Wednesday, August 21, 2013
અણુવીજળી અને લોકસંઘર્ષઃ અધિકાર કે અડચણ?
પરંતુ ચળવળકારોનો એક સમુહ આ સમાચાર માનવા તૈયાર નથી. તેમને લાગે છે કે અણુવીજમથકનો વિરોધ કરતા લોકોને ઉશ્કેરવા- હતોત્સાહ કરવા માટે સરકારે આવા સમાચાર વહેતા કર્યા છે. કૂદનકુલમનાં કુલ છ રીએક્ટરમાંથી ૧ હજાર મેગાવૉટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું પહેલું રીએક્ટર શરૂ કરાયું, એ વિશે સરકારે પત્રકારોને પ્રાથમિક વિગતો પૂરી પાડી છે. તેના અને સંબંધિત અધિકારીઓએ વ્યક્ત કરેલાં ઉત્સાહ-રાહતના આધારે માનવું રહ્યું કે રીએક્ટર ખરેખર શરૂ થઇ ચૂક્યું છે. થોડાં અઠવાડિયામાં વીજળીનું ઉત્પાદન શરૂ થશે, એટલે બીજા કોઇ પુરાવાની જરૂર નહીં રહે.
રીએક્ટર કામ કરતું થયું કે નહીં, એવી સાદીસીધી વાત માટે પરસ્પર આ હદનો અવિશ્વાસ હોય, તો અણુવીજળીના ફાયદા-નુકસાન બાબતે શી રીતે એકમત સધાય? તેની તરફેણમાં અને વિરોધમાં વાજબી લાગે એવા ઘણા મુદ્દા છે.
અણુવીજળી : વૈશ્વિક ચિત્ર
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અહેવાલ પ્રમાણે, વિશ્વભરમાં પેદા થતી કુલ વીજળીમાંથી આશરે ૪૦ ટકા કોલસાથી, ૨૨ ટકા નેચરલ ગેસથી, ૧૬ ટકા જળવિદ્યુત મથકોથી અને આશરે ૧૩ ટકા અણુશક્તિથી પેદા થાય છે. અણુશક્તિ દ્વારા પેદા થતી વીજળીને આકર્ષક બનાવનારાં ઘણાં કારણ છે. તેમાં સૌથી પહેલું કારણ : વીજળીની સતત વધતી જરૂરિયાત. ભારત અને ચીન સહિતના ‘વિકાસશીલ’ દેશો પણ હવે અમેરિકા જેવા વિકસીત દેશોની જેમ અઢળક વીજળી વાપરે છે. કોઇ એક સ્રોતથી વીજળીની માગને પહોંચી વળવું અઘરૂં છે. કોલસાથી ચાલતાં વીજમથકો ભારે પ્રદૂષણ કરે છે, નેચરલ ગેસના જથ્થાનો પ્રશ્ન હોય છે અને જળવિદ્યુત મથકો માટે પાણીનો વિશાળ જથ્થો આવશ્યક હોવાથી, તેમની સંખ્યાની મર્યાદા રહે છે. સૂર્યની અને પવનની શક્તિને વીજળીમાં ફેરવવાનું શક્ય છે, પણ એ રીતે પેદા થતી વીજળીનો જથ્થો ‘અન્ય પ્રકારો’માં ગણવો પડે એટલો ઓછો છે. કારણ કે અત્યારે એ વિકલ્પો ખર્ચાળ અને ઓછી કાર્યક્ષમતા ધરાવતા ગણાય છે.
સરખામણીમાં અણુશક્તિનો વિકલ્પ ભારત સહિતના ઘણા દેશોને આકર્ષક લાગે છે. ૧૯૫૦ના દાયકામાં અમેરિકાએ અણુશક્તિના શાંતિમય ઉપયોગ દ્વારા વીજળી પેદા કરી ત્યારથી આ ટેકનોલોજી સિદ્ધ અને સ્વીકૃત ગણાય છે. અણુવીજળી મથકો સામાન્ય સંજોગોમાં બિલકુલ પ્રદૂષણ પેદા કરતાં નથી. અલબત્ત,‘સામાન્ય સંજોગોમાં’ - એ શબ્દો ચાવીરૂપ છે. કારણ કે અસામાન્ય સંજોગોમાં તે અસામાન્ય પ્રદૂષણ અને જોખમો પેદા કરે છે. રશિયાની ચેર્નોબિલ (૧૯૮૬) અને જાપાનની ફુકુશિમા દુર્ઘટના (૨૦૧૧) તેનાં ઉદાહરણ છે. નિયમિત રીતે ચાલતા અણુવીજમથકમાં અણુકચરાનો નિકાલ મુદ્દો મહત્ત્વનો હોય છે. તેની ચોક્કસ સલામત પદ્ધતિ છે. અત્યાર સુધી એ વિશે મોટી બૂમ ઉઠી નથી, પણ તેનાં દૂરગામી પરિણામ વિશે ભવિષ્યમાં જ જાણવા મળી શકે.
વીજળી પેદા કરવાની ગરજ અને ગંભીર અકસ્માતોની સાવ ઓછી સંખ્યાને કારણે ઘણા દેશો વઘુ ને વઘુ પ્રમાણમાં અણુવીજળી તરફ વળી રહ્યા છે. ન્યૂક્લીઅર એનર્જી ઇન્સ્ટિટ્યુટના જુલાઇ, ૨૦૧૩ના આંકડા પ્રમાણે, ભારત સહિત વિશ્વના ૩૦ દેશોમાં ૪૩૦ રીએક્ટર અણુવીજળીના ઉત્પાદનમાં સક્રિય છે અને ૧૪ દેશોમાં બીજાં ૭૧ અણુવીજળી મથક ઊભાં થઇ રહ્યાં છે. અણુવીજળી માટેની દોડમાં મોખરે રહેનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
જાપાનમાં થયેલા ફુકુશિમા અકસ્માત અને તેના પગલે થયેલી ઢાંકપિછોડાની કોશિશો પછી, વિશ્વભરનાં અણુશક્તિવિરોધી સંગઠનોમાં નવી ચેતના આવી છે. ફક્ત સ્વૈચ્છિક સંસ્થાઓ કે ચળવળકારો જ નહીં, કેટલીક સરકારો પણ વીજળી માટે અણુઉર્જા સિવાયના વિકલ્પ વિચારી રહી છે. તેમાં સૌથી નોંધપાત્ર ઉદાહરણ જર્મનીનું છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં જર્મની બધાં અણુવીજમથકો બંધ કરી દેવા માગે છે. સૌરઊર્જા જેવા વૈકલ્પિક સ્રોતોને ત્યાં મોટા પાયે સરકારી મદદ- સબસીડી આપવામાં આવે છે. (તેની તરફેણમાં એવી દલીલ થાય છે કે પરંપરાગત સ્રોતોથી પેદા થતી વીજળીમાં પણ સરકાર અઢળક સબસીડી આપે જ છે, તો વધારે ફાયદાકારક એવા વૈકલ્પિકમાં શા માટે નહીં?) ઇટાલીએ જાપાનની દુર્ઘટના પછી અણુવીજળી પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતમાં સરકાર અણુવીજળીના માર્ગે આગળ વધવા મક્કમ છે, પણ સ્થાનિક વિરોધ સતત વધી રહ્યો છે. તામિલનાડુના કૂદનકુલમ ઉપરાંત મીઠી વીરડી (ગુજરાત), જૈતાપુર (મહારાષ્ટ્ર), કોવાડા (આંધ્ર પ્રદેશ), ગોરખપુર (હરિયાણા), ચુટકા (મઘ્ય પ્રદેશ), હરિપુરા (પશ્ચિમ બંગાળ) જેવાં અણુવીજળીનાં ભાવિ સરનામાં વર્તમાનમાં સરકાર અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષનાં કેન્દ્ર બન્યાં છે.
સામસામી દલીલો
અણુવીજમથક માટે ‘ફુટવાની રાહ જોતો અણુબોમ્બ’ જેવો શબ્દપ્રયોગ ભયાનક ચિત્ર વ્યક્ત કરવા માટે બહુ અકસીર છે, પરંતુ તેનાથી આંટીધૂંટીવાળું વાસ્તવિકતા જાણી શકાતી નથી. ખરૂં જોતાં, અકસ્માતની સંભાવના અણુવીજળીને એક જ ઝાટકે નાપાસ કરે છે. ગમે તેટલી કાળજી લીધા પછી પણ અકસ્માત નહીં થાય એવી ખાતરી કોઇ માનવસર્જિત ચીજ માટે આપી ન શકાય. હા, અકસ્માત કયા સંજોગોમાં થઇ શકે તેની આગોતરી ધારણા (ત્રાસવાદી કે વિદેશી હુમલો, ત્સુનામી, ધરતીકંપ, પ્લાન્ટના સંચાલનમાં માનવીય ભૂલ, ખામીયુક્ત પૂરજો) વિચારીને, એ સ્થિતિને પહોંચી વળવા માટે યોજાયેલા ટેકનોલોજીના ઉપાય લોકોને સમજાવી શકાય.
ભારતમાં અણુવીજમથકો સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકો વચ્ચેના તીવ્ર ખેંચતાણનો વિષય બન્યાં છે. એ માટે અકસ્માતનો ભય મુખ્ય મુદ્દો હોવા છતાં, બીજા ઘણા મુદ્દા તેમાં ઉમેરાય જાય છે. તેમાં લોકોનો સરકાર પરનો (વાજબી) અવિશ્વાસ પણ અગત્યનો ભાગ ભજવે છે. કૂદનકુલમની વાત કરીએ તો, દરિયાકિનારે સ્થપાયેલા આ અણુવીજળી મથકને કારણે આસપાસનાં ગામના લોકોના મનમાં અનેક શંકાઓ છે. જેમ કે, રીએક્ટરમાંથી બહાર નીકળતા ગરમ પાણીને કારણે દરિયાનાં માછલાં નષ્ટ થઇ જશે અને માછીમારી આધારિત વસ્તીને ભારે ફટકો પડશે. ઘણા સ્થાનિક લોકો માને છે કે સરકાર વઘુ જમીન સંપાદિત કરીને થોડાં વઘુ ગામડાં ખાલી કરાવશે. અણુકચરાના નિકાલ અને તેના પ્રદૂષણથી માંડીને અકસ્માતનો ડર પણ ખરો.
કૂદનકુલન પ્લાન્ટના વિરોધ માટે સ્થપાયેલી સંસ્થા ‘પીપલ્સ મુવમેન્ટ અગેઇન્સ્ટ ન્યુક્લીઅર એનર્જી’ અને તેના સંયોજક ઉદયકુમાર સામેની આકરી સરકારી કાર્યવાહી લોકોના મનની શંકાઓને દૃઢ કરે છે. અણુવીજળી મથકનો વિરોધ કરનારા સામે સરકારે રાજદ્રોહના કેસથી માંડીને વિદેશી ભંડોળના જોરે અને તેમના ઇશારે પ્લાન્ટનો વિરોધ થતો હોવાના ગંભીર આરોપ મૂક્યા છે. અનેક વાર તેમની પર બળપ્રયોગ કરવામાં આવ્યો છે.
સામા પક્ષે, ‘પીપલ્સ મુવમેન્ટ અગેઇન્સ્ટ ન્યુક્લીઅર એનર્જી’ (PMANE) સહિતનાં સંગઠનોએ સરકાર પાસે મુકેલી માગણીઓમાં વૈજ્ઞાનિક માહિતીના અભાવની સાથોસાથ સરકાર પરનો અવિશ્વાસ સ્પષ્ટ રીતે છતો થાય છે. સરકારે ઓક્ટોબર, ૨૦૧૧માં પંદર સભ્યોની બનેલી એક સમિતિ નીમી હતી. તેના અહેવાલમાં ઘણી સ્પષ્ટતાઓ કરવાનો પ્રયાસ થયો હતો. અહેવાલમાં જણાવાયું હતું કે રીએક્ટરમાંથી દરિયામાં છોડવામાં આવતા ગરમ પાણીનું તાપમાન દરિયાના પાણીના તાપમાન કરતાં પાંચ અંશ સે. જેટલું વધારે હશે. તેનાથી માછલીઓના અસ્તિત્ત્વ સામે કોઇ પ્રકારનો ખતરો ઊભો થવાનો નથી. આ દાવાના ટેકામાં અણુશક્તિ વિભાગે સાત યુનિવર્સિટીઓ પાસે કરાવેલું સર્વેક્ષણ ટાંકવામાં આવ્યું. તેમાં કહેવાયું છે કે હાલમાં દરિયાકાંઠે કાર્યરત એવા કલ્પક્કમ અને તારાપુર જેવાં અણુવીજળી મથકોને કારણે માછલીની આવકમાં જરાય ઘટાડો નોંધાયો નથી કે તેમના અસ્તિત્ત્વ સામે કોઇ ખતરો ઊભો થયો નથી. દરિયાના પાણીની સાથોસાથ માછલીઓ કૂલિંગ પ્લાન્ટમાં ન આવી જાય એની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
કૂદનકુલમ પ્લાન્ટ નિમિત્તે સરકાર હવે વઘુ જમીન સંપાદિત કરવાની નથી કે ગામડાં ખાલી કરાવવાની નથી, એ પણ અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રીએક્ટરમાં અકસ્માત થાય તો તેનો રેડિયોએક્ટિવ મલીદો ખુલ્લામાં કે પાણીમાં ન પ્રસરે એ માટે ડીઝાઇનમાં અનેક તકેદારી લેવાઇ છે. દરિયાકાંઠે આવેલા આ મથકને ત્સુનામીનાં મોજાંની પહોંચથી ખાસ્સું ઊંચું (દરિયાની સપાટીથી ૭.૫ મીટર ઊંચું) રાખવામાં આવ્યું છે. અગાઉ ત્રાટકેલા ત્સુનામીનાં મોજાં ૫ મીટર સુધી પહોંચ્યાં હતાં, જ્યારે કૂદનકુલમ અણુમથકના ટર્બાઇન દરિયાની સપાટીથી ૮.૧ મીટર ઊંચે, રીએક્ટરનું બાંધકામ ૮.૭ મીટર ઊંચાઇ પર અને અનિવાર્ય સંજોગોમાં વીજળી પુરવઠો ચાલુ રાખીને પ્લાન્ટને બચાવતા ડીઝલ પમ્પના સેટ ૯.૩ મીટર ઊંચાઇ પર રાખવામાં આવ્યા છે.
સરકારને લાગે છે કે દેશની આગેકૂચ માટે અણુવીજળી વિના ઉદ્ધાર નથી અને સલામતીનાં બધાં પગલાં લીધા પછી પણ જો તેનો વિરોધ થતો હોય તો, વિરોધ કરનારા દેશહિતના વિરોધી છે. તેમની સામે સખ્તાઇથી કામ લેવાવું જોઇએ.
વિરોધ કરનારાને સરકારના દાવા પર ભરોસો નથી અને ‘નીવડ્યે વખાણ’ જેવી નીતિ અણુ રીએક્ટર માટે રાખી શકાતી નથી. કારણ કે કંઇક ઊંઘું વેતરાય ત્યારે બહુ મોડું થઇ જતું હોય છે. આ સ્થિતિમાં પોતાના નાગરિકો સામે દેશદ્રોહના આરોપો મૂકીને કે લાઠીચાર્જ-ગોળીબાર કરીને તેમને લાઇનમાં આણવાને બદલે, તેમને સાથે રાખીને સમજાવવા એ સરકારની ફરજ અને નાગરિકોનો હક બને છે.
ભોપાલ દુર્ઘટનાના લગભગ ત્રણ દાયકા પછી પણ કાનૂની કાર્યવાહી અને કચરાના નિકાલ બાબતે સરકારોની અક્ષમ્ય ઢીલાશ ઘ્યાનમાં રાખતાં, નાગરિકોની ગમે તેટલી ચિંતા વઘુ પડતી લાગતી નથી અને તેમને વિશ્વાસમાં લેવાના - સમજાવવાના સરકારના પ્રયાસો ઘણા અપૂરતા લાગે છે. સરકાર અણુવીજળી મથકો બનાવવા માટે કૃતનિશ્ચયી હોય અને ચર્ચામાં ઉતરવા ન માગતી હોય, તો પણ નાગરિકોના સીધા હિત અને તેમના અસ્તિત્ત્વને લગતાં જોખમો વિશે તો તેણે સંતોષકારક ખુલાસા અને વ્યવસ્થા કરવાં રહ્યાં.
Sunday, September 11, 2011
જાપાનની અણુદુર્ઘટનાઃ છ મહિના પછીના હાલચાલ-હાલહવાલ

ભોપાલ ગેસ દુર્ઘટનાનાં 25 વર્ષ પછી કિરણોત્સર્ગી કચરો અને પ્લાન્ટનું સ્થળ સાફ થવાનાં ઠેકાણાં નથી. તેની સામે ‘ડાયટ’ તરીકે ઓળખાતી જાપાનની સંસદે 26 ઓગસ્ટના રોજ (દુર્ઘટનાના છ મહિના થાય તે પહેલાં) એક કાયદો પસાર કર્યો છે. તેની જોગવાઇ પ્રમાણે કિરણોત્સર્ગી કચરો અને વિકિરણથી દૂષિત માટીની સફાઇની જવાબદારી સરકારના માથે નાખવામાં આવી છે.
આ વર્ષે માર્ચ 11ના રોજ ભૂકંપ અને ત્સુનામી પછી ફુકુશિમા પ્લાન્ટનાં ત્રણ રીએક્ટરમાં ‘મેલ્ટ ડાઉન’ તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિ સર્જાઇ. રીએક્ટરના કિરણોત્સર્ગી મલીદા ઉપરાંત વિકિરણ-દૂષિત પાણીનો પણ ખતરો ઉભો થયો, જે હજુ પૂરેપૂરો ટળ્યો નથી. અકસ્માત પછીના દિવસોમાં રોજેરોજ અણુદુર્ઘટનાનાં ગંભીર પરિણામ વિશે અનુમાન-આશંકા સાંભળવા મળતાં હતાં,

પરંતુ રીએક્ટરો ટાઢાં પડે તે પહેલાં પ્રસાર માધ્યમોમાંથી તેમને લગતા સમાચાર ઠરી ગયા છે. અણુવીજળીના ઇતિહાસની સૌથી ખતરનાક ચેર્નોબિલ દુર્ઘટનાની હારોહાર ગણાયેલી ફુકુશિમા કટોકટીમાં છ મહિના પછીની સ્થિતિ શી છે? તેના વિશે અનેક પ્રકારના સવાલ જાગે, જેના જવાબ હવે પ્રસાર માધ્યમોમાં મથાળાં બનતા નથી.
સૌથી પહેલાં સરકારી પ્રતિક્રિયાની વાતઃ દુર્ઘટના પછી તરતના અરસામાં જાપાન સરકારે તેની ગંભીરતા છુપાવવાનો ઠીક ઠીક પ્રયાસ કર્યો. પરંતુ સ્થિતિ ધીમે ધીમે એટલી હદે વણસી કે સરકાર માટે ઢાંકપિછોડો અશક્ય બન્યો. એક અંદાજ પ્રમાણે, ભૂકંપ-ત્સુનામી અને અણુદુર્ઘટનાના ત્રેવડા ફટકામાં આશરે 22 હજાર લોકોએ જીવ ગુમાવ્યા અને 1.25 લાખ લોકોએ ઘરબાર. પ્લાન્ટના સંચાલક ‘ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની’ (ટેપ્કો) અને સરકારે તેમના માટે અલગ અલગ રીતે વળતરની જાહેરાત કરી. અખબારી અહેવાલ પ્રમાણે અસરગ્રસ્તોને કંપનીએ આરંભિક વળતર તરીકે 10 લાખ યેન (આશરે 13 હજાર ડોલર) ચૂકવવાની જાહેરાત કરી. સાથે સરકાર તરફથી 3.5 લાખ યેન (આશરે 4550 ડોલર) ની મદદ પણ ખરી. કુલ વળતર પેટે કંપનીએ 5 અબજ ડોલરનું ભંડોળ અલગ કાઢ્યું છે અને ઘણાને વળતર ચૂકવાયું પણ છે. છતાં પરંતુ વળતરની ચૂકવણીમાં ઘણો વિલંબ થતો હોવાની બૂમ ‘ટાઇમ’ સાપ્તાહિકના અહેવાલમાં સાંભળવા મળી છે.
કંપની અને સરકાર હાલની પરિસ્થિતિ કાબૂહેઠળ હોવાની જાહેરાતો કરી રહી છે. કંપનીના પ્રવક્તાએ 5 સપ્ટેમ્બરના રોજ કહ્યું છે કે પ્લાન્ટને સંપૂર્ણપણે બંધ કરવાનું- શટડાઉનનું-કામ હાલની ઝડપે ચાલશે તો એ ધારેલી મુદત કરતાં વહેલું પૂરું થઇ જશે. છતાં કંપની સ્વીકારે છે કે સૌથી મોટું જોખમ મોટા જથ્થામાં એકઠા થયેલા વિકિરણયુક્ત પાણીના સલામત નિકાલનું છે. પ્લાન્ટની આજુબાજુ 20 કિલોમીટરના ખાલી કરાવાયેલા વિસ્તારની બહાર પણ પ્રદૂષણ ફેલાયું છે. ત્યાં રાહત કામગીરીમાં સરકારી તંત્ર સાવ ઢીલું પુરવાર થયું છે. પ્લાન્ટથી 50-60 કિ.મી.ના અંતરે આવેલા ફુકુશિમા શહેરના વાતાવરણમાં વિકિરણનું પ્રમાણ સામાન્ય કરતાં ઘણું ઊંચું હતું. છતાં સરકારે એ શહેર ખાલી કરાવ્યું નહીં. શહેરનાં વિવિધ સ્થળોએ વિકિરણનું પ્રમાણ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓમાં ભળેલું પ્રદૂષણ તપાસવાનું કામ આખરે કેટલાક નાગરિકોએ સરકારી તંત્રની સાથે મળીને, બલ્કે આગળ પડીને ઉપાડી લીધું. તેમની ચકાસણીમાંથી જાણવા મળ્યું કે શહેરની મોટા ભાગની શાળાઓમાં વિકિરણનું પ્રમાણ ઘણું વધારે હતું. સરખામણીની રીતે જોઇએ તો, સામાન્ય સંજોગોમાં અણુવીજળી મથકના કામદારો માટે જે પ્રમાણ માન્ય કરવામાં આવ્યું છે, તેના કરતાં પણ ફુકુશિમા શહેરની મોટા ભાગની શાળાઓમાં વિકિરણનું પ્રમાણ ઊંચું હતું.
બાળકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઉભા કરતા આ અહેવાલની પ્રતિક્રિયા તરીકે ‘ફુકુશિમા નેટવર્ક ફોર સેવિંગ ચિલ્ડ્રન ફ્રોમ રેડિએશન’ની સ્થાપના થઇ. નાગરિકોની પહેલથી કાર્યરત આ સંસ્થા મુખ્યત્વે શાળાઓમાં અને ખેતીવાડીનાં ઉત્પાદનોમાં વિકિરણોની માત્રા ચકાસે છે અને તેમનો ઉપયોગ થઇ શકે કે નહીં, તે જણાવે છે. શહેરને વિકિરણમુક્ત કરવાના કામ માટે જાપાનની કેન્દ્ર સરકારે 30 કરોડ ડોલર ફાળવવાની જાહેરાત કરી છે, પણ શહેરનું વહીવટી તંત્ર અને નાગરિકો એ નાણાં આવે ત્યાં સુધી રાહ જોવા તૈયાર નથી. કિરણોત્સર્ગથી ફક્ત રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ જ નહીં, જમીન સુ્દ્ધાં દૂષિત થાય છે. તેને વિકિરણમુક્ત કરવા માટે દૂષિત જમીન પર 50 સેન્ટીમીટર જેટલો ચોખ્ખી માટીનો થર કરીને સ્થાનિક વહીવટી તંત્રે જમીનને સાફ કરવા પ્રયાસ કર્યો છે.
ફુકુશિમા પ્લાન્ટમાં પેદા થતી અણુવીજળી દેશના બીજા લોકો ખુશીથી વાપરતા હતા, પણ કિરણોત્સર્ગી કચરાના નિકાલ માટે જગ્યાની વાત આવે ત્યારે એ કચરો સંઘરવા કોઇ તૈયાર નથી. ફુકુશિમા પ્રાંત નજીક કામચલાઉ ધોરણે કિરણોત્સર્ગી કચરો સંઘરવા માટે વ્યવસ્થા ઉભી કરવાની વાત હતી, પરંતુ ત્યાંના રહીશોએ આ દરખાસ્તનો વિરોધ કર્યો. આ પ્રકારના બનાવ ધ્યાનમાં રાખીને જાપાનના પર્યાવરણ મંત્રીએ બીજા પ્રાંતોને ફુકુશિમાની આફતમાં સહભાગી થવા કહેવું પડ્યું છે.
ખાલી કરાવાયેલા વિસ્તારની બહાર રહેતા લોકોમાંથી ઘણાની ફરિયાદ એવી છે કે તેમના વિસ્તારમાં વિકિરણનું પ્રમાણ જોતાં, તેમને પણ પોતાનાં રહેઠાણો ખાલી કરીને પ્રદૂષણમુક્ત વાતાવરણમાં જવું છે, પણ આ બાબતે સરકાર મદદ કરે એવું તે ઇચ્છે છે. સૌથી મોટા પ્રશ્નોમાંનો એક ખાલી કરાવાયેલા વિસ્તારના લોકોનો છે. શરૂઆતમાં તેમને એવી આશા હતી- અને સરકારે પણ એવા સંકેત આપ્યા હતા- કે થોડા વખત પછી એ લોકો પાછા ફરી શકશે. પરંતુ પાંચ મહિના પછી સરકારી પ્રવક્તાએ કબૂલવું પડ્યું છે કે ‘કેટલાક વિસ્તારોના રહીશો લાંબા સમય સુધી ત્યાં પાછા ફરી ન શકે એવી સંભાવના છે.’ તેનું ‘ગુજરાતી’ એવું થાય કે (ટીકાકારો માનતા હતા તેમ) પ્લાન્ટની આસપાસના વિસ્તારોમાં રહેનારા ઘણા લોકો અને તેમની આગામી કેટલીક પેઢીઓ પણ એ જગ્યાએ પાછી ફરી નહીં શકે.’
ફુકુશિમા દુર્ઘટનાથી અત્યાર લગી જાપાનમાં ભાગ્યે જ ચર્ચાયેલો ઉચ્ચક કામદારોના હિતનો મુદ્દો પણ બહાર આવ્યો છે. જાપાનનાં 18 વ્યાવસાયિક અણુવીજળી મથકોમાં કામ કરતા આશરે 80 હજાર લોકોમાંથી 80 ટકા કાયમી નહીં, પણ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકો છે. ફુકુશિમા પ્લાન્ટમાં ગયા વર્ષના આંકડા પ્રમાણે (10 હજાર કામદારોમાંથી) 89 ટકા કોન્ટ્રાક્ટ પર કામ કરનારા હતા. (ભારતમાં પણ ગટરસફાઇના જોખમી કામ માટે દલિત કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે, જેથી તેમને કંઇ થાય તો કોર્પોરેશન સહેલાઇથી હાથ ઉંચા કરી શકે.)
સામાન્ય મજૂરી કામ કરતાં અ્ણુવીજળી મથકોમાં મળતું મહેનતાણું ઘણું વધારે હોવાથી કામદારો ત્યાં જવા લલચાય છે, પરંતુ અણુવીજળી મથકોમાં જોખમનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. દુનિયાના ટોચના પાંચ સમૃદ્ધ દેશોમાં સ્થાન પામતા જાપાન જેવા દેશમાં ઉચ્ચક કામદારોનું આટલું મોટું પ્રમાણ હોય અને કંપની કે સરકાર તેમની કોઇ પ્રકારની જવાબદારી લેતી ન હોય તે શરમજનક કહેવાય. સામાન્ય સંજોગોમાં રોજી ગુમાવવાની બીકે ચૂપ રહેતા અણુવીજળી મથકના કામદારોમાંથી કેટલાક હવે અવાજ ઉઠાવતા થયા છે. પરંતુ હજુ સુધી કંપની કે સરકારે જોખમ લેતા કામદારોના ભવિષ્યની જવાબદારી લેવાને બદલે, તેમને વધુ નાણાં આપવાની પદ્ધતિ ચાલુ રાખી છે.
ચેર્નોબિલ દુર્ઘટનાનાં વાસ્તવિક પરિણામ જાણવા-સમજવામાં વર્ષો નીકળી ગયાં. ફુકુશીમાને હજુ માંડ છ મહિના થયા છે. જાપાન રશિયા નથી એ ખરું - જાપાની નાગરિકોની સક્રિયતાએ એ સાબીત કરી આપ્યું છે - પણ જાપાનની સરકારે હજુ એ સાબીત કરવાનું બાકી છે.
Sunday, June 05, 2011
ત્રાસવાદીઓથી ખદબદતા પાકિસ્તાનનો પરમાણુ શસ્ત્રભંડાર કેટલો સલામત?


Sunday, April 10, 2011
જાનનું જોખમ ખેડીને અણુમથકનું સમારકામ કરતા ‘જમ્પર’: ક્યારેક દેશ માટે, ક્યારેક ‘કૅશ’ માટે
પરંતુ જાપાનમાં એ સવાલ પેદા જ ન થયો. અકસ્માત પછી ઘણા કર્મચારીઓ સ્થળ છોડીને સલામત વિસ્તારમાં જવાને બદલે, પ્લાન્ટ પર સતત તહેનાત રહ્યા. બીજા વિશ્વયુદ્ધમાં જાણીતા બનેલા જાપાની કામીકાઝી (આત્મઘાતી) પાયલોટોની જેમ, પોતાના જીવની પરવા ન કરનારા કર્મચારીઓની કુલ સંખ્યા ૩૦૦થી ૫૦૦ જેટલી છે. પણ દરેક પાળીમાં ૫૦ કર્મચારીઓ કામ કરતા હોવાથી, પ્રસાર માઘ્યમોએ તેમનું નામ પાડ્યું: ‘ફુકુશિમા-૫૦’. તેમનું એક જ લક્ષ્યઃ કોઇ પણ ભોગે, પોતાના જીવના પણ જોખમે, વઘુ નુકસાન થતું અટકાવવું. રીએક્ટરોને ટાઢાં પાડવાં અને વિકિરણોનો ફેલાવો રોકવો.