Monday, October 27, 2025
મંત્રીમંડળની બેઠક
સામાન્ય રીતે કકળાટ કાળીચૌદશના દિવસે કાઢવાનો રિવાજ છે, પણ ગુજરાતમાં મંત્રીંમંડળની પુનઃરચના ચૌદશથી પહેલાં થઈ ગઈ. મંત્રીમંડળમાં કોણ આવ્યું ને કોણ ગયું, કોણ પડ્યું ને કોણ ચડ્યું, એવી બધી ચર્ચા (સાદી ભાષામાં, ચૌદશ) બહુ થઈ. નવા મંત્રીમંડળનો ઉત્સાહ મંત્રીઓને હોય એનાં કરતાં વધારે તો મિડીયાને વધારે હતો. ઘરે પ્રસંગ હોય તો પણ ન કરે, એટલી તૈયારી અને દોડધામ કેટલાક મિડીયાવાળા કરી રહ્યા હતા. ક્યાં કેવી તૈયારી ચાલી રહી છે, તેનું મિનીટેમિનીટનું રિપોર્ટિંગ થઈ રહ્યું હતું. તેનું એક કારણ કદાચ એ પણ હોય કે મિડીયાવાળા જાણે છે, એક વાર મંત્રીઓ તેમનું ખાતું સંભાળી લે, ત્યાર પછી મિડીયાવાળાને રિપોર્ટિંગની તક નહીં મળે. ખરેખર તો, મંત્રીને પોતાને કશું કરવાની તક મળશે કે કેમ, તે પણ સવાલ.
મનમાં
નવોઢા જેવી મૂંઝવણો અને લોટરી જીતનારા જેવો રોમાંચ અનુભવતા મંત્રીઓની પહેલી
અનૌપચારિક બેઠક થાય, તો તે કેવી હોય? થોડી કલ્પનાઃ
અધિકારીઃ
નમસ્કાર. નવા મંત્રીમંડળમાં આપ સૌનું સ્વાગત છે.
મંત્રી
1: તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. મંત્રી જેવા તો
લાગતા નથી...
મંત્રી
2: એટલે તમે
કહેવા શું માગો છો?
મંત્રીઓ માણસ કરતાં જુદા લાગે?
ખૂણામાંથી
અવાજ: કોને ખબર? બહુ વફાદાર હોય તો કદાચ ગળામાં...
અધિકારીઃ
(વાક્ય કાપીને) મારો હોદ્દો તમારે જાણવાની જરૂર નથી. મારું કામ તમને નવી જગ્યાએ
સારી રીતે ગોઠવી આપવાનું છે.
મંત્રી
3 (મંત્રી 4ને, ગુસપુસ અવાજે) : બોલો, આપણને એમ કે અમિતભાઈ બધું
ગોઠવે છે, પણ અહીં તો આ ભાઈ બધું ગોઠવવાનો દાવો કરે છે. ગાંધીનગરનું પાણી...
મંત્રી
4: (એવા જ સ્વરે)
હજુ તો આપણે આપણી ચેમ્બર પણ જોઈ નથી. એકદમ અસંતુષ્ટ થઈ જવાની જરૂર નથી.
અધિકારીઃ
શાંતિ, શાંતિ. મારી વાત સાંભળીને કોઈ ખરાબ ન લગાડતા...
(બધા,
એકસાથે) : અમને
તો હવે પ્રેક્ટિસ પડી ગઈ છે. અમે મતદારો સિવાય બીજા કોઈની વાતનું ખરાબ લગાડતા નથી.
અધિકારી: વેરી ગુડ. તો તમારું ભવિષ્ય બહુ
ઉજ્જવળ છે. સૌથી પહેલાં તો મારે તમને એ કહેવાનું કે તમને તમારી જગ્યા બતાવી
દેવામાં આવે, ત્યાર પછી ટેવાતાં વાર ન લગાડતા.
મંત્રી
3 (ઉશ્કેરાઈને): જગ્યા
બતાવી દેવામાં આવે એટલે? અમારી
જગ્યા બતાવનાર તમે કોણ?
મંત્રી
4 (મંત્રી 3ને, હાથ દબાવીને, ધીમેથી) : હમણાં શાંતિ રાખો. આ તો ચિઠ્ઠીનો
ચાકર છે. તેના હાથમાં કશું નથી.
મંત્રી
3: તો આપણે પણ
એનાથી ક્યાં જુદા છીએ? આપણા
હાથમાં શું છે?
મંત્રી
1: કેમ વળી? ગાડી, બંગલો, લાલ બત્તી, આર્થિક
લાભો, આર્થિક લાભો મેળવવાની તક...
મંત્રી
3: એ બધું તો
સમજ્યા, પણ માથે લટકતી તલવાર નહીં? અડધી
રાતે દિલ્હીથી ફોન આવે તો નોકરી જતી રહે.
અધિકારી: આપસાહેબોએ આ રીતે વાત ન કરવી જોઈએ.
આપ સૌ પ્રજાના સેવકો છો...
(બધા,
સામુહિક રીતે હસે છે અને હસતાં હસતાં બેવડ વળી જાય છે.)
ખૂણામાંથી
અવાજઃ આ અમિતભાઈનું નામ પ્રજા ક્યારથી થયું?
(અધિકારી
અવાજની દિશામાં જોવા પ્રયાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી.)
અધિકારીઃ
આપમાંથી કોઈ ભૂતપ્રેતમાં માનો છો?
(બધા
સમુહસ્વરે) : ના,
અમે તો મોદીસાહેબ અને અમિતભાઈ એ બેમાં જ માનીએ છીએ.
અધિકારી: છોડો એ વાત. હું તમને ખાસ એ કહેવા
માગતો હતો કે તમારી પાસે સમય ઓછો છે, એટલે જલદી ગોઠવાઈ જાવ એવી ઉપરથી ખાસ સૂચના
છે.
મંત્રી
1: તમે ચિંતા ન
કરતા, અમે ક્યાં ક્યાં કેવી રીતે ગોઠવવું એની વેતરણમાં જ છીએ.
અધિકારી: હું ગોઠવી લેવાની નહીં, કામકાજમાં
ગોઠવાઈ જવાની વાત કરું છું. આમ તો તમારા ભાગે ખાસ કંઈ આવશે નહીં...
મંત્રી
2: એટલે?
અધિકારી: જ્યારથી જનરલ નોલેજના પેપરમાં
રાજ્યના મંત્રીઓ વિશે સવાલ પૂછાતા બંધ થઈ ગયા ત્યારથી રાજ્યના મંત્રીમંડળનાં નામ
વિશે કોઈને ખબર હોતી નથી. તમે જ્યાં જાવ ત્યાં તમારે કહેવું પડશે કે હું ફલાણા
ખાતાનો મંત્રી. ત્યારે લોકોને થશે કે તમે અસ્તિત્વ ધરાવો છો.
મંત્રી
3: પણ ખાતાના
અધિકારીઓ?
અધિકારી: તમે તો જાણો જ છો, ગઈ વખતે અધિકારીઓ
મંત્રીઓના ફોન ઉઠાવે એવું કહેવા માટે પરિપત્ર કાઢવો પડ્યો હતો...
મંત્રી
5 (મંત્રી 3ને) : બસ, આ જ સાંભળવું હતું ને તમારે? સાંભળી લીધું ને?
અધિકારી
: એમાં કોઈએ
માઠું લગાડવાની જરૂર નથી. તમારા કોઈ પ્રત્યે સાહેબને અવિશ્વાસ હોત તો તમે અહીં
બેઠા ન હોત. તમારે યાદ એટલું જ રાખવાનું કે તમે કોઈ પણ બાબતમાં ફાઇનલ ઓથોરિટી નથી.
તમે અધિકારીને સૂચના આપવા જાવ, ત્યાર પહેલાં તેમને ઉપરથી સૂચના મળી પણ ગઈ હોય.
મંત્રી
3: તો પછી
મંત્રીપદાને શું કરવાનું?
મંત્રી
5: તમે કહેતા હો
તો ઉપર કહેવડાવી દઉં. બીજા લાઇનમાં તૈયાર જ છે.
અધિકારી: શાંતિ..શાંતિ... સાહેબ, આજે સપરમા
દિવસે કોઈએ માઠું લગાડવાનું નથી. આજે તો મારે તમને બધાને મોં મીઠું કરાવીને,
સાહેબની વફાદારીની કસોટીમાં હેમખેમ પાર ઉતરો એવી શુભેચ્છા સાથે તમારી જગ્યાએ લઈ
જવાના છે. એક વાર તમે તમારી જગ્યાએ પહોંચો. ગુજરાતનું પછી જોઈ લઈશું.
(એ સાથે જ મિટિંગ પૂરી થાય છે અને સૌ એક ખૂણામાં રહેલી મોટી તસવીરને પાયલાગણ માટે લાઇન લગાડે છે.)
Friday, October 10, 2025
હોર્ડિંગબાજી અને મસ્કાબાજી
રાજકારણીઓના હોર્ડિંગનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી બહુ વધી ગયો છે. હમણાં જગદીશ પંચાલ (વિશ્વકર્મા) નામના એક મંત્રીને ભાજપના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યાર પછી તેમને અભિનંદન આપતાં હોર્ડિંગોનું ઘોડાપૂર આવ્યું છે.
Wednesday, August 16, 2023
વર-કન્યા, (સરકારથી) સાવધાન
આપના વિશ્વાસુ અરજદાર--
Friday, August 19, 2022
ન્યાયનો અંત આવો? : બળાત્કારીઓ અને હત્યારાઓને અપાયેલી માફી વિશે પ્રતાપ ભાનુ મહેતાના અંગ્રેજી લેખનો અનુવાદ
પ્રતાપ ભાનુ મહેતા, ઓગસ્ટ 19, 2022, ધ ઇન્ડિયન એક્સપ્રેસ
જરાય ગાફેલિયતમાં રહેવાની જરૂર નથી. બિલ્કિસબાનુ પર સામુહિક બળાત્કાર કરનારા, તેમની ત્રણ વર્ષની બાળકીની હત્યા કરનારા અને બીજા તેર લોકોની હત્યામાં સામેલ 11 લોકોને ગુજરાત સરકારની સમિતિએ આપેલી માફી કેવળ ન્યાયની વિડંબના નથી. તે ઉશ્કેરણીનો ખતરનાક રાજકીય ખેલ છે. સરકાર કદાચ હજુ તે હુકમ પર ફેરવિચાર કરી શકે. સર્વોચ્ચ અદાલતે માફીની અરજી પર વિચાર કરવાની મંજૂરી આપી હોવા છતાં, તેનાં દ્વાર ખટખટાવવામાં આવે તો, તે પણ સજામાફીનો (સમિતિએ કરેલો) નિર્ણય કદાચ ઉલટાવી શકે. પણ તેનાથી જે નુકસાન થવાનું હતું, તે થઈ ચૂક્યું છે. “શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના મર્મભેદી સવાલે કાળજીપૂર્વક ઊભા કરેલા ભારતીય ગણતંત્રના બાહ્ય ભ્રામક દેખાવને છેદી નાખ્યો છે. રહીરહીને પોકારે એવા આ સવાલ પાછળ રહેલા ચિત્કારનો કોઈ જવાબ નથી. હકીકત તો એ છે કે, તે સવાલની પાછળ રહેલો ચિત્કાર વ્યાપકપણે અનુભવાયો નથી, તે ગણતંત્રના નૈતિક બુઠ્ઠાપણાની અને હડહડતા કોમવાદીપણાની સાહેદી પૂરે છે.
રાજ્યે આપેલી માફીમાં શું દાવ પર લાગ્યું છે, તે સમજવામાં કાયદાકીય દલીલો આડે ન આવે તે જરૂરી છે. કમભાગ્યે, ભારતીય ન્યાયપ્રણાલિમાં જામીન, સજા અને માફી મોટા પાયે મુનસફી પર ચાલે છે. ડિસેમ્બર 2012માં દિલ્હીમાં થયેલા ગેંગ રેપ અને મર્ડર કેસ જેવા કેટલાક બળાત્કારના કિસ્સામાં ગુનેગારોને મૃત્યુદંડની સજા મળી, જ્યારે એવા બીજા ઘણા કિસ્સામાં એવી સજા નથી મળી. 1992માં અસ્તિત્વ ધરાવતી અને ત્યાર પછી નાબૂદ કરાયેલી માફીનીતિ હેઠળ માફી આપી શકાય કે નહીં, તેની ચર્ચા થઈ શકે; ભયંકર ગુનાઓમાં માફીની જોગવાઈ લાગુ પાડી શકાય નહીં, એવી કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન આ કિસ્સામાં લાગુ પડી શકે કે નહીં, તેની પણ ચર્ચા થઈ શકે. આ પ્રકારના કેસમાં ન્યાયી સજા કેવી હોઈ શકે, તેની વાત થઈ શકે. દંડ અને સજા વિશેની વ્યાપક ચર્ચા પણ અલગથી થઈ શકે. પરંતુ જે રીતે આ કિસ્સામાં મુન્સફી વાપરવામાં આવી છે, તે સાવ જુદી વાત છે. (આગળ જણાવેલા) બધા કાનૂની આટાપાટાની મદદથી સજા માફ થઈ હોય એવું બને. પરંતુ આ કિસ્સામાં રાજ્ય સરકારે પોતાની મુન્સફીનો ઉપયોગ ન્યાયને ઉથલાવી પાડવા માટે અને રાજકીય સંકેત આપવા માટે કર્યો હોય એવું લાગે છે.
બિલ્કિસબાનુનો કેસ એટલો ભયંકર હતો કે તેના વિશે સાંભળવામાત્રથી મગજ અને કલ્પનાશક્તિ બહેર મારી જાય, ચિત્ત ભ્રમિત થઈ જાય. ગુનો એટલો ભયંકર હતો અને તેની વિગતોની અનેક વાર પુષ્ટિ થઈ ચૂકી છે. તેમ છતાં, એવી હિંસાખોરીના વિચારમાત્રથી આપણને હજુ પણ ત્રાસ છૂટે છે કે જેમાં એક સગર્ભા સ્ત્રી પર બળાત્કાર થયો હોય, એક બાળકને પટકીને મારી નાખવામાં આવ્યું હોય, આખા પરિવારની હત્યા થઈ હોય અને આ બધું પાડોશીઓમાંથી જ કેટલાકે કર્યું હોય. તે ધ્યાનમાં રાખતાં, બિલ્કિસબાનુએ જે હાંસલ કર્યું, તે કોઈ ચમત્કારથી કમ ન હતું. તે જુસ્સાથી સક્રિય થયાં. દુશ્મનાવટભર્યું રાજકીય વાતાવરણ, ડરાવતો સમાજ, ખંડિત ન્યાયતંત્ર અને આર્થિક અભાવ જેવી ભારે વિપરીતતાઓ સામે તેમણે અદમ્ય સાહસ દેખાડ્યું, તેમણે પોતાની ઓળખ ગુનાથી (ભોગ બનનાર તરીકે) નહીં, પણ ન્યાયથી (ઝઝૂમીને ન્યાય મેળવનાર તરીકેની) ઊભી કરી. અને દેશભક્તિની ઉચ્ચતમ મિસાલ તરીકે, ભારતીય બંધારણ અને તેની સંસ્થાઓમાં, તેના રખેવાળોને પણ કદી ન હોય એવો ને એટલો, વિશ્વાસ મુક્યો. આપણે જાતને આશ્વાસન આપવું હોય કે હજુ પણ ન્યાય મેળવવાનું શક્ય છે, ત્યારે બિલ્કીસબાનુનો કેસ આપણા માટે એવા તરણાનું કામ કરે છે, જેને વળગીને આપણે એવો સધિયારો મેળવી શકીએ. અને ન્યાયનો અંત કેવો આવ્યો? બિલ્કીસબાનુને એટલી જાણ કરવાનો વિવેક પણ ચૂકાયો કે તમારા અત્યાચારી પાડોશીઓને છોડી મૂકીએ છીએ. રાજ્યના પગલાનો બેપરવાઈભર્યો મતલબ હતોઃ એ ભય અને માનસિક ત્રાસ ફરી અનુભવો.
આ ઘટનાક્રમનાં બે રાજકીય પાસાં નોંધપાત્ર છે. અગાઉનાં ઘણાં રમખાણોની જેમ, 2002નાં રમખાણોના ઘણા આરોપીઓનો ન્યાય હજુ થયો નથી. પરંતુ ગુજરાતમાં વ્યાપક રીતે એવો માહોલ છે કે જે લોકો સામે અદાલતમાં કામ ચાલ્યું અને સજા થઈ તે હકીકતમાં કેટલાંક એનજીઓ, કર્મશીલો, (કેન્દ્રની) કોંગ્રેસ સરકાર અને મિડીયાના કેટલાક હિસ્સાની રાજકીય કાવતરાબાજીનો ભોગ બનેલા લોકો હતા. ન્યાયની સતત માગણી કરતા લોકોના દબાણને હળવું કરવા માટે, કેટલીક વાર નામીચા પણ આ કિસ્સામાં નિર્દોષ હોય એવા લોકોને ઝડપીને, તેમને રાજકીય સંઘર્ષમાં બલિનો બકરો બનાવાયા. એ વાત સાચી છે કે નહીં, તે અહીં અપ્રસ્તુત છે. અસલી મુદ્દો એ છે કે આપણે આવું માની લઈએ, તેમ ભાજપ ઇચ્છે છે. “હિંદુઓ કદી ત્રાસવાદી હોઈ શકે નહીં અને હિંદુઓ હંમેશાં ભોગ બનેલા જ હોય”—એવા ભાજપના પ્રચારગાનનો તે હિસ્સો છે.
તે મતલબના પ્રચારને વાજબીપણાની દલીલ તરીકે અપનાવીને, સરકાર હવે 2002માં હિંસાપીડિતોને ન્યાય અપાવવાનું કામ કરનારા લોકોની પાછળ પડી ગઈ છે અને તેમણે ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો તે બદલ તેમને દંડી રહી છે. આ પ્રચારમાં ઉશ્કેરણીની અસલી ઘંટડી એવું સૂચવવામાં છે કે ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે જ એક કાવતરું હતો. આ કેવળ બદલો નથી. તે હિંદુઓની નિર્દોષતાની તેમણે (ભાજપે) ઊભી કરેલા માન્યતાને ટેકો આપવા માટે પણ છે. બિનભાજપી સરકાર હશે ત્યાં આ પ્રકારની કાવતરાબાજી વધારે શક્તિશાળી બનશે. માફી થકી સગડવપૂર્વક એવું સૂચવી શકાય છે કે ભાજપ ન્યાયપ્રણાલિમાં પણ હિંદુ હિતનું રક્ષણ કરશે. પોલીસ અને ન્યાયતંત્રની વિશ્વસનિયતા સામે સવાલો ઊઠતા હોય એવા માહોલમાં આ પ્રકારનો પ્રચાર માની લેવાનું સહેલું છે. ગુનેગારો સામે પગલાં ન ભરવા માટે પણ (ન્યાય મેળવવાનો પ્રયાસ પોતે એક કાવતરું હતો) તે પ્રપંચ ઉપયોગી બની રહે છે.
વ્યક્તિની ઓળખ સાથે સંકળાયેલા ગુના હકીકતમાં અસલી ગુના નથી, એવા ભયંકર ખ્યાલને કારણે આ પ્રકારની ઉશ્કેરણીજનક ચેષ્ટા વધારે શક્ય બને છે. આ પ્રકારની વિચારસરણીને કારણે જ, બળાત્કારની હિંસાને કોમના સંદર્ભમાં મુકી દેવાતાં તે ધૂંધળી બની જાય છે. કોમી હિંસાના મામલે, જાતીય હિંસાને ઘણા સમયથી રાજકીય હિંસાનું જ એક સાધન ગણવામાં આવી છે. પરંતુ તે જ્ઞાતિઆધારિત હિંસાને પણ લાગુ પડે છે. જ્ઞાતિની તાકાત બનાવવા માટે કે સામુહિક હત્યાકાંડોમાં કે રમખાણોમાં હિંસાનો ભોગ બનતા લોકોને તેમની ઓળખના આધારે પસંદ કરવામાં આવે છે. હિંસા આચરનારા લોકો માટે (ભોગ બનનારની) ઓળખ મુખ્ય બને, એટલે તેમનો પોતાનો અંતરાત્મા કોરાણે મુકાઈ જાય છે અને તેમને સમર્થન આપનારા લોકો પણ તેમને ગુનેગારને બદલે હીરો તરીકે જુએ છે. હિંદુત્વ અને એવી બીજી અંતિમવાદી વિચારસરણીઓ જેના જોરે ફૂલતીફાલતી હોય છે તેવા યુદ્ધના અતિશયોક્તિભર્યા પોકારો આ પ્રકારના વૈચારિક સંકોચનને સહેલું બનાવે છે. એ જ કારણથી, હત્યારાઓને હારતોરા કરવાનું, બળાત્કારીઓનું સન્માન કરવાનું અને તેમના સમર્થનમાં રેલીઓ કાઢવાનું આપણા માટે સહેલું હોય છે.
એટલે, સજામાફીના પગલે હોબાળો ન થયો કે (ગુનો કેવો છે તે નહીં, પણ) ગુનેગાર કોણ છે તેના આધારે નક્કી થતાં આપણાં બેવડાં ધોરણ અંગે કશો ગુંચવાડો અનુભવવા જેવો નથી. આપણે ફક્ત કોમવાદની માત્રા વધી હોય એવા સમયમાં નથી જીવતાં. આપણી કોમી ઓળખ સંપૂર્ણ બની ચૂકી છે, જેમાં સંગીત, ભાષા જેવાં પ્રમાણમાં નાનાં સાંસ્કૃતિક પરિબળો પણ ઓળખના બોજથી મુક્ત નથી. આ પ્રકારના પૂરેપૂરા રંગાયેલા વાતાવરણમાં ગુનો અને ન્યાય, નિર્દોષતા અને અપરાધભાવ જેવા શબ્દોનો પણ, કોમવાદી એજન્ડાના ભાગ બનવા સિવાય, સ્વતંત્ર-પોતીકો અર્થ રહ્યો નથી.
એટલે “શું ન્યાયનો અંત આવો હોય?” એવા બિલ્કીસબાનુના સવાલનો જવાબ અકળાવનારો હોઈ શકે છે. તેમના ધીરજપૂર્વકના પ્રયાસથી તેમને ન્યાય મળ્યો ને ન્યાય મેળવવાનું હજુ શક્ય છે—એવા ભ્રમને વળગી રહેવાનું આપણને નિમિત્ત મળ્યું. પરંતુ હવે જણાય છે કે કોમવાદ અને ગુનાનાં માઠાં પરિણામની જવાબદારીમાંથી મુક્તિનો વાયરો વાય, ત્યારે ન્યાયના તંતુઓ ફરી એક વાર હવામાં ઉડી જશે. ન્યાયનો અંત આવો ન હોય, પણ કદાચ સાચો ન્યાય કદી શરૂ જ થયો ન હતો.
મૂળ લેખની લિન્ક
Thursday, May 28, 2020
જય 'માતાજી' (પ્રહ્લાદ જાની) નહીં, જય અંધશ્રદ્ધા
અફસોસની વાત છે કે આપણાં છાપાં અને પ્રસાર માધ્યમો પણ ધંધા ખાતર કે અંધશ્રદ્ધાળુઓની નારાજગીની બીકે અંધશ્રદ્ધાનાં હોંશીલાં ખેપિયાં બને છે. અહીં મૂકેલા લેખનાં ત્રણ પાનાં ફોટો તરીકે સેવ કરીને, એન્લાર્જ કરીને વાંચી શકાશે.
***
થોડાં વર્ષ પહેલાં સ્ટેન લીની સિરીઝ ‘સુપરહ્યુમન્સ’ જોઈ હતી. તેમાં કોઈ કહે તો માન્યામાં ન આવે એવી વિશિષ્ટ શક્તિ ધરાવતા લોકોની વાત દર અઠવાડિયે રજૂ થતી હતી. દર હપ્તે રજૂ થનાર વ્યક્તિની વિશિષ્ટ શક્તિની એક પછી એક, અઘરામાં અઘરી કસોટીઓ લેવામાં આવે અને છેલ્લે તેમની એ શક્તિનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરવામાં આવે.
શરીર બહુ કમાલની ચીજ છે. ડીએનએનાં મ્યુટેશન સહિત બીજાં પરિબળોને કારણે કોઈ કોઈ જણમાં વિશિષ્ટ શક્તિઓ નીપજી આવે એવું બિલકુલ શક્ય છે. પણ એ સિરીઝમાં આવતા લોકો એટલા ઈમાનદાર હતા કે તે પોતાની શક્તિને ચમત્કાર ગણાવતા ન હતા ને અંધશ્રદ્ધાનું પ્રદૂષણ ફેલાવતા ન હતા.
ધારો કે, પ્રહ્લાદ જાની આવી કોઈ શક્તિ ધરાવતા પણ હોય (જેના કશા શ્રદ્ધેય પુરાવા હજુ સુધી મળ્યા નથી અને હવે મળે એમ નથી) તો પણ, તે માતાજીના નામે ચલાવવામાં આવે ત્યારે તૂત જ બની રહે છે. તેમની આવી કથિત શક્તિથી સમાજને કશો ફાયદો થતો નથી. ઉલટું, અંધશ્રદ્ધાની લાંબી પરંપરામાં વધુ એક મણકો ઉમેરાય છે અને એ રીતે સમાજની કુસેવા જ થાય છે. એ કુસેવામાં પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો પણ ભળે ત્યારે ‘એ દેશની ખાજો દયા..’ સિવાય બીજું શું યાદ આવે?
***
Monday, May 11, 2020
ગુજરાત મૉડેલની વાર્તા
તેના જેવું જ બીજું એક બાળક હતું. તેનું નામ ગુજરાત. એ ગુજરાત મૉડેલથી બહુ જુદું. અપટુડેટ-ચકાચક નહીં ને નબળું-પોલું પણ નહીં. ગુજરાત નામના એ બાળકની હાલત જન્મ વખતે ઘણાને નાજુક લાગતી હતી, પણ પછી તે વધતું ગયું. એનાં માવતર અસલના જમાનાનાં. પરિવાર બહોળો. તેમાં બધા હોય. લાડ લડાવનારા પણ હોય અને લપડાક મારનારા પણ હોય. એ બધાની વચ્ચે તંદુરસ્ત બાળકમાંથી ગુજરાત કિશોર, યુવાન અને પ્રૌઢ બન્યું. તેનો સંસાર વિસ્તર્યો. વાસણ હોય એટલે ખખડે તો ખરાં જ. કુટુંબમાં બધાં પ્રકારના સભ્યો હતા. તેમની વચ્ચે અનેક મુ્દ્દે હિંસક-શરમજનક ઝઘડા પણ થતા. અંદરોઅંદરના ભેદભાવ પણ બહુ. છતાં, ઉછેરનો પાયો મજબૂત હતો, એટલે તે પટકાઈને ફરી બેઠું પણ થઈ જતું હતું.
એક વાર કુટુંબના એક સભ્ય બહારથી ‘નયા ગુજરાત’ નામનું એક બાળક લઈ આવ્યા અને જાહેર કર્યું કે આ આપણા જ પરિવારનું સભ્ય છે અને તે આપણી સાથે રહેશે. એ હતું તો બાળક, પણ તેને જોઈને વહાલને બદલે વિચિત્ર લાગણી જાગતી. તે બાળકને કોઈ પણ વાત બઢાવીચઢાવીને કરવાની ટેવ હતી. ઘણી વાર તે વેન કરતું ને તેની જિદ પૂરી ન થાય તો તોડફોડ ઉપર ઉતરી આવતું. પણ તેની ઉપર તેને લઈ આવનારના એવા ચાર હાથ હતા કે એ તેનાં બધાં તોફાન માફ કરી દેતા અને ઉપરથી તેની ટીકા કરનારને દોષી ઠરાવીને ઠપકો આપતા. એ માટે તેમણે બહુ નિરાળી પદ્ધતિ શોધી કાઢી હતી. તેમના આણેલા ‘નયા ગુજરાત’ની ગમે તેવી અવળચંડાઈની કે દુષ્ટતાની કોઈ ફરિયાદ કરવા આવે ત્યારે તે કહેતા હતા, તમે તો ‘ગુજરાતવિરોધી’ છો.
શરૂઆતમાં તો કોઈ તેમનો કાંઠલો પકડીને કહે કે ‘હું આપણા ગુજરાતની નહીં, તમારા નયા ગુજરાત નામના વંઠેલા બાળકની વાત કરું છું’, ત્યારે તે સાંભળતા. પણ ધીમે ધીમે તેમણે કહેવા માંડ્યું, ‘કુટુંબમાં ખોટેખોટા ભાગલા પડાવવાની કોશિશ ન કરશો. ગુજરાત અને નયા ગુજરાત—બધું એકનું એક જ છે.’ તેમનું નયા ગુજરાત નાની વયે હિંસાખોરી કરતું ને રૂપિયાના ગોટાળા કરતું થઈ ગયેલું, તેને લાવનાર સભ્યનો દબદબો ઓસરી ગયા પછી ને તેમનું અવસાન થયા પછી, ‘નયા ગુજરાત’ ખોવાઈ ગયું. એ ક્યાં ગયું તેની કોઈને ખબર ન પડી ને કોઈએ તે જાણવાની દરકાર પણ ન લીધી.
તેના બે-એક દાયકા પછી, બીજા એક વડીલ, લેખની શરૂઆતમાં જેની વાત કરી છે તે ગુજરાત મૉડેલ લઈ આવ્યા. તે હતું તો બાળક, પણ ભગવાનના રૂપ જેવું નહીં, હોરર ફિલ્મોમાં આવતાં બિહામણાં બાળકો જેવું. તેને જોઈને જ લાગે કે આ કોણ જાણે કેટલાના ભોગ લઈને આવ્યું હશે ને કેટલાના ભોગ લેશે. કુટુંબમાં નવા આવેલા ગુજરાત મૉડેલને અગાઉના ગુજરાત સાથે કશી લેવાદેવા ન હતી. ખરેખર તો વડીલને પણ અગાઉના ગુજરાતની પરંપરા સાથે કશી લેવાદેવા રાખવી ન હતી. તેમને પરિવારમાં પોતાનું વર્ચસ્વ જમાવી દેવું હતું. એટલે જ તે આ બાળક લઈ આવ્યા હતા. ધીમે ધીમે વડીલે કહેવા માંડ્યું કે ‘આ ઘરમાં લાઇટ કોણ લાવ્યું, ખબર છે? આ મારું ગુજરાત મૉડેલ. આ ઘરના ધંધારોજગાર કોણ ચલાવે છે? મારું ગુજરાત મૉડેલ. દેશદુનિયામાં આ ઘરનો વટ કોના લીધે છે? અલબત્ત, મારા ગુજરાત મૉડેલને લીધે.’
વડીલના દાવાનો કોઈ વિરોધ કરે ત્યારે તે બમણા જોરથી કહેતા, ‘તમે ગુજરાતના વિરોધી છો. એટલે આવી વાત કરો છો.’ કુટુંબનાં માણસ કહે, ‘અલ્યા ભાઈ, અમે ગુજરાતના નહીં, તારા શેખીબાજ, હિંસક, તોડફોડીયા, જૂઠા, ખોખલા, ખિસ્સાં ખાલી ભપકા ભારી એવા ગુજરાત મૉડેલના વિરોધી છીએ.’ પણ સાંભળે જ કોણ? અગાઉ નયા ગુજરાત વખતે પણ આવું જ થયું હતું ને આ વખતે તો બદલાયેલા જમાનાનો લાભ પણ મોટો હતો. એટલે બિચારું અસલી ગુજરાત બાજુ પર રહી ગયું ને ગુજરાત મૉડેલના ઠેકઠેકાણે ડંકા વાગ્યા. ડંકા વગાડવા માટે મોટી ફોજ હંમેશાં તૈયાર રહેતી. તેનું કામ જ ગુજરાત મૉડેલનો જયજયકાર કરવાનું અને અસલી ગુજરાત તરફ ધ્યાન દોરનારને ‘ગુજરાતવિરોધી’ તરીકે ખપાવી દેવાનું હતું.
ગુજરાત મૉડેલ નામનું યુવાનીમાં પ્રવેશેલું બાળક કેવું બલિષ્ઠ ને કેવું મહાન ને કેવું તેજસ્વી ને કેવું દેવાંશી ને દેશદેશાવરની કુંવરીઓનાં તેના માટે કેવાં માગાં આવે...આ બધું મહિમાગાન બહુ ચાલ્યું. એવામાં એક દિવસ કોરોના વાઇરસ આવ્યો.
પછી શું થયું તે આખ-કાન-મગજ ખુલ્લાં હોય એવાં સૌ કોઈ જાણે જ છે ને કોરોના કરતાં પણ ખતરનાક વાઇરસનો શિકાર બની ચૂક્યા હોય એવા લોકોને જણાવવાનો અર્થ નથી.
Sunday, January 12, 2020
યે કહાં આ ગયે હમ, યું હી સાથ સાથ ચલતે...
![]() |
| ભરત પંડ્યા (ફોટોઃ ગૌતમ ત્રિપાઠી) |
![]() |
| રાજપની સ્થાપના રેલીનું રીપોર્ટિંગ |
રાધનપુરમાં મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની ચૂંટણી વખતે (‘સંદેશ’માં પ્રશાંતની અને મારી જોડી હોવાને કારણે) હું પણ પ્રશાંત સાથે પાંચ-છ દિવસ રાધનપુર ગયો હતો. ત્યાં પ્રાથમિક સુવિધાઓ ધરાવતા ભાજપના મિડીયા સેન્ટરમાંથી જ અમે સાંજે સ્ટોરી લખીને ફેક્સ કરતા. એક દિવસ પ્રશાંતે ઓફિસમાં થોડે દૂર બેઠેલા એક જણ પ્રત્યે આંગળી ચીંધીને કહ્યું, ‘આ નરેન્દ્ર મોદી છે.’ પછી ઉમેર્યું,‘…એક નંબરનો અભિમાની.’ (શબ્દોમાં આમતેમ હોઈ શકે, પણ ભાવ આ જ હતો). મેં જોયું, પણ તેમની પીઠ મારા તરફ હતી. એટલે મોઢું ન દેખાયું. મને થયું, ‘હશે, મારે જોઈને શું કામ છે?’ કેમ કે, મારા માટે એ દૂરની ને ‘પારકી’ સૃષ્ટિ હતી.








