Showing posts with label anna hazare. Show all posts
Showing posts with label anna hazare. Show all posts

Wednesday, August 27, 2014

બે ઉપવાસી : ઇરોમ શર્મિલા, અન્ના હજારે

સમાચારોમાં જેના અસ્તિત્ત્વની ભાગ્યે જ નોંધ લેવાય છે એવું મણિપુર આજકાલ બે પ્રતાપી મહિલાઓને કારણે મુખ્ય ધારાના સમાચારોમાં છે : બોક્સર મેરી કોમ/ Mary Kom અને ઉપવાસી ઇરોમ શર્મિલા ચાનુ/ Irom Sharmila Chanu

મેરી કોમના જીવન પરથી કમર્શિયલ હિંદી ફિલ્મ રજૂ થઇ રહી છે, જેમાં પ્રિયંકા ચોપડા જેવી જાણીતી અભિનેત્રી મેરી કોમની ભૂમિકા ભજવે છે. મેરી કોમ ઓલિમ્પિકમાં કાંસ્યચંદ્રક જીતીને ‘ભારતનું ગૌરવ’ બન્યાં ત્યાર પહેલાં- અને હજુ પણ- ઇશાન ભારતનાં રાજ્યોના ભારત સાથેના સંબંધ સુમેળભર્યા નથી. ‘ભારત’ના લોકો ઇશાન ભારતનાં ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં રાજ્યોનાં, જુદાં ચહેરામહોરાં ધરાવતા લોકો સાથે પોતાના દેશવાસીઓ જેવો વ્યવહાર કરતા નથી. (એ હકીકતનો ઉલ્લેખ રમતગમત આધારિત બીજી ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં પણ કરવામાં આવ્યો હતો.)

આ ઉપેક્ષા સામે ઇશાન ભારતનાં રાજ્યોમાં ઘણો કચવાટ જોવા મળે છે. તે એટલી હદ સુધી કે મેરી કોમના જીવન પર આધારિત ફિલ્મ ખુદ મેરી કોમના રાજ્ય મણિપુરમાં રજૂ નહીં થાય. કારણ કે મણિપુરમાં બમ્બૈયા હિંદી ફિલ્મો માટે થિએટરોના દરવાજા બંધ હોય છે. ત્યાંનાં અલગતાવાદી સંગઠનો હિંદી ફિલ્મોને ‘સાંસ્કૃતિક આક્રમણ’ તરીકે જુએ છે અને તેનાથી ભડકે છે.

આવા અંતિમવાદની ટીકા થવી જ જોઇએ અને એ કરવી બહુ સહેલી છે, પણ એ સિક્કાની બીજી બાજુ છે : ઇરોમ શર્મિલા. ભારત સરકારના કાનૂની અંતિમવાદ સામે તે ૧૪ વર્ષથી ઝઝૂમી રહ્યાં છે. તે ઉપવાસ પર છે, એવું ટેક્‌નિકલી ન કહી શકાય. કારણ કે પોલીસ અને સરકાર તેમના નાકમાં નળીઓ નાખીને બળજબરીથી શર્મિલાને પ્રવાહી ખોરાક આપીને જીવાડી રહ્યાં છે. પરંતુ શર્મિલાએ ૧૪ વર્ષથી પોતાના હાથે અન્નનો કોળિયો સુદ્ધાં મોંમાં મૂક્યો નથી. તેમની માગણી છે કે મણિપુરમાં ભારતીય લશ્કરને અમર્યાદ સત્તા આપતો અત્યાચારી કાયદો નાબૂદ થાય.

અત્યાર લગી મણિપુરની સરકાર ઉપવાસી શર્મિલા સામે આપઘાતના પ્રયાસની કલમ લગાડીને તેમની ધરપકડ કરતી હતી. આ ‘ગુના’ માટે એક વર્ષની સજા હોય. વર્ષ પૂરું થાય, એટલે શર્મિલા મણિપુરના પાટનગર ઇમ્ફાલની હોસ્પિટલની બહાર આવે અને હોસ્પિટલની સામે જ ઊભી કરાયેલી વાંસની ઝૂંપડીમાં રહે. ત્યાં સાવ પ્રાથમિક સુવિધાઓ સિવાય બીજું કંઇ ન હોય, પણ શર્મિલા હોસ્પિટલમાં હોય ત્યારે તેમને નૈતિક ટેકો બતાવનારા લોકો વર્ષ ૨૦૦૮થી એ ઝૂંપડીમાં રહીને પોતાનું આંદોલન ચલાવે છે.

શર્મિલાને હોસ્પિટલની બહાર ઝાઝું રહેવાનું ન બને. કારણ કે ત્યાં પણ તેમના ઉપવાસ ચાલુ રહે. એટલે ટૂંક સમયમાં પોલીસ ફરી આત્મહત્યાના પ્રયાસના ગુનાસર તેમની ધરપકડ કરે અને તેમને ઇમ્ફાલની હોસ્પિટલમાં કેદી-દર્દી તરીકે મોકલી દેવામાં આવે. છેલ્લા ૧૪ વર્ષથી ચાલતા શર્મિલાના ઉપવાસ-ધરપકડ-કેદના સિલસિલા પછી ગયા સપ્તાહે ઇમ્ફાલની અદાલતે ચુકાદો આપ્યો કે ઇરોમ શર્મિલા સામે આત્મહત્યાના પ્રયાસનો ગુનો બનતો નથી. માટે તેમને મુક્ત કરવામાં આવે. તેમના આરોગ્યની કાળજી અદાલતે સરકારના માથે નાખી.

આફસ્પા’નો આતંક

ઇરોમ શર્મિલાના સમર્થકો અને માનવ અધિકાર માટેના લડવૈયાઓએ અદાલતના આ ચુકાદાને નાનકડી છતાં નૈતિક જીત તરીકે જોયો છે. પરંતુ તેનાથી શર્મિલાની લડાઇનો અંત આવવાનો નથી. આ લખાય છે ત્યારે વઘુ એક વાર મહિલા પોલીસ દ્વારા તેમને લઇ જવાયાં હોવાના સમાચાર છે.

પરંતુ ગમે તે સંજોગોમાં શર્મિલાનું ઉપવાસ-આંદોલન ચાલુ રહે છે. કારણ કે તેમની લડત મણિપુરમાં લાગુ કરાયેલા ‘આર્મ્ડ ફોર્સીસ (સ્પેશ્યલ પ્રોવિઝન્સ) એક્ટ’ - ‘આફસ્પા’- સામે છે. પોતાના ઉપવાસ માટે શર્મિલા ‘આમરણ’ જેવું વિશેષણ પણ વાપરતાં નથી. એ કહે છે કે જે દિવસે ભારત સરકાર ‘આફસ્પા’નો અત્યાચારી કાયદો મણિપુરમાંથી ઉઠાવી લેશે, એ દિવસે પોતે ઉપવાસ તોડશે.

શર્મિલા બહુ સરળતાથી અને વિશ્વાસથી આવું કહે છે. પરંતુ મણિપુરમાંથી ‘આફસ્પા’ નાબૂદ થાય તે એટલું સહેલું નથી. ભારત સરકાર અને ભારતીય સૈન્ય ‘આફસ્પા’ને મણિપુર પર કાબૂ રાખવા માટે અનિવાર્ય માને છે. મણિપુરનાં અલગતાવાદી સંગઠનોને ભારત સરકાર સામે ઘણા વાંધા છે. એ વાંધા વાજબી હોય તો પણ ભારતથી અલગ થવાની તેમની માગણી સ્વીકાર્ય ન જ બને. પરંતુ ઇરોમ શર્મિલા અને તેમના જેવી બીજી ઘણી મહિલાઓ અલગ મણિપુરની માગણી કરતી નથી. તેમની દલીલ એટલી જ છે કે ભારતીય લશ્કરને બેરોકટોક મનમાની માટેનો પરવાનો આપતો ‘આફસ્પા’ મણિપુરમાંથી જવો જોઇએ અને મણિપુરના લોકોને પૂરા અધિકારથી અને સ્વમાનથી જીવવાનો અધિકાર મળવો જોઇએ.

ભારતીય સૈન્યની દલીલ છે કે ‘આફસ્પા’ અંતર્ગત મળે છે એવી અબાધિત સત્તા ન હોય તો મણિપુરના અલગતાવાદીઓને અંકુશમાં રાખી શકાય નહીં. જોકે, બંદૂકની પાછળની બાજુએ રહેલા લોકોની દલીલ આવી જ હોય. પરંતુ વિશાળ સત્તાઓ મળે ત્યારે તેના દુરુપયોગની - અને એ દુરુપયોગને કારણે પરિસ્થિતિ ન સુધરવાની કે વણસવાની- સંભાવનાઓ ઘણી વધી જાય છે. કાશ્મીરની જેમ મણિપુર પણ તેનું ઉદાહરણ છે.

જ્વાળાનું પ્રાગટ્ય

મણિપુરમાં ઇરોમ શર્મિલાના ઉપવાસ આંદોલનની શરૂઆત માટે ભારતીય સૈન્યનો એક હત્યાકાંડ નિમિત્ત બન્યો. ‘આસામ રાયફલ્સ’ના જવાનોએ દસ જણને ગોળીએ દીધા અને ગામમાં કરફ્‌યુ નાખી દીધો. એ સમાચારની વિગતો જાણીને- તસવીરો જોઇને ઇરોમ શર્મિલા ખળભળી ઉઠ્યાં. તેમને થયું કે આવો અત્યાચાર સહી લેવાય નહીં.

ઇરોમ શર્મિલાનું અગાઉનું જીવન એક નિમ્ન મઘ્યમ વર્ગની, ભણવામાં સાધારણ યુવતી તરીકેનું હતું. ટાઇપિંગ-શોર્ટહેન્ડ-પત્રકારત્વ- સીવણકામ વગેરેની થોડીઘણી તાલીમ પછી ‘આફસ્પા’ સામે ઝુંબેશ ચલાવતા એક સ્થાનિક સંગઠનમાં કાયદા વિશની જાણકારી તેમણે મેળવી હતી. પરંતુ દસ જણની હત્યાના બનાવ પછી શર્મિલાએ મણિપુરના સામાન્ય નાગરિકો માટે દોઝખ પેદા કરનારા ‘આફસ્પા’ના કાયદા સામે લડી લેવાનું નક્કી કર્યું. આ કાયદામાં એવી જોગવાઇ છે કે માત્ર શંકાના આધારે સૈન્ય કોઇ પણ વ્યક્તિ સાથે ગમે તે વ્યવહાર કરી શકે અને તેને મારી પણ નાખે. તેની સામે ન્યાય મેળવવાનો કોઇ રસ્તો નહીં. સૈનિકો સામે ફક્ત તેમના ઉપરીઓ ફૌજી રાહે કાર્યવાહી કરી શકે- અને એવું ભાગ્યે જ બને. કેમ કે, એવું કરવા જતાં ‘સૈનિકોના નૈતિક જુસ્સા’નો સવાલ ઊભો થાય.

આવા સત્તાવાર અંતિમવાદ સામે લડત આપવા માટે એક રસ્તો હિંસાનો હતો, જેમાં કેટલાંક અલગતાવાદી સંગઠનો સક્રિય હતાં. પરંતુ ભારતીય સૈન્યના બળ સામે હિંસાનો ગજ ન વાગે. એટલે શર્મિલાએ ગાંધીજીના માર્ગે- શરીરબળથી નહીં, પણ આત્મબળથી - લડત આપવાનું વિચાર્યું. એ રીતે ૬ નવેમ્બર, ૨૦૦૦ના રોજ તેમના ઉપવાસની શરૂઆત થઇ.

ઘણા વખત સુધી તેમના ઉપવાસ સ્થાનિક સમાચાર બની રહ્યા. ભારતમાં ઉપવાસીઓની નવાઇ નથી હોતી અને તેમાંથી મોટા ભાગના ભાદરવાના ભીંડા જેવા હોય છે. એટલે તેમને કોઇ ગંભીરતાથી લેતું નથી. ઇરોમ શર્મિલા એવી કોઇ હસ્તી પણ ન હતાં કે જે ઉપવાસ કરે તો અખબારોમાં કે ટીવી ચેનલોમાં મથાળાં બને. અમસ્તું પણ ઇમ્ફાલમાં શું બને છે તેની દિલ્હી-મુંબઇનાં પ્રસાર માઘ્યમોને અને તેના વાચકવર્ગને શી પરવા?

પરંતુ વર્ષ ૨૦૦૪માં મણિપુરની એક મહિલાને અલગતાવાદી સંગઠનની સભ્ય હોવાના આરોપ સાથે મારી નાખવામાં આવી. ધીમે ધીમે ખબર પડી કે એ મહિલાને છ ગોળીઓ મારતાં પહેલાં તેમની પર સૈનિકોએ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો અને તેમને જનનાંગમાં પણ ગોળી મારવામાં આવી હતી. એ ઘટના પછી મણિપુરી મહિલાઓના સંગઠને ‘આસામ રાયફલ્સ’ના ઇમ્ફાલમાં આવેલા હેડક્વાર્ટસ સામે નિર્વસ્ત્ર અવસ્થામાં, ‘ઇન્ડિયન આર્મી રેપ અસ’નાં બેનર સાથે દેખાવો કર્યા. અસલમાં દારૂ અને ડ્રગ્સના રવાડે ચડેલા પુરૂષોના અત્યાચારનો મુકાબલો કરવા રચાયેલું મણિપુરી મહિલાઓનું સંગઠન આ રીતે ભારતીય સૈન્યના અત્યાચારની સામે પડ્યું. એ ઘટનાના અહેવાલ માટે ગયેલા લોકોને ઇરોમ શર્મિલાના ઉપવાસ વિશે જાણ થઇ. ત્યારથી શર્મિલા વિશે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય પ્રસાર માઘ્યમોમાં માહિતી આવવા લાગી અને સમય જતાં તે અડીખમ આત્મબળ સાથે અન્યાયના મુકાબલાનું પ્રતીક બન્યાં.

વર્ષ ૨૦૧૧માં અન્ના હજારેએ ભ્રષ્ટાચાર સામે ઉપવાસ શરૂ કર્યા તેનાં પાંચ વર્ષ પહેલાં, એક માનવ અધિકાર સંગઠનની મદદથી ઇરોમ શર્મિલા પણ જંતરમંતર પર પહોંચ્યાં હતાં અને ત્યાં તેમના ઉપવાસ આદર્યા હતા. પણ ઇમ્ફાલની જેમ દિલ્હીમાં પણ તેનું પરિણામ ધરપકડમાં જ આવ્યું. અન્ના હજારેના આમરણ ઉપવાસમાં કેટકેટલા લોકોને ક્રાંતિનાં પગલાંની આહટ સંભળાઇ હતી. સાચા અને દંભી, સુંવાળા અને લડાકુ, સગવડીયા અને ખરેખરું પરિવર્તન ઇચ્છતા- એમ ઘણા લોકો સડક પર ઉતરી આવ્યા હતા. પરંતુ પ્રસિદ્ધિથી છકી ગયેલા અન્ના હજારે અંતે ફારસરૂપ બની રહ્યા, જ્યારે ‘મારાં ગુણગાન ગાશો નહીં. મને ટેકો આપો’ એવું કહેનારાં ૪૨ વર્ષનાં ઇરોમ શર્મિલાનું ૧૪ વર્ષથી ચાલતું - અને અન્ના-આંદોલનકારીઓની ચેતનાને સ્પર્શી ન શકેલું- આંદોલન એક દીર્ઘ, કરુણ કવિતાથી કમ નથી. 

Tuesday, December 17, 2013

પરિણામોનો ઉભરો ઓસર્યા પછી

વિધાનસભાનાં ચૂંટણીપરિણામ પછીની ઉત્તેજના ઓસરી રહી છે, ત્યારે ‘લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ’નાં પરિણામ અને અસરો વિશે શાંતિથી, મુદ્દાસર વિચારવા જેવું છે.

ભારતીય ચૂંટણીશાહીમાં ‘નૈતિકતા’નો ઉલ્લેખ માત્ર વિરોધાભાસ ઉપજાવવા માટે થતો હતો. રાજકીય પક્ષોના રોજિંદા વ્યવહાર અને આચરણમાં નૈતિકતાનું નામોનિશાન ન હતું. ગંભીર આરોપ થાય ત્યારે તેમનો જવાબ રહેતો : ‘આવું તો સામેનો પક્ષ પણ કરે છે/કરી ચૂક્યો છે.’ (ગોવર્ધનરામ ત્રિપાઠી પરિવારના) અંગ્રેજી કટારલેખક સલિલ ત્રિપાઠીએ રાજકીય પક્ષોની આ માનસિકતા માટે વાપરેલો શબ્દપ્રયોગ હતો : ‘ઇક્વલ ઓપર્ચ્યુનિટી એન્ટાઇટલમેન્ટ્‌સ’ એટલે કે, ‘ગેરલાભ લેવાની સમાન તકો- એમણે ગેરલાભ લીધો, તો અમે કેમ બાકી રહીએ?’ આ વૃત્તિથી રાજકીય પક્ષો પોતાનાં કરતૂતો પર લાજવાને બદલે, એકબીજા તરફ આંગળી ચીંધીને ગાજતા હતા.

પછી દિલ્હીની ચૂંટણીમાં આમઆદમી પક્ષનો અણધાર્યો ઉદય થયો. દેખીતી રીતે જ એ ભાજપ-કોંગ્રેસથી કંટાળી ચૂકેલા મતદારોની ઇચ્છાનો પડઘો હતો. પરંતુ સરકાર રચવાની વાત આવી, ત્યારે સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપે રાબેતા મુજબ કોંગ્રેસમાંથી કે આમઆદમી પક્ષમાંથી એક તૃતિયાંશ સભ્યો તોડવાની પેરવી કરવાને બદલે કે લધુમતીમાં રહે એવી સરકાર રચવાને બદલે કામચલાઉ અને સગવડીયું ‘સતીત્વ’ ધારણ કરી લીઘું. ‘મતદારોએ અમને જનાદેશ આપ્યો નથી. એટલે અમે સરકાર રચી શકીએ નહીં.’ એવો સાત્ત્વિક ખુલાસો તેમણે રજૂ કર્યો. જોકે, બિલકુલ એ જ કારણસર આમઆદમી પક્ષ સરકાર રચવાનો ઇન્કાર કરે, એ તેમને પસંદ ન હતું.

કેજરીવાલ કોંગ્રેસના સભ્યોના બિનશરતી ટેકાથી સરકાર રચે તો એ ભ્રષ્ટાચારીઓના સાથીદાર (અરુણ જેટલીનું ટ્‌વીટ), સરકાર ન રચે તો જવાબદારીથી ભાગનારા- નકારાત્મક રાજકારણ ખેલનારા અને ભાજપના ટેકાથી સરકાર રચે તો...સરકારમાં બેઠા પછી તો તેમનું ચીરહરણ કરવાના  મુદ્દા મળી જ રહેવાના છે - આવી ‘સમજણ’ જાહેર કરીને ભાજપે રાજકીય પક્ષોની મેલી મથરાવટીનો સરસ નમૂનો પૂરો પાડ્યો.

દિલ્હીના આખા ઘટનાક્રમનો ન ચૂકવા જેવો સાર એ નીકળ્યો કે કેજરીવાલ અને તેમના આમઆદમી પક્ષે ભારતના રાજકારણમાં નૈતિકતાને ફેશનેબલ બનાવી દીધી. એનો પૂરતો હરખ વ્યક્ત કર્યા પછી સમજવું પડે કે ખરો પડકાર નૈતિકતાને ફેશનેબલ ઉપરાંત ટકાઉ બનાવવાનો છે- અને  રાજકારણમાં નૈતિક મૂલ્યો ઇચ્છતા અને મૂલ્યહીન રાજકીય પક્ષોના કુશાસનથી ત્રાસી ચૂકેલા બધા નાગરિકોને એ લાગુ પડે છે. રાજકારણમાં નૈતિકતા લાવવાની જવાબદારી કેવળ કેજરીવાલ કે આમઆદમી પક્ષની ન હોઇ શકે.

આગળના મુદ્દા સાથે સંબંધિત બીજો મુદ્દો : કેજરીવાલ (કે મોદી કે રાહુલ) ઉદ્ધારક નથી. તે ઉદ્ધારક હોય એવી અપેક્ષા પણ ન રાખવી જોઇએ. મતદારોએ ફક્ત એટલું યાદ રાખવાનું કે આપણને ઉદ્ધારકને નહીં, સારા શાસકની જરૂર છે. ‘સારા’ એટલે એવા શાસક જે કોમનવેલ્થ ગેમ્સ જેવા આયોજનોમાં કે સ્પેક્ટ્રમ જેવી ફાળવણીઓમાં ગંભીર ગોટાળા ન કરે, કેવળ અંગત કારણોસર કોઇ યુવતીની જાસુસી કરાવવા માટે એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ જેવું સત્તાવાર તંત્ર કામે ન લગાડે...

કેજરીવાલે પણ આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. વચનો આપવામાં તે સરેરાશ રાજકીય પક્ષ જેવા ઉદાર જણાયા છે. વચન આપતાં પહેલાં લાંબા ગાળાનો વિચાર થવો જોઇએ અને અપાયા પછી તે પળાવાં જોઇએ. એમાં ચૂક થાય તો, નાગરિકો આમઆદમી પક્ષની કડકમાં કડક ટીકા કરી શકે. પક્ષની અને લોકશાહીની તંદુરસ્તી માટે એ જરૂરી અને ફાયદાકારક છે, પરંતુ કોંગ્રેસી-ભાજપી મંડળી શીખંડી પદ્ધતિ પ્રમાણે, સિદ્ધાંતની ઓથે રહીને સ્વાર્થનાં તીર છોડ્યા કરે ત્યારે નાગરિકોએ તેમાં હાજિયો પૂરતાં પહેલાં વિચારવું. ટાંકણીની ચોરીનું બૂમરાણ મચાવનાર પોતે ચોરેેલી વૈભવી કારમાં તો નથી ફરતો ને?

કેજરીવાલની સફળતા પછી અન્ના હજારે મેદાને પડ્યા. ટૂંકી દૃષ્ટિ- મુગ્ધ સમજણ-લપટી જીભ ધરાવતા, ઝડપથી હવામાં આવી જતા અન્ના હજુ સમજતા નહીં હોય કે જનલોકપાલ આંદોલનની આખી ડીઝાઇન કેજરીવાલે તૈયાર કરી હતી? અને તેમનું સ્થાન એક ઉપવાસી ગાંધી-આભાસી, ગાંધીટોપીધારી પ્રતીક તરીકેનું હતું? ‘ઉપવાસ થોડા વઘુ ચાલ્યા હોત તો કેન્દ્ર સરકાર ગબડી જાત’ એ પ્રકારના ભવ્ય ભ્રમોમાં રાચવા ટેવાયેલા અન્નાએ દિલ્હીની ચૂંટણી પછી કહ્યું કે તેમણે પ્રચાર કર્યો હોત તો આમઆદમી પક્ષને બહુમતી મળત. (પ્રચાર કરતાં તેમને કોણે રોક્યા હશે, એ વળી જુદો સવાલ છે)

યુવતી પર અત્યાચારના બનાવ અને ભ્રષ્ટાચારવિરોધી ચળવળને કારણે આમઆદમી પક્ષને દિલ્હીની ચૂંટણીમાં ઘણો ફાયદો થયો જણાય છે. સાથે ઉમેરવું જોઇએ કે ભ્રષ્ટાચારવિરોધી ચળવળમાં રહેલું જવાબદારી વગરની સત્તાનું અને ‘હઇસો હઇસો’નું વાંધાજનક પરિબળ આમઆદમી પક્ષની રચના પછી ઘણી હદે દૂર થયું છે. માટે, એ વધારે વાસ્તવિક અને વધારે નક્કર લાગે છે. આમ, અન્નાની ચળવળે ભલે આમઆદમી પક્ષને મજબૂત શરૂઆત પૂરી પાડી હોય, પણ એ ચળવળની સફળતા અને આમઆદમી પક્ષની સફળતાને એક ત્રાજવે તોળી શકાય નહીં. બન્નેનાં ઘણાં પરિમાણ જુદાં છે.

આમઆદમી પક્ષના ઉદય સાથે મોદીભક્તો માટે નવેસરથી મૂંઝવણ સર્જાઇ છે. અન્ના આંદોલન વખતે મુખ્યત્વે કોંગ્રેસવિરોધથી પ્રેરાઇને અન્ના-કેજરીવાલના આંદોલન સાથે ભળેલા ઉત્સાહીઓને જરા પણ અંદાજ નહીં હોય કે કેજરીવાલ અલગ પક્ષ સ્થાપીને બેઠકો જીતશે અને ભલે નાના પાયે, પણ તેમના પ્રિય પક્ષ અથવા પ્રિય સાહેબ સામે પ્રશ્નો ઊભા કરશે. આવા મિત્રો હવે આમઆદમી પક્ષ વિશે અનુકૂળ આશંકાઓ વહેતી મૂકવામાં વ્યસ્ત છે અથવા મીંઢું મૌન સેવી રહ્યા છે. કારણ કે, આમઆદમી પક્ષે લોકસભાની ચૂંટણી અને એ પણ દિલ્હી ઉપરાંત કેટલાક ઠેકાણેથી લડવાની તૈયારી બતાવી છે.

અગાઉ કહ્યું તેમ, આમઆદમી પક્ષ સંપૂર્ણ કે આદર્શ છે એવું માની લેવું નહીં. આર્થિક નીતિથી માંડીને વિવિધ નાગરિકસમુહોની સામેલગીરી બાબતે તેના પ્રત્યે અહોભાવને બદલે તપાસની દૃષ્ટિથી જોવું રહ્યું. પરંતુ અગાઉ કેવળ ‘સાહેબ’પ્રેમથી પ્રેરાઇને કોંગ્રેસના ભ્રષ્ટાચારની ટીકા કરનારા, હવે એ જ હેતુસર આમઆદમી પક્ષ વિશે આગોતરી આશંકાઓ વ્યક્ત કરવા લાગે અને તેનાં ચૂંટણીવચનો વિશે ટીકાટીપ્પણી કરવા બેસે, ત્યારે એવા લોકોને ‘સાહેબભક્ત’ તરીકે ઓળખી લેવાનું જરૂરી છે. લોકશાહીમાં ભક્તિ વ્યક્તિગત સ્વાતંત્ર્યનો મામલો છે, પણ તેને જાહેર હિત અથવા ભ્રષ્ટાચારના વિરોધ જેવા આદર્શ તરીકે રજૂ કરવામાં આવે તો એ છેતરપીંડી થાય. આવી છેતરપીંડી કરતા ‘સાહેબભક્તો’થી સાવધાન રહેવાનો આ સમય છે.

‘સાહેબ’ના પ્રખર સમર્થક એવા કોર્પોરેટ જગત માટે ‘આપ’નો ઉદય માઠા સમાચાર છે. કારણ કે મોટા રાજકીય પક્ષો સાથે તેમણે કરેલી ગોઠવણો સામે, ભલે સાવ નાના પાયે, પણ એક નવું બળ ઊભું થયું છે. કોર્પોરેટ જગતનું નાણાંકીય પીઠબળ વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની તરફેણમાં રહેલું સૌથી મોટું પરિબળ મનાય છે. તેનું ગુજરાતી એવું થાય કે મોદી વડાપ્રધાન બને એ માટે કેટલાંક ઉદ્યોગજૂથોએ તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. તેનો સીધો કે આડકતરો અહેસાસ પ્રસાર માઘ્યમોમાં ચોક્કસ રીતે રજૂ થતા સમાચારો દ્વારા થઇ શકે છે.

‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી’ જેવા ઠાવકા અને ઠરેલ  સામયિકે નોંઘ્યું છે : ‘બધી ટીવી ચેનલો સતત એવો પ્રચાર કરતી હતી કે ‘આપ’નો દેખાવ સારો હોય તો પણ, છેવટે એ ‘સ્પોઇલર’- કેવળ બાજી બગાડનાર- બની રહેશે એ નક્કી છે. જોવાની વાત એ છે કે ભાજપ પણ આવું જ કહી રહ્યો હતો કે ‘આપ’ને આપેલો મત કોંગ્રેસને મદદરૂપ થશે. આ ચોક્કસપણે એક કાવતરું હતું જેમાં ભાગીદાર બનવા બદલ પ્રસાર માઘ્યમોમાંથી કેટલાંકને ગુનેગાર ઠેરવવાં પડે...કેટલીક ચેનલોએ ‘આપ’ને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો અને એ માટે ‘હેચેટ જૉબ’-દ્વેષયુક્ત કાવતરાબાજી-ની પણ મદદ લીધી...(કથિત સ્ટિંગ ઓપરેશનમાં) ફૂટેજ સાથે ચેડાં થયાં છે અને તેને વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ થયા પછી પણ આ ચેનલોએ માફી ન માગી. એ દર્શાવે છે કે એ લોકો ફક્ત અનૈતિક પત્રકારત્વ કરતા ન હતા. એ કાવતરામાં સામેલ પણ હતા.’ (વી.કૃષ્ણન્‌ અનંત, વેબ એક્સક્લુઝિવ, ઇપીડબલ્યુ, ૧૪-૧૨-૨૦૧૩)

પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ દર્શાવી આપ્યું છે કે કશો મોટો દાવ ન ખેલાય તો કોંગ્રેસે જાકારા માટે તૈયાર રહેવાનું છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનપદના ઉમેદવાર બનતાં પહેલાં, ‘દૂધપાક’ ખેલાડી મટીને સ્પષ્ટ અને જવાબદાર નેતાગીરી વિકસાવવાની જરૂર છે,

મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની શક્તિ વધી છે, છતાં હજુ સુધી શિવરાજસિંઘ જેવા નેતાઓને સદંતર ઝાંખા પાડીને તે પક્ષનો પર્યાય બન્યા નથી (ભાજપ માટે અને લોકશાહી માટે એ સારી નિશાની છે), કોંગ્રેસ-ભાજપ બન્નેનો કંઇક સન્માનજનક વિકલ્પ મળતો હોય તો લોકો મોદીતરફી આક્રમક પ્રચારમાં વહી જતા નથી અને કોંગ્રેસવિરોધનો બધો ફાયદો આપોઆપ ભાજપને મળી જવાનો નથી, આમઆદમી પક્ષને નીચો પાડવા માટે કોઇ મોટી કરામત કરવામાં ન આવે તો, લોકસભાની ચૂંટણીમાં બેપાંખીયો જંગ ધરાવતી કેટલીક બેઠકો પર આમઆદમી પક્ષ મજબૂત હરીફાઇ પૂરી પાડી શકે છે..

આમઆદમી પક્ષ વિવિધ રાજ્યોમાં રહેલાં નાગરિકતરફી અને નાગરિકોના હકમાં કામ કરતાં પરિબળોને રાષ્ટ્રિય સ્તરનું એક છત્ર પૂરું પાડે અને એ સૌ સાથે મળીને જવાબદાર રાજકારણમાં એક તાંતણે જોડાય, તો નવી શરૂઆતની આશા ઊભી થાય. એ બહુ અઘરું છે, પણ દેશના હિતમાં આવશ્યક અને અનિવાર્ય છે. 

Tuesday, August 14, 2012

અન્ના આંદોલન: તળેટીથી નીચે તરફ

(written on 11- 8 - 12)

અમે તો પહેલેથી જ કહેતા હતાઅથવા અમે નહોતું કહ્યું?’ એવું બોલીને, એકબીજાને તાળી આપવા જેવું એમાં કશું નથી. અન્ના હજારેના જનલોકપાલ માટેના આંદોલનનો અંત, રણપ્રદેશમાં દિશાવિહીન બન્યા પછી મોતને ભેટતા મુસાફર જેવો કરુણ આવ્યો. આ કિસ્સામાં તેના માટે રણની નિષ્ઠુરતા કરતાં પણ વધારે જવાબદારી, દિશાભાન વિના નીકળી પડેલા કે દિશા ભૂલી ગયેલા મુસાફરોની ગણાવી જોઇએ.

અન્ના આંદોલનનો કરૂણાંત એક નાગરિક તરીકે મિશ્ર લાગણી પ્રેરે છેઃ ચૂંટાયેલા રાજકારણીઓને ડારો દેવાની- તેમને ઉત્તરદાયી બનાવવાની દિશામાં માંડ ઊભી થનારી એક તક વેડફાઇ ગઇ તેનો ખટકો રહે છે. સાથોસાથ, ટૂંકી દૃષ્ટિ અને ભ્રમણાઓની માયાજાળમાં ગરક અન્નામંડળીને બોધપાઠ મળ્યો તે જરૂરી પણ લાગે છે.

કોરી નિષ્ફળતા
હોલિવુડની ટ્રેઝરહન્ટ પ્રકારની ફિલ્મોમાં મોટે ભાગે એવું બને છેઃ જુદાં જુદાં હિત અને ખાસિયતો ધરાવતા લોકો એક જ સ્વાર્થ માટે ભેગા થાય, ટીમ બનાવે, અભિયાન આદરે, તેની તીવ્રતા વધે તેમ એક યા બીજા કારણસર અમુક માણસો અધવચ્ચેથી ખરતા જાય અને નવા ઉમેરાય પણ ખરા. આખરે ખજાનો હાથવેંતમાં દેખાય - અને ત્યારે જ ખબર પડે કે ખજાનો તો બાજુ પર રહ્યો, જીવ બચાવવો હશે તો આવ્યા હતા એવા ને એવા, કોરાધાકોર, પાછા ફરવું પડશે.

અન્નામંડળની સ્થિતિ કંઇક એવી જ થઇ. મંડળી સાથે (તેમના મતે) છેક સુધી પહોંચ્યા પછી, રહીસહી આબરૂ બચાવવા માટે તેમને ઉપવાસ સંકેલી લેવા પડ્યા અને રાજકીય વિકલ્પ’  પૂરો પાડવાની જાહેરાત કરવી પડી. એ નામોશીથી બચવા માટે ઉતાવળે લેવાયેલું પગલું હતું કે પછી અન્નામંડળ વિકલ્પ પૂરો પાડવા માટે ગંભીર છે, એ હજુ નક્કી કહી શકાય એમ નથી. પરંતુ  મુંબઇ-દિલ્હી એમ બન્ને ઠેકાણે ખત્તા ખાધા પછી નજીકના ભવિષ્યમાં અન્નામંડળ ઉપવાસ માટે હિંમત નહીં કરે એટલું નક્કી લાગે છે.

ઇતિહાસ જોતાં જણાશે કે આંદોલનોની સફળતા કેવળ તેના અંતીમ પરિણામ પરથી નક્કી થતી નથી. ગાંધીજીના ઘણા સત્યાગ્રહોમાં તેમની માગણી પૂરેપૂરી સંતોષાઇ ન હોય એવા દાખલા છે. પરંતુ ગાંધીજીના સત્યાગ્રહોનો એક મુખ્ય આશય પ્રજામાં જાગૃતિ આણવાનો અને તેમને અંગ્રેજી શાસનની બીક છોડીને અહિંસક રીતે અન્યાયની સામે અવાજ ઉઠાવતા કરવાનો હતો. એ હેતુમાં ગાંધીજી ઘણી હદે સફળ થયા. અંગ્રેજ સરકારની ચાપલૂસી કરવામાં ગૌરવ અને તેમનાથી ડરવામાં સલામતી સમજતા સેંકડો સામાન્ય લોકો ગાંધીજીના સત્યાગ્રહોથી પ્રેરાઇને સરકાર સામે ઊભા થયા. ભારતીય સમાજમાં દયનીય સ્થિતિ ધરાવતી અને બેવડી ગુલામી ભોગવતી સ્ત્રીઓ ગાંધીજીનાં આંદોલનોથી ઘરની બહાર નીકળતી થઇ. એ દૃષ્ટિએ ગાંધીજીના નિષ્ફળ સત્યાગ્રહો પણ સફળ હતા. અન્ના હજારેનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન આ ફુટપટ્ટીથી માપતાં પણ ખાસ કશી ઉપલબ્ધિ હાથ લાગતી નથી.

કેન્દ્ર સરકારનાં સંખ્યાબંધ કૌભાંડ વિશે લોકોના મનમાં તીવ્ર અસંતોષ હતો. અન્ના આંદોલનથી તેને બહાર નીકળવા માટેનો રસ્તો મળ્યો. તેને લીધે અન્ના આંદોલનને બળ અને વેગ મળ્યાં. પરંતુ તેના માટે આમપ્રજાની ભ્રષ્ટાચારવિરોધી લાગણી મુખ્ય હતી. અન્ના આંદોલનની મુખ્ય માગણી જેવા જનલોકપાલની જોગવાઇઓ-મર્યાદાઓ વિશે ઘણાખરા આંદોલનકારીઓની સમજણ નહીંવત્‌ કે સાવ પ્રાથમિક હતી.

ચુનંદો વિરોધ
ભ્રષ્ટાચાર સામે આક્રોશ હોવો એ પણ સારી બાબત છે. અન્નાઆંદોલન એવો નક્કર આક્રોશ ઊભો કરી શક્યું હોત તો એ તેની સિદ્ધિ ગણાત. પરંતુ અન્ના આંદોલન સાથે જોડાયેલા બહુમતી વર્ગની માન્યતા એવી હતી કે ભ્રષ્ટાચાર એટલે બીજા કરે તે.ભ્રષ્ટાચારને તે ફક્ત રાજનેતાઓ સાથે સાંકળતા હતા. એમાં પણ અમુક ઉત્સાહીઓ ભ્રષ્ટાચારને કેવળ પોતાના અણગમતા પક્ષ સાથે જ સાંકળતા હતા. જેમ કે, અન્ના આંદોલનના ગુજરાતી સમર્થકોમાંથી ઘણાખરાને ગુજરાત સરકાર પર થયેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વિશે કંઇ કહેવાનું ન હતું. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક સામે સરકારી રાહે થયેલા અખાડા તેમની પટ્ટીબંધ આંખોને દેખાતા ન હતા. તેમને સૌથી વધારે કીકકોંગ્રેસને ગાળો દેવામાં આવતી હતી અને અન્ના આંદોલન એ માટે તેમને સૌથી હાથવગું લાગ્યું.

લોકશાહીમાં અને ખાસ કરીને કેન્દ્ર સરકારે જે રીતે વહીવટ ચલાવ્યો છે એ જોતાં, કોંગ્રેસને ભાંડવામાં કશું ખોટું નથી. પક્ષીય વફાદારી ન હોય એવા કોઇ પણ નાગરિકને યુપીએ સરકાર સામે અઢળક વાંધા હોય. પરંતુ એવા ગુજરાતી નાગરિકોને ગુજરાત સરકાર પર થયેલા ભ્રષ્ટાચારના આરોપના મુદ્દે પણ સવાલ થવા જોઇએ.

એવું ન હોય તેનો અર્થ એટલો કે એવો લોકો ગુજરાતના મુખ્ય મંત્રીના કે ભાજપના, બિલ્લાધારી કે બિલ્લા વગરના સમર્થક છે. છતાં પોતાનો રાજકીય એજેન્ડા છુપાવવા માટે તે ભ્રષ્ટાચારવિરોધી તરીકેનું મહોરું પહેરીને મેદાનમાં આવ્યા છે અને અન્ના હજારેના આંદોલનમાં ભળી ગયા છે. ભ્રષ્ટાચારનાબૂદીની વાતો તેમના માટે વેશનો હિસ્સો છે.

અન્ના આંદોલન આટોપાઇ ગયા પછી પણ આવા લોકોને ઓળખવાનું બહુ સહેલું છે. કેવળ ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા લોકો અન્ના આંદોલનની નિષ્ફળતા પછી અન્નામંડળે ક્યાં કાચુ કાપ્યું, ક્યાં બાફ્‌યું, ક્યાં અતિવિશ્વાસથી કામ લીઘું, કેવી વ્યૂહાત્મક ભૂલો કરી એ વિશે આત્મમંથન કરતા જણાશે. સાથોસાથ, ભવિષ્યમાં આ પ્રકારના આંદોલનમાં કેવી ચીવટ રખાવી જોઇએ એ સમજવાની કોશિશ પણ કરતા હશે. અન્ના આંદોલન જે કારણસર નિષ્ફળ ગયું એ મુદ્દા પહેલેથી ઊભા કરનારા તમામને કોંગ્રેસીકહીને ઉતારી પાડવામાં ઉતાવળ થઇ એવું, તેમને લાગતું હશે.

પરંતુ જે ભાજપી કાર્યકરોનો કે બિનકાર્યકરોનો એજેન્ડા માત્ર ને માત્ર કોંગ્રેસને ગાળો દેવાનો હતો, એવા લોકો આંદોલનની નિષ્ફળતામાંથી કશું શીખશે નહીં કે ન કોઇ જાતનો વસવસો અનુભવશે. ઊલટું, આ નિષ્ફળતા માટે પણ તે સરકારને અને મીડિયાને જવાબદાર ઠેરવશે. દુષ્ટ રાજકારણીઓ સામે ભલા આંદોલનકારીઓ હારી ગયા’  એવી જાતને છેતરતી ગેરમાન્યતાઓ ફેલાવવાના પ્રયાસ કરશે - અને હા, ગાળાગાળીનો કાર્યક્રમ ઉત્સાહભેર ચાલુ રાખશે.

બાબા-અન્ના શીર્ષાસન

અન્નામંડળના આંદોલનની અવગતિને વધારે તીવ્ર બનાવતી ઘટના છેઃ બાબા રામદેવના ઉપવાસ. યોગના ધંધામાં મોટું સામ્રાજ્ય ઉભું કરીને અઢળક સંપત્તિ અને તેને લગતા વિવાદો ધરાવતા રામદેવ ઘણા સમયથી કાળાં નાણાંની વાત કરે છે. વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં ભારતમાં આવવાથી ભારતની બધી સમસ્યાઓ હલ થઇ જશે, એવો પ્રચાર-લોલીપોપ તે સૌને આપે છે. યોગથી ભારતની બધી સમસ્યાઓ હલ થઇ જશે, એવું ગમ્મતમાં નહીં પણ ગંભીરતાથી કહેતા બાબા રામદેવને ભ્રષ્ટાચારના મુદ્દે કોઇ ગંભીરતાથી લેતું ન હતું. પરંતુ અન્ના હજારેનું આંદોલન શરૂ થયા પછી બાબાને વગર પ્રાણાયામે નવો પ્રાણવાયુ મળ્યો.

શરૂઆતમાં એવી પણ વાત હતી કે અન્નાના પહેલા આંદોલનને મળેલી સફળતા પાછળ બાબા રામદેવના સમૃદ્ધ આયોજનતંત્રનો મોટો ફાળો હતો. પરંતુ અન્ના હજારે રાષ્ટ્રિય હીરો બની ગયા, એ સાથે જ બાબા રામદેવ ખૂણે ધકેલાવા લાગ્યા. તેમના યોગસામ્રાજ્ય, રાજકીય સંબંધો અને ભગવાં કપડાં છતાં લોકોનાં ટોળાં અને પ્રસાર માઘ્યમો અન્ના હજારેના પક્ષે હતાં અને અન્ના તથા તેમનું મંડળ એ પ્રસિદ્ધિનો ભરપૂર આનંદ માણી રહ્યું હોય એવું જણાતું હતું.

રામલીલા મેદાનમાં બાબા રામદેવ અને તેમના અનુયાયીઓ પર અડધી રાત્રે પોલીસ ત્રાટકી ત્યારે અનુયાયીઓની ચિંતા કરવાને બદલે સ્ત્રીવેશમાં નાસી છૂટેલા બાબા રામદેવ ફરી આંદોલનના ચાળે નહીં ચડે એવું ત્યારે લાગતું હતું. પરંતુ છેવટે અન્નાને મળેલા થોડા સમય માટેના લોકસમર્થનની સામે બાબાના સામ્રાજ્યની તાકાતની જીત થઇ. અન્નાએ બાબા સાથે હાથ મિલાવવા પડ્યા અને તેમની સાથે સંયુક્તપણે પત્રકાર પરિષદ ભરવી પડી.

અન્ના આંદોલન માટે એ ભટકાવનો વઘુ એક મહત્ત્વનો પડાવ હતો. આર્થિક સામ્રાજ્ય-સમૃદ્ધિને કારણે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની નેતાગીરી માટે અયોગ્ય ગણાઇ જાય એવા બાબાની આણ અન્નાએ સ્વીકારવી પડી. બાબા રામદેવ અને અન્ના સમોવડીયા હોય કે બાબા અન્નાના માર્ગદર્શન નીચે કામ કામ કરે એવો કોઇ પ્રશ્ન જ ન હતો. બાબા રામદેવની બોડી લેંગ્વેજમાંથી પ્રગટ થતા સંકેત સ્પષ્ટ હતાઃ બાબાને અન્નામંડળ વગર ચાલશે, પણ અન્નામંડળનો બાબા વગર ઉદ્ધાર નથી.

આવનારા દિવસોમાં આ હકીકતનાં પ્રમાણ પણ મળી રહ્યાં.  અરવિંદ કેજરીવાલ પ્રણવ મુખર્જી સહિત નેતાઓનાં નામ પાડીને આક્ષેપ કરતા હતા ત્યારે બાબા રામદેવ તેમની ચિરપરિચિત ચબરાકી સાથે, સંબંધો બગાડ્યા વિના આંદોલન ચલાવવાના ઉપદેશ આપતા હતા અને અરવિંદ કેજરીવાલ-કિરણ બેદી એન્ડ કંપનીને જાણે સાનમાં સમજાવી રહ્યા હતા કે મારી સાથે કામ કરવું હોય, તો બોલવામાં ઘ્યાન રાખવું પડશે.અન્નાના છેલ્લા ઉપવાસ-ધબડકા પહેલાં કેજરીવાલ સહિત બીજા લોકો ઉપવાસ પર ઉતર્યા ત્યારે લોકોની સાવ પાંખી હાજરી હતી. પરંતુ ઉપવાસના સ્થળે બાબા રામદેવની સવારી આવી એ સાથે જ ચાર-પાંચ હજાર લોકો આવી ગયા. એ સાથે બાબા પર અન્નામંડળની છેલ્લી સરસાઇ પણ જતી રહીઃ  લોકોનાં ટોળાં માટે સુદ્ધાં બાબાને અન્નામંડળની નહીં, અન્નામંડળને બાબાની જરૂર હતી.

આ વળાંક પર આવી ઊભેલું અન્ના આંદોલન આટોપાઇ જાય તેનો વસવસો કેવો?

અફસોસ એ વાતનો છે કે અન્ના અને તેમના સાથીદારો થકી આંદોલિત થયેલા થોડાઘણા સાચકલા લોકોની આશા-અપેક્ષાઓ ચૂર થઇ. ભ્રષ્ટાચારવિરોધી જુવાળને ધીમે ધીમે પ્રજાલક્ષી-પ્રજાકેન્દ્રી આંદોલનોમાં વાળી શકાશે અને લાંબા ગાળે તમામ પક્ષોના નેતાઓની નીતિરીતિ પર કડક જાપ્તો રાખી શકાશે, એવો આશાવાદ નકરો આશાવાદ જ ઠર્યો. દુઃખ એ વાતનું પણ છે કે લોકપ્રિયતાની ટોચે પહોંચેલા આંદોલનમાં જરૂર પ્રમાણે દિશાસુધાર કરવાને બદલે, અન્નામંડળે તેને પોતાની ઘૂનમાં આગળ હંકારીને છેવટે તળેટીભેગું કર્યું. હવે પછીનાં સંભવિત, વ્યાપક સ્તરનાં પ્રજાકીય આંદોલનો માટેનો રસ્તો સાફસુથરો નહીં હોય. તેની પર અન્નાઆંદોલનનો ભંગાર નડતરરૂપ બને એ રીતે વેરાયેલો મળશે.

Wednesday, August 08, 2012

ઓલિમ્પિકમાં ભારતઃ નવી દૃષ્ટિએ


દર ચાર વર્ષે એક વાર ભારતમાં કકળાટની સીઝન આવે છે. દુનિયા તેને ઓલિમ્પિક રમતોત્સવના નામથી ઓળખે છે. કકળાટનો મુદ્દો એ નથી કે ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કેમ નથી થતું. સુરેશ કલમાડી જેવા જીવો ભારતમાં ઓલિમ્પિક યોજવા માટે ત્રાગું કરી શકે છે- એટલે કે જંતરમંતર પર કે રામલીલા મેદાન પર ઉપવાસ કરી શકે છે. સીઘું ગણિત છેઃ કોમનવેલ્થ ગેમ્સમાં અમુક રકમનાં કૌભાંડ થયાં, તો તેનાથી અનેક ગણી મોટી ઓલિમ્પિકમાં તેના ઘ્યેયમંત્ર પ્રમાણે ‘ફાસ્ટર, હાયર અને સ્ટ્રોંગર’ કૌભાંડ કરવાની તક મળે કે નહીં?

પરંતુ ચતુર્વર્ષી લોહીઉકાળાનો મુખ્ય મુદ્દો છેઃ એક અબજની વસ્તીમાં એક પણ ગોલ્ડમેડલ નહીં? વસ્તીનો આંકડો સામાન્ય રીતે બહુ ન ઉછાળાતો મુદ્દો છે. પહેલાં પાંચ કરોડ, પછી સાડા પાંચ કરોડ અને હવે છ કરોડ ગુજરાતીઓના હિતરક્ષણની દુહાઇઓ આપીને ગુજરાતના મુખ્ય મંત્રીએ સૌને ગુજરાતની વસ્તી મોઢે કરાવી દીધી છે. રાષ્ટ્રની વસ્તીના આંકડા માટે એવું ખાસ બનતું નથી, પરંતુ ઓલિમ્પિક આવે ત્યારે રટણ શરૂ થઇ જાય છેઃ એક અબજની વસ્તીમાં...

ટીકા કરનારા ભૂલી જાય છે કે હમ ઇસ દેશકે વાસી હૈ જહાં, વાલ્મિકી કે તુલસીદાસ થકી નહીં તો રામાનંદ સાગરના પ્રતાપે પણ, રામાયણની કથા સૌ જાણે છે. સીતાજીએ સુવર્ણમૃગ માટે કરેલી જિદ અને તેનાં પરિણામો હજુ લોકો ભૂલ્યા નથી. સામાન્ય રીતે બોધપાઠ લેવામાં ઉદાસીન ભારતીયોએ ત્યારથી સુવર્ણ પાછળ નહીં દોડવાની ગાંઠ વાળી હોય, એવું ઓલિમ્પિકમાં ભારતીયોના ઇતિહાસ પરથી સ્પષ્ટ તારવી શકાય છે. ભારતીયોને સોનું વહાલું છે એની ના નહીં, પણ એના માટે આટલા બધા લોહીઉકાળા કરવાની શી જરૂર?

ચચ્ચાર વર્ષ સુધી દિવસ-રાત પ્રેક્ટિસ કરવી, તનતોડ મહેનત કરવી ને તાલીમ માટે અઢળક ખર્ચા કરવા- એટલી મહેનત ધંધામાં કરીએ કે એટલું રોકાણ શેરબજારમાં કરીએ તો, આપણે બીજાને સુવર્ણચંદ્રકો આપવા જેટલું કમાઇ શકીએ. આ સચ્ચાઇ હર્ષદ મહેતા-કેતન પારેખના દેશના વાસીઓ ન જાણતા હોય? કેટલાક ઉત્સાહીઓ સુવર્ણચંદ્રક સાથે સંકળાયેલા અમરત્વ અને ગૌરવના મુદ્દા આગળ લાવે છે, પણ સાચું કહેજોઃ ઓલિમ્પિકમાં અનેક વાર હોકીમાં સુવર્ણચંદ્રક જીતનાર ટીમના ઘ્યાનચંદનું નામ કેટલાને યાદ છે? (એ સિવાયના સભ્યોની તો વાત જ નથી.) તેમની સરખામણીમાં સોનાની દાણચોરી કરતા હાજી મસ્તાન ટાઇપના દાણચોરોને હજુ લોકો યાદ કરે છે અને આટલાં વર્ષે પણ તેમના જીવન પરથી ફિલ્મો બનાવે છે.

ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ મળતા નથી, એવાં રોદણાં રડનારા ભૂલી જાય છે કે ભારત રેંજીપેંજી, ભીખારી દેશ નથી. તે ભાવિ સુપરપાવર છે. ત્યાં વગર દોડે કે ફેંકે કે કૂદે અબજોના અબજો રૂપિયા આમથી તેમ થઇ જાય છે. એ દેશના નાગરિકો સોનાના ટુકડા ખાતર ઉચ્ચ ભૂમિકા પરથી નીચે ઉતરીને તમે કહો તેમ દોડવા તૈયાર ન થઇ જાય. સોનાનો મોહ છોડવાનું ભલે ભારતીયોના હાથમાં ન હોય, પણ સોનું ખરીદવા જેટલી ક્ષમતા તેમનામાં હજુ બરકરાર છે. વિશ્વભરમાં સોનાની ખરીદી કરવામાં ભારતીયો મોખરે છે અને સુવર્ણચંદ્રક મેળવવામાં એ સૌથી છેલ્લે- આ બન્ને બાબતો એકસાથે મૂકીને જોવાનું અભ્યાસીઓને કેમ સૂઝતું નહીં હોય?

દેખાદેખી માણસની દૃષ્ટિ હણી લે છે. એટલે ઓલિમ્પિક રમતોમાં મેડલોની યાદી બહાર પડે અને તેમાં બીજા દેશોની સરખામણીએ ભારત બહુ પાછળ હોય એટલે હાયવોય શરૂઃ એક અબજની વસ્તીમાં... ઉત્સાહીઓ વળી ચીનના દાખલા આપીને ભારતને શરમાવવાનો પ્રયાસ કરે છે. ભાઇ, ચીન ચીન છે ને ભારત ભારત. ચીનમાં સામુહિક હત્યાકાંડો થાય ત્યારે સરકાર તેને વાજબી ઠરાવતી નથી. એ માહિતી પર ઢાંકપિછોડા કરે છે, જ્યારે ભારતમાં કેન્દ્ર-રાજ્યની સરકારો હત્યાકાંડોને આઘાત-પ્રત્યાઘાતની થિયરી આપીને વાજબી ઠેરવે છે, ખાનગીમાં તેના વિશે ગૌરવ લે છે, તેમાંથી પોતાની છબી બનાવે છે અને લોકપ્રિયતાની સાથે મત પણ મેળવે છે.

તેમ છતાં,  સરખામણીની ધોંસ વધી જાય અને ભારતને ધરાર નીચાજોણું કરવાની કાવતરાબાજી વધી પડે ત્યારે વિવેક છોડીને કહેવું પડે છે કે ભારતમાં છે એવા ચેમ્પિયન જગતમાં ક્યાંય નથી. પરંતુ તેમની કદર કરવી ન પડે, એ માટે ઓલિમ્પિક કમિટીવાળા અમુક ભારતીય રમતો સ્પર્ધામાં રાખતા નથી. વિરોધાભાસો જીવવા અને જીરવવા એ ભારતની નીયતી છે. કોઇ પણ ભોગે અમેરિકા જવાની લાલસા અને આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ હોવાનું ગુમાન એકસાથે રહી શકે છે, એવી જ રીતે સહેલાઇથી ગોલ્ડમેડલ જીતી શકે એવા પ્રતિભાશાળીઓ અને મેડલની યાદીમાં ગોલ્ડમેડલનો અભાવ- આ બન્ને પણ ભારતના મામલે એકસાથે બની શકે છે.

કઇ છે એ રમતો, જે ઓલિમ્પિક કમિટીવાળા અંચઇ કરીને ભારતને ગોલ્ડમેડલથી વંચિત રાખવા માટે યોજતા નથી? કેટલાંક ઉદાહરણ.

સિરીઅલ ફાસ્ટ

ના, ફાસ્ટ દોડવાની વાત નથી, પણ ફાસ્ટ (ઉપવાસ) કરવાની રમતની વાત છે. ઓલિમ્પિક સ્પર્ધાઓ ચાલે એ દરમિયાન કયો ખેલાડી સૌથી વઘુ ઉપવાસ ખેંચી શકે છે, એવી સ્પર્ધા રાખવામાં આવે તો  કોઇની તાકાત છે કે અન્ના હજારેને ગોલ્ડમેડલ મેળવતાં અટકાવી શકે? હવે છેલ્લા ઉપવાસ પછી અરવિંદ કેજરીવાલ પણ સિલ્વર મેડલ લઇ આવે એવા થઇ ગયા છે. બસ, ઓલિમ્પિક કમિટીએ આ સ્પર્ધા પૂર્વે એટલું જાહેર કરવું પડે કે અમે ઓલિમ્પિક રમતોને જનલોકપાલના સત્તાક્ષેત્રથી બહાર રાખવા ઇચ્છીએ છીએ.

સ્પેક્ટ્રમ-વહેંચણી

દુનિયાના ભલભલા પ્રગતિશીલ દેશોને મોબાઇલ સેવાઓના સ્પેક્ટ્રમની વહેંચણીમાં ઘણો સમય લાગી જાય છે. તેમના ખેલાડીઓ હજુ તો વિચારતા હોય ત્યાં ભારત તરફથી મેદાને પડેલા એ.રાજા દોડવીર  બોલ્ટ કે તરવૈયા ફેલ્પ્સને ચકિત કરી દે એટલી ઝડપે સ્પેક્ટ્રમની વહેંચણી કરીને અચૂક ગોલ્ડમેડલ પ્રાપ્ત કરે. શરત એટલી કે સ્પેક્ટ્રમની વહેંચણીમાં લાભાર્થી તરીકે એમની સાથે સાંઠગાંઠ ધરાવતી કંપનીઓ હોવી જોઇએ અથવા એ કંપનીઓ સાથે તેમનું ગોઠવાઇ શકશે, એની તેમને ખાતરી હોવી જોઇએ.

બોલ-ટેનીસ

આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે ભારત સામે કેવું કાવતરું ચાલે છે, તેનો વઘુ એક નમૂનો છે. ટેનીસની રમતનો સાર આખરે શું છે? કોર્ટમાં પહોંચ્યા પછી બોલ સતત સામેના ખેલાડી તરફ મોકલી આપવાનો એ જ ને? આ રમતાં ભારતના નેતાઓને કોઇ પહોંચી વળે એવું લાગે છે? જો બોલીને ટેનીસ રમવાની મેચ રાખવામાં આવે તો ભારતીય નેતાઓ ફક્ત સુવર્ણ જ નહીં, તમામ ચંદ્રકો જીતી જાય. એ સંભાવના ટાળવા માટે ટેનીસમાં રેકેટ અને બોલ જેવાં બાહરી તત્ત્વો દાખલ કરવામાં આવ્યા. જે કામ પરસેવો પાડ્યા વિના, (રીઝર્વ બેન્કનાં અને અન્ય) કાગળીયાંના જોરે થઇ શકતું હતું તે- કોર્ટમાં સામેના પક્ષે બોલ મોકલી આપવાના- કામ સાથે દોડાદોડ અને શારીરિક મજૂરી સાંકળી લેવામાં આવ્યા, જેથી ભારતના નેતાઓ તેમાં ભાગ લેવા ઉતરે જ નહીં.

Sunday, February 26, 2012

અન્ના આંદોલનની પાકિસ્તાની આવૃત્તિ: ઇમરાનખાન

(caricature: Mario Miranda)

ઇજિપ્તમાં ને ભારતમાં, યુરોપમાં ને અમેરિકામાં- બધે ‘ક્રાંતિ’ થઇ (પછી શું થયું એ ન પૂછવું), તો પાકિસ્તાન કેમ બાકી રહી જાય? ત્યાં પણ ક્રાંતિ ચાલી રહી છે, જેના નાયક છેઃ લોકપ્રિય ક્રિકેટરમાંથી લોકપ્રિય નેતા બનેલા ઇમરાનખાન.

‘પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ’ પક્ષ સ્થાપ્યા પછી પંદર વર્ષ સુધી રાજકારણમાં ઇમરાનખાનનો ગજ ન વાગ્યો, પણ થોડા મહિનાથી તેમના નામનાં એવાં નગારાં વાગવા લાગ્યાં છે કે તેની સામે બીજા રાજકીય પક્ષોની હસ્તી તતુડી જેવી લાગે. લાહોર-કરાચીમાં ઇમરાનખાનની રેલીમાં લાખો માણસ ભેગા થાય છે. મહત્તમ સંખ્યાનો એક અંદાજ પાંચ લાખનો છે. તેમાં યુવાનો અને સ્ત્રીઓની મોટી સંખ્યા હોય છે. તેમના ઉત્સાહનો પાર નથી. ‘કૌન બચાયેગા પાકિસ્તાન, ઇમરાનખાન, ઇમરાનખાન’ના નારા હવામાં ગૂંજે છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં ફક્ત એક જ - અને એ પણ પોતાની- બેઠક જીતી શકેલા ઇમરાનખાનના આવતા વર્ષે થનારી ચૂંટણી માટે વડાપ્રધાનપદના સૌથી સબળ દાવેદાર બની ગયા છે.

વડાપ્રધાનો તો પાકિસ્તાનમાં કંઇક આવ્યા ને ગયા. ઇમરાનખાન એ કતારમાં નથી. તેમના સમર્થકો તેમને ઝીણા અને ઝુલ્ફીકારઅલી ભુત્તોની હરોળમાં મૂકે છે. (પાશ્ચાત્ય ઢબછબ અને રહેણીકરણીમાંથી ઇસ્લામી નેતા બની જવાનું સામ્ય બાદ કરીએ તો) પાકિસ્તાનને તેના કપરા સમયમાંથી ઉગારનાર- ઉદ્ધારક. ઝીણાએ ૧૯૪૭માં અને ભુત્તોએ ૧૯૭૧માં (ભારત સામેના પરાજય પછી) પાકિસ્તાનને સ્થિર (?) કર્યું. ઇમરાનખાન ચોમેરથી ઘેરાયેલા અને ‘ફેઇલ્ડ સ્ટેટ’, ‘મોસ્ટ ડેન્જરસ કન્ટ્રી ઓન ધ અર્થ’ જેવાં લેબલ કમાઇ ચૂકેલા પાકિસ્તાનને સન્માન અપાવશે, ત્રાસવાદની ધરતી તરીકેની તેની કુખ્યાતિ દૂર કરશે, લોકશાહી સરકારમાં લશ્કરની દખલઅંદાજી નહીં ગણકારે, અમેરિકાની દાદાગીરી નહીં ચલાવે, નેતાઓનો ભ્રષ્ટાચાર દૂર કરશે...

બસ, આ બઘું કેવી રીતે થશે, એવો સવાલ ન પૂછવો. કારણ કે તેનો જવાબ ઇમરાનખાન પાસે નથી અને તેમના પક્ષમાં નેતા એક જ છેઃ ઇમરાનખાન. બાકીના બધા સમર્થકો-ટેકેદારો છે. થોડા સમય પહેલાં તેમના પક્ષમાં એક વજનદાર નેતા શાહ મહેમૂદ કુરેશી જોડાયા છે, જે ભૂતપૂર્વ મંત્રી અને બુદ્ધિશાળી માણસ તરીકે જાણીતા છે. પરંતુ તેમના જેવા નેતાઓ આગળ પાકિસ્તાનમાં લાગતું વિશેષણ છેઃ લોટા. ગુજરાતી જણને આ શબ્દનો અર્થ સમજવામાં જરાય તકલીફ નહીં પડે. વજન હોય એ બાજુ ઢળી જનાર જણ- આપણા ‘આયારામ-ગયારામ’ જેવા લોકો- માટે પાકિસ્તાનમાં જાહેરમાં, અંગ્રેજી લખાણોમાં સુદ્ધાં ‘લોટા/Lota’ શબ્દ વપરાય છે. કુરેશી એવા ‘લોટા’ છે, પણ ‘વન મેન પાર્ટી’ ઇમરાનખાન પાસે બીજું કોઇ નથી, એટલે અગાઉ બે પક્ષોની હવા ખાઇ આવેલા કુરેશીને ઇમરાને પક્ષના ઉપપ્રમુખ બનાવી દીધા છે. પાકિસ્તાની અણુકાર્યક્રમના પિતા અને વિવાદાસ્પદ વિજ્ઞાની ડો. અબ્દુલ કાદીર ખાને ઇમરાનને એક લેખમાં આ શબ્દોમાં અંજલિ આપી છેઃ ‘નો ટીમ, નો વિઝન, નો મિશન.’

છતાં ઇમરાનખાન અત્યારે લોકપ્રિયતાનાં તોતિંગ મોજાં પર સવાર છે, (જેના માટેનો બહુ ગવાયેલો શબ્દપ્રયોગ છે ‘ત્સુનામી ઓફ પોપ્યુલારિટી’). જાહેર રેલીમાં દેખાતી હજારો-લાખોની ભીડ જોઇને ફક્ત દેશમાં જ નહીં, વિદેશોમાં પણ પહેલી વાર ઇમરાનખાનની રાજકારણી તરીકે ગંભીરતાથી નોંધ લેવાતી થઇ છે. તેમની લોકપ્રિયતાનું મોજું કેટલું શક્તિશાળી અને ટકાઉ છે એ વિશે મતમતાંતર છે, પણ એ મોજું જેની પર ફરી વળવાનું છે એ પક્ષો સદંતર તકલાદી અને ખોખલા પડી ચૂક્યા છે.

મુખ્ય ત્રણ પક્ષોની વાત કરીએ તો ‘પાકિસ્તાની પીપલ્સ પાર્ટી’ના આસિફઅલી ઝરદારી ‘મિસ્ટર બેનઝીર ભુત્તો’ કરતાં ‘મિસ્ટર ટેન પરસન્ટ’ તરીકે વધારે જાણીતા છે. તેમની સામે સ્વિસ બેન્કમાં કરોડો રૂપિયા ખડકવાનો આરોપ છે. વડાપ્રધાન ગીલાની સામે અદાલતના અપમાનના સંગીન આરોપ છે, જેની સામે લડવાનું તેમને આકરું પડી રહ્યું છે. કાનૂની દાવપેચથી તે બચી જાય તો પણ લોકનજરમાં એ માન અને સ્થાન ગુમાવી ચૂક્યા છે. બીજો પક્ષ ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝશરીફનો છે. સ્વૈચ્છિક દેશવટો ભોગવી ચૂકેલા શરીફ ભ્રષ્ટાચારના મામલે ખાસ જુદા નથી. બાકી રહ્યા પરવેઝ મુશર્રફ, જે પોતાની સલામતી ખાતર વિદેશની હવા ખાઇ રહ્યા છે. ચૂંટણીમાં ઉતરવા માટે એ પાકિસ્તાન પાછા ફરે તો તેમના માથે જાનનું જોખમ છે. અનેક લોકો તેમનો જીવ લેવા ટાંપીને બેઠા છે. એક નેતાપુત્ર બુગતીએ પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે મુશર્રફના માથા સાટે ઇનામ જાહેર કર્યું છે.

વિપક્ષો રેતીના કિલ્લા જેવા હોય ત્યારે ઇમરાનખાનની લોકપ્રિયતા ‘ત્સુનામી’ને બદલે ચોપાટી પરનાં મોજાં જેવી હોય તો પણ તે ફરી વળે. પરંતુ રેતના કિલ્લા નેસ્તનાબૂદ કરવાથી વધારે ચોપાટીના મોજાની વિસાત કેટલી?

ઇમરાનખાનની લોકપ્રિયતાનો પારો સતત ચડાવનાર એક મુદ્દાનો કાર્યક્રમ છેઃ ભ્રષ્ટાચારનો વિરોધ. એ મુદ્દે અન્ના હઝારે આંદોલન સાથે તેની સરખામણીની ભૂમિકા ઊભી થાય છે. બન્ને આંદોલનો ભ્રષ્ટાચારનાબૂદીને મહદ્‌ અંશે સાધનને બદલે સાઘ્ય ગણે છે. તે એવી મુગ્ધ માન્યતામાં રાચે છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરી શકાશે અને ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય એટલે ઘણી બધી સમસ્યાઓ ઉકલી જશે. તેમની લોકપ્રિયતાનું મોટું રહસ્ય પણ તેમની તાકાત કરતાં તે જેમની સામે પડ્યા છે તેમની સામે લોકોનો અસંતોષ છે. ભ્રષ્ટાચારનો મુદ્દો સામાન્યથી અસામાન્ય તમામ પ્રકારના લોકોને સમજાય છે- સ્પર્શે છે. એટલે ઇમરાનખાન કહે કે ‘ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને નેતાઓ કરવેરા ભરતા થશે, એટલે ધનવાનો પણ કરવેરા આપશે અને એ નાણાંમાથી દેશમાં સુવિધાઓ ઊભી કરાશે. અમેરિકાની મદદ લેવાની અને તેની ગુલામી કરવાની જરૂર નહીં પડે.’ ત્યારે ‘આવું કેવી રીતે થશે?’ એવો સવાલ પૂછવાને બદલે, લોકો ઇસ્ટમેન કલરની સ્વપ્નસૃષ્ટિમાં પહોંચીને તાળીઓ પાડે છે.

અન્ના આંદોલનની જેમ ઇમરાનખાનની ઝુંબેશમાં પણ યુવાનો સાથે છે એ વાતનો બહુ મહિમા છે. કોઇ પણ પ્રકારના પરિવર્તનશીલ વિચાર યુવાનો પ્રમાણમાં ઝડપથી સ્વીકારી લે એવું મનાય છે. તેમની મુગ્ધતા એક હદ સુધી મૂલ્ય હોઇ શકે, પણ બીજા કોઇ મૂલ્ય વગર ફક્ત યુવાનીને એક સ્વતંત્ર મૂલ્ય બનાવી દેવાની ફેશન ગેરમાર્ગે દોરનારી ને ગેરસમજણો પેદા કરનારી છે. ભ્રષ્ટાચારવિરોધ જેવા મુદ્દે, સામાજિક મૂલ્યોની સ્પષ્ટતા વગર, યુવાનોનાં ટોળાં ભેગાં થાય તેનાથી ક્રાંતિ તો ઠીક, સાર્થક પરિવર્તન પણ આવતું નથી. ઉલટું, ઘણી વાર બકરું કાઢતાં ઊંટ પેસે એવું થાય છે.

એનો અર્થ એ નહીં કે પરિવર્તનના પ્રયાસનો વિરોધ કરવો. પણ એ પ્રયાસના પહેલા પગથિયે જ તેનો જયજયકાર બોલાવીને ઇતિશ્રી માની લેવાને બદલે, તેને વધારે નક્કર, વધારે સંગીન બનાવવો અને ફક્ત‘યુવાની’ને બદલે સામાજિક મૂલ્યોમાં તેનાં મૂળીયાં ઊંડા ઉતરે એવા પ્રયાસ કરવા પડે. પરંતુ દોઢ દાયકા પછી પહેલી વાર પોતાનું રાજકીય અસ્તિત્ત્વ પુરવાર કરી રહેલા ઇમરાનખાન માટે અત્યારનો સમય સંખ્યાબળથી હરખાવાનો છે. અન્ના આંદોલનની જેમ જમણેરીઓ અને કટ્ટરવાદીઓ સાથેની સાંઠગાંઠ કે તેમનું સમર્થન હોવાના આરોપ પણ ઇમરાન પર થાય છે. છતાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારની ઉચ્ચ ભૂમિકાએ અન્નાની જેમ ઇમરાન જે બોલે તે કશા આધારપુરાવા કે તાર્કિક ચકાસણી વિના સત્ય બની જાય છે અને તેનો વિરોધ કરનારા દેશવિરોધી કે ક્રાંતિવિરોધી કે પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના સમર્થકમાં ખપી જાય છે.

વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ થતા ઇમરાનખાનના ચોપડે અત્યાર સુધી મુખ્ય બે સિદ્ધિ બોલે છેઃ ૧૯૯૨ના વિશ્વકપમાં તેમની આગેવાની હેઠળ પાકિસ્તાની ટીમનો વિજય અને તેમનાં માતા શૌકત ખાનમની સ્મૃતિમાં ઊભી કરેલી અને ગરીબ દર્દીઓને મફત સારવાર પૂરી પાડતી અત્યાઘુનિક કેન્સર હોસ્પિટલ. ભ્રષ્ટાચારનો વિરોધ કરતી વખતે પોતાની પ્રામાણિકતા અને વહીવટી ક્ષમતાનો પુરાવો આપતાં ઇમરાન હોસ્પિટલની વાત કરે છે. દેશવિદેશમાંથી નાણાં ઉઘરાવીને ઉભી કરાયેલી હોસ્પિટલનું તંત્ર ખરેખર નમૂનેદાર છે, પણ એ જાતની લાયકાતના આધારે દેશના વડાપ્રધાન નક્કી કરવાના હોય, તો પાકિસ્તાનમાં બીજા ઘણા ઉમેદવાર છે.
વિદેશનીતિની બાબતે ઇમરાન ભારત સાથે સામાન્ય સંબંધો ઇચ્છે છે અને પાકિસ્તાની ધરતી પરથી ત્રાસવાદનો અંત આણવાની વાત કરે છે. તાલિબાનો સામે બળથી નહીં, પણ મંત્રણાથી કામ લેવાનો તેમનો ઇરાદો છે. અમેરિકાના ખંડિયા દેશ તરીકેનો દરજ્જો અને અમેરિકાની સહાય ફગાવીને તે નવેસરથી, કદાચ ચીન સાથે, સ્વમાનભેર જોડાવા ઇચ્છે છે. વાંચવા-સાંભળવામાં આ બઘું સારું લાગે છે, પરંતુ દાયકાઓથી વર્ચસ્વ ધરાવતું લશ્કર, ઊંડાં મૂળીયાં ઘાલી ગયેલા અંતીમવાદીઓ અને ધાર્મિક કટ્ટરવાદીઓની મજબૂત પકડ વચ્ચે કેવળ સ્વપ્ન સેવવાથી અને ભ્રષ્ટાચારવિરોધી નારા લગાવવાથી પાયાનું પરિવર્તન કેવી રીતે શક્ય બનશે, તેનો જવાબ ઇમરાનના ટીકાકારોને મળતો નથી અને તેમના પ્રશંસકોને હમણાં શોધવો નથી.

Wednesday, January 18, 2012

અન્નામંડળની ઉત્તરાયણ

એક હતો લોકપાલ ખરડો અને એક હતો જનલોકપાલ ખરડો. બન્ને વચ્ચેના જોરદાર પેચ જમીન પર નહીં, પણ આકાશમાં લડ્યા હોત તો? અન્ના અને તેમના સાથી-સલાહકારો સહિત રાજકારણીઓની આખી મંડળી દિલ્હીમાં સંસદને બદલે ધાબાં-અગાશી પર ખડકાઇ હોત તો?
***
જનમેદનીથી ઉભરાયેલાં ધાબાં પર ‘એ કાટ્ટા... કાપ્યો છે...લેત્તો જા....આવજો...’ના પોકાર ઉઠી રહ્યા છે. એવામાં અન્ના દડબડ દડબડ દાદર ચડીને અગાસીમાં આવે છે.

અન્નાઃ (ચોતરફ જોઇને) અરવિંદ, આ બઘું શું છે? શાના અવાજ છે?

કેજરીવાલઃ (તાનમાં) અરે અન્નાજી, કાપ્યો છે...વો કાટ્ટા...

અન્નાઃ કિરણ, આને શું થઇ ગયું? શાની વાત કરે છે?

કિરણ બેદીઃ અન્નાજી, તમારા પતંગે સામેના ધાબા પરનો પેચ કાપ્યો છે, એટલે અમે ખુશી વ્યક્ત કરી રહ્યાં છીએ. તમે પણ અમારી સાથે જોડાઇ જાવ.

અન્નાઃ પણ હું તો હજુ અગાશી પર આવું છું. દોરીને અડક્યો નથી. તો મારો પતંગ ક્યાંથી હોય? એ પેચ શી રીતે કાપે? ને જે કાપ્યો જ નથી, એ પેચ માટે ચિચિયારીઓ કેવી?

કેજરીવાલઃ અન્નાજી, અત્યારે આખા દેશનાં ધાબાં આપણી સાથે છે. વિચારવાનો ટાઇમ નથી...એ કાટ્ટા...આવજો...અત્યારે તો આખા આકાશમાં તમારા ઢાલની આણ વર્તે છે. કોઇની તાકાત છે એની નજીક ફરકી શકે?

અન્નાઃ પણ મેં હજુ ક્યાં..

કિરણ બેદીઃ શ્‌શ્‌શ્‌..અન્નાજી, આપણે બધા અલગ છીએ? તમે પણ ભ્રષ્ટાચારના વિરોધી ને અમે પણ ભ્રષ્ટાચારના વિરોધી. તમને પણ કોંગ્રેસ સામે વાંધા ને અમને પણ વાંધા. તમને પણ પબ્લિસિટી ગમે ને અમને પણ ગમે...તો પછી તમારે અલગ પતંગ ચડાવવાની ક્યાં જરૂર છે? ભ્રષ્ટાચારના વિરોધમાં અરવિંદે ચડાવેલો પતંગ એ જ તમારો પતંગ.

અન્નાઃ વાત તો સાચી, પણ..

કેજરીવાલઃ અન્નાજી, હવે જોજો તમારા પતંગનો સપાટો. હું પેલી કોંગ્રેસનો પેચ લઉં છું. આગળનું ધાબું. જોયું ને બરાબર? અરે મનીષ, જરા ફિરકી બરાબર પકડજે...હું હાથોહાથમાંથી એવું ખેંચી નાખું કે એના અંગુઠા પર આપણી દોરીના ઘસરકા પડી જાય...એ.એ.એ. લેતા જાવ...કાટ્ટા...

અન્નાઃ (ચહેરા પર ખુશાલી છવાઇ જાય છે) આ તો મઝાનું છે. આવી રીતે આપણે ગમે તેના પતંગ કાપી શકીએ?
કિરણ બેદીઃ હાસ્તો. આપણી પાસે ભ્રષ્ટાચારવિરોધનો ધારદાર, કાચવાળો માંજો છે. આ વખતે આપણે વધારે કાચ નંખાવ્યા છે. ભલે આપણા હાથમાં થોડા ઘસરકા પડે, પણ સામેવાળાનું ખેંચી જ કાઢવાનું.

અન્નાઃ બરાબર છે. સત્યાગ્રહ આમ જ થાય. જાતે દુઃખ વેઠીને...પણ એ તો કહો? આપણો પતંગ કેવો છે? ચાંદદાર, આંખોદાર, મથ્થો, પટ્ટી, સીસો, ઘડિયાલી, તારો, ફુદ્દી, બાબલો...

કેજરીવાલઃ તમે તો ઘણા જાણકાર નીકળ્યા. ભારતની જનતા વતી અમે તમને અમસ્તા નેતા તરીકે પસંદ કર્યા છે? આપણો પતંગ બધા ચીલાચાલુ પ્રકાર કરતાં જુદો છે. એની પર ગાંધીજીનો ફોટો છે અને ફોટા નીચે તેમનું એક વાક્ય લખ્યું છેઃ ‘મારા ઉપવાસ એ જ મારો સંદેશ’. આપણી ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ તરફથી આવા એક લાખ પતંગ બનાવીને દેશભરમાં વહેંચ્યા છે. જુઓને, આખું આકાશ આજે ગાંધીજીના સંદેશાથી ભરાઇ ગયેલું નથી લાગતું?

કિરણ બેદીઃ લોકોને આપણા પતંગ એટલા ગમ્યા છે કે મને થાય છે, આ ઉત્તરાયણ બારે મહિના રહે તો કેવું સારું? છાપરે ચડેલા લોકો કદી નીચે જ ન ઉતરે અને આપણા આપેલા પતંગ ચગાવ્યા કરે...

(એવામાં અન્નાની નજર ધાબાના એક ખૂણે બેઠેલા બાબા રામદેવ તરફ જાય છે.)

અન્નાઃ (રામદેવ તરફ જોઇને) આમને શું થયું? કેમ ખૂણામાં બેઠા છે? નીચેથી તો બહુ હોંશે હોંશે બધો સરંજામ લઇને ઉપર આવ્યા હતા. કહેતા હતા કે આજે કાં તો સામા ધાબાવાળો નહીં કાં હું નહીં.

કિરણ બેદીઃ વાત સાચી, પણ પરિણામ આવી ગયું છે. હવે બાબા નથી. સામેવાળાનો પતંગ ચગે છે ને બાબા ધાબામાં તડકો ખાય છે.

અન્નાઃ કેવી રીતે?

કેજરીવાલઃ આપણી જેમ એમણે પણ ભારતના નકશાવાળો પતંગ ચડાવ્યો ને સામેના ધાબાવાળાનું ખેંચી કાઢવા ગયા. એક વાર તો એ ફાવ્યા, પણ બીજી વાર ધાબાવાળાના એક ચીલે એમના પતંગ પર એવી ગોથ મારી કે બાબાના પતંગની કિન્ના ડાઉન થઇ ગઇ. છેક ઉંચે ચડાવેલો પતંગ તેમણે ઉતારી લેવો પડ્યો ને આજુબાજુના ધાબાવાળાએ ફજેતી કરી- ચિચિયારીઓ પાડી એ નફામાં. ત્યારથી બાબા પતંગ ચગાવવાની ખો ભૂલી ગયા છે. કહે છે કે હું પડ્યો પડ્યો તડકો ખાઇશ ને તમારો પતંગ કોઇની કાપે ત્યારે બૂમો પાડવામાં જોડાઇશ.

અન્નાઃ (ધીમા અવાજે) કિરણ, જરા ઘ્યાન રાખજે. એ ક્યાંક આપણી દોરીમાં દાંતી ન પાડે. આ બધાનું કશું કહેવાય નહીં...

(એવામાં નળીયાનો એક ટુકડો સનસનાટ કરતો ધાબામાં આવીને પડે છે. સહેજ માટે અન્નાને વાગતો રહી જાય છે.)

અન્નાઃ આ પેલા દિગ્વિજયસિંઘનું કારસ્તાન લાગે છે. હું ધાબે આવ્યો ત્યારનો એ કાતરિયાં ખાય છે. એ લોકો આપણો પતંગ કાપી શકતા નથી, એટલે નળિયાં ફેંકવાનાં? એ ધાબે કોઇ મોટું છે કે નહીં, જે આ બધાને રોકે- ઠપકો આપે?

કેજરીવાલઃ એક વડીલ છે, પણ એ ભીષ્મના વંશજ છે. ધાબાના ખૂણે બાણશૈયાના બદલે ખાટલો નાખીને પડ્યા છે. એમનું કોઇ સાંભળતું નથી. આ બઘું જોવું ન પડે એટલે તે પાઘડી કપાળને બદલે આંખો સુધી ઉતારીને સૂઇ ગયા છે.
કિરણ બેદીઃ અન્નાજી, પતંગોનું મહાભારત બરાબર જામ્યું છે. આપણો ઢાલ કોઇ કાપી શકે એમ નથી. બસ, પવન આવો ને આવો રહે તો આપણા ઢાલનું આકાશમાં એકચક્રી શાસન રહેશે.

અન્નાઃ (પાછળ જોઇને) આ ધાબું કોનું છે? મેં શહેરોમાં ધાબા પરથી કદી પતંગ ચગાવી નથી. મારો અનુભવ ગામના મેદાનમાં પતંગ ચગાવવા પૂરતો છે. પણ મને લાગે છે કે પાછળના ધાબાવાળા ધારે તો આપણું ખેંચી કાઢે.
કેજરીવાલઃ (ચહેરા પર આવતું સ્મિત રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં) એમની ચિંતા કરવાની જરૂર નથી, અન્નાજી. એ મિડીયાવાળા છે. તમારી વાત ખરી કે એ ધારે તો આપણું ખેંચી કાઢે, પણ અત્યારે આપણી ખેંચથી કપાયેલા પતંગો લપટાવવામાં એમને એટલી મઝા પડી રહી છે- એટલો ફાયદો છે કે આપણો પતંગ કાપવાનો વિચાર સુદ્ધાં એ ન કરે. ઊલટું, એ તો આંખ મીંચીને આપણને પાનો ચઢાવી રહ્યા છે. હું અમથું અમથું ખેંચું તો પણ એ લોકો જોર જોરથી ‘કાટ્ટા, કાટ્ટા’ના પોકાર પાડે છે.

અન્નાઃ વાહ, આવો પવન હોય ને આવા ટેકેદારો હોય તો પતંગ ચડાવવાની ખરી મઝા આવે.

કેજરીવાલઃ આવે નહીં, અન્નાજી, આવી જ રહી છે. આખા ગામમાં અત્યારે તમારા પતંગનો સપાટો છે. મોંઘા-ફેન્સી પતંગ ચડાવનારા અત્યારે પિલ્લાં વીંટીને ચૂપચાપ બેસી ગયા છે. એમને બીક છે કે ‘અમે સહેજ ઊંચું કરીશું, તો અન્નાજીનો પતંગ અમને ખેંચી પાડશે.’

અન્નાઃ આને કહેવાય સામાન્ય માણસની પ્રામાણિકતાની તાકાત. (સામા ધાબે જોઇને) પણ ત્યાં આ હિલચાલ શાની દેખાય છે?

કિરણ બેદીઃ એ લોકો ક્યારના ઝંડો બનાવવામાં પડ્યા છે. બહુ લાંબો ને ગૂંચળાંદાર કાંટાવાળો ઝંડો. સંસદીય પ્રક્રિયાના લાંબા વાંસ સાથે એને બાંધીને ઊંચો કરશે તો...

અન્નાઃ તો શું?

કેજરીવાલઃ કંઇ વાંધો નહીં. આપણે આવા કંઇક ઝંડાને પહોંચી વળ્યા છીએ. હવા છે ત્યાં સુધી આપણા પતંગને જરાય વાંધો નથી. આપણો પતંગ કપાઇ જશે ને હું ખાલી ખાલી ખેંચ્યે રાખીશ, તો પણ લોકો ‘કાટ્ટા..કાટ્ટા...’ કરશે.

અન્નાઃ એ જ તો છે અસલી લોકશક્તિ. એની સામે ભલભલાને નમવું પડે છે. કોઇનું કંઇ ચાલતું નથી.(આકાશમાં જોઇને) આપણો પતંગ છે ક્યાં અરવિંદ?

કેજરીવાલ-બેદીઃ એ તો બહુ, બહુ જ ઉપર આકાશમાં છે અને પાછો આસમાની છે. એટલે અમને પણ દેખાતો નથી. અમારી પાસે ફક્ત દોરી જ છે.

અન્ના (દોરી હાથમાં પકડીને): હં..ભાર તો લાગે છે, પણ પતંગનું આટલું વજન ન હોય. એવું તો નથી ને કે એ ક્યાંક ભરાઇ પડ્યો હોય? મને સામા ધાબાવાળા પર જરાય વિશ્વાસ નથી. થોડે આગળ એમનું બીજું એક મકાન છે ગોળાકાર, બહુ થાંભલાવાળું.. કહો ન કહો, પણ આપણો પતંગ ત્યાં ક્યાંક ભરાયો હોય એવું મને લાગે છે... મને અમંગળ વિચારો આવે છે કે એ મકાનના ધાબા પરથી કોઇકે આપણો પતંગ તોડી લીધો છે ને તાર લૂંટવા માટે આપણો દોરો પકડી રાખ્યો છે એટલે આપણને દોરી પર વજન લાગે છે...

કેજરીવાલ-બેદીઃ તમે એ બધી ચિંતામાં ન પડો. બસ, તમે અત્યાર સુધી ઊભા રહ્યા એમ અહીં ધાબાની વચ્ચોવચ્ચ ઊભા રહો. બાકી બઘું થઇ પડશે. અમે છીએ ને...

(છેલ્લા શબ્દો વઘુ એક વાર ‘કાટ્ટા...કાટ્ટા..’ના પોકારમાં ડૂબી જાય છે.)

Tuesday, January 03, 2012

અન્ના-આંદોલનઃ ઉણપો અને ઉપલબ્ધિ

વર્ષ ૨૦૧૧નો અડધોઅડધ હિસ્સો હવે સમેટાઇ ચૂકેલા ભ્રષ્ટાચારવિરોધી જનલોકપાલ આંદોલનની ઉત્તેજનામાં વીત્યો. એક પછી એક મસમોટાં કૌભાંડોથી કંટાળેલા નાગરિકોના રોષને અન્ના હજારે અને તેમના સાથીદારોની ઝુંબેશનું વાહન મળ્યું. બેદાગ છબી, ગાંધીવાદી દેખાવ, આંદોલનમાં હિંસાની પરેજી, જાહેર કામોનો (મર્યાદિત ક્ષેત્રમાં) અનુભવ, ઉપવાસ કરવાની ક્ષમતા- આ લાક્ષણિકતાઓથી અન્ના છવાઇ ગયા. ભ્રષ્ટાચારથી ત્રાસેલા (પણ અંગત આચરણમાં ભ્રષ્ટાચારનો છોછ નહીં ધરાવનારા ઘણા) લોકોએ અન્નાને ખભે બેસાડ્યા.

અન્નાની સૌથી મોટી સફળતા એ રહી કે ‘કાયદાઓ બનાવવાનું કામ ભલે સંસદનું હોય, પણ એ પ્રક્રિયામાં નાગરિકોની સામેલગીરી હોઇ શકે-હોવી જોઇએ’ એવું તેમના આંદોલન થકી સરકારને ભાન થયું. સામાન્ય રીતે લોકશાહી રાજકારણ પ્રત્યે ઉદાસીન એવા નાગરિકોને તે સંયત ટોળાં તરીકે સડક પર ઉતરવા પ્રેરી શક્યા, એ તેમની બીજી નોંધપાત્ર સફળતા.

ભ્રષ્ટાચાર સામે અન્નામંડળની લડત ‘વિદેશી બેન્કોમાં ઠલવાયેલાં કાળાં નાણાં’ના મુદ્દે થતા વિપક્ષી ઘોંઘાટ કરતાં વધારે મુદ્દાસર અને વાસ્તવિકતાથી પ્રમાણમાં નજીક હતી. તેમના પક્ષે લોકકારણ-રાજકારણની સમજ ધરાવતા બે-ચાર ઠરેલ સલાહકાર હોત અને કેજરીવાલ-બેદી એન્ડ કંપનીને બદલે એવા લોકોએ આંદોલનને દિશા આપી હોત તો? સંભવ છે કે અન્નામંડળ ‘સર્વશક્તિમાન જનલોકપાલ’ના મોહમાંથી અને લોકસમર્થનના કેફમાંથી ઉગરી ગયું હોત. એટલું જ નહીં, કેટલાક ખરડાને વેગ આપીને સંસદ સુધી પહોંચાડવાનો વાજબી જશ પણ લઇ શક્યું હોત. જેમ કે, ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વને લગતું જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી બિલ, નાગરિક અધિકાર પત્ર અને તેમની ફરિયાદોના નિવારણને લગતું સિટીઝન્સ ચાર્ટર એન્ડ ગ્રીવન્સ રીડ્રેસલ બિલ અને વ્હીસલ બ્લોઅર બિલ.

પરંતુ ઊંચી શરૂઆત પછી અન્નામંડળને કામ કઢાવવાને બદલે પોતાનો કક્કો ખરો કરાવવામાં અને સરકારને નમાવવામાં વધારે રસ પડતો હોય- વધારે મઝા આવતી હોય એવું લાગ્યું. તેનું પરિણામ એ આવ્યું કે સાવ શરૂઆતમાં અન્નાએ ઉપાડેલી ઝુંબેશ માટે સહાનુભૂતિ ધરાવનારા ઘણા લોકો સમય જતાં તેમના હળવા અને પછી તો આકરા ટીકાકાર બન્યા. બાકી રહેલું કામ અન્નાના મુગ્ધ સમજણવાળા, ‘તમે અન્નાની સાથે કે સામે?’ એવું પૂછનારા, લોકપ્રિયતાની વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા તત્પર, સવાયા ‘દેશપ્રેમી’ ભક્તોએ પૂરું કર્યું.

ભાવિક ભક્તોની કુસેવા
દિલ્હીના રામલીલા મેદાનમાં ચરમસીમાએ પહોંચ્યાના થોડાં અઠવાડિયાં પછી મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં અન્ના-આંદોલનનો લોકજુવાળ ઓસરી ગયો. આ સચ્ચાઇ જીરવવાનું ઘણા અન્નાભક્તોને અઘરૂં પડી રહ્યું છે. સત્તાવાર કાર્યકર્તાઓ વાસ્તવિકતાથી આંખમીંચામણાં કરીને, મેદાન પર હાજર લોકોની સંખ્યાથી માંડીને લોકોના ઉત્સાહ બાબતે હજુ મનગમતી કલ્પનાઓમાં રાચવા માગે છે. તેમાંથી ઘણાખરા માટે અન્નાનું અસલી મહત્ત્વ તેમણે ઉપાડેલા મુદ્દાને કારણે ઓછું ને એ મુદ્દે ટોળાં એકઠાં કરવામાં તેમને મળેલી સફળતાને લીધે વધારે હતું. એવા લોકો અન્નાનો સિતારો બુલંદ હતો ત્યારે તેેમની માગણીઓના ગુણદોષ વિશે જરાસરખો વિચાર કરવાને બદલે, તેમની બિનશરતી આરતી ઉતારીને ધન્યતા અનુભવતા હતા. હવે તે શરમાઇને મોં છૂપાવી રહ્યા છે અથવા બેશરમ બનીને, પડ્યા પછી ટંગડી ઊંચી રાખવાની વેતરણમાં છે. અન્નાની પીછેહઠને તે ‘દુષ્ટ રાજકારણીઓ સામે એક સજ્જનની હાર’ ગણાવી રહ્યા છે અને અન્નાનો મુદ્દા આધારિત વિરોધ કરનારને વઘુ એક વાર તે દુર્જન ઠરાવી રહ્યા છે. એ બિચારાઓને આટલું જ ફાવે છે.

અન્ના-આંદોલનની કદાચ સૌથી વરવી આડપેદાશ છે તેના મતલબી, ઝનૂની, ભાવિક ભક્તો. તેમને અન્ના આંદોલનનું આગળ જણાવેલું વાસ્તવિક મહત્ત્વ સમજવામાં અને તેના થકી લોકકારણ મજબૂત બનાવવામાં ઝાઝો રસ નથી. તેમાંથી ઘણા ભાજપપ્રેમી-કોંગ્રેસવિરોધી જીવોને અન્ના-જુવાળ અને એ નિમિત્તે પેદા થયેલી સરકારવિરોધી લાગણીથી મઝા પડી ગઇ. અન્ના-આંદોલન વિશે માપસર પ્રશંસા અને મુદ્દાસર ટીકા કરનાર લોકો માટે તેમણે ચુનંદાં વિશેષણ વાપર્યાં- ‘કોંગ્રેસતરફી’ ને ‘દેશદ્રોહી’ પણ કહ્યા. એ જોશમાં તેમને ખ્યાલ ન રહ્યો કે અન્નાપ્રેમના-ભ્રષ્ટાચારવિરોધના ઓઢણા તળે તેમણે સંતાડેલો ‘આઇ લવ ભાજપ’નો બિલ્લો ઉછળીને બહાર દેખાઇ રહ્યો છે. (લોકાયુક્તની નિમણૂંકથી બચવા ધમપછાડા કરનારા ગુજરાતના મુખ્ય મંત્રી વિશે અન્નામંડળના ઘણા ગુજરાતી ભક્તોને ભાગ્યે જ કંઇ કહેવાનું હતું.)

કોંગ્રેસ, ભાજપ કે કોઇ પણ રાજકીય પક્ષ સાથે હોવું એ શરમનો નહીં, વ્યક્તિગત પસંદગીનો વિષય છે. પરંતુ અન્ના-આંદોલન જેવા પ્રસંગે ઉભી થયેલા નાગરિકઝુંબેશની મોટી તકને કેવળ કોંગ્રેસવિરોધ પૂરતી સીમિત કરી દેવી અને દાવો ‘ભ્રષ્ટાચારના વિરોધ’નો કરવો એ છેતરપીંડી છે. અન્નામંડળ જ્યાં સુધી કોંગ્રેસની સરકારને અદ્ધરજીવ રાખતું હોય ત્યાં સુધી, તે જે કરે તેને ઉછળી ઉછળીને ટેકો આપવો- ચીયરલીડરી કરવી એ મૂર્ખામીની હદનું ભોળપણ અથવા નાગરિક-ચળવળનો દ્રોહ છે. અન્ના-આંદોલનના કેટલાક ઝનૂની સમર્થકોએ દર્શાવી આપ્યું કે પક્ષીય ભક્તિ અને નાગરિકદ્રોહ નાગરિક-ચળવળના નામે પણ કરી શકાય છે.

આત્યંતિક શરૂઆત પછી અન્ના આંદોલન દિશાસુધાર-કોર્સ કરેક્શન કરીને પાટે ચડવાને બદલે વઘુ ને વઘુ ફંટાતું ગયું. મોટા પાયે લોકસમર્થનને કારણે, ભૂલો સુધારવાની તેમની પાસે એકથી વઘુ તકો હતી, પરંતુ નવા-મોટા સત્તાકેન્દ્ર જેવા જનલોકપાલ વિશેનો તેમનો દુરાગ્રહ છૂટ્યો નહીં. ટોળાંનું સમર્થન હોય ત્યાં સુધી પોતાનો દુરાગ્રહ પણ સત્યાગ્રહ જેવો લાગે છે, એ સત્ય હવે ટાઢા કલેજે વિચારતાં કદાચ અન્નામંડળને સમજાય.

લડાઇ પૂરી, કામ અઘુરું
અન્નાના પક્ષે લડાઇ ભલે ગુમાવાયેલી લાગતી હોય, પણ આ પ્રશ્ન ‘આરપારની લડાઇ’નો હતો જ નહીં. એટલે તેને હાર-જીતના ખાનામાં જોવાની જરૂર નથી. જે પ્રકારના સુધારા માટે જનલોકપાલની માગણી કરવામાં આવી, એવા સુધારા લાંબા ગાળે અને સતત પ્રયાસો પછી જ શક્ય બને. એટલે હાર જો ગણવી હોય તો એ નાગરિકપક્ષની નહીં, પણ અન્નામંડળના દુરાગ્રહોની થઇ ગણાય. ‘અન્નાની પીછેહઠ એટલે નેતાઓની જીત અને લોકોની હાર’ એવું ચોકઠું બેસાડી દેવાની અન્નાભક્તોની ઉત્સુકતા સમજી શકાય એવી છે, પણ એ સ્વીકારી શકાય એવી નથી.

હવે સંસદમાં રજૂ થયેલા અને જનલોકપાલના હેતુઓ સાથે સુસંગત એવા ખરડા વિશે અન્નામંડળ અને બીજા નાગરિકજૂથો સરકાર સાથે સંવાદ સાધે એ અપેક્ષિત છે. અન્નામંડળે સમજવું જોઇએ કે તેમના સમર્થકોમાંથી ઘણાખરા જનલોકપાલની આંટીધૂંટીમાં ઉતર્યા વિના, ફક્ત ભ્રષ્ટાચારના વિરોધ માટે જોડાયા હતા. તેમની લાગણી-માગણી કેજરીવાલ એન્ડ કંપની પ્રસ્તાવિત સર્વશક્તિમાન જનલોકપાલ માટે નહીં, પણ ભ્રષ્ટાચારઘટાડો અને ફરિયાદનિવારણ માટે ‘કંઇક થવું જોઇએ’ એવી હતી અને છે.

સંસદમાં રજૂ થયેલા જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી બિલ, વ્હીસલ બ્લોઅર બિલ અને સિટીઝન્સ ચાર્ટર બિલમાં લોકોની લાગણી ખાસ્સી હદે સંતોષી શકાય એવી સંભાવનાઓ છે. તેમાં રહેલી કચાશો પૂરવા અન્નામંડળ સહિતનાં નાગરિકજૂથો યોગ્ય સૂચનો કરી શકે- સરકાર અને વિપક્ષો પર દબાણ આણી શકે. હજુ સીબીઆઇને સરકાર અને લોકપાલ બન્નેના પ્રભાવથી સ્વાયત્ત બનાવવાની કામગીરી બાકી છે. ત્રીજા અને ચોથા વર્ગના સરકારી કર્મચારીઓ પર દેખરેખનો અસહ્ય બોજ લોકપાલ પર નાખવાને બદલે, નાગરિક અધિકારપત્ર અને ફરિયાદ નિવારણના માળખા અંતર્ગત તેની સાથે પનારો પાડી શકાય. નીચલા સ્તરે ભ્રષ્ટાચારમાંથી પેદા થતી બિનકાર્યક્ષમતા અંગે એ કાયદો ઉપયોગી નીવડે એમ છે.

‘જનલોકપાલ’ની માગણીની એક મોટી ખોડ એ હતી કે તેમાં સત્તાનું કેન્દ્રીકરણ થતું હતું. આજે નહીં તો કાલે એ મોટા ભ્રષ્ટાચારનું ઉદ્‌ભવસ્થાન બને અને બંધારણ-લોકશાહીના મૂળભૂત હાર્દને પણ જોખમાવે. તેને બદલે જનલોકપાલમાં સમાવિષ્ટ સીબીઆઇની સ્વાયત્તતાથી માંડીને સિટીઝન્સ ચાર્ટર (નાગરિક અધિકારપત્ર), ગ્રીવન્સ રીડ્રેસલ (ફરિયાદ નિવારણ), જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી (ન્યાયતંત્રની જવાબદેહી) જેવા મુદ્દા માટે જુદી જુદી વ્યવસ્થાઓ થાય એ વધારે ઇચ્છનીય અને વધારે વ્યવહારુ રસ્તો ગણાય. પરંતુ અન્નામંડળની અડિયલ માનસિકતાનો વઘુ એક નમૂનો ત્યારે જોવા મળ્યો, જ્યારે સરકારે સંસદમાં અલગથી દાખલ કરેલા સિટીઝન્સ ચાર્ટર બિલને અન્નાએ ગણકાર્યું નહીં. તેમણે એ બાબતને જનલોકપાલના તાબામાં મૂકવાનો દુરાગ્રહ ચાલુ રાખ્યો.

છેવટે રાજકારણમાં
અત્યાર સુધીની બિનરાજકીય ઝુંબેશ પછી અન્નામંડળે જાહેર કર્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં તે કોંગ્રેસ સામે અને બે વર્ષ પછી આવનારી લોકસભા ચૂંટણીઓમાં યુપીએ સરકાર સામે પ્રચાર કરશે. ‘જનલોકપાલનો વિરોધ કરનાર સૌ પક્ષો સામે પ્રચાર કરવો’ એવા અગાઉના દાવાને બદલે વાત હવે માત્ર કોંગ્રેસના વિરોધ પર આવીને અટકી છે. એ મોટા વિરોધાભાસને બાદ કરતાં, તેમનું ભાવિ રાજકીય વલણ જાહેર થાય એ વધારે સારું છે.

અન્નામંડળ કોંગ્રેસનો વિરોધ કરીને, કોઇ રાજકીય પક્ષ કે મોરચાના પલ્લામાં પોતાનું વજન મૂકવા ઇચ્છે અને બદલામાં તેની પાસેથી અમુક પગલાંની બાંહેધરી મેળવતો હોય તો સામાન્ય નાગરિકોને ભાજપ-કોંગ્રેસથી કશો ફરક પડતો નથી. કેજરીવાલ એન્ડ કંપની આગામી ચૂંટણીમાં નવો પક્ષ રચે અને જનલોકપાલ સાથે જોડાયેલા મુદ્દામાંથી અડધા મુદ્દા પણ હાથમાં લેવાનું- એ મુદ્દે વિધાનસભા-લોકસભામાં લડત આપવાનું વચન આપે, તો તેમની કાર્યપદ્ધતિ સામે વાંધા ધરાવતા વિરોધીઓ પણ તેમને મત આપવાનું પસંદ કરે. કારણ કે ત્યારે એ ઉદ્ધારકની નહીં, પણ જેવા છે તેવા પ્રતિનિધિની ભૂમિકામાં આવે છે. તેમની સરખામણી બીજા પક્ષોના ઉમેદવાર સાથે કરી શકાય છે અને તેમાં એમને બે આંગળ ઊંચા મૂકી શકાય છે.

પરંતુ રાજકારણની બહાર રહીને, પોતાના ‘જનઆંદોલન’નો પાક ભૂતના ભાઇ પલિત જેવો બીજો કોઇ રાજકીય પક્ષ લણી જાય એવી રીતે એમને ઝુંબેશ ચલાવવી હોય, જનલોકપાલની સર્વસત્તાધીશ-સમાંતર બાબુશાહી તેમને ઊભી કરવી હોય અને મૂળ હેતુ સુધી પહોંચવાને બદલે પોતાનો કક્કો ખરો કરવાનો આનંદ લેવો હોય, તો તેમની ‘પીછેહઠ’થી આપણે દુઃખી થવું જોઇએ? કે નવી, સર્વસમાવેશક, આત્યંતિકતા વગરની નાગરિક પહેલ માટે સજ્જ થવું જોઇએ?

Wednesday, December 28, 2011

બાર્ગેઇનમેં બહાર હૈ

ગાંધીજીએ આઝાદીની માગણી કરી ત્યારે અંગ્રેજોએ ‘અરે લઇ જાવને! તમારા માટે એવું છે?’ એવો કોઇ ડાયલોગ ફટકારીને આઝાદી આપી દીધી હોત તો?

વિચારવાનું એ નથી કે દેશનું શું થાત. સવાલ એ છે કે સ્વાતંત્ર્યસંગ્રામના ભવ્ય ઇતિહાસનું શું થયું હોત? શું આઝાદ ભારતની ભાવિ પેઢી ઇતિહાસમાં એવું શીખત કે અંગ્રેજોએ ભારતને ‘ઓન ડીમાન્ડ’ આઝાદીની ‘હોમ ડિલીવરી’ આપી? એવું ધારત કે બેરિસ્ટર ગાંધી લંડનના ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં હેટ ખરીદવા ગયા ત્યારે ભેગાભેગી આઝાદી ફ્રી લેતા આવ્યા હશે? આ શરમજનક કલ્પનાઓ સાચી ન પડી, તેનું ઘણું શ્રેય જો કોઇને આપવું હોય તો એ અંગ્રેજોને કે ભારતીય નેતાઓને નહીં, પણ તેમની વચ્ચે થયેલા બાર્ગેઇનિંગને આપવું જોઇએ.

બાર્ગેઇનિંગનો સાદો સિદ્ધાંત સની દેઓલ શૈલીમાં એક જ વાક્યમાં કહી શકાયઃ દૂધ જોઇતું હોય તો ખીર માગવી અથવા આપનારના દૃષ્ટિકોણથી કહી શકાયઃ ખીર માગે તો દૂધ આપવું. તેનો પેટાસિદ્ધાંતઃ આપનારે શરૂઆત સદંતર નકારથી કરવી અને માગનારે પહેલેથી બઘું જ માગી લેવું.

ભારતના નેતાઓ આઝાદી માગે એટલે અંગ્રેજો પહેલાં દંડા મારે ને ઘોડેસવાર પોલીસ દોડાવે. તેમ છતાં માગણી ચાલુ રહે, એટલે અંગ્રેજો વાટાઘાટો કરવા જેટલા નીચે ઉતરે અને પોતાની એંટ છોડ્યા વગર થોડું જતું કરવાની તૈયારી બતાવે કરે. ત્યાર પછી પણ ભારતના નેતાઓ ન માને એટલે અંગ્રેજ બચ્ચા ચૂંટણીઓ યોજવા ને પ્રધાનમંડળો રચવા રાજી થાય. છતાં ભારતીયોની માગણી ચાલુ રહે અને સાંજ પડી જાય- દુકાન (કે લારી) વધાવવાનો સમય આવી જાય, એટલે ‘તમારું પણ નહીં ને મારું પણ નહીં’ની જેમ, અંગ્રેજો ભારતને આઝાદી આપીને, પણ ત્યાર પહેલાં દેશના ભાગલા પાડીને વિદાય લે. છતાં, આદર્શ બાર્ગેઇનંિગની જેમ છેવટે બન્ને પક્ષોને લાગે કે ‘જોયું? આપણે કેવા ફાયદામાં રહ્યા.’

મોરનાં ઇંડાં ચિતરવાં ન પડે તેમ ભાવતાલની રકઝક માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘બાર્ગેઇનિંગ’નું ગુજરાતી ભાગ્યે જ કોઇને સમજાવવું પડે. ‘સાર્થ જોડણી કોશ’માં એ શબ્દ હજુ સુધી ન હોય, તો તેને વેળાસર દાખલ કરવો જોઇએ અને જો હોય તો તેને અંગ્રેજી નહીં, પણ ગુજરાતી શબ્દ તરીકે સ્થાન-માન મળવું જોઇએ. ‘ગુજરાતપ્રેમ’ના ઉભરા તળે ક્યારેક એવું પણ માનવું ગમે કે ‘બાર્ગેઇનિંગ’ ગુજરાતી ભાષાનો શબ્દ નથી, એ નક્કી ગુજરાતવિરોધીઓનું કાવતરું હોવું જોઇએ.

ચિત્ર, સંગીત, ગણિત, બાર્ગેઇનિંગ- આ બધી આવડતોને કુદરતી બક્ષિસ ગણી શકાય. તેનાં પુસ્તકો ન હોય અને હોય તો પણ એ ફક્ત પુસ્તકો વાંચીને શીખી ન શકાય. એ દૃષ્ટિએ તેની સરખામણી તરવા સાથે પણ થઇ શકે. પાણીમાં પડ્યા વિના કેવળ ચોપડાં વાંચીને કે મહાન તરવૈયાઓની ગાથાઓ સાંભળીને જેમ તરતાં ન આવડે, તેમ બાર્ગેઇન-બહાદુરોના ગમે તેટલા કિસ્સા સાંભળ્યા પછી કે દુકાનદારોની માનસિકતાનો ઊંડો અભ્યાસ કર્યા પછી, સ્થળ પર બાર્ગેઇનિંગ કરવું એ સાવ જુદી વાત છે. અર્જુન જેવા બહાદુરનાં ગાત્રો કુરુક્ષેત્રમાં કિંકર્તવ્યમૂઢ ભાવથી શિથિલ થયાં હતાં, એવો જ અંજામ બીજી રીતે બહાદુર હોય એવા લોકોનો બાર્ગેઇનિંગના કુરુક્ષેત્રમાં થઇ શકે. કોઇને બે ધોલ મારીને મફત પડાવી લેવાની ‘હિંમત’ ધરાવતા લોકો બાર્ગેઇનિંગ કરવાનું આવે ત્યારે તે ગેંગેં ફેંફેં થઇ જાય તો નવાઇ નહીં. (આજકાલ ગુંડાગીરી અને ગુનાઇત માનસિકતાને ‘હિંમત’ તરીકે ઓળખવાની-બિરદાવવાની ફેશન છે)

બે હાથ વિના તાળી પડતી નથી, તેમ બે પક્ષ વિના બાર્ગેઇનિંગ થતું નથી. એટલે જ, બાર્ગેઇનિંગને બીજા કોઇએ નહીં તો ‘અમૂલ-ભૂમિ’ ગુજરાતે સહકારી પ્રવૃત્તિનો દરજ્જો આપીને, તેનો મહિમા કરવો જોઇએ. બાર્ગેઇનિંગ માટે ઉત્સુકતા, ધીરજ, સહિષ્ણુતા, સામેવાળા પાસેથી ધાર્યું કરાવવાની તત્પરતા અને એવું કરાવી શકાશે એવો વિશ્વાસ જેવા ગુણો બન્ને પક્ષે અનિવાર્ય છે. મનની શક્તિઓ વિકસાવવાના અને તેના કાર્યક્રમોના બહાને હજારો રૂપિયા ખંખેરવાના આ જમાનામાં બાર્ગેઇનિંગ એક એવી પ્રવૃત્તિ છે, જેનાથી એ કરનારના મનની શક્તિ ફી ભર્યા વિના, બલ્કે સામેવાળાના આર્થિક હિસાબે અને જોખમે સતત વિકસતી રહે છે. બાર્ગેઇનિંગ લગભગ ઘ્યાનની કક્ષાનો મનોયોગ છે. તેમાં એક જ લક્ષ્ય ચિત્તમાં ધરીને, તેની પરથી નજર અને ઘ્યાન હટાવ્યા વિના, તેની આસપાસનાં બીજાં પરિબળોથી વિક્ષિપ્ત થયા વિના, ટકી રહીને છેવટે લક્ષ્યપ્રાપ્તિ સુધી પહોંચવાનું હોય છે.

અનુભવી ખરીદારો અને દુકાનદારો જાણે છે કે બાર્ગેઇનિંગના મુખ્ય બે પ્રકાર છેઃ ખરીદવા માટે અને ‘બસ, યું હી’, રીયાઝ ખાતર. બીજા પ્રકારના લોકો હવામાં ગોળીબાર કરીને બંદૂક બરાબર ચાલે છે કે નહીં તેની ખાતરી કરી જોનારા લોકો જેવા હોય છે. તેમનો ‘ગોળીબાર’ એટલો નિર્દોષ નથી હોતો એટલું જ. એવા લોકો રસ્તા પર ટહેલતા નીકળ્યા હોય ને લારીમાં કે દુકાનમાં ગોઠવેલી કોઇ ચીજ પર નજર પડે એટલે, ખરીદવાનો કુવિચાર મનમાં આણ્યા વિના, તે જઇ પહોંચે છે અને વસ્તુ તરફ આંગળી ચીંધીને પૂછે છે,‘આનું શું છે?’ અથવા વજનથી ખરીદવાની ચીજ હોય તો ‘કેમ આપી?’

એક વાર સામેથી ભાવ પડે એટલે બસ. તેમને એટલું જ જોઇતું હોય. બોલાયેલા ભાવની રસ્સી પકડીને એ સરસરાટ નીચે ઉતરવા માંડે છે. દુકાનદાર બાર્ગેઇનપ્રેમી ન હોય, તો તે ક્રૂર વિલનની જેમ અધવચ્ચેથી જ દોરડા પર કાતર ચલાવતાં કહે છે,‘લેવું હોય તો લો, નહીંતર ચાલતી પકડો.’ પરંતુ સતયુગ હજુ છેક આથમી ગયો નથી. બાર્ગેઇનિંગને ભાવ આપતા, તેને ગ્રાહકનો અધિકાર સમજતા અને તેમના બાર્ગેઇનિંગને વશ ન થવામાં પોતાની સફળતા ગણતા દુકાનદારો હજુ મોજૂદ છે. એવા દુકાનદારો સાથે બાર્ગેઇનિંગમાં ઘણું આગળ વઘ્યા પછી, એક તબક્કે દુકાનદાર એટલી વ્યૂહાત્મક ઉદારતા દેખાડે છે કે ભાવ કરનાર ગભરાય છે, ‘હવે વધારે બોલીશું તો વસ્તુ ખરીદીને જવું પડશે.’ એમ વિચારીને તે બાર્ગેઇનિંગ પડતું મૂકીને ચાલતી પકડે છે. તેની પીઠ પાછળ ક્યારેક દુકાનદારના મશ્કરીપૂર્ણ શબ્દો અફળાય છે,‘મને તો એનું મોં જોઇને જ ખબર પડી ગઇ હતી કે એને કશું ખરીદવું નથી. અમથો ટાઇમ પાસ કરવા આવ્યો છે. બેટમજીને કેવો ભગાડ્યો!’ મોલ-યુગમાં દુકાનદારોની સહિષ્ણુતા તેમની પ્રામાણિકતા કરતાં પણ વધારે ઝડપથી ઘટી રહી છે, ત્યારે બાર્ગેઇનને પ્રોત્સાહન આપનારા અને ‘શૂરા સંગ્રામ છોડીને ભાગે નહીં’ એવા ગૌરવથી બાર્ગેઇન-બહાદુરોનો મુકાબલો કરનારા દુકાનદાર ઘટતા જાય છે.

ખાલીપીલી ભાવ કરાવનારા માટે સવાલ નિઃસ્વાર્થ મનોરંજનનો હોય છે. બન્નેમાંથી એકેય પક્ષે આર્થિક વ્યવહાર સંકળાયેલો નથી. તેમની સરખામણીમાં, ખરેખર ખરીદી કરનારા ઘણા વઘુ ખતરનાક હોય છે. તેમના મનમાં વસ્તુ ખરીદવાની તાલાવેલી હોવાથી, તે દુકાનદારને કે ફેરિયાને ભીંસમાં લેવાની અનેક યુક્તિઓ અજમાવે છે. બાર્ગેઇન માટે એકસરખો ઉત્સાહ ધરાવતા દુકાનદાર-ગ્રાહક મળે ત્યારે ‘બેઉ બળીયા બાથે વળીયા’ જેવું દૃશ્ય સર્જાય છે. જોનારના શ્વાસ થંભી જાય છે. દુકાનદાર કે ફેરિયો કોઇ વસ્તુનો ભાવ પાંચસો રૂપિયા પાડે, એટલે બાર્ગેઇન કરનાર એ સાંભળ્યું-ન સાંભળ્યું કરીને કહેશે, ‘પચાસ રૂપિયા.’ બન્ને પક્ષો એકબીજાના ભાવ સાંભળીને મોં મચકોડવાને બદલે, ‘અબ આયેગા અસલી મજા’ના અંદાજમાં સજ્જ થાય છે. ત્યાર પછી ટેનિસની રસાકસીભરી મેચની જેમ સામસામા અંક-ફટકા શરૂ.‘૫૦૦’ -‘૫૦’,‘૨૭૦’-‘૫૫’. ‘૧૫૦’-‘૬૦’. સાંભળનારના જીવ અદ્ધર થઇ જાય, પણ બોલનારના પેટનું પાણી હાલતું નથી. છેવટે બન્ને જણ ૮૦ રૂપિયામાં ‘ફાઇનલ’ સોદો પાડે, ત્યારે સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થવાની જ બાકી રહે છે.

બાર્ગેઇનિંગની પ્રક્રિયાના શરમજનક ગણતા લોકો પણ હોય છે. ‘ભાવ અનુકૂળ હોય તો લેવું, ન ફાવે તો નહીં, પણ લમણાંઝીંક કરવાની શી જરૂર?’ એવી અકળામણ તેમને થાય છે. સામેવાળા પ્રત્યે દ્વેષ રાખ્યા વિના તેની સામે લડીને, તેની માનસિકતામાં રોકડું પરિવર્તન આણવાનો બાર્ગેઇન-સત્યાગ્રહ તેમના પલ્લે પડતો નથી.

અન્ના હજારેની મંડળીમાં બાર્ગેઇનની કુદરતી બક્ષિસ ધરાવતો એકાદ ગુજરાતી હોત તો કદાચ લોકપાલનો ડખો ક્યારનો ઉકેલાઇ ગયો હોત, એવું નથી લાગતું?

Tuesday, September 27, 2011

વારંવાર થતી દલીલોના વિચારણીય જવાબ

જાહેર બાબતોમાં હંમેશાં એકમત સધાય એવું લોકશાહીમાં બહુ બનતું નથી. દેશહિતને લગતા કેટલાક નિર્ણયોને બાદ કરતાં ‘સમરસતા’ કેટલી ઇચ્છનીય ગણાય એ સવાલ છે.

પ્રશ્નો ઉઠાવનાર, દલીલો કરનાર કે જુદો મત પ્રગટ કરનારના ઘણા પ્રકાર હોય છેઃ અજાણ, જિજ્ઞાસુ- સમજવા માગતા, બીજું દૃષ્ટિબિંદુ અપનાવે નહીં તો પણ તેની પાછળનો તર્ક સ્વીકારનારા, બધી દલીલોના પોતાને મનગમતા જવાબ ન મળે ત્યાં સુધી ‘ચર્ચા’નો આગ્રહ રાખનારા, અગાઉ મળી ચૂકેલા જવાબોને દરેક ચર્ચા વખતે ભૂલીને નવેસરથી, ઉત્સાહભેર ‘ચર્ચા’ માટે પડકાર ફેંકનારા, પોતાના પ્રિય નેતા-આગેવાન કે પક્ષ કદી ખોટું કરી જ ન શકે એવું માનતા ભક્તિમાર્ગી, પોતાની માન્યતાથી જુદા વિચાર ધરાવનાર કદી સાચો હોઇ જ ન શકે એવું ઝનૂન ધરાવનારા, સ્પષ્ટ હકીકતો સામે આંખ આડા કાન કરીને બેશરમીપૂર્વક સચ્ચાઇની દુહાઇ દેનારા, ચોક્કસ પક્ષ કે વ્યક્તિના ચીયરલીડર..તેમની આવી એક કે વઘુ લાક્ષણિકતાઓને કારણે કેટલાક મુદ્દા અને સવાલ અવારનવાર ઉભા થતા રહે છે.

પ્રચારના આ યુગમાં, હિટલરના ‘પ્રચારપુરૂષ’ ગોબેલ્સે કહ્યું હતું તેમ, એક જૂઠાણાને સાચું બનાવી દેવા માટે એક હજાર વાર દોહરાવવાની પણ જરૂર પડતી નથી. ગોબેલ્સની આઘુનિક આવૃત્તિઓ એક જ વાર જૂઠાણું ઉચ્ચારે એટલે પ્રસાર માઘ્યમો-ટીવી ચેનલોથી માંડીને ભક્તમંડળીઓ બાકીનું કામ ઉપાડી લેવા તત્પર હોય છે. બીજી તરફ, પાયાના મુદ્દા અનેક વાર સ્પષ્ટ કર્યા પછી પણ તેનો એવો પડઘો પડતો નથી. કારણ કે માહોલ ભક્તિનો અને વિચાર નહીં કરવાની બોલબાલાનો છે. આ કે પેલા નેતાની, અમુક કે તમુક પક્ષની ભક્તિ કરો તો ‘એકના હજાર’વાળો પ્રતિભાવ પેદા થાય. પણ કોઇ પક્ષ કે વ્યક્તિ પ્રત્યે વફાદારી ધરાવતા ન હોય તેમણે ‘ગોબેલ્સ ઇફેક્ટ’ જેવા પ્રચંડ પ્રતિભાવની અપેક્ષા વિના, પોતાની વાત મૂકવાનું ચાલુ રાખવું પડે. તેનો બીજો કોઇ વિકલ્પ કે શોર્ટ કટ કે સુંવાળો રસ્તો નથી.

આટલી ભૂમિકા પછી કેટલાક સવાલ-દલીલ અને એ કરનારા માટે વિચારવાના થોડા મુદ્દાઃ

ઉકેલ-વિકલ્પ આપો કાં ચૂપ રહો

‘જે સાથે નથી, તે સામે છે’ એવી માનસિકતા, ઓછી તીવ્રતા સાથે ઘણી વાર આ રીતે પ્રગટ થાય છે. મુદ્દો ત્રાસવાદનો હોય કે અન્ના હજારેના આંદોલનનો, આ દલીલ એક યા બીજા સ્વરૂપે સાંભળવા મળી જાય છે.

અન્ના હજારેના આંદોલન વખતે, કાયદા ઘડવાની પ્રક્રિયામાં લોકોના અવાજની સામેલગીરી, કેવળ ચૂંટણી વખતે અને એ પણ અંશતઃ જાગ્રત થતા સુષુપ્ત નાગરિકોને સડક પર ઉતારવાની સિદ્ધિ જેવા મુદ્દે અન્નાના આંદોલનનું સમર્થન કરનાર ઘણા લોકોને તેમની કેટલીક માગણીઓ અને તેની સાથે જોડાયેલી આત્યંતિકતા નાપસંદ હતા. પરંતુ અન્ના આંદોલન અંગે વિરોધનો સૂર કાઢનારા સામે વારંવાર વીંઝાતી એક દલીલ હતીઃ ‘તમારી પાસે ભ્રષ્ટાચાર દૂર કરવાનો બીજો વિકલ્પ છે? જો હોય તો બતાવો અને ન હોય તો ચૂપ રહો. અન્નાના આંદોલનની ટીકા કરવાનો તમને કોઇ અધિકાર નથી.’

ધારો કે કોઇ વ્યક્તિ પાસે ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરવો જોઇએ તેના વિકલ્પો કે વૈકલ્પિક માળખું નથી. છતાં, અન્ના અને સાથીદારોની માગણીઓમાં તેને કેટલાક મુદ્દાસરના અને પાયાના વાંધા જણાય છે. તો એને પોતાનો વિરોધ રજૂ કરવાનો હક નથી? બહાર બેસીને રોડાં નાખવા ખાતર નહીં, પણ જનલોકપાલ ખરડા વિશે જાણીને, તેમાં રહેલા કેટલાક દેખાતી ચર્ચાસ્પદ મુદ્દા સામે વાંધો ઉઠાવવાનો કોઇ પણ વ્યક્તિને અધિકાર છે.

અત્યારે અન્ના આંદોલનની વાત છે. કાલે બીજો કોઇ મુદ્દો હોઇ શકે. પણ જેની પાસે વિકલ્પ હોય તે જ વિરોધ કરે, એવું વલણ કોઇ રીતે માન્ય રાખી શકાય નહીં. વિરોધના વાજબીપણાનો આધાર વિરોધના મુદ્દાથી નક્કી કરવાનો હોય- નહીં કે વિકલ્પના અસ્તિત્ત્વથી. લોકશાહી માળખામાં કશું કાયમ માટે ગોઠવાઇ ગયેલું કે ઠરી ગયેલું હોતું નથી. ‘ફાઇન ટ્યુનિંગ’- સતત સુધારાવધારાની પ્રક્રિયા સતત ચાલુ રહે એ માટે ખાંચાખૂંચી પ્રત્યે ઘ્યાન દોરનારાની પણ એટલી જ આવશ્યકતા છે, જેટલી સુધારાવધારા કરનારની. લેબોરેટરીના રિપોર્ટમાં ગાંઠ કેન્સરની નીકળે ત્યારે ‘તમે જ કેન્સરની સર્જરી કરી આપો અને એ કરી ન શકતા હો તો લેબોરેટરી બંધ કરી દો’ એવો આગ્રહ રાખવાનું જેટલું અવાસ્તવિક છે, એટલું જ ગેરવાજબી ‘વિકલ્પ આપો અથવા ચૂપ રહો’નું વલણ ગણી શકાય.

વિરોધીઓ એટલે ‘એક ટોળકી’

સરમુખત્યારશાહી સિવાય બીજે ક્યાંય કોઇ પણ પક્ષના બધા લોકો એકમત હોય એવું બને નહીં. એવું જ અભિપ્રાયભેદની બાબતમાં. સોનિયા ગાંધીનો વિરોધ કરનારા કે તેમના પ્રશંસકો, અન્નાનો વિરોધ કરનારા કે તેમના ચાહકો- આ બધા ઉપરછલ્લી રીતે એકજૂથ લાગે, પરંતુ તેમાં અનેક પ્રકાર-પેટાપ્રકાર હોય છે. સમજણ, સૌજન્ય અને સજ્જતાના તફાવત હોય છે. પરંતુ દરેક પક્ષના ચીયરલીડરોને પોતાના વિચારવિરોધીઓની ‘ગેંગ’ કે ‘ટોળકી’ છે એવો પ્રચાર કરવાનું બહુ અનુકૂળ આવે છે. એમ કરવાથી વિરોધના મુદ્દાની ચર્ચામાં ઉતરવાની તસ્દી લેવી પડતી નથી.

ગુજરાતમાં તેના મુખ્ય મંત્રીના પ્રેમી અને ટીકાકારોમાં બહોળું વૈવિઘ્ય જોવા મળે છે. તેમના પ્રેમીઓમાં સત્તા હોય એ બાજુ ઢળનારા, તકસાઘુ, ‘જોયું? સાહેબે મુસ્લિમોને કેવો પાઠ શીખવી દીધો? આપણે આવો મરદ મુખ્ય મંત્રી જોઇએ’ એવું માનનારા, તેમના પ્રચારથી અંજાઇ જનારા, ગુજરાતનો વિકાસ તેમના આવ્યા પછી જ થયો છે એવું ઐતિહાસિક અજ્ઞાન ધરાવનારા, તેમની લોકપ્રિયતાના મોજાંમાં પોતાનાં હોડકાં તરાવવા ઉત્સુક, કટ્ટર હિંદુત્વવાદી, કોંગ્રેસવિરોધી.. એવી જ રીતે મુખ્ય મંત્રીનો વિરોધ કરનારામાં પણ ઘણા પ્રકાર છેઃ માનવ અધિકારના નામે કારકિર્દી બનાવનારા, મુખ્ય મંત્રીની ટીકા કરીને નામ-દામ કમાવા ઉત્સુક, કોંગ્રેસપરસ્ત, ઝાકઝમાળથી અંજાવાને બદલે વાસ્તવિકતા પર નજર રાખનારા, ગુજરાતના ઇતિહાસ અને માહત્મ્યની સરકારી નહીં, પણ સાચી સમજણ ધરાવનારા, શાસકને માથે ચડાવવાને બદલે જમીન પર રાખવો જોઇએ એવું માનનારા...

પરંતુ બને છે એવું કે ઘણી વાર બન્ને પક્ષના કેટલાક લોકો ભાન ભૂલીને અથવા મોટે ભાગે તો બિલકુલ સભાનતાપૂર્વક, બધા ‘વિરોધીઓ’ને એક જ લાકડીએ હાંકવા પ્રયાસ કરે છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીના આગળ જણાવેલા તમામ પ્રકારના વિરોધીઓને ગુજરાતવિરોધી, હિંદુવિરોધી, કોંગ્રેસી, બૌદ્ધિક, સેક્યુલર જેવા વિશેષણોથી ઓળખાવી દેવામાં આવે છે. એવું કરવાથી તેમના વિરોધમાં રહેલું અને પીડવાની ક્ષમતા ધરાવતું વાજબીપણું ખંખેરીની નિરાંત અનુભવી શકાય છે.

એ નહીં તો કોણ?

‘ગાંધીજી પછી કોણ?’ અને ‘નેહરુ પછી કોણ?’ એવા સવાલ જાણ્યા છે. પણ થોડા વખતથી એક નવો અહોભાવસૂચક ઉદ્‌ગાર સંભળાઇ રહ્યો છે. ફક્ત નિવાસી જ નહીં, બિનનિવાસી ગુજરાતીઓ પણ મુખ્ય મંત્રીની કેટલીક મુદ્દાની ટીકા કબૂલવાની કે સ્વીકારવાની ભૂમિકાએ આવે, ત્યારે (તેમના મતે) છેલ્લું પત્તું ઉતરે છેઃ ‘તમારી બધી વાત બરાબર, પણ આ નહીં તો બીજો કોણ મુખ્ય મંત્રી બની શકે? છે કોઇ આનાથી વધારે લાયક ઉમેદવાર? બન્ને વિકલ્પ ખરાબ હોય તો આ વિકલ્પ ઓછો ખરાબ નથી?’

બહુમતી બિનનિવાસી ગુજરાતીઓ-ભારતીયોમાં, સ્વેચ્છાએ દેશ છોડ્યા પછી જ ‘દેશપ્રેમ’ કેમ સોડાના ઉભરાની માફક પરપોટાતો હોય છે, તેનો અભ્યાસ સમાજશાસ્ત્રીઓ પર છોડીએ અને તેમની તથા ઘણા નિવાસીઓની ‘એ નહીં તો કોણ?’ની દલીલની વાત કરીએ. સૌ પહેલાં તો, રાજકારણ અનિશ્ચિતતાથી ભરપૂર હોય છે. વડા પ્રધાનો અને મુખ્ય પ્રધાનો તરીકે ક્યારે કોનો નંબર લાગી જશે એ નક્કી કરવાની અને ‘આ જ શ્રેષ્ઠ છે’ એવું માની લેવાની ઉતાવળનો રાજકારણમાં ઝાઝો અર્થ નથી. વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં કેશુભાઇ પટેલ મુખ્ય મંત્રી હતા ત્યારે એ જ હોદ્દા માટે વર્તમાન મુખ્ય મંત્રીનું નામ દૂર દૂર સુધી સંભળાતું ન હતું. તે દિલ્હીના આસમાનમાંથી જ ગુજરાત પર ટપક્યા હતા.

તેમને શ્રેષ્ઠ ગણતા અને ‘તેમનું સ્થાન કોઇ લઇ શકે એમ નથી’ એવી શ્રદ્ધા ધરાવતા લોકોએ, આ વિકલ્પવિહોણી સ્થિતિ સર્જવામાં મુખ્ય મંત્રીનો પોતાનો કેટલો ફાળો છે એ વિશે પણ વિચાર કરવો જોઇએ. સાથોસાથ, દિલ્હીની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તલપાપડ વર્તમાન મુખ્ય મંત્રી કોઇ હોદ્દે કે રાષ્ટ્રિય રાજકારણમાં દિલ્હી જતા રહેશે ત્યારે તેમની જગ્યાએ ગુજરાતમાં કોણ હશે એ સંભાવના પણ વિચારવા જેવી ખરી. પરંતુ તેમના ભક્તોની મુગ્ધતા જોઇને લાગે કે એક જ વ્યક્તિ એક સાથે વડા પ્રધાન અને મુખ્ય મંત્રી તરીકેના હોદ્દા સંભાળી શકે એવા બંધારણીય સુધારા માટેનું આંદોલન ગુજરાતમાંથી શરૂ થઇ શકે છે. બિનનિવાસી ગુજરાતીઓમાંથી ઘણા તેમાં રાબેતા મુજબની હોંશથી ભાગ લેશે.

ક્રમની રીતે છેલ્લો પણ મહત્ત્વની રીતે સૌથી અગત્યનો મુદ્દોઃ લોકશાહીમાં બે ખરાબ ઉમેદવારોમાંથી એક ઓછો ખરાબ ઉમેદવાર ચૂંટવાના પ્રસંગની નવાઇ નથી. પરંતુ એવું બને ત્યારે નાગરિકોએ યાદ રાખવાનું છે કે તેમણે શ્રેષ્ઠ નહીં, પણ ઓછો ખરાબ ઉમેદવાર ચૂંટ્યો છે. આ સત્ય ફક્ત નાગરિકો યાદ રાખે એટલું પૂરતું નથી. તેમણે ચૂંટાયેલા ઉમેદવારને પણ ભાન કરાવતા રહેવું જરૂરી છે કે ‘તમને ચૂંટ્યા કારણ કે તમારો હરીફ તમારાથી પણ ખરાબ હતો. તેના કારણે એવું નહીં માનતા કે અમે તમારી પર વારી ગયા છીએ. તમે આ વખતે સરખું કામ નહીં કરો તો આવતી વખતે અમે એક ખરાબને બદલે બીજા ખરાબને તક આપીશું.’ આ વાત શબ્દોમાં નહીં, વર્તનથી વ્યક્ત કરી શકાય છે.

રાષ્ટ્ર હોય કે રાજ્ય, સત્તાધીશોની ભક્તિમાં સરી પડવાને બદલે કે તેમને તારણહાર માનવાની ભૂમિકામાં આવી જવાને બદલે, તેમની મર્યાદાઓને છાવરીને તેમને વકરાવવાને બદલે, તેમને વઘુ જવાબદાર, વઘુ ઉત્તરદાયી બનાવવા માટે નાગરિકોએ કડક કાળજી રાખવાની જરૂર હોય છે. પરંતુ તકલીફ ત્યારે થાય છે જ્યારે ‘આ નહીં તો બીજા કોણ?’ની દલીલ કરનારા, ‘ઓછા ખરાબ’ વિકલ્પને શ્રેષ્ઠ અને પછી સર્વેશ્રેષ્ઠ ગણતા થઇ જાય છે. દલીલ ખાતર એ કહી દે છે કે ‘બીજા કોઇ દેખાતા નથી ત્યારે આ સારા છે.’ પરંતુ મનોમન તે પોતે કરેલા સમાધાનને સિદ્ધિ તરીકે જોવા લાગે છે અને વઘુ સારા વિકલ્પના અભાવે આવી ગયેલા ઉમેદવારને તેના આક્રમક પ્રચારની જાળમાં આવીને, દેશ કે પ્રદેશનો ઉદ્ધારક ગણતા થઇ જાય છે.

લોકશાહીમાં નાગરિકોને ઉદ્ધારકની કે તારણહારની નહીં, સૌને સાથે લઇને ચાલી શકે એવા, લોકરંજન-લોકઉશ્કેરણીને બદલે લોકકલ્યાણના માર્ગે ચાલવાની દાનત ધરાવતા શાસકની જરૂર હોય છે. એ માટે નાગરિકોએ ‘ઓછા ખરાબ વિકલ્પ’ અને ‘તારણહાર’ વચ્ચેનો ફરક સમજીને અંકે કરવો રહ્યો.

Tuesday, September 20, 2011

સારી યાદશક્તિ નાગરિકધર્મનો હિસ્સો છે?

માણસમાં ભૂલવાની ક્ષમતા ન હોત તો તેની જિંદગી ઝેર બની જાત, એવું ઘણા શાયરો અને ફિલસૂફોએ કહ્યું છે. તેમાં થોડો ફેરફાર કરીને કહી શકાય કે પ્રજાની યાદશક્તિ સારી હોય તો મોટા ભાગના રાજકારણીઓને કારકિર્દી સામે પ્રશ્નાર્થ મુકાઇ જાય. ગોરખધધામાં કે ગુનામાં સીધી- આડકતરી સંડોવણીનો આરોપ ધરાવતા તમામ નેતાઓ દૃઢતાથી માને છે કે ‘બસ, થોડો સમય વીતી જવા દો. પ્રજા બઘું ભૂલી જશે.’

દુઃખની વાત એ છે કે નેતાઓની માન્યતા મોટે ભાગે સાચી પડે છે. પ્રજાને ઢંઢોળીને જાગ્રત રાખવાનું કામ ધરાવતાં પ્રસાર માઘ્યમોમાં એક સમાચાર કે કૌભાંડ ત્યાં લગી જ ચમકે છે, જ્યાં લગી તેનું સ્થાન લેવા માટે બીજું કૌભાંડ કે ‘બડી ખબર’ ન આવે. ટીવી ચેનલો મહત્ત્વના મુદ્દાને ફક્ત ભૂલી જઇને જ નહીં, તેમાં તમતમતો મસાલો ભભરાવીને ચોવીસે કલાક માથે મારીને પણ તેમની ગંભીરતા ખતમ કરી શકે છે.

રીઢા રાજકારણીઓ એટલે જ પ્રસાર માઘ્યમોમાં થતી નકારાત્મક પ્રસિદ્ધિથી ગભરાવાને બદલે મોટે ભાગે હરખાતા થયા છે. તેમને મુખ્યત્વે બે વાતે ધરપત હોય છેઃ ૧) લોકોની યાદશક્તિ કેટલી? કાલે બીજું કંઇક બનશે એટલે આપણે છૂટ્ટા. ૨) એ બહાને છાપામાં-ચેનલો પર ચગવાથી-ચર્ચા થવાથી આપણું નામ મોટું થશે. તેનું મહત્ત્વ વધશે. મોટા ભાગના લોકોને થોડા સમય પછી, અમુક નામ બહુ જાણીતું બન્યું હતું- ચર્ચાયું હતું એટલું જ યાદ રહે છે. તેના બાકીના સંદર્ભો ભૂંસાઇ જાય છે અથવા ગૌણ બની જાય છે.

જરા યાદ ઇન્હેં ભી કર લો

અગત્યના, સળગતા, જવાબદાર હોદ્દેદારનો ભોગ લઇને જ જંપે એવા મનાતા અસંખ્ય મુદ્દા કોઇના આયોજનથી, કાવતરાના ભાગ તરીકે, સંયોગોવશાત્‌, અકસ્માતે કે માત્ર ને માત્ર નબળી યાદશક્તિને કારણે કેવા ઠરી જાય છે-દફન થઇ જાય છે, તેનો નાગરિક તરીકે આપણને બહોળો અનુભવ છે.

નજીકના ભૂતકાળની વાત કરીએ તો, અન્ના હજારેના ઉપવાસનો બીજો દૌર શરૂ થયો એ વખતે દિલ્હીની શીલા દીક્ષિત સરકાર કોમનવેલ્થ કૌભાંડમાં સંડોવણીના મુદ્દે બરાબર સકંજામાં આવી હતી. એકથી વઘુ અહેવાલોમાં કેટલાક પ્રધાનો ઉપરાંત ખુદ શીલા દીક્ષિત સામે આંગળી ચીંધાઇ હતી. કોમનવેલ્થ કૌભાંડમાં ફક્ત સુરેશ કલમાડી જ લાભાર્થી નથી એ સત્ય સૌને સમજાવા લાગ્યું હતું. વિદેશ ગયેલાં સોનિયા ગાંધી જેવો મજબૂત આધાર હોવા છતાં, દબાણ એ હદે વધી રહ્યું હતું કે જો એ વઘુ સમય ચાલુ રહ્યું હોત તો શીલા દીક્ષિતની ખુરશી જોખમમાં હતી.

પછી અન્નાના ઉપવાસ શરૂ થયા અને શીલા દીક્ષિત ભૂલાઇ ગયાં. ઉપવાસના નાટકીય ઘટનાક્રમ પછી થયેલા સમાધાનમાં શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે મહત્ત્વની ભૂમિકા ભજવી. ઉપવાસ પૂરા થયા, પણ શીલા દીક્ષિત સામેનો વિરોધ હવે તેની ધાર ગુમાવી ચૂક્યો છે. દિલ્હીમાં ભાજપી નેતાઓ વિધાનો કરે છે, પણ તેમાં અસર કરતાં ઔપચારિકતા વધારે જણાય છે.

શહીદ થયેલા લશ્કરી જવાનો માટે તૈયાર કરાયેલા ફ્‌લેટ બારોબાર ફાળવી દેવાનું ‘આદર્શ સોસાયટી કૌભાંડ’ એકથી વઘુ કોંગ્રેસી નેતાઓ અને લશ્કરી અફસરોની શરમજનક સંડોવણી ધરાવતું હતું. તેની વિગતો બહાર આવી ત્યારે બહુ ગાજી. પછી મામલો એટલી હદે થાળે પડી ગયો કે ‘આદર્શના આરોપીઓ’ની યાદીમાં નામ ધરાવતા વિલાસરાવ દેશમુખે અન્ના હજારેના ‘ભ્રષ્ટાચારવિરોધી’ ઉપવાસનો અંત આણવામાં ચાવીરૂપ વ્યક્તિ બન્યા. સરકારી પ્રતિનિધિ તરીકે તેમણે અન્ના સાથે સંવાદ સાઘ્યો. એટલું જ નહીં, ઉપવાસ-સમાપ્તિની ઘોષણા વખતે - અને બીજા દિવસે અખબારોના પહેલા પાને છપાયેલી તસવીરોમાં- વિલાસરાવ ‘ટીમ અન્ના’ની સાથે સ્ટેજ પર ઉપસ્થિત હતા.

- અને નીરા રાડિયા? નામ ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે? તેમની સાથે સંપર્કથી માંડીને સાંઠગાંઠ ધરાવતાં નામોની યાદીનો એક અંશ બહાર પડ્યો તેમાં કોર્પોરેટ જગત-રાજકારણ અને મીડિયા જગત ઉપરતળે થઇ ગયું હતું. બરખા દત્ત અને વીર સંઘવી જેવા મીડિયા મહારથીઓને ખુલાસા આપવાનો- અને એમના ખુલાસા ઘણા લોકોને સ્વીકાર્ય ન લાગે એવો- દિવસ આવ્યો હતો. પછી શું થયું? કંઇ નહીં. ભવિષ્યમાં કોઇ સરકાર કે નેતાને પોતાનું હિત જોખમાતું લાગશે ત્યારે એ અનુકૂળતા પ્રમાણે આ કૌભાંડની યાદ તાજી કરીને તેમાંથી પોતાનો સ્વાર્થ સાધી લેશે. બાકી સચ્ચાઇની શોધ કેવી, ન્યાય કેવો ને વાત કેવી?

શરદ પવાર જેવા, ભ્રષ્ટાચારના આરોપના મામલે ‘વરિષ્ઠ’ કહેવાય એવા નેતાને હજુ સુધી તકલીફ પડવાનું તો દૂર રહ્યું, ભ્રષ્ટાચારની વઘુ ને વઘુ તક ઊભી થાય એવા હોદ્દા મળી રહ્યા છે. તેમની સામે જેહાદ જગાડનાર ખૈરનારને અત્યારે ખૂણેખાંચરે શોધવા પડે, પણ શરદ પવાર કેન્દ્રિય પ્રધાનમંડળમાં અને બીસીસીઆઇ જેવી મોકાની જગ્યાએ, ભ્રષ્ટાચારશિરોમણીના જાહેર ખાનગી આરોપો સહિત, ઝળહળી રહ્યા છે.

થોડી જૂની વાત કરીએ તો, ચીમનભાઇ પટેલ કે ઇન્દિરા ગાંધી જેવાં નેતાઓના કિસ્સામાં, આગળ જણાવેલાં પરિબળો ઉપરાંત પાયા વગરનો આશાવાદ અને વિકલ્પોના અભાવ જેવા મુદ્દા પણ ભાગ ભજવી ગયાં હશે. તેના પરિણામે, જેમને પ્રજાએ લગભગ હાંકી કાઢ્‌યા હોય એ જ નેતાઓને ઉદ્ધારક તરીકે અપનાવવામાં ઘણા લોકોને કશો વિરોધાભાસ લાગતો નથી. દરેક માણસની જેમ નેતાઓને સુધરવાનો અધિકાર હોય જ. એનો ઇન્કાર નથી. પરંતુ તેમના વલણમાં રતિભાર સુધારો ન થયો હોવા છતાં, કેવળ સમય પસાર થઇ ગયા પછી, એ નેતાઓને પુનઃ મળતી લોકસ્વીકૃતિ આંચકાજનક હોય છે.

દાયકાઓ પહેલાં સમાજમાં અને રાજકારણમાં પ્રતિષ્ઠાની બોલબાલા હતી. નકારાત્મક પ્રસિદ્ધિ ખરેખર ખરાબ અસર પાડી શકતી હતી અને કોઇની કારકિર્દી ખતમ પણ કરી શકતી હતી. ‘બદનામીમેં ભી નામ હોતા હૈ’નું સૂત્ર બ્રહ્મવાક્ય બન્યું ન હતું. એક જ દિવસ છાપામાં ખરાબ છપાય તેનાથી નેતાઓ કે જાહેર જીવનમાં પડેલા લોકો ખળભળી ઉઠતા હતા. પરંતુ શરમ ગઇ એટલે પોતાની સાથે બધાં મૂલ્યોને લેતી ગઇ. હર્ષદ મહેતા-કેતન પારેખ હોય કે ભ્રષ્ટાચારી અફસરો-નેતાઓ, કૌભાંડક્ષમતા લગભગ તેમની આવડત અને લાયકાત ગણાવા લાગી. હર્ષદ મહેતાના જેલવાસ વખતે જેલમાંથી તેમણે માતાને લખેલા પત્રો પ્રગટ કરવામાં પ્રસાર માઘ્યમો ધન્યતા અનુભવતાં હતાં- કેમ જાણે ગાંધી-સરદારે જેલમાંથી લખેલા પત્રોનો ખજાનો હાથ લાગ્યો હોય.

સફળતાની શતરંજ

પ્રચારવિદ્યામાં પાવરધા ‘ગોબેલ્સના એકલવ્યો’ (તમારા મનમાં કોનું નામ આવ્યું?) ઘણી વાર સમય વીતવા દેવાની પણ રાહ જોતા નથી. એ માટેની ધીરજ ન હોય, રાહ જોવી પોસાય એમ ન હોય અથવા લોકોની નાડ પારખવાનો આત્મવિશ્વાસ હોય ત્યારે એવા નેતાઓ જાતે જ બીજા ‘મોટા સમાચાર’ ઊભા કરે છે. તેનાથી લોકોનું અને પ્રસાર માઘ્યમોનું ઘ્યાન અસલી મુદ્દો છોડીને નવા ‘બ્રેકિંગ ન્યૂઝ’ તરફ ફંટાય છે. તેની તરફેણ અને વિરોધનો સિલસિલો શરૂ થઇ જાય છે અને અગાઉના મુદ્દાનો ‘ધી એન્ડ’. બસ, એટલું થઇ જાય એટલે નેતાઓ ગંગા નાહ્યા અને નાગરિકોએ ન્યાય-સચ્ચાઇના નામનું નાહી નાખવાનું.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વકરેલો ઉપવાસનો માનસિક રોગચાળો આ ‘સિદ્ધાંત’ને અમલમાં મૂકાતો જોવાનો ઉત્તમ મોકો છે. આ તરકીબ અપનાવનારા દૃઢપણે એવું માને છે કે તેમને સાંભળનારા- તેમની પ્રચારજાળમાં લપેટાયેલામાંથી બહુમતીને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. તેમની આંખે પટ્ટી બાંધીને તેમની પોતાની નહીં, પણ સત્તાધીશની કલ્પના પ્રમાણેની સૃષ્ટિમાં વર્ચ્યુઅલ વિહાર કરાવી શકાય છે.

ઉપવાસ-ચાળો ફાટી નીકળ્યો ત્યાર પહેલાંના ગુજરાતમાં કયા મુદ્દા સૌથી વઘુ ચર્ચાસ્પદ બન્યા હતા? યાદશક્તિને બહુ જોર આપવાની જરૂર નથી. હજુ અઠવાડિયા-બે અઠવાડિયા પહેલાંની જ વાત છે. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકના પ્રશ્ને રાજ્યપાલ વિરુદ્ધ મુખ્ય મંત્રીની ટક્કર થઇ હતી. ભ્રષ્ટાચારના મુદ્દે અન્ના હજારેના આંદોલનને સમર્થન આપનાર ગુજરાતના મુખ્ય મંત્રી પોતાની પર થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ લોકાયુક્ત દ્વારા ન થાય, તેના માટે સોગઠાબાજી ખેલી રહ્યા હતા. જે મુદ્દે ભ્રષ્ટાચારના આરોપ થયા હતા તેની તપાસ માટે સરકારી તપાસપંચ નીમાઇ જાય, તો આપોઆપ એ મુદ્દા લોકાયુક્તના તપાસક્ષેત્રમાંથી બહાર નીકળી જાય. આ જોગવાઇનો ઉપયોગ કરી લેવાની મુખ્ય મંત્રીની આતુરતા દેખાઇ આવતી હતી. ત્યાં સુધી કાયદો-બંધારણ-રાજકારણની બૂમો પડી નહીં.

રાજ્યપાલે પોતાની સત્તાનો ઉપયોગ કરીને તત્કાળ લોકાયુક્તની નિમણૂંક કરી કે તરત ‘આ તે રાજભવન કે કોંગ્રેસભવન?’ની નારાબાજી શરૂ થઇ ગઇ. મુખ્ય મંત્રીના સમર્થકોમાંથી ઘણા એ વખતે સ્વીકારતા હતા કે તે પોતાના દાવા પ્રમાણે સ્વચ્છ હોય તો પછી લોકાયુક્તની તપાસથી તેમણે શા માટે ડરવું જોઇએ? ‘હું ગુનેગાર હોઉં તો મને ફાંસી આપજો’ એવા ટંકાર કરનારા મુખ્ય મંત્રી આરોપોની તટસ્થ તપાસની વાત આવતાં વિચલિત થઇ ગયા, એ હકીકતની નોંધ તેમના સમર્થકોએ પણ લીધી. મામલો છેવટે હાઇ કોર્ટમાં ગયો, જ્યાં તેની પર ફેંસલો થશે.

આમ એક આફત ગૂંચવાડો ઊભો કરીને હાલ પૂરતી પાછી ઠેલવામાં આવી. ત્યાં સર્વોચ્ચ અદાલતે ગુલબર્ગ સોસાયટીના કેસમાં મુખ્ય મંત્રીની સંડોવણી વિશે કંઇ કહેવાને બદલે, એ કામ કાનૂની પ્રક્રિયા મુજબ નીચલી અદાલત પર છોડ્યું. સાથે એ સ્પષ્ટતા પણ કરી કે નીચલી અદાલતના ફેંસલા સામે ઉપલી અદાલતમાં જવાનો વિકલ્પ ખુલ્લો રહે છે. તેમ છતાં, મુખ્ય મંત્રીએ આ હકીકતને ગોળગોળ શબ્દોમાં અને આક્રમક પ્રચાર દ્વારા પોતાને મળેલી ‘ક્લિનચીટ’ તરીકે ઓળખાવી, જે હકીકતમાં ‘ક્લિન ચીટિંગ’(ચોખ્ખી છેતરપીંડી)નો નમૂનો ગણાય. સર્વોચ્ચ અદાલતે જાણે તેમને નિર્દોષ છોડી દીધા હોય અને હવે નવેસરથી શરૂઆત કરવાની હોય તેમ, એમણે સદ્‌ભાવના ઉપવાસની જાહેરાત કરી દીધી અને અમેરિકાની સંસદ સમક્ષ અહેવાલ રજૂ કરતી એક સમિતિના અહેવાલના આધારે વડાપ્રધાનપદ માટેનો પોતાનો દાવો ચર્ચાના કેન્દ્રસ્થાને મૂકી દીધો.

હવે લોકો લોકાયુક્તના મુદ્દે મુખ્ય મંત્રીના ઠાગાઠૈયા ભૂલી જાય, સર્વોચ્ચ અદાલતના આદેશના સદંતર ગેરમાર્ગે દોરનારા અર્થઘટનને બદલે તેના પગલે કરાયેલા ઉપવાસની, તેમાં થયેલા ખર્ચની ને તેની સફળતા-નિષ્ફળતાની ચર્ચામાં પડી જાય, એટલે મુખ્ય મંત્રીના ઉપવાસ સફળ!

Tuesday, September 13, 2011

ભ્રષ્ટાચારનો મુકાબલોઃ સિંગાપોર સ્ટાઇલ

જનલોકપાલ માટે અન્ના હજારે અને સાથીદારોના આંદોલન વખતે, ‘લોકપાલથી ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે’ એવું માની બેઠેલા ઘણા લોકો પોતાની માન્યતાના સમર્થનમાં સિંગાપોરનો દાખલો ટાંકતા જોવા મળ્યા. સિંગાપોરમાં લોકપાલનાં કેવાં ચમત્કારી પરિણામો આવ્યાં છે, તેની ‘નક્કર વિગતો’ સાથેના ઇ-મેઇલ ફરતા થઇ ગયા. એ વાંચતાં લાગે કે ‘લોકપાલ’ કહેતાં કોઇ કાનૂની જોગવાઇની નહીં, સંતોષીમા-દશામા જેવા ‘ઇચ્છિત ફળ આપનાર’ કાલ્પનિક દૈવી પાત્ર વિશે વાત થઇ રહી છે. આ પ્રકારના ઇ-મેઇલમાં ‘દસ જણને ફોરવર્ડ કરવાથી પુણ્ય મળશે’ એવું લખ્યું ન હતું, પણ ‘દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઇચ્છતા હો, તો આ ઇ-મેઇલ બીજાને ફોરવર્ડ કરો’ એવું સૂચન હતું.

‘મિસ્ડ કોલ’ કરવાથી કે ઇ-મેઇલ ફોરવર્ડ કરવાથી ભ્રષ્ટાચાર જેવા મુદ્દે દેશમાં જાગૃતિ આવી જશે અથવા પોતે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં ‘યથાશક્તિ ફાળો’ આપ્યો ગણાશે, એવી માન્યતા વિશે ચર્ચા કરીને શા માટે સમય બગાડવો? ચર્ચાનો અસલી મુદ્દો સિંગાપોરમાં ‘લોકપાલના ચમત્કાર’ વિશેની જૂઠી માહિતીનો છે, જે સાચી માહિતી તરીકે ચોતરફ ફરી વળી છે. ‘સિંગાપોરના લોકપાલના ચમત્કાર’ વિશેના એક ઇ-મેઇલમાં જણાવાયું છેઃ ‘સિંગાપોરમાં 1982માં લોકપાલ બિલનો અમલ કરવામાં આવ્યો અને (તેના પગલે) એક જ દિવસમાં 142 ભ્રષ્ટ નેતાઓ અને અફસરોની ધરપકડ કરવામાં આવી...આજે સિંગાપોરમાં ફક્ત 1 ટકા લોકો ગરીબ છે. પ્રજાએ સરકારને કોઇ પણ પ્રકારના કરવેરા ચૂકવવા પડતા નથી. શિક્ષણનો દર 92 ટકા જેટલો ઊંચો છે, વધારે સારી તબીબી સુવિધાઓ છે, ચીજવસ્તુઓની કિંમતો પ્રમાણમાં સસ્તી છે અને બેકારીનો દર માત્ર 1 ટકા છે.’

ઉપરનું લખાણ વાંચીને લાગે કે ‘લોકપાલ’ એ કાયદો નહીં, જાદુઇ ચિરાગ હોવો જોઇએ અને ભ્રષ્ટાચારનો રાક્ષસ બધી સમસ્યાઓનો જનક. ચિરાગ ઘસાયો. જિન પેદા થયો. રાક્ષસ ખતમ. પ્રજા ખુશહાલ. વાર્તા પૂરી. બાકી, કાયદાના સદીઓ જૂના ઇતિહાસમાં કોઇ એક કાયદાએ આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી હકારાત્મક અસર ઉભી કરી હોય એવું જાણ્યું છે? (સતીપ્રથાનાબૂદીના કાયદાના ઘણા સમય સુધી – અને કેટલાક પુરાતનવાદીઓના મનમાં હજુ પણ- સતી થનાર સ્ત્રી વિશે આક્રોશ-અનુકંપાને બદલે અહોભાવની લાગણી હોય તો નવાઇ ન લાગે.)

લાંચ માટે બેધારી સજા

હકીકત જાણવા માટે શ્રદ્ધા કે ઉત્સાહ બાજુ પર મૂકીને થોડી તસ્દી લઇએ તો ભ્રષ્ટાચાર સામેની લડતમાં સિંગાપોરને મળેલી નોંધપાત્ર સફળતા અને તેની મર્યાદાઓ વિશે વાસ્તવિક વિગતો જાણવા મળે છે. ભ્રષ્ટાચારનાબૂદીને લગતાં વિવિધ સર્વેક્ષણોમાં સિંગાપોર ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે, એટલી નોંધ સાથે, શરૂઆત સમાચારોથી કરીએઃ

-લાંચ આપવાની કોશિશ બદલ મહિલાની ધરપકડ (5 સપ્ટે., 2011). વ્યસનને લગતી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે 30 વર્ષની એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોલીસને 150 ડોલરની લાંચ આપીને છૂટી જવાનો પ્રયાસ કરતાં, લાંચ આપવાના પ્રયાસ બદલ તેની ધરપકડ કરવામાં આવી. લાંચ અંગેનો કેસ ‘કરપ્ટ પ્રેક્ટિસિસ ઇન્વેસ્ટીગેશન બ્યુરો’ને સોંપાયો છે.

- માર્ચ, 2009માં ટ્રાફિક ગુનામાંથી બચવા માટે ટ્રાફિક પોલીસને 200 ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કરવાના ગુનાસર આરોપીને અદાલતમાં ત્રણ મહિનાની જેલની સજા થઇ હતી. માર્ચ, 2010માં ટ્રાફિક પોલીસને 20 ડોલરની લાંચ ધરનારને ત્રણ અઠવાડિયાંની જેલ પડી હતી. સરકારી અફસરને લાંચ આપવાના ગુના બદલ સિંગાપોરમાં મહત્તમ પાંચ વર્ષની સજા, 1 લાખ ડોલર દંડ અથવા બન્નેની જોગવાઇ છે. આ વિગતો જાહેર કરનાર સિંગાપોરના ‘કરપ્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇન્વેસ્ટીગેશન બ્યુરો’ (સીપીઆઇબી)ના નિવેદન પ્રમાણે, વિદેશોમાં વસતા સિંગાપોરના લોકો ટ્રાફિક પોલીસને લાંચ આપવાના ગુનામાં પકડાય, તેના સમાચાર પણ (સરકારી નિયંત્રણ ધરાવતાં) સિંગાપોરનાં ખબારોમાં પ્રસિદ્ધ થાય છે.

સીપીઆઇબીની વેબસાઇટ પર ‘1 દિવસમાં પકડાયેલા 142 નેતાઓ-અધિકારીઓ’ વિશે કશો ઉલ્લેખ મળતો નથી. હા, ભ્રષ્ટાચારના આરોપ બદલ 1966માં એક મંત્રીને હોદ્દેથી દૂર કરાયાનો, 1975માં એક મંત્રીને દોઢ વર્ષની સજાનો અને 1986માં એક મંત્રીએ ભ્રષ્ટાચારના આરોપો સામેની કાર્યવાહીથી બચવા કે તેનાથી શરમાઇને કે પોતાની નિર્દોષતાનું ગાણું ચાલુ રાખીને અંતે આપઘાત કર્યો હોવાની માહિતી મળે છે. એ રીતે પાંચ વરિષ્ઠ સરકારી અધિકારીઓને જેલની સજા-દંડ થયાની વિગતો પણ સાઇટ પરથી મળે છે. અત્યાર સુધીની સૌથી મોટી સજા 1995માં સિંગાપોરના પબ્લિક યુટિલિટી બોર્ડના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને થઇ હતી. તેમની પર કોન્ટ્રાક્ટ આપવા માટે 1.38 કરોડ ડોલરની લાંચ લેવાનો આરોપ હતો. 1995માં તેમને 14 વર્ષની જેલની સજા થઇ અને લાંચની રકમ તેમની પાસેથી જપ્ત કરવામાં આવી.

આર્થિક ગોટાળા માટેની સજામાંથી ખાનગી ક્ષેત્રોને-વેપારઉદ્યોગોને પણ બાકાત રાખવામાં આવ્યાં નથી. એક કંપની બીજી કંપનીમાંથી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા માટે એ કંપનીના અધિકારીને લાંચ આપે, તે પણ ગુનો બને છે અને સંબંધિત અધિકારીઓને સજા-દંડ થાય છે. (દા.ત. ઓટો પાર્ટ બનાવતી કંપની કોઇ કારઉત્પાદક કંપનીના અધિકારીને લાંચ-ભેટસોગાદો આપીને, એ કંપનીમાં પાર્ટસ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવી લે તો ત્યાં પણ ભ્રષ્ટાચારવિરોધી કાયદો લાગુ પડે.)

લાંચવિરોધી બ્યુરોઃ સ્થાપના અને સત્તા

સિંગાપોરના ‘કરપ્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇન્વેસ્ટીગેશ બ્યુરો’ (સીપીઆઇબી)ને સાવ પ્રાથમિક હેતુની રીતે કદાચ ભારતના લોકપાલ (કે ‘જનલોકપાલ’) સાથે સરખાવી શકાય, પણ એ સિવાયની અનેક બાબતોમાં બન્ને વચ્ચે કોઇ સામ્ય નથી. તેનું એક મોટું કારણ એ પણ ખરું કે ભારત અને સિંગાપોર વચ્ચે વસ્તી અને વૈવિધ્યથી માંડીને શાસનપદ્ધતિ જેવા મુદ્દે મોટો તફાવત છે.

સીપીઆઇબીની સ્થાપના સપ્ટેમ્બર, 1952માં થઇ ત્યાર પહેલાં પોલીસની લાંચવિરોધી પાંખ દ્વારા આરોપોની તપાસ થતી હતી અને દેશમાં ભ્રષ્ટાચારની બોલબાલા હતી. સિંગાપોર ત્યારે અંગ્રેજોનું સંસ્થાન હતું. શરૂઆતનાં વર્ષોમાં ઓછા સ્ટાફ અને પાંખી કામગીરીનો સિલસિલો ચાલ્યા પછી, 1968માં બ્યુરોને વડાપ્રધાનની કચેરીની સીધી દેખરેખ હેઠળ મુકવામાં આવ્યો. દરમિયાન ભ્રષ્ટાચારવિરોધી કાયદામાં પણ સુધારા કરવામાં આવ્યા હતા. નેવુના દાયકામાં બ્યુરોની કામગીરી અને તેની સજ્જતામાં મોટા પાયે બદલાવ અને સુધારો થયાં. પોતાના અફસરો માટે બ્યુરોએ પોલીસ અકાદમી પર આધાર રાખવાને બદલે ખાસ તાલીમી કાર્યક્રમો ઘડ્યા. સંસ્થામાં નવા હોદ્દા ઉભા કરવામાં આવ્યા. 1995માં ‘લાઇ ડીટેક્ટર’ તરીકે ઓળખાતા પોલીગ્રાફ મશીનનો તપાસ અને પૂછપરછ માટે ઉપયોગ શરૂ થયો. 1 જૂન, 2011થી બ્યુરોના માળખાને ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છેઃ ઓપરેશન ડીપાર્ટમેન્ટ (માહિતી-જાણકારી એકત્ર કરવી), ઇન્વેસ્ટીગેશન ડીપાર્ટમેન્ટ (માહિતીના આધારે પૂરી તપાસ કરીને જરૂરી કાગળીયાં તૈયાર કરવાં) અને કોર્પોરેટ અફેર્સ ડીપાર્ટમેન્ટ (સંસ્થાનો આંતરિક-માળખાકીય વહીવટ).

સિંગાપોરના ભ્રષ્ટાચારવિરોધી કાયદા પ્રમાણે, કોઇ પણ વ્યક્તિ સામે ભ્રષ્ટાચારનો કેસ માંડતા પહેલાં પબ્લિક પ્રોસિક્યુટર સમક્ષ તપાસનાં બધાં કાગળીયાં-દસ્તાવેજ-પુરાવા રજૂ કરવાં પડે છે. તેમની મંજૂરી મળ્યા પછી જ કેસ ચાલી શકે. આરોપી સરકારી કર્મચારી હોય અને તેની સામે પૂરતા પુરાવા ન હોય તો તેમનો કેસ પબ્લિક પ્રોસિક્યુટરની સંમતિ સાથે, કર્મચારીના વિભાગીય વડાને મોકલવામાં આવે છે. બ્યુરો બાકીના સરકારી વિભાગોથી સ્વતંત્રપણે કામ કરે છે, પરંતુ તેનું કામ મજબૂત કેસ ઉભો કરવાનું છે. કેસની ગુણવત્તા નક્કી કરીને સજા ફરમાવવાની આખરી સત્તા અદાલત પાસે છે. બ્યુરોના સર્વોચ્ચ વડા (ડાયરેક્ટર) સીધા વડાપ્રધાનને જવાબદાર છે. બીજાં કોઇ ખાતાં તેમની પર દબાણ લાવી શકતાં નથી, જે સિંગાપોરની લાંબા સમય સુધી એક વ્યક્તિનું એકચક્રી રાજ ધરાવતી લોકશાહીમાં વ્યવહારૂ રીતે શક્ય બન્યું છે.

ભ્રષ્ટાચાર વિશે બાતમી આપનાર-ફરિયાદ નોંધાવનાર(ભારતમાં પ્રચલિત શબ્દઃ વ્હીસલ-બ્લોઅર)ની ઓળખ બ્યુરો દ્વારા ગુપ્ત રાખવામાં આવે છે. પણ કેસ અદાલતમાં પહોંચ્યા પછી તેમાં ઇરાદાપૂર્વક ખોટી માહિતી આવી છે એવું અદાલતને લાગે તો ફરિયાદીની ઓળખ ગુપ્ત રહેતી નથી. એટલું જ નહીં, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સજા ફટકારવામાં આવે છે. એક કંપનીમાં સેફ્ટી સુપરવાઇઝરે તેના ડેપ્યુટી સેફ્ટી મેનેજર સામે મૂકેલો ભ્રષ્ટાચારના આરોપ ખોટા પુરવાર થતાં, ફરિયાદીને આઠ અઠવાડિયાંની જેલ થઇ હોવાનો અને મકાનમાલિક પર ભ્રષ્ટાચારનો જૂઠો આક્ષેપ મુકનાર ભાડૂઆતને એક મહિનાની જેલ થઇ હોવાનો કિસ્સો પણ બ્યુરોની વેબસાઇટ પર નોંધાયેલો છે.

સિંગાપોરમાં ભ્રષ્ટાચારનાબૂદીને કારણે પ્રજાને કરવેરા ચૂકવવા પડતા નથી, એ માન્યતા ખોટી છે. વાર્ષિક 20 હજાર ડોલરની આવક સુધી વ્યક્તિગત કર ભરવો પડતો નથી, પણ ત્યાર પછી જુદી જુદી આવક પ્રમાણે આવકવેરાના આઠ પ્રકારના દર છેઃ સૌથી ઓછો દર (20 હજારથી 40 હજાર ડોલરની આવક માટે) 2 ટકા અને સૌથી વધુ (3લાખ 20 હજાર ડોલર કે વધુ વાર્ષિક આવક પર) 20 ટકા. સ્થાનિક લોકો અને બહારના લોકો માટે આવકવેરાના દર અલગ અલગ હોય છે. અલબત્ત, બીજા દેશોની સરખામણીમાં સિંગાપોર આવકવેરાના ઓછા દર માટે જાણીતું છે. પરંતુ તેનો સંબંધ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનાબૂદી સાથે જોડી શકાય નહીં.

ભ્રષ્ટાચારીઓ સામે તપાસ ઉપરાંત ભ્રષ્ટાચારને અટકાવવા માટે પણ બ્યુરો સરકારી અને શૈક્ષણિક રાહે કાર્યક્રમો ચલાવે છે, જેથી ભ્રષ્ટાચારનો મુદ્દો બાકીની વાસ્તવિકતાઓથી અલગ, અલાયદો બની ન જાય. ભ્રષ્ટાચાર સામે અસરકારકતાથી પનારો પાડવા માટે તેની વ્યાપકતા અને બધાં ક્ષેત્રો સાથે અડતો તેનો છેડો ધ્યાનમાં રાખવો જરૂરી છે. આ બધું કર્યા પછી પણ ‘સ્વિફ્ટ એન્ડ સ્યોર’ (ઝડપી અને ખાતરીપૂર્વક)નો મુદ્રાલેખ ધરાવતા બ્યુરોનો દાવો એટલો જ છે કે ‘સિંગાપોરમાં ભ્રષ્ટાચાર અંકુશમાં છે.’ આ સફળતા માટે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, શેહશરમ વગર કોઇ પણ ભ્રષ્ટાચારી સામે કાર્યવાહી અને ભ્રષ્ટાચારને જીવનરીતિ તરીકે જાકારો આપનાર પ્રજા- આ ત્રણને શ્રેય આપવામાં આવે છે.

સરખામણી કરવી હોય તો આ ત્રણે મુદ્દે સિંગાપોર અને ભારત વચ્ચે રહેલા તફાવતને સરખાવી શકાય.

Wednesday, September 07, 2011

અન્ના-આંદોલન પછીનું સંભવિત ટોપી-વૈવિઘ્ય

અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દરમિયાન ‘મૈં અન્ના હું’લખેલી ટોપીઓ બહુ લોકપ્રિય બની. એક સાથે આટલી ટોપીઓ ક્યાંથી આવી, કોણે તૈયાર કરાવી, તેનું બિલ કોણ ચૂકવ્યું એવા ક્ષુલ્લક સવાલોમાં અટવાઇ જવાને બદલે, રોમાંચકારી કલ્પનાનો વિષય એ છે કે આવી બીજી કેટલી જાતની ટોપીઓનો દેશમાં ખપ છે? જુદા જુદા સમુહોના માથે બંધ બેસે એવી બીજી કેટલીક લખાણ-ટોપીઓઃ

મૈં મનમોહન સિંઘ હું
તમામ પ્રકારના નબળા સજ્જનો, નબળા પ્રામાણિકો, મારે નહીં ને ભણાવે નહીં એવા મહેતાઓ અને સંિઘો આ ટોપી હકથી, વટકે સાથ પહેરી શકે છે. એ ઉપરાંત, શાણા, કહ્યાગરા, નિશાળેથી નીકળીને પાંસરા ઘેર જનારા, વિદ્વાન, ગુસ્સે ન થઇ શકતા અને થાય તો સામેવાળાને એનો અહેસાસ ન કરાવી શકતા, મહિલા ઉપરીઓના આજ્ઞાંકિત પ્રતિભાવંતો પણ આ લખાણ ધરાવતી ટોપી પહેરીને ટોપીની શોભામાં અને દેશના વડાપ્રધાનની હંિમતમાં વધારો કરી શકે છે. આવડતના ક્ષેત્ર કરતાં સાવ અલગ- ભળતા ક્ષેત્રમાં ઊંચો હોદ્દો ધરાવતા લોકો આ ટોપી પહેરીને અપરાધભાવનામાંથી મુક્તિ મેળવવા પ્રયાસ કરી જુએ. સફળતા મળવાની શક્યતા ઉજળી છે.

મૈં કલમાડી હું
કબૂલ કે આ ટોપી પહેરવા માટે પહેલાં ઘણાને ટોપીઓ પહેરાવવી પડે. એ પણ કબૂલ કે આ ટોપી પહેરવા માટે ‘છપ્પનની છાતી’ની અને ટીકાનો માર ખમી શકે એવું ભારે માથું જોઇએ. પણ તેનો અર્થ એવો થોડો છે કે આ ટોપીને લાયક માથાંની દેશમાં કમી છે? બહુરત્ના વસુંધરાના આર્યાવર્ત પ્રદેશમાં પંચાયતથી સંસદ સ્તરના નેતાઓ,ઉપનેતાઓ, લધુનેતાઓ, ઉપલધુનેતાઓ, પોતાના કદ કરતાં મોટો ભ્રષ્ટાચાર કરવાની તક મળતી હોય એવા સમાજના તમામ સ્તરના લોકો હોંશે હોંશે આ ટોપી ધારણ કરી શકે છે. નવા જમાનામાં આ ટોપી પહેરનારા પોતાની ઉજળી છાપ ઉપસાવવા માટે સારી (મોંઘી) પીઆર એજન્સી રોકશે તો તેમને તિહાર જેલમાં જવાનો વખત નહીં આવે. ઉપરથી, ટોપી પહેરવાને લીધે પ્રામાણિકતાના માર્ક મળશે તે અલગ.ભ્રષ્ટાચારવિરોધી આંદોલન પછી નિરપેક્ષ અને સાપેક્ષ બન્ને પ્રકારની પ્રામાણિકતાની બોલબાલા ધરાવતા દેશમાં ‘મૈં કલમાડી હું’ પ્રામાણિક એકરારનું પ્રતીક પણ ગણાશે અને ભવિષ્યમાં બીજા પ્રામાણિક માણસો નહીં હોય ત્યારે આવા માણસો ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં નેતાગીરી માટે પણ કામ લાગશે.

મૈં નીતિન ગડકરી હું
અનૈતિક અને ગેરકાયદે વચ્ચેનો ફરક બતાવીને પોતાના પક્ષના મુખ્ય મંત્રીનો ‘કાયદેસર’બચાવ કરનાર ભાજપપ્રમુખ નીતિન ગડકરીએ અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને છેલ્લે છેલ્લે બિનશરતી ટેકો આપ્યો. જાણે કે ‘મૈં યેદીયુરપ્પા હું’ લખેલી ટોપી ફેરવી નાખીને તેની બીજી બાજુએ ‘મૈં અન્ના હજારે હું’ ચીતરાવી દીઘું. આવા મહા-જનના નામની ટોપી કોણ પહેરી શકે? એ બધા, જે હવાનો રૂખ પારખવામા, પ્રતિસ્પર્ધીઓની નબળાઇનો લાભ લેવામાં કે પોતાના સાથીદારોને અંકુશમાં રાખવામાં મોળા અને મોડા પડતા હોય.

મૈં રાહુલ ગાંધી હું
‘જમવામાં જગલો ને કૂટવામાં ભગલો’- એ કહેણીમાં જગલાની ભૂમિકા ભજવનારા સૌ કોઇ આ ટોપી પહેરી શકે છે. સંસ્થાઓમાં જવાબદારી વગરની સત્તા ભોગવતા, વારેતહેવારે ચોથા વર્ગના કર્મચારીને ઘેર જઇને રોટલો આરોગી આવતા કે તેમનાં સંતાનોનાં ખબરઅંતર પૂછી લેતા (અને એ સિવાય બીજું કંઇ ન કરતા), વરસના વચલા દહાડે સેકન્ડ ક્લાસમાં કે રિક્ષામાં કે બસમાં સામાન્ય લોકો સાથે પ્રવાસ કરીને એ રીતે પોતાનું અસામાન્યપણું સિદ્ધ કરી આપનારા લોકો પણ આ ટોપીના પહેરણહાર તરીકે યોગ્ય ગણાય. ધંધાધાપામાં પિતાની ગાદી પર બેઠેલા અને ચાલુ હોદ્દે- પૂરા પગારે, ‘બોસ’ના હોદ્દે એપ્રેન્ટીસશીપ કરનારા બાબાલોગ આ ટોપીમાં શોભી ઉઠશે.

મૈં નરેન્દ્ર મોદી હું
આવું લખાણ ધરાવતી ટોપી પહેરનારા ગુજરાતમાં મોટી સંખ્યામાં છે.આ ટોપીની ખૂબી એ છે કે તે જોનારને દેખાય છે, પણ પહેરનારને દેખાતી નથી. તે એમ જ માને છે કે પોતે કોઇની ટોપી ધારણ કર્યા વિના ખુલ્લા માથે સત્યની તરફેણ કરી રહ્યા છે. સ્વપ્રચારમાં કોઇ પણ હદે જનારા, એક બાજુ અન્નાના આંદોલનને ટેકો આપીને બીજી બાજુ ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપેલા, જરૂરી ન હોય ત્યાં રાજકીય લાભ ખાટવા કે ટેકેદારોને ખોટેખોટો પોરસ ચડાવવા માટે સંવાદો ફટકારતા અને ચોતરફથી ઘેરાઇ જાય ત્યાર મોં બંધ કરીને એ સમય પસાર કરી નાખવાની રીત અપનાવના આ દરેક પ્રકારના લોકો આ ટોપી હકથી પહેરી શકે છે.કોઇની આફતને પોતાના માટે અવસરમાં પલટાવવાની ‘કાબા’લિયત ધરાવતા અને લાજવાનું હોય ત્યારે ગાજવાનું પસંદ કરતા લોકો આ ટોપીને પહેલી પસંદગી આપશે.

મૈં ધોની હું
‘ધોની કો અનધોની કર દે, અનધોની કો ધોની’- એવી પંક્તિ ભારત-ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ પછી પ્રચલિત નહીં બની હોય તો હવે બનશે. અત્યાર સુધી ‘કેપ્ટન કૂલ’ તરીકે ઓળખાતા, ભારતની (એટલે કે બીસીસીઆઇની) ટીમને વર્લ્ડકપ જીતાડી આપનારા, કરોડાના કોન્ટ્રાક્ટમાં મહાલતાા ધોની અત્યાર સુધી અમોઘ નિર્ણયશક્તિ, હાર નહીં માનવાનો જુસ્સો, ખેલદીલી, ટીમવર્ક,નેતૃત્વના ગુણો અને સરવાળે તેના પ્રતાપે મળતી સફળતા માટે પંકાયેલા હતા. એ જ ધોની હવે ન સમજાય એવા, ભૂલ ભરેલા નિર્ણયો લેનાર, નેતૃત્વનું વરદાન ગુમાવી બેઠેલા શાપિત અને નિષ્ફળ કેપ્ટન ગણાવા લાગ્યા છે. તેમના દાખલા પરથી, રાતોરાત પોતાના વિશે દુનિયાનો અભિપ્રાય બદલાઇ ગયો હોય અને સફળતાની ટોચેથી નિષ્ફળતાની ખીણમાં ગબડી પડ્યા હોય, એવા લોકો આ ટોપી પહેરી શકે છે.આ ટોપી પહેર્યા પછી તેમનેપોતાની સ્થિતિ વિશે ઝાઝા ખુલાસા આપવા નહીં પડે. સમજનારા ટૂંકમાં બઘું સમજી જશે.

મૈં સિવિલ સોસાયટી હું
નાગરિકશાસ્ત્રની રૂએ ભારતનો કોઇ પણ નાગરિક આ ટોપી પહેરી શકે, પરંતુ દેશ નાગરિકશાસ્ત્રથી ચાલતો નથી, એ જૂની સમજણ છેલ્લા થોડા મહિનામાં વધારે પાકી બની છે. હવે અન્ના હજારેના આંદોલનને બિનશરતી- ભાવનાત્મક ટેકો આપનારા, તેમની કેટલીક માગણીઓના વાજબીપણા અને વ્યવહારુપણા વિશે શંકા ન કરનારા, બીજા સામાજિક અગ્રણીઓનાં લોકપાલ વિશેનાં સૂચનો ઘ્યાને લેવાની જરૂર ન જોનારા, ‘અન્ના ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ અન્ના ’માં દૃઢ શ્રદ્ધા ધરાવનારા, અન્ના હજારેને ‘દેશકા દૂસરા ગાંધી’ ગણનારા, તેમના આંદોલનને ‘ઓગસ્ટ ક્રાંતિ’, ‘આઝાદીની બીજી લડાઇ’જેવાં ભવ્ય નામે ઓળખનારા, અન્નાની માગણી વિશે ચર્ચા ઇચ્છતા લોકોને દેશદ્રોહી, ભ્રષ્ટાચારતરફી, સરકારતરફી જેવાં વિશેષણોથી નવાજનારા- આમાંની ઓછામાં ઓછી કોઇ એક શરત પૂરી કરનાર લોકો જ વર્તમાન ભારતમાં આ લખાણ ધરાવતી ટોપી પહેરી શકે છે.