Showing posts with label gujarat - 2002. Show all posts
Showing posts with label gujarat - 2002. Show all posts

Friday, August 19, 2022

ન્યાયનો અંત આવો? : બળાત્કારીઓ અને હત્યારાઓને અપાયેલી માફી વિશે પ્રતાપ ભાનુ મહેતાના અંગ્રેજી લેખનો અનુવાદ

પ્રતાપ ભાનુ મહેતા,  ઓગસ્ટ 19, 2022, ધ ઇન્ડિયન એક્સપ્રેસ

જરાય ગાફેલિયતમાં રહેવાની જરૂર નથી. બિલ્કિસબાનુ પર સામુહિક બળાત્કાર કરનારા, તેમની ત્રણ વર્ષની બાળકીની હત્યા કરનારા અને બીજા તેર લોકોની હત્યામાં સામેલ 11 લોકોને ગુજરાત સરકારની સમિતિએ આપેલી માફી કેવળ ન્યાયની વિડંબના નથી. તે ઉશ્કેરણીનો ખતરનાક રાજકીય ખેલ છે. સરકાર કદાચ હજુ તે હુકમ પર ફેરવિચાર કરી શકે. સર્વોચ્ચ અદાલતે માફીની અરજી પર વિચાર કરવાની મંજૂરી આપી હોવા છતાં, તેનાં દ્વાર ખટખટાવવામાં આવે તો, તે પણ સજામાફીનો (સમિતિએ કરેલો) નિર્ણય કદાચ ઉલટાવી શકે. પણ તેનાથી જે નુકસાન થવાનું હતું, તે થઈ ચૂક્યું છે. શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના મર્મભેદી સવાલે કાળજીપૂર્વક ઊભા કરેલા ભારતીય ગણતંત્રના બાહ્ય ભ્રામક દેખાવને છેદી નાખ્યો છે. રહીરહીને પોકારે એવા આ સવાલ પાછળ રહેલા ચિત્કારનો કોઈ જવાબ નથી. હકીકત તો એ છે કે, તે સવાલની પાછળ રહેલો ચિત્કાર વ્યાપકપણે અનુભવાયો નથી, તે ગણતંત્રના નૈતિક બુઠ્ઠાપણાની અને હડહડતા કોમવાદીપણાની સાહેદી પૂરે છે.  

રાજ્યે આપેલી માફીમાં શું દાવ પર લાગ્યું છે, તે સમજવામાં કાયદાકીય દલીલો આડે ન આવે તે જરૂરી છે. કમભાગ્યે, ભારતીય ન્યાયપ્રણાલિમાં જામીન, સજા અને માફી મોટા પાયે મુનસફી પર ચાલે છે. ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલા ગેંગ રેપ અને મર્ડર કેસ જેવા કેટલાક બળાત્કારના કિસ્સામાં ગુનેગારોને મૃત્યુદંડની સજા મળી, જ્યારે એવા બીજા ઘણા કિસ્સામાં એવી સજા નથી મળી. 1992માં અસ્તિત્વ ધરાવતી અને ત્યાર પછી નાબૂદ કરાયેલી માફીનીતિ હેઠળ માફી આપી શકાય કે નહીં, તેની ચર્ચા થઈ શકે; ભયંકર ગુનાઓમાં માફીની જોગવાઈ લાગુ પાડી શકાય નહીં, એવી કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આ કિસ્સામાં લાગુ પડી શકે કે નહીં, તેની પણ ચર્ચા થઈ શકે. આ પ્રકારના કેસમાં ન્યાયી સજા કેવી હોઈ શકે, તેની વાત થઈ શકે. દંડ અને સજા વિશેની વ્યાપક ચર્ચા પણ અલગથી થઈ શકે. પરંતુ જે રીતે આ કિસ્સામાં મુન્સફી વાપરવામાં આવી છે, તે સાવ જુદી વાત છે. (આગળ જણાવેલા) બધા કાનૂની આટાપાટાની મદદથી સજા માફ થઈ હોય એવું બને. પરંતુ આ કિસ્સામાં રાજ્ય સરકારે પોતાની મુન્સફીનો ઉપયોગ ન્યાયને ઉથલાવી પાડવા માટે અને રાજકીય સંકેત આપવા માટે કર્યો હોય એવું લાગે છે.

બિલ્કિસબાનુનો કેસ એટલો ભયંકર હતો કે તેના વિશે સાંભળવામાત્રથી મગજ અને કલ્પનાશક્તિ બહેર મારી જાય, ચિત્ત ભ્રમિત થઈ જાય. ગુનો એટલો ભયંકર હતો અને તેની વિગતોની અનેક વાર પુષ્ટિ થઈ ચૂકી છે. તેમ છતાં, એવી હિંસાખોરીના વિચારમાત્રથી આપણને હજુ પણ ત્રાસ છૂટે છે કે જેમાં એક સગર્ભા સ્ત્રી પર બળાત્કાર થયો હોય, એક બાળકને પટકીને મારી નાખવામાં આવ્યું હોય, આખા પરિવારની હત્યા થઈ હોય અને આ બધું પાડોશીઓમાંથી જ કેટલાકે કર્યું હોય. તે ધ્યાનમાં રાખતાં, બિલ્કિસબાનુએ જે હાંસલ કર્યું, તે કોઈ ચમત્કારથી કમ ન હતું. તે જુસ્સાથી સક્રિય થયાં. દુશ્મનાવટભર્યું રાજકીય વાતાવરણ, ડરાવતો સમાજ, ખંડિત ન્યાયતંત્ર અને આર્થિક અભાવ જેવી ભારે વિપરીતતાઓ સામે તેમણે અદમ્ય સાહસ દેખાડ્યું, તેમણે પોતાની ઓળખ ગુનાથી (ભોગ બનનાર તરીકે) નહીં, પણ ન્યાયથી (ઝઝૂમીને ન્યાય મેળવનાર તરીકેની) ઊભી કરી. અને દેશભક્તિની ઉચ્ચતમ મિસાલ તરીકે, ભારતીય બંધારણ અને તેની સંસ્થાઓમાં, તેના રખેવાળોને પણ કદી ન હોય એવો ને એટલો, વિશ્વાસ મુક્યો. આપણે જાતને આશ્વાસન આપવું હોય કે હજુ પણ ન્યાય મેળવવાનું શક્ય છે, ત્યારે બિલ્કીસબાનુનો કેસ આપણા માટે એવા તરણાનું કામ કરે છે, જેને વળગીને આપણે એવો સધિયારો મેળવી શકીએ. અને ન્યાયનો અંત કેવો આવ્યો? બિલ્કીસબાનુને એટલી જાણ કરવાનો વિવેક પણ ચૂકાયો કે તમારા અત્યાચારી પાડોશીઓને છોડી મૂકીએ છીએ. રાજ્યના પગલાનો બેપરવાઈભર્યો મતલબ હતોઃ એ ભય અને માનસિક ત્રાસ ફરી અનુભવો.

આ ઘટનાક્રમનાં બે રાજકીય પાસાં નોંધપાત્ર છે. અગાઉનાં ઘણાં રમખાણોની જેમ, 2002નાં રમખાણોના ઘણા આરોપીઓનો ન્યાય હજુ થયો નથી. પરંતુ ગુજરાતમાં વ્યાપક રીતે એવો માહોલ છે કે જે લોકો સામે અદાલતમાં કામ ચાલ્યું અને સજા થઈ તે હકીકતમાં કેટલાંક એનજીઓ, કર્મશીલો, (કેન્દ્રની) કોંગ્રેસ સરકાર અને મિડીયાના કેટલાક હિસ્સાની રાજકીય કાવતરાબાજીનો ભોગ બનેલા લોકો હતા. ન્યાયની સતત માગણી કરતા લોકોના દબાણને હળવું કરવા માટે, કેટલીક વાર નામીચા પણ આ કિસ્સામાં નિર્દોષ હોય એવા લોકોને ઝડપીને, તેમને રાજકીય સંઘર્ષમાં બલિનો બકરો બનાવાયા. એ વાત સાચી છે કે નહીં, તે અહીં અપ્રસ્તુત છે. અસલી મુદ્દો એ છે કે આપણે આવું માની લઈએ, તેમ ભાજપ ઇચ્છે છે. હિંદુઓ કદી ત્રાસવાદી હોઈ શકે નહીં અને હિંદુઓ હંમેશાં ભોગ બનેલા જ હોય—એવા ભાજપના પ્રચારગાનનો તે હિસ્સો છે.

તે મતલબના પ્રચારને વાજબીપણાની દલીલ તરીકે અપનાવીને, સરકાર હવે 2002માં હિંસાપીડિતોને ન્યાય અપાવવાનું કામ કરનારા લોકોની પાછળ પડી ગઈ છે અને તેમણે ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો તે બદલ તેમને દંડી રહી છે. આ પ્રચારમાં ઉશ્કેરણીની અસલી ઘંટડી એવું સૂચવવામાં છે કે ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે જ એક કાવતરું હતો. આ કેવળ બદલો નથી. તે હિંદુઓની નિર્દોષતાની તેમણે (ભાજપે) ઊભી કરેલા માન્યતાને ટેકો આપવા માટે પણ છે. બિનભાજપી સરકાર હશે ત્યાં આ પ્રકારની કાવતરાબાજી વધારે શક્તિશાળી બનશે. માફી થકી સગડવપૂર્વક એવું સૂચવી શકાય છે કે ભાજપ ન્યાયપ્રણાલિમાં પણ હિંદુ હિતનું રક્ષણ કરશે. પોલીસ અને ન્યાયતંત્રની વિશ્વસનિયતા સામે સવાલો ઊઠતા હોય એવા માહોલમાં આ પ્રકારનો પ્રચાર માની લેવાનું સહેલું છે. ગુનેગારો સામે પગલાં ન ભરવા માટે પણ (ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે એક કાવતરું હતો) તે પ્રપંચ ઉપયોગી બની રહે છે.

વ્યક્તિની ઓળખ સાથે સંકળાયેલા ગુના હકીકતમાં અસલી ગુના નથી, એવા ભયંકર ખ્યાલને કારણે આ પ્રકારની ઉશ્કેરણીજનક ચેષ્ટા વધારે શક્ય બને છે. આ પ્રકારની વિચારસરણીને કારણે જ, બળાત્કારની હિંસાને કોમના સંદર્ભમાં મુકી દેવાતાં તે ધૂંધળી બની જાય છે. કોમી હિંસાના મામલે, જાતીય હિંસાને ઘણા સમયથી રાજકીય હિંસાનું જ એક સાધન ગણવામાં આવી છે. પરંતુ તે જ્ઞાતિઆધારિત હિંસાને પણ લાગુ પડે છે. જ્ઞાતિની તાકાત બનાવવા માટે કે સામુહિક હત્યાકાંડોમાં કે રમખાણોમાં હિંસાનો ભોગ બનતા લોકોને તેમની ઓળખના આધારે પસંદ કરવામાં આવે છે. હિંસા આચરનારા લોકો માટે (ભોગ બનનારની) ઓળખ મુખ્ય બને, એટલે તેમનો પોતાનો અંતરાત્મા કોરાણે મુકાઈ જાય છે અને તેમને સમર્થન આપનારા લોકો પણ તેમને ગુનેગારને બદલે હીરો તરીકે જુએ છે. હિંદુત્વ અને એવી બીજી અંતિમવાદી વિચારસરણીઓ જેના જોરે ફૂલતીફાલતી હોય છે તેવા યુદ્ધના અતિશયોક્તિભર્યા પોકારો આ પ્રકારના વૈચારિક સંકોચનને સહેલું બનાવે છે. એ જ કારણથી, હત્યારાઓને હારતોરા કરવાનું, બળાત્કારીઓનું સન્માન કરવાનું અને તેમના સમર્થનમાં રેલીઓ કાઢવાનું આપણા માટે સહેલું હોય છે.

એટલે, સજામાફીના પગલે હોબાળો ન થયો કે (ગુનો કેવો છે તે નહીં, પણ) ગુનેગાર કોણ છે તેના આધારે નક્કી થતાં આપણાં બેવડાં ધોરણ અંગે કશો ગુંચવાડો અનુભવવા જેવો નથી. આપણે ફક્ત કોમવાદની માત્રા વધી હોય એવા સમયમાં નથી જીવતાં. આપણી કોમી ઓળખ સંપૂર્ણ બની ચૂકી છે, જેમાં સંગીત, ભાષા જેવાં પ્રમાણમાં નાનાં સાંસ્કૃતિક પરિબળો પણ ઓળખના બોજથી મુક્ત નથી. આ પ્રકારના પૂરેપૂરા રંગાયેલા વાતાવરણમાં ગુનો અને ન્યાય, નિર્દોષતા અને અપરાધભાવ જેવા શબ્દોનો પણ, કોમવાદી એજન્ડાના ભાગ બનવા સિવાય, સ્વતંત્ર-પોતીકો અર્થ રહ્યો નથી.

એટલે શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના સવાલનો જવાબ અકળાવનારો હોઈ શકે છે. તેમના ધીરજપૂર્વકના પ્રયાસથી તેમને ન્યાય મળ્યો ને ન્યાય મેળવવાનું હજુ શક્ય છે—એવા ભ્રમને વળગી રહેવાનું આપણને નિમિત્ત મળ્યું. પરંતુ હવે જણાય છે કે કોમવાદ અને ગુનાનાં માઠાં પરિણામની જવાબદારીમાંથી મુક્તિનો વાયરો વાય, ત્યારે ન્યાયના તંતુઓ ફરી એક વાર હવામાં ઉડી જશે. ન્યાયનો અંત આવો ન હોય, પણ કદાચ સાચો ન્યાય કદી શરૂ જ થયો ન હતો.

મૂળ લેખની લિન્ક

https://indianexpress.com/article/opinion/columns/justice-bilkis-bano-question-should-haunt-indian-republic-8097740/

Tuesday, June 28, 2022

સર્વોચ્ચ અદાલતના નામે

 (તંત્રીલેખ, ઇન્ડિયન એક્સપ્રેસ, 26 જૂન, 2022)

સુપ્રીમ કોર્ટ ન હોત તો ગુજરાતના 2002ના કેસોમાં ન્યાય હાથતાળી દેતો રહ્યો હોત. એટલે જ, (સુપ્રીમ કોર્ટનો) તાજેતરનો ચુકાદો અને પોલીસ દ્વારા થયેલો તેનો ઉપયોગ અકળાવનારા સવાલ ઊભા કરે છે.

ગુજરાતમાં 2002માં થયેલી કોમી હિંસાની લાંબી, ત્રાસદાયક અને હજુ ઉઘડી રહેલી ન્યાયપ્રક્રિયામાં સર્વોચ્ચ અદાલતે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. ઘણા કિસ્સામાં તેના વચ્ચે પડવાને કારણે ન્યાયપ્રક્રિયાની ગાડી પાટા પર રહી છે, સત્તાધીશોના દબાણથી તે સલામત રહી છે. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીને કારણે, હિંસાનો ભોગ બનેલા તેમ જ હિંસાનો ભોગ બન્યા પછી જીવિત રહેલા લોકો ન્યાયપ્રક્રિયાના નિષ્પક્ષ અને ન્યાયી અંતની આશા રાખી શક્યા છે. એ જ કારણથી શનિવારના રોજ થયેલી કર્મશીલ તિસ્તા સેતલવાડની અને ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડો ખેદજનક છે. તેમની વિરુદ્ધની એફઆઇઆરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તેના પરિશિષ્ટમાંથી ઘણી સામગ્રી ટાંકવામાં આવી છે.

શુક્રવારે સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતના ઉચ્ચ સત્તાધીશો દ્વારા કોઈ વ્યાપક કાવતરું રચાયું હોવાના આરોપોનું ખંડન કર્યું અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકારને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા અપાયેલી ક્લીન ચિટને બહાલી આપી. આ કેસ નીકળી જ જવાનો હતો એ પહેલેથી નક્કી હતું, એવું કહી શકાય. કારણ કે કથિત કાવતરાબાજીનો છેડો છેક મુખ્ય મંત્રીની કચેરી સુધી પહોંચતો હોય એ પુરવાર કરવાનું બહુ કઠણ હતું. આ કેસ ન્યાયપાલિકામાં ટકી શકે એવા પુરાવાના જોરે નહીં, પણ હિંસામાં પાયમાલ થયેલાઓની વ્યથાને કારણે આટલે સુધી પહોંચ્યો હોઈ શકે. એ જ ચુકાદામાં જોકે સુપ્રીમ કોર્ટ ચિંતાજનક રીતે એક ડગલું આગળ વધી. તેના ચુકાદાના આધારે નોંધાયેલી એફઆઇઆરમાં અદાલતના ચુકાદામાંથી ટાંકવામાં આવેલો હિસ્સો આ પ્રમાણે હતોઃ આખરે, આ કેસ ગુજરાત રાજ્યના કેટલાક અસંતુષ્ટ અધિકારીઓએ બીજાઓ સાથે મળીને કરેલો સનસનાટી સર્જવાનો પ્રયાસ હોય એવું લાગે છે... (તેનો આશય) દેખીતી રીતે, ગુપ્ત યોજનાઓ પાર પાડવાના હેતુથી, ચરુ ઉકળતો રાખવા માટેનો... (જણાય છે)...પ્રક્રિયાના દુરુપયોગ સાથે સંકળાયેલા સૌ કોઈને અદાલતમાં ખડા કરીને તેમની સામે કાનૂની રાહે કામ ચલાવવું જોઈએ. આ ચુકાદો આવ્યાના બીજા દિવસે સવાલ છેઃ અદાલતના ચુકાદામાંથી લીટીઓ ઉપાડીને જે રીતે ઇરાદાપૂર્વક હેરાનગતિની શરૂઆત કરવામાં આવી છે, એ તરફ અદાલત આંખમીંચામણાં તો નહીં કરે. (નહીં કરે ને?)

શ્રીકુમાર અને સેતલવાડના કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. પરંતુ અદાલતના ચુકાદામાંથી ઉતારા લઈને કરાયેલી એફઆઇઆરમાં અને 2002ના કેસોમાં અરજદારોની પડખે ઊભા રહેલા લોકો સામે તત્કાળ પોલીસપગલાં લેવા ચુકાદો વપરાયો, તેમાં પ્રશ્નો તો છે. અદાલતે શુક્રવારે જે કહ્યું અને શનિવારે પોલીસે તેમાંથી પોતાનાં પગલાં માટે જે અર્થ લીધો, તેના કારણે અત્યાર સુધીની હકીકતનું જાણે શીર્ષાસન થઈ ગયું. આખરે, આ એ જ અદાલત હતી, જેણે 2002ની હિંસામાં ન્યાય થાય તે માટે સંખ્યાબંધ અભૂતપૂર્વ પગલાં લીધાં હતાં. તપાસમાં ગંભીર ક્ષતિના આરોપોના પગલે સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોની કાર્યવાહી અટકાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી અને સંવેદનશીલ કેસોની સુનવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને તેની કામગીરી પર દેખરેખ રાખી હતી. સુપ્રીમ કોર્ટે એ વાત પણ સુનિશ્ચિત કરી હતી કે કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવે, જેથી ન્યાય થઈ શકે. તેના વચ્ચે પડવાને કારણે ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોના આશરે બે હજાર કેસ નવેસરથી ખુલ્યા હતા. હકીકતમાં બે દાયકા પહેલાં થયેલી કોમી હિંસાના પીડિતો અને હિંસામાંથી જીવતા બચી ગયેલા લોકો માટે ન્યાય મેળવવાના કર્મશીલો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચ સહિતનાં સૌ કોઈના પ્રયાસોમાં સુપ્રીમ કોર્ટ જ કેન્દ્રસ્થાને હતી.

ગુજરાતમાં 2002ના કેસોમાંથી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા થયેલી ફરજચૂકના ગંભીર સવાલ ઊભા થયા હતા. (એવી સ્થિતિમાં) કોઈ એક કેસ નીકળી જાય, તે બાબત (2002ની) હિંસાની જવાબદારી નક્કી કરવાની અને ન્યાય મેળવવાની આખી લડત સામેના તળિયાઝાટક આરોપનામાની ભૂમિકા ન બનવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ વિચારવું જોઈએ કે એક ચોક્કસ કિસ્સામાં હિંસાનો ભોગ બનીને તેનો દરવાજો ખટખટાવનારાની અરજ ટકી શકી નહીં, તેના કારણે ન્યાયપ્રક્રિયાનું નાળચું અરજદારોની સામે તકાઈ જાય એ વાત, બંધારણીય પ્રક્રિયા અને મૂલ્યોના શાણપણભર્યા સંરક્ષક તરીકેની સુપ્રીમ કોર્ટની ભૂમિકાને અને તેના દરજ્જાને છાજે એવી છે કે નહીં. 


મૂળ અંગ્રેજી લેખની લિન્કઃ https://indianexpress.com/article/opinion/editorials/supreme-court-judicial-system-7992775/


Tuesday, June 07, 2016

૨૦૦૨ : આગળ વધી જતાં પહેલાં

ગુલબર્ગ હત્યાકાંડના ચુકાદાથી ફરી એક વાર, હવે તો છેલ્લી છેલ્લી વાર, ૨૦૦૨ની કોમી હિંસા અને ન્યાય માટેના સંઘર્ષની યાદ તાજી થઇ. એક સિવાયના બધા કેસના ચુકાદા આવી જતાં, હવે આખો ઘટનાક્રમ મહદ્‌ અંશે ઇતિહાસ બની ગયો છે. એક એવી પેઢી આવી ચૂકી છે, જે ૨૦૦૨માં બાળપણ-કિશોરાવસ્થામાં હતી અને હવે સોશ્યલ મીડિયા પર અત્યંત સક્રિય છે. તેમનાં મન પ્રચારમારાથી એવાં ભરાયેલાં છે કે ૨૦૦૨નું નામ પડતાં જ તેમાંથી ઘણાંનાં મોં મચકોડાય છે.  તેમને લાગે છે કે ૨૦૦૨ની હિંસા નરેન્દ્ર મોદી વિરુદ્ધ બૌદ્ધિક-હિંદુવિરોધી- ડાબેરી-સેક્યુલરિસ્ટોનું કાવતરું હતું. ઘણાને આ બધાં વિશેષણના અર્થ એકસરખા જ લાગે છે--અને કમ્પ્યુટર-સ્માર્ટફોન વાપરતાં આવડે છે, એટલે પોતાની આવડત વિશે તેમને કદી અવઢવ હોતી નથી.

૨૦૦૨માં ગુજરાતવિરોધીઓ નરેન્દ્ર મોદી પર તૂટી પડ્યા હતા અને તેમને બહુ વીતાડ્યું, પણ મુખ્ય મંત્રી તરીકે મોદીએ જરાય મચક ન આપી’-- આવી કે આ પ્રકારની માન્યતાઓ સોશ્યલ મીડિયા પર કિશોર-જુવાન થયેલી નવી પેઢી ધરાવતી હોય, તો એમાં તેમનો બહુ વાંક નથી. તેમની આજુબાજુનો માહોલ સતત એવો રહ્યો કે રાજકારણ બાજુએ રાખીને, નાગરિકી દૃષ્ટિકોણથી બોધપાઠ અંકે કરવા જેટલું સ્વસ્થ વાતાવરણ જ પેદા ન થાય. સોશ્યલ મીડિયા પણ તેમાં ઠીક ઠીક અંશે નિમિત્ત બન્યું. 

સમજ આવી ત્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન જોનાર પેઢીમાંથી ઘણાને ઇતિહાસબોધ તો ઠીક, સાદા ઇતિહાસની પણ માહિતી નથી હોતી. કારણ કે, સાદો ભૂતકાળ અને ચાલુ વર્તમાનકાળ તેમના ભણવામાં આવતાં નથી. કુટુંબપરિવાર-દોસ્તો પાસેથી એ આધારભૂત રીતે જાણવા મળે એવી સંભાવના ઓછી હોય છે અને જાતે તસ્દી લઇને જાણવા જેટલું તેનું મહત્ત્વ લાગતું નથી. હવામાં તરતી મુકાયેલી સામાન્ય છાપ એવી છે કે કોમી હિંસાની કશી નવાઇ નથી. ગાંધીના ગુજરાતમાં એ અનેક વાર થઇ ચૂકી છે. પણ ૨૦૦૨ની હિંસાનો વિરોધ અને તેમાં રાજ્યની ભૂમિકા અંગેની જ ચર્ચા શા માટે? કારણ કે એ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું હતું. યાદ રાખવાનો એક મુદ્દો એ છે કે ૨૦૦૨ની કોમી હિંસા ન્યૂઝ ચેનલોનો યુગ શરૂ થયા પછીની પહેલી મોટી ઘટના હતી. બદલાયેલા સમયમાં માનવ અધિકાર સંગઠનો પણ ઠીક ઠીક સક્રિય થયાં હતાં. અને તેમાંના ઘણા લોકો ૧૯૮૪ના કૉંગ્રેસપ્રેરિત શીખ હત્યાકાંડ વખતે પણ સક્રિય જ હતા. પરંતુ ત્યારે તમે ક્યાં હતા?’ના સવાલ વીંઝનારને જવાબ સાંભળવામાં ક્યાં રસ હોય છે?

નવી પેઢી સામે નવા પડકાર અને નવી તકો હોય છે. ૧૪ વર્ષ પહેલાંના ઘટનાક્રમને વળગીને બેસી ન રહેવાય. તેને વિસારે પાડીને આગળ વધવું જ પડે. પરંતુ એ બનાવોનું અનુસંધાન ચાલુ વર્તમાનકાળમાં નીકળતું હોય, ત્યારે તેના સૂચિતાર્થો અને બોધપાઠો પૂરેપૂરા સમજવા રહ્યા. એ કર્યા વિના આગળ નીકળવાની ઉતાવળ કરવામાં આવે તો, ભવિષ્યમાં બીજી રીતે, બીજા સ્વરૂપે એ બોધપાઠો સામે આવીને ઊભા રહે. નરેન્દ્ર મોદીના વ્યક્તિગત વિરોધ કે તરફેણથી દૂર રહીને, નવી પેઢી સાથે ખુલ્લાશથી ચર્ચી શકાય એવા કેટલાક મુદ્દા અને બોધપાઠ.

- ગુજરાતમાં કોમી હિંસાનો ઇતિહાસ જૂનો છે. ગાંધીજન્મશતાબ્દિ વર્ષ ૧૯૬૯માં ભયંકર કોમી હિંસા થઇ હતી. પરંતુ કોમી હિંસાની ગંભીરતા ફક્ત મૃત્યુઆંકથી જાણી કે માપી શકાતી નથી. તેનો વ્યાપ, સમયગાળો અને રાજ્યની ભૂમિકા--આ મુદ્દા પણ એટલા જ કે વધારે અગત્યના  છે. આ ત્રણે મામલે ૨૦૦૨ની હિંસા ગુજરાત માટે અભૂતપૂર્વ હતી.

હિંસક વાતાવરણ અને કરફ્‌યુ મહિનાઓ સુધી ચાલ્યાં. કોમી તનાવનો પરંપરાગત ઇતિહાસ ધરાવતાં શહેરોને બદલે ગુજરાતનાં અસંખ્ય શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં હિંસા પ્રસરી. સ્વાભાવિક છે કે મુખ્ય મંત્રી મોદીએ ઠેકઠેકાણે જઇને લોકોને મુસ્લિમવિરોધી હિંસા આચરવાનું ન જ કહ્યું હોય. નરોડા પાટિયા જેવા (કે ફરિયાદીઓની આશંકા પ્રમાણે, ગુલબર્ગ સોસાયટી જેવા) કેટલાક હત્યાકાંડો પૂર્વઆયોજિત હોઇ શકે. તેમાં સ્થાનિક કારણો પણ ભળેલાં હોઇ શકે. છતાં, બે વાત ઊભી રહે છે : ૧) સરકાર મહિનાઓ સુધી સામાન્ય સ્થિતિ સ્થાપી શકી નહીં. ૨) પીડિતો માટે આશ્રયનો અને તોફાનીઓ માટે હિંસા કોઇ પણ સંજોગોમાં નહીં સાંખી લેવાય’, એવો કડકાઇનો સંદેશો સરકાર આપી શકી નહીં. ઉલટું, વ્યાપક છાપ એવી ઊભી થઇ કે સરકાર મુસ્લિમવિરોધી હિંસાખોરી પ્રત્યે કૂણું વલણ ધરાવે છે. હિંસા પછીનાં થોડાં વર્ષ સુધી મુખ્ય મંત્રીના ઉદ્‌ગારોમાં રૂઝ આપનાર મલમને બદલે દઝાડનારા રસાયણની અનુભૂતિ ભળેલી હતી.

- અગાઉના એક પણ રમખાણ પછી મુખ્ય મંત્રીએ છડેચોક તેનો રાજકીય લાભ ખાટવાની કોશિશ કરી ન હતી. તેના લીધે કોમવાદ છૂપો રહ્યો અને એકંદરે બેકાબૂ ન થયો. ૨૦૦૨ની આપત્તિને મુખ્ય મંત્રીએ અવસરમાં ફેરવી નાખી. ઘણાના મનમાં કારણ-અકારણ રહેલો મુસ્લિમદ્વેષ જાહેર અને સ્વીકૃત બન્યો. તોફાનના ઘા રૂઝાય એ પહેલાં મુખ્ય મંત્રીએ ગૌરવયાત્રા કાઢી. તેનો સત્તાવાર આશય ગમે તે હોય, પણ ગૌરવશાનું એ બહુ સ્પષ્ટ હતું. એ વખતે મહેન્દ્ર મેઘાણીએ જલિયાંવાલા બાગના હત્યારા જનરલ ડાયરને બ્રિટનમાં જે માનપાન મળેલાં એની વિગતો તાજી કરીને, જનરલ ડાયરની ગૌરવયાત્રા વિશે લખવું પડ્યું.

- વિક્રમસર્જક લાંબા ગાળા સુધી ટકેલી તનાવપૂર્ણ સ્થિતિ પછી પણ, પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં રાજ્ય સરકારની દાનત ખોરી પુરવાર થઇ. પીડિતો માટે ન્યાયનો રસ્તો કપરો બની ગયો. તેમના સામા પક્ષે ફક્ત આરોપીઓ જ નહીં, શક્તિશાળી સરકાર પણ હતી. અસરકારક ન્યાય માટે કેસો ગુજરાતની બહાર લઇ જવાના આદેશ થયા. પરંતુ નરેન્દ્ર મોદી પોતાની ટીકાને ગુજરાતની ટીકા તરીકે ખપાવી શક્યા અને ગુજરાતના ઘણા લોકોએ આ પડીકું હોંશેહોંશે લઇ લીધું. ૧૯૬૯ની હિંસા વખતે ગુજરાતની મુલાકાતે આવેલા (સરહદના ગાંધીતરીકે ઓળખાતા) બાદશાહખાને ભારે વ્યથા વ્યક્ત કરી હતી. ૨૦૦૨માં આવું બન્યું હોત તો બાદશાહખાનને પણ ગુજરાતવિરોધીતરીકે ખપાવી દેવાયા હોત--અને લોકોએ તે સ્વીકારી લીઘું હોત.


સાવ પ્રાથમિક કહેવાય એવી આ વિગતોનો સાર એટલો કે ભૂતકાળનાં હિંસા-અન્યાય પર ઢાંકપિછોડો કરીને નહીં, પણ તેની સાથે સંકળાયેલી શરમનો અહેસાસ કરવાથી સમાજ આગળ વધે છે--પ્રગતિ પામે છે. શાનું ગૌરવ અનુભવવું અને શાની શરમ--એના માપદંડો પરથી સમાજની પ્રગતિ નક્કી થાય છે. કોઇ નેતા માફી માગે કે ન માગે, સમાજના લોકો તરીકે આપણા મનમાં ખોટું થયાનો ભાવ ઉગે, એ વખતે સમજવું કે આપણે એ ઘટનાને અભરાઇ પર ચડાવીને આગળ વધવા માટે લાયક થઇ ગયા છીએ.

Tuesday, March 03, 2015

ધિક્કારમૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા

ગુજરાતનાં નકલી એન્કાઉન્ટરોમાં અભૂતપૂર્વ સંખ્યામાં પકડાયેલા પોલીસ અફસરોના જામીન પર છૂટકારાની સીઝન થોડા વખતથી ચાલે છે. કોરટ-કચેરીનાં ચક્કરોમાંથી મુક્તિના ‘અચ્છે દિન’ ભાજપના પક્ષપ્રમુખ માટે તો ક્યારના આવી ગયા હતા. આ બઘું જાણીને બમ્બૈયા ફિલ્મોનો ટપોરી અંદાજ યાદ આવી શકે : ‘ભાઇકા રાજ હૈ, ભીડુ. ટેન્શન નહીં લેનેકા. ટેન્શન દેનેકા.’

હા, આ ઘટનાક્રમની સમાંતરે ‘ટેન્શન દેવાનો’ બીજો તંતુ પણ સતત ચાલતો આવ્યો છે : ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી (અને દેશના વર્તમાન વડાપ્રધાન)ને જે લોકોએ ‘વીતાડ્યું’ હોય, એવા લોકોને ‘ધંધે લગાડવાનો’ ક્રમ. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ, રાહુલ શર્મા જેવા પોલીસ અફસરોથી માંડીને બીજા કેટલાક સરકારી અફસરો અને તિસ્તા સેતલવાડ જેવાં કાર્યકરો ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને ‘હેરાન કરનારાં’ તરીકે પંકાયેલાં હતાં. ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ની જેમ ‘મોદી ઇઝ ગુજરાત’  ન્યાયે, તેમને મુખ્ય મંત્રીનાં વિરોધી નહીં, પણ ‘ગુજરાતનાં દુશ્મન’ તરીકે રજૂ કરવામાં -ને ઘણી હદે સ્વીકારી લેવામાં- આવ્યાં. સરકારપ્રેરિત પ્રચાર મારો એવો ચાલ્યો કે થોડા વખત પછી સમજણી બનેલી પેઢીને એવું લાગે, જાણે ગુજરાતને (વાંચોઃ ગુજરાતના મુખ્ય મંત્રીને) બદનામ કરવા માટે, તિસ્તા સેતલવાડ પ્રકારના લોકો અમદાવાદની સડકો પર નિર્દોષોને જીવતા જલાવવા નીકળી પડ્યા હશે.

‘અંગત અને વ્યાવસાયિક કારણોસર’ (એટલે કે સરકારી હેરાનગતિથી થાકીને) પોલીસ અફસર રાહુલ શર્મા વહેલી નિવૃત્તિ માગી અને ગયા અઠવાડિયે સરકારે તે આપી દીધી. આઇ.પી.એસ. રાહુલ શર્માએ ૨૦૦૨ની કોમી હિંસા વખતે એક મદ્રેસામાંથી મુસ્લિમ બાળકોને બચાવ્યાં હતાં. તેમની બદલી કરીને કન્ટ્રોલ રૂમમાં નાખ્યા, તો ત્યાં એમણે અમદાવાદમાં કોમી હિંસા વખતે કયા નેતાઓ ક્યાં હતા, તેની કૉલ ડીટેઇલ્સ ધરાવતી એક સી.ડી.તૈયાર કરી. આવા અફસરોની સામે ખાતાંકીય તપાસો ન થાય તો બીજું શું થાય? પોલીસ અફસરોએ ચૂપચાપ સાહેબોની કહી કે વણકહી આજ્ઞાનું પાલન કરવાનું હોય કે તેમનાં કરતૂતો ઉઘાડાં પડે એવાં કામ કરવાનાં હોય?

રાજકીય ઉપરીઓની આજ્ઞાથી કે તેમને ખુશ રાખવા માટે ગુજરાતના પોલીસ અફસરોએ નકલી એન્કાઉન્ટર કર્યાં. ઉત્તમ પત્રકારત્વ અને ઠીક ઠીક તપાસના પરિણામે, એન્કાઉન્ટરોની અસલિયત ખુલ્લી પડી ગઇ. રેકોર્ડબ્રેક સંખ્યામાં પોલીસ અફસરોને જેલમાં જવાનો વારો આવ્યો. ‘મુખ્ય મંત્રીની હત્યાનાં કાવતરાં’ના દાવા પોકળ સાબીત થયા. (તેનો સાંયોગિક છતાં ઉત્તમ પુરાવો એ કે બધા એન્કાઉન્ટરબાજો જેલમાં ગયા પછી, મુખ્ય મંત્રીની હત્યાનું એક પણ કાવતરું પકડાયું નહીં.) એ વખતે મુખ્ય મંત્રીને ગોપીભાવે ભજતા કેટલાકે ‘ગુજરાત પોલીસના મૉરલ પર ગંભીર અસર થશે’ એવી કાગારોળ મચાવી. પણ રાજનેતાઓને બદલે દેશના કાયદા- બંધારણ પ્રત્યે વફાદારી રાખનાર અને એમ કરવા જતાં સરકારી હેરાનગતિનો ભોગ બનેલા પોલીસ અફસરો માટે મૉરલ-ચિંતકોનો ભાગ્યે જ ચિંતા થઇ હતી.

મુખ્ય મંત્રીને તેમની સંદેહાસ્પદ ભૂમિકા અને ચોખ્ખી નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવે તથા તેમને જવાબ આપવાની સ્થિતિમાં મુકે, એવું કંઇ પણ કરનાર સામે આખી ફોજ તૈયાર હતી : સરકારી પ્રચારતંત્ર, છાકટા બનેલા છદ્મશ્રીઓ, ચબરાકીપૂર્ણ ચાપલુસી કરીને મુખ્ય મંત્રીની ગુડબુકમાં રહેવા તલસતા કટારલેખકો, ગેરરસ્તે દોરવાયેલા નાગરિકો...એ લોકોનું કામ જ મુખ્ય મંત્રીના ટીકાકારો માટે યેનકેનપ્રકારે ધિક્કાર ફેલાવવાનું હતું. એ માહોલમાં નિહત્થા ગુંડાઓને ઠાર મારવાનુંં પરાક્રમ કરનારાને ‘જાંબાઝ અફસર’ તરીકે બિરદાવવાની અને જેલમાં જઇને કે જેલની બહાર તેમનાં ઓવારણાં લેવાની બેહુદી ફેશન ચાલી. પણ નકલી એન્કાઉન્ટરોના એક સૂત્રધાર ડી.જી.વણઝારાએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને ભીંસમાં મૂકતો પત્ર લખીને જાહેર કર્યો, ત્યારે ખરો તાલ થયો. વણઝારા અને મુખ્ય મંત્રીને એક જ કૌંસમાં મૂકીને તેમની આરતીઓ ઉતારનારા, તેમની જાંબાઝીના ચાલીસા ગાનારા શું કરે? કોની બાજુ ઢળે? તેમના સદ્‌ભાગ્યે લોકોની યાદદાસ્ત ટૂંકી હોવાથી, દૂધમાં ને દહીમાં પગ રાખવાના તેમના વલણની જાહેર તપાસ કે ખાસ ચર્ચા થઇ નહીં.

પ્રમાણભાન અને તોલમાપ

મુખ્ય મંત્રીના ટીકાકારો કે તેમને ‘બદનામ કરનારા’ની વાત નીકળે ત્યારે કેટલીક સ્પષ્ટતા જરૂરી છે : તત્કાલીન મુખ્ય મંત્રી મોદીની સામે પડેલા બધા લોકો એક સરખા પ્રામાણિક કે પ્રતિબદ્ધ કે હૈયે લોકહિત ધરાવનારા હોય, એ જરૂરી નથી. મુખ્ય મંત્રી મોદીની આકરી ટીકા માત્રથી કોઇ વ્યક્તિ પોતે નીતિમત્તાની કે ફરજપરસ્તીની મૂર્તિ બની જતી નથી. ટીકા કરનારની કે સામે પડનારની નિષ્ઠા હંમેશાં અલગ તપાસનો વિષય રહે છે.  નાગરિકો તરીકે આપણે યાદ એટલું જ રાખવાનું કે એકનું દોષદર્શન કરાવવાથી બીજો ‘યુધિષ્ઠિર’ બની જતો નથી. આપણે બન્ને પક્ષોની મર્યાદાઓનો સામસામો છેદ ઉડાડીને રાજી થઇ શકીએ નહીં. કેમ કે, આપણું કામ બન્ને પક્ષો પાસેથી જવાબ માગવાનું અને તેમની ગરબડોની ગંભીરતા નક્કી કરવાનું છે. જેમ મોદીની સામે પડવા માત્રથી તિસ્તા સેતલવાડ પર થયેલા રૂપિયાના ગોટાળાના આરોપ ગૌણ બની જતા નથી, તેમ તિસ્તા પર આરોપ લગાડી દેવાથી સરકાર દૂધે ધોયેલી બની જતી નથી. લોહીથી ખરડાયેલા હાથવાળો સામેના પક્ષના ખિસ્સા પર પડેલા ડાઘાની ટીકા કરે, એવું આ લાગે છે. નિર્દોષ નાગરિકોની હત્યા અને તેનો રાજકીય ફાયદો એક તરફ, તો રૂપિયાના વહીવટી ગોટાળાનો આરોપ બીજી તરફ- આ બન્નેની ગંભીરતા એકસરખી નથી, એટલું પણ નાગરિક તરીકે સમજાવું જોઇએ.

સરકારોનો પ્રયત્ન એ રહે છે કે નાગરિકો આવું બઘું વિચારવાને બદલે, હોંશે હોંશે તેમનો પ્રચાર માની લે. ‘અમે ફક્ત પંદર જણા ને સામે ત્રણનું ટોળું’- એવા અંદાજમાં સરકાર પોતાનાં મસમોટાં પાપ ઢાંકવા માટે, સામેના પક્ષની મર્યાદાઓને અનેક ગણીને મોટી કરે છે અને તેમને અસલી ખલનાયક સાબીત કરવા ભરપૂર કોશિશ કરે છે. એ વખતે નાગરિકોએ સરકારી બુદ્ધિથી નહીં, પણ સ્વબુદ્ધિથી, ઠંડા કલેજે બન્ને પક્ષોનો તોલ કરવાનો થાય છે.

સરકારી પ્રચારતંત્ર બધા ટીકાકારોને એકસરખા ચીતરીને, તેમને એક લાકડીએ હાંકવાની વેતરણમાં હોય છે. (દા.ત. ‘મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા તિસ્તા સેતલવાડના સાથીદાર જ ગણાય’) દુઃખની વાત એ છે કે આ યુક્તિ ગુજરાતમાં સફળ થઇ. ઘણા લોકો નરેન્દ્ર મોદીના જુદા જુદા ટીકાકારોનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવાને બદલે, તેમના ગુણદોષ અલગથી જોવાને બદલે, તેમને ફક્ત ‘મોદીના ટીકાકાર’ તરીકે ઓળખતા અને ધિક્કારતા થયા.

ધિક્કારની આ લાગણી રાજનેતાઓ માટે બહુ કામની છે. પોતાની મસમોટી મર્યાદાઓ અને સત્તાલાલસા લોકોની નજરે ન ચડી જાય, એટલા માટે  નેતાઓ હંમેશાં એક કે વઘુ ‘ધિક્કારપાત્રો’ (હેટ ઑબ્જેક્ટ)ની ખોજમાં હોય છે- એવાં પાત્રો, જેમની સામે આંગળી ચીંધીને ‘જુઓ, જુઓ, આ મને એટલે કે આપણને, એટલે કે આપણા મહાન રાજ્યને કે દેશને બદનામ કરી રહ્યાં છે’ એવા બરાડા પાડી શકાય. લોકોનું ઘ્યાન અને તેમનો રોષ એ તરફ કેન્દ્રિત કરીને, પોતાના ઉત્તરદાયિત્વમાંથી અને જવાબદારીઓમાંથી સહેલાઇથી છટકી શકાય.

આ કામ તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ બહુ અસરકારક રીતે કર્યું. પરંતુ આવું કરનારા તે પહેલા ન હતા. ગુજરાતની અસ્મિતાની ‘ખેતી’થી માંડીને ‘ગુજરાતવિરોધી’, ‘ગુજરાતદ્રોહી’ જેવાં વિશેષણો પોતાની સગવડે વેચવામાં ચીમનભાઇ પટેલ નરેન્દ્ર મોદીના પૂર્વસૂરિ હતા. નર્મદા યોજનાનો વિરોધ કરનાર મેધા પાટકરને, બસ ‘ડાકણ’ જાહેર કરવાનું બાકી રહ્યું હતું. મેધાબહેનના કે તેમના જેવા ચળવળકારોના આગ્રહો આત્યંતિક કે માગણીઓ વઘુ પડતી હોઇ શકે. પરંતુ ખોરી દાનત ધરાવતી સરકારો સાથે પનારો પાડવાનો હોય, ત્યારે વિશ્લેષણ લેખોના અંદાજમાં કાંટાકસ તોલનું ધ્યેય રાખી શકાતું નથી. સરકાર સામે સંઘર્ષ કરવાનો હોય ત્યારે ગમે તેટલી ઠંડક પછી પણ અમુક પ્રકારની આક્રમકતા અને આત્યંતિકતા ભળી જાય છે.

આવા પ્રસંગે સરકાર બે વલણ લઇ શકે :  જેમના માટે આંદોલન ઉપાડવામાં આવ્યું હોય, એવા લોકો સાથે વાતચીત કરે. તેમને સીધા વિશ્વાસમાં લેવા પ્રયાસ કરે અને થોડા મહિનાના સમયગાળામાં પોતાની ચોખ્ખી દાનતની સારી છાપ બેસાડે. મોટા ભાગની સરકારોને આ રસ્તો અનુકૂળ આવતો નથી. સત્તાનો મદ અને કુટિલ કાવાદાવા પર ભરોસાના જોરે તે ‘સામ’ને બદલે દામ, દંડ કે ભેદ જેવાં હથિયારો વાપરવાનું વઘુ પસંદ કરે છે. એ માટે, સરકારની સામે પડેલા પાત્રનું ખલનાયકીકરણ કરવામાં આવે છે. એવું ચિત્ર બતાવવામાં આવે છે કે તિસ્તા સેતલવાડ કે મેધા પાટકર ગુજરાતનાં દુશ્મનો છે, દેશનાં દુશ્મનો છે, ગુજરાતની કે દેશની પ્રગતિ રોકવા કામ કરે છે, આવાં રોડાં નાખવા માટે તેમને ફલાણે ઠેકાણેથી ફંડિગ મળે છે, વગેરે.

ચળવળકારોની વાતમાં રહેલા વાજબી અને જનહિતના મુદ્દા સ્વીકારવાને બદલે નાગરિકો પણ સરકારી પ્રચારથી દોરાઇ જાય અને સરકારે સ્વાર્થવશ ઊભા કરેલા ખલનાયકોને અપનાવી લે, ત્યારે મોટું નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે, મેધા પાટકરને ગાળો દેતાં ન થાકતા કેટલા લોકો નર્મદા કેનાલોમાં મોદી પહેલાંની અને મોદી પછીની સરકારોએ કરેલા વિલંબ વિશે દસમા ભાગનો રોષ પ્રગટ કરીને, આ સરકારોને ગુજરાતદ્રોહીની ગાળ આપે છે? તિસ્તા સેતલવાડ વિશે બેફામ બોલતા કેટલા લોકો કોમી હિંસા પછી અસરગ્રસ્તોને રાહત અને ન્યાય પૂરો પાડવામાં સરકારની ખોરી દાનત વિશે ખોંખારીને બોલતા હતા? અને હજુ બોલે છે?

સરકારસ્થાપિત ધિક્કારમૂર્તિઓ વિશે પોતાના છેડેથી વિચારવું નાગરિકો માટે આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. 

Tuesday, December 31, 2013

સત્યમેવ જયતે : નવી સીઝન

ના, અહીં આમીરખાનના પ્રખ્યાત ટીવી શોની વાત કરવાનો ઇરાદો નથી. એ શો પર ઉપરછલ્લી નિસબત બતાવવાના આરોપ થયા હતા, પરંતુ આમીરખાનનું ગજું કેટલું? તેમને સરસ અભિનય આવડે. કાતિલ દંભ ન આવડે. એ શીખવા જેવો પણ નથી. છતાં કોઇએ પ્રયાસ કરી જોવો હોય તો, તેમને ગુજરાતના મુખ્ય મંત્રીના બહુચર્ચિત લખાણ પર નજર ફેરવી જવા વિનંતી છે. તેમના બ્લોગ પર મુકાયેલા આ લખાણનું મથાળું છે : ‘સત્યમેવ જયતે : ટ્રુથ અલોન ટ્રિમ્ફસ’ (સત્યમેવ જયતે : ફક્ત સત્યનો જ વિજય થાય છે). તેનો વિષય કરુણતા સાથે સંકળાયેલો ન હોત, તો એને કદાચ આ વર્ષનો સર્વોત્તમ હાસ્યલેખ ગણવો પડત.

ભારતના જાહેર જીવનમાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જૂઠ્ઠો માણસ અંડાગડા કરીને કે પુરાવાના અભાવે નિર્દોષ સાબીત થાય, ત્યારે તે સૌથી પહેલું કામ ‘સત્યમેવ જયતે’ ટાંકવાનું કરે છે. કારણ કે પોતાનામાં રહેલી ‘ટ્રુથ ડેફિસિટ’નો- પોતાના ખોટ્ટાડાપણાનો- સૌથી વધારે અહેસાસ તેને હોય છે. કેલ્શિયમની ખામી ધરાવતો માણસ માટી જોઇને તેને ખાવા ઉશ્કેરાય, તેમ સાચની ખોટ ધરાવનારો માણસ પોતાની જીત થયા પછી સૌથી પહેલાં સાચનો જયજયકાર કરવા - અને એમ કરીને પોતે સાચો છે, એવું સિદ્ધ કરવા પ્રેરાય. આ યાદીમાં ગુજરાતના મુખ્ય મંત્રીનો સમાવેશ કરવો કે નહીં, એ વિશે મતભેદ છે. પરંતુ તેમણે પોતાના લેખમાં ૨૦૦૨ની કોમી હિંસા વિશે ભાષાની ચોપાટ માંડી છે, ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે સત્યની હંમેશાં જીત થાય છે, તેનો અર્થ એવો નથી કે જેની જીત થાય છે, એ હંમેશાં સત્ય જ હોય છે.

વડાપ્રધાન બનવા માટે છેલ્લા ઘણા સમયથી આકાશપાતાળ, ટીવી-ઇન્ટરનેટ-છાપાં એક કરી રહેલા ગુજરાતના મુખ્ય મંત્રીને પાછલાં વર્ષોમાં સદ્‌ભાવના પર્વ અને ‘રન ફોર યુનિટી’ જેવાં ભવ્ય ઇમેજ બિલ્ડિંગ કાર્યક્રમો યોજ્યા પછી પણ કઇ ડેફિસિટ સતાવતી હશે કે તેમણે ૨૦૦૨ની કોમી હિંસા વિશે સંવેદનાભાસી લેખ લખવો પડ્યો?

કારણ દેખીતું છે ઃ અહેસાન જાફરી કેસમાં યોગ્ય પુરાવાના અભાવે મુખ્ય મંત્રીને નિર્દોષ ઠરાવતો અહેવાલ અમદાવાદની કોર્ટે માન્ય રાખ્યો. તેનાથી મુખ્ય મંત્રીને આનંદ અને રાહત થાય તે સ્વાભાવિક છે. પરંતુ એટલાથી તેમને સંતોષ ન થયો. એટલે તેમણે એવું ચિત્ર ઊભું કર્યું, જાણે તેમને ફક્ત અહેસાન જાફરી કેસમાંથી નહીં, પણ ૨૦૦૨ના સમગ્ર ઘટનાક્રમમાંથી પુરાવાના અભાવે નિર્દોષતાનું પ્રમાણપત્ર મળી ગયું હોય.

સાદી સમજની વાત છે : ૨૦૦૨માં ગોધરામાં સળગાવાયેલી ટ્રેનમાં સંખ્યાબંધ હિંદુઓ કમકમાટી ઉપજે એ રીતે મૃત્યુ પામે, તેની નૈતિક જવાબદારી મોદી સરકારની હતી. ત્યાર પછી થયેલી મુખ્યત્વે મુસ્લિમવિરોધી હિંસા મહિનાઓ સુધી ચાલી, તેની જવાબદારી પણ મોદી સરકારની હતી. એવી સરકાર જેના મુખ્ય મંત્રી તરીકે મોદી હતા.

અહેસાન જાફરીનો કેસ ૨૦૦૨ના કમનસીબ અને શરમજનક ઘટનાક્રમનો મહત્ત્વનો પણ નાનો હિસ્સો હતો. તેમાં મુખ્ય મંત્રીની વ્યક્તિગત સંડોવણીનો આરોપ મુકાયો. એ આરોપમાં મુખ્ય મંત્રીને વ્યક્તિગત રીતે નિર્દોષ ઠેરવતો તપાસ સમિતિનો અહેવાલ નીચલી અદાલતે માન્ય રાખ્યો. તેનાથી વ્યક્તિ નરેન્દ્ર મોદીને આ કેસ પૂરતી ક્લિનચીટ મળી, પરંતુ ૨૦૦૨ના સમગ્ર ઘટનાક્રમમાં, રાજ્યના મુખ્ય મંત્રી તરીકેની જવાબદારીમાંથી તે શી રીતે સાફ છટકી શકશે? અને બીજા લોકો ઉપરાંત જાતને ક્યાં સુધી છેતરતા રહેશે?

શબ્દો, અર્થ, અનર્થ

બ્લોગ પરના લખાણની શરૂઆત મુખ્ય મંત્રીએ ૨૦૦૧ના ધરતીકંપના પગલે થયેલા વિનાશથી કરી છે. પછી ‘માઇન્ડલેસ વાયોલન્સ ઑફ ૨૦૦૨’ની વાત આવે છે. તેમાં ‘નિર્દોષો મર્યા, પરિવારો બેસહારા બન્યાં અને વર્ષોની મહેનતથી ઉભી થયેલી સંપત્તિ નષ્ટ થઇ’ એવો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીએ આ ઘટનાક્રમ માટે ‘અ ક્રિપલિંગ બ્લો ટુ એન ઓલરેડી શેટર્ડ એન્ડ હર્ટિંગ ગુજરાત’ એવો પ્રયોગ વાપર્યો છે. એટલે કે, તે ભૂકંપને કારણે વેરવિખેર અને આહત થયેલા ગુજરાતને પંગુ બનાવનારો ફટકો હતો. ત્યાર પછી તેમણે એક તરફ ભૂકંપનો ભોગ બનેલા અને બીજી તરફ રમખાણોનો ભોગ બનેલા- એવી રીતે વાત આગળ વધારીને, જુદાં કારણ ધરાવતી બન્ને કારુણીઓને સમાંતરે મૂકી દીધી છે. તેમનું નિર્દોષ વર્ણન વાંચીને અજાણ્યાને એવું જ લાગે, જાણે કોઇ આસુરી સૈન્ય કે વિદેશી ત્રાસવાદીઓ આવીને ૨૦૦૨ની હિંસા કરી ગયા હશે.

ભૂકંપના પડતા પર કોમી હિંસાના પાટુથી મુખ્ય મંત્રીની કેવી મનોસ્થિતિ થઇ હતી? વાંચો એમના જ શબ્દોમાં : ‘આવું અમાનુષીપણું જોયા પછી જે જાતનો ખાલીપો ઘેરી વળે છે તેને વ્યક્ત કરવા માટે ગ્રીફ (શોક), સેડનેસ (ઉદાસી), મિઝરી (વ્યથા), પેઇન (પીડા), એન્ગ્વિશ (સંતાપ), એગની (વેદના)- આ બધા શબ્દો ટાંચા પડે.’

એટલું કબૂલવું પડે કે આખી વાત કાવ્યાત્મક રીતે કહેવાઇ છે, પણ ૨૦૦૨ના અરસામાં અને ત્યાર પછી વર્ષો સુધી મુખ્ય મંત્રીનાં બેફામ નિવેદન અને આક્રમક મુદ્રા જોનાર-સાંભળનાર કોઇને ખ્યાલ સુદ્ધાં ન આવે કે મુખ્ય મંત્રીના મનમાં આટલી બધી દુઃખદ લાગણીઓ ભરેલી હશે. એ હિસાબે તેમનો જાત પરનો કાબૂ કહો કે પછી અભિનય કહો, એ જબરદસ્ત કહેવાય. તેમણે આપેલું કારણ એવું છે કે શાસકે પોતાનો સંતાપ જાહેર ન કરવો- એવું શાસ્ત્રવચન યાદ કરીને તે એકલા એકલા ચૂપચાપ દુઃખી થતા રહ્યા.

કદાચ એ દુઃખમાંથી હળવા થવા માટે જ તેમણે એ વર્ષે ગૌરવયાત્રા કાઢી હશે? મુખ્ય મંત્રી ભલે એ ભૂલાવી દેવા માગતા હોય, પણ ‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ખંડમાં મહેન્દ્ર મેઘાણીએ સ્વામિનાથન અંકલેસરીઆ ઐયરનો આખો લેખ ‘જનરલ ડાયરની ગૌરવયાત્રા’ એ મથાળા સાથે સામેલ કર્યો છે. (પાના નં.૯૬-૯૭) એ અરસામાં મહેન્દ્રભાઇએ આ લેખના અનુવાદનો સન્નિષ્ઠ રીતે પ્રચારપ્રસાર કર્યો હતો. મુખ્ય મંત્રીએ અત્યારે પશ્ચાદવર્તી અસરથી જે પીડાનો દાવો કર્યો છે, એવી અવસ્થામાં માણસને પહેલાં ઉપચારના બે સારા શબ્દો બોલવાનું અને ઘા પર મલમપટ્ટો કરવાનું સૂઝે કે ગૌરવયાત્રા કાઢવાના વિચાર આવે?

લેખના કેન્દ્રસ્થાને રહેલો અત્યંત મહત્ત્વનો- ઘણી જગ્યા રોકતો મુદ્દો કોમી હિંસામાં ભોગ બનેલા લોકોનાં દુઃખનો નથી. એ મુદ્દો છે : મુખ્ય મંત્રીએ પોતે વેઠેલી પીડા અંગેનો. તેમના દુઃખનો પાર નથી. આખો પત્ર હકીકતમાં કોમી હિંસાનો ભોગ બનેલા લોકોની નહીં, પણ એ લોકોના નિમિત્તે મુખ્ય મંત્રીને જે સ્થિતિમાં મુકાવું પડ્યું- અને હજુ એ સ્થિતિ ટળી નથી- એની પારાવાર વેદનાનો દસ્તાવેજ છે.  ન કરે નારાયણ ને વડાપ્રધાન બનવામાં કોમી હિંસાનું લાંછન નડી જાય તો આ પીડા વળી અનેક ગણી વધી જાય. એટલે મુખ્ય મંત્રી ઇચ્છે છે કે નીચલી અદાલતના ચુકાદા સાથે ફક્ત અહેસાન જાફરી કેસમાંથી નહીં, આખા ૨૦૦૨ના ઘટનાક્રમમાંથી પોતાની જવાબદારીનો અને એની સાથે સંકળાયેલી વેદનાનો અંત આવી જાય. કદાચ એવી અપેક્ષાએ તેમણે નીચલી અદાલતના ચુકાદા પછી પોતે ‘લીબરેટેડ એન્ડ એટ પીસ’ હોવાની - મુક્તિ અને શાંતિ મળ્યાની - અનુભૂતિ જાહેર કરી છે.

મુખ્ય મંત્રી કહે છે કે તેમણે કોમી હિંસા પછી વારંવાર શાંતિ માટે, ન્યાય માટે અને ગુનેગારોને સજા થાય એ માટે સરકારની નૈતિક અને રાજકીય જવાબદારીની જાહેર ખાતરી આપી હતી.  ‘ક્રિયાકી પ્રતિક્રિયા હોના આવશ્યક હૈ. હમ ન ક્રિયા ચાહતે હૈ, ન પ્રતિક્રિયા’ - એવું તેમનું પ્રખ્યાત વિધાન આવી અપીલનો જ હિસ્સો હશે?

- કે પછી ચૂંટણીસભાઓમાં પાકિસ્તાનના પ્રમુખ ‘મિંયા મુશર્રફ’નો શરૂઆતમાં ઉલ્લેખ કરી દીધા પછી આખી સભા દરમિયાન ગરજી ગરજીને ‘મિંયા સમજી લે..’ જેવી ડાયલોગબાજી કરવી, એ શાંતિની-ન્યાયની અપીલ હશે? ‘હમ પાંચ, હમારે પચીસ’નો તેમનો અમર પ્રયોગ કે પછી ‘પાણી શ્રાવણમાં નહીં આપીએ તો ક્યારે રમજાનમાં આપીશું?’ એવા જાહેર સભામાં કાઢેલા ઉદ્‌ગાર...કેટકેટલું યાદ કરવું? પરંતુ આટલા નજીકના ઇતિહાસને સાવ અવળા પાટે ચડાવવાની કોશિશ થાય ત્યારે એટલું જણાવવું પડે કે ગુજરાતના તમામ છ કરોડ નાગરિકો સામુહિક વિસ્મૃતિનો ભોગ બન્યા નથી.

કોમી હિંસા પછી થયેલી પોતાની ટીકાને તેમણે ગુજરાતની ટીકા તરીકે ખપાવી દીધી. નવાઇની વાત છે કે ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ની યોગ્ય રીતે ખિલ્લી ઉડાવનારા ‘મોદી ઇઝ ગુજરાત’ની ઘૂન પર કાંસીજોડા વગાડની ડોલવા લાગ્યા. એ ઘૂનની અપીલ ઓછી થઇ નથી, એવી અપેક્ષાએ મુખ્ય મંત્રીએ તેમનો આ જૂનો દાવ ફરી અજમાવ્યો છે.

લખાણના અંતે તેમણે લખ્યું છે : ‘કોઇ પણ સમાજ, રાજ્ય કે દેશનું ભવિષ્ય કેવળ સુમેળ (હાર્મની)માં છે, એ બાબતની મને ઊંડી પ્રતીતિ થઇ છે.’ આ વાક્ય સ્વતંત્રપણે આદર્શ ભાવના વ્યક્ત કરે છે. જો તેમણે અગાઉના આખા લખાણમાં પોતાની સરકારની ભૂમિકાનું ગેરરસ્તે દોરનારું આલેખન ન કર્યું હોત, તો સુમેળનો મહિમા કરતું તેમનું વાક્ય સચ્ચાઇનો રણકો ધરાવતું લાગ્યું હોત. પરંતુ તેમનો આશય જુદો અને સ્પષ્ટ છે. તેમણે લખ્યું છે, ‘હવે હું એવી પણ આશા રાખું છું કે સાચા નરેન્દ્ર મોદીને ઓળખવા અને તેમની સાથે જોડાવા માગતા બીજા ઘણા લોકોને (આ લેખ પછી- ક્લીનચીટ પછી) વઘુ બળ મળશે.’

લોકસભાની ચૂંટણી પહેલાં કે પછી મોદીના નામથી ખચકાટ અનુભવતા સાથી પક્ષો અને મુસ્લિમ મતદારો, સાંભળો છો? મુખ્ય મંત્રીના મહાન અફસોસગાન પછી હવે તમારો ‘સહકાર’ મળે તો જ તેમને ખરા અર્થમાં ‘લીબરેટેડ એન્ડ એટ પીસ’ની અનુભૂતિ થશે.   

Monday, January 28, 2013

ત્રણ મિત્રો, ત્રણ નાટકઃ યાદગાર અનુભવ



નાટકો વિશે લખવાનું તો ઠીક, નાટકો જોવાનું પણ બહુ બનતું નથી. ગમે તો બધું, છતાં પ્રાથમિકતાઓ નક્કી કરવી પડતી હોય છે – અને નાટકો તેમાં આવતાં નથી. 

છતાં રવિવારની વાત જુદી હતી. ગુજરાત સમાચાર-આઇ.એન.ટી. દ્વારા છેલ્લાં પચીસ વર્ષથી આયોજિત થતી નાટ્યસ્પર્ધાની ફાઇનલની એ રાત હતી. આગલી રાતે ફાઇનલનાં ચાર નાટક રજૂ થઇ ચૂક્યાં હતાં અને રવિવારે બીજાં ત્રણ તથા પરિણામ. એ ત્રણે નાટકો યોગાનુયોગે ત્રણ નજીકના મિત્રોનાં જ હતાં: કબીર ઠાકોર, કાર્તિકેય ભટ્ટ અને અભિષેક. તેમાંથી અભિષેક અને કબીરભાઇના નાટકનું કથાવસ્તુ જાણતો હતો-એ બન્ને દિલ્હીઘટના પછી ખળભળી ઉઠેલા માહોલમાં રોપાયેલાં હતાં. એટલે, રવિવારે મહેમદાવાદની બહાર નીકળવાનું અઘરૂં કામ કરીને પણ, રાત્રે ઠાકોરભાઇ દેસાઇ હોલ પર વેળાસર પહોંચી ગયો.

દરેક પ્રકારના કાર્યક્રમમાં ઓડિયન્સના જુદા જુદા રંગ હોય છે. ’ગ્રામોફોન ક્લબના ઓડિયન્સની એક છટા ને ’સપ્તકના ઓડિયન્સની બીજી. સાહિત્યના કાર્યક્રમોમાં અમુક રંગ ને નાટકોમાં બીજો. આંતરકોલેજ એકાંકી સ્પર્ધાને કારણે ભાગ લેનારા છોકરા-છોકરીઓ અને કેટલાકના કિસ્સામાં તેમના વડીલોને કારણે, હોલની બહારના વાતાવરણમાં નવરાત્રિ વખતે હોય એવો ચાર્જ હતો. બહાર અડધો કલાક ઊભા રહીએ એટલે જાણીતા-અજાણ્યા મિત્રો પરિચિતો સાથે બુફે મેળાવડો થઇ જાય એ વધારામાં.

પહેલું નાટક કબીર ઠાકોરનું હતું, જેના વિશે મને સૌથી વધારે ઉત્સુકતા હતી. એટલે એની વાત સૌથી છેલ્લે. બીજું નાટક ’પ્રોફેસરના લાડકા નામે ઓળખાતા મિત્ર અને પીલવાઇ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક કાર્તિકેય ભટ્ટનું હતું. ચાલો આપણે પરણી જઇએ (કે પૈણી જઇએ). 
Kartikey Bhatt/ કાર્તિકેય ભટ્ટ
હલકુંફુલકું, ફિલ્મી ગીતોના ઉપયોગ અને વન-લાઇનર્સથી ભરપૂર. ચિંતનપ્રેમી જનતાને પણ ગમે અને તેમની તાળીઓ ઉઘરાવે એવા જીવનની ફિલસૂફી ટાઇપના ઘણા સંવાદ તેમાં હતા. કાર્તિકેય બહુ સારા લેખક છે અને હળવાશ જેટલી જ સારી રીતે એ ગંભીર વિષયો પર એ લખે છે. સાંપ્રત વિષયો પર તેમની પકડ અને તેમનાં નિરીક્ષણ ચોટદાર હોય છે. નસીર ઇસમાઇલીના કથાબીજ પરથી બનેલા આ નાટકનો વિષય સાવ જુદો હોવાથી, પ્રોફેસરની મેં ધારેલી કેટલીક કમાલ એમાં જોવા ન મળી, જોકે મોટા ભાગના દર્શકોને નાટકે ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું. નાટકમાં મૂજી માણસનું પાત્ર કરતો છોકરો તેના અભિનયથી મઝા કરાવી ગયો. બીજા કોઇનાં નામ યાદ રહ્યાં નથી, પણ એ છોકરાનું નામ તેના અભિનય જેવું જ વિશિષ્ટ હોવાથી યાદ રહી ગયું. એનું નામ હતું સદ્દામહુસૈન સિપાહી.

કાર્તિકેય ભટ્ટની મઝા એ છે કે તે પિલવાઇ જેવા નાના કેન્દ્રની કોલેજમાં, કેવળ નાટ્યપ્રેમથી દોરવાઇને વર્ષોથી નાટકો કરાવે છે અને એ કામમાં દિલથી ખૂંપી જાય છે. તેમની એ તીવ્રતા- અને સટાકેદાર વન લાઇનર્સ- નાટ્યક્ષેત્રના જાણકારોમાં પણ વખણાય છે. મારા જેવા બહારના લોકો એમની આ પ્રવૃત્તિ વિશે મજબૂત આદર ધરાવે છે..  

Abhishek Shah/ અભિષેક શાહ
અભિષેક શાહ વિવિધભારતીમાં એનાઉન્સર તરીકે કામ કરે છે. એક સાથે અનેક ઘોડા પર સવારી કરવાના ઉદ્યમ કે મનોરથને કારણે ઘણી વાર તે લાંબા સમય સુધી અંતર્ધ્યાન થઇ જાય છે, પણ એ બદલ તેને પ્રેમથી ઠપકો આપી શકાય- અને તે સ્વીકારના ભાવ સાથે સાંભળી પણ લે- એવો મિત્ર છે.  અભિષેકે પહેલી વાર લેખક-દિગ્દર્શક તરીકે આ સ્પર્ધામાં ભાગ લીધો અને ઉત્તમ નાટક આપ્યું તું લડજે, અનામિકા’. નાટકની સ્ટોરી કહીને તેની મઝા ઓછી કરવાનો ઇરાદો નથી, પણ ધૈવત ત્રિવેદી જેવા નાટકના જાણક-માણક અને ભૂતકાળમાં આ જ સ્પર્ધામાં ઉતરી ચૂકેલા મિત્રે અભિષેકના નાટકને નાટ્યકલાનાં વિવિધ પાસાંની દૃષ્ટિએ સંપૂર્ણ અને શ્રેષ્ઠ ગણાવ્યું. કોલેજનાં યુવક-યુવતીઓ પાસેથી તેમની મર્યાદાઓ સહિત સંવેદનશીલ અભિનય કરાવવો એ દિગ્દર્શકનું કામ અભિષેકે સરસ રીતે કર્યું. લેખન પણ અસરકારક હતું. બળાત્કારની દેખીતી કરુણતાથી આગળ વધીને અભિષેકે આપણી વચ્ચે જ રહેલા પણ ભાગ્યે જ ચર્ચાતા અંધારિયા ખૂણા પર શબ્દાર્થમાં અને ધ્વન્યાર્થમાં પ્રકાશ પાડ્યો. 
Kabit Thakore/ કબીર ઠાકોર
અભિષેકના નાટકની જેમ કબીર ઠાકોર- પરેશ વ્યાસે લખેલું ’એ ટેલ ઓફ ટીઅર્સ જોનારને ઘસરકા પાડી દે એવું નાટક હતું, પરંતુ તેનું કથાવસ્તુ વધારે ’બોલ્ડ અને ગુજરાતમાં રજૂ કરવા માટે ’છપ્પનની છાતી ટાઇપ, તાળીઉઘરાઉ કટારલેખકિયા હિંમત’ નહીં, પણ સમજણ-સ્પષ્ટતા સાથે ઊંડી આત્મપ્રતીતિ માગી લે એવું હતું. કારણ કે બન્ને મિત્રોએ હાલમાં બળાત્કાર નિમિત્તે થયેલા ઉહાપોહને ૨૦૦૨માં થયેલા બળાત્કારો સાથે સાંકળી લીધો હતો. વાસનાને બદલે વિચારધારાથી અને ધીક્કારથી પ્રેરાઇને થતો બળાત્કાર પણ વધારે નહીં તો એટલો જ ઘૃણાસ્પદ અને અમાનવીય હોય છે, તે વાત એમણે બહુ કળાત્મક રીતે અને જરાય ગલગલિયાં ન થાય- બલકે જોનાર સ્તબ્ધ થઇ જાય-એ રીતે મૂકી આપી. એવા નાટક પર ગુજરાતમાં અને એ પણ અમદાવાદમાં વિરોધની નહીં, પણ સમર્થનની તાળીઓ પડે અને કોલેજિયનો એ વિશે સ્વસ્થતાથી વિચારતા-સમજતા થાય એ આ મિત્રોની મોટી ઉપલબ્ધિ ગણાય. દિગ્દર્શક-લેખક તરીકે કબીરભાઇ ઢંઢોળનારાં નાટકો માટે જાણીતા છે. આ નાટક એ જ પરંપરાનો ઉત્તમ નમૂનો છે.

આ નાટકો અમદાવાદમાં અને ગાંધીનગરમાં થવાનાં છે. એ સિવાય બીજાં ગામ-શહેરમાં એ નાટક કરવા  ઇચ્છતા પ્રેમીઓ નાટકના દિગ્દર્શકોનો સંપર્ક સાધી શકે છે. આ ત્રણે મિત્રો ફેસબુક પર પણ છે.
કબીર ઠાકોર 93270 03795
કાર્તિકેય ભટ્ટ 98792 16030
અભિષેક શાહ 90990 11319

(નોંધ-નાટકોમાં ભાગ લેનારા માટે નંબરોનું મહત્ત્વ હોય એ સ્વાભાવિક છે, પણ સ્પર્ધાનો દિવસ વીતી ગયા પછી મારા જેવા કંઇક દર્શકો માટે નંબરો ગૌણ બની જાય છે. એટલે અહીં ઇનામોની વિગત મૂકી નથી. તેમાં રસ ધરાવતા મિત્રોએ મંગળવાર ૨૯-૧-૧૩નું ગુજરાત સમાચાર જોઇ લેવું.)

Thursday, March 29, 2012

ગુણવંત શાહની ‘બૌદ્ધિક બદમાશી`

‘ગુજરાતની નિંદા કરવાની ફેશન’ એ મથાળા હેઠળ Gunvant Shah/ગુણવંત શાહે ‘દિવ્ય ભાસ્કર’ની રવિવાર, 18 માર્ચ 2012ની કટારમાં એક લેખ લખ્યો છે. તેના મુખ્ય મુદ્દા અને તેમાંથી મળતો લેખકનો કાર્ડિયોગ્રામ.

2002ના વર્ષ પછી એક એવો પવન શરૂ થયો, જેને કારણે ગુજરાતની નિંદા કરવામાં પ્રયોજાતી બૌદ્ધિક બદમાશી ફેશનમાં ફેરવાઇ ગઇ.

આ વિધાનમાં લેખક 1) ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકાને ‘ગુજરાતની નિંદા’માં ખપાવે છે. મુખ્ય મંત્રીના અંધ ચાહકો-સમર્થકો-ભક્તોનું આ પ્રમુખ લક્ષણ છે. 2) ‘ગુજરાતની (ગુજરાતના મુખ્ય મંત્રીની) ટીકા એટલે બૌદ્ધિક બદમાશી’ એવું પોતે બેસાડેલું સમીકરણ વધુ એક વાર તે સનાતન સત્ય તરીકે સ્થાપિત કરે છે.

ગુણવંત શાહની જૂની ટેક્નિક એ છે કે તે નામ પાડ્યા વગર અને પૂરતી માત્રામાં છટકબારીઓ રાખ્યા પછી, સ્વીપિંગ- આત્યંતિક વિધાનો કરે છે. ઉપર જણાવેલું વિધાન તેનો નમૂનો છે.

એ સંદર્ભે ગુણવંત શાહને સવાલ નં.1 – 2002ની કોમી હિંસાના મુદ્દે ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા બૌદ્ધિક બદમાશી કરે છે? (અહીં ‘બધા’માં પ્રકાશ શાહથી ઉર્વીશ કોઠારી સુધીના લોકોનો સમાવેશ થાય છે.) જવાબ ‘હા’ હોય તો બદમાશી વિશે ફોડ પાડીને, નામજોગ વાત કરો.

બીજાં રાજ્યોમાં એન્કાઉન્ટરો થાય છે. ત્યાં કર્મશીલો કાગારોળ કરતા નથી અને ‘બૌદ્ધિક બદમાશીનો લાભ ફક્ત ગુજરાતને જ શા માટે આપે છે?

ફેક એન્કાઉન્ટર એ વણઝારાપ્રેમી ગુણવંત શાહની દુઃખતી રગ છે. સોરાબુદ્દીનના એન્કાઉન્ટર કેસના મુદ્દે મેં પૂછેલા સીધા સવાલમાંથી એકેયનો જવાબ ગુણવંત શાહ આપી શક્યા ન હતા. એટલું જ નહીં, એ મામલે તેમની ઘણી ટીકા થતાં, તે મારી પર દબાણ લાવવાની હદે ઉતરી ગયા. તેમ છતાં વાત ન બની. એટલે તેમણે મારા એક ગુરુવત્ વડીલ લેખકને વચ્ચે રાખીને ‘સમાધાન’ કર્યું. અમારી વચ્ચે થયેલા ‘સમાધાન’નો એમની દૃષ્ટિએ અર્થ હતોઃ હું એમના વિશે વધુ ન લખું. મારા પક્ષે સમાધાનનો કે અંગત દુર્ભાવનો પ્રશ્ન ન હતો- નથી. મારો જે કંઇ વાંધો હતો તે હું સવાલો તરીકે રજૂ કરી ચૂક્યો હતો. તેના જવાબ આપવાનું એમના હાથમાં હતું. મારી દૃષ્ટિએ સમાધાનનો અર્થ હતોઃ એ ગુજરાતનાં રાજકીય રંગ ધરાવતાં એન્કાઉન્ટર વિશે અવિચારી-ગેરમાર્ગે દોરનારા-અંધ બચાવ કરતા લેખો ન લખે.

આટલી પૂર્વભૂમિકા પછી સવાલ નં.2- ગુજરાતમાં થતાં અને બીજાં રાજ્યોમાં થતાં એન્કાઉન્ટર વચ્ચેનો મૂળભૂત ફરક ગુણવંત શાહ જાણતા નથી કે જણાવવા માગતા નથી? ગુજરાતમાં એન્કાઉન્ટરમાં મરાયેલા દરેક ગુંડા મુખ્ય મંત્રીને મારવા માટે જ આવ્યા હતા એવું સરકારી વર્ઝન ગુણવંત શાહ સ્વીકારે છે? ગુજરાતમાં મુખ્ય મંત્રીના ખાસ ગણાતા એક સમયના ભાગેડુ ગૃહરાજ્યમંત્રી અને અત્યારના હદપાર ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તથા પોલીસ અફસરોની મંડળી ગુજરાતમાંથી ગુનાખોરી ઓછી કરવા માટે નહીં, પણ સોપારીઓ લઇને એન્કાઉન્ટર કરતી હતી, એ આરોપો વિશે ગુણવંત શાહનું શું કહેવું છે? ગુજરાતનાં ફેક એન્કાઉન્ટરનો મુખ્ય હેતુ અને ધ્યેય ટૂંકા રસ્તે ગુનાખોરી ઓછી કરવા માટેનો નહીં, પણ આર્થિક-રાજકીય હતો એનાથી ગુણવંત શાહ અજાણ છે? કે મુખ્ય મંત્રીની ભક્તિમાં તે આ હકીકતનો ધરાર ઇન્કાર કરે છે? અને છેલ્લો સવાલઃ એન્કાઉન્ટરમંડળી જેલમાં ગઇ ત્યાર પછી ત્રાસવાદીઓની હિંમત વધવી જોઇએ અને મુખ્ય મંત્રી પરનું જોખમ પણ વધવું જોઇએ. પરંતુ થયું છે ઉલટું. એન્કાઉન્ટરમંડળીના જેલવાસ પછી મુખ્ય મંત્રીની હત્યાનો એક પણ પ્રયાસ થયો નથી. એ વિશે ગુણવંત શાહનું શું કહેવું છે?

‘કાશ્મીરમાં આઝાદી પછી 370 મંદિરો તૂટ્યાં છે અને એક જૈન દેરાસર ભોંયભેગ થયું. સેક્યુલર ગણાતા લોકોએ આવે વખતે ખોંખારો પણ નથી ખાધો’ એવું લખીને ગુણવંત શાહે (વધુ એક વાર) પુરવાર કરી આપ્યું છે કે આ બાબતમાં તેમની સમજણની પહોંચ, કારણ-અકારણ કોઇ પણ બાબતમાં કાશ્મીર લઇ આવતા કેસરિયા પાયદળ જેટલી જ છે.

‘ગુજરાતમાં જનસંઘર્ષ મંચ ખૂબ ગાજે છે. હવે જનસુમેળ મંચ ક્યારે રચાશે? ઘા પહોળો કરવાની જાણે હરીફાઇ ચાલે છે. ગુજરાતને થતા અન્યાયનો સૌથી મોટો ગેરલાભ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને થતો રહ્યો છે. ન્યાયશાસ્ત્રનો એક વણલખ્યો નિયમ છે કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ ગણવામાં આવે. આવો લાભ આતંકવાદીને મળ્યો છે, પરંતુ મોદીને નથી મળ્યો.’

‘ઘા પહોળો કરવાની હરિફાઇ’ અને ‘ન્યાય અપાવવા માટેની લડત’ વચ્ચેનો તફાવત મુખ્ય મંત્રીપ્રેમી ગુણવંત શાહને ન સમજાય એ સ્વાભાવિક છે. પરંતુ મુખ્ય મંત્રીને કારણે થયેલી ગુજરાતની બદનામી વિશે વાત કરવાને બદલે, આખી વાતને ‘ગુજરાતને કારણે મુખ્ય મંત્રીને થયેલા અન્યાય’નું સ્વરૂપ આપીને ગુણવંત શાહે અનન્ય મોદીભક્તિ દાખવી છે. ‘ન્યાય ન્યાયનું કામ કરશે’ એવી સૂફિયાણી વાતો કરનારા ગુણવંત શાહને અંદાજ છે કે જનસંઘર્ષ મંચ જેવી સંસ્થાઓને કારણે જ ન્યાય ન્યાયનું કામ, જેટલું પણ થયું એટલું, કરી શક્યો છે?

રહી વાત ન્યાયશાસ્ત્રની. એનો વણલખ્યો નિયમ પળાયો છે એટલે જ મુખ્ય મંત્રી જેલની બહાર છે અને આતંકવાદી તથા આતંકવાદના કાચાપાકા આરોપોસર પકડાયેલા ઘણા લોકો જેલની અંદર છે. ન્યાયશાસ્ત્રનો એકેય નિયમ એવું કહેતો નથી કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી સંભવિત ગુનેગાર સામે આંગળી પણ ન ચીંધવી. મુખ્ય મંત્રીને ‘હિટલર’ કહેનારા સાથે હું સંમત નથી. પરંતુ ગુણવંત શાહની ખાસિયત (જેને ગુણવંતીય શૈલીમાં ‘બદમાશી’ કહી શકાય) એ છે કે તે મુખ્ય મંત્રીના બધા જ ટીકાકારોને ‘બૌદ્ધિક બદમાશી’ની એક જ લાકડીએ હાંકવા નીકળી પડે છે.

સવાલ નં.3- ગુણવંત શાહ માને છે કે 2002માં જે કંઇ થયું તેમાં નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની ગણાય? અને તેમણે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ દાખવ્યું હોત તો હિંસા ઘણે અંશે નિવારી શકાઇ હોત અથવા આટલી ફેલાઇ ન હોત અથવા ઝડપથી કાબૂમાં આવી ગઇ હોત? આ જવાબ આપવા માટે ન્યાયપ્રક્રિયા પૂરી થવા દેવાની જરૂર નથી. સિવાય કે 2002માં ગુણવંત શાહ આંખ-કાન-દિમાગ બંધ કરીને બેઠા હોય.

છેલ્લે, મુખ્ય મંત્રીની કોપીબુકમાંથી લેવાયા હોય એવા વાક્ય સાથે ગુણવંત શાહ લેખની સમાપ્તિ કરે છેઃ ‘વારંવાર ઘા પહોળા કરીને પોતાનો રોટલો શેકી લેવાની તમન્ના રાખનારા કેટલાક લોકોને ગુજરાત હવે ઓળખી ચૂક્યું છે. એમના મોદીદ્વેષ ગુજરાતદ્વેષમાં ફેરવી નાખવાની જરૂર નથી.’

***

અસલામતીથી પીડાતી માનસિકતાના વણમાગ્યા પુરાવા આપતા ગુણવંત શાહ છાશવારે લોર્ડ ભીખુ પારેખને વચ્ચે લાવીને પોતાની વાતમાં બૌદ્ધિકતા-વિશ્વસનિયતાનું અને મોરારીબાપુને વચ્ચે લાવીને લોકપ્રિયતાનું વજન ઉમેરવાના પ્રયાસ કરે છે. આ લેખના અંતે તેમણે મોરારિબાપુનું એક વિધાન સંદર્ભ વિના ટાંક્યું છે. ‘ગુજરાત માટે કોઇ સારું બોલે તો કેટલાકને ખાવાનું પચતું નથી.’

આવા લોકરંજક વિધાનથી ગુણવંત શાહને શું સિદ્ધ કરવું છે એ તો એ જ જાણે, પણ એ વિધાનના અંદાજમાં આપણને શંકા જાય કે ગુજરાતમાં કોઇ ન્યાયની વાત કરે, મુખ્ય મંત્રીની ટીકા કરે કે પોલીસ-ગુંડા-સોપારી-એન્કાઉન્ટરની સાંઠગાંઠ વિશે વાત કરે તો ગુણવંત શાહને ખાવાનું પચતું નહીં હોય?

અગાઉ લખ્યું હતું એ જ ફરી કહેવાનું રહે છે કે ગુણવંત શાહ જેવા જાણીતા લેખક કોઇ લાભની અપેક્ષાએ આ બધું કરતા હોય તો તે શરમજનક છે, પણ તે કોઇ લાભની અપેક્ષા વિના કરતા હોય તો એ ખતરનાક છે.

('નિરીક્ષક', એપ્રિલ, 2012)

Wednesday, February 29, 2012

સઆદત હસન મંટોને વ્યંગ-અંજલિ

એક માણસ મરે તો એ કરુણતા કહેવાય, પણ મરનારા વધારે હોય તો એમનાં મોત કેવળ સંવેદનશૂન્ય ‘આંકડો’ બની રહે, એવી કહેણી દસ વર્ષ પહેલાં ગુજરાતમાં વઘુ એક વાર સાચી પડી. કોમી હિંસાના દાવાનળમાં માણસોની સાથે સીધીસાદી, કોઇ લેબલ વગરની સંવેદના પણ જાણે બળીને રાખ થઇ. એ માહોલના ઊંડા આઘાત અને ક્ષુબ્ધ માનસિક અવસ્થામાં લખાયેલી કેટલીક વ્યંગકથાઓ માણસની હેવાનિયતનો ભોગ બનેલા સૌ મૃતકો ઉપરાંત એ મહાન કથાકારને પણ અંજલિરૂપ છે, જેનું નામ હતું સઆદત હસન મંટો.

ભારતના ભાગલા સમયે માણસની પાશવતાથી સ્તબ્ધ મંટોએ ખુલ્લી આંખે જે જોયું, તેને કઠણ કાળજે અને સાહિત્યકારની સંવેદનશીલતા સાથે આલેખ્યું. તેમાંથી નીપજી ‘સ્યાહ હાશિયે’ની ટચૂકડી વ્યંગકથાઓ. એ તરાહ પર લખાયેલી આ કથાઓનો હેતુ સનસનાટી પ્રેરવાનો કે લાગણી ઉશ્કેરવાનો હરગીઝ નથી. એક માણસ બીજા માણસ સાથે કેટલો ક્રૂર બની શકે તેનું બયાન તેમાં છે. આશય એટલો જ કે આટલી દેખીતી અમાનવીય વર્તણૂંક પહેલાં ન સમજાઇ હોય તો કદાચ હજુ સમજાય અને તેના વિશે પસ્તાવો થાય. પોતાની કથાઓ વિશે મંટોએ જે કહ્યું હતું, એવું જ કંઇક આ લધુકથાઓ વિશે કહેવાનું થાય કે ‘એ તમને અસહ્ય (નાકાબિલે બરદાશ્ત) લાગે તો માનજો કે વાસ્તવિકતા જ અસહ્ય હતી.’

***
સમજણ

સળગતી ટ્રેન અને બળેલા મૃતદેહો જોઇને બાળકે માતાને પૂછ્‌યું, ‘આ લોકોને કોણે માર્યા?’

‘મુસ્લિમોએ.’

‘કેમ?’ બાળકે પૂછ્‌યું.

‘બેટા, એ લોકો મુસ્લિમ છે અને આ લોકો હિંદુ હતા એટલે.’

‘પણ મમ્મી, બેન્ચ પર મારી સાથે બેસતો આરિફ મુસ્લિમ છે. તો પણ અમે કદી લડ્યા નથી.’

‘બેટા, તમે લોકો હજુ અણસમજુ છો.’
***

ક્રૂરદર્શન

૬૦ લોકોને જીવતા જલાવી દેવાનું ઘાતકી, પાશવી, બર્બર, અમાનુષી, જઘન્ય, રાક્ષસી, અક્ષમ્ય, આતંકવાદી, કડકમાં કડક સજાને પાત્ર કૃત્ય.
- એક દિવસના સમાચાર
ગઇ કાલે થયેલી ૬૦ નિર્દોષોની હત્યાના ઘાતકી, પાશવી, બર્બર, અમાનુષી, જઘન્ય, રાક્ષસી, અક્ષમ્ય, આતંકવાદી કૃત્યથી ભભૂકી ઉઠેલા રોષમાં બીજી કોમના ૨૫૦થી વધારે લોકોની હત્યા. ધીમે ધીમે ઠંડો પડી રહેલો લોકોનો રોષ.
- બીજા દિવસના સમાચાર
***

પસંદગી

કપડાંનો એક વૈભવી શો રૂમ તૂટ્યો. ટોળું અંદર ફરી વળ્યું. લૂંટ મચી. અપ ટુ ડેટ કપડાંવાળી એક યુવતીએ કહ્યું, ‘મને પસંદગીમાં જરાય વાર નહીં લાગે. હું પરમ દિવસે જ અહીં આવી હતી.’

***

પૂર્વતૈયારી

‘એ લોકોનું ટોળું આવે છે. જે હોય તે, લાકડી-ધારિયાં-પાઇપો લઇને તૈયાર રહેજો. આ વખતે ખબર પાડી દેવી છે.’

‘પણ તમને કોણે કહ્યું?’

‘કહેવાનું કોણ હતું? કાલે જ અમે એમની દુકાનો સળગાવી છે. હવે એ લોકો થોડા શાંત બેસી રહેશે?’

***

ભાઇચારો
‘સાંજે પૂરીઓ વણવા આવી જજો.’

‘કેમ? પ્રસંગ કાઢ્‌યો છે?’

‘ના રે. બાજુના ગામમાં એ લોકોના પાંચ જણને જીવતા સળગાવી દેવા બદલ પોલીસ આપણા પચીસ ભાઇઓની ધરપકડ કરીને અહીં લઇ આવી છે. રોજ જુદી જુદી પોળવાળા તેમને જમાડે છે. આજે આપણો વારો છે.’
***

બચ્ચાંનો ખેલ નથી

નવ વર્ષની એક છોકરી રાત્રે મમ્મીને પૂછતી હતી, ‘આપણે મેળામાંથી ગદા ને તલવાર લાવ્યા હતા, એ ક્યાં છે?’

‘અત્યારે મને તારાં રમકડાં શોધવાનો ટાઇમ નથી. સૂઇ જા છાનીમાની.’ મમ્મીએ છણકો કર્યો.

‘ના, મારે અત્યારે જ જોઇએ. હું બહાર રમતી હતી ત્યારે બધા કહેતા હતા કે રાત્રે એમનાવાળા તલવારો લઇને આપણાવાળાને મારવા આવવાના છે. મારે મારી તલવાર લઇને બારી આગળ બેસી રહેવું છે.’

***

ડંખઃ જૂતાંનો અને આત્માનો

‘આ કોની દુકાન છે?’

ટોળામાંથી જવાબ મળ્યો, ‘એ લોકોની.’

આ સાથે જ બૂટચંપલની દુકાનનું શટર તૂટ્યું. ટોળું કામે લાગી ગયું. સૌએ સાથે લઇ શકાય એટલાં બૂટચંપલ લીધાં. એવામાં ટોળાના આગેવાનની નજર એક ખૂણે લટકતી ભગવાનની છબી પર પડી. તરત એ બોલ્યો,

‘ભાઇઓ, તમારું કામ પતી ગયું હોય તો બહાર નીકળી જઇએ. આ દુકાન આપણા ભાઇની જ લાગે છે.’

***

ફરજપરસ્તી

‘મને જવા દો. મારા પાર્ટનર તમારી કોમના છે. મારા મિત્રો તમારી કોમના છે. મારા પાડોશી તમારી કોમના છે. મારી છોકરીની બહેનપણીઓ પણ તમારી કોમની છે.’

‘એમ? તો તને ઉપર પહોંચાડવાની ફરજ પણ અમારી કોમની જ કહેવાય.’

બીજી મિનિટે આગના ભડકા દેખાયા અને કારમી ચીસો સંભળાઇ. ફરજ અદા થઇ ચૂકી હતી.
***

કોશિશ

‘સળગાવી દો આ લોન્ડ્રી. એ બી એમની જ છે.’ એવા પોકાર થતાં, લોન્ડ્રીની આજુબાજુ રહેતા લોકો બારીમાં આવી ગયા. તેમણે ટોળાને કહ્યું, ‘રહેવા દો ભાઇ, લોન્ડ્રી એમની છે, પણ એમાં કપડાં તો આપણા લોકોનાં જ છે.’

‘તો શું થયું? લોન્ડ્રી તો બળશે જ.’

‘એમ? તો પછી અમને અંદરથી અમારાં કપડાં કાઢી લેવા દેશો?’

***

માનવતા

લોકોને જીવતા જલાવવાનો આતંક પુરબહારમાં હતો. કોઇએ ટ્રેનમાં જલાવ્યા તો કોઇએ બહાર.

‘એ લોકોએ તો ટ્રેનમાં બૈરાં-છોકરાં બધાને જીવતાં સળગાવ્યાં હતાં, પણ આપણાવાળાએ થોડી માનવતા રાખી છે.’ એક જાણકારે પૂરી ગંભીરતાથી કહ્યું, ‘નાનાં બાળકોને પોલીસ સ્ટેશને છોડીને ફક્ત મોટાંને જ સળગાવ્યાં છે.’
***

Tuesday, February 28, 2012

‘વી, ધ પીપલ ઓફ ગુજરાત’

કેટલીક વાતો એટલી સાદી ને પાયાની હોય છે કે એ તરત ન પણ સમજાય. તેમને સમજવામાં- અંકે કરવામાં બે-પાંચ-સાત-દસ વર્ષ નીકળી જાય. ત્યાં સુધીમાં ઉશ્કેરાટ-આવેગો શમ્યા હોય અને માણસ હળવો - સ્વસ્થ થયો હોય.

જેમ કે, ગુજરાતની ૨૦૦૨ની કોમી હિંસાની વાત.

આટલા ઉલ્લેખમાત્રથી મુખ્ય મંત્રીના ચાહકો બાંયો ચઢાવીને લડવા અને વિરોધીઓ તેમનો મુકાબલો કરવા તૈયાર થઇ જશે. પણ દસ વર્ષના ગાળા પછી, પહેલો સવાલ, મુખ્ય મંત્રી દોષી હતા કે નહીં એ નથી. ન હોઇ શકે.

એક નાગરિક તરીકે સૌથી પહેલો અને પ્રાથમિક, પોતાની જાતને પૂછવાનો સવાલ છેઃ દસ વર્ષ પહેલાં જે થયું તે, પક્ષ કે કોમના ભેદ વગર, માણસ તરીકે બિનશરતી શરમ, અફસોસ અને પસ્તાવો પ્રેરે એવું હતું? એ સમયે ક્રૂરતા અને ઘાતકીપણું વાજબી ઠરાવવા માટે મનમાં અનેક કારણો ઊભાં થઇ ગયાં હોય, તો પણ આજે દસ વર્ષ પછી એ હિંસાને આપેલા સક્રિય કે મૂક ટેકા વિશે ફરી વિચારવા જેવું લાગે છે? ‘પહેલાં સામા પક્ષના લોકોને જઇને પૂછો’ એવી ‘દીવાર’શાઇ ગરમીને બદલે, પહેલાં જાતને પૂછવા જેટલી ટાઢક પેદા થઇ છે?

માણસ જેવા માણસ એકબીજાને કોઇ વાંકગુના વિના, ફક્ત એક યા બીજી કોમના હોવાને કારણે સળગાવે, મારે, કાપે, એ વિશે આટલાં વર્ષ પછી, ‘આપણાથી એવું ન કરાય- એવું કરનારનું ઉપરાણું ન લેવાય’ એવો માનવ-સહજ, માનવતા-સહજ વિચાર આવે છે? કે પછી આપણી માનવતા રિક્ષાવાળાએ રૂપિયા ભરેલું પર્સ પોલીસચોકીમાં જમા કરાવ્યું, એટલાથી જ સંતોષાઇ જાય છે? કોમી હિંસા ઠારવા માટે ગુજરાત આવેલા કેપીએસ ગિલ જે શબ્દ રમતો મૂકીને ગયા તે - ‘કલિંગબોધ’- શાસકોની વાત શાસક જાણે, પણ આપણામાં- નાગરિકોમાં જાગ્યો છે? વચ્ચેનાં વર્ષોમાં હુલ્લડબાજીમાં-હિંસામાં સીધો ભાગ લેનારા થોડા લોકોમાં અને પોલીસતંત્રના થોડા સભ્યોમાં ભીની આંખે પસ્તાવાની - અને ‘અમે ભાન ભૂલ્યા હતા’ એવી લાગણી પેદા થઇ છે. તેમની સાથે સીધો અને કાયમી પરિચય ધરાવતા કેટલાક પત્રકારમિત્રો એ સુખદ પરિવર્તનના સાક્ષી છે.

બાકીના, ‘વી, ધ પીપલ ઓફ ગુજરાત’-એટલે કે આપણામાંથી ઘણા બધાએ - ‘એક વાર પાગલપણાને ટેકો આપ્યા પછી હવે શાણપણની વાત કરીએ તો ટીકાકારો તૂટી ન પડે?’ એવી ચિંતા કે શરમ રાખવાની જરૂર નથી. ભાન ભૂલાય નહીં તે શ્રેષ્ઠ સ્થિતિ છે, પણ અમુક સમયગાળા પૂરતું એવું થયું હોય, તો ભૂલ સ્વીકારીને પસ્તાવો કરવો અને ફરી સજાગ રહેવું એ માણસ હોવાની નિશાની અને સાબિતી છે. આપણે લાશોનો વેપાર કરતાં મતલાલચુ શિયાળ નહીં, પણ માણસ જ હોઇએ તો પછી ભૂતકાળની અમાનવીય વર્તણૂંક બદલ પસ્તાવો વ્યક્ત કરીને, માણસ પુરવાર થવામાં શરમ-સંકોચ કેવાં?

૧૯૮૪ અને ૨૦૦૨
ગુજરાતની ૨૦૦૨ની હિંસાની વાત ઉખળતાં જ ઘણાને દિલ્હીમાં ઇંદિરા ગાંધીની હત્યાના પગલે થયેલો શીખ હત્યાકાંડ યાદ આવી જાય છે. એવી ભયાનક હિંસક ઘટના શી રીતે ભૂલી શકાય? હત્યાકાંડના આરોપીઓનો ન્યાય તોળાયો ન હોય ત્યારે તો ખાસ.

પરંતુ બન્ને ઘટનાઓ સાથે યાદ કરતી વખતે, નાગરિકોના બે ભાગ પડી જાય છેઃ પક્ષીય વફાદારી, વિચારધારાના ચશ્મા કે ગોખેલી દલીલના ભાગરૂપે શીખવિરોધી હિંસા યાદ કરનારા કહે છે, ‘કોંગ્રેસના રાજમાં આટલી જ ભયંકર ખૂનામરકી થઇ હતી. આરોપીઓને સજા પણ ન થઇ. ત્યારે તમને (કોંગ્રેસવાળાને,‘સેક્યુલર’ લોકોને) શરમ આવી હતી? ના. તમે એનો વિરોધ કર્યો હતો? ના. તો પછી અમે ગુજરાતનો ૨૦૦૨નો હિંસાચાર યાદ કરીને શા માટે શરમાઇએ? શા માટે તેનો વિરોધ કરીએ?’

કોંગ્રેસ પ્રત્યે વફાદારી ધરાવતા અથવા ‘શિસ્તબદ્ધ’ (અંતરાત્માને તાળું મારીને ચાવી હાઇકમાન્ડને સોંપનારા) લોકો કહેશે કે ‘પહેલાં તમે ૨૦૦૨નો હિસાબ તો આપો! અમારા નેતાઓ એકથી વઘુ વાર શીખોની માફી માગી ચૂક્યા છે. બે મુદતથી એક શીખ વડાપ્રધાન અમારી સરકાર ચલાવે છે. જ્યારે તમારા નેતા માફી માગવાને બદલે- લાજવાને બદલે ગાજતા ફરે છે.’

૨૦૦૨ની કોમી હિંસા પછીના રાજકીય વાતાવરણમાં, આગળ જણાવેલી બે દલીલોમાંથી જ કોઇ એક- મોટે ભાગે પહેલી (‘અમે શા માટે શરમાઇએ?’) કરનારા મોટી સંખ્યામાં હતા. એવું માની લેવામાં આવ્યું- એવો ભારે પ્રચાર થયો કે લોકો બે જ પ્રકારના હોયઃ કોંગ્રેસ પ્રત્યે ઢળેલા-સ્યુડો સેક્યુલારિસ્ટ અથવા ભાજપી મુખ્ય મંત્રીના ટેકેદારો-તરફદારો.

સમીકરણ એવું રચાયું કે જે ગુજરાતની હિંસાનો વિરોધ કરે છે તે કોંગ્રેસતરફી, સ્યુડો-સેક્યુલારિસ્ટ, હિંદુવિરોધી, બેવડાં ધોરણવાળા. જેને હિંસા માટે કોઇ અફસોસ નથી, બલકે ‘૨૦૦૨ની હિંસા બદલ શરમ આવવી જોઇએ’ એવું કહેનારા ‘ગુજરાતશત્રુઓ’ને જે ધિક્કારે છે તે ‘સાચા ગુજરાતી’.

આ જાતના રાજકીય લાભથી પ્રેરિત પ્રચારમાં એક ત્રીજા, સમજુ નાગરિકોના વર્ગનું અસ્તિત્ત્વ સદંતર ભૂલી જવાયું. એ વર્ગ ત્યારે પણ માનતો હતો અને હજુ પણ માને છે કે ‘૧૯૮૪નો શીખ હત્યાકાંડ કોંગ્રેસનું કદી ન ધોવાય એવું પાપ છે. તેના ડાઘ બે મુદત સુધી એક શીખને વડાપ્રધાન બનાવ્યા પછી કે એકથી વઘુ વાર માફી માગ્યા પછી ધોવાઇ ન જાય. શીખવિરોધી હિંસાનો ભોગ બનેલાને ન્યાય મળે, આરોપીઓને સજા થાય, ન્યાયપ્રક્રિયામાં કોંગ્રેસ પહેલ ન કરે તો કમ સે કમ પસ્તાવાભેર સહકાર આપે, તો જ એ ડાઘ હળવો થાય. આરોપીઓને અદાલત સજા કરે તે પહેલાં કોંગ્રેસે પક્ષીય ધોરણે કડક પગલાં ભરવાં પડે. તો જ શીખોની માફી માગવાનો અર્થ સરે. બાકી, ખૂનખરાબો કરી લીધા પછી લૂલી હલાવીને માગેલી માફી ‘ચોરને કહે ચોરી કર અને પોલીસને કહે પકડવા જા’ એવી, સાવ ઠાલી અને બોદી ગણાય.’

ગુજરાતના સમજુ નાગરિકો આટલી જાગૃતિ બતાવે ત્યાં સુધી સરસ. પણ એ લોકો દિલ્હીમાં કોંગ્રેસ પાસે રાખેલી અપેક્ષાઓ જેવી ગુજરાતની ભાજપ સરકાર માટે રાખવા માંડે કે તરત ‘ગુજરાતવિરોધી’, ‘સ્યુડો-સેક્યુલર’, ‘હિંદુવિરોધી’નું બૂમરાણ શરૂ.

દિલ્હીના શીખ હત્યાકાંડ વખતે અનેક નાગરિક સંગઠનો અને જાગ્રત-અગ્રણી નાગરિકોએ તેની આકરી ટીકા કરી હતી. એ મુદ્દો કોંગ્રેસે દાખવેલી જડતા અને બેશરમીના તે આજ લગી ટીકાકાર રહ્યા છે. આવા લોકોને-સંસ્થાઓ ગુજરાતની વાત કરે ત્યારે, ‘શીખ હત્યાકાંડ વખતે તમે ક્યાં હતા?’એવું પૂછનારાની તકલીફ એ છે કે તે જવાબ સાંભળવા ઊભા રહેતા નથી. કારણ કે તેમને જવાબમાં નહીં, પથ્થરની જેમ પ્રશ્ન ફેંકીને નાસી જવામાં રસ હોય છે. બીજી હંમેશાં ભૂલી જવાતી વાત એ છે કે દિલ્હીના શીખ હત્યાકાંડનો રાજીવ ગાંધી સહિતના થોડા કોંગ્રેસી નેતાઓ અને ગુંડાઓ સિવાયના બીજા કોઇએ બચાવ કર્યો ન હતો. તેને વાજબી ઠરાવવાનો તો પ્રશ્ન જ નથી રહેતો.

તમે શું કર્યું?
‘અમે કોમવાદી નથી, પણ બેવડાં ધોરણના વિરોધી છીએ’ એમ કહીને ઘણા ગુજરાતની હિંસાનો બચાવ કરે છે અથવા તેની ટીકા કરનારાને ગાળો દે છે. એવા ‘બેવડાં ધોરણના વિરોધીઓ’એ ‘શીખવિરોધી હિંસા પછી પીડિતોને ન્યાય અપાવવા માટે તમે શું કર્યું?’ એ સવાલ કોઇ ભાજપી નેતાને પૂછ્‌યો છે?

વાત બેવડાં ધોરણના વિરોધની જ હોય તો, ગુજરાતની હિંસા પ્રત્યે આંખ આડા કાન કરવા ઉત્સુક લોકોમાંથી કોઇએ ગુજરાતના ભાજપી નેતાઓને પૂછ્‌યું કે ‘૧૯૮૪માં થયેલી શીખવિરોધી હિંસાની અને તેના પીડીતોને થયેલા અન્યાયની દુહાઇઓ આપો છો, તો તમારા રાજમાં ૨૦૦૨માં જે થયું તેનું શું? તેના પીડિતોને ન્યાય મળે એ માટે તમે શું કર્યું?’

એક રાજકીય પક્ષ પોતાનાં પાપ સરભર કરવા માટે - તેમનો છેદ ઉડાડવા માટે સામેના પક્ષનાં પાપ ગણાવે એ સમજાય એવું છે. કારણ કે કોઇ રાજકીય પક્ષને ન્યાય ખપતો નથી. ભલે તે વિરોધ પક્ષ હોય. ન્યાયની લડત તેના માટે છેવટે પોતાના હરીફને પછાડવાનું હથિયારમાત્ર છે. પીડિતોને ન્યાય અપાવવો એ કદી તેમનું અંતિમ ઘ્યેય હોતું નથી.

દિલ્હીના શીખોને ન્યાય અપાવવા માટે ભાજપ અને ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ શું ઉકાળીને ઉંધી વળી ગઇ, એ આપણે સૌ જાણીએ છીએ. એ બન્ને પક્ષો ઇચ્છે છે કે આપણે નાગરિકો તેમનાં પાપ- તેમની રાજકીય હિંસાખોરીનો સામસામો છેદ ઉડાડી દઇએ. એ ત્યારે જ શક્ય બને જ્યારે નાગરિકો ‘તું કોંગ્રેસી, તું ભાજપી’ એવી પક્ષીય હૂંસાતૂંસી-આરોપબાજીમાં પડે, ધોળા ધરમે જેનો બચાવ ન થઇ શકે એવાં કરતૂતોનો પક્ષીય વફાદારી કે કાલ્પનિક ડરથી દોરવાઇને બચાવ કરે અને પોતાના જેવા બીજા નાગરિકો માટે ન્યાય માગવાનું ભૂલી જાય.

આગળ વધો
દસ વર્ષ પછી સૌથી સ્વાભાવિક લાગણી અને પ્રતિક્રિયા એ મળે છે કે ‘હવે ક્યાં સુધી જૂનું યાદ રાખશો? જૂનું ભૂલીને આગળ વધો.’ (આવું કહેનારા ૨૮ વર્ષ જૂનાં શીખવિરોધી રમખાણોને સગવડે યાદ કરી લે છે એ જુદી વાત છે.)

હકીકત એ છે કે દિલ્હીના શીખો કે ગુજરાતના મુસ્લિમો કે બીજા પીડિતો લોકોની સલાહની રાહ જોયા વિના આગળ વધી જ રહ્યા છે. પરંતુ આગળ વધવાનો અર્થ ‘ન્યાયની આશા-અપેક્ષા રાખ્યા વિના આગળ વધવું’, એવો તો ન જ હોઇ શકે. કમનસીબી એ છે કે ૨૦૦૨ની હિંસાના કેસમાં ગુજરાત સરકાર પોતે પીડિતોને ન્યાય અપાવવાના પક્ષે હોય એવું બિલકુલ લાગતું નથી અને તેમના છડીદારો આગળ વધી જવાના ઉપદેશો ફટકારે છે.

ગુજરાતમાં ન્યાયની વાત આવે ત્યારે તેમાં વિકાસનો મુદ્દો નાખીને વાતને ગુંચવવા જેવી નથી. ગુજરાતનો વિકાસ કેવો, કેટલો અને કોના પ્રતાપે થયો છે, એ જુદી ચર્ચા માગી લેતો મુદ્દો છે. વિકાસ થયો હોય તો પણ એ ન્યાયના વિકલ્પ તરીકે ન હોઇ શકે, એટલી સાદી વાત નાગરિક તરીકે આપણને સમજાવી જોઇએ.

છેલ્લો મુદ્દો ગુજરાતની હિંસામાં મુખ્ય મંત્રીની ભૂમિકાનો. થિયરીબાજીમાં પડ્યા વિના કે કોઇ તપાસપંચ રચ્યા વિના એટલું સ્પષ્ટ છે કે તેમના શાસનમાં સાબરમતી એક્સપ્રેસમાં હિંદુઓ અને ત્યાર પછીના તોફાનમાં સંખ્યાબંધ મુસ્લિમો તથા બીજા લોકો માર્યા ગયા. આ બન્ને માટેની નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની છે. ‘ક્રિયાકી પ્રતિક્રિયા હોના સ્વાભાવિક હૈ. ન હમ ક્રિયા ચાહતે હૈં, ન પ્રતિક્રિયા.’ એટલું કહીને બેસી જવાને બદલે, રાજ્યના ચૂંટાયેલા વડા તરીકે તેમણે તોફાનીઓ સામે કડકાઇથી કામ લીઘું હોત અને કોઇ કાયદાથી ઉપર નથી એવો સ્પષ્ટ સંદેશો આપ્યો હોત તો? અફસરશાહી અને પોલીસતંત્ર પોતાના ‘સાહેબ’ના વણકહ્યા આદેશ પારખવામાં બહુ પાવરધાં હોય છે. તે અપવાદરૂપે નહીં, પણ નિયમલેખે હિંસા રોકવામાં વધારે સક્રિય બન્યાં હોત.

હિંસાનાં દસ વર્ષ પછી હજુ ઘણા લોકો કારણ-રીઝન અને વાજબીપણું- જસ્ટીફિકેશન વચ્ચેનો તફાવત ધરાર સ્વીકારતા નથી. હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતો માણસ અકસ્માતે પટકાઇને મૃત્યુ પામે, તો તેના મૃત્યુના કારણમાં અકસ્માત ઉપરાંત હેલ્મેટ પહેરી ન હતી, એવું ચોક્કસપણે કહી શકાય. પરંતુ ‘એણે હેલ્મેટ પહેરી ન હતી, એટલે એ મરવાને જ લાયક હતો અને હેલ્મેટ ન પહેરનારા બધા મરવાને લાયક છે’ એવું કહી શકાય?

ગોધરા-અનુગોધરા હિંસા અને રીઝન-જસ્ટિફિકેશનના તફાવત અંગે આ રીતે વિચારી જોજો.

Wednesday, February 22, 2012

બોધકથાઓઃ સદ્‌ભાવના આવૃત્તિ

મુખ્ય મંત્રીના સદ્‌ભાવના સમારંભોથી ધન્ય બનેલી ધરાગુર્જરીના કેટલાક અભ્યાસીઓને સંશોધન દરમિયાન બોધકથાઓની એક અપ્રકાશિત હસ્તલિખિત નકલ મળી આવી છે. અગાઉ જાહેરમાં નહીં આવેલી આ નકલ પર ‘બોધકથાઓ’ (સદ્‌ભાવના આવૃત્તિ) એવા શબ્દો સોનેરી રંગમાં લખાયેલા છે. તેની પર ‘૨૦૦૨’ એવા આંકડા પણ ચીતરેલા છે. એ ઇસવી સન છે, વિક્રમ સંવત છે કે શક સંવત, એ સંશોધનનો વિષય છે.

એ પુસ્તકમાં વાંચવા મળેલી કેટલીક કથાઓ.

***

એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બન્નેનાં નામ વિચિત્ર. એકનું નામ ‘નંબર વન’ અને બીજાનું ‘નંબર ટુ’.

બન્ને મિત્રો એક દિવસ જંગલમાંથી પસાર થતા હતા. એવામાં સામેથી એક રીંછ આવતું દેખાયું. દેખાવ પરથી જ તે ખૂંખાર લાગતું હતું. તેને જોઇને નંબર ટુ ગભરાયો. તેણે નંબર વનની સામે જોયું. આખી દુનિયામાં- એટલે કે પોતાના ગામમાં- તે પોતાની બહાદુરીની મોટી મોટી વાતો કરતો હતો, પણ સામે કદાવર રીંછ જોઇને એ દોડ્યો અને લાકડી નીચે નાખીને ઝાડ પર ચડી ગયો.

નંબર ટુને ઝાડ પર ચડતાં આવડે નહીં. એટલે તે જમીન પર શ્વાસ રોકીને સૂઇ ગયો. રીંછ ત્યાં સુધી નજીક આવી ગયું હતું. તેણે દોડીને ઝાડ પર ચડી જતા નંબર વનને જોયો. એટલે પહેલાં તે નંબર વન તરફ ધસ્યું.
નંબર વન ગભરાયો. પોતાનો જીવ બચાવવો હોય તો રીંછનું ઘ્યાન બીજે વાળવું પડે. એ માટે તેણે દોડતાં દોડતાં વીણી લીધેલા બે-ચાર પથ્થર સૂતેલા નંબર ટુ પર ફેંક્યા.

પથ્થરમારાથી નંબર ટુ ઉભો થયો એટલે રીંછ એની તરફ ધસ્યું. રીંછને આવતું જોઇને નંબર ટુ ફરી શ્વાસ રોકીને સૂઇ ગયો, પણ આ રીંછ ભણેલુંગણેલું હતું. સૂતેલા માણસને મરેલો માનીને આગળ જતા રહેલા તેના પૂર્વજ જેવું કાચું-અભણ ન હતું. તેણે નંબર ટુ પર હંિસક હુમલો કર્યો અને પીંખી નાખ્યો.

રીંછથી બચવા નંબર ટુ ઝાડ તરફ જોઇને નંબર વનને મદદ માટે પોકારતો હતો, પણ નંબર વન જાણે ઝાડ પર હતો જ નહીં. બચાવ માટે વલખાં માર્યા પછી નંબર ટુ મરણને શરણ થયો. તેના મૃતદેહને છોડીને રીંછ જતું રહ્યું.
નંબર વન કપડાં ખંખેરતો ખંખેરતો ઝાડ પરથી નીચે ઉતર્યો, જમીન પર ફેંકેલી લાકડી હાથમાં લીધી અને નંબર ટુના મૃતદેહ પર એક નજર નાખી. મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હતી. અચાનક નંબર વનને કંઇક સૂઝ્‌યું. તેનું મોં મલકાયું. તેણે ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢ્‌યો, તેની પર લખ્યું ‘સદ્‌ભાવનાની સુવાસ’ અને હાથરૂમાલને ઘ્વજની જેમ લાકડી સાથે બાંધીને નંબર ટુના મૃતદેહ પાસે લાકડી ખોડી દીધી.

ત્યારથી ગામમાં નંબર વનની સદ્‌ભાવનાનો જયજયકાર થઇ ગયો છે. લોકો કહે છે કે ‘સદ્‌ભાવના હોય તો આવી. માણસ પ્રત્યે સદ્‌ભાવના તો સૌ રાખે. આપણા નંબર વને રીંછ પ્રત્યે સદ્‌ભાવના દાખવી. સદ્‌ભાવના ઝંિદાબાદ.’
***

એક માણસ તેની ઘાયલ બકરી ખભે નાખીને શહેરના દવાખાને જતો હતો. બકરીને પગે કંઇક વાગ્યું હતું, પણ બાકી બધી રીતે તંદુરસ્ત હતી. માણસને એ બકરી બહુ વહાલી હતી. એક દિવસ એને ત્યાં શહેરમાંથી મહેમાન આવ્યા. એ ભણેલાગણેલા હતા. તેમણે કહ્યું કે આપણી પ્રિય વસ્તુઓનું કંઇક ને કંઇક નામ હોવું જોઇએ.

ગામના માણસે કહ્યું, ‘તો તમે જ કહો. મારે આ બકરીનું શું નામ પાડવું?’

શહેરના માણસે થોડું વિચારીને જવાબ આપ્યો,‘એનું નામ બિનસાંપ્રદાયિકતા રાખો.’

આવું અઘરું નામ સાંભળીને ગામનો માણસ મૂંઝાઇ ગયો. એ કહે,‘આવું અઘરું નામ અમને ન ફાવે- સમજાય પણ નહીં. એનો શો અર્થ થાય?’

શહેરી માણસે તેને આશ્વાસન આપતાં કહ્યું,‘ચંિતા ન કરશો. એનો કશો ખરાબ અર્થ થતો નથી. ઉપરથી બહુ સારો અર્થ થાય છે. કોઇ સાંભળશે તો એને થશે કે વાહ, આટલું સરસ નામ? અને આવા ગામડાગામમાં આવા ભવ્ય નામવાળી બકરી રહે છે? બકરીનો અને તમારો બન્નેનો વટ પડી જશે.’

ગામના માણસે મનોમન ‘બિનસાંપ્રદાયિકતા’ એવું નામ ગોખવાનો પ્રયાસ કર્યો, પણ એને બહુ ફાવ્યું નહીં. એને તો એટલી જ ખબર હતી કે ‘આ મારી બકરી છે અને મને એ બહુ વહાલી છે. જેને જે નામ આપવું હોય તે આપે. નામમાં શું બળ્યું છે?’

આ બકરી ઘાયલ થઇ ત્યારે શહેરના ડોક્ટર પાસે લઇ જતી વખતે એક ગઠિયાએ તેને જોયો. એની અને એના સાગરિતોની નજર ક્યારની આ બકરી પર બગડેલી હતી. જેટલી વાર બકરી જુએ, એટલી વાર તેમને થતું હતું કે ‘કેવી હૃષ્ટપુષ્ટ બકરી! તેને રાંધીએ તો કેવી ભવ્ય મિજબાની થાય! પણ આ ગામડીયાને તે એટલી વહાલી છે કે તેની પાસે સીધેસીધી આવી વાત કરીએ તો રમખાણ મચે.’ એટલે તેમણે યુક્તિ વિચારી.

શહેરે જતા ગામડિયાને રસ્તામાં સૌથી પહેલાં ગઠિયો પોતે ભટકાયો. તેનો પોશાક જોઇને કોઇને એવું જ લાગે, જાણે એ કેટલોય ધાર્મિક ને દેશપ્રેમી હશે: કપાળે ટીલું, ખભે ખેસ, શર્ટના ખિસ્સાની ધારે ‘વંદે માતરમ્‌’ લખેલા ત્રિરંગાનું બક્કલ સેફ્‌ટી પીનથી ખોસેલું...

બકરીના માલિકને આવતો જોઇને તેણે મોટેથી બૂમ પાડી, ‘ભારતમાતા કી...’. બકરીના માલિકે ભોળા ભાવે જવાબ આપ્યો, ‘...જે’.

એ સાંભળીને ગઠિયો મનોમન હરખાયો, પણ ચહેરા પર અરેરાટીનો ભાવ લાવીને કહે,‘અરેરે, તમારા જેવા રાષ્ટ્રવાદી, રાષ્ટ્રભક્ત, ભારતમાતાના સુપુત્ર ને ખભે હડકાયા ડાઘિયાને લઇને ક્યાં ચાલ્યા? આવા હિંસક જનાવરની તે કંઇ સારવાર કરાતી હશે? એની પર તે કંઇ લાગણી રખાતી હશે? એ સાજો થશે તો કંઇકને ફાડી ખાશે ને કાળો કેર મચાવશે.’

બકરીનો માલિક ડઘાઇ ગયો. એ કહે,‘તમે શાની વાત કરો છો, મહેરબાન? દેખાતું નથી? આ તો બકરી છે!’

ગઠિયો કહે,‘તમને કોઇએ બનાવ્યા લાગે છે. બાકી, ન દેખતો માણસ પણ કહી આપે કે આ ડાઘિયો છે ને હડકાયો છે. જુઓ, એના મોંમાંથી લાળ ટપકે છે.’

એ સાંભળીને બકરીનો માલિક સહેજ તપ્યો. કહે,‘ગજબ માણસ છો તમે! આ બકરી જોડે હું આટલા સમયથી રહું છું. એને હું વધારે ઓળખું કે તમે? આ બકરીનું અમારા એક સંબંધીએ નામ પણ પાડેલું...(સહેજ યાદ કરીને, પ્રયત્નપૂર્વક) બિન..સાંપ્ર...દાયિકતા.’

ગઠિયો જાતે ને જાતે તાળી મારીને કહે, ‘મને હતું જ કે તમને કોઇએ આવી રીતે જ બનાવ્યા હશે. આ દંભી બિનસાંપ્રદાયિકતાનો હડકાયો ડાઘિયો કોઇએ તમને બિનસાંપ્રદાયિકતાની બકરી તરીકે પહેરાવી દીધો છે.’

રોષે ભરાયેલો બકરીનો માલિક ‘તમારી સાથે ચર્ચા બેકાર છે.’ એમ કહીને આગળ વધી ગયો.

આગળ જતાં યોજના મુજબ તેને ગઠિયાનો એક સાથીદાર મળ્યો. આખા ગામની પંચાત કરવી એ જ તેનો ધંધો. એ કહે, ‘શું વાત છે? આ હડકાયા ડાઘિયાને લઇને ક્યાં ચાલ્યા?’

બકરીનો માલિક સહેજ ખમચાયો, પણ આત્મવિશ્વાસ એકઠો કરીને તેણે કહ્યું, ‘ડાઘિયો કેવો ને વાત કેવી? આ તો બકરી છે.’

તરત ગઠિયાનો સાગરિત બોલ્યો,‘લાગે છે કે તમે છાપાં વાંચતા નથી ને ટીવી ચેનલો પણ જોતા નથી. છેલ્લા અઠવાડિયાથી છાપાં-ચેનલો બધે આવું વર્ણન આવી રહ્યું છે અને પ્રજાના હિતમાં સતત જાહેરાત થઇ રહી છે કે ‘હડકાયા ડાઘિયા કૂતરાથી સાવધાન.’ એમાં ડાઘિયા કૂતરાનું જે વર્ણન આવે છે, એ બરાબર તમારા ખભે રહેલા જાનવર જેવું જ છે. એને બકરી માનો તો તમારી મરજી. પણ પછી બીજા કોઇનો વાંક કાઢતા નહીં.’

રોષ અને થોડી મૂંઝવણથી વ્યગ્ર બકરીનો માલિક આગળ ચાલ્યો. ત્યાં એને ગઠિયાનો બીજો સાથીદાર મળ્યો. ગામમાં એની છાપ જ્ઞાની માણસ તરીકેની. વાતે વાતે ગીતા ને ઉપનિષદ ટાંકે.

એને જોઇને બકરીના માલિકને કંઇક આશા બંધાઇ, પણ એ કંઇ પૂછે તે પહેલાં જ સાથીદારે સામેથી કહ્યું, ‘અરે, તમારા જેવા માણસના ખભે લાળ ટપકતો, હડકાયો ડાઘિયો? આવા ડાઘિયા કૂતરાનું તો એન્કાઉન્ટર કરવું જોઇએ. એ જ ધર્મ છે. જ્યાં ડાઘિયો ત્યાં લાળ. જ્યાં લાળ ત્યાં હડકવા. જ્યાં હડકવા ત્યાં એન્કાઉન્ટર. તમને તો ખબર હશે, કૃષ્ણ ભગવાને પણ એન્કાઉન્ટર કરેલાં. આવા ડાઘિયા કૂતરાને ખભે લઇને ફર્યા કરીએ તો ગામમાં આતંક મચી જાય. ગામમાં છેલ્લા અઠવાડિયામાં ત્રણ-ચાર બાળકોના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ત્યારનો હું વિચારતો હતો કે એમના અકાળે મોતનું અસલી કારણ શું હશે? પણ તમારા ખભે હડકાયો ડાઘીયો જોઇને મને જવાબ મળી ગયો છે.’

એ વઘુ બોલે, તે પહેલાં જ...(શું થયું એ જણાવવાની જરૂર છે?)