Showing posts with label hvunmor-satire/હાસ્ય-વ્યંગ. Show all posts
Showing posts with label hvunmor-satire/હાસ્ય-વ્યંગ. Show all posts

Saturday, March 19, 2016

પરીક્ષા અને ચોરી : ભૂલો ભલે બીજું બધું...

ક્યાં ગઇ એ ભારતીય પરંપરા, જેમાં ભક્તશિરોમણી એ જ કહેવાતો હતો, જે ભગવાનની પરીક્ષામાં પાસ થાય. પરીક્ષા લેવાનું કામ ત્યારે ભગવાનનું હતું અને ફેસબુક-ટ્વીટર ન હોવાથી ભક્ત શબ્દની વ્યાખ્યા પણ મર્યાદિત હતી. ત્યારે સેમેસ્ટર પ્રથા પણ ન હતી. ભગવાનની પરીક્ષા એ રીતે જૂનવાણી શૈલીની વાર્ષિક પરીક્ષા જેવી રહેતી, જેમાં જનરલ ઓપ્શન કે એમસીક્યૂનો રિવાજ પણ ન હતો. આવી પરીક્ષા કઠણ પડે એ સ્વાભાવિક છે, પણ એમા પાસ થનારાનું નામ થઇ જતું—બોર્ડના નંબરીઓની જેમ કામચલાઉ નહીં, પણ કાયમી.  

ભગવાન દ્વારા લેવાતી ભક્તોની અને બોર્ડ દ્વારા લેવાતી વિદ્યાર્થીઓની પરીક્ષામાં સૌથી મોટો તફાવત એ છે કે બોર્ડની પરીક્ષામાં ચોરીને અવકાશ રહે છે. એ દૃષ્ટિએ કોઇને બોર્ડની પરીક્ષા વધારે માનવીય કે માનવતવાદી લાગી શકે. પરીક્ષા લેનારા પણ કાળા માથાના માણસ હોય ત્યારે આટલો ફરક (અને ફાયદો) રહેવાનો. રાજકારણમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઇએ, સમાજમાં જ્ઞાતિના ભેદભાવ ન હોવા જોઇએ, એવી જ રીતે સૈદ્ધાંતિક ભૂમિકાએ કહેવાય છે કે પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ચોરી ન કરવી જોઇએ. પરંતુ આ ત્રણે બાબતોમાં વાસ્તવિકતા શી  છે, તે સૌ કોઇ જાણે છે. જ્ઞાતિના ભેદભાવ આપણા સમાજનો સાંસ્કૃતિક વારસો બની ચૂક્યા છે, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે, તો પછી વર્ષોથી ચાલી આવતી પરીક્ષામાં ચોરીની પરંપરાને પણ સંસ્કૃતિનો દરજ્જો શા માટે ન આપવો?

બોર્ડના અફસરોથી માંડીને ક્લાસના સુપરવાઇઝર સુધીના લોકો શિસ્ત કે સદાચારના નામે ચોરી અટકાવવા માટે
અનેક પ્રકારના ઉપાયો પ્રયોજે છે. ફ્લાઇંગ સ્ક્વોડથી માંડીને સીસી ટીવી કેમેરા જેવી વ્યવસ્થાઓ યોજવામાં આવે  છે. છતાં, કડક પરીક્ષાની બાબતમાં કાળા માથાનો માનવી કદી ભગવાનની બરાબરી કરી શકતો નથી અને ચોરી કરનારા કે કરાવનારા સાંસ્કૃતિક વારસો જીવંત રાખવાના અથાગ પ્રયાસ કરે છે. સ્માર્ટફોન પહેલાંના જમાનામાં કેટલાક ઉદ્યમીઓ કુટુંબ પ્રત્યેના પ્રેમથી કે લક્ષ્મીદેવીની આરાધના ખાતર માણસમાંથી ડમી બનવાનું પસંદ કરતા. લોકો જ્યાં પોતાની પરીક્ષા આપવા તૈયાર નથી, ત્યાં આ લોકો બીજાની પરીક્ષા (વાજબી કિંમતે) પોતાના માથે ઓઢી લેતા હતા. તેમની પરોપકારવૃત્તિની કદર કરવાને બદલે તેમને ડમી જેવી તુચ્છકારસૂચક ઓળખ આપવામાં આવી. પરિણામે તેમની સંખ્યામાં ઘટાડો થયો અને એ પ્રથા ધીમે ધીમે લુપ્ત થઇ.

ધર્મગ્રંથો કહે છે કે પાપીને હણવાથી પાપ હણાઇ જતું નથી. એવું પણ કહેવાય છે કે કૂકડો બોલે તો જ સવાર પડે એવું નથી હોતું. ડમી ઉમેદવાર સિવાય પણ પરીક્ષામાં ચોરીની સંસ્કૃતિ ટકાવી રાખવાની અનેક રીતો છે. એ માટે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, તેમનાં પરિવારજનો પણ ઉત્સાહી અને પ્રયત્નશીલ હોય છે. એક સમય એવો હતો કે પરીક્ષાકેન્દ્રો પર સેંકડો વાલીઓનાં ટોળાં ઉમટતાં. તેમનામાંથી છલકાતો સંતાનપ્રેમ કાબૂમાં રાખવા માટે પોલીસે ટીયરગેસનો પ્રયોગ કરવો પડતો હતો. બોલો, કેવો હળહળતો અન્યાય.  માણસ પોતાના સંતાનનું હિત અને સાંસ્કૃતિક પરંપરાનું હિત પણ રક્ષી ન શકે.

પોલીસો અને બોર્ડના કડક અધિકારીઓ સમજતા નથી કે બોર્ડમાં વધારે ટકા લાવીને કે પાસ થઇને છોકરાં કશો કાંદો કાઢવાનાં નથી. કોલેજોમાં એડમિશનના ધક્કા ખાતાં અથવા માર્કશીટ લઇને લાઇનમાં ઉભેલાં છોકરાંનો સીન એક વાર આ સ્ક્વોડવાળા અને બોર્ડવાળા જોઇ આવે તો એ લોકો વિદ્યાર્થીઓને સજા તરીકે પરીક્ષામાં પાસ કરી દે. પરંતુ આ ઊચ્ચ ફિલસૂફીભરી ભૂમિકા મોટા ભાગના લોકોની માનસિકતાને અનુકૂળ નથી હોતી.

વિદ્યાર્થીને તેનાં કુટુંબીજનો પરીક્ષાકેન્દ્ર પર લેવા-મૂકવા જાય એ રિવાજ વર્ષોથી સંતાનપ્રેમનું પ્રતીક ગણાતો હતો. આખું ગામ બોર્ડની પરીક્ષા આપતાં તેમના બાબાબેબીઓને મૂકવા જતું હોય ત્યારે, ‘એમાં મૂકવા શું જવાનું? રોજ એકલો જ સ્કૂલે જાય છેએવું કહેનાર પિતાની ગણના કંસ અને રાવણની હરોળમાં થવાની બીક રહેતી હતી. કળિયુગની અસર વધે છે તેમ વાલીઓનો સંતાનપ્રેમ ઓસરવાને બદલે માથે ચડતો જાય છે. હવે સંતાનોની દસમા-બારમાની પરીક્ષા હોય એટલે વાલીઓને ઉજાગરા થાય છે. પોતાના ચિરંજીવી વાંચતા હોય એટલે તેમને કંપની આપવા અને તેમની યથાયોગ્ય ખિદમત કરવા માટે ઘરમાંથી એક સભ્ય જાગે છે. બાળકને સરહદ પર કેસરિયાં કરવા જવાનું હોય એવાં લાડ લડાવવામાં આવે છે. પાણી માગતાં દૂધ, ચા માગતાં ચા-નાસ્તો અને પેન માગતાં પેનનું બોક્સ હાજર કરવામાં આવે છે. ચબરખી માગતાં આખા પ્રશ્નપત્રના જવાબો ઉપલબ્ધ કરાવી આપવા, એને સંતાનપ્રેમની પરાકાષ્ઠા ગણી શકાય.

ઘણા વાલીઓ બોર્ડની પરીક્ષા દરમિયાન નોકરીમાં રજા મૂકી દે છે. સંતાનોને અઘરું પેપર જોઇને ટાઢ ચડે તો તેમના માટે હૂંફની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે વાલીઓ પરીક્ષાકેન્દ્રો પર એકઠા થાય છે. ત્યાં ઘણા નિવૃત્ત અથવા અતિપ્રવૃત્ત શિક્ષકો પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખી આપવા માટે તત્પર હોય છે. એ વખતે સંતાનનું ભવિષ્ય વિચારતા વાલીઓ પાંચસો-હજાર-બે હજાર રૂપિયા સામે જોતા નથી, એ સૌ જાણે છે. પરીક્ષાકેન્દ્રના પટાવાળા, પાણીવાળા અને બંદોબસ્તવાળાથી માંડીને પરીક્ષાખંડના કેટલાક સુપરવાઇઝરો પણ સુપર વાઇઝસાબીત થાય છે. એમાંના ઘણા લોકો પોતે જાલીમ હોતા નથી. તેમની હાલત બીમાર માની દવાના રૂપિયા એકઠા કરવા માટે વિલનના અડ્ડા પર નોકરી કરતા નેકદિલ હીરો જેવી થાય છે. નોકરીના ભાગરૂપે તેમને કડક દેખાવું પડે છે, પણ વિલન આઘોપાછો થાય ત્યારે એ વિદ્યાર્થીઓના થઇ જાય છે. સ્ક્વોડના આગમનથી માંડીને બીજી કોઇ પણ પ્રકારની આપત્તિથી એ લોકો વિદ્યાર્થીઓનું રક્ષણ કરે છે. આટલી હૂંફના બદલામાં વાલીઓ તેમની કદર કરે, તેના માટે ભ્રષ્ટાચાર જેવો અપવિત્ર શબ્દ શી રીતે વાપરી શકાય?

સરકાર સામાન્ય માણસના હિતમાં પગલાં લેવાં ઇચ્છતી હોય, તો તેણે બોર્ડની પરીક્ષામાં બેઠેલા બાળકોના વાલીઓ માટે ખાસ પેટર્નીટી લીવની જાહેરાત કરવી જોઇએ. એટલું જ નહીં, પેટર્નીટી લીવ પર ઉતરેલા કર્મચારીમાંથી કોઇ પરીક્ષાકેન્દ્ર પર પોલીસ સાથેની માથાકુટમાં પકડાય, તો તેને ઓન ડ્યુટી ગણીને જામીનની વ્યવસ્થા પણ સરકારે પોતાના માથે લેવી જોઇએ. આમ કરવાથી ઢચુપચુ હિંમત ધરાવતા વાલીઓ પણ પોલીસની ચિંતા રાખ્યા વગર તેમના સંતાનપ્રેમની બિનધાસ્ત અભિવ્યક્તિ કરી શકશે, એકંદરે પરિવારોની કૌટુંબિક ભાવના પ્રબળ બનશે અને પરીક્ષાની સમાજવ્યવસ્થા પર હકારાત્મક અસર પડશે.


Wednesday, October 14, 2015

છબછબિયાં ચેનલ પર ‘ભદ્રેશભાઇ’ (ભદ્રંભદ્ર)નો ઇન્ટરવ્યુ

ચેનલનો પત્રકાર ભદ્રંભદ્ર-અંબારામને લઇને સ્ટુડિયોમાં પહોંચ્યો. સ્ટુડિયોની બહાર પગરખાં કાઢવાનાં થયાં, એટલે ભદ્રંભદ્ર દિશાઓ ગજાવતાં ફરી એક વાર પોકારી ઉઠ્યા, સનાતનધર્મનો જય. તેમણે અંબારામને કહ્યું, ‘શુભ કાર્યારંભ પૂર્વે કૃત્રિમ ચરણાવરણને વર્જ્ય ગણવું તે યજ્ઞાદિ કરતા ૠષિમુનિઓની એવમ્‌ સનાતન ધર્મની પરંપરા છે. તેનાથી સુધારાભ્રષ્ટ સમાચારવાહિનીના સંચાલકો પણ જ્ઞાત છે, તે હર્ષનો કિંવા આર્યધર્મ માટે ગૌરવનો વિષય છે.

’કૃત્રિમ ચરણાવરણ’ કહેતાં બૂટ બહાર કાઢીને પત્રકાર બધા સાથે અંદર પહોંચ્યો. ત્યાં એન્કર કાર્યક્રમની તૈયારી કરતી હતી--એટલે કે વઘુ એક વાર પોર્ટેબલ અરીસામાં પોતાનો ચહેરો તપાસતી હતી. તેની સાથે મહેમાનોની ઓળખાણ કરાવતાં પત્રકારે કહ્યું, ‘હી ઇઝ મિસ્ટર ભદ્રમ્‌, આઇ મીન અભદ્ર, આઇ મીન...

આઇ નો, યુ આર વેરી મીનએન્કર ગણગણાટ જેવા અવાજમાં બોલી અને દર્શકમિત્રોમાટે અનામત રાખેલું પોણા ત્રણ સેન્ટીમીટર લંબાઇનું હાસ્ય વેરીને તેણે ભદ્રંભદ્ર સામે હાથ લંબાવ્યો. બ્લેઝર અને પેન્ટમાં સજ્જ એન્કરને જોઇને ડઘાઇ ગયેલા ભદ્રંભદ્ર પોતાની જગ્યાથી બે ડગલાં પાછા હઠી ગયા. તેમના ચહેરાના અણુએ અણુમાં અણુબોમ્બ ફૂટ્યા હોય એવો ભાવ પથરાયો. ગુસ્સાથી રૂંધાયેલા સ્વરે તેમણે અંબારામને કહ્યું,‘શો કલિયુગ. શો કલિયુગ. સ્ત્રીપુરૂષનો બાહ્ય સ્વરૂપભેદ નષ્ટપ્રાય કરવાની સુધારાવાળાની કુટિલતા ઘોર નિંદાને પાત્ર છે. આ નરવસ્ત્રધારિણી માદાને વિદિત થાય કે તેની સાથે વાર્તાલાપ કરીને સનાતન ધર્મના અધઃપતનમાં સહભાગી થવાને બદલે મારા માટે વિષપાન શ્રેયસ્કર છે.

એન્કરને આ બધું બમ્પર ગયું, પણ ન સમજાય એના વિશે ખચકાયા વિના બોલવાની ટીવીમાં ટેવ પડી જાય છે. તેણે આત્મવિશ્વાસનું લેવલ જરા પણ નીચું લાવ્યા વિના કહ્યું,‘સોરી સર, અહીં તમે વીસ પાન તો શું, એક પાન પણ નહીં ખાઇ શકો. આપણે રેકોર્ડિંગ ઝડપથી પતાવી દઇશું, બસ? પણ સ્ટુડિયોમાં પાન ખાવાની મનાઇ છે.

અંબારામે દાંત કચકચાવવાનો અવાજ બહાર ન સંભળાઇ જાય તેની તકેદારી રાખીને એન્કરને કહ્યું,‘એમણે વીસ પાન ખાવાની નહીં, ઝેર પીવાની વાત કરી.

ઓ..રીઅલી?’ એન્કરે ઉત્સાહથી કહ્યું,‘હાઉ એક્સાઇટિંગમારા શોમાં અનામતનો વિરોધ કરતાં આ મહારાજ ઝેર પી લે, સેટ પર જ ઢળી પડે, દોડાદોડ મચે, ૧૦૮ આવે, સાયરનો વાગે અને આ બઘું રેકોર્ડ થાય તો...તો એપિસોડ હિટ થઇ જાય.

વાત વણસે એ પહેલાં પત્રકારે એન્કરને અને અંબારામે ભદ્રંભદ્રને સમજાવીને બધાને સેટ પર ગોઠવી દીધા. ઇન્ટરવ્યુ ભદ્રંભદ્રનો હતો, પણ તેમના ગુજરાતીનો અનુવાદ કરવા માટે અંબારામને પણ સાથે બેસાડવામાં આવ્યા.  સાયલેન્સઅને કેમેરા રોલિંગજેવા શબ્દો સાથે રેકોર્ડિંગ શરૂ થયું.

હિંદીભાષી બરાડીયા એન્કરોના આરોહઅવરોહની ગંભીર નકલ કરતાં એન્કરે કહ્યું,‘ગુજરાતભરમાં ચાલી રહેલા અનામત આંદોલન આજે એક નવો વળાંક આવવા જઇ રહ્યો છે અને તે વળાંક લાવનાર મહાનુભાવ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તેમનું નામ છે... ભદ્ર..અંઅંઅં... ભદ્રેશભાઇ...અને આ ખુલાસો પહેલી વાર છબછબિયાં ચેનલ પર થવા જઇ રહ્યો છે. તો કેવો વળાંક લાવશે ભદ્રેશભાઇ અનામત આંદોલનમાં? જાણવા માટે બન્યા રહો અમારી સાથે...પણ તે પહેલાં લઇએ એક નાનો વિરામ.

ભદ્રંભદ્રનો ચહેરો રોષથી રાતો થઇ ચૂક્યો હતો, પણ અંબારામના ઇશારાથી તે સંયમ ધરીને બેસી રહ્યા. બ્રેક પછી ફરી એન્કરે બોલવાનું શરૂ કર્યું,‘ભદ્રેશભાઇ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.

રોષ ખાળીને કેમેરા તરફ પ્રણામની મુદ્રામાં જોઇને ભદ્રંભદ્ર બોલ્યા,‘સુજ્ઞ શ્રોતાગણ પ્રસન્નોસ્તુ. વિદિત થાય કે આ લોકમાં તેમ જ દેવલોકમાં ભદ્રેશભાઇ તરીકે નહીં, આર્ય ભદ્રંભદ્ર તરીકે હું વિદ્યમાન તેમ જ દૈદીપ્યમાન છું. કિંતુ આ નરવસ્ત્રધારિણી, સનાતનધર્મસંહારિણી, આર્યકુલકલંકિણી, ભાષાભિવ્યક્તિદ્રોહિણી એવી સમાચારવાહિનીઉદઘોષિણી પાસેથી શુદ્ધ નામોચ્ચાર અપેક્ષીને આર્યધર્મને કક્ષાચ્યુત કરવાના પાપમાં પડવા હું ઇચ્છુક નથી.

એન્કરને એટલી ખબર પડી કે આ મહારાજનું નામ ભદ્રેશભાઇ નથી, પણ એ નામથી બોલાવવામાં એમને વાંધો નથી. તેણે ભદ્રંભદ્ર સામે જોઇને કહ્યું, ‘અમારા દર્શકમિત્રો એ જાણવા બહુ આતુર છે કે તમે અનામત આંદોલનમાં અચાનક ક્યાંથી, કેવી રીતે આવ્યા?’

પ્રશ્નસ્ય અનૌચિત્યમભદ્રંભદ્રે કહ્યું.

પુરૂષોત્તમ?’ એન્કરના અવાજમાં ઉત્તેજના ભળી ગઇ, ‘યુ મીન, પુરૂષોત્તમ રૂપાલાએ તમને...?’

આડું ન વેતરાય એ માટે અંબારામ વચ્ચે પડ્યા, તેમણે કહ્યું,‘બહેન, આર્ય ભદ્રંભદ્ર કહેવા માગે છે કે તમે પૂછેલો પ્રશ્ન અસ્થાને છે.

એવું થોડું ચાલે?’ એન્કરે અવાજમાં આગ્રહ ભેળવીને કહ્યું,‘કાલે ઉઠીને તમે કહી દો કે અનામત આંદોલન જ અસ્થાને છે. તો અમારે શું કરવાનું? બીજી સ્ટોરીઓ ક્યાંથી કાઢવાની?’

ભદ્રંભદ્ર બોલ્યા,‘આંદોલન તો નહીં, કિંતુ આરક્ષણવ્યવસ્થા નિઃશંક અસ્થાને તથાપિ ઉચ્છેદનયોગ્ય છે. આર્યાવર્તના પ્રાણરૂપ જ્ઞાતિવ્યવસ્થા અને ઊંચનીચાદિને નામશેષ કરીને શુદ્રાદિને સમાન તક આપવામાં સનાતન ધર્મનો ઘોર અપરાધ થાય છે. સ્વયં પ્રભુએ પ્રાતઃકાલે સ્વપ્નમાં પ્રગટ થઇને આસુરી આરક્ષણપ્રથાનો ઉચ્છેદ કરવાનો મને આદેશ આપ્યો છે. તેના પાલન વિના સ્વર્ગલોકનાં દ્વાર મારા માટે સદૈવ વણખુલ્યાં રહેશે.

તો અનામત આંદોલનમાં ઝંપલાવવા પાછળ તમારો પણ પર્સનલ એજેન્ડા છે? તમે પણ દેશહિતના નામે તમારો સ્વાર્થ જ સાધવા માગો છો, મિસ્ટર ભદ્રેશ?’

ચેનલકન્યાના સવાલથી ભદ્રંભદ્ર બગડ્યા,‘હે અજ્ઞ કન્યકા, મારા વિધાનના પ્રમાણ તરીકે હું સાક્ષાત પ્રભુને આ અંકીય દૃશ્યશ્રાવ્યાંકનસંગ્રહિકા સમક્ષ ઉપસ્થિત કરી શકું છું. કિંતુ સમાચારવાહિની માટે મમ્‌ વાક્ય પ્રમાણમ્‌.

ચકરાયેલી એન્કરે મદદ માગતી નજરે અંબારામ સામે જોયું, એટલે તેમણે કહ્યું,‘અંકીય એટલે કે ડિજિટલ અને દૃશ્ય-શ્રાવ્યનું અંકન (રેકોર્ડિંગ) તથા સંગ્રહ (સ્ટોરેજ) કરતા કેમેરા. મતલબ કે, તમે ઇચ્છો તો આર્ય ભદ્રંભદ્ર સાક્ષાત્‌ ઇશ્વરને કેમેરા સામે હાજર કરી શકે.

એટલે એન્કરે એકદમ ટેન્શમાં આવીને કહ્યું,‘ના હોં સર, બીજા કોઇને પણ પ્રોગ્રામમાં બોલાવવા માટે સાહેબ સાથે વાત કરવી પડે. નહીંતર મારી નોકરી જતી રહે.

ભદ્રંભદ્રે ઇશારાથી તેને આગળનો સવાલ પૂછવા કહ્યું. એટલે એન્કરે કહ્યું,‘ધારો કે તમારાથી આરક્ષણ નાબૂદ ન થાય તો તમે શું કરશો?’

આરક્ષણઉચ્છેદન માટે હું શેષશાયી વિષ્ણુને જગાડી શકું છું, તાંડવમગ્ન શિવશંભુને થંભાવી શકું છું, જગત્‌પિતા બ્રહ્માને પડકારી શકું છું.ભદ્રંભદ્રે વીરરસમાં આવીને કહ્યું.

એ બધું તો ઠીક છે, પણ મુખ્ય મંત્રીને તમે કંઇ કરી શકો?’

જરૂર. તેમને મારાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો આરક્ષણનાબૂદીની શાસ્ત્રાજ્ઞા અનુસરવા તેમને બાધ્ય કરી શકું છું.

એ જ વખતે પત્રકારના મનમાં વિચાર ઝબક્યો, આ મૂર્તિને કોઇક રીતે મુખ્ય મંત્રી સાથે ભીડાવી દીધી હોય તો?’

(ક્રમશઃ)