Showing posts with label religion. Show all posts
Showing posts with label religion. Show all posts

Sunday, December 28, 2025

હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છેઃ પ્રતાપ ભાનુ મહેતા



ગઈ કાલે 'અચ્યુત યાજ્ઞિક સ્મૃતિ વ્યાખ્યાન'માં પ્રતાપ ભાનુ મહેતાએ સિવિલાઇઝેશન (સભ્યતા) અને 'સિવિલાઇઝેશનલ સ્ટેટ'ની વાત કરી.

તેમણે એ મતલબનું કહ્યું કે 'સિવિલાઇઝેશનલ સ્ટેટ' યુરોપથી આવેલા 'નેશન સ્ટેટ'થી પણ આગળનું પગથીયું છે, જેમાં પોતાની જૂની સભ્યતાને જ કેન્દ્રમાં રાખવાની અને આધુનિક નેશન સ્ટેટનાં બંધારણથી માંડીને બીજાં બધાં અંગોને ગૌણ ગણવાની વાત હોય છે. સિવિલાઇઝેશનલ સ્ટેટ ભૂતકાળની સભ્યતાની મૂડી લઈને આગળ નથી વધતું. તે ભૂતકાળમાં જ ગોંધી રાખવા ઇચ્છે છે.
આમ તો એવું થાય કે જૂની સભ્યતાને કેન્દ્રમાં રાખવામાં વાંધો શો છે? પણ વાંધો એ છે કે સભ્યતા એટલે શું, તે નક્કી કરવાની આપખુદશાહી સત્તા કેવળ સત્તાધીશ પાસે હોય છે, જે નેશન સ્ટેટના માળખા પ્રમાણે ચૂંટાઈને આવે છે, પણ ત્યાર પછી એ માળખાને બદલ સભ્યતાની સગવડિયા માળા જપે છે. હકીકતમાં તેને સભ્યતાના બહાને પોતાની સત્તા ટકાવવા-વધારવામાં જ રસ હોય છે. અમુક હજાર વર્ષની સભ્યતાના એક માત્ર પ્રતિનિધિ અને તેના અર્થઘટનનો ઇજારો ધરાવતા જણ તરીકે શાસકો બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ સહિતની બધી જ બાબતોનો છેદ ઉડાડતા જાય છે.
શરૂઆતમાં તે લોકસમર્થન (ચૂંટણીમાં મળેલા મત)ના જોરે પોતાનો દંડો પછાડતા હોય છે, પણ પછી તો તેનું મહત્ત્વ પણ ઓછું થઈ જાય છે અને મુખ્ય જોર 'અમુક હજાર વર્ષ જૂની સભ્યતાના એકમેવ પ્રતિનિધિ' તરીકેનું જ બની જાય છે. તેના જોરે તે ગમે તેવાં બિનલોકશાહી, સરમુખત્યારી પગલાં પણ સભ્યતાને આગળ કરીને લોકોના માથે મારી દે છે.
તેમણે કહ્યું કે અત્યારની સરકાર અને આરએસએસ મુસ્લિમ આક્રમણ, અંગ્રેજોનું આક્રમણ અને નહેરુ સરકાર--આ ત્રણને આપણી જૂની સભ્યતામાં પડેલાં મોટાં ભંગાણ માને છે (જે તેમનું સગવડીયું અને ઐતિહાસિક-તથ્યાત્મક રીતે ટકી ન શકે એવું વિકૃત અર્થઘટન છે.). એટલે તેને ભૂંસવા માટે તે બધા પ્રયાસ કરે છે. (અત્યારના ભાઈલોગના કહેવાતા સભ્યતા-પ્રેમમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખીએ તો શું બચે, એ વળી અલગ સવાલ છે)
તેમણે કહ્યું કે હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે. કારણ કે હિંદુત્વે હિંદુ ધર્મને કોલોનાઇઝ કર્યો છે. (લગભગ કોલોનાઇઝ શબ્દ જ વાપર્યો હતો, છતાં ભૂલચૂક લેવીદેવી. સાર એ જ હતો.) ગુજરાતીમાં કહીએ તો, હિંદુત્વે હિંદુ ધર્મને બથાવી પાડ્યો છે.
એક મુદ્દો તેમણે એવો કર્યો કે આપણા બંધારણમાં આણેલાં મૂલ્યો વિશે ડાબેરીઓ અને જમણેરીઓ એવી ટીકા કરતા રહ્યા કે આ બધાં ઉછીનાં પશ્ચિમી મૂલ્યો છે. તેની સામે, આ મૂલ્યો હકીકતમાં ભારતીય સભ્યતામાંથી જ આવેલાં છે--એ હકીકત ભારપૂર્વક સ્થાપિત કરી શકાઈ નહીં.
આખું વ્યાખ્યાન બાકાયદા પોલિટિકલ સાયન્સના લેક્ચર જેવું હતું, એ તેની ખૂબી તરીકે, અને મર્યાદા તરીકે પણ, કહી શકાય.
(તા.ક. કશી લેખિત નોંધ વિના, બીજા દિવસે સવારે ઉઠ્યા પછી મનમાં રહી ગયેલા આ કેટલાક મુદ્દા છે. આખા વ્યાખ્યાનનું રેકોર્ડિંગ થયું છે. તે ઉપલબ્ધ થશે એમ માનું છું.)

Wednesday, November 12, 2025

ત્રાસવાદ, ધર્મ અને પ્રતિકાર

ધર્મ એટલે ફરજ-નૈતિકતા-સદાચારનો સરવાળો. ટૂંકમાં, પોતે છીએ તેના કરતાં વધુ સારા બનવા માટે શું કરવું જોઈએ તેની વાત. તેમાં ઝનૂન નથી હોતું. બીજા માટેનો વેરભાવ બિલકુલ નહીં. ધર્મની આ એવી વ્યાખ્યા છે, જેના બહુ લેવાલ નથી.

ધર્મની બીજી વ્યાખ્યા છે ક્રિયાકાંડો-રીતરિવાજો-અંધશ્રદ્ધાઓ-ધર્મગુરુઓ. આ અર્થઘટન સૌથી પ્રચલિત છે. તેમાં મુક્ત વિચાર, વિવેકબુદ્ધિ, તર્ક વગેરેને ઓછું સ્થાન હોય છે કે જરાય સ્થાન હોતું નથી. ઉપરાંત, તેમાં તાર્કિક ટીકા કરનારા સામે બધાને નહીં, પણ થોડાઘણાને ગુસ્સો હોઈ શકે છે અને તેમાંથી કેટલાક હિંસક પણ બની શકે છે. આ સમુદાય સૌથી મોટો છે, પણ તેમાં બધા ગુસ્સાવાળા કે હિંસક હોતા નથી. તેમને એ રસ્તે લઈ જવા માટે તેમની ચાવી ટાઇટ કરવી પડે. તે રાજકીય સ્તરે રૂપિયાથી થાય કે ધાર્મિક સ્તરે ઉશ્કેરણીથી થાય કે બંનેના મિશ્રણથી પણ થાય.
ધર્મની ત્રીજો ફાંટો છે નેતાઓ દ્વારા થતો તેનો સગવડીયો ઉપયોગ. મુસલમાનોને કહો કે ઇસ્લામ ખતરામાં છે ને હિંદુઓને કહો કે 'વિધર્મીઓ'થી હિંદુ ધર્મને ખતરો છે. આ ફાંટામાં ધર્મના એકેય તત્ત્વનો સમ ખાવા પૂરતો પણ સમાવેશ થતો નથી. તેમાં બીજા માટેનો ધિક્કાર એ જ પોતાના ધાર્મિક હોવાની એકમાત્ર કે મુખ્ય સાબિતી છે. ધર્મના આ ફાંટાનું અસ્તિત્વ ધિક્કાર પર ટકેલું છે. આ ફાંટાવાળા બીજા પ્રકારના બહોળા સમુદાયામાંથી લોકોને પકડે છે, પલોટે છે અને તેમને ત્રાસવાદી બનાવે છે.
દિલ્હીના બોમ્બવિસ્ફોટના આરોપીમાં મુસલમાન ડોક્ટરો પણ છે. કોઈ માણસ ફક્ત ડોક્ટર હોવાને કારણે તેના વિશે ઊંચો અભિપ્રાય બંધાઈ જાય, એવું તો દાયકાઓથી થતું નથી. પણ ડોક્ટર થયેલો માણસ ધર્મના ઝનૂનમાં લોકોને મારવા કે તેમાં સાથ આપવા તૈયાર થઈ જાય, એ ભયંકર બાબત છે. અને તેને આ રસ્તે ચડાવવામાં કે તેના આ રસ્તાને બળ આપવામાં ધર્મની--એટલે કે તેની વિકૃત સમજની-- ભૂમિકા નજરઅંદાજ કરી શકાય એવી ન હોય.
વ્યક્તિગત કે પારિવારિક અન્યાયનો ભોગ બનેલો માણસ ત્રાસવાદી કૃત્ય કરે, તે માફ ન થાય એવું હોવા છતાં, તેનું કંઈક કારણ આપી શકાય એવું તો હોય છે. પરંતુ ભારત જેવા દેશમાં સામુદાયિક અન્યાયનો મુકાબલો કરવા કે એવો અન્યાય કરનારને પાઠ ભણાવવાના હેતુથી કરાતા ત્રાસવાદી હુમલા સાવ નકામા પુરવાર થાય છે, એટલું જ નહીં, તે આવો અન્યાય કરનારાના હાથ મજબૂત કરે છે. તેનાથી અન્યાય કરનાર પોતે કરેલા ભૂતકાળના તમામ અન્યાયોને અને ભવિષ્યમાં કરનારા તમામ અન્યાયોને વાજબી ચેષ્ટા તરીકે ખપાવીને, ઘણા લોકોનાં બ્રેઇનવોશ કરી શકે છે.
મને હંમેશાં એવું લાગતું હતું કે લાદેન અને જ્યોર્જ બુશ જુનિયર એકબીજાના વિરોધી નહીં, પૂરક હોય છે--અને આપણા જેવા લોકો એ બંનેના વિરોધી અને એ બંનેથી પીડિત. એટલે, ત્રાસવાદી હુમલો થાય ત્યારે ભોગ બનેલા પ્રત્યે સંપૂર્ણ લાગણી રાખીને, ત્રાસવાદને અક્ષમ્ય ગણીને, તેનો પ્રતિકાર કરવો પડે. પણ પ્રતિકાર એટલે શું?
પ્રતિકારનું એક સ્તર સત્તાવાર છે. વહીવટી તંત્રની કામગીરી અને પક્ષીય હિત વિનાની સરકારી કામગીરી. તે અનિવાર્ય હોવું જોઈએ. બીજું સ્તર રાજકીય (પક્ષીય) છે--એટલે કે, ત્રાસવાદની ઘટનાનો પણ પોતાના ફાયદામાં મહત્તમ રાજકીય કસ કાઢીને પોતાનો એજન્ડા આગળ ચલાવવો. સમાજમાં ફેલાયેલા ધ્રુવીકરણને દૃઢ બનાવવું. આ સ્તર ત્રાસવાદી હુમલા જેટલું જ ખતરનાક હોય છે. કારણ કે, તે માણસને અંતિમવાદી બનાવવાની દિશામાં પ્રેરી શકે છે અને સમાજમાં અસુખ-અજંપો ફેલાવે છે તે અલગ.
ત્રીજું સ્તર આપણા જેવા સામાન્ય લોકોનું છે. તેમણે બીજા સ્તરની જાળમાં આવી ગયા વિના, પહેલા સ્તરે બરાબર કામ થાય અને તામઝામભર્યું જોણું કરવામાં પહેલા સ્તરની જવાબદારીનો ઉલાળીયો ન થઈ જાય, તેનું ધ્યાન રાખવું પડે. સાથોસાથ, એ પણ વિચારવું પડે કે ત્રાસવાદની ઇમારત જે પાયા પર ખડી કરવામાં આવી તે ધાર્મિક ધિક્કારથી આપણે છેટા રહેવું કે તેને હોંશે હોંશે અપનાવી લેવો.
આપણા હાથમાં આપણો પ્રતિભાવ છે. તેમાં પહેલા, સત્તાવાર સ્તરે સખ્તાઈથી કામ લેવાય તેને સમર્થન અને બીજા સ્તર સાથે તેની ભેળસેળ ન થાય તેની સાવચેતી--એ બંને જરૂરી છે. થોડા મુસલમાન ધર્મના નામે હિંસા કે ત્રાસવાદ આચરે તેમાં ઇસ્લામની બદનામી થવી અનિવાર્ય છે, જેમ રાજકીય હિંદુત્વમાં સરવાળે હિંદુ ધર્મની બદનામી થાય છે. એવા સંજોગોમાં સૌ પોતપોતાના ધર્મનું સાચું, લખાણના આરંભે ઉલ્લેખેલું સ્વરૂપ સાચવે, એ જ પ્રાથમિકતા લાગે છે.

Thursday, May 15, 2025

કેટલીક ટૂંકી નોંધોઃ ત્રાસવાદી હુમલો, ધર્મ, ટ્રોલિંગ અને જૂઠા જયજયકાર વિશે

 છેલ્લા થોડા વખતમાં ફેસબુક પર લખેલી અને અહીં સંઘરી મુકવા જેવી લાગેલી કેટલીક પોસ્ટનું સંકલન.

*

(17-4-25)

જૂઠાણાં પર રાચનારા અને જૂઠાણાં પર સામ્રાજ્યો ઊભાં કરીને ટકાવનારાને બહુ બધા દુશ્મન લાગતા હોય છે. તેમાં પણ સ્વતંત્ર વિચારસરણી ધરાવતા લોકો ને એવી વિચારસરણી ખીલવતાં ઠેકાણાં તેમનાં કટ્ટર દુશ્મન હોય છે.
અમેરિકાની હાવર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ટ્રમ્પની આપખુદશાહીને તાબે ન થઈ એટલે ટ્રમ્પે તેનું કરોડો ડોલરનું ફંડિંગ અટકાવી દીધું.
ભારતમાં તેના માટે જુદા રસ્તા અપનાવાયા છે. સરકારી યુનિવર્સિટીઓમાં વિચારધારાવાળા ને લાયકાત વગરના લોકોને ઉપર બેસાડી દેવામાં આવે છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીઓના માલિકો-ભાગીદારોને ડરાવવામાં આવે છે.
સરકારી શાળાઓ માટે એવી સ્થિતિ પેદા કરવામાં આવે છે કે તેમને ટકી રહેવાનું અઘરું પડી જાય અને ખાનગી નિશાળો ફૂલેફાલે.
આવું ધીમું ઝેર છેલ્લા ઘણા સમયથી એવું પ્રસર્યું અને સમાજના ઘણા લોકોને તેની સરત જ ન રહી. હવે તેનાં પરિણામ ભોગવવાનાં છે.
આ સ્થિતિ માટેની પહેલી ગુનેગાર સરકાર છે. ત્યાર પછી ગુનેગારોની યાદી લાંબી છે. તેમાં ઘણા અધ્યાપકોથી લઈને વાલીઓ અને સમાજના કહેવાતા અગ્રણી 'ભણેલાગણેલા' લોકોને સમાવેશ થાય છે.
શિક્ષણને બદલે જૂઠાણાંને, અભ્યાસકેન્દ્રી-વિદ્યાકીય ગૌરવને બદલે દ્વેષ અને મિથ્યાભિમાન-કેન્દ્રી ચીપિયાપછાડ ચાલે ત્યારે દેશને અલગથી, બહારના દુશ્મનની જરૂર નથી પડતી.
અમેરિકા અને ભારત તેનાં એવાં બે ઉદાહરણ છે.
*
(20-4-25)
સાદું નાગરિકશાસ્ત્રઃ
1. બંધારણ કાયદાની ઉપર છે.
2. સંસદે કાયદો બનાવવાનો હોય છે.
3. સર્વોચ્ચ અદાલતે બંધારણના હાર્દનું રક્ષણ કરવાનું હોય છે.
4. કોઈ પણ કાયદો બંધારણના હાર્દનું ભંગ કરતો લાગે, ત્યારે સર્વોચ્ચ અદાલત તેને કચરાટોપલીમાં નાખી શકે છે. તે આપખુદશાહી નથી, બંધારણીય સંમતુલા છે. અંગ્રેજીમાં તેને ચેકસ એન્ડ બેલેન્સીસ કહેવાય છે.
5. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો મેનેજ થઈ જાય, એ લોકશાહી માટે સૌથી મોટો ખતરો હોય છે.
6. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સત્તાપક્ષ પ્રત્યે સાશંક રહે, તે લોકતંત્ર માટે અત્યંત જરૂરી છે. આ નિયમ તમામ પક્ષની સરકારોને લાગુ પડે છે.
7. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગરબડ માટે દોષી ઠેરવનાર ચુકાદો અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ આપ્યો હતો. તેના માટે આજેય તેમને આદરથી યાદ કરાય છે.
8. આજે કોઈ ન્યાયાધીશ નિષ્પક્ષ ન્યાયિક તપાસ કરીને નરેન્દ્ર મોદીને કે અમિત શાહને દોષી ઠેરવે, એવી કલ્પના સુદ્ધાં કરી શકાય છે?
9. કટોકટીના વિરોધનાં ગીતડાં ગાતી વખતે યાદ રાખવાનું હોય છે કે એ ફક્ત ઇન્દિરા ગાંધીની જ નહીં, તમામ પ્રકારની આપખુદશાહીના વિરોધમાં હોય.
*
કોંગ્રેસે કરેલા એક પણ પાપનો બચાવ કર્યા વિના, વર્ષોથી મોદીની નીતિરીતિની આકરી ટીકા કરતો રહ્યો છું. તેેમની કરણીનાં પરિણામ કેવાં માઠાં આવશે, તેનો સામાન્ય સમજથી ખ્યાલ આપતો રહ્યો છું.
હવે તો એ બધી અમંગળ આશંકાઓ ભવિષ્ય મટીને વર્તમાન બની ચૂકી છે. તેમ છતાં, જે લોકો મોદીભક્તિમાં ડૂબકાં ખાય છે, આંખો પર બાંધેલા ભ્રમના કે દ્વેષના પાટા ખોલવા તૈયાર નથી અને એવી જ અવસ્થામાં દલીલો કરવા આવી પડે છે, એવા લોકોને મારે કશું જ કહેવાનું નથી.
કારણ કે, આ મુદ્દે તેમની સાથે સંવાદ કરી શકાય એ માટેની લાયકાત તેમણે ક્યારની ગુમાવી દીધી છે.
('આ મુદ્દે'--એ શબ્દો ખાસ નોંધવા. કારણ કે, આંખે પટ્ટી હોવાને કારણે ઘણાને ગુજરાતીમાં લખેલું પણ પૂરું વંચાતું નથી.)
*
(23-4-25)
ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે.
ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો.
હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે.
ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે--આવું સરળીકરણ સગવડીયું અને મહદ્ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે.
નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મિડીયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો--એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખુલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી--હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું.
માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી.
ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.
*
(28-4-25)
ઘણા વખતથી ચાલતો આખો ખેલ એ છે કે સ્વસ્થ વિચારની કોશિશ કરનારા સામે મોરચો માંડો, તેમનો આક્રમક વિરોધ કરો, તેમને મહેસૂસ કરાવો કે તે અનિષ્ટોના તરફી છે અને માટે અનિષ્ટ છે. તેમને અસંવેદનશીલ ઠરાવી દો, હિંદુઓના દુશ્મન ઘોષિત કરી દો, જાહેર કરી દો કે તેમને દેશની પરવા નથી. વગેરે વગેરે...
આ ખેલના મુખ્ય બે ફાયદા છેઃ સ્વસ્થ વિચારની કોશિશ કરનારા ઢીલાપોચા હોય તો શેહમાં આવી જાય. ઘણા કિસ્સામાં જોવા મળે છે તેમ, માનસિક ઢચપચુપણું અનુભવીને કે ચાલુ પ્રવાહ સાથે રહેવા કે કજિયાનું મોં કાળું કરીને સઢ ફેરવી પણ નાખે.
કારણ કે, ધિક્કાર ફેલાવનારા કેટલાક લોકો અર્ધસત્યોનો સગવડીયો ઉપયોગ કરવામાં માહેર હોય છે. તે એકાદબે ઠેકાણે એવાં લપસણાં અર્ધસત્યો લખી નાખે કે માણસ સહેજ ચૂક્યો તો લપસીને સીધો ધિક્કારના ખદબદતા ખાબોચિયામાં. અથવા તેને પોતાને જ કેટલાંક સાદાં સત્યો સમજાવી સમજાવીને એવો કંટાળો આવે કે આત્મસંશય થવા લાગે ને કંઈ નહીં તો માથાકૂટ ટાળવા પણ એ બધું બંધ કરી દે.
બીજો ફાયદો એ કે સ્વસ્થ વિચારની કોશિશ કરનારા લખતા બંધ ન થાય તો પણ, તેમની વિરુદ્ધ બખાળા કાઢીને પોતાની 'બિરાદરી' આગળ વટ પાડી શકાય કે જોયું, મેં પેલાનાં કે પેલીનાં કેવાં છોતરાં કાઢી નાખ્યાં.
આ બધી લીલામાં સામાજિક ઝેર અને હિંસકતા-ધિક્કારનું તત્ત્વ ન હોત, તો એ બાળલીલા લાગત. પણ અફસોસ.
*
(29-4-25)
મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે. તેમના વલણનો વિરોધ કરનારા લોકોમાં કેટલા પ્રકારો અને પેટાપ્રકારો હોઈ શકે એની તેમને ખબર જ નથી અથવા તે યાદ કરવા માગતા નથી.
તેમની ધિક્કારની વિચારધારાનો જે વિરોધ કરે, એ બધા ડાબેરી, વામપંથી વિચારધારાવાળા--એવું પણ કેટલાક માને છે. ડાબેરી એટલે શું ને ડાબેરી એટલે કોણ નહીં--એટલી સાદી સમજણ કે સ્પષ્ટતા તેમનામાં હોતી નથી. પણ સમજણનો બધો અભાવ તે ધિક્કારથી અને વ્યક્તિપૂજાથી સરભર કરી લે છે. એટલે તેમને કશી ખોટ સાલતી નથી.
ડાબેરી કોને કહેવાય, તે વિશેનું અજ્ઞાન જોકે ગુજરાતમાં જ્ઞાનપીઠવિજેતા સુધી પહોંચેલું છે. વર્ષો પહેલાં એવા એક વિજેતાએ કોઈને મારી ઓળખાણ આપતાં કહ્યું હતું,'આ ઉર્વીશ કોઠારી. ડાબેરી છે, પણ સારું લખે છે.' 😃 હવે તમે જ કહો, તેમની આ દશા હોય, તો ફેસબુક પરના લોકોનો શો વાંક કાઢવો?
હકીકતમાં, મારા જેવા ઘણા લોકો કોઈ જડ વિચારધારામાં માનતા નથી. ડાબેરી એટલે હળવાથી આત્યંતિક ક્રમમાં જઈએ તો, સમાજવાદી, સામ્યવાદી, માઓવાદી અને તેમના અસંખ્ય પેટાપ્રકારો. હું નથી આંબેડકરવાદી, નથી ગાંધીવાદી. મને ગાંધી અને આંબેડકર બંને બહુ ગમે છે, ફૂલે તો મારા માટે હીરો છે, પણ ગમતા લોકો સાથે, પાયાના-મૂળભૂત ન હોય એવા મુદ્દે,અસંમતિ હોઈ શકે અને હોય છે. છતાં, તેમને, ગાંધી-આંબેડકરને, દિલથી ચાહી શકાય છે.
વિચારધારાના અર્થમાં હું સેક્યુલર પણ નથી. કારણ કે, વિચારધારા એને કહેવાય, જે સભાનતાથી અપનાવી હોય. મારી સાદી સમજ સહઅસ્તિત્ત્વમાં, સમાનતામાં અને માનવતામાં માનવાની છે. એ સમજ આખી જિંદગી ઘડતાં રહેવું પડે છે. શાસનનો-સ્થાપિત હિતોનો શક્ય એટલો વિરોધ, એ તેનો એક ભાગ છે. તેનો અંત નથી.
આ સમજ સતત ફાઇનટ્યુન કરવી પડે છે અને છેવટે તો, ઉપર જઈએ પછી જ નક્કી થાય કે 100માંથી કેટલા માર્ક આવ્યા. પણ આવી જે કંઈ સમજ છે તેને સેક્યુલરિઝમ, સ્યુડો-સેક્યુલરિઝમ, વામપંથ, ડાબેરી, હિંદુત્વવિરોધી--એવું બધું કહેવાય, એ તો આવી સમજથી જેમને તકલીફ થતી હતી ને થાય છે, તેમણે આપેલાં લેબલ છે. એટલે જ, એવાં લેબલ મને કદી અડતાં નથી.
ઘણા લોકો માને છે કે મારો એકમાત્ર ધંધો ને કામ ને હોબી મોદીને ગાળો દેવાની છે. સ્વાભાવિક રીતે જ આવા લોકોની સામાન્ય સમજના ગંભીર પ્રશ્નો હોય છે (એ તો આપણે ઉપર જોયું.) બાકી, રોજ પા-અડધા કલાકની મારી ફેસબુકચર્યા જોઈને અને તેમાં પણ બીજું કંઈ યાદ રાખ્યા વિના, ફક્ત મોદીની ટીકા યાદ રાખીને પછી, તે આવો અભિપ્રાય બાંધે તો તેમાં હું કશી મદદ કરી શકું નહીં. હકીકત એમ છે કે, મારા અનેક પ્રકારના રસ અને લખાણમાંથી મોદીપ્રેમીઓને ફક્ત મોદીની ટીકા જ 'સ્પર્શી' જાય છે અને મારો ફક્ત એટલો જ ભાગ યાદ રહી જાય છે.
મુદ્દાઆધારિત મૂલ્યાંકનના નામે, નરેન્દ્ર મોદીની આરતી ઉતારીને, તેમની કથિત કુશળતાના કી-બોર્ડસિપાહી બનીને, અમિત શાહ વિશે કદી કશું ન ઉચ્ચારીને, પછી સરકારના કે સરકારી તંત્રના છોંતરા કાઢી નાખવા--એવા ખેલ ગુજરાતમાં બહુ વખતથી ચાલે છે. યુટ્યુબ ચેનલોમાં પણ, જૂજ અપવાદોને બાદ કરતાં એ લગભગ ધોરણ બની ગયું છે. આખરે તો, પાપી વ્યૂનો સવાલ છે.
હું સમજું છું કે મોદી-શાહને સાચવી લઈને, વારેતહેવારે તે કેવા મહાન છે તેની બિરદાવલીઓ ગાઈ લેવી એ કસદાર ધંધો છે. એવા ધંધાર્થીઓ વિશે મારે કશું કહેવાનું નથી. કારણ કે, તે ધંધાદારીઓ છે અને તેમનું વિશ્લેષણ ન હોય.
હું સમજું છું કે સરકારનું બહુ દબાણ હોઈ શકે છે. હું કોઈને શહીદ બનવાની સલાહ નથી આપતો. જેનો આટલો મોટો હિસ્સો સારાસારવિવેક ગિરવે મુકીને બેઠો હોય, એવી પ્રજા માટે શહીદ ન થવાય--એટલી સમજણ મને પણ પડે છે. તેનો અર્થ એવો નહીં કે મોદી-શાહની આરતીઓ ઉતારીને, બાકીના તંત્ર કે સરકારની છાલ કાઢીને બહાદુરીના ફડાકા મારવાના. પણ બહુ મોટી સંખ્યામાં વાચકો આવા ખેલ પારખી શકતા નથી, એ હકીકત છે--પ્રજાકીય લક્ષણ કહી શકાય એટલી વ્યાપક હકીકત.
જોકે, ગુજરાતી પ્રજાને તેજાબી કલમ કે તેજાબી અભિપ્રાયો કે છોતરા કાઢી નાખવાના નામે મૂરખ બનાવવાનો ને પોતે કેવા બહાદુર છે તે દેખાડવાનો ખેલ આજકાલનો નથી. મારું એવું ખાનગી અને બિનઆધારભૂત છતાં પાયાદાર 'સંશોધન' છે કે ગુજરાતની પ્રજાને કેટલી આસાનીથી મૂરખ બનાવી શકાય છે, તેની જાણ નેતાઓ કરતાં પણ પહેલાં આપણા ઘણા કટારલેખકોને થઈ ગઈ હતી. એટલે વાચકો-દર્શકો આગળ તટસ્થતાના નામે આરતીઓ ઉતારવાનો, સાચવીને ટીકા કરવાનો ને ધૂર્તતાને બહાદુરી તરીકે રજૂ કરવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, યુ નો.
મોદીની કે શાસનની ટીકા કરવામાં મને કદી બહાદુરીનો અનુભવ નથી થયો. મારે મન એ કેવળ પ્રતીતિનો--મને જે લાગે છે તે કહેવાનો--મામલો છે. એથી ઓછો નહીં. એથી વધારે નહીં. તે કોઈ અદૃશ્ય કે દૃશ્ય વાચકવર્ગને કે શ્રોતાવર્ગને ધ્યાનમાં રાખીને, કે તેમને અંકે કરવા માટે કરાતી કસરત નથી.
હા, એવું બને છે કે ટીકા કરવા લાયક બધી બાબતોની એકસરખી તીવ્રતાથી ટીકા કરી શકાતી નથી. સમય, સંજોગો, પૂરતી જાણકારીનો અભાવ, બીજી પ્રતિકૂળતાઓથી માંડીને પ્રાથમિકતા જેવાં ઘણાં પરિબળો તેમાં કામ કરે છે. મંત્રી ન હોય એવા માણસ માટે આવું કરવું ફરજિયાત નથી, એ બાબતે હું નિશ્ચિત અને નિશ્ચિંત છું.
મને એક બાબતનું સૌથી વધારે ગૌરવ છેઃ મેં કદી કોઈના પણ હીન, માનવતાવિરુદ્ધ કામનો બચાવ કર્યો નથી, તેને છાવર્યું નથી કે તેને ધોકા પડતા હોય ત્યારે તેમના બચાવ ખાતર ધ્યાન બીજે ભટકાવવા દોડી ગયો નથી. મોદીપ્રેમીઓ તેમના વિચારવિરોધીઓ માટે જાતજાતનાં અને સમજ વગરનાં વિશેષણો વાપરવાની સાથેસાથે ક્યારેક આવી રીતે પણ પોતાની જાતનું મૂલ્યાંકન કરી જુએ.
બને કે તેમને પોતાના વિશે કંઈક વધુ જાણવાનું મળે.
*
(2-5-25)
સુરતમાં 'ગોડસેને ગાંધીકો ક્યૂં મારા'નો કાર્યક્રમ રદ થયો અને ટેકનિકલ કારણો આપીને આખી વાતને વાજબી ઠરાવવાની કોશિશ થઈ રહી છે.
ઓકે, તો ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી અને તેની પાછળ કેવા વિચાર કામ કરતા હતા, તેની વાત કરવી, એ આ દેશમાં લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ છે.
કેમ?
જવાબઃ કાર્યક્રમમાં જે બોલાય તે સોશિયલ મિડીયા પર ચડે ને કોઈ નારાજ થાય ને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય તો? તેના કરતાં જે બોલાવાનું હોય તે પોલીસને પહેલેથી બતાવી દેવું જોઈએ.
મતલબ, હવે, આવા કાર્યક્રમમાં જે બોલાવાનું હોય તે પોલીસને પહેલેથી કહેવાનું. વધારે ચોખવટથી કહીએ તો, તેમની પાસેથી પાસ કરાવવાનું અને તેમને ખાતરી અપાવવાની કે આમાં કશું વાંધાજનક--એટલે કે સત્તાધીશોને વાંધો પડે એવું કંઈ નથી.
ઇંદિરા ગાંધીની કટોકટી વખતે આવું હતું. પછી નરેન્દ્ર મોદીના રાજ મુખ્ય મંત્રી હતા ત્યારે ધીમે ધીમે કરીને ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો પર અઘોષિત પ્રતિબંધ મુકાઈ ગયો. વિરોધ પ્રદર્શન એટલે શું, એ જ ગુજરાતની પ્રજા ભૂલી ગઈ. પછી તેનો અફસોસ ક્યાંથી થાય?
પોલીસની દયા ખાવાનું મન થાય, પણ તે સામાન્ય પોલીસની. તેમના ઉપરીઓ ખુલીને જે નથી કહી શકતા તે એ કે, સત્તાપક્ષ નારાજ થાય એવું કંઈ ન કરશો. નહીં તો, સત્તાપક્ષનું સીધું કે આડકતરું સમર્થન ધરાવતા ગુંડા આવીને કાર્યક્રમના સ્થળે તોફાન મચાવશે ને અમે કંઈ નહીં કરી શકીએ. 'તમે સમજુ થઈને આવાં, અશાંતિ પ્રેરે એવાં આયોજનો કરો છો જ શા માટે?'
હવે તો ભલું પૂછવું, અહિંસાની વાત કરતાં પહેલાં પણ પોલીસની પરવાનગી લેવી પડશે? કારણ કે, અહિંસાની ખુલ્લેઆમ વાત કરવાથી હિંસા અને ધિક્કારમાં માનનારા લોકો નારાજ થાય અને કાર્યક્રમના સ્થળે તોડફોડ કરે તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન થાય?
અને આપણને તો એમ કે પોલીસનું કામ ગુંડાગીરી-ધાંધલ-તોડફોડ કરતા લોકોને રોકવાનું, ટપારવાનું, અટકાવવાનું છે.
*
(3-5-25)
--તો ગુજરાતના અને દેશના લોકો,
આખી વાતમાંથી તમે શું સમજ્યા?
* તમે હિંદુ હો, પણ મુસલમાનોને ધિક્કારતા ન હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમે નરેન્દ્ર મોદીની નીતિઓના ટીકાકાર હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ ન્યાય માગવા માટે અહિંસક રીતે અવાજ ઉઠાવો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ મુખ્ય મંત્રીને કે કોઈ મંત્રીને જાહેરમાં અઘરા સવાલ પૂછો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, તમે લશ્કરી દળમાંથી હો અથવા તમે તમારું પરિવારજન ત્રાસવાદમાં ગુમાવ્યું હોય, તેમ છતાં તમે સહઅસ્તિત્ત્વની અને બધા મુસલમાનોને એક લાકડીએ નહીં હાંકવાની વાત કરતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી--અમારાવાળા રાષ્ટ્રવાદી નથી.
* તમે હિંદુ હો, પણ તમે સરકારો સામે અણીયાળા સવાલ ઊભા કરતી રમૂજો કરો-વ્યંગ કરો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમને હિંદુ ધર્મના નામે થતી બાવાઓની કપટલીલા કે બેશરમ વેપારધંધા સામે વાંધો પડતો હોય, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ બળાત્કારના ગુનેગાર બાવાને મળેલા જામીનની ટીકા કરો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ ખૂન અને બળાત્કારની સજા કાપીને આવેલા લોકોના સન્માનમાં ન જોડાવ, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમે સરકારના દરેક યુ ટર્નને સમર્થન ન આપો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ હિંદુ ધર્મની બધી મર્યાદાઓનો બીજા ધર્મોની મર્યાદાઓ સામે છેદ ન ઉડાડી શકાય એવું માનતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો અને બીજા ધર્મોનાં ખરાબ તત્ત્વો સાથે સ્પર્ધામાં ન ઉતરાય એવું માનતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
ટૂંકમાં, તમે હિંદુ હો એટલું બિલકુલ પૂરતું નથી.
અસલ વાત તો એ છે કે તમે અમારાવાળા હિંદુ હોવા જોઈએ.
આટલું સમજવામાં કેટલી વાર લાગે?
*
(7-5-25)
બધી સ્ટોરી એક લીટીની નથી હોતી. જેમ કે,
‘ઓપરેશન સિંદૂર’—ત્રાસવાદી હુમલાની વળતી કાર્યવાહી તરીકે આવકારદાયક પગલું છે. દાવો કરાયા મુજબનાં લક્ષ્યાંક નિશાન બનાવાયાં હોય તો તે વધુ આનંદની વાત છે. આ પ્રકારની વળતી, સરહદપારનાં ચોક્કસ લક્ષ્યાંક સાથેની, મર્યાદિત સૈન્ય કાર્યવાહીને સમર્થન હોય જ.
રહી વાત વડાપ્રધાનનાં વખાણની. તો ‘ઓપરેશન સિંદૂર’ આવકારદાયક છે. તેનાથી વળતી કાર્યવાહીનો સંતોષ મળ્યો છે. આ પગલાનો આનંદ હોય, ઉન્માદ નહીં. તેના માટે ‘નિર્ણાયક’ કે એવાં બીજાં અતિશયોક્તિભર્યાં વિશેષણો ખડકીને, વડાપ્રધાનના જયજયકારમાં સરી પડવા જેવું નથી. કેમ કે, આવું પહેલી વારનું નથી. બાલાકોટ બધાને યાદ જ હશે. અને થોડા વખત પહેલાંનો આ અહેવાલ પણ રસ ધરાવનારે જોવો.
ત્રાસવાદી હુમલા પછી બધા મુસલમાનો પ્રત્યે ધિક્કાર ફેલાવવાનો ભરપૂર (અને સદ્‌ભાગ્યે નિષ્ફળ) પ્રયાસ થયો. હિમાંશી નરવાલે મુસલમાનોને ધિક્કારવાની ના પાડી તો તેમના વિશે સાવ છેલ્લી પાયરીનું લખાયું. આ બંને ઝુંબેશમાં સામેલ લોકો ‘ઓપરેશન સિંદૂર’ પછી છાતી ફુલાવતા ને બડાઈઓ મારતા દેખાય, ત્યારે વિચારજોઃ તેમનું ‘ભારત’ કયું છે અને શા માટે મારા જેવા ઘણા લોકોના ‘ભારત’ સાથે તેમના ધિક્કારકેન્દ્રી ‘રાષ્ટ્રવાદ’નો મેળ ખાતો નથી. પત્રકારો સમક્ષ વાત કરવા માટે વિંગ કમાન્ડર મોનિકા સિંઘની સાથે કર્નલ સોફિયા કુરેશી હતાં, તેનાથી પણ ધિક્કારના પ્રચારકો કંઈક સમજે તો સારું. હિમાંશી નરવાલના શાબ્દિક લિન્ચિંગ મામલે ચૂપ રહીને કરેલા મસમોટા પાપનું, સાવ નાનકડું પ્રાયશ્ચિત સરકારે કર્નલ કુરેશીને આગળ રાખીને કર્યું છે. તે દેખાડો હોય તો પણ આવકારદાયક છે.
મોક ડ્રિલના નામે ઘણા નાગરિકોને સાંકળતી બ્લેક આઉટની કાર્યવાહી બહુ ગળે ઉતરે એવી નથી. પહેલું કારણ તો એ કે હવેનાં યુદ્ધો જુદી રીતે લડાય છે. તેમાં બ્લેક આઉટની પ્રેક્ટિસની જરૂર હોય એવું સામાન્ય સમજથી તો લાગતું નથી. સૈનિક બાબતોના કોઈ નિષ્ણાત આવો અભિપ્રાય આપે તો જુદી વાત છે.
આશંકા તો એવી પડે કે તે સજાગતાને બદલે યુદ્ધજ્વર ચડાવવાનો કાર્યક્રમ હોઈ શકે. એવો જ્વર ચઢે એટલે સરકાર સામે સવાલો પૂછવાનો પારો માંડ થોડો ચડ્યો હોય તે પણ સાવ ઉતરી જાય. અગાઉ કોરોના વખતે સરકાર આ દાવ અજમાવી ચૂકી છે. એટલે તેની મથરાવટી પર ભરોસો બેસે તેમ નથી. પીડિતોના સવાલને ‘એજન્ડા’માં ખપાવવાનો અહંકાર શાસકોમાં આવી ચૂક્યો હોય, ત્યારે આવો લોકજ્વર તેમના માટે બહુ કામનો હોઈ શકે છે.
છેલ્લી વાતઃ 1971માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળ થયેલી સર્જિકલ સ્ટ્રાઇક કે જવાબી કાર્યવાહી કરતાં એક હજાર ગણી મોટી કાર્યવાહી થઈ હતીઃ પાકિસ્તાનનો એક આખો ટુકડો કપાઈને અલગ દેશ બન્યો હતો. તેનાં ત્રણ જ વર્ષમાં ઇન્દિરા ગાંધીનું કુશાસન ફાટીને ધુમાડે ગયું અને મોટી સંખ્યામાં લોકો ઇન્દિરાભક્તિમાં અંધ ન હતા. એટલે, દેશમાં વ્યાપક અસંતોષ ફાટી નીકળ્યો. કેટલાક ઘટનાક્રમો પછી 1975માં ઇન્દિરા ગાંધીએ સત્તા ટકાવવા માટે કટોકટી લાદવી પડી.
ટૂંકમાં, વડાપ્રધાને જે કર્યું એ તેમનું કામ હતું. જેટલું સારી રીતે કર્યું તેના માટે માપસરનાં અભિનંદન હોય, પણ એવા કામથી તેમની સામે ઊભા થયેલા બીજા અસંખ્ય મહત્ત્વના સવાલ મટી ન જાય.
જે આવો પ્રચાર કરતા હોય કે ‘મોદીએ પાઠ શીખવાડી દીધો. એટલે હવે તેમની ટીકા નહીં કરવાની- તેમને કશું પૂછવાનું નહીં. એ તો છે જ ગ્રેટ. તમને કદર નથી.’ તો એવા પ્રચારકોથી ચેતવું. કારણ કે તે રાષ્ટ્રભક્તિના નામે ખરેખર મોદીભક્તિ કરે છે. કાયદાની હદમાં રહીને મોદીભક્તિ કરવી તે વ્યક્તિનો લોકશાહી અધિકાર છે, પણ એ તેને રાષ્ટ્રભક્તિ ગણાવવા લાગે, ત્યારે તે અધિકાર મટીને છેતરપીંડી બને છે.
જય હિંદ.
*
(11-5-25)
વિક્રમ મિસરીને ટ્રોલ કરાયા તેનાથી કોઈને નવાઈ ન લાગવી જોઈએ.
થોડા દિવસ પહેલાં અહીં એક પોસ્ટમાં લખ્યું હતું તેમ, તમે 'અમારાવાળા હિંદુ' નથી, તો પછી તમે ગમે તે હો, કશો ફરક નથી પડતો. એટલે વહેમમાં રહેવું હોય તો તમારા હિસાબે ને જોખમે રહેજો.
અને એક ઓર વાતઃ ભૂલો ભલે બીજું બધું, પૉપૉની પીપૂડી વગાડવાનું ભૂલશો નહીં. આવા વખતે તો ખાસ નહીં. મોદી એ જ દેશ છે ને મોદીએ કમાલ કરી નાખી ને જોયું? કેવું બતાવી દીધું--એવી બધી કસીદાબાજી બહુ ઉપયોગી છે.
એક ઠેકાણું સાચવી લેવાથી અને વખતોવખત ત્યાં શાબ્દિક ચરણસ્પર્શ કરી લેવાથી, સ્થાનિક સરકારો ને વહીવટી તંત્રોના છોતરા ફાડવાના સીન નાખી શકાતા હોય અને કથિત બહાદુરીના ખેલ પાડી શકાતા હોય, તો સોદો ખોટો નથી.
પાર્ટ ટાઇમ જંબુરા, ફુલ ટાઇમ મદારી.
આપણા લોકોને તો આંખ સામે ચાલતું આટલું બધું નથી દેખાતું, ત્યાં આવા પાર્ટ ટાઇમ-ફુલ ટાઇમ રોલ જોવાની ને યાદ રાખવાની વૃત્તિ ક્યાંથી હોય?
અને એકલા પાર્ટટાઇમ જંબુરાઓનો પણ શો વાંક કાઢવો?
છાણના દેવને કપાસિયાની આંખો.
*
(13-5-25)
પોળની ક્રિકેટમાં પણ આવું ઘણી વાર બનતું.
એક ટીમ હારવા આવે, એટલે છેલ્લા થોડા બોલ બાકી હોય ત્યાં જ 'જીતી ગયા, જીતી ગયા'... કહીને બૂમરાણ મચાવે અને દોટ કાઢીને, કોઈ કશું વિચારે તે પહેલાં, સ્ટમ્પ ઉખાડીને મેદાનમાંથી બહાર ભાગી જાય.
પછી?
પછી શું? જીતનો જશ્ન. વિજયયાત્રા. વિજેતાનો જયજયકાર. વિજેતા કેવા મહાન ખેલાડી છે ને કેવા અપરાજેય છે તેની ગાથાઓ.
અને આ બધા સામે સવાલ કરો
તો તમે પોળવિરોધી, નેગેટિવ વિચારનારા, જીતનારાની ઇર્ષ્યા કરનારા 🙂

Thursday, March 28, 2024

(શાકા)હાર અને જીત

પોતાને બાકીનાથી ચડિયાતી માનતી એક જ્ઞાતિ વિશે એક રમૂજ હતીઃ

‘કોઈ માણસ (આગળ જણાવેલી) જ્ઞાતિનો છે એવી ખબર પડતાં કેટલી વાર લાગે?’
‘બે મિનીટ.’
‘એમ? શી રીતે?’
‘એ માણસ જાતે જ કહી દે. એનાથી રહેવાય જ નહીં.’
આ રમૂજ તમામ પ્રકારના ઓળખના અભિમાન માટે સાચી છે, પછી તે અભિમાન શાકાહારી તરીકેનું હોય કે માંસાહારી તરીકેનું.

શાકાહારી-માંસાહારીની ખેંચતાણ નવી નથી. દાયકાઓથી માંસાહારીઓ શાકાહારીઓનો ‘દાળભાતખાઉ’ તરીકે અને શાકાહારીઓ માંસાહારીઓનો ‘માંસમચ્છીખાઉ’ તરીકે એકડો કાઢતા રહ્યા છે. શાકાહાર સારો કે માંસાહાર કે બંને સારા કે બંને ખરાબ—એ માહિતીલેખનો વિષય છે, પણ બંને બાજુમાંથી જે ઝનૂનીઓ હોય તેમની માનસિકતા હાસ્યલેખનો વિષય છે.

ભારતીયોને બીજું કશું સ્પર્શે કે ન સ્પર્શે, સ્પર્શ બહુ સ્પર્શે છે. એટલે જ, દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિ-પરંપરામાં નથી એવી અસ્પૃશ્યતા ભારતમાં અમુક હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે અને પરંપરાવાદીઓને તો તે વળી ગૌરવવંતો પણ લાગે છે. પરંપરામાં, ખાસ કરીને કોઈ પણ ધર્મની પરંપરામાં, તર્ક થોપી બેસાડવાનું સૌથી સહેલું અને સાચો તર્ક શોધવાનું બહુ અઘરું હોય છે. અસ્પૃશ્યતા ધર્મ સાથે સંકળાયેલી છે કે નહીં, તે નક્કી કરવાનું કામ ધર્મના એવા જાણકારોનું છે, જેમને નરેન્દ્ર મોદીની આંગળી પકડીને ચાલતા રામના ચિત્ર સામે સરખો વાંધો પડતો હોય, જેમને ખબર હોય કે વૈદિક ગણિતને વેદ સાથે કશી લેવાદેવા નથી અને પુષ્પક વિમાન એ વિજ્ઞાનકથા નહીં, સાદી કથા છે. ટૂંકમાં, જેમને ધર્મ સાથે સંકળાયેલી જ્ઞાનપરંપરાનો સાચો અભ્યાસ હોય.

અસ્પૃશ્યતા ધર્મમાં હોય કે ન હોય, પણ તે સદીઓથી ચાલતી રહી છે ધર્મના નામે અને તેનો ઇન્કાર થઈ એમ નથી. આમ કહ્યા પછી યાદ આવે છે કે આજકાલ તો ગમે તેવા સ્થાપિત સત્યનો પણ ઇન્કાર થઈ શકે છે અને ઇન્કાર કરનારને સરકાર તરફથી ને સમાજ તરફથી પુરસ્કૃત કરવામાં આવે એવું પણ બને છે. છતાં, મુદ્દો એ નથી.

મુદ્દો એ છે કે ધર્મના નામે આચરાતી ઘણી ક્રૂરતાઓ હાસ્યાસ્પદ તર્ક ધરાવતી હોય છે. અસ્પૃશ્યતા પણ એવી જ એક હાસ્યાસ્પદ ક્રૂરતા છે. અત્યાર લગી તેનો સંબંધ અમુક જ્ઞાતિઓ સાથે હતો. ચોક્કસ જ્ઞાતિના લોકોને સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ જવાય, એવું મનાતું હતું. નવા જમાનામાં એટલે કે ન્યૂ ઇન્ડિયામાં કેટલાક શાકાહારીઓ હવે તેમના મનમાં ધરબી રાખેલી માંસાહારીઓ પ્રત્યેની અસ્પૃશ્યતા ગૌરવપૂર્વક જાહેર કરી રહ્યા છે. ‘અમે તો માંસાહારમાં વપરાયેલી અને ધોવાઈને સ્વચ્છ થયેલી ચમચી પણ શાકાહારી ભોજન માટે ન વાપરીએ. કારણ કે અમે શુદ્ધ શાકાહારી છીએ.’—એવી દલીલથી માંડીને ‘શાકાહારી ભોજનની ડિલીવરી કરવા માટે અમે ફક્ત શાકાહારી માણસોને જ પસંદ કરીશું’—એવી બાહેંધરીઓ ઉત્તમતાના ભાવ સાથે જાહેર કરવામાં આવે છે.

રેસ્તોરાંમાંથી ભોજન લોકોના ઘરે પહોંચાડતી એક જાણીતી ફૂડ ડીલીવરી કંપનીના એક ભાઈએ તો એટલી હદ સુધી જાહેરાત કરી દીધી કે શાકાહારી ભોજનની ડીલીવરી કરનારા સ્ટાફનો યુનિફોર્મ પણ અલગ રાખવામાં આવશે.
તેમની જાહેરાતની આકરી ટીકા થયા પછી તેમણે અલગ યુનિફોર્મનો નિર્ણય માંડવાળ રાખ્યો છે, પણ અલાયદા શાકાહારી સ્ટાફ માટેની તેમની બાંહેધરી ચાલુ છે.

ઘણા શાકાહારીઓને માંસાહારનાં દર્શન, સુગંધ કે ઉલ્લેખમાત્રથી સુગ ચડી શકે છે. તેનાથી દૂર રહેવું એ તેમનો અધિકાર છે. પરંતુ માંસાહાર કરનારા લોકો ઉતરતી કોટીના, નીચલી જાતિઓના, અપવિત્ર, વિધર્મી કે ધર્મભ્રષ્ટ છે—એવી માન્યતા વ્યક્ત કરવી એ કોઈનો કે કોઈના પિતાશ્રીનો અધિકાર નથી. એટલે જ, માંસાહાર કરનાર શાકાહારને સ્પર્શે તો શાકાહાર અપવિત્ર થઈ જાય, એમ માનવું પૂર્વગ્રહ અને અમુક કિસ્સામાં જ્ઞાતિવાદ કે ધાર્મિક દ્વેષ પણ હોઈ શકે છે.

આ એવી તાર્કિક વાત છે, જે માસિક સ્રાવના દિવસોમાં સ્ત્રીને અસ્પૃશ્ય ગણનારી પ્રજાને સમજાવવી અઘરી છે. કેમ કે, ભારતીય પરંપરામાં અપવિત્રતાને ઇલેક્ટ્રિસિટીની જેમ સ્પર્શથી પ્રસરનારી ગણવામાં આવે છે. કહેવાતા અપવિત્ર માણસને સ્પર્શનાર અપવિત્ર થઈ જાય અને તેને અડનાર ત્રીજો માણસ પણ અભડાઈ જાય. તે બધાએ સ્વચ્છ થવું પડે. આટલું કડક ધોરણ એ પ્રજા રાખે છે, જે અન્યથા ગંદકીમાં રાચે છે અને ગંદકી કરતાં જરાય ખચકાતી નથી. કેમ કે, પવિત્ર લોકોને ગંદકી કરવાનો અધિકાર છે અનેં તેમણે કરેલી ગંદકી સાફ કરનારને સ્પર્શવાથી અપવિત્ર થઈ જવાય, એવું સમીકરણ છે.

રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ના એક કટાક્ષલેખમાં એ મતલબનો સવાલ હતો કે અસ્પૃશ્યને ઘીની લાકડીથી મારવામાં આવે તો મારનાર અભડાય કે નહીં? ન્યૂ ઇન્ડિયામાં, માંસાહાર અને તે કરનારા સામે નવેસરથી જાગેલા ઓળખ-અભિમાનમાં પાઠકસાહેબનો સવાલ જુદી રીતે પ્રસ્તુત બને છે. માંસાહાર કરનાર શાકાહારીના ભોજનના પેકેટ પર પાણીની છાંટ નાખીને તેની ડીલીવરી કરે, તો અભડાયેલો ખોરાક પાછો પવિત્ર થઈ જાય? શાકાહારી ખોરાક ડિલીવરી કરનાર શાકાહારનું પડીકું લઈને માંસાહારી હોટેલની બહારથી પસાર થાય અને તેના રસોડામાંથી બહાર નીકળતી હવા તેને અડે, તો શાકાહારી કે તેની પાસે રહેલો ખોરાક કે બંને અપવિત્ર બને? શાકાહારી ડીલીવરી કરનાર જે વાહન ચલાવતો હોય તેનાં સ્પેરપાર્ટમાં કોઈ પ્રાણીજ પદાર્થનો અંશ હોય તો તેની પાસે રહેલો શાકાહારી ખોરાક અખાદ્ય બને?

એક દેશ તરીકે આટલા મહત્ત્વના અને સળગતા સવાલ આપણી સમક્ષ ઊભા હોય ત્યારે બંધારણ અને લોકશાહીના હાર્દનો ઘડોલાડવો કરવાનાં સતત ચાલતાં કાવતરાં વિશે ચિંતા કરનારને દેશદ્રોહી નહીં તો બીજું શું કહીએ?

Wednesday, January 03, 2024

શિક્ષણક્ષેત્રે કુરુક્ષેત્રે

 ગુજરાતની શાળાઓમાં છથી આઠ ધોરણનાં બાળકોને ભગવદ્ ગીતા શીખવવામાં આવશે, એ સમાચાર વાંચીને મનમાં કેટલાંક દૃશ્યો આવી ગયાં.

સરકાર બતાવવા માગે છે તે દૃશ્યઃ

એક શાળા છે. તેના ઓરડામાં વડા પ્રધાનની શાળા-મુલાકાત વખતે ફોટોશોપ કરીને લગાડેલી એવી નહીં, પણ અસલી બારી છે. તેમાંથી તડકો વર્ગખંડમાં પ્રસર્યો છે. વર્ગખંડમાં બાળકો યુનિફોર્મ પહેરીને લાઇનસર બેઠાં છે અને એકાગ્રતાથી ગીતાના શ્લોકોનું પઠન કરી રહ્યાં છે. એક શ્લોક પૂરો થાય, એટલે શિક્ષક શ્લોકનો એકેએક શબ્દ છૂટો પાડીને તેનો અર્થ સમજાવે છે. તે સાંભળીને બાળકના ચિત્તમાં જ્ઞાનપ્રાપ્તિનો રોમાંચ વ્યાપી જાય છે, જે તેના ચહેરા પર ઝગમગી ઉઠે છે.

--પણ આપણે જાણીએ છીએ કે સરકાર આવી રીતે જ વિદેશમાં ખડકાયેલું કાળું નાણું પાછું લાવીને, ઇલેક્ટોરલ ફંડમાં નહીં, લોકોનાં ખાતામાં નાખવાની હતી. એટલે, આગળ જણાવેલું સપનું જોવા માટે સરકારી ચશ્મા પહેરવા અનિવાર્ય છે.

એ ચશ્મા વિશે પણ લગે હાથ થોડું કહી દેવું જોઈએ. થ્રી-ડી ચશ્મા વિશે મોટા ભાગના લોકોએ સાંભળ્યું હશે ને ઘણાએ તે ફિલ્મ જોતી વખતે પહેર્યા પણ હશે. સરકારના ચશ્મા તેનાથી પણ જૂની છતાં સદાબહાર એવી વન-ડી ટેકનોલોજી ધરાવે છે. તે પહેર્યા પછી એક જ પરિમાણ—સરકાર બતાવે તે જ—દેખાય છે.

શાળામાં બાળકોને ગીતા ભણાવવાના સમાચાર સરકારના વન-ડી ચશ્મા પહેરીને વાંચીએ તો પછી શાળામાં શિક્ષકોની અછત, વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર, ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને નીચલા ધોરણનું ગુજરાતી વાંચવામાં પડતાં ફાંફાં, શિક્ષકોનું આર્થિક શોષણ અને તેમની સાથે સરકારી વેઠિયા જેવું વર્તન—આવું કશું જ નહીં દેખાય. એ ચશ્મા પહેરીને જોતાં દેખાશે કે આઠમું ધોરણ ભણીને પાર ઉતરેલા વિદ્યાર્થીઓ—અને આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દેતી ગ્રામ્ય વિસ્તારોની ઘણીબધી વિદ્યાર્થીનીઓ—એકબીજા સાથે ગીતાના શ્લોકો ટાંકીને જ વાતચીત કરતી હશે. ખેતરમાં મજૂરી કરતી વખતે, કારખાનાંમાં કામ કરતી વખતે કે ભણવાનું છોડીને બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં જોતરાયા પછી પણ તેમના હૃદયમાં અહર્નિશ ગીતાપાઠ ચાલતો હશે. ફળની આશા વિના કર્મ કરવાનું તે શીખે કે ન શીખે, ફળીભૂત થવાની આશા વગરનાં વચનો હોંશે હોંશે પી જવાનું તે જરૂર શીખી જશે.

સરકારી ચશ્માથી એવું પણ દેખાશે કે ગુજરાતી માધ્યમમાં ભણનારા બાળકોમાંથી હજારો બાળકો ગુજરાતી વિષયમાં ભલે નાપાસ થાય, પણ ગીતાના વિષયમાં તેમનું પરિણામ ઝળહળતું હશે અને આખું વિશ્વ એ ચમત્કાર જોઈને ભારતના વિશ્વગુરુપદ પર વધુ એક વાર મહોર મારી દેશે.

ભવિષ્યમાં ગીતાશિક્ષણ બધાં ધોરણ માટે લાગુ કરવામાં આવે ત્યારે શિક્ષણ મંત્રીની સાથોસાથ એક હોદ્દો ગીતા મંત્રીનો પણ ઊભો કરી શકાય, જેથી વિપક્ષમાંથી ખરીદી લાવેલા કોઈ નેતાને મંત્રીપદ આપવાનો વાયદો કર્યો હોય તો, વ્યવહાર મુજબ, વાસ્તવિક સત્તા આપ્યા વિના, એ વાયદો પૂરો કરી શકાય.

ઘણા શિક્ષકો જોવા ઇચ્છે એવું દૃશ્યઃ

ગીતા અભ્યાસમાં આવતાંની સાથે સમૃદ્ધ વાલીઓના ફોન આવવા લાગ્યા હશે કે તેમના સંતાન માટે ગીતાનું ટ્યુશન બંધાવવું છે. કોઈ સારા ટીચર હોય તો બતાવજો. શહેરોમાં બધા વિષયોના ટ્યુશન ક્લાસનું જે પેકેજ નક્કી થતું હશે, તેમાં ગીતાનો સમાવેશ નહીં થાય. તેને સ્પેશિયલ સબ્જેક્ટ ગણીને તેની ફી ગણિત કે વિજ્ઞાન કરતાં દોઢી રાખી શકાશે. ફીવધારાના વિરોધીઓને હિંદુવિરોધી તરીકે ગણાવવાની સુવિધા પણ રહેશે. આઠમા ધોરણમાં ભણતાં સંતાનોને બારમા પછી આપવાની પરીક્ષાની તૈયારી કરાવતાં વાલીઓ, ગીતાની તૈયારી માટે બાળક ચોથા ધોરણમાં હશે ત્યારથી તેનું ટ્યુશન શોધવા લાગશે, જેથી છઠ્ઠામાં ગીતા આવે ત્યારે તેમનું બાળક બીજાં બાળકોની સ્પર્ધામાં પાછળ ન પડી જાય. તેના કારણે ગીતાના ટ્યુશન ક્લાસ ખરેખર તો છઠ્ઠા ધોરણથી નહીં, ચોથા ધોરણથી જ શરૂ કરી શકાશે.

ગીતાનો સબ્જેક્ટ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીના શિક્ષકો પણ શીખવી શકશે. ગીતાના ટ્યુશનક્લાસ ભરનારાને ગીતાનો એકાદ શ્લોક લખેલું ટી શર્ટ પણ આપી શકાય. શ્લોક સંસ્કૃતની સાથોસાથ અંગ્રેજી લિપિમાં લખેલો હોવાથી શહેરનાં, અંગ્રેજી મિડીયમમાં ભણતાં બાળકો પણ તેનો લાભ લઈ શકશે—અને એવું થાય તો ટી શર્ટના જથ્થાબંધ ઓર્ડરમાંથી મળનારું કમિશન અલગ.

સરકારી જાહેરાત પછી મોડા જાગેલા કેટલાક હજુ ગીતાની ગાઇડ લખી રહ્યા હશે, પણ કેટલાક અનુભવી શિક્ષકો તો ગાઇડનું લેખન પૂરું કરવામાં હશે. કારણ કે, જાહેરાત થતાં પહેલાં તેમને આગોતરી ગાંધીનગરથી ખબર પડી ગઈ હશે.

ગીતાને બારમા ધોરણમાં ફરજિયાત કરવામાં આવે અને તેના માર્ક પણ વિદ્યાર્થીની છેવટની ટકાવારીમાં ગણાશે એવી જાહેરાત થાય, તો વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને અવગણે છે એવી રીતે ગીતાને અવગણી નહીં શકે અને કમર કસીને તેની તૈયારી કરશે. મતલબ, તેનાં પેપર ફૂટશે અને કમાણીની નવી દિશાઓ ખુલશે, જેના પગલે કહી શકાશે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા.

ઘણા વિદ્યાર્થીઓ જોવા ઇચ્છે એવું દૃશ્યઃ

વિદ્યાર્થીઓ? અને તે વળી ઇચ્છે? અઢળક રૂપિયા ખર્ચીને તે શિક્ષણની ગુણવત્તા સિવાય બીજું કંઈ પણ ઇચ્છી શકે. તેમનો ધર્મ શિક્ષણના તળીયે પહોંચેલા સ્તર વિશે વિચારવાનો તો બિલકુલ નથી. તેમણે આગળ આપેલાં બે દૃશ્યોમાં જ્યાં ગોઠવાઈ શકાય ત્યાં ગોઠવાઈ જવાનું. એની તેમને સંપૂર્ણ છૂટ હશે. ગીતા-પરંપરા પ્રમાણે તેમને કહી પણ શકાશેઃ યથેચ્છસિ તથા કુરુ. તમને ઠીક લાગે તે વિકલ્પ પસંદ કરો.

Monday, August 16, 2021

તાલિબાનો વિશેની શ્રેણી : વીસ વર્ષ પહેલાં

(ફેસબુક પરની પોસ્ટ- જૂના લેખના કટિંગ સાથે)

 અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પહેલી વાર ઉપાડો લીધા પછી, 2001માં 'સંદેશ'માં તેમના વિશે ત્રણ ભાગની લેખમાળા લખી હતી  તેના બે ભાગનાં કટિંગ અહીં નમૂના ખાતર મુક્યાં છે. (ત્રીજો ભાગ સચવાયો હોત તો સારું થાત. પણ તે કોઈ કારણસર સચવાયો નથી.) ત્યારે તાલિબાનો વિશે થોડુંઘણું વાંચ્યા પછી જે અભિપ્રાય હતો, તે 2021માં પણ બદલાયો નથી--તે બદલવા માટેનું કોઈ કારણ મળ્યું નથી.

ઇસ્લામનું સૌથી વરવું-સૌથી ભયંકર અર્થઘટન અમલમાં મુકતા તાલિબાનો ખરેખર તો ઇસ્લામના અને માનવ અધિકારના નામે કલંકરૂપ છે. તેમની લોહીયાળ રૂઢિચુસ્તતા કમકમાટી ઉપજાવે એવી રહી છે.  અમેરિકાની ગમે તેટલી દુષ્ટતાથી તાલિબાની આતંકવાદ વાજબી કે ક્ષમ્ય ઠરતો નથી.

'તાલિબાનોને એક તક આપવી જોઈએ' અથવા 'અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું, ત્યાર પહેલાં તે શાસકો હતા. એટલે તે પણ અફઘાનિસ્તાની શાસનના પક્ષકાર (સ્ટેક હોલ્ડર) છે'--આવી દલીલો ગમે તેટલા પાંડિત્ય સાથે કરવામાં આવે તો પણ, તેમાં તાલિબાની આતંક સામે અફઘાનિસ્તાનના સ્થાનિક લોકોની દુર્દશા નજરઅંદાજ થઈ જાય છે. તાલિબાનોની ભયંકરતાનો કોઈ પણ ફુદડી વિના, જો અને તો વિના, બિનશરતી વિરોધ જ કરવાનો હોય. તેમના ખૂણાખાંચરાના ગુણ શોધી કાઢવા, એ તો હિટલરના શાકાહારીપણાના વખાણ કરવા જેવું થાય.

ધર્મનાં વરવાં અર્થઘટન કરતાં, ધાર્મિક લાગણીઓ બેફામ બહેકાવતાં તત્ત્વોના હાથમાં રાજસત્તા આવે, તો કેવું પરિણામ આવે, સતેનો બોધપાઠ તાલિબાનમાંથી લઈ શકાય છે. તાલિબાનો જે શીખરે પહોંચી ચૂક્યા છે, તે દિશાની ધીમી ગતિ પણ આપણા માટે ઉજવણાંનું અને ગૌરવનું નહીં, ચિંતાનું અને આત્મખોજનું કારણ હોવી જોઈએ. સવાલ માત્રાભેદ કરતાં વધારે પ્રકારનો અને દિશાનો હોય છે. એ દિશામાં ગતિ શરૂ થાય અને આગળ વધે, ત્યારે યોગ્ય પગલાં ન લેવાય તો ઘણી વાર બહુ મોડું થઈ જતું હોય છે. પછી થતી દુર્દશામાં કોઈ મદદ કરી શકતું નથી.

 

Friday, April 03, 2020

નિઝામુદ્દીન મરકઝ ઘટના : ગુનાઈત બેજવાબદારીનો ચેપ



માર્ચ ૧૩થી ૧૫ દરમિયાન, સુન્ની મુસલમાનોના એક ફાંટા તબલીઘી જમાતનું મોટું સંમેલન દિલ્હીના નિઝામુદ્દીન મરકઝ (એટલે કે કેન્દ્ર)માં હતું. તેમાં ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા કોરોનાગ્રસ્ત દેશો સહિત બીજા દેશોમાંથી આવેલા લોકો સામેલ થયા. સંમેલન પૂરું થયા પછી પણ આ કેન્દ્રમાં ઘણા લોકો રહ્યા, તો ઘણા જુદાં જુદાં રાજ્યોમાં ધર્મપ્રચાર માટે અથવા પોતપોતાને ઘેર ગયા. સરકારી આંકડા પ્રમાણે, ૨૧ માર્ચના રોજ નિઝામુદ્દીન મરકઝમાં ૧,૭૪૬ લોકો રહેતા હતા, જેમાંથી ૧,૫૩૦ ભારતીયો અને ૨૧૬ વિદેશી હતા. એ તારીખે ૮૨૪ વિદેશીઓ ભારતમાં જુદા જુદા ઠેકાણે ધર્મપ્રચારમાં સક્રિય હતા. સરકારી વિગતો મુજબ, જાન્યુઆરી ૧, ૨૦૨૦થી આશરે ૨,૧૦૦ વિદેશીઓ તબલીઘની પ્રવૃત્તિ માટે ભારત આવ્યા હતા અને તે બધા સામાન્ય રીતે નિઝામુદ્દીન મરકઝમાં રીપોર્ટ કર્યા પછી જ નક્કી થયેલા વિસ્તારોમાં જતા હતા.

સંમેલનમાં મોજુદ લોકોમાંથી ઘણા કોરોનાનો ચેપ ધરાવતા અને બીજા ઘણા ચેપની સંભાવના ધરાવતા હતા. તે બધા દેશના જુદા જુદા ભાગોમાં ફેલાયા. આ વાત એકાદ જાહેર થયા પછી
૧) સંમેલનની અને તેના આયોજક તરીકે તબલીઘી જમાતની યોગ્ય રીતે જ આકરી ટીકા થઈ.
૨) કામચલાઉ કોરોનાને બદલે કાયમી એવો કોમવાદનો વાઇરસ મેદાનમાં આવી ગયો અને કોરોના જેહાદજેવા શબ્દપ્રયોગો-ભાવપ્રયોગો સાથે, કોરોના સામેની લડાઈને કોમવાદનો રંગ ચડાવવાના પ્રયાસ થયા.

આ ઘટનાક્રમને શાંતિથી સમજવા માટે કેટલીક હકીકતો-કેટલાક મુદ્દાઃ

નિઝામુદ્દીન મરકઝ
ઘટના જાહેર થયા પછી, દિલ્હી સરકારનાં ધારાસભ્ય આતિશીએ દિલ્હી સરકારનો ૧૩મી માર્ચનો ઓર્ડર તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તે પ્રમાણે ૨૦૦થી વધુ લોકોને સ્પોર્ટ્સ માટે કે સેમિનાર/કોન્ફરન્સ માટે ભેગા થવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

એ જ દિવસે, ૧૩ માર્ચના રોજ, દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ આઇપીએલ સહિતના રમતગમતના કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરી અને દિલ્હીમાં શાળા-કોલેજ, સ્વિમિંગ પુલ અને સિનેમા હોલ ૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લેવાયો. સિસોદિયાએ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે, મોટી સંખ્યામાં મેદની જમા થાય એવા મોટા કાર્યક્રમો ટાળવા જોઈએ.’ ‘ઇન્ડિયન એક્સપ્રેસની દિલ્હી આવૃત્તિ (૧૪ માર્ચ,૨૦૨૦)માં આવેલા અહેવાલમાં સિસોદીયાનું આ નિવેદન હતું, ‘હું સૌને કહેવા માગું છું કે લોકો સરકારી ઓર્ડરની રાહ ન જુએ અને પોતાની મેળે જ મોટા કાર્યક્રમોથી દૂર રહે.દક્ષિણ કોરિયામાં પહેલા ૩૦ કેસ કાબૂમાં આવી ગયા, પણ ૩૧મા દર્દીએ બીજા હજારોને ચેપ લગાડ્યો, એવો ઉલ્લેખ કરીને સિસોદીયાએ કહ્યું, ‘એવી પરિસ્થિતિ અટકાવવા માટે દિલ્હી સરકારે મોટા મેળાવડા ન યોજવાનો હુકમ કાઢ્યો જ છે. છતાં, તમારા ધ્યાનમાં આવો કોઈ મેળાવડો આવે જ્યાં લોકો જુદા જુદા ઠેકાણેથી આવ્યાં હોય, તો મહેરબાની કરીને એવી જગ્યાથી દૂર રહેજો.

છતાં, એ જ દિવસથી ૧૫મી સુધી તબલીઘી જમાતનો કાર્યક્રમ ચાલ્યો, તેમાં પરદેશથી આવેલા તબલીઘી જમાતના લોકો સહિત સેંકડો લોકો સામેલ થયા. દેખીતી રીતે જ, આ ગુનાઈત બેદરકારીનો મામલો ગણાય. દુનિયાભરમાંથી કોરોનાના સમાચાર આવી રહ્યા હોય ત્યારે ધાર્મિકથી માંડીને વ્યવહારિક બધી ગણતરીઓ બાજુ પર મૂકીને કે અગાઉથી કાર્યક્રમ બનાવીને આવેલા લોકોને પડનારી અગવડની ચિંતા કર્યા વિના મેળાવડો રદ કરવો પડે. બાળકોની પરીક્ષાઓ રદ થઈ શકતી હોય, તો ધાર્મિક મેળાવડા કેમ નહીં? એવું કરવાને બદલે તબલીઘી જમાતે કાર્યક્રમ ચાલુ રાખ્યો.

માટે, આ કાર્યક્રમના આયોજન બદલ નિઝામુદ્દીન મરકઝના વડા અને બીજા જે જવાબદારો હોય તે સૌની સામે કાયદાના ધોરણે યથાયોગ્ય કાર્યવાહી થવી જ જોઈએઅને અહેવાલો મુજબ એ થઈ રહી છે. ઉપરાંત, સામાજિક ધોરણે આ પ્રકારના વર્તનની ટીકા થાય, આ પ્રકારની ધાર્મિક જડતા વિશે રોષ વ્યક્ત થાય તે પણ લાજિમ ગણાય.

તબલીઘી જમાતના કાર્યક્રમ પછીના દિવસોમાં, દેશનાં ઘણાં જાણીતાં મંદિરોમાં લોકોની મોટા પાયે અવરજવર ને સામુહિક કાર્યક્રમો ચાલુ હતા. જેમ કે, મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર, ઉજ્જૈનનું મહાકાળ મંદિર,  શીરડીનું સાંઈધામ, શનિ શીંગણાપુર, વૈષ્ણોદેવી, કાશી વિશ્વનાથ...એવું જ ગુજરાતમાં સોમનાથ જેવા મંદિર વિશે.

આ હકીકતોને આગળ કરીને તબલીઘી જમાતના મેળાવડાની ગંભીરતા હળવી દર્શાવવાનું બે કારણસર યોગ્ય નથી.

૧) જે ખોટું છે તે ખોટું જ રહે છે. એક ખોટા સામે બીજું ખોટું મૂકીને બંનેનો સામસામો છેદ ઉડાડવાનું કે તેની ગંભીરતા ઘટાડવાનું કામ રાજકીય પક્ષોનું છેનાગરિકોનું નહીં.

૨) દિલ્હીમાં સરકાર દ્વારા આ પ્રકારનાં મેળાવડા-સંમેલનો ઉપર ૧૩મીએ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો હતો. તબલીઘી જમાતના સંમેલનથી સરકારી પ્રતિબંધનો ભંગ થયો. મોટા સમુહો ભેગા ન થાય તે ઇચ્છનીય હોવા છતાં, બીજાં રાજ્યોમાં આ પ્રકારની બંધી મુકાઈ હોય અને તેનું ઉલ્લંઘન કરીને ધર્મસ્થાનો ખુલ્લાં રહ્યાં હોય એવું જણાતું નથી.

ટૂંકમાં, તબલીઘી જમાતનું સંમેલન એકેય ધોરણે વાજબી ન હતું અને સંમેલનના આયોજકો તથા ભાગ લેનારાએ આખા મામલે ગુનાઈત બેદરકારી દેખાડી છે. તેમની સામે કેસ નોંધાયા છે અને કાર્યવાહી થઈ રહી છે. છતાં, તેમની આવી ગુનાઈત બેદરકારીને લીધે દેશનાં ઘણા રાજ્યોમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા વધે, તેનું નુકસાન ભરપાઈ કરવાનું કઠણ છે. ઉપરાંત, આવા કપરા સમયમાં રાજ્યતંત્ર પર સંભવિત ચેપગ્રસ્તોને શોધવાનો બોજ આવે તે વધારાનું.

મરકઝમાં નિવાસ અને વિઝાના નિયમોનો ભંગ
૧૩થી ૧૫ તારીખ સુધી સરકારની મનાઈ છતાં સંમેલન ભરાયું. ત્યાર પછી ઘણા લોકો મરકઝમાં જ રહ્યા. જગ્યા ભલે ખાનગી હોય, પણ તેમાં મોટી સંખ્યામાં લોકો ક્વોરન્ટાઇન થયા વિના રહે, તે જોખમી અને આત્મઘાતી ગણાય. મરકઝ તરફથી એવી દલીલ થઈ છે કે અવરજવર અટકી પડી હોવાથી, લોકોને મરકઝમાં રાખ્યા વિના છૂટકો ન હતો. દિલ્હીના વહીવટી તંત્ર અને તેના (કેન્દ્ર સરકાર નીચે આવતા) પોલીસતંત્ર તરફથી પ્રતિભાવ ન મળ્યો, એવી રજૂઆત પણ મરકઝ તરફથી થઈ છે. તે સાચી હોય તો પણ, કાર્યક્રમ પહેલાં અને પછીના સમયમાં તકેદારીનાં પગલાં અંગે મરકઝના પ્રયત્નો સંતોષકારક કે વિશ્વાસ પેદા કરે એવા લાગતા નથી.

વધુ એક આરોપ એવો છે કે મેળાવડામાં ભાગ લેવા માટે પરદેશથી આવેલા જમાતના લોકોએ વિઝાના નિયમોનો ભંગ કર્યો છે. ધાર્મિક પ્રવૃત્તિ માટેનો વિઝા અલગ હોય છે અને ટુરિસ્ટ વિઝા પર આવેલા લોકો ધર્મોપદેશ કે ધર્મપ્રચાર જેવી પ્રવૃત્તિ કરી શકે નહીં, જે તબલીઘી જમાતના લોકોએ કરી. આ ગુના માટે કાયદામાં જોગવાઈ છે જ અને એ દિશામાં કાર્યવાહી પણ થઈ રહી છે. અહેવાલો પ્રમાણે, ગઈ કાલે કેન્દ્ર સરકારે તબલીઘી જમાતના વિદેશથી આવેલા ૯૬૦ લોકોને વિઝાના નિયમોના ભંગ બદલ બ્લેકલિસ્ટ કરી દીધા છે અને હજી બીજાં પગલાં ભરાશે. ઉપરાંત, રાજ્ય સરકારોને પણ તેમને ત્યાં રહેલા અને નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડકાઈથી કાર્યવાહી કરવાનું કહી દેવાયું છે.

સરકારઃ દિલ્હીની અને કેન્દ્રની
હવે સવાલ એ આવે કે આખાય ઘટનાક્રમમાં સરકારની શી ભૂમિકા રહી? તેની કોઈ જવાબદારી ખરી? અને તેના પક્ષે કોઈ ચૂક ગણાય કે નહીં?

આગળ સ્પષ્ટ કર્યું છે તેમ, બધાના વાંક અલગ અલગ નક્કી કરવા પડે. એકને મોટું કરીને તેની નીચે બાકીનું બધું ઢાંકી ન દેવાય કે એકની સામે બીજું ધરીને બંનેનો છેદ ઉડાડી ન શકાય.

દિલ્હીની પોલીસ કેન્દ્ર સરકારની છે. તેની પર દિલ્હીની સ્થાનિક સરકારનો કાબૂ નથી. છતાં, આવા સમયમાં સ્થાનિક સરકારે ગૃહ મંત્રાલયની મદદ માગવી પડે. એ ન મળે તો તેનો અલગથી ધોખો થઈ શકે. તે ફક્ત હુકમો કાઢીને બેસી રહે અને તેના અમલ માટે કે ભંગ બદલ કશું ન કરે, તે કેટલું યોગ્ય ગણાય? મનીષ સિસોદીયા ૧૩ માર્ચે જાહેર કાર્યક્રમો, મેળાવડા ને જાહેર સ્થળો બંધ કરાવે ત્યારે તેમને કે તેમની સરકારમાંથી કોઈને ખબર નહીં હોય કે તબલીઘી જમાતનું આવડું મોટું સંમેલન તેમના પ્રતિબંધ છતે શરૂ થઈ ચૂક્યું છે? અને હજુ બે દહાડા ચાલવાનું છે? એવી તે કેવી સરકાર, કે જે ફક્ત હુકમ કાઢીને ફરજ અદાયગી થયેલી જાણી લે અને આવું કંઈક બહાર આવે ત્યારે એવું કહીને ઊભી રહે કે અમે તો બા, પહેલેથી જ ના પાડી હતી. જુઓ, આ રહ્યો એનો પુરાવો.

તમારો પુરાવો સાચો, પણ ના પાડ્યા પછી તમે બીજું શું કર્યું આ સંમેલન અટકાવવા માટે? અને કંઈ ન કર્યું તો સ્થાનિક સરકાર તરીકે તમારી કોઈ જવાબદારી નહીં? તમારે હુકમનામાનાં કાગળીયાં રજૂ કરીને હાથ ખંખેરી નાખવાના?

બાકી રહી વાત પોલીસની અને કેન્દ્ર સરકારના ગૃહ ખાતાની. ગુગલ મૅપમાં જોતાં જણાય છે કે નિઝામુદ્દીન મરકઝથી નિઝામુદ્દીન પોલીસચોકી વચ્ચેનું અંતર ચાલતાં માંડ એકાદ મિનીટ જેટલું છે. પોલીસ સ્ટેશનની આટલી નજીકમાં ત્રણ-ત્રણ દિવસ સુધી, દિલ્હીની સરકારની મનાઈની ઉપરવટ જઈને, સંમેલન ચાલે છે અને દેશવિદેશમાંથી આવેલા લોકો તેમાં જમા થાય છે, ત્યારે પોલીસ અને કેન્દ્ર સરકારનું ગૃહ ખાતું શું કરે છે? કેમ તે સંમેલનને અધવચ્ચેથી અટકાવતું નથી? સંમેલન શરૂ થતાં પહેલાં દિલ્હીમાં એપિડેમિક ડીસીઝ એક્ટ અંતર્ગત દિલ્હી એપિડેમિક ડીસીઝ,કોવિડ-૧૯, રેગ્યુલેશન્સ,૨૦૨૦અમલી બની ચૂક્યાં છે. છતાં તબલીઘી જમાતનું સંમેલન બેરોકટોક ચાલ્યા કરે, ત્યારે કેન્દ્રની અને દિલ્હીની સરકારે તેમની નિષ્ફળતા કે ગંભીર ગાફેલિયત માટે આપણને નાગરિકોને જવાબ આપવાના નથી થતા?

દિલ્હી સરકારે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે છેક ૨૯ માર્ચના રોજ પગલાં લીધાં અને ખાલી કરાવ્યું. ૩૧મી માર્ચે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મરક્ઝના વડા સહિત બીજા સભ્યો સામે સરકારી આદેશના ભંગનો કેસ દાખલ કર્યો. ત્યાં સુધી દિલ્હીની પોલીસ અને કેન્દ્રના ગૃહખાતામાં રહેલા તેમના સાહેબો શું કરતા હતા? આ સવાલ મરકઝની ગુનાઈત બેદરકારી હેઠળ સંતાડી શકાય નહીં. સરકારી બેદરકારીનો ખ્યાલ આ ઘટનાક્રમ ઉપરથી પણ આવી શકશે. (આ ઘટનાક્રમ scroll.in માં પ્રગટ થયો હતો)

·      ૨૮ ફેબ્રુઆરી મલેશિયામાં તબલીઘી જમાતનું સંમેલન. તે કોવિડ-૧૯ના ફેલાવા માટે કારણભૂત બન્યું.
·      ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી માર્ચના પહેલા અઠવાડિયા દરમિયાન અગ્નિ એશિયા, દક્ષિણ એશિયા અને યુરોપના દેશોમાંથી ઘણા લોકો સરકારી વિઝા મેળવીને જમાતના સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા.
·       ૧૨ માર્ચ દિલ્હીની સરકારે જાહેર કર્યું કે કોરોનાગ્રસ્ત દેશોમાં જઈ આવેલા અને કોરોનાનાં લક્ષણ ધરાવતા લોકોએ સરકારને જાણ કરવી.
·   ૧૩ માર્ચ દિલ્હીમાં જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર થાઇલેન્ડનો એક માણસ બિમારીનાં ચિહ્નો સાથે કોઈમ્બતુરના એરપોર્ટ પર દેખાયો. દરમિયાન, ભારતમાં એરપોર્ટ પર મુસાફરોની તપાસ શરૂ થઈ અને દિલ્હી સરકારે ૨૦૦થી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ મૂકી દીધો.
·  ૧૬ માર્ચ દિલ્હી સરકારે પચાસ જણથી વધુ લોકો મળવાના હોય એવા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો.
·   ૧૭ માર્ચ ચેપનો ભોગ બનેલા થાઇલેન્ડવાળા માણસનું અવસાન થયું. તામિલનાડુમાં તેના જૂથના છ સભ્યોની તપાસ કરવામાં આવી.
·    ૧૮ માર્ચ દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લીધો હોય એવા છ લોકો તેલંગણામાં ચેપગ્રસ્ત જણાયા.
·  ૨૧ માર્ચ તામિલનાડુએ જમાતના કાર્યક્રમમાં સામેલ હોય એવા બે કોરોના પોઝિટિવ લોકોની ઓળખ કરી.
આ દિવસે કેન્દ્રના ગૃહ ખાતાએ દિલ્હીમાં જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોની વિગત રાજ્ય સરકારો સાથે શૅર કરી.
·    ૨૨ માર્ચ તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવામાં આવી. વડાપ્રધાન દ્વારા જનતા કરફ્યુની જાહેરાત
·    ૨૪ માર્ચ ૨૧ દિવસના લૉક ડાઉનની શરૂઆત. (કેન્દ્ર સરકારના તાબામાં આવતી) દિલ્હી પોલીસે જમાતને મરકઝ ખાલી કરાવવા માટે નોટીસ આપી. જમાતે કહ્યું કે આશરે ૧,૫૦૦ લોકો નીકળી ચૂક્યા છે અને બાકીના એકાદ હજાર મરકઝમાં છે. જમાતના દાવા પ્રમાણે, આ લોકોને ખાલી કરાવવા માટે તેમણે મદદ માગી,પણ ન મળી.
·    ૨૯ માર્ચ પ્રસાર માધ્યમોના અહેવાલ પ્રમાણે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ વહેલી સવારે મરકઝ જમાતના વહીવટદારોને મળવા પહોંચ્યા.
·      ૩૦ માર્ચ દિલ્હીની સ્થાનિક સરકારને નિઝામુદ્દીન વિસ્તારને કોર્ડન કર્યો.
·      ૩૧ માર્ચ જમાતના વહીટવકર્તાઓ સામે પોલીસકેસ દાખલ થયો.

ઉપરનો ઘટનાક્રમ શાંતિથી જોતાં, સરકારપક્ષે થયેલો વિલંબ, ખાસ કરીને ૨૧ માર્ચથી ૩૦ માર્ચ સુધીનો દસ દિવસનો વિલંબ સમજી શકાય એવો નથી. એવી જ રીતે, પોલીસ સ્ટેશન સાવ પાસે હોવા છતાં કાર્યક્રમમાં આટલા બધા લોકો ભેગા થાય અને સરકારો કશું જ ન કરી શકે, એ પણ સમજાય એવું નથી. માટે, જમાતની ગુનાઇત બેદરકારીની વાજબી રીતે અને આકરી ટીકા કર્યા પછી, જો વાંધો આખા ઘટનાક્રમ સામે હોય અને તેને મુસલમાનો પૂરતો કેન્દ્રિત રાખવામાં રસ ન હોય, તો સરકારપક્ષનાં ગાબડાં પણ ધ્યાને પડવાં જોઈએ અને જમાતની ટીકા કરી લીધા પછીતે પણ વાંધાનું કારણ બનવાં જોઈએ.

નાગરિકો
સરકારની ભૂમિકા વિશે આગળ જણાવેલા સવાલ ન થાય, આયોજન વગરના લૉક ડાઉન પછી માત્ર દિલ્હી જ નહીં, બીજાં રાજ્યોમાં પણ સેંકડો લોકોએ કરેલા સ્થળાંતરની અસરોની ચર્ચા ફંટાઈ જાય અને ઇવેન્ટ મેનેજમેન્ટપ્રેમી વડાપ્રધાનની તથા તેમની સરકારના આયોજનની ટીકાઓને ઠેકાણે પાડી શકાય, એવું ક્યારે બને? ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ જવાબ છેઃ આખો વિવાદ મુસલમાનો તો છે જ એવાના રસ્તે વાળી દેવામાં આવે તો.

એટલે, રાબેતા મુજબ સોશિયલ મિડીયા પર કોરોનાજેહાદથી માંડીને ભારતને અસ્થિર કરવાનું (મુસલમાનોનું) કાવતરુંજેવી બેફામ આરોપબાજી ફરતી કરી દેવામાં આવી. ઇસ્લામદ્વેષને જાણે મોકળું મેદાન મળી ગયું. કેટલીક ટીવી ચેનલો અને કેટલાંક છાપાં પણ ગુનાઈત બેદરકારીને જેહાદ કે ભયંકર કાવતરાની માફક રજૂ કરવા લાગ્યાં. તબલીઘી જમાતના સંમેલનની, તેના આયોજકોની અને તેમાં ભાગ લેનારાની ટીકા થાય, તેમની સામે આકરી કાર્યવાહની માગણી થાય એ તો બરાબર, પણ આખી વાતને મુસલમાનદ્વેષના પાટે ચડાવીને લોકોને ઉશ્કેરવામાં આવે અને બાકીની બધી બાબતોને સલુકાઈથી નજરઅંદાજ કરવામાં આવે, એવું વધુ એક વાર બન્યું. નવી ફેશન પ્રમાણે, શાહીનબાગને પણ વચ્ચે ઢસડવામાં આવ્યું અને એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, જાણે ભારતમાં કોરોના વાઇરસ તબલીઘી જમાત લાવી હોય.

તબલીઘી જમાતના ગુણદોષની ચર્ચા કરવાની આ જગ્યા કે આ પ્રસંગ નથી. નાગરિક તરીકે આપણે એ વિચારવાનું છે કે
·  મરકઝના કાર્યક્રમ સિવાય પણ ભારતમાં અને ગુજરાતમાં સુદ્ધાં કોરોના વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો હતો, એ ભૂલી જઈશું? અને મરકઝની ગુનાઈત બેદરકારીનેા માથે દોષનો આખેઆખો ટોપલો ઢોળી દઈશું?
·    કોમવાદી માનસિકતા આપણામાં આટલી ઊંડી ઉતરી ગઈ છે કે વાઇરસ સામે મુકાબલા ટાણે પણ આપણે પહેલી તકે ઝેરીલા કોમી પ્રચારને અપનાવી લઈએ છીએ?
·   આવો ઝેરી પ્રચાર કોણ કરે છે? તેનાથી કોને લાભ થાય છે? અને આવા કપરા સમયમાં આવો ઝેરી પ્રચાર થાય તેની સામે સરકારને કશાં પગલાં લેવાપણું લાગતું નથી? સર્વોચ્ચ અદાલતને કશી કાર્યવાહી કરવાપણું લાગતું નથી?
વાસ્તવિક દેશહિત અને ઝેરીલા કોમી પ્રચાર વચ્ચેનો ભેદ ભૂંસીને આપણે દેશની સેવા કરીએ છીએ કે રાજકીય પક્ષોની?