Showing posts with label Gandhi/ગાંધી. Show all posts
Showing posts with label Gandhi/ગાંધી. Show all posts

Saturday, November 25, 2023

નંદલાલ બોઝના ગાંધીજીઃ એક ચિત્ર, ચાર અવતાર


શાંતિનિકેતનના કળાશિક્ષક અને ઉત્તમ કળાકાર નંદલાલ બોઝે  તૈયાર કરેલું ગાંધીજીનું  લિનોકટ ગાંધીજીનાં સૌથી પ્રખ્યાત ચિત્રોમાં સ્થાન ધરાવે છે. દાંડી કૂચ વખતે લાકડી સાથે, પણ લાકડીના ટેકે નહીં એવી રીતે ચાલતા, 61 વર્ષે પણ અડીખમ ગાંધીજીનું ભવ્ય દર્શન એ ચિત્રમાં થાય છે. તે લિનોકટની નીચે નંદલાલ બોઝની સહી સાથે અંગ્રેજીમાં BAPUJI અને 1241930 (12 એપ્રિલ 1930) લખેલું જોવા મળે છે. 

દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. તો પછી લિનોકટ નીચે 12 એપ્રિલની તારીખ કેમ? એવો સવાલ થઈ શકે. 12 એપ્રિલનું કોઈ ઐતિહાસિક મહત્ત્વ નથી. (દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ પાંચ મેના રોજ થઈ હતી.) 12 એપ્રિલે પાછળનો સામાન્ય તર્ક એ સૂઝે કે લિનોકટનું કામ તેમણે વહેલું શરૂ કર્યું હોય અને તે 12 એપ્રિલે પૂરું થયુ હોય. 

એ સંભાવનાનો મજબૂત આધાર દેબદત્ત ગુપ્તાના બ્લોગ VISUALISING THE DANDI MARCH AT SANTINIKETAN માંથી મળ્યો. કોલકાતાની રવીન્દ્રભારતી યુનિવર્સિટી સાથે સંકળાયેલા કળા ઇતિહાસકાર ગુપ્તાએ નોંધ્યું છે કે ગાંધીજીની શાંતિનિકેતનની મુલાકાત વખતે રવીન્દ્રનાથની સાથોસાથ કળાકાર નંદલાલ બોઝ (બસુ)ને પણ ગાંધીજી સાથે આત્મીયતા થઈ હતી. શાંતિનિકેતનના કેટલાક વિદ્યાર્થીઓ સ્વદેશી ચળવળમાં ભાગ પણ લેતા હતા અને  બોઝના ખાસ મિત્ર અક્ષયબાબુ દાંડીકૂચમાં જોડાવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. (દાંડીકૂચના યાત્રીઓમાં તેમનું નામ મળતું નથી. એટલે તે અમદાવાદ આવ્યા હોય અને દાંડીયાત્રી તરીકે તે જોડાઈ ન શક્યા હોય તે બનવાજોગ છે.)

દાંડીકૂચ શરૂ થઈ તે દિવસે, 12 માર્ચ 1930ના રોજ, નંદલાલ બોઝે ગાંધીજીનું એક રેખાચિત્ર બનાવ્યું.  તેની નીચે લખાણ હતુંઃ BAPUJI 1231930. આ ચિત્રમાં ગાંધીજીના માથે શિખા અને હાથમાં ટોકરી (ઘંટડી) જોવા મળે છે અને નીચે નંદલાલ બોઝની સહી નથી. 
નંદલાલ બોઝે બનાવેલું મૂળ ચિત્ર, તારીખ 12031930 (દાંડી કૂચનો પ્રારંભ)

દાંડીકૂચના અરસામાં કલકત્તામાં સતીશચંદ્ર દાસગુપ્તાના તંત્રીપદે 'સત્યાગ્રહ સંગબાદ' નામનું અખબાર સાયક્લોસ્ટાઇલ કોપીના સ્વરૂપે નીકળતું હતું. શાંતિનિકેતનના-નંદલાલ બોઝના વિદ્યાર્થી પ્રભાતમોહન બેનરજી એ અખબારના મુદ્રક હતા. તેની પર સરકારની ખફાનજર થયા પછી અખબારની માગ ઓર વધી ગઈ. તે વખતે નંદલાલ બોઝ તેમના દીકરાને જાપાન ભણવા મોકલવાની વ્યવસ્થા માટે કોલકાતા અવરજવર રહેતી. કોલકાતા હોય ત્યારે તે પેપરની ઓફિસે પણ જતા. એ દિવસો યાદ કરીને પ્રભાતમોહન બેનરજીએ બંગાળી સામયિક 'દેશ'ના નવેમ્બર-ડિસેમ્બર 1966ના અંકમાં લખ્યું હતું કે તેમની વિનંતીને માન આપીને નંદલાલ બોઝે તેેમને ગાંધીજીનું રેખાચિત્ર 'સત્યાગ્રહ સંગબાદ'માં છાપવા માટે આપ્યું અને એ તેમણે સાયક્લોસ્ટાઇલ નકલમાં હોંશથી-ગૌરવભેર છાપ્યું પણ ખરું. 

થોડા ઉમેરા સાથેનું નંદબાબુનું ચિત્રઃ
નામ બદલાયું, ઘડીયાળ ઉમેરાયું
એ જ ચિત્ર પ્રભાતમોહન બેનરજીએ 1932માં પ્રકાશિત થયેલા તેમના બંગાળી પુસ્તક 'મુક્તિ-પોથે'ના મુખપૃષ્ઠ પર છાપ્યું. પરંતુ તેમાં કેટલાક ફેરફાર હતા. ચિત્રની નીચે અંગ્રેજીમાં BAPUJIને બદલે બંગાળીમાં 'જોય-જાત્રા' (વિજય-યાત્રા) લખેલું હતું. અગાઉના ચિત્રમાં નંદલાલે ગાંધીજીની કમરે લટકતું ઘડિયાળ ઉમેર્યું હતું. જોકે, તારીખ એ જ રાખી હતીઃ 1231930, પણ એ તેમણે બંગાળીમાં લખી હતી. આ પુસ્તક પણ અંગ્રેજ સરકારે જપ્ત કર્યું હોવાથી, તે દુર્લભ બની ગયું. 

ત્યાર પછી બન્યું પ્રખ્યાત લિનોકટ, જેની નીચે તારીખ હતી 12 એપ્રિલ 1930, જે ચિત્ર પૂરું થયાની તારીખ હોઈ શકે છે. લિનોકટમાં શિખા, ટોકરી, ઘડિયાળ ગેરહાજર છે. બેકગ્રાઉન્ડ પણ કાળુંધબ્બ નથી. મૂળ લિનોકટ કળાત્મક ચીજવસ્તુઓની હરાજી કરનારી કંપની ક્રિસ્ટીઝની વેબસાઇટ પર જોવા મળે છે. (ત્યાં જૂન 2011માં તેની મૂળ પ્રિન્ટ વેચાણ માટે મુકાઈ હતી અને તેના 2,250 પાઉન્ડ ઉપજ્યા હતા.)
નદબાબુએ બનાવેલું લિનોકટ, તારીખ 12041930

સમય જતાં લિનોકટના અગાઉના તબક્કા ભૂલાઈ ગયા અને તેનું છેલ્લું, પ્રચલિત બનેલું સ્વરૂપ જ યાદ રહ્યું. આ  ચિત્રના ચાર તબક્કા એક જ ફ્રેમમાંઃ (મોટું કરીને જોવા માટે તેની પર ક્લિક કરો)




સ્રોતઃ 
1.https://dagworld.com/visualising-the-dandi-march-at-santiniketan.html
2.https://www.christies.com/lot/lot-nandalal-bose-1882-1966-bapuji-5452454/?from=salesummary&intObjectID=5452454&lid=1



 

Monday, April 17, 2023

ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે. આ રહ્યાં તેનાં દસ કારણ : રામચંદ્ર ગુહા

 (ગાંધીજીની હત્યાની 75મી તિથીએ રામચંદ્ર ગુહાએ  લખેલા લેખનો ગુજરાતી અનુવાદ. મૂળ લેખની લિન્ક )

કારણ 1

ગાંધીજીએ ભારતને અને જગતને અન્યાયી સત્તાધીશો સામે હિંસાના પ્રયોગ વિના લડવાનું સાધન આપ્યું. નવાઈની વાત એ છે કે સત્યાગ્રહના વિચારનો જન્મ જોહાનિસબર્ગના એમ્પાયર થિએટરમાં સપ્ટેમ્બર 11, 1906ના રોજ થયો હતો, જ્યાં રંગભેદગ્રસ્ત કાયદાનો વિરોધ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીયોની સભા મળી હતી. તેનાં 95 વર્ષ પછી ત્રાસવાદીઓએ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર ઉડાડી દીધું. બે 9/11 : એકમાં અહિંસક લડતના રસ્તે ન્યાયની માગણી તથા અંગત બલિદાન; બીજામાં હિંસા અને બળપ્રયોગના રસ્તે શત્રુને ડારવાનો ઇરાદો.

ઇતિહાસે દર્શાવી આપ્યું છે કે અન્યાયનો મુકાબલો કરવાના મામલે બીજા વિકલ્પોની સરખામણીમાં સત્યાગ્રહ વધારે નૈતિક તેમ જ વધારે અસરકારક નીવડ્યો છે. દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં તેના પ્રયોગો પછી ગાંધીજીની એ પદ્ધતિનું અનુકરણ બીજાં ઘણાં ઠેકાણે થયું, જેમાં અમેરિકામાં કાળા લોકોએ આદરેલી નાગરિક અધિકારોની લડત સૌથી નોંધપાત્ર હતી.

કારણ 2

દેશ અને દેશની સંસ્કૃતિ માટેનો ગાંધીજીનો પ્રેમ, જેના કારણે તેમાં રહેલી અનેક વિકૃતિઓને ઓળખીને તેને સુધારવા માટે તેમણે પ્રયાસ કર્યો. ઇતિહાસકાર સુનિલ ખીલનાનીએ એક વાર કહ્યું હતું કે ગાંધીજી ફક્ત અંગ્રેજો સામે જ નહીં, ભારત સામે પણ લડી રહ્યા હતા. ગાંધીજી તેમના-આપણા સમાજમાં રહેલી ઊંડી  અને વ્યાપક અસમાનતાને પિછાણતા હતા. અસ્પૃશ્યતા સામેની તેમની ઝુંબેશ ભારતીયોને સ્વરાજ માટે વધુ લાયક બનાવવાની ઇચ્છાનું પરિણામ હતી. તે નખશીખ નારીવાદી ન હોવા છતાં, મહિલાઓને જાહેર જીવનમાં આણવા માટે તેમણે ઘણું કર્યું.

કારણ 3

ધર્મિષ્ઠ હિંદુ હોવા છતાં તેમણે ધર્મના આધારે નાગરિકતાના ખ્યાલનો ઇન્કાર કર્યો. જ્ઞાતિપ્રથાએ હિંદુઓને ઊભા વહેર્યા છે, તો ધર્મે ભારતને આડું વહેર્યું છે. આ ઊભા અને ઘણી વાર ઐતિહાસિક રીતે આમનેસામને રહેલા વિભાગો વચ્ચે સેતુ બનાવવા માટે ગાંધીજી મથતા રહ્યા. હિંદુ-મુસલમાન એકતા તેમની કાયમી નિસબત રહી. એના માટે તે જીવ્યા અને આખરે, તેના માટે મૃત્યુ વહોરવા પણ તૈયાર રહ્યા.

કારણ 4

ગુજરાતી સંસ્કૃતિમાં તરબોળ હોવા છતાં અને ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હોવા છતાં, તે સંકુચિત પ્રાંતવાદી ન હતા. પોતાના સિવાયના ધર્મો માટે તેમના મનમાં આદરપ્રેમ હતાં. એવી જ રીતે ગુજરાતી સિવાયની ભાષાઓ માટે પણ તેમના મનમાં આદરભાવ રહ્યો. ભારતના ધાર્મિક અને ભાષાકીય વૈવિધ્ય માટેની તેમની સમજ વિદેશનિવાસ દરમિયાન વધારે ઊંડી બની, જ્યાં તેમના સાથીદારો તરીકે હિંદુઓની સાથોસાથ મુસલમાનો અને પારસીઓ પણ હતા, ગુજરાતીઓની સાથે તમિલો પણ હતા.

કારણ 5

તે દેશભક્ત હોવાની સાથે વૈશ્વિક પણ હતા. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેના વારસાની કદર કરવાની સાથે તેમને એ પણ ખ્યાલ હતો કે વીસમી સદીમાં કોઈ પણ દેશ કૂવામાંનો દેડકો બનીને રહી શકે નહીં. બીજાના આયનામાં જાતને જોવાના પણ ફાયદા હોય છે. તેમની પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય બંને પ્રકારના પ્રભાવ હતા. તેમના તાત્ત્વિક અને રાજકીય દૃષ્ટિબિંદુમાં તોલ્સ્તોય અને રસ્કિન જેટલા જ ગોખલે અને રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) હતા. વિવિધ વંશીય ઓળખ ધરાવતા લોકો સાથે તેમની ગાઢ દોસ્તી થઈ. તેમાં હેન્રી અને મિલિ પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ જેવા તેમના મિત્રોનો સમાવેશ થાય. તે સૌએ તેમના અંગત અને જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

અહીં થોભીને એટલું અંકે કરવું જોઈએ કે ગાંધીજીના વારસા જેવી આ પાંચ બાબતો ન હોત, તો સ્વતંત્ર ભારતે કદાચ સાવ જુદો રસ્તો લીધો હોત. ગાંધીજી હિંસાને બદલે સંવાદને પ્રાધાન્ય આપતા હતા, એટલે (નિર્ણયો લેવામાં હિંસાનો રસ્તો અપનાવનારા એશિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશોની માફક) ભારતમાં એકપક્ષીય આપખુદશાહી રાજ્યવ્યવસ્થાને બદલે બહુપક્ષીય લોકશાહી સ્થપાઈ. ગાંધીજી અને ડો. આંબેડકર જેવા લોકોએ જાતિ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો હોવાને કારણે, તે સિદ્ધાંતોનો ભારતના બંધારણમાં સમાવેશ થયો. ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ધાર્મિક અને ભાષાકીય સ્વતંત્રતાનો આગ્રહ રાખ્યો હોવાથી, બીજા ઘણા દેશોમાં બન્યું તેનાથી વિપરીત, ભારતે કોઈ એક ધર્મ કે ભાષાના ચડિયાતાપણાને આધારે નાગરિકતા નક્કી ન કરી.

આંબેડકર અને નેહરુના દાખલા પરથી સ્પષ્ટ થાય છે તેમ, લોકશાહી મૂલ્યો અને સમાવેશક રાજકીય સંસ્કાર કેવળ ગાંધીજીની દેન હતી, એવું કહેવાનો આશય નથી. અલબત્ત, વ્યક્તિગત નેતાગીરી અને લોકશાહી, સાંસ્કૃતિક વિવિધતા તથા સામાજિક સમાનતા અંગે વારંવારના આગ્રહ થકી ગાંધીજીની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.

કારણ 6

ગાંધીજી જમાના કરતાં આગળ રહેલા પર્યાવરણવાદી હતા. અવિરત વૃદ્ધિ અને ગ્રાહકવાદથી કેવો ધબડકો સર્જાશે તેનો અંદાજ તેમને હતો. ડિસેમ્બર 1928માં તેમણે લખ્યું હતું, ઈશ્વર હિંદુસ્તાનને યંત્રયુગથી અને સંસારને યંત્રમય હિંદુસ્તાનથી બચાવો. આજે એક મૂઠી જેટલી કોમ (ઇંગ્લેન્ડ) આર્થિક લૂંટને પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો 33 કરોડ લોકોની પ્રજા આ માર્ગે ચડે તો આખા સંસારને વેરાન કરી નાખે. આ એકદમ સાચું ભવિષ્યદર્શન છે. પશ્ચિમે આરંભેલા અઢળક મૂડી, અઢળક સંસાધનો અને અઢળક ઊર્જા હજમ કરી જતા ઔદ્યોગિકીકરણના રસ્તે આગળ ચાલતા ચીન અને ભારતને કારણે ખરેખર દુનિયા ઉજ્જડ થઈ જવાનો ખતરો છે. પોતાના જીવન અને કાર્યમાં ગાંધીજીએ સંયમ અને જવાબદારીની હિમાયત કરી, જેના વ્યાપક સ્તરે સ્વીકાર ઉપર પૃથ્વીનું ભવિષ્ય આધાર રાખે છે.

કારણ 7

ગાંધીજીમાં નીતનવા પ્રસંગો અને અનુભવો સાથે વિકસવાની અને ઉત્ક્રાંત થવાની ક્ષમતા હતી. વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેન્સના નામે ચડેલું એક અવતરણ છે, હકીકતો બદલાય, ત્યારે હું મારું મન પણ બદલું છું. તમારું કેમ છે?’ હકીકતમાં ગાંધીજીએ 1934માં કહ્યું હતું, મારાં વચનોમાં સર્વકાળે અવિરોધ હોવો જ જોઈએ એવો આગ્રહ કદી રાખ્યો નથી. જે ક્ષણે મને જે સત્ય ભાસે તે પ્રમાણે હું બોલું ને આચરું તો મારાં વાણી ને આચરણમાં ગમે એટલા વિરોધો બતાવવામાં આવે એની મને પરવા નથી.

પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ ખાસ કરીને ત્રણ મહત્ત્વની બાબતોમાં તેમના વિચાર બદલ્યા.

એ ત્રણ બાબતો હતીઃ વંશીયતા (રેસ), જ્ઞાતિ (કાસ્ટ) અને જાતિ (જેન્ડર). આ ત્રણે મુદ્દે અગાઉ તેમના મનમાં રહેલા પૂર્વગ્રહોને બદલે તેમણે વધારે પ્રગતિશીલ ભૂમિકા અપનાવી. સભાન વિચાર વગરના વંશવાદી વલણથી શરૂઆત કરીને તે વંશવાદના મુખ્ય વિરોધી બન્યા. જ્ઞાતિઆધારિત ઊંચનીચના ભદભાવને અચકાતાં-ખચકાતાં પડકાર આપવાનું શરૂ કર્યા પછી તેમણે તેનો સીધો અને ખુલ્લો પ્રતિકાર કર્યો. મહિલાઓને બિનરાજકીય ભૂમિકામાં રાખતાં રાખતાં છેવટે તેમણે મહિલાઓને સંપૂર્ણપણે જાહેર જીવનમાં અને આઝાદીની લડાઈમાં સામેલ કરી.

કારણ 8

ગાંધીજીમાં અનુયાયીઓમાંથી નેતા બનાવવાની ગજબ ફાવટ હતી. તે પ્રતિભાને પિછાણતા, તેને પોષતા-વિકસાવતા અને પછી તેને સ્વતંત્રપણે આગળ જવા દેતા. તેમની આસપાસ ઉમેટેલા અનુયાયીઓમાંથી કેટલાય સ્વતંત્રપણે ઇતિહાસના ઘડવૈયા બન્યા. તેમના અનુયાયીમાંથી નેતા બનેલા લોકોમાંથી કેટલાંક મહત્ત્વનાં નામઃ જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકિર હુસૈન, જે.બી. કૃપાલાણી, જે.સી. કુમારપ્પા, સરલાદેવી (કેથરીન મેરી હેલમેન) અને બીજા ઘણા.

ભાવિ નેતાઓ ઉછેરી શકવાની ગાંધીજીની ક્ષમતા ભારતના સૌથી પ્રભાવશાળી ત્રણ વડાપ્રધાનોની સરખામણીએ વિરોધાભાસ સર્જે છે. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી ચરિત્ર અને રાજકીય વિચારધારાની રીતે ઘણા જુદા છે. પરંતુ પક્ષ, સરકાર અને દેશને પોતાની સાથે-પોતાના સમાનાર્થી તરીકે સાંકળી દેવાની બાબતમાં તે સરખા છે. ઇન્દિરા ગાંધી સત્તાના વ્યક્તિકરણને નેહરુ કરતાં ઘણું આગળ લઈ ગયાં અને મોદી તેને ઇન્દિરા ગાંધી કરતાં પણ બહુ આગળ લઈ ગયા. એ ત્રણે પોતાને અનિવાર્ય અને તેમનું સ્થાન કોઈ લઈ ન શકે એવાં માનતાં હતાં. તેમણે પછીની પેઢીના નેતાઓ ઊભા કરવાની દિશામાં ભાગ્યે જ કંઈ કર્યું. (રાજકારણ સિવાય ભારતના કોર્પોરેટ જગતના વડાઓ અને સ્વૈચ્છિક સંસ્થાના વડાઓમાં પણ સત્તાના વ્યક્તિકરણની લાક્ષણિકતા જોવા મળે છે, જે સંસ્થાને પોતાની સાથે એકરૂપ બનાવી દે છે.)

કારણ 9

ગાંધીજીમાં વિરોધી મત ધરાવનારનો દૃષ્ટિકોણ જોવા-સમજવાની અને તેમની સાથે સંવાદ સાધીને સન્માનભર્યા સમાધાન સુધી પહોંચવાની તૈયારી હતી. એટલે, આંબેડકર અને ઝીણા જેવા રાજકીય વિરોધીઓ સાથે અને દક્ષિણ આફ્રિકામાં તેમ જ ભારતમાં શાહી પ્રતિનિધિઓ સાથે તે ધીરજપૂર્વક વર્ષો સુધી સમાધાનની ભોંય ભાંગવાના પ્રયાસ કરતા રહ્યા. તેમને અણગમા કે તીવ્ર નાપસંદગી કેવળ બૌદ્ધિક અને રાજકીય હતાં, અંગત નહીં –અને તે પણ ઉકેલી શકાય એવી તેમને આશા હતી. મનમાં દુર્ભાવ સંઘરી રાખવાની ક્ષમતા તેમનામાં ન હતી.

કારણ 10

ગાંધીજીનું રાજકીય જીવન સંપૂર્ણપણે પારદર્શક હતું. આશ્રમમાં કોઈ પણ જઈ શકતું, તેમની સાથે ચર્ચા કરી શકતું અને છેવટે થયું પણ એવું કે એક માણસ સાવ સરળતાથી તેમની નજીક પહોંચી ગયો અને તેમની હત્યા કરી નાખી. તેમના કે આપણા સમયમાં સુરક્ષાની જંજાળો વચ્ચે જીવતા નેતાઓની સરખામણીમાં તે કેટલો મોટો વિરોધાભાસ કહેવાય.

ગાંધીજીના જીવનમાંથી મેં તારવેલા બોધપાઠ ફક્ત આ દેશ માટે જ પ્રસ્તુત છે એવું નથી. અલબત્ત, ધાર્મિક બહુમતીવાદની આબોહવામાં, અપમાન અને બુરાઈથી ગ્રસ્ત રાજકીય સંસ્કૃતિમાં, જૂઠાણાં અને અસત્યો ફેલાવતા નેતાઓ અને સરકારોની વચ્ચે, પ્રાકૃતિક પર્યાવરણના સત્યાનાશની સાથે, વ્યક્તિભક્તિના માહોલમાં ભારતને કદાચ તેની સૌથી વધારે જરૂર છે.   

Tuesday, January 31, 2023

ટીવી સ્ટુડિયોમાં ગાંધીજી

આવતી કાલે ગાંધીજીની હત્યાની તારીખ છે. ‘કેટલામી હત્યા?’ એવો સવાલ પૂછવો નહીં. પહેલી હત્યા પછી થયેલી હત્યાઓમાં હત્યારાઓનાં નામ પણ પૂછવાં નહીં. તેમાં જ લખનાર-વાંચનાર-છાપનારનું એટલે કે સમગ્ર સંસારનું હિત છે. નજીકના ભવિષ્યમાં આ તારીખ સત્તાવાર રીતે ‘પરાક્રમ દિવસ’ તરીકે જાહેર થઈ શકે છે. બિનસત્તાવાર રીતે તો કેટલાક લોકો તેને એવો ગણે જ છે.

જે દેશમાં ગોડસે અને ગાંધી એક ત્રાજવાના સામસામાં પલ્લામાં મુકાતાં હોય, એક માણસે કરેલી બીજાની હત્યાને ‘યુદ્ધ’—અને એ પણ ‘વિચારધારાનું યુદ્ધ’—જેવું લેબલ અપાતું હોય, ત્યાં કશી ઠેકાણાસરની ચર્ચા કરવાનું કામ અશક્યની હદે અઘરું છે. એના કરતાં, ટીવી એન્કરોની જેમ બૂમબરાડા પાડીને વાતચીત કરવી શું ખોટી? શરીરમાં મોંથી ઉપરના ભાગનું કોઈ પણ અંગ વપરાય નહીં અને તમાશાને તેડું ન હોય, એ ન્યાયે દર્શકો પણ મળી રહે.

એમ વિચારીને ગાંધીજીનું સ્મરણ કરતાં જ ગાંધીજી હાજર. તેમની સાથે સંવાદનો કાર્યક્રમ શરૂ થતાં પહેલાંની સ્ક્રીપ્ટ કંઈક આ પ્રમાણેની હતીઃ

‘આપણે સૌ જાણીએ છીએ કે આવતી કાલે ગાંધીજીની હત્યાને 75 વર્ષ પૂરાં થશે. તેનો અમૃત મહોત્સવ ઉજવવાની સરકાર તરફથી હજુ સુધી કોઈ સૂચના મળી નથી. અને અમે એકદમ વિશ્વસનીય ચેનલ છીએ- ફેક ન્યૂઝ ફેલાવતા નથી. સરકાર તરફથી જેટલું આવે એટલું જ ચલાવીએ છીએ, પણ અમારાં સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે ગાંધીજીની હત્યાનો આખો કેસ ગરબડવાળો છે. તેમની હત્યા કદી થઈ જ ન હતી, એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમારાં સૂત્રોને તેમનાં સૂત્રો તરફથી એવું જાણવા મળ્યું હોવાનું કહેવાતું હોય એવી આશંકા હોવાની અમને ખાતરી છે કે નથુરામ ગોડસે તે દિવસે દિલ્હીમાં હતો જ નહીં અને તેનું નામ ચોક્કસ વિચારધારાને બદનામ કરવાનું કાવતરું છે, જેથી કરીને વિશ્વમાં હિંદુઓ માટે નીચાજોણું થાય.’

‘અમારી ચેનલ પર કાયમ આવતા વિશેષજ્ઞના મતે, ભારતને બદનામ કરવાનું આ કાવતરું કોણે ઘડ્યું અને ક્યાં ઘડાયું તેની તપાસ ‘કાશ્મીર ફાઇલ્સ’ બનાવનાર ભાઈને સોંપી દેવાય, તો ટૂંક સમયમાં તે નવીનક્કોર અને સચ્ચાઈના ભારથી મુક્ત હકીકતો સાથે બહાર આવી શકે. ત્યાં સુધીમાં મુદ્દો ચાલતો રાખવા માટે ગાંધીજીને જ બોલાવવાનો વિચાર આવ્યો. તેના બે ફાયદા થાયઃ એક, એવો સંદેશો જશે કે અમે કોઈનાથી બીતા નથી અને મોટો રાષ્ટ્રપિતા અમારા શોમાં આવે તો તેની હાજરીમાં પણ અમે તેની એસીતૈસી કરી શકીએ છીએ.’


‘બીજો ફાયદો એ કે થોડા લોકોને એવું કહેવાની પણ તક મળશે કે અમે બંને બાજુનું બતાવીએ છીએ. તટસ્થતાનો આરોપ અમને મંજૂર નથી, પણ વૈવિધ્ય ખાતર અમે તટસ્થની ગાળ ખાવા પણ તૈયાર છીએ. આવી બહાદુરીભરી વિચારણા જ્યાં થતી હોય તે ચેનલ આપણી લોકશાહી માટે એટલે કે આપણા દેશ માટે એટલે કે આપણી સરકાર માટે એટલે કે આપણા વડાપ્રધાન માટે ગૌરવરૂપ છે, એવું કહેવામાં અમને જરાય સંકોચ થતો નથી. તે વાતના સંતોષ સાથે આજનો શો શરૂ કરીએ. શોમાં અમારી સાથે જોડાયા છે ખુદ ગાંધી. તેમને અમે છોડીશું નહીં. અણીદાર સવાલો પૂછીને એ બધું જ તેમની પાસેથી કઢાવીશું, જે તેમણે આજ સુધી ક્યાંય કહ્યું નહીં હોય. અરે, અમે તો તેમની પાસેથી એવું પણ કઢાવીશું, જે ખરેખર બન્યું પણ ન હોય. તે બાબતમાં અમારી આવડતની ખાતરીને કારણે તો તમે અમારો શો જોઈ રહ્યા છો.’


સવાલ (ગાંધીજી તરફ જોઈને) : વેલ કમ મિસ્ટર, ગાંધી. કડકડતી ઠંડીમાં તમે આટલાં ઓછાં કપડાંમાં? ક્યાંક રાહુલ ગાંધીની યાત્રામાંથી તો ...કે પછી રાહુલ ગાંધીને ઠંડીમાં ટી-શર્ટભેર ફરવાનો આઇડીયા જ તમે આપ્યો?
  

ગાંધીજીઃ (હસીને) સીધી કપડાંથી ને રાહુલ ગાંધીથી જ શરૂઆત?
 

સવાલઃ અમારે ત્યાં બધું કામકાજ એકદમ વ્યવસ્થિત, સૂચના પ્રમાણે જ થાય—અને અમારે ત્યાં નિયમ છે કે ઉત્તર ધ્રુવ પર બરફનો મોટો ટુકડો છૂટો પડે કેલિફોર્નિયામાં આગ લાગે, તો પણ રાહુલ ગાંધી પાસે જ એ દુર્ઘટનાઓનો ખુલાસો માગવો. આખરે લોકશાહીમાં જવાબદાર વિપક્ષ જેવું કંઈ હોય કે નહીં? અને સવાલ પૂછવા એ તો મિડીયા તરીકે અમારી ફરજ છે.

ગાંધીજીઃ ફરજ... (મોટેથી હસે છે) તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે.

સવાલઃ આપણે સમય બગાડ્યા વિના સીધા મુદ્દાની વાત પર આવીએ? અમને તો શંકા છે કે તમારી હત્યા થઈ જ ન હતી અથવા ગોડસેએ તમારી હત્યા કરી જ ન હતી. તેને બિચારાને ખોટો ફસાવાયો છે.

ગાંધીજીઃ (શાંતિથી) ગોળી કોને વાગી હતી?

સવાલઃ તમને જ વળી. પણ ગોળી ખાનાર સાચું જ બોલે એવું જરૂરી છે?

ગાંધીજીઃ જરૂરી તો કશું નથી—વડાપ્રધાન હળાહળ જૂઠું જ બોલે, એવું પણ જરૂરી નથી.

સવાલઃ ઓહો, તો તમે પણ અર્બન નક્સલોની ભાષા બોલતા થઈ ગયા? પણ યાદ રાખજો. આ સ્ટુડિયોમાં કોઈની હોંશિયારી ચાલી નથી. એક કલાક—ફક્ત એક કલાક તમે મારી સાથે વાત કરી જુઓ. તમે ગોડસે પર બંદૂક તાણી હતી અને ગોડસેએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો, એવું લોકોના મનમાં ઠસાવી ન દઉં તો મારે આ ચેનલની નોકરી છોડી દેવાની. બોલો, છે મંજૂર?

(‘હે રામ’ના ઉદ્‌ગાર સાથે ગાંધીજીની ખુરશી ખાલી થઈ જાય છે.)

 

Monday, October 17, 2022

વિદ્યાપીઠ-કાંડ : નવા કુલપતિની નિમણૂંકપ્રક્રિયાના વિરોધમાં નિવેદન અને આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં

ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આાચાર્ય દેવવ્રતને સત્તાવાર નિમંત્રણ 13 વિરુદ્ધ 9 મતથી અપાઈ ચૂક્યું હતું. તે મુદ્દે અકળાવનારા મૌન પછી, વિરોધમાં મત આપનારા નવમાંથી આઠ ટ્રસ્ટીઓએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તે આઠ ટ્રસ્ટીઓ છેઃ  ડો. સુદર્શન આયંગાર, ડો. અનામિક શાહ, ડો. મંદાબહેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટ, નીતાબહેન હાર્ડીકર, માઇકલ મઝગાંવકર અને કપિલ શાહ.

(પોસ્ટ કર્યા પછીનો ઉમેરોઃ આ આઠમાંથી ચારની મુદત આવતી કાલે પૂરી થઈ રહી છેઃ મંદાબહેન, સુદર્શનભાઈ, માઇકલભાઈ અને કપિલભાઈ.)

નવા કુલપતિની નિમણૂંક માટે સરકારે અપનાવેલી પ્રયુક્તિઓનો વિરોધ કરતાં ઉપરના આઠ ઉપરાંત મતદાનમાં તેમની સાથે રહેલા નરસિંહભાઈ હઠીલા--એમ નવ જણે એક સંયુક્ત નિવેદન જારી કરીને આખરે મૌન તોડ્યું છે. તેમનું બે પાનાંનું આખું નિવેદન છેક નીચે મુક્યું છે. તેમાંથી કેટલાક મહત્ત્વના અંશઃ 

  • સરકારની આ ચેષ્ટા વિદ્યાપીઠના અસ્તિત્વના મૂળ ધ્યેયથી વિપરીત છે. તેના મૂળ ચરિત્ર પર મરણતોલ ઘા કર્યા બરાબર છે. તે અનૈતિક, ધમકીભરી, લોકશાહી વિરુદ્ધની અને સરકાર માટે લાંછનરૂપ છે અને અમે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ...
  • સરકારની આ ચાલને ટેકો આપનાર ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ  ગુજરાત વિદ્યાપીઠને વિશ્વચોકમાં ક્ષોભમય સ્થિતિમાં મૂકી દીધી છે. અમારે એમને પૂછવું છે કે શું તેમણે ગાંધીવિચારને છેહ દીધો હોય એવું નથી લાગતું? ગાંધીજીના વિચાર માત્ર પ્રાકૃતિક ખેતી, ગોસંવર્ધન કે કુદરતી ઉપચાર સુધી સીમિત નથી. તે તો તેમના કાર્યક્રમો છે. ખરું તત્ત્વ સર્વધર્મસમભાવ, લોકશાહી મૂલ્યોનું જતન, નાગરિક સ્વાતંત્ર્ય, સંસ્થાગત સ્વાયત્તતાની જાળવણી માટે તથા સરકારની ખુશામતખોરી છોડી, સત્ય અને અહિંસાના રસ્તે 'નો સર' કહેવાની હિંમતમાં છે. તેના વિના ગાંધી અધૂરો છે. અમને આશા છે કે ડર, લાલચ અને સોદાના ભાગ તરીકે તેમણે કરેલી ભૂલનું તેમને અચૂક પ્રાયશ્ચિત થશે...
  • અમને ખાતરી છે કે કુલપતિની પસંદગીનો નિર્ણય રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચના માર્યા, સૂચિત સંવાદની માગણી ઉવેખીને, આ હોદ્દા માટે અન્ય લાયક વ્યક્તિઓનો વિચાર કર્યા વિના, બિનજરૂરી ઉતાવળથી લેવાયો છે. તંત્રને સાચવવાની લ્હાયમાં મૂળ તત્ત્વને બલિદાનની વેદી પર ચઢાવી દેવાયું છે. 

દરમિયાન, આજે (સોમવારે, 17 ઓક્ટોબરના રોજ) વિદ્યાપીઠના પદવીદાન સમારંભના આગલા દિવસે થયેલી મંડળની બેઠકમાં આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં ન  સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રસ્ટીઓ સાથે (તરફેણમાં મત આપનારા) આઠ સેવક ટ્રસ્ટીઓ અને અન્ય સેવકો સંવાદ કરશે. 

ઇન્ચાર્જ કુલસચિવની સહીથી બહાર પડેલી પ્રેસનોટમાં જણાવાયા પ્રમાણે, "આ સંવાદની ભૂમિકા ઉપર ભવિષ્યમાં ગુજરાત વિદ્યાપીઠ આગળ વધે તેવો આશાવાદ હાજર તમામ ટ્રસ્ટીશ્રીઓએ વ્યક્ત કર્યો હતો." 

રાજીનામું આપનારા આઠ ટ્રસ્ટીઓએ તેમના રાજીનામાના અસ્વીકાર અંગે કે સંવાદ અંગે કશો નિર્ણય લીધો જણાતો નથી. 

તે બીજા ટ્રસ્ટીઓ સાથે સંવાદ કરે કે ન કરે, પણ નિવેદનમાં વ્યક્ત કરેલી લાગણીને અનુસરીને, નિસબત ધરાવનારા બીજા લોકોને સાથે જોડવાની કોશિશ કરે અને "નીડર બનીને ગાંધીચીંધ્યા માર્ગે આગળ વધે", તે સૌથી પ્રાથમિક અને સૌથી મહત્ત્વની આવશ્યકતા છે. 




Thursday, October 06, 2022

ગૂજરાત વિદ્યાપીઠ : કેટલાક અગત્યના મુદ્દા

ગૂજરાત વિદ્યાપીઠ વિશેની ચર્ચામાં કેટલાક મુદ્દા સૌથી મહત્ત્વના અને યાદ રાખવા જેવા છેઃ

1. વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે, સરકારી પ્રતિનિધિ એવા ગવર્નરને નહીં, સંઘ પરિવાર સાથે સંકળાયેલા દેવવ્રતનું નામ સૂચવાયું છે. એટલે, મામલો સરકારીકરણનો પણ નહીં, તેને પણ ટપે એવા સંઘીકરણનો છે.

2. "સંઘમાં શો વાંધો છે?" એવું કેટલાક લોકો માસુમિયતથી ને કેટલાક લુચ્ચાઈથી પૂછે છે. જવાબ બહુ સાદો છેઃ સંઘ ગાંધીજીના વિચારોથી સામા છેડાની વિચારધારા ધરાવતી સંસ્થા છે. તેના પ્રતિનિધિને ગાંધીજીએ સ્થાપેલી સંસ્થામાં મુકવામાં દેખીતો ઔચિત્યનો ભંગ છે અને સંસ્થા કબજે કરી લેવાની માનસિકતા છે.

3. વિદ્યાપીઠનું ચાન્સેલર પદું સંઘને સોંપી દેવાની સંમતિ આપનાર વાઇસ ચાન્સેલર રાજેન્દ્રભાઈ ખીમાણી અને બીજા બાર જણે કયા હેતુથી, દેખીતા ઔચિત્યભંગનું આ પગલું લીધું? તે મુખ્ય સવાલ છે.

3. વધારે "ગુજરાતી"માં કહીએ તો, કોની સાથેની અને કઈ સમજૂતીના આધારે, સંઘની વ્યક્તિની તરફેણમાં આ તેર જણે મત આપ્યા છે? એવું કરવામાં તેમનાં કયાં હિત અથવા શાનો ભય અથવા હિત અને ભય-- બંને છે?

4. તેના જવાબમાં કોઈ કહે કે "અમે વિદ્યાપીઠના હિતમાં- વિદ્યાપીઠને બચાવવા માટે આ કરીએ છીએ." તો તેમને કહેજો કે આ સમય ટુચકા કહેવાનો નથી. 

કોઈ કહે કે "ગ્રાન્ટ ચાલુ કરાવવા માટે આ જરૂરી હતું" તો સીધી વાત છે.: વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલ વિદ્યાપીઠની માલિક નથી. વિદ્યાપીઠની પરંપરામાં પાયાનો ફેરફાર કરવા જેટલો મોટો નિર્ણય લેતા પહેલાં, તેમણે વ્યાપક વિમર્શ કરવો જોઈએ. ખાસ કરીને, ટ્ર્સ્ટીમંડળમાંથી નવ જણ તે નિર્ણયનો વિરોધ કરતા હોય ત્યારે, આટલી ઉતાવળ શંકા પ્રેરનારી છે. 

ટૂંકમાં, વિદ્યાપીઠના હિત માટે વિદ્યાપીઠને વધેરી નાખવાનો જવાબ બચાવ પૂરતો ઠીક, પણ કોમન સેન્સની રીતે  જરાય ગળે ઉતરે એમ નથી.  

5. બીજો વિકલ્પ છેઃ અંગત હિત માટે કે અંગત નુકસાન ટાળવા માટે વિદ્યાપીઠને સંઘના ચરણે ધરી દેવી. 
એવું નથી થઈ રહ્યું અને "સંઘની વ્યક્તિને ચાન્સેલરપદે બેસાડવાની હદે પગમાં પડી જવું પડે, એવું કશું અમે નથી કર્યું" -- એ લોકો સમક્ષ પુરવાર કરવાની જવાબદારી આ તેર જણની અથવા વિદ્યાપીઠના વીસી તરીકે રાજેન્દ્રભાઈ ખીમાણીની છે, જેમણે સંઘના ચાન્સેલરની તરફેણમાં મત આપ્યો છે.

7. વિદ્યાપીઠનું ચાન્સેલરપદું સંઘના ચરણે ધરી દેવાથી વિદ્યાપીઠને શો ફાયદો થશે? અને 13 જણમાંથી અંગત રીતે કોને શો ફાયદો થશે? અથવા ભવિષ્યમાં થનારું સંભવિત નુકસાન ઓછું થશે- નુકસાનમાંથી બચી જવાશે? તેનો પણ જવાબ આ તેર જણે આપવાનો રહે છે.

1. ડો. રાજેન્દ્ર ખીમાણી
2. પ્રો. કનુભાઈ નાયક
3. આયેશાબહેન પટેલ
4. સુરેશભાઈ રામાનુજ
5. વિશાલભાઈ ભાદાણી
6. જગદીશચંદ્ર સાવલિયા
7. જશવંતભાઈ પંડ્યા
8. રમેશભાઈ પટેલ
9. જગદીશચંદ્ર ગોઠી
10. અરુણભાઈ ગાંધી
11. નરેશભાઈ ચૌહાણ
12. પ્રવીણકુમાર શર્મા
13. મેહુલભાઈ પટેલ 

Wednesday, October 05, 2022

ગૂજરાત વિદ્યાપીઠનો શરમજનક ઘટનાક્રમ: જવાબદારી નિભાવવાની, નામોશીથી બચવાની છેલ્લી છેલ્લી તક

ગૂજરાત વિદ્યાપીઠ  Gujarat Vidyapith

ગૂજરાત વિદ્યાપીઠમાં ગઈ કાલે સાંજે થયેલી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં, વિદ્યાપીઠના ચાન્સેલર પદે આચાર્ય દેવવ્રતને નીમવાની દરખાસ્ત થઈ. તે અત્યારે ગુજરાતના રાજ્યપાલ છે, પણ તેમની નિમણૂંક હોદ્દાની રૂએ નહીં, થઈ, વ્યક્તિગત ધોરણે (સંભવતઃ સરકાર સાથે થયેલી ગોઠવણ પ્રમાણે) થઈ છે. હરિયાણાના આચાર્ય દેવવ્રત પતંજલિ પ્રોડક્ટ્સવાળા રામદેવના શિષ્ય છે. હરિયાણામાં ચાલતા એક ગુરુકુળના આચાર્યપદે લાંબો સમય રહેલા દેવવ્રતને 2015માં પહેલી વાર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની નિમણૂંકમાં રામદેવની ભૂમિકા વિશે દેવવ્રતે કહ્યું હતું, “He has always been a guide and his blessings are with me” (તે હંમેશાં મારા માર્ગદર્શક રહ્યા છે અને તેમના આશીર્વાદ મારી સાથે જ છે. ધ ટ્રિબ્યુન, ઓગસ્ટ 5, 2015)

આ દેવવ્રતને હવે વિદ્યાપીઠના ચાન્સેલર બનાવવાની, ગાંધીસંસ્થા માટે શરમજનક કહેવાય એવી દરખાસ્ત ગઈ કાલે પસાર થઈ. કુલ 24 મતમાંથી દરખાસ્તની તરફેણમાં 13 જણે અને વિરોધમાં 9 જણે મત આપ્યા. બે જણ તટસ્થ રહ્યા.

***

ગૂજરાત વિદ્યાપીઠના માળખામાં સત્તાવાર અને મૂળભૂત પરિવર્તન આણે એટલું મોટું કાવતરું પાર પડ્યું ત્યારે, તેમાં કોનું શું વલણ હતું, તે લોકો સમક્ષ મુકાવું જરૂરી છે. 

વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલનાં 26 જણનાં નામ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાંથી (જેમનું રાજીનામું સ્વીકારાયું તે) ચાન્સેલર ઇલાબહેન ભટ્ટ અને ઇન ચાર્જ રજિસ્ટ્રાર ડો. નિખિલ ભટ્ટનો મતની યાદીમાં સમાવેશ કર્યો નથી. તે સિવાયના 24 જણના મત આ પ્રમાણે હતાઃ

દરખાસ્તનો વિરોધ કરનારા નવ જણનાં નામઃ (તેમાંથી મોટા ભાગના નાગરિક પ્રતિનિધિ તરીકે લેવાયેલા ટ્રસ્ટીઓ છે.) 

1. નરસિંહભાઈ હઠીલા

2. ડો. મંદાબહેન પરીખ

3. ડો. સુદર્શન આયંગાર

4. કપિલભાઈ શાહ

5. માઇકલ મઝગાંવકર

6. ઉત્તમભાઈ પરમાર

7. ચૈતન્યભાઈ ભટ્ટ

8. નીતાબહેન હાર્ડિકર

9. પ્રો. અનામિકભાઈ શાહ


ગાંધીસંસ્થા માટે શરમજનક એવી દરખાસ્તને ટેકો આપનારા તેર જણનાં નામ. (તેમાં મોટા ભાગના અધ્યાપક પ્રતિનિધિઓ છે.) 

1. ડો. રાજેન્દ્ર ખીમાણી

2. પ્રો. કનુભાઈ નાયક

3. આયેશાબહેન પટેલ

4. સુરેશભાઈ રામાનુજ

5. વિશાલભાઈ ભાદાણી

6. જગદીશચંદ્ર સાવલિયા

7. જશવંતભાઈ પંડ્યા

8. રમેશભાઈ પટેલ

9. જગદીશચંદ્ર ગોઠી

10. અરુણભાઈ ગાંધી

11. નરેશભાઈ ચૌહાણ

12. પ્રવીણકુમાર શર્મા

13. મેહુલભાઈ પટેલ 


તટસ્થ રહેલા એટલે કે એકેય બાજુ મત નહીં આપનારા બે સભ્યો

1. હસમુખભાઈ પટેલ

2. ચંદ્રવદનભાઈ શાહ


ગેરવાજબી દરખાસ્તનો વિરોધ કરનાર સૌને અભિનંદન. 

આ તેમના વિરોધનો અંત નહીં, શરૂઆત હોય એવી અપેક્ષા.

આ પ્રશ્ન ફક્ત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓનો નથી.

જેવા છે તેવા,  વ્યાપક નાગરિક સમાજનો પણ છે. 

ભૂતકાળ પ્રત્યે આંગળીચીંધામણાં કરીને વર્તમાનની જવાબદારીમાંથી છટકી શકાય નહીં,

વર્તમાનની જવાબદારી નિભાવવાની ને ભવિષ્યની નામોશીથી બચવાની આ છેલ્લી છેલ્લી તક છે. 

Tuesday, October 04, 2022

ગાંધી જયંતિએ...

ગાંધીજયંતિની સવાર. ફોન રણક્યો. અજાણ્યો નંબર. સ્પામ લખેલું આવ્યું. છતાં, ટાઇમપાસ ખાતર ઉપાડ્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.

અવાજઃ હેલો...

જવાબઃ હા, બોલો ભાઈ. તમારો અવાજ બહુ જાણીતો લાગે છે, પણ મહેરબાની કરીને સવાર સવારમાં મને ના ઓળખ્યો?” ને બોલો હું કોણ બોલું છું?”—એવાં ઉખાણાં ન  પૂછતા. 

અવાજઃ (હસવાનો અવાજ)

જવાબઃ એમાં હસવા જેવું શું છે? મેં જોક કહી?

અવાજઃ તારો ઉકળાટ સાંભળીને લાગે છે કે તારા માથે બટેટું મૂકું, તો પાંચ મિનીટમાં બફાઈ જાય. (ફરી હસે છે.)

જવાબઃ એક મિનીટ...હું ક્યારનો વિચારું છું કે અવાજ જાણીતો છે... તમે...તમે ક્યાંક ગાંધીજી તો...?

અવાજઃ શું વાત છે? તું મારો અવાજ ઓળખી ગયો? બાકી દેશની સ્થિતિ વિશે જાણ્યા પછી, ઘણી વાર હું પણ મારો અવાજ ઓળખી શકતો નથી.

જવાબઃ અરે બાપુ... અમારા અંતરાત્માનો અવાજ ભલે ભૂલી જઈએ, પણ તમારો અવાજ ભૂલી જવાય? થોડા વખત પહેલાં જ, કોઈ ચેનલ પર તમારી ફિલ્મ આવતી હતી, ત્યારે પણ તમને બહુ યાદ કર્યા હતા...પણ તમે આજે, બીજી ઓક્ટોબરે, સવારના પહોરમાં ફ્રી ક્યાંથી?

ગાંધીજીઃ હું ક્યાં ગાંધીવાદી છું કે વર્ષમાં બે વાર બિઝી થઈ જાઉં.

જવાબઃ તમે પણ બાપુ...સિરીયસલી પૂછું છું, તમારે આજે ક્યાંય જવાનું નથી? પ્રાસંગિક સંબોધન માટે, ચરખો કાંતતો ફોટો પડાવવા માટે, સર્વધર્મપ્રાર્થનામાં, ગાંધીશ્રેણીના કોઈ વ્યાખ્યાનમાં...ક્યાંય નહીં?

ગાંધીજીઃ ઉપર આવી ગયા પછી બધું બંધ. આમ તો નીચે પણ એ બધું ક્યાં કરતો હતો? પેલું જીવન-સંદેશવાળું ભૂલી ગયો?

જવાબઃ ના,ના, એમ થોડું ભૂલાય? હમણાં જ સાબરમતી આશ્રમ ગયો ત્યારે મારું જીવન એ જ મારો સંદેશ લખેલા પાટીયા પાસે સેલ્ફી પાડેલી. બરાબર એ જ વખતે એક કાગડો ત્યાં આવીને બેસી ગયો, મને ખબર નહીં, પણ સોશિયલ મિડીયા પર એ ફોટો બહુ વાઇરલ થયો કે હવેના જમાનામાં કાગડા પણ બેશરમ થઈને કહી દે છે,મારું જીવન એ જ મારો સંદેશ.

ગાંધીજીઃ સારું, સારું. ટૂંકમાં, હું ક્યાંય બહાર જતો નથી—બીજી ઓક્ટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ તો ખાસ નહીં.

જવાબઃ પછી લોકો તમને ભૂલી જ જાય ને? બાકી, હવે તો તમને મારનારાને વધાવનારી વિચારધારાના લોકો પણ તમને ફૂલ ચડાવે છે.

ગાંધીજીઃ (હસીને) હવે મને ફૂલ ચડાવવાં સલામત છે. હું ક્યાં સામે સવાલ પૂછવાનો છું કે મને ફૂલ ચડાવતાં પહેલાં શું કરીને આવ્યા? અહીંથી જઈને શું કરવાના? અને હવે તો, મને ફૂલ ચડાવતી વખતે તમારા મનમાં શું ચાલે છે, તે પણ પૂછવું પડે એમ છે.

જવાબઃ કેમ આવી નેગેટીવ વાતો કરો છો?  મનમાં શું ચાલતું હોવાનું?

ગાંધીજીઃ એ તો તને ખબર. પૃથ્વી પર તું રહે છે કે હું? વચ્ચે સરદાર મજાકમાં મને પૂછતા હતા કે બાપુ, બેરિસ્ટર સાવરકરને અંગ્રેજોની માફી માગવાનું તમે કહેલું?” પછી હું કંઈ જવાબ આપું તે પહેલાં તેમણે પૃથ્વી પરના કેટલાક સમાચાર બતાવ્યા. તેમાં મારા નામે આવું લખેલું. એટલે, લોકો મને હારતોરા કરતી વખતે શું વિચારતા હશે?

જવાબઃ એ જ કે હવે પછી તમને કયા ખોટા વિવાદમાં સંડોવવા? કે તમને નીચા પાડી ન શકાય, તો કોને કોને તમારી ઊંચાઈ પર ગોઠવી દેવા?

ગાંધીજીઃ (હસે છે) સાચવજે. બહુ બુદ્ધિ ચલાવીશ તો રાજદ્રોહની તૈયારી રાખવી પડશે. અને રાજદ્રોહના કેસમાં મને મળેલો અંગ્રેજ ન્યાયાધીશ તો બિચારો સારો માણસ હતો. કહે કે તમારી સજા ઓછી થશે તો સૌથી વધારે ખુશી મને થશે. તું ન્યાયાધીશ સુધી પહોંચ્યા વિના, અધવચ્ચે જ ક્યાંક સબડી ન પડું.

જવાબઃ ના, ના કહેતાં તમે દેશનું ઘણું ધ્યાન રાખતા લાગો છો.

ગાંધીજીઃ સરદાર છે ને મારી પાસે? એટલે હળવા થવા સમાચાર વાંચી સંભળાવે છે, પણ એ વાંચીને અમે બેય દુઃખી થઈ જઈએ છીએ.

જવાબઃ આઝાદીના અમૃત કાળની ઉજવણીમાં મને તો એમ કે તમે મોજમાં ધુબાકા મારતા હશો. તમારા નામે કેટકેટલું ચાલે છે...

ગાંધીજીઃ મારા નામે જે બધું ચાલે છે, એની તો રામાયણ છે.

જવાબઃ હવે તો રામાયણ છે એવું પણ ન કહેતા...તમારા પ્રત્યે પ્રેમ છે, એટલે કહું છું. ભલે ને એ જૂનો ને જાણીતો શબ્દપ્રયોગ હોય, પણ ગુજરાતના કે ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં કોઈકની લાગણી દુભાશે તો તમારે ક્યાં કોર્ટના ધક્કા ખાવાના?

ગાંધીજીઃ (નિઃસાસો નાખીને) હા ભાઈ, રામનો ને રામાયણનો ઉપયોગ લાગણી દુભાવવા પૂરતો ને લાગણી વટાવવા પૂરતો જ રહી ગયો છે...પણ હે, રામ તો બોલાય ને ?

જવાબઃ એ પણ વિચારવું પડે. કારણ કે તમને મારનારી વિચારધારાના લોકોને લાગે છે કે રામ પર તેમની મોનોપોલી છે. તેમનો માણસ તમને ગોળી મારે અને તમે હે રામ બોલો, તો પછી તેમના હિંદુત્વનું શું થાય?

એક વારનું હે રામ ભૂંસવામાં કેટલા દાયકા નીકળી ગયા. હવે ફરી કોઈએ આવી રીતે હે રામ નહીં બોલવાનું, એવો કાયદો હજુ થયો નથી, પણ થાય તો નવાઈ નહીં.

(એ સાંભળતાંની સાથે ફોન ફોન કટ થઈ જાય છે અને તેના સ્ક્રીન પર હે રામ લખેલું આવે છે,)

Wednesday, February 26, 2020

જ્યારે મોટેરા માધવબાગ બન્યું અને ‘સુધારાવાળા’ પરાસ્ત થયા

A hoarding of Namaste Trump event

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત નિમિત્તે બે મહાન લોકશાહીના મિલનથી માંડીને બે પ્રતિભાશાળી વ્યક્તિત્વના મિલન જેવાં સંખ્યાબંધ હોર્ડિંગ અમદાવાદમાં ઉભરાતાં હતાં. પરંતુ મુલાકાત પૂરી થયા પછી, તેના વિશે એટલુ જ કહેવાનું થાય કે તે તમાશાબાજ, ભપકાપ્રેમી, પ્રસિદ્ધિકેન્દ્રી, આત્મરતિગ્રસ્ત એવા બે નેતાઓનું પરસ્પર પીઠખંજવાળક મિલન હતું. દુનિયાના સૌથી મોટેરા સ્ટેડિયમમાં, છતી લોકશાહીએ મોટેરા ભાઈઓ (બીગ બ્રધર)ની જેમ વર્તતા બંને નેતાઓ મળ્યા ને પ્રાયોજિત દર્શકગણે જયજયકાર કર્યો. તેની સરખામણી ભદ્રંભદ્ર હાસ્યનવલમાં આવતી માધવબાગની સભામાં, રૂઢિચુસ્તો જે રીતે જાતે ને જાતે સુધારાવાળાની હાર અને પોતાની જ્વલંત જીત જાહેર કરે છે, તેની સાથે થઈ શકે. વધુ કલ્પનાશક્તિ ધરાવતા સિનેમાપ્રેમીઓને ચાર્લી ચેપ્લિનની અમર ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટરમાં હિટલરે કરેલું મુસોલિનીનું સ્વાગત અને તેમાં દેખીતા ભપકા-કડપ તળે છુપાયેલી હાસ્યાસ્પદતા પણ સાંભરી શકે. 
(નોંધઃ અહીં મોદી-ટ્રમ્પને ક્રૂરતા કે શાસનપદ્ધતિના મામલે હિટલર મુસોલિની સાથે સરખાવ્યા નથી, પણ બે આત્મરતિગ્રસ્ત નેતાઓના ભપકા તળે કેવી હાસ્યાસ્પદતા છુપાયેલી હોઈ શકે છે, તેની વાત છે.) 

પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહીને તેના માળખામાં રહીને કેટલી હદે તોડીફોડી શકાય તેનો નમૂનો જેમ ટ્રમ્પે પૂરો પાડ્યો છે, એવી જ રીતે સંસદીય લોકશાહીના માળખામાં રહીને લોકશાહીના અર્ક અને મિજાજને કઈ હદે રફેદફે કરી શકાય છે તેનો દાખલો બીજી મુદતમાં નરેન્દ્ર મોદીએ પૂરો પાડ્યો છે. એ દૃષ્ટિએ બન્ને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ગણાય એની ના નહીં. તેમની વચ્ચેની દોસ્તીને હોર્ડિંગમાં ઘણું પ્રાધાન્ય અપવામાં આવ્યું અને ટ્રમ્પ પણ તેમના ગ્રેટ ફ્રેન્ડ મોદીનાં વખાણ કરતા રહ્યા. તે એટલી હદે કે ગાંધીજીના આશ્રમની વિઝિટર્સ બુકમાં પણ ટ્રમ્પે ગાંધીજી વિશે કશું લખવાને બદલે ફ્રેન્ડને જ અંજલિ આપી.
Trump's note in Gandhi Ashram's visitor book
આશ્રમમાં ભારતના વડાપ્રધાને અમેરિકી પ્રમુખને ગાંધીજીના પ્રિય એવા ત્રણ વાંદરાના રમકડાની પ્રતિકૃતિ ભેટ આપી. ત્યારે બંનેએ આંખોઆંખોંમેં એકબીજા સાથે શી વાત કરી હશે? કલ્પના તો એવી જ આવે કે લિન્ચિંગ વખતે બોલવાનું નહીં, નક્કર ટીકાઓ સાંભળવાની નહીં અને શાહીનબાગ જેવાં વિરોધ પ્રદર્શનો જોવાનાં નહીં. ટ્રમ્પની મુલાકાત પછી આશ્રમની વિઝિટર્સ બુકમાં તેમણે લખેલી ગાંધીજીના ઉલ્લેખ વગરની બે લીટી તથા તેમની સહી ચર્ચામાં રહ્યાં, તો મુલાકાત પહેલાં ગરીબ ઝુંપડાવાસીઓને ઢાંકવા માટે બનાવાયેલી દીવાલનો મુદ્દો, બંને પ્રતિભાઓને પ્રિય એવા સોશ્યલ મિડીયા પર ગરમાગરમ ચર્ચામાં રહ્યો અને ઘણાં કાર્ટૂનોમાં સ્થાન પામ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવી ચોખવટ કરવામાં આવી કે આ દીવાલ અમસ્તી પણ બાંધવાની જ હતી. પરંતુ એ ખુલાસા ખાતરનો ખુલાસો હતો, જેને લોકો પોતાના હિસાબે ને જોખમે જ માની શકે. એવું જ સ્ટેડિયમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ માંડવાળ કરવાના અને નાગરિક અભિવાદન સમિતિ રચવાના નિર્ણય તથા તેના ખુલાસા વિશે પણ કહી શકાય.

ટ્રમ્પની મુલાકાત નિમિત્તે થયેલી ભપકાબાજીને વાજબી ઠરાવવા માટે આખા તમાશાને રાબેતા મુજબ માસ્ટર સ્ટ્રોક ગણાવવામાં આવ્યો. ટ્રમ્પના ભાષણમાં ઓડિયન્સ તરીકે એકથી સવા લાખ માણસને એકઠાં કરવામાં આવ્યાં (જેમાંથી ઠીક ઠીક સંખ્યામાં લોકોએ ટ્રમ્પના પ્રવચનમાં અધવચ્ચેથી ચાલતી પકડી હોવાના અહેવાલ છે). તેનાથી ટ્રમ્પ-મોદી દોસ્તી જ નહીં, ભારત-અમેરિકા દોસ્તીમાં નવો અધ્યાય ઉમેરાયો હોવાનાં વિશ્લેષણ થયાં. જગતજમાદાર ગણાતા અમેરિકાના પ્રમુખ સાથે ભારતના વડાપ્રધાનનું સમીકરણ સારું હોય, તેનાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતને ચોક્કસ ફાયદો થાય. પણ આવા સંબંધોને મૈત્રી તરીકે દર્શાવવા અને ભેટાભેટી કરીને એવી મૈત્રીની જાહેર પહોંચો દેખાડવી—એમાં નક્કરતા ઓછી ને જોણું વધારે હોય છે. કેમ કે, બે નેતાઓ વચ્ચેનાં વ્યક્તિગત સમીકરણો મહત્ત્વનાં હોવા છતાં, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં છેવટે આવી કથિત દોસ્તી નહીં, પણ વ્યક્તિગત કે દેશનું કે બંનેનું હિત જ સૌથી મહત્ત્વનાં હોય છે. ગાલાવેલા થઈને ઉભરાઈ જઈને, બધી વખતે કથિત દોસ્તીનું કે સંબંધોની નિકટતાનું પ્રદર્શન કરવાથી નક્કર ઉપલબ્ધિ થાય એ જરુરી નથી અને નક્કર ઉપલબ્ધિ માટે આવું કરવું પડે એ પણ જરૂરી નથી.

ટ્રમ્પે પાકિસ્તાન વિશે નકારાત્મક ટીપ્પણી કરી, તે સ્ટેડિયમમાં બેઠેલે સરકારી ઓડિયન્સે વધાવી લીધી ને પાકિસ્તાન વિશેની તેમની સકારાત્મક વાત પાકિસ્તાની મિડીયાએ માથે મૂકીને નાચવાનું શરૂ કર્યું. આ બંને પ્રતિક્રિયા આપનારાં જૂથો એક વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે ટ્રમ્પ માટે ભારત કે પાકિસ્તાન કરતાં ઘરઆંગણે પોતાની સત્તા ને પોતાનો સ્વાર્થ વધારે મહત્ત્વનાં છે. એવી જ રીતે, ભારતના વડાપ્રધાનને હાઉડી (કેમ છો?) કહેવા માટે હ્યુસ્ટન નજીક લાગે છે અને શાહીનબાગ દૂર. આ બંને નેતાઓ ભારતની લોકશાહીના પાયામાં રહેલી, તેની તાકાત જેવી સર્વસમાવેશકતા અને વૈવિધ્યને ભાષણોમાં અંજલિઓ આપે છે, પણ શાસક તરીકે તેમનો વ્યવહાર સાવ સામા છેડાનો રહ્યો છે. બંને પોતપોતાના દેશમાં ધીક્કાર, ઝેર અને જૂઠાણાં ફેલાવતાં પ્રચારયંત્રોના પ્રેરક કે પ્રેરણાસ્રોત ગણાય છે. સોશિયલ મિડીયાનો અવિરત ઉપયોગ બંનેની ખાસિયત છે. લોકશાહીના હાર્દના પાયામાં ઘા કરતા નિર્ણયો લેવાની હરીફાઈ ટ્રમ્પ અને મોદી વચ્ચે થાય તો તેમાં ટ્રમ્પ જીતી જાય, પણ મોદી તેમને મજબૂત ટક્કર આપી શકે તેમ છે. અને હા, ટ્રમ્પ પાસે અમિત શાહ નથી.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતની બિનસત્તાવાર જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાને દિલ્હી ચૂંટણીની પ્રચારરેલીમાં કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાનનું નામ વિજય રુપાણી છે--કદાચ નામ યાદ ન હોય તો. કારણ શું કે ટ્રમ્પ-મોદી હોર્ડિંગબાજીમાં યજમાન રાજ્યના મુખ્ય મંત્રીનું ક્યાંય નામોનિશાન ન હતું. (અગાઉ ચીનના વડા શી જિનપિંગ આવ્યા ત્યારે નહેરુ બ્રિજના છેડે લાગેલાં તોતિંગ હોર્ડિંગોથી માંડીને ઠેકઠેકાણે જિનપિંગ અને મોદી સાથે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સ્થાન મળ્યું હતું.) 
Modi, Xi Jinping, Anandiben Patel in a hoarding. Courtesy : rediff.com
અમદાવાદમાં વિદેશી વડાઓ આવે તેનાથી ઘણા ગુજરાતીઓને ગૌરવ થાય છે, તો ઘણા બિનગુજરાતીઓને લાગે છે કે ભૂવો ધૂણીને નારિયેળ ઘર ભણી ફેંકે છે. આ બંને લાગણીઓ અસ્થાને છે. સરકારી તંત્રમાં કામ કરતા માણસોથી માંડીને એરપોર્ટ પર સલવાઈ ગયેલા મુસાફરો સુધીના લોકોને પૂછી જોજો. સરકારી તંત્રમાં કલેક્ટર કે મામલતદાર નહીં, તેથી પણ નીચલા સ્તરે ટ્રમ્પના સ્વાગત માટે કેટલા લોકો લાવવાની ને તેમના આખા દિવસ માટે સાચવવાની કેટલી તૈયારી કરાઈ હતી અને તેના માટેનાં નાણાંનો વહીવટ દરેક નીચલા હોદ્દેદારે કેવી રીતે પોતાની જાતે કરી લેવાનો હતો, તેની પણ કથાઓ સાંભળવા મળશે.

આખા તમાશાને બંને દેશો વચ્ચેના સંબંધની મજબૂતીની દૃષ્ટિએ વાજબી ઠરાવવા ઉત્સુક લોકોને જણાવવાનું કે બે દેશો વચ્ચેના સંબંધ મજબૂત બનાવવાના બીજા સન્માનજનક રસ્તા પણ હોય જ છે. તેના માટે લોકોને અપાર અગવડ પડે અને જેમાં જાહેર નાણાંનો અઢળક ધુમાડો થાય એવા અન્યોન્યઆત્મરતિમાં ડૂબેલા ચીતરીચઢાઉ તમાશા યોજવાનું ફરજિયાત નથી હોતું. આ વાત સમજવી હોય તો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યાર પહેલાં પણ દેશનો ઈતિહાસ હતો એટલું સ્વીકારવું પડે અને તેનો ઉપરછલ્લો પણ અભ્યાસ કરવાની તૈયારી રાખવી પડે.