Saturday, November 25, 2023
નંદલાલ બોઝના ગાંધીજીઃ એક ચિત્ર, ચાર અવતાર
![]() |
| નંદલાલ બોઝે બનાવેલું મૂળ ચિત્ર, તારીખ 12031930 (દાંડી કૂચનો પ્રારંભ) |
![]() |
| થોડા ઉમેરા સાથેનું નંદબાબુનું ચિત્રઃ નામ બદલાયું, ઘડીયાળ ઉમેરાયું |
![]() |
| નદબાબુએ બનાવેલું લિનોકટ, તારીખ 12041930 |
સમય જતાં લિનોકટના અગાઉના તબક્કા ભૂલાઈ ગયા અને તેનું છેલ્લું, પ્રચલિત બનેલું સ્વરૂપ જ યાદ રહ્યું. આ ચિત્રના ચાર તબક્કા એક જ ફ્રેમમાંઃ (મોટું કરીને જોવા માટે તેની પર ક્લિક કરો)
Monday, April 17, 2023
ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે. આ રહ્યાં તેનાં દસ કારણ : રામચંદ્ર ગુહા
(ગાંધીજીની હત્યાની 75મી તિથીએ રામચંદ્ર ગુહાએ લખેલા લેખનો ગુજરાતી અનુવાદ. મૂળ લેખની લિન્ક )
કારણ 1
ગાંધીજીએ ભારતને અને જગતને અન્યાયી સત્તાધીશો
સામે હિંસાના પ્રયોગ વિના લડવાનું સાધન આપ્યું. નવાઈની વાત એ છે કે સત્યાગ્રહના
વિચારનો જન્મ જોહાનિસબર્ગના એમ્પાયર થિએટરમાં સપ્ટેમ્બર 11, 1906ના રોજ થયો હતો,
જ્યાં રંગભેદગ્રસ્ત કાયદાનો વિરોધ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીયોની સભા
મળી હતી. તેનાં 95 વર્ષ પછી ત્રાસવાદીઓએ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર ઉડાડી દીધું. બે 9/11 : એકમાં અહિંસક
લડતના રસ્તે ન્યાયની માગણી તથા અંગત બલિદાન; બીજામાં હિંસા
અને બળપ્રયોગના રસ્તે શત્રુને ડારવાનો ઇરાદો.
ઇતિહાસે દર્શાવી આપ્યું છે કે અન્યાયનો મુકાબલો કરવાના મામલે બીજા વિકલ્પોની સરખામણીમાં સત્યાગ્રહ વધારે નૈતિક તેમ જ વધારે અસરકારક નીવડ્યો છે. દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં તેના પ્રયોગો પછી ગાંધીજીની એ પદ્ધતિનું અનુકરણ બીજાં ઘણાં ઠેકાણે થયું, જેમાં અમેરિકામાં કાળા લોકોએ આદરેલી નાગરિક અધિકારોની લડત સૌથી નોંધપાત્ર હતી.
કારણ 2
દેશ અને દેશની સંસ્કૃતિ માટેનો ગાંધીજીનો પ્રેમ,
જેના કારણે તેમાં રહેલી અનેક વિકૃતિઓને ઓળખીને તેને સુધારવા માટે તેમણે પ્રયાસ
કર્યો. ઇતિહાસકાર સુનિલ ખીલનાનીએ એક વાર કહ્યું હતું કે ગાંધીજી ફક્ત અંગ્રેજો
સામે જ નહીં, ભારત સામે પણ લડી રહ્યા હતા. ગાંધીજી તેમના-આપણા સમાજમાં રહેલી
ઊંડી અને વ્યાપક અસમાનતાને પિછાણતા હતા. અસ્પૃશ્યતા
સામેની તેમની ઝુંબેશ ભારતીયોને સ્વરાજ માટે વધુ લાયક બનાવવાની ઇચ્છાનું પરિણામ
હતી. તે નખશીખ નારીવાદી ન હોવા છતાં, મહિલાઓને જાહેર જીવનમાં આણવા માટે તેમણે ઘણું
કર્યું.
કારણ 3
ધર્મિષ્ઠ હિંદુ હોવા છતાં તેમણે ધર્મના આધારે
નાગરિકતાના ખ્યાલનો ઇન્કાર કર્યો. જ્ઞાતિપ્રથાએ હિંદુઓને ઊભા વહેર્યા છે, તો ધર્મે ભારતને આડું વહેર્યું છે. આ ઊભા અને
ઘણી વાર ઐતિહાસિક રીતે આમનેસામને રહેલા વિભાગો વચ્ચે સેતુ બનાવવા માટે ગાંધીજી મથતા
રહ્યા. હિંદુ-મુસલમાન એકતા તેમની કાયમી નિસબત રહી. એના માટે તે જીવ્યા અને આખરે, તેના માટે મૃત્યુ વહોરવા પણ તૈયાર રહ્યા.
કારણ 4
ગુજરાતી સંસ્કૃતિમાં તરબોળ હોવા છતાં અને
ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હોવા છતાં, તે સંકુચિત
પ્રાંતવાદી ન હતા. પોતાના સિવાયના ધર્મો માટે તેમના મનમાં આદરપ્રેમ હતાં. એવી જ
રીતે ગુજરાતી સિવાયની ભાષાઓ માટે પણ તેમના મનમાં આદરભાવ રહ્યો. ભારતના ધાર્મિક અને
ભાષાકીય વૈવિધ્ય માટેની તેમની સમજ વિદેશનિવાસ દરમિયાન વધારે ઊંડી બની, જ્યાં તેમના સાથીદારો તરીકે હિંદુઓની સાથોસાથ
મુસલમાનો અને પારસીઓ પણ હતા, ગુજરાતીઓની સાથે
તમિલો પણ હતા.
કારણ 5
તે દેશભક્ત હોવાની સાથે વૈશ્વિક પણ હતા. ભારતીય
સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેના વારસાની કદર કરવાની સાથે તેમને એ પણ ખ્યાલ હતો કે
વીસમી સદીમાં કોઈ પણ દેશ કૂવામાંનો દેડકો બનીને રહી શકે નહીં. બીજાના આયનામાં
જાતને જોવાના પણ ફાયદા હોય છે. તેમની પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય બંને પ્રકારના
પ્રભાવ હતા. તેમના તાત્ત્વિક અને રાજકીય દૃષ્ટિબિંદુમાં તોલ્સ્તોય અને રસ્કિન
જેટલા જ ગોખલે અને રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) હતા. વિવિધ વંશીય ઓળખ ધરાવતા લોકો
સાથે તેમની ગાઢ દોસ્તી થઈ. તેમાં હેન્રી અને મિલિ પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ જેવા તેમના
મિત્રોનો સમાવેશ થાય. તે સૌએ તેમના અંગત અને જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
અહીં થોભીને એટલું અંકે કરવું જોઈએ કે ગાંધીજીના વારસા જેવી આ પાંચ બાબતો ન હોત, તો સ્વતંત્ર ભારતે કદાચ સાવ જુદો રસ્તો લીધો હોત. ગાંધીજી હિંસાને બદલે સંવાદને પ્રાધાન્ય આપતા હતા, એટલે (નિર્ણયો લેવામાં હિંસાનો રસ્તો અપનાવનારા એશિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશોની માફક) ભારતમાં એકપક્ષીય આપખુદશાહી રાજ્યવ્યવસ્થાને બદલે બહુપક્ષીય લોકશાહી સ્થપાઈ. ગાંધીજી અને ડો. આંબેડકર જેવા લોકોએ જાતિ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો હોવાને કારણે, તે સિદ્ધાંતોનો ભારતના બંધારણમાં સમાવેશ થયો. ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ધાર્મિક અને ભાષાકીય સ્વતંત્રતાનો આગ્રહ રાખ્યો હોવાથી, બીજા ઘણા દેશોમાં બન્યું તેનાથી વિપરીત, ભારતે કોઈ એક ધર્મ કે ભાષાના ચડિયાતાપણાને આધારે નાગરિકતા નક્કી ન કરી.
આંબેડકર અને નેહરુના દાખલા પરથી સ્પષ્ટ થાય છે
તેમ, લોકશાહી મૂલ્યો અને સમાવેશક રાજકીય સંસ્કાર
કેવળ ગાંધીજીની દેન હતી, એવું કહેવાનો આશય નથી. અલબત્ત, વ્યક્તિગત નેતાગીરી અને લોકશાહી, સાંસ્કૃતિક વિવિધતા તથા સામાજિક સમાનતા અંગે
વારંવારના આગ્રહ થકી ગાંધીજીની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.
કારણ 6
ગાંધીજી જમાના કરતાં આગળ રહેલા પર્યાવરણવાદી
હતા. અવિરત વૃદ્ધિ અને ગ્રાહકવાદથી કેવો ધબડકો સર્જાશે તેનો અંદાજ તેમને હતો.
ડિસેમ્બર 1928માં તેમણે લખ્યું હતું, ‘ઈશ્વર હિંદુસ્તાનને યંત્રયુગથી અને સંસારને
યંત્રમય હિંદુસ્તાનથી બચાવો. આજે એક મૂઠી જેટલી કોમ (ઇંગ્લેન્ડ) આર્થિક લૂંટને
પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો 33
કરોડ લોકોની પ્રજા આ માર્ગે ચડે તો આખા સંસારને વેરાન કરી નાખે.’ આ એકદમ સાચું ભવિષ્યદર્શન છે. પશ્ચિમે આરંભેલા
અઢળક મૂડી, અઢળક સંસાધનો અને અઢળક
ઊર્જા હજમ કરી જતા ઔદ્યોગિકીકરણના રસ્તે આગળ ચાલતા ચીન અને ભારતને કારણે ખરેખર
દુનિયા ઉજ્જડ થઈ જવાનો ખતરો છે. પોતાના જીવન અને કાર્યમાં ગાંધીજીએ સંયમ અને
જવાબદારીની હિમાયત કરી, જેના વ્યાપક
સ્તરે સ્વીકાર ઉપર પૃથ્વીનું ભવિષ્ય આધાર રાખે છે.
કારણ 7
ગાંધીજીમાં નીતનવા પ્રસંગો અને અનુભવો સાથે
વિકસવાની અને ઉત્ક્રાંત થવાની ક્ષમતા હતી. વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેન્સના નામે
ચડેલું એક અવતરણ છે, ‘હકીકતો બદલાય, ત્યારે હું મારું
મન પણ બદલું છું. તમારું કેમ છે?’ હકીકતમાં
ગાંધીજીએ 1934માં કહ્યું હતું, ‘મારાં વચનોમાં સર્વકાળે અવિરોધ હોવો જ જોઈએ એવો
આગ્રહ કદી રાખ્યો નથી. જે ક્ષણે મને જે સત્ય ભાસે તે પ્રમાણે હું બોલું ને આચરું
તો મારાં વાણી ને આચરણમાં ગમે એટલા વિરોધો બતાવવામાં આવે એની મને પરવા નથી.‘
પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ ખાસ કરીને
ત્રણ મહત્ત્વની બાબતોમાં તેમના વિચાર બદલ્યા.
એ ત્રણ બાબતો હતીઃ વંશીયતા (રેસ), જ્ઞાતિ (કાસ્ટ) અને જાતિ (જેન્ડર). આ ત્રણે
મુદ્દે અગાઉ તેમના મનમાં રહેલા પૂર્વગ્રહોને બદલે તેમણે વધારે પ્રગતિશીલ ભૂમિકા
અપનાવી. સભાન વિચાર વગરના વંશવાદી વલણથી શરૂઆત કરીને તે વંશવાદના મુખ્ય વિરોધી
બન્યા. જ્ઞાતિઆધારિત ઊંચનીચના ભદભાવને અચકાતાં-ખચકાતાં પડકાર આપવાનું શરૂ કર્યા
પછી તેમણે તેનો સીધો અને ખુલ્લો પ્રતિકાર કર્યો. મહિલાઓને બિનરાજકીય ભૂમિકામાં
રાખતાં રાખતાં છેવટે તેમણે મહિલાઓને સંપૂર્ણપણે જાહેર જીવનમાં અને આઝાદીની લડાઈમાં
સામેલ કરી.
કારણ 8
ગાંધીજીમાં અનુયાયીઓમાંથી નેતા બનાવવાની ગજબ
ફાવટ હતી. તે પ્રતિભાને પિછાણતા, તેને
પોષતા-વિકસાવતા અને પછી તેને સ્વતંત્રપણે આગળ જવા દેતા. તેમની આસપાસ ઉમેટેલા
અનુયાયીઓમાંથી કેટલાય સ્વતંત્રપણે ઇતિહાસના ઘડવૈયા બન્યા. તેમના અનુયાયીમાંથી નેતા
બનેલા લોકોમાંથી કેટલાંક મહત્ત્વનાં નામઃ જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી
ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકિર હુસૈન, જે.બી. કૃપાલાણી, જે.સી. કુમારપ્પા, સરલાદેવી (કેથરીન મેરી હેલમેન) અને બીજા ઘણા.
ભાવિ નેતાઓ ઉછેરી શકવાની ગાંધીજીની ક્ષમતા
ભારતના સૌથી પ્રભાવશાળી ત્રણ વડાપ્રધાનોની સરખામણીએ વિરોધાભાસ સર્જે છે. જવાહરલાલ
નેહરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી ચરિત્ર અને
રાજકીય વિચારધારાની રીતે ઘણા જુદા છે. પરંતુ પક્ષ, સરકાર અને દેશને
પોતાની સાથે-પોતાના સમાનાર્થી તરીકે સાંકળી દેવાની બાબતમાં તે સરખા છે. ઇન્દિરા
ગાંધી સત્તાના વ્યક્તિકરણને નેહરુ કરતાં ઘણું આગળ લઈ ગયાં અને મોદી તેને ઇન્દિરા
ગાંધી કરતાં પણ બહુ આગળ લઈ ગયા. એ ત્રણે પોતાને અનિવાર્ય અને તેમનું સ્થાન કોઈ લઈ
ન શકે એવાં માનતાં હતાં. તેમણે પછીની પેઢીના નેતાઓ ઊભા કરવાની દિશામાં ભાગ્યે જ
કંઈ કર્યું. (રાજકારણ સિવાય ભારતના કોર્પોરેટ જગતના વડાઓ અને સ્વૈચ્છિક સંસ્થાના
વડાઓમાં પણ સત્તાના વ્યક્તિકરણની લાક્ષણિકતા જોવા મળે છે, જે સંસ્થાને પોતાની સાથે એકરૂપ બનાવી દે છે.)
કારણ 9
ગાંધીજીમાં વિરોધી મત ધરાવનારનો દૃષ્ટિકોણ
જોવા-સમજવાની અને તેમની સાથે સંવાદ સાધીને સન્માનભર્યા સમાધાન સુધી પહોંચવાની
તૈયારી હતી. એટલે, આંબેડકર અને ઝીણા જેવા રાજકીય વિરોધીઓ સાથે અને દક્ષિણ
આફ્રિકામાં તેમ જ ભારતમાં શાહી પ્રતિનિધિઓ સાથે તે ધીરજપૂર્વક વર્ષો સુધી સમાધાનની
ભોંય ભાંગવાના પ્રયાસ કરતા રહ્યા. તેમને અણગમા કે તીવ્ર નાપસંદગી કેવળ બૌદ્ધિક અને
રાજકીય હતાં, અંગત નહીં –અને તે પણ ઉકેલી શકાય એવી તેમને આશા હતી. મનમાં દુર્ભાવ
સંઘરી રાખવાની ક્ષમતા તેમનામાં ન હતી.
કારણ 10
ગાંધીજીનું રાજકીય જીવન સંપૂર્ણપણે પારદર્શક
હતું. આશ્રમમાં કોઈ પણ જઈ શકતું, તેમની સાથે ચર્ચા કરી શકતું અને છેવટે થયું પણ
એવું કે એક માણસ સાવ સરળતાથી તેમની નજીક પહોંચી ગયો અને તેમની હત્યા કરી નાખી.
તેમના કે આપણા સમયમાં સુરક્ષાની જંજાળો વચ્ચે જીવતા નેતાઓની સરખામણીમાં તે કેટલો
મોટો વિરોધાભાસ કહેવાય.
ગાંધીજીના જીવનમાંથી મેં તારવેલા બોધપાઠ ફક્ત આ દેશ માટે જ પ્રસ્તુત છે એવું નથી. અલબત્ત, ધાર્મિક બહુમતીવાદની આબોહવામાં, અપમાન અને બુરાઈથી ગ્રસ્ત રાજકીય સંસ્કૃતિમાં, જૂઠાણાં અને અસત્યો ફેલાવતા નેતાઓ અને સરકારોની વચ્ચે, પ્રાકૃતિક પર્યાવરણના સત્યાનાશની સાથે, વ્યક્તિભક્તિના માહોલમાં ભારતને કદાચ તેની સૌથી વધારે જરૂર છે.
Tuesday, January 31, 2023
ટીવી સ્ટુડિયોમાં ગાંધીજી
આવતી કાલે ગાંધીજીની હત્યાની તારીખ છે. ‘કેટલામી હત્યા?’ એવો સવાલ પૂછવો નહીં. પહેલી હત્યા પછી થયેલી હત્યાઓમાં હત્યારાઓનાં નામ પણ પૂછવાં નહીં. તેમાં જ લખનાર-વાંચનાર-છાપનારનું એટલે કે સમગ્ર સંસારનું હિત છે. નજીકના ભવિષ્યમાં આ તારીખ સત્તાવાર રીતે ‘પરાક્રમ દિવસ’ તરીકે જાહેર થઈ શકે છે. બિનસત્તાવાર રીતે તો કેટલાક લોકો તેને એવો ગણે જ છે.
જે દેશમાં ગોડસે અને ગાંધી એક ત્રાજવાના સામસામાં પલ્લામાં મુકાતાં હોય, એક માણસે કરેલી બીજાની હત્યાને ‘યુદ્ધ’—અને એ પણ ‘વિચારધારાનું યુદ્ધ’—જેવું લેબલ અપાતું હોય, ત્યાં કશી ઠેકાણાસરની ચર્ચા કરવાનું કામ અશક્યની હદે અઘરું છે. એના કરતાં, ટીવી એન્કરોની જેમ બૂમબરાડા પાડીને વાતચીત કરવી શું ખોટી? શરીરમાં મોંથી ઉપરના ભાગનું કોઈ પણ અંગ વપરાય નહીં અને તમાશાને તેડું ન હોય, એ ન્યાયે દર્શકો પણ મળી રહે.
એમ વિચારીને ગાંધીજીનું સ્મરણ કરતાં જ ગાંધીજી હાજર. તેમની સાથે સંવાદનો કાર્યક્રમ શરૂ થતાં પહેલાંની સ્ક્રીપ્ટ કંઈક આ પ્રમાણેની હતીઃ
‘આપણે સૌ જાણીએ છીએ કે આવતી કાલે ગાંધીજીની હત્યાને 75 વર્ષ પૂરાં થશે. તેનો અમૃત મહોત્સવ ઉજવવાની સરકાર તરફથી હજુ સુધી કોઈ સૂચના મળી નથી. અને અમે એકદમ વિશ્વસનીય ચેનલ છીએ- ફેક ન્યૂઝ ફેલાવતા નથી. સરકાર તરફથી જેટલું આવે એટલું જ ચલાવીએ છીએ, પણ અમારાં સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે ગાંધીજીની હત્યાનો આખો કેસ ગરબડવાળો છે. તેમની હત્યા કદી થઈ જ ન હતી, એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમારાં સૂત્રોને તેમનાં સૂત્રો તરફથી એવું જાણવા મળ્યું હોવાનું કહેવાતું હોય એવી આશંકા હોવાની અમને ખાતરી છે કે નથુરામ ગોડસે તે દિવસે દિલ્હીમાં હતો જ નહીં અને તેનું નામ ચોક્કસ વિચારધારાને બદનામ કરવાનું કાવતરું છે, જેથી કરીને વિશ્વમાં હિંદુઓ માટે નીચાજોણું થાય.’
‘અમારી ચેનલ પર કાયમ આવતા વિશેષજ્ઞના મતે, ભારતને બદનામ કરવાનું આ કાવતરું કોણે ઘડ્યું અને ક્યાં ઘડાયું તેની તપાસ ‘કાશ્મીર ફાઇલ્સ’ બનાવનાર ભાઈને સોંપી દેવાય, તો ટૂંક સમયમાં તે નવીનક્કોર અને સચ્ચાઈના ભારથી મુક્ત હકીકતો સાથે બહાર આવી શકે. ત્યાં સુધીમાં મુદ્દો ચાલતો રાખવા માટે ગાંધીજીને જ બોલાવવાનો વિચાર આવ્યો. તેના બે ફાયદા થાયઃ એક, એવો સંદેશો જશે કે અમે કોઈનાથી બીતા નથી અને મોટો રાષ્ટ્રપિતા અમારા શોમાં આવે તો તેની હાજરીમાં પણ અમે તેની એસીતૈસી કરી શકીએ છીએ.’
‘બીજો ફાયદો એ કે થોડા લોકોને એવું કહેવાની પણ તક મળશે કે અમે બંને બાજુનું બતાવીએ છીએ. તટસ્થતાનો આરોપ અમને મંજૂર નથી, પણ વૈવિધ્ય ખાતર અમે તટસ્થની ગાળ ખાવા પણ તૈયાર છીએ. આવી બહાદુરીભરી વિચારણા જ્યાં થતી હોય તે ચેનલ આપણી લોકશાહી માટે એટલે કે આપણા દેશ માટે એટલે કે આપણી સરકાર માટે એટલે કે આપણા વડાપ્રધાન માટે ગૌરવરૂપ છે, એવું કહેવામાં અમને જરાય સંકોચ થતો નથી. તે વાતના સંતોષ સાથે આજનો શો શરૂ કરીએ. શોમાં અમારી સાથે જોડાયા છે ખુદ ગાંધી. તેમને અમે છોડીશું નહીં. અણીદાર સવાલો પૂછીને એ બધું જ તેમની પાસેથી કઢાવીશું, જે તેમણે આજ સુધી ક્યાંય કહ્યું નહીં હોય. અરે, અમે તો તેમની પાસેથી એવું પણ કઢાવીશું, જે ખરેખર બન્યું પણ ન હોય. તે બાબતમાં અમારી આવડતની ખાતરીને કારણે તો તમે અમારો શો જોઈ રહ્યા છો.’
સવાલ (ગાંધીજી તરફ જોઈને) : વેલ કમ મિસ્ટર, ગાંધી. કડકડતી ઠંડીમાં તમે આટલાં ઓછાં કપડાંમાં? ક્યાંક રાહુલ ગાંધીની યાત્રામાંથી તો ...કે પછી રાહુલ ગાંધીને ઠંડીમાં ટી-શર્ટભેર ફરવાનો આઇડીયા જ તમે આપ્યો?
ગાંધીજીઃ (હસીને) સીધી કપડાંથી ને રાહુલ ગાંધીથી જ શરૂઆત?
સવાલઃ અમારે ત્યાં બધું કામકાજ એકદમ વ્યવસ્થિત, સૂચના પ્રમાણે જ થાય—અને અમારે ત્યાં નિયમ છે કે ઉત્તર ધ્રુવ પર બરફનો મોટો ટુકડો છૂટો પડે કેલિફોર્નિયામાં આગ લાગે, તો પણ રાહુલ ગાંધી પાસે જ એ દુર્ઘટનાઓનો ખુલાસો માગવો. આખરે લોકશાહીમાં જવાબદાર વિપક્ષ જેવું કંઈ હોય કે નહીં? અને સવાલ પૂછવા એ તો મિડીયા તરીકે અમારી ફરજ છે.
ગાંધીજીઃ ફરજ... (મોટેથી હસે છે) તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે.
સવાલઃ આપણે સમય બગાડ્યા વિના સીધા મુદ્દાની વાત પર આવીએ? અમને તો શંકા છે કે તમારી હત્યા થઈ જ ન હતી અથવા ગોડસેએ તમારી હત્યા કરી જ ન હતી. તેને બિચારાને ખોટો ફસાવાયો છે.
ગાંધીજીઃ (શાંતિથી) ગોળી કોને વાગી હતી?
સવાલઃ તમને જ વળી. પણ ગોળી ખાનાર સાચું જ બોલે એવું જરૂરી છે?
ગાંધીજીઃ જરૂરી તો કશું નથી—વડાપ્રધાન હળાહળ જૂઠું જ બોલે, એવું પણ જરૂરી નથી.
સવાલઃ ઓહો, તો તમે પણ અર્બન નક્સલોની ભાષા બોલતા થઈ ગયા? પણ યાદ રાખજો. આ સ્ટુડિયોમાં કોઈની હોંશિયારી ચાલી નથી. એક કલાક—ફક્ત એક કલાક તમે મારી સાથે વાત કરી જુઓ. તમે ગોડસે પર બંદૂક તાણી હતી અને ગોડસેએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો, એવું લોકોના મનમાં ઠસાવી ન દઉં તો મારે આ ચેનલની નોકરી છોડી દેવાની. બોલો, છે મંજૂર?
(‘હે રામ’ના ઉદ્ગાર સાથે ગાંધીજીની ખુરશી ખાલી થઈ જાય છે.)
Monday, October 17, 2022
વિદ્યાપીઠ-કાંડ : નવા કુલપતિની નિમણૂંકપ્રક્રિયાના વિરોધમાં નિવેદન અને આઠ ટ્રસ્ટીઓનાં રાજીનામાં
ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે આાચાર્ય દેવવ્રતને સત્તાવાર નિમંત્રણ 13 વિરુદ્ધ 9 મતથી અપાઈ ચૂક્યું હતું. તે મુદ્દે અકળાવનારા મૌન પછી, વિરોધમાં મત આપનારા નવમાંથી આઠ ટ્રસ્ટીઓએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તે આઠ ટ્રસ્ટીઓ છેઃ ડો. સુદર્શન આયંગાર, ડો. અનામિક શાહ, ડો. મંદાબહેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટ, નીતાબહેન હાર્ડીકર, માઇકલ મઝગાંવકર અને કપિલ શાહ.
(પોસ્ટ કર્યા પછીનો ઉમેરોઃ આ આઠમાંથી ચારની મુદત આવતી કાલે પૂરી થઈ રહી છેઃ મંદાબહેન, સુદર્શનભાઈ, માઇકલભાઈ અને કપિલભાઈ.)
નવા કુલપતિની નિમણૂંક માટે સરકારે અપનાવેલી પ્રયુક્તિઓનો વિરોધ કરતાં ઉપરના આઠ ઉપરાંત મતદાનમાં તેમની સાથે રહેલા નરસિંહભાઈ હઠીલા--એમ નવ જણે એક સંયુક્ત નિવેદન જારી કરીને આખરે મૌન તોડ્યું છે. તેમનું બે પાનાંનું આખું નિવેદન છેક નીચે મુક્યું છે. તેમાંથી કેટલાક મહત્ત્વના અંશઃ
- સરકારની આ ચેષ્ટા વિદ્યાપીઠના અસ્તિત્વના મૂળ ધ્યેયથી વિપરીત છે. તેના મૂળ ચરિત્ર પર મરણતોલ ઘા કર્યા બરાબર છે. તે અનૈતિક, ધમકીભરી, લોકશાહી વિરુદ્ધની અને સરકાર માટે લાંછનરૂપ છે અને અમે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ...
- સરકારની આ ચાલને ટેકો આપનાર ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ગુજરાત વિદ્યાપીઠને વિશ્વચોકમાં ક્ષોભમય સ્થિતિમાં મૂકી દીધી છે. અમારે એમને પૂછવું છે કે શું તેમણે ગાંધીવિચારને છેહ દીધો હોય એવું નથી લાગતું? ગાંધીજીના વિચાર માત્ર પ્રાકૃતિક ખેતી, ગોસંવર્ધન કે કુદરતી ઉપચાર સુધી સીમિત નથી. તે તો તેમના કાર્યક્રમો છે. ખરું તત્ત્વ સર્વધર્મસમભાવ, લોકશાહી મૂલ્યોનું જતન, નાગરિક સ્વાતંત્ર્ય, સંસ્થાગત સ્વાયત્તતાની જાળવણી માટે તથા સરકારની ખુશામતખોરી છોડી, સત્ય અને અહિંસાના રસ્તે 'નો સર' કહેવાની હિંમતમાં છે. તેના વિના ગાંધી અધૂરો છે. અમને આશા છે કે ડર, લાલચ અને સોદાના ભાગ તરીકે તેમણે કરેલી ભૂલનું તેમને અચૂક પ્રાયશ્ચિત થશે...
- અમને ખાતરી છે કે કુલપતિની પસંદગીનો નિર્ણય રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચના માર્યા, સૂચિત સંવાદની માગણી ઉવેખીને, આ હોદ્દા માટે અન્ય લાયક વ્યક્તિઓનો વિચાર કર્યા વિના, બિનજરૂરી ઉતાવળથી લેવાયો છે. તંત્રને સાચવવાની લ્હાયમાં મૂળ તત્ત્વને બલિદાનની વેદી પર ચઢાવી દેવાયું છે.
Thursday, October 06, 2022
ગૂજરાત વિદ્યાપીઠ : કેટલાક અગત્યના મુદ્દા
1. વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે, સરકારી પ્રતિનિધિ એવા ગવર્નરને નહીં, સંઘ પરિવાર સાથે સંકળાયેલા દેવવ્રતનું નામ સૂચવાયું છે. એટલે, મામલો સરકારીકરણનો પણ નહીં, તેને પણ ટપે એવા સંઘીકરણનો છે.
2. "સંઘમાં શો વાંધો છે?" એવું કેટલાક લોકો માસુમિયતથી ને કેટલાક લુચ્ચાઈથી પૂછે છે. જવાબ બહુ સાદો છેઃ સંઘ ગાંધીજીના વિચારોથી સામા છેડાની વિચારધારા ધરાવતી સંસ્થા છે. તેના પ્રતિનિધિને ગાંધીજીએ સ્થાપેલી સંસ્થામાં મુકવામાં દેખીતો ઔચિત્યનો ભંગ છે અને સંસ્થા કબજે કરી લેવાની માનસિકતા છે.
3. વિદ્યાપીઠનું ચાન્સેલર પદું સંઘને સોંપી દેવાની સંમતિ આપનાર વાઇસ ચાન્સેલર રાજેન્દ્રભાઈ ખીમાણી અને બીજા બાર જણે કયા હેતુથી, દેખીતા ઔચિત્યભંગનું આ પગલું લીધું? તે મુખ્ય સવાલ છે.
3. વધારે "ગુજરાતી"માં કહીએ તો, કોની સાથેની અને કઈ સમજૂતીના આધારે, સંઘની વ્યક્તિની તરફેણમાં આ તેર જણે મત આપ્યા છે? એવું કરવામાં તેમનાં કયાં હિત અથવા શાનો ભય અથવા હિત અને ભય-- બંને છે?
4. તેના જવાબમાં કોઈ કહે કે "અમે વિદ્યાપીઠના હિતમાં- વિદ્યાપીઠને બચાવવા માટે આ કરીએ છીએ." તો તેમને કહેજો કે આ સમય ટુચકા કહેવાનો નથી.
ટૂંકમાં, વિદ્યાપીઠના હિત માટે વિદ્યાપીઠને વધેરી નાખવાનો જવાબ બચાવ પૂરતો ઠીક, પણ કોમન સેન્સની રીતે જરાય ગળે ઉતરે એમ નથી.
7. વિદ્યાપીઠનું ચાન્સેલરપદું સંઘના ચરણે ધરી દેવાથી વિદ્યાપીઠને શો ફાયદો થશે? અને 13 જણમાંથી અંગત રીતે કોને શો ફાયદો થશે? અથવા ભવિષ્યમાં થનારું સંભવિત નુકસાન ઓછું થશે- નુકસાનમાંથી બચી જવાશે? તેનો પણ જવાબ આ તેર જણે આપવાનો રહે છે.
1. ડો. રાજેન્દ્ર ખીમાણી
2. પ્રો. કનુભાઈ નાયક
3. આયેશાબહેન પટેલ
4. સુરેશભાઈ રામાનુજ
5. વિશાલભાઈ ભાદાણી
6. જગદીશચંદ્ર સાવલિયા
7. જશવંતભાઈ પંડ્યા
8. રમેશભાઈ પટેલ
9. જગદીશચંદ્ર ગોઠી
10. અરુણભાઈ ગાંધી
11. નરેશભાઈ ચૌહાણ
12. પ્રવીણકુમાર શર્મા
Wednesday, October 05, 2022
ગૂજરાત વિદ્યાપીઠનો શરમજનક ઘટનાક્રમ: જવાબદારી નિભાવવાની, નામોશીથી બચવાની છેલ્લી છેલ્લી તક
![]() |
| ગૂજરાત વિદ્યાપીઠ Gujarat Vidyapith |
ગૂજરાત વિદ્યાપીઠમાં ગઈ કાલે સાંજે થયેલી ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગમાં, વિદ્યાપીઠના ચાન્સેલર પદે આચાર્ય દેવવ્રતને નીમવાની દરખાસ્ત થઈ. તે અત્યારે ગુજરાતના રાજ્યપાલ છે, પણ તેમની નિમણૂંક હોદ્દાની રૂએ નહીં, થઈ, વ્યક્તિગત ધોરણે (સંભવતઃ સરકાર સાથે થયેલી ગોઠવણ પ્રમાણે) થઈ છે. હરિયાણાના આચાર્ય દેવવ્રત પતંજલિ પ્રોડક્ટ્સવાળા રામદેવના શિષ્ય છે. હરિયાણામાં ચાલતા એક ગુરુકુળના આચાર્યપદે લાંબો સમય રહેલા દેવવ્રતને 2015માં પહેલી વાર હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની નિમણૂંકમાં રામદેવની ભૂમિકા વિશે દેવવ્રતે કહ્યું હતું, “He has always been a guide and his blessings are with me” (તે હંમેશાં મારા માર્ગદર્શક રહ્યા છે અને તેમના આશીર્વાદ મારી સાથે જ છે. ધ ટ્રિબ્યુન, ઓગસ્ટ 5, 2015)
આ દેવવ્રતને હવે વિદ્યાપીઠના ચાન્સેલર બનાવવાની, ગાંધીસંસ્થા માટે શરમજનક કહેવાય એવી દરખાસ્ત ગઈ કાલે પસાર થઈ. કુલ 24 મતમાંથી દરખાસ્તની તરફેણમાં 13 જણે અને વિરોધમાં 9 જણે મત આપ્યા. બે જણ તટસ્થ રહ્યા.
***
ગૂજરાત વિદ્યાપીઠના માળખામાં સત્તાવાર
અને મૂળભૂત પરિવર્તન આણે એટલું મોટું કાવતરું પાર પડ્યું ત્યારે, તેમાં
કોનું શું વલણ હતું, તે લોકો સમક્ષ મુકાવું જરૂરી છે.
વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલનાં 26
જણનાં નામ તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાંથી (જેમનું રાજીનામું સ્વીકારાયું તે)
ચાન્સેલર ઇલાબહેન ભટ્ટ અને ઇન ચાર્જ રજિસ્ટ્રાર ડો. નિખિલ ભટ્ટનો મતની યાદીમાં સમાવેશ
કર્યો નથી. તે સિવાયના 24 જણના મત આ પ્રમાણે હતાઃ
દરખાસ્તનો
વિરોધ કરનારા નવ જણનાં નામઃ (તેમાંથી મોટા ભાગના નાગરિક પ્રતિનિધિ તરીકે લેવાયેલા
ટ્રસ્ટીઓ છે.)
1. નરસિંહભાઈ હઠીલા
2. ડો. મંદાબહેન પરીખ
3. ડો. સુદર્શન આયંગાર
4. કપિલભાઈ શાહ
5. માઇકલ મઝગાંવકર
6. ઉત્તમભાઈ પરમાર
7. ચૈતન્યભાઈ ભટ્ટ
8. નીતાબહેન હાર્ડિકર
9. પ્રો. અનામિકભાઈ શાહ
ગાંધીસંસ્થા માટે શરમજનક એવી દરખાસ્તને ટેકો આપનારા તેર જણનાં નામ. (તેમાં મોટા ભાગના અધ્યાપક પ્રતિનિધિઓ છે.)
1. ડો. રાજેન્દ્ર ખીમાણી
2. પ્રો. કનુભાઈ નાયક
3. આયેશાબહેન પટેલ
4. સુરેશભાઈ રામાનુજ
5. વિશાલભાઈ ભાદાણી
6. જગદીશચંદ્ર સાવલિયા
7. જશવંતભાઈ પંડ્યા
8. રમેશભાઈ પટેલ
9. જગદીશચંદ્ર ગોઠી
10. અરુણભાઈ ગાંધી
11. નરેશભાઈ ચૌહાણ
12. પ્રવીણકુમાર શર્મા
13. મેહુલભાઈ પટેલ
તટસ્થ રહેલા એટલે કે એકેય બાજુ મત નહીં આપનારા બે સભ્યો
1. હસમુખભાઈ પટેલ
2. ચંદ્રવદનભાઈ શાહ
ગેરવાજબી દરખાસ્તનો વિરોધ કરનાર સૌને અભિનંદન.
આ તેમના વિરોધનો અંત નહીં, શરૂઆત હોય એવી અપેક્ષા.
આ પ્રશ્ન ફક્ત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓનો નથી.
જેવા છે તેવા, વ્યાપક નાગરિક સમાજનો પણ છે.
ભૂતકાળ પ્રત્યે આંગળીચીંધામણાં
કરીને વર્તમાનની જવાબદારીમાંથી છટકી શકાય નહીં,
વર્તમાનની જવાબદારી નિભાવવાની ને ભવિષ્યની નામોશીથી બચવાની આ છેલ્લી છેલ્લી તક છે.
Tuesday, October 04, 2022
ગાંધી જયંતિએ...
ગાંધીજયંતિની સવાર. ફોન રણક્યો. અજાણ્યો નંબર. ‘સ્પામ’ લખેલું આવ્યું. છતાં, ટાઇમપાસ ખાતર ઉપાડ્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.
અવાજઃ હેલો...
જવાબઃ હા, બોલો ભાઈ. તમારો અવાજ બહુ
જાણીતો લાગે છે, પણ મહેરબાની કરીને સવાર સવારમાં “મને ના ઓળખ્યો?” ને “બોલો હું કોણ બોલું છું?”—એવાં ઉખાણાં ન પૂછતા.
અવાજઃ (હસવાનો અવાજ)
જવાબઃ એમાં હસવા જેવું શું છે? મેં જોક કહી?
અવાજઃ તારો ઉકળાટ સાંભળીને લાગે છે કે
તારા માથે બટેટું મૂકું, તો પાંચ મિનીટમાં બફાઈ જાય. (ફરી હસે છે.)
જવાબઃ એક મિનીટ...હું ક્યારનો વિચારું છું
કે અવાજ જાણીતો છે... તમે...તમે ક્યાંક ગાંધીજી તો...?
અવાજઃ શું વાત છે? તું મારો અવાજ ઓળખી ગયો? બાકી દેશની સ્થિતિ વિશે જાણ્યા પછી,
ઘણી વાર હું પણ મારો અવાજ ઓળખી શકતો નથી.
જવાબઃ અરે બાપુ... અમારા અંતરાત્માનો અવાજ
ભલે ભૂલી જઈએ, પણ તમારો અવાજ ભૂલી જવાય? થોડા વખત પહેલાં જ, કોઈ ચેનલ પર તમારી ફિલ્મ આવતી હતી, ત્યારે પણ
તમને બહુ યાદ કર્યા હતા...પણ તમે આજે, બીજી ઓક્ટોબરે, સવારના પહોરમાં ફ્રી ક્યાંથી?
ગાંધીજીઃ હું ક્યાં ગાંધીવાદી છું કે વર્ષમાં
બે વાર બિઝી થઈ જાઉં.
જવાબઃ તમે પણ બાપુ...સિરીયસલી પૂછું છું,
તમારે આજે ક્યાંય જવાનું નથી?
પ્રાસંગિક સંબોધન માટે, ચરખો કાંતતો ફોટો પડાવવા માટે, સર્વધર્મપ્રાર્થનામાં,
ગાંધીશ્રેણીના કોઈ વ્યાખ્યાનમાં...ક્યાંય નહીં?
ગાંધીજીઃ ઉપર આવી ગયા પછી બધું બંધ. આમ તો
નીચે પણ એ બધું ક્યાં કરતો હતો? પેલું
જીવન-સંદેશવાળું ભૂલી ગયો?
જવાબઃ ના,ના, એમ થોડું ભૂલાય? હમણાં જ સાબરમતી આશ્રમ ગયો ત્યારે “મારું જીવન એ જ મારો સંદેશ” લખેલા પાટીયા પાસે સેલ્ફી પાડેલી. બરાબર
એ જ વખતે એક કાગડો ત્યાં આવીને બેસી ગયો, મને ખબર નહીં, પણ સોશિયલ મિડીયા પર એ
ફોટો બહુ વાઇરલ થયો કે હવેના જમાનામાં કાગડા પણ બેશરમ થઈને કહી દે છે,”મારું જીવન એ જ મારો સંદેશ”.
ગાંધીજીઃ સારું, સારું. ટૂંકમાં, હું ક્યાંય
બહાર જતો નથી—બીજી ઓક્ટોબરે અને ત્રીસમી જાન્યુઆરીએ તો ખાસ નહીં.
જવાબઃ પછી લોકો તમને ભૂલી જ જાય ને? બાકી, હવે તો તમને મારનારાને વધાવનારી
વિચારધારાના લોકો પણ તમને ફૂલ ચડાવે છે.
ગાંધીજીઃ (હસીને) હવે મને ફૂલ ચડાવવાં સલામત
છે. હું ક્યાં સામે સવાલ પૂછવાનો છું કે મને ફૂલ ચડાવતાં પહેલાં શું કરીને આવ્યા? અહીંથી જઈને શું કરવાના? અને હવે તો, મને ફૂલ ચડાવતી વખતે
તમારા મનમાં શું ચાલે છે, તે પણ પૂછવું પડે એમ છે.
જવાબઃ કેમ આવી નેગેટીવ વાતો કરો છો?
મનમાં શું ચાલતું હોવાનું?
ગાંધીજીઃ એ તો તને ખબર. પૃથ્વી પર તું રહે છે
કે હું? વચ્ચે સરદાર
મજાકમાં મને પૂછતા હતા કે “બાપુ,
બેરિસ્ટર સાવરકરને અંગ્રેજોની માફી માગવાનું તમે કહેલું?” પછી હું કંઈ જવાબ આપું તે પહેલાં
તેમણે પૃથ્વી પરના કેટલાક સમાચાર બતાવ્યા. તેમાં મારા નામે આવું લખેલું. એટલે, લોકો
મને હારતોરા કરતી વખતે શું વિચારતા હશે?
જવાબઃ એ જ કે હવે પછી તમને કયા ખોટા
વિવાદમાં સંડોવવા? કે
તમને નીચા પાડી ન શકાય, તો કોને કોને તમારી ઊંચાઈ પર ગોઠવી દેવા?
ગાંધીજીઃ
(હસે છે)
સાચવજે. બહુ બુદ્ધિ ચલાવીશ તો રાજદ્રોહની તૈયારી રાખવી પડશે. અને રાજદ્રોહના
કેસમાં મને મળેલો અંગ્રેજ ન્યાયાધીશ તો બિચારો સારો માણસ હતો. કહે કે “તમારી સજા ઓછી થશે તો સૌથી વધારે ખુશી
મને થશે.” તું
ન્યાયાધીશ સુધી પહોંચ્યા વિના, અધવચ્ચે જ ક્યાંક સબડી ન પડું.
જવાબઃ ના, ના કહેતાં તમે દેશનું ઘણું
ધ્યાન રાખતા લાગો છો.
ગાંધીજીઃ સરદાર છે ને મારી પાસે? એટલે હળવા થવા સમાચાર વાંચી સંભળાવે
છે, પણ એ વાંચીને અમે બેય દુઃખી થઈ જઈએ છીએ.
જવાબઃ આઝાદીના અમૃત કાળની ઉજવણીમાં મને તો
એમ કે તમે મોજમાં ધુબાકા મારતા હશો. તમારા નામે કેટકેટલું ચાલે છે...
ગાંધીજીઃ મારા નામે જે બધું ચાલે છે, એની તો
રામાયણ છે.
જવાબઃ હવે તો રામાયણ છે એવું પણ ન
કહેતા...તમારા પ્રત્યે પ્રેમ છે, એટલે કહું છું. ભલે ને એ જૂનો ને જાણીતો
શબ્દપ્રયોગ હોય, પણ ગુજરાતના કે ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં કોઈકની લાગણી દુભાશે તો
તમારે ક્યાં કોર્ટના ધક્કા ખાવાના?
ગાંધીજીઃ (નિઃસાસો નાખીને) હા ભાઈ, રામનો ને
રામાયણનો ઉપયોગ લાગણી દુભાવવા પૂરતો ને લાગણી વટાવવા પૂરતો જ રહી ગયો છે...પણ “હે, રામ” તો બોલાય ને ?
જવાબઃ એ પણ વિચારવું પડે. કારણ કે તમને
મારનારી વિચારધારાના લોકોને લાગે છે કે રામ પર તેમની મોનોપોલી છે. તેમનો માણસ તમને
ગોળી મારે અને તમે “હે રામ” બોલો, તો પછી તેમના હિંદુત્વનું શું
થાય?
એક વારનું
“હે રામ” ભૂંસવામાં કેટલા દાયકા નીકળી ગયા.
હવે ફરી કોઈએ આવી રીતે “હે રામ” નહીં બોલવાનું, એવો કાયદો હજુ થયો
નથી, પણ થાય તો નવાઈ નહીં.
(એ
સાંભળતાંની સાથે ફોન ફોન કટ થઈ જાય છે અને તેના સ્ક્રીન પર “હે રામ” લખેલું આવે છે,)
Wednesday, February 26, 2020
જ્યારે મોટેરા માધવબાગ બન્યું અને ‘સુધારાવાળા’ પરાસ્ત થયા
![]() |
| A hoarding of Namaste Trump event |
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત નિમિત્તે ‘બે મહાન લોકશાહીના મિલન’થી માંડીને ‘બે પ્રતિભાશાળી વ્યક્તિત્વના મિલન’ જેવાં સંખ્યાબંધ હોર્ડિંગ અમદાવાદમાં ઉભરાતાં હતાં. પરંતુ મુલાકાત પૂરી થયા પછી, તેના વિશે એટલુ જ કહેવાનું થાય કે તે તમાશાબાજ, ભપકાપ્રેમી, પ્રસિદ્ધિકેન્દ્રી, આત્મરતિગ્રસ્ત એવા બે નેતાઓનું પરસ્પર પીઠખંજવાળક મિલન હતું. દુનિયાના સૌથી મોટેરા સ્ટેડિયમમાં, છતી લોકશાહીએ મોટેરા ભાઈઓ (બીગ બ્રધર)ની જેમ વર્તતા બંને નેતાઓ મળ્યા ને પ્રાયોજિત દર્શકગણે જયજયકાર કર્યો. તેની સરખામણી ‘ભદ્રંભદ્ર’ હાસ્યનવલમાં આવતી માધવબાગની સભામાં, રૂઢિચુસ્તો જે રીતે જાતે ને જાતે સુધારાવાળાની હાર અને પોતાની જ્વલંત જીત જાહેર કરે છે, તેની સાથે થઈ શકે. વધુ કલ્પનાશક્તિ ધરાવતા સિનેમાપ્રેમીઓને ચાર્લી ચેપ્લિનની અમર ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માં હિટલરે કરેલું મુસોલિનીનું સ્વાગત અને તેમાં દેખીતા ભપકા-કડપ તળે છુપાયેલી હાસ્યાસ્પદતા પણ સાંભરી શકે.
(નોંધઃ અહીં મોદી-ટ્રમ્પને ક્રૂરતા કે શાસનપદ્ધતિના મામલે હિટલર મુસોલિની સાથે સરખાવ્યા નથી, પણ બે આત્મરતિગ્રસ્ત નેતાઓના ભપકા તળે કેવી હાસ્યાસ્પદતા છુપાયેલી હોઈ શકે છે, તેની વાત છે.)
![]() |
| Trump's note in Gandhi Ashram's visitor book |









