Showing posts with label Rajnikumar Pandya. Show all posts
Showing posts with label Rajnikumar Pandya. Show all posts

Tuesday, April 08, 2025

સંભવામિ સ્વાર્થે સ્વાર્થે

(દિવંગત વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની બિલોરીશ્રેણીની કથાઓને અંજલિ તરીકે આ વ્યંગકથા)

મરનારનું સ્થાન મારા જીવનમાં ઇસુ ખ્રિસ્ત જેવું હતું. બોલીને વાલ્મિક ભટ્ટે લાંબો પોઝ લીધો. ઊંડો શ્વાસ ભર્યા પછી, સ્ટીમ એન્જિન વરાળ કાઢે તેવા અવાજ સાથે શ્વાસ બહાર કાઢ્યો અને એક નજરે ઓડિયન્સ તરફ જોયું.

ઓડિયન્સ આ નવીન ઉપમાથી ચકિત થઈ ગયું. તાળીઓનો ગડગડાટ થયો. એકાદ ખૂણેથી અવાજ આવ્યો, ક્યા બાત હૈ...

પણ એમાં ઓડિયન્સનો કે દાદ આપનારનો વાંક નહીં. વાલ્મિક ભટ્ટ તેમનાં લખાણમાં આવતી મૌલિકતાના ચમકારા—ના, ઝગારા-- માટે બ્રહ્માંડવિખ્યાત હતા. મંગળ પર જીવસૃષ્ટિ નથી તેનો સૌથી મહત્ત્વનો પુરાવો એ ગણાતો હતો કે મંગળ પરથી વાલ્મિકભાઈના કોઈ ચાહકનો પત્ર, કે હવેના જમાનામાં વોટ્સએપ સંદેશો, આવ્યો ન હતો. લેખકઆલમમાં છૂટક સંવેદનના જથ્થાબંધ વેપારી તરીકે તેમની નામના હતી.

મેં મનોમન વિચાર્યું, તેમના જેવા મહાન માણસ માટે વેપારી જેવો શબ્દ વપરાય? એ તો શબ્દોના... શબ્દોના..શબ્દોના સોદાગર? ના, સહેલાણી? ના, સારથી. શબ્દના સારથી. હા, આ બરાબર છે.

વાલ્મિક ભટ્ટ શબ્દોના સારથી હતા અને શબ્દો તેમના ઘોડા. તે ઇચ્છે ત્યારે શબ્દો રેસના ઘોડા થઈ જાય ને ઇચ્છે ત્યારે વરઘોડાના ઘોડા. શબ્દો પરની તેમની માલિકી જોઈને લોકો ક્યા બાત હૈ... કરી ઉઠતા હતા.

પણ ઇસુ ખ્રિસ્ત જેવું સ્થાન એટલે એક્ઝેક્ટલી શું?’ એવો મુદ્દાનો સવાલ આવી સભાઓમાં ન થવો જોઈએ. છતાં થયો.

જાણે અંતર્યામી હોય તેમ, વાલ્મિક ભટ્ટના મોઢેથી બીજું વાક્ય નીકળ્યું, આપણે સમયના બે ભાગ કેવી રીતે પાડીએ છીએ?’

હોલના અંધારમાંથી કોઈ હળવેકથી બોલ્યું,તમારા ભાષણ પહેલાં ને તમારા ભાષણ પછી. પણ તે એટલું ધીમેથી બોલાયું હતું કે ઓડિયન્સ તરીકે મને સંભળાય. મંચ પરથી લાગણીની લહાણી કરી રહેલા વાલ્મિક ભટ્ટ સુધી ન પહોંચે.

સમયને આપણે બે તબક્કામાં વહેંચીએ છીએ ઓડિયન્સના કૂતૂહલનું શમન કરતાં વાલ્મિક ભટ્ટ બોલ્યા, ઇસુ પહેલાં અને ઇસુ પછી. બી.સી. અને એ.ડી. એવી રીતે, મારા જીવનના પણ બે ભાગ પાડી શકાયઃ દીક્ષિતસાહેબને મળતાં પહેલાં અને તેમને મળ્યા પછી.

ઓહો. તો આમ વાત છે. ઓડિયન્સમાં રહસ્યોદ્ઘાટન થયું. વાલ્મિક ભટ્ટે આગળ ચલાવ્યું,હું તો વકીલ હતો. તમે જે વાલ્મિક ભટ્ટને ઓળખો છો તેને બનાવનાર તો દીક્ષિતસાહેબ.

શું વાત છે? આવડો મોટો લેખક અને પાછો આવડો મોટો વકીલ ને એને લેખક બનાવનાર આ દીક્ષિતસાહેબ?’ મને નવેસરથી અહોભાવનો એટેક આવ્યો. વાલ્મિક ભટ્ટનાં લખાણોમાં તો કદી ઉલ્લેખ વાંચ્યો નથી. તેમની ચોપડીઓનાં બધાં ફંક્શનમાં જોશી મને લઈ જતો હતો. તેમાં પણ કદી વાલ્મિકના મોઢે દીક્ષિતસાહેબનો દ સરખો સાંભળ્યો નથી. કદાચ જોશીને ખબર હશે. એ વાલ્મિક ભટ્ટનો અઠંગ વાચક છે

—અને સભામાં દીક્ષિતસાહેબનું નામ લેતી વખતે વાલ્મિક ભટ્ટના ચહેરા પર કંઈક અજબ પ્રકારનો ભાવ નહોતો આવ્યો? આમ તો હું બેઠો હતો એટલે પાછળથી ન દેખાત. પણ મોટા સ્ક્રીન પર વાલ્મિકના ચહેરાનો ક્લોઝ અપ ટપકાં ટપકાં સ્વરૂપે દેખાતો હતો. એ ટપકાંનાં લીધે એવું લાગ્યું હશે? ખબર નથી. હોય તો હોય પણ ખરું. જેના માટે બહુ આદર હોય એવા જણ માટે ભૂતકાળમાં વાત કરવાનું સહેલું છે કંઈ? શોભા હજુ મને નથી કહેતી કે તમારા બાપાની વાત નીકળે ત્યારે હજુ તમે બાળક થઈ જાવ છો?

કાર્યક્રમના થોડા દિવસ પછી એક બેસણામાં જોશી મળી ગયો. મેં તેના પ્રિય લેખક વિશે તેને પણ ખબર ન હોય એવી માહિતી આપવાના ભાવથી કહ્યું, જોશી, એક સવાલનો જવાબ આપઃ વાલ્મિક ભટ્ટના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને કોણ છે?’

જોશી બેસણામાં ભજનની વચ્ચે વચ્ચે અધ્યાત્મ વચનો ઉચ્ચારતા સંચાલકની શબ્દાળુતા વિશે વિચારી રહ્યો હોય એવું તેના ચહેરા પરથી લાગ્યું. એટલે, મારો સવાલ સમજ્યા વિના, લગભગ પ્રતિક્રિયારૂપે તેણે કહ્યું, વાલ્મિક તો હિંદુ છે. તેના જીવનમાં ઇસુ વળી ક્યાંથી આવ્યા?’ પણ મને તેની સામે તાકી રહેલો જોઈને તે બેસણાની તકલાદી અધ્યાત્મસૃષ્ટિમાંથી બહાર આવ્યો.અરે, તું વાલ્મિકની ક્યાંક પેલી કાલખંડ ને સમયના ભાગ ને ઇસુ પહેલાં-પછીની વાત તો નથી કરતો ને?’

મને થયું, જણ છે તો પાકો. એને બધી ખબર છે. પણ હવે પૂછ્યું જ છે તો તેના મોઢે નામ પણ જાણી લઉં.

જોશી નામ મમળાવતો હોય એમ બોલ્યો, વાલ્મિકના જીવનમાં ઇસુ... ઘોઘારીસાહેબ? મીરચંદાણીસાહેબ? પારેખસાહેબ? સાગઠિયાસાહેબ?’

ના. મેં વિજયી સ્મિત સાથે કહ્યું, દીક્ષિતસાહેબની શોકસભામાં વાલ્મિકે કહ્યું હતું કે તેના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને દીક્ષિતસાહેબ છે. તેના જીવનને બે ભાગમાં...

ખબર છે...ખબર છે, હવે...જોશી મને વચ્ચેથી અટકાવીને બોલ્યો. વાલ્મિકના ઇસુ ખ્રિસ્તો સમય, સંજોગો ને સ્વાર્થ પ્રમાણે બદલાયા કરે. વિમાન એક વાર રન વે પર દોડ્યા પછી ઉડે ત્યારે રન વેને સાથે લઈને ઉડે છે?’

અચાનક, હોલમાં દીક્ષિતસાહેબનું નામ લેતી વખતે વાલ્મિકના ચહેરા પર દેખાયેલો ભાવ મનમાં તાજો થયો અને ઝબકારો થયોઃ વાલ્મિક ભટ્ટના જીવનસમયને નહીં, તેમના જીવનસંબંધને બે ભાગમાં વહેંચવા પડેઃ કોઈને પોતાના જીવનના ઇસુ ખ્રિસ્ત જાહેર કરતી વખતે અને જાહેર કરીને ભૂલી ગયા પછી...

એ સાથે મનમાં અનેક ક્રોસ ખોડાયેલા દેખાયા, જેની પર વાલ્મિક ભટ્ટના ઇસુ ખ્રિસ્તોની લાઇન પડી ગઈ હતી.

Wednesday, March 26, 2025

રજનીકુમાર પંડ્યાઃ મનની માયાનગરીના ભોમિયા

(ગુજરાતમિત્ર, દર્પણ પૂર્તિ, 26-3-25)

વાર્તાકળા અને માનવમનના પ્રવાહોનો અભ્યાસ જેમના રોજિંદા જીવન સાથે વણાયેલાં હતાં, એવા સાહિત્યકાર-સંગીતમર્મજ્ઞ રજનીકુમાર પંડ્યાએ 15 માર્ચ 2025ના રોજ 86 વર્ષની વિદાય લીધી. ઝબકાર શ્રેણીમાં આવતાં તેમનાં વ્યક્તિચિત્રો-સંસ્થાચિત્રો હોય કે બિલોરી શ્રેણીમાં પ્રગટ થયેલી તેમની કથાઓ કે પછી શબ્દઠઠ્ઠા અને તીરછી નજર શીર્ષકો હેઠળની હાસ્યકથાઓ—એ દરેકમાં કલ્પનાનું તત્ત્વ કેવળ કૃતિને ઘાટ આપવા જ વપરાયું હોય એવું લાગે. બાકીની બધી સામગ્રી આસપાસના જીવાતા જીવનમાંથી જોગવી શકે, એવો રજનીકુમારનો જીવન સાથેનો નિકટનો નાતો હતો.

એટલે જ, સંપૂર્ણપણે કલ્પનાનો પ્રદેશ કહેવાય એવી નવલકથાઓમાં પણ રજનીકુમારે સત્ય ઘટનાઓને આધાર બનાવીને, તેની પરથી કલ્પનાની ઉડાન ભરી હતી. તથ્યો તેમની સર્જકતા માટે બેડી બનવાને બદલે કે તેમની સર્જકતાની ઉડાન રુંધવાને બદલે, પાંખમાં જોર પૂરતાં હોય એવું લાગતું હતું. તથ્યમાં ક્યાં, કેવો ને કેટલો રંગ પૂરવો એ મામલે તેમનો આંતરિક વિવેક અડીખમ રહ્યો. ક્યારેય તે લાગણીવેડામાં સરી ન ગયા. છતાં તેમનાં કેટલાં બધાં લખાણ એવાં હતાં કે જે વાંચનારમાં સમસંવેદન પ્રેરે અને તેને સાહિત્યતત્ત્વની ઉચ્ચ અનુભૂતિ કરાવે.

નાટકીય ઘટનાઓના અવિરત સિલસિલા જેવા જીવનમાં રજનીકુમાર સુખદુઃખના અંતિમો પર અને કેટલીક વાર બંને અંતિમો પર સમાંતરે ઝૂલતા રહ્યા. માણસ હતા, એટલે વ્યથિત અને હતાશ થતા, રોષે ભરાતા અને જરાસરખા અન્યાયબોધ સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા હતા. પરંતુ તેમનામાં રહેલી કુદરતી બક્ષિસને કારણે, લાગણીના બધા આવેગો અનુભવ્યા પછી અને ઘણી વાર તેનાથી દોરવાયા પછી પણ, આખરે તેમાંથી તે મનના ચિત્રવિચિત્ર પ્રવાહો અને જીવનનાં ચિરંતન સત્યોનો અર્ક તારવી શકતા હતા અને તેને પોતાનાં લખાણોમાં યથાતથ ઉતારી શકતા હતા.

અનેકરંગી જીવનમાં મળેલાં અવનવાં પાત્રોમાંથી સાહિત્યિક મૂલ્ય ધરાવતો ઘટક તારવીને, તેને સાંધા કે રેણ વિના કૃતિમાં પરોવવાની તેમની ફાવટ ગજબની હતી. તેમનાં લખાણોમાં ભભરાવેલી ફિલસૂફી કદી ન મળે, પણ જિંદગીના ઉતારચઢાવની વચ્ચે વ્યક્ત થતી રહેતી ઉદાત્તતા, અધમતા અને તેની વચ્ચેનાં લક્ષણોની આખી રેન્જ તેમના લખાણને અનોખું પરિમાણ આપતી હતી. તેમના એક સ્નેહી પુસ્તકોના જબ્બર પ્રેમી અને સંગ્રાહક. ઝટ પુસ્તક વાંચવા ન આપે અને આપે તો તેની સાચવણીની કેટલીય સૂચનાઓ આપે. એક વાર રજનીભાઈએ તેમની કસોટી કરવા પૂછ્યું,તમારી બધી વાત બરાબર, પણ ધારો કે આ પુસ્તક મારાથી ખોવાઈ ગયું તો?’ પેલા ભાઈએ ક્ષણના પણ વિલંબ વિના, એકદમ શાંતિથી કહ્યું,ગયું તો ગયું. રજનીભાઈના મનના અમર્યાદ ડેટાબેઝમાં સંઘરાયેલી આ વાત કુંતી નવલકથામાં હરિરાજ સ્વામીના પાત્રાલેખન દરમિયાન ઉભરી આવી અને એક સ્વસ્થ-રેશનલ સન્યાસીની સ્વસ્થતા દર્શાવવા માટે પ્રયોજાઈ હતી.

લગભગ અઢી દાયકા પહેલાં એક શીઘ્રકોપી સંગીતપ્રેમી મિત્ર સાથે રસ્તે ચાલતાં કોઈ મુદ્દાની ચર્ચામાં ગરમાગરમી થઈ. પેલા મિત્ર તેમની લાક્ષણિકતા પ્રમાણે એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઝનૂનથી રજનીભાઈની ફેંટ પકડી. તે પ્રસંગની વાત કરતાં રજનીભાઈએ કહ્યું હતું,તેમણે મારી ફેંટ પકડી હતી, ત્યારે હું તેમના ચહેરાના હાવભાવ જોતો હતો અને તેમના મનમાં શું ચાલતું હશે, તે સમજવાનો પ્રયત્ન કરતો હતો.

માણસના મનમાં ઊંડે, તેના સબકોન્શ્યસમાં ચાલતા ઘણા પ્રવાહ એવા હોય, જે બહાર આવે તો બહુ વસમું પડી જાય. રજનીભાઈ એવા પ્રવાહોને પારખીને, જરાય ન્યાયાધીશની ભૂમિકામાં આવ્યા વિના, ફક્ત માણસ અને જીવન વિશેની સમજના ભાગરૂપે તેને પોતાની કૃતિઓમાં લાવી મુકતા હતા. એટલે જ, વાર્તાકળામાં રજનીકુમાર જેમને ગુરુ માનતા હતા તે મહંમદ માંકડે એક વાર તેમને એ મતલબનું લખ્યું હતું કે તમે બહુ ક્રૂર છો. માણસને આખો ને આખો ઉઘાડો કરી નાખો છો.

એક ઉદાહરણઃ મિત્રનું આકસ્મિક મૃત્યુ થતાં માણસ સાચેસાચા શોકમાં ડૂબી જાય છે અને વિચારે છે કે ગામલોકોને આટલા કરુણ સમાચાર તે શી રીતે આપશે. પરંતુ ગામે પહોંચીને તેને ખ્યાલ આવે છે કે રસ્તામાં એક સાઇકલસવાર સાથે થયેલી વાત પછી, એ સાયકલસવાર ગામમાં પહોંચીને સમાચાર આપી ચૂક્યો છે. ત્યારે મિત્રના મૃત્યુનો સાચો શોક ઘડીભર બાજુ પર હડસેલાઈ જાય છે અને કંઈક વ્યગ્રતાથી તે ગામલોકોને કહે છે, તમને ભલે પેલા સાયકલવાળાએ કહ્યું હોય, પણ એને તો આ સમાચાર મેં જ આપ્યા હતા. આ પ્રકારની, સહેલાઈથી કોઈ ખાનામાં મુકી ન શકાય એવી માનસિકતાનું આલેખન માણસોના વાચનમાંથી આવતું હતી. સાથોસાથ, આ વાત કહેવા માટે તે જે પાત્રોની સૃષ્ટિ, વર્ણનો અને બોલીનો ઉપયોગ કરતા હતા, તે પણ અત્યંત આસ્વાદ્ય અને મૂળ હાર્દ સાથે એકરૂપ-એકરસ બની જતાં હતાં.

માનવમનના ઊંડા અભ્યાસી હોવા છતાં, સ્વભાવગત મદદરૂપ થવાની વૃત્તિ અને ભલમનસાઈને કારણે કેટલાય લોકોથી તે છેતરાતા હતા. ઘણી વાર થતું કે તમે તો માણસના ફોટોની સાથોસાથ તેનો એક્સ-રે પણ જોઈ લેનારા. તમારી સાથે આવું કેમ થાય? પરંતુ લાંબા સહવાસને કારણે જવાબ પણ જાતે જ મળી જતો હતોઃ માણસને વાંચી લેવાની શક્તિ કુદરતી બક્ષિસ હતી અને જાતે ઘસાઈને બીજાને મદદરૂપ થવાની વૃત્તિ એ તેમની પ્રકૃતિ. તેમાંથી મોટે ભાગે પ્રકૃતિનો વિજય થતો હતો. તેના કારણે અંગત ઘા તેમણે ઘણા વેઠ્યા, પણ વાચકોને જે મળ્યું, તેની ગુણવત્તા પર કશી અસર ન પડી. જીવનના છેલ્લા અઠવાડિયા સુધી લખતા રહ્યા અને તેમના જીવનના લગભગ અઢી દાયકાના એક ખંડની આત્મકથાનું લખાણ પૂરું કરીને તે ગયા.

Sunday, December 04, 2011

દેવ આનંદ, અલવિદાઃ વલ્લાહ જવાબ તુમ્હારા નહીં...

દેવ આનંદ/ Dev Anand: 26-9-1923, 4-12-2011

દેવ આનંદ એટલે? સદાબહાર? સદાજવાન? પેઢીઓ સુધી જેના યુવાન ચહેરાનો પ્રભાવ ટકી રહે એવો હેન્ડસમ માણસ? ગુચ્છાદાર હેરસ્ટાઇલ? ગ્રેગરી પેકની (અમુક એન્ગલથી) ભારતીય આવૃત્તિ? દિલીપકુમાર અને રાજ કપૂર સાથે ત્રિપુટીનો ત્રીજો પાયો? સુરૈયા સાથેની વાસ્તવિક પ્રેમકહાણીનો નિષ્ફળ નાયક? હાથ હલાવતાં ત્રાંસુ ચાલવાની શૈલી? જવાબ છેઃ આ બધું જ અને બીજું પણ ઘણું...

દેવ આનંદને અંજલિ નિમિત્તે થોડી વાતો અને વધુ તસવીરો-વિડીયો..

'ફિલ્મફેર'માં R.K.Laxman/ આર.કે.લક્ષ્મણે દોરેલા દેવ આનંદના કેરિકેચર(ની કોપી) પર દેવ આનંદના ઓટોગ્રાફઃ પત્રકારત્વમાં આવ્યા પછી લીધેલા બહુ ઓછા ઓટોગ્રાફમાંના એક


એક જ પાને, ચાર વર્ષના અંતરે લીધેલા, દેવ આનંદ અને સુરૈયાના ઓટોગ્રાફ. સુરૈયા/Suraiyaના ઓટોગ્રાફ પહેલાં લીધેલા. ડાયરી ખોલીને આ પાનું દેવ આનંદ સામે ધર્યું, એટલે ઘડીક મારી સામે જોયું અને 'હવે શું ફેર પડે છે?' એવી નિસ્પૃહતાથી પેન ચલાવી.


પત્રકારત્વમાં ('અભિયાન')માં દાખલ થયા પછીના ચોથા જ અંકમાં કારકિર્દીનો પહેલો બાકાયદા ઇન્ટરવ્યુ દેવ આનંદનો લેવાનો થયો. ઘણા ફોન કર્યા. ક્યારેક ફોન પર એ હોય. ક્યારેક બીજું કોઇ. લાગલગાટ પ્રયાસ કર્યા એટલે તેમની ઝડપી અને છેલ્લો અક્ષર સહેજ લંબાવીને બોલવાની સ્ટાઇલથી કહે, 'ક્યા પૂછોગે તુમ, કોઠારીઇઇઇ...' ('મારા વિશે બધું છપાઇ ચૂક્યું છે'). મેં બે-ચાર ચીલાચાલુ નહીં એવા અને સાવ જુદા સવાલ તૈયાર રાખ્યા હતા. એ કહ્યા. પછી ટાઇમ આપ્યો. અભિયાનના માલિક અવિનાશ પારેખના ફોટોગ્રાફર મિત્ર જીતુભાઇ (જિતેન્દ્ર શેઠ) દેવ આનંદના પ્રચંડ ચાહક. પોતે દેવ આનંદ જેવો ગુચ્છો રાખે. એ કેમેરા લઇને સાથે આવ્યા. 'નવકેતન' પર ખાસ્સી રાહ જોયા પછી મુલાકાત થઇ. ઓફિસના રૂમમાં વાન ગોગનું એક ચિત્ર લટકતું હતું. થાકેલા દેવ આનંદને ફ્લેશથી ત્રાસ થતો હતો. એટલે જીતુભાઇ બે-ત્રણ વાર જ ઊભા થયા અને એટલામાં તેમણે આખો રોલ (36 ફોટા) પૂરા કરી નાખ્યા. આઠ પાનાની એ કવર સ્ટોરીનું ઉઘડતું પાનું.

..અને ઇન્ટરવ્યુના થોડા સવાલ. તસવીરમાં વચ્ચે ઉભેલા સજ્જન તે મૂછરહિત ચાર્લી ચેપ્લિન છે. તેમની પાછળ હસતા ચહેરા વાળા દેવ આનંદ. આજુબાજુ નરગીસ-રાજ કપુર. ઉપરાંત વિજય ભટ્ટ, બિમલ રોય, ઋષિકેશ મુખર્જી પણ છે.

'પ્રભાત'ના 'હમ ઐક હૈ' (1946, ડાયરેક્ટર પ્યારેલાલ સંતોષી)થી કારકિર્દી શરૂ કરનાર દેવ એ જ કંપનીની બીજી ફિલ્મ 'આગે બઢો' (1947)માં, સ્ટાર ગાયિકા-અભિનેત્રી ખુર્શીદ સાથે

પોતાના પ્રોડક્શન 'નવકેતન'ની પહેલી ફિલ્મ 'અફસર'ની અને અસલી જીવનની હીરોઇન સુરૈયા/Suraiya સાથેઃ નૈના દીવાને, એક નહીં માને, કરે મનમાની

જૂના મિત્ર ગુરુદત્ત અને ગીતા રોયના લગ્નપ્રસંગેઃ
અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે

મધુ બાલા સાથે 'કાલા પાની'માઃ અચ્છા જી મૈં હારી ચલો, માન જાઓના...

નૂતન સાથે 'તેરે ઘરકે સામને'માં : પ્યારકા રાગ સુનો...

બે સ્વરૂપોઃ ડાબી બાજુની તસવીર 'ફંટુશ'ના ગીત 'દેનેવાલા જબ ભી દેતા પૂરા છપ્પર ફાડકે દેતા' ગીતની
'નવકેતન'ની ફિલ્મોમાં સંગીતનો પર્યાય બનેલા 'દાદા' સચિનદેવ બર્મન, રેકોર્ડિસ્ટ કૌશિક અને દેવ આનંદ


ઉપરની તસવીર(ડાબેથી) ચેતન આનંદ, દેવ અને વિજય આનંદ (ગોલ્ડી)- નીચેની તસવીરમાં સંતાનો સુનિલ આનંદ અને દેવીના સાથે

જવાહરલાલ નેહરૂ સાથે ત્રિપુટીઃ દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપુર. કટોકટીનો વિરોધ કરનાર દેવ આનંદ થોડા સમય માટે રાજકારણમાં પણ સક્રિય થયા હતા.

વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે તેમની સાથે લાહોરની બસયાત્રામાં ગુરદાસપુર (પંજાબ, પાકિસ્તાન)માં જન્મેલા દેવ આનંદને પણ ખાસ સામેલ કરાયા હતા.

આર.કે.નારાયણની નવલકથા 'ધ ગાઇડ' પરથી દેવ આનંદે હિંદી અને અંગ્રેજીમાં ફિલ્મો બનાવી. આ તસવીરમાં દેવ આનંદ અને અભિનેત્રી-પત્ની કલ્પના કાર્તિક અગ્રેજી 'ગાઇડ'નાં પટકથાકાર-વિખ્યાત લેખિકા પર્લ બક/ Pearl S.Buck અને સોફિયા લોરેન/ Sophia Loren સાથે

અંગ્રેજી 'ગાઇડ'ની ક્લિપ. આ ફિલ્મ કોઇની પાસે આખી ઉપલબ્ધ હોય તો જાણ કરવા વિનંતી. અંગ્યરેજી 'ગાઇડ'નું ડાયરેક્શન વિજય આનંદે કર્યું ન હતું. એ ફિલ્મ સાવ ફ્લોપ ગઇ.

અને હિંદી 'ગાઇડ'માં વહીદા રહેમાન સાથેઃ તુ તો ન આયે, તેરી યાદ સતાય

છેલ્લાં થોડાં વર્ષથી દેવ આનંદના તાજા સમાચાર રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા) થકી મળતા હતા. તેમને દેવ આનંદ સાથે ખાસ્સો સંપર્ક વિકસ્યો હતો. ફોન પર વાતો થતી અને મુંબઇ જાય ત્યારે મળવાનું પણ બનતું. દેવ આનંદ વિશે પોતાના ભાવનું અને તેમની પેઢીના લોકો પર દેવ આનંદની છબીનું અદભૂત આલેખન રજનીભાઇએ તેમના બ્લોગ પર બે ભાગમાં કર્યું હતું. તેની લિન્ક


આ વર્ષના આરંભે રજનીભાઇ દેવ આનંદને મળ્યા ત્યારની યાદગીરી. દેવ આનંદની પ્રવૃત્તિ અને વ્યસ્તતા સૂચવતો ટેબલ પરનો ખડકલો


Saturday, September 19, 2009

Chandu Bardanwala and Jam-e-Hasrat


(Nimmi, Sharda- in marron saree, Rajanikumar Pandya and other guests)

નવાઇની વાત તો ખરી જ.
આ દુનિયામાં પોતાના સદગત મિત્રને તેની વિદાય પછી પણ કોઇ યાદ કરે, તેની સ્મૃતિમાં કાર્યક્રમ કરે- અને એ પણ એકાદ-બે વર્ષના ઉભરા લેખે નહીં, લાગલગાટ દસ-દસ વર્ષ સુધી.

અમદાવાદ-વડોદરા-રાજકોટની સરખામણીમાં બીજા ક્રમે આવતા અને ગુજરાતના એક છેડે આવેલા જામનગરમાં રાજ કપૂર-દિલીપકુમાર-દેવ આનંદનાં હીરોઇન બની ચૂકેલાં હીરોઇન નીમ્મી તેમની 75થી પણ વધુની ઉંમરે, તબિયતના વાંધા સાથે આવી પહોંચે. એટલું જ નહીં, હવાઇ મુસાફરી ટાળવાની ડોક્ટરોની સલાહને કારણે, તે વિમાનની ટિકીટ કેન્સલ કરાવીને મુંબઇથી જામનગરની લાંબી ટ્રેન મુસાફરી ખેડે. કારણ? પારિવારિક મિત્ર બની ચૂકેલા રજનીકુમાર પંડ્યાને વચન આપ્યું હતું. કોઇ પણ ઉંમરે નાઝોનખરાં માટે કુખ્યાત એવી ફિલ્મી હસ્તીઓમાંથી કોઇ કોઇ નીમ્મી જેવા અપવાદ પણ હોય, એ નવાઇ નહીં તો બીજું શું?

મર્હૂમ શાયર હસતર જયપુરીને સ્ટેજ પરથી અપાતી ગીતાંજલિમાં સામેલ થવા માટે ફક્ત ગુજરાત કે મુંબઇથી જ નહીં, મુઝફ્ફરનગર જેવાં દૂર દૂરનાં ઠેકાણેથી સંગીતપ્રેમીઓ આવે. સદગત દોસ્તની સ્મૃતિમાં કાર્યક્રમ યોજતા ચંદુભાઇ બારદાનવાલા સંખ્યાબંધ મહેમાનો માટે રહેવા-જમવાની ઉત્તમ ગોઠવણ કરે- જાણે ઘરમાં લગ્નપ્રસંગ હોય. લગ્નપ્રસંગ તો દસ-વીસ વર્ષે એક વાર આવે, પણ ચંદુભાઇ-ચંદ્રિકાબહેન બારદાનવાલા પરિવારને ત્યાં આ પ્રસંગ દર વર્ષે આવતો હોય અને વર્ષોવર્ષ તેની ઉજવણીના ઉમળકામાં જરાસરખી ઓસરપ ન હોય.

આ તો દર વર્ષની વાત. ગઇ કાલે સંપન્ન થયેલા કાર્યક્રમમાં એવાં કાયમી સુખદ અચરજો ઉપરાંત પણ બીજું ઘણું હતું- અભિનેત્રી નીમ્મી અને ‘તીતલી ઉડી’ ફેઇમ પાર્શ્વગાયિકા શારદાની હાજરી, 72 વર્ષનાં શારદાએ ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાંના રણકા સાથે રજૂ કરેલાં ગીતો, કરસન ઘાવરી જેવા ભૂતપૂર્વ ક્રિકેટરથી માંડીને બેન્કના અફસરો સુધીની રેન્જ ધરાવતા ચંદુભાઇના મિત્રોની હાજરી, રાત્રે દસ વાગ્યે શરૂ થયા પછી રાત્રે લગભગ સવા બે વાગ્યા સુધી ચાલેલાં ગીતો, રાત્રે (ખરેખર તો વહેલી સવારે) સવા-દોઢ વાગ્યે થયેલું રાજકોટના જાણકાર ઉદઘોષક ભરત યાજ્ઞિક અને પરિવારની તૈયાર કરેલી એક સીડીનું વિમોચન...રેડિયો સિલોનના બે ભૂતપૂર્વ ઉદઘોષકો કાર્યક્રમમા હાજર હતાઃ સુવર્ણયુગના પ્રતિનિધિ મનોહર મહાજન અને એંસીના દાયકામાં સિલોન ગયેલા કુમાર. મહાજને તેમનો જૂનો ટ્રેક જાળવ્યો, જ્યારે કુમાર સસ્તા મનોરંજનમાં સરી પડ્યા. જો કે, તેમાં પણ એમનો નંબર બીજો રહ્યો. કારણ કે અશોક દવે તેમના પહેલાં મંચ પર આવી ચૂક્યા હતા.

કાર્યક્રમનો અંત રાબેતા મુજબ ‘દિલ એક મંદિર હૈ’થી આવ્યો. રાબેતા મુજબ, એ ગીતમાં સ્ટેજ પર અતિથીઓનો મેળો હતો. ગીતમાં ‘હમ યાદોંકે ફુલ ચડાયેં’ વાળી પંક્તિ આવી, એટલે દર વખતની જેમ આ વખતે પણ સ્ટેજના ઉપરના ભાગમાંથી ફુલોની વર્ષા થઇ. પછી ચંદુભાઇએ ખોબામાં થોડાં ફુલ લઇને ઓડિયન્સ પર વૃષ્ટિ કરી. એ આખો માહોલ ખાસ્સો ફિલ્મી હોવા છતાં ભાવસભર પણ હોય છે. આ વખતે ભાવની માત્રા કંઇક વધુ હોવાનું એક કારણ એ પણ હતું કે સ્મરણાંજલિનો આ કાર્યક્રમ છેલ્લો હોવાનું ચંદુભાઇએ અગાઉથી જાહેર કરી દીધું હતું. કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે ‘આ કાર્યક્રમ ચાલુ રાખવો’ એવાં સૂચનો-વિનંતી-અનુરોધ થતા રહ્યા, પણ ચંદુભાઇએ હજુ સુધી નિર્ણય ફેરવ્યો નથી.
પછીની ખબર નથી.

Wednesday, May 06, 2009

વાંસદા, જયકિશન અને સ્વામી સચ્ચિદાનંદ

હિંદી ફિલ્મી ગીતોનો જાદુ એવો છે કે તેમાંથી કોઇ માણસ બાકાત ન રહી શકે. સ્વામી સચ્ચિદાનંદ, મોરારીબાપુ જેવાં ધાર્મિક-આઘ્યાત્મિક ક્ષેત્રનાં વ્યક્તિત્વો પણ ફિલ્મસંગીત પ્રત્યેનો પોતાનો પ્રેમાદર છૂપો રાખતાં નથી. સ્વામી સચ્ચિદાનંદ શંકર-જયકિશનના ચાહક. વર્ષો પહેલાં (૧૯૮૩માં) રજનીકુમાર પંડ્યાએ જયકિશન (પંચાલ)ના વતન વાંસદા જઇને એક વિગતવાર અને માહિતીસભર છતાં રસાળ લેખ લખ્યો હતો. એ નિમિત્તે સ્વામીને રજનીકુમાર સાથે વાત પણ થઇ હતી. જયકિશનનું ગુજરાતીપણું અને ગુજરાતમાં મહારાષ્ટ્ર-બંગાળની જેમ કલાકારોની-સાહિત્યકારોની કદર થતી નથી એ સ્વામીના મનમાં બેસી ગયું હતું.

થોડા સમય પહેલાં અમે (રજનીકુમાર સહિત પાંચ જણની સમિતિએ) મહાન ગાયિકા જુથિકા રોયનું સન્માન કર્યું- તેમની આત્મકથા ગુજરાતીમાં પ્રકાશિત કરી ત્યારે સમારંભમાં મંચ પર સ્વામી સચ્ચિદાનંદ પણ હતા. એ વખતે રજનીકુમારે જાહેરાત કરી કે સ્વામી ટૂંક સમયમાં જયકિશનના વતન વાંસદામાં જયકિશનની પ્રતિમા મુકશે.


એ સમય આવી પહોંચ્યો છે.
તા. ૨૧-૫-૦૯ના ગુરૂવારે સવારે ૯ વાગ્યે વાંસદા ગામમાં સ્વામી સચ્ચિદાનંદ પ્રેરિત સમારંભમાં સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીના આણંદજીભાઇ જયકિશનની પ્રતિમા ખુલ્લી મુકશે. (સુરતના મિત્ર હરીશ રધુવંશીએ પ્રતિમાની તસવીર મેઇલ દ્વારા મોકલી આપી છે!) આ કામમાં સ્વામીને હસરત જયપુરીના ગુજરાતી મિત્ર-સંગીતપ્રેમી ચંદુ બારદાનવાલા અને શંકર-જયકિશન પર પુસ્તક લખનારા અભ્યાસી ડૉ.પદ્મનાભ જોષીનો પણ ભરપૂર સહકાર મળ્યો છે. ડૉ.પદ્મનાભ જોષીએ લખેલી પુસ્તિકા પણ આ પ્રસંગે પ્રગટ થશે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૌને અભિનંદન.

( જયકિશનનું સંગીત અને ‘એ પ્યાસે દિલ બેઝુબાં’ તો જોયું હશે. આ સાથે મુકેલી લિન્કમાં ‘શ્રી ૪૨૦’ માં જયકિશનનો અભિનય જુઓ! )
http://www.youtube.com/watch?v=gPkgtey0zCA

Wednesday, April 29, 2009

જૈન હવા

આજે સવારે ‘સફારી’ની ઓફિસ (ડોક્ટર હાઉસની સામેના ખાંચામાં, પરિમલ ગાર્ડન, અમદાવાદ) ની બહાર આવેલી પંક્ચરની દુકાને એક દૃશ્ય જોયું.

એક જૈન સાઘ્વી હાથથી ધક્કો મારીને ચલાવવાની ઠેલણગાડીમાં બીજાં એક સાઘ્વીને બેસાડીને ત્યાંથી પસાર થતાં હતાં. હવા પુરવાની દુકાન જોઇને તે ઉભાં રહ્યાં, ગાડીમાં બેઠેલાં સાઘ્વી નીચે ઉતર્યાં, એટલે ધક્કો મારનાર સાઘ્વીની સૂચનાથી દુકાનવાળા છોકરાએ કમ્પ્રેસરની પાઇપ લીધી અને તેમની ઠેલણગાડીના એકાદ-બે વ્હીલમાં કમ્પ્રેસરથી હવા પુરી.

અમદાવાદની ભયાનક ગરમીમાં જે કારણસર એક સાઘ્વી બીજા સાઘ્વી પાસે ઠેલણગાડી હંકારાવે છે- યંત્રોનો વિરોધ- એ જ ઠેલણગાડીમાં હવા કમ્પ્રેસરથી પુરાવતી વખતે યંત્રનો બાધ નથી!ધર્મના અનુયાયીઓ હાર્દને બદલે બાહ્યાચારને પકડે ત્યારે આવી જડતા સિવાય બીજી શી અપેક્ષા રાખી શકાય?

કટ્ટરતા, ધર્મશાસ્ત્રના અનર્થઘટન અને મોટી સંખ્યામાં આંખે પટ્ટી બાંધનારા ધાર્મિક અનુયાયીઓમાં ઇસ્લામની હરોળમાં જૈન સમુદાયના ઘણા લોકોને મુકવા પડે, એવી સ્થિતિ જોવા મળે છે. (આ વાંચીને જેમને આ ટીકા લાગુ પડતી હોય એવા લોકોએ જ ઉશ્કેરાવું. બાકીના લોકોના લાભાર્થે એક માહિતીઃ ‘શબ્દાર્થપ્રકાશ’ વાળા પ્રકાશ ન.શાહ પણ જૈન છે!)

થોડાં વર્ષ પહેલાં જોયેલું બીજું દૃશ્ય પણ આ સાથે યાદ આવે છેઃ ‘સ્ટાર’ની ‘તારા’ ચેનલ ચાલુ હતી એ અરસામાં એક વાર હું તેની ઓફિસે (ઉસ્માનપુરા) ગયો હતો. ત્યાંથી પાછા આવતાં એક શાંત ગલીમાં મેં જોયું તો સાઘ્વી બનેલી એક કિશોરી પોતાનો ‘આઘ્યાત્મિક અસબાબ’ ઘડીભર બાજુ પર મુકીને કાંકરાની કૂકી વડે બીજી નાની છોકરી સાથે ‘પગથિયાં’ જેવી- કૂકી ફેંકીને, લંગડી લઇને રમવાની- કોઇ રમત માણી રહી હતી!

આ દૃશ્યમાં કોઇ અતિશયોક્તિ નથી. સાઘ્વી બનેલી કે બનાવાયેલી એ છોકરીની ઊંમર પગથિયાં રમવાની હતી. એટલે તેને જે કરવું જોઇએ એ કરતી જોઇને બેહદ આનંદની સાથે ચચરાટી પણ ઘણી થઇ. એ વખતે હું સાથે કેમેરા રાખતો ન હતો. બાકી, રધુ રાય જેવા કે ઝવેરીલાલ જેવા કોઇ કસબી એ ફોટો પાડી લે તો બાળદીક્ષા સામે વિરોધમાં શબ્દો બગાડવાની જરૂર ન પડે. કોઇ સક્ષમ વાર્તાકાર હોય તો એ એક જ દૃશ્ય પરથી હૃદયસ્પર્શી વાર્તા લખી શકે. પગથીયાં રમતી સાઘ્વીનો ચહેરો મને યાદ રહ્યો નથી, પણ તેણે બાજુ પર મૂકી દીધેલો પોતાનો સામાન અને તેનું ઉત્સાહથી પગથીયાં રમવું હજુ ભૂલાતું નથી.

રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા)ને એકથી વધારે વાર ‘માઇકનો ઉપયોગ ન થાય’ એ સિદ્ધાંતના પાલન ખાતર માઇક પાંચ ફૂટ દૂર રાખીને બોલતા જૈન સાઘુઓ અને તેમના અનુયાયીઓ સાથે ચર્ચાઓ થઇ છે. સાઘુઓથી ટેલીફોનનો ઉપયોગ ન થાય, એટલે આપણે ફોન કરીએ ત્યારે સામે એક ભાઇ ફોન ઉપાડે, આપણે જે બોલીએ તે પેલા ભાઇ સાઘુમહારાજ સમક્ષ ફરી બોલે, પછી મહારાજ જે કહે, તે ફરી પાછા આપણા લાભાર્થે ફોન પર રીપીટ કરે. લોકો પાસે આવો નિરર્થક અને બિનજરૂરી વ્યાયામ કરાવવો એ પણ હિંસા નથી?

Monday, April 20, 2009

ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા ‘ભગવદ્ગોમંડળ’ના સંપાદકઃ ચંદુલાલ પટેલ

અંગ્રેજીની સરખામણીએ ગુજરાતી ભાષા સમૃદ્ધ છે કે દરિદ્ર? તેનું શબ્દભંડોળ કેવું ને કેટલું? એક ભાષા તરીકે ગુજરાતી બીજી કોઇ પણ ભાષાની ટક્કર લઇ શકે એટલી સદ્ધર છે કે નહીં? આવા વર્ષોજૂના સવાલ, ગુજરાતી ભાષા પર ઈંગ્લીશ મીડિયમના આક્રમણને કારણે વધારે અણિયાળા બન્યા છે.

એક વિકલ્પ, મરણપથારીએ પડેલી મા સમી ગુજરાતી ભાષા સાવ ખલાસ થાય તે પહેલાં જ તેના નામની પોક મૂકવાનો છે. એ સૌથી લોકપ્રિય છે (કારણ કે) સહેલો પણ છે. બીજો વિકલ્પ મરણપથારીએ પડેલા દર્દીને દવા આપવાને બદલે, પથારી પાસે બેસીને રોગનું સૈદ્ધાંતિક વિવેચન કરવાનો છે, જે (આ લખનાર સહિત) ઘણા વખતોવખત કરતા હોય છે. એમ કરવાથી દર્દ વિશે લોકોની જાણકારી અને જાગૃતિમાં વધારો કર્યાનો સંતોષ મેળવી શકાય છે, પણ દર્દીની હાલતમાં ફરક પડતો નથી.

ત્રીજો વિકલ્પ નક્કર ઉપાયો યોજવાનો છે. ‘ભગવદ્ગોમંડળ’ - અને તેની વેબસાઇટ- તેનો ઉત્તમ નમૂનો છે. ગુજરાતી ભાષાના સૌથી મોટા, (વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ કરતાં પાંચેક ગણા વધારે) કુલ ૨.૮૧ લાખ શબ્દો ધરાવતા સચિત્ર જ્ઞાનકોશ તરીકે ‘ભગવદ્ગોમંડળ’ની ખ્યાતિ સજ્જડ છતાં ઓસરતી છે. કોશને ફરી છાપવાનું અને ઇન્ટરનેટનો યુગ આવતાં તેની વેબસાઇટ તૈયાર કરવાનું મોટું કામ ‘પ્રવીણ પ્રકાશન’ દ્વારા થયું. એ જ કોશની સામગ્રીને ચિત્રો સહિત, વઘુ રોચક અને વાચક-ઉપયોગી (રીડર-ફ્રેન્ડલી) રીતે વેબસાઇટ www.bhagvadgomandal.com પર મુકવાનું કામ ‘ગુજરાતી લેક્સિકોન’થી જાણીતા ચંદરિયા ફાઉન્ડેશને કર્યું. આ કામગીરીને કારણે ‘ભગવદ્ગોમંડળ’ને નવું જીવન અને કમ્પ્યુટર પર ગુજરાતી ભાષાના ઉપયોગને નવું બળ મળ્યાં છે.
કોશના મૂળ કામની શરૂઆત ગોંડલના પ્રગતિશીલ રાજવી ભગવતસિંહજીનાં પ્રેરણા-પરિશ્રમ-પૈસા અને દૃષ્ટિથી થઇ હતી. એટલે ભગવદ્ગોમંડળની બન્ને વેબસાઇટ પર યોગ્ય રીતે જ તેમનો મહિમા કરવામાં આવ્યો છે. પરંતુ ૯ ભાગના આ શબ્દસાગરના સંપાદક ચંદુલાલ પટેલની ગેરહાજરી સાલે એવી છે. તેમનો નામોલ્લેખ છે, પણ શોધવો પડે એવો.
સાઇટ ખોલતાંની સાથે ભગવતસિંહની તસવીર નીચે ચંદુલાલ બહેચરલાલ પટેલની તસવીર જોવાની અપેક્ષા રહે, એનાં ઘણાં કારણ છે. બાયો-ડેટામાં લખી શકાય એવી ‘સત્તાવાર’ માહિતી એ કે ભગવદ્ગોમંડળના સંપાદનકાર્ય બદલ ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (૧૯૫૪) થી ચંદુલાલ પટેલને સન્માનવામાં આવ્યા- રૂઢ અર્થમાં ચંદુલાલ પટેલ સાહિત્યકાર ન હોવા છતાં! કોશના પહેલા બે ગ્રંથો તૈયાર થયા ત્યારે તેનું પૂજન દ્વારકા પીઠના શંકરાચાર્ય અભિનવતીર્થજીએ કર્યું. તેમણે ચંદુલાલ પટેલને ‘વિદ્યાવારિધિ’ (જ્ઞાનસાગર)ની પદવી આપી.
કોશનું કામ પૂરૂં થયું ત્યારે ગોંડલનરેશ વિક્રમસિંહે ચંદુલાલ પટેલને પોશાકના રૂ.૧,૫૦૦ - અને આ કામમાં ખાસ ઉપયોગી થયેલા સ્ટાફને ઇનામ બદલરૂ.૫૦૦ આપવાની જાહેરાત કરીને લખ્યું હતું,‘શબ્દકોશ સદ્ગત મહારાજા ભગવતસિંહજી બાપુની દોરવણી મુજબ તૈયાર કરાવવાનું મહાન કામ પૂરૂં કરવાનો મોટા ભાગનો યશ ગોંડલના માજી વિદ્યા અધિકારી શ્રી ચંદુલાલ પટેલને ફાળે જાય છે.’
થોડાં વર્ષ પહેલાં સાર્થ જોડણીકોશ તૈયાર કરાવી ચૂકેલા ગાંધીજીને આ મહાકાર્યની પ્રસ્તાવના લખવાની વિનંતી કરવામાં આવી, તેનો જવાબ પણ ગાંધીજીએ ‘ભાઇ ચંદુલાલ’ને લખ્યો હતોઃ ‘તમારો કાગળ મળ્યો. પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ માનું છું.- બાપુના આશીર્વાદ, પંચગની, ૯-૭-૪૪’
૧૯૪૧માં મહારાજ ભગવતસિંહનું અવસાન થયા પછી તેમના વારસદારોએ અને આઝાદી પછી સૌરાષ્ટ્ર સરકારે ચંદુલાલ પટેલને કોશકાર્ય ચલાવવા દીઘું. ૨૬ વર્ષની મહેનતને અંતે ૧૯૫૫માં આ મહાકાર્ય પૂરૂં થયું ત્યારે સ્વ. ભગવતસિંહ અને ચંદુલાલ પટેલ પર મહાનુભાવોની પ્રશંસાનો વરસાદ વરસ્યો. કનૈયાલાલ મુનશીએ ેએટલે સુધી લખ્યું કે ‘જેમ જોન્સનના કોષે અંગ્રેજી ભાષાને સ્થાયી બનાવી, તેમ આ કોષ ગુજરાતી ભાષાના સાહિત્ય અને પ્રયોગમાં જરૂર સ્થાયિત્વ આણશે.’
‘શબ્દકલ્પદ્રુમ’ (શબ્દોનું કલ્પવૃક્ષ) તરીકે ઓળખાયેલા આ કોશનું કામ ૧૯૨૮માં શરૂ થયું ત્યારે ચંદુલાલ પટેલ ગોંડલ રાજ્યના વિદ્યાધિકારી હતા. આ હોદ્દો તેમણે ૧૯૧૬થી ૧૯૫૨ સુધી સંભાળ્યો. ત્યાર પછી પણ કોશનું કામ પૂરૂં કરવા ૧૯૫૫ સુધી કોશ કાર્યાલય સાથે સંકળાયેલા રહ્યા. રાષ્ટ્રિય સ્તરનું ગજું ધરાવતા ચંદુલાલ પટેલ અને ભગવતસિંહજીનો કાર્યવિસ્તાર ગોંડલ રહ્યો, તે ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય બન્યું.
ભાષાપ્રેમ અને શિક્ષણનું વાતાવરણ ચંદુલાલને કુટુંબમાંથી મળ્યું. તેમના પિતા બહેચરલાલ પટેલ કવિ ‘વિહારી’ તરીકે સાહિત્યજગતમાં જાણીતા હતા. સંસ્કૃત, ગણિત, તત્ત્વજ્ઞાન જેવા અનેક વિષયોમાં પારંગત ‘વિહારી’ દેશી રજવાડામાં રહ્યા હોવા છતાં રાષ્ટ્રભાવનાથી છલકાતા હતા. ‘વંદે માતરમ્’નો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ ‘નમું સુફળ વિમળ જળવાળી- મા વંદે માતરમ્/ ધાન્યે લીલીછમ હરિયાળી- મા વંદે માતરમ્’ ગોંડલ રાજ્યની નિશાળોમાં ગવાતો હતો.
ગણિત સાથે બી.એ. થયેલા ચંદુલાલ પટેલે નર્મદના જોસ્સાથી પ્રભાવિત થઇને ‘પ્રેમશૌર્ય સોસાયટી’ કાઢી, જેમાંથી આગળ જતાં વિદ્યાર્થી આશ્રમ, ‘પટેલબંઘુ’ માસિક, પાટીદાર યુવક મંડળ જેવી ઘણી પ્રવૃત્તિઓ ખીલી. સુરતના પટેલ વિદ્યાર્થી આશ્રમ (સ્વરાજ આશ્રમ)ના મૂળમાં પણ એ ‘પ્રેમશૌર્ય સોસાયટી’ જ. ત્યાં કામ કરતાં ચંદુલાલ પટેલને રણજિતરામ મહેતા અને સ્વામી અખંડઆનંદ, મોતીભાઇ અમીન જેવા અગ્રણીઓનો પરિચય થયો. સ્વામી અખંડઆનંદ તેમને એક વાર લોકમાન્ય ટીળક પાસે પણ લઇ ગયા હતા.
૧૯૧૫માં સુરત સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે રણજિતરામ મહેતાએ ચંદુલાલને જૂના દસ્તાવેજો, તામ્રપત્રો, શિલાલેખ, અપ્રસિદ્ધ પત્રો વગેરેની વ્યવસ્થાનું જવાબદારીભર્યું કામ સોંપ્યું. તેનાથી ચંદુલાલને પ્રાચીન ગુજરાતી ભાષાનો થોડોઘણો સ્વાઘ્યાય થયો. એ સમયથી જ સંપાદનની તેમની લગન એવી કે શાકુંતલ, રધુવંશ, કુમારસંભવ, નીતિશતક જેવા સંસ્કૃત ગ્રંથો અને બાયરન, બેકન, કાર્લાઇલથી માંડીને ફ્રેન્ચ ક્રાંતિ સુધી વિશેના સાહિત્યમાંથી વિચારકણિકાઓ ચૂંટીને વિદ્યાર્થીઓને આપે. તેમની આ વૃત્તિ ‘ગાંધીજ્ઞાનકોષ’ (ગાંધીજીના વિચારોનું સંપાદન) અને ‘ભગવદ્ગોમંડળ’ના મહાકાર્યમાં પૂર્ણપણે ખીલી ઉઠી. ‘ગાંધીજીનાં વિચારરત્નો’ શીર્ષક હેઠળ ચંદુલાલે કરેલું કરેલું સંપાદન એટલું ઉત્તમ થયું કે ૧૯૩૨માં- ગાંધીજીની હયાતીમાં- ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તેને પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કરવામાં આવ્યું.
ભગવતસિંહ જેવા વિદ્યાપ્રેમી, પ્રગતિશીલ રાજવીના શાસનમાં વિદ્યાધીકારી તરીકે ચંદુલાલ પટેલે અનેક એવાં કામ કર્યાં, જે આઝાદ ભારતની સરકારો પણ કરી શકી નથી. ચંદુલાલ પટેલની દેખરેખ હેઠળ તૈયાર થયેલી ગોંડલ રાજ્યની વાચનમાળા બીજાં રજવાડાંની શાળામાં ચાલતી હતી. ભારત ઉપરાંત રંગૂન, આફ્રિકા અને એડનમાં ચાલતી ગુજરાતી નિશાળો સુધી ચંદુલાલ પટેલની વાચનમાળા પહોંચી હતી. રૂઢિચુસ્તોના વિરોધ વચ્ચે ગોંડલ રાજ્યમાં કન્યાકેળવણી ફરજિયાત કરવાના હુકમનો અમલ પણ તેમણે અસરકારક રીતે કરાવ્યો.
આ જ ચંદુલાલ પટેલ ઢળતી વયે લકવાગ્રસ્ત બન્યા ને તેમનો જમણો હાથ કામ કરતો બંધ થયો, ત્યારનો એક મર્મસ્પર્શી પ્રસંગ રજનીકુમાર પંડ્યાએ ‘શબ્દયોગી’ નામે લખેલા ચંદુલાલ પટેલના શબ્દચિત્ર (‘અનોખાં જીવનચિત્રો’, આર.આર.શેઠ)માં આલેખ્યો છે. પેન્શનના એક કાગળ પર ચંદુલાલની સહી કરાવવાની હતી ને જમણો હાથ કામ ન કરે. તેમના વર્ષો જૂના વિશ્વાસુ કારકૂને ચંદુલાલને સૂચવ્યું કે કાગળ પર સહી કરવાને બદલે ડાબા હાથનો અંગૂઠો પાડી દો.
ભાગ્યે જ ગુસ્સે થતા ચંદુલાલ પટેલ એ દિવસે ઉશ્કેરાઇ ગયા. કારકૂનને તતડાવી નાખ્યા ને કહ્યું,‘અંગુઠો તો ગોંડલ રાજની એકેય કન્યા પણ પાડતી નથી. ને હું અંગુઠો પાડું? નથી જોઇતું પેન્શન. લઇ જાવ કાગળીયાં.’ ૧૯૬૪માં અવસન પામેલા ચંદુલાલ બહેચરલાલ પટેલની જીવનકથા ‘જીવનપંથ’ નામે તેમના પુત્રો પ્રકાશિત કરી. તેમાંથી અને ભગવદ્ગોમંડળ વિશેનાં લખાણોમાંથી ચંદુલાલ પટેલનું ભૂલાઇ રહેલું પ્રદાન ‘રીફ્રેશ’ અને ‘અપલોડ’ કરવામાં આવે એ પણ ભાષાપ્રેમનું જ એક કામ છે.

Saturday, April 11, 2009

ઉપેન્દ્ર ત્રિવેદી પુરાણ

સત્તાવાર રીતે પુસ્તક મુકાવાની હજુ થોડા દિવસની વાર છે, પણ પુસ્તકની નકલ જોઇને એટલી મઝા પડી કે તેના વિશે વાત કર્યા વિના રહેવાય એમ નથી. ગુજરાતી ભાષામાં બહુ ઓછાં ચરિત્રાત્મક સંપાદન દસ્તાવેજીકરણ, તસવીરો અને સાજસજ્જાની દૃષ્ટિએ આટલાં સમૃદ્ધ થયાં હશે.

વાત છે ઉપેન્દ્ર ત્રિવેદી વિશેના ઘણા વખતથી તૈયાર થઇ રહેલા એક ‘પુરાણ’ની. રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારીએ તેનું સંપાદન કર્યું છે. તેમાં ઉપેન્દ્ર ત્રિવેદી વિશે લખાયેલા રસપ્રદ લેખો, મુલાકાતો અને હરીશ રધુવંશીએ તૈયાર કરેલી તેમની ફિલ્મોગ્રાફી તો છે જ. પણ ગ્રંથ પર ઓવારી જવાનું મન થાય એવી બાબત છે તેમાં પાને-પાને છપાયેલી તસવીરોની સંખ્યા અને ગુણવત્તા. એ માટે ‘ગૂર્જર’ના મનુભાઇ શાહ તથા રોહિતભાઇ (કોઠારી અને શાહ)ને અભિનંદન આપવાં પડે. ભાગ્યે જ કોઇ ગુજરાતી પુસ્તકમાં - અને એ પણ ચરિત્રાત્મક પુસ્તકમાં- આટલા મોટા પ્રમાણમાં અને આટલું વૈવિઘ્ય ધરાવતી તસવીરો આટલી સ્વચ્છ અને સારી રીતે છપાઇ હશે.


મોટા કદનાં ૩૬૬ પાનાં ધરાવતું આ પુસ્તક હજુ બજારમાં આવ્યું નથી. તેની કિંમત રૂ.૫૦૦ રાખવામાં આવી છે. છતાં, આ પુસ્તક વાંચવા જેવું અને બજેટમાં બેસે તો ખરીદવા જેવું- ખાસ તો સંઘરવા જેવું છે.

ઉપેન્દ્ર ત્રિવેદી નિમિત્તે ગુજરાતી ફિલ્મો અને નાટકોની આટલી બધી તસવીરો એક સાથે જોવા મળે અને ઉપરથી મઘુ રાય-સિતાંશુ-બક્ષીથી માંડીને અનેક જાણીતા અજાણ્યા લેખકોના લેખો- ગની દહીંવાળાએ ઉપેન્દ્ર ત્રિવેદી પર લખેલી ગઝલ, સલીલભાઇનો લેખ (અને હા, ઉર્વીશ કોઠારીએ લીધેલો ઉપેન્દ્ર ત્રિવેદીનો ઓફ્ફ બીટ ઇન્ટરવ્યુઃ-) આવી વાચનસામગ્રી!

પુસ્તક અંગેની વઘુ જાણકારી વાચનરસિયાઓ ગૂર્જર (ફોનઃ ૯૧-૭૯-૨૬૫૬૪૨૭૯) પરથી રોહિતભાઇ કોઠારી કે રોહિતભાઇ શાહ સાથે વાત કરીને મેળવી શકે છે.

(પુસ્તકના લેખો વાંચ્યા વિના, ફક્ત પુસ્તક જોઇને લખેલો આ પ્રતિભાવ છે. પુસ્તક-રીવ્યુ નથી.)

Friday, March 06, 2009

જૂના ગીત-સંગીત-કલાકારોની અંતરછબિઃ ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ

રજનીકુમાર પંડ્યાનું નામ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે એટલું જ સંગીતપ્રેમી તરીકે જાણીતું છે. સેંકડો ગીતો ઘૂન અને શબ્દો સાથે તેમના ચિત્તમાં અંકાઇ ગયાં છે, જે વાતચીતમાં સહજપણે ઉભરી આવે છે. તલત મહેમુદ-હેમંતકુમાર-જગમોહનના જબ્બર ચાહક રજનીભાઇ સાથે વીસેક વર્ષ જૂનો નાતો વાચક-લેખકમાંથી શિષ્ય-ગુરૂ અને અત્યંત નિકટના સ્વજન તરીકેનો છે, પણ તેનો પાયો મજબૂત કરવામાં મોટી ભૂમિકા જૂનાં ગીતોની.

અનેક જૂના કલાકારો- ગાયકો, ગીતકારો, સંગીતકારો-ના પરિચયમાં આવેલા રજનીભાઇએ એક વાર્તાકારની શૈલીમાં પોતાનાં એ કલાકારો સાથેનાં સંભારણાં ‘આપકી પરછાઇયાં’ (૧૯૯૫) સ્વરૂપે ગુજરાતીમાં રજૂ કર્યાં. એ પુસ્તકનું નામ પહેલાં ‘કાફિલે બહારકે’ હતું (એક બાર ચલ દિયે/ ગર તુઝે પુકારકે/લૌટ કર ના આયેંગે/કાફિલે બહારકે- યે રાત યે ચાંદની ફિર કહાં...પરથી). એ પુસ્તક આવ્યું અને સંગીતપ્રેમીઓમાં સારો આવકાર પામ્યું. રજનીભાઇની શૈલીમાં રહેલી અંગતતા જેમને ખૂંચતી હોય તેમને આ પુસ્તકમાં પણ ખૂંચી અને કેટલાકને તેમાં વઘુ પડતી મુગ્ધતા પણ લાગી. છતાં, મારાં પ્રિય પુસ્તકોમાં ‘આપકી પરછાઇયાં’નો સમાવેશ થાય છે. કારણ કે જે લંબાણથી અને વાર્તાકારની કળાથી તેમણે પ્રદીપજી, શમશાદ બેગ, જયકિશન, મુબારક બેગમ, હેમંતકુમાર, તલત મહેમૂદ જેવાં કલાકારોને રજૂ કર્યા છે, તેવું ફિલ્મી પત્રકારો કે પંડિતો માટે ભાગ્યે જ શક્ય બને.

‘આપકી પરછાઇયાં’ની બીજી આવૃત્તિ થઇ. દરમિયાન, ૧૯૯૯માં દિલ્હીના એક પ્રકાશને એ જ નામે તેની હિંદી આવૃત્તિ પ્રસિદ્ધ કરી અને હવે દિનકર જોષીની આગેવાની હેઠળની ‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ના ઉપક્રમે દિલ્હીના ‘પ્રકાશન સંસ્થાન’ તરફથી ‘આપકી પરછાઇયાં’ અંગ્રેજીમાં ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’ સ્વરૂપે આવ્યું છે. ૨૧૨ પાનાંના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ (સ્વ.) સરલા જગમોહને કર્યો છે.

‘આપકી પરછાઇયાં’ જોઇને કે તેના વાચકો પાસેથી એના વિશે સાંભળીને ગુજરાતી વાંચી ન શકતા ઘણા વાચકો અફસોસ પ્રગટ કરતા હતા. એ સૌના અફસોસનું ઘણી હદે નિવારણ ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’થી થવું જોઇએ. આ પુસ્તક મેળવવવાનું સરનામું :
Prakashan Sansthan
4715/21, Dayanand Marg, Daryaganj
New Delhi- 110002

Thursday, January 29, 2009

Chupake Chupake Bol Maina: First Documentary film of its kind on Juthika Roy

Legendary bhajan singer Juthika Roy, 88, is an artist much heard and least seen. ‘Chupake Chupake Bol Maina’ is an opportunity at last for her fans to have closer glimpse of their favourite singer.
‘Chupake Chupake…’ is a 25 minute journey into life of an alltime great singer, produced by Fizaben & Navneetlal Shah of Hiralakshmi Foundation (Mumbai) under able leadership & guidance of Rajanikumar Pandya, directed by Vipul Acharya. It features clippings of Juthika Roy singing live, rare pics & some rarest audio tracks including a piece from a qawwali sung by Juthikaji, her songs in 2 films and the song she sung on 15th Aug, 1947 among other gems.
As a towering figure of Indian music scenario in 20th century, Juthikaji’s fan-list include Gandhi, Nehru, Sarojini Naidu, Moraraji Desai, Lata Mangeshkar among many others. Unmoved by her fame and fan-list, Juthikaji has shunned glamour and led a simple & single life according to principles of Ramkrishna Mission.

We were fortunate to have her at Ahmedabad in a public felicitation program in May, 2008 under the banner of 5 member ‘Juthika Roy Sanman Samiti’. Rajanikumar Pandya, noted writer-journalist & music lover took the lead and arranged for the funds of graceful felicitation program and large scale publication of Juthikaji’s autobiography in Gujarati (‘Chupake Chupake Bol Maina’) along with other committee members namely Dhiru Parikh (poet, editor ‘Kumar’, Ahmedabad), Neela Shah (close associate of Juthikaji since decades, Mumbai), Lalit Dalal (music lover, brother of Neelaben, Ahmedabad) & Urvish Kothari. The autobiography was translated from Bengali by Ms.Sugna Shah & edited by Biren Kothari. Juthikaji was presented a cheque of Rs. 1.88 lakhs as token of appreciation. She was also felicitated at Bhartiya Vidya Bhavan campus, Andheri, Mumbai after Ahmedabad function. (Photo: Rajnikumar Pandya, Juthika Roy, Neelaben Shah)

Interested music lovers may contact
Rajnikumar Pandya E-mail : rajnikumarp@ gmail.com
Mobile: 91-98980 15545 (except 2-5 pm)