Friday, November 30, 2018

જોતિરાવ ફુલે : ગાંધીજી પહેલાંના 'મહાત્મા'


વાજબી કારણોસર રોષનો સ્થાયી ભાવ ધરાવતા ડૉ. આંબેડકરે ભલે કહ્યું હોય કે મહાત્માઓ ધૂળ ઉડાડતા આવે ને જાય, તેનાથી સમાજને કશો ફરક નથી પડતો. વાસ્તવમાં, ફરક તો પડે છે. શરત એટલી કે 'મહાત્મા'તરીકે ઓળખાયેલા માણસો બધી માનવીય મર્યાદાઓ સાથે સન્નિષ્ઠ-સત્યનિષ્ઠ-લોકનિંદાથી અલિપ્ત અને જીવ હોડમાં મૂકીને લોકકલ્યાણનું કામ કરનારા હોવા જોઈએ. એવા નામમાં ગાંધીજીની સાથે અને કાળક્રમની દૃષ્ટિએ તેમની પહેલાં જોતિરાવ ફુલેનું નામ લેવું પડે.

ગાંધીજી કરતાં બે પેઢી (૪૨ વર્ષ મોટા) અને ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ન આવતા ફુલેએ જે જુસ્સાથી સમાજસુધારાનું કામ કર્યું, તે પાઠ્યપુસ્તકોમાં આવતા બંગાળના-મહારાષ્ટ્રના બધા સુધારકો ઝાંખા પાડી દે એવું હતું. ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સીને ૨૦૧૮માં ત્રણ શબ્દોનું એક પોસ્ટર હાથમાં પકડવાનું કાઠું પડી ગયું ને સોશ્યલ મિડીયામાં રાજ કરતી ટ્વિટર જેવી કંપનીએ નાકલીટી તાણવી પડી. તેનાથી અનેક ગણાં આકરાં નિવેદનો જ નહીં, સુધારાનાં નક્કર કામ જોતિરાવ ફુલેએ પોણા બે સદી પહેલાં કર્યાં હતાં--અને એ પણ રૂઢિચુસ્તોના ગઢ ગણાતા પૂનામાં.

ઘડીયાળના કાંટા ઊંધા ફેરવી રહેલા વર્તમાન સમયમાં જોતિબાની કઠણાઈ વિશિષ્ટ છેઃ જન્મે માળી સમાજના જોતિબા દલિતોને સમાનતા અપાવવા ઝઝૂમ્યા, એટલે સ્ત્રીશિક્ષણની પહેલથી માંડીને ધર્મના નામે ચાલતા પાખંડના વિરોધ જેવાં તેમનાં અનેક કામ વિસારે પાડી દેવાયાં. તેમની ઓળખ 'દલિતોના નેતા'તરીકે સીમિત કરી દેવામાં આવી. બાકી, ભારતમાં જેમ ગાંધીજીની સરખામણી ભાગ્યે જ બીજા કોઈની સાથે થઈ શકે, તેવું જોતિબા માટે પણ કહી શકાય. એ બંને પ્રત્યેના પ્રેમાદરને કારણે, તેમની વચ્ચેનાં મારીમચડીને નહીં, પણ સહજતાથી તરી આવતાં સામ્ય પણ નોંધવાનું મન થાય.

ગાંધીજી જેના માટે જીવનભર મથતા રહ્યા એ, તેમના જીવનનું કેન્દ્રબિંદુ એટલે સત્ય. ગાંધીજીના એક અભ્યાસી ટી. કે. મહાદેવને એટલે સુધી લખ્યું હતું કે અનેક વિષયો પરના ગાંધીવિચારને એકસૂત્રે પરોવનાર સત્ય છે. એ ન હોય તો ગાંધીજીના અનેકવિધ વિચાર માળામાંથી છૂટા પડીને વેરવિખેર થઈ ગયેલા મણકા જેવા લાગી શકે. જાહેર જીવનમાં અને પોતાના વર્તનમાં સત્યની પ્રતિષ્ઠા કરવામાં જોતિબા(૧૧ એપ્રિલ, ૧૮૨૭-૨૮ નવેમ્બર,૧૮૯૦) ગાંધીજીના સિનિયર હતા. ગાંધીજી મોહન તરીકે ભાંખોડિયાં ભરતા હશે, ત્યારે જોતિબાએ આચરણમાં તો ખરું જ, પણ પોતાના લેટરહેડના મથાળે 'સત્યમેવ જયતે’નું સૂત્ર મૂક્યું હતું.

ભારતીય પ્રજાજનોની સાચી સ્થિતિ દર્શાવવા માટે ગાંધીજી બ્રિટનના શહેનશાહને મળવા પોતાના રાબેતા મુજબના પોશાકમાં ગયા, તેના ચારેક દાયકા પહેલાં જોતિબા ફુલે શાહી પરિવાર સમક્ષ ગામઠી પોશાકમાં રજૂ થયા હતા. માર્ચ, ૧૮૮૮માં ડ્યુક અને ડચેસ ઑફ કૉનોટ ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે પૂનામાં તેમના માનમાં ભવ્ય મેળાવડો યોજાયો. તેમાં ભપકાદાર માહોલની વચ્ચે જોતિબા ગામઠી પોશાકમાં પહોંચ્યા, ત્યારે તેમને દરવાજે રોકવામાં આવ્યા. દરવાન સાથે રકઝક થઈ. પછી કોઈનું ધ્યાન પડતાં તેમને માનપૂર્વક અંદર લાવવામાં આવ્યા.

બીજા આમંત્રિતો અંગ્રેજભક્તિમાં મશગુલ હતા, ત્યારે જોતિબાએ ડ્યુકને સંબોધીને કહ્યું હતું, ‘અહીં બેઠેલાં લોકો રાણી વિક્ટોરિયાશાસિત ભારતના નાગરિકોના ખરા પ્રતિનિધિ નથી. ખરું ભારત ગામડાંમાં વસે છે, જ્યાં સેંકડો લોકો પાસે શરમ ઢાંકવા પૂરતાં પણ કપડાં નથી, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે છાપરું નથી ને ગજવામાં ફૂટી કોડી નથી...આપનાં માતાજી રાણી વિક્ટોરિયાને કહેજો કે તેમની પ્રજા અત્યંત ગરીબીમાં જીવી રહી છે અને તેને શિક્ષણની બેહદ જરૂર છે.’  ‘ખરું ભારત ગામડાંમાં વસે છે’ એવું જોતિબાએ અંગ્રેજ શાસકોને કહ્યું હતું. ગાંધીજીના ભાગે એ જ વાત પોતાના દેશવાસીઓને સમજાવવાનું આવ્યું.

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે મીર આલમ નામના એક પઠાણે અધકચરી સમજણ અને ઉશ્કેરાટમાં તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાચી સ્થિતિ સમજાતાં એ જ માણસ ગાંધીજીનો સાથી બન્યો. એક સભામાં ગાંધીજી પર હુમલો થવાની સંભાવના હતી, ત્યારે મીર આલમ ખુલ્લી સભામાં 'ગાંધીભાઈ'ના બચાવમાં ઊભો રહી ગયો. તેના થોડા દાયકા પહેલાં જોતિબાએ સત્યનારાયણની કથાના નામે ચાલતી પાખંડી પ્રવૃત્તિની ટીકા કરતું એક નાટક લખ્યું હતું. તેનાથી પૂનાના કેટલાક બ્રાહ્મણો એટલા ઉશ્કેરાયા કે તેમણે ગરીબ અને નીચલી ગણાતી જ્ઞાતિના બે જણને રૂપિયાની લાલચ આપીને જોતિબાની હત્યાનું કામ સોંપ્યું.

હત્યારાઓ મધરાતે જોતિબાના ઘરમાં દાખલ થયા, પણ ખખડાટ થતાં જોતિબાની આંખ ખુલી ગઈ. તેમણે નિર્ભયતાથી પૂછ્યું, એટલે હત્યારાઓએ કહ્યું કે એ લોકો તેમને મારવા આવ્યા છે ને બદલામાં તેમને રૂપિયા મળવાના છે. મારવા આવનારા નીચલી ગણાતી જ્ઞાતિના છે, એ જાણ્યા પછી જોતિબાએ સામેથી પોતાની ગરદન ઝુકાવી અને કહ્યું, ‘મારા મૃત્યુથી તમને ફાયદો થતો હોય તો મારું માથું હાજર છે.’ એ સાંભળીને બંને મારાઓ ખોડાઈ ગયા. પછી જોતિબાના પગમાં પડ્યા અને કહ્યું કે 'તમે હુકમ આપો. અમે કામ સોંપનારાને જ ખતમ કરી નાખીએ.’ ત્યારે જોતિબાએ આપેલો જવાબ પછીના દાયકાઓના ગાંધીજીની યાદ તાજી કરાવે એવો છે. તેમણે કહ્યું, ‘એ લોકો શું કરી રહ્યા છે એની તેમને ખબર નથી. ભગવાન તેમને લાંબું આયુષ્ય આપે. અત્યારની ઘટના વિશે એ લોકોને તમે કંઈ કહેશો નહીં.’

પત્નીને સાથે રાખવાની બાબતમાં જોતિબા ગાંધીજી કરતાં પણ બે ડગલાં આગળ રહ્યા. તેમણે પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યાં, સમાજનો વિરોધ વેઠીને સ્ત્રીઓ તથા દલિતો માટેની નિશાળના કામમાં સાથે રાખ્યાં, એ માટે પિતાનું ઘર છોડવાનો વારો આવ્યો તો એ પણ વિના ખચકાટે છોડ્યું.    કસ્તુરબાની જેમ (અને તેમના કરતાં વધારે સક્રિયતાથી) સાવિત્રીબાઈ આજીવન પતિનાં સહચરી બની રહ્યાં.

ગાંધીજી ધીમી ધારે અને રૂઢિચુસ્તો પર ઉગ્રતાપૂર્વક પ્રહાર કરવાને બદલે સમજાવટથી સુધારામાં માનતા હતા, જ્યારે જોતિબા લેખન અને વર્તન દ્વારા બ્રાહ્મણવાદી માનસિકતા પર સીધા અને આકરા પ્રહારો કરતા હતા. ડૉ. આંબેડકરની જેમ જોતિબાના મિત્રો-શુભેચ્છકોમાં રૂઢિચુસ્ત-ભેદભાવગ્રસ્ત માનસિકતાથી મુક્ત એવા બ્રાહ્મણો પણ હતા. ફુલે-આંબેડકરનો વિરોધ બધા બ્રાહ્મણો સામે નહીં,  બ્રાહ્મણોની સર્વોપરિતામાં રાચતી ને બીજા લોકોને નીચા ગણતી માનસિકતા ધરાવનારા સામે હતો. એમ તો ગાંધીજીએ પોતાની પૂરેપૂરી ધાર્મિકતા જાહેર કર્યા પછી એકેય જાહેર કામમાં મુહુર્ત-ચોઘડિયાં જોવડાવ્યાં હોય કે વિધિવિધાન-કથાઆખ્યાન કરાવ્યાં હોય કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પોષી હોય એવું જાણમાં નથી.

જોતિબાને કે આંબેડકરને ગાંધીજીની સામે મૂકીને છેદ ઉડાડવાને બદલે, તેમને સાથે મૂકીને ભેદભાવના વિરોધનો સરવાળો કે ગુણાકાર ન થઈ શકે? 

Monday, November 19, 2018

ગાંધીજી : બે નવાં વિશિષ્ટ પુસ્તકોની આંખે

દેશમાં જ નહીં, દુનિયામાં પણ જેમના વિશે વરસોવરસ સતત લખાતું રહેતું હોય, એવાં કેટલાંક પાત્રોમાં ગાંધીજીનો સમાવેશ થાય. આદરભાવે કે ટીકાભાવે, સમજવા કે ઝાટકવા કે પછી સસ્તા વિવાદો પ્રેરીને ધંધો કરી લેવા માટે ગાંધીજી વિશે પુસ્તકો પર પુસ્તકો લખાયા જ કરે છે. એવા સંજોગોમાં સ્વાભાવિક સવાલ થાય કે હવે કોઈએ ગાંધીજી વિશે નવું શું લખવાનું હોય? અને એ પણ આખેઆખું જીવનચરિત્ર?

પરંતુ રામચંદ્ર ગુહા/Ramchandra Guhaએ લખેલું અને ગયા મહિને પ્રગટ થયેલું ગાંધીજીનું જીવનચરિત્ર જોયા પછી એ સવાલનો સુખદ આશ્ચર્ય ઉપજાવતો જવાબ મળે છે.  ગુહાના કામથી પરિચિત લોકોને એવો જવાબ અપેક્ષિત પણ હોય. કારણ કે અગાઉ તે આઝાદી પછીના ભારતનો સળંગસૂત્ર ઇતિહાસ લગભગ ૮૦૦ પાનાંના દળદાર ગ્રંથ 'ઇન્ડિયા અાફ્ટર ગાંધી’માં લખી ચૂક્યા છે, તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનાં વર્ષો વિશે તેમણે 'ગાંધી બીફોર ઇન્ડિયા’ નામનું વિગતસમૃદ્ધ પુસ્તક લખ્યું છે. હિંદુત્વના સંકુચિત રાજકારણનો વિરોધ કરતાં કેટલાંક લખાણો ટાંકીને ગુહાને વિભાજનકારી પરિબળો ભેગા મૂકી દેનારાની અક્કલની દયા ખાવી રહી અને એવી અક્કલવાળાઓ તેમના નિર્ણયો આપણા પર ઠોકી બેસાડી શકે છે, તેના માટે ઘેરો શોક કરવો રહ્યો. બાકી, ગુહાને વિભાજનકારી બળો સાથે સાંકળવા ઉત્સાહી સ્વઘોષિત દેશપ્રેમીઓ રાજકારણ તો ઠીક, પર્યાવરણ કે ક્રિકેટ વિશેના ગુહાના લેખ વાંચે તો પણ તેમને ખ્યાલ આવે કે ગુહા કેવા પ્રખર છતાં સરળ બૌદ્ધિક છે અને એવા બૌદ્ધિકોની દેશને કેટલી જરૂર છે. ગુહાનું લેટેસ્ટ પુસ્તક ‘ગાંધીઃ ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ, ૧૯૧૪-૧૯૪૮’ એ હકીકતને ફરી એક વાર ઘુંટી આપે છે.  લગભગ સવાસો પાનાંમાં પથરાયેલી સંદર્ભસૂચિઓ સહિત ૧૧૨૯ પાનાંનો આ દળદાર ગ્રંથ ગાંધીજીનાં જીવનચરિત્રોમાં જુદી ભાત પાડે છે.

હજુ ગયા મહિને જ જાણીતા ગાંધીઅભ્યાસી ત્રિદીપ સુહૃદે / Tridip Suhrud ગાંધીજીની આત્મકથાની સમીક્ષાત્મક આવૃત્તિ આપી. ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશનસંસ્થા 'નવજીવન'દ્વારા પ્રગટ થયેલી એ આવૃત્તિમાં ઝીણી ઝીણી અનેક બાબતોના બહુ ઉપયોગી સંદર્ભો છે. જેમ કે, ગાંધીજીના લખાણમાં કોઈ પાત્રનો, ઘટનાનો, કાયદાનો કે સ્થળનો ઉલ્લેખ આવતો હોય તો હાંસિયામાં તેના વિશે ટૂંકમાં માહિતી આપેલી હોય. અસલમાં 'ગાંધીજીના અક્ષરદેહ'માં થયેલા આ કામમાં ત્રિદીપ સુહૃદે બીજા ઘણા ઉમેરા કરીને અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં 'સત્યના પ્રયોગો'ની આવૃત્તિ તૈયાર કરી છે. હવે કોઈને આત્મકથા વાંચવી હોય તો આ જ આવૃત્તિ સૂચવવાનું મન થાય.

'આત્મકથા'ની સમીક્ષિત આવૃત્તિનું એક પાનું
૧૯૨૦ના દાયકામાં પહેલી વાર બહાર પડેલી 'સત્યના પ્રયોગો'ની લગભગ એક સદી પછી રામચંદ્ર ગુહાએ આપેલા ગાંધીજીના ચરિત્ર વચ્ચે ગાળામાં ગાંધીસાહિત્યનો ભંડાર ખડકાયેલો છે.  પરંતુ ગુહાએ લખેલા ચરિત્રમાં એવી ઘણી બાબતો છે, જે પહેલી વાર આવી હોય. તેમણે નોંધ્યા પ્રમાણે, ગાંધીજીના અંતેવાસી અને છેલ્લાં વર્ષોમાં તેમના સચિવ બનેલા પ્યારેલાલ (નાયર) પાસે એવી અઢળક સામગ્રી હતી, જે 'અક્ષરદેહ'ના સંપાદકો સુધી પહોંચી ન હતી. એ સિવાય દેશવિદેશના માહિતીખજાનામાંથી તથા સરકારી અહેવાલો-ખાનગી રીપોર્ટ અને અગાઉ કોઈને જોવા ન મળ્યા હોય તેવા પત્રવ્યવહારોમાંથી પણ ગુહા ઘણું નવું લઈ આવ્યા છે.

ગાંધીજીનાં ઘણાંખરાં ચરિત્રોમાં તેમના સચિવ મહાદેવ દેસાઈનો ઉલ્લેખ હોવા છતાં, ગુહાએ તેમનો મહિમા બરાબર ઉભારી આપ્યો છે. ગયા વર્ષે બૅંગ્લોરમાં ગુહાને મળવાનું થયું ત્યારે તેમણે ગાંધીચરિત્રનું કામ પૂરું કર્યું હતું. એ વખતે તેમણે યાદ કરેલી પુસ્તકની વિશેષ ઉપલબ્ધિઓમાં મહાદેવભાઈની ભૂમિકા અગ્રસ્થાને હતી.  મહાદેવભાઈ સાથીદારો સાથેના સંપર્કસૂત્ર ઉપરાંત દેશવિદેશના અનેક પ્રવાહોથી પણ ગાંધીજીને માહિતગાર રાખતા હતા. ગુહાએ એટલી હદે કહ્યું હતું કે છેલ્લાં વર્ષોમાં મહાદેવભાઈની ખોટ ગાંધીજીને ખૂબ લાગી. પંડિત નહેરુ અને સરદાર વચ્ચેના સંબંધોમાં પણ મહાદેવભાઈ હોત તો ઘણો ફરક પાડી શક્યા હોત, એવું તેમનું માનવું હતું. એવી જ રીતે, છેલ્લાં વર્ષોમાં કોમી હિંસા પછી ગાંધીજીએ બ્રહ્મચર્યની કસોટી માટે વિવાદાસ્પદ પ્રયોગ કર્યો, તેની ઘણી અજાણી વિગતો ગુહાએ આપી છે. તેના વિશે થયેલા મસાલેદાર વિવાદો અને અટકળબાજીથી તે દૂર રહ્યા છે અને ગાંધીજી જે કરે તે બધું વાજબી ઠરાવવાનો ઉત્સાહ પણ તેમના લખાણમાં નથી. એ પ્રકરણનું મથાળું જ છેઃ ધ સ્ટ્રેન્જેસ્ટ અૅક્સપરીમૅન્ટ (સૌથી વિચિત્ર પ્રયોગ) ગાંધીજીની કેટલા નિકટના લોકોએ તેનો વિરોધ કર્યો અને ગાંધીજીએ એ બાબતે શું મનોમંથન અનુભવ્યું, એ પણ તેમણે નોંધ્યું છે.

પરંતુ ગાંધીજીના જીવનચરિત્રમાં ને તેમની સફળતાઓ-નિષ્ફળતાઓમાં મનુબહેનના પ્રયોગ કે સરલાદેવીવાળા પ્રેમપ્રકરણથી આગળ વધીને ઘણું જાણવાસમજવા જેવું છે, તે ગુહાલિખિત ચરિત્રમાંથી પસાર થતાં કોઈને પણ સમજાય. (અત્યારે તો એ અંગ્રેજીમાં છે, પણ આગળ જતાં ભારતીય ભાષાઓમાં આવી શકે છે-આવવું જોઈએ.) ગાંધી-આંબેડકરના વિવાદાસ્પદ સંબંધોને તેમણે નિરાંતે અને તબક્કાવાર આલેખ્યા છે.તે ઘણી જાણીતી ઘટનાઓની જાણીતી વિગતોમાં ગયા નથી. પણ તેની આસપાસની ઝીણીઝીણી વિગતો દ્વારા નકશીદાર શિલ્પ ઊભું કર્યું છે અને માહિતીના છૂટાછવાયા ટુકડા વચ્ચે સંબંધ જોડીને અટકળો કરવાની લાલચમાં પડ્યા નથી. (બાકી, જૉસેફ લેલીવૅલ્ડ જેવા ચરિત્રકારે છૂટીછવાયી માહિતીનું મનઘડંત વેલ્ડિંગ કરીને કેવો કેર વર્તાવ્યો હતો, એ બહુ જૂની વાત નથી.)

ગુહાના આગળ જણાવેલાં પુસ્તકોની જેમ, તેમના ગાંધીચરિત્રમાં પ્રકરણોનું આયોજન સરસ છે. આખું પુસ્તક મુખ્ય પાંચ ખંડમાં વહેંચાયેલું છે.  દરેકમાં પ્રકરણો અને પ્રકરણોમાં વળી પેટાવિભાગ છે. એટલે વાંચનારને જરાય ભાર ન પડે, છતાં એટલી બધી વિગતો અને નવા દૃષ્ટિકોણ જાણવા મળે કે ઇતિહાસનું નહીં, કથાનું પુસ્તક વાંચતા હોઈએ એવું લાગે. ભારતમાં ગાંધીજીનાં શરૂઆતનાં વર્ષો આલેખતાં તેમણે નોંધ્યું છે કે એક તરફ ભારતબહાર તેમની નોંધ ગંભીરતાથી લેવાવા લાગી અને બીજી બાજુ, એ જ્યાં વકીલાતનું ભણ્યા હતા તે ઇનર ટૅમ્પલે  તેમને ગેરલાયક ઠરાવીને તેમનું નામ પોતાના દફ્તરમાંથી કાઢી નાખ્યું. કારણ કે એ વખતે તેમને રાજદ્રોહની કલમ હેઠળ છ વર્ષની સજા થઈ હતી.

જ્ઞાતિવાદના મુદ્દે ગાંધીજીની હળહળતી ટીકા કરનાર અરુંધતિ રૉય તથા આંબેડકરની એવી જ ટીકા કરનાર અરુણ શૌરીને યાદ કરીને ગુહાએ ઉપસંહારમાં લખ્યું છે કે આ બંને જણ (રૉય-શૌરી) ઇતિહાસને હીરો અને વિલનની રીતે જુએ છે. વાસ્તવમાં તેમાં અનેક રંગછટાઓના તાણાવાણા હોય છે. વાચકોના સદભાગ્યે ગુહાએ ગાંધીજીને દેવતાઈ ચીતરવાના લોભમાં પડ્યા વિના, માણસ તરીકે તેમની વિશિષ્ટતા અને મહાનતા ઉભારી આપી છે. ગાધીજીની દોઢસોમી જન્મશતાબ્દિની આ ઉજવણી યાદગાર ગણવી રહી. 

Friday, November 02, 2018

રામચંદ્ર ગુહા અને અમદાવાદ યુનિવર્સિટી : એ દેશની ખાજો દયા...

રામચંદ્ર ગુહા/ Ramchandra Guha હવે અમદાવાદ યુનિવર્સિટીની વિન્ટર સ્કૂલના ગાંધીકેન્દ્રમાં જોડાવાના નથી. ગઈ કાલે તેમણે ટ્વીટ કર્યું અને આજે અખબારોમાં સમાચાર છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રામચંદ્ર ગુહા પર અવનવા આરોપ મૂકીને અમદાવાદ યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો અને તેમની નિમણૂંક તત્કાળ કેન્સલ કરવા અનુરોધ કર્યો. એવું નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ આપી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો આખો પત્ર અહીં મૂકું છું.  તેમની દલીલો કેટલી વાહિયાત છે અને આવા લોકો દેશનું, દેશની અખંડિતતાનું કે દેશની સંસ્કૃતિનું રક્ષણ કરવાના હોય, તો દેશને કેમ અલગથી દુશ્મનોની જરૂર નહીં પડે, તે આ પત્ર વાંચીને સમજાઈ જશે.

આ કહેવાતી વિદ્યાર્થી પરિષદની સમજનો અંદાજ તેની પરથી આવી જશે કે રામચંદ્ર ગુહા માટે તે 'કહેવાતા ઇતિહાસકાર' જેવો શબ્દપ્રયોગ કરે છે. આખા પત્રમાં 'મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા'માંથી બે-ચાર વસ્તુઓ કાઢીને, ચાર-પાંચ લેખો ને ટ્વીટ ને એવું બધું જોડીને આ વિદ્યાર્થી પરિષદ ગુહાને કેવા ખલનાયક ચીતરે છે, એ તેમની માનસિક રુગ્ણતાના અંદાજ તરીકે જોવા જેવું છે. ગુહાનાં બીજાં અનેક પુસ્તકોનો કે તેમની સ્કોલરશિપનો સ્વાભાવિક રીતે જ કશો ઉલ્લેખ નથી.

વિદ્યાર્થી પરિષદ તો જે છે તે છે, પણ અમદાવાદ યુનિવર્સિટીથી માંડીને બીજા બધા (આ પત્રની નકલ જેમને મોકલવામાં આવી છે તે મહાનુભાવો સહિતના) લોકો આવી વાહિયાત ધમકીઓને તાબે થઈ જાય અથવા તેને સાંખી લે, ત્યારે મકરંદ દવેએ અનુદિત કરેલી ખલીલ જિબ્રાનની પંક્તિઓ જ યાદ આવે...એ દેશની ખાજો દયા...
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.