Friday, August 19, 2022
ન્યાયનો અંત આવો? : બળાત્કારીઓ અને હત્યારાઓને અપાયેલી માફી વિશે પ્રતાપ ભાનુ મહેતાના અંગ્રેજી લેખનો અનુવાદ
પ્રતાપ ભાનુ મહેતા, ઓગસ્ટ 19, 2022, ધ ઇન્ડિયન એક્સપ્રેસ
જરાય ગાફેલિયતમાં રહેવાની જરૂર નથી. બિલ્કિસબાનુ પર સામુહિક બળાત્કાર કરનારા, તેમની ત્રણ વર્ષની બાળકીની હત્યા કરનારા અને બીજા તેર લોકોની હત્યામાં સામેલ 11 લોકોને ગુજરાત સરકારની સમિતિએ આપેલી માફી કેવળ ન્યાયની વિડંબના નથી. તે ઉશ્કેરણીનો ખતરનાક રાજકીય ખેલ છે. સરકાર કદાચ હજુ તે હુકમ પર ફેરવિચાર કરી શકે. સર્વોચ્ચ અદાલતે માફીની અરજી પર વિચાર કરવાની મંજૂરી આપી હોવા છતાં, તેનાં દ્વાર ખટખટાવવામાં આવે તો, તે પણ સજામાફીનો (સમિતિએ કરેલો) નિર્ણય કદાચ ઉલટાવી શકે. પણ તેનાથી જે નુકસાન થવાનું હતું, તે થઈ ચૂક્યું છે. “શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના મર્મભેદી સવાલે કાળજીપૂર્વક ઊભા કરેલા ભારતીય ગણતંત્રના બાહ્ય ભ્રામક દેખાવને છેદી નાખ્યો છે. રહીરહીને પોકારે એવા આ સવાલ પાછળ રહેલા ચિત્કારનો કોઈ જવાબ નથી. હકીકત તો એ છે કે, તે સવાલની પાછળ રહેલો ચિત્કાર વ્યાપકપણે અનુભવાયો નથી, તે ગણતંત્રના નૈતિક બુઠ્ઠાપણાની અને હડહડતા કોમવાદીપણાની સાહેદી પૂરે છે.
રાજ્યે આપેલી માફીમાં શું દાવ પર લાગ્યું છે, તે સમજવામાં કાયદાકીય દલીલો આડે ન આવે તે જરૂરી છે. કમભાગ્યે, ભારતીય ન્યાયપ્રણાલિમાં જામીન, સજા અને માફી મોટા પાયે મુનસફી પર ચાલે છે. ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલા ગેંગ રેપ અને મર્ડર કેસ જેવા કેટલાક બળાત્કારના કિસ્સામાં ગુનેગારોને મૃત્યુદંડની સજા મળી, જ્યારે એવા બીજા ઘણા કિસ્સામાં એવી સજા નથી મળી. 1992માં અસ્તિત્વ ધરાવતી અને ત્યાર પછી નાબૂદ કરાયેલી માફીનીતિ હેઠળ માફી આપી શકાય કે નહીં, તેની ચર્ચા થઈ શકે; ભયંકર ગુનાઓમાં માફીની જોગવાઈ લાગુ પાડી શકાય નહીં, એવી કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આ કિસ્સામાં લાગુ પડી શકે કે નહીં, તેની પણ ચર્ચા થઈ શકે. આ પ્રકારના કેસમાં ન્યાયી સજા કેવી હોઈ શકે, તેની વાત થઈ શકે. દંડ અને સજા વિશેની વ્યાપક ચર્ચા પણ અલગથી થઈ શકે. પરંતુ જે રીતે આ કિસ્સામાં મુન્સફી વાપરવામાં આવી છે, તે સાવ જુદી વાત છે. (આગળ જણાવેલા) બધા કાનૂની આટાપાટાની મદદથી સજા માફ થઈ હોય એવું બને. પરંતુ આ કિસ્સામાં રાજ્ય સરકારે પોતાની મુન્સફીનો ઉપયોગ ન્યાયને ઉથલાવી પાડવા માટે અને રાજકીય સંકેત આપવા માટે કર્યો હોય એવું લાગે છે.
બિલ્કિસબાનુનો કેસ એટલો ભયંકર હતો કે તેના વિશે સાંભળવામાત્રથી મગજ અને કલ્પનાશક્તિ બહેર મારી જાય, ચિત્ત ભ્રમિત થઈ જાય. ગુનો એટલો ભયંકર હતો અને તેની વિગતોની અનેક વાર પુષ્ટિ થઈ ચૂકી છે. તેમ છતાં, એવી હિંસાખોરીના વિચારમાત્રથી આપણને હજુ પણ ત્રાસ છૂટે છે કે જેમાં એક સગર્ભા સ્ત્રી પર બળાત્કાર થયો હોય, એક બાળકને પટકીને મારી નાખવામાં આવ્યું હોય, આખા પરિવારની હત્યા થઈ હોય અને આ બધું પાડોશીઓમાંથી જ કેટલાકે કર્યું હોય. તે ધ્યાનમાં રાખતાં, બિલ્કિસબાનુએ જે હાંસલ કર્યું, તે કોઈ ચમત્કારથી કમ ન હતું. તે જુસ્સાથી સક્રિય થયાં. દુશ્મનાવટભર્યું રાજકીય વાતાવરણ, ડરાવતો સમાજ, ખંડિત ન્યાયતંત્ર અને આર્થિક અભાવ જેવી ભારે વિપરીતતાઓ સામે તેમણે અદમ્ય સાહસ દેખાડ્યું, તેમણે પોતાની ઓળખ ગુનાથી (ભોગ બનનાર તરીકે) નહીં, પણ ન્યાયથી (ઝઝૂમીને ન્યાય મેળવનાર તરીકેની) ઊભી કરી. અને દેશભક્તિની ઉચ્ચતમ મિસાલ તરીકે, ભારતીય બંધારણ અને તેની સંસ્થાઓમાં, તેના રખેવાળોને પણ કદી ન હોય એવો ને એટલો, વિશ્વાસ મુક્યો. આપણે જાતને આશ્વાસન આપવું હોય કે હજુ પણ ન્યાય મેળવવાનું શક્ય છે, ત્યારે બિલ્કીસબાનુનો કેસ આપણા માટે એવા તરણાનું કામ કરે છે, જેને વળગીને આપણે એવો સધિયારો મેળવી શકીએ. અને ન્યાયનો અંત કેવો આવ્યો? બિલ્કીસબાનુને એટલી જાણ કરવાનો વિવેક પણ ચૂકાયો કે તમારા અત્યાચારી પાડોશીઓને છોડી મૂકીએ છીએ. રાજ્યના પગલાનો બેપરવાઈભર્યો મતલબ હતોઃ એ ભય અને માનસિક ત્રાસ ફરી અનુભવો.
આ ઘટનાક્રમનાં બે રાજકીય પાસાં નોંધપાત્ર છે. અગાઉનાં ઘણાં રમખાણોની જેમ, 2002નાં રમખાણોના ઘણા આરોપીઓનો ન્યાય હજુ થયો નથી. પરંતુ ગુજરાતમાં વ્યાપક રીતે એવો માહોલ છે કે જે લોકો સામે અદાલતમાં કામ ચાલ્યું અને સજા થઈ તે હકીકતમાં કેટલાંક એનજીઓ, કર્મશીલો, (કેન્દ્રની) કોંગ્રેસ સરકાર અને મિડીયાના કેટલાક હિસ્સાની રાજકીય કાવતરાબાજીનો ભોગ બનેલા લોકો હતા. ન્યાયની સતત માગણી કરતા લોકોના દબાણને હળવું કરવા માટે, કેટલીક વાર નામીચા પણ આ કિસ્સામાં નિર્દોષ હોય એવા લોકોને ઝડપીને, તેમને રાજકીય સંઘર્ષમાં બલિનો બકરો બનાવાયા. એ વાત સાચી છે કે નહીં, તે અહીં અપ્રસ્તુત છે. અસલી મુદ્દો એ છે કે આપણે આવું માની લઈએ, તેમ ભાજપ ઇચ્છે છે. “હિંદુઓ કદી ત્રાસવાદી હોઈ શકે નહીં અને હિંદુઓ હંમેશાં ભોગ બનેલા જ હોય”—એવા ભાજપના પ્રચારગાનનો તે હિસ્સો છે.
તે મતલબના પ્રચારને વાજબીપણાની દલીલ તરીકે અપનાવીને, સરકાર હવે 2002માં હિંસાપીડિતોને ન્યાય અપાવવાનું કામ કરનારા લોકોની પાછળ પડી ગઈ છે અને તેમણે ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો તે બદલ તેમને દંડી રહી છે. આ પ્રચારમાં ઉશ્કેરણીની અસલી ઘંટડી એવું સૂચવવામાં છે કે ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે જ એક કાવતરું હતો. આ કેવળ બદલો નથી. તે હિંદુઓની નિર્દોષતાની તેમણે (ભાજપે) ઊભી કરેલા માન્યતાને ટેકો આપવા માટે પણ છે. બિનભાજપી સરકાર હશે ત્યાં આ પ્રકારની કાવતરાબાજી વધારે શક્તિશાળી બનશે. માફી થકી સગડવપૂર્વક એવું સૂચવી શકાય છે કે ભાજપ ન્યાયપ્રણાલિમાં પણ હિંદુ હિતનું રક્ષણ કરશે. પોલીસ અને ન્યાયતંત્રની વિશ્વસનિયતા સામે સવાલો ઊઠતા હોય એવા માહોલમાં આ પ્રકારનો પ્રચાર માની લેવાનું સહેલું છે. ગુનેગારો સામે પગલાં ન ભરવા માટે પણ (ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે એક કાવતરું હતો) તે પ્રપંચ ઉપયોગી બની રહે છે.
વ્યક્તિની ઓળખ સાથે સંકળાયેલા ગુના હકીકતમાં અસલી ગુના નથી, એવા ભયંકર ખ્યાલને કારણે આ પ્રકારની ઉશ્કેરણીજનક ચેષ્ટા વધારે શક્ય બને છે. આ પ્રકારની વિચારસરણીને કારણે જ, બળાત્કારની હિંસાને કોમના સંદર્ભમાં મુકી દેવાતાં તે ધૂંધળી બની જાય છે. કોમી હિંસાના મામલે, જાતીય હિંસાને ઘણા સમયથી રાજકીય હિંસાનું જ એક સાધન ગણવામાં આવી છે. પરંતુ તે જ્ઞાતિઆધારિત હિંસાને પણ લાગુ પડે છે. જ્ઞાતિની તાકાત બનાવવા માટે કે સામુહિક હત્યાકાંડોમાં કે રમખાણોમાં હિંસાનો ભોગ બનતા લોકોને તેમની ઓળખના આધારે પસંદ કરવામાં આવે છે. હિંસા આચરનારા લોકો માટે (ભોગ બનનારની) ઓળખ મુખ્ય બને, એટલે તેમનો પોતાનો અંતરાત્મા કોરાણે મુકાઈ જાય છે અને તેમને સમર્થન આપનારા લોકો પણ તેમને ગુનેગારને બદલે હીરો તરીકે જુએ છે. હિંદુત્વ અને એવી બીજી અંતિમવાદી વિચારસરણીઓ જેના જોરે ફૂલતીફાલતી હોય છે તેવા યુદ્ધના અતિશયોક્તિભર્યા પોકારો આ પ્રકારના વૈચારિક સંકોચનને સહેલું બનાવે છે. એ જ કારણથી, હત્યારાઓને હારતોરા કરવાનું, બળાત્કારીઓનું સન્માન કરવાનું અને તેમના સમર્થનમાં રેલીઓ કાઢવાનું આપણા માટે સહેલું હોય છે.
એટલે, સજામાફીના પગલે હોબાળો ન થયો કે (ગુનો કેવો છે તે નહીં, પણ) ગુનેગાર કોણ છે તેના આધારે નક્કી થતાં આપણાં બેવડાં ધોરણ અંગે કશો ગુંચવાડો અનુભવવા જેવો નથી. આપણે ફક્ત કોમવાદની માત્રા વધી હોય એવા સમયમાં નથી જીવતાં. આપણી કોમી ઓળખ સંપૂર્ણ બની ચૂકી છે, જેમાં સંગીત, ભાષા જેવાં પ્રમાણમાં નાનાં સાંસ્કૃતિક પરિબળો પણ ઓળખના બોજથી મુક્ત નથી. આ પ્રકારના પૂરેપૂરા રંગાયેલા વાતાવરણમાં ગુનો અને ન્યાય, નિર્દોષતા અને અપરાધભાવ જેવા શબ્દોનો પણ, કોમવાદી એજન્ડાના ભાગ બનવા સિવાય, સ્વતંત્ર-પોતીકો અર્થ રહ્યો નથી.
એટલે “શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના સવાલનો જવાબ અકળાવનારો હોઈ શકે છે. તેમના ધીરજપૂર્વકના પ્રયાસથી તેમને ન્યાય મળ્યો ને ન્યાય મેળવવાનું હજુ શક્ય છે—એવા ભ્રમને વળગી રહેવાનું આપણને નિમિત્ત મળ્યું. પરંતુ હવે જણાય છે કે કોમવાદ અને ગુનાનાં માઠાં પરિણામની જવાબદારીમાંથી મુક્તિનો વાયરો વાય, ત્યારે ન્યાયના તંતુઓ ફરી એક વાર હવામાં ઉડી જશે. ન્યાયનો અંત આવો ન હોય, પણ કદાચ સાચો ન્યાય કદી શરૂ જ થયો ન હતો.
મૂળ લેખની લિન્ક
Tuesday, June 28, 2022
સર્વોચ્ચ અદાલતના નામે
(તંત્રીલેખ, ઇન્ડિયન એક્સપ્રેસ, 26 જૂન, 2022)
સુપ્રીમ
કોર્ટ ન હોત તો ગુજરાતના 2002ના કેસોમાં ન્યાય હાથતાળી દેતો રહ્યો હોત. એટલે જ,
(સુપ્રીમ કોર્ટનો) તાજેતરનો ચુકાદો અને પોલીસ દ્વારા થયેલો તેનો ઉપયોગ અકળાવનારા
સવાલ ઊભા કરે છે.
ગુજરાતમાં 2002માં થયેલી કોમી હિંસાની લાંબી, ત્રાસદાયક અને હજુ ઉઘડી રહેલી ન્યાયપ્રક્રિયામાં સર્વોચ્ચ અદાલતે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. ઘણા કિસ્સામાં તેના વચ્ચે પડવાને કારણે ન્યાયપ્રક્રિયાની ગાડી પાટા પર રહી છે, સત્તાધીશોના દબાણથી તે સલામત રહી છે. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીને કારણે, હિંસાનો ભોગ બનેલા તેમ જ હિંસાનો ભોગ બન્યા પછી જીવિત રહેલા લોકો ન્યાયપ્રક્રિયાના નિષ્પક્ષ અને ન્યાયી અંતની આશા રાખી શક્યા છે. એ જ કારણથી શનિવારના રોજ થયેલી કર્મશીલ તિસ્તા સેતલવાડની અને ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડો ખેદજનક છે. તેમની વિરુદ્ધની એફઆઇઆરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તેના પરિશિષ્ટમાંથી ઘણી સામગ્રી ટાંકવામાં આવી છે.
શુક્રવારે
સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતના ઉચ્ચ સત્તાધીશો દ્વારા કોઈ વ્યાપક કાવતરું રચાયું
હોવાના આરોપોનું ખંડન કર્યું અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની
હેઠળની ગુજરાત સરકારને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા અપાયેલી ક્લીન
ચિટને બહાલી આપી. આ કેસ નીકળી જ જવાનો હતો એ પહેલેથી નક્કી હતું, એવું કહી શકાય.
કારણ કે કથિત કાવતરાબાજીનો છેડો છેક મુખ્ય મંત્રીની કચેરી સુધી પહોંચતો હોય એ
પુરવાર કરવાનું બહુ કઠણ હતું. આ કેસ ન્યાયપાલિકામાં ટકી શકે એવા પુરાવાના જોરે
નહીં, પણ હિંસામાં પાયમાલ થયેલાઓની વ્યથાને કારણે આટલે સુધી પહોંચ્યો હોઈ શકે. એ જ
ચુકાદામાં જોકે સુપ્રીમ કોર્ટ ચિંતાજનક રીતે એક ડગલું આગળ વધી. તેના ચુકાદાના
આધારે નોંધાયેલી એફઆઇઆરમાં અદાલતના ચુકાદામાંથી ટાંકવામાં આવેલો હિસ્સો આ પ્રમાણે
હતોઃ ‘આખરે, આ કેસ ગુજરાત
રાજ્યના કેટલાક અસંતુષ્ટ અધિકારીઓએ બીજાઓ સાથે મળીને કરેલો સનસનાટી સર્જવાનો
પ્રયાસ હોય એવું લાગે છે... (તેનો આશય) દેખીતી રીતે, ગુપ્ત યોજનાઓ પાર પાડવાના
હેતુથી, ચરુ ઉકળતો રાખવા માટેનો... (જણાય છે)...પ્રક્રિયાના દુરુપયોગ સાથે
સંકળાયેલા સૌ કોઈને અદાલતમાં ખડા કરીને તેમની સામે કાનૂની રાહે કામ ચલાવવું જોઈએ.’ આ ચુકાદો આવ્યાના બીજા દિવસે સવાલ
છેઃ અદાલતના ચુકાદામાંથી લીટીઓ ઉપાડીને જે રીતે ઇરાદાપૂર્વક હેરાનગતિની શરૂઆત
કરવામાં આવી છે, એ તરફ અદાલત આંખમીંચામણાં તો નહીં કરે. (નહીં કરે ને?)
શ્રીકુમાર અને સેતલવાડના કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. પરંતુ અદાલતના ચુકાદામાંથી ઉતારા લઈને કરાયેલી એફઆઇઆરમાં અને 2002ના કેસોમાં અરજદારોની પડખે ઊભા રહેલા લોકો સામે તત્કાળ પોલીસપગલાં લેવા ચુકાદો વપરાયો, તેમાં પ્રશ્નો તો છે. અદાલતે શુક્રવારે જે કહ્યું અને શનિવારે પોલીસે તેમાંથી પોતાનાં પગલાં માટે જે અર્થ લીધો, તેના કારણે અત્યાર સુધીની હકીકતનું જાણે શીર્ષાસન થઈ ગયું. આખરે, આ એ જ અદાલત હતી, જેણે 2002ની હિંસામાં ન્યાય થાય તે માટે સંખ્યાબંધ અભૂતપૂર્વ પગલાં લીધાં હતાં. તપાસમાં ગંભીર ક્ષતિના આરોપોના પગલે સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોની કાર્યવાહી અટકાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી અને સંવેદનશીલ કેસોની સુનવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને તેની કામગીરી પર દેખરેખ રાખી હતી. સુપ્રીમ કોર્ટે એ વાત પણ સુનિશ્ચિત કરી હતી કે કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવે, જેથી ન્યાય થઈ શકે. તેના વચ્ચે પડવાને કારણે ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોના આશરે બે હજાર કેસ નવેસરથી ખુલ્યા હતા. હકીકતમાં બે દાયકા પહેલાં થયેલી કોમી હિંસાના પીડિતો અને હિંસામાંથી જીવતા બચી ગયેલા લોકો માટે ન્યાય મેળવવાના કર્મશીલો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચ સહિતનાં સૌ કોઈના પ્રયાસોમાં સુપ્રીમ કોર્ટ જ કેન્દ્રસ્થાને હતી.
ગુજરાતમાં 2002ના કેસોમાંથી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા થયેલી ફરજચૂકના ગંભીર સવાલ ઊભા થયા હતા. (એવી સ્થિતિમાં) કોઈ એક કેસ નીકળી જાય, તે બાબત (2002ની) હિંસાની જવાબદારી નક્કી કરવાની અને ન્યાય મેળવવાની આખી લડત સામેના તળિયાઝાટક આરોપનામાની ભૂમિકા ન બનવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ વિચારવું જોઈએ કે એક ચોક્કસ કિસ્સામાં હિંસાનો ભોગ બનીને તેનો દરવાજો ખટખટાવનારાની અરજ ટકી શકી નહીં, તેના કારણે ન્યાયપ્રક્રિયાનું નાળચું અરજદારોની સામે તકાઈ જાય એ વાત, બંધારણીય પ્રક્રિયા અને મૂલ્યોના શાણપણભર્યા સંરક્ષક તરીકેની સુપ્રીમ કોર્ટની ભૂમિકાને અને તેના દરજ્જાને છાજે એવી છે કે નહીં.
મૂળ અંગ્રેજી લેખની લિન્કઃ https://indianexpress.com/article/opinion/editorials/supreme-court-judicial-system-7992775/
Tuesday, June 07, 2016
૨૦૦૨ : આગળ વધી જતાં પહેલાં
Tuesday, March 03, 2015
ધિક્કારમૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા
હા, આ ઘટનાક્રમની સમાંતરે ‘ટેન્શન દેવાનો’ બીજો તંતુ પણ સતત ચાલતો આવ્યો છે : ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી (અને દેશના વર્તમાન વડાપ્રધાન)ને જે લોકોએ ‘વીતાડ્યું’ હોય, એવા લોકોને ‘ધંધે લગાડવાનો’ ક્રમ. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ, રાહુલ શર્મા જેવા પોલીસ અફસરોથી માંડીને બીજા કેટલાક સરકારી અફસરો અને તિસ્તા સેતલવાડ જેવાં કાર્યકરો ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને ‘હેરાન કરનારાં’ તરીકે પંકાયેલાં હતાં. ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ની જેમ ‘મોદી ઇઝ ગુજરાત’ ન્યાયે, તેમને મુખ્ય મંત્રીનાં વિરોધી નહીં, પણ ‘ગુજરાતનાં દુશ્મન’ તરીકે રજૂ કરવામાં -ને ઘણી હદે સ્વીકારી લેવામાં- આવ્યાં. સરકારપ્રેરિત પ્રચાર મારો એવો ચાલ્યો કે થોડા વખત પછી સમજણી બનેલી પેઢીને એવું લાગે, જાણે ગુજરાતને (વાંચોઃ ગુજરાતના મુખ્ય મંત્રીને) બદનામ કરવા માટે, તિસ્તા સેતલવાડ પ્રકારના લોકો અમદાવાદની સડકો પર નિર્દોષોને જીવતા જલાવવા નીકળી પડ્યા હશે.
‘અંગત અને વ્યાવસાયિક કારણોસર’ (એટલે કે સરકારી હેરાનગતિથી થાકીને) પોલીસ અફસર રાહુલ શર્મા વહેલી નિવૃત્તિ માગી અને ગયા અઠવાડિયે સરકારે તે આપી દીધી. આઇ.પી.એસ. રાહુલ શર્માએ ૨૦૦૨ની કોમી હિંસા વખતે એક મદ્રેસામાંથી મુસ્લિમ બાળકોને બચાવ્યાં હતાં. તેમની બદલી કરીને કન્ટ્રોલ રૂમમાં નાખ્યા, તો ત્યાં એમણે અમદાવાદમાં કોમી હિંસા વખતે કયા નેતાઓ ક્યાં હતા, તેની કૉલ ડીટેઇલ્સ ધરાવતી એક સી.ડી.તૈયાર કરી. આવા અફસરોની સામે ખાતાંકીય તપાસો ન થાય તો બીજું શું થાય? પોલીસ અફસરોએ ચૂપચાપ સાહેબોની કહી કે વણકહી આજ્ઞાનું પાલન કરવાનું હોય કે તેમનાં કરતૂતો ઉઘાડાં પડે એવાં કામ કરવાનાં હોય?
રાજકીય ઉપરીઓની આજ્ઞાથી કે તેમને ખુશ રાખવા માટે ગુજરાતના પોલીસ અફસરોએ નકલી એન્કાઉન્ટર કર્યાં. ઉત્તમ પત્રકારત્વ અને ઠીક ઠીક તપાસના પરિણામે, એન્કાઉન્ટરોની અસલિયત ખુલ્લી પડી ગઇ. રેકોર્ડબ્રેક સંખ્યામાં પોલીસ અફસરોને જેલમાં જવાનો વારો આવ્યો. ‘મુખ્ય મંત્રીની હત્યાનાં કાવતરાં’ના દાવા પોકળ સાબીત થયા. (તેનો સાંયોગિક છતાં ઉત્તમ પુરાવો એ કે બધા એન્કાઉન્ટરબાજો જેલમાં ગયા પછી, મુખ્ય મંત્રીની હત્યાનું એક પણ કાવતરું પકડાયું નહીં.) એ વખતે મુખ્ય મંત્રીને ગોપીભાવે ભજતા કેટલાકે ‘ગુજરાત પોલીસના મૉરલ પર ગંભીર અસર થશે’ એવી કાગારોળ મચાવી. પણ રાજનેતાઓને બદલે દેશના કાયદા- બંધારણ પ્રત્યે વફાદારી રાખનાર અને એમ કરવા જતાં સરકારી હેરાનગતિનો ભોગ બનેલા પોલીસ અફસરો માટે મૉરલ-ચિંતકોનો ભાગ્યે જ ચિંતા થઇ હતી.
મુખ્ય મંત્રીને તેમની સંદેહાસ્પદ ભૂમિકા અને ચોખ્ખી નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવે તથા તેમને જવાબ આપવાની સ્થિતિમાં મુકે, એવું કંઇ પણ કરનાર સામે આખી ફોજ તૈયાર હતી : સરકારી પ્રચારતંત્ર, છાકટા બનેલા છદ્મશ્રીઓ, ચબરાકીપૂર્ણ ચાપલુસી કરીને મુખ્ય મંત્રીની ગુડબુકમાં રહેવા તલસતા કટારલેખકો, ગેરરસ્તે દોરવાયેલા નાગરિકો...એ લોકોનું કામ જ મુખ્ય મંત્રીના ટીકાકારો માટે યેનકેનપ્રકારે ધિક્કાર ફેલાવવાનું હતું. એ માહોલમાં નિહત્થા ગુંડાઓને ઠાર મારવાનુંં પરાક્રમ કરનારાને ‘જાંબાઝ અફસર’ તરીકે બિરદાવવાની અને જેલમાં જઇને કે જેલની બહાર તેમનાં ઓવારણાં લેવાની બેહુદી ફેશન ચાલી. પણ નકલી એન્કાઉન્ટરોના એક સૂત્રધાર ડી.જી.વણઝારાએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને ભીંસમાં મૂકતો પત્ર લખીને જાહેર કર્યો, ત્યારે ખરો તાલ થયો. વણઝારા અને મુખ્ય મંત્રીને એક જ કૌંસમાં મૂકીને તેમની આરતીઓ ઉતારનારા, તેમની જાંબાઝીના ચાલીસા ગાનારા શું કરે? કોની બાજુ ઢળે? તેમના સદ્ભાગ્યે લોકોની યાદદાસ્ત ટૂંકી હોવાથી, દૂધમાં ને દહીમાં પગ રાખવાના તેમના વલણની જાહેર તપાસ કે ખાસ ચર્ચા થઇ નહીં.
પ્રમાણભાન અને તોલમાપ
મુખ્ય મંત્રીના ટીકાકારો કે તેમને ‘બદનામ કરનારા’ની વાત નીકળે ત્યારે કેટલીક સ્પષ્ટતા જરૂરી છે : તત્કાલીન મુખ્ય મંત્રી મોદીની સામે પડેલા બધા લોકો એક સરખા પ્રામાણિક કે પ્રતિબદ્ધ કે હૈયે લોકહિત ધરાવનારા હોય, એ જરૂરી નથી. મુખ્ય મંત્રી મોદીની આકરી ટીકા માત્રથી કોઇ વ્યક્તિ પોતે નીતિમત્તાની કે ફરજપરસ્તીની મૂર્તિ બની જતી નથી. ટીકા કરનારની કે સામે પડનારની નિષ્ઠા હંમેશાં અલગ તપાસનો વિષય રહે છે. નાગરિકો તરીકે આપણે યાદ એટલું જ રાખવાનું કે એકનું દોષદર્શન કરાવવાથી બીજો ‘યુધિષ્ઠિર’ બની જતો નથી. આપણે બન્ને પક્ષોની મર્યાદાઓનો સામસામો છેદ ઉડાડીને રાજી થઇ શકીએ નહીં. કેમ કે, આપણું કામ બન્ને પક્ષો પાસેથી જવાબ માગવાનું અને તેમની ગરબડોની ગંભીરતા નક્કી કરવાનું છે. જેમ મોદીની સામે પડવા માત્રથી તિસ્તા સેતલવાડ પર થયેલા રૂપિયાના ગોટાળાના આરોપ ગૌણ બની જતા નથી, તેમ તિસ્તા પર આરોપ લગાડી દેવાથી સરકાર દૂધે ધોયેલી બની જતી નથી. લોહીથી ખરડાયેલા હાથવાળો સામેના પક્ષના ખિસ્સા પર પડેલા ડાઘાની ટીકા કરે, એવું આ લાગે છે. નિર્દોષ નાગરિકોની હત્યા અને તેનો રાજકીય ફાયદો એક તરફ, તો રૂપિયાના વહીવટી ગોટાળાનો આરોપ બીજી તરફ- આ બન્નેની ગંભીરતા એકસરખી નથી, એટલું પણ નાગરિક તરીકે સમજાવું જોઇએ.
સરકારોનો પ્રયત્ન એ રહે છે કે નાગરિકો આવું બઘું વિચારવાને બદલે, હોંશે હોંશે તેમનો પ્રચાર માની લે. ‘અમે ફક્ત પંદર જણા ને સામે ત્રણનું ટોળું’- એવા અંદાજમાં સરકાર પોતાનાં મસમોટાં પાપ ઢાંકવા માટે, સામેના પક્ષની મર્યાદાઓને અનેક ગણીને મોટી કરે છે અને તેમને અસલી ખલનાયક સાબીત કરવા ભરપૂર કોશિશ કરે છે. એ વખતે નાગરિકોએ સરકારી બુદ્ધિથી નહીં, પણ સ્વબુદ્ધિથી, ઠંડા કલેજે બન્ને પક્ષોનો તોલ કરવાનો થાય છે.
સરકારી પ્રચારતંત્ર બધા ટીકાકારોને એકસરખા ચીતરીને, તેમને એક લાકડીએ હાંકવાની વેતરણમાં હોય છે. (દા.ત. ‘મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા તિસ્તા સેતલવાડના સાથીદાર જ ગણાય’) દુઃખની વાત એ છે કે આ યુક્તિ ગુજરાતમાં સફળ થઇ. ઘણા લોકો નરેન્દ્ર મોદીના જુદા જુદા ટીકાકારોનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવાને બદલે, તેમના ગુણદોષ અલગથી જોવાને બદલે, તેમને ફક્ત ‘મોદીના ટીકાકાર’ તરીકે ઓળખતા અને ધિક્કારતા થયા.
ધિક્કારની આ લાગણી રાજનેતાઓ માટે બહુ કામની છે. પોતાની મસમોટી મર્યાદાઓ અને સત્તાલાલસા લોકોની નજરે ન ચડી જાય, એટલા માટે નેતાઓ હંમેશાં એક કે વઘુ ‘ધિક્કારપાત્રો’ (હેટ ઑબ્જેક્ટ)ની ખોજમાં હોય છે- એવાં પાત્રો, જેમની સામે આંગળી ચીંધીને ‘જુઓ, જુઓ, આ મને એટલે કે આપણને, એટલે કે આપણા મહાન રાજ્યને કે દેશને બદનામ કરી રહ્યાં છે’ એવા બરાડા પાડી શકાય. લોકોનું ઘ્યાન અને તેમનો રોષ એ તરફ કેન્દ્રિત કરીને, પોતાના ઉત્તરદાયિત્વમાંથી અને જવાબદારીઓમાંથી સહેલાઇથી છટકી શકાય.
આ કામ તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ બહુ અસરકારક રીતે કર્યું. પરંતુ આવું કરનારા તે પહેલા ન હતા. ગુજરાતની અસ્મિતાની ‘ખેતી’થી માંડીને ‘ગુજરાતવિરોધી’, ‘ગુજરાતદ્રોહી’ જેવાં વિશેષણો પોતાની સગવડે વેચવામાં ચીમનભાઇ પટેલ નરેન્દ્ર મોદીના પૂર્વસૂરિ હતા. નર્મદા યોજનાનો વિરોધ કરનાર મેધા પાટકરને, બસ ‘ડાકણ’ જાહેર કરવાનું બાકી રહ્યું હતું. મેધાબહેનના કે તેમના જેવા ચળવળકારોના આગ્રહો આત્યંતિક કે માગણીઓ વઘુ પડતી હોઇ શકે. પરંતુ ખોરી દાનત ધરાવતી સરકારો સાથે પનારો પાડવાનો હોય, ત્યારે વિશ્લેષણ લેખોના અંદાજમાં કાંટાકસ તોલનું ધ્યેય રાખી શકાતું નથી. સરકાર સામે સંઘર્ષ કરવાનો હોય ત્યારે ગમે તેટલી ઠંડક પછી પણ અમુક પ્રકારની આક્રમકતા અને આત્યંતિકતા ભળી જાય છે.
આવા પ્રસંગે સરકાર બે વલણ લઇ શકે : જેમના માટે આંદોલન ઉપાડવામાં આવ્યું હોય, એવા લોકો સાથે વાતચીત કરે. તેમને સીધા વિશ્વાસમાં લેવા પ્રયાસ કરે અને થોડા મહિનાના સમયગાળામાં પોતાની ચોખ્ખી દાનતની સારી છાપ બેસાડે. મોટા ભાગની સરકારોને આ રસ્તો અનુકૂળ આવતો નથી. સત્તાનો મદ અને કુટિલ કાવાદાવા પર ભરોસાના જોરે તે ‘સામ’ને બદલે દામ, દંડ કે ભેદ જેવાં હથિયારો વાપરવાનું વઘુ પસંદ કરે છે. એ માટે, સરકારની સામે પડેલા પાત્રનું ખલનાયકીકરણ કરવામાં આવે છે. એવું ચિત્ર બતાવવામાં આવે છે કે તિસ્તા સેતલવાડ કે મેધા પાટકર ગુજરાતનાં દુશ્મનો છે, દેશનાં દુશ્મનો છે, ગુજરાતની કે દેશની પ્રગતિ રોકવા કામ કરે છે, આવાં રોડાં નાખવા માટે તેમને ફલાણે ઠેકાણેથી ફંડિગ મળે છે, વગેરે.
ચળવળકારોની વાતમાં રહેલા વાજબી અને જનહિતના મુદ્દા સ્વીકારવાને બદલે નાગરિકો પણ સરકારી પ્રચારથી દોરાઇ જાય અને સરકારે સ્વાર્થવશ ઊભા કરેલા ખલનાયકોને અપનાવી લે, ત્યારે મોટું નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે, મેધા પાટકરને ગાળો દેતાં ન થાકતા કેટલા લોકો નર્મદા કેનાલોમાં મોદી પહેલાંની અને મોદી પછીની સરકારોએ કરેલા વિલંબ વિશે દસમા ભાગનો રોષ પ્રગટ કરીને, આ સરકારોને ગુજરાતદ્રોહીની ગાળ આપે છે? તિસ્તા સેતલવાડ વિશે બેફામ બોલતા કેટલા લોકો કોમી હિંસા પછી અસરગ્રસ્તોને રાહત અને ન્યાય પૂરો પાડવામાં સરકારની ખોરી દાનત વિશે ખોંખારીને બોલતા હતા? અને હજુ બોલે છે?
સરકારસ્થાપિત ધિક્કારમૂર્તિઓ વિશે પોતાના છેડેથી વિચારવું નાગરિકો માટે આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.
Tuesday, December 31, 2013
સત્યમેવ જયતે : નવી સીઝન
ભારતના જાહેર જીવનમાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જૂઠ્ઠો માણસ અંડાગડા કરીને કે પુરાવાના અભાવે નિર્દોષ સાબીત થાય, ત્યારે તે સૌથી પહેલું કામ ‘સત્યમેવ જયતે’ ટાંકવાનું કરે છે. કારણ કે પોતાનામાં રહેલી ‘ટ્રુથ ડેફિસિટ’નો- પોતાના ખોટ્ટાડાપણાનો- સૌથી વધારે અહેસાસ તેને હોય છે. કેલ્શિયમની ખામી ધરાવતો માણસ માટી જોઇને તેને ખાવા ઉશ્કેરાય, તેમ સાચની ખોટ ધરાવનારો માણસ પોતાની જીત થયા પછી સૌથી પહેલાં સાચનો જયજયકાર કરવા - અને એમ કરીને પોતે સાચો છે, એવું સિદ્ધ કરવા પ્રેરાય. આ યાદીમાં ગુજરાતના મુખ્ય મંત્રીનો સમાવેશ કરવો કે નહીં, એ વિશે મતભેદ છે. પરંતુ તેમણે પોતાના લેખમાં ૨૦૦૨ની કોમી હિંસા વિશે ભાષાની ચોપાટ માંડી છે, ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે સત્યની હંમેશાં જીત થાય છે, તેનો અર્થ એવો નથી કે જેની જીત થાય છે, એ હંમેશાં સત્ય જ હોય છે.
વડાપ્રધાન બનવા માટે છેલ્લા ઘણા સમયથી આકાશપાતાળ, ટીવી-ઇન્ટરનેટ-છાપાં એક કરી રહેલા ગુજરાતના મુખ્ય મંત્રીને પાછલાં વર્ષોમાં સદ્ભાવના પર્વ અને ‘રન ફોર યુનિટી’ જેવાં ભવ્ય ઇમેજ બિલ્ડિંગ કાર્યક્રમો યોજ્યા પછી પણ કઇ ડેફિસિટ સતાવતી હશે કે તેમણે ૨૦૦૨ની કોમી હિંસા વિશે સંવેદનાભાસી લેખ લખવો પડ્યો?
કારણ દેખીતું છે ઃ અહેસાન જાફરી કેસમાં યોગ્ય પુરાવાના અભાવે મુખ્ય મંત્રીને નિર્દોષ ઠરાવતો અહેવાલ અમદાવાદની કોર્ટે માન્ય રાખ્યો. તેનાથી મુખ્ય મંત્રીને આનંદ અને રાહત થાય તે સ્વાભાવિક છે. પરંતુ એટલાથી તેમને સંતોષ ન થયો. એટલે તેમણે એવું ચિત્ર ઊભું કર્યું, જાણે તેમને ફક્ત અહેસાન જાફરી કેસમાંથી નહીં, પણ ૨૦૦૨ના સમગ્ર ઘટનાક્રમમાંથી પુરાવાના અભાવે નિર્દોષતાનું પ્રમાણપત્ર મળી ગયું હોય.
સાદી સમજની વાત છે : ૨૦૦૨માં ગોધરામાં સળગાવાયેલી ટ્રેનમાં સંખ્યાબંધ હિંદુઓ કમકમાટી ઉપજે એ રીતે મૃત્યુ પામે, તેની નૈતિક જવાબદારી મોદી સરકારની હતી. ત્યાર પછી થયેલી મુખ્યત્વે મુસ્લિમવિરોધી હિંસા મહિનાઓ સુધી ચાલી, તેની જવાબદારી પણ મોદી સરકારની હતી. એવી સરકાર જેના મુખ્ય મંત્રી તરીકે મોદી હતા.
અહેસાન જાફરીનો કેસ ૨૦૦૨ના કમનસીબ અને શરમજનક ઘટનાક્રમનો મહત્ત્વનો પણ નાનો હિસ્સો હતો. તેમાં મુખ્ય મંત્રીની વ્યક્તિગત સંડોવણીનો આરોપ મુકાયો. એ આરોપમાં મુખ્ય મંત્રીને વ્યક્તિગત રીતે નિર્દોષ ઠેરવતો તપાસ સમિતિનો અહેવાલ નીચલી અદાલતે માન્ય રાખ્યો. તેનાથી વ્યક્તિ નરેન્દ્ર મોદીને આ કેસ પૂરતી ક્લિનચીટ મળી, પરંતુ ૨૦૦૨ના સમગ્ર ઘટનાક્રમમાં, રાજ્યના મુખ્ય મંત્રી તરીકેની જવાબદારીમાંથી તે શી રીતે સાફ છટકી શકશે? અને બીજા લોકો ઉપરાંત જાતને ક્યાં સુધી છેતરતા રહેશે?
શબ્દો, અર્થ, અનર્થ
બ્લોગ પરના લખાણની શરૂઆત મુખ્ય મંત્રીએ ૨૦૦૧ના ધરતીકંપના પગલે થયેલા વિનાશથી કરી છે. પછી ‘માઇન્ડલેસ વાયોલન્સ ઑફ ૨૦૦૨’ની વાત આવે છે. તેમાં ‘નિર્દોષો મર્યા, પરિવારો બેસહારા બન્યાં અને વર્ષોની મહેનતથી ઉભી થયેલી સંપત્તિ નષ્ટ થઇ’ એવો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીએ આ ઘટનાક્રમ માટે ‘અ ક્રિપલિંગ બ્લો ટુ એન ઓલરેડી શેટર્ડ એન્ડ હર્ટિંગ ગુજરાત’ એવો પ્રયોગ વાપર્યો છે. એટલે કે, તે ભૂકંપને કારણે વેરવિખેર અને આહત થયેલા ગુજરાતને પંગુ બનાવનારો ફટકો હતો. ત્યાર પછી તેમણે એક તરફ ભૂકંપનો ભોગ બનેલા અને બીજી તરફ રમખાણોનો ભોગ બનેલા- એવી રીતે વાત આગળ વધારીને, જુદાં કારણ ધરાવતી બન્ને કારુણીઓને સમાંતરે મૂકી દીધી છે. તેમનું નિર્દોષ વર્ણન વાંચીને અજાણ્યાને એવું જ લાગે, જાણે કોઇ આસુરી સૈન્ય કે વિદેશી ત્રાસવાદીઓ આવીને ૨૦૦૨ની હિંસા કરી ગયા હશે.
ભૂકંપના પડતા પર કોમી હિંસાના પાટુથી મુખ્ય મંત્રીની કેવી મનોસ્થિતિ થઇ હતી? વાંચો એમના જ શબ્દોમાં : ‘આવું અમાનુષીપણું જોયા પછી જે જાતનો ખાલીપો ઘેરી વળે છે તેને વ્યક્ત કરવા માટે ગ્રીફ (શોક), સેડનેસ (ઉદાસી), મિઝરી (વ્યથા), પેઇન (પીડા), એન્ગ્વિશ (સંતાપ), એગની (વેદના)- આ બધા શબ્દો ટાંચા પડે.’
એટલું કબૂલવું પડે કે આખી વાત કાવ્યાત્મક રીતે કહેવાઇ છે, પણ ૨૦૦૨ના અરસામાં અને ત્યાર પછી વર્ષો સુધી મુખ્ય મંત્રીનાં બેફામ નિવેદન અને આક્રમક મુદ્રા જોનાર-સાંભળનાર કોઇને ખ્યાલ સુદ્ધાં ન આવે કે મુખ્ય મંત્રીના મનમાં આટલી બધી દુઃખદ લાગણીઓ ભરેલી હશે. એ હિસાબે તેમનો જાત પરનો કાબૂ કહો કે પછી અભિનય કહો, એ જબરદસ્ત કહેવાય. તેમણે આપેલું કારણ એવું છે કે શાસકે પોતાનો સંતાપ જાહેર ન કરવો- એવું શાસ્ત્રવચન યાદ કરીને તે એકલા એકલા ચૂપચાપ દુઃખી થતા રહ્યા.
કદાચ એ દુઃખમાંથી હળવા થવા માટે જ તેમણે એ વર્ષે ગૌરવયાત્રા કાઢી હશે? મુખ્ય મંત્રી ભલે એ ભૂલાવી દેવા માગતા હોય, પણ ‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ખંડમાં મહેન્દ્ર મેઘાણીએ સ્વામિનાથન અંકલેસરીઆ ઐયરનો આખો લેખ ‘જનરલ ડાયરની ગૌરવયાત્રા’ એ મથાળા સાથે સામેલ કર્યો છે. (પાના નં.૯૬-૯૭) એ અરસામાં મહેન્દ્રભાઇએ આ લેખના અનુવાદનો સન્નિષ્ઠ રીતે પ્રચારપ્રસાર કર્યો હતો. મુખ્ય મંત્રીએ અત્યારે પશ્ચાદવર્તી અસરથી જે પીડાનો દાવો કર્યો છે, એવી અવસ્થામાં માણસને પહેલાં ઉપચારના બે સારા શબ્દો બોલવાનું અને ઘા પર મલમપટ્ટો કરવાનું સૂઝે કે ગૌરવયાત્રા કાઢવાના વિચાર આવે?
લેખના કેન્દ્રસ્થાને રહેલો અત્યંત મહત્ત્વનો- ઘણી જગ્યા રોકતો મુદ્દો કોમી હિંસામાં ભોગ બનેલા લોકોનાં દુઃખનો નથી. એ મુદ્દો છે : મુખ્ય મંત્રીએ પોતે વેઠેલી પીડા અંગેનો. તેમના દુઃખનો પાર નથી. આખો પત્ર હકીકતમાં કોમી હિંસાનો ભોગ બનેલા લોકોની નહીં, પણ એ લોકોના નિમિત્તે મુખ્ય મંત્રીને જે સ્થિતિમાં મુકાવું પડ્યું- અને હજુ એ સ્થિતિ ટળી નથી- એની પારાવાર વેદનાનો દસ્તાવેજ છે. ન કરે નારાયણ ને વડાપ્રધાન બનવામાં કોમી હિંસાનું લાંછન નડી જાય તો આ પીડા વળી અનેક ગણી વધી જાય. એટલે મુખ્ય મંત્રી ઇચ્છે છે કે નીચલી અદાલતના ચુકાદા સાથે ફક્ત અહેસાન જાફરી કેસમાંથી નહીં, આખા ૨૦૦૨ના ઘટનાક્રમમાંથી પોતાની જવાબદારીનો અને એની સાથે સંકળાયેલી વેદનાનો અંત આવી જાય. કદાચ એવી અપેક્ષાએ તેમણે નીચલી અદાલતના ચુકાદા પછી પોતે ‘લીબરેટેડ એન્ડ એટ પીસ’ હોવાની - મુક્તિ અને શાંતિ મળ્યાની - અનુભૂતિ જાહેર કરી છે.
મુખ્ય મંત્રી કહે છે કે તેમણે કોમી હિંસા પછી વારંવાર શાંતિ માટે, ન્યાય માટે અને ગુનેગારોને સજા થાય એ માટે સરકારની નૈતિક અને રાજકીય જવાબદારીની જાહેર ખાતરી આપી હતી. ‘ક્રિયાકી પ્રતિક્રિયા હોના આવશ્યક હૈ. હમ ન ક્રિયા ચાહતે હૈ, ન પ્રતિક્રિયા’ - એવું તેમનું પ્રખ્યાત વિધાન આવી અપીલનો જ હિસ્સો હશે?
- કે પછી ચૂંટણીસભાઓમાં પાકિસ્તાનના પ્રમુખ ‘મિંયા મુશર્રફ’નો શરૂઆતમાં ઉલ્લેખ કરી દીધા પછી આખી સભા દરમિયાન ગરજી ગરજીને ‘મિંયા સમજી લે..’ જેવી ડાયલોગબાજી કરવી, એ શાંતિની-ન્યાયની અપીલ હશે? ‘હમ પાંચ, હમારે પચીસ’નો તેમનો અમર પ્રયોગ કે પછી ‘પાણી શ્રાવણમાં નહીં આપીએ તો ક્યારે રમજાનમાં આપીશું?’ એવા જાહેર સભામાં કાઢેલા ઉદ્ગાર...કેટકેટલું યાદ કરવું? પરંતુ આટલા નજીકના ઇતિહાસને સાવ અવળા પાટે ચડાવવાની કોશિશ થાય ત્યારે એટલું જણાવવું પડે કે ગુજરાતના તમામ છ કરોડ નાગરિકો સામુહિક વિસ્મૃતિનો ભોગ બન્યા નથી.
કોમી હિંસા પછી થયેલી પોતાની ટીકાને તેમણે ગુજરાતની ટીકા તરીકે ખપાવી દીધી. નવાઇની વાત છે કે ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ની યોગ્ય રીતે ખિલ્લી ઉડાવનારા ‘મોદી ઇઝ ગુજરાત’ની ઘૂન પર કાંસીજોડા વગાડની ડોલવા લાગ્યા. એ ઘૂનની અપીલ ઓછી થઇ નથી, એવી અપેક્ષાએ મુખ્ય મંત્રીએ તેમનો આ જૂનો દાવ ફરી અજમાવ્યો છે.
લખાણના અંતે તેમણે લખ્યું છે : ‘કોઇ પણ સમાજ, રાજ્ય કે દેશનું ભવિષ્ય કેવળ સુમેળ (હાર્મની)માં છે, એ બાબતની મને ઊંડી પ્રતીતિ થઇ છે.’ આ વાક્ય સ્વતંત્રપણે આદર્શ ભાવના વ્યક્ત કરે છે. જો તેમણે અગાઉના આખા લખાણમાં પોતાની સરકારની ભૂમિકાનું ગેરરસ્તે દોરનારું આલેખન ન કર્યું હોત, તો સુમેળનો મહિમા કરતું તેમનું વાક્ય સચ્ચાઇનો રણકો ધરાવતું લાગ્યું હોત. પરંતુ તેમનો આશય જુદો અને સ્પષ્ટ છે. તેમણે લખ્યું છે, ‘હવે હું એવી પણ આશા રાખું છું કે સાચા નરેન્દ્ર મોદીને ઓળખવા અને તેમની સાથે જોડાવા માગતા બીજા ઘણા લોકોને (આ લેખ પછી- ક્લીનચીટ પછી) વઘુ બળ મળશે.’
લોકસભાની ચૂંટણી પહેલાં કે પછી મોદીના નામથી ખચકાટ અનુભવતા સાથી પક્ષો અને મુસ્લિમ મતદારો, સાંભળો છો? મુખ્ય મંત્રીના મહાન અફસોસગાન પછી હવે તમારો ‘સહકાર’ મળે તો જ તેમને ખરા અર્થમાં ‘લીબરેટેડ એન્ડ એટ પીસ’ની અનુભૂતિ થશે.
Monday, January 28, 2013
ત્રણ મિત્રો, ત્રણ નાટકઃ યાદગાર અનુભવ
![]() |
| Kartikey Bhatt/ કાર્તિકેય ભટ્ટ |
![]() |
| Abhishek Shah/ અભિષેક શાહ |
![]() |
| Kabit Thakore/ કબીર ઠાકોર |
Thursday, March 29, 2012
ગુણવંત શાહની ‘બૌદ્ધિક બદમાશી`
‘ગુજરાતની નિંદા કરવાની ફેશન’ એ મથાળા હેઠળ Gunvant Shah/ગુણવંત શાહે ‘દિવ્ય ભાસ્કર’ની રવિવાર, 18 માર્ચ 2012ની કટારમાં એક લેખ લખ્યો છે. તેના મુખ્ય મુદ્દા અને તેમાંથી મળતો લેખકનો કાર્ડિયોગ્રામ.
2002ના વર્ષ પછી એક એવો પવન શરૂ થયો, જેને કારણે ગુજરાતની નિંદા કરવામાં પ્રયોજાતી બૌદ્ધિક બદમાશી ફેશનમાં ફેરવાઇ ગઇ.
આ વિધાનમાં લેખક 1) ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકાને ‘ગુજરાતની નિંદા’માં ખપાવે છે. મુખ્ય મંત્રીના અંધ ચાહકો-સમર્થકો-ભક્તોનું આ પ્રમુખ લક્ષણ છે. 2) ‘ગુજરાતની (ગુજરાતના મુખ્ય મંત્રીની) ટીકા એટલે બૌદ્ધિક બદમાશી’ એવું પોતે બેસાડેલું સમીકરણ વધુ એક વાર તે સનાતન સત્ય તરીકે સ્થાપિત કરે છે.
ગુણવંત શાહની જૂની ટેક્નિક એ છે કે તે નામ પાડ્યા વગર અને પૂરતી માત્રામાં છટકબારીઓ રાખ્યા પછી, સ્વીપિંગ- આત્યંતિક વિધાનો કરે છે. ઉપર જણાવેલું વિધાન તેનો નમૂનો છે.
એ સંદર્ભે ગુણવંત શાહને સવાલ નં.1 – 2002ની કોમી હિંસાના મુદ્દે ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા બૌદ્ધિક બદમાશી કરે છે? (અહીં ‘બધા’માં પ્રકાશ શાહથી ઉર્વીશ કોઠારી સુધીના લોકોનો સમાવેશ થાય છે.) જવાબ ‘હા’ હોય તો બદમાશી વિશે ફોડ પાડીને, નામજોગ વાત કરો.
બીજાં રાજ્યોમાં એન્કાઉન્ટરો થાય છે. ત્યાં કર્મશીલો કાગારોળ કરતા નથી અને ‘બૌદ્ધિક બદમાશીનો લાભ ફક્ત ગુજરાતને જ શા માટે આપે છે?
ફેક એન્કાઉન્ટર એ વણઝારાપ્રેમી ગુણવંત શાહની દુઃખતી રગ છે. સોરાબુદ્દીનના એન્કાઉન્ટર કેસના મુદ્દે મેં પૂછેલા સીધા સવાલમાંથી એકેયનો જવાબ ગુણવંત શાહ આપી શક્યા ન હતા. એટલું જ નહીં, એ મામલે તેમની ઘણી ટીકા થતાં, તે મારી પર દબાણ લાવવાની હદે ઉતરી ગયા. તેમ છતાં વાત ન બની. એટલે તેમણે મારા એક ગુરુવત્ વડીલ લેખકને વચ્ચે રાખીને ‘સમાધાન’ કર્યું. અમારી વચ્ચે થયેલા ‘સમાધાન’નો એમની દૃષ્ટિએ અર્થ હતોઃ હું એમના વિશે વધુ ન લખું. મારા પક્ષે સમાધાનનો કે અંગત દુર્ભાવનો પ્રશ્ન ન હતો- નથી. મારો જે કંઇ વાંધો હતો તે હું સવાલો તરીકે રજૂ કરી ચૂક્યો હતો. તેના જવાબ આપવાનું એમના હાથમાં હતું. મારી દૃષ્ટિએ સમાધાનનો અર્થ હતોઃ એ ગુજરાતનાં રાજકીય રંગ ધરાવતાં એન્કાઉન્ટર વિશે અવિચારી-ગેરમાર્ગે દોરનારા-અંધ બચાવ કરતા લેખો ન લખે.
આટલી પૂર્વભૂમિકા પછી સવાલ નં.2- ગુજરાતમાં થતાં અને બીજાં રાજ્યોમાં થતાં એન્કાઉન્ટર વચ્ચેનો મૂળભૂત ફરક ગુણવંત શાહ જાણતા નથી કે જણાવવા માગતા નથી? ગુજરાતમાં એન્કાઉન્ટરમાં મરાયેલા દરેક ગુંડા મુખ્ય મંત્રીને મારવા માટે જ આવ્યા હતા એવું સરકારી વર્ઝન ગુણવંત શાહ સ્વીકારે છે? ગુજરાતમાં મુખ્ય મંત્રીના ખાસ ગણાતા એક સમયના ભાગેડુ ગૃહરાજ્યમંત્રી અને અત્યારના હદપાર ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તથા પોલીસ અફસરોની મંડળી ગુજરાતમાંથી ગુનાખોરી ઓછી કરવા માટે નહીં, પણ સોપારીઓ લઇને એન્કાઉન્ટર કરતી હતી, એ આરોપો વિશે ગુણવંત શાહનું શું કહેવું છે? ગુજરાતનાં ફેક એન્કાઉન્ટરનો મુખ્ય હેતુ અને ધ્યેય ટૂંકા રસ્તે ગુનાખોરી ઓછી કરવા માટેનો નહીં, પણ આર્થિક-રાજકીય હતો એનાથી ગુણવંત શાહ અજાણ છે? કે મુખ્ય મંત્રીની ભક્તિમાં તે આ હકીકતનો ધરાર ઇન્કાર કરે છે? અને છેલ્લો સવાલઃ એન્કાઉન્ટરમંડળી જેલમાં ગઇ ત્યાર પછી ત્રાસવાદીઓની હિંમત વધવી જોઇએ અને મુખ્ય મંત્રી પરનું જોખમ પણ વધવું જોઇએ. પરંતુ થયું છે ઉલટું. એન્કાઉન્ટરમંડળીના જેલવાસ પછી મુખ્ય મંત્રીની હત્યાનો એક પણ પ્રયાસ થયો નથી. એ વિશે ગુણવંત શાહનું શું કહેવું છે?
‘કાશ્મીરમાં આઝાદી પછી 370 મંદિરો તૂટ્યાં છે અને એક જૈન દેરાસર ભોંયભેગ થયું. સેક્યુલર ગણાતા લોકોએ આવે વખતે ખોંખારો પણ નથી ખાધો’ એવું લખીને ગુણવંત શાહે (વધુ એક વાર) પુરવાર કરી આપ્યું છે કે આ બાબતમાં તેમની સમજણની પહોંચ, કારણ-અકારણ કોઇ પણ બાબતમાં કાશ્મીર લઇ આવતા કેસરિયા પાયદળ જેટલી જ છે.
‘ગુજરાતમાં જનસંઘર્ષ મંચ ખૂબ ગાજે છે. હવે જનસુમેળ મંચ ક્યારે રચાશે? ઘા પહોળો કરવાની જાણે હરીફાઇ ચાલે છે. ગુજરાતને થતા અન્યાયનો સૌથી મોટો ગેરલાભ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને થતો રહ્યો છે. ન્યાયશાસ્ત્રનો એક વણલખ્યો નિયમ છે કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ ગણવામાં આવે. આવો લાભ આતંકવાદીને મળ્યો છે, પરંતુ મોદીને નથી મળ્યો.’
‘ઘા પહોળો કરવાની હરિફાઇ’ અને ‘ન્યાય અપાવવા માટેની લડત’ વચ્ચેનો તફાવત મુખ્ય મંત્રીપ્રેમી ગુણવંત શાહને ન સમજાય એ સ્વાભાવિક છે. પરંતુ મુખ્ય મંત્રીને કારણે થયેલી ગુજરાતની બદનામી વિશે વાત કરવાને બદલે, આખી વાતને ‘ગુજરાતને કારણે મુખ્ય મંત્રીને થયેલા અન્યાય’નું સ્વરૂપ આપીને ગુણવંત શાહે અનન્ય મોદીભક્તિ દાખવી છે. ‘ન્યાય ન્યાયનું કામ કરશે’ એવી સૂફિયાણી વાતો કરનારા ગુણવંત શાહને અંદાજ છે કે જનસંઘર્ષ મંચ જેવી સંસ્થાઓને કારણે જ ન્યાય ન્યાયનું કામ, જેટલું પણ થયું એટલું, કરી શક્યો છે?
રહી વાત ન્યાયશાસ્ત્રની. એનો વણલખ્યો નિયમ પળાયો છે એટલે જ મુખ્ય મંત્રી જેલની બહાર છે અને આતંકવાદી તથા આતંકવાદના કાચાપાકા આરોપોસર પકડાયેલા ઘણા લોકો જેલની અંદર છે. ન્યાયશાસ્ત્રનો એકેય નિયમ એવું કહેતો નથી કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી સંભવિત ગુનેગાર સામે આંગળી પણ ન ચીંધવી. મુખ્ય મંત્રીને ‘હિટલર’ કહેનારા સાથે હું સંમત નથી. પરંતુ ગુણવંત શાહની ખાસિયત (જેને ગુણવંતીય શૈલીમાં ‘બદમાશી’ કહી શકાય) એ છે કે તે મુખ્ય મંત્રીના બધા જ ટીકાકારોને ‘બૌદ્ધિક બદમાશી’ની એક જ લાકડીએ હાંકવા નીકળી પડે છે.
સવાલ નં.3- ગુણવંત શાહ માને છે કે 2002માં જે કંઇ થયું તેમાં નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની ગણાય? અને તેમણે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ દાખવ્યું હોત તો હિંસા ઘણે અંશે નિવારી શકાઇ હોત અથવા આટલી ફેલાઇ ન હોત અથવા ઝડપથી કાબૂમાં આવી ગઇ હોત? આ જવાબ આપવા માટે ન્યાયપ્રક્રિયા પૂરી થવા દેવાની જરૂર નથી. સિવાય કે 2002માં ગુણવંત શાહ આંખ-કાન-દિમાગ બંધ કરીને બેઠા હોય.
છેલ્લે, મુખ્ય મંત્રીની કોપીબુકમાંથી લેવાયા હોય એવા વાક્ય સાથે ગુણવંત શાહ લેખની સમાપ્તિ કરે છેઃ ‘વારંવાર ઘા પહોળા કરીને પોતાનો રોટલો શેકી લેવાની તમન્ના રાખનારા કેટલાક લોકોને ગુજરાત હવે ઓળખી ચૂક્યું છે. એમના મોદીદ્વેષ ગુજરાતદ્વેષમાં ફેરવી નાખવાની જરૂર નથી.’
***
અસલામતીથી પીડાતી માનસિકતાના વણમાગ્યા પુરાવા આપતા ગુણવંત શાહ છાશવારે લોર્ડ ભીખુ પારેખને વચ્ચે લાવીને પોતાની વાતમાં બૌદ્ધિકતા-વિશ્વસનિયતાનું અને મોરારીબાપુને વચ્ચે લાવીને લોકપ્રિયતાનું વજન ઉમેરવાના પ્રયાસ કરે છે. આ લેખના અંતે તેમણે મોરારિબાપુનું એક વિધાન સંદર્ભ વિના ટાંક્યું છે. ‘ગુજરાત માટે કોઇ સારું બોલે તો કેટલાકને ખાવાનું પચતું નથી.’
આવા લોકરંજક વિધાનથી ગુણવંત શાહને શું સિદ્ધ કરવું છે એ તો એ જ જાણે, પણ એ વિધાનના અંદાજમાં આપણને શંકા જાય કે ગુજરાતમાં કોઇ ન્યાયની વાત કરે, મુખ્ય મંત્રીની ટીકા કરે કે પોલીસ-ગુંડા-સોપારી-એન્કાઉન્ટરની સાંઠગાંઠ વિશે વાત કરે તો ગુણવંત શાહને ખાવાનું પચતું નહીં હોય?
અગાઉ લખ્યું હતું એ જ ફરી કહેવાનું રહે છે કે ગુણવંત શાહ જેવા જાણીતા લેખક કોઇ લાભની અપેક્ષાએ આ બધું કરતા હોય તો તે શરમજનક છે, પણ તે કોઇ લાભની અપેક્ષા વિના કરતા હોય તો એ ખતરનાક છે.
('નિરીક્ષક', એપ્રિલ, 2012)



