Showing posts with label NRI. Show all posts
Showing posts with label NRI. Show all posts

Wednesday, December 02, 2015

મેગી, સ્નેપડીલ, NRI અને રાષ્ટ્રપ્રેમ

કોઇ પણ ગંભીર મુદ્દો પહેલી વાર ઉભો થાય કે કોઇ હથિયાર પહેલી વાર પ્રયોજાય અને અસરકારક નીવડે ત્યારે પ્રતિપક્ષ તેના નવીનપણાથી મૂંઝાય છે. પહેલાં તેની અસરનો ઇન્કાર કરવાની કોશિશ થાય છે. પછી તેની ધાર કેવી રીતે બુઠ્ઠી કરવી, એની વ્યૂહરચનાઓ ઘડાય છે. એ માટેની બે-ત્રણ જૂની ને જાણીતી તરકીબો છે : ૧) મુદ્દાને રૂટિન અને શક્ય હોય તો હાસ્યાસ્પદ બનાવી દેવો ૨) પોતે આરોપીને બદલે પીડિતની-ફરિયાદીની ભૂમિકામાં આવી જવું ૩) જે ટીકા થઇ છે તે પોતાની કે સરકારની નહીં, પણ રાજ્યની કે દેશની છે અને એ સાંખી લેવામાં નહીં આવે, એવો વળતો પ્રહાર કરવો...

આ તરકીબો જૂની હોવા છતાં તેમના થકી લોકોને આડા રસ્તે ચડાવવાની કોશિશ થાય છે અને તે મોટે ભાગે સફળ પણ નીવડે છે. મેગી નુડલ્સ આરોગ્ય માટે નુકસાનકારક છે કે નહીં, એ જુદી ચર્ચાનો વિષય છે. તેની સામે જે રીતે ઝુંબેશ શરૂ થઇ, તે ભરોસો નહીં પણ શંકા ઉપજાવનારી હતી. છતાં અગ્નિપરીક્ષામાંથી પાર ઉતર્યા પછી મેગી તરફથી શરૂ થયેલો મારો રાષ્ટ્રવાદીપ્રચારઝુંબેશની યાદ અપાવે એવો છે. મેગીની જાહેરખબરમાં આવતી માતા એ મતલબનું કહે છે કે મને મારી મમ્મીએ મેગી ખવડાવેલી ને હું પણ મારા સંતાનોને મેગી ખવડાવતી હતી. મેગી પર આરોપ થયા ત્યારે લાગ્યું કે શું બન્ને મા ખોટી હતી? પણ ના, હવે સાબીત થયું છે કે બન્ને મા સાચી જ હતી.

ટૂંકમાં, જાહેરખબર એવું સિદ્ધ કરવા માગે છે કે મેગી પર શંકા એટલે મા પર શંકા. મેગી પર અવિશ્વાસ એટલે મા પર અવિશ્વાસ. છેલ્લા થોડા મહિનાથી દેશમાં ચાલતી અસહિષ્ણુતાની ટીકાનો સામનો કરવા માટે પણ એ તરકીબ વાપરવામાં આવી : અનુપમ ખેર અને ચેતન ભગતથી માંડીને અનેક લોકો લઇ પડ્યા,‘એવોર્ડવાપસી કે અસહિષ્ણુતાની વાત કરનારા ભારતનું અપમાન કરે છે. હકીકતમાં ભારત જેટલો સહિષ્ણુ દેશ જગતમાં બીજો એકેય નથી. ભારતમાં તો અસહિષ્ણુતાની સદીઓ જૂની પરંપરા છેવગેરે..

દિલ્હીવાળા માટે આ દાવ નવો --અથવા ઇંદિરા ગાંધીના જમાનાનો હોવાથી ભૂલી જવાય એટલો જૂનો -- હોઇ શકે, પણ ગુજરાતના લોકો માટે એ તરકીબ હજુ સ્મરણમાં હોય એટલી તાજી છે.  મુખ્ય મંત્રી મોદીએ તેમના શાસનની બધી ટીકાને ગુજરાતની ટીકા તરીકે અને ટીકાકારોને ગુજરાતવિરોધી તરીકે ખપાવી દીધાં હતાં. (ઇંદિરા ગાંધી તેમના ટીકાકારોને સીઆઇએના એજન્ટ અને દેશવિરોધી તરીકે ગણાવતાં હતાં.)  પરંતુ જેમ ગુજરાતમાં, તેમ દિલ્હીમાં પણ સ્વાર્થવશ, અણસમજવશ કે ભક્તિવશ ઘણા લોકોને આ સાદું સત્ય સમજાયું નથી. એટલે આમીરખાનના વિવાદ પછી નવેસરથી જાગેલી અસહિષ્ણુતાની ચર્ચામાં ભારત કેટલો સહિષ્ણુ દેશ છે, તેની મુગ્ધ ચર્ચા હજુ થાય છે. એ કરનારાને સમજાતું નથી કે તે જાણેઅજાણે માર્કેટિંગ વ્યૂહરચનાના પૂરજા તરીકે વર્તી રહ્યા છે : મેગી પર અવિશ્વાસ એટલે મા પર અવિશ્વાસ. સરકારના-બોલકા વડાપ્રધાનના મૌનની ટીકા એટલે ભારતની સહિષ્ણુ પરંપરાની ટીકા.

સુરતમાં કોઇને કહીએ કે ગાળ કેમ બોલો છો?’ તો શક્ય છે કે એ કહેશે,‘પણ કોણ (ગાળ) ગાળ બોલે છે?’ સહિષ્ણુતાની પરંપરાની દુહાઇઓ આપનારા પણ એ જ પદ્ધતિ અપનાવી રહ્યા છે. આમીરખાને ઘરગથ્થુ વાતચીતનો અને તેમાં પત્નીએ કરેલા ભારત છોડવાના સૂચનનો ઉલ્લેખ કર્યો, તેનાથી સહિષ્ણુતાના વારસદારો એટલા છેડાઇ પડ્યા કે તેમણે આમીરખાન જેનો બ્રાન્ડ એમ્બેસેડર છે, એવી ઇ-કોમર્સ કંપની સ્નેપડીલનો બહિષ્કાર આદર્યો. તેમની એ સહિષ્ણુતાને દાદ આપવી પડે કે આમીરખાન પર હુમલાની કે તેનું મોં કાળું કરવાની કોશિશ તેમણે ન કરી. પરંતુ પૂરું જાણ્યાસમજ્યા વિના આમીરખાને કરેલા ઉલ્લેખને દેશની ટીકા-દેશની બદનામી તરીકે ગણી લેવો અને સ્નેપડીલ પર દાઝ કાઢવાની ઝુંબેશ ચલાવવી, એ અક્કલનું પ્રદર્શન છે. એ આંકડાથી પણ સાબીત થયું છે. સ્નેપડીલવિરોધી ઝુંબેશ ચાલુ થયા પછી ગુગલના પ્લેસ્ટોરમાંથી સ્નેપડીલનું એપ ડાઉનલોડ કરવાની સંખ્યા વધી હોવાના અહેવાલ છે. એટલે કે, ભક્તોની વિરોધી ઝુંબેશના પગલે સ્નેપડીલને નુકસાન નહીં, ફાયદો થયો. ઇન્સ્ટન્ટ રાષ્ટ્રવાદનું ઇન્સ્ટન્ટ પરિણામ.

આ જ ભાવનાથી પ્રેરાઇને કેટલાક લોકોએ કહ્યું કે આમીર-શાહરુખને આ જ ભારતે સ્ટાર બનાવ્યા છે, એ તેમણે ભૂલવું જોઇએ નહીં.આગળ જોયું તેમ, ચર્ચા ભારતની કે તેના સરેરાશ લોકોની સહિષ્ણુતાની નહીં, હિંદુત્વનું-કોમવાદનું રાજકારણ ખેલતાં સંગઠનની છે. તેમનું ખાનત્રિપુટી પ્રત્યે કેવું વલણ રહ્યું છે? સત્તધીશો જાહેરમાં ખાનત્રિપુટીની લોકપ્રિયતા વટાવવા માટે હંમેશાં તત્પર રહે છે. સલમાનખાન ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી મોદી સાથે પતંગ ચડાવી જાય તો તેના ફોટા સલમાનખાન નહીં, મોદી પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર મૂકે. પરંતુ ખાનગી રાહે સંઘ પરિવારની ખુસપુસ વ્યૂહરચનાઓમાં ખાનત્રિપુટીના વર્ચસ્વ અંગે કચવાટ વ્યક્ત થતો રહ્યો છે. એક-દોઢ દાયકા પહેલાં ઋતિક રોશનનો ઉદય થયો ત્યારે ખાનત્રિપુટી સામે હિંદુ સ્ટાર તરીકે ઋતિકને ઊભો કરવાના પ્રયાસ પણ તે સમયે થયા હતા. 
આમીરખાનના ઘરમાં તો દેશ છોડવાની ફક્ત વાત થઇ, બીજાં ઘણાં ઘરમાં આજથી નહીં, વર્ષોથી ભારત છોડોની બિનસત્તાવાર ઝુંબેશ ચાલે છે. ગુજરાતનાં ઘર પણ તેમાંથી બાકાત નથી. બલ્કે, એ બાબતમાં પહેલી હરોળમાં સ્થાન ધરાવે છે. મુખ્ય મંત્રી તરીકે મોદીના લાંબા શાસન દરમિયાન, તેમના દાવા પ્રમાણેની કાર્યક્ષમતાથી પ્રભાવિત થઇને ગુજરાતીઓએ વિદેશ જવાના પ્રયાસ ઓછા કર્યા હોય, એવું જાણવા મળ્યું નથી. બીજી તરફ, વડાપ્રધાન બન્યા પછી મોદીએ વિદેશમાં એક મેળાવડામાં કહ્યું હતું કે (કોંગ્રેસના રાજમાં) લોકોને ભારતીય હોવા બદલ શરમ આવતી હતી. દેશનો વડાપ્રધાન પોતે આવું કહે, ત્યારે દેશની બદનામી નથી થતી? એ તો હવે વડાપ્રધાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું છે કે અગાઉની સરકારોએ પણ દેશ માટે ઘણું કામ કર્યું છે.

વિદેશોમાં વસતા ભારતીય મૂળના લોકો (એનઆરઆઇ) સામે વડાપ્રધાન મોટી મોટી વાતો કરે છે અને તેમના સ્વપ્નનું ભારત બનાવવાના વાયદા કરે છે. પરંતુ અત્યાર લગી કેટલા એનઆરઆઇ વિદેશવસવાટ છોડીને ભારતમાં આવી ગયા? વેમ્બલી કે મેડિસન સ્ક્વેરમાં મોદી, મોદીના નારા લગાડતા કેટલા લોકો મહાન ઉદ્ધારકના સુશાસનથી લાભાન્વિત થવા માટે ભારત પાછા આવવાનો ઇરાદો ધરાવે છે?

ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટીની મેચ સાથે કંઇ લેવાદેવા ન હોવા છતાં, તેનો અનિવાર્ય હિસ્સો બનેલી ચીયર ગર્લ્સની જેમ મોટા ભાગના એનઆરઆઇ વડાપ્રધાનની સભાઓમાં ઝૂમતા જોવા મળે છે. કારણ કે તે મોદીને ઉદ્ધારક માને છે અને તે માને એ ખોટું કેવી રીતે હોઇ શકે? આમીરખાનની પત્ની વાતવાતમાં બાળકના ભવિષ્ય માટે દેશ છોડવાની અછડતી વાત કરે તો આમીરખાન દેશદ્રોહી, પણ પોતાના અને બાળકોના ભવિષ્ય માટે દેશ છોડી ચૂકેલા ને પાછા ફરવાના ઇરાદા વિના, વિદેશમાં વડાપ્રધાનની સભાઓમાં ઉમટતા લોકો સવાયા દેશપ્રેમી.

આ ગણિત સમજવું અઘરું છે. ફક્ત ભક્તદૃષ્ટિથી જ તેને પામી શકાય. 

Thursday, November 27, 2014

એન.આર.આઇ.ના સ્વપ્નનું ભારત

પ્રચારસમ્રાટ વડાપ્રધાન મનોરંજન ક્ષેત્રે વિશ્વવિજયના મૂડમાં લાગે છે. અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં મોટા પાયાના મનોરંજક કાર્યક્રમો જ્યાં યોજાય છે, એવાં સ્થળોએ તેમની સભાઓ થઇ. તેમાં બિનનિવાસી ભારતીયો - એન.આર.આઇ.- ઉમટી પડ્યા. કાંકરિયામાં બાળકોના મનોરંજન માટે ‘અટલ એક્સપ્રેસ’ ટ્રેન ચાલે છે. ઓસ્ટ્રેલિયામાં  ‘મોદી એક્સપ્રેસ’ ટ્રેન દોડાવવામાં આવી. પહેલાં ફક્ત ગુજરાતમાં સરકારની યોજનાઓથી માંડીને રાહતસામગ્રીનાં પેકેટ પર તત્કાલીન મુખ્ય મંત્રી મોદીની તસવીરો ને નામ જોવા મળતાં હતાં. હવે અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાનના મનોરંજન કાર્યક્રમો નિમિત્તે અપાતા ભૂંસા-ચવાણા સાથે પણ તેમનું નામ જોડી દેવામાં આવે છે (‘મોદીમિક્સ’). એમ કરવાથી ભૂંસાનું બહુમાન થયું ગણાય કે વડાપ્રધાનનું, એ વિશે તેમના ચાહકોમાં ગંભીર મતભેદ છે. આખી વાતમાં વડાપ્રધાનનું (કે ભૂંસાનું) બહુમાન થાય કે અવમૂલ્યન, એ અંગે પણ કેટલાકનેે શંકા છે.

અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં મુગ્ધ મેદની સમક્ષ વડાપ્રધાને ‘તમારા સ્વપ્નનું ભારત’ બનાવવાનો વાયદો આપ્યો. સરકાર જેમને સગવડે એન.આર.આઇ., તો મન ફાવે ત્યારે ‘સ્વચ્છતાપ્રેમી’ તરીકે ખપાવી દે  છે એવા ગાંધીજીએ ‘મારા સ્વપ્નનું ભારત’ આલેખ્યું હતું. (નોંધ : તેમનું સ્વપ્ન ભારતના વડાપ્રધાન બનવાનું ન હતું.) વડાપ્રધાન વિદેશોમાં તેમના મનોરંજન કાર્યક્રમમાં ‘તમારા સ્વપ્નનું ભારત’ કહે, ત્યારે એન.આર.આઇ. જનતાથી ભરેલો હોલ હર્ષનાદથી ગુંજી ઉઠે છે. અહીં બેઠાં બેઠાં અહેવાલ વાંચનારને તો એવું જ લાગે કે સભા પૂરી થયા પછી બહાર નીકળીને તરત અમેરિકા (કે ઓસ્ટ્રેલિયા)નાં ગ્રીન કાર્ડ-સિટિઝનશીપની હોળીનો કાર્યક્રમ થયો હશે.

ભારતીયોની માફક એન.આર.આઇ.ના અનેક પ્રકારભેદ છે. તેમાંથી બધા નહીં, પણ બહુમતી વર્ગના ‘સ્વપ્નું ભારત’ એટલે શું? એ કેવું હોય? તેમાં શું હોય? એ વિશે કાલ્પનિક છતાં પૂરેપૂરો વાસ્તવિકતા આધારિત એક સંવાદ.

સ : કેમ છો?

જ : ઑરાઇટ. જેશીક્રષ્ણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર.

સ : તમે તો બહુ ધાર્મિક. કહેવું પડે.

જ : અઠવાડિયે એક જ વાર અને એ પણ ઘરે રાંધ્યા વિના ગુજરાતી ભોજન તૈયાર મળતું હોય તો ધાર્મિક થવામાં શું જાય છે? પણ તમને દેશી લોકોને અમારો સંઘર્ષ નહીં સમજાય. વડાપ્રધાન જેવા કોઇક જ એ સમજી શકે.

સ : કયો સંઘર્ષ? તૈયાર ભાણે જમવાનો? કે મંદિરમાંથી મળતા લાભને દેશપ્રેમ, સંસ્કૃતિ જેવી ભવ્ય બાબતો સાથે સાંકળવાનો?

જ : તમારો પ્રોબ્લેમ શો છે? અમે સમજી શકીએ છીએ કે તમને અમારી ઇર્ષ્યા આવતી હશે, પણ, વૅલ, એમાં તો...

સ : પ્રોબ્લેમનું લીસ્ટ તો લાંબું છે ને તે અમારા પ્રોબ્લેમનું છે કે તમારા, એ નક્કી કરવાનું અઘરું પડશે. એ વાત છોડો. આપણે તમારા સ્વપ્નના ભારત વિશે વાત કરીએ.

જ : વાઉ. મારા સ્વપ્નનું ભારત. મને બહુ જ ગમે છે. ભારત મારો દેશ છે. હું ભારતને ચાહું છું...

સ : એ તો તમે ભણતા હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આગળ પ્રતિજ્ઞામાં આવતું હતું.

જ : આઇ નો. અને શું અમારી સ્કૂલ, મારા ક્લાસમેટ્‌સ, ઘરેથી ઉઘાડા પગે દોટ કાઢીને અમે સ્કૂલે પહોંચી જતા હતા.

સ : હા, પણ એ તો નોસ્ટાલ્જિયા થયો. અતીતરાગ. આપણે ભવિષ્યરાગની વાત કરવાની છે. તમારા સ્વપ્નનું ભારત...

જ : કરેક્ટ. મારા સ્વપ્નનું ભારત. પહેલી વાત કહું તો, એમાં કોઇને અમેરિકા નહીં આવવું પડે...

સ : એ તો તમારા સ્વપ્નના અમેરિકાની વાત થઇ. કારણ કે ત્યારે પણ તમે તો અમેરિકામાં જ હોવાના.

જ : (ગુંચવાઇને) હા એટલે ના, પણ...હું એમ કહેવા માગતો હતો કે બધા પોતાના ગામમાં જ રહેતા હશે. પાડોશીઓ સાથે વાટકીવ્યવહાર ચાલતો હશે. છોકરાં કમ્પ્યુટર પર ‘ટેમ્પલ રન’ કે ‘એન્ગ્રી બર્ડ’ નહીં, શેરીઓમાં ગિલ્લીદંડા-લખોટીઓ રમતાં હશે, લોકો ફેસબુક-વોટ્‌સેપ પર નહીં, ઓટલા પર પંચાત કરતા હશે, આપણી સંસ્કૃતિની એટલી ઉન્નતિ થઇ હશે કે ફળિયામાં ઝગડો થાય ત્યારે લોકો ગાળો પણ સંસ્કૃતમાં બોલતાં હશે, વર્ષમાંથી છ મહિના જ્ઞાતિભોજનો થતાં હશે, આપણી સંસ્કૃતિના ઉત્કર્ષનો અભ્યાસ કરવા માટે અમેરિકાથી ધોળિયાઓ ગુજરાતી-હિંદી-સંસ્કૃત શીખીને ભારતના વિઝા માટે અપ્લાય કરતા હશે  ને અમારી ભલામણો શોધવા આવતા હશે...અને અમે ભારત આવીએ ત્યારે સ્વર્ગમાંથી ઉતરી આવેલા દેવતાઓ જેવાં માનપાન અમને મળતાં હશે.

સઃ પણ ભારતની સમસ્યાઓ વિશે તમારું શું દર્શન છે?

જ : દર્શન? ઑફ કોર્સ. દરેક માણસ ગામના મંદિરે સવાર-સાંજ નિયમિત દર્શન કરવા જતો હશે. ભારતને અમેરિકા જેવું બનાવવાનો શોર્ટેસ્ટ કટ એ જ છે : ટેમ્પલ-બેઝ્‌ડ કલ્ચર, સોસાયટી એન્ડ ઇકોનૉમી.

સ : એટલે?

જ : તમે ઇન્ડિયાના પ્રોબ્લેમ્સની વાત કરી ને? દેશમાં બેકારીનો મોટો પ્રોબ્લેમ છે. બિલિયન પીપલ માટે સરકાર પણ બિચારી શું કરે? એટલે દરેક ગામમાં ગોચરની જમીન પર એક મોટું મંદિર હોય.

સ : પણ ગોચરની જમીન તો હોવી જોઇએ ને...બધી જમીનનો વહીવટ- સૉરી, ‘વિકાસ’- થઇ ગયો હોય તો?

જ : નો ઇશ્યુઝ. ગામમાં ક્યાંય ન મળે તો ઝુંપડાં તોડીને પણ એક મંદિર ઊભું કરી દેવાનું. વિકાસ માટે કોઇકે તો ભોગ આપવો જ પડે. તમારે તો મંદિર માટે ફક્ત ઇચ્છા વ્યક્ત કરવાની. પોતાની ફ્રેન્ચાઇઝ ખોલવા માટે ‘એક્સ્પ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ’ દેખાડનારા ઘણા સંપ્રદાય મળી જશે. એમને એક્સાપાન્શન કરવું હશે. (ખભો ઉલાળીને) ફાઇન. તમને શું પ્રોબ્લેમ છે? તમારે એટલું ગોઠવી દેવાનું કે ગામમાં જે લોકો પાસે કામ ન હોય એ બધા મંદિરમાં સવાર-સાંજ સેવા આપવા જાય અને એ બધાને મંદિરમાંથી મફત ગુજરાતી ભોજન મળે...એકદમ અમેરિકન સીસ્ટમ...

સ : બીજી કઇ અમેરિકન સીસ્ટમ તમે ભારતમાં દાખલ કરવા માગો છો?

જ : અમારે ત્યાં અમેરિકામાં કારિયાઓનો (બ્લેક લોકોનો) બહુ ત્રાસ છે, પણ કાયદા એવા ખરાબ છે કે પોલીસ કાચું કાપે ને પેલો ‘સૂ’ કરે તો કોર્ટમાં સરકારને ભારે પડી જાય. સમાનતા, સિવિલ લિબર્ટીઝ ને એફર્મેટિવ એક્શન ને એવા બધા વાયડા કાયદા અમેરિકામાં ભલે રહ્યા. ત્યાં આપણા ઇન્ડિયનો માટે પણ એ કામના છે. કારણ કે ઘણા ધોરીયા બોલે ભલે નહીં, પણ હજુ આપણને કારીયા જ ગણે છે.

સ : અને તમે જેમને કાળીયા ગણો છો...

જ : એ તો કારીયા જ હોય તો તેમને બીજું શું કહે?

સ : ઓકે, પણ તમે કહેેવા શું માગો છો?

જ : એ જ કે ભવિષ્યમાં સુપરપાવર બનવાની લ્હાયમાં આવા બધા હ્યુમન રાઇટ્‌સ ને સિવિલ લીબર્ટીના કાયદા ઇન્ડિયામાં ઘાલવાની જરૂર નથી. અમેરિકામાં તો આવા કાયદા ઇન્ડિયનો માટે કામના છે, પણ ઇન્ડિયામાં તો બધા ઇન્ડિયન્સ જ છે. પછી ત્યાં કોના માટે આવા કાયદા રાખવાના?

સ : તમારું ચિંતન બહુ ગહન છે. તમારા સ્વપ્નનું ભારત બનાવવા માગતા વડાપ્રધાનશ્રીને તમે આ મુલાકાત દ્વારા કોઇ સંદેશો પહોંચાડવા માગો છો?

(અચાનક પાછળથી કોઇ માથાફરેલ એન.આર.આઇ. આવીને કહે છે) : હા, અમારું સ્વપ્નું પૂરું થાય, પછી અમને જગાડજો.

(બન્ને એન.આર.આઇ. એકબીજા સામે પ્રશ્નાર્થસૂચક નજરે જુએ છે અને કાતરિયાં ખાય છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ નહીં, ‘મોદીમિક્સ’ તરીકે ઓળખાતા ચવાણાનો વરસાદ થાય છે અને ઇન્ટરવ્યુનો અંત આવે છે)

Friday, October 03, 2014

મેડીસન સ્ક્વેર ગાર્ડન્સથી લાઇવ

અમેરિકા ગયા વિના, હાસ્યકારસહજ ‘સંજયદૃષ્ટિ’થી લખાયેલો વડાપ્રધાનના મેડીસન સ્ક્વેર ગાર્ડન્સ મેળાવડાનો કાલ્પનિક ‘જીવંત’ અહેવાલ.
***
વડાપ્રધાનના માનમાં યોજાનારા ભવ્ય સમારંભમાં ભાગ લેવા માટે ભારતીયો જમા થયા છે. તેમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં છે. કાર્યક્રમ શરૂ થવાની થોડી વાર છે, પરંતુ મોટા ભાગના લોકો સ્ટેજ તરફ નહીં, આકાશ તરફ ડોકાં તાણીને ઊભા છે. કેટલાક લોકો એકબીજા સાથે વાત કરીને સ્વસ્થ દેખાવા પ્રયાસ કરે છે, પણ વચ્ચે વચ્ચે આકાશ ભણી નજર નાખી લે છે. ભારત પ્રત્યે લાગણી ધરાવતો એક અમેરિકન પણ સમારંભમાં આવ્યો છે. તે એક જૂથ નજીક પહોંચે છે. ત્યાં ચર્ચા ચાલી રહી છે.

અમેરિકન ગુજરાતી ૧ (પૂર્વ દિશાના આકાશમાં જોતાં જોતાં) : હું તમને ગેરન્ટીથી કહું છું, આ બાજુથી આવશે.

અ.ગુ.૨ : (પશ્ચિમ આકાશ પરથી નજર હટાવ્યા વિના) : સવ્વાલ જ નથી. આ બાજુથી જ આવે.

અ.ગુ.૩ : તમે લોકો અમેરિકામાં રહીને અભડાઇ ગયા...

અ.ગુ.૧ (ગીન્નાઇને) : અલ્યા, ગ્રીનકાર્ડ માટે અંડાગંડા તો તું કરતો હતો ને અભડાઇ ગયા અમે?

અ.ગુ.૩ : શાંત, ગ્રીનકાર્ડધારી ભીમ, શાંત. હું સંસ્કૃતિની વાત કરું છું. તમને આપણી સંસ્કૃતિનું ભાન હોત તો તમે પણ મારી જેમ ઉત્તર દિશાના આકાશમાંથી તેજપુંજ પ્રગટવાની રાહ જોઇને ઊભા હોત.

અમેરિકન : તમે લોકો આમ ડોકાં તાણીને શાની રાહ જુઓ છો? તમારા વડાપ્રધાનના વિમાનની?

અ.ગુ.૩ (અમેરિકનને ન સંભળાય એવા અવાજમાં) : આ ધોળિયા અક્કલબુઠ્ઠા જ રહ્યા. એને એમ છે કે આપણે વિમાન ભાળ્યું નથી. (મોટેથી જવાબ આપતાં) ના ભાઇ ના. અમારા વડાપ્રધાનને તમે ઓળખતા નથી. એ પોતે જ ઊડીને આવી શકતા હોય ત્યાં વિમાનનું શું કામ?

અમેરિકન : એટલે?

અ.ગુ.૧-૨-૩ : એટલે એમ કે અમારા વડાપ્રધાન કંઇ અમેરિકાના રાષ્ટ્રપતિ નથી કે વિમાનમાં ઉડીને જાય. એ તો સુપરમેન છે, સુપરમેન...જાતે જ ઉડીને આવે - નવરાત્રિના ઉપવાસ હોય ત્યારે તો  બળતણ પણ ન જોઇએ. હમજ્યા?

અમેરિકન : નો.

અ.ગુ.૧ : (મનમાં) ‘મારો બેટો ગુજરાતી ઝીંકે છે.’ (મોટેથી) નો હમજ્યા?

અમેરિકન : હું એમ કહું છું કે સુપરમેન કંઇ ફંક્શનમાં કે ફિલમ જોવા જાય તો ઉડતો ઉડતો ન જાય. એ તો કંઇક અરજન્સી જેવું હોય, કોઇને બચાવવાનો હોય તો જ...જરાક તો વિચારો...

અ.ગુ.૧-૨-૩ : ધોળીયે વાત તો મુદ્દાની કરી.

અ.ગુ.૪ : તમને એમ કે આપણી જોડે રહીને એનુંય...

(એવામાં ‘આવ્યા, આવ્યા’ ને ઝિંદાબાદ-મુર્દાબાદના પોકાર સંભળાય છે.અ.ગુ.૧-૨-૩ પોતાની જગ્યાએ ઊભા ઊભા, આગળનાં નામ સાંભળ્યા વિના મોટેથી ઝિંદાબાદ અને મુર્દાબાદના નારા ઝીલે છે. નારાબાજી પતી ગયા પછી...)

અ.ગુ. ૫ : અલ્યા આ ઝિંદાબાદ તો હમજ્યા કે મોદીસાહેબ, પણ મુર્દાબાદ કોણ?

અ.ગુ.૩ : ચૂંટણી વખતે હું અહીંથી ફંડ લઇને ઇન્ડિયા ગયો હતોે. એટલે મને ખબર છે. મુર્દાબાદ એટલે કોંગ્રેસ...

અ.ગુ.૪ : પણ અહીં તો કોંગ્રેસનો અર્થ ‘સંસદ’ થાય છે..

અ.ગુ.૧-૨-૩ : દોઢડાહ્યો થયા વિના મૂંગો મર. અહીં નાગરિકશાસ્ત્ર શીખવા નથી આયા.

અ.ગુ.૩ : બોલો, ભારતમાતાકીઇઇઇઇઇઇ

અમેરિકન : જેયયય.

અ.ગુ.૧-૨-૩ : જોયું? જોયો સાહેબનો પ્રભાવ? આ ધોળીયો પણ ભારતમાતાની જય બોલતો થઇ ગયો.

અ.ગુ.૪ : (અમેરિકનને) ભાઇ, તમે કઇ ખુશીમાં આ જે બોલાવી?

અમેરિકન : હું ઇન્ડિયા ગયો ત્યારે આ શીખી લાવ્યો હતો. બહુ મઝા આવે બોલવામાં...એયયય...જેયયય...

અ.ગુ.૩ : બસ, ફક્ત મઝા આવે એટલે?

અમેરિકન : તમારે ત્યાં પણ એવું જ નથી? બાકી, જેયય બોલાવનારા તમારા બધા લોકો દેશમાં રહીને દેશ માટે કામ કરતા હોત તો ભારત અમેરિકા ન થઇ ગયું હોત? તમારે અહીં શું કરવા આવવું પડત?

(અ.ગુ.૧-૨-૩ સાંભળ્યું-ન સાંભળ્યું કરે છે.)

અ.ગુ.૪ : મેં એવી અફવા સાંભળેલી કે આ ફંક્શનમાં સીઆઇએના માણસો ફરે છે... જે ‘ભારતમાતાકી જય’ બોલે એમના અમેરિકન પાસપોર્ટ જપ્ત કરીને એમને ભારત ડીપોર્ટ કરી દેવાના છે.

અ.ગુ.૧-૨-૩ : રબ્બીશ. એમના બાપનું રાજ ચાલે છે? આ ઇન્ડિયા નથી. અહીં તો કાયદાકાનૂન હોય છે. ‘સૂ’ કરી દઇશું તો લટકી રહેશે સોલના ભાવમાં દીકરાઓ...

અમેરિકન : ઇન્ટરેસ્ટિંગ...કાયદાના રાજની વાત આવે ત્યારે તમે અમેરિકન થઇ જાવ છો અને જેયય બોલાવવાની આવે ત્યારે...

અ.ગુ.૩ : બસ ભઇ, માપમાં રહેજે. તને ખબર છે? આજે અમારા સાહેબનું લાઇવ ટેલીકાસ્ટ છે- ઇતિહાસમાં પહેલી વાર...

અમેરિકન : કેમ? તમારા વડાપ્રધાન ગીત ગાવાના છે? ગીટાર વગાડવાના છે? ધર્મપ્રવચન આપવાના છે? કે પછી આજે એડવાન્સમાં ન્યૂ યર મનાવી લેવાના છે?

અ.ગુ.૩ : (મનમાં) વાહ, શું આઇડીયા આપ્યો છે ધોળીયાએ.(મોટેથી, ‘સાંભળો, સાંભળો’ની અદામાં) હું કહું છું કે આપણે આજના દિવસથી અમેરિકામાં વસતા ભારતીયો માટે કે પછી કમ સે કમ, અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે વિક્રમ સંવતની જેમ નવું કેલેન્ડર શરૂ કરવું જોઇએ : નરેન્દ્ર સંવત.  શું કહો છો?

અ.ગુ.૨ : આપણે સિક્કા તો પડાવી જ ચૂક્યા છીએ, હવે તેમના નામનો સંવત જાહેર કરી દઇએ...

અ.ગુ.૪ : અને એમને પગે પડીને વિનંતી કરીએ કે એ ભારતને રાજાશાહી જાહેર કરી દે, અમિતભાઇને તેમના પ્રધાન બનાવેે, ઓબામાને અંગુઠા પકડાવે, જિનપિંગને ઉઠબેસ કરાવે અને શક્ય હોય તો થોડા સમય પછી અમેરિકાનો વહીવટ પણ હાથમાં લઇ લે. આપણા જેવા કેટલા બધા લોકો એમની સાથે જ રહેવાના છે. બોલો, અમેરિકાના ભાવિ પ્રમુખ નરેન્દ્ર મોદીનીઇઇઇઇઇ...

અ.ગુ.૧-૨-૩ : બસ, વાંકું બોલવાની જરૂર નથી. એમાં ને એમાં જ દેશ અત્યાર સુધી પાછળ રહી ગયો.

અ.ગુ.૪ : તો અમેરિકાની પ્રજા કેવી રીતે આગળ આવી? આંખે પાટા બાંધીને નેતાઓની ભક્તિ કરીને ? (અમેરિકન તરફ જોઇને) પૂછો આને...

(અમેરિકન જતો રહ્યો હોય એવું લાગે છે. એટલે ચર્ચા અઘૂરી જ રહી જાય છે.)

Friday, July 25, 2014

એક અમેરિકન ગુજરાતીનો વડાપ્રધાનને પત્ર

વડાપ્રધાન મોદીનું અમેરિકા જવાનું નક્કી થયું ત્યારથી ‘ત્યાં’ના  ગુજરાતીઓ ભારે ઉત્સાહમાં છે. કેટલાકનો ઉત્સાહ તો એટલો બધો છે કે ઉત્સાહના માર્યા તે અંદરોઅંદર લડી પડે છે. તેમનું ચાલે તો સાત સમંદર પારથી તે હવામાં રેડ કાર્પેટ પથરાવે. (માાણસ હવામાંથી પૂર્વગ્રહો મેળવી શકતો હોય ને હવામાંથી અહોભાવ કેળવી શકતો હોય, તો હવામાં રેડ કાર્પેટ પથરાવવાના વિચારથી હસવું ન આવવું જોઇએ.)

શાળામાં મહેમાન આવવાના હોય ત્યારે બાળકો જેમ સ્વાગત ગીત રજૂ કરવા - અને તેમાં શક્ય હોય તો પોતાની કળા દેખાડવા- થનગનતાં હોય, કંઇક એવી મનોસ્થિતિ ઘણા અમેરિકન ગુજરાતીઓની લાગે છે. તેમના ઉભરાતા હરખને ઘ્યાનમાં રાખતાં, તેમના દ્વારા આયોજિત કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં ‘અમાલા વાલા વાલા વડાપ્લધાનના લીસેપ્શનમાં જલુલથી આવજો’ એવો ‘ટહુકો’ હોય તો નવાઇ ન લાગવી જોઇએ.

અમેરિકાના ગુજરાતીઓમાં વ્યાપેલી ઉમળકાની છોળો જોયા પછી ભારતના ઘણા મોદીપ્રેમીઓ ચિંતામાં પડ્યા છે. તેમને બીક છે કે અમેરિકાના ગુજરાતીઓ વડાપ્રધાનને પાછા જ ન આવવા દે તો? અથવા તેમના બદલામાં ઓબામાને ભારત મોકલી આપવાની એક્સચેન્જ ઑફર આપે તો? કેટલાક અમેરિકન ગુજરાતીઓ એવું પણ ઇચ્છતા હશે કે ન્યૂ યોર્કના બારામાં આવેલી સ્વાતંત્ર્ય દેવીની પ્રખ્યાત મૂર્તિને હટાવીને, ત્યાં વડાપ્રધાન મોદીની પ્રતિમા સ્થાપિત કરવી જોઇએ અથવા એ શક્ય ન બને તો ત્યાં તેમની થ્રી-ડી હોલોગ્રાફિક ઇમેજ ઊભી કરી દેવી જોઇએ. એમ કરવાથી અમેરિકાની આર્થિક સમસ્યાનો નીવેડો આવી જશે અને અમેરિકાનો ‘વિકાસ’ કરી શકાશે. આવું ખરેખર થાય કે નહીં, એ અગત્યનું નથી. અમેરિકાના ગુજરાતીઓ તેમાં શ્રદ્ધા ધરાવે છે કે નહીં, એ અસલી મુદ્દો છે.

અમેરિકામાં રહેતા ઘણા ગુજરાતીઓ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજયથી એટલા રાજી થઇ ગયા કે...ના, તેમણે ભારત પાછા આવીને દેશ માટે કંઇક કરી છૂટવાનો નિર્ધાર નથી કર્યો. હાલ પૂરતો અમેરિકામાં ફટાકડા ફોડીને અને મીઠાઇઓ વહેંચીને સંતોષ માન્યો છે.

વડાપ્રધાન મોદીના અમેરિકા-ગમનના સમાચારથી થનગની ઉઠેલા ગુજરાતીઓમાંથી કોઇ ઉત્સાહી જણ તેમને ઉદ્દેશીને પત્ર લખે, તો ? એક હોંશભરી કલ્પના.
*** 
ભારતવર્ષઉદ્ધારક, અમેરિકાવિસાપ્રતિબંધનિવારક,  ઓવરસીઝ ફ્રેન્ડ્‌ઝ ઑફ બીજેપી-નેત્રદીપક, અમિતમોક્ષઅદૃશ્યસંચાલક, માનવઅધિકારસંગઠન પ્રચારઉચ્છેદક, એનઆરજી-મુકુટમણિ પરમ પૂજનીય,પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇસાહેબ મોદીસાહેબ,

તમારો જય હો.

ખબર છે કે હવે ઇન્ડિયામાં રાજાશાહી નથી. પણ અમે તો વફાદાર પ્રજા. રહીએ ભલે અમેરિકામાં, પણ ભારતની અને એમાં પણ તમારી વાત નીકળે એટલે અમારામાં  પડેલી પ્રજાપણાની લાગણી ઉછાળા મારવા લાગે છે ને હૈયું હાથ રહેતું નથી.

વર્ષોથી અમે તમારા અમેરિકા-આગમનની ઝંખના કરીએ છીએ. ન કરે નારાયણ ને આ વખતે તમે ન જીત્યા હોત તો અમે નક્કી કર્યું હતું કે આ વખતે તમારા વિડીયો ભાષણથી નહીં ચલાવી લઇએ- થ્રીડી હોલોગ્રામ તો ઓછામાાં ઓછો જોઇશે. અમે તો એવું પણ વિચાર્યું હતું કે સ્વંયવરમાં સંયોગિતાએ જેમ પૃથ્વીરાજ ચૌહાણના પૂતળાને હાર પહેરાવ્યો હતો, એવી જ રીતે અમે ઠેર ઠેર તમારાં પૂતળાં ઊભાં કરીશું, તેના હારતોરા-પૂજાઅર્ચના કરીશું અને એ બધાં પૂતળાંની ઊંચાઇનો સરવાળો વિશ્વના સૌથી ઊંચા પૂતળાની ઊંચાઇને ટપી જશે. પણ હવે તમે થ્રી-ડી દેહને બદલે સદેહે જ આવો છો એટલે આ સવાલ રહેતો નથી. છતાં, તમારા આગમનની ઐતિહાસિક ઘટનાની યાદ તાજી રહે એ માટે અમે પૂતળાંવાળી સ્કીમ ચાલુ રાખવા વિચારીએ છીએ.

ઓહ, આ લખતાં લખતાં યાદ આવ્યું કે વિશ્વમાં સૌથી ઊંચું પૂતળું તો હવે તમારું- એટલે કે તમારા આશીર્વાદ સાથે જ બનવાનું છે. તો અમે પ્લાનમાં થોડો ફેરફાર કરીશું અને તમારાં પૂતળાંની ઊંચાઇનો સરવાળો ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ને આંબી જાય, એટલાથી અમે સંતોષ માનીશું. અમે તો તમારી છાપ ધરાવતી ડૉલરની ચલણી નૉટો અને અમેરિકન પોસ્ટની ટપાલટિકિટો જારી કરાવવા પણ ઇચ્છીએ છીએ. તમારા ભવ્ય સ્વાગત કાર્યક્રમમાં અમે મેડોના પાસે ‘મારો છે મોર, મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર’ એ ગીત ગવડાવવા માગીએ છીએ.  અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે બહારના કોઇ પણ મહેમાનના સ્વાગત કાર્યક્રમમાં આ જ ગીત ગવડાવવામાં આવતું હતું. એ ગાવાના મેડોના લઇ લઇને કેટલા ડૉલર લેશે? અને અમારે ડૉલરની ક્યાં ખોટ છે? પણ તમારું સ્વાગત એકદમ ભવ્ય થવું જોઇએ.

તમારા આગમનથી અમારી છાતી ગજગજ ફૂલી રહી છે. બાર વર્ષથી તમારી પરના સાવ ખોટ્ટા આરોપ સાંભળીને અમારા કાન પાકી ગયા હતા. અમને ખબર છે કે ગોધરાકાંડ પછી ગુજરાતમાં બીજું કશું જ બન્યું ન હતું. એનજીઓ, હ્યુમન રાઇટ્‌સ ને મિડીયાએ ગુજરાતને બદનામ કરવા રાઇનો પહાડ બનાવ્યો. બાકી, ૨૦૦૨ પછી ગુજરાતમાં એક પણ વાર રાયટ્‌સ થયા નથી. ફેમિલીમાં એક વાર આ વાત થતી હતી ત્યારે મારા અમેરિકન વેવાઇ બોલ્યા હતા, ‘ખરી વાત છે. ૧૯૪૫ પછી આટલાં વર્ષોમાં એક પણ વાર યહૂદીઓનો સંહાર થયો નથી.’ આવું કહીને એમણે ટીકા કરી કે ટેકો આપ્યો, એ સમજાયું નહીં. એટલે મેં વાત આગળ વધારી નહીં. પણ હું ઘણી વાર વાયબ્રન્ટ ઉત્સવોમાં આવ્યો છું. એટલે જાતમાહિતીથી કહી શકું છું કે ફેક એન્કાઉન્ટરોની આખી વાત ગુજરાતની આંતરરાષ્ટ્રિય બદનામી માટે હતી. એમાં મરનારા ક્યાં કોઇના રાજકીય હરીફ હતા?

ગુંડાઓને પોલીસે ત્રાસવાદી કહીને માર્યા તે માર્યા. ભારત કંઇ અમેરિકા થોડું છે કે ત્યાં સિવિલ રાઇટ્‌સની ને એવી બધી ડેવલપ્ડ કન્ટ્રીઝ જેવી વાતો કરવી પડે? ફેક એન્કાઉન્ટરથી થયેલી બદનામી દૂર કરવા માટે એક તબક્કે અમે અહીં રહ્યાં રહ્યાં એવું પણ વિચાર્યું હતું કે ‘આદરણીય અમિતભાઇ શાહ ફેક એન્કાઉન્ટરપીડિત પોલીસકલ્યાણનિધિ’ની સ્થાપના કરીએ. પણ પછી કેટલાક લોકોએ સમજાવ્યું કે એનાથી બદનામી વધશે. એટલે એ આઇડીયા માંડવાળ કર્યો. એમ તો, તમારા ટેકામાં દિલથી ફાળો મોકલનારા અમારા સર્કલના ઘણા લોકો ચર્ચા કરતા હતા કે ફોરેન ફંડિંગને લીધે ઇન્ડિયામાં બહુ અનિષ્ટ ઊભું થયું છે ને હ્યુમન રાઇટ્‌સવાળા ફાટ્યા છે. એ વખતે એક દોઢડાહ્યો કહે,‘આપણે અહીંથી મોકલીએ એ પણ ફોરેન ફંડિંગ જ કહેવાય’- અને પછી જે એના પર બધા તૂટી પડ્યા છે...

અમે ભલે વતનથી દૂર રહીએ, પણ આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કાર અમે છોડ્યા નથી. અમેરિકામાં પણ અમે જ્ઞાતિ આધારિત ને પ્રદેશ આધારિત મંડળો બનાવવાની અને અંદરોઅંદર ખેંચતાણ કરવાની ભારતીય પ્રણાલિ ગૌરવપૂર્વક જાળવી રાખી છે. ભારતના અમુક લોકોની ભારત પ્રત્યેની વફાદારી માટે ખાનગીમાં ભલે અમે શંકા સેવતા હોઇએ, પણ અમારી ભારત પ્રત્યની વફાદારી અંગે તમે ખાતરી રાખજો. પચ્ચીસ-પચ્ચીસ વર્ષથી અહીં સિટિઝન તરીકે રહેવા છતાં, એમાં જરાય ઓટ આવી નથી.

હવે ઇ-મેઇલ, ફેસબુક, ટ્‌વીટર ને વોટ્‌સએપનો જમાનો આવી ગયો છે, પણ આપણા જમાનાના કાગળ જેવો ઓડકાર એમાં આવતો નથી. એટલે તમને કાગળમાં જ મારી લાગણી પાઠવી રહ્યો છું. થોડું હોય એને ઝાઝું બનાવવાનું તમને આમ પણ બહુ ફાવે છે. તો મારું થોડું લખાણ ઝાઝું કરીને વાંચજો.
- લિ. આપનો એનઆરજી ચાહક 

Wednesday, February 15, 2012

કડકડતી ઠંડી પડે ત્યારે

ઠંડક અને ઠંડી વચ્ચે, ટાઢક અને ટાઢ વચ્ચે વિધાનસભામાં ખુરશીઓ ઉછાળવા અને ત્યાં બેસીને પોર્નોગ્રાફી જોવા જેટલો ફરક છે. એક શાયરે ‘સુખ તો અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે’ એમ કહ્યું હતું. એવી રીતે અમુક હદ સુધીની ટાઢ પડે, તો એને ‘ગુલાબી ઠંડી’નું શાયરાના માન મળે, પણ આ વર્ષે પડેલી ઠંડી શાયરાના મિજાજ વટાવીને કાતિલાના અંદાજ સુધી પહોંચી ગઇ. યુપીએ સરકારના ભ્રષ્ટાચારની જેમ આ વરસની ઠંડી વિશે પણ લોકોને થવા લાગ્યું, ‘હોય ભાઇ, અમે સમજીએ છીએ, પણ એની હદ તો હોય કે નહીં?’

ભ્રષ્ટાચાર વિશે ‘આટલો બધો ન હોય’ની લાગણીથી પ્રેરાઇને અન્ના હજારે આણિ મંડળીએ આંદોલન ચલાવ્યું, પરંત ભ્રષ્ટાચાર અને ઠંડીમાં એટલો ફરક છેઃ ‘આટલી બધી ન હોવી જોઇએ’ એવી ઠંડી સામે મોરચો માંડવા માટે કોઇ અન્ના હજારેની રાહ જોતું નથી. સૌ પોતપોતાની રીતે રસ્તા શોધી કાઢે છે.

ઠંડી ગુલાબી હોય ત્યાં સુધી એ ફેશન મારવાની ૠતુ છે. તેમાં ઠંડી છે એટલે નહીં, પણ આપણી પાસે ગરમ કપડાં છે, એટલે એ પહેરવામાં આવે છે. પણ ઠંડીનો રંગ ગુલાબીમાંથી ઘેરો- લાલ થવા લાગે એટલે માણસમાં રહેલી સ્વ-સુશોભન વૃત્તિ પર સ્વ-બચાવની વૃત્તિ પ્રભાવી થવા લાગે છે. સ્વેટર, જેકેટ, કોટ, મફલર, શાલ, ટોપી જેવાં વસ્ત્રોમાં તે મેચિગની નહીં, પણ અસરકારકતાની ચિતા કરતો થાય છે.

ગુજરાતમાં પહેલાં રણવિસ્તારની નજીક આવેલા પ્રદેશોમાં આકરી ઠંડી પડતી હતી. હવે પ્રમાણમાં ખુશનુમા આબોહવા ધરાવતા શહેરી વિસ્તારોમાં પણ પાંચ-સાત-આઠ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. કેટલાક લોકો આ જાતના શિયાળાને કુદરતનું એન.આર.આઇ. લોકો સામેનું કાવતરું ગણાવે છે. આ મોસમમાં દેશમાં ઉમટી પડતાં એન.આર.આઇ. પાસે પહેલાં અહીંના લોકોને આંજવા માટે ઘણાં સાધન હતાં: ‘ત્યાં’ની વાતો, ચીજવસ્તુઓ, ઉપકરણો ..

ઉદારીકરણ પછીના યુગમાં બઘું અહીં મળતું થઇ ગયું. બસ, એક ઠંડીની કસર હતી. ‘અમારે ત્યાં તો એવી ઠંડી પડે...’ એવી એન.આર.આઇ.- કથા માટે અવકાશ રહ્યો હતો, પરંતુ છેલ્લાં બે-પાંચ વર્ષથી ગુજરાતમાં જે પ્રકારની ઠંડી પડી છે એ જોતાં, દેશી લોકો પર પ્રભાવ પાડવાનું એન.આર.આઇ.નું છેલ્લું શસ્ત્ર પણ છિનવાઇ ગયું હોય એમ લાગે છે. એમાં ‘ભગવાનના ગમ્યું તે ખરું’ સિવાયનું કોઇ આશ્વાસન કામ લાગે એમ નથી. હવે ગૌરવવંતા અમદાવાદીઓ એન.આર.આઇ.ને કહી શકે છે, ‘અમારે ત્યાંની ઠંડી એટલે? બઘું થિજવી નાખે. અમારે તમારી માફક હીટરમાં ફરવાનું ન હોય. લોકો પાસે ઘર જ માંડ હોય, ત્યાં હીટર ક્યાંથી લાવે? તો પણ લોકો વેઠી જાય છે. બોલો!’

શિયાળાના દિવસમાં સૌથી અકસીર છતાં મફત ચીજ છે તડકો. સૂર્યપ્રકાશના જોરે સામાન્ય લોકોને ઠંડીનો મુકાબલો કરતા જોઇને ક્યારેક એવી આશંકા પણ ઝબકી જાય કે સરકારના ઘ્યાને આ વાત ન ચડે તો સારું. નહીંતર કોઇક મંત્રીવર્યને એવો વિચાર આવી શકે છે કે જમીન-જંગલો અને સ્પેક્ટ્રમની જેમ સૂર્યનો તડકો પણ કુદરતી સંસાધન હોવાથી એ સરકારની માલિકીનો ગણાવો જોઇએ. વિકાસના પ્રોજેક્ટ પાર પાડવા માટે સરકારો તડકા પર ટેક્સ નાખવાનું વિચારી શકે. પુખ્ત વયના દરેક નાગરિકને એક-એક મીટર આપી દેવામાં આવે, જે દરેકે પહેરી રાખવાનું. તેનાથી દિવસ દરમિયાન માણસે કેટલો તડકો ‘ડાઉનલોડ’ કર્યો તે ખબર પડી જાય અને મહિને તેનું બિલ મોકલી શકાય. ગરીબીરેખા નીચે જીવતા લોકો માટે તડકાનું બિલ માફ કરીને સરકાર પોતે ગરીબો પ્રત્યે કેવી દયાળુ છે- કેવી ગરીબલક્ષી છે, તેની જાહેરાત પણ કરી શકે.

સરકારો બહુ મૌલિક હોઇ શકે છે. તેમનું ચાલે તો એ ઠંડી ઉપર પણ ટેક્સ નાખે. અમદાવાદમાં રહેતા માણસને એક પણ ફદિયું ખર્ચ્યા વિના આબુનું વાતાવરણ ‘મફ્‌ફત’ મળતું હોય, તો કોર્પોરેશનને એવું મન ન થાય કે આ લોકોએ આબુ જવા માટે જેટલા રૂપિયા ખર્ચ્યા હોત તેનો અમુક હિસ્સો આપણે ટેક્સ તરીકે શા માટે ન વસૂલવો?

સાહિત્યકારો અને જાહેર જીવનમાં રહેલા લોકો માટે આકરી ઠંડી આવકારદાયક અને અમુક અંશે આશીર્વાદરૂપ સાબીત થાય છે. જ્યાં ને ત્યાં શાલથી સન્માનિત થયેલા આ મહાનુભાવો પાસે શાલનો એટલો જથ્થો હોય છે કે તે એમ્પોરિયમ ખોલી શકે. ઠંડી ન પડતી હોય તો એ શાલનું શું કરવું? પણ કડક ઠંડી પડે ત્યારે રોજ જુદી જુદી અથવા સવાર-સાંજ જુદી જુદી શાલ ઓઢીને, એ બહાને પોતાને મળેલાં સન્માનની હૂંફ ફરીથી તાજી કરી શકે છે.

ગરીબો અને અમીરો બન્ને માટે શિયાળામાં તાપણાનું ઘણું માહત્મ્ય હોય છે. (સાહિત્યકારો પાસે પોતાનાં ન વેચાયેલાં પુસ્તકોનું કે ભેટમાં મળેલાં નકામાં પુસ્તકોનું તાપણું કરવાના વધારાના વિકલ્પ હોય છે.) સામાન્ય રીતે જીવનસાથીના રૌદ્ર રૂપની જેમ દઝાડતો અગ્નિનો તાપ રાતના કે વહેલી સવારના તાપણામાંથી નીકળે ત્યારે પ્રિયજનની યાદ જેવો મીઠો લાગે છે. તેની વધારે નજીક જવાથી દઝાઇ જવાય અને દૂર જવાથી મીઠાશ જતી રહે એવું સત્ય પણ ત્યારે પામી શકાય છે.

વૈજ્ઞાનિક રીતે એ ભલે સિદ્ધ ન થયું હોય, પણ હકીકત એ છે કે બધાને આખા શરીરમાં એકસરખી ઠંડી લાગતી નથી. ‘બહુ ઠંડી છે’ની બૂમો પાડનારા લોકો વિશે સહેજ ઊંડાણથી વાતચીત કરતાં ખ્યાલ આવશે કે દરેક જણના શરીરમાં ‘શીતબિદુઓ’ (કોલ્ડ સ્પોટ્‌સ) જુદાં જુદાં હોય છે.

‘આપણાથી ગમે તેટલી ઠંડી સહન થાય, પણ કાનમાં પવન ન જવો જોઇએ.’ એવું કહેનારા લોકોનું ચાલે તો એ કાનને શટર નંખાવીને તેને ડબલ તાળાં મરાવે. ઠંડા પવનને બોસના ઠપકાની જેમ એક કાનેથી અંદર લઇને બીજા કાનેથી બહાર કાઢી શકાતો નથી, એનો તેમને ભારે વસવસો થાય છે.

કેટલાક લોકો ફક્ત કાનની નહીં, પણ આખેઆખા માથાની ચિતા કરતા હોય છે. માથામાં પવન ભરાય તો શું થાય, એ બાબતે આયુર્વેદથી માંડીને ઇન્ટરનેટ પર શું લખેલું છે, એ બઘું તેમના માથામાં ભરાયેલું હોય છે. ‘સર સલામત તો પઘડીયાં બહોત’ એવી કહેવતના વિસ્તાર તરીકે તે સર સલામત રાખવા માટે જાતજાતની પાઘડીઓ બાંધે છે, આડાં-ઊભાં મફલર વીંટાળે છે, માણસટોપી-બુઢિયાટોપી જે મળે તે માથે ચડાવી દે છે. એમ કરવાથી ઉમરમાં દસ-વીસ વર્ષ વધારે લાગશે, એવી લોકનંિદાને પણ તે ગણકારતા નથી. હથેળીમાં કે પગના તળીયે ઠંડી લાગે તો બે હથેળી કે બે તળીયાં એકબીજા સાથે ઘસીને ગરમાયો પેદા કરી શકાય, પણ ઘસવા માટે બે માથાં ક્યાંથી લાવવાં?

ઠંડી ઘણા લોકો માટે શબ્દાર્થમાં નાકનો સવાલ બની જાય છે. બહુ ઠંડી હોય ત્યારે નાક એટલું ઠરી જાય છે કે એ, વડાપ્રધાનની જેમ, છે કે નહીં એની જ ખબર પડતી નથી. ગરમ કપડાંનું આટલું વૈવિઘ્ય હોવા છતાં, ફક્ત નાક પર પહેરી શકાય એવું કોઇ ગરમ કપડું હજુ સુધી બન્યું નથી. એટલે લોકોને ફિલ્મોમાં જોયેલા ડાકુઓની જેમ, નાક ઢંકાય એવી બુકાનીઓ બાંધવી પડે છે. નાકને કહ્યામાં રાખવા માટે તેને બ્રેડની સ્લાઇસ સમજીને, બ્રેડ પર બટર લગાડતા હોય એટલી ઉદારતાથી લોકો નાક પર વિક્સ જેવા પદાર્થો લગાડવામાં આવે છે. તેનાથી ‘મેં તો મારાથી બનતું બઘું કર્યું’નું આશ્વાસન મળે છે.

ઠંડા પવનના આક્રમણનું એક મોટું કેન્દ્ર છે: છાતી. ગરદનની નીચેના ભાગમાં જાણે છાતીનું નહીં, પણ જાળીવાળા દરવાજા ધરાવતું પિજરુ હોય અને તેમાં પવન ભરાઇ જવાનો હોય, એવી ચંિતા ઘણા લોકો કરે છે. તેનાથી બચવા માટે સ્વેટરથી માંડીને છાપાં સુધીની ચીજો ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ કેટલાક બહાદુરો એવી પળોજણમાં પડવાને બદલે ‘વીર સામી છાતીએ પવનના ઘા ઝીલવાવાળા’ બનવાનું પસંદ કરે છે.

ઠંડી દૂર કરવા માટે ઘણા લોકો કસરત કરે છે કે દોડે છે. તેમને જોઇને લાગે કે ‘સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે નહાય’ એ સુભાષિતમાં જે સિદ્ધિની વાત છે, તે ઠંડી ભગાડવાની જ સિદ્ધિ હશે.

Tuesday, January 24, 2012

એન.આર.આઇ.ને મતાધિકારઃ હક અને હદ

ભારતીય લોકશાહીની વર્તમાન વાસ્તવિકતામાં મત એવી જણસ છે જેની મળ્યા પછી કંિમત રહેતી નથી. કોઇ પણ જાતના ભેદભાવ વિના સૌને એકસરખો મતાધિકાર મળ્યા પછી નાગરિકો મતને બહુમૂલ્ય લાગતો નથી અને નેતાઓને ચૂંટણીમાં મત મળી ગયા પછી બીજાં પાંચ વર્ષ સુધી મતની કિંમત સાંભરતી નથી.

છેલ્લાં બે-પાંચ વર્ષમાં જન્મેલાં ઘણાં બાળકો જેમ મોબાઇલ કે ઇન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના કરી શકતાં નથી, એવી જ રીતે ભારત જેવી લોકશાહીમાં સાર્વત્રિક મતાધિકાર ‘સમજ્યા હવે!’ બની ગયો છે. અંબાણીનો પણ એક મત હોય અને ઝૂંપડામાં રહેનારનો પણ એક મત હોય, એ વાતમાં રહેલું અસાધારણપણું હવે અહોભાવ કે નવાઇ પ્રેરતું નથી. તેનું એક કારણ એ છે કે ભારત જેવા ચૂંટણીશાહી વ્યવસ્થા ધરાવતા દેશમાં મત આપનાર તથા લેનાર વચ્ચે આપ-લે થઇ ગયા પછી ભાગ્યે જ કશો સંપર્ક રહે છે.

આ પરિસ્થિતિમાં એક વર્ગ એવો છે, જેને મન હજુ મતનું મૂલ્ય છે. કારણ કે તેમને એ ‘હક’ મળ્યો નથી. એ સમુહ છે: બિનનિવાસી ભારતીયો. એન.આર.આઇ. નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ, જે ક્યારેક વ્યંગમાં નોન રિલાયેબલ ઇન્ડિયન્સ તરીકે પણ ઓળખાય છે.

સંબંધ વધારતા સુધારા
ભારતમાંથી વિદેશ ગયેલા લોકો કે તેમની પછીની પેઢીનો મૂળીયાં સાથેનો સંબંધ વધારે સહજતાથી જળવાઇ શકે, એ માટે વર્ષ ૨૦૦૬માં ‘ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઇન્ડિયા’(ઓસીઆઇ)ની જોગવાઇ કરવામાં આવી. ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ તરીકે જાણીતી આ યોજનામાં ‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન’ (પીઆઇઓ- પિતા કે માતા ભારતીય હોય એવા લોકો)ને વિદેશમાં વસતા ‘ભારતીય’ તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. સંબંધિત વિભાગના મંત્રી વી.રવિએ આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધી અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત ૯૦થી પણ વઘુ દેશોમાં વસતા દસેક લાખ ભારતીયોએ ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ મેળવી છે. તેના મુખ્ય બે ફાયદા છેઃ આ કાર્ડ ધરાવતા બિનનિવાસી ભારતીયોને ભારત આવતી વખતે વીઝા લેવાની જરૂર પડતી નથી. તે ઇચ્છે ત્યારે ભારત આવી શકે છે અને ઇચ્છે એટલું રોકાઇ શકે છે. ભારતીય નાગરિક તરીકે તેમને પોતાના આગમન વિશે પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ રહેતી નથી.

અલબત્ત, તેના માટે વપરાયેલો ‘સિટિઝનશીપ’(નાગરિકત્વ) શબ્દ છેતરામણો છે. કારણ કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવનારને ભારતમાં મતાધિકાર મળતો ન હતો. એ અંગે બિનનિવાસી ભારતીયોની માગણીને ઘ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૦માં ‘રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ બિલ, ૨૦૧૦’માં એક સુધારો કરવામાં આવ્યો, જે સંસદમાં પસાર થઇને ફેબુ્રઆરી ૧૦, ૨૦૧૦થી અમલી બન્યો. એ સુધારા મુજબ વિદેશમાં વસતા ભારતીયોને ભારતમાં યોજાતી ચૂંટણીમાં મતનો અધિકાર આપવામાં આવ્યો. તેમાં બે મહત્ત્વની શરતો હતીઃ ૧) કામ, અભ્યાસ કે બીજા કોઇ કારણે વિદેશમાં રહેતા પરંતુ વિદેશના નાગરિક ન હોય એવા ભારતીયો જ ભારતમાં પોતાના મતવિસ્તારની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે. ૨) મત આપવા માટે તેમણે ચૂંટણીના દિવસે રૂબરૂ હાજર રહેવું પડે.

તેનો અર્થ એ થયો કે ‘ડ્યુઅલ સિટિઝનશીપ’ ધરાવતા એન.આર.આઇ. ભારતમાં મત આપી શકે નહીં. કારણ કે તે બીજા દેશનું નાગરિકત્વ મેળવી ચૂક્યા છે. પાકી સિટિઝનશીપ ન ધરાવતા બિનનિવાસી ભારતીયોમાંથી પણ ચૂંટણીના દિવસે ભારતમાં હાજર હોય એવા લોકો કેટલા હોવાના? એટલે કાગળ પર બિનનિવાસી ભારતીયોને મતાધિકાર મળ્યો હોવા છતાં, તે નહીં મળ્યા બરાબર બની રહ્યો. પરદેશમાં રહીને ભારતની મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા માટેની પ્રક્રિયા પણ અઘરી અને બાબુશાહીના અવરોધોથી ભરપૂર હોવાનું જણાયું. તેમાં છેવટે એટલી સરળતા કરી નાખવામાં આવી કે કોઇ પણ બિનનિવાસી ભારતીય પોતાના ભારતીય પાસપોર્ટની જાતે પ્રમાણિત કરેલી (સેલ્ફ અટેસ્ટેડ) નકલ રજૂ કરીને મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે. છતાં, મંત્રી વી.રવિના જણાવ્યા પ્રમાણે, આ યોજનાનો બહુ મોળો પ્રતિસાદ મળ્યો છે. બિનનિવાસી ભારતીયો ઇચ્છે છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમને ભારત સુધી લાંબા ન થવું પડે અને વિદેશમાં રહીને જ મત આપી શકાય એવી વ્યવસ્થા સરકારે કરવી જોઇએ.

એન.આર.આઇ.મહિમા

‘ઊંટ મરે ત્યારે મારવાડ ભણી જુએ’ એવી કહેણી પ્રમાણે ઘણાખરા બિનનિવાસી ભારતીયો જીવનની આનંદ અને શોકની તમામ અવસ્થામાં પોતપોતાના ‘મારવાડ’ (દેશ) ભણી જુએ છે. આ લાગણી કાવ્યાત્મક રીતે વ્યક્ત કરતાં ‘સારે જહાંસે અચ્છા હિંદોસ્તાં હમારા’માં કવિ ઇકબાલે લખ્યું હતું, ‘ગુરબતમેં હો અગર હમ, રહેતા હૈ દિલ વતનમેં/ સમજો વહીં હમેં ભી, દિલ હો જહાં હમારા’. (તન ભલે વતનથી દૂર હોય, પણ મન તો વતનમાં જ છે)

બિનનિવાસી ભારતીયોનો સમુહ પહેલાં ‘અમે ભલે દૂર રહ્યા, પણ અમને તમારી સાથે જ ગણજો’ એ પ્રકારની લાગણી વ્યક્ત કરતો હતો. હવે તેમની લાગણી જ નહીં, માગણી પણ એવી રહે છે કે તેમને ભારતના નાગરિકો સમકક્ષ ગણવામાં આવે. સરકાર પાસેથી ઘરના (દેશના) માણસ જેવી બેરોકટોક પહોંચ અને મહેમાન જેવાં માન-પાન- સુવિધા-દરજ્જો મેળવવા માટે તે ઉત્સુક હોય છે.

કેન્દ્ર સરકાર પાસે અપેક્ષા રાખવામાં દેશના એક અબજ નાગરિકો ઓછા છે, તે એ દેશની બહાર રહેનારા ‘મૂળનિવાસી’ઓની માગણી પર ઘ્યાન આપે? પરંતુ વિદેશમાં રહેતા ભારતીયો ભારતમાં અઢળક ભંડોળ જમા કરાવે છે. એક અંદાજ પ્રમાણે, વર્ષ ૨૦૧૦માં વિદેશમાં વસતા ભારતીયોએ બઘું મળીને પંચાવન અબજ ડોલર જેટલી રકમ ભારત મોકલાવી હતી. તેમના અવાજને ભારત સરકાર સાવ અવગણી શકતી નથી.

એન.આર.આઇ.ના ભંડોળ ઉપરાંત તેમની અવરજવર અને તેમની સિદ્ધિઓનો પણ ભારત અને ભારતવાસીઓને ઘણો ખપ હોય છે. બિનનિવાસી ભારતીયો દેશમાં આવે ત્યારે તેમની અધધ ખરીદીભૂખને કારણે સ્થાનિક બજારો ઊંચકાય છે. પોતાના ગામ જતી વખતે સામાનના ખડકલા કરનારા ઉત્તર પ્રદેશ- બિહારના કામદારો પ્રત્યે તુચ્છકાર સેવનારા લોકો, સામાનથી લદાયેલાં પરદેશી એન.આર.આઇ. પ્રત્યે અહોભાવની નજરે જુએ છે. બિનનિવાસી ભારતીયો શિયાળામાં ‘દેશ’ની મુલાકાતે આવે ત્યારે તેમના મનમાં રૂપિયાને બદલે ડોલર (કે પાઉન્ડ)નું મીટર ફરતું હોય છે. ખરીદી કરવાની વાત આવે એટલે તે ‘સુપરમેન’ બની જાય છે. મોટા ભાગના સ્થાનિક લોકો જે કિંમત સાંભળીને બેભાન થઇ જાય એવી કિંમતોમાં તે કપડાંથી માંડીને અનેક ચીજોની ખરીદી કરે છે. આ સીઝનમાં કોઇ સ્થાનિક ગ્રાહક ભાવતાલ કરવા જાય ત્યારે ‘તમે રહેવા દો. આ તમારા માટે નથી. તમારે આ સીઝનમાં આવવું જ નહીં.’ એવું દુકાનદારો મોઢે કહી શકે છે.

બિનનિવાસી ભારતીયોની સિદ્ધિ વિશે ગૌરવ લેવાનું આવે ત્યારે પણ ભારતીયો લધુતાગ્રંથિના માર્યા શરમજનક પડાપડી કરે છે. કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ જેવા વર્તમાનકાળના કિસ્સામાં અને નોબેલ પારિતોષિક વિજેતા હરગોવિંદ ખુરાના જેવા ભૂતકાળના કિસ્સામાં એ વૃત્તિ અનેક વાર દેખાઇ આવે છે.

વતનપ્રેમ અને વિકૃતિ

બહુમતી એન.આર.આઇ.માં દેશ છોડ્યા પછી દેશપ્રેમના ઉભરા પેદા થાય છે. વતનઝૂરાપો સ્વાભાવિક છે. માનવીય પણ છે. છતાં તેનો અતિરેક હાસ્યાસ્પદ બને છે. દેશ છોડીને વિદેશમાં વસેલા ભારતીયોના મોઢેથી અવિરત ભારતમહિમા સાંભળ્યા પછી ઘણી વાર એવો સવાલ થાય કે દેશમાં ખરેખર આટલું સારું હોય તો તેમને વિદેશ જવાની જરૂર કેમ પડી? દેશ છોડ્યા પછી દેશની કેટલીક બાબતોની કિંમત થાય એ સમજી શકાય એવું છે. છતાં વતન અને નવા વસવાટ વિશે વાત કરતી વખતે બહુ ઓછા લોકો સંતુલન જાળવી શકે છે.

મોટા ભાગના એન.આર.આઇ.ની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેમણે જે સમયે ભારત છોડ્યું હોય, તે સમયગાળો તેની તમામ મર્યાદાઓ અને ખામીઓ સહિત તેમના મનમાં ફ્રીઝ થઇ જાય છે. ગયો હોય છે. એટલે, અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં વર્ષો બલ્કે દાયકાઓ ગાળ્યા પછી પણ એ સમાજમાંથી લેવા જેવાં મૂલ્યો તે લઇ શકતાં નથી અને ભારતની સમાજવ્યવસ્થા અને સંકુચિતતાનાં છોડવાં જેવાં ‘મૂલ્યો’ છોડી શકતાં નથી.

શિયાળામાં ગુજરાત કે ભારત ઉમટી પડતાં કેટલાં એન.આર.આઇ. પોતાની સાથે અંગ્રેજ-અમેરિકન સંસ્કૃતિની જાણેઅજાણે થયેલી વાનરનકલ સિવાયનાં, તેનાં હકારાત્મક મૂલ્યો લઇને આવે છે? ઘણી વાર તો એવું લાગે કે એ લોકો ‘ત્યાં’ રહીને એ દેશોના રીતરિવાજ પ્રમાણે બદલાયા હશે, તો પણ વતનમાં આવે ત્યારે પોતે કેવળ બહારથી જ (પહેરવેશ અને આર્થિક સ્થિતિમાં) બદલાયા છે - ભીતરથી એટલા જ ‘ભારતીય’ છે, એવું બતાવવામાં ગૌરવ સમજે છે. અહીં ‘ભારતીય’નો અર્થ છેઃ જ્ઞાતિવાદી, સંકુચિત મનોવૃત્તિ ધરાવતા, વૈચારિક રીતે પછાત, અંધશ્રદ્ધાળુ, ધાર્મિકતા-આઘ્યાત્મિકતાના નામે ગમે તેવા બાવાબાવીઓને ધંધાની ઉત્તમ તક પૂરી પાડનારાં અને છોગામાં આ બધાં લખ્ખણોને ‘ભારતીય સંસ્કૃતિ’નો પર્યાય ગણીને તેને છાતીએ ચાંપી રાખનારાં- પોતાનાં સંતાનોને પણ એ રસ્તે ધકેલવાનો પ્રયત્ન કરનારાં. છેલ્લા દાયકામાં તે ભારતની ‘પ્રગતિ’ જોઇને હરખાય છે, કારણ કે કેટલાક શહેરી ભારતીયોને જેમ ઘણાખરા બિનનિવાસી ભારતીયો વાસ્તવિક સમસ્યાઓ અંગે સુખપૂર્વક અજ્ઞાન સેવે છે.

સારા રસ્તા, શોપિંગ સેન્ટરોની અને હોટેલોની ઝાકઝમાળ, ઇન્ટરનેટ કનેક્શન, ડાયરેક્ટ ફ્‌લાઇટ જેવાં પરિબળોના આધારે તે ભારતની પ્રગતિનું માપ કાઢે છે. સમસ્યાઓની વાત આવે તો તેમાંના ઘણાની યાદી ભ્રષ્ટાચારથી શરૂ થાય છે ને ત્યાં જ અટકી જાય છે. જ્ઞાતિવાદ અંગે તેમની સાથે વાત કરવી અઘરી પડે છે. કારણ કે વિદેશમાં ગયા પછી ઘણી વાર તે હોય એના કરતાં પણ વધારે સંકુચિત બન્યા હોય છે. જમીનહક જેવા પ્રશ્નો અંગે તેમની જાણકારી અને એ મેળવવાની ઇચ્છા નહીંવત્‌ હોય છે. આવા બિનનિવાસીઓને તેમની માગણી પ્રમાણે, વિદેશમાં રહીને પોસ્ટથી કે ભારતીય એલચી કચેરીઓમાં મતનો અધિકાર આપવામાં આવે, તો એ ભારતીય મતદાતાઓને અન્યાય ગણાશે. દેશની સમસ્યાઓની સાચી સમજણ વિના અને કરવેરા સ્વરૂપમાં સમૃદ્ધ નાગરિક તરીકે પોતાનો હિસ્સો આપ્યા વિના, તેમને મળતો મતાધિકાર ચૂંટણીશાહી બનેલી ભારતની લોકશાહી માટે અવળી દિશામાં વઘુ એક પગલું બની રહેશે.