઘણા વિશ્લેષકો પણ આને ભાજપની આવડત ગણાવે.

6. કશું બાકી ન રાખવું
ભાજપની નેતાગીરીની એક ખાસિયત છે કે આગળ જણાવેલું બધું કર્યા પછી પણ તે નિરાંત અનુભવતી નથી અને તેમના હાથમાં હોય ત્યાં સુધીનું બધું સંજોગો પર છોડવાને બદલે, તેની પર સંપૂર્ણ કાબૂ મેળવવાનો પ્રયાસ છેલ્લી ઘડી સુધી ચાલુ રાખે છે. આવું ઝનૂન હકારાત્મક બાબતમાં હોય તો બહુ ઉપયોગી નીવડે—અને ભાજપ માટે તે ઉપયોગી નીવડે છે પણ ખરું. પરંતુ તટસ્થ દેખાવાની લ્હાયમાં ઘણા વિશ્લેષકો ભાજપની જીતનું બહુ મોટું શ્રેય આ એક જ મુદ્દાને આપીને, તેમનું ભોળપણ અથવા ભક્તિ અથવા વહેણ સાથે વહેવાની વૃત્તિ અથવા આ બધું છતું કરે છે.

7. વિપક્ષોની મર્યાદાઓ
વિપક્ષોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપના રાક્ષસી અને અબજોપતિ ચૂંટણીયંત્રને ટક્કર આપી શકે એવા કોંગ્રેસ સિવાયના ઘણાખરા વિપક્ષો વ્યક્તિકેન્દ્રી છે. અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી, અખિલેશ યાદવ, તેજસ્વી, સ્તાલિન અને બીજા. તેમનું ધ્યેય છેવટે પોતાની સત્તા ટકી રહે એટલા પૂરતું હોય છે. તેમાં વ્યાપક દેશહિતની ગણતરી બહુ પછીના નંબરે આવે છે. કોંગ્રેસ જૂનો ને ઝંખવાયેલો પક્ષ છે. તેની નેતાગીરીમાં રાહુલ ગાંધી વખતોવખત અણીદાર પ્રશ્નો પૂછે છે, પણ પક્ષની મશીનરી પર તેમનો કાબૂ નથી અને જૂનાં જામી પડેલાં ચોકઠાં ઉખડતાં નથી, તે સ્પષ્ટ છે.

નરેન્દ્ર મોદી-અમિત શાહની આગેવાની હેઠળના ભાજપ સામેનો સૌથી મોટો વાંધો મારા જેવા ઘણાને એ છે કે તેમણે દેશમાં લોકશાહી, બંધારણીય સંસ્થાઓની કાર્યક્ષમતા અને તટસ્થતા, સાવ પ્રાથમિક કક્ષાની ગરિમા, સારપ, વિનયવ્યવહાર, કેટલીક બાબતોને ચેડાંથી પર રાખવાની પરંપરા—આ બધાની ઘોર ખોદી અને તેમાં તેમને ગળા સુધી ઊભી દફન કરી દીધી છે. દેશના ફક્ત રાજકીય નહીં, સમાજજીવનમાં પણ તેમણે ઝેર રેડ્યું છે, એક દેશ તરીકે વિદેશોમાં ભારતનું સ્થાન નબળું બનાવ્યું છે, ખાડે ગયેલા અર્થતંત્રને જૂઠાણાં અને સગવડીયા આંકડાબાજીના મેકઅપથી ફુલગુલાબી ચિતર્યું છે, ધર્મને નામે ગુંડાગીરી કરતાં તત્ત્વો અને સરકારી તત્ત્વોને છૂટો દોર આપ્યો છે. આ બધી બાબતોમાં તે અગાઉના ખરાબમાં ખરાબ દાખલા કરતાં અનેક ગણા આગળ નીકળી ચૂક્યા છે.

પરંતુ વિપક્ષો માટે આ બધું એટલું મહત્ત્વનું હોય એમ લાગતું નથી. જો એવું હોત તો એ લોકો અંગત સ્વાર્થને અને સત્તાકાંક્ષાને ઘડીભર બાજુએ મુકીને, બધા સાથે એક થયા હોત અને આ રાક્ષસી તંત્રની સામે મેદાનમાં ઉતર્યા હોત. પરંતુ એવું થયું નથી. જે કંઈ દાખલા છે તે છૂટાછવાયા અને એકલદોકલ છે. તેમાં દેશની ચિંતા ઓછી ને પોતાની સત્તાની ચિંતા વધારે લાગે છે.

વિપક્ષોનું કામ જરાય સહેલું નથી. તેમને આગળ ગણાવેલાં બધાં પરિબળો નડે છે. તેમ છતાં, ધીમે ધીમે કરીને તેમણે જે રીતે જમીન સરકી જવા દીધી, તેને બદલે વેળાસર એકજૂથ થયા હોત તો સાવ આવા દિવસો ન આવત. હવે બહુ મોડું થયું છે, છતાં તે તક સાવ જતી રહે તે પહેલાં તે કંઈક કરે તો ઝાંખીપાંખી આશા રહે. સાવ ફારસરૂપ બની ગયેલી ચૂંટણીઓ લડીને, ગેરવાજબી રીતે હાર હાર કરવાને બદલે, આવી ચૂંટણીઓનો સાગમટે બહિષ્કાર કરવા જેવું પગલું પણ તે લઈ શકે. બધું તંત્ર સરકારી ક્લોરોફોર્મ સુંઘીને એટલું બેહોશીમાં જતું રહ્યું છે કે તેને અહિંસક છતાં અસરકારક રસ્તે મોટા પાયે ઢંઢોળવાનો એક જ વિકલ્પ તેમની પાસે રહે છે. છતાં, હજુ સુધી વિપક્ષોમાં આવું કોઈ સહિયારું અને દેશકેન્દ્રી ચિંતન શરૂ થયું હોય એવું જાણમાં નથી.

8. ધ્રુવીકરણ પામેલો સમાજ
મોટા પાયે ધ્રુવીકરણ પામેલા સમાજમાં મોદીભક્ત તરીકે ઓળખાતા લોકો બહુમતીમાં નથી. જે હતા તેમાંથી ખડી રહ્યા હોવાનું પણ લાગે છે. છતાં, તે જથ્થો સાવ નગણ્ય પણ નથી. એ એવો વર્ગ છે જેમને ધોળા દિવસે જોઈ શકાય એવી દેશની દુર્દશા અને દરેક ક્ષેત્રમાં (અગાઉના મુદ્દામાં વર્ણવેલી) દેશની પીછેહઠ દેખાતાં નથી. કારણ કે, તે નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે. તેમણે મુસલમાનવિરોધ કે મુસલમાનવિરોધી-આક્રમક-બીમાર હિંદુત્વ સાથે પોતાની એકરૂપતા સાધી લીધી છે. મોદીની ટીકા થાય ત્યારે તેમને પોતાની ટીકા થતી હોય એવું લાગે છે. તેમની સાથે સાર્થક અને તાર્કિક સંવાદની કોઈ ગુંજાશ નથી. તે ‘આયેગા તો મોદી’ની ચિચિયારીઓ પાડીને તાનમાં રહે છે. મોદીની આત્મમુગ્ધતા તેમને મહાનતા લાગે છે. તેમને મોદીની આંગળી પકડેલા કે તેમના ખભે માથું ઢાળીને ઊભેલા ભગવાન રામ મંજૂર છે, કારણ કે તેમને લાગે છે કે મોદીએ ભારતને નવેસરથી મહાનતાના રસ્તે દોર્યું છે. તેનાથી વિરુદ્ધના દરેકેદરેક પુરાવા તેમને મન દેશદ્રોહની અને ધર્મદ્રોહની નિશાની છે અને એ પુરાવા આપનારા દેશદ્રોહી-ધર્મદ્રોહી.

આઝાદ ભારતના ઇતિહાસમાં આવું આ હદે પહેલી વાર બન્યું છે, પણ દુનિયાના ઇતિહાસમાં-વીસમી સદીના ઇતિહાસમાં એવા ઘણા દાખલા છે. તે બધાના મૂળ સિદ્ધાંતો સાથે વર્તમાન સ્થિતિ બરાબર બંધ બેસે છે.
એવા સમાજો આવો શરમજનક સમયગાળો વીત્યા પછી તેના વિશે શરમ અનુભવે છે અને ભવિષ્યના વિદ્વાનો અભ્યાસ કરે છે કે આટલા મોટા સમુદાયને એવું તે શું થઈ ગયું હતું.

આપણે ત્યાં એ સમયને હજુ કેટલી વાર છે, ખબર નથી.

Friday, December 12, 2025

અણગમતા રાજકીય વિચાર ધરાવતા કલાકારો વિ. એજન્ડાવાળી ફિલ્મો

એજન્ડાવાળી ફિલ્મ અને તેમાં કામ કરતા કલાકારો--આ બે વચ્ચે હું અંગત રીતે ભેદ પાડું છું. જેમ કે, પરેશ રાવલ મને નેતા કે રાજકારણી તરીકે સદંતર નાપસંદ છે, પણ તેમનું એ સ્વરૂપ તેમનો અભિનય માણવામાં મને નડતું નથી. નરેન્દ્ર મોદીની ભૂમિકા કરનાર વિવેક ઓબેરોયની 'ઓમકારા' જેવી ફિલ્મો જોવાનો આનંદ જ આવે છે. એવું જ 'તનુ વેડ્સ મનુ'માં કંગના વિશે અને 'જોલી' સહિતની કેટલીક ફિલ્મોમાં અક્ષય કુમાર વિશે. 

તો આ એક વાત થઈ. કલાકારની કલાકારી, જે તેમના અંગત વિચારો કરતાં સાવ જુદી બાબત છે. 

હવે વાત નેરેટીવ ઊભો કરનારી ફિલ્મોની. 

હિટલરના જમાનામાં એક ધુરંધર ફિલ્મકાર અને તસવીરકાર થઈ ગયાં. તેમનું નામ લેની રાઇફન્સ્ટાલ (Leni Riefenstahl. ઉચ્ચારમાં ભૂલચૂક લેવીદેવી). તેમણે બનાવેલી દસ્તાવેજી ફિલ્મ Triumph of the Will (1935) હિટલરનો દબદબો સ્થાપિત કરવામાં બહુ મહત્ત્વની ગણાય છે. એટલે કે, તેનું મહત્ત્વ એક ફિલ્મ કે દસ્તાવેજી ફિલ્મનું હોઈ શકે એના કરતાં બહુ વધારે ગણાય છે--અને એવું ફિલ્મ રીવ્યૂકારો નહીં, ઇતિહાસકારો માને છે. સાથોસાથ, એવું પણ કહેવાય છે કે ફિલ્મકળાની દૃષ્ટિએ તે ફિલ્મ ઉત્કૃષ્ટ હતી. 

તો, બંદૂક સોનાની હોય, તો તેનાથી થતી હિંસા નજરઅંદાજ કરીને, તે 24 કેરેટ સોનાની છે, એવાં વખાણ ન થાય. એમ ફિલ્મ તરીકે ગમે તેટલી મહાન હોય, પણ તેનો એક મુખ્ય સૂર ભૂતકાળની સરકારને ધોકા મારવાનો હોય તો તેના વિશે પ્રશ્નો થવા જોઈએ. 

સામાન્ય સંજોગોમાં એક સરકારની ટીકા કરતી ફિલ્મ પછીની સરકારના વખતમાં આવે તો તે સ્વાભાવિક ગણાય. કારણ કે ચાલુ સરકારની ટીકા કરવાની હિંમત કોઈ ન કરે. પણ સાથોસાથ એવી અપેક્ષા હોય કે જે મુદ્દે ભૂતકાળની સરકારની ટીકા કરવાની થઈ, એ મુદ્દે વર્તમાન સરકાર સખણી ચાલતી હશે. 

જેમ કે, કટોકટી વિશેની ફિલ્મો નરેન્દ્ર મોદીના રાજ પહેલાંની કોઈ પણ સરકારમાં આવે તો થાય કે બરાબર છે. કટોકટી વખતે જે કહી ન શકાયું, તે કટોકટીની આત્યંતિકતાઓ ભૂતકાળ બન્યા પછી ફિલ્મ થકી કહી શકાય છે. તેમાં કશું ખોટું નથી. 

પરંતુ કટોકટીને ભૂલાવે એવી કટોકટી ચાલતી હોય, ત્યારે જૂની કટોકટીની ફિલ્મ લઈને આવવું અને વર્તમાનમાં જે ચાલી રહ્યું છે, તેના પ્રત્યે હળવો ઇશારો સુદ્ધાં ન કરવો, તે રાજકીય, બલ્કે, પક્ષીય એજેન્ડા કહેવાય અને એને ઓળખવો પડે. કારણ કે એવી ફિલ્મો વર્તમાન સરકારની ઘોર નિષ્ફળતાને બહુ અસરકારક રીતે ઢાંકી દેવાનું અને લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. 

તેનું મૂલ્યાંકન નકરા માસુમ ફિલ્મપ્રેમી તરીકે ન કરાય. એવું કરીએ તો તે  ભૂતકાળની ઓથે વર્તમાન છુપાવી દેવાના હાલની સરકારના વિરાટ યંત્રનો એક પૂરજો બનીને રહી જઈએ--ઇચ્છાએ કે અનિચ્છાએ. 

આ કસોટી 'ધુરંધર' માટે લાગુ પાડીને વિચારી જોજો.

Wednesday, November 12, 2025

ત્રાસવાદ, ધર્મ અને પ્રતિકાર

ધર્મ એટલે ફરજ-નૈતિકતા-સદાચારનો સરવાળો. ટૂંકમાં, પોતે છીએ તેના કરતાં વધુ સારા બનવા માટે શું કરવું જોઈએ તેની વાત. તેમાં ઝનૂન નથી હોતું. બીજા માટેનો વેરભાવ બિલકુલ નહીં. ધર્મની આ એવી વ્યાખ્યા છે, જેના બહુ લેવાલ નથી.

ધર્મની બીજી વ્યાખ્યા છે ક્રિયાકાંડો-રીતરિવાજો-અંધશ્રદ્ધાઓ-ધર્મગુરુઓ. આ અર્થઘટન સૌથી પ્રચલિત છે. તેમાં મુક્ત વિચાર, વિવેકબુદ્ધિ, તર્ક વગેરેને ઓછું સ્થાન હોય છે કે જરાય સ્થાન હોતું નથી. ઉપરાંત, તેમાં તાર્કિક ટીકા કરનારા સામે બધાને નહીં, પણ થોડાઘણાને ગુસ્સો હોઈ શકે છે અને તેમાંથી કેટલાક હિંસક પણ બની શકે છે. આ સમુદાય સૌથી મોટો છે, પણ તેમાં બધા ગુસ્સાવાળા કે હિંસક હોતા નથી. તેમને એ રસ્તે લઈ જવા માટે તેમની ચાવી ટાઇટ કરવી પડે. તે રાજકીય સ્તરે રૂપિયાથી થાય કે ધાર્મિક સ્તરે ઉશ્કેરણીથી થાય કે બંનેના મિશ્રણથી પણ થાય.
ધર્મની ત્રીજો ફાંટો છે નેતાઓ દ્વારા થતો તેનો સગવડીયો ઉપયોગ. મુસલમાનોને કહો કે ઇસ્લામ ખતરામાં છે ને હિંદુઓને કહો કે 'વિધર્મીઓ'થી હિંદુ ધર્મને ખતરો છે. આ ફાંટામાં ધર્મના એકેય તત્ત્વનો સમ ખાવા પૂરતો પણ સમાવેશ થતો નથી. તેમાં બીજા માટેનો ધિક્કાર એ જ પોતાના ધાર્મિક હોવાની એકમાત્ર કે મુખ્ય સાબિતી છે. ધર્મના આ ફાંટાનું અસ્તિત્વ ધિક્કાર પર ટકેલું છે. આ ફાંટાવાળા બીજા પ્રકારના બહોળા સમુદાયામાંથી લોકોને પકડે છે, પલોટે છે અને તેમને ત્રાસવાદી બનાવે છે.
દિલ્હીના બોમ્બવિસ્ફોટના આરોપીમાં મુસલમાન ડોક્ટરો પણ છે. કોઈ માણસ ફક્ત ડોક્ટર હોવાને કારણે તેના વિશે ઊંચો અભિપ્રાય બંધાઈ જાય, એવું તો દાયકાઓથી થતું નથી. પણ ડોક્ટર થયેલો માણસ ધર્મના ઝનૂનમાં લોકોને મારવા કે તેમાં સાથ આપવા તૈયાર થઈ જાય, એ ભયંકર બાબત છે. અને તેને આ રસ્તે ચડાવવામાં કે તેના આ રસ્તાને બળ આપવામાં ધર્મની--એટલે કે તેની વિકૃત સમજની-- ભૂમિકા નજરઅંદાજ કરી શકાય એવી ન હોય.
વ્યક્તિગત કે પારિવારિક અન્યાયનો ભોગ બનેલો માણસ ત્રાસવાદી કૃત્ય કરે, તે માફ ન થાય એવું હોવા છતાં, તેનું કંઈક કારણ આપી શકાય એવું તો હોય છે. પરંતુ ભારત જેવા દેશમાં સામુદાયિક અન્યાયનો મુકાબલો કરવા કે એવો અન્યાય કરનારને પાઠ ભણાવવાના હેતુથી કરાતા ત્રાસવાદી હુમલા સાવ નકામા પુરવાર થાય છે, એટલું જ નહીં, તે આવો અન્યાય કરનારાના હાથ મજબૂત કરે છે. તેનાથી અન્યાય કરનાર પોતે કરેલા ભૂતકાળના તમામ અન્યાયોને અને ભવિષ્યમાં કરનારા તમામ અન્યાયોને વાજબી ચેષ્ટા તરીકે ખપાવીને, ઘણા લોકોનાં બ્રેઇનવોશ કરી શકે છે.
મને હંમેશાં એવું લાગતું હતું કે લાદેન અને જ્યોર્જ બુશ જુનિયર એકબીજાના વિરોધી નહીં, પૂરક હોય છે--અને આપણા જેવા લોકો એ બંનેના વિરોધી અને એ બંનેથી પીડિત. એટલે, ત્રાસવાદી હુમલો થાય ત્યારે ભોગ બનેલા પ્રત્યે સંપૂર્ણ લાગણી રાખીને, ત્રાસવાદને અક્ષમ્ય ગણીને, તેનો પ્રતિકાર કરવો પડે. પણ પ્રતિકાર એટલે શું?
પ્રતિકારનું એક સ્તર સત્તાવાર છે. વહીવટી તંત્રની કામગીરી અને પક્ષીય હિત વિનાની સરકારી કામગીરી. તે અનિવાર્ય હોવું જોઈએ. બીજું સ્તર રાજકીય (પક્ષીય) છે--એટલે કે, ત્રાસવાદની ઘટનાનો પણ પોતાના ફાયદામાં મહત્તમ રાજકીય કસ કાઢીને પોતાનો એજન્ડા આગળ ચલાવવો. સમાજમાં ફેલાયેલા ધ્રુવીકરણને દૃઢ બનાવવું. આ સ્તર ત્રાસવાદી હુમલા જેટલું જ ખતરનાક હોય છે. કારણ કે, તે માણસને અંતિમવાદી બનાવવાની દિશામાં પ્રેરી શકે છે અને સમાજમાં અસુખ-અજંપો ફેલાવે છે તે અલગ.
ત્રીજું સ્તર આપણા જેવા સામાન્ય લોકોનું છે. તેમણે બીજા સ્તરની જાળમાં આવી ગયા વિના, પહેલા સ્તરે બરાબર કામ થાય અને તામઝામભર્યું જોણું કરવામાં પહેલા સ્તરની જવાબદારીનો ઉલાળીયો ન થઈ જાય, તેનું ધ્યાન રાખવું પડે. સાથોસાથ, એ પણ વિચારવું પડે કે ત્રાસવાદની ઇમારત જે પાયા પર ખડી કરવામાં આવી તે ધાર્મિક ધિક્કારથી આપણે છેટા રહેવું કે તેને હોંશે હોંશે અપનાવી લેવો.
આપણા હાથમાં આપણો પ્રતિભાવ છે. તેમાં પહેલા, સત્તાવાર સ્તરે સખ્તાઈથી કામ લેવાય તેને સમર્થન અને બીજા સ્તર સાથે તેની ભેળસેળ ન થાય તેની સાવચેતી--એ બંને જરૂરી છે. થોડા મુસલમાન ધર્મના નામે હિંસા કે ત્રાસવાદ આચરે તેમાં ઇસ્લામની બદનામી થવી અનિવાર્ય છે, જેમ રાજકીય હિંદુત્વમાં સરવાળે હિંદુ ધર્મની બદનામી થાય છે. એવા સંજોગોમાં સૌ પોતપોતાના ધર્મનું સાચું, લખાણના આરંભે ઉલ્લેખેલું સ્વરૂપ સાચવે, એ જ પ્રાથમિકતા લાગે છે.

Sunday, November 10, 2024

ટ્રમ્પ 2.0 પછી થોડો વિચાર

 મિડીયા અને ખાસ તો સોશિયલ મિડીયાએ, આપણને શું સ્પર્શે અને શું નહીં, તેનો હવાલો ઘણી હદે લઈ લીધો છે. તેના કારણે નેરેટીવ બનાવવાનું--અને ખાસ તો, યાદ રાખવા જેવું ભૂલાવી દેવાનું કામ અભૂતપૂર્વ રીતે સહેલું બની ગયું છે.

ટીવી ચેનલો અને આઇટી સેલ ગોબેલ્સને પણ ચાર વસ્તુ શીખવાડી શકે એ સપાટીએ પહોંચી ગયાં છે. આ પ્લેગ રાજકીય હારજીતથી પર બની ગયો છે, તેનું ઉત્તમ ઉદાહરણ પહેલી મુદત પછી ટ્રમ્પની હાર થયા છતાં, આ પરિબળોનું જોર ઘટ્યું નહીં, બલ્કે વધ્યું, તે છે.
ટ્રમ્પ કે મોદી કે એવા પ્રકારના શાસકો જીતે તેમાં વિપક્ષોનો વાંક હોય જ છે. તેમના પક્ષે ગાફેલિયતથી માંડીને કુશાસન જેવા પ્રશ્નો હોય છે. ભારતમાં કોંગ્રેસ કે અમેરિકામાં ડેમોક્રેટો પોતાને ડીફોલ્ટ સેટિંગ ગણીને, મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીને ચાલે તેમાં પણ થાપ ખાય છે (એવી માન્યતા કે 'લોકો મોદી/ટ્રમ્પથી કંટાળીને ક્યાં જશે? આપણે ગમે તેટલા લઘરા હોઈએ, તો પણ આપણને જ મત આપશે ને?')
પરંતુ ટ્રમ્પ કે મોદી પ્રકારના નેતાઓ જીતી જાય એટલે, બાકીનાં બધાં પરિબળોની સંપૂર્ણ અવગણના કરીને, તેમણે કેટલું ઝેર ફેલાવ્યું હતું, કેવા કેવા કાંડ કર્યા હતા, શાસનના નામે કેવા ભયંકર ધબડકા વાળ્યા હતા--એ બધું ભૂલાવી દેવામાં આવે છે અને 'લોકોએ તેમને ચૂંટ્યા એટલે તે નવેસરથી પુણ્યશાળી' એવો નેરેટીવ ઊભો કરવામાં આવે છે.
સામાન્ય સમજ પ્રમાણે એવું બનવું જોઈએ કે ટ્રમ્પ કે મોદીને મત આપનાર લોકો તેમની જીત પછી, એ નેતાઓને પણ અઘરા સવાલ પૂછે, અમુક અંશે માપમાં રાખે અને કહે કે તમને તમારા કાંડ માટે કે ઝેર માટે નથી ચૂંટ્યા, સામેવાળાના કુશાસનને કારણે ચૂંટ્યા છે. મતલબ, તમે પણ સખણા રહેજો...
પરંતુ એવું બનતું નથી. કારણ કે, આ પ્રકારના નેતાઓને મત આપનારા લોકોમાં, વિપક્ષી કુશાસનની કંટાળેલા લોકો ઓછા અને તેમના ઝેરના બંધાણીઓનો મોટો જથ્થો હોય છે. એ જથ્થો જળવાઈ રહે અને આઘોપાછો ન થાય એટલા માટે, તેમના લાભાર્થે સતત ઝેર-જૂઠાણાં-કોન્સ્પીરસી થિયરી ઠલવાતાં જ રહે છે. બીજા લોકોને તે ભલે ભયંકર કે હાસ્યાસ્પદ લાગે છે, પણ પેલા બંધાણીઓને તે બધું તેમના નેતા સાથે બાંધી રાખે છે.
સૂત્રો ભલે ગમે તે ચાલતાં હોય, હકીકત એ છે કે તેમણે તે નેતાને સુશાસન માટે- તેની અપેક્ષાએ મત નથી આપ્યા. (આગળ કહ્યું તેમ, કેટલાકે અગાઉના કુશાસનથી કંટાળીને મત આપ્યા છે, પણ બંધાણીઓને) તેમની કુંઠાઓ સંતોષાતી રહે અને કાલ્પનિક દુશ્મનોને કાલ્પનિક મહાત અપાતી રહે, એમાં જ તેમને ઘણીખરી કીક આવી જાય છે. એટલે, એવી રીતે ચૂંટાયેલા નેતાઓ હેડલાઇન મેનેજમેન્ટ અને આઇટી સેલના મેનેજમેન્ટમાં જ રાચે છે.
મોદીના કિસ્સામાં વેપનગ્રેડની આત્મમુગ્ધતા વધારાનું પરિબળ છે. એ આત્મમુગ્ધતા પોષવા માટે તે નોટબંધીથી માંડીને વંદે ભારત સુધીનું કંઈ પણ કરી શકે છે અને ચેનલો તથા આઇટી સેલા આવાં પગલાંના ગુણદોષની સ્વતંત્ર ચર્ચા શક્ય ન બને તેનું ધ્યાન રાખે છે.
એક સમય એવો હતો કે 'વ્યક્તિનું નામ લીધા વિના મુદ્દાની ટીકા કરો'--એવું કહેવાતું હતું, પરંતુ ટ્રમ્પ કે મોદી પ્રકારના શાસકો અને તેમણે અપનાવેલાં સોશિયલ મિડીયા ને ચેનલો જેવાં હથિયાર એ શક્ય બનવા દેતાં નથી. તમે મોદીનો મ પાડ્યા વગર પણ માત્ર ને માત્ર નોટબંધીની તાર્કિક ટીકા કરો, એટલે તમને મોદીના--અને દેશના--વિરોધી જાહેર કરી દેવામાં આવે.
આ વિષચક્રનો બહુ મોટો હિસ્સો સોશિયલ મિડીયાના દુરુપયોગનો છે. એટલે જ, આ વિષચક્ર કેવી રીતે તૂટશે એ કલ્પવું અઘરું પડે છે. કાલે આ નેતાઓ હારી જાય તો પણ, તેમણે જે વિરાટ વિષયંત્ર ચાલુ કર્યું છે, તે એકદમ અટકી જાય એવું લાગતું નથી.
આ વિચારીને નિરાશ થવાનું કારણ નથી. કારણ કે, આપણે તો આપણી સ્થિતિ, સમજ ને પહોંચ પ્રમાણે જેટલું થાય તેટલું કરવાનું છે-કરતા રહેવાનું છે. આજુબાજુ શું ચાલી રહ્યું છે, તે સમજવાની કોશિશ કરવી, એ પણ તેનો જ એક ભાગ છે.

Sunday, June 09, 2024

ચૂંટણી 2024, ઇવીએમ અને ચૂંટણી પંચ

ચૂંટણીનાં પરિણામો દુઃખી ભક્તો કહે છે, ઇવીએમ વિશે વાત કરો. ભક્તોનો તો સાવ ગયેલો કેસ હોય છે. તેમને તથ્યો સાથે કે હકીકત સાથે કશી લેવાદેવા નથી હોતી. એટલે, તેમને કશું કહેવાની જરૂર નથી.

બીજું, ઇવીએમ હેક થઈ શકે એ વાતમાં મને કદી વિશ્વાસ પડ્યો નથી. ભૂતકાળમાં એકથી વધારે વાર એ વિશે ચોખ્ખા શબ્દોમાં લખી ચૂક્યો છું. ઘણા વાંચનારને તે યાદ પણ હશે. મોદીના બીજા ટીકાકારો ઇવીએમની વાત લાવે, ત્યારે તેમની સાથે પણ અસંમતિ જ રહી છે. કારણ કે ઇવીએમ હેક કરવા માટે, તેના એકેએક યુનિટમાં રહેલી ચીપ હેક કરવી પડે. તે ચીપ પ્રી-પ્રોગ્રામ કરીને અંદર મુકી શકાય, પણ એકએક ઇવીએમમાં તે કરવું અશક્યની હદે અઘરું છે.

હા, આખેઆખાં ઇવીએમની હેરફેર થઈ શકે. સ્થાનિક વહીવટી તંત્ર ખિસ્સામાં હોય ત્યારે તો ખાસ. અલબત્ત, એ સહેલું જરાય નથી. છતાં, એકથી વધારે વાર વાહનોમાં રેઢો પડેલો ઇવીએમનો જથ્થો શંકા ઉપજાવનારો હતો. અને તેના કદી સંતોષકારક ખુલાસા મળ્યા નથી તે હકીકત છે.

પરંતુ આ વખતે કરવા જેવી વાત ઇવીએમ અને આખી ચૂંટણીનો વહીવટ કરતા ચૂંટણી પંચની છે. આ વખતે આખેઆખું ચૂંટણી પંચ હેક થઈ ગયું હતું. ભક્તોને તો તે ન દેખાય, બલ્કે તેમને તો હેક થયેલું ચૂંટણી પંચ જ સારું લાગે, પણ પરિણામ પછી અત્યારે તેની વાત ખાસ કરવા જેવી છે.

ગયા વર્ષ સુધી ચૂંટણી કમિશનરોની નિમણૂંક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને વિપક્ષના નેતા—એમ ત્રણ જણની સમિતિ કરતી હતી. તેમાં સંતુલન જળવાયેલું હતું, પણ બધી સત્તા પોતાની પાસે લઈ લેવા હરાયા થયેલા મોદીએ ગયા વર્ષે કાયદામાં ફેરફાર કરીને સમિતિમાંથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કાઢી નાખ્યા. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને મુકી દીધા. એટલે સરકાર ઇચ્છે તે જ અધિકારી ચૂંટણી કમિશનર બની શકે.

આ વર્ષે માર્ચમાં એક ચૂંટણી કમિશનરે વહેલી નિવૃત્તિ લઈ લીધી. એ માટે તેમણે અંગત કારણો આગળ કર્યાં હતાં, પણ ત્યાર પછી ચૂંટણી કમિશનરોનું જે સરકારતરફી વલણ રહ્યું તે જોતાં એવું ધારી શકાય કે પેલા કમિશનરને એ બધું પોતાનાથી નહીં થાય એવું લાગ્યું હશે. એ ધારણા છે, પણ સાવ નિરાધાર નથી.

પછી ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારે એવી રીતે સાત તબક્કામાં તેને વહેંચવામાં આવી કે જેથી વડાપ્રધાન બધે પ્રચાર પર પૂરતું ધ્યાન આપી શકે—તેમને પૂરતો સમય મળે અને મહત્ત્વનાં રાજ્યોમાં એક સાથે, એક સમયે ચૂંટણી ન હોય.

ચૂંટણીનું સમયપત્રક તો સૌથી નાનામાં નાનું, ઓછામાં ઓછું અને ક્ષમ્ય ગણાય એવું કારસ્તાન હતું. ત્યાર પછી ચૂંટણી પંચે જે રીતે ચૂંટણીની આચારસંહિતાનો મોદી એન્ડ કંપની દ્વારા મોટા પાયે ભંગ ચૂપચાપ થવા દીધો તે અક્ષમ્ય હતું. નૈતિકતા-ફૈતિકતા છોડો, સાદા કાયદાની-આઇપીસીની દૃષ્ટિએ પણ ઘણી બાબતો ગુનો બને તેમ હતી.

મોદી તેમનાં ભાષણોમાં હડહડતાં જૂઠાણાં ફેલાવતા હતા. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય લખ્યું ન હોય એવું તેમનાં ભાષણોમાં પ્રચારતા હતા. દેશનો વડોપ્રધાન કહે કે કોંગ્રેસના ઢંઢેરામાં આવું લખ્યું છે—અને એ સાવ જૂઠાણું હોય, તો તેની ગંભીરતા કેટલી કહેવાય? પણ ચૂંટણી પંચે કશાં પગલાં ન લીધાં.

મોદી તેમનાં ભાષણોમાં આ દેશના નાગરિક એવા મુસલમાનો વિરુદ્ધ બેફામ બોલતા હતા અને લોકોને ઉશ્કેરતા હતા. આઇપીસીની કલમો પ્રમાણે એ ગુનો થાય, પણ મોદીરાજમાં એ વાત એટલી સામાન્ય થઈ ચૂકી હતી કે ચૂંટણી પંચે પણ તે ચાલવા દીધી.

એ સિવાય સડકછાપ ભાષણો માટે તો મોદી જાણીતા છે જ. તેમાં પણ આ વખતે બધી હદો વટાવી. તેમ છતાં, બહાદુરીના દાવા કરીને મોદીની ભક્તિ કરી લેતા લોકોએ આ બધી બાબતોને એ તો રાજકારણ હોય. તેમાં આવું બધું જ હોય. એ તો આવું જ ચાલે—એમ કહીને આ બાબતોને છાવરવાનો પ્રયત્ન કર્યો અને હજુ આજે પણ કરે છે.

અગાઉ કોઈ વડાપ્રધાન બંધારણીય હોદ્દે રહીને આટલા લાંબા સમય સુધી (ચૂંટણી પ્રચાર દરમિયાન) આટલી મોટી માત્રામાં, આટલું બેફામ કે આટલું જૂઠું બોલ્યા નથી. પણ પ્રગટ ભક્તો કે સલુકાઈથી સરકારવિરોધી તરીકેની છાપ ઉભી કર્યા પછી મોદીની ભક્તિ કરી લેનારાઓ—તે બધાને તેમાં કશું ખોટું ન લાગ્યું. એ તો ઠીક, પણ ચૂંટણી પંચે પણ મોદીના બેફામ, બેકાબૂ વિષવમનને નજરઅંદાજ કર્યું.

સામાન્ય રીતે ચૂંટણીપ્રચારમાં કોઈ ઉમેદવાર હદ વટાવે તો ચૂંટણી પંચ તેને વ્યક્તિગત નોટીસ આપે. મોદીએ અનેક વાર હદ વટાવી. તેમાંથી એક વાર પગલાં લેવાનું દબાણ ઊભું થયું, ત્યારે ચૂંટણી પંચે શું કર્યું? તેણે નોટીસ તો આપી, પણ મોદીને નહીં, ભાજપના પક્ષપ્રમુખને—અને સાથે કોંગ્રેસના પક્ષપ્રમુખને પણ આપી દીધી. અને કહ્યું કે તમારા સ્ટાર પ્રચારકોને કહો, બોલવામાં ધ્યાન રાખે. બસ, પગલાં લેવાઈ ગયાં.

આટલું ઓછું હોય તેમ, ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતમાં મતગણતરીનો ડેટા જાહેર કરવામાં અખાડા કર્યા. પહેલા બે કે ત્રણ તબક્કામાં જાહેર કરેલી ટકાવારીમાં પાંચ ટકાનો વધારો કેવી રીતે થયો, તેનો ચૂંટણી પંચે કર્યો નહીં. તેમાં કશો ગોટાળો ન હોય ને ગણતરીની ભૂલ હોય તો પણ જવાબ આપવાની ચૂંટણી પંચની ફરજ છે. તેને બદલે ચૂંટણી પંચે પણ મોદીની માફક અકડાઈભર્યું વલણ લીધું. છેવટે સર્વોચ્ચ અદાલતે દરમિયાન થવું પડ્યું.

ચૂંટણી પંચના આવા વલણને કારણે, મતગણતરી વિશ્વસનિય રીતે થશે કે નહીં, તેની વાજબી શંકા ઊભી થઈ. ચૂંટણી પંચે તબક્કા પૂરા થતા જાય તેમ મતદાનના આંકડા આપવાનું રાખ્યું હોત તો આટલી શંકા ન પડત. પણ એક વાર વિશ્વસનિયતા ગઈ એટલે પૂનમ અગ્રવાલ નામનાં એક પત્રકારે અને ત્યાર પછી બીજા ઘણા લોકોએ ફોર્મ 17 (સી)નો મુદ્દો ઊભો કર્યો. મતદાનના દિવસે સાંજે કુલ મત અને પડેલા મતની વિગતો ઇવીએમના નંબર સાથે પોલિંગ એજન્ટોને આપવાની હોય છે. તે વિગતોનો જાહેર થયેલાં પરિણામોના આંકડા સાથે તાળો બેસાડીને ગરબડ થઈ હોય તો જાણી શકાય. એટલે, ઘણા લોકોએ ફોર્મ  17 (સી) ભેગાં કર્યાં. પરંતુ તેમાં કોઈ ગરબડ થયાની ફરિયાદ નથી મળી. એટલે 17 (સી)ની જરૂર ન પડી. પણ ચૂંટણી પંચે ડેટા આપવાનો ઇન્કાર કરીને સામે ચાલીને પોતાની વિશ્વસનિયતા પર કુહાડો માર્યો હતો.

આમ, આ ચૂંટણીમાં મોદીના અહંકારથી પહેલાં ચૂંટણી પંચની વિશ્વસનિયતા ગઈ છે. તે પાછી લાવવા માટે સૌથી પહેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કાયદો પહેલાં જેવો કરવો જોઈએ. તેનાથી કમ સે કમ ઇરાદાની યોગ્યતા વિશે તો ખ્યાલ આવશે.

બાકી, મોદી આમ તો મહાન છે અને નાનીમોટી તકલીફ તો દરેક નેતામાં હોય—એવા જુદા પ્રકારના ભક્ત-આખ્યાનોથી બચજો. મોદીનો અહંકાર, સ્વમોહ અને સત્તાનું ભયંકર કેન્દ્રીકરણ કરવાની તેમની લાલસા તેમને બીજા ખરાબ નેતાઓ કરતાં અનેક ગણા વધારે ખતરનાક બનાવે છે—દેશ માટે અને સમાજ માટે. દેશની બંધારણીય સંસ્થાઓ અને સામાજિક પોતથી માંડીને મિડીયાની તેમણે જે દુર્દશા કરી છે, એ જોઈને પણ તમને સમજાતું ન હોય, તો હજુ તમારે કેટલા પુરાવા જોઈએ? ના, તેનો અર્થ તો એવો છે કે તમને ગમે તેટલા પુરાવા કે હકીકતોથી કશો ફરક નથી પડતો. કારણ કે, તમારા માટે તો તમારો સ્વાર્થ અથવા તમારી ભક્તિ જ સર્વસ્વ છે.

Saturday, June 08, 2024

થોડું પરિણામોથી હટીને, થોડું અંગત...

ચૂંટણી પહેલાં, દરમિયાન કે પછી, તેનાં ચર્ચા-વિગતો-આંકડા-વિશ્લેષણો-સર્વેક્ષણોમાં વર્ષો પહેલાં, દૂરદર્શનના જમાનામાં રસ પડતો હતો. પક્ષીય રાજકારણમાં એક હદથી વધારે રસ કદી પડ્યો નહીં. કોઈ રાજકીય નેતાની હારથી પહેલવહેલી વાર આનંદ આવ્યો હોય તો તે વી.પી.સિંઘ સામે રાજીવ ગાંધીની હારથી. કારણ કે વી.પી. તે વખતે લડવૈયા લાગતા હતા--અન્ડરડોગ અને રાજીવ સત્તાધીશ. તે વખતની ચૂંટણીજાહેરાતો અને કાર્ટૂનનાં કટિગ હજુ સચવાયેલાં છે.

ત્યાર પછી રાજકારણમાં રસ ફક્ત સામાન્ય જ્ઞાન પૂરતો રહ્યો. 1992માં બાબરી મસ્જિદ તૂટી કે ત્યાર પછી રમખાણો થતાં, ત્યારે પણ પક્ષીય રાજકારણ કદી અડ્યું નહીં. રાજકારણમાં કઈ હદે રસ ન હતો, તેનું એક ઉદાહરણઃ પત્રકારત્વમાં આવ્યા પછી મારી પહેલી સ્ટોરી 'અભિયાન'ના જે અંકમાં છપાઈ, તે જ અંકમાં પ્રિય મિત્ર અનિલ દેવપુરકરની શંકરસિંહના બળવા વિશેની સનસનીખેજ સ્ટોરી છપાઈ હતી. પણ તે મારા મનમાં રજિસ્ટર જ ન થઈ. વિધાનસભામાં સ્પીકર ચંદુ ડાભીએ કળા કરી, ત્યારે મને તો અમારા તંત્રી વિનોદ પંડ્યાએ શોધીને રમેશ પારેખની કવિતા 'ચંદુડાયણ' છાપી, એ જ યાદ રહ્યું હતું. શંકરસિંહે નવો પક્ષ સ્થાપ્યો તેના રિપોર્ટિંગ માટે પ્રશાંત દયાળની સાથે હું પણ ગયો હતો અને આખા કાર્યક્રમનો માહોલ વર્ણવતો રિપોર્ટ પણ મેં લખ્યો હતો. છતાં, તે દિશામાં કદી રસ પડ્યો નહીં. હા, પહેલેથી મૂળભૂત વલણ સત્તા-એસ્ટાબ્લિશમેન્ટથી વિરોધી ખરું.
ધીમે ધીમે એવી માન્યતા દૃઢ થતી ગઈ કે 'સહિતો' (Haves) પાસે-પામતાપહોંચતા લોકો પાસે તો તેમની આખી સિસ્ટમ હોય, આપણે આપણી તાકાત પ્રમાણે 'રહિતો' (Have nots) સાથે--તેમની ન્યાયી લડાઈઓના સમર્થનમાં, માથે ભાર રાખ્યા વિના, જ્યારે જ્યાં જેટલું શક્ય હોય તેટલું રહેવાનું હોય.
*
રાજકીય ફાયદા માટે રાજકારણની ઝાળ પહેલી વાર 2002માં અડી. ભાજપનો કોમવાદ ખટકતો હતો, પણ મારા ગામમાં તેનું બહુ ચલણ ન હતું. તે 2002માં પહેલી વાર જોવા મળ્યું અને પછી તો મારા ગામ જેવાં ગુજરાતનાં અનેક ગામમાં તેને મોટા પાયે, પદ્ધતિસર વકરાવવામાં આવ્યું.
ભાજપના કોમવાદની સાથે નરેન્દ્ર મોદીનો હદ બહારનો અહંકાર જોઈને થયું કે બધા પક્ષો ખરાબ, પણ ભાજપ અને મોદીનું સંયોજન લોકો માટે, રાજ્ય માટે, દેશ માટે સૌથી ખતરનાક છે. રેકોર્ડ ખાતર નોંધવું જોઈએ કે આજ સુધી માંડ બે કે ત્રણ વાર કોંગ્રેસવાળાએ પણ મને બોલવા માટે બોલાવ્યો હતો. તેમને કદાચ એમ હશે કે હું નરેન્દ્ર મોદીને ધોઈ નાખીને તેમને મઝા કરાવી દઈશ. પણ ત્યારે તેમને મેં પૂછ્યું હતું કે મોદી તો જે છે તે છે અને એ વિશેના મારા અભિપ્રાયો જાહેર છે, પણ મારે તમને પૂછવાનું છે કે 2002 અને પછીના ગાળામાં તમે શું કર્યું? મને હંમેશાં એવો અંદેશો (હંચ) રહ્યો છે કે કેટલાક કોંગ્રેસી નેતાઓ સાથે મોદીએ ગોઠવી લીધું, તેને કારણે મોદી કાયદાની પકડથી બચી શક્યા, જ્યારે અમિત શાહને થોડો વખત સાબરમતી જેલ સેવવાની આવી. આ અંદેશો છે ને તેના કોઈ પુરાવા નથી, એ ખરું.
2002થી શરૂ થયેલી કોમવાદ અને અહંકારના સંયોજનની યાત્રા ઉપર વિકાસના વાઘા પહેરાવાય કે અસ્મિતાના, મને મારી સીધીસાદી સમજથી સ્પષ્ટ દેખાતું હતું કે આ માણસ ગુજરાતના બહુમતી લોકોને મૂરખ બનાવી રહ્યો છે. મૂરખ બનનારો પણ મોટો સમુદાય હતો. તેમાંથી જે સ્વાર્થ ખાતર મૂરખ બનતા હતા, તેમના માટે મારા મનમાં આશ્ચર્ય કે સવાલ ન હતા. ખરો ખેદ જેમને હું મારા જેવા-આપણા જેવા લોકો ગણતો હતો, તેવાએ જાણેઅજાણે મોદીના ડાબલા પહેરી લીધા તેનો થયો.
ડાબલા પહેરવાના કારણમાં કોંગ્રેસ પ્રત્યેના વાજબી અભાવથી માંડીને ડાબેરીઓની આત્યંતિકતા પ્રત્યેના વાજબી અભાવ જેવાં ઘણાં કારણ હશે, પણ છેવટે એ બધા હરીફરીને મોદીના ખોળામાં જ લાંગર્યા, ઠર્યા અને મોદીની ખરાબમાં ખરાબ ચેષ્ટાઓના અને પગલાંના કંઠીબંધા બચાવકર્તા બની રહ્યા. પછી તો મોદી સાથે તેમણે જાતને એવી એકરૂપ કરી દીધી કે મોદીની ટીકાને તે પોતાનું અપમાન સમજવા લાગ્યા. મોદીનાં બચાવને તેમણે વધુ ને વધુ માત્રામાં પોતાની આબરૂ સાથે સાંકળી લીધો અને તેમાં-એટલી બાબત પૂરતા, ભક્તિપ્રેરિત દુર્બુદ્ધિના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
રાહુલ ગાંધી મહાન નેતા નથી. પણ તેમનાં પ્રવચનોની દુષ્ટતાપૂર્વક એડિટ કરેલી વિડીયો મોટા પાયે બતાવી બતાવીને તેમને ડફોળ સાબીત કરી દેવામાં આવ્યા. હજુ પણ કેટલાક લોકો માને છે કે રાહુલ ગાંધીએ બટાટા છીણો ને સોનું નીકળે એવું કહ્યું હતું. પરંતુ દેશના વડા તરીકે, વાદળો હોવાથી રડારમાં વિમાન નહીં પકડાય, એવી વાત હોંશિયારી મારવા કરનાર કેવડો મોટો ને દેશ માટે કેટલો નુકસાનકારક ડફોળ કહેવાય તે આ ભકતોને નહીં દેખાય. ભક્તોની દરેક દલીલના તાર્કિક જવાબ હોય છે, પણ તેમને તર્ક સાથે કશી લેવાદેવા હોતી નથી. ઘણાને તો જે લખ્યું છે તે વાંચવા-સમજવા જેટલી પણ પરવા હોતી નથી. ભક્તિનું ભૂત જ માથે સવાર હોય છે. એટલે, ઘણા સમયથી ભક્તોને જવાબ આપવાનું બંધ કર્યુ છે.
*
2002થી 2024 સુધી મોદી વિશેનું મૂલ્યાંકન બદલાય એવું કશું તેમણે કર્યું નથી. ભપકાબાજી, રેકોર્ડબ્રેક સ્વમોહ, આસમાનને આંબતો અહંકાર, સડકછાપ ભાષણો, નક્કર મુદ્દા વિશેની સમજ કે સમજવાની ઇચ્છાનો અભાવ અને કોઈનું નહીં સાંભળવાની જિદ-- આ બધાને કારણે નરેન્દ્ર મોદી જે કંઈ કરે તે સમજવું મારા માટે બહુ સહેલું બની જતું. તે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરે કે નોટબંધી, સૌથી પહેલાં તેમાં પોતાની જાતનો જયજયકાર હોય-ઇતિહાસપુરુષ બનવાની ખદબદતી, અફાટ લાલસા હોય. બીજું બધું પછી.
સત્તાધીશ તરીકેની પ્રાથમિક ફરજોમાં પણ હદ બહારની બેશરમથી જશ લૂંટવાનું મોડેલ મોદી મોડેલનો એક હિસ્સો છે. શિક્ષકોને અપોઇન્ટમેન્ટના કાગળ પહેલાં ટપાલી આપતા હતા. મુખ્ય મંત્રી તરીકે મોદીએ ગાંધીનગરમાં કાર્યક્રમો યોજીને શિક્ષકોને અપોઇન્ટમેન્ટ લેટર આપવાના શરૂ કર્યા, કેમ જાણે તેમની કૌટુંબિક પેઢીમાં નોકરી આપતા હોય. આવાં તો એટલાં બધાં ઉદાહરણ છે કે લખતાં થાક લાગે. જાતનો જયજયકાર કરવા માટે અને સતત ચર્ચામાં રહેવા માટે કંઈક મોટું તો કરવું પડે. અને તે કંઈક કરવાથી લોકોને થોડોઘણો ફાયદો થાય. એટલે ભક્તપ્રજા ગુણગાન ગાવા બેસી જાય અને પંડિત વિશ્લેષકો પોતાના પાંડિત્યના માપદંડથી તેને માપવા બેસી જાય. ભક્તો તે ફાયદો ગણાવ્યા કરે ને મને તે ફાયદા પાછળનો મૂળ આશય તથા મિસમેનેજમેન્ટ દેખાય. લાંબા ગાળે ભક્તોને પણ કદાચ તે દેખાય, પણ દેખાય તોય સ્વીકારે નહીં તેનું નામ તો ભક્ત. બાકી, બીઆરટીએસ જાતના જયજયકાર માટે નહીં, પણ લોકો માટે બનાવી હોત તો અમદાવાદની બસ વ્યવસ્થાની આવી હાલત ન થઈ હોત. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર માટે બનાવ્યું હોત તો લોકો ત્યાંથી પાછા આવીને સરદારની મહાનતાની વાતો કરતા હોત—ત્યાંના બગીચા ને ઝૂની અને મોંઘી ફીની નહીં.
એક મોટા ઉદાહરણથી વાત કરીએ તો, નોટબંધી થઈ ત્યારે અમારા પરિચિત-આદરણીય સ્નેહીઓથી માંડીને સ્વામિનાથન અંકલેસરિયા-ઐયર જેવા એકંદરે સારા લેખકો પણ મોદીએ કેવું મહાન પગલું લીધું અને તેનાથી દેશને કેટલો ફાયદો થશે, તેનાં અર્થશાસ્ત્રીય ગણિતો સમજાવવા બેસી ગયા. પહેલી વાર નોટબંધી જાહેર કરી ત્યારે મને પણ થયું કે ભલું થયું, ભાંગી જંજાળ. કારણ કે મોટી રકમની નોટો ભ્રષ્ટાચાર માટે બહુ સુવિધારૂપ બનતી હોય છે. પણ પછી તો મોદીએ બે હજારની નોટ જારી કરી. એટલે બહુ ઝડપથી, કશી આંતરસૂઝ કે ઊંડી પંડિતાઈથી નહીં, પણ મોદીના અહંકારી, સ્વમુગ્ધ અને નિતાંત સ્વાર્થી સ્વભાવ વિશેની પાકી ખાતરીને કારણે, તે વખતે મિત્રોને કહ્યું હતું કે તમે ખોટાં ચકલાં ચૂંથો છો. તમે જે ગણતરી કરો છો તેની મોદીને કશી પરવા નથી. તેમને તો છાકો પાડવો હતો અને બીજા પણ કેટલાક હેતુ હતા. તપાસી લેજો, તેમણે તે વખતે જાહેર કરેલો એક પણ હેતુ બર આવ્યો નથી--અને મહેરબાની કરીને તેનાથી ડિજિટલ પેમેન્ટ વધ્યું છે એવું ન કહેતા. કારણ કે, તે તો નોટબંધીની જાહેરાતની બહુ પછી આવેલો વિચાર હતો.
એડીસી બેન્કમાં જમા થઈ ગયેલા અઢળક રૂપિયાથી માંડીને કંઈ કેટલીય સ્ટોરીઓ ફોલો અપ વગર દબાઈ ગઈ. પણ ભક્તિ કોને કહી છે? નહીં સ્વીકારવાનું એટલે નહીં સ્વીકારવાનું. મોદીના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર અભૂતપૂર્વ માત્રામાં વધ્યો --અને આવું હું નથી કહેતો. સરકાર સાથે કામ પાડનારા અનેક લોકોએ કહ્યું છે. તમે પણ તપાસ કરી જોજો. સરકારી રાહે ચાલતા શિક્ષણ અને આરોગ્યની ઉપર રહીને ઘોર ખોદી નાખવામાં આવી--અને તો પણ તેની ગંભીરતા સમજ્યા-સ્વીકાર્યા વિના, ભક્તો વિકાસ-વિકાસના મંજિરા વગાડતા રહ્યા. અલ્યાઓ, શિક્ષણ ને આરોગ્ય વિના કેવો વિકાસ? આ બંને ક્ષેત્રોની શી સ્થિતિ છે તે એ ક્ષેત્રો સાથે સંકળાયેલા કોઈ પણ માણસને પૂછી જોજો.
*
સો વાતની એક વાત એક જ છે કે શાસક ગમે તે હોય, તેને માપમાં રાખવાનો હોય. તેને યાદ અપાવવાનું હોય કે તું અમારો રાજા નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ છું. તારી સત્તાનો મદ કાબૂમાં રાખજે. આવો સંદેશો મોદી જેવા અહંકારીઓને તો ખાસ આપવાનો હોય. પણ ભક્તોએ આંખે પટ્ટી બાંધીને મોદીનો અહંકાર પોષ્યો. દસ વર્ષમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાની હિંમત ન હોય તેવા અહંકારી ડરપોક માણસમાં કેટલીય મહાનતાનું આરોપણ કરી નાખ્યું ને છેલ્લે છેલ્લે તો પ્રેસ કોન્ફરન્સ ન કરી તે કેમ સારું છે, તે પણ શોધી કાઢ્યું. આવા ભક્તો જેને મળે તેનું શું થાય? અખાએ કહ્યું હતું તેમ, ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો...વાળો ઘાટ થયો. એટલે જ, છેલ્લે છેલ્લે તો તેમણે પોતે જાહેર કરી દીધું કે તે ભગવાને ખાસ કામ માટે મોકલેલા જણ છે. બાયોલોજિકલ એટલે કે માના પેટે જન્મેલા નથી. ભક્તો પણ એવા કે તેમને રામ અને મોદી વચ્ચે પસંદગી કરવાની આવે, તો તે મોદીની પસંદગી કરે. આ કલ્પના નથી. મોદીની આંગળી પકડીને ચાલતા રામનું ચિત્ર જોઈને કેટલા ભક્તોએ ટીકા કરી હતી?
આવા અહંકારી અને ઝેર ફેલાવનારા શાસકને એક મોટા વર્ગ તરફથી સતત મળેલા સતત પોષણ અને પ્રોત્સાહન લીધે દેશની અને સમાજની દશા બેઠી. આઇટી સેલનાં જૂઠાણાં, કોમી ઝેર અને ટ્રોલિંગ દેશભક્તિ ગણાવા લાગ્યાં. આપણા દેશની બંધારણીય સંસ્થાઓને, શાસકોના ઉત્તરદાયિત્વ સહિતનાં અનેક લોકશાહી મૂલ્યોને અને ખાસ તો સમાજના પોતને ગંભીર નુકસાન પહોંચ્યું છે. હવે મોદીની ત્રીજી મુદત શરૂ થઈ છે. તે જે ઉંમરે પહોંચ્યા છે, તે જોતાં હવે તેમની સુધરવાની શક્યતા નહીંવત્ છે. પ્રાણ અને પ્રકૃતિ ભેગાં જ જાય.
ભક્તો ભક્તિપરંપરામાં વિચારે છે કે મોદી જીત્યા છતાં તેમના ટીકાકારોને મઝા કેમ આવે છે. પણ તેમને ક્યાંથી સમજાય કે આજકાલ નીતિશ અને નાયડુ સામે મોદી જે રીતે અહંકારને અભરાઈ પર ચડાવીને, બોલે તો વિનમ્ર હોકે, વાત કરે છે તે જોવાની અને બદલાયેલી બોડી લેન્ગ્વેજ જોવાની મઝા આવે છે. મોદી સરકારને બદલે એનડીએ સરકાર બોલતા અહંકારના પોપડા ખરી ગયેલા પૂતળાને જોવાની મઝા આવે છે. પોતાના ફોટામાંથી બધાને દૂર કરતા જણને ચડી ચડીને ગ્રુપ ફોટા પડાવતા જોવાની મઝા આવે છે.
આવતી ચૂંટણી બહુ દૂર છે. પણ ગુજરાતે 26માંથી 25 બેઠક આપી છે--ભલે થોડી લીડ ઘટાડી છે--ત્યારે આટલી વાત ફરી એક વાર શેર કરવા જેવી લાગી. મારું કામ મોદીને હરાવવાનું નથી. મોદી હારે તો આગળ લખેલાં કારણસર મને બહુ આનંદ થાય, પણ મારા કે કોઈના લખવાથી-બોલવાથી તે હારે, એવા ભ્રમમાં હું કદી નહોતો અને નથી. એટલે 'તમે ગમે તે લખો, પણ આવશે તો મોદી'—એવી ભક્તસહજ દલીલની મારી પર સ્વાભાવિક રીતે જ કશી અસર નથી થતી.
મોદી નહીં તો કોણ, એ દલીલ ભક્ત ન હોય એવા લોકોમાં પણ બહુ ચાલે છે. મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે આવ્યા ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી બની શકે એવા પાંચ-સાત નેતાઓ હતા—અને હું ફક્ત ભાજપનો આંકડો આપું છું. તે વડાપ્રધાન બન્યા ત્યારે પણ ભાજપમાંથી વડાપ્રધાન બની શકે એવા બીજા નેતાઓ હતા. તે બધાનું શું થયું, તે સૌ જાણે છે. હકીકત તો એ છે કે ગુજરાતમાં અને દેશમાં અનેકવિધ મોરચે મોદીના શાસનકાળમાં જેટલું નુકસાન થયું છે, એટલું નુકસાન બીજું કોઈ કરી શકે એમ નથી. પોતાનો સિક્કો જમાવવાની લ્હાયમાં ને બધી સત્તા પોતાની પાસે કેન્દ્રિત કરવાની લ્હાયમાં તેમણે સ્થાપિત માળખાંનો અંત આણ્યો છે, તે એકાદ દિવસના સમાચાર બનીને રહી જતું હોય છે.
ચૂંટણી પંચ જેટલું દબાયેલું ને આજ્ઞાંકિત આ ચૂંટણી વખતે દેખાયું, એટલું કદી નજીકના ભૂતકાળમાં ન હતું. તેનું કામ ચૂંટણીની કેવળ માળખાકીય સુવિધાઓ ગોઠવવાનું ને સાચી ગણતરી કરવાનું નથી. ચૂંટણીની આચારસંહિતાનું રોજેરોજ ચીરહરણ કરનારા સામે આંખ આડા કાન કરીને ચૂંટણી પંચે પોતાની વિશ્વસનિયતાની ઘોર ખોદી છે. તે હકીકતમાં આવેલાં પરિણામોથી કશો ફરક પડતો નથી.
સત્તાની ટીકા કરવાની વાતને હું કદી બહાદુરી કે તેજાબી કલમ સાથે સાંકળતો નથી. મારા માટે તે સાદી સમજ અને પ્રતીતિ—કોમન સેન્સ અને કન્વિક્શન—નો મામલો છે. પણ કોરોના કે રાજકોટ કે મોરબી જેવું કંઈક થાય ત્યારે સરકારની બેધડક ટીકા કરનારા તરીકેની વાહવાહ લૂંટનારા મોદી અને અમિત શાહની વાતમાં કેવા લાઇનમાં ઊભા રહી જાય છે, લાગ આવ્યે કેવાં ભક્તિગીતો ગાઈ નાખે છે—અને છતાં લોકો પર વીર-સરકારથી-નહીં- બીવાવાળાની છાપ ઉપસાવી શકે છે. એ જોઈને થાય છે કે આપણી પ્રજાનો અમુક વર્ગ મૂર્ખ બનવા માટે જ સર્જાયેલો છે. આ લોકો તેને મૂર્ખ નહીં બનાવે તો તે બીજા કોઈ મૂર્ખ બનાવનારને શોધી લેશે.
ઝાઝું લખ્યું છે, થોડું કરીને વાંચજો અને વિચારજો.

Tuesday, June 04, 2024

2024ની ચૂંટણીનાં પરિણામઃ શાંતિથી વિચારતાં--

પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયાં છેઃ અત્યારે (સાંજે સાત વાગ્યે) ઇન્ડિયન એક્સપ્રેસ બતાવે છેઃ એનડીએ-296, યુપીએ-229, અન્ય-18.

મતલબ, ભાજપ એકલપંડે સ્પષ્ટ બહુમતીથી 30-35 બેઠકો દૂર રહેશે, પણ એનડીએની સરકાર સહેલાઈથી બની જશે. હા, તેના માટે નાણાંકોથળીઓ ઢીલી કરવી પડશે અને સત્તાના થોડા ટુકડા આપવા પડશે.
પોતાની માના પેટે નહીં જન્મેલા, પણ ભગવાને સીધા મોકલેલા ભાઈ દુનિયાભરનું ઝેર, ધિક્કાર અને જૂઠાણાં ફેલાવ્યા પછી પણ જીત્યા તે ખેદની વાત છે, પણ (અત્યારની વ્યાપક માન્યતા પ્રમાણે) તેમના અભિમાનને ફટકો પડ્યો છે, તે આનંદની વાત છે.
આ પરિણામોથી ભાજપ-સંઘ પરિવારનાં આંતરિક સમીકરણોમાં સળવળાટ અને ફેરફાર થાય, તો ભવિષ્યમાં સરમુખત્યારશાહી માનસિકતામાંથી મુક્તિ માટેની આશા વધારે ઉજળી બને.
વર્ષો પછી વિપક્ષો સારો સરવાળો લાવ્યા છે, એટલે આગળ ઉપર તે લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખશે અને મોદી તથા તેમની ટ્રોલસેના દ્વારા ચાલતી ઝેરી ઝુંબેશો સામે એક કાઉન્ટર નેરેટિવ--વાસ્તવિકતાનું બયાન કરતી પ્રચારધારા--ચાલુ રાખશે, તો સંઘર્ષ પણ વધશે.
જોવાનું એ છે કે ત્રીજી મુદતને આજ સાંજના ભાષણમાં નહીં, પણ અમલીકરણમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ કેવી રીતે લે છે. એટલે કે, યુટ્યુબ ચેનલો પર સકંજો કસતો કાયદો કે એક ચૂંટણીની જોગવાઈ જેવી સરમુખત્યારશાહી તરફ ધકેલતી બાબતો તે ઉતાવળે આણી દે છે? હવે લોકસભામાં ખરડા પસાર કરાવતાં તેમને તકલીફ તો પડશે, સિવાય કે અમિત શાહનું રાબેતા મુજબનું ફ્લોર મેનેજમેન્ટ અને અન્ય મેનેજમેન્ટ સફળ થતું રહે.
ચૂંટણી પહેલાં સુધી લગભગ એકતરફી લાગતું વાતાવરણ કેવી રીતે બદલાઈ ગયું, એ સમજવું અઘરું છે. ફક્ત યોગેન્દ્ર યાદવ એવા હતા, જેમણે ભાજપ માટે 240થી 260 બેઠકોની આગાહી કરી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે બધું બરાબર નથી એવું પણ તેમણે કહ્યું હતું. તે સાચા પડ્યા છે અને બોલવે-મિજાજે-અહંકારમાં ભાજપના પ્રવક્તા જેવા ભાસતા પ્રશાંત કિશોર ખોટા પડ્યા છે.
ગોદી મિડીયા તરીકે ઓળખાતા બેશરમ અને કરોડરજ્જુ વગરના એન્કરોએ આખો વખત આરતી ઉતારવાને બદલે અને કોમવાદી-વિભાજનકારી એજેન્ડા ચલાવવાને બદલે, થોડુંઘણું પત્રકારત્વ કર્યું હોત તો મોદીને અઘરું પડ્યું હોત. ગોદી મિડીયાની આજે હાર થઈ છે અને સોશિયલ મિડીયા તથા બીજાં માધ્યમોથી સરકારની અનીતિ-અત્યાચારો-દુશાસન સામે અવાજ ઉઠાવનારા લોકોને નવું બળ મળ્યું છે.
બળાત્કારી પ્રજ્વલ રેવન્ના કર્ણાટકની હાસન બેઠક પરથી હારી ગયો છે, પણ સરકારી સુરક્ષાછત્રપ્રાપ્ત છેડતીબાજ બ્રિજભૂષણશરણ સિંઘનો છોકરો ઉત્તર પ્રદેશની કૈસરનગર બેઠકથી જીતી ગયો છે.
બદતમીજી અને બદમિજાજીના પૂતળા જેવી સ્મૃતિ ઇરાની હારી ગઈ છે, પણ છીછરાપણાનું, અફાટ ભક્તિનું અને મોદીભક્ત-સ્પેશ્યલ અહંકારનું પ્રદર્શન કરનાર કંગના રનૌત મંડીથી જીતી ગઈ છે. કનૈયાકુમારની સામે મનોજ તિવારી જીતી જાય, એ કેવી કરુણતા છે, તે જોવા માટે મનોજ તિવારીના એક-બે ઇન્ટરવ્યૂ જોવા બસ થઈ પડશે.
નોન-બાયોલોજિકલ મહાપુરુષ વારાણસીથી 1.52 લાખ મતે જીત્યા છે. 2014માં તેમની સરસાઈ હતીઃ 3.72 લાખ મત. 2019માં 4.79 મત. અને આ વખતે 1.52 લાખ મત.
ભગવાન નામના રામે બેશરમીથી ચરી ખાધા પછી, તેમને ઘર અપાવ્યાનો ઘનચક્કર જેવો દાવો કર્યા પછી, અયોધ્યા જે મતવિસ્તારમાં આવે છે તે ફૈઝાબાદમાં ભાજપની હાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની ગતિ અવળી થઈ છે અને ભાજપને સૌથી મોટો અને આકરો ફટકો પડ્યો છે. ભાજપને 80માંથી અત્યારે 32 બેઠકો બતાવે છે. 2019માં તેને 62 બેઠકો મળી હતી.
રાયબરેલીમાં રાહુલ ગાંધીની અંદાજિત સરસાઈ છેઃ 3.90 લાખ મત. ગુજરાતમાં ગેનીબહેન આશરે 30 હજાર મતથી આગળ છે અને હવે તે સરસાઈ કપાઈ શકે એમ નથી.
ઘણાબધાએ એવી આશા વ્યક્ત કરી છે કે હવે મોદી-શાહ એન્ડ કંપનીનું બેફામપણું ઓછું થશે, બંધારણીય સંસ્થાઓના જીવમાં જીવ આવશે અને તે નિર્ભીકતાથી કામ કરી શકશે, એજન્સીઓનો ઉઘાડેછોગ બેફામ દુરુપયોગ ઓછો થશે, મોદીની આત્મમુગ્ધતા ઓછી થશે વગેરે...
આવું થાય તો બહુ આનંદની વાત છે.
આવું થવાની શક્યતા અત્યારે ઊભી થઈ છે, તે આજ પૂરતું હાશકારાનો અનુભવ કરાવે છે.
કાપવાનો રસ્તો ઘણો લાંબો છે, પણ વચ્ચે આવેલો આટલો વિસામો રાહત આપનારો છે.

Wednesday, January 17, 2024

રાષ્ટ્રીય (પ)તંગ મહોત્સવ

 ઉત્તરાયણ નિમિત્તે, અને ખરેખર જરૂર હોય એ સિવાયના લગભગ તમામ પ્રસંગે, ગુજરાતમાં અઢળક ચિંતન થયું છે-થતું રહે છે. પતંગ, દોરી અને આકાશને સાંકળતી ફિલસૂફી પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઠલવાય છે. ઉત્તરાયણના દિવસે ઠેર ઠેર વેચાતા તૈયાર ઊંધિયામાંથી તેલના નીકળે, એવા રેલા છાપાંમાં ચિંતનના નીકળે છે. બંનેના ભાવક વર્ગને થાય છેઃ બરાબર છે, ઊંધિયામાં તેલ (ને છાપામાં ચિંતન) હોય ને તે અમુક હદ સુધી ભાવે પણ ખરું. છતાં એનું કંઈ માપ હોય કે નહીં?

સરકાર-રીતિની જેમ ઉત્તરાયણ પણ કેટલાક માટે ખાવાનો, કેટલાક માટે બેફામ ઢીલ મુકવાનો અને કેટલાકને મન કશું સમજ્યાવિચાર્યા વિના બીજાના ટેકામાં ચિચિયારીઓ પાડવાનો- પથ્થરબાજી કરવાનો તહેવાર હોય છે. ઉત્તરાયણ કહેવાય પતંગનો ઉત્સવ, પણ આગળ ઉલ્લેખેલી ક્રિયાઓ અને તેના કરનારાઓને માટે પતંગ તો કેવળ નિમિત્ત.

પહેલાં એક અગાસી, એક પતંગની સ્થિતિ શક્ય ન હતી. એક જગ્યાએથી બે-ત્રણ પતંગ ચગતા હોય તે બહુ સામાન્ય દૃશ્ય હતું. તેમાં થોડી અરાજકતા થતી, ક્યારેક અંદરોઅંદર પેચ લડી જતા, દોરીઓ ગુંચવાઈ જતી, લડાઈઝઘડા થતા. છતાં, વિવિધતામાં અરાજકતાની સાથોસાથ વિવિધતામાં એકતા પણ જળવાઈ રહેતી હતી. વર્તમાન સમય એક દેશ, એક અગાસી, એક પતંગનો છે. બીજા પતંગોને ઊંચા થવા દેવાતા નથી અને થાય તો તેમને હાથોહાથમાંથી કાપી નાખવામાં આવે છે. અને તે પણ, ચગેલા પતંગ દ્વારા નહીં, પણ આજુબાજુની ભીડ દ્વારા અને એકમેવ પતંગબાજના ઝંડાધારીઓ દ્વારા.

સંયુક્ત અગાસીનો અનુભવ ધરાવતા લોકોને યાદ હશે કે આખા ટોળામાં પતંગ ચગાવનાર એક જ હોય, પણ આખું ટોળું તેની તરફેણમાં એવી ગગનભેદી ચિચિયારીઓ પાડે કે પતંગ ચગાવનારનો વટ પડી જાય. તે નિર્દોષ પ્રવૃત્તિએ સાંપ્રત કાળમાં સમાચાર અને સોશિયલ મિડીયા પરના પ્રચારનું રૂપ લીધું છે. આખા દેશમાં પતંગ ચગાવનાર એક જ છે અને બીજા કોઈને તો તે આવડતું જ નથી, એવો ઘોંઘાટ સતત ચાલુ છે. તેનાથી આગળ વધીને એવો માહોલ જમાવવામાં આવ્યો છે કે અગાઉ કોઈએ પતંગ ચડાવ્યા જ ન હતા ને પેચ લડાવ્યા જ ન હતા. આ દેશનું નસીબ છે કે પહેલી વાર તેને કોઈ એવો માણસ મળ્યો, જેને પતંગ ચગાવતાં આવડતું હોય. હવે જોજો, દેશ કેવો વિશ્વગુરુ બની જશે. 

અગાસીના માહોલ વિશે જાણનારાને ખ્યાલ હશે કે એક જ પતંગ પર ચિચિયારી પાડતા ટોળામાં વચ્ચેવચ્ચે તલસાંકળી, લાડુડી, બોર-જામફળ, ચીકી વગેરે વહેંચાતું રહે છે. તેનાથી બૂમો પાડવાનો ઉત્સાહ ટકી રહે છે. કેટલાકને એ નથી મળતું. છતાં, તે બૂમો પાડવામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેમને બીક છે કે તે ટોળામાં સામેલ નહીં થાય, તો હવે પછીની ઉત્તરાયણ તેમને જેલમાં કરવી પડશે.

એકના એક વીર પતંગવાળાનો જયજયકાર કરતા રહેવા માટે, તેનો પતંગ બહુ સરસ ચગતો હોય કે તે વારેઘડીએ પેચ લડાવીને વિજેતા બનતો હોય, એવું બિલકુલ જરૂરી નથી. હકીકત તો એ છે કે તેનો પતંગ ચગતો હોય, એ પણ જરૂરી નથી. ચગતા અને સરસ ચગતા પતંગનાં ગુણગાન તો સૌ ગાય. ન ચગેલા પતંગના ધણીને આકાશવિજેતા જાહેર કરીએ તો ખરા.

એટલે પતંગ ચગાવનાર અગાસી પર ઉભો ઉભો આકાશ તરફ જુએ તો આકાશને ખબર પાડી દેવાનો તેનો માસ્ટર સ્ટ્રોક, નીચે જુએ તો વિરોધીઓને ભોયંભેગા કરવાના ઇરાદાનો માસ્ટર સ્ટ્રોક, ગોગલ્સ પહેરે તો માસ્ટર સ્ટ્રોક, શાલ ઓઢે તો માસ્ટર સ્ટ્રોક. તે પતંગ ચગાવતો હોય એવો ભાસ થાય, એટલે ટોળાએ આકાશમાં સૌથી ઊંચે દેખાતો પતંગ તેમના પતંગબાજનો હશે, એવું જાહેર કરી દેવાનું. કોઈ પુરાવા માગે તો કહેવાનું કે જા, ઉપર જઈને પતંગને પૂછી આવ. કોઈ પૂછે કે તમારા પતંગબાજના હાથમાં દોરી તો દેખાતી નથી. તો કહેવાનું, એ સ્ટ્રીંગલેસ પતંગની લેટેસ્ટ આધ્યાત્મિક ટેકનોલોજી છે. જે લોકોને તેમાં શ્રદ્ધા હોય તેમને જ દોરી દેખાય—લાલ ચશ્મા પહેરવાથી અદશ્ય મિસ્ટર ઇન્ડિયાને જોઈ શકાતો હતો તેમ.

વચ્ચે વચ્ચે એવી જાહેરાત પણ કરી દેવાની કે હમણાં જ સમાચાર આવ્યા છેઃ આપણા ધાબાનો પતંગ છેક ચંદ્ર પરથી દેખાય છે. કેટલાક લોકો એવા પણ હશે, જે કહેશે, અમે ક્યારના જયજયકાર કરીએ છીએ, પણ દોરી દેખાતી નથી. પછી હળવેકથી કહેશે, પણ શું થાય? દેશની પ્રતિષ્ઠા વધતી હોય તો આપણાથી સવાલ કેમ પૂછાય?. તેમ છતાં, કોઈ ખરાઈ કરનારો તંત ન છોડે, તેની પર રાષ્ટ્રગૌરવ અને વિશ્વવિભૂતી એવા ગૌરવબાજની દોરીમાં દાંતી પાડવાનો આરોપ મુકીને, તેને અંદર કરી દેવાનો.

પતંગ સરખી કે સાવ ન ચગી હોય, છતાં જયજયકાર ચાલુ રખાવવો હોય તો પોળના અનુભવીઓનો જૂનો અને જાણીતો બીજો રસ્તો છેઃ દૂર કે નજીક, કોઈ ને કોઈ દુશ્મન ધાબું શોધી કાઢવું અને એ દિશામાં પથ્થરમારો શરૂ કરાવી દેવો. તેની સાથે વચ્ચે વચ્ચે આપણો પતંગ વિક્રમસર્જક ઊંચાઈએ પહોંચ્યો, ગિનેસ બુકમાં તેનું નામ આવ્યું, તેને અમેરિકાનો ફ્રિ-લીપ બટલર એવોર્ડ મળ્યો, પતંગની ટેકનોલોજી સૌથી પહેલાં આપણા દેશમાં શોધાઈ હતી—એવી બધી વાતો વહેતી રાખવાની.

ખોટું તો ખોટું, પણ ગૌરવ અને ઝનૂન સંતોષાઈ જાય, પછી પતંગ ચગે કે ન ચગે, પતંગ હોય કે ન પણ હોય, શો ફરક પડે છે?

Tuesday, January 17, 2023

ગૂજરાત વિદ્યાપીઠઃ કુલનાયક ખીમાણીનું રાજીનામું એટલે...

આખરે બે દિવસ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (વીસી) રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપ્યું. 

હાઇકોર્ટના આદેશને પગલે તેમનું જવાનું તો નક્કી જ હતું. 

એક અટકળ એવી હતી કે અમિત શાહ કદાચ તેમને કોર્ટના આદેશની અસરમાંથી બચાવી પણ લે. 

બીજી, વધારે તાર્કિક, અટકળ એવી હતી કે અમિત શાહ તેમને બચાવવા માટે શું કામ પ્રયાસ કરે? તેમનો ઉપયોગ તો કેવળ વિદ્યાપીઠ હાંસલ કરવા પૂરતો જ હોય. 

અને રાજેન્દ્રભાઈ સામે કશી કાર્યવાહી ન થાય, એ પણ તેમના માટે તો સરકારે કરેલી તરફેણ જ ગણાય, એવા આરોપ તેમની સામે છે. 

***

વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રત જેવા સરકારમાન્ય, સરકાર-અનુકૂળ અને રામદેવના અનુયાયી એવા કુલપતિ (ચાન્સેલર) નીમવા માટે ટ્રસ્ટીમંડળમાં ઠરાવ થયો અને બહુમતીથી પસાર થયો, તેમાં પ્રેરક બળ રાજેન્દ્રભાઈનું હતું. 

સ્ટાફના પ્રતિનિધિઓને એવું સમજાવવામાં આવ્યું કે સરકારને અનુકૂળ નહીં થઈએ તો ગ્રાન્ટ નહીં આવે (કેમ જાણે ગ્રાન્ટ કોઈના પિતાશ્રીની મૂડીમાંથી આવવાની હોય) અને તમારા પગાર અટકશે. ભૂતપૂર્વ સાથીદારોને કહેવામાં આવ્યું કે આરોપોમાં તમે પણ સહઆરોપી બનશો. 

ભૂતપૂર્વ સાથીદારો તો ન માન્યા ને વિરોધમાં થોડા મત પડ્યા. છતાં ઠરાવ બહુમતીથી પસાર થઈ ગયો અને આચાર્ય દેવવ્રત રાજ્યપાલ તરીકે નહીં, વ્યક્તિગત રીતે વિદ્યાપીઠના આજીવન કુલપતિ બની ગયા. ત્યાર પછી તેમણે જે મહાન સફાઈઝુંબેશ ઉપાડી, રાજ્યપાલભવનમાંથી તેની જે ભવ્ય યાદીઓ બહાર પડી અને છપાઈ, તે સૌ જાણે છે. 

તો, સરવાળે શું થયું?

- રાજેન્દ્રભાઈએ વિદ્યાપીઠ સરકારના ચરણે ધરી દીધી. વિદ્યાપીઠના કુલપતિનું પદ ગાંધીવિચારધારાથી વિપરીત વિચારધારા ધરાવતા માણસ પાસે ગયું--અને તે પણ તે ભાઈ જીવે ત્યાં સુધી. તે પાપ રાજેન્દ્રભાઈની સક્રિય આગેવાની હેઠળ થયું. તરફેણમાં મત આપનારા એ પાપના ભાગીદાર. 

- બદલામાં રાજેન્દ્રભાઈની સામે કશાં પગલાં નહીં લેવાય, એવી આશા કે આશ્વાસન હશે? ખબર નથી, પણ હાલમાં તો તેમણે કુલનાયકપદું છોડવું પડ્યું. 

***

રાજેન્દ્રભાઈ કહી શકે કે તેમણે વિદ્યાપીઠને બચાવી લીધી. નહીંતર ગ્રાન્ટ બંધ થઈ જાત અને સ્ટાફ પગાર વિના રવડી પડત અને વિદ્યાપીઠ બંધ થઈ જાત. 

વિદ્યાપીઠના ટીકાકારો કહી શકે કે આમાં કશું ક્યાં નવું છે? વિદ્યાપીઠમાં તો પહેલેથી પુષ્કળ પોલંપોલ ચાલતું હતું. 

--અને આ બંને વાતોમાં સત્યનો ઘણો અંશ હોઈ શકે.  છતાં, તે આખા ચિત્રનો નાનકડો હિસ્સો છે. 

આખું ચિત્ર એ છે કે  કે જેવી હતી તેવી એક ગાંધીસંસ્થા વિરોધી વિચારધારાના સત્તાધીશોએ આંચકી લીધી અને તે પણ કોઈ પણ પ્રકારના પ્રજાકીય-નાગરિકી વિરોધ વિના. 

***

અત્યાર સુધીના બનાવો પરથી સમજાય છે કે આ સરકાર એક જ ભાષા સમજે છેઃ વિરોધની. 

સમેતશિખરને પ્રવાસનધામ ન બનાવાય, એવી જૈનોની માગણી તેમના વિરોધપ્રદર્શન પછી સ્વીકારાઈ. એ તેનો તાજો દાખલો છે.

ત્યાર પહેલાંનાં વિરોધ પ્રદર્શનો પણ યાદ કરી લો. એટલે ખ્યાલ આવી જશે કે વિરોધીઓ પ્રત્યે ગંદકી ફેલાવવા સિવાય, તેમને નહીં જેવા કારણોસર કે કારણવગર જેલમાં ખોસી દેવા સિવાય અને વિરોધીઓ સામે પાળેલાં પ્રાણીઓને છૂટાં મૂકી દીધા સિવાય, બીજું ખાસ કંઈ તેમને ફાવતું નથી. 

આટલાં વર્ષ વિરોધ કરી કરીને અહીં પહોંચ્યા પછી હવે સાહેબલોકોથી કાયદાની હદમાં રહીને થતો વિરોધ પણ સહેવાતો નથી. હવે તો એ વિરોધ પ્રદર્શન વખતે ધરપકડને લગતા કાયદા પણ બદલવા માંડ્યા છે. 

વિરોધથી ડરતા હોવાને કારણે તેમના પ્રયાસ એવા હોય છે કે કોઈ પણ ચીજ હડપ કરી લેતાં પહેલાં ત્યાંના સત્તાધીશોની ફાઇલો સાથે રાખવી અને ભય કે લાલચ કે બંનેના જોરે તેમને દબાવીને, વ્યાપક વિરોધ થાય તે પહેલાં કબજો જમાવી લેવો. 

એવા સંજોગોમાં શિસ્તબદ્ધ, અહિંસક પણ આકરો વિરોધ પણ ન થાય, ત્યારે શું કહેવું? 

***

વિરોધનો અર્થ એવો નથી કે બધાએ સડક પર ઉતરવું. જેને જે અનુકૂળ પડે તે કરે. પણ જેનો દાવો ને હોદ્દો વધારે મોટો, તેની જવાબદારી વધારે મોટી.  બધા વિરોધની પહેલ ન કરે તો પણ, વાજબી રીતે થતા વિરોધને એક યા બીજી રીતે સહકાર તો આપે. 

વિદ્યાપીઠ એ ટ્રસ્ટીઓના કે હોદ્દેદારોની મિલકત નથી. તેની છેવટની માલિકી સમાજની અને તેમાં પણ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓના કિસ્સામાં, ગાંધીપ્રેમી હોય અથવા કમ સે કમ ગાંધીદ્વેષી ન હોય, એવા વ્યાપક જનસમુદાયની છે. 'આપણે શી લેવાદેવા?' એવું વિચારતાં પહેલાં આટલું મનમાં રાખજો. 

બાકી તો, ગાંધીજી કહેતા હતા તેમ, તમારા રુદિયાનો રામ સૂઝાડે તેમ કરજો. રુદિયામાં રામના પાવક સ્મરણને બદલે 'જય શ્રી રામ'ની હિંસક નારાબાજી હોય તો જેવાં ગાંધીજીનાં, રામનાં ને દેશનાં નસીબ.