Showing posts with label nira radia. Show all posts
Showing posts with label nira radia. Show all posts
Wednesday, December 29, 2010
કેટલાક કાંદા-લીક્સ
ડુંગળીના તમતમતા ભાવવધારા નિમિત્તે જુદા જુદા નેતાઓ વચ્ચે કેવા પ્રકારની વાતચીત થઇ હશે, તેનો વાસ્તવિક રેકોર્ડ ‘વિકિલિક્સ’ જેવા કોઇ પાસેથી મળે ત્યારે ખરો, પણ અત્યારે આપણે કલ્પનાથી કામ ચલાવવું રહ્યું.
***
રાહુલ ગાંધીઃ કાંદા એટલે પેલું જ ને? તે દિવસે ઉત્તર પ્રદેશમાં ને પછી એક વાર બિહારમાં પેલી દલિત મહિલાને ઘેર ખાઘું હતું...
સોનિયા ગાંધીઃ શ્શ્શ્...ડોક્ટરસાહેબ પાસેથી બીજું કંઇ નહીં તો ચૂપ રહેવાનું તો શીખ. આ બહુ સંવેદનશીલ મુદ્દો છે. આમઆદમી સાથે સંકળાયેલો.
રાહુલ ગાંધીઃ હા, મને પણ ‘આમ’ બહુ ભાવે.
સોનિયા ગાંધીઃ બાબા! મેંગોની નહીં, કોમનમેનની વાત થાય છે.
રાહુલ ગાંધીઃ સોરી. સોરી. મેડમ પાર્ટી પ્રેસિડેન્ટ.
ડો.સિંઘઃ ઇટ્સ ઓલરાઇટ, રાહુલજી. તમારે કોઇ પણ સંજોગોમાં માફી માગવાની જરૂર નથી. નકામો રિવાજ પડી જાય ને લોકો આશા રાખતા થઇ જાય.
રાહુલ ગાંધીઃ તો એમાં વાંધો શું છે? ભૂલ થાય તો માફી ન માગવી પડે?
ડો.સિંઘઃ વાંધો? અરે, કૌભાંડોની સંખ્યા ને ગંભીરતા જોતાં બાકીનાં ત્રણ વર્ષ આપણે માફી જ માગ્યા કરવી પડશે. પછી રાજ ક્યારે કરીશું?
શરદ પવારઃ દરેક વાત વિરોધ પક્ષની દૃષ્ટિએ જોવાનો આપણો અભિગમ બદલવાની જરૂર છે. આપણે લોકોને રાજી થવાનું કહેવું જોઇએ કે આ રાજમાં ડુંગળી કરતાં સફરજન સસ્તાં થઇ ગયાં. આવું ને આવું ચાલશે તો ડુંગળીને બદલે સફરજન ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાતાં થઇ જશે. તમે જ કહો. આઝાદી પછીનાં સાઠ વર્ષમાં સફરજન આટલાં સસ્તાં થયાં છે કદી?...આઇડિયા! મને એક આઇડિયા આવે છે. આપણે આપઘાત કરનાર ખેડૂતોને વળતરની રકમ સાથે સફરજનનો એક ટોપલો આપીએ તો?
સોનિયા ગાંધી: ડોક્ટર, આ વૃષભમંત્રીને- આઇ મીન, કૃષિમંત્રીને- કંઇક કહો. એમનું મોં બંધ નહીં રહે તો આવતી ચૂંટણીમાં આપણે બધા ઘેર બેસીશું ને કોંગ્રેસને રાજકારણ છોડીને આઇપીએલમાં ટીમ ઉતારવાનો વારો આવશે.
પવારઃ ડોન્ટ વરી મેડમ, એમાં પણ અઢળક પૈસા છે. આપણે મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે?
ડો.સિંઘઃ આપણે નહીં, તમારે. અમારે તો ટપ ટપ સાથે પણ કામ હોય છે પવાર. ટપ ટપ થાય તો જ મમ મમ મળે, પણ તૈયાર ભાણે બેસનારાને એ ક્યાંથી સમજાય?
એ.રાજાઃ એક મિનીટ. મારે પણ કંઇક કહેવું છે. પવારસાહેબ, આઇપીએલમાં ઓક્શન કરવાની શી જરૂર છે? સ્પેક્ટ્રમની જેમ એના પણ ભાવ ઉચ્ચક નક્કી કરી નાખ્યા હોય તો?
દિગ્વિજયસિંઘઃ નીરા રાડિયાનો અવાજ આવો પુરૂષ જેવો કેમ થઇ ગયો? અરે...આ તો રાજા છે. સોરી, રાજા. હું થોડો દૂર બેઠો છું એટલે એકદમ ખ્યાલ ન આવ્યો.
ડો.સિંઘઃ પેલું નામ તમે બોલ્યા તે બોલ્યા. આજ પછી જાહેરમાં કે ખાનગીમાં એ નામ લેતા નહીં.
રાહુલ ગાંધીઃ હવે વિકિલિક્સના જમાનામાં જાહેર ને ખાનગીનો તફાવત ક્યાં રહ્યો જ છે! કોને ખબર, આપણી આ વાતચીત પણ રેકોર્ડ થતી હોય અને કાલે ઉઠીને કોઇ છાપા-મેગેઝીનમાં આવી જાય.
***
કાંદાના ભાવવધારા અંગે કેવી વ્યૂહરચના અપનાવવી એ અંગે ફાઇવ સ્ટાર હોટેલના કોન્ફરન્સ રૂમમાં ભાજપી નેતાઓની બેઠક મળી છે.
અરૂણ જેટલી (ઘૂંઆપૂંઆ અવાજે) : ટેબલ પર કાપેલા કાંદાની પાંચ-છ પ્લેટ, કાપેલાં લીંબુ, મીઠું, મરી...આ બઘું શું છે? કોણે મૂક્યું?
એક એટેન્ડન્ટ : સાહેબ, ગાંધીનગરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે બેઠક માટે બધી પાકી વ્યવસ્થા કરવાની છે.
અરૂણ જેટલી (ટાઢા પડીને): સારૂં, સારૂં હવે. મૂક્યાં છે તો ભલે રહ્યાં. અન્નદેવતાનું અપમાન ન થાય, પણ એટલું જોજો કે અહીં કોઇ ફોટો ન પાડે.
સુષ્મા સ્વરાજઃ ...અને ફોટો પાડે તો કાલે છાપામાં ન આવે.
ગડકરીઃ સાથીઓ, આપણે આ બધી ચર્ચા છોડીને મુદ્દાની વાત પર આવીએ.
મુરલી મનોહર જોષીઃ ઉમા ભારતીને પક્ષમાં પાછાં લેવાનાં છે કે નહીં?
રાજનાથસિંઘઃ ભવિષ્યમાં આપણે જીતીએ ત્યારે સરકારમાં મારૂં સ્થાન શું રહેશે?
સુષ્મા સ્વરાજઃ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના છે?
ગડકરીઃ મુદ્દાની વાત એટલે આ બધી ઘરકંકાસની વાત નહીં. દેશ માટે, દેશની પ્રજા માટે...
(સામુહિક પોકારો થાય છેઃ ભારતમાતાકી....જય. વંદે....માતરમ્)
ગડકરીઃ શાંતિ, શાંતિ. દેશનું નામ આવે એટલે સમસ્યાઓ બાજુ પર રાખીને સૂત્રો પોકારવાની વ્યૂહરચના આપણે જાહેરસભાઓ માટે રાખી છે. આપણી બેઠકોમાં એ દાવ અજમાવવાની જરૂર નથી. દેશની પ્રજાને કાંદાના અને શાકભાજીના વધેલા ભાવની ચિંતા છે અને... (એટેન્ડન્ટને) અરે ભાઇ, જરા શાંતિથી વાત તો કરવા દે. વળી પાછી આ શાની પ્લેટો આવી?
એટેન્ડન્ટઃ સાહેબ, ગરમાગરમ કાંદાભજિયાં છે. શિયાળામાં બહુ સારાં...ગાંધીનગરથી ફોન...
અડવાણીઃ પણ..પણ...
જેટલીઃ શું પણ? કોઇ માણસ પ્રેમથી આપણી સરભરા કરતો હોય ત્યારે જ બધા સિદ્ધાંત યાદ આવે છે? ઝીણાનાં વખાણ કરતી વખતે બઘું ક્યાં જાય છે?
ગડકરીઃ શાંતિ.. શાંતિ..આમ વિવાદમાં ઉતરવાથી પાર નહીં આવે.
અડવાણીઃ પણ મારૂં પૂરૂં સાંભળો તો ખરા. મારો વાંધો કાંદાભજિયાં સામે નથી, પણ એ જેમાં પીરસાયાં છે તે પ્લેટો પર મોદીજીના ફોટાની શી જરૂર હતી? અને ચટણીની કટોરીઓ ઉપર પણ મોદીજીનો નાનો ફોટો?
એટેન્ડન્ટઃ (નમ્રતાપૂર્વક) સાહેબ, ગાંધીનગરથી સૂચના તો એવી હતી કે દરેક ભજિયાની અંદરથી નીકળતા કાંદાના પતીકા પર મોદીસાહેબનો ફોટો હોવો જોઇએ. પણ અમારા શેફે કહ્યું કે એ નહીં બને. એટલે પછી પ્લેટ અને કટોરી પર ફોટોથી સંતોષ માનવો પડ્યો.
જેટલીઃ જોયું? આવી રીતે થાય રાજ!
ગડકરીઃ બસ. હવે બહુ થયું. દિલ્હી એ ગાંધીનગર નથી અને ભારત ગુજરાત નથી. આપણે કાંદાની અને આમજનતાની વાત કરીએ.
સુષ્મા સ્વરાજઃ તે કરોને. કોણે તમારા મોં પર તાળું માર્યું છે!
ગડકરીઃ (ઓઝપાઇને) એટલે હું એમ કહેતો હતો કે કાંદાના ભાવવધારાના મુદ્દે આપણે જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ)ની માગણી કરીએ અને ફરી એક વાર સંસદની કાર્યવાહી ખોરવી નાખીએ. કોંગ્રેસને આપણે એવી
ભીડવીએ, એવી ભીડવીએ કે...
એટેન્ડન્ટ: ...કે કાંદાના ભાવ ઘટી જાય?
ગડકરીઃ (ગુસ્સે થઇને): ચૂપ. તને રાજકારણમાં શી ખબર પડે?
અડવાણીઃ બરાબર છે. કાંદાના ભાવ પહેલી વાર આપણા રાજમાં વધેલા. આને બાપડાને કશી ખબર ન હોય ને કે આપણે કેટલા અનુભવી છીએ! તમારૂં સૂચન હું આવકારું છું.
સુષ્મા સ્વરાજઃ મારો પણ આ સૂચનને ટેકો છે. હવે ગાંધીનગરના હુકમથી અને નીરા રાડિયાની ગોઠવણથી કાંદાની ત્રીજી આઇટેમ આવે તે પહેલાં આપણે બેઠક બરખાસ્ત કરીએ?
ગડકરીઃ ખબરદાર, જો નીરાનું નામ ફરી લીઘું છે તો. આપણું બઘું જ રેકોર્ડ થાય છે. કદાચ આ બેઠકની કાર્યવાહીનું પણ છૂપું રેકોર્ડિંગ થતું હોય અને વિકિલિક્સ જેવા કોઇ તોફાનીના હાથમાં આવીને એ બહાર પડી જાય તો?
Wednesday, December 22, 2010
ભાવિ ભારતકથાઃ રાડિયા પછીનું ડહાપણ
આ વાર્તા સદીઓ પહેલાંની નથી. કદાચ અત્યારની પણ હોય. તે ભવિષ્યમાં કહેવાનારી ભારત દેશની વાર્તા છે. એ જ દેશ કે જેના અયોઘ્યા રાજ્યમાં એક જમાનામાં રાજા ભરતે મોટા ભાઇ રામની પાદુકા સિંહાસન પર મૂકીને બાર-બાર વર્ષ સુધી રાજ ચલાવ્યું હતું. આઘુનિક ભારતમાં આ પરંપરા ચાલુ હતી, પણ નવા જમાનામાં સિંહાસન પર શૂઝ મુકવાનું સારૂં ન લાગે, એમ વિચારીને જૂનવાણી રિવાજ પડતો મૂકવામાં આવ્યો હતો.
ભારત એવો દેશ હતો, જ્યાં સ્ત્રીઓને સળગાવવા, વેચવા અને શોષવા ઉપરાંત લખાણોમાં ને વાર્તાઓમાં તેમને પૂજવામાં પણ આવતી હતી. ‘બઘું પહેલાં આપણે ત્યાં જ શોધાયેલું છે’ એ વેદ/ઉપનિષદ/પુરાણ/શાસ્ત્ર/સંહિતાના વાક્ય પ્રમાણે સ્ત્રીનો ઉંચો દરજ્જો ભરતખંડ તરીકે ઓળખાતા ભારતમાં સૌથી પહેલાં સ્થપાયો હતો.
ભરતની પ્રોક્સી-રાજ પરંપરા અને પૌરાણક દેવી પરંપરાના અનુસંધાન તરીકે આઘુનિક ભારતમાં એક ‘ગોડમધર’નું રાજ ચાલતું હતું. ગોડમધર બહુ ત્યાગી સ્વભાવનાં હતાં. એટલે તેમણે સિંહાસન પર પોતાના ચપ્પલ મૂકવાના આગ્રહનો ત્યાગ કર્યો હતો, જેને ભારતની જનતાએ નતમસ્તકે, આંખમાં અહોભાવનાં આંસુ સાથે બિરદાવ્યો હતો.
રામ-ભરત અને ગોડમધરની સ્ટોરીમાં અનેક તફાવત હતા. અયોઘ્યામાં પાદુકા રામની, પણ રાજ ભરતનું ચાલતું હતું, જ્યારે ભારતમાં પાઘડી ગમે તેની હોય, રાજ ગોડમધરની પાવડીનું જ ચાલતું હતું. ઘણાં જનોને પ્રભુમાતા ઉર્ફે ગોડમધરે રસ્તા પર- પથ પર લાવી દીધા હતાં, ઘણાને પદભ્રષ્ટ-પથભ્રષ્ટ કર્યા ને કેટલાકને રસ્તે પણ ચડાવ્યા હોવાથી, ગોડમધરની ‘જગ્યા’ને સૌ ભક્તિભાવથી ‘જનપથ’ કહેતા હતા.
ગોડમધરની અદૃશ્ય પાદુકાઓ માથે લઇને રાજ ચલાવનાર જણ (કૌભાંડો પ્રત્યે) સ્થિતપ્રજ્ઞ હતા. પાદુકા જ્યાં લગી હલાવે નહીં, ત્યાં લગી એ હાલતા પણ નહીં. આ ખૂબીને લીધે તેમને (રામાયણ પરંપરા પ્રમાણે) ભરત ગણવા કે પછી જડભરત, એ વિશે આમજનતામાં ચર્ચા ચાલતી હતી. ગોડમધરના રાજમાં વટવૃક્ષ જેવી ભારતની કૌભાંડ પરંપરાને અનેક નવી વડવાઇઓ ફૂટી, જેની પર હીંચવા માટે વાનરસેનાએ હૂપાહૂપ કરી મૂકી. જોનારને એવું લાગે કે વડનું આખું વૃક્ષ હચમચી ગયું. પણ પાદુકા અને (જડ)ભરત શાંત બેઠા હતા. તેમના પેટનું પાણી પણ હાલ્યું ન હતું.
એક વાત કહેવાની રહી ગઇ. આ વાર્તા જે સમયની છે, તે વખતે ભારતમાં લોકશાહી તરીકે ઓળખાતી શાસનપદ્ધતિ હતી. ‘લોકશાહી’ ત્યારે વ્યાકરણની જ નહીં, રાજકારણની રીતે પણ મઘ્યમપદલોપી સમાસ ગણાતો હતો. ભારતમાં તેનો આખો અર્થ હતોઃ ‘લોકના નામે ચાલતી નેતાઓ-અફસરોની બાદશાહી.’
બ્રિટનની લોકશાહીની જેમ ભારતની લોકશાહીમાં પણ રાજા-રાણી હતાં. રાણીને બિનગુજરાતીઓ ‘રાની’ કહેતાં અને તેમના દોસ્તો, સાથીદારો, સાગરીતોમાં તે ‘રાની’ને બદલે ‘નીરા’ તરીકે ઓળખાતાં હતાં. તેમની એવી રાડ હતી કે તેમની ગેરહાજરીમાં લોકો તેમનો ‘રાડિયા’ તરીકે પણ ઉલ્લેખ કરતા. બ્રિટનની અને ભારતની ‘રાણીશાહી’માં મુખ્ય તફાવત એ હતો કે બ્રિટનમાં રાજા-રાણી સાચાં અને તેમની સત્તા નામની હતી, જ્યારે ભારતમાં રાજા-રાણી નામનાં, પણ તેમની સત્તા અસલી હતી.
‘રાની’ની માયાજાળ આખા દેશમાં ફેલાયેલી હતી. તેમનો પડ્યો બોલ ઝીલાતો, રણક્યો કોલ લેવાતો, ચીંઘ્યું કામ કરાતું. નેતાઓ-પત્રકારો-ઉદ્યોગપતિઓ આ બધા પોતપોતાના ક્ષેત્રના એક્કા ‘રાની’ આગળ પત્તાંની કેટના ગુલામ જેવા લાગતા હતા. ગોડમધરની જેમ ‘રાની’ પણ ત્યાગી પ્રકૃતિનાં હતાં. તેમને પોતાના સુખ કરતાં બીજાના સુખની, પોતાની ઇચ્છાપૂર્તિ કરતાં બીજાની ઇચ્છાપૂર્તિની સતત ખેવના રહેતી હતી. રાજા એવી વ્યક્તિઓમાંના એક હતા, જેમના યોગક્ષેમની જવાબદારી ‘રાની’એ લીધી હતી.
બીજાના કામ માટે ‘રાની’ અડધી રાત્રે પણ ગમે તેવા મોટા માણસને ફોન કરતાં કે તેમને કામ ચીંધતાં શરમાતાં નહીં. કામ પોતાનું ન હોવાથી ‘રાની’ના લહેકામાં કદી અરજદારનો દીન ભાવ સાંભળવા મળતો નહીં. તેમને પ્રસિદ્ધિની બિલકુલ પરવા ન હતી. તે હંમેશાં પરોપકારમાં રમમાણ રહેતાં. એટલે જ તેમના દરવાજે જરૂરતમંદોની કતાર લાગતી. તે કોઇને નિરાશ કરતાં નહીં. તેમનું પ્રિય ભજન હતું: વૈષ્ણવી-જન તો તેને રે કહીએ, જે ‘નીડ’ પરાઇ જાણે રે.
વાર્તાઓમાં આવતાં કેટલાંક પાત્રો માણસ ઉપરાંત પશુ-પંખીઓની ભાષા પણ સમજવાની શક્તિ ધરાવતાં હોય છે. ‘રાની’ રૂપિયાની ભાષા સમજવા અને સમજાવવામાં પાવરધાં હતાં. આ ભાષાના જોરે તે ધીમે ધીમે કરીને છેક ભારત પર રાજ કરતી પાદુકાઓ સુધી પોતાનો પ્રભાવ વિસ્તારી શક્યાં હતાં - અને કોને ખબર? ‘ભવિષ્યમાં આ પાદુકાઓ મારી હશે’ એવો વિચાર પણ કરતાં હોય. રાનીને કોઇ કહેવાવાળું કે રોકવાવાળું ન હતું.
રાની અને ગોડમધરનાં બે જ દૃષ્ટાંત પરથી ધારી શકાય છે કે એ સમયે ભારતમાં નારીશક્તિની કેવી બોલબાલા હશે. નારીતેજને કારણે રાજા અમુક લાખ કરોડ રૂપિયાના ગોટાળા કરવા સક્ષમ હોવા છતાં, લોકોને વધારે રસ ‘રાની’નાં પરાક્રમમાં પડતો હતો. રાની અને ગોડમધર વચ્ચે કેવાં સમીકરણ હશે તે કલ્પનાનો વિષય હતો. પરંતુ મોટાં મંદિરોમાં દર્શન કરવા જનારા લોકો પોતાની મેળે જવાબ શોધી લેતા હતા.
મોટો વિસ્તાર અને ભારે ભીડ ધરાવતાં મંદિરોમાં એવી ગોઠવણ હોય છે કે ભક્ત ભગવાનની મૂર્તિથી અનેક મીટર દૂર ઉભો હોય, પણ પોતાની જગ્યાએ ઉભા રહીને એ નારિયેળ ફોડે એટલે તેનું પાણી ઇલેક્ટ્રિક મોટર અને પાઇપલાઇન દ્વારા વહીને ભગવાનની મૂર્તિ સુધી પહોંચે અને ત્યાં એનો (કે એના જેવા બીજા પાણીનો) અભિષેક થતો ભક્તને દેખાય. આ વિધીમાંથી એક વાર પસાર થયેલા ભક્તોને બ્રહ્મજ્ઞાન થતું કે અર્ઘ્ય કે અભિષેક કરવા માટે ભૌગોલિક રીતે નજીક જવાની કે અડી અડીને ફોટા પડાવવાની જરૂર નથી. એ કામ દૂર રહીને, કોઇની આંખે ચડ્યા વિના પણ થઇ શકે છે.
‘રાની’ના પ્રભાવની આંચ છેક રાજસિંહાસનની પાદુકા સુધી પહોંચી એટલે પાદુકા અને પાદુકાધારક સળવળ્યા. ‘અબ પછતાવે ક્યા હોવત હૈ, જબ રાડિયા ચુગ ગઇ ખેત’ એમ વિચારીને બેસી રહેવાને બદલે તેમણે ‘રાની’-રાજાના સમાંતર સામ્રાજ્ય સામે જંગ આદર્યો. વાર્તા હોય એટલે એમાં લડાઇ તો આવવી જ જોઇએ- ભલે એ ટીવી સિરીયલોમાં આવતી સૈનિકોની તલવારબાજી જેવી નકલી અને હાસ્યાસ્પદ હોય.
લડાઇ થઇ. તેમાં રાજાને ‘જે પોષતું તે મારતું, તે સ્પેક્ટ્રમ દીસે છે કુદરતી’ એ સત્યનું ભાન કરાવવામાં આવ્યું. ‘રાની’ અને તેના કેટલાક ચુનંદા સાથીદારોની (‘વિકિલિક્સ’ની માફક, માહિતી લીક કરીને) ‘ટપક પદ્ધતિથી ખીંચાઇ’ કરવામાં આવી. અંતે, રાજા-‘રાની’ ધંધે લાગ્યાં અને પાદુકાઓએ રાજ કર્યું.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
nira radia,
religion,
sonia gandhi
Friday, December 10, 2010
રામાયણઃ લીક થયેલી ટેપ્સ અને અહેવાલોના આધારે
લીક થયેલી ટેલીફોન ટેપ્સથી કેવી રામાયણ સર્જાય છે એ હવે કોઇને સમજાવવાની જરૂર નથી. કલ્પનાનો વિષય એ છે કે રામાયણના જમાનામાં સેલફોન અને સેલફોન ટેપિંગ શોધાઇ ગયું હોત, તો રામાયણની ‘સ્ટોરી’ પ્રસાર માઘ્યમોમાં કેવા સ્વરૂપે આવી હોત?
***
અયોઘ્યાનું વારસકૌભાંડઃ વારસની પસંદગી પર પ્રકાશ પાડતી ફોન ટેપ્સ
અયોઘ્યા, તા.૫
અયોઘ્યાના સમ્રાટ દશરથરાજાના ઉત્તરાધિકારી તરીકે ભરતની નિમણૂંક અને રામની બાદબાકી ઘણા સમયથી ચકચારનું કારણ બનેલી છે. અયોઘ્યાના ગૃહ મંત્રાલયે એ દિશામાં તપાસના હેતુથી કેટલાક ફોન નંબરનું ટેપીંગ કર્યું હતું. તેના કેટલાક અંશો પ્રસાર માઘ્યમો સુધી પહોંચી જતાં સનસનાટી મચી જવા પામી છે. વારસકૌભાંડમાં એક મહિલાની ભૂમિકા સૌથી મહત્ત્વની જણાય છે. અત્યાર સુધી એ નામ કૈકેયી કે મંથરાનું હોવાની છાપ હતી, પણ ટેપ્સમાંથી મળતી માહિતી પ્રમાણે, એ મહિલા રાજપરિવારની ગૃહિણી નહીં, પણ પી.આર.એજન્સીની માલિકણ છે. ઘણા સમયથી તે અયોઘ્યામાં પી.આર.એજન્સી ચલાવે છે. એટલું જ નહીં, રાજા દશરથ ઉપરાંત શ્રીરામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, કૈકેયી અને દૂરના દેશ લંકામાં રાજ કરતા રાજા રાવણ- આ બધાનું પી.આર. પણ એ જ મહિલા સંભાળે છે. અત્યાર લગી દરેક આરોપોનો રદીયો આપવાને કારણે તે મહિલા ‘મિસ રદીયા’ તરીકે જાણીતી બની છે. અયોઘ્યા અને લંકાનાં હિતોનું એકસાથે રક્ષણ કરતી મિસ રદીયાની ભૂમિકા પર વઘુ પ્રકાશ પડે એ માટે ટેપ્સની ઝીણવટપૂર્વક તપાસ ચાલુ છે.
***
ટેલીફોન ટેપ્સઃ કેટલાક પ્રતિભાવ
અયોઘ્યા, મિથિલા અને વનપ્રદેશ, તા. ૭
રાજા જનકઃ વારસાકૌભાંડના પગલે મારાં દીકરી-જમાઇ સીતા-રામને વનમાં જવું પડ્યું ત્યારથી જ મને લાગતું હતું કે આ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. દોષનો આખો ટોપલો મિસ રદીયા પર ઢોળી દેવાનું ઠીક નથી. એમ તો એ મારૂં પી.આર. પણ કરે છે.
રાજા ભરતઃ મિસ રદીયા સાથે મારી વાતચીતની ટેપ હોય એનાથી કશું સાબીત થતું નથી. એમ તો મારા મોટા ભાઇ રામચંદ્રજીએ પણ મિસ રદીયા સાથે વાતચીત કરેલી છે. મિસ રદીયા ફક્ત અયોઘ્યાનાં જ નહીં, મારા ભાઇના સસરાનાં પણ પી.આર. છે.
રામચંદ્રજીઃ હું યુવરાજ હતો ત્યારથી મિસ રદીયાને ઓળખું છું. એ બહુ હોંશિયાર છે. ‘દશરથરાજાના અવસાન પછી ગાદી તમને જ મળવી જોઇએ’ એવું એમણે ફક્ત મને જ નહીં, અમને ચારેય ભાઇઓને અલગ અલગ રીતે કહ્યું હતું. મને ગાદીની પરવા નથી. એટલે તો હું અત્યારે વનમાં છું. પણ બહાર શું ચાલે છે એ જાણવા માટે પણ મિસ રદીયાના સંપર્કમાં રહેવું મારા માટે જરૂરી હતું.સીતાની ગઇ વર્ષગાંઠે મિસ રદીયાએ અમને લંકાનું હોલિડે પેકેજ ઓફર કર્યું હતું. કારણ કે એ લંકાનું પી.આર. પણ કરે છે.
કૈકેયીઃ મંથરાએ મને રદીયાના ધંધા વિશે કહ્યું ત્યારથી મને ખાતરી થઇ ગઇ હતી કે આ બઘું ક્યારેક છાપરે ચડીને પોકારશે. એટલે મેં રદીયા જોડેનું કામકાજ સાવ ઘટાડી દીઘું. એના કરતાં મંથરા લાખ દરજ્જે સારી.
***
અયોઘ્યાના સિંહાસન પર મૂકાયેલી પાદુકા શ્રીરામની નહીં, પણ મિસ રદીયાની છે?
અયોઘ્યા અને વનપ્રદેશ, તા.૨૧
વિવાદાસ્પદ વારસાકાંડમાં અનેક નવા ફણગા ફૂટી રહ્યા છે. સાથોસાથ અયોઘ્યા અને તેની આસપાસના પ્રદેશોમાં મિસ રદીયાના પ્રભાવની નવી વિગતો બહાર આવી રહી છે. એક ચેનલ પર પ્રસારિત થયેલા સનસનીખેજ અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અયોઘ્યાના રાજસિંહાસન પર મૂકાયેલી ‘શ્રી રામચંદ્રજીની પાદુકા’ ખરેખર મિસ રદીયાની પાદુકાઓ છે.
શ્રી રામચંદ્રજીએ વનમાં પોતાની કુટીરમાં આપેલા ઇન્ટરવ્યુમાં ચેનલના પ્રતિનિધિને જણાવ્યું હતું કે ભરત તેમને મળવા આવ્યો હતો, પણ તેમણે ભરતને કોઇ પાદુકા આપી નથી. ઉપરથી શ્રીરામને જંગલનિવાસ દરમિયાન તકલીફ ન પડે એ માટે ભરત અયોઘ્યાથી કેટલીક જાણીતી બ્રાન્ડની પાદુકાઓ લઇને આવ્યા હતા. ચેનલે કરેલી તપાસમાં એ પાદુકાઓ ભરત માટે મિસ રદિયાની એજન્સીએ, અયોઘ્યાના બજારમાં લંકાના ભાવે ખરીદી હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાઇઓ વચ્ચે પાદુકાઓની આપ-લેનો લાભ લઇને મિસ રદીયાએ પોતાની પાદુકાઓ શ્રી રામચંદ્રજીના નામે અયોઘ્યાના સિંહાસન પર મૂકાવી દીધી હોવાના સંકેત પણ એક ટેલીફોનિક વાતચીતમાંથી મળ્યા છે. અયોઘ્યા સિવાય બીજી જગ્યાઓએ સિંહાસન પર મિસ રદીયાની પાદુકાઓ ન હોય તો પણ રાજ તો એમનું જ ચાલે છે, એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
***
લંકાપતિ રાવણે કરેલું સીતાનું અપહરણઃ મિસ રદીયાની મઘ્યસ્થી?
અયોઘ્યા, તા. ૮
લંકાપતિ રાવણે સાઘુવેશે જઇને શ્રીરામચંદ્રનાં ધર્મપત્ની સીતાનું અપહરણ કર્યું હતું. આ સમાચારથી અયોઘ્યાની જનતામાં આઘાત અને રોષની લાગણી વ્યાપી હતી. શહેરમાં નીકળેલા એક સરઘસમાં રાવણનાં પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. સીતાજીના અપહરણની ઘટના અંગે મિસ રદીયાએ આશ્વાસન આપતાં કહ્યું હતું કે ‘શ્રી રાવણને હું વર્ષોથી ઓળખું છું. એ મારા ક્લાયન્ટ છે અને હું આખી વાતનો શાંતિપૂર્વક નીવેડો લાવવા બનતા તમામ પ્રયાસ કરી છૂટીશ.’ શ્રી રાવણની વિદ્વત્તાની પ્રશંસા કરતાં મિસ રદીયાએ કહ્યું હતું કે સામાન્ય સંજોગોમાં એ આવું કરે નહીં, પણ છેલ્લા ઘણા સમયથી મારી એમની સાથે વાત થઇ નથી.
***
સીતાના અપહરણમાં મિસ રદીયાનો હાથઃ રદીયા-રાવણ વાતચીતની ટેપમાંથી થયેલો ધડાકો
અયોઘ્યા, તા. ૧૦
વારસાકૌભાંડે લીધેલા નવા અને અણધાર્યા વળાંકમાં મિસ રદીયા અને લંકાપતિ રાવણ વચ્ચે થયેલી વાતચીતની એક ટેપે ધરતીકંપ સર્જ્યો છે. તેમની વચ્ચે થયેલી વાતચીતના અંશ.
રદીયાઃ હાય.
રાવણઃ હાય રદીયા.
રદીયાઃ ફાઇન. પણ હમણાં અયોઘ્યામાં જરા ઠંડું ચાલે છે. મને લાગે છે કે તમારે એમાં કંઇક રસ લેવો જોઇએ.
રાવણઃ કઇ જાતનો રસ?
રદીયાઃ તમે એવું કંઇક કરો કે જેનાથી બઘું અવળસવળ થઇ જાય અને પછી...હું મારી ઇચ્છા પ્રમાણે બઘું ગોઠવી શકું.
રાવણ: પણ એવું હું શા માટે કરૂં?
રદીયાઃ યુ નો ધેટ. અયોઘ્યાના ટોપ ૧૦ કોર્પોરેટ્સ મારા ક્લાયન્ટ છે. તમે કહો એટલું ઇન્વેસ્ટમેન્ટ હું લંકામાં કરાવી દઊં. આખી લંકાને સ્વર્ણિમ બનાવી દઊં. કહો તો અયોઘ્યાનાં મોટાં જાહેર સાહસોમાં થોડો ભાગ તમારો થઇ જાય એવું ગોઠવી દઊં.
રાવણઃ પણ મારે કરવાનું શું છે?
રદીયાઃ રામની પત્ની સીતાનું અપહરણ.
(નાના ખટકા સાથે ટેપ અધવચ્ચેથી અટકી જાય છે. ત્યાર પછી ફક્ત ઘરઘરાટી સંભળાય છે.)
***
મિસ રદીયાની ઓફિસો પર દરોડા, તપાસ
અયોઘ્યા, મિથિલા, તા. ૧૪
ગઇ કાલે મોટી સાંજે અયોઘ્યામાં આવેલી પાંચ ઓફિસ સહિત મિસ રદીયાની કુલ ૧૩ ઓફિસ પર સ્થાનિક ગુપ્તચરો ત્રાટક્યા હતા. તેમની સાથે વિવિધ વિભાગોના અફસરો પણ સામેલ હતા. મિસ રદીયાએ ટીવી કેમેરા સમક્ષ સ્માઇલ આપતાં કહ્યું હતું કે પોતે તમામ પ્રકારની તપાસમાં સહકાર આપશે. લંકાપતિ સાથે તેમની ટેપની વિગત બહાર આવ્યા પછી બન્ને વચ્ચે ફોનની સંખ્યા ઘણી વધી ગઇ હોવાનો પણ ગુપ્તચર અહેવાલ છે.
***
રામ-રાવણ યુદ્ધ : શ્રી રામની ભવ્ય જીત
લંકા, તા. ૨૮
અયોઘ્યા સરકારે પ્રગટ કરેલી અખબારી યાદી પ્રમાણે, રાવણ સામેના યુદ્ધમાં મિસ રદીયાની મદદથી શ્રીરામની ભવ્ય જીત થઇ છે. સરકારી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, બન્ને પક્ષોએ મિસ રદીયાની એજન્સી મારફતે હથિયારોની ખરીદી કરી હતી. વાનરસેના અને રાક્ષસસેનામાં ભરતીની કામગીરી પણ મિસ રદીયાની એજન્સીને જ મળી હતી, પરંતુ છેલ્લી ઘડીની સોદાબાજીમાં રાવણે મિસ રદીયાની ઇચ્છા મુજબ વર્તવાનો ઇન્કાર કરી દેતાં, યુદ્ધનું પલ્લું શ્રીરામ તરફ નમી ગયું.
વિજય પછીની ભવ્ય ઉજવણીમાં અયોઘ્યાના ગૃહમંત્રીએ મિસ રદીયાની ભૂમિકા બિરદાવતાં કહ્યું હતું કે ‘મિસ રદીયા તો રતન છે રતન!’ ખુદ શ્રીરામચંદ્રજીએ ભગવાન શૈલીમાં કહ્યું હતું કે દર યુગે મારૂં અવતરણ થાય કે ન થાય, મિસ રદીયાઓ દરેક યુગે અવતરતી રહેશે.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
media,
nira radia,
politics
Subscribe to:
Posts (Atom)