Friday, April 30, 2021

નાગપુરના વડીલનો વિલક્ષણ કિસ્સો

મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (નાગપુર)- RSS તરફથી લેખિતમાં જાહેર કરવામાં આવ્યું કે સંઘના ૮૫ વર્ષના એક સ્વંયસેવકે ૪૦ વર્ષના એક દર્દીને જગ્યા મળે એ માટે પોતાનો બેડ ખાલી કરી આપ્યો. ત્રણ દિવસ પછી એ વડીલનું ઘરે અવસાન થયું.

RSS ના લેખિત દાવા પ્રમાણે, વડીલની હાલત ગંભીર હતી. તેમનાં સંતાનો રડતાં હતાં. પણ વડીલે હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે તે ૮૫ના થયા. પૂરું આયખું જીવી ચૂક્યા છે. એટલે (હોસ્પિટલમાં આવેલા) ૪૦ વર્ષના માણસને તેમનો બેડ આપી દેવામાં આવે. વગેરે.

RSS ના લેખિત દાવા પ્રમાણે, ડોક્ટરે અને વડીલના જમાઈએ તેમને સમજાવ્યા કે તેમની સારવાર હોસ્પિટલમાં થવી બહુ જરૂરી છે. પણ તે માન્યા નહીં. દીકરી આવી. તે પિતાની લાગણી સમજતી હતી. તે કબૂલ થઈ. વડીલે સંમતિપત્ર પર સહી કરી આપી, ઘરે ગયા અને ત્રણ દિવસ પછી તેમનું અવસાન થયું. 

***

આ સ્ટોરી RSS દ્વારા જારી કરવામાં આવી. દેશભરમાં તે ખૂબ પ્રસાર પામી. પછી બુધવારના રોજ 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના પત્રકાર વિવેક દેશપાંડેએ જાતતપાસ કરતાં આટલી વિગત જાણવા મળી.

- મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલનાં ઇન ચાર્જ ડો. શીલુ ચિમુરકરે કહ્યું કે વડીલને એપ્રિલ ૨૨ની સાંજે ૫.૫૫ વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઓક્સિજનની સુવિધા ધરાવતા કેઝ્યુઅલ્ટી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. અમે તેમનાં કુટુંબીજનોને કહ્યું હતું કે તેમની પરિસ્થિતિ કથળશે તો તેમને વધુ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલમાં ખસેડવા પડશે.

- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, સાંજે ૭.૫૫ વાગ્યે તેમનાં કુટુંબીઓ આવ્યાં અને તેમને રજા આપવાની માગણી કરી. કારણ અમે જાણતાં નથી. અમે તેમને વધુ સારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેમના જમાઈએ તબીબી સલાહથી ઉપરવટ જઈને રજા લેવા માટેના સંમતિ પત્ર પર સહી કરી. પછી અમે તેમને રજા આપી. 

- ડો. ચિમુરકરે કહ્યું કે (RSS દ્વારા જેવો દાવો કરવામાં આવ્યો છે) એવી કોઈ વાત દર્દીને અમારા સ્ટાફ સાથે થઈ નથી કે તે સમયે ડ્યુટી પર રહેલો કોઈ સ્ટાફ, બીજા માણસ માટે બેડ ખાલી કરી આપવા જેવી કોઈ ઘટના બની હોય એવું જાણતો નથી.

- તે દિવસે કેટલા બેડ ખાલી હતી? એવું પૂછતાં ડોક્ટરે કહ્યું કે તે દિવસે ચાર-પાંચ બેડ ખાલી હતા. 

***

'ધ ક્વિન્ટે' વડીલનાં દીકરીને ટાંકીને લખ્યું છે કે હૉસ્પિટલના કૉરિડોરમાં ઘોંઘાટ અને બેડ માટે જરૂરતમંદ લોકોને જોઈને તેમનાથી રહેવાયું નહીં. વડીલે કહ્યું કે તેમણે પૂરું જીવી લીધું છે અને તે બીજાને તક આપવા માગે છે. દીકરીએ  કહ્યું કે બીજા માટે બેડ ખાલી કરી આપવાની ઇચ્છા વિશે તેમણે ફક્ત અંગત સ્વજનોને જ કહ્યું હતું. 

***

'ઇન્ડિયન એક્સપ્રેસ'ની સ્ટોરી એપ્રિલ ૨૮ની છે ડેટલાઇનની છે અને ક્વિન્ટની સ્ટોરી એપ્રિલ ૩૦ની. 'ઇન્ડિયન એક્સપ્રેસ'ની સ્ટોરી આવ્યા પછી RSS તરફથી સ્થાનિક સ્તરે ડૅમેજ કન્ટ્રોલ ન થયો હોય અને વડીલનાં દીકરી સંપૂર્ણ સત્ય કહેતાં હોય એવું માની લઈએ તો, વડીલની લાગણી સમજી શકાય એવી છે અને તેમનો નિર્ણય  માન પેદા કરે એવો છે.કોની જરૂર વધારે? એ સવાલ બધાં આ રીતે સમજે તો દુનિયામાંં સમસ્યા જ ન રહે. બધાં નહીં ને થોડાં સમજે તો પણ મોટું કામ થાય. માટે, દીકરીની વાત સાચી હોય તો એ વડીલને સલામ.

તેમનાં દીકરીની વાત પૂરેપૂરી સાચી માનીએ ત્યાર પછી પણ,

(૧) ૪૦ વર્ષના દર્દી માટે વડીલે બેડ ખાલી કરી આપ્યો, એવો RSS.નો દાવો ખોટો પુરવાર થાય છે.

(૨) વડીલે ડોક્ટર સાથે વાત કરીને બેડ ખાલી કરી આપ્યો, એવો RSS નો દાવો પણ ખોટો નીવડે છે.

(૩) એ દિવસે હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી ન હતો. એટલે વડીલે બેડના અભાવે પીડાતા કોઈ માણસ માટે પોતાનો બેડ ખાલી કરી આપ્યો અને પેલા માણસની જિંદગી બચાવી લીધી, એવો RSS નો દાવો પણ ખોટો પુરવાર થાય છે. 

(૪) ઉપરના તમામ ખોટા પુરવાર થયેલા દાવા RSS ના છે. 'ધ ક્વિન્ટ'ના અહેવાલમાં વડીલની દીકરીનો આવો કોઈ દાવો નોંધાયો નથી.  

(૫) મૃત વ્યક્તિના કિસ્સામાં મીઠુંમરચું ભભરાવીને, જૂઠાણું ઉમેરીને, તેના થકી RSS નો મહિમા કરવામાં મૃત વ્યક્તિનું અપમાન નથી? કોઈનું મૃત્યુ પોતાના લાભ માટે વટાવી ખાવાની ચેષ્ટા નથી? 

***

વિચારજો. જાતે વિચારજો. જાતે વિચારવાનું શરૂ નહીં કરો, તો આનાથી પણ કપરો સમય આવશે અને ભક્તોની સરકાર દેશની ખાનાખરાબી પૂરી કરશે.

Thursday, April 29, 2021

આવો, સરકારી અરાજકતાની અને મિસમૅનેજમૅન્ટની ટીકા કરનારાઓને ઉપદેશ આપીએ

જાણીતા સાહિત્યકાર રઇશ મણિયારની એક પોસ્ટ આજે વાંચવામાં આવી. સામાન્ય રીતે વ્યક્તિ તેની વૉલ પર લખે તો એ તેનો અભિપ્રાય છે એમ માનીને ચર્ચામાં ઉતરવું પસંદ કરતો નથી. પરંતુ તેમણે એકંદર સ્થિતિ વિશે વિશ્લેષણાત્મક લખ્યું છે અને તે ગેરમાર્ગે દોરનારું છે એવું લાગવાથી, મને જે સચ્ચાઈ લાગે છે તે દર્શાવવા માટે આ લખવાની ફરજ પડી છે.

રઈશભાઈ જોડે મિત્રાચારી કહેવાય એવી નિકટતા તો નથી. બે-ત્રણ વાર મળ્યા હોઈશું. તેમના માટે સ્વાભાવિક સદ્‌ભાવ છે. એટલે તેમને ટૅગ કરીને જ આ લખું છું. કમેન્ટ કરનાર સૌને વિનંતી કે વાજબી આક્રોશ કે રોષ વ્યક્ત કરતી વખતે પણ સભ્યતા ન ચૂકવી.

તેમની આખી પોસ્ટના કેટલાક મુખ્ય મુદ્દાઃ

- અત્યારની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર વાઇરસ પોતે છે

- એક આખો ફકરો તેમણે સરકારના ટીકાકારો માટે સમર્પીત કર્યો છે. લખ્યું છે, ‘સરકારે પણ પોતાની સક્રિતા અને વિશ્વસનિયતા પુરવાર કરવાની જ છે. સરકાર આ પરિસ્થિતિમાં ય મજા લેનારા ટ્રોલરોની ચિંતા તો ન જ કરે, પણ આમજનતાનો વિશ્વાસ ઉઠી ન જાય એનું ચોક્કસ ધ્યાન રાખશે. સરકારની ફરજ છે કે હાથ ઊંચા કરી દેવાને બદલે સુચારુ વ્યવસ્થા જલદી સ્થાપે. સ્વજનો ગુમાવી રહેલી પ્રજાની ધીરજની વધુ કસોટી ન થાય. અહંકારમાં રાચતા અમુક રાજકારણીઓ આમાંય ભ્રષ્ટાચાર કે લાગવગને ઉત્તેજન આપતા હોય તો એમને કાબૂમાં લે. સક્ષમ આઇએએસ અધિકારીઓને કઠપૂતળી બનાવી રાખવાને બદલે એમને સત્તા સોંપે.’

- તેમણે સુરતનું અંદાજિત આંકડાકીય ઉદાહરણ આપીને લખ્યું છે કે કોઈ બિમારી એવી ફાટી નીકળે કે જરૂરિયાત પાંચ કે દસ ગણી થઈ જાય તો ભલભલી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય...

- આખી વાતમાં સરકારની કે સિસ્ટમની ટીકા વિશે તેમણે આટલું લખ્યું છે, ‘સિસ્ટમ કે સરકારની કોઈ ભૂલ નથી—એવી ક્લીનચીટ અપાય એમ નથી. દેખીતી અવ્યવસ્થા છે. પણ એમાં સૌથી વધુ જવાબદાર આ આપત્તિ પોતે છે.’ અને પછી તરત તે લખે છે, ‘આટલું કહ્યા પછી આપણે જોઈએ છીએ કે ઝડપથી ઓક્સિજનના પ્લાન્ટ શરૂ થયા. ટેંકરોની હેરફેર શરૂ થઈ.’

***
મારા મતે આ પોસ્ટમાં રહેલી કેટલીક મૂળભૂત વાંધાજનક અને મને ખોટી લાગેલી બાબતોઃ

- આ પોસ્ટ પક્ષાપક્ષીથી પર રહેવાની વાત કરે છે, પણ તેનો સીધો અને દેખીતો હેતુ અત્યારની અરાજકતા માટે સરકારને જવાબદાર ઠેરવનારા લોકોની ટીકા કરવાનો-તેમને શાંત પાડવાનો છે. આ કામ સરકારી પ્રવક્તાનું હોઈ શકે. સ્વતંત્ર નાગરિકનું નહીં. નાગરિકોને ટાઢા પાડવાનું કામ બેશક થઈ શકે, પણ તે નાગરિકોની લાગણીનો વિચાર કરીને. સરકારનો બચાવ લાગે એ રીતે નહીં.

- આમ તો હેતુનું આરોપણ કરતાં પહેલાં વિચાર કરું, પણ ઉપરની શંકા ઘુંટાવાનું બીજું મહત્ત્વનું કારણઃ
‘સિસ્ટમ કે સરકારની કોઈ ભૂલ નથી—એવી ક્લીનચીટ અપાય એમ નથી’—આટલી લવિંગ કેરી લાકડીએ સરકારને સ્પર્શી લીધા પછી તરત તે સરકારે ફટાફટ શું કરવા માંડ્યું તે દર્શાવવા લાગે છે. (ઓક્સિજનના પ્લાન્ટ-ટેંકરોની હેરફેર) તેમની વાતનો સ્પષ્ટ ધ્વનિ એવો છે કે 'સરકારે કે સિસ્ટમે ભૂલ કેવી તરત સુધારી લીધી? તમે બધા નાહકના પાછળ પડી ગયા છો.'

- સરકારની સીધી જવાબદારીવાળી અને સરકારનો જ સંપૂર્ણ વાંક કાઢવો પડે એવી અવ્યવસ્થા કેવી અને કઈ કઈ છે, તેની લાંબી યાદી કરી શકાય એમ છે. અને એમાં વોટ્સએપ યુનિવર્સિટીવાળા જે ઘરમાં દસ જાજરૂવાળી દલીલ કરતા હતા, એ પ્રકારની દલીલ (પાંચ-દસ ગણી જરૂરિયાત..સિસ્ટમ કોલેપ્સ) જરાય ટકે એમ નથી. તે હવે ઘણુંખરું માત્ર ને માત્ર આયોજનની આવડત કે તેના અભાવનો જ સવાલ છે. મારી વાત તમને સરકારવિરોધી લાગતી હોય તો, છેલ્લા દિવસોમાં હાઇકોર્ટે જે કંઈ કહ્યું છે તે તપાસી જુઓ.

હાઇકોર્ટ દ્વારા અપાતા ઠપકા પછી જ સરકાર 'કંઈક કરવુ પડશે' ની મુદ્રામાં આવે છે--અને તે પણ બધી વાતમાં નહીં. હાઇકોર્ટે ઠપકો આપ્યા પછી કેટલાં સરકારી પગલાં અમલમાં આવ્યાં, તે જોવાથી મારી વાત તરત સમજાઈ જશે.

અને એ યાદ રાખીએ કે રઈશભાઈને જેમની સામે બહુ વાંધો છે એવા ટીકાકારોને કારણે જ આ શક્ય બને છે. આટલા ઊહાપોહ પછી સરકાર માંડ હાલે છે, તો 'આ આપત્તિ માટે સૌથી વધુ જવાબદાર આપત્તિ પોતે જ છે'--એવી ઠાવકાઈ રાખીને બેસી રહીએ તો શું થાય?

.- બંગાળની અને બીજાં રાજ્યોની ચૂંટણી, કુંભમેળાનું આયોજન અને એ બધા પહેલાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને રઈશભાઈએ એટલી હળવાશથી આલેખી છે અને સરકારી એડવોકેટ જનરલની ભાષા યાદ આવી જાય તેમ લખ્યું છે કે ‘તે ટાળી શકાયું હોત, પણ...’

રઈશભાઈ લખે છે કે માર્ચ મહિનામાં કોઈને ચોક્કસ ખબર નહોતી કે એપ્રિલ આવો આવશે.અત્યારે ડહાપણ ડહોળવું સહેલુ છે. (અહીં ટીકાકારો પ્રત્યેની ખીજ જરા બિનઠાવકા શબ્દોમાં પ્રગટ થઈ છે. પણ વાંધો નહીં.)

ચોક્કસ ખબર એટલે શું? આ જગતમાં આગોતરી તૈયારી જેવી પણ એક ચીજ હોય છે, જે મૅનેજમૅન્ટનો ભાગ હોય છે. હું શાની વાત કરું છું, તેનું એક ઉદાહરણ આજના 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં છે. તેમાં લખ્યું છે કે ગત સપ્ટેમ્બરમાં કોરોના ઓસરી ગયા પછી ત્યાંના કલેક્ટરને થયું કે કેસમાં ફરી વધારો થઈ શકે છે. એટલે તેમણે જિલ્લા સ્તરે ઓક્સિજનનો એક પ્લાન્ટ સ્થાપ્યો.

સરકાર પાસેથી આવા મૅનેજમૅન્ટની અપેક્ષા છે અને ઉઘાડી આંખે કેસો વધતા દેખાતા હોય, છતાં સરકાર ઇમેજ મૅનેજમૅન્ટમાં જ મોટા ભાગનું ધ્યાન આપતી હોય અને રઈશભાઈને જેવા તેનો બચાવ કરે એ તો...

- તે લખે છે, 'ટીકામાં તથ્ય હોય તો પણ ટીકા મુદ્દાસર અને માપસરની હોવી જોઈએ.' ભાઈ મારા, હોસ્પિટલમાં ૧૦૮ વિના પ્રવેશ ન મળતા હોય, ઓક્સિજન માટે દર દર ભટકવું પડતું હોય, ઇન્જેક્શનનાં ઠેકાણાં ન હોય, (આ લખતો હતો ત્યારે જ રેમડેસિવિરની જરૂર છે અને વ્યવસ્થા ક્યાંયથી થતી નથી--એ મતલબનો એક ફોન અમદાવાદથી આવ્યો). અરે, ટેસ્ટ કરાવવા માટે બબ્બે-ચચ્ચાર કલાક આવી ગરમીમાં ઊભા રહેવું પડતું હોય, ત્યારે લોકોએ કેટલી ને કેવી ટીકા કરવી એનું માપ તમે નક્કી કરશો? અને એ પણ ઠપકાના ભાવથી?

એટલું યાદ રાખવું જોઈએ કે અત્યારે થઈ રહેલી સરકારની ટીકા ભાજપના સાયબર સેલની જેમ સુઆયોજિત અને કોઈના ઇશારે થતી નથી. અત્યારે થઈ રહેલી મોટા ભાગની ટીકા, કાયમ ફાંકાફોજદારી કરતી અને કાયમ ફોટા-પ્રચાર-જાહેરખબરો અને જૂઠાણાં દ્વારા ક્ષુલ્લક બાબતોમાં જશ લેવા દોડતી સરકારની અસલિયતમાંથી પેદા થઈ છે. આવી, પ્રામાણિકતાથી ભૂલકબૂલ કરીને સુધરનારી નહીં, પણ ઇમેજને જ સર્વસ્વ ગણનારી સરકારની વાસ્તવિકતા અંગે લોકોની વ્યથા અને આક્રોશમાંથી પેદા થયેલી છે.

- છેલ્લે તેમણે લખ્યું છે કે સરકારે આમ કરવું જોઈએ, સરકારે તેમ કરવું જોઈએ (આઇપીએસને કઠપૂતળી બનાવવાનું છોડવું જોઈએ)... ભલા માણસ, સરકાર પોતાના ઇમેજ મૅનેજમૅન્ટ સિવાય બીજું કશું કરવામાં રસ ધરાવતી નથી, એ સાદું સત્ય હજુ નથી સમજાતું તો ક્યારે સમજાશે? એના માટે ટીકાકાર કે ટ્રોલર હોવાની જરૂર નથી. ફક્ત શાંતિથી સરકાર જે કરે છે અને જે નથી કરતી તે જોવાની જ જરૂર છે.

લખવાનું ઘણું છે, પણ મુખ્ય મુદ્દા આટલામાં આવી જાય છે. એટલે રઈશભાઈની ગઝલના જ બે શેરથી વાત પૂરી કરું.

દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે

જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ, કલાકાર ઉપરછલ્લા છે

Monday, April 26, 2021

સાહેબના બચાવની છેલ્લી છેલ્લી દલીલો

નરેન્દ્ર મોદીના તમામ સમર્થકો ખડી પડે એવા, નાગરિકો માટે કરુણ અને અરાજકતાભર્યા માહોલમાં, કેટલાક ભક્તોની ભક્તિ હજુ અવિચળ તપે છે. તે એક યા બીજી રીતે નરેન્દ્ર મોદીના-કેન્દ્ર સરકારના-ગુજરાતની રાજ્ય સરકારના બચાવમાં-પ્રશંસામાં લખ્યા કરે છે. તેમની ભક્તિપૂર્ણ દલીલો સામે અસલિયત મુકતાં પહેલાં નરેન્દ્ર મોદીના ભક્તો અને તેમના ટીકાકારો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજી લેવો જરૂરી છે.
***
ભક્તો નરેન્દ્ર મોદીની ભક્તિની બાબતમાં એક જ પ્રકારની લાગણીથી દોરવાતા હોય છે. એક સમયે મોદી-સમર્થકોમાં પણ જુદા જુદા પ્રકાર હતા. જેમ કે, ડાબેરીઓના વિરોધી, કોંગ્રેસના વિરોધી, ગાંધી-નહેરુના વિરોધી, મુસલમાનોના વિરોધી… ઘણાખરાનો વિરોધ ધિક્કારની કક્ષાનો હતો. પરંતુ આટલા વખતમાં ધ્રુવીકરણનું વલોણું એવું ફર્યું છે કે મોદીના બધા સમર્થકો એકરસ (સમરસ) થઈ ગયા છે. તેમની વચ્ચેના ભેદ મટી ગયા છે. તે મહદ્ અંશે એક જ પ્રકારની ચાવીથી, એક જ ચીલે હંકાનારા અથવા હંકારનારા થઈ ગયાં છે.

બીજી તરફ છે નરેન્દ્ર મોદીના ટીકાકારો. તેમનામાં હજુ પણ અનેક પ્રકાર છે. કોંગ્રેસી, ડાબેરી, ‘આપ’વાળા, ગાંધીવાદી, આંબેડકરવાદી, મધ્યમ માર્ગી, મોદીમોહમાંથી નિર્ભ્રાંત થયેલા, નાગરિક ભૂમિકાએ રહીને ટીકા કરનારા…હજુ બીજા હશે. દેખીતું છે કે આટલા બધા જુદા જુદા વિચારવાળા લોકોને એક રીમોટ કન્ટ્રોલથી ન હંકારી શકાય. ધ્રુવીકરણનું વલોણું ફરતું રહ્યું તેમ ભક્તોની તીવ્રતાની સાથે મોદીવિરોધીઓની તીવ્રતા બેશક વધી છે. ઘણી વાર તેમાં અસ્વસ્થતા અને આત્યંતિકતા પણ ભળી જાય છે. છતાં, તેમનો કોઈ એક સમુહ નથી, જેને સાયબર સેલની માફક કે આર.એસ.એસ.ની માફક એકજથ્થે મેદાનમાં ઉતારી શકાય. તેમાંથી ઘણા બધા તો મોદીવિરોધ સિવાયની સારી એવી બાબતોમાં એકબીજાના ટીકાકાર કે વિરોધી પણ હોઈ શકે છે. પરંતુ મોદીભક્તો એવો પ્રચાર કરે છે કે મોદીનો વિરોધ કરનારા બધા એકરૂપ-એકજૂથ છે.
***
દેશ માટે સર્જાયેલી અભૂતપૂર્વ કરુણતાના માહોલમાં વડાપ્રધાન મોદીની અને તેમની સરકારની જવાબદારી એટલી સીધી છે કે તેમના ભક્તોને કદાચ પહેલી વાર તેમનું કામ અઘરું લાગી રહ્યું છે. પહેલી વાર તે આક્રમણને બદલે મોટા પાયે બચાવની, મૌનની કે કામચલાઉ સ્વીકારની ભૂમિકામાં જોવા મળે છે.

મોદી અને તેમની સરકારની જવાબદારી અંગ્રેજીમાં જેને ‘કમિશન એન્ડ ઓમિશન’ કહે છે, એવી બંને પ્રકારની છે. એટલે કે, તેમણે જે કર્યું છે—ફાંકાફોજદારી, ઇમેજ મૅનેજમૅન્ટ, ચૂંટણી રેલીઓ, ક્રિકેટ મેચ, કુંભમેળો, કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન વગેરે—
અને જે નથી કર્યું—કોરોના તરફથી એક વારની ચેતવણી મળ્યા પછી કરવી જોઈતી તૈયારીઓ, આફત આવ્યા પછી બધું લક્ષ્ય તેના ઉકેલમાં પરોવવાની સન્નિષ્ઠતા, ભૂલોનો સ્વીકાર કરીને તેમાંથી શીખવાની-સુધરવાની તત્પરતા વગેરે—

આ બંને બાબતો વર્તમાન કરુણ પરિસ્થિતિના અને અરાજકતાના સર્જનમાં મોટા પાયે જવાબદાર છે. લોકોની બેદરકારીનો મુદ્દો ચોક્કસપણે છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં. પરંતુ લોકોની બેદરકારી તળે સર્વસત્તાધીશ સરકારની આગવી બેદરકારી કોઈ રીતે સંતાડી શકાય એમ નથી.
***
એટલે છેલ્લા ઉપાય તરીકે, બધું ભૂલાવી દેનારું કશુંક મોટું ગતકડું ન મળે ત્યાં સુધી, કપરો સમય કાઢવા માટે ભક્તો અવનવી દલીલો રજૂ કરી રહ્યા છે. તેમની સાથે સંવાદ કે ચર્ચાની કોઈ ભૂમિકા જ બનતી નથી. એટલે ચર્ચાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ અનુમાન નથી, ભૂતકાળના અનેક પ્રયાસોની નિષ્ફળતામાંથી મળેલો બોધપાઠ છે.

પરંતુ સોશિયલ મિડીયા પર હજુ પણ સાહેબની તરફેણમાં અવનવી દલીલો રજૂ થઈ રહી છે. ઢચુપચુ માનસિકતા ધરાવતા લોકોને તેમ જ ન્યાયના ભોગે ‘તટસ્થ’ દેખાવાના શોખ ધરાવતા લોકોને ખેંચવાનો અથવા કમ સે કમ વિમુખ થતા અટકાવવાનો તેમનો પ્રયાસ છે. આવી દલીલ કરનારા સાથે ગંભીર ચર્ચામાં ઉતરવું એ સમયનો સંપૂર્ણપણે બગાડ છે. પરંતુ તેમની દલીલો વાંચીને મનમાં જરા જેટલી પણ અવઢવ જાગે નહીં એટલા પૂરતી, એ દલીલો વિશે પ્રાથમિક ટિપ્પણીઓ. આવા કપરા સમયે ભક્તો કેવી કેવી દલીલો કરતા હતા તેના દસ્તાવેજીકરણ તરીકે પણ એ ભવિષ્યમાં ખપ લાગશે.
***

૧. ‘આમાં નરેન્દ્ર મોદી શું કરે? આ તો સિસ્ટમની નિષ્ફળતા છે.’
સાહેબે પોતાના જયજયકાર, વિરોધીઓ વિશેનાં જૂઠાણાંના પ્રચાર, ચૂંટણીઓની જીત અને ખરીદવેચાણ સિવાય બીજી કેટલી સિસ્ટમ દેશમાં ધબકતી રાખી છે? ઘણીખરી સિસ્ટમોને પંગુ બનાવીને સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ કરી નાખ્યું. બધાં સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં અને હવે અચાનક સિસ્ટમ ક્યાંથી આવી ગઈ? અને સિસ્ટમ સરકારના કાબૂની બહાર હોય તો પછી સરકાર થઈને શાના ફરે છે?

૨. ‘દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, મોદી મહાન યુદ્ધ લડી રહ્યા છે. આ કપરી ઘડીમાં અમે એમની સાથે છીએ. જય હિંદ.’

દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં વડાપ્રધાન અને તેમની સરકારના મહાન પ્રદાન વિશે તો કંઈક કહો. ભરકોરોનાએ બંગાળમાં સભાઓ પર સભાઓ ગજવતા, તક મળ્યે સુફિયાણી ભાષણબાજીમાં સરી જતા સાહેબ માટે પોતાની ઇમેજ સિવાય બીજું કોઈ યુદ્ધ મહાન નથી. આટલી સાદી સમજ કોઈ નહીં આપી શકે. એ તો જાતે જ ઉગાડવી પડશે. આ કપરી ઘડીમાં કાં પેઇડ હોય કાં સામે ઊભેલો હાથી નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય, તે જ આવી કરપીણ રીતે કાલી જાહેરાત કરી શકે. અત્યારે તેમની સાથે હોવાનું એનું ગુજરાતી એટલું જ થાય કે તેમના ઇમેજ મૅનેજમૅન્ટમા તેમની સાથે છો અને લોકોની દુર્દશાથી નહીં, તેમની ઇમેજને પડતા ઘસરકાથી તમને વધારે અકળામણ થાય છે. જય હિંદ બોલવાથી વ્યક્તિભક્તિ દેશપ્રેમ નથી બની જતી.

૩. ‘તમારે તો બેઠાં બેઠાં ટીકા કરવી છે. કામ કરો તો ખબર પડે.’
અચ્છા? તો દુનિયાભરની એકહથ્થુ સત્તા ગજવામાં ઘાલીને ફરતી સરકાર રાજીનામું આપી દે, જે જે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ગળાં દબાવ્યાં છે એ બધાને મુક્ત રીતે શ્વાસ લેવા દે અને બધી રાજકીય ગણતરીઓ છોડી દે. પછી જુઓ, લોકો કામ ઉપાડી લે છે કે નહીં. પણ સત્તા જરાય છોડવી નથી. લોકોને અંતિમ સંસ્કાર માટે લાકડાં મળતાં નથી ત્યારે કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરવાના અભરખા હજુ જતા નથી. અને બીજાને કામ કરવાની શીખામણ આપતાં શરમ નથી આવતી?

૪. 'કોંગ્રેસનું રાજ હોત તો આથી પણ ખરાબ સ્થિતિ હોત.'
આ દેશે આનાથી વધારે ખરાબ સ્થિતિ ક્યારેય જોઈ નથી, એવું ઘણી હદે નરેન્દ્ર મોદીના ‘શાણા’ સમર્થક મનાતા શેખર ગુપ્તાએ ગઈ કાલે લખ્યું, ત્યારે અનુપમ ખેર ‘આયેગા તો મોદી હી’ લખીને પોતાની અસલિયત વધુ એક વાર બતાવી ગયા. સાહેબોએ લોકશાહીનાં અનેક સત્તાકેન્દ્રોને, નાગરિક સંગઠનોને, સ્વૈચ્છિક સંસ્થાઓને નષ્ટ કર્યાં અથવા ભક્ત બનાવ્યાં અને પોતાના સિવાય કોઈ રહે જ નહીં, એવી આપખુદશાહી તરફ દેશને લઈ ગયા, તેનું આ પરિણામ છે. એટલે બીજું કોઈ હોત તો આનાથી ખરાબ સ્થિતિ હોત એવી દલીલ અસ્થાને જ નહીં, ખોટી છે. આટઆટલું થયા પછી પોતાની ઇમેજને જ્યાં પહેલા ક્રમે મુકવામાં આવતી હોય, એનાથી વધારે ખરાબ સ્થિતિ દેશના નાગરિકો માટે શી હોવાની?

૫. 'બધી ટીકા સાચી, પણ બીજું છે કોણ? વિપક્ષો પણ નિષ્ફળ ગયા છે.'
રાજકારણમાં વિકલ્પો રેડીમેડ નથી આવતા. સંજોગો વિકલ્પ ઊભા કરે છે. વિપક્ષોમાંથી સભ્યો ખરીદ કરવાના, વિરોધીઓને યેનકેનપ્રકારેણ દબાવવાના અને પછી ભોળા થઈને કહેવાનું કે બીજું છે કોણ? એક વાર ગાળીયો છૂટો તો કરો. બહુ બધા આઝાદ થશે ને વિકલ્પો ઊભા થશે. અને વિપક્ષોની નિષ્ફળતાની વાત સાચી હોવા છતાં સરકારની નિષ્ફળતા સામે તેનું કશું વજૂદ નથી. આટલા પ્રચંડ મિસમૅનેજમૅન્ટ પછી અને વ્યક્તિગત વેદના-સ્નેહીસ્વજનોની વિદાય વેઠ્યા પછી પણ, ‘આ તો ન જ જોઈએ’—એટલી લાગણી મનમાં ન જાગતી હોય તો તમે પણ એમના સાગરીત જ છો. પછી કાલા થઈને ફરિયાદ કરવા ન બેસશો.
 
૬. ‘હા, ખોટુ થયું છે, પણ વિરોધીઓ ઉછળી ઉછળીને રાજી થઈ રહ્યા છે.’
કેટલાંય સ્વજનો-સગાં-સ્નેહીઓ-અડોશીપડોશીઓ પીડાય છે. તેનાં રોષ-પીડા-વેદના-ત્રાસમાં રાજી થવા કોણ નવરું છે? પણ બહુ ફુલાવેલો રંગીન ફુગ્ગો ફુટી ગયો એ તો માણસ કહે કે ન કહે? અને તે એક વાર નહીં, તેને મનમાં ઉભરો થાય એટલી વાર કહેશે અને ફુગ્ગો ફૂટ્યો એનો હાશકારો પણ વ્યક્ત કરશે. એનાથી બીજી બધી બાબતોનો શોક મટી જતો નથી. પણ એ લોકોના હાશકારાથી તમને આટલી તકલીફ કેમ પડે છે?

૭. ‘બધી વાત સાચી, પણ અત્યારે સરકારની ટીકા કરવાનું ટાણું નથી. અત્યારે આ સમય કાઢી નાખીએ. ટીકા પછી કરીશું.’
વર્તમાન કટોકટીમાં કોઈ પણ રીતે મદદરૂપ થવું એનો અર્થ એવો હરગીઝ નથી કે સરકારની ટીકા ન કરવી. એ બંને સાથે થઈ જ શકે છે. પણ સરકારની ટીકાથી લ્હાય અનુભવતા ભક્તો આખી વાતને એ રીતે રજૂ કરે છે, જાણે આ બંનેમાંથી એક જ બાબત શક્ય હોય.
કોઈક વળી ‘બધો રોષ ચૂંટણીમાં ઠાલવજો’ એવું સૂચવવા પણ ઇચ્છતું હોય. છતાં આપણી માનસિકતામાં ‘પછી’નું ગુજરાતી થાય છે ‘ક્યારેય નહીં’. અને સરકારની ટીકા અત્યારે ચાલુ વર્તમાનકાળમાં, ચોતરફ હાલાકી છે ત્યારે જો કરવાની ના પડાતી હોય, તો બધું સામાન્ય થઈ ગયા પછી આ જ લોકો એમ નહીં કહે કે ‘ગઈગુજરી ભૂલી જાવ?’ ત્યારે એ લોકોને ભૂતકાળની હાલાકી યાદ કરાવીને તેમનો રોષ જગાડવામાં-લોકશાહી ઢબે રોષ ઠાલવવામાં મદદરૂપ થવાના છે? માટે, સરકારની ટીકા કરવાની ના પાડે, એવી કોઈ પણ સલાહને શંકાની નજરે જોવી. એ માટેનાં પૂરતાં કારણ છે.

Saturday, April 24, 2021

નરેન્દ્ર મોદીની ટીકાઃ વર્તમાન અને ભવિષ્ય

હમણાંથી મનમાં થોડાંઘણાં રોજિદાં કામકાજ-દિનચર્યા અને એટલી જ રોજિંદી બનેલી કરુણતા ઉપરાંત બીજા જે કેટલાક ટ્રેક ચાલે છે, તેમાંનો એક નરેન્દ્ર મોદી વિશે ટીકા કરતા થયેલા લોકો વિશેનો પણ છે.

દરેક વ્યક્તિને બદલાતી સમજ પ્રમાણે તેના વિચાર બદલવાનો અધિકાર છે. માણસ જેમ સમજણો થાય તેમ તેની માન્યતાઓ, માનસિકતા, દૃષ્ટિબિંદુ અને ઉપલબ્ધ માહિતીમાં ફેરફાર થઈ શકે. જીવનને તે નજીકથી જુએ. કદાચ થોડું વધારે સમજે અને દૃષ્ટિ વિસ્તરે, તો વિચાર સારી રીતે બદલાઈ શકે. કોઈ કાળે કદાચ ગાંધીજી બકવાસ લાગતા હોય ને નથુરામ ગોડસે મહાન લાગતો હોય. પછી ઇતિહાસની બધી આંટીઘૂંટીઓ બાજુ પર રાખીને, પ્રેમ અને ધિક્કાર વચ્ચેનો પાયાનો ભેદ સમજાતો થાય, તો ખ્યાલ આવે કે ગાંધીજી ભગવાન નથી, પણ ગોડસે કોઈ રીતે મહાન નથી.

બધી વખતે સમજના અભાવનો સવાલ ન પણ હોય. સમજ ઘણી વાર સ્થાપિત હિતની ગણતરીઓમાં, પૂર્વગ્રહોમાં, ધિક્કારમાં કે ડાબેરી-જમણેરી વિચારધારાઓમાં કેદ થઈ ગઈ હોય. એવી સ્થિતિમાં માણસ મોટો તો થાય, પણ સમજણો ધરાર ન થાય અથવા તેને ગોડસેમહિમા પ્રકારની વૃત્તિ-પ્રવૃત્તિઓમાં જ પોતાની ‘સમજ’નું માહત્મ્ય ને સાર્થક્ય લાગે.
***

બીજા પ્રકારમાં, માણસ નરેન્દ્ર મોદી પ્રત્યે ભાવ ધરાવતો હોય. પછી ધીમે ધીમે અસલિયત સમજાતી જાય, તેમ તેનો પ્રેમ ઓસરે. પ્રગટ ટીકાકાર ન બને, તો પણ તે પ્રેમી ન રહે. કોરોના લેવલની નિષ્ફળતા પછી તે પ્રગટ ટીકાકાર પણ બની શકે. ત્યાર પછી તે પાછળ જુએ તો તેને પોતાને સમજાય કે નરેન્દ્ર મોદીએ દરેક તબક્કે, દરેક પગથીયે પોતે શું છે તે જણાવ્યુ્ં જ હતું—અસલિયત છુપાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ (જેમ કે, સદ્‌ભાવના ઉપવાસ) અને ઘણું ખરું તો, એવો કોઈ પ્રયાસ ન કર્યો ત્યારે પણ.

સવાલ જોનારનો હતો. ત્યારે એ ન જોઈ શકવા બદલ માણસને અફસોસ થઈ શકે. તેને સમજાય કે કોંગ્રેસનો કે ડાબેરી આત્યંતિકતાનો (એ અલગ બાબતો છે) વાજબી વિરોધ કરતાં કરતાં ક્યારે ધિક્કારકેન્દ્રી અને વ્યક્તિપૂજાકેન્દ્રી પ્રવાહમાં તણાઈ જવાયું તેનો ખ્યાલ જ ન રહ્યો. વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોરનારા લોકો તો હતા. તેમાંથી કેટલાકનાં સ્થાપિત હિત હશે-કોંગ્રેસ પ્રત્યેની રાજકીય વફાદારી હશે, તો કેટલાક આવી કોઈ ગણતરી વગર પણ સાચી વાત કરતા હશે. છતાં આપણે નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર બધાને કોંગ્રેસી, હિંદુવિરોધી વગેરે ગણીને ઉતારી પાડ્યા. ધિક્કારમોહની કે વ્યક્તિમોહની કે બંને પટ્ટી ઉતારીને, જાતે જોવા-વિચારવાનું ન સૂઝ્યું કે ન ફાવ્યું. હવે એ બરાબર દેખાય છે- સમજાય છે.

આ પ્રકારના વિચાર પરિવર્તન માટે હાલમાં ૧૮ વર્ષથી ૨૮-૩૦ વર્ષના હોય એવા લોકો સૌથી લાયક ગણાય. કારણ કે તેમનો જન્મ/ઉછેર મોદીરાજમાં જ થયો. તે સિવાયની દુનિયા જોતાં-સમજતાં તેમને વાર લાગી શકે. પછી ખુલ્લી આંખે-ખુલ્લા મને જોતાં બધું સમજાવા લાગ્યું હોય. ૧૮-૩૦ના વયજૂથમાં જેમનું આવી રીતે વિચાર પરિવર્તન થયું હોય અને મોદીની નીતિરીતિઓના ટીકાકાર બન્યા હોય તે સૌને અભિનંદન—જાતે વિચાર કરતા અને સાચાખોટાની પરખ કરત થયા એ બદલ. એ વિચારશક્તિ બીજા પક્ષના શાસકો માટે અને એ સિવાય જીવનમાં પણ કામ લાગશે.
***
૨૦૦૨માં જે લોકો ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય (અત્યારે લગભગ ૩૫ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના), એ લોકોનું કોરોનાઈ મિસમૅનેજમૅન્ટ પછી વિચાર પરિવર્તન થાય અને તે મોદીના ટીકાકાર બને તો તેમણે જાતે વિચારવું રહ્યું કે હમણાં સુધી તે કયાં કારણોસર નરેન્દ્ર મોદીના ચાહક, સમર્થક, પ્રેમી કે ભક્ત હતા? એ માટે તેમના મનમાં ઉગી શકે એવાં કેટલાંક સંભવિત કારણો અને તેના આધારે આવા ટીકાકારોના ભવિષ્યના વલણનું અનુમાન.

સંભાવના ૧: ‘તેમણે મુસલમાનોને સીધા દોર કરી દીધા. આપણે તો બૉસ આવો જ માણસ જોઈતો હતો. હિંદુઓનો ઉદ્ધારક.’
ભવિષ્યની સંભાવનાઃ આ પ્રકારે વિચારનારા લોકો અત્યારે ટાઢા પડેલા હશે અથવા કદાચ ટીકા કરતા હશે. પણ એક વાર સ્થિતિ સામાન્ય થઈ જશે, એટલે તે ફરી મોદીભક્તિમાં જોડાઈ જશે. મોદીની નોટબંધી સહિતની અનેક અરાજકતાઓને તેમણે ભૂલાવી દીધી, તેમ આને પણ ભૂલાવી દેશે. મોદીપ્રેમના તેમના પ્રબળ કારણમાં ચાલુ અરાજકતાથી પડેલું ગાબડું કામચલાઉ જ નીવડશે.

સંભાવના ૨: ‘કાંકરિયા લેકફ્રન્ટ, રીવરફ્રન્ટ, બીઆરટીએસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મૅટ્રો, સૅન્ટ્રલ વિસ્ટા...આપણે તો આવો વિકાસપ્રેમી માણસ જોઈએ...અને હા, કૌંસમાં પેલું મુસલમાનોવાળું તો ખરું જ.’

ભવિષ્યની સંભાવનાઃ આ રીતે વિચારનારાના મનમાં લોકોને શાની વધારે જરૂર છે, શાની હમણાં જરૂર નથી ને શાના વિના સદંતર ચાલી શકે એમ છે, એ વિશેની સમજની ભારે ગડબડ છે. તેમને વડાપ્રધાનના ‘વૅનિટી પ્રોજેક્ટ’ (તેમનો જયજયકાર થાય એવા પ્રોજેક્ટ) અને ઘણાખરા દેશવાસીઓની જરૂરિયાત વચ્ચેનો તફાવત બહુ સમજાતો નથી. ઝાકઝમાળ, ચમકદમક અને ભવ્યતાથી તે અંજાઈ જાય છે. એ અંજામણીમાં તેમનું ખિસ્સું કાપીને કોઈ તેમના લોકશાહી અધિકારો લઈ જાય તો પણ તેમને ખબર પડતી નથી કે ખબર પડે તો બહુ વાંધો પડતો નથી. અત્યારની મહાઅરાજકતા પછી તેમની પ્રાથમિકતાઓની સમજમાં ફરક પડ્યો હોય અને એ ફરક સ્મશાનવૈરાગ્ય જેવો બની રહેવાને બદલે તેમના મનમાં ઠરે, તો અર્થ સરે. બાકી, તે પણ ભક્તિમાં પાછા ફરી જશે.

આવું લખવામાં કોઈ કડવાશ નહીં, વ્યાપક માનસિકતાનું બયાન છે. અદાલતે જેને બળાત્કારના આરોપમાં દોષી ઠરાવીને સજા ફટકારી, એવા જેલગ્રસ્ત આશારામને અનુયાયીઓ મળી રહેતા હોય ને તેમના જૂના અનુયાયી ખડતા ન હોય, તો પછી અહીં તો એકહથ્થુ રાજ્યસત્તા અને વડાપ્રધાનનો હોદ્દો ધરાવતા નરેન્દ્ર મોદી છે. 

સંભાવના ૩: ‘આપણે તો ભાઈ, ધંધાદારી છીએ. લોકલાગણીના પૂરમાં નાવ હંકારવાની છે ને આપણા વાવટા ફરકાવવાના છે. પૂર મોદીતરફી, તો આપણે એ તરફ. આપણે તો ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ, ચિંતનાત્મક, પોઝિટિવ, હકારાત્મક દુકાનનો સવાલ છે. મોદીજી તો શું, તેમના અનુચરના અનુચરની પણ બાંય પકડી લઈએ ને તેની આરતી ઉતારી લઈએ. અત્યારે જુવાળ મોદીવિરોધી છે? તો આપણે તેમના ટીકાકાર...મોદીજી પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ વિચારે છે? તો આપણે પણ આપણા સ્વાર્થ સિવાય નીતિ-અનીતિ જેવું કંઈ શા માટે વિચારીએ?’ 

ભવિષ્યની સંભાવનાઃ લોકલાગણીનો પ્રવાહ મોટા પાયે અને લાંબા સમય સુધી મોદીવિરોધી રહેશે, તો આ લોકોનો મોદીવિરોધ ટકી રહેશે. કારણ કે તેમની મોદીભક્તિમાં પણ મુખ્ય કારણ સત્તાધીશની ચાપલૂસીનું ને લોકપ્રવાહ સાથે વહેતા રહેવાનું હતું. અલબત્ત, તેમની માનસિકતામાં પહેલું કે બીજું કારણ પણ અંશતઃ જવાબદાર હોઈ શકે, જે તેમનું મોદી માટેનું ખેંચાણ ઘણી હદે જળવાયેલું રાખે.

સંભાવના ૪: ‘અમને એમ હતું કે દેશના અર્થતંત્રનો ઉદ્ધાર/સરહદો પર છાકો/આતંકવાદ-નક્સલવાદનો ખાત્મો/ઢીલુંપોચું નહીં, પણ નિર્ણાયક નેતૃત્વ મોદી જ આપી શકશે.’  

ભવિષ્યની સંભાવનાઃ નિર્ણાયક નેતૃત્વ કહેતાં સરમુખત્યારી માનસિકતા મળી અને તે પણ લગભગ બધા મોરચે નિષ્ફળ નીવડી, એવો અહેસાસ તેમને થયો? એ ન થયો હોય અને ફક્ત કોરોના સમયની અરાજકતાથી જ તે દુઃખી થયા હોય, તો તેમની પણ ભક્તિમાર્ગે પાછા વળી જવાની શક્યતા વધારે. 

સંભાવના ૫: ‘ધીમે ધીમે સમજાવા તો લાગ્યું હતું કે દાવા કરતાં બધું બહુ જુદું છે. પછી તો એ પણ સમજાવા લાગ્યું કે આમાં તો નકરાં ભોપાળાં છે. પણ અમે એટલા આગળ વધી ગયા હતા કે પાછા શી રીતે ફરવું? પોકળતાનો અહેસાસ થઈ ગયા પછી પણ, પાછા ફરવા માટે એક મોટા આંચકાની જરૂર હતી. તે આ મળ્યો.’

ભવિષ્યની સંભાવનાઃ આવું જેમને થયું હશે તે મોદીની નીતિરીતિઓના ટીકાકાર તરીકે ટકી રહેશે. ફક્ત મોદી પર જ નહીં, કોઈની પણ ઉપર નહીં મોહાવાનું તે શીખી શકે તો ઉત્તમ. કારણ કે, સરકાર ગમે તે હોય, તેને માથે ન ચડાવાય, ઉદ્ધારક તરીકે ન સ્થપાય. એવું કરીએ તો શું થાય એ કમ સે કમ અત્યારે તો કહેવાની જરૂર નથી.
***

આ તો મુખ્ય પ્રકારો છે. અત્યાર લગી મોદીની તરફેણ કરતા અને હવે વિરોધમાં આવેલા લોકોના એ સિવાયના પ્રકાર પણ હોઈ શકે છે અથવા એક જ વ્યક્તિમાં એકથી વધુ પ્રકારોના અંશ હોઈ શકે છે.  

કોઈને થાય કે મુકોને આ બધી પંચાત. ગમે તે કારણે, પણ લોકો ટીકા કરતા થયા, એટલું પૂરતું નથી? 

તેનો સ્પષ્ટ જવાબ છેઃ ના, એટલું જરાય પૂરતું નથી. કટોકટીની ટીકા કરનારામાં ગાંધીવાદી-સમાજવાદી-સામ્યવાદી-જૂના કોંગ્રેસી એવાં કંઈક જૂથોની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ પણ હતાં. નરેન્દ્ર મોદી પોતે કટોકટીના વિરોધની તેમની કામગીરીની ગાથાઓ લખી ચૂક્યા છે. પણ નરેન્દ્ર મોદીના રાજમાં જણાયું કે તેમનો અને જમણેરી વિચારધારાવાળા બીજા લોકોનો વિરોધ કટોકટી સામે નહીં, ઇન્દિરા ગાંધીની કટોકટી સામે હતો. તેમનો વારો આવ્યો ત્યારે તેમણે ઘણીખરી બાબતોમાં કટોકટીથી પણ ખરાબ પરિસ્થિતિ લાવીને મુકી દીધી. એટલા માટે, ફક્ત મોદીના વિરોધથી રાજી થઈ જવાને બદલે, એ વિરોધ કરનારની માનસિકતા અને વિરોધ માટેનાં તેમનાં કારણો જાણવા-સમજવાનું જરૂરી છે.  
***

વર્તમાન કટોકટીમાં પણ જે લોકો મોદીનો બચાવ કરવાનું, ઉપરાણું લેવાનું, તેમને ટેકો આપવાનું છોડી શકતા નથી અથવા તેમની નિષ્ફળતાઓ પર ઢાંકપિછોડો કરવા માટે લાગેલા રહે છે, તેમની સમજ માટે કોઈ શબ્દો નથી. તેના માટે બે મિનીટનુ મૌન.

Monday, April 19, 2021

કારમા કોરોના-કાળમાં સરકારની ટીકા અને તરફેણઃ કેટલાક પ્રકાર

અત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના ભયંકર મિસમૅનેજમૅન્ટની ટીકા કરનારા લોકોના મુખ્યત્વે આટલા પ્રકાર પાડી શકાય.

૧. (મારા જેવા લોકો) જે વર્ષોથી નરેન્દ્ર મોદીની આત્મમુગ્ધતાની, રાજકીય ફાયદા માટે કોમવાદના ઉપયોગની, સત્તાના અમર્યાદ કેન્દ્રીકરણની તથા આપખુદ કુશાસનની ટીકા કરતા રહ્યા છે. તેમને મન વર્તમાન પરિસ્થિતિમાં માત્રાનો જ ફરક છે, પ્રકારનો નહીં. 

૨. જે લોકોને પોતપોતાનાં કારણસર ધીમે ધીમે કુશાસનનું સત્ય સમજાતું ગયું. તે ખુલીને ટીકા ભલે કરતા નહીં, પણ મનથી સમજતા હતા અને સરકારનું ઉપરાણું લેવું છોડી દીધું હતું. તે લખતા થયા. 

૩. જે લોકોને ગયા વર્ષે કોરોનાના પહેલા આક્રમણ વખતે, લૉક ડાઉનમાં સર્જાયેલી અંધાધૂંધી, પગપાળા ચાલતા ગયેલા લોકો, આરોગ્યસેતુ એપના દાવા, ધમણ વેન્ટિલેટર અને એવી બીજી અનેક અરાજકતાઓથી સમજાયું કે આ સરકારને જૂઠાણા ને અસરકારક પ્રચાર સિવાય ભાગ્યે જ બીજું કંઈ ફાવે છે. એટલે ગયા વર્ષથી તેમનો કલર ઉતરવા માંડ્યો અને તે પણ સમજતા-ક્યારેક લખતા થયા.

૪. પાકો રંગ ધરાવનારા કેટલાક લોકો પણ આ વખતની અરાજકતા અને તેની ઉપર અભિમાની અવગણના તથા સરાસર જૂઠાણાં જોઈને દુઃખી થયા અને સરકારની ટીકા કરતા થયા.

૫. ‘શાણી’ આઇટેમો, જેમણે અત્યાર સુધી સાતત્યપૂર્વકની જીહજૂરી કર્યે રાખી અને વચ્ચે વચ્ચે, ‘અમે તો આવું પણ લખ્યું હતું’—એવી છટકબારી ખુલ્લી રાખવા પૂરતી પ્રતીકાત્મક ટીકા કરી હતી. તેમણે જોયું કે અત્યારે સરકારની ટીકા કરવાથી ભક્ત વાચકવર્ગ બહુ નારાજ નહીં થાય, સરકારવિરોધી ટીકાના પૂરમાં તેમની ટીકા પણ સરકારપક્ષે વિશેષ વાંધો લેવાયા વિના નીકળી જશે  ઉપરાંત, સરકારની ટીકા નહીં કરવાથી તેમની અસલિયત સાવ ભોળાભટાક લોકો આગળ પણ ઉઘાડી પડી જશે.
*

તેમ છતાં, હજુ ઘણાને સરકારની ટીકા કરવાપણું લાગતું નથી. કેટલાંક કારણઃ

૧. ‘અમે તો બા, પોલિટિક્સમાં પડીએ જ નહીં. અમે તો બા, બહુ ઠરેલ, બહુ સંસ્કારી, બહુ સાહિત્યકળાપ્રેમી.’

૨. ‘એંહ, આ સરકારની ટીકા? કદી નહીં. અમે કોંગ્રેસી નથી. અમે ડાબેરી, અર્બન નક્સલ, હિંદુત્વદ્વેષી, મુસ્લિમતરફી, રાષ્ટ્રવિરોધી નથી. અમે તો આ સરકારની પડખે જ ઊભા રહેવાના. ચાહે ગમે તે થાય.’ (‘કારણ કે આ સરકાર અમારા દ્વેષ, અમારી કુંઠા, અમારા ભય, અમારા પૂર્વગ્રહ જેવી બાબતોનું આબાદ પ્રતિનિધિત્વ કરે છે.’)

૩. ‘અમને પણ લાગે છે કે પાણી માથા પરથી વહી ગયું છે. છતાં, મોદીભક્તિની સાથે અમે અમારી જાતને સાંકળી લીધી છે-અમારી આબરૂને હોડમાં ગણી લીધી છે. એટલે બધું સમજતા હોવા છતાં, અમે કશું નહીં લખીએ-બોલીએ. તમે સમજો, આમાં અમારી પણ આબરૂનો સવાલ થઈ જાય છે.’

૩. ‘અમે તો પોઝિટિવ થિંકિંગમાં માનીએ છીએ. આવા સમયે નકારાત્મક વાતો ન ફેલાવવી જોઈએ. (‘અમને સચ્ચાઈ કરતાં હકારાત્મકતા વધારે વહાલી છે. ખાસ કરીને સચ્ચાઈ અમારાં રાજકીય વલણોને અનુકૂળ ન હોય ત્યારે.’)

૪. ‘આવી બાબતોમાં રાજકારણ ન લાવવું જોઈએ.’ (‘એ તો ત્યારે જ લવાય, જ્યારે અમારા વહાલા નેતાને ફાયદો થતો હોય.’)

૫. ‘કૉંગ્રેસ હોત તો પણ શું ઉખાડી લેવાની હતી? એના કરતાં આ શું ખોટા છે?’ (અને મૂળ તો, અમને ભાજપનું સંકુચિત, હિંદુ ધર્મના હાર્દથી વિપરીત અને કોમવાદી, રાજકીય ‘હિંદુત્વ’ અમને બહુ ભાવે છે. એના માટે અમે બધું વેઠવા તૈયાર છીએ. અમારો વાંધો અનિષ્ટ સામે નહીં, ફક્ત કોંગ્રેસનાં અનિષ્ટ સામે હતો.) 

૬. ‘તમારા ઘરમાં દસ માણસ રહેતાં હોય ને એ બધાંને એક સાથે પેટમાં ગરબડ થાય, તો ઘરમાં દસ શૌચાલય હોય? બસ, સરકારને એવું જ થયું છે. હેંહેંહે. ’ (‘સરકારનો બચાવ કરવાનો આવે ત્યારે અમે કોઈ પણ હદે જઈ શકીએ. સરકારની કામગીરીનું-તેની ફરજનું-તેના સ્કેલનું મૂળભૂત અજ્ઞાન દર્શાવતી રમૂજ પણ ખપમાં લઈ શકીએ.’)