Thursday, February 26, 2026
મુદ્દા, પ્રમાણભાન અને ચર્ચા-મથનની અછત
દેશની સામે રહેલા અને આ સરકારે ઊભા કરેલા કેટલા બધા સળગતા મુદ્દા વિશે ઠરીને, સળંગ કશી ચર્ચા જ થઈ શકતી નથી. અંગ્રેજીમાં જેને ડિસ્કોર્સ કહેવામાં આવે છે, એવાં ચર્ચા-મંથન સામાન્ય રીતે પ્રસાર માધ્યમો ચલાવતાં હોય છે.
સોશ્યલ મિડીયા પર ચર્ચાના નવા મુદ્દા રોજેરોજ અને ક્યારેક તો દિવસમાં બે-ત્રણ વાર ઉભરે છે, પણ તેમાંથી મોટા ભાગના ઉભરાની જેમ ઉભરે છે ને પછી બેસી જાય છે--પછી તે ગંભીર હોય કે કામચલાઉ.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી આવા મુદ્દાની યાદી બનાવીએ તો આરામથી પુસ્તક લખાઈ જાય. પણ બીજાં ગમતાં અનેક કામ અને પુસ્તકોનાં કામ ચાલતાં હોય, ત્યાં આવા ગંદવાડમાં હાથ નાખવાનો કંટાળો આવે છે. નોટબંધી પછી બધું સમુંસૂતરું કરવા માટે સો દિવસની મુદત માગી હતી ત્યારથી રોકડનું ચલણ નોટબંધીના સમય કરતાં ઘણું વધારે થઈ ચૂક્યું છે, ત્યાં સુધીની એક સાદી ટાઇમલાઇન આપીએ તો, તેમાં વડાપ્રધાનની દેખીતી અને જાહેર અણઆવડત અને બેશરમી ઉપરાંત, ઘણા લોકોની આંધળી ભક્તિને પણ તેમાં સામેલ કરવી પડી.
પ્રસાર માધ્યમો આ સહેલાઈથી કરી શકે, પણ તેમને ભય કે લાલચ કે બંનેથી ફૂંકી ફૂંકીને પાણી પીવું પડે છે. થોડી ટીકા, થોડી ભક્તિ--એ મોડેલ કેટલાંકે અપનાવ્યું છે. કેટલાકે થોડી ટીકા, ઝાઝી ભક્તિ ચાલુ રાખી છે. પણ અફસોસ એ વાતનો છે કે દેશહિતને ધ્યાનમાં રાખીને જે પ્રકારની ફોલો અપ સ્ટોરી થવી જોઈએ તેનું વાતાવરણ નથી રહ્યું અને કરવા દેનારા પણ નથી રહ્યા. થોડા સમય પહેલાં એક સ્નેહી મિત્રે સ્ટીંગ ઓપરેશન કરીને અમુક વિગતો બહાર પાડવા સૂચવ્યું અને એ માટે બધો ખર્ચ આપવાની તૈયારી બતાવી, ત્યારે તેમને કહેવું પડ્યું હતું કે લોકો આંખ સામે ઉઘાડેછોગ દેખાતું હોય, તે જોવા રાજી નથી, ત્યાં સ્ટીંગ ઓપરેશનનો કશો મતલબ નથી.
હું છાપું કે સાપ્તાહિક કાઢતો હોઉં તો તેના મથાળે રોજ (કે દર અઠવાડિયે) આટલું જરૂર લખું.
ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ ન કર્યાનો આજે ---મો દિવસ.
પણ આવું વાંચીને હવે મોદીભક્તો એવી દલીલ કરે છે કે પ્રેસ કોન્ફરન્સ કરવાની શી જરૂર? આવા લોકો સાથે કશી તાર્કિક વાતની કે સંવાદની પણ ભૂમિકા રહેતી નથી. તેમને સારા મનોચિકિત્સકને દેખાડવાની સલાહ પણ આપી શકાતી નથી. કેમ કે, એ સ્વીકારવા જેટલી સ્વસ્થતા પણ આ મુદ્દે તેમનામાં હોતી નથી. તેમાં કેટલાંક પ્રિયજનો પણ હોઈ શકે છે. તેમનું આ સહસ્ત્રમુખ માનસિક પતન જોવાની તેમ જ દેશના વર્તમાન તેમ જ ભવિષ્યનો જે દાટ વળી ચૂક્યો છે, તે જોવાની પીડા દરેક ઠેકાણાસરના માણસે વેઠવાની આવે છે. તે આમ અંગત નથી હોતી. એટલે, અંગત જીવનની પ્રસન્નતા કે તેના સુખમાં તેનો ઓછાયો પડતો નથી, પણ જાહેર જીવન વિશે નિસબત ધરાવતા નાગરિક તરીકે આ ગાળો ક્યારનો કટોકટીના કાળા સમયને વટીને, તેનાથી ક્યાંય આગળ નીકળી ચૂક્યો છે. તે આવતો દેખાતો હતો, આવી ગયેલો અને ઠરી ચૂકેલો દેખાયો અને હવે તેનાં માઠાં પરિણામ કોમન સેન્સથી જોઈ ને ભાખી શકાય એમ છે.
આવી સ્થિતિમાં અગત્યના અને બિનઅગત્યના, કાયમી અને રોજિંદા મુદ્દા અલગ પાડીને, બંનેની અલગ ગંભીરતાથી, અલગ વજન સાથે અને અલગ સાતત્ય સાથે ચર્ચા થાય તે બહુ જરૂરી છે, પણ તે થઈ રહ્યું નથી તે ઊંડા ખેદની વાત છે.
Labels:
media,
social media,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment