Showing posts with label emergency. Show all posts
Showing posts with label emergency. Show all posts

Tuesday, July 28, 2015

કટોકટીની આપખુદશાહીનો ભોગ બનેલો રાજકીય કટાક્ષની પાંખી પરંપરાનો વીરલ નમૂનો : ‘કિસ્સા કુર્સીકા’

 
Kissa Kursee Ka/ કિસ્સા કુર્સીકા
ઇંદિરા ગાંધીએ આણેલી કટોકટીને ગયા મહિને ચાળીસ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે કટોકટી વિશે અને તેની આસપાસ ઘણું લખાયું. પણ કટોકટી સાથે સીધો સંબંધ ધરાવતી ફિલ્મ કિસ્સા કુર્સીકા’/ Kissa Kursee Ka વિશે બહુ વાત ન થઇ. તેની પર મૂકાયેલા પ્રતિબંધથી વિશેષ કોઇ વાત ન થઇ. એ ફિલ્મ બાડમેર (રાજસ્થાન)ના કોંગ્રેસી સાંસદ અને ઇંદિરા ગાંધીની નીતિરીતિઓથી નારાજ થઇને છેડો ફાડનાર અમૃત નાહટાએ બનાવી હતી. ઇંદિરાપુત્ર સંજયે ગુંડાગીરી આચરીને આ ફિલ્મની નેગેટિવ-પોઝિટિવ બધું મુંબઇથી જપ્ત કરાવ્યું. એ સામગ્રી હરિયાણામાં આવેલી સંજય ગાંધીની મારૂતિફેક્ટરીમાં લઇ જવામાં આવી અને સર્વોચ્ચ અદાલતના આદેશને નેવે મૂકીને ફિલ્મનાં રીલને દીવાસળી ચાંપી દેવાઇ. એ સાથે જ આઝાદ ભારતની સંભવતઃ પહેલી રાજકીય કટાક્ષફિલ્મનું નામોનિશાન મટી ગયું.

ત્યાર પછી હિંદી ફિલ્મોમાં કરૂણતાનો ઘેરો રંગ ધરાવતા કટાક્ષની વાત નીકળે ત્યારે જાને ભી દો યારોં’ (૧૯૮૩)ને યાદ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં, તેનાં ત્રીસ વર્ષ પૂરાં થયાં ત્યારે, તેના વિશે લેખ લખાયા અને નવેસરથી તેના માહત્મ્યને તાજું કરવામાં આવ્યું. જાને ભી દો યારોંની લીટી જરાય ભૂંસ્યા વિના, ઐતિહાસિક ખરાઇ ખાતર કહેવું જોઇએ કે કડવી વાસ્તવિકતાને હાસ્યાસ્પદ બનાવીને કરુણાંત સાથે રજૂ કરવામાં કિસ્સા કુર્સીકાઘણી વહેલી અને ઠીક ઠીક આગળ હતી.

કિસ્સા કુર્સીકાની વિશેષતા એ હતી કે તેમાં સામાન્ય કટાક્ષ ઉપરાંત કેટલાંક ખાસ પાત્રોનો ઠઠ્ઠો કરવામાં આવ્યો હતો. ઇંદિરા ગાંધી-સંજય ગાંધી સાથે ચહેરાનું કે નામનું સામ્ય ધરાવતાં પાત્રો ભલે તેમાં ન હતાં, પણ ફિલ્મમાં દેખાડાયેલું સત્તાધીશનું પાત્ર ઇંદિરા ગાંધીની એ સમયની રાજકીય ભાષામાં બોલતું હતું અને તેની પોકળતા છતી કરતું હતું. મદારીના જંબુરામાંથી સત્તાધીશ બનેલો ગંગુ ઉર્ફે ગંગારામ મારી સરકારનો એક જ કાર્યક્રમ છેઃ ગરીબી હટાવો’- એમ કહે ત્યારે ઇંદિરા ગાંધી સિવાય બીજું કોણ યાદ આવે? સંજય ગાંધીના માનીતા અને નિષ્ફળ પ્રોજેક્ટ તરીકે બહુચર્ચિત બનેલી છોટી કાર’ (મારુતિ) ફિલ્મમાં ગંગારામના ચૂંટણીપ્રતિક તરીકે બતાવાઇ હતી. ગંગારામના ધૂર્ત સચિવનું પાત્ર ઇંદિરા ગાંધીના કાવાદાવાબાજ દરબારી આર.કે.ધવન પર આધારિત લાગતું હતું, તો ઇંદિરા-દરબારમાં દબદબો ધરાવતા ધીરેન્દ્ર બ્રહ્મચારી પ્રકારનું પાખંડી પાત્ર ઉત્પલ દત્તે ભજવ્યું હતું. (તેમણે ઘણા સંવાદમાં પાત્રની જરૂરિયાત પ્રમાણે પોતાના સ્વાભાવિક અવાજ કરતાં જુદો અવાજ કાઢ્‌યો હતો.) ફિલ્મના એક મહત્ત્વના ગ્લેમરસ સ્ત્રીપાત્રનું નામ હતું રૂબી ડિક્સાના, જે કટોકટી વખતે સંજય ગાંધીનાં ખાસ મનાતાં પેજ-૩સાથીદાર રૂખસાના સુલતાનાની યાદ અપાવનારું હતું. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પ્રતિભાશાળી કલાકાર મનોહર સિંઘને ગંગારામનું મુખ્ય પાત્ર મળ્યું.

પ્રચલિત માન્યતાથી વિપરીત, ‘કિસ્સા કુર્સીકાકટોકટી વખતે બની ન હતી. સમાજવાદનું સગવડીયું રટણ કરીને આપખુદશાહી તરફ આગળ વધી રહેલાં ઇંદિરા ગાંધીથી દુભાયેલા અમૃત નાહટાએ કટોકટી પહેલાં આ ફિલ્મ બનાવી દીધી હતી. તેમાં મનોહરસિંઘ ઉપરાંત રાજ બબ્બર, શબાના આઝમી અને રેહાના સુલતાન જેવા કલાકાર હતાં. ફિર ભીફિલ્મના નિર્દેશક શિવેન્દ્ર સિંહાને નિર્દેશન સોંપાયું. ફિલ્મની કથામાં હિંદી વ્યંગકાર હરિશંકર પરસાંઇનાં સલાહસૂચન લેવામાં આવ્યાં અને ફિલ્મના ટાઇટલ માટે વિખ્યાત  કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમ પાસે વીસ કાર્ટૂન તૈયાર કરાવાયાં. 
 
Amrit Nahta/ અમૃત નાહટા
સન ૧૯૭૪-૭૫માં આશરે રૂ.૯ લાખના કરકસરિયા બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ સામે સેન્સર બોર્ડે વાંધાવચકા પાડ્યા. સાંસદ-નિર્માતા અમૃત નાહટા સર્વોચ્ચ અદાલતમાં ગયા. ત્યાં સુધીમાં કટોકટી આવી ચૂકી હતી. અદાલતમાં કાનૂની જંગ ચાલ્યો. છેવટે એવું ઠર્યું કે ન્યાયાધીશો ફિલ્મ જોઇને ચુકાદો આપશે. તેમને ફિલ્મ બતાવવાની તારીખ નક્કી થઇ, પણ એ તારીખ પહેલાં સંજય ગાંધી અને માહિતી-પ્રસારણમંત્રી વી.સી.શુક્લના સાગરીતોએ ફિલ્મના રીલ અને તેની એકમાત્ર પોઝિટિવ હસ્તગત કરી લીધાં અને તેમનો નાશ કર્યો.

કટોકટી ઉઠી ગયા પછી અમૃત નાહટાએ આખી ફિલ્મ નવેસરથી બનાવી, જે ૧૯૭૮માં રજૂ થઇ. (એ આખી ફિલ્મ યુટ્યુબ પર જોવા મળે છે) તેમાં થોડા કલાકારો બદલાયા. રાજ બબ્બર અને રેહાના સુલતાન નવી કિસ્સા કુર્સીકામાં ન હતાં, પણ જનગણ દેશની જનતાના પાત્રમાં શબાના આઝમી રહ્યાં. શ્યામ બેનેગલની અંકુર’(૧૯૭૪)થી ફિલ્મોમાં આવનાર શબાના શરૂઆતમાં મસાલા ફિલ્મો કરતાં હતાં. કિસ્સા કુર્સીકામાં તેમની ભૂમિકા મૂંગી જનતા’ (પ્રજા)ની હતી. તેથી આખી ફિલ્મમાં શબાના આઝમીનો એક પણ સંવાદ ન હતો. ફિલ્મનાં કેટલાંક મુખ્ય પાત્રોની જેમ જનતાનો પણ કરુણ અંત આવ્યો.
Shabana Azami in Kissa Kursee Ka
  
નવેસરથી બનેલી કિસ્સા કુર્સીકાફિલ્મમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો અને કટોકટીની જાહેરાતને પણ આવરી લેવાયાં. કટોકટી જાહેર કર્યા પછી ઇંદિરા ગાંધીએ સવારના પહોરમાં બોલાવેલી સાંસદોની મિટિંગનું ફિલ્મી દૃશ્ય સ્થૂળ હાસ્યનો ઉત્તમ નમૂનો કહેવાય એવું હતું. તેમાં સૌ સાંસદો પોતપોતાના નાઇટડ્રેસમાં, બગાસાં ખાતાં ને આશંકાઓ કરતા, હાંફળાફાંફળા થઇને હાજર થઇ જતા બતાવાયા હતા.

ફિલ્મમાં સંગીત જયદેવનું હતું અને ગીતો પણ કટાક્ષમય હતાં. તેમની કોરિઓગ્રાફી શાસ્ત્રીય નૃત્ય પ્રકારની હતી, પણ વાર્તાના પ્રવાહમાં તે અવરોધરૂપ હતાં. આવી કેટલીક દેખીતી મર્યાદાઓ છતાં ૧૯૭૮માં નવેસરથી બનેલી કિસ્સા કુર્સીકાઅતિચિત્રણ-અતિશયોક્તિ દ્વારા પેદા કરાયેલાં કટાક્ષ-રમૂજની બાબતમાં નમૂનેદાર કહેવાય એવી હતી. ભારતની હાસ્યપ્રધાન ફિલ્મોમાં (જીવંત પાત્રોની વાજબી ઠેકડી ઉડાડવાનો) આવો પ્રયોગ ત્યાર પહેલાં થયો હોય એવું જાણમાં નથી. ફિલ્મના એક દૃશ્યમાં, સફળ નેતા બનાવવા માટે ગંગુને ઇન્કિલાબની ગોળી અને સમાજવાદનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલે તે ઊભા થઇને જોશભેર ઇન્કિલાબ ઝિંદાબાદના નારા અને સમાજવાદનાં ભાષણ આપવા લાગે છે. (કટોકટી પહેલાંના અરસામાં ઇંદિરા ગાંધીએ કહેવાતા સમાજવાદના નામે ઘણાં વિવાદાસ્પદ પગલાં લીધાં હતાં.)

સત્તા હાંસલ કર્યા પછી ગંગુ ઉર્ફે ગંગારામ ખુરશી પર બેસવા જાય છે, ત્યારે ખુરશી તેને અષ્ટોપદેશ’ (આઠ ઉપદેશ) આપે છે. તેમાંનો પહેલો જ ઉપદેશ હતો : જે સીડી પર ચડીને અહીં સુધી પહોંચ્યો એ સીડીને ફેંકી દે, જેથી બીજું કોઇ તેની પરથી ચડી ન શકે.બીજા કેટલાક ઉપદેશ :  જે દોસ્તોએ તારી મદદ કરી તેમને ભૂલી જા, જનતાને કરેલા વાયદા ભૂલી જા, ખાઇ-પીને એશ કર, મારા (ખુરશીના) રક્ષણ માટે તું જે કંઇ કરીશ તે યોગ્ય જ ગણાશે.

કટોકટી વખતે થયેલા અનેક ગંભીર અત્યાચારોમાં કિસ્સા કુર્સીકાની સેન્સરશીપનો કેસ મામુલી લાગે, પણ આ એક જ ગુનો સંજય ગાંધીના જેલવાસ માટે નિમિત્ત બન્યો. ફરજિયાત નસબંધીથી માંડીને બીજા અનેક અપરાધોના સૂત્રધાર કે પ્રેરકસંજય ગાંધી પુરાવા (ફિલ્મની પ્રિન્ટો) નષ્ટ કરવાના ગુનામાં દોષી ઠર્યા. સર્વોચ્ચ અદાલતે તેમને અને વી.સી.શુક્લને નિર્દોષ છોડ્યા, ત્યાર પહેલાં સંજય ગાંધીને તિહાર જેલમાં એક મહિનો ગાળવો પડ્યો. આ એ જ જેલ હતી, જ્યાં કટોકટી વખતે સંજય ગાંધીએ ઘણા લોકોને મોકલ્યા હતા.

કટોકટી દૂર થયા પછી અમૃત નાહટાએ જનતા સરકારના માહિતી પ્રસારણ મંત્રી અડવાણી પાસેથી નષ્ટ થયેલી ફિલ્મનો પતો અથવા તેનું વળતર માગ્યું હતું. અમૃત નાહટાના ફિલ્મનિર્માતા પુત્ર રાકેશ નાહટાએ વર્તમાન એનડીએ સરકાર પાસેથી અસલ ફિલ્મનો પત્તો અને તે નષ્ટ થઇ હોય તો તેના વળતરની માગણી કરી છે. અસલ ફિલ્મ બચી હોય એવી શક્યતા ઓછી છે, પણ ૧૯૭૮ની કિસ્સા કુર્સીકાઅચૂક જોવા જેવી છે. ભારતમાં ભાગ્યે ખેડાયેલા કટાક્ષફિલ્મના પ્રકારની સાથોસાથ કાળી રાજકીય વાસ્તવિકતાનો ઠીકઠીક અંદાજ તેમાંથી મળી શકે છે.


Saturday, July 11, 2015

કટોકટી વખતે તેના મુખ્ય સૂત્રધાર સંજય ગાંધીનો પહેલો ઇન્ટરવ્યુ (2)

કટોકટી દરમિયાન સંજય ગાંધીએ ઉમા વાસુદેવને આપેલા ટેપ રેકોર્ડેડ ઇન્ટરવ્યુમાં એવું તે શું કહ્યું કે જેથી સરકારી સેન્સરે પાસ કરેલા એ ઇન્ટરવ્યુ પર વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પ્રતિબંધ મૂકી દેવો પડે? 

‘કૉંગ્રેસ સર્વત્ર છવાયેલી છે અને એને કોઇ હરાવી શકતું નથી, તેનું મુખ્ય કારણ બેજવાબદાર વિપક્ષો છે. મને ખબર છે કે ઘણા લોકો કહે છે,‘અમે સામ્યવાદી નથી એટલે સામ્યવાદીઓને મત નહીં આપીએ. બીજા વિપક્ષો એવા અસ્તવ્યસ્ત ટોળાછાપ છે કે એમને પણ મત ન અપાય. એટલે અમારી પાસે કૉંગ્રેસને મત આપવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી.’ જો કોઇ બીજો જવાબદાર પક્ષ હોય તો મને લાગે છે કે બહુ બધા લોકો એને મત આપે.’

કૉંગ્રેસ વિશેનાં આવાં ઉચ્ચારણ વિરોધપક્ષના કોઇ નેતાનાં નહીં, પણ કટોકટીના મુખ્ય સૂત્રધાર મનાતા ઇંદિરાપુત્ર સંજય ગાંધીનાં હતાં. ઇંદિરા ગાંધીએ સરમુખત્યારશાહી સમકક્ષ કટોકટી લાગુ કર્યાના   માંડ દોઢેક મહિના પછી સંજય ગાંધીએ અંગ્રેજી સામયિક ‘સર્જ’/ Surgeનાં ઉમા વાસુદેવ/ Uma Vasudev સાથે ખુલીને વાતચીત કરી. માતા પર પ્રચંડ પ્રભાવ ધરાવતા ૨૯ વર્ષના સંજય ગાંધી ઘણી બાબતોમાં સ્વતંત્ર --એટલે કે ઇંદિરા ગાંધીના જાહેર વિચારો કરતાં સાવ સામા છેડાના--વિચાર ધરાવતા હતા.
Sanjay Gandhi / સંજય ગાંધી
ઇંદિરા ગાંધીએ ૧૯૬૯માં કૉંગ્રેસના જૂના-વરિષ્ઠ નેતાઓથી છેડો ફાડ્યો અને કૉંગ્રેસનો નવો ફાંટો રચ્યો, ત્યારે તેમના માટે સ્વતંત્ર ઓળખનો પ્રશ્ન ઊભો થયો. એ વખતે, કેટલાક અભ્યાસીઓના મતે, ઇંદિરા ગાંધીના સલાહકાર પી.એન.હક્સરે ઇંદિરા ગાંધીને સમાજવાદી અને ગરીબતરફી વિચારસરણી અપનાવવાની સલાહ આપી. ‘લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ’માં ભણેલા હક્સરનો સમાજવાદ પ્રત્યેનો ઝુકાવ સૈદ્ધાંતિક અને નક્કર હતો, પણ ઇંદિરા ગાંધીએ તેનો સંપૂર્ણપણે રાજકીય હેતુ માટે ઉપયોગ કર્યો. બૅન્કોના રાષ્ટ્રિયકરણ અને રાજવીઓને અપાતાં સાલિયાણાંની નાબૂદી જેવાં વિવાદાસ્પદ પગલાં ઇંદિરા ગાંધીએ પોતાની સમાજવાદી અને ગરીબતરફી છબી દૃઢ કરવા માટે ભર્યાં. કટોકટી આવતાં સુધીમાં ઇંદિરા ગાંધીએ સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે સામ્યવાદી-સમાજવાદી જૂથો અને દેશોમાં પોતાની મજબૂત છાપ ઊભી કરી દીધી હતી.

પરંતુ તેમના પુત્ર સંજય ગાંધીએ ઉમા વાસુદેવને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં રાષ્ટ્રિયકરણ જેવી સમાજવાદી નીતિઓનો વિરોધ કર્યો. નરેન્દ્ર મોદીના કથિત આર્થિક વિચારોને ‘મોદીનૉમિક્સ’ તરીકે બિરદાવવામાં આવે છે. પરંતુ તેમના આર્થિક વિચારો સ્પષ્ટતાપૂર્વક આજ સુધી જાણવા મળ્યા નથી. (ભક્તો, લાભાર્થીઓ અને રાજનેતાઓમાં ‘ચંદ્રગુપ્ત’ શોધતા અર્થશાસ્ત્રના ‘ચાણક્યો’ માટે ‘મોદીનૉમિક્સ’ શ્રદ્ધાનો વિષય છે.) તેની સરખામણીમાં સંજય ગાંધીએ  સ્પષ્ટતાપૂર્વક ઉમા વાસુદેવને કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ ખાનગી કંપનીઓ સાથે હરીફાઇ કરી શકે, ત્યાં સુધી જ તેમને ચાલુ રાખવી જોઇએ. એ ટકી શકે તો ઠીક, નહીંતર સરકારે મૂળભૂત બાબતોમાં પોતાનો કાબૂ રાખીને કંપનીઓ ચલાવવાનું કામ ખાનગી ક્ષેત્રને સોંપવું જોઇએ. કાર્યક્ષમતા અને કાર્યનિષ્ઠાની બાબતમાં સરકારી કંપનીઓ કોઇ કાળે ખાનગી કંપનીઓની બરાબરી નહીં કરી શકે, એવો તેમનો સ્પષ્ટ મત હતો.

સંજય ગાંધીએ ઉદાહરણ આપીને કહ્યું કે કોલસાની ખાણોનું રાષ્ટ્રિયકરણ થયું, તે પહેલાં કોલસો પાંત્રીસ રૂપિયે ટન વેચાતો હતો. હવે સરકારી વહીવટમાં કોલસા નેવુ રૂપિયે ટન વેચાય છે અને છતાં કોલસાના વહીવટમાં સરકાર કરોડો રૂપિયાની ખોટ કરે છે. એનો મતલબ એ થયો કે નાગરિકોને કોલસા મોંઘા પડે છે અને એના વહીવટમાં પડતી ખોટ પણ નાગરિકોને ભરપાઇ કરવાની આવે છે. જાહેર ક્ષેત્રમાં સારા ઊંચા હોદ્દે સારા માણસો આવતા નથી, એ બાબતનું સીધું કારણ આપતાં સંજય ગાંધીએ કહ્યું હતું,‘મોટે ભાગે બદમાશો જ ખાનગી કંપની છોડીને સરકારી કંપનીમાં આવવા તૈયાર હોય છે. બાકી મહિને બાર હજાર રૂપિયાનો પગાર છોડીને ત્રણ હજાર રૂપિયાના પગારથી સરકારમાં કામ કરે એવા દેશભક્ત થોડા જ હોય છે. એવા લોકો પગારની ઘટ અને વધારાની આવક બીજી રીતે પૂરી કરવાની ગોઠવણો કરી લે છે.’

ખાનગીકરણમાં કામદારોનું હિત જાળવવા માટે સંજય ગાંધીએ સૂચન કર્યું કે તેમને બીજી સુવિધાઓ આપવાને બદલે કે એ ઉપરાંત કંપનીના શેર કે કંપનીના નફામાં સીધી હિસ્સેદારી આપવી જોઇએ- કંપનીના હિત સાથે તેમનું હિત સીધી રીતે સાંકળી લેવું જોઇએ, જેથી તે કંપનીને નુકસાન થાય એવી (હડતાળ જેવી) પ્રવૃત્તિઓથી દૂર રહે અને દિલ દઇને કામ કરે.
Sanjay Gandhi /સંજય ગાંધી

ઇંદિરા ગાંધીના રાજમાં કરવેરાનું ધોરણ અકલ્પનીય લાગે એટલું ઊંચું હતું. સમાજવાદી નીતિના નામે ઉદ્યોગપતિઓ પર ૧૦૮ ટકા ટેક્સ લાગતો હતો. એટલે કે, એ લોકો ૧૦૦ રૂપિયા કમાય તો તેમણે સરકારને ૧૦૮ રૂપિયા ચૂકવવાના, જેનો ઉપયોગ સરકાર ગરીબોના કલ્યાણ માટે કરે (એવું ધારી લેવાનું). કટોકટી વખતે વેરા ઘટીને ૯૮ ટકા સુધી પહોંચ્યા હતા. એ વિશે સંજય ગાંધીએ કહ્યું કે વેરાનો આવો ઊંચો દર સારા માણસોને પણ ટેક્સની ચોરી કરવા પ્રેરે છે. જે લોકો વેરા ભરે તેમને એવું જ લાગવાનું કે તેમના રૂપિયા અણઘડ સરકારી કંપનીઓની ખોટ ભરપાઇ કરવામાં જ વપરાવાના છે.

સમાજવાદના નામે અર્થતંત્ર પર મુકાયેલા અંકુશોનો વિરોધ કરતાં સંજય ગાંધીએ કહ્યું કે આવા અંકુશોથી સરવાળે મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. કારણ કે તેમની પાસે આવા અંકુશોને ઠેકાડવા જેટલી પહોંચ હોય છે. નાના ધંધાદારીઓ માટે એ શક્ય નથી. તેમણે આઝાદી પછીનો અનુભવ ટાંકીને કહ્યું કે અંકુશોને કારણે મોટા ઉદ્યોગપતિઓ જ તગડા થયા છે. તેમણે અંકુશો હટાવીને, આજની પરિભાષામાં જેને ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’ કહેવાય, એવી સમાન હરીફાઇનું વાતાવરણ સર્જવાની વાત કરી.

સમાજવાદનાં કંઠીધારી ઇંદિરા ગાંધીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા માટે આટલું ઓછું હોય તેમ, સંજય ગાંધીએ કેટલાંક રાજકીય નિવેદનો પણ કર્યાં. ઇંદિરા ગાંધીની કટોકટીને સમર્થન આપનાર સામ્યવાદી પક્ષ (કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા)ની ઝાટકણી કાઢતાં સંજયે કહ્યું કે ‘સામ્યવાદી પક્ષના મોટા અને બહુ મોટા નહીં એવા નેતાઓથી વધારે સમૃદ્ધ કે વધારે ભ્રષ્ટ લોકો તમને બીજે ક્યાંય નહીં મળે.’  જનસંઘને તેમણે ‘કેડર બેઝ્‌ડ પાર્ટી’ (કાર્યકર-કેન્દ્રી)ને બદલે ‘ફેવરબેઝ્‌ડ’ (લાભ-કેન્દ્રી) પાર્ટી કહી.

આવાં અનેક ‘વિચારરત્નો’ ધરાવતા ઇન્ટરવ્યુ પરથી ઉમા વાસુદેવે ‘મૅન, મિથ એન્ડ મારુતિ’/ Man, Myth & Maruti એવું મથાળું ધરાવતો લેખ ‘સર્જ’ મેગેઝીન માટે તૈયાર કર્યો. સંજય ગાંધીએ લેખ વાંચ્યો અને રિવાજ મુજબ ડાઇનિંગ ટેબલ પર ઇંદિરા ગાંધી સાથે એ ઇન્ટરવ્યુના કેટલાક વિવાદાસ્પદ હોઇ શકતા મુદ્દા વિશે વાત પણ કરી. ઇંદિરા ગાંધીએ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો, પણ સંજય ગાંધીની વાત પરથી તેમણે કેટલીક બાબતોની ધાર ઓછી કરવાની સૂચના આપી. એ પ્રમાણે મૂળ ઇન્ટરવ્યુની ધાર થોડી ઓછી કરવામાં આવી. પરંતુ ઇંદિરા ગાંધીએ છપાતાં પહેલાં એ ઇન્ટરવ્યુ વાંચ્યો ન હતો. સંજય ગાંધીની કૃપાથી સરકારી સેન્સરે લેખને લીલી ઝંડી આપી દીધી. કટોકટી પછી સંજય ગાંધીના પહેલવહેલા ઇન્ટરવ્યુ જેવા ‘સ્કૂપ’નો ભરપૂર ફાયદો મેળવવા માટે તેના કેટલાક અંશ પીટીઆઇ, યુએનઆઇ અને રોઇટર્સ જેવી સમાચારસંસ્થાઓને પૂરા પાડવામાં આવ્યા. પરંતુ ઇન્ટરવ્યુના અંશ પ્રગટ થતાંની સાથે જ ખળભળાટ મચ્યો. સમાજવાદનાં ઠેકેદાર ઇંદિરા ગાંધીના  જમણા હાથ જેવા સંજયના ખાનગીકરણતરફી અને સામ્યવાદવિરોધી વિચારો દેશ ઉપરાંત વિદેશોમાં પણ ગરમાગરમ ખબર તરીકે છપાયા. ઇંદિરા ગાંધી બચાવની મુદ્રામાં આવી ગયાં. તેમના સચિવ પી.એન.ધરે શક્ય એટલાં ભારતીય અખબારોમાં આ સમાચાર છપાતા અટકાવ્યા. ઉમા વાસુદેવને પણ કહી દેવામાં આવ્યું કે તમારે ઇન્ટરવ્યુ ધરાવતા મેગેઝીનનો અંક પ્રકાશિત કરવાનો નથી.

રાજકીય હોબાળો એવો થયો કે કટોકટી હોવા છતાં, ઇંદિરા ગાંધી અને તેમના સલાહકારોના દબાણથી સંજય ગાંધીએ ખુલાસો આપવો પડ્યો. તેમાં સામ્યવાદીઓને ભ્રષ્ટ અને પૈસાદાર ગણાવવાના મામલે તેમણે વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઉમા વાસુદેવે તેમના પુસ્તક ‘ટુ ફેસીસ ઑફ ઇંદિરા ગાંધી’/ Two faces of Indira Gandhiમાં નોંઘ્યા પ્રમાણે, ખુદ સંજય ગાંધીને બોલેલું વાળવાનું થયું એનો બહુ ગુસ્સો ચડ્યો હતો, પણ બીજી રીતે જોઇએ તો, કટોકટી દરમિયાન કદાચ પહેલી અને છેલ્લી વાર ખુદ સંજય ગાંધીને સરકારી સેન્સરશીપનો સ્વાદ ચાખવા મળ્યો

Thursday, July 09, 2015

કટોકટી : સત્તાવાર અત્યાચારોની સીઝન (૨)

જૂન, ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધી ચાલેલી કટોકટીમાં ઇંદિરા ગાંધી સત્તાવાર રીતે સરમુખત્યાર નહીં, ફક્ત વડાપ્રધાન હતાં. આ ગાળા દરમિયાન તેમણે લોકશાહીનું ગાણું સતત ચાલુ રાખ્યું. આંતરિક કટોકટી કેવળ લોકશાહી સામેના પડકારોને ખાળવા આણવી પડી, એવો એેમનો દાવો હતો. રાષ્ટ્રનિર્માણ અને નાગરિકઘડતરનું જે કામ ગાંધીજી સહિતના નેતાઓ દાયકાઓમાં ન કરી શક્યા, તે ઇંદિરા ગાંધી-સંજય ગાંધી આપખુદશાહી દ્વારા કરવા ઇચ્છતાં હતાં, પણ રાષ્ટ્રઘડતરની વાતો તળે ફુંફાડા મારતી તેમની સત્તાલાલસા કોઇને પણ દેખાઇ જાય એવી સ્પષ્ટ હતી.
Indira Gandhi- Sanjay Gandhi/ ઇંદિરા ગાંધી-સંજય ગાંધી
કટોકટીની પ્રશંસામાં ઘણી વાર એવું કહેવામાં આવે છે કે ત્યારે ટ્રેનો નિયમિત ચાલતી, લોકો બસ સ્ટેશને લાઇનમાં ઊભા રહેતા, દુકાનદારો કાળાં બજાર અને સંઘરાખોરી કરતાં ગભરાતા. એવું પણ કહેવામાં આવે છે કે ‘સામાન્ય માણસને’ (એટલે કે નાગરિક અધિકારો માટે સજાગ ન હોય- રાજકારણ કે જાહેર બાબતોથી દૂર રહેતા હોય એવા લોકોને) કટોકટીની કોઇ અસર થઇ ન હતી. સહેજ વઘુ વિચારતાં સમજાશે કે એ બધી ‘સિદ્ધિઓ’ રાષ્ટ્રઘડતરનું કે લોકોમાં જાગેલી ટકાઉ સારપનું નહીં, પણ કટોકટીની આપખુદશાહીએ લોકોમાં પ્રેરેલા ભયનું પરિણામ હતી--અને મોટા ભાગના ‘સામાન્ય માણસ’ તેમાંથી બાકાત ન હતા. કટોકટી વખતે સૌ કોઇને એટલી ખબર પડી ચૂકી હતી કે સરકાર પાસે અમર્યાદ સત્તાઓ છે, જે કોઇ પણ નિર્દોષની સામે વાપરતાં સરકાર જરાય ખચકાશે નહીં. આવી ધાકનાં થોડાંઘણાં-ટૂંકા ગાળાનાં-મર્યાદિત અને ઉપરછલ્લાં સુપરિણામોને ‘કટોકટીના ફાયદા’ તરીકે ગણાવવામાં પ્રમાણભાન જળવાતું નથી. એ તો માથું કાપ્યા પછી પહેરાવાયેલી પાઘડીની બાંધણીની ડીઝાઇનનાં વખાણ કર્યા જેવું ગણાય.

ગયા સપ્તાહે કટોકટીનાં બે મોટાં અનિષ્ટ (‘મિસા’ અને સેન્સરશીપ) વિશે વાત કર્યા પછી, આ વખતે ફરજિયાત નસબંધી અને  વિવિધ પ્રકારની તોડફોડની વાત.

વસ્તીની સમસ્યાનો સંજય ગાંધીવાદી ‘ઉકેલ’
ઇંદિરા ગાંધીએ દેશના ઉદ્ધાર માટે કટોકટી દરમિયાન વીસ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો. સ્વદેશી ‘પીપલ્સ કાર’ એવી ‘મારુતિ’ના પ્રૉજેક્ટમાં ગોથાં ખાતા તેમના પુત્ર સંજય ગાંધી કટોકટી દરમિયાન ખરા સત્તાધીશ હતા. કહેવા પૂરતા તો તે યુવા કૉંગ્રેસની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય હતા. (પ્રમુખ પણ નહીં. અંબિકા સોની યુવાકૉંગ્રેસનાં પ્રમુખ હતાં) પરંતુ તેમનો પાવર વડાપ્રધાન-સમકક્ષ. વી.સી.શુક્લ, બંસીલાલ જેવા કેન્દ્રિય મંત્રીઓ મોંએ ચડાવેેલા અને સરવાળે માથે ચડી ગયેલા બાબાશેઠ સંજય ગાંધીની તહેનાતમાં હતા, તો દિલ્હીમાં જગમોહન, રુખસાના સુલતાના, નવીન ચાવલા જેવાં ઘણાં પાત્રો સંજય ગાંધીના દરબારી-હજુરિયા બન્યાં. સંજય ગાંધીના આશીર્વાદ હેઠળ યુવાકૉંગ્રેસને પહેલી વાર લોકો પાસેથી સીધા (કૉંગ્રેસને બાજુ પર રાખીને) રૂપિયા ઉઘરાવવાની સત્તા મળી.
Sanjay Gandhi- Ambika Soni
Rukhsana Sultana

માતાના વીસ મુદ્દાના કાર્યક્રમની સમાંતરે સંજય ગાંધીએ પોતાનો પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો : ૧) કુટુંબનિયોજન ૨) વૃક્ષારોપણ ૩) જ્ઞાતિપ્રથાનાબૂદી ૪) પ્રૌઢશિક્ષણ અને ૫) દહેજનાબૂદી. (કેટલાક અહેવાલ પ્રમાણે પાંચમો મુદ્દો ‘દહેજનાબૂદી’નો નહીં, પણ ‘ઝૂંપડપટ્ટીનાબૂદી’નો હતો).  આ પાંચે મુદ્દામાંથી પહેલા મુદ્દા વિશે સંજય ગાંધી અતિઉત્સાહી હતા. કુટુંબનિયોજન વાસ્તવમાં ‘ફરજિયાત નસબંધી’નો મુસ્લિમવિરોધી કાર્યક્રમ હતો. પરિણામે, આઝાદી પછી એકંદરે કૉંગ્રેસભણી ઢળેલો મુસ્લિમ સમુદાય પહેલી વાર કૉંગ્રેસથી ભડક્યો. ફરજિયાત નસબંધીના અત્યાચાર ભલે દિલ્હી-ઉત્તર પ્રદેશ-હરિયાણામાં થયા, પણ તેની ભયાનક કથાઓ દેશભરમાં ફેલાઇ.

ઘણા સમીક્ષકો માને છે કે ફરજિયાત નસબંધીના નામે મુસ્લિમો પર કરાયેલી જબરદસ્તી કટોકટીનું સૌથી મોટું પાતક હતી. તેના મુખ્ય સૂત્રધાર સંજય ગાંધી અને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલ હતા. એ પણ નોંધપાત્ર છે કે મુસ્લિમદ્વેષને ‘સંસ્કૃતિ’નું અભિન્ન અંગ લેખાવતા સંઘ પરિવારના બહુમતી લોકો માટે સંજય ગાંધી ‘હીરો’ હતા. કારણ કે તેમની ‘મનકી બાત’ને સંજય ગાંધીએ અમલમાં મૂકી દીધી હતી. મલ્ટિનેશનલ કંપનીના માર્કેટિંગ વિભાગના અંદાજમાં સંજય ગાંધી રાજ્યોના મુખ્ય મંત્રીઓને નસબંધી માટેનાં લક્ષ્યાંકો આપતા. એ લક્ષ્યાંકો યેનકેનપ્રકારે હાંસલ કરવા માટે મુખ્ય મંત્રીઓ અને તેમના ઉત્સાહી અફસરો માણસાઇ નેવે મૂકીને ભરપૂર પ્રયાસ કરતા. એટલું જ નહીં, સંજય ગાંધીને વહાલા થવા માટે તેમની વચ્ચે ઊંચાં- વધુ ઊંચાં લક્ષ્યાંકોની હરીફાઇ ચાલતી અને એ પાર પાડવા માટે પોલીસ તથા વહીવટી તંત્રને છૂટો દોર આપી દેવાયો.
Sanjay Gandhi / સંજય ગાંધી
ભારતની વસ્તીસમસ્યા એ વખતે ઘણા લોકો માટે ચિંતાનો વિષય હતી, પરંતુ સંજય ગાંધીએ શોધેલો તેનો ઉકેલ એકદમ સરમુખત્યારી ઢબનો હતો, જેનાથી મૂળ સમસ્યા ઉકલે નહીં અને બીજી અનેક સમસ્યાઓ પેદા થાય. સંજય ગાંધી એક રાજ્યની મુલાકાતે ગયા હોય અને ત્યાંના મુખ્ય મંત્રીને કહે કે ફલાણા રાજ્યના મુખ્ય મંત્રીએ ‘એક મહિનામાં અમુક હજાર ઑપરેશનનું લક્ષ્યાંક રાખ્યું છે’, એટલે યજમાન મુખ્ય મંત્રી સંજય ગાંધીને વહાલા થવા માટેે પોતાના તરફથી તેનાથી પણ ઊંચું લક્ષ્યાંક આપે. એ લક્ષ્યાંકનું દબાણ મુખ્ય મંત્રી પોતાની નીચેના અધિકારીઓ પર અને એ લોકો પોતાની નીચે, એમ છેક ગામડાના સ્તર સુધી પહોંચાડે. છેક ગામડાના સ્તરે એવા પણ નિયમ કાઢવામાં આવ્યા કે જમીનના દસ્તાવેજો કે કોઇ પણ સરકારી યોજનાના લાભ જોઇતા હોય તો નસબંધી કરાવેલી હોવી જોઇએ. નસબંધીના ઑપરેશનના પ્રમાણપત્ર વિના સાત-બારનો ઉતારો ન મળે, ટ્રક ડ્રાયવરોનાં લાયસન્સ રીન્યુ ન થાય કે ઝૂંપડાવાસીઓને કોઇ ફાયદા ન મળે એવી કરુણ રીતે હાસ્યાસ્પદ સ્થિતિ ઉત્તર પ્રદેશનાં ઘણાં ગામોમાં ઊભી sથઇ.
(A crude parody of 'de di hamein azadi', from IS Johar's fim 'Nasbandi')

નસબંધીનાં ઑપરેશન માટે ‘લાયક’ મુરતિયાઓને શોધી લાવવા માટે સરકારી કર્મચારીઓની મદદ લેવાતી અને ઑપરેશન કરાવનારને વળતર આપવામાં આવતું. સમજાવટથી કામ ન ચાલે ત્યારે પોલીસબળ હંમેશાં હાથવગું હોય. ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ’ (મિસા) --જે ગમ્મતમાં ‘મેઇન્ટનન્સ ઑફ ઇન્દિરા એન્ડ સંજય ઍક્ટ’ કહેવાતો હતો- તેની અંતર્ગત કોઇની પણ ધરપકડ કરવાની, તેને પોલીસ સ્ટેશને લઇ જવાનો અને ત્યાંથી એક ટોળું ભેગું કરીને ‘દાક્તરી તપાસ’ના બહાને આરોગ્યકેન્દ્રમાં લઇ જઇને તેમની નસબંધી કરી નાખવાની. ફરજિયાત નસબંધી અને કટોકટીના અત્યાચાર એ હદે સમાનાર્થી બન્યા કે મોરારજી દેસાઇ જેવા નેતાએ કટોકટીને ‘લોકશાહીની નસબંધી’ તરીકે ઓળખાવી હતી.
Amul Ad covering the issue of compulsory sterilisation

ઝૂંપડપટ્ટીનાબૂદી અને ‘વિકાસ’ 
Jagmohan 
કટોકટી દરમિયાન થયેલા અત્યાચારનો બીજો સિલસિલો એટલે શહેરને ‘સ્વચ્છ’ કરવાના નામે દિલ્હીની મુસ્લિમ વસ્તીઓમાં આચરાયેલી તોડફોડ. દિલ્હીની પ્રખ્યાત જામા મસ્જિદની આસપાસના વિસ્તાર હોય કે પછી તુર્કમાન ગેટ જેવા વિસ્તાર, શહેરને રળિયામણું બનાવવાના ઇરાદે ત્યાંનાં ઝૂંપડાં પર બુલડોઝર ફેરવી દેવાયાં. આશય  ફક્ત એટલો ન હતો કે ઝૂંપડાંવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ વસાવવા. મૂળ વાંધો, દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટીના ઉપપ્રમુખ  (અને આગળ જતાં કાશ્મીરના રાજ્યપાલ બનેલા) જગમોહને આ શબ્દોમાં મૂક્યો હતો, ‘હું અહીં બીજું પાકિસ્તાન ઇચ્છતો નથી.’ મુસ્લિમો રહેતા હોય એ જગ્યાને ‘બીજું પાકિસ્તાન’ કે ‘મિની પાકિસ્તાન’ ગણવા-ગણાવવાની પદ્ધતિ સંજય ગાંધી અને તેમની ગેંગને તો ઠીક, સંઘ પરિવારને પણ બહુ માફક આવે એવી હતી.

દિલ્હીમાં ઝૂંપડપટ્ટીની સફાઇના નામે મુસ્લિમોનાં પાકાં ઘર ઉપર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યાં. તેમાં સૌથી કુખ્યાત બનાવ તુર્કમાન ગેટનો હતો. ત્યાં પાકાં ઘરો તોડી પાડવાની કાર્યવાહીનો લોકોએ વિરોધ કરતાં પોલીસની મદદ લેવામાં આવી. પોલીસે પહેલાં ટીઅરગેસ અને પછી ગોળીબારથી કામ લીઘું અને મોટી સંખ્યામાં જાનહાનિ થઇ. અલબત્ત, તેનો ચોક્કસ આંકડો જાણવા મળતો નથી. કેમ કે, સરકારી સેન્સરશીપના કારમા સકંજાને કારણે અખબારો તુર્કમાન ગેટના બનાવની વિગતો પ્રગટ કરી શક્યાં નહીં.
Turkman Gate Demolition
એ સમયે સરકારથી બચીને ખાનગી રાહે નીકળતાં ચોપાનિયાંમાં તુર્કમાન ગેટ અત્યાચારોની વિગત છપાઇ અને થોડા લોકો સુધી પહોંચી. તેમાંના એક કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબ્દુલ્લા હતા. ઇંદિરા ગાંધી સાથે સારાસારી ધરાવતા - તેમના કૃપાપાત્ર શેખ અબ્દુલ્લા દિલ્હી આવ્યા અને તુર્કમાન ગેટની મુલાકાત લઇને આંસુ સારી ગયા. પણ તેનાથી સ્થાનિક રહીશોને કશો ફાયદો થયો નહીં. ઉલટું, શેખની મુલાકાત પછી પોલીસ તેમને એ મતલબના ટોણા મારવા લાગી કે ‘મકાન જોઇતાં હોય તો જાવ તમારા શેખ અબ્દુલ્લા પાસે.’

બાહ્ય તોડફોડની સાથે કટોકટી વખતે ભારતના બંધારણમાં કરાયેલી તોડફોડ અક્ષમ્ય હતી. એ અરસામાં રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશીએ ગૃહમાં માર્મિક રીતે કહ્યું હતું તેમ, સરકાર બંધારણનું ગળું ‘બંધારણીય’ રીતે દબાવી રહી હતી. રામચંદ્ર ગુહાએ તેમના દળદાર પુસ્તક ‘ઇન્ડિયા આફ્‌ટર ગાંધી’માં નોંઘ્યું છે કે આચાર્ય કૃપાલાણી બિમાર હતા અને તેમનું શરીર નળીઓથી વીંટળાયેલું હતું. એક મિત્ર તેમની ખબર જોવા માટે પહોંચ્યા, ત્યારે આચાર્યે તેમની વિખ્યાત, ધારદાર રમૂજવૃત્તિનો પરચો આપતાં કહ્યું હતું,‘આ શરીરમાં હવે મૂળ બંધારણ જેવું કશું બચ્યું જ નથી. ફક્ત ફેરફારો જ રહ્યા છે.’ (I have no constitution left- All that is left are amendments)

કટોકટીના ચાર દાયકા પછી બંધારણના હાર્દનું ગળું બહુમતીના જોરે, બંધારણીય રીતે દબાવવામાં ન આવે અને ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર નવાં પાત્રો સાથે, નવા સ્વરૂપે વહેતું ન થાય, એ ઘ્યાન નાગરિકોએ રાખવાનું છે.       (સમાપ્ત)

--------
નોંધ - ’ગુજરાત સમાચાર’માં છપાયેલા મૂળ લેખમાં સરતચૂકથી શેખ અબ્દુલ્લાને બદલે ફારુક અબ્દુલ્લા લખાયું હતું. બિનીત મોદીએ ચૂક તરફ ધ્યાન દોર્યું, એટલે અહીં એ સુધારી લીધી છે. બિનીત સાથે આભાર માનવાનો સંબંધ નથી, પણ સરતચૂક બદલ દિલગીરી. 

Wednesday, July 01, 2015

કટોકટી : સત્તાવાર અત્યાચારોની સીઝન (૧)

૧૯૭૧માં ચૂંટણીવિજય અને ડિસેમ્બર, ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં નિર્ણાયક જીત છતાં, ત્રણ જ વર્ષમાં ઇંદિરા ગાંધીની લોકપ્રિયતા ઓસરી ગઇ. ભ્રષ્ટાચાર, કુશાસન, બેકારી જેવાં કારણો તેના માટે જવાબદાર હતાં. જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ ઇંદિરા ગાંધી સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડાતાં, તેમની સ્થિતિ હાલકડોલક બની અને અલાહાબાદ હાઇકોર્ટે (સરકારી સંસાધનોના દુરુપયોગ બદલ, ૧૯૭૧માં થયેલી) તેમની ચૂંટણી રદબાતલ ઠરાવતાં અને છ વર્ષ માટે તેમને ગૃહના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવતાં, ઇંદિરા ગાંધી માટે અસ્તિત્ત્વનો સવાલ આવ્યો.
Part of Allahabad Court Judgement
સર્વોચ્ચ અદાલતે આપેલા શરતી મનાઇહુકમથી સ્થિતિ વણસી. એક રસ્તો માનભેર સત્તા છોડી દેવાનો હતો, જે ઇંદિરા ગાંધીને કે તેમના પુત્ર સંજય ગાંધીને મંજૂર ન હતો. તેમણે આંતરિક અશાંતિના નામે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવાનો રસ્તો અપનાવ્યો. ભારતમાં લોકશાહીના પાયા મજબૂત કરનાર જવાહરલાલ નેહરુની પુત્રીએ છડેચોક લોકશાહી પર એવો કારી ઘા કર્યો કે તે મૂર્છિત બની.  ત્યાર પછીના ૧૯ મહિનામાં (જૂન, ૧૯૭૫થી જાન્યુઆરી ૧૯૭૭ દરમિયાન) આચરાયેલાં અનિષ્ટો-અત્યાચારોને મુખ્યત્વે કેટલાક  ભાગમાં વહેંચી શકાય :

‘મિસા’/MISA અને પોલીસ અત્યાચાર
Proclamation of emergency by President FakruddinAli Ahmed
કટોકટીનો સૌથી પહેલો આશય ‘અરાજકતા’ દૂર કરવાનો હતો. ૨૫ જૂનની રાત્રે રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરતા વટહુકમ પર સહી કરી અને મધરાત પછી મોટા પાયે ધરપકડો શરૂ થઇ. સવાર સુધીમાં લગભગ તમામ વિપક્ષી નેતાઓને પકડી લેવામાં આવ્યા. ઇંદિરા ગાંધીનું આસન ડોલાવી દેનાર જયપ્રકાશ નારાયણને લાવવા ૨૫મીની રાત્રે ત્રણ વાગ્યે પોલીસ પહોંચી ચૂકી હતી. તેમના સાથીદાર રાધાકૃષ્ણને  જેપીને લોકો માટે કોઇ સંદેશો આપવા કહ્યું, ત્યારે જેપી બોલ્યા,‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’.

ન્યાયીપણાની ચિંતા રાખ્યા વિના, ઇચ્છા મુજબ ધરપકડો કરી શકાય એ માટે ‘મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ’ (MISA/‘મિસા’)ના કાયદામાં ફેરફારો કરવામાં આવ્યા. (જેમ કે, ‘મિસા’ હેઠળ કરાયેલી ધરપકડોને અદાલતમાં પડકારી ન શકાય).


કટોકટી દરમિયાન એક અંદાજ પ્રમાણે એકથી દોઢ લાખ લોકોની ધરપકડ અથવા અટકાયત થઇ. વિવિધ વિચારધારાના રાજનેતાઓ અને ચળવળકારોથી માંડીને સ્થાનિક સ્તરે કૉંગ્રેસી નેતાઓ કે પોલીસને ખટકતા બિનરાજકીય લોકો સામે ‘મિસા’નો છૂટથી પ્રયોગ કરવામાં આવ્યો. (એ વખતેે જયપ્રકાશના શિષ્ય લાલુપ્રસાદ યાદવે પોતાની દીકરીનું નામ ‘મિસા’ પાડ્યું હતું.)

R to L : Laluprasad Yadav, Misa, other children & Rabdidevi
Snehlata reddy
વિરોધ પક્ષના મોટા ભાગના નેતાઓ પકડાઇ ગયા, પણ રેલવેની હડતાળ દ્વારા દેશનું કામકાજ ખોરવી નાખનાર તેજતર્રાર યુનિઅન લીડર જ્યોર્જ ફર્નાન્ડિસનો પત્તો ન હતો. તેમની ભાળ મેળવવા માટે તેમના ભાઇ લૉરેન્સ ફર્નાન્ડિસ પર બૅંગ્લોરની પોલીસે બેસુમાર અત્યાચાર ગુજાર્યા. તેમનાં પારિવારિક મિત્ર-અભિનેત્રી સ્નેહલતા રેડ્ડીને પણ પોલીસે મહિનાઓ સુધી જેલમાં નાખી દીધાં. સ્નેહલતા રેડ્ડી હોય કે પછી રાજપરિવારનાં ગાયત્રીદેવી (જયપુર)- વિજયારાજે સિંધીયા (ગ્વાલિયર), જેલમાં તેમને સામાન્ય કેદીઓ સાથે રાખીને શક્ય એટલી હેરાનગતિ પહોંચાડવામાં આવી. સ્નેહલતા રેડ્ડીનું આરોગ્ય કથળવા છતાં એ તરફ કશું ધ્યાન અપાયું નહીં. (જેલમાંથી છૂટ્યાના પાંચ દિવસ પછી હૃદયરોગના હુમલામાં તેમનું મૃત્યુ થયું)

જયપ્રકાશ નારાયણની તબિયત કથળ્યા પછી જ તેમને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા. જેલમાં ક્ષમતા કરતાં વધારે સંખ્યામાં કેદીઓ ઠાંસવામાં આવ્યા હતા. અંગ્રેજોના રાજ વખતે અપાય એટલી સુવિધાઓ પણ રાજકીય કેદીઓને મળતી ન હતી.  આપખુદ નેતાઓ અને તેમના અભય તળે બેફામ બનેલા કેટલાક પોલીસ અધિકારીઓએ કટોકટી દરમિયાન કેદીઓ પર થર્ડ ડિગ્રીના સિતમ ગુજાર્યા, જે સાદી મારઝૂડ કરતાં અનેક ગણા અમાનુષી હતા. કંઇકના એન્કાઉન્ટર થયાં ને કેટલાય રહસ્યમય રીતે ગુમ થયા. આવી થોડી કરુણ કથાઓનું આલેખન આનંદ પટવર્ધનની દસ્તાવેજી ફિલ્મ ‘પ્રિઝનર્સ ઑફ કોન્શન્યન્સ’/Prisoners of Conscience (‘ઝમીરકે બંદી’, ૧૯૭૮)માં જોવા મળે છે.

ગુજરાતની વાત કરીએ તો, ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનને લીધે કૉંગ્રેસી સરકારના પતન પછી થયેલી ચૂંટણીમાં, પહેલી વાર બિનકૉંગ્રેસી સરકાર રચાઇ. જનતા મોરચાની એ સરકારના મુખ્ય મંત્રી બાબુભાઇ જશભાઇ પટેલ હતા. એ સમયગાળામાં ‘મિસા’ હેઠળ ધરપકડો ન થઇ. પરંતુ માર્ચ ૧૯૭૬માં (કટોકટીના નવ મહિના પછી) ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લદાયું. ‘મિસા’ હેઠળ સંખ્યાબંધ લોકોને જેલભેગા કરવામાં આવ્યા. તેમાં જયપ્રકાશ-આચાર્ય કૃપાલાણી જેવા દિગ્ગજોના સાથી, ખોંખારીને કટોકટીનો વિરોધ કરનાર સત્યાગ્રહી પ્રકાશ ન.શાહનું નામ મોખરે હતું.

તેમણે દસ મહિના જેલવાસ ભોગવ્યો અને ‘મિસા’ અંતર્ગત થયેલી જેલ માટે ‘મિસાવાસ્યમ્‌’ જેવો પ્રયોગ વહેતો મૂક્યો. તેમના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં સ્થાનિક સૂચનાથી કે વ્યક્તિગત વાંધાને કારણે અત્યાચારના કિસ્સા બન્યા, પણ સેન્સરશીપને બાદ કરતાં, સરકારના ઇશારે જેલમાં કે જેલની બહાર વ્યાપક દમનના પ્રસંગોથી ગુજરાત એકંદરે મુક્ત રહ્યું.

સેન્સરશિપ 

ફક્ત સરકાર ઇચ્છે એટલી માહિતી લોકો સુધી પહોંચે, એ કટોકટી ટકાવવા જરૂરી હતું. એ માટે અખબારો-સામયિકો પર સેન્સરશીપ લાદવામાં આવી. જૂના માહિતી-પ્રસારણ મંત્રી આઇ.કે.(ઇન્દરકુમાર) ગુજરાલ ‘નરમ’ લાગતાં, સંજય ગાંધીના દરબારી વી.સી.(વિદ્યાચરણ) શુક્લને એ હોદ્દે બેસાડી દેવાયા.
V C Shukla/ વિદ્યાચરણ શુક્લ
વી સી શુક્લે દિલ્હીમાં અખબારોનો વીજપુરવઠો કાપી નાખ્યો અને તંત્રીઓની મિટિંગ બોલાવીને બહાદુરીથી કહ્યું પણ ખરું કે સેન્સરશીપનું તંત્ર બરાબર ગોઠવાઇ રહે ત્યાં લગી, ગમે તેવી અફવાઓ ન ફેલાય એ માટે વીજપુરવઠો કાપી નખાયો હતો. દિલ્હી સિવાય બીજે કેટલાંક અખબારો તંત્રીલેખની જગ્યા કોરી મૂકીને કે ગાંધી-નેહરુ-ટાગોરનાં વ્યક્તિસ્વાતંત્ર્ય-લોકશાહી વિશેનાં અવતરણો મૂકીને વિરોધ વ્યક્ત કરતાં હતાં. શુક્લે એવાં છાપાંને ધમકાવ્યાં અને શું નહીં છાપવાનું તેની યાદી જારી કરી. તેમાં સરકારવિરોધી પ્રદર્શનોથી માંડીને વિપક્ષી નેતાઓની હિલચાલ, જેલની સ્થિતિ જેવા વિષયો ઉપરાંત ગાંધી-નેહરુ-ટાગોરના વિચારો અને કોરી જગ્યા સુદ્ધાં ન છાપવાની કડક સૂચના હતી.
Abu Abraham on censorship

સરકારી માહિતી કચેરીઓ સેન્સરની ઑફિસ બની. જે છાપાં-સામયિકો સ્વતંત્ર રીતે સામગ્રી આપવા કોશિશ કરે, તેમની પર પ્રી-સેન્સરશીપ ઠોકી બેસાડાતી હતી. (ઉમાશંકર જોશીએ રાજ્યસભામાં કહ્યું હતું તેમ, અંગ્રેજી રાજમાં પણ પ્રી-સેન્સરશીપ લદાઇ ન હતી.) છાપું કે મેગેઝીન તૈયાર કરીને પ્રેસમાં મોકલતાં પહેલાં સેન્સરની ઑફિસે મોકલવાનું. સેન્સર મન પડે તે સમાચાર પર ચોકડી મારે અને ‘સુધારેલું’ છાપું રાતે પાછું આપે. પાઠ શીખવવો હોય તો ક્યારેક બીજા દિવસે સવારે પણ પાછું આપે. તાકાત હોય તો છાપો ને વેચો.

છાપાંમાં તંત્રીઓને બદલે માલિકો કે મેનેજરો સાથે વાત કરવાનું શુક્લ અને તેમની ગેંગને સહેલું પડતું હતું. આઝાદ મિજાજ તંત્રીઓને નોકરીમાંથી પાણીચું પકડાવવાનું કહી દેવામાં આવે. કુલદીપ નાયર સહિત સંખ્યાબંધ પત્રકારોની ધરપકડ થઇ હતી. ‘ધ સ્ટેટ્‌સમેન’ અને ‘ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ’ જેવાં અખબારોએ કિન્નાખોર સરકારની ભારે હેરાનગતિ વેઠીને, અદાલતોના આશરે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખ્યું. ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના કે.કે.બિરલા સરકારના ખોળે હતા. નાનાં સામયિકો-વિચારપત્રોને હેરાન કરવામાં કોઇ કસર ન રખાઇ. પ્રિન્ટિંગ પ્રેસવાળાને ધમકાવવામાં આવતા, જેથી એ લોકો સરકારવિરોધી સામયિક છાપવા તૈયાર ન થાય. ધાકધમકીઓ ન ચાલે તો પછી તંત્રી પાસેથી મોટી રકમની જામીનગીરી માગવામાં આવતી. રાજમોહન ગાંધીના અંગ્રેજી સામયિક ‘હિંમત’નાં તંત્રી કલ્પના શર્માએ લખ્યું છે કે મુંબઇનું કોઇ પ્રેસ ‘હિંમત’ છાપવા તૈયાર ન હતું. છેવટે, વાચકોને અપીલ કરીને ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાંથી બે નાનાં મશીન ખરીદીને ‘હિંમત’ ચાલુ રખાયું.

સાહિત્યક્ષેત્રની હસ્તીઓમાં ઉમાશંકર જોશી રાજ્યસભાના નિયુક્ત સભ્ય હતા. તેમણે ગૃહમાં અને તેમના માસિક ‘સંસ્કૃતિ’નાં પાનાં પર કટોકટીની આકરી ટીકા કરી. (ગુજરાતમાંથી સત્તાવાર વિરોધનું બીજું ઉદાહરણ, ઇંદુલાલ યાજ્ઞિકના અવસાન પછી ખાલી પડેલી લોકસભાની બેઠક પર અપક્ષ ચૂંટાયેલા પુરૂષોત્તમ ગણેશ માવળંકરે પૂરું પાડ્યું.)  મહારાષ્ટ્રનાં દુર્ગા ભાગવત ખુલ્લમ્‌ખુલ્લા સરકારના વિરોધમાં આવ્યાં.
Durga Bhagwat/ દુર્ગા ભાગવત
કૉંગ્રેસી મુખ્ય મંત્રી યશવંતરાવ ચવાણના ગામ કરાડમાં ૧૯૭૬માં યોજાયેલા મરાઠી સાહિત્ય પરિષદના અધિવેશનમાં દુર્ગા ભાગવત પરિષદપ્રમુખ હતાં ને ચવાણ સ્વાગતસમિતિના પ્રમુખ. દુર્ગા ભાગવતે કટોકટીની કડક ટીકા કરી અને મંચ પરથી જ તેમણે સૌને બે મિનીટ ઊભા થઇને, (મુંબઇની જસલોક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા) જયપ્રકાશ નારાયણના આરોગ્ય માટે પ્રાર્થના કરવા કહ્યું. બીજા લોકોની સાથે મુખ્ય મંત્રી યશવંતરાવને પણ ન છૂટકે ઊભા થવું પડ્યું. અનેક પ્રવચનોમાં કટોકટીની આકરી ટીકા કરનારાં દુર્ગા ભાગવતની પછીથી ધરપકડ કરવામાં આવી. ‘તીસરી કસમ’ અને ‘મૈલા આંચલ’ જેવી ઉત્કૃષ્ટ સાહિત્યકૃતિઓના લેખક ફણીશ્વરનાથ રેણુએ કટોકટીના વિરોધમાં ‘પદ્મશ્રી’નું સન્માન પાછું વાળ્યું.

આવા થોડા અપવાદરૂપ, સલામને લાયક કિસ્સાને બાદ કરતાં, મોટી સંખ્યામાં પત્રકારો અને તંત્રીઓ ચૂપ થઇ ગયા, તાબે થયા અથવા ખુશામતમાં જોડાઇ ગયા. ‘ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’ના તંત્રી-વિખ્યાત લેખક ખુશવંતસિંઘ સંજય ગાંધીની અવિરત ભાટાઇ કરતા હતા. તેમના ભાવનું કારણ ગમે તે હોય, પણ તેનું પરિણામ શરમજનક હતું. લાલકૃષ્ણ અડવાણીના યાદગાર વિધાન પ્રમાણે, સરકારે ઝૂકવાનું કહ્યું ને પ્રસાર માઘ્યમો સરકારના ચરણોમાં આળોટી પડ્યાં હતાં.
(ક્રમશઃ)

Monday, June 29, 2015

કટોકટીના ખલનાયક સંજય ગાંધીનું ‘નિકટદર્શન’

‘સર્જ’ સામયિકનાં ઉમા વાસુદેવે કટોકટીના મુખ્ય ખલનાયક, ઇંદિરાપુત્ર સંજય ગાંધીનો પહેલવહેલો લાંબો ઇન્ટરવ્યુ કર્યો, ત્યારે તરખાટ મચી ગયો. તેના બહાર પડેલા અંશો વિશે ઇંદિરા ગાંધીએ ખુલાસા કરવા પડ્યા અને આખા ઇન્ટરવ્યુને પ્રતિબંધિત કરી દેવાયો. કટોકટીની ૪૦મી વરસી નિમિત્તે એ યાદગાર ઇન્ટરવ્યુની-- અને એ નિમિત્તે ‘પીપલ્સ કાર’ મારૂતિની--પણ કથા.

Uma Vasudev / ઉમા વાસુદેવ
 સિત્તેરના દાયકાના દિલ્હીની ‘પેજ-૩ સર્કિટ’માં અનેકવિધ રસ ધરાવતાં લેખિકા-કળાપ્રેમી ઉમા વાસુદેવનું નામ મહત્ત્વનું હતું. ઇંદિરા ગાંધીનું ચરિત્ર લખી ચૂકેલાં ઉમા વાસુદેવ કટોકટીકાળમાં  પખવાડિક ‘ઇન્ડિયા ટુડે’નાં પહેલાં તંત્રી બન્યાં. (કેટલાકના મતે, ‘ઇન્ડિયા ટુડે’ પખવાડિકની શરૂઆત કટોકટીને કારણે વિદેશોમાં કથળેલી સરકારની છાપ સુધારવા માટે થઇ હતી. શરૂઆતના ગાળામાં તેની સરકારનું વિદેશી બાબતોનું ખાતું તેની મોટા ભાગની નકલો ખરીદી લેતું હતું.) ‘ઇન્ડિયા ટુડે’માં જોડાતાં પહેલાં ઉમા વાસુદેવ ‘સર્જ’ / Surge નામનું સામયિક સંભાળતાં હતાં. તેનું વેચાણ ઉંચકવા માટે ઉમા વાસુદેવે સંજય ગાંધીની મુલાકાત લેવાનું વિચાર્યું. ત્યારે કટોકટી લાગુ થઇ ચૂકી હતી અને વડાપ્રધાન ભલે ઇંદિરા ગાંધી હોય, પણ અસલી રાજ સંજય ગાંધી  તથા તેમની ટોળકીનું ચાલતું હતું.

કટોકટી પહેલાં ‘પીપલ્સ કાર’ મારૂતિના પ્રોજેક્ટને પાટે ચડાવવા માટે ભરપૂર સરકારી મદદ પછી પણ ગોથાં ખાતા સંજય ગાંધી કટોકટી પછી આખા દેશની સમસ્યાઓ ઉકેલવા નીકળ્યા હતા. આપખુદ, તેજતર્રાર, રંગીનમિજાજ ૨૯ વર્ષના સંજય ગાંધીની મુલાકાત મેળવવામાં આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં - કટોકટીનાં પ્રગટપણે વિરોધી નહીં એવાં ઉમા વાસુદેવને ખાસ તકલીફ ન પડી. અગાઉ તે ‘મારૂતિ’ પ્રોજેક્ટ માટે સંજય ગાંધીને મળી ચૂક્યાં હતાં અને તેમની સાથે ‘ટેસ્ટ ડ્રાઇવ’ પણ લઇ ચૂક્યાં હતાં.

સંજય ગાંધી સાથે તેમની મુલાકાત ૬ ઑગસ્ટ,૧૯૭૫ના રોજ નક્કી થઇ. આ વખતે ‘મારૂતિ’ની ફેક્ટરીએ નહીં, પણ વડાપ્રધાનના નિવાસસ્થાને મળવાનું હતું. વડાપ્રધાન માતા સાથે પાટવીકુંવરના મતભેદ ત્યાં લગી ચર્ચાનો વિષય બની ચૂક્યા હતા. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના પ્રતિનિધિ લુઇસ સિમ્સન્સે અનામી સૂત્રો ટાંકીને લખ્યું હતું કે એક ડીનર પાર્ટીમાં ઇંદિરા ગાંધીને સંજયે છ લાફા માર્યા હતા. આવી બધી કથાઓમાં સ્વાભાવિક રીતે જ મરીમસાલાનું તત્ત્વ ભરપૂર હોય. પરંતુ એક વાત નક્કી હતી કે લોખંડી મનોબળ ધરાવતાં વડાપ્રધાન પર તેમના વંઠેલા પુત્રનો પ્રભાવ અસાધારણ અને કંઇક વિચિત્ર લાગે એ હદનો હતો.
Indira Gandhi- Sanjay Gandhi / ઇંદિરા ગાંધી- સંજય ગાંધી
સંજય ગાંધી સાથે વાતચીત શરૂ કરતાં પહેલાં ઉમા વાસુદેવે ઇન્ટરવ્યુ રેકોર્ડ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સંજયને કશો વાંધો ન હતો. તેમણે અંગત, જાહેર, આર્થિક, સામાજિક બધા પ્રકારના સવાલના ખુલીને જવાબ આપ્યા. વાતચીતની શરૂઆત સંજય ગાંધીના કથિત શરાબપ્રેમથી થઇ. જવાબમાં સંજયે (સરમુખત્યારો માટે સહજ) એવા ગુણોની જાહેરાત કરતાં કહ્યું કે એ શરાબ તો ઠીક, કોકાકોલા-લિમ્કા-ફેન્ટા પણ પીતા નથી. વૈભવી જીવનશૈલી વિશેના આરોપોના જવાબમાં તેમનો દાવો હતો : ‘હું એટલું કામ કરું છું કે વૈભવી જીવનશૈલી માટે સમય જ મળતો નથી. હોટેલમાં જવાનું વર્ષે એકાદ વાર થાય ને એ પણ કોઇને મળવા.’ ઉગતી જુવાનીમાં સંજય અને તેમની મિત્રમંડળી પર કાર ચોરવાના આરોપ થયા હતા. એ વિશે પણ ઉમાએ તેમને પૂછ્‌યું અને સંજયે સફાઇથી પોતાની નિર્દોષતા જાહેર કરી.

ધીમે રહીને વાત માતા સાથેના તેમના સંબંધો પર આવી. એટલે સંજયે કેટલાક વિચાર અલગ હોવાનું કહ્યું. સાથોસાથ, ગૌરવપૂર્વક   કહ્યું કે ‘તે મારા અભિપ્રાય સાંભળે છે-- (આજકાલથી નહીં) હું પાંચ વર્ષનો હતો ત્યારથી. એનો અર્થ એ નહીં કે હું જે કહું એ બઘું તે કરે છે.’ ઉમાએ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની સ્ટોરીની વાત કાઢી અને કહ્યું, ‘તમારી માતા વિશે પણ તમારી પાસે એક ફાઇલ છે એવું કહેવાય છે.’ સંજયે આ વાતને હાસ્યાસ્પદ ગણાવી અને માતા સાથેના ‘હિંસક’ મતભેદો વિશે કે  માતા તેમનાથી બીએ છે, એવી વાત વિશે સંજયે કહ્યું, ‘કેટલી ભારતીય માતાઓ આ સાચું માનશે? કેટલાને એ સાચું લાગશે?’

મારૂતિ પ્રોજેક્ટમાં તેમને હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલે પાણીના ભાવે જમીન આપી હતી અને બીજા અરજદારોેને બાજુ પર રાખીને ‘પીપલ્સ કાર’ માટેનો કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યો હતો. તેમ છતાં, ‘વડાપ્રધાનના પુત્ર તરીકે તમને કોઇ વિશેષ ફાયદો મળ્યો હતો?’ એવા સવાલના જવાબમાં સંજયે કહ્યું,‘ત્રણ વર્ષથી સંસદ એ બાબતે તપાસ કરી રહી છે અને કશું મળ્યું નથી.’ તેમનો દાવો હતો કે વિવાદને લીધે કોઇ તેમની તરફેણમાં કશું કરતું નથી ને તેમની સામે પડતાં લોકો ગભરાય છે. સરવાળે તેમનું (મારૂતિનું) બઘું પેન્ડિંગ (લટકતું) રહી જાય છે.

ઉમાએ તેમને એમ પણ પૂછ્‌યું કે ‘તમારી ફેક્ટરી નવ લાખ ચોરસ મીટરમાં પથરાયેલી છે. કાર પ્રોજેક્ટ માટે આટલી બધી જગ્યા જરૂરી છે?’ સંજયે ઠાવકાઇથી કહ્યું, ‘પહેલાં પચાસ હજાર કારનું ઉત્પાદન કરવાની અમારી ધારણા હતી. પણ (આરબ ઓઇલ ક્રાઇસિસને લીધે) પેટ્રોલનો (તેના ભાવવધારાનો) પ્રશ્ન આવ્યો. (કારની માગ ઘટી ગઇ એટલે) અમે રોડરોલરનું અને બસનું ઉત્પાદન શરૂ કર્યું. ઉપરાંત કાર તો ખરી જ. આ બધાના સહિયારા નિર્માણ માટે આટલી જમીન બરાબર છે.’
Sanjay Gandhi with Maruti

હકીકતમાં, આ તબક્કા સુધી ‘મારૂતિ’ જથ્થાબંધ નિર્માણના તબક્કા સુધી પહોંચી જ ન હતી. ઇન્ટરવ્યુમાં એક તબક્કે સંજયે કહ્યું હતું કે ફેક્ટરીમાં મહિને સાત-આઠ કાર બને છે. ‘મારૂતિ’ પ્રોજેક્ટને સરકારી કૃપાના મુદ્દે સંસદમાં કાયમ મચતું હતું ને ઇંદિરા ગાંધીને જવાબો આપવા અઘરા પડતા હતા. (પારસી સાંસદ પીલુ મોદી તેમની લાક્ષણિક જબાનમાં કહેતા હતા તેમ, ‘મારૂતિની વાત કરીએ તો મા રોતી છે.’) સંજયની ફેક્ટરી બંધ ન પડી જાય એટલા માટે તેમના દરબારી બંસીલાલે હરિયાણા સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોનો ઑર્ડર સંજય ગાંધીની ફેક્ટરીને આપી દીધો. આ બધી વાતો ઉઘાડેછોગ હતી. પરંતુ ઉમા વાસુદેવનો આશય ઉલટતપાસનો કે સંજય ગાંધીને ભીંસમાં લેવાનો નહીં, તે જે બોલે એ બઘું બોલાવવાનો હતો. કારણ કે સંજય ગાંધી ન ઇચ્છે તો આખો ઇન્ટરવ્યુ સંપન્ન થયા પછી પણ તે પ્રકાશિત ન થઇ શકે. તેમણે સેન્સર બોર્ડને ફક્ત એક ઇશારો જ કરવાનો રહે. સવાલોમાં જરાસરખી પણ વિરોધની કે કાંઠલાપકડની ગંધ આવે તો ઉમા વાસુદેવનું નામ ‘મિસા’ (મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી ઍક્ટ) હેઠળ પકડાયેલા હજારો કેદીઓની યાદીમાં ઉમેરાઇ જાય. આવું કોઇ સાહસ ખેડવાનો ઉમાનો ખ્યાલ ન હતો. તેમને એટલું સમજાતું હતું કે કટોકટી પછી સંજય ગાંધીનો વિગતવાર ઇન્ટરવ્યુ થાય, તો તેમનું મેગેઝીન તરી જાય.

રૉલ્સ રૉયસ કંપનીમાં માંડ થોડા દિવસની તાલીમ સિવાય બીજી કોઇ લાયકાત ન ધરાવતા સંજય ગાંધી ‘મારૂતિ’માં પરોવાયેલા રહે તો માતા ઇંદિરા ગાંધીને શાંતિ થાય. એક સ્નેહીને લખેલા પત્રમાં તે પોતાના મોટા પુત્ર (રાજીવ)ની સારી નોકરી વિશે સંતોષ અને સંજય વિશે ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં હતાં. પરંતુ કેવળ માના આશાવાદથી કે વડાપ્રધાનની લાગવગથી સંજય ગાંધી કે તેમનો મારૂતિ પ્રોજેક્ટ ઠેકાણે આવી જાય એમ ન હતાં. વિલંબ સાથે ‘પીપલ્સ કાર’ની કિંમત વધતી જતી હતી. અસલમાં ‘મારૂતિ’ રૂ.તેર હજારની કિંમતે આપવાની વાત હતી, પણ ઉમાએ ઇન્ટરવ્યુ લીધો ત્યારે સંજયે તેની કિંમત રૂ.પચીસ હજાર પાડી હતી. સંજયે તેમને કહ્યું હતું કે ‘ભારતમાં દસ હજાર રૂપિયામાં તો શું, પાંચ હજાર રૂપિયામાં પણ પીપલ્સ કાર ન હોય. કારણ કે (જેમના માટે આ કાર બનાવવાની વાત હતી એવા) મોટા ભાગના લોકોને સાયકલ કે બસથી વધારે કશું પોસાય એમ નથી.’

(આવતા સપ્તાહે : ‘મારૂતિ’ના દુઃસાહસની થોડી વઘુ વાતો અને ઇંદિરા ગાંધીને ભીંસમાં મૂકનારા સંજય ગાંધીના આર્થિક-રાજકીય વિચારો)