Showing posts with label arvind kejriwal. Show all posts
Showing posts with label arvind kejriwal. Show all posts

Wednesday, April 01, 2015

‘આપ’ : સાત પગલાં પાતાળમાં

એક હતા અરવિંદ કેજરીવાલ. એ તો હજુ છે, પણ જે અરવિંદ કેજરીવાલે દિલ્હીના જ નહીં, દેશના મતદારોને નવા રાજકારણની આશાનાં દર્શન કરાવ્યાં હતાં, લોકલક્ષી અને સ્વચ્છ વહીવટનું સ્વપ્નું બતાવ્યું હતું, કૉંગ્રેસ-ભાજપ જેવા પક્ષોથી છૂટકારો અપાવવાની વાત કરી હતી, એ કેજરીવાલ ‘હતા’ થઇ ચૂક્યા છે. હવેના અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કોઇ પણ સરેરાશ ભારતીય રાજકારણીના ક્લોન જેવા લાગે છે : અહંવાદી, આપખુદ, વિરોધ ન સાંખી શકનારા, દંભી, વાણીશૂરા, અપારદર્શક, નાગરિકોનો વિશ્વાસઘાત કરનારા.

છેલ્લા એકાદ મહિનામાં કેજરીવાલે અપલક્ષણોના બે સેટ દેખાડ્યા છે : (ઘણી) સ્વૈચ્છિક સંસ્થાઓના ‘બૉસ’નાં લખ્ખણ અને રીઢા રાજકીય નેતાનાં લખ્ખણ. પ્રશાંત ભૂષણના કહેવા પ્રમાણે, (લોકશાહી અને સ્વરાજની વાતો કરનારા) કેજરીવાલ એવી સંસ્થાઓમાં કામ નથી કરતાં, જ્યાં એમનું ધાર્યું થતું ન હોય. કેજરીવાલ ખરેખર આવું માનતા હોય, તેમાં જરાય આશ્ચર્ય નથી. સ્વૈચ્છિક સંસ્થાઓના ઘણા વડાઓ ‘લોકશાહી’ અને ‘લોકમત’ના દાવા કરે છે, પણ તેમણે યોજેલી ‘મિટિંગ’માં હાજરી આપનારા જાણે છે કે નિર્ણય પહેલેથી નક્કી હોય છે. મિટિંગ તો કેવળ લોકશાહીના નામે મત્તાં મરાવવા માટે બોલાવાય છે- એ પછી ‘આપ’ની રાષ્ટ્રિય કાર્યકારિણી હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ‘આયોજનો’.

એક સ્ટિંગ ઑપરેશનમાં કેજરીવાલ યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને પ્રો.આનંદકુમાર જેવા સામે પડેલા સાથીદારો વિશે ‘કમીને’, ‘ઉન સાલોંકો પીછે લાત દેકર નિકાલ દેતે’ જેવા ચુનંદા પ્રયોગો બેઝિઝક વાપર્યા છે. સ્ટિંગ કરવાનું તો કેજરીવાલે જ લોકોને શીખવ્યું હતું. એટલે એમાં વાંધો પાડી શકાય નહીં. રહી વાત આ ‘શબ્દપુષ્પો’ની. તો જાહેરમાં  ‘મૈં તો છોટ્ટા આદમી હું જી...મૈરી ઔકાત હી ક્યા હૈ...’ના રટણની સામે, તેમની અસલી વર્તણૂંક જોતાં કેજરીવાલ આવું બોલી શકે તેમાં જરાય શંકા લાગતી નથી.

‘ઇન્સાનકા ઇન્સાનસે હો ભાઇચારા...’નાં ગીતો ગાનાર કેજરીવાલ બીજા ‘ઇન્સાન’ સાથે તો સમજ્યા, તેમના એક સમયના નિકટના સાથીઓ સાથે, ‘ભાઇચારો’ તો ઠીક, સાદી સજ્જનતા પણ બતાવી ન  શક્યા. યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણને પોલિટિકલ ઍડવાઇઝરી કમિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને કેજરીવાલ સારવારના નામે બૅંગ્લોર ભાગી ગયા. ત્યાં જઇને દસ દિવસ કશું બોલ્યા નહીં. તેમને લાગ્યું કે એમ કરવાથી સંતત્વની અને સ્થિતપ્રજ્ઞતાની છાપ પડશે. પાછા આવ્યા પછી યાદવ-ભૂષણ સાથે તેમના ‘વફાદાર’ નેતાઓએ વાટાઘાટો શરૂ કરી, પરંતુ યાદવ-ભૂષણના ઘણા પ્રયાસ છતાં, કેજરીવાલ તેમને એક પણ વાર મળ્યા નહીં. આ બન્ને નેતાઓ સામે કેજરીવાલનાં ત્રાગાં અને હઠાગ્રહ જોઇને, ભૂતકાળમાં ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ હરેન પંડ્યા સામે કરેલાં ત્રાગાં યાદ આવી શકે. પરંતુ કેજરીવાલનું માહત્મ્ય મોદી સાથેના સામ્યમાં નહીં, મોદી સાથેના વિરોધાભાસમાં હતું- હોઇ શકે.

યાદવ-ભૂષણે આક્ષેપ કર્યો કે લોકસભાની ચૂંટણીમાં સફાયો થઇ ગયા પછી કેજરીવાલે દિલ્હીમાં કૉંગ્રેસ સાથે મળીને સરકાર રચવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતનો સંતોષકારક જવાબ આપવાને બદલે, ‘યાદવ-ભૂષણ કેજરીવાલને રાષ્ટ્રિય કાર્યકારિણીના અઘ્યક્ષપદેથી હટાવવા ઇચ્છે છે’ એવો પ્રચાર કરીને, યાદવ-ભૂષણની પાછળ ‘આપ’ના માણસોને છોડી મૂકવામાં આવ્યા. ‘આપ’ના સભ્ય અને આ બઘું થયું ત્યારે તો રાષ્ટ્રિય કાર્યકારિણીના પણ સભ્ય હોવા છતાં, યાદવ-ભૂષણના જવાબોને ‘આપ’ની વેબસાઇટ કે તેના સોશ્યલ નેટવર્કિંગના પેજ પર મૂકવામાં આવ્યા નહીં. જાણે, યાદવ-ભૂષણને કાઢવાની ઔપચારિકતા જ બાકી હતી. તેમને પક્ષવટો તો અપાઇ ચૂક્યો હતો અને આ નિર્ણય પાછળનું અસલી ચાલકબળ કેજરીવાલ પોતે હતા, તે રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં વઘુ એક વાર સ્પષ્ટ થઇ ગયું.

કેજરીવાલ એ બેઠકમાં આવ્યા, બોલ્યા, યાદવ-ભૂષણની ભરપૂર ટીકા કરી અને તેમને કાઢી મૂકવાનો પ્રસ્તાવ મૂકાય- તેની પર મતદાન થાય તે પહેલાં જતા રહ્યા. એક સમયે પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ જેવા સાથીદારોને લીધે વધારે વિશ્વાસ ઊભો કરેલી શકેલા (અને કુમાર વિશ્વાસ પ્રકારના લોકોથી પેદા થયેલી વિશ્વાસની ઘટ પાર કરી શકેલા) કેજરીવાલને ઍડમિરલ રામદાસ જેવા પક્ષના આંતરિક લોકપાલ ન સદતા હોય, મયંક ગાંધી જેવા નક્કર કામગીરી કરનારા માણસો પણ ન ફાવતા હોય, તેનો મતલબ એ થાય કે કેજરીવાલ હવે ભારતના પરંપરાગત રાજકારણ માટે ‘લાયક’ બની ગયા.
***
એક હતો આમઆદમી પક્ષ. તેના નેતા કેજરીવાલ ખરા, પણ છેવટે તો એ ‘દેશ માટે કંઇક કરવાની ભાવના’ ધરાવતા સૌ કોઇનો પક્ષ હતો. આઝાદી પછી અને કૉંગ્રેસના પતન પછી પહેલી વાર કોઇ પક્ષે આટલી મોટી સંખ્યામાં, આટલા ભણેલા સ્વયંસેવકોને આકર્ષ્યા. યુવક-યુવતીઓ પોતાનાં કામકાજ-નોકરીધંધા છોડીને, રાજકીય સત્તા દ્વારા પરિવર્તન અને ‘સ્વરાજ’ આણવાનું સ્વપ્ન લઇને ‘આપ’માં આવ્યાં, ભાજપ-કૉંગ્રેસ જેવા અમાપ નાણાંબળ ધરાવતા પક્ષોને ટક્કર અને જોરદાર પછડાટ આપી.

આંતરિક લોકશાહી ‘આપ’ની સૌથી મોટી ખાસિયત ગણાતી હતી. દિલ્હી વિધાનસભામાં ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ‘આપે’ ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો, એ દિવસે ટીવી પર ‘આપ’ના જુવાનિયાં સ્વયંસેવકો કૉલેજમાં ફેસ્ટિવલ હોય એમ ઉત્સાહથી છલકાતાં હતાં. તેમની પાસે ચૂંટણીની, પ્રચારની, વ્યૂહરચનાઓની, ટિ્‌વટર પર વાયરલ બનાવેલી વિડીયોની, ‘મફલરમેન’ કૅમ્પેઇનની વાતો ખૂટતી ન હતી. તેમના ઉત્સાહને ઉભરાની હદે પહોંચાડનારું પરિબળ હતું : સ્વતંત્રતા અને સામેલગીરી. ‘અમારે અરવિંદને પૂછી પૂછીને બઘું કરવું પડતું નથી. અમે પોતાની રીતે નિર્ણયો લઇ શકીએ છીએ. પછી અરવિંદ જોઇ લે. અમારું ફલાણું કૅમ્પેઇન તો અરવિંદે પણ સીઘું ઇન્ટરનેટ પર જોયું હતું.’ એવી વાતો સાંભળીને આશા બંધાતી હતી. લાગતું હતું કે વર્ષો પછી યુવા પેઢીને સાર્થક રાજકીય જોડાણની અને એ ક્ષેત્રે સક્રિય થવાની તક મળી છે. તેમની ઊર્જાથી દેશને ફાયદો થશે અને મૂલ્યનિષ્ઠ રાજકારણમાં આવવાથી - કેજરીવાલ, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ જેવા લોકોની સાથે રહીને કામ કરવાથી તેમનું ઘડતર થશે. એમાં પણ, ભારતના લોકશાહી રાજકારણમાં મળતાં મળે એવી ૭૦માંથી ૬૭ બેઠકો મળ્યા પછી છેલ્લો અંતરાય પણ દૂર થઇ ગયો.

પરંતુ એ સ્વપ્ન સેવવામાં જેટલો સમય ગયો એનાથી બહુ ઓછા સમયમાં તે વિખેરાઇ ગયું. ભવ્ય જીતના શીખર પરથી આત્મઘાતની આટલી ઊંડી ખીણમાં પડવાની બાબતમાં પણ ‘આપે’ અગાઉના વિક્રમો તોડી નાખ્યા. જાહેર બાબતોમાં તેની સરકારને હિસાબ આપવાનો થાય તે પહેલાં તો, પક્ષના આંતરિક કારોબાર વિશે શરમજનક અને ગંભીર સવાલ ઊભા થયા. પક્ષમાં જૂથબંધી કૉંગ્રેસની જૂથબંધીને શરમાવે એ હદે પહોંચી, તો કેજરીવાલની આપખુદશાહી અને ‘હું કહું એ જ સાચું’નો અભિગમ વડાપ્રધાન સાથે હરીફાઇમાં ઉતરી શકે એવાં જણાયાં. સ્વૈચ્છિક કાર્યકર્તાઓની મોટી મૂડી ધરાવતા પક્ષની રાષ્ટ્રિય કાર્યકારિણીમાં અને મતદાન વખતે પણ ગંભીર ગેરરીતિઓ અને બળપ્રયોગના આરોપ થયા. કૉંગ્રેસ-ભાજપ પણ નહીં, સાવ મુલાયમસિંઘ-લાલુપ્રસાદના પક્ષોના કારભારમાં જોવા મળે, એવાં દૃશ્યો ‘આપ’માં ભજવાયાં. કેજરીવાલે બીજો પક્ષ રચવાની તૈયારી પણ દર્શાવી. દિલ્હીના મોટા ભાગના ધારાસભ્યો કેજરીવાલના પક્ષે રહ્યા. તેમની પાસે યાદવ-ભૂષણની વિરુદ્ધના ઠરાવમાં કોરા કાગળ પર સહી કરાવાઇ હોવાના પણ આરોપ થયા.

‘નાનો, પણ રાઇનો દાણો’ લાગતો ‘આમઆદમી પક્ષ’ સામંતશાહી માનસ ધરાવતા કોઇ નેતાના ક્ષેત્રીય પક્ષ જેવી દુર્ગતિ પામ્યો. યાદવ-ભૂષણને કાઢી મૂકવાની ઘટનાને ‘આપ’ના સ્વયંસેવકો કેવી રીતે લે છે અને તેમાંથી કેટલા ‘આપ’ના આ નવા સ્વરૂપમાં પણ જોડાવાનું પસંદ કરે છે, એ મહત્ત્વનો સવાલ છે. હવે ‘આપ’ ચાલશે, દિલ્હીમાં પાંચ વર્ષ કાઢશે અને ધારો કે બીજે પણ સફળતા મેળવશે, તો એ બીજા કોઇ પણ રાજકીય પક્ષની હોય એવી સફળતા ગણાશે. લોકલક્ષી  રાજકારણ ઝંખતા લોકો માટે તેમાં કશું રાજી થવાપણું નહીં હોય.
***
એક હતો વિશ્વાસ. ના, કુમાર વિશ્વાસ નહીં, ભરોસો, જે દિલ્હીના લોકોએ ‘આપ’માં મૂક્યો હતો. કૉંગ્રેસ-ભાજપ સિવાયના કોઇ પક્ષે એક રાજ્યમાં ચૂંટણી જીતીને રાષ્ટ્રિય સ્તરે જોરદાર હવા ઊભી કરી હોય- લોકોમાં વૈકલ્પિક, મૂલ્યનિષ્ઠ રાજકીય વિકલ્પનો ભરોસો પેદા કર્યો હોય, એવું બહુ વખતે બન્યું હતું. ૧૯૭૭ની ચૂંટણી વખતે કટોકટી સામે સંપી ગયેલા વિપક્ષોએ ભેગા મળીને કાચીપાકી જનતા સરકાર બનાવી હતી. એ પ્રયોગ કરુણ રીતે નિષ્ફળ ગયો. ત્યાર પછી રાજકારણમાં મોરચા યુગ આવ્યો અને નહીં કૉંગ્રેસી-નહીં ભાજપી એવા ત્રીજા મોરચાની વાતો સતત થતી રહી. પરંતુ જનતા સરકારના અનુભવ પછી આ જાતના મોરચા વિશ્વાસ પેદા કરી શકતા ન હતા. એ પ્રયોગના ચારેક દાયકે ફરી, ભલે નાના પાયે, પણ ‘આમઆદમી પક્ષે’ લોકોમાં આશા જગાડી. તેમના મનમાં ભરોસો પેદા કર્યો કે ‘અમે ખરેખર તમારું કામ કરવા અને પ્રામાણિક વહીવટ કરવા આવ્યા છીએ.’ પરંતુ આંતરિક લડાઇના કરૂણ ફારસ પછી ‘આપે’ ફક્ત પોતાના સ્વયંસેવકોનો જ નહીં, વૈકલ્પિક રાજકારણમાં શ્રદ્ધા ધરાવતા સૌ કોઇનો વિશ્વાસઘાત કર્યો છે. હવે આ પ્રકારના દાવા સાથે આવનાર બીજા કોઇ પક્ષ પર ભરોસો મૂકવામાં લોકોને કેટલો વખત નીકળી જશે, એ ધારવું અઘરું છે. 

Thursday, March 19, 2015

પરીક્ષાસ્પેશ્યલઃ નેતાઓ સુપરવાઇઝર હોય તો?

દેશમાં અનેક ઠેકાણે પરીક્ષા ચાલે છે. કાશ્મીરમાં ભાજપની અને નરેન્દ્ર મોદીની, કોલસાકૌભાંડમાં મનમોહન સિંઘની, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ-યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણની, કોંગ્રેસમાં રાહુલ ગાંધીની, દેશમાં મતદારોની ધીરજની, ગુજરાતમાં દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓની...અને વિદ્યાર્થીઓ એવા ભ્રમમાં છે કે તેમની પરીક્ષા સૌથી મોટી છે. અખબારોમાં પરીક્ષાના, પેપરના અને ચોરી અટકાવવાના કડક બંદોબસ્તના સમાચાર આવે છે. ધારો કે બંદોબસ્તના જ ભાગરૂપે દેશના કેટલાક નેતાઓ-આગેવાનોને પરીક્ષાકેન્દ્રમાં સુપરવાઇઝર બનાવી દેવામાં આવે તો કેવાં દૃશ્યો સર્જાય?
***
વડાપ્રધાન મોદી

હું પરીક્ષા આપતો નથી ને આપવા દેતો નથી. સીબીઆઇએ મારી એક વાર પરીક્ષા લીધી હતી. ઓરલ પરીક્ષા. અત્યારે એ જ સીબીઆઇની પરીક્ષાનાં પેપર હું સેટ કરું છું. 

મારા શાસનમાં પરીક્ષા આપનારા બધાનો વિકાસ થઇ જશે. બધાના ૯૯ ટકા આવી જશે. કારણ કે આપણે ખાલી પેપર જ નહીં, પરિણામ પણ સેટ કરી શકીએ છીએ. સુપરવાઇઝર મને અમસ્તો નથી બનાવ્યો. મને આ કામનો લાંબો અનુભવ છે. સુપરવાઇઝર એટલે મુદ્દે એવો જ માણસ ને, જે પોતે મન ફાવે ત્યારે, મન ફાવે એવું ને એટલું બોલે, બીજું કોઇ સવાલ પૂછે તો મન ફાવે એવો જવાબ આપે. પૂછનારને  તોડી પણ પાડે, તેની સામે જોઇને ડોળા કાઢે ને જૂઠા કૉપીકેસથી ફેક એન્કાઉન્ટર પણ કરી શકે. રાજકારણમાં સુપરવાઇઝરનું ‘ગુજરાતી’ મુખ્ય મંત્રી થતું હોવું જોઇએ. 

હું જ્યાં સુધી સુપરવાઇઝર છું ત્યાં સુધી મારા વર્ગના ૫૭ કરોડ - ભાગ્યા એક કરોડ- વિદ્યાર્થીઓએ ચિંતા કરવાનું કોઇ કારણ નથી. કોઇ સ્ક્વોડ આવશે તો હું એના સાહેબોને સ્કૂલના બગીચામાં બાંધેલા હિંચકા પર બેસાડીને તેમની સાથે ફોટા પડાવીશ. તેનાથી મારા વિદ્યાર્થીઓનું ગૌરવ વધશે અને એ કહી શકશે કે હમ ઉસ ક્લાસકે વાસી હૈં, જિસ દેશમૈં... 

મનમોહન સિંઘ 

જુઓ છોકરાંઓ, હું બહુ પ્રામાણિક માણસ છું. પ્રામાણિક માણસના માથે લાલ લાઇટ ભલે ન હોય, વાદળી પાઘડી તો હોઇ શકે ને. મારી પ્રામાણિકતા વિશે મારા શત્રુઓ પણ આંગળી ચીંધી શકતા નથી. એટલે તો મને સુપરવાઇઝરના હોદ્દે મૂકવામાં આવ્યું. (ક્લાસના એક ખૂણેથી અંદરોઅંદર વાતચીતના અવાજ આવે છે) જુઓ છોકરાઓ, હું સમજું છું કે ‘કોએલિશન ધર્મ’ની જેમ ‘સુપરવાઇઝર ધર્મ’ પણ હોય છે. આટલાં બધાં તોફાની છોકરાંને સફળતાપૂર્વક ભેગાં રાખવાનાં હોય ત્યારે થોડી ગરબડો તો થાય. હું એવો ચોખલિયો નથી. મારી પોતાની બાબતમાં છું, પણ આખા ક્લાસની બાબતમાં નથી. હું સમજું છું કે બધા માણસો સરખા કેવી રીતે હોઇ શકે? એટલે વિનંતીપૂર્વક એટલું જ કહું છું કે મારી વ્યક્તિગત પ્રામાણિકતા હવેના કલાકો તમારા હાથમાં છે. તમે હદ બહારની ચોરીઓ કે ઘોંઘાટ કરશો, તો તમારું જે થવાનું હશે તે થશે, પણ ભવિષ્યમાં મારે જવાબો આપવા જવું પડશે. એટલે હું તમને વિનંતીપૂર્વક કહું છું કે તમારે જે કરવું હોય તે કરજો, પણ બને ત્યાં સુધી મને ખબર ન પડે એવી રીતે અને ખાસ તો, મારું નામ ન આવે એવી રીતે કરજો. મૉડરેટર મૅડમ પણ આવું જ ઇચ્છે છે કે જે થવું હોય તે થાય, પણ બહાર એનો કકળાટ ન થવો જોઇએ. નહીંતર ભવિષ્યમાં કોઇ સુપરવાઇઝર તરીકે તો શું, પરીક્ષામાં પાણી પીવડાવવા માટે પણ નહીં રાખે.  

અરવિંદ કેજરીવાલ 

જુઓ, એક વાત સમજી લો. હું ભારતનો સૌથી પ્રામાણિક અનેે સૌથી કડક સુપરવાઇઝર છું. જે લોકો ચોરી કરતા નથી, તેમણે એવું જ સમજવું કે હું નહીં, એ લોકો આ ક્લાસના સુપરવાઇઝર છે. અને જે લોકો ચોરી કરે છે તેમની ખેર નથી. કોઇ પણ ક્લાસમાં ચોરી કરનારને - એટલે કે કરતાં પકડાનારને- કડકમાં કડક સજા મળે એ માટે ધરણા કરવા માટે હું સદા તત્પર હોઉં છું. એક વાર તો મારા જ ક્લાસમાં ચોરી થઇ ત્યારે મેં તેના વિરોધમાં મારા કલાસની બહાર જઇને ધરણાં કર્યાં હતાં.

આજે ફરી આ ક્લાસમાં સુપરવાઇઝર તરીકે આવવાનું થયું છે ત્યારે મારે તમને એ જ કહેવાનું છે કે વિદ્યાર્થીઓ, તમે અંદરોઅંદર છૂટથી ચોરી કરો ને કરાવો, પણ જે કંઇ થાય તેનું તમારા મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લેજો. એના આધારે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું. (એક વિદ્યાર્થીની હિલચાલ જોઇને) હું જે કહું કે કરું એનું નહીં, તમે જે કરો એના રેકોર્ડિંગનું મેં કહ્યું હતું. તમે ઉઠીને મારાં જ રેકોર્ડિંગ કરશો તો પેપર ક્યારે લખશો ને પાસ શી રીતે થશો? અને આપણી ઉજ્જવળ લોકશાહીનું અને અમારી ભવ્ય પારદર્શકતાનું શું થશે?

એક વાત યાદ રાખજો : તમે મારી પર કોઇ પણ પ્રકારની શંકા કરશો, તો એ હું સહન નહીં કરું. કારણ કે મેં એક વાર કહી દીઘું છે કે હું એકદમ સિદ્ધાંતવાદી સુપરવાઇઝર છું. તમે મારી પર શંકા કરશો તો હું ફક્ત ક્લાસ જ નહીં, આખી સ્કૂલ છોડીને નેચરોપથી કરાવવા જતો રહીશ. હવે આ સંગીતમય પૈગામ સાથે હું મારી વાત પૂરી કરું છું. તમે પણ મારી સાથે સુર પૂરાવજો, ‘સ્ટુડન્ટકા સ્ટુડન્ટ સે હો ભાઇચારા, યહી પૈગાામ હમારા.’

રાહુલ ગાંધી 

જુઓ, આમ તો આ ક્લાસના સત્તાવાર સુપરવાઇઝર તરીકે મનમોહન સિંઘ છે, પરંતુ ક્લાસની જવાબદારી મને સોંપવામાં આવી છે. અમારી વચ્ચે એવું નક્કી થયું છે કે ક્લાસમાં ત્રણ કલાક બઘું સમુંસૂતરું ચાલે તો તેનો જશ મારો, પણ જો ઘૂમ ચોરીઓ થાય ને કેસનો કકળાટ થાય તો એના માટે ડૉ.સિંઘ જવાબદાર. મને હંમેશાં આવી રીતે જ સુપરવિઝન કરવાનું ફાવે છે. જોકે, ફાવવું અને ગમવું બે જુદી વાત છે. મને મન તો થાય ને કે સત્તાવાર સુપરવાઇઝર તરીકે પણ હું જ હોઉં.  પણ મમ્મી કહે છે, ‘તું હજુ નાનો છું.’ આ બધી અંગત વાતો હું તમને શા માટે કહી રહ્યો છું, એ તો હું પણ જાણતો નથી. પણ આ બઘું સાંભળીને મને નબળો ન ધારી લેતા. (એક કાગળ કાઢીને) જુઓ, આ કાગળમાં સુપરવિઝન કેવી રીતે કરવું એની કેટલીક સૂચનાઓ મને આપવામાં આવી હતી, પણ હું સ્વતંત્ર મિજાજનો માણસ છું. મારા પણ અભિપ્રાયો હોય છે અને મને આ કાગળ મંજૂર નથી. (કાગળ ફાડીને તેના ટુકડા હવામાં ઉડાડે છે) તમારે કોઇ પણ ડિફિકલ્ટી હોય તો ડૉ.સિંઘ સુધી જવાની જરૂર નથી. હું એના માટે જ બેઠો છું- અને હા, સુપરવાઇઝરો સાથે દલીલબાજીનો શોખ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ.સિંઘનો સંપર્ક કરવો. કારણ કે તેમની પાસે તમારા બધા સવાલોના જવાબ હશે અને એ નહીં હોય તો પણ, તેમના સ્મિતનો ભાસ કરાવતા મૌનમાં તમારા બધા સવાલ શમી જશે.

અમિત શાહ 
હું સુપરવાઇઝર નથી. હું સુપરવાઇઝરોનો સુપરવાઇઝર છું. સુપરવાઇઝરોને ખબર નથી કે એમના અને બીજા દરેક ક્લાસરૂમમાં સીસી ટીવી કેમેરા મૂકેલા છે અને હું એમને ખબર ન પડે એવી રીતે, આખો વખત વિદ્યાર્થીઓનું નહીં, સુપરવાઇઝરોનું મોનિટરિંગ કરતો હોઉં છું. એટલે, અમારા આજ્ઞાંકિત વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની કશી જરૂર નથી. તમે જલસા કરો ને તમારા સુપરવાઇઝરોને ધંધે લગાડો. બાકી બઘું હું જોઇ લઇશ. 

Friday, March 13, 2015

કેટલીક રાજકીય રોજનીશી

બધાને લાગતું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ભવ્ય વિજય તથા બન્ને જગ્યાએ કોગ્રેસના ભવ્ય પરાજય પછી રાજકીય ગતિવિધિ થાળે પડીને ઠરી જશે. કારણ કે જે થયું એનાથી વધારે આત્યંતિક હવે કશું થઇ શકે એમ નથી. પરંતુ છેલ્લા થોડા દિવસમાં જે કંઇ બન્યું એ જોતાં, રાજકારણ ઠરવાને બદલે ઉકળવા લાગ્યું છે. કાશ્મીરમાં ભાજપની સ્થિતિ ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થઇ છે, તો દેશભરમાં ‘આપ’ના કાર્યકરો માટે વિવાહને બદલે વરસીનું વાતાવરણ સર્જાયું. જમીન સંપાદન વિધેયકના મુદ્દે સંસદમાં સરકારને મુશ્કેલીમાં મુકવાની મજબૂત તક હતી, ત્યારે રાહુલ ગાંધી વેકેશન પર ઉતરી ગયા , તો ‘આપ’માં આંતરિક વિખવાદ વખતે અરવિંદ કેજરીવાલ સિક લીવ પર જતા રહ્યા. આ બધાના મનમાં શું ચાલતું હશે? એમની કાલ્પનિક રોજનીશીના કેટલાક અંશ.
***
રાહુલ ગાંધીની ડાયરી 

હું કોણ છું? ક્યાં છું? ક્યારથી છું? જે છું તે કેમ છું? જે નથી તે કેમ નથી? જે નથી તે છું, એવું કેમ લાગે છે? જે છું તે છું જ નહીં, એવું પણ કેમ લાગે છે? આ બધા ગહન સવાલો છે. મારે કોઇ વ્યવસ્થિત માણસને પૂછવા પડશે. દિગ્વિજયસિંઘ? ના...ના... મમ્મી? નો વે... જોકે, આટલું લખ્યા પછી મને લાગે છે કે આ સવાલને વ્યક્તિગત ધોરણે લેવાને બદલે તેને વ્યાપક ફિલોસોફિકલ ઢબે લેવામાં જ દેશનું, પક્ષનું અને ખાસ તો મારું કલ્યાણ છે.

મંગળ ગ્રહની ભૂતકાળમાં નષ્ટ થયેલી જીવસૃષ્ટિ પણ હવે જાણી ચૂકી હશે કે હું વેકેશન પર છું. વેકેશન પર હોવું ગુનો છે? કોંગ્રેસી હોવું ગુનો છે? રાહુલ ગાંધી હોવું ગુનો છે? સૉરી, હું જરા વહી ગયો. પણ એક વાર આવા જ વહેણમાં મેં કોઇને આ સવાલ પૂછી નાખ્યા ત્યારે મને જવાબ મળ્યો હતો, ‘ના, બિલકુલ નહીં. પણ આ બધા પછી દેશના વડાપ્રધાન બનવાનાં સ્વપ્નાં સેવવાં એ ગુનો છે.’ હું પ્રામાણિક છું. અરવિંદ કેજરીવાલ ભલે માને કે આખા જગતમેં તે એક જ પ્રામાણિક છે. હું ખોટું નહીં બોલું. મેં ઇન્ડિયન પીનલ કોડ વાંચ્યો નથી. છતાં મારામાં એટલી (કેટલાક લોકોના મતે, એટલી જ) કૉમન સેન્સ તો (બચી) છે કે વડાપ્રધાન બનવાનાં સ્વપ્નાં જોવાં એ ગુનો નથી, એટલું હું સમજી શકું. હું કંઇ નાનો કીકલો નથી કે આટલુંય ન સમજું. (જે આ વાંચતા હોય, તેમને વિનંતી કે આ અગત્યની માહિતી મારાં મમ્મીને અને તેમના સલાહકારને ખાસ પહોંચાડે.)

તો, હું એમ કહેતો હતો કે હું વેકેશન પર છું અને એની મને શરમ નથી. ભાજપના સ્યુડો-હિંદુત્વની સામે હું નવું સૂત્ર આપવાનો છું, ‘ગર્વસે કહો, હમ વેકેશન પર હૈં.’ મને ખબર છે કે આ સાંભળીને કૉંગ્રેસના જૂના જોગીઓ હસશે. કોઇ તો કહેશે પણ ખરું કે ‘બાબા, આપણે વેકેશન પર શું ઉતરતા હતા? લોકોએ જ આપણને વેકેશન પર ઉતારી દીધા છે. હવે આપણામાંથી ઘણાને ‘વેકેશન’ના નહીં, ‘વૉકેશન’ના પ્રશ્નો થયા છે.’ પરંતુ તમે જાણો છો કે હું કઠણ અને દૃઢનિશ્ચયી માણસ છું. હું આવી ટીકાઓથી ડરવાનો નથી. મેં એક વાર નક્કી કર્યું હતું કે કોંગ્રેસનો કાયાકલ્પ કરીને જ હું જંપીશ. તો જુઓ, એ ઘ્યેયના અડધે રસ્તે તો હું સફળતાપૂર્વક પહોંચી ગયો છું. ફિનિક્સ પક્ષીની વાર્તા જાણતા સૌને ખબર હશે કે નવા અવતાર માટે એક વાર રાખવામાં ફેરવાવું જરૂરી હોય છે. મારે ઘ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે કે આ રાખ કોઇ પોતાના શરીરે ચોળીને, કોઇ સંઘમાં જોડાઇ ન જાય કે નવો સંઘ ઊભો ન કરી નાખે.

અરવિંદ કેજરીવાલની ડાયરી

મૈં તો બહુત છોટ્ટા આદમી હું. મેરી ઔકાત હી ક્યા હૈ. (ખાસ નોંધઃ ‘આપ’ની કારોબારીએ ૧૧ વિરુદ્ધ ૮ મતથી ઠરાવ કરીને નક્કી કર્યું છે કે યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે કરેલી પક્ષની સેવાઓની કદરરૂપે, અરવિંદ કેજરીવાલે અંગત સુવેનિયર તરીકે આ બન્ને સંવાદો પર પોતાનો હક જતો કરવો અને તેના તમામ અધિકાર યાદવ-ભૂષણને એનાયત કરવા. અરવિંદકા ભૂષણ-યાદવસે હો ભાઇચારા, યહી પૈગામ હમારા..)

મારા શુભેચ્છકોએ કહ્યું કે ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ.’ એટલે હું સમજી ગયો. તરત નેચરોપથીમાં પહોંચી ગયો. ત્યાં રોજ મારા માથ પર ‘શિરોધારા’ તરીકે ઓળખાતી પ્રક્રિયા થાય છે, જેમાં મારા માથા પર તેલની ધાર કરવામાં આવે છે. હું ચૂપચાપ, બોલ્યા વિના, રોજ તેલ પણ જોઉં છું ને તેલની ધાર પણ. લોકો કહે છે કે હું ભાગી ગયો. દિલ્હીમાં પહેલી વાર રાજીનામું આપ્યું ત્યારે પણ લોકો આમ જ કહેતા હતા. એટલે મને એ કોઠે પડી ગયું છે.

લોકો કહે છે કે હું મોઢામાં મગ ભરીને બેઠો છું. યોગેન્દ્ર અને પ્રશાંત વિશે કંઇ કહેતો નથી. હું શું બોલું? હું સત્તાને સાધના તરીકે જોઉં છું અને વિપશ્યનાની સાધના કરું છું. વિપશ્યનામાં બોલવાની અમસ્તી પણ મનાઇ હોય છે. તેમાં માણસ આત્મચિંતન કરે છે. ઘણા વખત સુધી મેં દિલ્હીનું મુખ્ય પ્રધાનપદું છોડવા વિશે મૌન રહીને ચિંતન કર્યું. પણ એ મુદ્દો જતો રહ્યા પછી મને ચિંતા થઇ કે હું કયા મુદ્દે આત્મચિંતન કરીશ? પણ હવે યોગેન્દ્ર અને પ્રશાંતનો કિસ્સો બન્યા પછી મારામાં રહેલો સાધકનો આત્મા જાગી ઉઠ્યો છે. તે આત્મચિંતન કરવા તત્પર છે, પણ એક વાર બઘું ઠરે તો ખરું.

દરમિયાન, યોગેન્દ્ર અને પ્રશાંતને પણ હું સલાહ આપું છું કે તે પણ અહીં આવીને તેલ અને તેલની ધાર જોઇ જાય અને ત્યાર પછી જ આગળનું પગલું ભરે. વડાપ્રધાનને વાત કરીને ડિસ્કાઉન્ટનું હું કરાવી દઇશ અને એ બન્નેને કહીશ કે તેમને હાંકી કાઢવાનું પગલું પણ જરા ડિસ્કાઉન્ટ સાથે લે અને મનમાં કડવાશ ન રાખે. રાજકારણમાં આવું બઘું તો ચાલ્યા કરે.

વડાપ્રધાન મોદીની ડાયરી

આ ડાયરી હું સાદાં વસ્ત્રો પહેરીને લખી રહ્યો છું. એ વસ્ત્રો પર મારું તો ઠીક, કંપનીનું નામ પણ લખ્યું નથી. હું સાદગીપ્રિય માણસ છું. મને સાદગી બહુ ગમે છે. સાદગીને બે શીંગડાં હોય છે. તેના વડે વિરોધ કરનારને અડફેટે લઇ શકાય છે ને ઘાયલ પણ કરી શકાય છે. સાદગીને ચાર આંચળ હોય છે. તેને દોહવી હોય એટલી દોહી શકાય છે અને તે પાટું મારતી નથી. સાદગી એક પાળવા જેવું પ્રાણી છે. દરેક રાજનેતાએ તે પાળવું જોઇએ.

ગાંધીજીની રાજકીય સમજ ઓછી. એટલે તેમણે સાદગી રાખી ખરી, પણ પાળવા માટે બકરીને પસંદ કરી. મને ગાંધીજી બહુ ગમે છે. કારણ કે એ કદી વડાપ્રધાન બન્યા નહીં. એટલે મારી ને એમની (હું ન ઇચ્છું ત્યાં સુધી) કદી સરખામણી થઇ શકતી નથી. નેહરુ સાથે મારી સરખામણી થાય એ મને બહુ ગમે છે. નેહરુને કાશ્મીર બહુ ગમતું હતું. મને પણ કાશ્મીર બહુ ગમે છે. એટલે જ, પીડીપી સાથે કાશ્મીરમાં સરકાર બનાવી. પણ... 

Friday, February 20, 2015

પરિવર્તન પછીની પળોજણ

(દૃષ્ટિકોણ-મંગળવાર-૧૭-૨-૧૫)

ગ્લોબલ વૉર્મિંગને કારણે વિશ્વની આબોહવામાં અભૂતપૂર્વ પલટા અનુભવાઇ રહ્યા છે, તો ભારતની રાજકીય આબોહવા પણ અગાઉનાં વર્ષો કે કદાચ બે-ત્રણ દાયકામાં ન જોયેલાં પરિવર્તન આંચકાજનક રીતે દર્શાવી રહી છે.

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપનો સ્પષ્ટ વિજય અને કોંગ્રેસનો સ્પષ્ટ પરાજય  એક એવી ઘટના હતી, જેનાં કારણ અને ખાસ તો, પૂરેપૂરા સૂચિતાર્થો પંડિતો હજુ સમજવા પ્રયાસ કરી રહ્યા છે. (ભક્તોની કે પંડિતભક્તોની વાત નથી.) ‘કોંગ્રેસની બેઠકસંખ્યા સાવ બે આંકડામાં થોડી આવી જાય?’ એવી માન્યતા લોકસભાની ચૂંટણીમાં ઊંધી પડી અને કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેવાયું.

દિલ્હીમાં આંચકાજનક રીતે સત્તા પર આવેલી અને ૪૯ દિવસમાં રાજીનામું આપીને પેવેલિયનભેગી થયેલી ‘આપ’ની સરકારે વિવાદો અને ચર્ચાઓની સાથે ઘણી આશાઓ જગાવી હતી. તેમની કાર્યપદ્ધતિ અથવા કેટલાક નેતાઓની નિવેદનબાજીના પ્રશ્નો હોઇ શકે, પણ (ગુજરાત સહિતની) બીજી, સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકારોએ કર્યું નથી, એટલું કામ ‘આપ’ની દિલ્હી સરકારે ૪૯ દિવસમાં કરી બતાવ્યું હતું. ‘ન્યૂઝલૉન્ડ્રી’ વેબસાઇટ ચલાવતાં વરિષ્ઠ અને નિષ્પક્ષ-કડક પત્રકાર મઘુ ત્રેહને લોકસભાની ચૂંટણીઓ પહેલાં અરવિંદ કેજરીવાલનો ઇન્ટરવ્યુ લીધો, ત્યારે દિલ્હીસ્થિત ત્રેહને ‘આપ’ સરકારની ૪૯ દિવસની કામગીરીને મુક્ત કંઠે પ્રમાણી હતી. પરંતુ ત્યાર પછી શરૂ થયેલા ભાજપના આક્રમક પ્રચારમાં અરવિંદ કેજરીવાલ અને ‘આપ’નો સફાયો થઇ ગયો. કારણ કે દિલ્હી સિવાય બીજે ક્યાંય ‘આપ’નું સંગઠન કે કામગીરી ન હતાં અને દિલ્હીની લોકસભાની બેઠકો પર ‘આપ’ને ચૂંટવાથી કશો દેખીતો ફાયદો ન હતો.

વડાપ્રધાનપદના ઉમેદવાર મોદી પણ એક તરફ લોકોને આઇ-મેક્સ સાઇઝનાં સપનાં દેખાડીને તેમની આકાંક્ષાઓ પર સવાર થઇ રહ્યા હતા, તો બીજી તરફ અમિત શાહને છૂટો દોર આપીને તેમને મોરચા સોંપી દીધા હતા. આ વ્યૂહરચના પ્રમાણે તે વડાપ્રધાન તો બની ગયા, પણ ત્યાર પછી તેમણે ‘ગુજરાત મૉડેલ’ અપનાવ્યું--ગુજરાતની જેમ કેન્દ્રમાં પણ ઇવેન્ટ મેનેજમેન્ટ અને અંગત છબીને હદ બહાર મોટી કરવાની બધી કવાયતો કરી. પોતાની જાતને ‘સામાન્ય ચાવાળા’ તરીકે રજૂ કરનારા અને રાજકીય પંડિતોને પણ તેમની નવી ઓળખથી અભિભૂત કરી જનારા વડાપ્રધાન મોદી કદી ‘કૉમન મેન’ ન જણાયા.  ભપકામાં મહાલતા,  ફેન્સી ડ્રેસમાં સજ્જ થઇને ચોરે ને ચૌટે હોર્ડિંગમાં ઝળકતા, વીવીઆઇપી સંસ્કૃતિની મૂર્તિમંત મિસાલ જેવા મોદીનો ‘ચાવાળા’ તરીકેનો દાવો ચાલી ગયો, એ તેમની પ્રચારઝુંબેશની કરામત હતી કે લોકોની ‘ઉદારતા’, એ જુદો પ્રશ્ન છે, પણ વડાપ્રધાન બન્યા પછી તે પોતાની રૉકસ્ટાર ઇમેજના પ્રેમમાં પડી ગયા.

વિદેશવિજયનો કેફ તેમને એવો ચડ્યો કે સાદો વિવેક ચૂકીને, અમેરિકાના પ્રમુખને પ્રથમ નામથી બોલાવવા સુધી તે ગયા. ઓબામા સાથે અંગત દોસ્તીનો ફુગ્ગો તેમણે બરાબર ફુલાવ્યો, પણ ઓબામાએ ટાંકણી મારીને બધી હવા કાઢી નાખી. છતાં, શોમેનનુ લક્ષણ એ છે કે તે એક શો પૂરી થઇ ગયા પછી, તેનો વિચાર કરવાને બદલે પછીના શોના આયોજનમાં પડી જાય. ખરી કરુણતા તો એ છે કે ‘શોમેન’ અને ‘રૉકસ્ટાર’ જેવાં વિશેષણ રાજકારણમાં પડેલા અને ‘સામાન્ય ચાવાળા’ની ઓળખ વટાવનાર નેતા માટે કોઇ રીતે શોભાસ્પદ ન કહેવાય, એવું ઘણાને સમજાવવું પડે છે. બાકી, ‘અમારા સાહેબ તો રૉકસ્ટાર’ના હરખમાં હિલોળા લેનારા (સંખ્યામાં) ઓછા નથી.

આ જ ભક્તોમાં આશ્ચર્યજનક રીતે સવાલો પૂછનારા જાગ્રત નાગરિકનો આત્મા પ્રવેશ્યો, તેનાં સઘળાં અભિનંદન ‘આપ’ને આપવાં પડે. નક્કર કામગીરીને બદલે ઝાકઝમાળમાં વઘુ ઘ્યાન આપનાર અને કાળાં નાણાં સહિતના બધા વાયદાને વિસારી પાડી દેનાર વડાપ્રધાનને દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ જમીન પર લાવી દીધા. ૭૦માંથી ૬૭ બેઠકો જીતીને ‘આપે’ દિલ્હીમાં ભાજપનું નાક કાપીને હાથમાં આપી દીઘું.

‘આપ’ શું અને કેવું ઉકાળશે, એ તો આવનારા દિવસોમાં ખબર પડશે, પરંતુ હાલના સંજોગોમાં અને તેના ૪૯ દિવસના અનુભવને યાદ રાખતાં અત્યારે તેમની દાનતના ઘણા માર્ક આપવા પડે એમ છે. શપથ લીધા પછી મુખ્ય મંત્રી તરીકેના પહેલા વક્તવ્યમાં કેજરીવાલે પોતાની પહેલી મુદત કરતાં ઘણી વધારે ટાઢકથી અને વ્યવહારુ રીતે વાત કરી. કહ્યું કે પરિવર્તનને સમય લાગશે અને એ ધીમી પણ નક્કર ગતિએ થશે.

મોદીની અવિજેય છબીની અને ભાજપની દિલ્હીમાં ધૂળચટાઇથી હતપ્રભ બનેલા તેમના ભક્તો ઘાંઘા બન્યા. હમણાં સુધી કેજરીવાલ વિશે બેફામ વિશેષણો વાપરનારા અને બીજું તો ઠીક, વાતચીતનો  સાદો વિવેક ચૂકીને કેજરીવાલનાં અપમાન કરનારા અચાનક વિવેક અને ગરીમાની વાતો કરતા થઇ ગયા. નેતા તરીકે નરેન્દ્ર મોદીના પ્રચંડ અહંકારની તથા તેમના દસ લાખ રૂપિયાના કહેવાતા ‘સેલ્ફી સુટ’ની મોટા પાયે ઘુલાઇ થઇ. શરૂઆતમાં તેમની સોશ્યલ મિડીયા ગેંગને શો જવાબ વાળવો તે સૂઝ્‌યું નહીં. ધીમે ધીમે કળ વળ્યા પછી તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે વડાપ્રધાન વિશે એલફેલ લખવું જોઇએ નહીં, વિવેક ચૂકવો જોઇએ નહીં, માપમાં રહેવું જોઇએ. આ બધી એવી શીખામણો હતી, જેની સૌથી વધારે જરૂર ભાજપની સોશ્યલ મિડીયા ટીમને અને તેમના પાયદળને છે.

જરા વધારે કળ વળી એટલે વઘુ એક વાર ‘આપ’ સરકાર વિરુદ્ધ પ્રચારભંભેરણી શરૂ થઇ ગઇ. તેનો દેખાવ એવો હતો કે ‘અમે તો નાગરિક તરીકે ‘આપે’ કરેલા દાવાઓની ચકાસણી કરી રહ્યા છીએ.’   ભક્તસમુદાયમાં કોઇ પણ રાહે નાગરિકભાવના પ્રગટે તે ઇચ્છનીય અને આવકાર્ય છે, પણ આ સમુદાયની નાગરિકભાવના અને ‘સામાન્ય બુદ્ધિ’ ‘આપ’ના દાવા પૂરતી મર્યાદિત હતી. કારણ કે તેમનો અસલી એજેન્ડા ‘નાગરિકભાવના’ નહીં, ‘સાહેબસેવા’ હતો.

વડાપ્રધાને ચૂંટણી પહેલાં છ મહિનામાં સ્વિસ બેન્કમાંથી કાળું નાણું લઇ આવવાનો વાયદો કર્યો હતો ને લોકોના ખાતામાં પંદર-પંદર લાખ રૂપિયા જમા કરવાની વાતો કરી હતી. આવા બાળાગોળીઓ સુખપૂર્વક પી ગયેલા લોકો, જેનું રાજ હજુ શરૂ થયું ન હતું એ ‘આપ’ સરકારના દાવા વિશે આગોતરી શંકાઓ અને ટીકાઓ વીંઝવાનું શરૂ કરી દે, ત્યારે એ જાગૃતિનું લક્ષણ નહીં, પેલી બાળાગોળીની ચાલુ રહેલી અસર કહેવાય. હજારો કરોડના ખર્ચે બુલેટ ટ્રેન ને ૧૦૦ સ્માર્ટ સીટીની વાતો થાય ત્યારે મોર બની થનગાટ કરનારા દિલ્હીમાં વાઇ-ફાઇના અઢીસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટની વિગતો સમજ્યા વગર કે તેની મુદ્દાઆધારિત ટીકા કરવાને બદલે, ‘આપ’ની નવી સરકારને તરંગી તરીકે ખપાવવાનો પ્રયાસ કરે, ત્યારે એવા મોરલાઓને કહેવાનું થાય કે પહેલાં તમારી પૂંઠ સંભાળો.

પક્ષનાં પેઇડ કે અનપેઇડ પ્યાદાં બનવામાં અને જાગ્રત નાગરિક બનવામાં ફરક છે. જાગ્રત નાગરિક સત્તાધીશની સામે, જાણે કૃષ્ણનું વિશ્વસ્વરૂપ પ્રગટ થયું હોય એવી અહોભાવફાટી આંખથી જોઇ રહેતો નથી અને તેમનો પ્રોજેક્ટેડ પ્રતાપ ઓસરી જાય ત્યારે પોતાનો સમભાવ ગુમાવતો નથી. ભારત જેવી લોકશાહીમાં ‘નાગરિક વિરુદ્ધ સરકાર’નું સમીકરણ આદર્શ અને ઇચ્છનીય છે. નરેન્દ્ર મોદીને તક આપો, અરવિંદ કેજરીવાલને તક આપો. ઠીક છે. તક આપી. પણ પછી એ નેતાની દાનત કેવી છે અને તેને આપેલી તકનું શું થયું, એ નક્કી કરતી વખતે મુગ્ધભાવથી બચવું પડે છે.

અરવિંદ કેજરીવાલનો કાર્યકાળ હજુ શરૂ થયો છે. આ વખતે સ્પષ્ટ બહુમતી હોવાથી જનલોકપાલ હોય કે સ્વરાજ ખરડો, તેમને એ પસાર કરવામાં કશી તકલીફ પડવાની નથી. વિપક્ષમાં ભાજપના ફક્ત ત્રણ સભ્યો હોવા છતાં, તેમાંથી એકને વિપક્ષના નેતા બનાવવા જેટલી ખાનદાની ‘આપ’ દાખવશે, તો એકહથ્થુતાના પ્રેમી એવા વડાપ્રધાનને એ પહેલી ટપલી હશે. પરંતુ ‘આપ’નું કામ કેવળ ટપલા મારવાનું નથી. કામ કરવાનું છે અને કેજરીવાલે અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને વધારે પુખ્તતાથી કહ્યું છે કે બઘું રાતોરાત થઇ જાય એવી અપેક્ષા રાખશો નહીં અને કલાકોમાં હિસાબ માગશો નહીં.

વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વિકાસની વાંસળી વગાડતા હતા ત્યારે તેની ધૂનમાં ડોલનારા કેટલાને આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે ગુજરાતની સાચી સ્થિતિ જાણવાની પરવા હતી? અને હજુ પણ સરકારના અત્યંત મહત્ત્વના અને પ્રાથમિક ફરજ જેવા આ બન્ને મુદ્દે ધરાતલની સ્થિતિ કેવી છે, એ જાણવાની તસદી લેવાઇ છે? સરકારનું કામ ફેસ્ટિવલબાજી કરવાનું નથી. નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનું છે- અને નાગરિકોનું કામ ફેસ્ટિવલની ગમે તેટલી સારી ગુણવત્તાથી પ્રભાવિત થઇ જવાને બદલે એ વિચારવાનું છે કે આખરે સરકારે શા માટે ઇવેન્ટ મેેનેજમેન્ટ એજન્સી બનવું જોઇએ? શું શિક્ષણ-આરોગ્યને લગતી તેની પ્રાથમિક જવાબદારીઓ પૂરી થઇ ચૂકી છે?

દિલ્હીમાં ‘આપ’નો વિજય લોકશાહીના નાગરિકપર્વનો નાનો પણ અગત્યનો પ્રારંભ છે. પરંપરાગત રીતે ભેદભાવનો ભોગ બનતા દલિત સમાજથી માંડીને ગરીબીને લીધે દેશના નાગરિક તરીકેના ગૌરવથી વંચિત રહેલા અનેક લોકો સુધી ‘આપે’ હજુ પહોંચવાનું છે અને પોતાની દાનત વાતોનાં વડાં કરીને નહીં, પણ કામ કરીને પુરવાર કરવાની છે. ‘આપ’ની ભવ્ય જીત પછી નાગરિકો ‘આપ’ કે કેજરીવાલના ભક્ત બનવાને બદલે, તેમની પર શત્રુભાવે નહીં પણ નાગરિકભાવે નજર રાખીને, લોકલક્ષી રાજકારણનાં મૂળીયાં ઊંડાં ઉતારવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે. 

Thursday, April 24, 2014

લોકલક્ષી રાજકારણ : વકરો અને નફો

જાણીતી વાર્તા પ્રમાણે, રાજાના દરબારમાં ગુનેગારને સજાના બે વિકલ્પ મળ્યા હતા : પચાસ ફટકા ખાવા અથવા પચાસ ડુંગળી.  ગુનેગાર ફટકા ખાવાનું શરૂ કરે એટલે થોડી વાર પછી એમ થાય કે ‘આના કરતાં ડુંગળી સારી’ અને થોડી ડુંગળી ખાધા પછી રાડ પોકારી જાય એટલે ‘આના કરતાં ફટકા ખાવા સારા’ એવો વિચાર આવે. વાર્તાનો અંત એવો હતો કે ગુનેગાર પચાસ ફટકા પણ ખાય છે ને પચાસ ડુંગળી પણ.

ભારતની લોકશાહીમાં મતદારોની દશા, વાર્તામાં આવતા ગુનેેગાર જેવી લાગે છે. પક્ષીય વફાદારી ધરાવતા લોકો સંમત નહીં થાય, પણ શાસનની બાબતે કોંગ્રેસ-ભાજપ ડુંગળી અને ફટકાની યાદ અપાવે એવા બે ‘વિકલ્પ’ છે. રાજ્યસ્તરે તેમના વિકલ્પ ઉભરતા રહ્યા છે - ક્યારેક સ્થાનિક મુદ્દા, આંદોલન કે રાજકારણના પરિપાક તરીકે, તો ક્યારેક વેરવિખેર રાષ્ટ્રિય મોરચાઓના રહ્યાસહ્યા ટુકડા તરીકે. પરંતુ એ વૈકલ્પિક પક્ષો રાજકારણની દૃષ્ટિએ ‘ડુંગળી-ફટકા પક્ષો’ કરતાં ખાસ જુદા હોતા નથી. કોંગ્રેસ-ભાજપની જેમ એ પણ લોકહિતની ઉપેક્ષા કરીને, મુખ્યત્વે લોકરંજક (પોપ્યુલિસ્ટ) દેખાડાબાજીના જ ખેલ પાડે છે અને વ્યક્તિકેન્દ્રી કે સંકુચિત વિચારધારાકેન્દ્રી બની રહે છે.

ટોળાંને રીઝવે એવાં ભાષણ, નાટકબાજી કે જોણાં કરવાં, રાજ્ય પાસેથી લાભ મેળવી ચૂકેલા-મેળવવા આતુર ઉદ્યોગપતિઓનાં કે પછી રાજ્યનાં નાણાંનો ઘુમાડો કરીને પોતાનો વટ પાડી દેવો, નક્કર કામને બદલે આક્રમક પ્રચાર પર વધારે ઘ્યાન આપવું, ઉત્તરદાયી ન રહેવું- અઘરા સવાલોના જવાબ ન આપવા, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાને બદલે તેનું શક્ય એટલું કેન્દ્રીકરણ કરવું, લોકસેવક હોવાનો દાવો કરતાં કરતાં, લોકશાહી સંસ્થાઓને પંગુ બનાવીને લોકસમ્રાટ બની બેસવું, સેક્યુલરિઝમ કે હિંદુત્વ જેવી લાગણીઓના નામે ચરી ખાવું - આ બધાં લક્ષણો ‘ડુંગળી-ફટકા પક્ષો’ અને તેમના નેતાઓનાં છે.

હમણાં સુધી તેમાંથી કોઇ રાષ્ટ્રિય કે સ્થાનિક પક્ષ બાકાત ન હતો. મોરચા સરકારો ભૂતકાળમાં ઘણી બની હતી, પરંતુ તેમનું રાજકારણ મૂળભૂત રીતે જુદું (લોકલક્ષી કે લોકાભિમુખ) ન હતું. કટોકટી પછી ૧૯૭૭માં રચાયેલી જનતા સરકાર પાસે આપખુદશાહીના વિરોધી અને લોકશાહીને પુષ્ટ કરે એવા રાજકારણની આશા હતી, પરંતુ કોંગ્રેસવિરોધનું દોરડું વિપક્ષી નેતાઓને એક ભારે બાંધવામાં નબળું અને નિષ્ફળ નીવડ્યું. એટલે જનતાપ્રયોગનો કરુણ અંત આવ્યો. સતેનાં વર્ષો પછી- અને લોકાભિમુખ રાજકારણના નામે સદંતર અંધકાર છવાયા પછી કદાચ પહેલી વાર- આમઆદમી પક્ષ થકી ‘ડુંગળી-ફટકા પક્ષો’ના રાજકીય વિકલ્પની - વૈકલ્પિક રાજકારણની આશા ઊભી થઇ છે.

પરિવર્તનનો રસ્તો

મુદ્દો કોઇ રાજકીય પક્ષની તરફેણ કે વિરોધનો નહીં, નાગરિકલક્ષી રાજકારણની તલપનો છે. દાયકાઓથી ભારતના નાગરિકો એક યા બીજા પક્ષ-નેતાની ભક્તિમાં રાચતા આવ્યા છે. સેક્યુલરિઝમ અને હિંદુત્વ, સમાજવાદ અને ઉદારીકરણ - આ બધા પર મૂકેલી આશાઓ છેવટે ઠગારી નીવડી હોવાનું અને બધા છેવટે એકના એક હોવાનું ઘણા નાગરિકોને સમજાયું છે. છતાં, પરિસ્થિતિ સુધરતી નથી, બલ્કે બગડતી જાય છે. કેમ?

લોકલક્ષી રાજકારણમાં જે ‘લોક’ની- એટલે કે નાગરિકોની- વાત છે, તેમના કેટલાક મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે :
૧) તમારી બધી વાત સાચી, પણ હું તો વર્ષોથી કમળને (કે પંજાને) જ મત આપું છું.
૨) એક વાર અમુક નેતા (ભૂતકાળમાં ઇંદિરા કે રાજીવ કે સોનિયા, ભવિષ્યમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી) આવે એટલે જોજો તો ખરા. એ દેશનો ઉદ્ધાર કરી નાખશે. આપણો મત તો એમને જ.
૩) અમે તો અમારા સમાજના (જ્ઞાતિ કે સમુદાયના) ઉમેદવારને જ મત આપવાના. એ જેવો હોય એવો, પણ અમારો તો ખરો.
૪) અત્યાર સુધી બધા આવી ગયા, પણ આપણો દહાડો કોણે વાળ્યો? એટલે તમે કહો તો એને મત આપીએ, પણ અમને શું મળશે? (ઉમેદવારના કે પક્ષના ગુણદોષના આધારે મત આપનાર સંખ્યાત્મક લધુમતીને અહીં બાકાત રાખી છે.)

આ યાદીમાં હજુ બીજા કેટલાક પ્રકાર કે પેટાપ્રકારનો ઉમેરો કરી શકાય, પણ તેમાંથી એકેયમાં લોકોની સામેલગીરી ધરાવતા રાજકારણનો ખ્યાલ નથી. મત આપ્યા પછી ને સરકાર રચાઇ ગયા પછી પોતાની કોઇ ભૂમિકા હોઇ શકે અને નેતાઓ પાસેથી પોતે જવાબ માગી- મેળવી શકે, એવો ખ્યાલ મતદારોના મનમાં ઉગતો જ નથી. તેને મૂળમાંથી બાળી નાખવા માટે અત્યાર લગી રાજકીય પક્ષોએ સતત મહેનત કરી છે અને તેમની મહેનત ફળી છે. એટલે પાંચ વર્ષે એક વાર નમ્રભાવે અને વચ્ચે ક્યારેક મહેમાન કલાકારની છટાથી નેતા મતવિસ્તારમાં આવી જાય, એટલી ‘કૃપા’થી લોકો નભાવી લે છે. અપેક્ષા દિવસે દિવસે ઓછી થતી જાય એટલે રાજકારણીઓ સામેનો કચવાટ-કકળાટ ચાલ્યા કરે, પણ ચૂંટણી વખતે મતદાનને પવિત્ર ફરજ સમજીને, આગળ જણાવેલા કોઇ પ્રકારને અનુસરીને મત આપી દેવાય છે.

આ પ્રકારની અંધકારમય ‘વ્યવસ્થા’ની આદત પડી ચૂકી હોય ત્યારે તેમાં ચકમકથી જ્યોત જલાવવાના પ્રયાસ ‘અરાજકતા’ લાગી શકે છે. એ રીતે અરવિંદ કેજરીવાલને અને તેમના રાજકારણને ‘અરાજકતાવાદી’ ગણવાં હોય તો ગણી શકાય. સવાલ એ છે કે કેજરીવાલ અને તેમના રાજકારણને સતત, નાનામાં નાના મુદ્દે ઉતારી પાડવાના પ્રયાસ શા માટે થાય છે? મુદ્દાની હળવી, ભારે કે પરચૂરણ ગંભીરતા વિશે જોયા-વિચાર્યા વિના, પહેલી તકે સોશ્યલ નેટવર્કિંગ કે ટીવી ચેનલો પર કેજરીવાલને ઝૂડવા બેસી જાય છે, એ લોકો કોણ છે? તેમાંથી કેટલા ભાજપ-કોંગ્રેસના વફાદારો છે? કેટલા પોતાનાં આર્થિક કે મનોવૈજ્ઞાનિક કારણોસર કેજરીવાલના ભીંતભૂલ્યા ટીકાકાર બની ગયા છે? અને કેટલા લોકો અગાઉના નેતાઓના વરવા અનુભવો પરથી કેજરીવાલને શંકાની નજરે જુએ છે અને તેમના પ્રકારના - એટલે કે નાગરિકલક્ષી- રાજકારણને સરખી તક આપવા તૈયાર નથી? આ સૌએ વિચારવાનું છે.

કેજરીવાલનાં કેટલાંક પગલાં વિશે મતભેદ હોઇ શકે, ‘આપ’ દ્વારા પસંદ કરાયેલા કેટલાક ઉમેદવારો સામે વાંધો લઇ શકાય, ‘આપ’ પાસેથી કેટલાક મુદ્દે વઘુ સ્પષ્ટતાની અપેક્ષા હોય, પરંતુ પક્ષના મુખ્ય સૂત્રધારો એવા કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવની દાનતમાં ખોટ દેખાઇ નથી. તેમનો-‘આપ’નો ઇરાદો બને એટલા વધારે પ્રમાણમાં મતદારોની-નાગરિકોની સામેલગીરીનો હોય એવું લાગ્યું છે. સાથોસાથ ભૂલો સ્વીકારવાની તેમની તૈયારી પણ દેખાઇ છે. પરિવર્તનના રાજકારણમાં સૌથી પાયાની કહેવાય એવી આ બન્ને જરૂરિયાતો બીજો કયો રાજકીય પક્ષ સંતોષે છે?

પણ એના કરતાં વધારે પ્રાથમિક સવાલ છે : નાગરિકોને- એટલે કે આપણને- લક્ષમાં લેતી, વીવીઆઇપી બની ગયા વિના આપણી વાત સાંભળવા તૈયાર અને સવાલોના જવાબ આપે એવી નેતાગીરી આપણે જોઇએ છે? કે પછી કોઇ આવીને આપણો ઉદ્ધાર કરી જશે, એ આશામાં છેતરાતા રહેવું આપણને વધારે પસંદ છે? રાજકારણના ત્રાજવાનું પલ્લું સહેજસાજ નાગરિકો તરફ નમી શકે એવી સંભાવના ઊભી થઇ હોય ત્યારે તેનો શક્ય એટલો કસ કાઢવો છે? કે પછી જેમ છે તેમ જ ધકાવ્યે રાખવું છે.

વફાદારી નહીં, ફરજ

કેટલાક લોકો ઠાવકું મોં રાખીને કહે છે, ‘જુઓ, અમને કેજરીવાલ સામે વાંધો નથી. પણ એમને થોડા ટાઇમની જરૂર છે. અમસ્તી પણ આ વખતે એમની સરકાર બનવાની નથી. તો પછી નકામો મત શા માટે બગાડવો? એના કરતાં મોદીને મત આપો. એ યોગ્ય ઉમેદવાર છે.’ બીજા કેટલાક આ જ તર્ક મૂકીને કહે છે, ‘આપ’ને મત આપવાથી મોદીવિરોધી મત બગડશે. એના કરતાં કોંગ્રેસને જ મત આપો.

‘વ્યવહારુ ડહાપણ’ના નામે રજૂ કરાતી આ દલીલ કુતર્કનો ઉત્તમ નમૂનો છે. કારણ કે દેખીતી રીતે તર્કબદ્ધ લાગતી આ વાત કરનારા પહેલા પગથીયે જ ગોથું ખાય છે. જાગ્રત નાગરિકો માટે સવાલ ‘આપ’ની સરકાર બનશે કે નહીં, એ નથી. (અત્યાર સુધી) કેજરીવાલ લોકલક્ષી રાજકારણનું પ્રતિનિધિત્વ કરે છે. લોકલક્ષી રાજકારણનો પાયો મજબૂત બનશે, તો વડાપ્રધાન ગમે તે થાય, તેમની સરકાર પર નાગરિકોનું- તેમના ખરા પ્રતિનિધિઓનું દબાણ રહેશે અને તે બેફામ બનતા અટકશે. પરંતુ લોકલક્ષી રાજકારણનું થોડુંઘણું બળ પણ ઊભું નહીં થાય, તો પછી વડાપ્રધાન ગમે તે બને, મૂળભૂત રાજકારણમાં કશો ફરક નહીં પડે.

પક્ષીય કે વ્યક્તિગત વફાદારી માનસિક ગુલામીનું લક્ષણ છે. એવી ‘વફાદારી’ કેજરીવાલ કે ‘આપ’ પ્રત્યે પણ ન હોવી જોઇએ.  મહત્ત્વ ‘આપ’નું નહીં, તેના દ્વારા પ્રગટાવાયેલી નાગરિકલક્ષી રાજકારણની ચિનગારીનું છે. એ બુઝાવી ન જોઇએ. ‘આપ’નો વિરોધ થઇ જ શકે, પરંતુ કોંગ્રેસ-ભાજપના ખોળે બેસી ગયા વિના. જાગ્રત નાગરિકો માટે ‘આપ’ માત્ર સાધન છે. અસલી ઘ્યેય નાગરિકોની સામેલગીરીના રાજકારણનો શક્ય એટલો વિસ્તાર કરવાનું છે. કાલે બીજો કોઇ પક્ષ કેજરીવાલ-યોગેન્દ્ર યાદવ જેવા નેતાઓ સાથે ચોખ્ખી દાનત અને લોકસામેલગીરીની વાત લઇને આવે તો જાગ્રત નાગરિકોએ એ પક્ષને પણ ટેકો આપવો જોઇએ.

અત્યાર લગી ‘લેસર એવિલ’ (ઓછા અનિષ્ટ) પક્ષની પસંદગી કરીને થાકેલા નાગરિકોનું વાંકદેખાપણું સમજાય છે. છતાં અનિષ્ટ સિવાયની પસંદગી ઉપલબ્ધ બને ત્યારે એને પસંદ કરવા જેટલી સૂઝ પણ નાગરિકોએ બતાવવી રહી. 

Wednesday, April 16, 2014

ભારત વિશે કેટલાક નિબંધ

અંગ્રેજી પુસ્તકોમાં ‘આઇડીયા ઑફ ઇન્ડિયા’ની ઘણી ચર્ચા કરવામાં આવે છે, પણ આપણા ઘણાખરા નેતાઓની ક્ષમતાને ઘ્યાનમાં રાખતાં એવું અઘરું કામ તો તેમને સોંપાય નહીં. તો પછી, દસમા-બારમા ધોરણના પેપરમાં પુછાતા નિબંધની શૈલીમાં તેમન ભારત વિશે એક નિબંધ લખવાનો કહ્યો હોય તો? કેટલાક કાલ્પનિક નમૂના.
***

નરેન્દ્ર મોદીનો નિબંધ

મિત્રો, ભારત મારો દેશ છે. અહીં ‘મારો’ શબ્દ પર ભાર મૂકીને વાંચવું. કારણ કે ટૂંક સમયમાં હું આ દેશનો વડાપ્રધાન બનવાનો છું. અત્યારે તો હું આ દેશનો મુખ્ય મંત્રી છું.

કોઇને થશે કે દેશનો મુખ્ય મંત્રી કેવી રીતે હોઇ શકે? નાગરિકશાસ્ત્ર પ્રમાણે એ શક્ય નથી. કારણ કે તેમાં લખ્યું છે કે દેશના તો વડાપ્રધાન જ હોય. પણ મિત્રો, મારા ટીકાકારો માને છે કે હું નાગરિકશાસ્ત્રમાં માનતો નથી. આવો પ્રચાર ગુજરાતને - અને થોડા સમય પછી હું વડાપ્રધાન બનીશ તો દેશને- બદનામ કરવાનું કાવતરું છે. (આગળના વાક્યમાં ‘તો’ લખાયું હોય, તો એ પણ દેશને બદનામ કરવાનું દેશવિરોધી તત્ત્વોનું કાવતરું છે. વડાપ્રધાન બનવા જેવી બાબતમાં હું ‘તો’ લખતો હોઇશ? મેં તો લખ્યું હતું, ‘હું વડાપ્રધાન બનીશ ત્યારે’.)

તો મિત્રો, હું નાગરિકશાસ્ત્રમાં માનું કે ન માનું, પણ વડાપ્રધાનપદમાં માનું છું. હમણાંથી નહીં, મુખ્ય મંત્રી હતો ત્યારથી વડાપ્રધાનપદમાં માનું છું. મુખ્ય મંત્રી તરીકે મેં આપેલાં ભાષણ લાલ કિલ્લા પરથી અપાયેલાં ભાષણને હંફાવે એવાં હતાં. એક વાર તો મેં લાલ કિલ્લાનો સેટ ઊભો કરાવીને તેની પરથી મુખ્ય મંત્રી તરીકે ભાષણ આપ્યું હતું અને પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા હતા.  બોલો, હવે હું દેશનો મુખ્ય મંત્રી ખરો કે નહીં?

આ દેશ મને બહુ વહાલો છે. કેટલો વહાલો છે એનું માપ તો કેવી રીતે બતાવવું? પણ એના વડાપ્રધાનપદ માટે મેં અત્યાર સુધી જેટલા પ્રયાસ અને જેટલો ખર્ચ કર્યા છે, જેટલી કુરબાનીઓ આપી છે અને જેટલાં યુદ્ધ લડ્યો છું, એની પરથી મારો દેશપ્રેમ કોઇ પણ માણસ નક્કી કરી શકે છે- જો એ દંભી સ્યુડો સેક્યુલરિસ્ટ દેશદ્રોહી ન હોય તો. દંભીઓ કહે છે કે મેં કુરબાનીઓ આપી નથી, લીધી છે. પણ મેં પહેલાં જ કહ્યું હતું- અને ન કહ્યું હોય તો હવે કહી દઉં- કે મારા માટે દેશહિત સર્વોપરી છે અને દેશહિત તો જ સાધી શકાય, જો હું વડાપ્રધાન બનું.

મિત્રો, હું એ જ પવિત્ર દેશનો વડાપ્રધાન બનવાનો છું, જ્યાં શ્રીરામની જન્મભૂમિ આવેલી છે. તેણે મારી જ નહીં, લાખો દેશવાસીઓની અને ખાસ તો મારા પક્ષની શ્રદ્ધા પોષી છે. કઇ શ્રદ્ધા તેની વિગતમાં પડવાની જરૂર નથી. એ તો જેવી જેની શ્રદ્ધા. પણ એટલું કહીશ કે મારી શ્રદ્ધા ફળી છે. એટલે ભારતના બંધારણની હદમાં રહીને બોલો, જય શ્રી રામ.

હું જે દેશનો મુખ્ય મંત્રી છું અને ટૂંક સમયમાં જેનો વડાપ્રધાન થવાનો છું, એ દેશની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કોમી હુલ્લડોમાં મરે છે કોઇક ને ફાયદો કોઇકને થાય છે. કોમી હિંસામાં રાજકર્તાઓને કદી નુકસાન થતું નથી. અદાલતો તેમનું કશું બગાડી લેતી નથી. તપાસસમિતિઓ પહેલી નજરે ગાળિયા લઇને ઊભેલી લાગે, પણ પછી નેતા નજીક જાય એટલે તે ગાળિયો ભીંસવાને બદલે પહોળો કરીને તેમને આખેઆખા અંદરથી પસાર થઇ જવા દે છે અને નેતા પ્રતાપી હોય તો એ ગાળિયો ક્યારે ફૂલનો હાર બની જાય એની પણ ખબર પડતી નથી.

તમને થશે કે મને આ બધી ક્યાંથી ખબર? પણ બઘું થોડું લખાય છે? બોલો, ભારતમાતાકી...જય.

રાહુલ ગાંધીનો નિબંધ

ભારત મારો દેશ છે. બધાં ભારતીયો મારાં ભાઇબહેન છે. (હું કુંવારો છું તેને આ બાબત સાથે કશો સંબંધ નથી.) આ મહાન દેશ પર સદીઓથી મારા વડવાઓ રાજ કરતા રહ્યા છે. હું તેમનો વંશજ છું અને મારો વારો આવે એની રાહ જોઉં છું. હા, આ મહાન દેશ પર રાજ કરવા માટે પહેલાંના વખતમાં ખૂનખાર યુદ્ધ ખેલવાં પડતાં હતાં. હવે ફક્ત રાહ જોવાનું પૂરતું છે. ખાસ કરીને મારા જેવા, મોઢામાં અને આસપાસ ચાંદીના ચમચા લઇને જન્મેલા માણસ માટે.

આ દેશમાં કુતુબમિનાર અને તાજમહાલ આવેલો છે. ગંગા અને જમુના નદી આવેલી છે. હિમાલય આવેલો છે- અને એટલું કહી દઉં કે એમાં નરેન્દ્ર મોદીનો કોઇ ફાળો નથી. (આ તો કદાચ એ વડાપ્રધાન બની જાય અને પછી આવો કોઇ દાવો કરવા લાગે, તો પહેલેથી કહી રાખ્યું.) આ દેશ ગોળ નથી, પણ મને તે ઘણી વાર મારી આસપાસ ગોળ ગોળ ફરતો લાગે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની ચૂંટણીમાં મેં મોટા ઉપાડે નેતાગીરી લીધી હોય અને પછી પક્ષ હારી જાય ત્યારે ખાસ એવું લાગે છે. પણ એમાં દેશનો વાંક નથી.

ભારતને મેં અનેક સ્વરૂપે જોયો છે. ટીવી પર જોયો છે, ઇન્ટરનેટ પર જોયો છે, પુસ્તકોમાં જોયો છે ને અખબારોમાં પણ જોયો છે. પછી મમ્મીના કહેવાથી હેલિકોપ્ટરમાં ફરીને પણ જોયો છે ને ગાડીમાં બેસીને પણ જોયો છે. ફાઇવસ્ટાર હોટેલમાંથી પણ જોયો છે અને દલિતની ઝૂંપડીમાંથી પણ જોયો છે. આખરે મને એટલું સમજાયું છે કે...આજે નહીં તો કાલે આ દેશ પર રાજ કરવામાં ખાસ વાંધો નહીં આવે. કારણ કે અહીંના લોકોમાંથી રાજાશાહીના વખતના સંસ્કાર હજુ ગયા નથી.

આ દેશની વાત કરીએ અને તેના સંસ્કાર-તેની પરંપરાની વાત ન કરીએ, તે કેમ ચાલે? આ દેશ પરિવારભાવનાથી છલકાતો છે. કુટુંબ દેશના કેન્દ્રસ્થાને છે. કુટુંબના વડાની સૌ કોઇ આમન્યા રાખે છે. કુટુંબના વડાના ગુણદોષ જોયા વિના કે તેમની વાતની ખરાઇની પંચાત કર્યા વિના, તેમની આજ્ઞાઓનું પાલન થાય છે. ઇકબાલે કહ્યું છે કે ‘કુછ બાત હૈ કિ હસ્તી મીટતી નહીં હમારી’ (એક ગાઇડે મને કહ્યું હતું કે નિબંધમાં એકાદ કાવ્યપંકિત નાખવી). મને તો લાગે છે કે દેશની હસ્તી કુટુંબભાવનાને કારણે જ ટકી રહી છે. કુટુંબ ભારતીય સંસ્કારની ધરી અને ભારતીય સભ્યતાનું કેન્દ્રબિંદુ છે. હું સૌને ચેતવવા માગું છું કે કુટુંબ વેરવિખેર થશે તો આ દેશ સલામત નહીં રહે.

હું કયા કુટુંબની વાત કરું છું, એ કહેવાની જરૂર છે?

અરવિંદ કેજરીવાલનો નિબંધ

મૈં તો બ્હોત છોટ્ટા આદમી હું, લેકિન યે દેશ બ્હોત બડા હૈ.  આ દેશ કેવો છે એ હું તમને નહીં કહું. મારા પક્ષનો કોઇ માણસ નહીં કહે. એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે દેશ મારો એકલાનો નથી, દેશ આપણા બધાનો છે. એ કેવો છે ને કેવો બનાાવવો છે, એ પણ આપણે બધાએ નક્કી કરવાનું છે. આ દેશ ગાંધીની ભૂમિ તરીકે ઓળખાશે કે અંબાણી-અદાણીની ભૂમિ તરીકે, એ પણ તમારે નક્કી કરવાનું છે. આ દેશ આદર્શ કૌભાંડોથી ઓળખાશે કે આદર્શ માટે થતા આંદોલનથી એ પણ તમારે નક્કી કરવાનું છે. એટલે આ નિબંધ તમે જાતે જ લખજો અને જાતે જ એના માર્ક આપજો. મૈં તો બ્હોત છોટ્ટા આદમી હું, લેકિન યે દેશ બ્હોત બડા હૈ.  

Tuesday, April 08, 2014

કેટલીક ચૂંટણીલક્ષી ગેરમાન્યતાઓ

વાંક મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓનો નથી. એમનો (હવે  સર્વસ્વીકૃત) ધંધો છે લોકોને છેતરવાનો. ચૂંટણીટાણે તો ખાસ. કમનસીબી એ છે કે તેમની ભ્રમજાળમાં ફસાવા મોટો વર્ગ આતુર, ઉત્સુક અને થનગનતો હોય છે. નેતાશ્રી ખોંખારીને દિવસને રાત કહે, તો એ વર્ગ તેમની મર્દાનગી પર મુગ્ધ થઇને તારા ગણવા મંડી પડે છે. નેતાશ્રી કહે કે ‘હું જ ઉદ્ધારક છું. મારો કોઇ વિકલ્પ નથી.’ એટલે ભાવિક વર્ગ ડાયરામાં ડોલતા ઑડિયન્સની પેઠે ‘હા, બાપલા, હા’ની મુદ્રામાં ડોકાં ઘુણાવવા લાગે છે.

લોકશાહીમાં મૂર્ખ બનવાનો હક સૌને મળેલોે છે, પણ મૂર્ખ બનાવવાનો અધિકાર હોતો નથી. ભક્તહૃદયી લોકો ઠીક પડે તેને ઉદ્ધારક ગણી શકે છે, તેના નામના ‘ચાલીસા’ કે (કેટલાક નેતાઓનાં લક્ષણ જોતાં) ચારસોવીસા ગાઇ શકે છે. પરંતુ ‘ચાલીસા’ને વાસ્તવિકતા તરીકે રજૂ કરવામાં આવે, ત્યારે નક્કર હકીકતો સ્થાપિત કરવાનું જરૂરી બની જાય છે.

દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ કેટલાક ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. તેના વિશે સિદ્ધાંતચર્ચાને બદલે નક્કર હકીકતોની મદદથી સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કરીએ.

ગેરમાન્યતા : દેશહિત માટે નરેન્દ્ર મોદી સિવાય કોઇ વિકલ્પ નથી

પહેલાં થોડો ઇતિહાસ. આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન અને ત્યાર પહેલાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે જવાહરલાલ નેહરુની દેશને એવી ટેવ પડી ગઇ હતી કે ‘નેહરુ પછી કોણ?’ એવો પ્રશ્ન ચિંતાતુર થઇને પૂછવાની ફેશન હતી. નેહરુ જેવી આંતરરાષ્ટ્રિય પ્રતિભાનો કોઇ વિકલ્પ ન હોઇ શકે - તેમના વિના દેશનું શું થશે, એવું બધાને લાગતું હતું. સનેહરુના અવસાન પછી વડાપ્રધાન બનેલા લાલબહાદુર શાસ્ત્રીએ કશા બૂમબરાડા વગર કે છપ્પનની છાતીનાં ભાષણ આપ્યા વિના, પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે દેશને અસરકારક નેતાગીરી પૂરી પાડી. એ વખતે ‘નેહરુ પછી કોણ?’નો સવાલ કોને યાદ આવ્યો હશે? કોઇને નેહરુ યાદ આવ્યા પણ હશે તો કદાચ એ રીતે કે ‘આવું તો નેહરુ પણ ન કરી શક્યા હોત.’

બીજું ઉદાહરણ ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવનું છે. રાજીવ ગાંધીના મૃત્યુ પછી ગાંધીપરિવારઆશ્રિત કોંગ્રેસમાં નેતાગીરીનો શૂન્યાવકાશ સર્જાયો. પતિના કરુણ મૃત્યુ પછી શોકભવનમાં જતાં રહેલાં સોનિયા ગાંધીએ રાજકારણમાં પ્રવેશનો સાફ ઇન્કાર કર્યો. એ વખતે કોણે કલ્પ્યું હશે કે પી.વી.નરસિંહરાવ જેવા બિનગાંધી અને લો પ્રોફાઇલ નેતા વડાપ્રધાન તરીકેનો વિકલ્પ હોઇ શકે છે? અને વડાપ્રધાન બન્યા પછી તે કેવળ ટાઇમ પાસ કરવાને બદલે, આર્થિક પરિવર્તનના નવા યુગના મંડાણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે? છતાં, એ બન્યું અને આઝાદ ભારતના ઇતિહાસમાં નરસિંહરાવનું નામ અમીટ રીતે અંકાઇ ગયું.

ભાજપની વાત કરીએ તો, તેની લોકસભામાં બે બેઠકથી સરકાર રચવા સુધી મજલમાં અનેક નેતાઓનો ફાળો હતો. ભાજપમાં વાજપેયી સક્રિય હતા ત્યારે એવું લાગતું હતું કે તેમનો કોઇ વિકલ્પ નથી. એવી જ રીતે, પ્રમોદ મહાજન જીવીત હતા ત્યારે નવી પેઢીના અને રાજકારણના ખેલ ખેલી જાણતા નેતા તરીકે એ પણ નિર્વિકલ્પ લાગતા હતા.

સાર એટલો કે રાજકારણમાં ‘ફલાણાનો વિકલ્પ નથી’ કે ‘ઢીકણા વિના ચાલે એમ જ નથી’- એવી માન્યતાઓ સાચી હોતી નથી. ઘણુંખરું સંબંધિત પક્ષ કે નેતાઓનાં પ્રચારયંત્રો ગોબેલ્સ-ઝુંબેશથી એવી છાપ ઊભી કરે છે. લોકોનો મોટો સમુદાય એ વાત માનવા માંડે એટલે પ્રચારપુરૂષે પોતાના પ્રચાર માટે- કહો કે, ‘નિર્વિકલ્પ’ બનવા માટે- ખર્ચેલા અઢળક નાણાં અને કરેલા માર્કેટિંગના પ્રયાસ સફળ.

આટલું વાંચ્યા પછી પણ જેમના મનમાંથી એવો અવાજ ઉઠે કેે, ‘બધી વાત બરાબર, પણ નરેન્દ્ર મોદીનો કોઇ વિકલ્પ ક્યાં છે? હોય તો બતાવો’ તો એમના સવાલનો કોઇ જવાબ નથી.

(આખું રામાયણ પૂરું થયા પછી) ‘હરણની સીતા થઇ કે નહીં?’ એવા સવાલનો શો જવાબ હોય?

ગેરમાન્યતા : તરફી કે વિરોધી મોજું રાષ્ટ્રવ્યાપી હોય છે

ચૂંટણી જેવી બાબતમાં ભૂતકાળની વિગતોના આધારે ભવિષ્યની આગાહી કરવાનું બિલકુલ સલાહભરેલું નથી. સાથોસાથ, ભૂતકાળની ચૂંટણીઓના અભ્યાસ થકી મળતી માહિતી દેશનો એકંદર રાજકીય પ્રવાહ સમજવામાં કામ લાગી શકે છે- ભારત જેવા વૈવિઘ્યપૂર્ણ દેશમાં ‘દેશવ્યાપી’ જેવા શબ્દ છૂટથી ફેંકાતા હોય ત્યારે તો ખાસ.

‘વ્હાય વેવ ડોન્ડ મેટર’ એ મથાળા સાથે પ્રવીણ ચક્રવર્તીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨-૪-૦૪)માં રસપ્રદ માહિતી આપી છે. તેમણે ૧૯૭૭થી શરૂ કરીને પાંચ કથિત ‘ચૂંટણી-મોજાં’ની અસરોનો અભ્યાસ કર્યો છે : ૧૯૭૭માં કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી, લોકદળતરફી) મોજું, ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસતરફી સહાનુભૂતિનું મોજું, ૧૯૮૯માં બોફર્સકાંડ જાહેર થયા પછી ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી, મોરચાતરફી) મોજું, ૧૯૯૯માં તેર મહિનાની સરકાર ચલાવનારા વાજપેયીને કારણે ભાજપતરફી મોજું અને ૨૦૦૪માં ‘ઇન્ડિયા શાઇનિંગ’ ઝુંબેશ થકી ઊભું થયેલું ભાજપતરફી મોજું.

લોકસભાની ૮૦ ટકાથી વઘુ બેઠકો દેશનાં બાર રાજ્યોમાં છે. એટલે પ્રવીણ ચક્રવર્તીએ એ રાજ્યોનાં પરિણામ પર ‘મોજાં’ની અસરના આંકડા તપાસ્યા. તેમાંથી જાણવા મળ્યું કે દેશવ્યાપી તીવ્રતા ધરાવતું કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું હોય કે પછી બોફર્સમુદે પેદા થયેલું મનાતું ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું, દક્ષિણ ભારતનાં રાજ્યોમાં અને બંગાળમાં ચૂંટણી માટે સ્થાનિક મુદ્દા જ મહત્ત્વના પુરવાર થયા છે. ત્યાં મતદાન પણ એ પ્રમાણે જ થયું છે. ઇંદિરા ગાંધીની હત્યા જેવા બિનરાજકીય-લાગણીભીના મુદ્દાને ગણતરીમાં ન લઇએ તો, કટોકટી પછીનું કોંગ્રેસવિરોધી મોજું સૌથી શક્તિશાળી હતું. કેમ કે, આખા દેશમાં લોકોના નાગરિક અધિકાર છીનવાયા હતા. તેનાથી વધારે મજબૂત મુદ્દો બીજો કયો હોય? છતાં, કટોકટી પછી થયેલી ૧૯૭૭ની ચૂંટણીમાં ૧૨ મોટાં રાજ્યોમાંથી પાંચ રાજ્યોમાં કોંગ્રેસની જીત થઇ હતી. આ રાજ્યો હતાં : તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર.

અભ્યાસનું એક તારણ એ પણ નીકળ્યું કે પ્રસાર માઘ્યમોમાં રાષ્ટ્રિય સ્તરના મોજાની ગમે તેટલી વાતો ચાલતી હોય, પણ આગળ જણાવેલાં બધાં મોજાં વખતે તામિલનાડુ, આંધ્ર, કર્ણાટક, કેરળ અને બંગાળ જેવાં (લોકસભાની ૩૧ ટકા બેઠકો ધરાવતાં) રાજ્યો જાણે જુદા પ્રદેશો હોય એવી રીતે જ વર્ત્યાં હતાં. એ રાજ્યોમાં ‘રાષ્ટ્રિય’ મોજાની અસર જોવા મળી ન હતી. સ્થાનિક પક્ષો અને તેમને લગતા મુદ્દા ત્યાં સૌથી અગત્યના બન્યા. એટલે જ, કોંગ્રેસ-ભાજપ જેવા સત્તાવાર રીતે રાષ્ટ્રિય કહેવાતા પક્ષોને દક્ષિણ ભારતમાં કાયમી થાણું જમાવવાનું કઠણ પડે છે અને સ્થાનિક પક્ષો સાથે ઘરઘર રમીને ગાડું ગબડાવવું પડે છે.

ગેરમાન્યતા : અરવિંદ કેજરીવાલ ભરોસાપાત્ર નથી

રાજકારણના પ્રકારનો મોટો ભેદ ખરો, છતાં બીજા પક્ષો કે નેતાઓની જેમ અરવિંદ કેજરીવાલ અને આમઆદમી પક્ષ પ્રશ્નોથી કે ટીકાઓથી પર નથી. હોવા પણ ન જોઇએ. હોઇ શકે પણ નહીં. એટલું ખરું કે ટીકા કરનારાએ પહેલાં પોતાનું ધોરણ જાહેર કરવું પડે - અને એ જ ધોરણ બાકીના નેતાઓને-પક્ષોને પણ લાગુ પાડવું પડે.

કેજરીવાલની વર્તણૂંકને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોતા લોકો નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે આંખે પાટા બાંધીને પછી દલીલ કરે છે કે ‘તમે જ કહો, અમે મોદીને નહીં તો બીજા કોને મત આપીએ? કેજરીવાલને? એ માણસનું કશું ઠેકાણું નથી. દિલ્હીમાં લોકોએ સરકાર ચલાવવાની તક આપી, ત્યારે તો એ સરકાર ચલાવી શક્યા નહીં.’

મત કોને આપવો એ પોતાની મુન્સફીની વાત છે. પણ હકીકતની વાત કરીએ તો, દિલ્હીના મતદારોએ સૌથી વઘુ બેઠકો - એટલે કે સરકાર ચલાવવાની તક - ભાજપને આપી હતી. ભાજપે સિદ્ધાંતના બુરખા તળે રાજકીય સ્વાર્થ સાધવા માટે ચાલબાજી કરી. કહ્યું કે ‘અમારી પાસે સ્પષ્ટ બહુમતી નથી. એટલે અમે સરકાર બનાવીશું નહીં.’ ભાજપની કુટિલ ગણતરી એવી હશે કે પોતે સરકાર બનાવે નહીં અને કેજરીવાલ કદી કોંગ્રેસનો ટેકો લેશે નહીં. એટલે ડેડલૉક સર્જાશે અને નવેસરથી ચૂંટણી કરવાનો વારો આવશે. એવું થાય એટલે ‘જુઓ, જુઓ, કેજરીવાલ સરકાર ચલાવવાથી ભાગે છે’ એવું બૂમરાણ મચાવીને તેમના પ્રભાવને ઉગતો દાબી શકાશે.

ભાજપની અપેક્ષાબહાર કેજરીવાલે સરકાર બનાવી. એટલે ટીકાકારોએ દાવ બદલ્યો. એ કહેવા લાગ્યા, ‘જુઓ, જુઓ, આ માણસે કોંગ્રેસનો ટેકાથી સરકાર બનાવી.’ હકીકત એ હતી કે ભારતના રાજકારણમાં પહેલી વાર સરકાર રચનાર પક્ષે શરતો મૂકી હતી અને ટેકો આપનારે નીચી મૂંડીએ શરતોનું પાલન કરવાનું કબૂલ્યું હતું. બીજી હકીકત એ હતી કે ‘આપ’ સરકારને પાડવા માટે કોંગ્રેસ અને ભાજપ મળી ગયાં હતાં. એ લોકો પોતાની સગવડે, વ્યૂહાત્મક સમયે ચાદર ખેંચી લે અથવા વિધાનસભામાં ડગલે ને પગલે અવરોધો ઊભા કરીને સરકારને નકામી-અળખામણી બનાવી મૂકે એ ચાલબાજીનું બીજું પગથીયું હતું. પરંતુ પહેલી ફૂંક કેજરીવાલે મારી. લોકપાલ જેવા વાજબી મુદ્દે કોંગ્રેસ-ભાજપની મેળાપી અસહકારના વિરોધમાં રાજીનામું આપી દીઘું.

‘આપ’ને ગાળો આપવાથી તબિયત સારી રહેતી હોય તો જુદી વાત છે. બાકી, હકીકતની વાત કરવી હોય તો, ૪૯ દિવસના ટૂંકા ગાળામાં ‘આપ’ની સરકારે જેવું અને જેટલું કામ કર્યું તે અરવિંદ કેજરીવાલને બીજા કોઇ પણ વર્તમાન નેતા કરતાં વધારે ભરોસાપાત્ર અને કાર્યક્ષમ ઠેરવે એવું છે. આ કામની યાદી ઇન્ટરનેટ પર સહેલાઇથી મળી શકે છે, પણ એ ધરાર ઘ્યાને ન લેવી હોય તો શું થઇ શકે?

Friday, March 28, 2014

ચૂંટણીડાયરીનાં પાનાં

ઉનાળાની અને લોકસભાની ચૂંટણીની ગરમીમાં તાપ અને અસલામતીથી પરસેવે રેબઝેબ થતા નેતાઓ કમ સે કમ એક બાબતમાં- ડાયરી લખવામાં- પ્રામાણિક હોય તો કેવાં લખાણ વાંચવા મળે?
***

સોનિયા ગાંધીની ડાયરી 

આજે જાગવામાં બહુ મોડું થયું. ઘણા બધા લોકો મારા વિશે અને કોંગ્રેસ વિશે પણ આવું માને છે કે અમે મોડાં જાગ્યાં છીએ... બટર લેટ ધેન નેવર. હા, ‘બેટર’ નહીં, ‘બટર’ જ લખ્યું છે. અમારી પાર્ટીને બ્રેડ મળે કે ન મળે, અમને કદી બટરની તંગી પડવાની નથી. કારણ કે અમને હજુુ એવું જ કહેવામાં આવે છે કે ‘આપણને ૩૦૦ સીટ આરામથી મળી જશે.’ મેં ઇન્ડિયન માયથોલૉજી વાંચી છે. આફ્‌ટરઑલ, આય એમ એન ઇન્ડિયન બહુ. ‘નરો વા, કુંજરો વા’ વિશે મેં સાંભળ્યું છે. એટલે ૩૦૦ સીટની વાત કરનારાને જેવી હું સહેજ કડકાઇથી પૂછું કે ‘કઇ સીટની વાત કરો છો?’ એટલે એ તરત ગેંગેંફેંફેં થઇને કહે છે,‘હું તો મલ્ટીપ્લેક્સમાં ગ્રુપ શોના બુકિંગની વાત કરતો હતો.’

મને ખુશામત જરાય ગમતી નથી. મેં કેટલી વાર લોકોને કહ્યું છે કે ‘તમે મને ખરાબ લાગવાની ચિંતા કર્યા વિના સાચી વાત કરો.’ તો એ લોકો કહે છે, ‘મૅડમ, અમે સાચું જ કહીએ છીએ. જરાય મસકા મારતા નથી, પણ હકીકત એ છે કે આ નરેન્દ્ર મોદી તમારાથી ગભરાય છે.’ આ સાંભળીને મેં ડોળા કાઢ્‌યા. એટલે એ કહે, ‘હું જરાય ખુશામત કરતો નથી, પણ તમે જ વિચારો. મોદી તમારાથી ગભરાતા ન હોત અને તમારી લોકપ્રિયતાથી ચિંતિત ન હોત તો એ રાયબરેલીમાં તમારી સામે કે અમેઠીમાં રાહુલબાબા સામે ન ઊભા હોત?’

મેં એમને પૂછ્‌યું, ‘પક્ષ માટે તમે શું કરવા ધારો છો? એ થોડી વાર મારી સામે જોઇ રહ્યા. પછી ઘડીકમાં અહમદભાઇ સામે, તો ઘડીકમાં મઘુસુદન મિસ્ત્રી સામે જોવા લાગ્યા અને પછી ધીમે રહીને કંઇ ગણગણીને જતા રહ્યા. એમના ગયા પછી અહમદભાઇએ મને કહ્યું કે મેડમ, તમારો સવાલ બહુ અદ્‌ભૂત હતો- ‘કેબીસી’માં એક કરોડ રૂપિયા માટે પૂછાય એવો, પણ હમણાં આવા સવાલ ન પૂછતાં. પેલો એવું કહીને ગયો કે ‘મારી ભાજપ સાથે વાટાઘાટો ચાલે જ છે. તમે ટિકિટ નહીં આપો તો અસંતુષ્ટ બનીને, અંદર રહીને ભાંગફોડ કરવાની આપણી પરંપરા આગળ ધપાવવાને બદલે, પક્ષના હિતમાં મારે ભાજપમાં જોડાઇ જવું પડશે.’

રાહુલ ગાંધીની ડાયરી

મારું નામ રાહુલ ગાંધી છે. હું કોંગ્રેસનો વડાપ્રધાનપદનો ઉમેદવાર નથી...એટલે કે છું...એટલે કે આમ છું, પણ આમ નથી...

આટલાં વર્ષે આ બઘું લખવું પડે એ શોભાસ્પદ ન કહેવાય, પણ સાલું, સોરી, મને હમણાનું કોઇ પૂછતું જ નથી. સમાચારોમાં મફલર ને દાઢી બે જ દેખાય છે. મેં કરાંજી કરાંજીને બોલી જોયું, આક્રમક નિવેદન કર્યાં, દાઢી વધારી જોઇ, છપ્પનની છાતીવાળા કુર્તા મંગાવી જોયા, પણ કોણ જાણે કેમ, મીડિયાને મારામાં રસ પડતો નથી. સમારે શું કરવું જોઇએ? એવું પૂછ્‌યું, તો એક જણે કહ્યું, ‘શેઠ, આપણી પાસે સખ્ખત આઇડીયા છે. તમે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરો અને એ પાછું ખેંચવાની છેલ્લી તારીખે તમે ઉમેદવારી પાછી ખેંચી લો. પછી જુઓ. દેશવિદેશમાં મીડિયા કેવી તમારી નોંધ લેશે. ઇન્ટરવ્યુ પર ઇન્ટરવ્યુ...

‘ઇન્ટરવ્યુ’ સાંભળીને મને અર્નબ ગોસ્વામી યાદ આવ્યો. ના, મારે ઇન્ટરવ્યુ નથી આપવો. ના, મારે પણ મોદી થવું છે. મારે ઇન્ટરવ્યુ નથી આપવો. મારે પણ મોદી જેવા પ્રીફેબ્રિકેટેડ ઇન્ટરવ્યુ જ આપવા છે. પરંતુ મારા અંતરનો આર્તનાદ કોઇ મીડિયાવાળા સાંભળતા નથી અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની સલાહ આપે છે.

એ માણસે તો એવું પણ કહ્યું કે તમારા કુટુંબમાં બલિદાનની ઉજ્જવળ પરંપરા છે. તમારા પિતાએ જીવનનું બલિદાન આપ્યું, તમારાં માતાએ ચૂંટાયા પછી વડાપ્રધાનપદનો ત્યાગ કર્યો, તો તમારે ચૂંટાતા પહેલાં- ચૂંટણીનો જ ત્યાગ કરીને, સર્વોચ્ચ બલિદાન આપવું જોઇએ. ત્યાર પછી તમારી તરફેણમાં સહાનુભૂતિનું એવું મોજું ઊભું થશે કે વારાણસીમાંથી મીરા કુમાર પણ મોદી સામે ઊભાં રહે તો એ જીતી જાય.

ખરેખર આવું હોય? કે કોઇ મને ચગડોળે ચડાવી રહ્યું છે? મિસ્ત્રીઅંકલને પૂછવું પડશે. પણ એવું હોય તો કરી જોવા જેવું ખરું. મારા ત્યાગથી આખા દેશમાં કોંગ્રેસ જીતી જતી હોય, તો પછી છ મહિનામાં પેટાચૂંટણી લડીને લોકસભામાં ચૂંટાઇ જતાં મને ક્યાં નથી આવડતું? પણ લાગે છે કે મારી આટલી તીવ્ર પ્રતિભાની હજુ ભારતના લોકોને પરખ નથી. એ નરેન્દ્ર મોદી ને અરવિંદ કેજરીવાલ પર એટલા મોહાઇ ગયા છે કે તેમને અમે દેખાતા જ નથી.

કંઇ વાંધો નહીં. એક વાર અમારી સરકાર બની જવા દો. પછી હું પણ રાડિયા ટેપનો કેસ કાઢીને એકે એકને જોઇ લઇશ.

નરેન્દ્ર મોદીની ડાયરી

મેં ચોખ્ખું કહ્યું હતું કે મારા લખવા માટેની ડાયરી ૫૬ સેન્ટીમીટરની લાવજો અને એના દરેક પાના પર ૫૬ લીટી હોવી જોઇએ. પરંતુ બધા હવે અડવાણી થવા જાય છે. વાતે વાતે વાંધા ને વાંકાં. આવી રીતે દેશ કેમ ચાલશે? હું જ્યારે પણ દેશની ચિંતા કરું ત્યારે કેટલાક લોકો ગુસપુસ કરે છે કે ‘સાહેબ, તમે હજુ વડાપ્રધાન થયા નથી.’ આ મને ગમતું નથી, પણ સારું છે. કારણ કે હું ઘણી વાર આ વાત ભૂલી જાઉં છું.

મારા ટીકાકારો કહે છે કે મારી છાતી છપ્પનની નથી. એટલે હું માત્ર વારાણસીથી ચૂંટણી લડવાને બદલે બબ્બે ઠેકાણેથી ચૂંટણી લડી રહ્યો છું. પરંતુ ભારતના સવા અબજ લોકો ભારતનું આવું અપમાન નહીં ચલાવી લે...હવે ‘છ કરોડ’ને બદલે ‘સવા અબજ’ બોલવાની ટેવ પાડવી પડશે...ટીકાકારો કોઇ રીતે સમજવા માગતા નથી. બાકી, હું સૌથી મોટા સલામતીકાફલા સાથેનો સૌથી બહાદુર મુખ્ય મંત્રી ગણાતો હોઉં, તો બે ઠેકાણે લડીને છપ્પનની છાતીવાળો કેમ ન ગણાઉં? કોઇ પત્રકારને ખુલ્લમખુલ્લો ઇન્ટરવ્યુ આપ્યા વિના, ‘મારી સામે લડવાની કોઇની હિંમત નથી’ એવું કહી શકતો હોઉં અને લોકો સ્વીકારી પણ લેતા હોય, તો હું બે જગ્યાએથી લડું તેમાં શો પ્રોબ્લેમ છે?

કેટલાક લોકો કહે છે કે હું અરવિંદ કેજરીવાલથી બીઉં છું અને મેેં એને ગાંધીનગરમાં ઑફિસથી પાંચ કિલોમીટર દૂર રોકી લેવાને બદલે એને બોલાવીને ‘ચાય પે ચર્ચા’ કરી હોત, તો એ આટલો બગડત નહીં.  પણ એ મફલરવાળાનું ઠેકાણું નહીં. ક્યારે પોતાના માથેથી મફલર કાઢીને આપણા ગળામાં વીંટાળી દે...પછી એનડીએની સરકાર બને તો પણ આપણે ક્યાંક રાજ્યપાલ બનવાનો વારો આવે. હું દેશની બહુ બધી સેવા કરવા ઇચ્છું છું. રાજ્યપાલ બનવાથી મારો મોક્ષ થાય એમ નથી ને વડાપ્રધાન બનું નહીં તો પછી સીબીઆઇ ને ન્યાયતંત્ર મારો પીછો છોડે એમ નથી. લોકો અમથા કહે છે કે પાપો ધોવા માટે ગંગા વારાણસીમાં વહે છે. હાથમાં વડાપ્રધાનપદું આવે તો પછી ગંગા જ ગંગા હોય છે.

અરવિંદ કેજરીવાલની ડાયરી

???
??? ???
??? ??? ???
??? ??? ??? ???
(પ્રશ્નો પૂછ્‌યા વિના આ દેશનો ઉદ્ધાર થવાનો નથી, એ બધાને સતત યાદ કરાવવું. બહારના પ્રશ્નો એટલા થવા જોઇએ કે પાર્ટીમાં કોઇ પ્રશ્ન થવાની શક્યતા ન રહે.)

Saturday, March 08, 2014

ડો. કનુભાઇ કળસરીયા વિશે વિજયસિંહ પરમારના પુસ્તક નું અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિમોચન

(વધુ તસવીરો આવે ત્યાં સુધી આટલાથી કામ ચલાવી લો :-)

ડૉ.કનુભાઇ કળસરીયાને તમે કેવી રીતે ઓળખવા માગો છો એનો આધાર તમારી પસંદગી ઉપર છે : એક સેવાભાવી તબીબ, જાહેર જીવનમાં પડેલી સ્વચ્છ વ્યક્તિ, પક્ષની લાઇન ખોટી લાગતાં તેની સામે બાંયો ચડાવનાર નેતા, ગુજરાતમાં છેલ્લા દાયકામાં સફળ થનારાં જૂજ જનઆંદોલનોમાંથી એકના નેતા, સજ્જનો સ્થાપિત પક્ષોના ચૂંટણીને લગતા દાવપેચમાં ફાવતા નથી તેનું મૂર્તિમંત પ્રતીક, સરળ-નિખાલસ-કાઠિયાવાડી લહેકો ધરાવતા હૂંફાળા જણ...

તેમનાં આ અને આવાં અનેક પાસાં આલેખતા પુસ્તક ‘પીડ પરાઇ જાણે રે’નું આજે બપોરે વિમોચન થયું. ટેક્‌નિકલી, નામાંકિત ધારાશાસ્ત્રી અને વંચિતોના કેસ લડનાર તરીકે જાણીતા ગિરીશભાઇ પટેલના હસ્તે અને વાસ્તવમાં ગિરીશકાકા ઉપરાંત અરવિંદ કેજરીવાલના હસ્તે.
L to R : Pranav Adhyaru, Arvind Kejriwal, Vijaysinh Parmar releasing a
book depicting life stroy of Dr.Kanubhai Kalasariya
મિત્ર અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પત્રકાર તરીકે કામ કરતા વિજયસિંહ પરમાર (‘બાપુ’) છેલ્લા ઘણા સમયથી આ પુસ્તક પર કામ કરી રહ્યા હતા. જુદા જુદા તબક્કે તેમના કારણે પુસ્તકની પ્રગતિ વિશે જાણવા મળતું હતું. પુસ્તકનું પ્રકાશન પહેલાં નાના પાયે પ્રકાશન શરૂ કરનાર એક મિત્ર કરવાના હતા. પણ લાંબા સંઘર્ષ પછી મળેલી સરકારી નોકરીને ઘ્યાનમાં રાખીને તેમને, ‘મોદીવિરોધી’ એવા ડૉક્ટર વિશેનું પુસ્તક પ્રકાશિત કરવામાં જોખમ લાગ્યું. (આ માહિતી પ્રકાશક મિત્ર વિશે ઓછું અને શાસક વિશે વધારે કહે છે.) ત્યાર પછી આર.આર.શેઠની કંપનીએ આ પુસ્તક પ્રકાશિત કરવાનું સ્વીકાર્યું અને રંગેચંગે આજના કાર્યક્રમમાં તેનું પ્રાગટ્ય થયું.

ગૂજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ ખંડમાં બપોેરે સાડા બાર વાગ્યે કાર્યક્રમ શરૂ થવાનો હતો. ગિરીશકાકા તેમની નાદુરસ્ત તબિયતને લીધે મોડા પડ્યા હતા. પણ હવા એવી હતી કે આજકાલ ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલની રાહ જોવાય છે. કેજરીવાલ આ સમારંભમાં હાજર રહે એ નક્કી ન હતું. પણ છેલ્લી ઘડીએ, અડધા કલાકનો સમય કાઢીને કેજરીવાલ આવ્યા, બડી શાલિનતાથી મંચ પર બેઠા, પ્રસંગને અનુરૂપ બોલ્યા અને અડધા કાર્યક્રમે વિદાય લીધી. પરંતુ તે આવ્યા ત્યારથી કેમેરાની ફ્‌લેશો અટકતી ન હતી. તેમની થોડી વાર પહેલાં ડૉ.કનુભાઇ આવ્યા ત્યારે થોડી વાર ફ્‌લેશો ઝબકી. કનુભાઇ આવીને બીજી હરોળમાં બેઠેલાં મલ્લિકા સારાભાઇ સહિત બીજા લોકોને મળ્યા. વિજયસિંહ અને કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રણવ અઘ્યારુ પણ તેમને મળ્યા.

કેજરીવાલ આવતાંની સાથે જ નાના પાયે તોફાન મચ્યું. કેમેરાધારીઓ કેમે કરીને ખસે નહીં અને ધરાય નહીં. પરંતુ તોફાનના કેન્દ્રમાં રહેલા કેજરીવાલ એકદમ શાંત જણાતા હતા. તેમને રૂબરૂ જોતાં સૌથી પહેલી નોંધ તેમનાં સાધારણ કદ-કાઠીની લેવાય. પત્રકાર મિત્ર આશિષ અમીન (‘મેજર’)ની યાદ અપાવે એવી મૂછો, પણ બાંધો એકવડો, ખુલ્લું શર્ટ, પેન્ટ, સેન્ડલ..બાજુમાં બેઠેલા મિત્ર સંજય ભાવેએ કહ્યું તેમ, ‘આ માણસ આશ્રમ રોડ પરથી જતો હોય તો કોઇ તેને સહેલાઇથી ધક્કો મારીને આગળ નીકળી જાય.’ આ સાદગીમાં કે ચહેરા પરના શાંતરસમાં અહમ્‌જનીત ઉપેક્ષા નહીં, પણ નિસબત સહિતની નિર્લેપતા (‘બાઝારસે નીકલા હું, ખરીદાર નહીં હું’ ટાઇપની) જણાય. એ મંચ પર બેઠા તો પણ છેક છેડે, વિજયસિંહની બાજુમાં. બન્ને વચ્ચે પરિચય ન હતો, એટલે કનુભાઇએ ઉભા થઇને સજ્જનતાપૂર્વક વિજયસિંહનો કેજરીવાલ સાથે પરિચય કરાવ્યો. (આટલો સાદો વિવેક આપણે ત્યાં થોડા લોકોને સૂઝતો હોય છે.) પછી કેજરીવાલ અને વિજયસિંહ વાતો કરવા લાગ્યા, એટલે ફ્‌લેશકાંડનો વઘુ એક અઘ્યાય શરૂ.
Kanubhai Kalsaria introducing Vijaysinh Parmar to Arvind Kejriwal
(photo : Ramesh Tankaria)
પ્રણવે તેની નર્મમર્મયુક્ત અને નો નૉનસેન્સ છટામાં કાર્યક્રમનો આરંભ કરીને કહ્યું કે કેજરીવાલ આવ્યા, એટલે નક્કી થયેલો ક્રમ બદલાય છે અને સૌથી પહેલાં વિમોચન કરી લઇએ. ‘કેજરીવાલ આવવાના હતા, એવી અમને તો પહેલેથી ખબર હતી’ એવી વાત પણ કેટલાક જાણભેદુ મિત્રો તરફથી સાંભળવા મળી. પણ વિચાર આવ્યો કે ખરેખર એવું હોત તો પ્રણવે તેની સંચાલન-સ્પીચ અચૂક હિંદીમાં તૈયાર કરી હોત. વચ્ચે કનુભાઇની વિનંતીથી તે કેજરીવાલના લાભાર્થે થોડું હિંદીમાં પણ બોલ્યો.

કેજરીવાલ સૌથી પહેલા વક્તા હતા. તે ટૂંકું અને પુસ્તકને અનુરૂપ બોલ્યા. કાર્યક્રમ રાજકીય રંગનો ન બને એ માટે આયોજકોએ પણ પૂરતી ચીવટ રાખી હતી. કેજરીવાલ આવ્યા ત્યારે થયેલા સૂત્રોચ્ચાર પછી સંચાલક તરીકે પ્રણવે કહ્યું હતું કે હવે આવા સૂત્રોચ્ચાર ન થાય એનું ઘ્યાન રાખીએ. કેજરીવાલે કહ્યું કે કનુભાઇ વિશે- નિરમા આંદોલન વિશે બહુ સાંભળ્યું હતું, પણ આ વખતે પહેલી વાર મળવાનું થયું. વિજયસિંહને બે-ત્રણ વાર અભિનંદન આપીને તેમણે વક્તવ્ય ટૂંકમાં પૂરું કર્યું.
Arvind Kejriwal at book launch function, Ahmedabad 
ત્યાર પછી વિજયસિંહ બોલવા ઊભા થયા. ક્રમ એવો હતો કે પુસ્તકનું કોપી એડિટિંગ કરનાર મિત્ર કેતન રૂપેરા બાપુનો પરિચય આપે. પણ કેજરીવાલના અડધો કલાકને પાવરપેક્ડ બનાવવા માટે બાપુ બોલવા ઊભા થયા. એ તેમની મુક્ત શૈલીમાં બોલ્યા. થોડું હિંદી પણ. સામાન્ય રીતે વ્યક્તિત્વોની સરખામણી મને બહુ ગમતી નથી, પણ બાપુએ સરસ કહ્યું : ‘રવિશંકર મહારાજ મારું પ્રિય પાત્ર છે અને હું ઘણી વાર વિચારું છું કે મહારાજ ડોક્ટર હોત તો કેવા હોત? તો લાગે છે કે એ કનુભાઇ જેવા હોત.’  કનુભાઇની ઠીક ઠીક અનિચ્છા છતાં બાપુએ તેમની પાછળ પડેલા રહીને પુસ્તકનું કામ પાર પાડ્યું. કનુભાઇની છાપ કેટલી ઉજળી છે એની વાત કરતાં બાપુએ કહ્યું કે નિરમા આંદોલનમાં ખેડૂતો કરતાં પણ બીજા ઘણા લોકો જોડાયા હતા- એમ વિચારીને કે ‘કનુભાઇ જોડાયા છે તો વાતમાં સચ્ચાઇ હશે.’ પછી કેજરીવાલના લાભાર્થે તેનો હિંદી અનુવાદ કરીને બાપુએ ફટકાર્યું, ‘આપ (કેજરીવાલ) કનુભાઇકે સાથ હૈ ઇસ લિયે સજ્જન હૈ.’ એ વખતે કેજરીવાલના ચહેરા ઉપર પણ સંમતિસૂચક સ્મિત આવ્યું. બાપુએ પોતાના વક્તવ્યમાં સૌમ્ય જોશી અને સંજય ભાવે જેવા અઘ્યાપકોને તેમના ઘડતરમાં પ્રદાનને ભાવપૂર્વક અને યથાયોગ્ય રીતે યાદ કર્યું.

કેજરીવાલની હાજરીમાં કનુભાઇ હિંદીમાં સાવ થોડું બોલ્યા અને થોડા લોકો કરી શકે એવી ચેષ્ટા કરતાં, પોતાના સાથીદાર ડૉ.પ્રવીણ બગદાણિયાને યાદ કર્યા. તેમની વાત સાંભળીને લાગે કે તેમની જ ઉંમરના કોઇ જોડીદાર હશે. પણ કનુભાઇએ પ્રવીણભાઇને મંચ પર બોલાવ્યા ત્યારે સમજાયું કે આ તો માંડ પાંત્રીસ-ચાળીસ વર્ષનો જણ છે, જેને કનુભાઇ પોતાના કરતાં પણ વધારે સન્નિષ્ઠ ગણાવે છે. કનુભાઇએ કેજરીવાલના હાથે પ્રવીણભાઇને પુસ્તક અપાવ્યું. પછી કેજરીવાલે રજા લીધી અને કાર્યક્રમમાં વર્તાતો એક પ્રકારનો ઉત્તેજનાપૂર્ણ તનાવ ઓસર્યો.
ડો.પ્રવીણ બગદાણિયા, ડો.કનુભાઇ કળસરિયા અને અરવિંદ કેજરીવાલ
(ફોટોઃ બિનીત મોદી/ Binit Modi)
ત્યાર પછી ‘નવજીવનનો અક્ષરદેહ’ના સંપાદક મિત્ર કેતન રૂપેરાએ વિજયસિંહનો પરિચય આપ્યો અને પ્રણવની અનૌપચારિકતાનો દોર આગળ ધપાવતાં કહ્યું કે આમ તો નવ પાનાં લખ્યાં હતાં, પણ બદલાયેલા ક્રમને લીધે પાંચ પાનાં રદ કર્યા છે. કેતનનું વક્તવ્ય પૂરું થયા પછી પ્રણવે હળવેકથી એ મતલબનું કહ્યું, ‘વિજય, કંઇ રહ્યું હોય તો કહી દેજે. આપણું ઘરનું જ છે. અને હવે કેજરીવાલ નથી એટલે કશી ચિંતા નથી.’

કનુભાઇએ શુદ્ધ કાઠિયાવાડી લહેકા સાથે પોતાની વાત કરી. સ્ટેજ પર બેઠેલાં પત્નીના જબ્બર સાથસહકારને યાદ કરી-બિરદાવીને, બ્રહ્મચર્યના ઉબડખાબડ પ્રયોગો અને વિપશ્યના પછી તેમાં નૈસર્ગિક ધોરણે મળેલી સફળતા જેવા જરા વિશિષ્ટ મુદ્દાથી તેમણે વાત શરૂ કરી અને તેમણે પુસ્તકના પ્રસંગોનું પુનરાવર્તન કરવાને બદલે, એવો એક પ્રસંગ કહ્યો જે પુસ્તકમાં નથી. આ પ્રસંગ પુસ્તકમાં નથી એની ખાતરી તેમણે સ્ટેજ પર જ કરી લીધી. પરંતુ લેખકને ક્ષોભમાં નાખવા માટે નહીં, પોતે પુસ્તકના કામ માટે કેવા અસહકારી હતા એ દર્શાવવા માટે. કનુભાઇ અને બીજા બે ડોક્ટર વિદ્યાર્થી અવસ્થામાં એક હોસ્પિટલમાં કામ કરતા હતા, ત્યારે અઢળક કામ કરવા છતાં, તે પહોંચી વળતા ન હતા. તેમણે ઓપરેશન જેવાં ભારે કામ ઉપરાંત તેમના બ્લડ અને યુરીનના રીપોર્ટ અને કાર્ડિયોગ્રામની નોંધો પણ વચ્ચે વચ્ચે કરતા રહેવાનું. ત્રણે મિત્રોને તે ચોવીસ કલાક કામ કરવા છતાં અશક્ય લાગતું હતું. એક વાર તો મેડમે દર્દીઓના બ્લડ-યુરિનના રીપોર્ટ ખાલી જોઇને ત્રણે જણને ‘ગેટ આઉટ’ પણ કહી દીઘું. અલબત્ત, એકાદ કલાક પછી બોલાવીને વાત વાળી પણ લીધી અને કહ્યું કે તમારા સિનિયર કરી શકતા હતા, તો તમે કેમ ન કરી શકો? સિનિયરોને પૂછી લો.

સિનિયરોને પૂછતાં માલુમ પડ્યું કે ટેસ્ટ-બેસ્ટ સમજ્યા. અડસટ્ટે કામ ચલાવી લેવાનું. દર્દીની જીભ બહાર કઢાવવાની. લાલ હોય તો હિમોગ્લોબિન બાર-તેર, લાલ ન હોય તો દસ ને ફિક્કી હોય તો આઠ-નવ. એના માટે બ્લડ ટેસ્ટ કરવાની ક્યાં જરૂર? પણ મેડમ એટલું પૂછશે કે ‘પંક્ચર કર્યું?’ એટલે સોય લઇને દર્દીઓના હાથે કાણાં તો પાડી દેવાનાં. એવી જ રીતે, છ-સાત નોર્મલ કાર્ડિયોગ્રામ તૈયાર રાખવાના. મેડમ માગે ત્યારે ‘ટેબલમાં પડ્યા છે’ એમ કહીને રૂમમાં જઇને, દર્દીનું નામ લખીને આપી દેવાના. મેડમને પણ આ બધી ખબર. છતાં, પ્રોસિજરના નામે આ બઘું ચાલતું હતું. શું અને કેવી રીતે ન કરવું તેના પાઠના સંદર્ભમાં કનુભાઇએ આ કિસ્સો યાદ કર્યો.
L to R : Ketan Rupera, Pranav Adhyaru, Girish Patel, Dr.Kanubhai Kalasariya,
Vijaysinh Parmar, Chintan Sheth (photo : Binit Modi)
નિરમા આંદોલનનો અછડતો ઉલ્લેખ કરતાં ડોક્ટરે કહ્યું કે તેમાં બે પરિબળો (શાસકો અને કંપની) વચ્ચે વેલ્ડિંગ થયેલું છે. એમ છૂટું પડે નહીં. કાર્યક્રમમાં મહુવાની વાત વારંવાર આવી. કનુભાઇ પહેલાં બોલેલા પ્રકાશન સંસ્થા આર.આર.શેઠના ચિંતન શેઠે પણ મહુવા પોતાનું વતન હોવાનું કહ્યું. (પોતાના વ્યવસાય અને વ્યાવસાયિકો વિશે રમૂજ કરતાં ચિંતનેે કહ્યું, ‘આ પુસ્તક વિશે જાણીને ઘણાએ નવાઇથી પૂછ્‌યું, ‘તમે આવાં પુસ્તકો પણ કરો છો?’) પરંતુ યથાયોગ્ય રીતે જ મહુવાના અન્ય નામી જણ અને પુસ્તકોના કાર્યક્રમોમાં જેમને અકારણ સદેહે કે વિડીયોદેહે ઢસડી લાવવામાં આવે છે, એવા મોરારીબાપુને કોઇએ યાદ ન કર્યા. એટલે કાર્યક્રમની ગરીમા જળવાઇ રહી.

અનિવાર્ય કારણોસર જવું પડે એમ હોવાથી, ગિરીશભાઇ પટેલનું પ્રવચન સાંભળવાનો લોભ જતો કરવો પડ્યો. કોઇ સ્નેહી મિત્ર ગિરીશભાઇના પ્રવચનના મુખ્ય મુદ્દા અહીં કમેન્ટમાં નોંધી આપશે તો બહુ આનંદ થશે. એ મુદ્દાને હું મુખ્ય પોસ્ટમાં (લખનારના નામ સાથે) ઉમેરી દઇશ. 

Tuesday, February 18, 2014

આપ-બળ કે આપ-ઘાત?

સાત કોઠા જેવાં સતત સંઘર્ષરત સાત સપ્તાહ વીતાવ્યા પછી આમઆદમી પક્ષની સરકાર પડી. ‘આપ’ દ્વારા પ્રસ્તાવિત જનલોકપાલ ખરડો દિલ્હી વિધાનસભામાં મૂકવા માટેનો જંગ હતો. ઉપરાજ્યપાલ નજીબ જંગે એવો ફેંસલો આપી દીધો હતો કે ખરડો ગેરબંધારણીય હોવાથી તેને વિધાનસભામાં મૂકી શકાય નહીં.

કેજરીવાલ અને પ્રશાંત ભૂષણ જેવા  ‘આપ’ નેતાઓને લાગતું હતું કે આ ખરડામાં ગેરબંધારણીય કહેવાય એવું કશું નથી અને ઉપરાજ્યપાલ કેવળ અડચણ ઊભી કરવા ખાતર લકીરના ફકીર બની રહ્યા છે. પ્રશાંત ભૂષણે જાણીતા કાનૂન-બંધારણવિદ્‌ સોલી સોરાબજીને ટાંકીને ખરડાને વાજબી ઠરાવ્યો. અંતે ખરડા પર નહીં, પણ પોતાની મંજૂરી વિના ખરડો રજૂ ન થઇ શકે એવા ઉપરાજ્યપાલના પત્રનો અમલ કરવો કે નહીં એ મુદ્દે મતદાન થયું. તેમાં કેજરીવાલ સરકારની તરફેણમાં ૨૭ અને વિરુદ્ધમાં ૪૨ મત પડ્યા. વેલેન્ટાઇન ડેના દિવસે બનેલા આ ઘટનાક્રમના દિવસે કોંગ્રેસી નેતા અરવિંદરસિંઘ લવલી અને ભાજપી નેતા હર્ષવર્ધન જે રીતે સહિયારા પોઝ આપતા હતા, એ જોઇને લાગે કે અસલી વેલેન્ટાઇન ડે તો ત્યાં જ ઉજવાઇ રહ્યો છે.

વાંધા પર વાંધા

ગૃહમાં કોઇ પણ મુદ્દે મતદાન થાય અને તેમાં સરકારની હાર થાય તો તેના માટે ક્ષોભજનક સ્થિતિ ઊભી થાય. એક રીતે એવું પણ કહી શકાય કે સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ત્યાર પછી બાંધછોડ કરવા ન ઇચ્છતા માણસ પાસે રાજીનામું આપવાનો વિકલ્પ બાકી રહે. કેજરીવાલે એમ જ કર્યું. એટલે કોંગ્રેસ અને ભાજપના ટીવીચતુરો ઠાવકા મોઢે ટીકા કરવા લાગ્યા કે આ ક્યાં જનલોકપાલ ખરડા પરનું મતદાન હતું? આ તો ખરડો રજૂ કરવો કે નહીં, એ વિશેનો મત લેવાનો હતો. કેજરીવાલે નકામું રાજીનામું આપી દીઘું.

ટીવી સ્ટુડિયોમાં થતી ચર્ચામાં ધડો જાળવવાનું મોટા ભાગના નેતાઓને અઘરું પડે છે. એક કોંગ્રેસી નેતાએ દાવો કર્યો કે કેજરીવાલની સરકારનાં સાત જ અઠવાડિયામાં દિલ્હીના લોકોને શીલા દીક્ષિત સરકારના સુશાસનની યાદ આવવા માંડી હતી. કેજરીવાલ અને ‘આપ’ પાસેથી નવેનવી નૈતિકતા શીખેલા ભાજપે ‘પૂરતી સભ્યસંખ્યા ન હોય તો અમારે સરકાર બનાવવી નથી’ એવું ચૂંટણી પછીનું વલણ પકડી રાખ્યું.

નાગરિકોને ઉઠાં ભણાવવાની કોંગ્રેસ-ભાજપની જૂની પરંપરા પ્રમાણે, ભાજપ માને છે કે તેમના વડાપ્રધાનપદના ઉમેદવારની નૈતિકતા અને દિલ્હી ભાજપની નૈતિકતા, એ બે અલગ બાબતો છે. ભાજપી નેતાઓ કેજરીવાલના ‘નાટક’ની ટીકા કરે છે. નાટકબાજી કોને કહેવાય એ જાણવા માટે તેમણે પોતાના પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર ભણી ઘ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. આખા રાજ્યનું વાતાવરણ દુર્ભાવનાથી ડહોળ્યા પછી એકરાર કર્યા વિના કે માફી માગ્યા વિના કરાતા સદ્‌ભાવના ઉપવાસ, થ્રી-ડી અવતાર જેવા પ્રચારતુક્કા અને ‘ચાયપે ચર્ચા’ જેવાં કંઇક ખર્ચાળ નાટકો વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવારના નામે બોલે છે. નૈતિકતાની એટલી જ લ્હાય લાગી હોય તો ભાજપે પહેલાં આ બધા ખેલના રૂપિયા ક્યાંથી આવે છે, એનો હિસાબ આપવો જોઇએ. પરંતુ કોંગ્રેસ-ભાજપ દ્વારા થતું નૈતિકતાનું અને બંધારણપ્રેમનું નાટક આંખ-કાન-મન ખુલ્લાં રાખીને જોનારા સૌને દેખાય એવું છે.

બે તર્કમાળા

કેજરીવાલે રાજીનામું આપીને માસ્ટરસ્ટ્રોક માર્યો છે કે કાચું કાપ્યું છે તેની ગરમાગરમ ચર્ચા ચાલે છે. કોંગ્રેસ-ભાજપ પ્રકારના, ચલતા પુર્જા જેવા રાજકારણીઓ આ વિશે શું માને છે એ ગૌણ બાબત છે. કારણ કે પહેલા દિવસથી તેમના પ્રયાસ કેજરીવાલને બીજા કોઇ પણ રાજકારણી જેવા- સ્ટંટબાજ, વાયદાબાજ, દેખાડાબાજ- સાબીત કરવાનો રહ્યો છે. બંધારણ અને કાયદાને પોતાના પક્ષે અત્યાર લગી કેટલું માન આપ્યું તેની ચર્ચા કર્યા વિના, કેજરીવાલની વાત આવે એટલે એ લોકો ન્યાયાધીશ અને બંધારણવિદ્‌ની ભૂમિકામાં આવી જાય છે.

જુદાપણાના દાવા કરતા કેજરીવાલની તપાસ વધારે કડકાઇથી થવી જોઇએ એ ખરું, પરંતુ એમ કરવાનો હક કોંગ્રેસ-ભાજપને કેટલો છે? રાજીનામાના મુદ્દે પણ કેજરીવાલે રાજકીય સ્ટંટ કર્યો અને પૂર્વઆયોજિત ચાલબાજી દ્વારા રાજકીય લાભ મેળવવા માટે શહીદી વહોરી લીધી, એવા આરોપ તેમની પર થયા છે. મતદારો કેજરીવાલના આ પગલાને કેવી રીતે જુએ છે તે મહત્ત્વનું છે. મતદારોનું બ્રેઇનવોશ કરવા માટે કોંગ્રેસ-ભાજપ પાસે હજુ ત્રણેક મહિના જેટલો સમય છે. સામે પક્ષે એ પણ યાદ રાખવાનું કે હવે આમઆદમી પક્ષ પાસે પણ સરકાર ચલાવવાની જવાબદારી નથી. એટલે તેમની પાસે પ્રતિઆક્રમણનો પૂરતો સમય છે. તેનો ઉપયોગ એ દિલ્હીમાં જ નહીં, દેશના બાકીના ભાગમાં પણ પોતાની તાકાત જમાવવા માટે કરી શકે છે.

કોંગ્રેસ-ભાજપ પ્રકારના રાજકારણના વિકલ્પ તરીકે ‘આપ’ના રાજકારણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પણ રાજીનામાના મુદ્દે બે જુદા મત ધરાવે છે. એક મત એવો છે કે લોકસભાની ચૂંટણી સુધી કેજરીવાલે ગમે તેમ કરીને સરકાર ટકાવી રાખવા જેવી હતી. એવું થાત તો તેમને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ લડવા-જીતવા માટે રોકાઇ જવું ન પડત અને રાષ્ટ્રિય સ્તરે તેમનો દેખાવ વધારે સારો થઇ શકત. ત્યાં સુધી તેમણે સ્થિરતાપૂર્વક શાસન ચલાવ્યું હોત તો શાસકો તરીકેની તેમની વિશ્વસનીયતા પણ ઊભી થઇ હોત અને તેમની શાસનક્ષમતા તરફ આંગળી ચીંધનારાના હાથ હેઠા પડ્યા હોત. અત્યારે આપેલું રાજીનામું રાજકીય સ્ટંટમાં ખપશે, લોકસભાની ચૂંટણી વખતે તેમને વધારે પડતો સમય દિલ્હી જીતવામાં આપવો પડશે અને લોકો તેમને અસ્થિરતાના પર્યાય તરીકે જોશે તો દિલ્હી જીતવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

બીજો તર્ક એવો છે કે કેજરીવાલે ફરી એક વાર કોંગ્રેસ-ભાજપને રાજકારણની રમતમાં ચીત કર્યાં છે. સૌથી પહેલાં તો તેમણે કોંગ્રેસનો સામેથી મળેલો ટેકો લઇનેે સરકાર બનાવી અને પોતે શાસનથી દૂર ભાગતા નથી, એ બતાવી આપ્યું. ત્યાર પછી તે શાસકની ભૂમિકામાં આવી જવાને બદલે આંદોલનકારીની ભૂમિકામાં જ રહ્યા અને વખત આવ્યે ફૂટપાથ પર રજાઇ ઓઢીને સૂઇ જતાં ખચકાયા નહીં. વીજળી અને પાણી અંગે તેમણે ચૂંટણીઢંઢેરામાં આપેલાં વચન પાળ્યાં. એ સિવાય પણ તેમના મંત્રીઓની (ક્યારેક અતિઉત્સાહને કારણે ટીકાપાત્ર બનેલી) સક્રિયતાને કારણે મતદારો પર સારી છાપ પડી. પરંતુ લોકસભાની ચૂંટણી સુધી ગમે તે ભોગે લધુમતી સરકાર ટકાવી રાખવાનું સલાહભરેલું ન હતું.

એક વાર વિધાનસભામાં મતદાનમાં હારની પરંપરા શરૂ થઇ જાય એટલે વિપક્ષોને ફાવતું જડી જાય. ત્યાર પછી દિવસો વીતે એમ સરકારની સ્થિતિ નબળી પડતી જાય અને સરવાળે ચૂંટણી આવે ત્યારે તેની ફરતેનું તેજવર્તુળ ઝંખવાઇ ચૂક્યું હોય. એને બદલે, દોઢ-પોણા બે મહિના શાસન કરીને, પોતે શાસન કરી શકે છે એવું બતાવીને, હવે પૂરા કદનું શાસન જોઇતું હોય તો સ્પષ્ટ બહુમતી આપો એવા સંદેશ સાથે, રાજીનામું આપી દેવાનું વધારે ફાયદાકારક નીવડે.

આ તર્ક અંતર્ગત એવું પણ વિચારાય છે કે જનલોકપાલ જેવા મુદ્દે સત્તા છોડ્યા પછી ચૂંટણી વખતે દિલ્હી જાળવી રાખવા માટે બહુ મહેનત નહીં કરવી પડે અને રાષ્ટ્રિય સ્તરે તેની સારી અસર પડશે- ચૂંટણીમાં ફાયદો થશે. કેજરીવાલ વડાપ્રધાનપદના ઉમેદવાર તો છે નહીં. એ સંજોગોમાં ચૂંટણી પછી દિલ્હીમાં પોતાની બહુમતી ધરાવતી સરકાર હોય તો હવે પછીની કેન્દ્ર સરકાર સામે તે બરાબર ટક્કર લઇ શકે અને રાષ્ટ્રિય સ્તરે પોતાની હાજરી મજબૂત કરી શકે. ‘પહેલી ચૂંટણી હારવા માટે, બીજી ચૂંટણી હરાવવા માટે અને ત્રીજી ચૂંટણી જીતવા માટે’ - આવી બહુજન સમાજ પક્ષના સ્થાપક કાંશીરામની રણનીતિ પ્રમાણે, બીજી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ખોખરાં કરીને ત્રીજી ચૂંટણી સુધીમાં તે મોટી ભૂમિકા માટે તૈયાર થઇ જાય.

બીજા પ્રકારની તર્કમાળા આશાવાદથી ભરપૂર છે. પરંતુ અત્યાર લગી એટલું પુરવાર થઇ ચૂક્યું છે કે કેજરીવાલ રાજકારણના કાચા ખેલાડી નથી. બલ્કે, રાજકીય શતરંજમાં તે ભલભલા જૂના જોગીઓને ભારે પડે એવા છે. એટલે તેમની ટુકડીનું ભવિષ્યદર્શન બીજા તર્ક પ્રમાણેનું હોય એ બનવાજોગ છે. સભવિષ્યની રાજકીય ઘટનાઓ કેવી રીતે આકાર લેશે એ કદી કહી શકાય નહીં, પણ એટલું નક્કી છે કે આમઆદમી પક્ષના પ્રતાપે ભાજપને (માનીતા ઉદ્યોગપતિઓ પાસેથી ખંખેરાતા ભંડોળ ઉપરાંત પણ) લોકો પાસેથી નાણાં ઉઘરાવવાનો આઇડીયા મળ્યો. પોતાનો ચૂંટણી ઢંઢેરો નક્કી કરતાં પહેલાં લોકોનાં સૂચન મંગાવવાનો ભાજપી વિચાર પણ અસલમાં ‘આપ’ પાસેથી લેવામાં આવ્યો હતો. ચૂંટણીઢંઢેરામાં લખાયેલા વચનની કશી કિંમત હોય એ ‘આપ’ના કારણે લોકોને યાદ આવ્યું. કાળાં નાણાં પાછાં લાવવાનાં આંબાઆંબલી બતાવતા મોદી સહિતના ભાજપી નેતાઓ અને બાબા રામદેવ પ્રકારના લોકો જેમનું નામ લેતાં ગભરાય એવા મુકેશ અંબાણીને આરોપીના કઠેડામાં ખડા કરવા જોઇએ, એવું કહેવાની તાકાત કેજરીવાલે બતાવી. એટલું જ નહીં, ગેસના ભાવના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીઓ સામે એફ.આઇ.આર. દાખલ કરવા સુધીની હિંમત તેમણે કરી.

દેશના સામાન્ય નાગરિકો માટે એક રાજકીય પક્ષ તરીકે ‘આપ’ જીતે કે હારે એના કરતાં પણ વધારે અગત્યનું એ છે કે ‘આપ’ દ્વારા જે જાતના ખુલ્લાશભર્યા અને લોકસામેલગીરી-લોકહિતના રાજકારણની શરૂઆત થઇ છે, તે આગળ વધવી જોઇએ. એવું નહીં થાય તો તેમાં સૌથી મોટો દોષ મતદારોનો ગણાશે. 

Tuesday, December 17, 2013

પરિણામોનો ઉભરો ઓસર્યા પછી

વિધાનસભાનાં ચૂંટણીપરિણામ પછીની ઉત્તેજના ઓસરી રહી છે, ત્યારે ‘લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ’નાં પરિણામ અને અસરો વિશે શાંતિથી, મુદ્દાસર વિચારવા જેવું છે.

ભારતીય ચૂંટણીશાહીમાં ‘નૈતિકતા’નો ઉલ્લેખ માત્ર વિરોધાભાસ ઉપજાવવા માટે થતો હતો. રાજકીય પક્ષોના રોજિંદા વ્યવહાર અને આચરણમાં નૈતિકતાનું નામોનિશાન ન હતું. ગંભીર આરોપ થાય ત્યારે તેમનો જવાબ રહેતો : ‘આવું તો સામેનો પક્ષ પણ કરે છે/કરી ચૂક્યો છે.’ (ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના) અંગ્રેજી કટારલેખક સલિલ ત્રિપાઠીએ રાજકીય પક્ષોની આ માનસિકતા માટે વાપરેલો શબ્દપ્રયોગ હતો : ‘ઇક્વલ ઓપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ’ એટલે કે, ‘ગેરલાભ લેવાની સમાન તકો- એમણે ગેરલાભ લીધો, તો અમે કેમ બાકી રહીએ?’ આ વૃત્તિથી રાજકીય પક્ષો પોતાનાં કરતૂતો પર લાજવાને બદલે, એકબીજા તરફ આંગળી ચીંધીને ગાજતા હતા.

પછી દિલ્હીની ચૂંટણીમાં આમઆદમી પક્ષનો અણધાર્યો ઉદય થયો. દેખીતી રીતે જ એ ભાજપ-કોંગ્રેસથી કંટાળી ચૂકેલા મતદારોની ઇચ્છાનો પડઘો હતો. પરંતુ સરકાર રચવાની વાત આવી, ત્યારે સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપે રાબેતા મુજબ કોંગ્રેસમાંથી કે આમઆદમી પક્ષમાંથી એક તૃતિયાંશ સભ્યો તોડવાની પેરવી કરવાને બદલે કે લધુમતીમાં રહે એવી સરકાર રચવાને બદલે કામચલાઉ અને સગવડીયું ‘સતીત્વ’ ધારણ કરી લીઘું. ‘મતદારોએ અમને જનાદેશ આપ્યો નથી. એટલે અમે સરકાર રચી શકીએ નહીં.’ એવો સાત્ત્વિક ખુલાસો તેમણે રજૂ કર્યો. જોકે, બિલકુલ એ જ કારણસર આમઆદમી પક્ષ સરકાર રચવાનો ઇન્કાર કરે, એ તેમને પસંદ ન હતું.

કેજરીવાલ કોંગ્રેસના સભ્યોના બિનશરતી ટેકાથી સરકાર રચે તો એ ભ્રષ્ટાચારીઓના સાથીદાર (અરુણ જેટલીનું ટ્‌વીટ), સરકાર ન રચે તો જવાબદારીથી ભાગનારા- નકારાત્મક રાજકારણ ખેલનારા અને ભાજપના ટેકાથી સરકાર રચે તો...સરકારમાં બેઠા પછી તો તેમનું ચીરહરણ કરવાના  મુદ્દા મળી જ રહેવાના છે - આવી ‘સમજણ’ જાહેર કરીને ભાજપે રાજકીય પક્ષોની મેલી મથરાવટીનો સરસ નમૂનો પૂરો પાડ્યો.

દિલ્હીના આખા ઘટનાક્રમનો ન ચૂકવા જેવો સાર એ નીકળ્યો કે કેજરીવાલ અને તેમના આમઆદમી પક્ષે ભારતના રાજકારણમાં નૈતિકતાને ફેશનેબલ બનાવી દીધી. એનો પૂરતો હરખ વ્યક્ત કર્યા પછી સમજવું પડે કે ખરો પડકાર નૈતિકતાને ફેશનેબલ ઉપરાંત ટકાઉ બનાવવાનો છે- અને  રાજકારણમાં નૈતિક મૂલ્યો ઇચ્છતા અને મૂલ્યહીન રાજકીય પક્ષોના કુશાસનથી ત્રાસી ચૂકેલા બધા નાગરિકોને એ લાગુ પડે છે. રાજકારણમાં નૈતિકતા લાવવાની જવાબદારી કેવળ કેજરીવાલ કે આમઆદમી પક્ષની ન હોઇ શકે.

આગળના મુદ્દા સાથે સંબંધિત બીજો મુદ્દો : કેજરીવાલ (કે મોદી કે રાહુલ) ઉદ્ધારક નથી. તે ઉદ્ધારક હોય એવી અપેક્ષા પણ ન રાખવી જોઇએ. મતદારોએ ફક્ત એટલું યાદ રાખવાનું કે આપણને ઉદ્ધારકને નહીં, સારા શાસકની જરૂર છે. ‘સારા’ એટલે એવા શાસક જે કોમનવેલ્થ ગેમ્સ જેવા આયોજનોમાં કે સ્પેક્ટ્રમ જેવી ફાળવણીઓમાં ગંભીર ગોટાળા ન કરે, કેવળ અંગત કારણોસર કોઇ યુવતીની જાસુસી કરાવવા માટે એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ જેવું સત્તાવાર તંત્ર કામે ન લગાડે...

કેજરીવાલે પણ આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. વચનો આપવામાં તે સરેરાશ રાજકીય પક્ષ જેવા ઉદાર જણાયા છે. વચન આપતાં પહેલાં લાંબા ગાળાનો વિચાર થવો જોઇએ અને અપાયા પછી તે પળાવાં જોઇએ. એમાં ચૂક થાય તો, નાગરિકો આમઆદમી પક્ષની કડકમાં કડક ટીકા કરી શકે. પક્ષની અને લોકશાહીની તંદુરસ્તી માટે એ જરૂરી અને ફાયદાકારક છે, પરંતુ કોંગ્રેસી-ભાજપી મંડળી શીખંડી પદ્ધતિ પ્રમાણે, સિદ્ધાંતની ઓથે રહીને સ્વાર્થનાં તીર છોડ્યા કરે ત્યારે નાગરિકોએ તેમાં હાજિયો પૂરતાં પહેલાં વિચારવું. ટાંકણીની ચોરીનું બૂમરાણ મચાવનાર પોતે ચોરેેલી વૈભવી કારમાં તો નથી ફરતો ને?

કેજરીવાલની સફળતા પછી અન્ના હજારે મેદાને પડ્યા. ટૂંકી દૃષ્ટિ- મુગ્ધ સમજણ-લપટી જીભ ધરાવતા, ઝડપથી હવામાં આવી જતા અન્ના હજુ સમજતા નહીં હોય કે જનલોકપાલ આંદોલનની આખી ડીઝાઇન કેજરીવાલે તૈયાર કરી હતી? અને તેમનું સ્થાન એક ઉપવાસી ગાંધી-આભાસી, ગાંધીટોપીધારી પ્રતીક તરીકેનું હતું? ‘ઉપવાસ થોડા વઘુ ચાલ્યા હોત તો કેન્દ્ર સરકાર ગબડી જાત’ એ પ્રકારના ભવ્ય ભ્રમોમાં રાચવા ટેવાયેલા અન્નાએ દિલ્હીની ચૂંટણી પછી કહ્યું કે તેમણે પ્રચાર કર્યો હોત તો આમઆદમી પક્ષને બહુમતી મળત. (પ્રચાર કરતાં તેમને કોણે રોક્યા હશે, એ વળી જુદો સવાલ છે)

યુવતી પર અત્યાચારના બનાવ અને ભ્રષ્ટાચારવિરોધી ચળવળને કારણે આમઆદમી પક્ષને દિલ્હીની ચૂંટણીમાં ઘણો ફાયદો થયો જણાય છે. સાથે ઉમેરવું જોઇએ કે ભ્રષ્ટાચારવિરોધી ચળવળમાં રહેલું જવાબદારી વગરની સત્તાનું અને ‘હઇસો હઇસો’નું વાંધાજનક પરિબળ આમઆદમી પક્ષની રચના પછી ઘણી હદે દૂર થયું છે. માટે, એ વધારે વાસ્તવિક અને વધારે નક્કર લાગે છે. આમ, અન્નાની ચળવળે ભલે આમઆદમી પક્ષને મજબૂત શરૂઆત પૂરી પાડી હોય, પણ એ ચળવળની સફળતા અને આમઆદમી પક્ષની સફળતાને એક ત્રાજવે તોળી શકાય નહીં. બન્નેનાં ઘણાં પરિમાણ જુદાં છે.

આમઆદમી પક્ષના ઉદય સાથે મોદીભક્તો માટે નવેસરથી મૂંઝવણ સર્જાઇ છે. અન્ના આંદોલન વખતે મુખ્યત્વે કોંગ્રેસવિરોધથી પ્રેરાઇને અન્ના-કેજરીવાલના આંદોલન સાથે ભળેલા ઉત્સાહીઓને જરા પણ અંદાજ નહીં હોય કે કેજરીવાલ અલગ પક્ષ સ્થાપીને બેઠકો જીતશે અને ભલે નાના પાયે, પણ તેમના પ્રિય પક્ષ અથવા પ્રિય સાહેબ સામે પ્રશ્નો ઊભા કરશે. આવા મિત્રો હવે આમઆદમી પક્ષ વિશે અનુકૂળ આશંકાઓ વહેતી મૂકવામાં વ્યસ્ત છે અથવા મીંઢું મૌન સેવી રહ્યા છે. કારણ કે, આમઆદમી પક્ષે લોકસભાની ચૂંટણી અને એ પણ દિલ્હી ઉપરાંત કેટલાક ઠેકાણેથી લડવાની તૈયારી બતાવી છે.

અગાઉ કહ્યું તેમ, આમઆદમી પક્ષ સંપૂર્ણ કે આદર્શ છે એવું માની લેવું નહીં. આર્થિક નીતિથી માંડીને વિવિધ નાગરિકસમુહોની સામેલગીરી બાબતે તેના પ્રત્યે અહોભાવને બદલે તપાસની દૃષ્ટિથી જોવું રહ્યું. પરંતુ અગાઉ કેવળ ‘સાહેબ’પ્રેમથી પ્રેરાઇને કોંગ્રેસના ભ્રષ્ટાચારની ટીકા કરનારા, હવે એ જ હેતુસર આમઆદમી પક્ષ વિશે આગોતરી આશંકાઓ વ્યક્ત કરવા લાગે અને તેનાં ચૂંટણીવચનો વિશે ટીકાટીપ્પણી કરવા બેસે, ત્યારે એવા લોકોને ‘સાહેબભક્ત’ તરીકે ઓળખી લેવાનું જરૂરી છે. લોકશાહીમાં ભક્તિ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મામલો છે, પણ તેને જાહેર હિત અથવા ભ્રષ્ટાચારના વિરોધ જેવા આદર્શ તરીકે રજૂ કરવામાં આવે તો એ છેતરપીંડી થાય. આવી છેતરપીંડી કરતા ‘સાહેબભક્તો’થી સાવધાન રહેવાનો આ સમય છે.

‘સાહેબ’ના પ્રખર સમર્થક એવા કોર્પોરેટ જગત માટે ‘આપ’નો ઉદય માઠા સમાચાર છે. કારણ કે મોટા રાજકીય પક્ષો સાથે તેમણે કરેલી ગોઠવણો સામે, ભલે સાવ નાના પાયે, પણ એક નવું બળ ઊભું થયું છે. કોર્પોરેટ જગતનું નાણાંકીય પીઠબળ વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તરફેણમાં રહેલું સૌથી મોટું પરિબળ મનાય છે. તેનું ગુજરાતી એવું થાય કે મોદી વડાપ્રધાન બને એ માટે કેટલાંક ઉદ્યોગજૂથોએ તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. તેનો સીધો કે આડકતરો અહેસાસ પ્રસાર માઘ્યમોમાં ચોક્કસ રીતે રજૂ થતા સમાચારો દ્વારા થઇ શકે છે.

‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી’ જેવા ઠાવકા અને ઠરેલ  સામયિકે નોંઘ્યું છે : ‘બધી ટીવી ચેનલો સતત એવો પ્રચાર કરતી હતી કે ‘આપ’નો દેખાવ સારો હોય તો પણ, છેવટે એ ‘સ્પોઇલર’- કેવળ બાજી બગાડનાર- બની રહેશે એ નક્કી છે. જોવાની વાત એ છે કે ભાજપ પણ આવું જ કહી રહ્યો હતો કે ‘આપ’ને આપેલો મત કોંગ્રેસને મદદરૂપ થશે. આ ચોક્કસપણે એક કાવતરું હતું જેમાં ભાગીદાર બનવા બદલ પ્રસાર માઘ્યમોમાંથી કેટલાંકને ગુનેગાર ઠેરવવાં પડે...કેટલીક ચેનલોએ ‘આપ’ને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો અને એ માટે ‘હેચેટ જૉબ’-દ્વેષયુક્ત કાવતરાબાજી-ની પણ મદદ લીધી...(કથિત સ્ટિંગ ઓપરેશનમાં) ફૂટેજ સાથે ચેડાં થયાં છે અને તેને વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ થયા પછી પણ આ ચેનલોએ માફી ન માગી. એ દર્શાવે છે કે એ લોકો ફક્ત અનૈતિક પત્રકારત્વ કરતા ન હતા. એ કાવતરામાં સામેલ પણ હતા.’ (વી.કૃષ્ણન્‌ અનંત, વેબ એક્સક્લુઝિવ, ઇપીડબલ્યુ, ૧૪-૧૨-૨૦૧૩)

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે કે કશો મોટો દાવ ન ખેલાય તો કોંગ્રેસે જાકારા માટે તૈયાર રહેવાનું છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનપદના ઉમેદવાર બનતાં પહેલાં, ‘દૂધપાક’ ખેલાડી મટીને સ્પષ્ટ અને જવાબદાર નેતાગીરી વિકસાવવાની જરૂર છે,

મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની શક્તિ વધી છે, છતાં હજુ સુધી શિવરાજસિંઘ જેવા નેતાઓને સદંતર ઝાંખા પાડીને તે પક્ષનો પર્યાય બન્યા નથી (ભાજપ માટે અને લોકશાહી માટે એ સારી નિશાની છે), કોંગ્રેસ-ભાજપ બન્નેનો કંઇક સન્માનજનક વિકલ્પ મળતો હોય તો લોકો મોદીતરફી આક્રમક પ્રચારમાં વહી જતા નથી અને કોંગ્રેસવિરોધનો બધો ફાયદો આપોઆપ ભાજપને મળી જવાનો નથી, આમઆદમી પક્ષને નીચો પાડવા માટે કોઇ મોટી કરામત કરવામાં ન આવે તો, લોકસભાની ચૂંટણીમાં બેપાંખીયો જંગ ધરાવતી કેટલીક બેઠકો પર આમઆદમી પક્ષ મજબૂત હરીફાઇ પૂરી પાડી શકે છે..

આમઆદમી પક્ષ વિવિધ રાજ્યોમાં રહેલાં નાગરિકતરફી અને નાગરિકોના હકમાં કામ કરતાં પરિબળોને રાષ્ટ્રિય સ્તરનું એક છત્ર પૂરું પાડે અને એ સૌ સાથે મળીને જવાબદાર રાજકારણમાં એક તાંતણે જોડાય, તો નવી શરૂઆતની આશા ઊભી થાય. એ બહુ અઘરું છે, પણ દેશના હિતમાં આવશ્યક અને અનિવાર્ય છે.