Showing posts with label media. Show all posts
Showing posts with label media. Show all posts

Thursday, February 26, 2026

મુદ્દા, પ્રમાણભાન અને ચર્ચા-મથનની અછત

 દેશની સામે રહેલા અને આ સરકારે ઊભા કરેલા કેટલા બધા સળગતા મુદ્દા વિશે ઠરીને, સળંગ કશી ચર્ચા જ થઈ શકતી નથી. અંગ્રેજીમાં જેને ડિસ્કોર્સ કહેવામાં આવે છે, એવાં ચર્ચા-મંથન સામાન્ય રીતે પ્રસાર માધ્યમો ચલાવતાં હોય છે.

સોશ્યલ મિડીયા પર ચર્ચાના નવા મુદ્દા રોજેરોજ અને ક્યારેક તો દિવસમાં બે-ત્રણ વાર ઉભરે છે, પણ તેમાંથી મોટા ભાગના ઉભરાની જેમ ઉભરે છે ને પછી બેસી જાય છે--પછી તે ગંભીર હોય કે કામચલાઉ.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આવા મુદ્દાની યાદી બનાવીએ તો આરામથી પુસ્તક લખાઈ જાય. પણ બીજાં ગમતાં અનેક કામ અને પુસ્તકોનાં કામ ચાલતાં હોય, ત્યાં આવા ગંદવાડમાં હાથ નાખવાનો કંટાળો આવે છે. નોટબંધી પછી બધું સમુંસૂતરું કરવા માટે સો દિવસની મુદત માગી હતી ત્યારથી રોકડનું ચલણ નોટબંધીના સમય કરતાં ઘણું વધારે થઈ ચૂક્યું છે, ત્યાં સુધીની એક સાદી ટાઇમલાઇન આપીએ તો, તેમાં વડાપ્રધાનની દેખીતી અને જાહેર અણઆવડત અને બેશરમી ઉપરાંત, ઘણા લોકોની આંધળી ભક્તિને પણ તેમાં સામેલ કરવી પડી.
પ્રસાર માધ્યમો આ સહેલાઈથી કરી શકે, પણ તેમને ભય કે લાલચ કે બંનેથી ફૂંકી ફૂંકીને પાણી પીવું પડે છે. થોડી ટીકા, થોડી ભક્તિ--એ મોડેલ કેટલાંકે અપનાવ્યું છે. કેટલાકે થોડી ટીકા, ઝાઝી ભક્તિ ચાલુ રાખી છે. પણ અફસોસ એ વાતનો છે કે દેશહિતને ધ્યાનમાં રાખીને જે પ્રકારની ફોલો અપ સ્ટોરી થવી જોઈએ તેનું વાતાવરણ નથી રહ્યું અને કરવા દેનારા પણ નથી રહ્યા. થોડા સમય પહેલાં એક સ્નેહી મિત્રે સ્ટીંગ ઓપરેશન કરીને અમુક વિગતો બહાર પાડવા સૂચવ્યું અને એ માટે બધો ખર્ચ આપવાની તૈયારી બતાવી, ત્યારે તેમને કહેવું પડ્યું હતું કે લોકો આંખ સામે ઉઘાડેછોગ દેખાતું હોય, તે જોવા રાજી નથી, ત્યાં સ્ટીંગ ઓપરેશનનો કશો મતલબ નથી.
હું છાપું કે સાપ્તાહિક કાઢતો હોઉં તો તેના મથાળે રોજ (કે દર અઠવાડિયે) આટલું જરૂર લખું.
ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ ન કર્યાનો આજે ---મો દિવસ.
પણ આવું વાંચીને હવે મોદીભક્તો એવી દલીલ કરે છે કે પ્રેસ કોન્ફરન્સ કરવાની શી જરૂર? આવા લોકો સાથે કશી તાર્કિક વાતની કે સંવાદની પણ ભૂમિકા રહેતી નથી. તેમને સારા મનોચિકિત્સકને દેખાડવાની સલાહ પણ આપી શકાતી નથી. કેમ કે, એ સ્વીકારવા જેટલી સ્વસ્થતા પણ આ મુદ્દે તેમનામાં હોતી નથી. તેમાં કેટલાંક પ્રિયજનો પણ હોઈ શકે છે. તેમનું આ સહસ્ત્રમુખ માનસિક પતન જોવાની તેમ જ દેશના વર્તમાન તેમ જ ભવિષ્યનો જે દાટ વળી ચૂક્યો છે, તે જોવાની પીડા દરેક ઠેકાણાસરના માણસે વેઠવાની આવે છે. તે આમ અંગત નથી હોતી. એટલે, અંગત જીવનની પ્રસન્નતા કે તેના સુખમાં તેનો ઓછાયો પડતો નથી, પણ જાહેર જીવન વિશે નિસબત ધરાવતા નાગરિક તરીકે આ ગાળો ક્યારનો કટોકટીના કાળા સમયને વટીને, તેનાથી ક્યાંય આગળ નીકળી ચૂક્યો છે. તે આવતો દેખાતો હતો, આવી ગયેલો અને ઠરી ચૂકેલો દેખાયો અને હવે તેનાં માઠાં પરિણામ કોમન સેન્સથી જોઈ ને ભાખી શકાય એમ છે.
આવી સ્થિતિમાં અગત્યના અને બિનઅગત્યના, કાયમી અને રોજિંદા મુદ્દા અલગ પાડીને, બંનેની અલગ ગંભીરતાથી, અલગ વજન સાથે અને અલગ સાતત્ય સાથે ચર્ચા થાય તે બહુ જરૂરી છે, પણ તે થઈ રહ્યું નથી તે ઊંડા ખેદની વાત છે.

Sunday, December 28, 2025

હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છેઃ પ્રતાપ ભાનુ મહેતા



ગઈ કાલે 'અચ્યુત યાજ્ઞિક સ્મૃતિ વ્યાખ્યાન'માં પ્રતાપ ભાનુ મહેતાએ સિવિલાઇઝેશન (સભ્યતા) અને 'સિવિલાઇઝેશનલ સ્ટેટ'ની વાત કરી.

તેમણે એ મતલબનું કહ્યું કે 'સિવિલાઇઝેશનલ સ્ટેટ' યુરોપથી આવેલા 'નેશન સ્ટેટ'થી પણ આગળનું પગથીયું છે, જેમાં પોતાની જૂની સભ્યતાને જ કેન્દ્રમાં રાખવાની અને આધુનિક નેશન સ્ટેટનાં બંધારણથી માંડીને બીજાં બધાં અંગોને ગૌણ ગણવાની વાત હોય છે. સિવિલાઇઝેશનલ સ્ટેટ ભૂતકાળની સભ્યતાની મૂડી લઈને આગળ નથી વધતું. તે ભૂતકાળમાં જ ગોંધી રાખવા ઇચ્છે છે.
આમ તો એવું થાય કે જૂની સભ્યતાને કેન્દ્રમાં રાખવામાં વાંધો શો છે? પણ વાંધો એ છે કે સભ્યતા એટલે શું, તે નક્કી કરવાની આપખુદશાહી સત્તા કેવળ સત્તાધીશ પાસે હોય છે, જે નેશન સ્ટેટના માળખા પ્રમાણે ચૂંટાઈને આવે છે, પણ ત્યાર પછી એ માળખાને બદલ સભ્યતાની સગવડિયા માળા જપે છે. હકીકતમાં તેને સભ્યતાના બહાને પોતાની સત્તા ટકાવવા-વધારવામાં જ રસ હોય છે. અમુક હજાર વર્ષની સભ્યતાના એક માત્ર પ્રતિનિધિ અને તેના અર્થઘટનનો ઇજારો ધરાવતા જણ તરીકે શાસકો બંધારણ અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ સહિતની બધી જ બાબતોનો છેદ ઉડાડતા જાય છે.
શરૂઆતમાં તે લોકસમર્થન (ચૂંટણીમાં મળેલા મત)ના જોરે પોતાનો દંડો પછાડતા હોય છે, પણ પછી તો તેનું મહત્ત્વ પણ ઓછું થઈ જાય છે અને મુખ્ય જોર 'અમુક હજાર વર્ષ જૂની સભ્યતાના એકમેવ પ્રતિનિધિ' તરીકેનું જ બની જાય છે. તેના જોરે તે ગમે તેવાં બિનલોકશાહી, સરમુખત્યારી પગલાં પણ સભ્યતાને આગળ કરીને લોકોના માથે મારી દે છે.
તેમણે કહ્યું કે અત્યારની સરકાર અને આરએસએસ મુસ્લિમ આક્રમણ, અંગ્રેજોનું આક્રમણ અને નહેરુ સરકાર--આ ત્રણને આપણી જૂની સભ્યતામાં પડેલાં મોટાં ભંગાણ માને છે (જે તેમનું સગવડીયું અને ઐતિહાસિક-તથ્યાત્મક રીતે ટકી ન શકે એવું વિકૃત અર્થઘટન છે.). એટલે તેને ભૂંસવા માટે તે બધા પ્રયાસ કરે છે. (અત્યારના ભાઈલોગના કહેવાતા સભ્યતા-પ્રેમમાંથી બીજા માટેનો ધિક્કાર કાઢી નાખીએ તો શું બચે, એ વળી અલગ સવાલ છે)
તેમણે કહ્યું કે હિંદુ ધર્મને સૌથી મોટો ખતરો હિંદુત્વથી છે. કારણ કે હિંદુત્વે હિંદુ ધર્મને કોલોનાઇઝ કર્યો છે. (લગભગ કોલોનાઇઝ શબ્દ જ વાપર્યો હતો, છતાં ભૂલચૂક લેવીદેવી. સાર એ જ હતો.) ગુજરાતીમાં કહીએ તો, હિંદુત્વે હિંદુ ધર્મને બથાવી પાડ્યો છે.
એક મુદ્દો તેમણે એવો કર્યો કે આપણા બંધારણમાં આણેલાં મૂલ્યો વિશે ડાબેરીઓ અને જમણેરીઓ એવી ટીકા કરતા રહ્યા કે આ બધાં ઉછીનાં પશ્ચિમી મૂલ્યો છે. તેની સામે, આ મૂલ્યો હકીકતમાં ભારતીય સભ્યતામાંથી જ આવેલાં છે--એ હકીકત ભારપૂર્વક સ્થાપિત કરી શકાઈ નહીં.
આખું વ્યાખ્યાન બાકાયદા પોલિટિકલ સાયન્સના લેક્ચર જેવું હતું, એ તેની ખૂબી તરીકે, અને મર્યાદા તરીકે પણ, કહી શકાય.
(તા.ક. કશી લેખિત નોંધ વિના, બીજા દિવસે સવારે ઉઠ્યા પછી મનમાં રહી ગયેલા આ કેટલાક મુદ્દા છે. આખા વ્યાખ્યાનનું રેકોર્ડિંગ થયું છે. તે ઉપલબ્ધ થશે એમ માનું છું.)

Saturday, January 27, 2024

દિલીપભાઈ ગોહિલની અણધારી વિદાય

દિલીપ ગોહિલ

દિલીપભાઈ ગોહિલ ગયા--નીલેશભાઈ (રૂપાપરા)ની લગભગ પાછળ પાછળ.

આ બંને અને દીપક સોલિયા--એ 'સમકાલીન'માં બનેલી ત્રિપુટી. પછી 'ઇન્ડિયા ટુડે'માં સાથે. ત્યાર પછી નોકરીમાં છૂટા પડ્યા, પણ તેમની વચ્ચેનો તાર અતૂટ રહ્યો.
દિલીપભાઈની કારકિર્દી ગુજરાતી પત્રકારત્વના અને તેમની પ્રકૃતિના ચઢાવઉતારના પ્રતિબિંબ જેવી. સૌથી વધુ પ્રતિષ્ઠિત એવા 'ઇન્ડિયા ટુડે' (ગુજરાતી)ના કોપી એડિટર અને શીલાબહેન (ભટ્ટ)ના નેજા હેઠળ ચાલતા રિડીફ.કોમની ગુજરાતી સાઇટથી માંડીને તે વેબસાઇટ, ટીવી ચેનલો અને દિવ્ય ભાસ્કર જૂથના સુરતથી નીકળેલા ટેબ્લોઇડ 'ડીબી ગોલ્ડ' સાથે પણ સંકળાયેલા રહ્યા. 'આરપાર'માં અને 'ડીબી ગોલ્ડ'માં તેમની સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કામ કરવાનું થયું. 'આરપાર'માં તેમની સાથે થોડો સંઘર્ષ પણ રહ્યો. છતાં, લાંબા સમયની બિરાદરી અને મીઠાશ ટકી રહ્યાં. 2006માં થોડા સમય માટે 'ભાસ્કર'માં મારી પાસે કશું કામ રાખવામાં ન આવ્યું, ત્યારે 'ડીબી ગોલ્ડ'ના એડિટર તરીકે દિલીપભાઈ મારી પાસે હાસ્યની અઠવાડિક કોલમ લખાવતા હતા.
પોલિટિકલી કરેક્ટ શબ્દ વાપર્યા વિના કહેવું હોય તો કહી શકાય કે બાપુગીરી એ દિલીપભાઈનો સ્થાયી ભાવ રહ્યો. તેમને અવનવા વ્યવસાયો કેવી રીતે થઈ શકે, તે ઝીણવટથી વિચારવાનો શોખ હતો. તે 'ઇન્ડિયા ટુડે' (ગુજરાતી)ના કોપી એડિટર હતા ત્યારે નીચે કીટલી પર હિમાંશુ કીકાણી, મનીષ મહેતા અને બીજા મિત્રો સાથે ચા પીતાં પીતાં તે ટ્રકોનો ધંધો કેવી રીતે કરી શકાય, તેની વિગતવાર વાત કરતા. તે ઝડપથી બોલતા. અવાજ પ્રમાણમાં મૃદુ હતો, પણ અભિપ્રાયો આકરા. લાગણીશીલતા અને રૂક્ષતાનું વિલક્ષણ મિશ્રણ લાગે અને બંનેમાંથી એકેય બનાવટી ન લાગે.
પછીનાં વર્ષોમાં સતત, એકધારો દોસ્તીની મધુરતાવાળો સંબંધ રહ્યો. તેમણે ઘણાં અંગ્રેજી પુસ્તકોના સરસ અનુવાદ કર્યા. અમારા 'સાર્થક પ્રકાશન' માટે 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'નું ગુજરાતી કરવાનું થયું, ત્યારે પણ દિલીપભાઈ જ યાદ આવ્યા. તેમણે પુસ્તકનો મોટા ભાગનો અનુવાદ કર્યો. વચ્ચેના લાંબા ઝોલ પછી હવે એ પુસ્તકનું આખરે પ્રૂફ વાંચવાનું ચાલે છે અને થોડા મહિનામાં તે પ્રકાશિત થશે, પણ એ પહેલાં તો દિલીપભાઈ ઉપડી ગયા.
તે અમદાવાદ રહ્યા ત્યાં સુધી સાર્થકના મિલનોમાં આવતા. છેલ્લાં બે-એક વર્ષથી હું તેમને 'ઇન્ડિયા ટુડે' (ગુજરાતી)ના તેમના અનુભવો 'સાર્થક જલસો' માટે લખવા કહેતો હતો. તે તૈયાર હતા અને એકાદ વાર તો લખવાનું શરૂ પણ કર્યું છે, એમ કહેતા હતા. છેલ્લે તેમને નોકરી માટે રાજકોટ જવાનું થયું ત્યારે એવી વાત થઈ કે ત્યાં સેટ થઈ ગયા પછી તે લખી આપશે.
પણ એ તો જતા રહ્યા. સાઠની અંદર રહેલા મિત્રો જતા રહે તે બહુ આકરું લાગે છે. નિકટતા ઓછીવત્તી હોય તો પણ આંચકો એકસરખો લાગે છે અને રહી રહીને મગજમાં હથોડા વાગે છે કે એક દિવસ આમ જ ચાલુ વાક્યે, અણધાર્યું, મોટું પૂર્ણવિરામ મુકાઈ જશે અને એ સાથે જ, ધ એન્ડ.
તે અહેસાસ મિત્રો-ચાહનારાંને પ્રેમ કરવા માટે આવતી કાલની રાહ નહીં જોવાના નિર્ણયને ફરી ફરીને દૃઢ બનાવે છે. સાથે એવું પણ થાય છે કે આટલું યાદ રાખવા માટે આટલી મોટી કિંમત ચૂકવવાની?
દિલીપભાઈ, આટલી વહેલી વિદાય આપવી ગમતી નથી, પણ તમે ક્યાં સાંભળો એમ છો?
જલસો મિલનમાં દિલીપ ગોહિલ

દીપક સોલિયા સાથે દિલીપ ગોહિલ


Saturday, August 05, 2023

અચ્યુતભાઈ યાજ્ઞિકનો ઇન્ટર્વ્યૂ (30 એપ્રિલ, 2006) : સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવ્યાં છે

વર્ષ 2006-07માં 'દિવ્ય ભાસ્કર' સાથે સંકળાયો ત્યારે ગુજરાતી પત્રકારો કરતાં સાવ જુદાં વલણો ધરાવતા, પ્રયોગશીલ અને મૌલિક એવા આકાર પટેલ તેના ગ્રુપ એડિટર હતા. તેમણે રવિવારની પૂર્તિને નવું રૂપ આપ્યું અને તેમાં એક આખા પાનાના ઇન્ટર્વ્યૂનો સમાવેશ કર્યો. તે સ્વરૂપમાં મારે પાંચ-છ ઇન્ટર્વ્યૂ કરવાના થયા. તેમાંથી એક અચ્યુતભાઈનો હતો. થોડા વખત પહેલાં તેમનું ગુજરાત વિશેનું પુસ્તક આવ્યું હતું. એટલે તે વાંચીને તેમનો ઇન્ટર્વ્યૂ કરવો એવું ઠર્યું. તે ઇન્ટર્વ્યૂ નિમિત્તે અચ્યુતભાઈ સાથે શરૂ થયેલો સંબંધ પછી તો સતત જળવાઈ રહ્યો.

અચ્યુતભાઈની વિદાય પછી વડીલ મિત્ર વિપુલ કલ્યાણીએ તેમના ઇન્ટર્વ્યૂની વર્ડ ફાઇલ માગી. જાતે ટાઇપ કરવાનું અનુકૂળ ન હતું. એટલે મિત્ર સુજાતને કહ્યું. તેણે તત્કાળ કરીને તે મોકલી આપી. એટલે 17 વર્ષ પહેલાંનો આ ઇન્ટર્વ્યૂ અહીં મૂક્યો છે. 

*

 બેસ્ટસેલર પુસ્તક શેપિંગ ઓફ મોડર્ન ગુજરાતના સહલેખક તરીકેની સૌથી તાજી ઓળખ ધરાવતા અચ્યુત યાજ્ઞિક છેલ્લા ત્રણેક દાયકાથી ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમના કૌટુંબિક સંસ્કાર કર્મકાંડી બ્રાહ્મણના. તેની પર રામમનોહર લોહિયાના સમાજવાદનો રંગ ચડ્યો. એટલે ગુજરાત સમાચારમાં દસ વર્ષની નોકરી દરમિયાન યુનિયન પ્રવૃત્તિ અને કામદાર સંઘની પ્રવૃત્તિઓ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. ગુજરાતી પત્રકારત્વમાં એક દાયકો વિતાવ્યા પછી અચ્યુતભાઈ મુક્ત થયા. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ (સુરત)ના સંશોધનપત્ર અર્થાત્ના સ્થાપક-સંપાદક બન્યા. પાંચેક વર્ષ સુધી ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ વીકલી જેવા પ્રતિષ્ઠિત સામયિક માટે ગુજરાતમાં રહીને કામ કર્યું. લોકાયન પ્રોજેક્ટથી તે સમાજકાર્ય સાથે સંકળાયા અને સેતુ – સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શનની સ્થાપના કરીને સમાજકાર્યમાં ઝંપલાવ્યું. તેમના શબ્દોમાં કહીએ તો, સાહસ કરી શકું એવી સ્થિતિમાં હતો, એટલે સાહસ કર્યું. બૌદ્ધિક પ્રતિભા અને સંશોધક તરીકેનું ઊંડાણ તેમના પુસ્તકમાં જ નહિ, તેમની સાથેની વાતચીતમાં પણ સતત (તેમના મુક્ત હાસ્યની જેમ) પ્રગટતું રહે છે. તેમની સાથેની વિશેષ મુલાકાતના અંશો અત્રે પ્રસ્તુત છે:

સાહિત્યનો સમાજ સાથેનો નાતો તૂટી ગયો છે, એવી ફરિયાદ ભૂકંપ અને ૨૦૦૨નાં રમખાણો પછી તીવ્ર બની છે. આવું થવાનું શું કારણ?

સાહિત્ય હોય કે સામાજિક પ્રવૃત્તિ, તેમાં પડેલા માણસે ડી-લર્નિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. કૌટુંબિક વારસાને લીધે જે ભાષા અને સમજ પ્રાપ્ત થઈ હોય તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવો જોઈએ કારણ કે બહુજન સમાજ સાથે સંકળાવાનું છે. એ પ્રક્રિયા ન થાય, તો બહુજન સમાજ સાથે સીધું સંધાન થઈ શકતું નથી. સાહિત્યમાં લેખકોએ પોતાના પરિવેશની બહાર જવાનો પ્રયાસ ન કર્યો. ગાંધીયુગમાં શહેરના ભણેલાગણેલા લોકોને પોતાના પરિવેશની બહાર ખેડા કે બારડોલીના ખેડૂતો સાથે વાત કરવાનો સંબંધ ઊભો થયો, પણ આઝાદી પછી એ પ્રક્રિયા અટકી ગઈ. આઝાદી પછીના સાહિત્યને હું માસ્તરિયું સાહિત્ય કહું છું. તે ચારસો-પાંચસો અધ્યાપકો-પ્રાધ્યાપકોનું સાહિત્ય થઈ ગયું છે. એ લોકો જ વાંચે અને એ જ સમજે. લોકમાનસ સાથેના તંતુવિચ્છેદની વાત પણ રસિકલાલ પરીખે સાહિત્ય પરિષદના અધ્યક્ષપદેથી ૧૯૬૪-૬૫માં કરી હતી. બીજું કારણ એ કે સાહિત્યનો ઇતિહાસ સાથેનો સંબંધ તૂટી ગયો. તેના સંયુક્ત પરિણામ તરીકે ઘોર વ્યક્તિવાદ ઊભો થયો, જેને રે મઠની પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તેમાં પણ ઘોર વ્યક્તિવાદ હતો. વર્તમાન અને ભૂતકાળ સાથેનો સંબંધ તૂટી જતાં સાહિત્યકારો સ્વકેન્દ્રી બની જાય છે અને રોગિષ્ટ મનોદશા ઊભી થાય છે. અત્યારનું આપણું સાહિત્ય રૂગ્ણ મનોદશાનું પરિણામ છે.

કનૈયાલાલ મુનશીએ જે લખ્યું તેને ઇતિહાસ કહેશો?

મુનશીએ ગુજરાતની અસ્મિતાના તેમના ખ્યાલને પોષે એવું ઇતિહાસમાં જે હતું એ લીધું. ચૌલુક્ય સમયને તેમણે ઊંચી પાયરી પર મૂકી આપ્યો. નવલકથા હોય તેમાં છૂટછાટ તો લઈ શકાય, પણ મુનશી-ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓના પરિણામે ગુજરાતનું એક દર્શન એવું ઊભું થયું, જે હિંદુ ભૂતકાળની વાત કરતું હતું. મુસ્લિમ શાસન શરૂ થયું તેના પહેલાંના સમયની ચર્ચા કરતું હતું. દાખલા તરીકે, આજે અમદાવાદને કોઈ સંબંધ હોય તો એ જૂના અમદાવાદની સ્થાપના સાથે છે. તેને ઐતિહાસિક રીતે સોલંકીસમય સાથે કોઈ સંબંધ નથી. પણ (નવલકથાઓ પછી) પ્રવૃત્તિ એવી થઈ કે અમદાવાદને સોલંકીસમય કે ચૌલુક્ય સમય સાથે જોડી દેવામાં આવે છે. બીજી રીતે એવું પણ કહેવાય કે આ પ્રકારની નવલકથાઓને કારણે ગુજરાતમાં પ્રતિવાદ ન હતો એ પ્રગટ્યો.

નર્મદે જય જય ગરવી ગુજરાત ગાયું હતું...

નર્મદે કરેલી ગુજરાતી અસ્મિતાની વાત ભાષાકીય અને શું શાં પૈસા ચારના સંદર્ભમાં હતી. નર્મદથી પહેલાં પ્રેમાનંદે ગરવો દેશ ગુજરાત લખ્યું છે, પણ કયું ગુજરાત એ પ્રેમાનંદે કહ્યું નથી. મુનશી-ધૂમકેતુની નવલકથાઓમાં જે ગુજરાત આવે છે, એ મુસ્લિમોના આગમન પૂર્વેનું છે એટલે કે ગુજરાતની બહુવિધતાનો એમાં સ્વીકાર નથી. કરણઘેલોમાં નંદશંકર મહેતાએ પણ એવું કર્યું છે. એ વખતે સવાલ થાય છે કે તમે કયા ગુજરાતની વાત કરો છો? એ ગુજરાતની જેમાં સુરત, અમદાવાદ, જામનગર અને ભુજ પણ નહોતું? એ પ્રકારના સાહિત્યમાં, ગુજરાતની સંસ્કૃતિમાં રહેલા સમન્વયની વાત આગળ ન વધી. સાહિત્યમાં ઇતિહાસ આવ્યો, પણ વિશિષ્ટ રીતે આવ્યો. તેમાં ઇતિહાસબોધ ન આવ્યો.

પુસ્તકમાં વર્તમાન પરિસ્થિતિ માટે તમે બૌદ્ધિક ગરીબીને જવાબદાર ગણાવી છે. એના માટે જવાબદાર કોણ?

એક તો આપણી વણિકવૃત્તિ. અત્યારે અમદાવાદની એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટમાં પોણો લાખ હસ્તપ્રત છે. કોબામાં એક લાખ હસ્તપ્રત છે. ગુજરાતમાં હસ્તપ્રતોનો મોટો ભંડાર છે. જૈન મુનિઓ જિનવિજયજી અને પુણ્યવિજયજીએ પ્રયત્નો કરીને આ ભંડાર એકઠો કર્યો. તેનાથી એ ખજાનો સચવાયો અને અત્યારે સુરક્ષિત છે. એની વારસા તરીકે વાત કરવાની – ગૌરવ લેવાનું પણ તેને આગળ લઈ જવાનું શું? હસ્તપ્રતો વાંચનારા કેટલા?’ એવું પૂછીએ, તો એનો જવાબ મળતો નથી કારણ કે તેના માટે જૂની ગુજરાતી, પ્રાકૃત અને અપભ્રંશનો અભ્યાસ કરવો પડે અને તેમાં મુદ્દાનો સવાલ આવીને ઊભો રહે: એમાંથી મળે શું?’

અત્યારના સમાજમાં સંપ્રદાયોનું વર્ચસ્વ ઘણું છે. સમાજ પર અસર વિશે બહુ સાંભળવા મળતું નથી.

હિંદુત્વની વાત થાય છે, ત્યારે સંઘ પરિવાર અને તેના જુદા જુદા સભ્યોની જ ચર્ચા થાય છે. તેને કારણે હિંદુત્વને ગુજરાતમાં આગળ લઈ જવામાં સંપ્રદાયોના પ્રદાનની વાત થતી નથી. આ સંદર્ભમાં ત્રણ મુદ્દા અગત્યના છે: (૧) પહેલાં ભક્તિ આંદોલનમાં સમન્વયની વાત હતી. નવા સંપ્રદાયોથી એ તત્ત્વ કોરાણે મુકાઈ ગયું. (૨) સાયન્સ-ટેક્નોલૉજીમાં નકારાત્મક પરિણામોની ચર્ચા નહિ કરવાની. ઉપરથી, તેમને સિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અણુબોમ્બથી વધારે અધાર્મિક બીજું શું હોઈ શકે? પણ એ અધાર્મિક છે એવું કહેવાતું જ નથી, એટલે સંપ્રદાયોના લોકો એવા મહાન ભારતની કલ્પના કરે છે, જે ખરેખર પશ્ચિમની નાની આવૃત્તિ છે. (૩) ઉપભોક્તાવાદની પણ ચર્ચા નહિ કરવાની. તેના કારણે, મધ્યમવર્ગને બહુ મજા પડી ગઈ.

આ ત્રણેય રીતે એક એવો નવો હિંદુવાદ અને હિંદુધર્મ ઊભો કર્યો, જે તેની પ્રશિષ્ટ પરંપરાથી દૂર થઈ ગયો.

એટલે કે અત્યારના હિંદુત્વનો હિંદુ ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો.

કુટુંબની દૃષ્ટિએ અમારા કુળદેવતા રામ છે. મેં કોઈ દિવસ રામચંદ્રજીના હાથમાં ધનુષ્ય અને બાણ હોય એવી મૂર્તિ જોઈ નથી. આખા ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે, નવા રામ ઊભા કરવામાં આવ્યા. તેમના હાથમાં ધનુષ્યબાણ મૂકી દેવામાં આવ્યું. વિશ્વ હિંદુ પરિષદ લંકાદહનની વાત કરીને કહે છે કે આતતાયીઓ-રાક્ષસોનું દહન કરવું જોઈએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેવું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહિ કરવાની. અત્યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્યમ વર્ગની જીવનપદ્ધતિ સાથે મેળ બેસી જાય છે. તેમના મનમાં કોઈ શંકા થતી નથી. જે ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ-મહાભારત જેવા મહાગ્રંથોમાંથી ચૂંટેલી વસ્તુ મૂકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે. એ ભ્રમ તોડવાનો પ્રયત્ન કરનાર માટે વાદવિવાદનો કોઈ અવકાશ રહેતો નથી. મારામારી જ થાય છે. સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્તો કાઢનારી પ્રજા તરીકેની છબિ સાથે તેને ક્યાંય મેળ ખાતો નથી.

બીજી અગત્યની વાત એ છે કે અત્યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગલા કરવામાં આવે છે, એવા ભાગલા પહેલાં હતા જ નહિ. વસતી ગણતરી કે મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્ય અસરોએ આવા ભાગલામાં મોટો ભાગ ભજવ્યો. એ સંસ્થાનવાદની નીપજ છે. એ રીતે, અત્યારનો હિંદુવાદ પણ સંસ્થાનવાદની નીપજ છે. એ આપણી ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસૂફીનું તત્ત્વ પકડીને પુનઃજીવિત કરાયેલો નથી.

હિંસાના જનીન ગુજરાતીઓમાં ક્યાંથી આવ્યા?

પુસ્તકમાં આંકડા અને નક્શા સાથે અમે તારવ્યું છે કે જે વિસ્તારોમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ ઊંચું છે, કૌટુંબિક હિંસા જ્યાં વધુ છે ત્યાં ૨૦૦૨માં કોમી હિંસાને છૂટો દોર મળ્યો, દા.ત. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, નડિયાદ... હિંસા એક સ્વરૂપે વ્યક્ત થતી નથી. એ વખતે મને કોઈએ પૂછ્યું, ગુજરાતીઓ આટલા બધા હિંસક થઈ ગયા છે?’ મેં કહ્યું, જે પોતાની પુત્રીને મારી શકે એ કોઈને પણ મારી શકે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં, બાકીના ગુજરાતમાં મોટા પાયે હિંસાચાર થયો નથી. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે આ વાત ભૂલી જવાય છે અને છાપ એવી ચાલ્યા કરે છે કે સમગ્ર ગુજરાતમાં હિંસાચાર થયો.

કોમી હિંસા પછી ગુજરાતને બદનામ કરવાની સાજિશ જેવો શબ્દપ્રયોગ સાંભળવા મળે છે...

પોતાની અંદર ઝાંકીને જોવું ન હોય, તો એ બહુ સહેલો રસ્તો છે. ગુજરાતીઓ પોતાનું આત્મવિશ્લેષણ કરવા માટે તૈયાર નથી. તેમાં માધ્યમો પણ આવી જાય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા તમામ પરિબળો એક યા બીજી રીત રાજકારણીઓએ ઊભી કરેલી ભ્રમણાને પોષે છે. ૨૦૦૨માં જે કંઈ બન્યું, એ ગુજરાતમાં જ બન્યું છે. આઝાદી પછીનું સૌથી મોટું કોમી રમખાણ ૧૯૬૯માં ગુજરાતમાં જ થયું. બિનસત્તાવાર આંકડા પ્રમાણે અઢી-ત્રણ હજાર માણસો તેમાં મરી ગયા હતા. તેની તપાસ માટે નિમાયેલા રેડ્ડી તપાસપંચના અહેવાલનું શું થયું? તેની પર ચર્ચા કે અમલ કેમ ન થયો? આપણી પાસે વિશ્લેષણાત્મક અભિગમ નથી એટલે સ્લોગન-શાઉટીંગ અને પેમ્ફ્લેટીઅરિંગની (સૂત્રોચ્ચાર-પત્રિકાયુદ્ધની) બહાર નીકળી શકતા નથી. એનો પડઘો અખબારમાં પડે છે. માધ્યમોમાં આવે ક્યાંથી? કૂવામાં હોય તો હવાડામાં આવે ને? કૂવો તો સમાજ છે.

ભૂમિકાની નિષ્ફળતા બાબતે ગુજરાતી અને અંગ્રેજી મીડિયા વચ્ચે તમે તફાવત પાડો છો?

ગુજરાતી માધ્યમો એ જ મધ્યમ વર્ગ થકી ચાલે છે, જે મધ્યમ વર્ગ આ પરિસ્થિતિ માટે કારણભૂત છે. મધ્યમ વર્ગની આશા-આકાંક્ષાઓ ગુજરાતના ભદ્ર વર્ગની આશા-આકાંક્ષાઓ જેવી જ છે. નીતિની વાત નહિ કરવાની! એટલે શેરબજારમાં જે કંઈ થાય એમાં તેમને કશું ખોટું લાગતું નથી. શેરબજારમાં સટ્ટો કરનારા પણ ગુજરાતીઓ છે. તેની ચર્ચા કોઈ કરતું નથી. ફરી ઇતિહાસબોધની વાત પર આવી જઈએ છીએ. અંગ્રેજી માધ્યમો અતિસરળીકરણનો ભોગ બને છે. સમગ્ર ગુજરાતમાં હિંસાચારની છાપ ઊભી થઈ, તેનું કારણ એ કે અંગ્રેજી માધ્યમોને ગુજરાતની સામાજિક પરિસ્થિતિ વિશે ખબર નથી. ગુજરાતમાં કોઈ મોટી ઘટના બને ત્યારે આવતા અંગ્રેજી અખબારોના પ્રતિનિધિઓ અતિસરળીકરણનો ભોગ બને છે. તેમણે પ્રચલિત કરેલી છાપ રાષ્ટ્રીય કક્ષાએ આગળ ચાલે છે. પણ પત્રકાર તરીકે આખી વસ્તુનો વિચાર કરો: બીજા રાજ્યમાં જઈએ ત્યારે આપણી પણ અતિસરળીકરણ જ કરીએ. પત્રકારત્વની કેટલીક સીમાઓ ત્યાં આપોઆપ આવી જાય છે. તેમાં ઇરાદાનો પ્રશ્ન નથી આવતો. બદનામ કરવાની સાજિશ જેવી વાત તો નેતાઓ પોતાના બચાવ માટે ઉપજાવી કાઢે છે.

ગુજરાતને અન્યાયવાળી વાતમાં કેટલું તથ્ય છે?

ગુજરાત-મહારાષ્ટ્ર સંયુક્ત હતાં અને મુંબઈ જ્યારે રાજધાની હતી ત્યારે એવું લાગતું હતું ખરું, પણ કયા ગુજરાતને અન્યાય થાય છે? ગુજરાતના ભદ્ર સમાજને જ્યારે લાગે છે કે અમને અન્યાય થાય છે ત્યારે એ સમગ્ર ગુજરાતને અન્યાય થાય છે એવું વાતાવરણ ઊભું કરે છે. દા.ત. નર્મદા બંધની વાત કરીએ. તેમાં સમગ્ર ગુજરાતની વાત કરતાં એ ભૂલી જવાય છે કે દરેક સાતમો ગુજરાતી આદિવાસી છે અને દરેક દસમો ગુજરાતી મુસલમાન છે. આદિવાસીઓના દૃષ્ટિકોણથી આખો મુદ્દો જોઈએ તો, ધરોઈનો બંધ બાંધ્યો, એ આદિવાસી વિસ્તારમાં. તાપી-દમણગંગામાં પણ આદિવાસી વિસ્તારોમાં વિસ્થાપન થયું. દરેક સાતમો ગુજરાતી જે છે, તેના દૃષ્ટિકોણથી પણ ગુજરાતની ચર્ચા ન થવી જોઈએ? એ ચર્ચા નથી રાજ્યકર્તાઓ કરતા કે નથી મધ્યમ વર્ગ કે નથી વિશ્વવિદ્યાલયોમાં આવી ચર્ચા થતી કે એક જ સમાજ પાસેથી બલિદાનની અપેક્ષા શા માટે રાખવામાં આવે છે! આમ, ગુજરાતનો ભદ્ર વર્ગ પોતાના હિતને સમગ્ર ગુજરાતના હિત તરીકે ખપાવીને એ મુદ્દો આગળ કરે છે અને આખી વાત એવી રીતે મૂકવામાં આવે છે, જાણે પેલા લોકો ગુજરાતી જ નથી.

ગુજરાતની વર્તમાન હાલતમાં કોંગ્રેસની ભૂમિકા કેવી રીતે જુઓ છો?

માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે મેં લખ્યું હતું, કોંગ્રેસે અન્ય પછાતોને ઇલેક્શનાઇઝ કર્યા, પણ પોલિટિસાઇઝ કર્યા નહિ. (ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્યા, પણ રાજકીય પ્રવાહમાં આણ્યા નહિ.) તેને કારણે અન્ય પછાતમાંથી જે નેતાગીરી ઊભી થવી જોઈએ, એ ન થઈ એટલે સવર્ણ મધ્યમ વર્ગ સામે કોઈ પડકાર ન રહ્યો. એ સવર્ણ મધ્યમ વર્ગે પોતાના હિતોની રખવાળી માટે હિંદુત્વનો ઉપયોગ કર્યો. દરમિયાન દલિત અને આદિવાસી સમાજમાંથી પણ એક મધ્યમ વર્ગ ઊભો થયો. તેમણે પોતાની ઓળખ અને અસ્મિતાવાળી ભૂમિકા ન લીધી, પણ સમન્વયની ભૂમિકા લીધી. સમન્વય એટલે હિંદુત્વ સાથે જોડાઈ જવું! ૧૯૮૧-૧૯૮૫માં સવર્ણ-દલિત સામસામે અને મુસ્લિમો શાંત હતા. એ ત્રિકોણીયા પરિસ્થિતિનું ૧૯૯૦ આવતાં આવતાં ધ્રુવીકરણ થયું અને હિંદુ-મુસ્લિમો સામસામે થઈ ગયા. પછાતો તરફથી સવર્ણોને પડકાર ઊભો થયો જ નહિ અને પડકાર ઊભો થાય તે પહેલાં સવર્ણોએ હિંદુત્વને નામે પછાતોનો ઉપયોગ કરી લીધો. આ ઘટનાક્રમ માટે કોંગ્રેસ પૂરેપૂરી જવાબદાર હતી. ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ અને સાંપ્રદાયિકતા ઊભાં થયાં તેમાં કોંગ્રેસનો પણ ફાળો છે. અત્યારે વિશ્લેષણ થતું નથી એટલે હંમેશાં સંઘ પરિવારનું નામ લેવાય છે. કોંગ્રેસ જો એનો ધર્મ ના ચૂકી હોત, તો ગુજરાતની આ પરિસ્થિતિ ન હોત. આજે ગુજરાતમાં ફેશન પડી ગઈ છે કે બધામાં સંઘ પરિવારનું જ નામ લેવાનું. એમાં સંઘ પરિવારને મજા પડી ગઈ છે. બધી ક્રેડિટ એમને મળી જતી હોય, તો શું ખોટું?

સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) સામે ગંભીર ફરિયાદો થાય છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે તમે શું માનો છો?

૧૯૮૦-૮૫ના ગાળામાં ત્રણ પ્રકારના લોકો ભેગા થઈને દેશના કે સમાજના પ્રશ્નોની ચર્ચા કરતા હતા: (૧) સામાજિક આંદોલનો કે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો, (૨) માધ્યમોના લોકો અને (૩) વિદ્યાસંસ્થાઓ-સંશોધન સંસ્થાઓના લોકો. એવા તબક્કે જે સંસ્થાઓ ઊભી થઈ, તેના લોકોના રાજકીય સંસ્કારો અગાઉ થઈ ચૂક્યા હતા. વિશ્લેષણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ તેમનામાં હતી. ૧૯૮૫થી ૧૯૯૦ સુધીમાં એનજીઓમાં પ્રોફેશનલિઝમ આવવા લાગ્યું. ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં કે બીજી કોલેજમાં ભણીને બહાર પડેલા લોકો આવતા થયા. તેમની પાસે અગાઉના લોકો જેવું વ્યાપક રાજકીય શિક્ષણ નહોતું. વ્યાપક સમાજ કે સંસ્કૃતિની દૃષ્ટિએ નહિ, પણ સમાજકાર્યની દૃષ્ટિએ જ એ વિચાર કરતા હતા. કોઈ તબીબ આવે, તો એ ખાલી હેલ્થનો જ વિચાર કરે. તેના પરિણામે સામાજિક સંસ્થાનો દાયરો નાનો થતો ગયો. જેમ માધ્યમોમાં અતિસરળીકરણની વાત કરી, એવું જ અતિસરળીકરણ અહીં થયું. વ્યક્તિગત માન્યતા પ્રમાણે કહું તો ભરયુવાનીમાં આ બધી પ્રવૃત્તિઓ ધર્મ લાગે છે. પછી એ બધાનો ધર્મ નથી એવું લાગતાં એને સ્વધર્મ માનતા થઈએ છીએ. પછી પણ જાતજાતના અનુભવો થાય અને તેની મર્યાદાઓ નજીકથી જોવા મળે, ત્યારે થાય છે કે હવે આ આપદ્દધર્મ છે. પચીસ વર્ષથી હું સમાજકારણમાં છું અને ધર્મથી શરૂ કરીને આપદ્દધર્મ સુધી આવી ગયો છું. હવે તેમાં એટલું જ જોવાનું હોય છે કે મોટી કટોકટી ઊભી થઈ છે. તેમાં આપણાથી જે થઈ શકે એ કરવાનું.

Sunday, July 23, 2023

અમદાવાદના અકસ્માત વિશે થોડા પ્રાથમિક-પાયાના વિચાર

 1. ઘણા ગુનામાં કોઈ એક ગુનેગાર નહીં, ઘણા બધા ગુનેગાર હોય છે. આ કિસ્સામાં સૌથી મોટો ગુનેગાર બેદરકાર ડ્રાઇવિંગથી 11 જણને કચડી નાખનાર તથ્ય પટેલ છે. તેનો અર્થ એવો નથી કે બાકીની એજન્સીઓ (ટ્રાફિક પોલીસ, રસ્તાનું ધ્યાન રાખતું કોર્પોરેશન વગેરે) નિર્દોષ ઠરે છે. 

2. એવી જ રીતે, ફ્લાય ઓવર પર અંધારું હતું, ફ્લાયઓવર પર ચડતાં દૃષ્ટિ અવરોધાઈ જાય છે, ટોળું ત્યાં શું કરતું હતું, ટ્રાફિક પોલીસે બેરીકેડ કેમ ન લગાડી--આ બધા મુદ્દા સાચા હોવાને કારણે, તથ્ય પટેલનો ગુનો જરાય ઓછો થતો નથી. એટલે, એ મુદ્દા તથ્ય પટેલના બચાવમાં વાપરી શકાય નહીં. 

3. બુલડોઝરની કાર્યવાહી ક્યાંય પણ થાય, તે ગુફાયુગની પ્રથા છે. બુલડોઝર ચલાવી દેવું એ ટોળાંનો બદલો હોઈ શકે, ન્યાય નહીં. સરકાર જેવી સરકાર ટોળાંશાહીની રીતે, ટોળાંની લાગણી સંતોષવા હિંસા આચરતી થઈ જાય, ત્યારે કોઈ સલામત નથી રહેતું --અને એ અત્યારે આપણે જોઈ જ રહ્યાં છીએ. 

4. ગુનેગારને ફાંસી થવી જોઈએ--એવું બૂમરાણ મચાવવાથી કીક આવે છે અને સરકારને તેના મનગમતા--કાયદો હાથમાં લેવાના--રસ્તે આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય છે. પણ મૂળ મુદ્દો એ છે કે કાયદામાં આ પ્રકારની સજાની જોગવાઈ છે ખરી? 

5. એક પણ નિર્દોષનો જીવ જાય, તો તેનો જીવ લેનારને કે જીવ લેવામાં પોતાની બેદરકારીથી કારણભૂત બનનારને તેની આકરી કિંમત ચૂકવવી પડે--એ ન્યાય છે. સૌથી પહેલાં એની ચર્ચા થવી જોઈએ કે તથ્ય પટેલ પ્રકારના કિસ્સામાં કાયદાની શી જોગવાઈ છે? અને તેમાં કશા ફેરફારની જરૂર છે? દરેક કેસ વખતે આરંભિક હોબાળા પછી, ગુનેગાર રૂપિયાના જોરે છૂટી જાય (કે ન પણ છૂટે) તેના કરતાં,  કાયમી ધોરણે કાયદામાં ફેરફાર થાય અને આ પ્રકારના ગુનાની સજા ગંભીર બને તે વધારે જરૂરી છે. 

6. તથ્ય પટેલે કે તેના પિતાએ કે તેના વકીલે અગાઉ શું કરેલું, એની કથાઓ રસિક હોઈ શકે છે, પણ તે મીડિયા ટ્રાયલ માટે કામની છે-અસલી ન્યાય માટે નહીં. અત્યારે તથ્ય પટેલને શક્ય એટલી મહત્તમ સજા થાય અને રૂપિયાના આધારે બધું મેનેજ થઈ જાય છે--એવો મેસેજ ન જાય, તે સૌથી મહત્ત્વનું છે. 

7. તથ્ય પટેલને સજા થઈ જાય એટલા માત્રથી પણ ન્યાય થઈ જતો નથી. તથ્ય પટેલને સજા થાય અને મૃતક પરિવારોને તથ્ય પટેલની કૌટુંબિક સંપત્તિમાંથી દાખલો બેસે એટલી મોટી રકમ વળતર સ્વરૂપે આપવાનો હુકમ થાય, તે પણ જરૂરી છે. 

8. અમીર હોવું એ તથ્ય પટેલનો ગુનો નથી, પણ આ ગુનામાં તેની અમીરી તેની તાકાત ન બની જાય, તેનું ધ્યાન રાખવું એટલું જ મહત્ત્વનું છે. 

9. આખી ઘટનાને કરુણ સિરીયલ કે એશોઆરામમાં જીવતા નબીરાનાં કરતૂતની વેબ સિરીઝ તરીકે રજૂ કરવાથી બચવા જેવું છે. કારણ કે, એમ કરવા જતાં ગુનેગારને સજા-પીડિતને ન્યાયનો મુખ્ય મુદ્દો કેન્દ્રમાંથી ખસી જાય છે અને મનોરંજન-સનસનાટી-રોમાંચ મુખ્ય બની જાય છે.

Saturday, July 24, 2021

પત્રકારત્વ-લેખનને પૂરક એવી દસ્તાવેજીકરણની સફર

(ભાગ-૧) (ભાગ-૨) (ભાગ-૩) (ભાગ-૪) (ભાગ-૫) (ભાગ-૬) (ભાગ-૭) (ભાગ-૮) (ભાગ-૯) (ભાગ-૧૦) (ભાગ-૧૧)  (ભાગ-૧૨) (ભાગ-૧૩) (ભાગ-૧૪) (ભાગ-૧૫) (ભાગ-૧૬) (ભાગ-૧૭) (ભાગ-૧૮) (ભાગ-૧૯) (ભાગ-૨૦) (ભાગ-૨૧) (ભાગ-૨૨) (ભાગ-૨૩) (ભાગ-૨૪) (ભાગ-૨૫) (ભાગ-૨૬) (ભાગ-૨૭) (ભાગ-૨૮) (ભાગ-૨૯) (ભાગ-૩૦) (ભાગ-૩૧) (ભાગ-૩૨) (ભાગ-૩૩) (ભાગ-૩૪) (ભાગ-૩૫) (ભાગ-૩૬) (ભાગ-૩૭) (ભાગ-૩૮) (ભાગ-૩૯) (ભાગ-૪૦) (ભાગ-૪૧) (ભાગ-૪૨) (ભાગ-૪૩) (ભાગ-૪૪) (ભાગ-૪૫) (ભાગ-૪૬) (ભાગ-૪૭) (ભાગ-૪૮) (ભાગ-૪૯)

પત્રકારત્વની સફરની શ્રેણી વાંચતી વખતે કેટલાંક મિત્રોએ એવી જિજ્ઞાસા પ્રગટ કરી કે ‘તમે આટલું બધું, જરૂર પડ્યે હાથમાં આવે એ રીતે સાચવ્યું કેવી રીતે? તમે દસ્તાવેજીકરણ શી રીતે કરો છો?’ દસ્તાવેજીકરણની ખાસિયતને કેટલાક લોકો મારું ‘ટ્રેડ સિક્રેટ’ પણ માનતા હોય છે. એ વિશે હું ન લખું અને તે ‘રહસ્ય’ જ રહે, તો તેના નામે ભવિષ્યમાં જેવી વાર્તાઓ કરવી હોય તેવી કરી શકાય. પણ એ વિકલ્પ જતો કરીને દસ્તાવેજીકરણ વિશે લખવાનો પ્રયાસ કરી જોઉં. તેમાં ઘણી અંગત અને પત્રકારત્વની સફરમાં અપ્રસ્તુત લાગે એવી વાતો હશે. પણ તેની બાદબાકી કરીને લખવું શક્ય નથી.

વસ્તુઓ સાચવવાની, ઠેકાણે મુકવાની આદતની શરૂઆત કૌટુંબિક પરંપરાથી થઈ. ઘરમાં મમ્મી, કદાચ દાદી અને અમારા કૌટુંબિક વડીલ કનુકાકા—આ લોકો સાચવણીનાં બહુ આગ્રહી. ઝીણામાં ઝીણી ચીજો સાચવીને સંઘરે. એ જમાનાના રિવાજ પ્રમાણે, ક્યારેક તો વસ્તુઓ વાપરે પણ નહીં. ફક્ત સાચવે. એ રીતે ઘરમાં ઘણું સચવાયેલું. જૂનાં વાસણ, દાદાનું નામ ધરાવતી ક્રૉકરી, દાદાના નામના પ્રથમાક્ષરો CCK ધરાવતી શેતરંજીઓ, પતરાની મોટી પેટીઓ, પપ્પા-કાકાઓ-ફોઈના લગ્નની કંકોત્રીઓ, તેમાં આવેલા ચાંલ્લાની નોટો, જૂનાં પ્રમાણપત્રો…

મમ્મી-પપ્પાનાં લગ્ન વખતની નોટ
દાદાજીના સમયની કીટલી
મારાં મમ્મી ચોક્સાઈનાં જબરાં આગ્રહી. ભારે કામગરાં પણ ખરાં. અત્યારે ૮૨ વર્ષની ઉંમરે પણ તે ખાલી બેઠેલાં ભાગ્યે જ જોવા મળે. જે વસ્તુ જ્યાંથી લીધી ત્યાં જ મૂકવી, એ તેમની પદ્ધતિ. તે બાબતમાં સ્કૂલકાળમાં હું ભારે અવ્યવસ્થિત. તેમને મારી ઘણી ચિંતા થાય. બીરેન મારી સરખામણીમાં ખાસ્સો વ્યવસ્થિત. છ વર્ષ મોટો. વધારે ઠરેલ. તેનામાં પણ સાચવવાના કૌટુંબિક સંસ્કાર હતા. નાનપણમાં તે એક વાર વૅકેશનમાં મુંબઈ કાકાને ઘેર ગયો, ત્યારે પિતરાઈ ભાઈઓ સાથે તેણે જોયેલી અઢળક ફિલ્મોની ટિકિટો ક્યાંય સુધી એક પાકિટમાં સંઘરી રાખી હતી. (એમ તો મેં પણ ‘હેલ્લારો’ની ટિકિટ રહેવા દીધી છે.)

વાચન અને ફિલ્મસંગીતમાં રસ પડવાનું શરૂ થયા પછી મારામાં ખાસ્સો બદલાવ આવ્યો. ફિલ્મસંગીત વિશે ત્યારે ઉપલબ્ધ ટાંચાં સંસાધનો અને આર્થિક મર્યાદાઓ વચ્ચે અમે શોખ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. તેમાંથી નાના પાયે દસ્તાવેજીકરણ શરૂ થયું. રેડિયો પર જૂનાં ગીત સાંભળતી વખતે, જે ગીત ગમે અને અજાણ્યાં લાગે તેની પહેલી લીટી અને બીજી જે કંઈ વિગત સંભળાઈ હોય, તે અમે એક ચબરખીમાં નોંધી લઈએ. એમ કરતાં ઘણી ચબરખીઓ થાય ત્યાર પછી તેમાંથી સંગીતકાર કે ગાયક પ્રમાણે એક કાગળમાં યાદી બનાવીએ. શા માટે? એક આશય એવો કે ભવિષ્યમાં એ ગીતો મેળવવાનાં છે એવી ખબર પડે. એ વખતે ગુગલ નહીં. ફિલ્મી સાહિત્ય નહીંવત્. એટલે આવી યાદીઓ બનાવવાનો ભારે મહિમા હતો. અમારાથી બમણી-ત્રણ ગણી ઉંમરના લોકો પણ મુકેશની ને કિશોરકુમારની ને રફીની ને શંકર-જયકિશનની ને એવી યાદીઓ બનાવતા. બીજો આશય ફક્ત જાણકારીનો. ત્રણ દાયકા પછી પણ, રેડિયો સિલોનની યુટ્યુબ ચેનલ પર ક્યારેક કોઈ ગીતના શબ્દો કાને પડે, ત્યારે અચાનક બત્તી થાય છે, ‘ઓહ, આ તો ચબરખીમાં લખેલું તે.’

ગરમીની રાત્રે બીરેન અને હું પતરાંની અગાસીમાં સૂતા હોઈએ, સાથે રેડિયો હોય. અંધારામાં કાગળ-પેનથી લખતાં ફાવે નહીં. એટલે ચોક સાથે રાખીએ અને કોઈ ગીતની વિગત લખવા જેવી લાગે તો ભીંત પર લખી દઈએ. સવારે ઉઠ્યા પછી તે ચબરખીમાં નોંધી લેવાની. એક વાર તો રાત્રે ભીંત પર એક ગીતના શબ્દો લખ્યા હતા ને અડધી રાત્રે વરસાદ પડતાં ગાદલાં વાળીને અંદર દોડવું પડ્યું. તેમાં ભીંત પર લખેલા ગીતના શબ્દો ભૂંસાઈ ગયા. એ વાત વર્ષો પછી ‘ગુજરાત સમાચાર’ની નીચે કીટલી પર લલિત લાડ સાથે અનાયાસે નીકળી. ત્યારે તે વિભાવરી વર્મા નામે રવિવારની પૂર્તિમાં નવલકથા લખતા હતા અને કદાચ તેમાં આર.જે.ની સ્ટોરી હતી. લખેલું ગીત વરસાદથી ધોવાઈ ગયાની વાતમાં તેમને એટલો રસ પડ્યો કે મને કહીને નવલકથામાં તેમણે એ વાતનો ઉપયોગ કર્યો હતો.

ચાહક-વાચક તરીકે રજનીકુમાર પંડ્યાના સંપર્કમાં આવ્યા પછી તેમની પાસેથી બીજી ઘણી બાબતો ઉપરાંત દસ્તાવેજીકરણ અને ચોક્સાઈના વધુ પાઠ જોઈને શીખવા મળ્યા. તેમને રૂબરૂ મળ્યા પણ ન હતા, ત્યારે એસ.ડી. બર્મન વિશેના અમારા એક પત્રના જવાબમાં તેમણે એસ.ડી.બર્મનનું સંગીત ધરાવતી ફિલ્મોની આખી ફિલ્મોગ્રાફી (ફિલ્મવાર ગીતોની સૂચિ)ની ઝેરોક્સ અમને મોકલી આપી. ત્યારે અમને જાણ થઈ કે હાથે બનાવેલાં લિસ્ટ ઉપરાંત સુવ્યવસ્થિત ફિલ્મોગ્રાફી જેવું પણ હોય છે. રજનીભાઈ પાસેથી જ અમને હરમંદિરસિંઘ ‘હમરાઝે’ સંપાદિત કરેલા ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ વિશે માહિતી મળી. ૧૯૩૧થી ૧૯૮૦ સુધી પાંચ દાયકાના પાંચ ખંડમાં આશ્ચર્યચકિત થઈ જવાય એવું તે દસ્તાવેજીકરણ હતું. તેનો એક નમૂનો અહીં આપું છું. (ફોટો એન્લાર્જ કરીને ઝીણવટથી જોશો તો વધુ ખ્યાલ આવશે.)

ગીતકોશ જોયા પછી ચબરખીઓ બનાવવાની જરૂર ન રહી. ‘હમરાઝ’ છેક ૧૯૭૧થી ‘લિસ્નર્સ બુલેટિન’ નામે એક ત્રૈમાસિક કાઢતા હતા. તેનું અમે લવાજમ ભર્યું. એટલું જ નહીં, ચારસો-સાડા ચારસો રૂપિયા જેટલી, ત્યારે માતબર લાગતી રકમ ખર્ચવાનું નક્કી કરીને તેના બધા જૂના અંક મંગાવી લીધા. અંક તો આવી ગયા, પણ તેમાં ક્યાં શું છે તે શોધવાની બહુ તકલીફ પડતી હતી. એટલે મેં ખપ પૂરતું શું ક્યાં છે તેની યાદી બનાવવાનું શરૂ કર્યું. હું જે કરતો હતો તેને સૂચિ કહેવાય, એ પણ મને ખબર ન હતી. (વર્ષો પછી ‘હમરાઝે’ પોતે ‘લિસ્નર્સ બુલેટિન’ની સંપૂર્ણ સામગ્રીની છાપેલી સૂચિ તૈયાર કરી, ત્યારે અમે તેમને અમારી આદિસૂચિ વિશે વાત કરી હતી.)

રજનીભાઈ પાસે જૂનું ઘણું સચવાયેલું જોવા મળે. તેમાંથી જરૂર પડ્યે બધું મળે જ એવું જરૂરી નહીં. તે હંમેશાં ઉમાશંકર જોશીને ટાંકીને કહે, ‘અહીંથી કશું ખોવાતું નથી ને અહીં કશું જડતું નથી.’ તેમને ત્યાં કામ કરતા હરગોવિંદભાઈ માટે તેમણે એક જોડકણું બનાવ્યું હતું, ‘કરે શું જગતનો નાથ, ફરે જ્યાં હરગોવિંદનો હાથ’. છતાં, હરગોવિંદભાઈના કારણે ઘણું મળી આવતું હતું. રજનીભાઈની પોતાની સાચવણ અને તેમાં નવી ટૅક્નોલોજિનો ઉપયોગ કરવાની તત્પરતા ઘણી. એટલે ડિજિટલ ડાયરી અને રેકોર્ડરવાળા ફોન જેવી સામગ્રી અને દસ્તાવેજીકરણ માટે ટૅક્નોલોજિના ઉપયોગો તેમની પાસે જોયા-જાણ્યા.

લેખન-વાચન-સંગીતની બાબતમાં મારું સંપૂર્ણ ઘડતર બીરેનની સાથે થયું. બીરેન વડોદરા રહેવા ગયો ત્યારે એ ભાગ પૂરો થઈ ચૂક્યો હતો. ત્યાર પછી અમારી વચ્ચેનો સતત સંવાદ અને આદાનપ્રદાન ચાલુ રહ્યાં. પણ મહેમદાવાદનું ઘર મોટું હોવાથી પુસ્તકો, કેસેટ, રેકોર્ડ વગેરે બધું ત્યાં રહ્યું. મારા પત્રકારત્વમાં પ્રવેશ પછી, મારે એની જરૂર વધારે પડશે, એવી સમજથી પણ અમારો સહિયારો ખજાનો મહેમદાવાદમાં રહ્યો. બીરેન નોકરી કરતો હતો ત્યારે ઘરે હોવાને કારણે તેની જાળવણીનું કામ પહેલેથી મારું જ હતું.

હું બીએસ.સી.માં ભણતો હતો ત્યારે બીરેને ‘ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’નું લવાજમ ભર્યું. ત્યાર પહેલાં ઘરમાં અંગ્રેજી છાપું સુદ્ધાં કદી આવતું ન હતું. ગુજરાતી છાપું પણ ખાસ્સો સમય બંધ રહ્યું હતું અને એક પાડોશીને ત્યાંથી વાંચવા લાવવું પડતું હતું. ‘વિકલી’ આવ્યું અને અમારી નવી ઘડાતી સમજમાં મૂલ્યવાન ઉમેરા લાવ્યું. ફોટોગ્રાફી, કળા અને કાર્ટૂનની અમારી જે કંઈ સમજ ખીલી, તેમાં પ્રીતિશ નાંદીના તંત્રીપદ હેઠળના ‘વિકલી’નો બહુ મોટો ફાળો છે. ‘વિકલી’માંથી રસ પડે એવા વિષયનાં પાનાં અમે ફાડી લેતા અને તેની ફાઇલ કે દેશી રીતે ગુંદરથી ચોંટાડીને બાઇન્ડિંગ તૈયાર કરતા. મારિયો મિરાન્ડા અને હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનાં અમે અમારી દેશી રીતે બાઇન્ડિંગ તૈયાર કર્યાં હતાં, જેથી સાચવવામાં અને ઉપયોગ કરવામાં સુવિધા રહે. શરૂઆતની મુલાકાતોમાં એક વાર એ બાઇન્ડિંગ અમે મોરપરિયાને બતાવ્યું, ત્યારે તે પણ ચકિત થઈ ગયા હતા. ત્યારે તે રેડિયોલોજિસ્ટ તરીકે ચોપાટી પર એન.એમ. મેડિકલમાં બેસતા હતા. ત્યાં કામ કરતા એક ભાઈને તેમણે ઉત્સાહથી અમારું બાઇન્ડિંગ બતાવતાં કહ્યું હતું, ‘આ લોકોએ મારા કાર્ટૂનનાં કમ્પાઇલેશન કર્યું છે.’
હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનું અમે તૈયાર કરેલું સંકલન અને તેની પર મોરપરિયાએ તેમના કૅરિકેચર સાથે કરી આપેલા હસ્તાક્ષર, ૧૯૯૨
મોરપરિયાની જેમ 'વિકલી'માંથી જ તૈયાર કરેલું મારિઓ મિરાન્ડાનાં કાર્ટૂનનું સંકલન
સૌથી પહેલાં ક્રિકેટમાં ઘણો રસ હતો. ત્યારે છાપાંમાંથી ક્રિકેટને લગતા સમાચારનાં કટિંગ કરીને એક ફાઇલમાં રાખતા. ‘દૂરદર્શન’ પર ‘બૉડીલાઇન’ સિરીઝ શરૂ થઈ ત્યારે ‘ગુજરાત સમાચાર’માં બૉડીલાઇનની ટેસ્ટ સિરીઝ વિશે લેખમાળા આવી હતી. તેનાં પણ કટિંગ રાખ્યાં હતું. તેમાં લેખકનું નામ છેલ્લા ભાગમાં આવ્યું હોવાથી તે મનમાં નોંધાયું ન હતું. પણ પછી નગેન્દ્રભાઈ સાથે કામ કરતી વખતે જાણ થઈ કે એ લેખમાળા તેમણે લખી હતી.  ‘આવું બધું રાખીને શું કરવાનું?’ એવો સવાલ કોઈએ કર્યો ન હતો અને અમને થયો ન હતો. મઝા આવતી હતી. કંઈક સાર્થકતા લાગતી હતી. એટલું પૂરતું હતું. કટિંગ ભેગાં કરવાનુ્ં વાતાવરણ ઘરમાં ન હતું. એ અમારાથી શરૂ થયું
નગેન્દ્ર વિજયે ગુજરાત સમાચારમાં લખેલી ત્રણ ભાગની શ્રેણીનો પહેલો ભાગ
જુદી જુદી ક્રિકેટ ટીમના ક્રિકેટરોની જન્મતારીખની બીરેને તૈયાર કરેલી યાદી. તેમાં પાછળથી મેં કેટલાક ઉમેરા કર્યા હતા. આ પાનાંની પાછળ વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનના ક્રિકેટરોની જન્મતારીખો લખેલી છે.
વાંચવાનું શરૂ થયા પછી અમારું પત્રલેખન શરૂ થયું. ગમતા અને નહીં ગમતા કટારલેખકો સાથે પત્રવ્યવહાર થયો. બીરેન આઇ.પી.સી.એલ.માં કામ કરે અને વડોદરાથી મહેમદાવાદ આવ-જા કરે. એટલે ઘણી વાર પત્રોનો ખરડો હું લખી રાખું. પછી અમે બંને મળીને તેને ફાઇનલ કરીએ અને અમારાં સંયુક્ત નામથી પત્ર જાય. એવા પત્રોના ખરડા પણ ફાડીને ફેંકી દેવાને બદલે અમે તે એક ફાઇલમાં રાખતા હતા. (ફાઇલ એટલે કાણાં પાડીને ફાઇલ કરવાનાં એમ નહીં, પણ તેમાં છૂટા કાગળ સ્વરૂપે રહેવા દેવાના.) એ ફાઇલ હજુ છે. એવી જ રીતે, ઘરે આવતા મિત્રોના પત્રો પણ સાચવીને રાખવાનું શરૂ કર્યું. આશય એટલો જ કે ભવિષ્યમાં ક્યારેક વાંચવાની મઝા આવે. બિનીત મોદીના અને હરીશભાઈ રઘુવંશીના ત્રણેક દાયકા પહેલાંના પત્રોનો મોટો જથ્થો અને બીજા ઘણા પત્રો હજુ સચવાયેલા છે. નવા બનેલા મિત્રોમાં ટૅક્નોલોજિને કારણે પત્રલેખન લગભગ બંધ થયું. છતાં નિશા કે આરતી જેવાં મિત્રોએ ચહીને પત્ર લખ્યો હોય અથવા ક્યાંકથી કાર્ડ મોકલ્યું હોય તો તે પણ આ ખાનામાં જમા છે.
પત્રકારત્વમાં આવ્યા પછી સાચવણીની સામગ્રીનો વ્યાપ વધ્યો. ઘર જૂનું અને મોટું હતું. એટલે જગ્યાની અનુકૂળતા પણ હતી. બરાબર યાદ છે, ‘અભિયાન’ના ગાળામાં કે તે છોડ્યા પછી તરતના અરસામાં એક વાર દીપક (સોલિયા) અને હેતલ (દેસાઈ) મહેમદાવાદના ઘરે આવ્યાં હતાં. ઘરના ઉપરના માળે જૂના દાદર પર ‘અભિયાન’ના અંકોની થપ્પી પડેલી હતી. તે જોઈને દીપકે હસતાં હસતાં પૂછ્યું, ‘ક્રમમાં ગોઠવેલાં તો નહીં જ હોય ને?’ મેં કહ્યું, ‘બિલકુલ ક્રમમાં જ છે. એમાં મેં કશું કર્યું નથી. હું તો નવો અંક આવે એટલે તેને જૂના અંકની ઉપર મૂકતો હતો, બસ.’ તેમાં એક ઉમેરો એટલો કે વચ્ચેથી કોઈ અંક લીધો હોય અને તે પાછો મૂકવાનો થાય, ત્યારે તેની જગ્યાએ જ મૂકવાની પદ્ધતિ રાખી હતી.
 
પત્રકારત્વમાં આવ્યા પછી શરૂઆતમાં ફક્ત જૂનાં ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’નાં કટિંગ હતાં. વિષયોની પણ કમી રહેતી. રસના વિષય મર્યાદિત હતા. પરંતુ ‘સીટીલાઇફ’માં નગેન્દ્રભાઈ સાથે કામ કર્યા પછી વિષયો સૂઝવા લાગ્યા. અનેક બાબતોમાં, કમ સે કમ લખવા પૂરતો, રસ પડતો થયો. તે વખતે મેં જોયું કે નગેન્દ્રભાઈ પાસે તેમનાં અને તેમના પિતા વિજયગુપ્ત મૌર્યના સમયનાં કટિંગનો મોટો ખજાનો હતો. ત્યારે પણ મને એટલું સમજાતું હતું કે કટિંગ તો કાંતિ ભટ્ટ પાસે પણ હતાં ને નગેન્દ્ર વિજય પાસે પણ. ફક્ત કટિંગથી ઉત્તમ પત્રકારત્વ ન થઈ શકે. માહિતી અને વિગતો બેશક જોઈએ. પણ ઘણું મહત્ત્વ તેને સમજવાની, સરળતાથી સમજાવવાની અને સારી રીતે લખી શકવાની આવડતનું હોય છે, જે નગેન્દ્રભાઈની હતી. એટલે તેમની નકલ ખાતર કે અંજાઈને નહીં, પણ એક પદ્ધતિ તરીકે-અભિગમ તરીકે મને થયું કે મારે મુખ્યત્વે લેખો લખવાના હોય (રિપોર્ટિંગ કરવાનું ન હોય) તો મારી પાસે કટિંગ હોવાં જોઈએ.

એ અરસામાં, ‘સંદેશ’ની બીજી ઇનિંગ વખતે, મારી પાસે દેશનાં સાત સારાં અંગ્રેજી પેપર આવતાં હતાં. ઉપરાંત, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ઘરે આવતાં. તેમાંથી મેં કટિંગ રાખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે જથ્થો વધતો ગયો, તેમ હું વિષયવાર કાગળની કોથળીઓમાં કટિંગ મુકતો ગયો. એક તબક્કો એવો આવ્યો કે મારી પાસે આશરે સવાસોથી દોઢસો વિષયનાં કટિંગ હતાં. તેમાં આઇ.ટી.ને લગતી જ પંદર-વીસ કોથળીઓ હશે. જેમ કે, સર્ચ એન્જિન, સર્વિસ પ્રોવાઇડર, ઇ-કોમર્સ, વાયટુકે, ડૉટ કૉમ બબલ, અવનવી વેબસાઇટો, ‘હિંદુ’માં આવતી ‘નેટસ્પીક’ કોલમ… ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’માં એ વખતે ICE નામની પૂર્તિ આવતી હતીઃઇન્ટરનેટ, કમ્યુનિકેશન, એન્ટરટેઇનમેન્ટ. તે આખેઆખી પૂર્તિઓ હું રાખી મૂકતો હતો. છાપાંમાં સમાચારની આસપાસ હું લીટીઓ દોરી દેતો. મમ્મી કે સોનલ તે કાપીને તેની પર તારીખ લખીને પ્લાસ્ટિકની એક કોથળીમાં મુકી દેતાં. એવો મોટો જથ્થો ભેગો થાય, બે-ત્રણ કોથળીઓ ભેગી થાય, એટલે એક દિવસ સવારથી હું કટિંગ ગોઠવણીનું મહાઅભિયાન આદરતો. તેના વિશે પત્રકારત્વની સફરમાં લખ્યું છે. એટલે પુનરાવર્તન કરતો નથી.

સમાચારો ઉપરાંત છાપાંની ઑફિસમાં અને જીવનમાં પણ બનતી ઘણી બધી ઘટનાઓનો રેકોર્ડ રાખવાની મને ટેવ હતી. તેનો સીધો ઉપયોગ કરવાનો કશો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયામાં રસ પડે અને પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ આપણે ત્યાં મોટે ભાગે ન હોય. એટલા માટે પણ હું પ્રક્રિયા સાથે સંકળાયેલી, મામુલી લાગતી ચીજો જાળવી રાખવા પ્રયાસ કરું. કોઈ વ્યક્તિ, સંસ્થા કે ક્ષેત્રની લાક્ષણિકતા વ્યક્ત કરતું કંઈ હાથમાં આવે અને મને તે રાખવા જેવું લાગે, તો તે પણ રાખી મુકું. તેની મહાનતાનો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયાની યાદગીરીનો આશય હોય.

તે અભિગમને કારણે ‘સીટીલાઇફ’ના અંકો કાઢતી વખતે ડાયરીમાં બનાવેલાં શીડ્યુલ કે ‘આરપાર’ના વિશેષાંકોના વિચાર વખતે કરેલી રાઇટિંગ પૅડમાં કરેલી કાચી નોંધો સચવાઈ રહ્યાં છે. એવું જ કેટલીક ચિઠ્ઠી-ચબરખીઓ વિશે. અમુક રસપ્રદ ચિઠ્ઠી-ચબરખીઓને જાળવી રાખવા જેવી લાગે, એટલે તેમને રાખી લઉં. તેમને અમુક સમયગાળાના ફોલ્ડરમાં મુકી દઉં. જેમ કે, અભિયાન, સીટીલાઇફ, સંદેશ એવા સમયગાળાનાં એક કે વધુ ફોલ્ડર હોય. ‘અભિયાન’માં થોડો સમય રિપોર્ટિંગ કરેલું તે વખતની નોટો પણ છે. ડાયરી, પૅડ, નોટો બધું જાળવી રાખ્યું હોય અને ચોક્કસ ઠેકાણે તેનો થપ્પો મૂક્યો હોય. જરૂર પડે ત્યારે એ થપ્પામાંથી થોડું ફેંદતાં મોટે ભાગે મળી આવે. ૨૦૦૫ પછી ઑફિસોમાં અંતરંગ રીતે કામ કરવાનું બંધ કર્યું. એટલે ત્યાર પછીની એવી ચીજો ખાસ નથી.
પાંચેક વર્ષની રોજનીશીઓ અને પત્રકારત્વમાં અંદરથી કામ કરતો હતો ત્યારની નોટો-પેડ અને બીજી સામગ્રી
રોજિંદી ડાયરી લખવાનું શરૂ કર્યું, તે પણ દસ્તાવેજીકરણ માટે બહુ ઉપયોગી બન્યું. તે ટેવ વાચનના અને પત્રલેખનના પ્રેમની સાથે આવી હતી. તે સમયે ઘણા લોકો ડાયરી રાખતા હશે. એટલે તેમાં કશી મૌલિકતા ન હતી. પણ લખવાની વૃત્તિને લીધે હું વિગતવાર લખતો હતો. ૧૯૯૧માં ગુજરાત રિફાઇનરીના એપ્રેન્ટિસ તરીકે તાલીમ લેવા માટે છ મહિના મુંબઈ રહ્યો હતો, ત્યારે અમે થોડા મિત્રો બે દિવસ માટે માથેરાન ગયા હતા. તે પ્રવાસની ઘણી વિગતો નોંધાયેલી છે. એક વાર અમે એલિફન્ટા ગયા હતા. તે પ્રવાસની ટિકિટ પણ યાદગીરી માટે ડાયરીના પાછળના ફોલ્ડમાં રહેવા દીધી હતી.

પત્રકારત્વમાં આવ્યા પછી પ્રિય લોકોને વારંવાર મળતો હતો, પત્રકારત્વમાં અને જીવનમાં ઘણું બનતું હતું. તે થોડુંઘણું ડાયરીમા નોંધાયું. તેમાંથી ઘણુંખરું પ્રગટ પણ નહીં થાય. છતાં, મારા માટે તે જૂના પત્રો જેવું જ, રોમાંચપ્રેરક અને ટાઇમટ્રાવેલ કરાવનારું છે.

સાચવણ-દસ્તાવેજીકરણ પાછળ રહેલો વધુ એક અભિગમ એ કે વ્યક્તિની મહત્તા સમજવા માટે હું તેમના મૃત્યુ સુધી રાહ જોતો ન હતો. ચાલુ વર્તમાનકાળમાં મને જે મહત્તાપૂર્ણ કે ગુરુજન કે ગાઢ મિત્ર પણ લાગે, તેમની સહજતાથી મળતી ચીજોમાંથી કેટલીક હું સાચવવાની કોશિશ કરું. રજનીકુમાર પંડ્યાનું વ્યક્તિત્વ ઉજાગર કરતી કોઈ ચિઠ્ઠી, ‘સીટીલાઇફ’માં જાહેરખબર મેળવવા માટે નગેન્દ્ર વિજયે અંગ્રેજીમાં તૈયાર કરેલું લખાણ કે તેમણે લખીને ચેકો મારેલું કોઈ ગુજરાતી લખાણ, ‘અભિયાન’ જૂથના બપોરના અખબાર ‘સમાંતર’માં હસમુખ ગાંધીએ લખેલો અને પછી વધુ પડતો અંગત પ્રહારાત્મક હોવાથી રદ કરાયેલો તંત્રીલેખ… આવું ઘણું મને મળે તો હું તે સાચવી રાખું.

આઇ.પી.સી.એલ.માં બીરેનના પહેલા પગારમાંથી છ પુસ્તકો અને પછી બે ઑડિયો કૅસેટ ખરીદી, તે પુસ્તક અને સંગીતના સંગ્રહની શરૂઆત. પહેલેથી નક્કી હતું કે સંગ્રહ ખાતર સંગ્રહ કે ‘અમારી પાસે આટલા હજાર પુસ્તકો છે કે તેટલા હજાર ગીતો છે’—એવા ફાંકા મારવા માટે કશું કરવાનું નથી. સંગ્રહના આંકડા ફેંકનારા પ્રત્યે મને હંમેશાં અભાવ રહ્યો. ધીમે ધીમે અમારી પાસેનાં પુસ્તકો વધતાં ગયાં, તેમ કબાટ ઉમેરાતાં રહ્યાં. એવું જ ઑડિયો કેસેટ, એલ.પી. અને સીડીનું. મોટા ભાગનું વીણીચૂંટીને ખરીદેલું. ઘણું સેકન્ડ હેન્ડમાંથી. કોઈની પાસેથી મળ્યું, તેમાં પણ બને ત્યાં સુધી પસંદગી જાળવી. એટલે સાવ નકામું હોય એવું તો બહુ ઓછું. કેટલોક કચરો કચરાના નમૂના તરીકે રાખેલો ખરો.

બધાં પુસ્તકોનું વિષય પ્રમાણે અને લૉજિક પ્રમાણે જાડું વિભાગીકરણ કર્યું હતું. કેસેટોમાં સંગીતકારો પ્રમાણે, ગાયકો પ્રમાણે. ફિલ્મોમાં પણ એક સંગીતકારની ફિલ્મોની કેસેટ-રેકોર્ડ એક સાથે હોય એવી પદ્ધતિ રાખી. એટલે મોટો જથ્થો થયા પછી પણ, જોઈતી વસ્તુ મોટે ભાગે મળી રહે. વસ્તુ સાચવવી તે એક વાત છે અને જોઈએ ત્યારે મળે તે બીજી. તેના માટેની મુખ્ય ચાવી એ જ હોય છે કે તેને મૂળ જગ્યાએ પાછી મૂકવામાં આળસ ન કરવી. થોડી તસ્દી લઈને તેને જ્યાંથી લીધી ત્યાં જ મુકીએ તો, બીજી વાર તે તેની જગ્યાએથી જ નીકળે. તેમાં કશું સંશોધન નથી. બધા જાણે જ છે. સવાલ આળસને કામચલાઉ ધોરણે કોરાણે મુકવાનો હોય છે.

વધુ પુસ્તકો થયા પછી, કબાટનાં ખાનાં પ્રમાણે પુસ્તકોની સૂચિ કરવાની રીત વધારે વૈજ્ઞાનિક હોય છે. તેના થકી, કમ્પ્યુટરની યાદીમાં પુસ્તકનું નામ જોઈને, એ પુસ્તક કયા કબાટના કયા ખાનામાં હશે, તે શોધી શકાય. પણ હું પહેલેથી ‘ઑર્ગેનિક’ રીતમાં ગયો. એટલે ચોક્કસ પ્રકાર, લેખકો અને તર્ક પ્રમાણે પુસ્તકો ગોઠવાતાં ગયાં. ત્યાર પછી વૈજ્ઞાનિક રીત અપનાવવાનું ન થયું. થોડાં વર્ષ પહેલાં એક વાર રતિલાલ બોરીસાગરના ઘરે ગયો, ત્યારે તેમણે કબાટોમાં ગોઠવેલાં પુસ્તક દેખાયાં. બધાં પુસ્તક પર તેમણે ખાખી પૂઠાં ચડાવ્યાં હતાં અને પુસ્તકની પીઠ પર નામ લખેલાં હતાં. ગોઠવણની રીતે એ બહુ વ્યવસ્થિત લાગતું હતું. છતાં, મેં બોરીસાગરસાહેબ સાથે શિષ્યભાવે એવો ધોખો કર્યો હતો કે પુસ્તકનાં ટાઇટલ ઢાંકીને તેમને વ્યવસ્થિત રાખવાનો શો અર્થ? પુસ્તકના દેખાવનો પણ એક અહેસાસ હોય છે. ઘણી વાર કોઈ પુસ્તક કે કોઈ ચીજવસ્તુ શોધવાની થાય ત્યારે સૌથી પહેલાં મનમાં તેનો દેખાવ આવે છે—ઘણી વાર તો તેની સંભવિત જગ્યા સહિત.

ક્યારેક એવું પણ થાય કે પુસ્તક કે કટિંગ મનમાં દેખાતું હોય, પણ બહાર મળે નહીં. તે વખતે બહુ અકળામણ થાય. જૂનું ઘર ઉતાર્યું અને એ જ જગ્યાએ નવું ઘર થયું, તેની હેરફેરમાં કેટલીક ચીજો ગઈ તે ગઈ. પ્લાસ્ટિકની પારદર્શક સફેદ કોથળીમાં પૅક કરેલું માચિસની જૂની છાપોનું બંડલ, નાનપણમાં જેનાથી રમતા હતા તે ફિલ્મના ફોટા, નાની પટ્ટીઓ, છેક માથા સુધી લખોટીઓથી ભરેલો ‘નાયસિલ’નો વાદળી રંગનો ભૂરા ઢાંકણાવાળો ઊભો ડબ્બો, તેની અંદર રહેલી રંગબેરંગી લખોટીઓ, જેને અમે ‘કંચા’ કહેતા હતા… આ બધું મનમાં દેખાય છે, પણ ઘરમાં મોજૂદ નથી.

કૌટુંબિક પરંપરા સાચવણીની હતી. બીરેને અને મેં તેમાં દસ્તાવેજીકરણનું પડ ઉમેર્યું. તે પ્રક્રિયા પ્રકૃતિ બની હોવાથી હજુ ચાલુ જ છે અને ચાલુ રહેશે. આ કામમાં રોમેન્ટિક કશું નથી. તે વૃત્તિ ઉપરાંત મહેનત અને સમય માગે છે. તે કરવામાં કે ન કરવામાં કશી ધાડ મારવાની નથી. એટલે કે, કરનારા કશી કમાલ નથી કરતાં અને ન કરનાર કશો ગુનો નથી કરતાં. એવી જ રીતે, આ કરનારા બધા નવરા નથી થઈ જતા અને ન કરનાર ક્રિએટીવ નથી થઈ જતા. આ કામ કરવામાં રસ, પ્રાથમિકતા, કરનારના મનમાં વસેલી તેની મહત્તા, પરિપ્રેક્ષ્ય, ચોક્કસ દૃષ્ટિ, તેનો યોગ્ય ઉપયોગ...આ બધાં પરિબળો બહુ અગત્યનાં છે. તે સિવાયનો નકરો સંગ્રહ બીજા કોઈ પણ સંગ્રહ જેવો, અહમ્ પુષ્ટ કરનારો પણ સરવાળે નિરર્થક ઢગલો બની રહે. પરંતુ આગળ જણાવેલી રીતે સંગ્રહ કર્યો હોય તો તેમાંથી આનંદ મેળવવા માટે કોઈનાં વખાણની કે કોઈની પીઠથાબડની જરૂર નથી પડતી. પુસ્તકોના આંકડા કે ફિલ્મોની સંખ્યા કે કેસેટ-સીડી-ડીવીડીનો જથ્થો ફેંકવાની પણ જરૂર નથી પડતી. તે ચીજો પોતે જ આનંદ અને રોમાંચ આપવા સક્ષમ છે. 

સંદેશાવ્યવહારનાં અને કામકાજનાં માધ્યમો ડિજિટલ થયા પછી પુસ્તકો સિવાય બીજી ચીજો ઉમેરાવાનું પ્રમાણ ઘટ્યું છે. દસ્તાવેજીકરણ ડિજિટલ સ્વરૂપે ચાલુ જ છે, પણ હાથથી સ્પર્શી શકાય એવી ચીજોનો અહેસાસ જુદો હોય છે. આ લેખ હાથેથી લખ્યો હોત તો તેના એકાદ-બે ડ્રાફ્ટ થયા હોત અને કાગળ પર પડેલા હસ્તાક્ષરની પણ એક મઝા હોત. વીસ વર્ષ પછી તે જોવાનો રોમાંચ હોત. હસ્તાક્ષરની મઝા ચાલુ રહે તે માટે ક્યારેક ડાયરી લખું છું, જેથી ક્યારેક વીસ વર્ષ પહેલાંની ડાયરી જોતાં નીપજે છે, એવો રોમાંચ ભવિષ્યમાં પણ મળી શકે.