Showing posts with label T.N.Sheshan. Show all posts
Showing posts with label T.N.Sheshan. Show all posts
Monday, May 19, 2014
શેષનનો વારસો : ચૂંટણીપંચનો લડાયક મિજાજ
મુક્ત અને ન્યાયી મતદાનની દિશામાં ક્રાંતિકારી કદમ તરીકે શેષને મતદાર ઓળખપત્રો ફરજિયાત બનાવ્યાં. શેષનની પાંખો કાપવા માટે બીજા બે ચૂંટણી કમિશનરોની નિમણૂંકનો સરકારી દાવ પણ નિષ્ફળ રહ્યો. ચૂંટણી પંચનું જે કંઇ માહત્મ્ય છે, તે શેષને પાડેલા ચીલાને આભારી છે.
સ્વતંત્ર મિજાજથી કામ કરતા ચૂંટણી કમિશનર તરીકે શેષન રાજકારણીઓને- અને ખાસ કરીને ચૂંટણી પછી સત્તા ગુમાવનાર રાષ્ટ્રિય મોરચા-ડાબેરી મોરચાના નેતાઓને તો વિશેષ- નડવા લાગ્યા હતા. પરંતુ તેમને હોદ્દો કોઇ રાજકીય પક્ષની કૃપાથી મળ્યો ન હતો અને સત્તા માટે કોઇ નેતાની કૃપાની જરૂર ન હતી. બંધારણે તેમને સત્તા આપી હતી અને એ પાછી લેવાનો એક જ રસ્તો હતો : સંસદમાં તેમની સામે ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની દરખાસ્ત લાવવી અને તે બે તૃતિયાંશ બહુમતીથી પસાર કરવી.
નરસિંહરાવ સરકારના રાજમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે બે તૃતિયાંશ બહુમતીથી આ જાતની દરખાસ્ત પસાર કરવાનું અઘરું હતું. છતાં, રાષ્ટ્રિય મોરચાના અને ડાબેરી મોરચાના દાઝેલા સભ્યોએ, કંઇ નહીં તો જે થોડીઘણી પ્રસિદ્ધિ મળી એ ગણતરીએ, ગૃહના ૧૨૨ સભ્યોની સહીઓ ભેગી કરી અને ગૃહના અઘ્યક્ષ શિવરાજ પાટિલને આવેદનપત્ર આપ્યું. પરંતુ કોંગ્રેસ કે ભાજપ આ દરખાસ્તને ટેકો આપવાનાં ન હતાં. એટલે શેષનને દૂર કરવાનું તેમનું સ્વપ્ન સાકાર ન થયું.
શેષન મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા તે પહેલાં સરકારી અધિકારીઓ ચૂંટણીના કામને કે ચૂંટણીપંચને ગંભીરતાથી લેતા ન હતા. શેષને ઠરાવ્યું કે ચૂંટણી જાહેર થયા પછી જે સરકારી અધિકારીઓને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે તે કામચલાઉ ધોરણે ચૂંટણીપંચના તાબામાં ગણાશે અને તેમને ચૂંટણીપંચના નિયમો લાગુ પડશે. આ આદેશના ભંગના મુદ્દે શેષન લાંબી લડાઇ લડ્યા. ચૂંટણીપંચના આદેશ ન ગણકારનાર એક આઇ.એ.એસ.ને ઠપકો આપીને તેમણે બાબુશાહીનો રોષ વહોરી લીધો. કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ અને ચૂંટણીપંચ વચ્ચે રીતસરનું પત્રયુદ્ધ ફાટી નીકળ્યું. સરકારી સચિવનો મુદ્દો એ હતો કે સરકારી અફસરને શિસ્તભંગની સજા કરવાનો ચૂંટણીપંચને કોઇ અધિકાર નથી અને ભવિષ્યમાં તે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ન પડે.
સરકારની આડોડાઇથી છંછેડાયેલા શેષને બંધારણની જોગવાઇઓ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને ૧૭ પાનાંનો એક હુકમ કાઢ્યો. તેમનો કેન્દ્રીય મુદ્દો એ હતો કે સરકારનો આદેશ માનવામાં આવે તો ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થા બાબુશાહીને આધીન બની જાય અને લોકશાહીના પાયામાં ઘા લાગે. ચૂંટણીપંચ અને ભારત સરકાર વચ્ચેના આ મતભેદનો નીવેડો ન આવે ત્યાં સુધી ચૂંટણીપંચ બંધારણે સોંપેલી જવાબદારી પ્રમાણે ચૂંટણીનું કામ પાર પાડી શકે એવું શક્ય લાગતું નથી. આથી ચૂંટણીપંચ જાહેર કરે છે કે વર્તમાન વિવાદનો નીવેડો ન આવે ત્યાં સુધી તમામ પ્રકારની, રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવે છે. ભારત સરકાર જ્યાં સુધી ચૂંટણીને લગતી બંધારણીય જોગવાઇઓનો અને કાયદાનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી ચૂંટણીની કાર્યવાહી આગળ વધારવામાં નહીં આવે.
શેષનની જાહેરાતથી રાબેતા મુજબ ‘લોકશાહી ખતરેમેં’નું બૂમરાણ ઉઠ્યું. વી.પી.સિંઘે કહ્યું કે ફેક્ટરીઓમાં લૉક આઉટ થાય એ સાંભળ્યું છે, પણ લોકશાહીમાં લૉક આઉટ પહેલી વાર જોયું. લાંબા કાનૂની યુદ્ધ પછી સર્વોચ્ચ અદાલતે એ વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો કે ચૂંટણીના આયોજન કે ચૂંટણીની તારીખો વિશે પંચને સૂચનાઓ આપવાનું અદાલતના અધિકારક્ષેત્રમાં નથી. સામે પક્ષે ચૂંટણીપંચે ચૂંટણીઓ પરનો પોતે જાહેર કરેલો પ્રતિબંધ દૂર કર્યો અને નવી તારીખો જાહેર કરી.
ચૂંટણી પર પ્રતિબંધના આકરા નિર્ણયના એક મહિના પછી, શેષને વઘુ એક ફટાકડો ફોડ્યો. ભારતની ચૂંટણીમાંથી બોગસ વોટિંગ જેવાં દૂષણ નિવારવા માટે તેમણે કહ્યું કે ૧ જાન્યુઆરી, ૧૯૯૫ સુધીમાં બધા મતદારો પાસે ચૂંટણીપંચનું આપેલું ઓળખપત્ર આવી જવું જોઇએ. નહીંતર, ઓળખપત્રો નહીં આવે ત્યાં સુધી ચૂંટણી યોજવામાં નહીં આવે. આ જોગવાઇ શેષને પોતાના ખિસ્સામાંથી કાઢી ન હતી. ચૂંટણીપંચ સરકારને આ જાતની સૂચના આપી શકે એવી બંધારણમાં જોગવાઇ હતી. પંચ એક વાર વડાપ્રધાનને એ વિશે લખી ચૂક્યું હતું. પરંતુ દોઢ વર્ષ પછી પણ ત્યાંથી કશો જવાબ ન આવ્યો. એટલે પંચે વઘુ રાહ જોવાને બદલે સીધી ડેડલાઇનની જાહેરાત કરી દીધી.
શેષનનો સ્વતંત્ર મિજાજ સરકારને પરવડતો ન હતો અને તેમને દૂર કરવાનું શક્ય ન હતું. એટલે ખંધાઇભર્યા વચલા રસ્તા તરીકે, શેષન રજા પર ફરવા માટે ગયા ત્યારે તેમની ગેરહાજરીમાં વધારાના બે ચૂંટણી કમિશનરોને નિયુક્ત કરીને પંચની ઓફિસમાં હાજર કરી દેવામાં આવ્યા. એકથી વઘુ ચૂંટણી કમિશનર હોય એવું અગાઉ રાજીવ ગાંધીના સમયમાં બન્યું હતું- અને તેનો આશય મુખ્ય ચૂંટણી કમિશનરની સત્તા પર સરકારી રાહે કાપ મૂકવાનો હતો. આ વખતે પણ બીજા બે ચૂંટણી કમિશનરો - એમ.એસ.ગીલ અને જી.વી.જી.કૃષ્ણમૂર્તિ- નીમવાનો એકમાત્ર આશય શેષનની પાંખો કાપવાનો અને તેમને નકામા બનાવી દેવાનો હતો. હવે પછી પંચના નિર્ણયો બહુમતીથી લેવાય એવી ગોઠવણ કરવામાં આવી હતી, જેમાં સરકારે નીમેલા બે ચૂંટણી કમિશનરો એક તરફ રહેવાના હતા. આ બન્ને જણા રાષ્ટ્રપતિભવનના હુકમથી સજ્જ થઇને, પંચની ઓફિસમાં હોદ્દો સંભાળવા માટે હાજર થયા, ત્યાં સુધી શેષનને આખી કાર્યવાહીની હવા પણ ન લાગે તેની તકેદારી લેવામાં આવી હતી.
શેષનને બીજા બે કમિશનરોની નિમણૂંક વિશે જાણ થતાં જ પ્રવાસ ટૂંકાવીને પાછા ફરવાને બદલે, તેમણે પંચના અધિકારીને સૂચના આપી કે બન્ને કમિશનરોને જે સુવિધાઓ જોઇએ તે આપવી. બાકી, તે પાછા ફરીને જોઇ લેશે. ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે ચૂંટણીપંચમાં સત્તાની ખેંચતાણ અને તેમાં સરકારના કુટિલ દાવપેચ ચિંતાનો વિષય હતા. સરકારી કમિશનરોમાંથી ગિલ શેષન સાથે સૌમ્યતા અને સભ્યતાથી વર્ત્યા, પણ કૃષ્ણમૂર્તિએ મિટિંગમાં શેષનની હાજરીમાં તેમને કડકાઇથી પાઠ ભણાવવાની વાત કરી અને તેમના માટે ‘ઇડિયટ’, ‘સ્ટુપિડ’ , ‘ઇન્સેન’ (મૂર્ખામીના પર્યાય જેવાં વિશેષણો) વાપર્યાં.
શેષન મિટિંગમાં કંઇ બોલ્યા નહીં, પણ સર્વોચ્ચ અદાલતમાં તેમણે કરેલી રજૂઆતનો ટૂંક સમયમાં ચુકાદો આવી ગયો. તેમાં અદાલતે ઠરાવ્યું હતું કે ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર શેષનનો નિર્ણય જ આખરી ગણાવાનો હતો. બીજા કમિશનરોનો અભિપ્રાય તે માગી શકે, પણ એ બન્નેનો અભિપ્રાય શેષન માટે બિલકુલ બંધનકર્તા ન હતો. એટલે કે, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ‘બંધારણની ગંગોત્રીમાંથી સત્તા પ્રાપ્ત કરતા’ શેષનની વઘુ એક વાર જીત થઇ હતી.
ભારતીય ચૂંટણીમાં શેષનનાં બે ચિરંજીવી પ્રદાન એટલે મૉડેલ કોડ ઑફ કન્ડક્ટ (આચારસંહિતા) અને મતદારોનું ઓળખપત્ર (આઇ-કાર્ડ). આચારસંહિતા શેષનના દિમાગની પેદાશ ન હતી. તેમણે તો જે હતું તેને અમલમાં મૂકવાની મક્કમતા દેખાડી. તેનો વિરોધ કરતાં રાજકારણીઓએ દલીલ કરી કે આચારસંહિતા ફરજિયાત કે કાનૂની રાહે બંધનકર્તા ન હોઇ શકે. એ સ્વૈચ્છિક રીતે પાળવાની બાબત છે. પરંતુ શેષને તેનો અમલ કરાવી બતાવ્યો.
આચારસંહિતાના પ્રતાપે જ સત્તાધીશો ખુલ્લેઆમ-છડેચોક સરકારી સંસાધનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરતા અટક્યા. ચૂંટણી પહેલાં કરાતી લોલીપોપ સ્વરૂપ સરકારી જાહેરાતો શેષને પાછી ખેંચાવી. ચૂંટણી પ્રચાર વખતે રાજકીય પક્ષો દ્વારા ચીતરી મુકાતી દીવાલો ચૂંટણી પછી સાફ કરવાની જવાબદારી પણ રાજકીય પક્ષોની છે, એવું શેષને ઠરાવ્યું.
આચારસંહિતાને કાનૂની માન્યતા છે કે નહીં, તે અંગે સવાલ પૂછાતાં શેષને કહ્યું હતું, ‘તમારે જૂઠું બોલવું ન જોઇએ, એવું કહેવા માટે એકેય કાયદાની જરૂર છે?’ પોતાની તટસ્થતા વિશે શેષને ફૂટબોલની મેચની સરખામણી આપતાં કહ્યું હતું, ‘(મેદાન પર) હું (કોચ તરીકે) વ્હીસલ મારું ત્યારે સામે ખેલાડી તરીકે પેલે છે કે મારાદોના, એ જોતો નથી.’
સંખ્યાબંધ કાનૂની યુદ્ધો લડીને અને નેતાઓની નારાજગી વહોરીને શેષને સિદ્ધ કરેલી ચૂંટણીપંચની સર્વોપરિતા જળવાઇ રહે તે પંચના નહીં, દેશના નાગરિકોના અને લોકશાહીના હિતમાં છે.
સ્વતંત્ર મિજાજથી કામ કરતા ચૂંટણી કમિશનર તરીકે શેષન રાજકારણીઓને- અને ખાસ કરીને ચૂંટણી પછી સત્તા ગુમાવનાર રાષ્ટ્રિય મોરચા-ડાબેરી મોરચાના નેતાઓને તો વિશેષ- નડવા લાગ્યા હતા. પરંતુ તેમને હોદ્દો કોઇ રાજકીય પક્ષની કૃપાથી મળ્યો ન હતો અને સત્તા માટે કોઇ નેતાની કૃપાની જરૂર ન હતી. બંધારણે તેમને સત્તા આપી હતી અને એ પાછી લેવાનો એક જ રસ્તો હતો : સંસદમાં તેમની સામે ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની દરખાસ્ત લાવવી અને તે બે તૃતિયાંશ બહુમતીથી પસાર કરવી.
નરસિંહરાવ સરકારના રાજમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે બે તૃતિયાંશ બહુમતીથી આ જાતની દરખાસ્ત પસાર કરવાનું અઘરું હતું. છતાં, રાષ્ટ્રિય મોરચાના અને ડાબેરી મોરચાના દાઝેલા સભ્યોએ, કંઇ નહીં તો જે થોડીઘણી પ્રસિદ્ધિ મળી એ ગણતરીએ, ગૃહના ૧૨૨ સભ્યોની સહીઓ ભેગી કરી અને ગૃહના અઘ્યક્ષ શિવરાજ પાટિલને આવેદનપત્ર આપ્યું. પરંતુ કોંગ્રેસ કે ભાજપ આ દરખાસ્તને ટેકો આપવાનાં ન હતાં. એટલે શેષનને દૂર કરવાનું તેમનું સ્વપ્ન સાકાર ન થયું.
શેષન મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા તે પહેલાં સરકારી અધિકારીઓ ચૂંટણીના કામને કે ચૂંટણીપંચને ગંભીરતાથી લેતા ન હતા. શેષને ઠરાવ્યું કે ચૂંટણી જાહેર થયા પછી જે સરકારી અધિકારીઓને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે તે કામચલાઉ ધોરણે ચૂંટણીપંચના તાબામાં ગણાશે અને તેમને ચૂંટણીપંચના નિયમો લાગુ પડશે. આ આદેશના ભંગના મુદ્દે શેષન લાંબી લડાઇ લડ્યા. ચૂંટણીપંચના આદેશ ન ગણકારનાર એક આઇ.એ.એસ.ને ઠપકો આપીને તેમણે બાબુશાહીનો રોષ વહોરી લીધો. કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ અને ચૂંટણીપંચ વચ્ચે રીતસરનું પત્રયુદ્ધ ફાટી નીકળ્યું. સરકારી સચિવનો મુદ્દો એ હતો કે સરકારી અફસરને શિસ્તભંગની સજા કરવાનો ચૂંટણીપંચને કોઇ અધિકાર નથી અને ભવિષ્યમાં તે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ન પડે.
સરકારની આડોડાઇથી છંછેડાયેલા શેષને બંધારણની જોગવાઇઓ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને ૧૭ પાનાંનો એક હુકમ કાઢ્યો. તેમનો કેન્દ્રીય મુદ્દો એ હતો કે સરકારનો આદેશ માનવામાં આવે તો ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થા બાબુશાહીને આધીન બની જાય અને લોકશાહીના પાયામાં ઘા લાગે. ચૂંટણીપંચ અને ભારત સરકાર વચ્ચેના આ મતભેદનો નીવેડો ન આવે ત્યાં સુધી ચૂંટણીપંચ બંધારણે સોંપેલી જવાબદારી પ્રમાણે ચૂંટણીનું કામ પાર પાડી શકે એવું શક્ય લાગતું નથી. આથી ચૂંટણીપંચ જાહેર કરે છે કે વર્તમાન વિવાદનો નીવેડો ન આવે ત્યાં સુધી તમામ પ્રકારની, રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવે છે. ભારત સરકાર જ્યાં સુધી ચૂંટણીને લગતી બંધારણીય જોગવાઇઓનો અને કાયદાનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી ચૂંટણીની કાર્યવાહી આગળ વધારવામાં નહીં આવે.
શેષનની જાહેરાતથી રાબેતા મુજબ ‘લોકશાહી ખતરેમેં’નું બૂમરાણ ઉઠ્યું. વી.પી.સિંઘે કહ્યું કે ફેક્ટરીઓમાં લૉક આઉટ થાય એ સાંભળ્યું છે, પણ લોકશાહીમાં લૉક આઉટ પહેલી વાર જોયું. લાંબા કાનૂની યુદ્ધ પછી સર્વોચ્ચ અદાલતે એ વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો કે ચૂંટણીના આયોજન કે ચૂંટણીની તારીખો વિશે પંચને સૂચનાઓ આપવાનું અદાલતના અધિકારક્ષેત્રમાં નથી. સામે પક્ષે ચૂંટણીપંચે ચૂંટણીઓ પરનો પોતે જાહેર કરેલો પ્રતિબંધ દૂર કર્યો અને નવી તારીખો જાહેર કરી.
ચૂંટણી પર પ્રતિબંધના આકરા નિર્ણયના એક મહિના પછી, શેષને વઘુ એક ફટાકડો ફોડ્યો. ભારતની ચૂંટણીમાંથી બોગસ વોટિંગ જેવાં દૂષણ નિવારવા માટે તેમણે કહ્યું કે ૧ જાન્યુઆરી, ૧૯૯૫ સુધીમાં બધા મતદારો પાસે ચૂંટણીપંચનું આપેલું ઓળખપત્ર આવી જવું જોઇએ. નહીંતર, ઓળખપત્રો નહીં આવે ત્યાં સુધી ચૂંટણી યોજવામાં નહીં આવે. આ જોગવાઇ શેષને પોતાના ખિસ્સામાંથી કાઢી ન હતી. ચૂંટણીપંચ સરકારને આ જાતની સૂચના આપી શકે એવી બંધારણમાં જોગવાઇ હતી. પંચ એક વાર વડાપ્રધાનને એ વિશે લખી ચૂક્યું હતું. પરંતુ દોઢ વર્ષ પછી પણ ત્યાંથી કશો જવાબ ન આવ્યો. એટલે પંચે વઘુ રાહ જોવાને બદલે સીધી ડેડલાઇનની જાહેરાત કરી દીધી.
શેષનનો સ્વતંત્ર મિજાજ સરકારને પરવડતો ન હતો અને તેમને દૂર કરવાનું શક્ય ન હતું. એટલે ખંધાઇભર્યા વચલા રસ્તા તરીકે, શેષન રજા પર ફરવા માટે ગયા ત્યારે તેમની ગેરહાજરીમાં વધારાના બે ચૂંટણી કમિશનરોને નિયુક્ત કરીને પંચની ઓફિસમાં હાજર કરી દેવામાં આવ્યા. એકથી વઘુ ચૂંટણી કમિશનર હોય એવું અગાઉ રાજીવ ગાંધીના સમયમાં બન્યું હતું- અને તેનો આશય મુખ્ય ચૂંટણી કમિશનરની સત્તા પર સરકારી રાહે કાપ મૂકવાનો હતો. આ વખતે પણ બીજા બે ચૂંટણી કમિશનરો - એમ.એસ.ગીલ અને જી.વી.જી.કૃષ્ણમૂર્તિ- નીમવાનો એકમાત્ર આશય શેષનની પાંખો કાપવાનો અને તેમને નકામા બનાવી દેવાનો હતો. હવે પછી પંચના નિર્ણયો બહુમતીથી લેવાય એવી ગોઠવણ કરવામાં આવી હતી, જેમાં સરકારે નીમેલા બે ચૂંટણી કમિશનરો એક તરફ રહેવાના હતા. આ બન્ને જણા રાષ્ટ્રપતિભવનના હુકમથી સજ્જ થઇને, પંચની ઓફિસમાં હોદ્દો સંભાળવા માટે હાજર થયા, ત્યાં સુધી શેષનને આખી કાર્યવાહીની હવા પણ ન લાગે તેની તકેદારી લેવામાં આવી હતી.
શેષનને બીજા બે કમિશનરોની નિમણૂંક વિશે જાણ થતાં જ પ્રવાસ ટૂંકાવીને પાછા ફરવાને બદલે, તેમણે પંચના અધિકારીને સૂચના આપી કે બન્ને કમિશનરોને જે સુવિધાઓ જોઇએ તે આપવી. બાકી, તે પાછા ફરીને જોઇ લેશે. ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે ચૂંટણીપંચમાં સત્તાની ખેંચતાણ અને તેમાં સરકારના કુટિલ દાવપેચ ચિંતાનો વિષય હતા. સરકારી કમિશનરોમાંથી ગિલ શેષન સાથે સૌમ્યતા અને સભ્યતાથી વર્ત્યા, પણ કૃષ્ણમૂર્તિએ મિટિંગમાં શેષનની હાજરીમાં તેમને કડકાઇથી પાઠ ભણાવવાની વાત કરી અને તેમના માટે ‘ઇડિયટ’, ‘સ્ટુપિડ’ , ‘ઇન્સેન’ (મૂર્ખામીના પર્યાય જેવાં વિશેષણો) વાપર્યાં.
![]() |
| President SD Sharma with TN Sheshan, GVG krishnamurthy & MS Gill |
ભારતીય ચૂંટણીમાં શેષનનાં બે ચિરંજીવી પ્રદાન એટલે મૉડેલ કોડ ઑફ કન્ડક્ટ (આચારસંહિતા) અને મતદારોનું ઓળખપત્ર (આઇ-કાર્ડ). આચારસંહિતા શેષનના દિમાગની પેદાશ ન હતી. તેમણે તો જે હતું તેને અમલમાં મૂકવાની મક્કમતા દેખાડી. તેનો વિરોધ કરતાં રાજકારણીઓએ દલીલ કરી કે આચારસંહિતા ફરજિયાત કે કાનૂની રાહે બંધનકર્તા ન હોઇ શકે. એ સ્વૈચ્છિક રીતે પાળવાની બાબત છે. પરંતુ શેષને તેનો અમલ કરાવી બતાવ્યો.
આચારસંહિતાના પ્રતાપે જ સત્તાધીશો ખુલ્લેઆમ-છડેચોક સરકારી સંસાધનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરતા અટક્યા. ચૂંટણી પહેલાં કરાતી લોલીપોપ સ્વરૂપ સરકારી જાહેરાતો શેષને પાછી ખેંચાવી. ચૂંટણી પ્રચાર વખતે રાજકીય પક્ષો દ્વારા ચીતરી મુકાતી દીવાલો ચૂંટણી પછી સાફ કરવાની જવાબદારી પણ રાજકીય પક્ષોની છે, એવું શેષને ઠરાવ્યું.
આચારસંહિતાને કાનૂની માન્યતા છે કે નહીં, તે અંગે સવાલ પૂછાતાં શેષને કહ્યું હતું, ‘તમારે જૂઠું બોલવું ન જોઇએ, એવું કહેવા માટે એકેય કાયદાની જરૂર છે?’ પોતાની તટસ્થતા વિશે શેષને ફૂટબોલની મેચની સરખામણી આપતાં કહ્યું હતું, ‘(મેદાન પર) હું (કોચ તરીકે) વ્હીસલ મારું ત્યારે સામે ખેલાડી તરીકે પેલે છે કે મારાદોના, એ જોતો નથી.’
સંખ્યાબંધ કાનૂની યુદ્ધો લડીને અને નેતાઓની નારાજગી વહોરીને શેષને સિદ્ધ કરેલી ચૂંટણીપંચની સર્વોપરિતા જળવાઇ રહે તે પંચના નહીં, દેશના નાગરિકોના અને લોકશાહીના હિતમાં છે.
Labels:
politics,
T.N.Sheshan
Monday, May 12, 2014
શેષનનું ચૌદમું રતન : ગરબડ-ગોટાળા કર્યા છે? તો ચૂંટણી રદ
‘કોંગ્રેસના માણસ’ ગણાતા ટી.એન.શેષને મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા પછી કોઇની અને કશાની- ક્યારેક તો શિષ્ટાચારની પણ- સાડા બારી રાખ્યા વિના ભારતીય લોકશાહીની ગંગોત્રી જેવી ચૂંટણીપ્રક્રિયાને મહદ્ અંશે સ્વચ્છ અને સ્વતંત્ર બનાવી.
બે દાયકા પહેલાં ભાજપના ટોચના નેતા અડવાણીએ કહ્યં હતું, ‘(આઇ હેવ) ફેઇથ ઇન નેશન, બટ નોટ ઇન શેષન.’ (મને દેશ પર તો ભરોસો છે, પણ શેષન પર નથી.) તેમની અને બીજા ઘણા લોકોની એવી છાપ હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે મૂકાયેલા શેષન કોંગ્રેસના માણસ છે.
એવી શંકા રાખવાનાં કારણ પણ હતાં : શેષન વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં કેબિનેટ સેક્રેટરી અને આંતરિક સલામતીને લગતી બાબતોના સેક્રેટરી રહી ચૂક્યા હતા. રાજીવ ગાંધી પ્રત્યે તેમને ઘણો આદર હતો. ગયા સપ્તાહે વિગતે નોંઘ્યું હતું તેમ, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સ્વીકારવો કે નહીં, એ માટે તેમણે શબ્દાર્થમાં અડધી રાતે રાજીવ ગાંધીની સલાહ લીધી હતી. પરંતુ એક વાર હોદ્દે બેઠા પછી શેષને બહુ ઝડપથી બતાવી આપ્યું કે તે કોઇના ‘માણસ’ થઇ શકે એમ નથી.
ચૂંટણી પંચની ઓફિસમાં બેઠા પછી તેમણે સૌથી પહેલું ઘ્યાન ચૂંટણીમથકોની સલામતી પર આપ્યું. એ વખતે ફક્ત ઉત્તર પ્રદેશ-બિહાર જ નહીં, ગુજરાતમાં પણ બૂથ કેપ્ચરિંગની ઘટનાઓની નવાઇ ન હતી. શેષને ચૂંટણીપંચના અધિકારીઓને ચૂંટણીમથકોની સલામતી અને યોગ્યતાની તપાસ કરવા મોકલ્યા. તેમના ચરિત્રકાર કે.ગોવિંદન કુટ્ટીએ નોંઘ્યા પ્રમાણે, દેશભરમાં સાત લાખ ચૂંટણીમથક હતાં. પણ શેષન માનતા હતા કે માણસ જ્યાં મત આપવા જાય છે એ જગ્યાની સલામતી સાથે કશી બાંધછોડ થઇ શકે નહીં. શેષન પહેલાંના ચૂંટણી કમિશનરો ચૂંટણીમથકના રિટર્નિંગ ઓફિસરોની ભરતી માટે પણ સરકાર તરફથી આવેલી યાદી પર મત્તું મારી દેતા હતા. એવી સ્થિતિમાં રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ અદા કરનાા ઘણા સરકારી કર્મચારીઓ પ્રાથમિક નિયમોથી અજાણ રહેતા અને જાણેઅજાણે ગેરરીતિઓને ઉત્તેજન આપવામાં નિમિત્ત બનતા હતા. ન્યાયી ચૂંટણી આડે રહેલી આ પ્રાથમિક મર્યાદા શેષને એક ઝાટકે દૂર કરી અને રિટર્નિંગ ઓફિસરોની નિમણૂંક તથા તાલીમની કામગીરી ચૂંટણીપંચને હસ્તક લઇ લીધી. (ગયા સપ્તાહે નોંઘ્યું હતું તેમ, ચૂંટણીખર્ચની વિગતો ન આપવા બદલ પણ શેષને ૧૪ હજાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરી નાખી હતી.)
અડવાણીએ તેમની કુખ્યાત (સમર્થકોના મતે, વિખ્યાત) સોમનાથ-અયોઘ્યા રથયાત્રા કાઢી. તેમાં ભાજપના ચૂંટણીચિહ્ન કમળનો ભરપૂર ઉપયોગ થયો હતો. રાષ્ટ્રિય સ્તરે ભાજપના ઉદયની એ શરૂઆત હતી. આરંભે જ ભાજપના રથનું પૈડું ખેરવી નાખવાના આશયથી, કોંગ્રેસી નેતા અર્જુનસિંઘે ચૂંટણીપંચમાં ભાજપ સામે ફરિયાદ કરી. તેમનો મુદ્દો હતો : ભાજપે ધર્મ અને રાજકારણની ભેળસેળ કરીને તેમાં ચૂંટણીપ્રતિકનો દુરુપયોગ કર્યો છે. એટલે પક્ષ તરીકેની તેની માન્યતા રદ થવી જોઇએ.
આ ફરિયાદ પાછળનો આશય કાનૂનનો સહારો લઇને ભાજપને રાજકીય પછડાટ આપવાનો હતો. શેષનના આવતાં પહેલાં આ ફરિયાદ પંચ સમક્ષ આવી ચૂકી હતી, પણ અગાઉના કમિશનર તેને અડ્યા ન હતા. શેષને આવીને એક જ મહિનામાં આ સળગતું લાકડું હાથમાં લીઘું. એ સાથે જ ભાજપી નેતાગીરીના પેટમાં તેલ રેડાયું. અધૂરામાં પૂરું, થોડા મહિના પછી શેષને ઠરાવ્યું કે અર્જુનસિંઘ આ જાતની રજૂઆત (ફરિયાદ) કરી શકે છે અને તેમની ફરિયાદ દાખલ કરવાને પાત્ર છે.
આટલી કાર્યવાહીમાં ભાજપી નેતાઓને પોતાના રાજકીય ભવિષ્યના માથે તલવાર તોળાતી લાગી. શેષનના નિર્ણયો તેમને કોંગ્રેસના ખાંધિયાની ચાલબાજી જેવા લાગ્યા. ચૂંટણીપંચ પાસે આટલી સત્તા હોય એ તેમની કલ્પના બહારની વાત હતી. પરંતુ શેષને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને કહ્યું કે બંધારણ એ ચૂંટણીપંચની સત્તાની ગંગોત્રી છે. સંસદે પસાર કરેલો કાયદો મૌન હોય એવી બાબતોમાં ચૂંટણી કમિશનર હાથ જોડીને દૈવી પ્રેરણાની રાહ જોતો બેસી રહેવાને બદલે, પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.
અર્જુનસિંઘ અને કોંગ્રેસી છાવણીને લાગ્યું કે તેમના પાસા પોબાર પડી રહ્યા છે. પરંતુ શેેષનની વફાદારી માત્ર ને માત્ર બંધારણ અને કાયદા પ્રત્યે હતી. તેમણે ઊંડા અભ્યાસ પછી ચુકાદો આપ્યો કે લોકપ્રતિનિધિ કાનૂનની કલમ ૨૯-એ હેઠળ ચૂંટણીપંચ પક્ષની નોંધણીની સત્તા ધરાવે છે, પણ (પક્ષ પોતે વિખેરાઇ ગયા પછી સામેથી વિનંતી ન કરે ત્યાં સુધી) પક્ષની નોંધણી રદ કરવાની સત્તા ધરાવતું નથી. આ કાયદાની મર્યાદા છે અને ચૂંટણીપંચ તેની ઉપરવટ જઇ શકે નહીં. આવી સત્તા પંચ પાસે નહીં, પણ સંસદ કે અદાલત પાસે જ હોવી જોઇએ, એવું પણ તેમણે કહ્યું. કેમ કે, ચૂંટણીપંચ પાસે આવી સત્તા હોય તો એ બારે મહિના ને ચોવીસે કલાક રાજકીય પક્ષોની ગતિવિધિઓ પર નજર રાખવામાંથી જ ઊંચું ન આવે.
આ ચુકાદા પછી અડવાણી સહિત તમામ ભાજપી નેતાઓની શેષન વિશેની શંકા દૂર થઇ. પરંતુ શેષન દ્વારા લેવાયેલા સ્પષ્ટ અને બંધારણીય સત્તાનું બળ ધરાવતા નિર્ણયો મોટે ભાગે રાજકીય પક્ષો માટે અસંતોષકારક નીવડતા હતા.
શેષનની સૌથી ભારે ધાક ચૂંટણી રદ કરવાની બાબતમાં ઊભી થઇ. રાજીવ ગાંધીની હત્યા પછીના અરસામાં સરકાર પંજાબમાં ચૂંટણી થઇ જાય તેમ ઇચ્છતી હતી, પણ શેષનને મળેલા અહેવાલ સૂચવતા હતા કે પંજાબની સ્થિતિ ખરાબ હતી. સ્થળ પર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તેમને ચૂંટણી યોજવાયોગ્ય લાગી નહીં. એટલે પૂરતી તપાસ અને વિચાર પછી તેમણે પંજાબની ચૂંટણી મોકૂફ રાખી દીધી. સત્તાધારી જનતાદળને એ નિર્ણય ખટક્યો હતો, પણ સરકારોની-સત્તાધીશોની નારાજગીની પરવા કરવાનું શેષનના સ્વભાવમાં ન હતું. પટણા (બિહાર)માં તો તેમણે થઇ ગયેલી ચૂંટણી રદ કરી નાખી હતી.
બન્યું એવું કે ૨૦ મે, ૧૯૯૧ના રોજ પટણામાં ચૂંટણી થઇ. કેન્દ્રમાં જનતાદળની સરકાર. તેમાં લાલુપ્રસાદ યાદવની બોલબાલા અને પટણા બેઠક પરથી આઇ.કે.ગુજરાલ ચૂંટણી લડે. ૨૦ મેના રોજ ચૂંટણી તો થઇ, પણ મુખ્ય ચૂંટણી અધિકારી, રિટર્નિંગ ઓફિસર અને તટસ્થ નિરીક્ષકોએ શેષનને એવો અહેવાલ આપ્યો કે મતદાન દરમિયાન મોટા પાયે ગોટાળા થયા હતા. બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ બની હતી. ચૂંટણીપંચના સ્ટાફ પાસેથી મતપત્રકો આંચકી લેવાયાં હતાં. આખેઆખાં મતદાનમથક કબજે કરી લેવાયાં હતાં અને લોકોને મુક્ત રીતે મત આપતાં અટકાવાયા હતા. ચૂંટણી પહેલાં લાલુપ્રસાદ યાદવે શેષનને કહ્યું હતું, ‘મુઝે સેન્ટ્રલ પુલીસ કી જરૂરત નહીં હૈ. મૈં સબ અપને આપ કર લુંગા.’ તેનો ખરો અર્થ પોતાના સ્ટાફના અહેવાલો પરથી શેષનને સમજાઇ ગયો.
બીજા જ દિવસે તેમણે વિગતવાર કારણો આપીને પટણામાં યોજાયેલી ચૂંટણી મુક્ત અને ન્યાયી ન હોવાથી, તેને રદ જાહેર કરી. તેમના આ નિર્ણયથી ગુજરાલ અને જનતાદળની બળતરામાં ઉમેરો થયો, પણ ‘બંધારણની ગંગોત્રીમાંથી સત્તા મેળવતા ચૂંટણી કમિશનર’ સામે તેમનું કશું ચાલે એમ ન હતું. રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોએ મત આપવાના હોય, પરંતુ બિહારમાં બીજી ધાંધલ ઉપરાંત લાલુપ્રસાદ યાદવે ધારાસભ્યોના હાથમાંથી મતપત્રકો છીનવી લીધાના અહેવાલ આવ્યા. તેની તપાસ કરાવ્યા પછી શેષને એ ચૂંટણી પણ રદબાતલ જાહેર કરી. યાદવ અને જનતા દળના બીજા નેતાઓએ ‘લોકશાહીની કતલ’નું બૂમરાણ મચાવ્યું, પણ શેષનને તેનાથી કશો ફરક પડતો ન હતો.
ચૂંટણી રદ કરવાનું ચૌદમું રતન ઉગામતા શેષનની ધાકનો એક કિસ્સો લગભગ બે દાયકા પછી પણ યાદ છે. મોટે ભાગે બી.બી.સી. (હિંદી) રેડિયોના સંવાદદાતા ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના અહેવાલ માટે ધૂમી રહ્યા હતા. તેમનો ભેટો એક ગુંડા ઉમેદવાર સાથે થયો, જે ચૂંટણીનો દિવસ હોવા છતાં પોતાના ઘરમાં ભરાઇને બેઠો હતો. અનુભવી પત્રકારને એ દૃશ્ય જોઇને બહુ આશ્ચર્ય થયું : બૂથ કેપ્ચરિંગ જેવાં પરાક્રમો કરવાના દિવસે આ ભાઇ ડાહ્યાડમરા થઇને ઘરમાં કેમ બેઠા છે? પૂછતાં જવાબ મળ્યો, ‘આજે હું ઘરની બહાર પગ પણ મૂકું, તો પેલો માણસ (શેષન) ચૂંટણી રદ કરી નાખે.’
છેલ્લા થોડા વખતથી આઝમખાન- અમિત શાહ સહિતના નેતાઓને ચૂંટણી પંચ ચીમકીઓ આપીને જવા દે છે. છેલ્લે છેલ્લે તો નરેન્દ્ર મોદી પણ તેમના અસલ રાજાપાઠમાં આવી ગયા અને ચૂંટણી પંચને પોતાની સામે કાર્યવાહી કરવા માટે ખોટેખોટા પડકારો ફેંકી રહ્યા છે. આવા વખતે શેષન મુખ્ય ચૂંટણી કમિશનર હોત તો શું થાત, એ કલ્પવું અઘરું નથી. શેષને ઊભી કરેલી ચૂંટણી પંચની ધાક હજુ છેક ઓસરી ગઇ નથી, પણ પંચ શિક્ષાત્મક પગલાં લેવાને બદલે ચીમકીઓ અને વારંવાર તકો આપતું થઇ જશે, તો ધીમે ધીમે નેતાઓ પંચને ગણકારવાનું ઓછું કરી નાખશે.
રાજકીય દબાણો સામે ન ઝૂકવાને કારણે અને સત્તાધીશોને નારાજ કરવાને કારણે શેષનને હટાવવાની રાજકીય પક્ષોની હાર્દિક ઇચ્છા હોય, પણ તે બંધારણીય સંસ્થાના વડા હતા. એટલે તેમની સામે સંસદમાં મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ)ની દરખાસ્ત લાવવી પડે. જનતા દળ- ડાબેરી પક્ષોના સભ્યો એ માટે તૈયાર પણ થયા. તેમની એ યોજનાનું કેવું સૂરસૂરિયું થયું તેની વિગતો અને શેષનની બીજી યાદગાર કામગીરીની વાતો આવતા સપ્તાહે.
(ક્રમશઃ)
મુખ્ય આધાર : શેષન - એન ઇન્ટીમેટ સ્ટોરી, લેખક- કે.ગોવિંદન કુટ્ટી
બે દાયકા પહેલાં ભાજપના ટોચના નેતા અડવાણીએ કહ્યં હતું, ‘(આઇ હેવ) ફેઇથ ઇન નેશન, બટ નોટ ઇન શેષન.’ (મને દેશ પર તો ભરોસો છે, પણ શેષન પર નથી.) તેમની અને બીજા ઘણા લોકોની એવી છાપ હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે મૂકાયેલા શેષન કોંગ્રેસના માણસ છે.
એવી શંકા રાખવાનાં કારણ પણ હતાં : શેષન વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં કેબિનેટ સેક્રેટરી અને આંતરિક સલામતીને લગતી બાબતોના સેક્રેટરી રહી ચૂક્યા હતા. રાજીવ ગાંધી પ્રત્યે તેમને ઘણો આદર હતો. ગયા સપ્તાહે વિગતે નોંઘ્યું હતું તેમ, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સ્વીકારવો કે નહીં, એ માટે તેમણે શબ્દાર્થમાં અડધી રાતે રાજીવ ગાંધીની સલાહ લીધી હતી. પરંતુ એક વાર હોદ્દે બેઠા પછી શેષને બહુ ઝડપથી બતાવી આપ્યું કે તે કોઇના ‘માણસ’ થઇ શકે એમ નથી.
ચૂંટણી પંચની ઓફિસમાં બેઠા પછી તેમણે સૌથી પહેલું ઘ્યાન ચૂંટણીમથકોની સલામતી પર આપ્યું. એ વખતે ફક્ત ઉત્તર પ્રદેશ-બિહાર જ નહીં, ગુજરાતમાં પણ બૂથ કેપ્ચરિંગની ઘટનાઓની નવાઇ ન હતી. શેષને ચૂંટણીપંચના અધિકારીઓને ચૂંટણીમથકોની સલામતી અને યોગ્યતાની તપાસ કરવા મોકલ્યા. તેમના ચરિત્રકાર કે.ગોવિંદન કુટ્ટીએ નોંઘ્યા પ્રમાણે, દેશભરમાં સાત લાખ ચૂંટણીમથક હતાં. પણ શેષન માનતા હતા કે માણસ જ્યાં મત આપવા જાય છે એ જગ્યાની સલામતી સાથે કશી બાંધછોડ થઇ શકે નહીં. શેષન પહેલાંના ચૂંટણી કમિશનરો ચૂંટણીમથકના રિટર્નિંગ ઓફિસરોની ભરતી માટે પણ સરકાર તરફથી આવેલી યાદી પર મત્તું મારી દેતા હતા. એવી સ્થિતિમાં રિટર્નિંગ ઓફિસર તરીકે ફરજ અદા કરનાા ઘણા સરકારી કર્મચારીઓ પ્રાથમિક નિયમોથી અજાણ રહેતા અને જાણેઅજાણે ગેરરીતિઓને ઉત્તેજન આપવામાં નિમિત્ત બનતા હતા. ન્યાયી ચૂંટણી આડે રહેલી આ પ્રાથમિક મર્યાદા શેષને એક ઝાટકે દૂર કરી અને રિટર્નિંગ ઓફિસરોની નિમણૂંક તથા તાલીમની કામગીરી ચૂંટણીપંચને હસ્તક લઇ લીધી. (ગયા સપ્તાહે નોંઘ્યું હતું તેમ, ચૂંટણીખર્ચની વિગતો ન આપવા બદલ પણ શેષને ૧૪ હજાર ઉમેદવારોની ઉમેદવારી રદ કરી નાખી હતી.)
અડવાણીએ તેમની કુખ્યાત (સમર્થકોના મતે, વિખ્યાત) સોમનાથ-અયોઘ્યા રથયાત્રા કાઢી. તેમાં ભાજપના ચૂંટણીચિહ્ન કમળનો ભરપૂર ઉપયોગ થયો હતો. રાષ્ટ્રિય સ્તરે ભાજપના ઉદયની એ શરૂઆત હતી. આરંભે જ ભાજપના રથનું પૈડું ખેરવી નાખવાના આશયથી, કોંગ્રેસી નેતા અર્જુનસિંઘે ચૂંટણીપંચમાં ભાજપ સામે ફરિયાદ કરી. તેમનો મુદ્દો હતો : ભાજપે ધર્મ અને રાજકારણની ભેળસેળ કરીને તેમાં ચૂંટણીપ્રતિકનો દુરુપયોગ કર્યો છે. એટલે પક્ષ તરીકેની તેની માન્યતા રદ થવી જોઇએ.
આ ફરિયાદ પાછળનો આશય કાનૂનનો સહારો લઇને ભાજપને રાજકીય પછડાટ આપવાનો હતો. શેષનના આવતાં પહેલાં આ ફરિયાદ પંચ સમક્ષ આવી ચૂકી હતી, પણ અગાઉના કમિશનર તેને અડ્યા ન હતા. શેષને આવીને એક જ મહિનામાં આ સળગતું લાકડું હાથમાં લીઘું. એ સાથે જ ભાજપી નેતાગીરીના પેટમાં તેલ રેડાયું. અધૂરામાં પૂરું, થોડા મહિના પછી શેષને ઠરાવ્યું કે અર્જુનસિંઘ આ જાતની રજૂઆત (ફરિયાદ) કરી શકે છે અને તેમની ફરિયાદ દાખલ કરવાને પાત્ર છે.
આટલી કાર્યવાહીમાં ભાજપી નેતાઓને પોતાના રાજકીય ભવિષ્યના માથે તલવાર તોળાતી લાગી. શેષનના નિર્ણયો તેમને કોંગ્રેસના ખાંધિયાની ચાલબાજી જેવા લાગ્યા. ચૂંટણીપંચ પાસે આટલી સત્તા હોય એ તેમની કલ્પના બહારની વાત હતી. પરંતુ શેષને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને કહ્યું કે બંધારણ એ ચૂંટણીપંચની સત્તાની ગંગોત્રી છે. સંસદે પસાર કરેલો કાયદો મૌન હોય એવી બાબતોમાં ચૂંટણી કમિશનર હાથ જોડીને દૈવી પ્રેરણાની રાહ જોતો બેસી રહેવાને બદલે, પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.
અર્જુનસિંઘ અને કોંગ્રેસી છાવણીને લાગ્યું કે તેમના પાસા પોબાર પડી રહ્યા છે. પરંતુ શેેષનની વફાદારી માત્ર ને માત્ર બંધારણ અને કાયદા પ્રત્યે હતી. તેમણે ઊંડા અભ્યાસ પછી ચુકાદો આપ્યો કે લોકપ્રતિનિધિ કાનૂનની કલમ ૨૯-એ હેઠળ ચૂંટણીપંચ પક્ષની નોંધણીની સત્તા ધરાવે છે, પણ (પક્ષ પોતે વિખેરાઇ ગયા પછી સામેથી વિનંતી ન કરે ત્યાં સુધી) પક્ષની નોંધણી રદ કરવાની સત્તા ધરાવતું નથી. આ કાયદાની મર્યાદા છે અને ચૂંટણીપંચ તેની ઉપરવટ જઇ શકે નહીં. આવી સત્તા પંચ પાસે નહીં, પણ સંસદ કે અદાલત પાસે જ હોવી જોઇએ, એવું પણ તેમણે કહ્યું. કેમ કે, ચૂંટણીપંચ પાસે આવી સત્તા હોય તો એ બારે મહિના ને ચોવીસે કલાક રાજકીય પક્ષોની ગતિવિધિઓ પર નજર રાખવામાંથી જ ઊંચું ન આવે.
આ ચુકાદા પછી અડવાણી સહિત તમામ ભાજપી નેતાઓની શેષન વિશેની શંકા દૂર થઇ. પરંતુ શેષન દ્વારા લેવાયેલા સ્પષ્ટ અને બંધારણીય સત્તાનું બળ ધરાવતા નિર્ણયો મોટે ભાગે રાજકીય પક્ષો માટે અસંતોષકારક નીવડતા હતા.
![]() |
| કડક આચાર્યની ભૂમિકામાં શેષન (કાર્ટૂનઃ સુધીર તેલંગ/Sudhir Tailang) |
બન્યું એવું કે ૨૦ મે, ૧૯૯૧ના રોજ પટણામાં ચૂંટણી થઇ. કેન્દ્રમાં જનતાદળની સરકાર. તેમાં લાલુપ્રસાદ યાદવની બોલબાલા અને પટણા બેઠક પરથી આઇ.કે.ગુજરાલ ચૂંટણી લડે. ૨૦ મેના રોજ ચૂંટણી તો થઇ, પણ મુખ્ય ચૂંટણી અધિકારી, રિટર્નિંગ ઓફિસર અને તટસ્થ નિરીક્ષકોએ શેષનને એવો અહેવાલ આપ્યો કે મતદાન દરમિયાન મોટા પાયે ગોટાળા થયા હતા. બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ બની હતી. ચૂંટણીપંચના સ્ટાફ પાસેથી મતપત્રકો આંચકી લેવાયાં હતાં. આખેઆખાં મતદાનમથક કબજે કરી લેવાયાં હતાં અને લોકોને મુક્ત રીતે મત આપતાં અટકાવાયા હતા. ચૂંટણી પહેલાં લાલુપ્રસાદ યાદવે શેષનને કહ્યું હતું, ‘મુઝે સેન્ટ્રલ પુલીસ કી જરૂરત નહીં હૈ. મૈં સબ અપને આપ કર લુંગા.’ તેનો ખરો અર્થ પોતાના સ્ટાફના અહેવાલો પરથી શેષનને સમજાઇ ગયો.
બીજા જ દિવસે તેમણે વિગતવાર કારણો આપીને પટણામાં યોજાયેલી ચૂંટણી મુક્ત અને ન્યાયી ન હોવાથી, તેને રદ જાહેર કરી. તેમના આ નિર્ણયથી ગુજરાલ અને જનતાદળની બળતરામાં ઉમેરો થયો, પણ ‘બંધારણની ગંગોત્રીમાંથી સત્તા મેળવતા ચૂંટણી કમિશનર’ સામે તેમનું કશું ચાલે એમ ન હતું. રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોએ મત આપવાના હોય, પરંતુ બિહારમાં બીજી ધાંધલ ઉપરાંત લાલુપ્રસાદ યાદવે ધારાસભ્યોના હાથમાંથી મતપત્રકો છીનવી લીધાના અહેવાલ આવ્યા. તેની તપાસ કરાવ્યા પછી શેષને એ ચૂંટણી પણ રદબાતલ જાહેર કરી. યાદવ અને જનતા દળના બીજા નેતાઓએ ‘લોકશાહીની કતલ’નું બૂમરાણ મચાવ્યું, પણ શેષનને તેનાથી કશો ફરક પડતો ન હતો.
ચૂંટણી રદ કરવાનું ચૌદમું રતન ઉગામતા શેષનની ધાકનો એક કિસ્સો લગભગ બે દાયકા પછી પણ યાદ છે. મોટે ભાગે બી.બી.સી. (હિંદી) રેડિયોના સંવાદદાતા ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના અહેવાલ માટે ધૂમી રહ્યા હતા. તેમનો ભેટો એક ગુંડા ઉમેદવાર સાથે થયો, જે ચૂંટણીનો દિવસ હોવા છતાં પોતાના ઘરમાં ભરાઇને બેઠો હતો. અનુભવી પત્રકારને એ દૃશ્ય જોઇને બહુ આશ્ચર્ય થયું : બૂથ કેપ્ચરિંગ જેવાં પરાક્રમો કરવાના દિવસે આ ભાઇ ડાહ્યાડમરા થઇને ઘરમાં કેમ બેઠા છે? પૂછતાં જવાબ મળ્યો, ‘આજે હું ઘરની બહાર પગ પણ મૂકું, તો પેલો માણસ (શેષન) ચૂંટણી રદ કરી નાખે.’
છેલ્લા થોડા વખતથી આઝમખાન- અમિત શાહ સહિતના નેતાઓને ચૂંટણી પંચ ચીમકીઓ આપીને જવા દે છે. છેલ્લે છેલ્લે તો નરેન્દ્ર મોદી પણ તેમના અસલ રાજાપાઠમાં આવી ગયા અને ચૂંટણી પંચને પોતાની સામે કાર્યવાહી કરવા માટે ખોટેખોટા પડકારો ફેંકી રહ્યા છે. આવા વખતે શેષન મુખ્ય ચૂંટણી કમિશનર હોત તો શું થાત, એ કલ્પવું અઘરું નથી. શેષને ઊભી કરેલી ચૂંટણી પંચની ધાક હજુ છેક ઓસરી ગઇ નથી, પણ પંચ શિક્ષાત્મક પગલાં લેવાને બદલે ચીમકીઓ અને વારંવાર તકો આપતું થઇ જશે, તો ધીમે ધીમે નેતાઓ પંચને ગણકારવાનું ઓછું કરી નાખશે.
રાજકીય દબાણો સામે ન ઝૂકવાને કારણે અને સત્તાધીશોને નારાજ કરવાને કારણે શેષનને હટાવવાની રાજકીય પક્ષોની હાર્દિક ઇચ્છા હોય, પણ તે બંધારણીય સંસ્થાના વડા હતા. એટલે તેમની સામે સંસદમાં મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ)ની દરખાસ્ત લાવવી પડે. જનતા દળ- ડાબેરી પક્ષોના સભ્યો એ માટે તૈયાર પણ થયા. તેમની એ યોજનાનું કેવું સૂરસૂરિયું થયું તેની વિગતો અને શેષનની બીજી યાદગાર કામગીરીની વાતો આવતા સપ્તાહે.
(ક્રમશઃ)
મુખ્ય આધાર : શેષન - એન ઇન્ટીમેટ સ્ટોરી, લેખક- કે.ગોવિંદન કુટ્ટી
Labels:
politics,
T.N.Sheshan
Monday, May 05, 2014
રાજકીય પક્ષોને લાઇન પર લાવીને ચૂંટણીપંચની આણ વર્તાવનારા એકલવીર : ટી.એન. શેષન
ચૂંટણીના ઉમેદવારો પર અનેક પ્રકારની પાબંદી મુકતી આચારસંહિતા હોય કે મતદારોનાં ઓળખપત્રો- ચૂંટણીપ્રક્રિયાને વિશ્વસનીય બનાવતી આ જોગવાઇઓ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષનની દેન છે. ‘આલ્શેષન’ અને ‘બુલડૉગ’ જેવાં ઉપનામે ઓળખાતા શેષનની ચૂંટણીવિષયક કામગીરી ભારતીય લોકશાહીનું ઉજ્જવળ અને ન ભૂલવા જેવું પ્રકરણ છે.
ચૂંટણીના સમયમાં કયા શબ્દનો ઉપયોગ- અને ક્યારેક દુરુપયોગ- સૌથી વધારે થતો હશે? એ શબ્દ છેઃ ચૂંટણીપંચની આચારસંહિતા ઉર્ફે મૉડેલ કોડ ઑફ કન્ડક્ટ. તેનો ભંગ કરવાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું હોવા છતાં, ચૂંટણીપંચની સત્તાથી ખોફ ખાતા હોય એવા નેતાઓ પણ મોટા પ્રમાણમાં છે.
છેલ્લા લગભગ બે દાયકાથી ચૂંટણીપંચની સત્તાનો સિક્કો એટલો જામેલો છે કે તેને પડકારવાની હિંમત ભાગ્યે જ કોઇ કરે છે. આ સ્થિતિને સ્વાભાવિક ગણનારા ઘણાને અંદાજ પણ ન આવે કે આ જ ચૂંટણીપંચ ૧૯૮૦ના દાયકાના અંત સુધી કેવળ વઘુ એક સરકારી સંસ્થા હતી. બંધારણીય જોગવાઇઓ પ્રમાણે ચૂંટણીપંચ પાસે બહોળી સત્તાઓ હતી. તેનું અસ્તિત્ત્વ પણ સરકાર પર નિર્ભર ન હતું. તે સ્વતંત્ર બંધારણીય સંસ્થા હતી. પરંતુ નેતાઓ કે મતદારો સુધી એ સમાચાર પહોંચ્યા ન હતા. ખરેખર તો એમ કહેવું જોઇએ કે પહેલા નવ મુખ્ય ચૂંટણી કમિશનરોએ આ સમાચાર પહોંચવા દીધા ન હતા. તેમણે ચૂંટણીપંચને અપાયેલી સત્તાનો ઉપયોગ કદી કર્યો ન હતો.
તેનું પરિણામ એ આવ્યું કે ઘણાં સ્થળે ચૂંટણીઓ ફારસ જેવી બની ગઇ. બૂથ કેપ્ચરિંગ, ગુંડાગીરી, બોગસ વૉટિંગ, મતદારોને ધાકધમકી આપવી- આ બઘું જાણે ચૂંટણીપ્રક્રિયાનો હિસ્સો બની ગયું હતું. ચૂંટણીની કામગીરી માટે નીમાતા અધિકારીઓની પસંદગી પણ ચૂંટણીપંચ કરતું ન હતું. સરકાર દ્વારા મોકલવામાં આવેલી યાદી પર મુખ્ય ચૂંટણી કમિશનર મત્તું મારી આપે એટલે થયું. સત્તાધારી પક્ષો દ્વારા ચૂંટણીપ્રચારમાં સરકારી સાધનસામગ્રીનો બેફામ અને બેરોકટોક દુરુપયોગ થતો હતો. બંધારણીય જોગવાઇ તો એવી પણ હતી કે ઉમેદવારે ચૂંટણી માટે કરેલા ખર્ચની વિગત ચૂંટણીપંચને ફરજિયાતપણે આપવી. પરંતુ ખુદ પંચ જ એ વિશે ઉદાસીન હોય, તો ઉમેદવારો શા માટે તસ્દી લે?
હદ તો ત્યારે આવી જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર પેરી શાસ્ત્રીના અવસાન પછી, સરકારે એ જગ્યાએ નવી નિમણૂંક કરવાને, કેન્દ્ર સરકારનાં કાયદાસચિવ વી.એસ.રમાદેવીને કાર્યકારી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ આપી દીધો. આ તો એવી વાત થઇ કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી પડે તો એ સ્થાને લાયક વ્યક્તિની નિમણૂંક કરવાને બદલે, કોઇ સરકારી બાબુને વધારાના ચાર્જ તરીકે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનાવી દેવામાં આવે.
પરંતુ સરકારને મન ચૂંટણીપંચનું કેવું અને કેટલું મહત્ત્વ હતું, તે વઘુ એક વાર જણાઇ આવ્યું. વક્રતા એ વાતની હતી કે કાયદાસચિવ તરીકે રામદેવીએ પોતે સરકારનું ઘ્યાન દોરવું જોઇતું હતું કે એક સ્વતંત્ર બંધારણીય હોદ્દાનો ચાર્જ સરકારી બાબુને ભળાવવામાં બંધારણનો છડેચોક ભંગ થાય છે. પરંતુ તેમને કે સરકારને કે ચૂંટણીપંચમાંથી કોઇને એવું સૂઝ્યું નહીં. એ વખતે રાજીવ ગાંધીની કોંગ્રેસના ટેકાથી ચંદ્રશેખરની લઘુમતી સરકાર ચાલતી હતી. તેના કાયદા મંત્રી ડૉ.સુબ્રમણ્યમ્ સ્વામી હતા અને તેમના શિષ્ય- આઇ.એ.એસ. થયેલા ટી.એન. શેષન આયોજન પંચના સભ્ય હતા. ત્યાર પહેલાં રાજીવ ગાંધીની સરકારમાં તે કેબિનેટ સચિવ અને આંતરિક સુરક્ષા વિભાગના સચિવ પણ રહી ચૂક્યા હતા.
રાજકારણની આંટીધૂંટીમાં અને બેફામ બોલવામાં પાવરધા ડૉ.સ્વામી વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં ટી.એન.શેષનના ગુરુ રહી ચૂક્યા હતા. તેમને લાગતું હતું કે શેષનની પ્રતિભાનો વધારે સારો ઉપયોગ થવો જોઇએ. મુખ્ય ચૂંટણી કમિશનરનો ચાર્જ રમાદેવીને આપીને વિવાદમાં ફસાયેલા ચંદ્રશેખરને એ હોદ્દે કોઇ સારો માણસ નીમીને માનભેર વિવાદમાંથી બહાર નીકળવું હતું. તેમણે સ્વામીને વાત કરી. એટલે ડિસેમ્બર (૧૯૯૦)ની એક મોડી રાત્રે સ્વામી સજોડે શેષનના ઘરે ગયા અને આ દરખાસ્ત મૂકી. બે કલાક સુધી સમજાવટ કર્યા પછી સ્વામી ઊભા થયા ત્યારે રાતના (એટલે કે સવારના) ત્રણ વાગ્યા હતા. તેમણે નિર્ણય લેવા માટે શેષનને સાંજ સુધીનો સમય આપ્યો.
સ્વામીના ગયા પછી જરાય રાહ જોયા વિના શેષને રાજીવ ગાંધીને ફોન કર્યો અને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. આવા અસુરા સમયે પોતાના ભૂતપૂર્વ કેબિનેટ સચિવને વળી શું કામ પડ્યું હશે? રાજીવે તેમને કહી દીઘું કે પરમ દિવસ સુધી મળાય એવી કોઇ શક્યતા જ નથી. સામે છેડે શેષન કંઇ બોલ્યા નહીં, એટલે રાજીવે તેમને કહ્યું, ‘યુ આર અ રાસ્કલ.’ શેષને કહ્યું, ‘યસ સર.’ એમને ખબર હતી કે આ રાજીવ ગાંધીની સ્ટાઇલ હતી. પહેલાં ના પાડે, પણ પછી માની જાય. એમ જ થયું. રાજીવે શેષનને કહ્યું, ‘અત્યારે જ આવી જાવ.’
![]() |
| T.N.Sheshan meets Prime Minister Rajiv Gandhi as a cabinet Secretary |
રાજીવે ફક્ત પાંચ મિનીટ આપી હતી, પણ વાતો લાંબી ચાલી. રાજીવે પોતાના માટે અને શેષન માટે પણ ચોકલેટ મંગાવી. (બન્નેને ચોકલેટ બહુ પસંદ હતી.) રાજીવ ગાંધીને એ સમજાતું ન હતું કે શેષન જેવા માણસને મુખ્ય ચૂંટણી કમિશનર જેવો (એ વખતે ફાલતુ ગણાતો) હોદ્દો શા માટે આપવામાં આવે છે, પણ તેમણે શેષનને સલાહ આપી કે એ હોદ્દો સ્વીકારી લેવો જોઇએ. એટલું જ નહીં, શેષનના ચરિત્રકાર કે.ગોવિંદન કુટ્ટીએ ‘શેષન : એન ઇન્ટીમેટ સ્ટોરી’માં નોંઘ્યું છે તેમ, રાજીવ ગાંધીએ જાતે દરવાજો ખોલીને શેષનને વિદાય આપતી વખતે કહ્યું, ‘તમને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવા બદલ દાઢી (ચંદ્રશેખર) બહુ પસ્તાશે.’
ભૌતિકશાસ્ત્રના અઘ્યાપક એવા શેષનના સસરાએ ફેમિલી જ્યોતિષીની સલાહ ટાંકીને શેષનને આ હોદ્દો સ્વીકારી લેવાની સલાહ આપી. શેષન પોતે જ્યોતિષમાં બહુ માને, પરંતુ આખરી ફેંસલો તેમણે પોતાના ગુરુ, કાંચી કામકોટીના શંકરાચાર્ય પર છોડ્યો. માનવમનનો આ વિરોધાભાસ હંમેશાં નવાઇ પમાડે એવો હોય છે. શેષન જેવા અક્કડતાની હદે મક્કમ અને આત્મવિશ્વાસથી ભરેલા માણસ શંકરાચાર્યને પોતાની ‘સુપ્રીમ કોર્ટ’ તરીકે ગણાવે અને તેમના નિર્ણયને કશી અવઢવ વિના સ્વીકારી લે. પરંતુ આ કિસ્સામાં શેષનની શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા, લોકશાહી માટે ફળદાયી નીવડી. શંકરાચાર્યે શેષનને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો હોદ્દો સ્વીકારી લેવા કહ્યું, એટલે તેમને બીજું કશું વિચારવાનું ન હતું.
ડિસેમ્બર ૧૨, ૧૯૯૦ના રોજ ટી.એન.શેષને ભારતના દસમા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હોદ્દો સંભાળ્યો. એ વખતે તેમની ઉંમર ૫૭ વર્ષની હતી. દિલ્હીનાં રાજકારણીઓ અને બાબુશાહી વર્તુળો સિવાય બીજા કોઇએ ભાગ્યે જ શેષનનું નામ સાંભળ્યું હતું, પરંતુ હાર્વર્ડમાં લીધેલી પબ્લિક એડમિનિસ્ટ્રેશન- જાહેર વહીવટની તાલીમમાં શેષનની વ્યક્તિગત લાક્ષણિકતાઓ ભળવાથી ભારે વિસ્ફોટક સામગ્રી સર્જાઇ.
![]() |
| T.N.Sheshan |
મઝાની વાત એ છે કે જ્યોતિષમાં ભારે વિશ્વાસ ધરાવતા અને તેમના ચરિત્રકારના મતે રાજીવ ગાંધીના મૃત્યુની આગાહી કરી ચૂકેલા શેષન, શંકરાચાર્ય અને સત્ય સાંઇબાબાના ચરણોમાં બેસતા શેષન વ્યક્તિગત આસ્થા અને આસ્તિકતાને જાહેર વહીવટમાં તાણી લાવ્યા નહીં. નિર્વાચન સદન (ચૂંટણીપંચ)ની ઓફિસમાં હોદ્દો સંભાળ્યા પછી તેમણે સૌથી પહેલું કામ પોતાની કેબિનમાં રહેલાં દેવીદેવતાઓનાં કેલેન્ડર-તસવીરોને હટાવવાનું કર્યું. મુખ્ય ચૂંટણી કમિશનરની ઓફિસની દીવાલો પર સંખ્યાબંધ ભગવાનોની છબીઓ લટકતી હતી. અગાઉના ચૂંટણી કમિશનરોને ભારત જેવા દેશમાં ચૂંટણી યોજવાનું કામ દૈવી મદદ વિના કદાચ અશક્ય લાગ્યું હશે અથવા તેમને ‘છંછેડવાની’ હિંમત નહીં ચાલી હોય. પણ ચૂંટણી કમિશનર તરીકે શેષન કોઇને ગાંઠવાના મૂડમાં ન હતા. હોદ્દો સંભાળ્યા પછીના પહેલા જ કલાકમાં તેમણે દેવીદેવતાઓની તસવીરો દૂર કરાવી. દીવાલો ખુલ્લી અને ચોખ્ખી લાગી.
આ તો હજુ શરૂઆત હતી. પહેલાં તેમણે ઓફિસના દેદાર ઠીક કર્યા. ભંગાર કાઢ્યો. કચરો સાફ કરાવ્યો. કર્મચારીઓ સાથે કડકાઇથી કામ લેવાનું શરૂ કર્યું. બિનજરૂરી ઓવરટાઇમ બંધ કરાવ્યા. કેન્ટીન હોય કે શૌચાલય, ખરા અર્થમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું. જોતજોતાંમાં નિર્વાચન સદનની શકલ બદલાઇ ગઈ. હવે ચૂંટણીઓનો વારો હતો.
દરેક ઉમેદવારે ચૂંટણીમાં થયેલા ખર્ચની વિગત નક્કી કરેલા માળખામાં આપવી ફરજિયાત હતી. રિટર્નિંગ ઑફિસર કશી ચૂંથ વિના તેને સાચી માની લેતા હતા. તેમ છતાં, આટલી વિધિ કરવામાં પણ ઉમેદવારોને ચૂંક આવતી હતી. એવા ૪૦ હજાર કેસ ચૂંટણીપંચ સમક્ષ પડ્યા હતા. તેમાંથી ૧૪ હજાર ઉમેદવારોને શેષને ચૂંટણીખર્ચની વિગત ન આપવા બદલ ચોક્કસ સમયગાળા સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવી દીધા. તેમનું આ પગલું અભૂતપૂર્વ, ઐતિહાસિક અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓની એંધાણી જેવું હતું. રાજીવ ગાંધીની આગાહી પ્રમાણે, ચંદ્રશેખર તો નહીં, પણ બીજા ઘણા લોકો શેષનની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની નિમણૂંકથી બહુ દુઃખી થવાના હતા.
(ક્રમશઃ)
(મુખ્ય આધાર : શેષન - એન ઇન્ટીમેટ સ્ટોરી, લેખક- કે.ગોવિંદન કુટ્ટી
Labels:
books,
politics,
T.N.Sheshan
Subscribe to:
Posts (Atom)






