Tuesday, June 28, 2022

સર્વોચ્ચ અદાલતના નામે

 (તંત્રીલેખ, ઇન્ડિયન એક્સપ્રેસ, 26 જૂન, 2022)

સુપ્રીમ કોર્ટ ન હોત તો ગુજરાતના 2002ના કેસોમાં ન્યાય હાથતાળી દેતો રહ્યો હોત. એટલે જ, (સુપ્રીમ કોર્ટનો) તાજેતરનો ચુકાદો અને પોલીસ દ્વારા થયેલો તેનો ઉપયોગ અકળાવનારા સવાલ ઊભા કરે છે.

ગુજરાતમાં 2002માં થયેલી કોમી હિંસાની લાંબી, ત્રાસદાયક અને હજુ ઉઘડી રહેલી ન્યાયપ્રક્રિયામાં સર્વોચ્ચ અદાલતે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. ઘણા કિસ્સામાં તેના વચ્ચે પડવાને કારણે ન્યાયપ્રક્રિયાની ગાડી પાટા પર રહી છે, સત્તાધીશોના દબાણથી તે સલામત રહી છે. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીને કારણે, હિંસાનો ભોગ બનેલા તેમ જ હિંસાનો ભોગ બન્યા પછી જીવિત રહેલા લોકો ન્યાયપ્રક્રિયાના નિષ્પક્ષ અને ન્યાયી અંતની આશા રાખી શક્યા છે. એ જ કારણથી શનિવારના રોજ થયેલી કર્મશીલ તિસ્તા સેતલવાડની અને ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડો ખેદજનક છે. તેમની વિરુદ્ધની એફઆઇઆરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તેના પરિશિષ્ટમાંથી ઘણી સામગ્રી ટાંકવામાં આવી છે.

શુક્રવારે સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતના ઉચ્ચ સત્તાધીશો દ્વારા કોઈ વ્યાપક કાવતરું રચાયું હોવાના આરોપોનું ખંડન કર્યું અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ગુજરાત સરકારને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા અપાયેલી ક્લીન ચિટને બહાલી આપી. આ કેસ નીકળી જ જવાનો હતો એ પહેલેથી નક્કી હતું, એવું કહી શકાય. કારણ કે કથિત કાવતરાબાજીનો છેડો છેક મુખ્ય મંત્રીની કચેરી સુધી પહોંચતો હોય એ પુરવાર કરવાનું બહુ કઠણ હતું. આ કેસ ન્યાયપાલિકામાં ટકી શકે એવા પુરાવાના જોરે નહીં, પણ હિંસામાં પાયમાલ થયેલાઓની વ્યથાને કારણે આટલે સુધી પહોંચ્યો હોઈ શકે. એ જ ચુકાદામાં જોકે સુપ્રીમ કોર્ટ ચિંતાજનક રીતે એક ડગલું આગળ વધી. તેના ચુકાદાના આધારે નોંધાયેલી એફઆઇઆરમાં અદાલતના ચુકાદામાંથી ટાંકવામાં આવેલો હિસ્સો આ પ્રમાણે હતોઃ આખરે, આ કેસ ગુજરાત રાજ્યના કેટલાક અસંતુષ્ટ અધિકારીઓએ બીજાઓ સાથે મળીને કરેલો સનસનાટી સર્જવાનો પ્રયાસ હોય એવું લાગે છે... (તેનો આશય) દેખીતી રીતે, ગુપ્ત યોજનાઓ પાર પાડવાના હેતુથી, ચરુ ઉકળતો રાખવા માટેનો... (જણાય છે)...પ્રક્રિયાના દુરુપયોગ સાથે સંકળાયેલા સૌ કોઈને અદાલતમાં ખડા કરીને તેમની સામે કાનૂની રાહે કામ ચલાવવું જોઈએ. આ ચુકાદો આવ્યાના બીજા દિવસે સવાલ છેઃ અદાલતના ચુકાદામાંથી લીટીઓ ઉપાડીને જે રીતે ઇરાદાપૂર્વક હેરાનગતિની શરૂઆત કરવામાં આવી છે, એ તરફ અદાલત આંખમીંચામણાં તો નહીં કરે. (નહીં કરે ને?)

શ્રીકુમાર અને સેતલવાડના કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. પરંતુ અદાલતના ચુકાદામાંથી ઉતારા લઈને કરાયેલી એફઆઇઆરમાં અને 2002ના કેસોમાં અરજદારોની પડખે ઊભા રહેલા લોકો સામે તત્કાળ પોલીસપગલાં લેવા ચુકાદો વપરાયો, તેમાં પ્રશ્નો તો છે. અદાલતે શુક્રવારે જે કહ્યું અને શનિવારે પોલીસે તેમાંથી પોતાનાં પગલાં માટે જે અર્થ લીધો, તેના કારણે અત્યાર સુધીની હકીકતનું જાણે શીર્ષાસન થઈ ગયું. આખરે, આ એ જ અદાલત હતી, જેણે 2002ની હિંસામાં ન્યાય થાય તે માટે સંખ્યાબંધ અભૂતપૂર્વ પગલાં લીધાં હતાં. તપાસમાં ગંભીર ક્ષતિના આરોપોના પગલે સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોની કાર્યવાહી અટકાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી અને સંવેદનશીલ કેસોની સુનવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને તેની કામગીરી પર દેખરેખ રાખી હતી. સુપ્રીમ કોર્ટે એ વાત પણ સુનિશ્ચિત કરી હતી કે કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવે, જેથી ન્યાય થઈ શકે. તેના વચ્ચે પડવાને કારણે ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોના આશરે બે હજાર કેસ નવેસરથી ખુલ્યા હતા. હકીકતમાં બે દાયકા પહેલાં થયેલી કોમી હિંસાના પીડિતો અને હિંસામાંથી જીવતા બચી ગયેલા લોકો માટે ન્યાય મેળવવાના કર્મશીલો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચ સહિતનાં સૌ કોઈના પ્રયાસોમાં સુપ્રીમ કોર્ટ જ કેન્દ્રસ્થાને હતી.

ગુજરાતમાં 2002ના કેસોમાંથી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા થયેલી ફરજચૂકના ગંભીર સવાલ ઊભા થયા હતા. (એવી સ્થિતિમાં) કોઈ એક કેસ નીકળી જાય, તે બાબત (2002ની) હિંસાની જવાબદારી નક્કી કરવાની અને ન્યાય મેળવવાની આખી લડત સામેના તળિયાઝાટક આરોપનામાની ભૂમિકા ન બનવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ વિચારવું જોઈએ કે એક ચોક્કસ કિસ્સામાં હિંસાનો ભોગ બનીને તેનો દરવાજો ખટખટાવનારાની અરજ ટકી શકી નહીં, તેના કારણે ન્યાયપ્રક્રિયાનું નાળચું અરજદારોની સામે તકાઈ જાય એ વાત, બંધારણીય પ્રક્રિયા અને મૂલ્યોના શાણપણભર્યા સંરક્ષક તરીકેની સુપ્રીમ કોર્ટની ભૂમિકાને અને તેના દરજ્જાને છાજે એવી છે કે નહીં. 


મૂળ અંગ્રેજી લેખની લિન્કઃ https://indianexpress.com/article/opinion/editorials/supreme-court-judicial-system-7992775/


Thursday, June 23, 2022

માથું ખંજવાળવા વિશે

કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા પછી, માથું શરીરનું મહત્ત્વનું-શીર્ષ અંગ હોવા વિશે શંકા જાગે. છતાં, તેમાં રહેલી સચ્ચાઈ નકારાયા એવી નથી. માથામાં જ મગજ આવેલું છે. માથા માટે મગજ છે કે મગજ માટે માથું?—એવો સવાલ કોઈ ફિલસૂફને થયો ન હોય તો હવે થશે. પણ કેટલીક બાબતોમાં માથું મગજ કરતાં ચડિયાતું છે, તે નિર્વિવાદ છે. સાબિતીઃ મગજ વિના ઘણાને ચાલી જાય છે, પણ માથા વિના કોઈને ચાલ્યું હોય એવું જાણ્યું નથી. બહાદુરીની જૂની દંતકથાઓમાં માથું પડ્યા પછી લડતાં ધડ વિશે સાંભળ્યું હતું. ન્યાયતંત્રની અત્યારની સ્થિતિ જોતાં, તે દંતકથાઓ પર વિશ્વાસ મુકવાનું એટલું અઘરું નથી. છતાં, સામાન્ય નિયમ લેખે કહી શકાય કે માથું છે તો માણસ છે.

અને માથું છે તો ખંજવાળ પણ છે. પીઠની ખંજવાળ સૌથી કઠણ ગણાય છે. એકબીજાની પીઠ ખંજવાળવાનો સાહિત્યજગતમાં ઘણો મહિમા છે, તેના કારણે એવું બન્યું હશે? ખબર નથી. તેની સરખામણીમાં માથાની ખંજવાળ સહેલી છે.

ના, અહીં માથાની ખંજવાળ મટાડવાનું સહેલું છે, એવો દાવો નથી. તેને સંતોષવાનું આસાન છે. કારણ કે માથું ખંજવાળવા માટે આપણા હાથને કાનૂનના હાથ જેટલા લાંબા કરવા પડતા નથી. સહેજ હાથ ઊંચો કર્યો-ન કર્યો, કોઈની નજર પડી-ન પડી, ત્યાં માથું ખંજવાળી લેવાય છે. બીજો માણસ ધ્યાનથી ન જોતો હોય તો તેને ખ્યાલ ન આવે કે સામેવાળાએ વાળ સરખા કર્યા કે માથું ખંજવાળ્યું.

ભાષાના આગ્રહીઓને એવો સવાલ થાય કે માણસ વાળ ખંજવાળે છે કે માથું? આ તો એવી વાત થઈ કે તમે સુરતમાં રહો છો કે ગુજરાતમાં? સવાલના ગંભીર જવાબ માટે તેના મૂળ સુધી જવું પડે અને તેના મૂળ સુધી જવા માટે વાળનાં મૂળ સુધી જવું પડે. તે સાથે જ સમજાઈ જશે કે વાળ ખંજવાળતાં અનાયાસે માથું ખંજવાળાઈ જાય છે. કારણ કે, સુરત ગુજરાતમાં-ગુજરાતના નકશા પર છે અને વાળ માથામાં-માથાની સપાટી પર છે.

માથામાં ખંજવાળ સામાજિક રીતભાત અને સભ્યતાની દૃષ્ટિે અશોભનીય ગણાય છે. જાહેરમાં વાળ ખંજવાળવાથી સામાજિક વિવેચકો ખંજવાળનાં કારણો વિશે અટકળો છૂટી મૂકે છેઃ માથામાં ખોડો થયો હશે. થાય જ ને. સ્વભાવ સાવ પિત્તળ છે તે...અથવા માથાની અંદરના ભાગમાં ઠાંસી ઠાંસીને ભરેલી દુષ્ટતા બહાર ઉભરાતી હશે. એટલે ખંજવાળ આવતી લાગે છે. અથવા માથામાં જૂઓ પડી હશે. બિચારી જૂઓને પણ જુઓ ને, ક્યાં ક્યાં પડવું પડે છે... કર્મના સિદ્ધાંતના અને કેરીના પ્રેમી કહી શકે છે, નક્કી એકલાં એકલાં કેરીઓ ખાધી હશે. પછી જૂઓ ના પડે તો શું થાય?

માથાની ખંજવાળ રોગ ગણાતી નથી. એટલે, તેની દવા આપનારા હજારો ડોક્ટર હોય છે. દરેક માણસ પાસે (બીજાના) માથાની ખંજવાળ શી રીતે દૂર થાય, તેના અકસીર ઇલાજો હોય છે. બસ, તે પોતાની ખંજવાળ દૂર કરી શકતા નથી. તેમ કરવા માટે તેમની નિષ્ફળતા નહીં, ઉદારતા કારણભૂત છે. તે પોતે પોતાની ખંજવાળ મટાડી દે, તો બીજાને તેમના ખંજવાળવિષયક જ્ઞાનની અજમાઈશ કરવાની તક ક્યાં મળે?

હું ક્યાં કોઈ દિવસ જૂઠું બોલું છું. એવું કહેતા જૂઠ્ઠાઓની જેમ, કેટલાક તો વળી પોતાનું માથું ખંજવાળતાં ખંજવાળતાં બીજાએ તેમની માથાની ખંજવાળ શી રીતે મટાડવી, તેની સલાહ આત્મવિશ્વાસપૂર્વક આપતા હોય છે. તે વિરોધાભાસ પ્રત્યે કોઈ તેમનું ધ્યાન દોરે, ત્યારે તે વ્યથિત થઈને કહી શકે છે, જોયું? ભલાઈનો જમાનો જ નથી રહ્યો. કોઈનું સારું કરવા જઈએ તો આભાર માનવાને બદલે ઉલટા આપણી સામે આંગળી ચીંધે છે. શું કહેવું આ પ્રજાને?

આ કે તે, એકેય પ્રજાને કશું કહી શકાતું નથી. એટલે ખંજવાળ અને ખંજવાળ મટાડવાના નુસખાનો ઉપદેશ આપવાની ખંજવાળ અવિરત ચાલતાં રહે છે. ઘણા લોકો એટલી જોરથી માથું ખંજવાળતા હોય છે કે તે ક્યાંક અંદર સુધી પહોંચી ન જાયએવી બીક લાગે છે. બીજા કેટલાક તેમના નુસખાથી માથાની ખંજવાળ મટી જવાની ખાતરી એટલા ભારપૂર્વક આપે છે કે તેનાથી ખંજવાળ ભેગું ક્યાંક માથું પણ ન જતું રહે, એવી આશંકા જાગે છે. 

બગાસું ખાવાની, આળસ મરડવાની કે ઉંઘી જવાની પ્રક્રિયા જેમ શારીરિક ઉપરાંતના અર્થો ધરાવે છે, એવું જ માથું ખંજવાળવાનું પણ કહી શકાય. કોઈની વાત સાંભળતી વખતે માથું ખંજવાળવાથી એવી છાપ પડે છે કે સામેવાળાની વાત મગજમાં ઉતરી રહી નથી. કદાચ થોડું માથું ખંજવાળીએ તો સામેવાળાની વાત માટે અંદર ઉતરવાનો રસ્તો થાય. મૂંઝાઈને માથું ખંજવાળવું એ સામેવાળાની વાતને અઘરી, ગુંચવાડાભરી કે વિચિત્ર જાહેર કરવાનો અહિંસક રસ્તો હોઈ શકે છે.

દેશમાં અત્યારે લોકશાહીના નામે શું ચાલી રહ્યું છે? એવો સવાલ કોઈને પૂછી જોજો. માણસ સારાખરાબની સમજવાળો-સંવેદનશીલ હશે તો તે માથું ખંજવાળવા લાગશે અને એ રીતે નહીં બોલીને જાહેર કરશે કે કંઈ સમજાય એવું-કંઈ બોલાય એવું નથી. તેનો બીજો અર્થ એ પણ નીકળે કે ખંજવાળવા માટે માથું હેમખેમ રાખવું હોય તો એ સવાલની ચર્ચા નહીં કરવામાં સાર છે.

જૂની કહેવત હતીઃ સર સલામત તો પઘડીયાં બહોત. હવે પાઘડીઓ ભલે ન રહી, ખંજવાળ તો છે. એટલે કહી શકાયઃ સર સલામત તો ખંજવાળ બહોત.

Tuesday, June 14, 2022

શેરડીનો રસાસ્વાદ

સંત કબીરે—ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતેલખ્યું હતું કે બિચારા ગોરસ (માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું પડે છે, જ્યારે મદિરાવાળાને એ મહેનત કરવાની જરૂર નથી. લોકો તેને શોધતા આવી ચઢે છે. કળી યુગમાં ગોરસ હવે અમુલનાં પેકેટમાં અને દુકાનમાં જ વેચાય છે. ગરજાઉ લોકોએ તેને ખરીદવા જવું પડે છે, પણ શેરડીના રસ જેવું દિવ્ય પીણું વેચનારે ઘરે ઘરે ફરવું પડે છે. બધે કદાચ એવો રિવાજ ન હોય, પણ ઘણા ઠેકાણે શેરડીનાં હરતાંફરતાં રસઘર જોવા મળે છે.

વર્ષો સુધી શેરડીનો રસ યાદ કરતાં શેરડી પીલવાના હાથથી ચલાવવાના સંચા (કોલાં) અને તેની સાથે બાંધેલો ઘુઘરીઓનો રણકાર યાદ આવતો હતો. છેલ્લા કેટલાક સમયથી એ મધુર રણકારનું સ્થાન ડીઝલ એન્જિનની ધમધમાટીએ લીધું છે. પહેલાં ડીઝલ એન્જિનનો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવા માટે થતો હતો. હવે તે શેરડીમાંથી રસ ખેંચવા માટે વપરાય છે.

પહેલાં શેરડીનો રસ કાઢવાની શાસ્ત્રીય પ્રક્રિયા હતી—રેકોર્ડ પ્લેયર પર રેકોર્ડ મુકવા જેવી. તે લોખંડનું મોટું ચક્ર, તેને ફેરવવાનો હાથો, વચ્ચે ફરતા બે કાળમીંઢ નળાકાર—આમ તો આખો મામલો ઔદ્યોગિક સંસ્કૃતિની યાદ અપાવે એવો શુષ્ક અને યાંત્રિક હોય, પણ તેમાં વચ્ચે શેરડીના સાંઠા દાખલ થતાં જ કૃષિ સંસ્કૃતિની મહેક આવવા માંડતી હતી. ઓર્ગેનિક શબ્દ ત્યારે ફક્ત કેમિસ્ટ્રી માટે વપરાતો હતો. એટલે સંચાવાળા તેમના રસને ઓર્ગેનિક તરીકે ઓળખાવીને વધારે રૂપિયા ખંખેરતા ન હતા અને હાઇજેનિક તરીકે ઓળખાવીને લૂંટફાટ ચલાવતા ન હતા. બાકી, કેટલાક નામીચાં રેસ્ટોરાંમાં શેરડીના રસના એક પ્યાલાનો ભાવ વાંચ્યા પછી સવાલ થાય કે આ લોકો રસની સાથે રસ કાઢવાનું મશીન મફત આપતા હશે કે શું?

વર્તમાન સમયમાં જેવી અંતિમવાદની બોલબાલા અગાઉ હોત તો વીગન લોકો શેરડીના રસ સામે વાંધો પાડી શકત. સાંઠાને નિર્મમ રીતે પીલી નાખવાની સાંકેતિક હિંસા ઓછી લાગતી હોય, એવા લોકો કહેત, સંચાની આજુબાજુ કેટલી બધી માખીઓ બણબણે છે. તેમાંની એકાદ પણ વચ્ચે આવી ગઈ તો? આપણને શી ખબર પડે?’

વિચારધારાને કદી એકલા સોરવતું નથી. એટલે આ પ્રકારના લોકો શેરડીના રસના બહિષ્કારની ઝુંબેશ ચલાવત અને શેરડી ઉગાડવામાં કેટલું પાણી વેડફાય છે અને અમુકતમુક પ્રાંતમાં લોકો પાણીના અભાવે કેવા ટળવળે છે તે વિશે, રસના સંચાની સામે ઊભા રહીને, લોકોને જાગ્રત કરતા હોત—અને શક્ય છે કે, રસ પીવા આવનારામાંથી કોઈ વધારે સલુકાઈથી તેમને સમજાવત તો તેમાંથી કેટલાક લોકો એક પ્યાલો રસ પીને ઘરભેગા થઈ જાત.

સારું છે, શેરડીનો રસ ચર્ચવાનો નહીં, પીવાનો અને માણવાનો મામલો છે. સાહિત્યના વિદ્યાર્થીઓએ શેરડીના રસ સાથે કલાપીની કવિતા ગ્રામ્યમાતા પૂરતો જ સંબંધ રાખવો પડે છે, તેમાં વિદ્યાર્થીઓનું અને ખાસ તો શેરડીના રસનું હિત છે. બાકી, ગ્રામ્યમાતાને બદલે શેરડીના રસનું વિવેચન શરૂ થાય તો?

સૌથી પહેલાં તેને લોકપ્રિય કહીને તેના પ્રત્યે છૂપો કે પ્રગટ તુચ્છકાર વ્યક્ત કરવામાં આવે અને તેના રસાસ્વાદ-વિવેચનમાં સમય બગાડવાની કશી જરૂર નથી, એવું સિદ્ધ કરવામાં આવે. બહુ દબાણ થાય તો પછી શેરડીના રસને સાહિત્યના કયા યુગમાં મુકવો, તેના વિશે ચર્ચા કરવી પડે. શેરડીના રસનું યુગનિર્ધારણ જેવા બે-ચાર સેમિનાર કર્યા પછી ને તે સેમિનારોના અંતે તેમાં રખાયેલા ભોજન સિવાય બીજા કોઈ વિષય પર વિગતે ચર્ચા ન થવાથી, થોડા ખંતીલા લોકો યુગનિર્ધારણનું કામ હાથ પર લે ને પંડિત યુગથી શરૂ કરીને અનુઆધુનિક યુગમાં શેરડીને ગોઠવવાનો પ્રયત્ન કરી જુએ. ચર્ચાની શરૂઆત સ્વાભાવિક રીતે જ, શેરડી ભારતમાં ક્યાંથી આવી અને સુધારક યુગમાં રસ કાઢવાના સંચા હતા કે નહીં, ત્યાંથી થાય.

પછી તેમને કોઈ સમજાવે કે સાહેબો, યુગનિર્ધારણ તમતમારે કર્યે રાખજો, પણ પહેલાં રસ પીને સ્વાદનિર્ધારણ તો કરો. એટલે સાહેબલોકો કોઈ સાહિત્ય સંસ્થાની બહાર રહેલા શેરડીના રસની દુકાને જાય, જ્યાં સાહિત્યસંસ્થા કરતાં વધારે લોકો આવતા હોય. તે જોઈને સાહેબોને હાશ થાય કે જ્યાં સુધી શેરડીના સંચે આવે છે એટલા ટોળાબંધ લોકો સાહિત્ય સંસ્થામાં નથી આવતા, ત્યાં સુધી સાહિત્ય લોકપ્રિયતાની માઠી અસરોથી સલામત છે.

રસેચ્છુકોમાંથી બહારની દુનિયા સાથે પનારો પાડી જાણતા એક જણ કોને કયા પ્રકારનો રસ જોઈશે તેની પૂછપરછ કરે, તો તેમને ગૂંચવાડો થઈ શકે. કેમ કે, શેરડીના રસવાળાને બે પંડિત, એક ગાધી, ત્રણ આધુનિક ને અક અનુઆધુનિક રસ આપજે—એવું કહેવાય નહીં. ક્યારેક એવું પણ બને કે આદતવશ રસવાળાને એવો ઓર્ડર આપી દીધો, તો શેરડીનો સંચો ચલાવનાર જણ તેમને કહે, સાહેબો, શેરડીનો રસમાં યુગવિભાજનથી સૌંદર્યબોધ નિષ્પન્ન નહીં થાય. તેના માટે તમારે માપદંડો અને વિવેચનનાં ઓજાર બદલવાં પડશે. યુગલક્ષીને બદલે કૃતિલક્ષી અભિગમ અપનાવવો પડશે.

આ ભાષા સાંભળીને ચકિત થયેલા સાહેબો વધુ પૂછપરછ કરે, તે પહેલાં રસવાળો ઉપસ્થિત સાહેબોમાંથી એકાદને કહેશે, સાહેબ, ભૂલી ગયા? હું તમારો જ વિદ્યાર્થી હતો, પણ નોકરી માટે આપવાના થતા પચીસ-પચાસ લાખ રૂપિયા ક્યાંથી કાઢવા. એટલે આ સંચો શરૂ કર્યો છે. તમારે એકના એક કૂચા વર્ષોવર્ષ ચાલે. મારે તો સાહેબ દર વખતે નવી શેરડી નાખવી પડે છે. પણ તમારા આશીર્વાદથી ધંધો સારો ચાલે છે.

 --અને રસાસ્વાદને બાજુએ મૂકીને ક્ષેત્રવિવેચન શરૂ થઈ જાય.

Tuesday, June 07, 2022

ટાળો કંટાળો

ભગવાન બુદ્ધે ગૌતમીને નકામી ગૂંચવી મારી. મૃત પુત્રને જીવતો કરવાની વિનંતી સાથે પહોંચેલી ગૌતમીને તેમણે કહ્યું હતું, જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય, ત્યાંથી દાણા લઈ આવ. એને બદલે બુદ્ધે કહ્યું હોત કે જે ઘરમાં કોઈ માણસને કદી કંટાળો ન આવ્યો હોય, ત્યાંથી દાણા લઈ આવ તો પણ તેમનું કામ થઈ ગયું હોત. કારણ કે, જે જન્મે છે, તે મરે છે—એટલી જ અફર હકીકત છે કે, જે જન્મે છે, તે સૌ ક્યારેક અચૂક કંટાળે છે.

કંટાળો ઐચ્છિક પ્રવૃત્તિ નથી. મૃત્યુ નહીં પામવાની જેમ, નહી કંટાળવાનું પણ માણસના હાથમાં હોતું નથી. કોઈ એવું થોડું વિચારે કે ચાલો, કંટાળીએ. અથવા હમણાંથી કંટાળ્યે બહુ વખત થઈ ગયો છે. હવે કંટાળવું પડશે. પ્રેમ માટે ફિલ્મી કવિ કહે છે કે તે કિયા નહીં જાતા, હો જાતા હૈ. કંટાળા માટે પણ એ સાચું છે. તેને લાવવો પડતો નથી. તે વણનોતર્યો આવી ચડે છે. તે દૃષ્ટિએ કંટાળો આત્મનિર્ભર હોય છે. તેમાં કેમ? શું? કેવી રીતે? મને જ કેમ?—એવા સવાલો અપ્રસ્તુત છે. ફિલ્મી ગીતમાં અને હિંદી ભાષામાં પણ થોડી છૂટછાટ લઈને ગાઈ શકાય, દુનિયામેં હમ આયે હૈં તો કંટાળના હી પડેગા”.

કંટાળો અનેક રીતે આવી શકેઃ બહુ આનંદમાં-સુખમાં રહેવાથી કંટાળો આવે, બહુ દુઃખમાં રહેવાથી કંટાળો આવે, મધ્યમ સ્થિતિમાં રહેવાથી કંટાળો આવે અને રોજેરોજ સ્થિતિ બદલાયા કરતી હોય, તેનો પણ કંટાળો આવી શકે. ટૂંકમાં, જે જેમ છે, તેમ હોવા માત્રથી કંટાળો આવી શકે. આવો કંટાળો નિર્દોષ અને સામાન્ય હોય છે. તેની કોઈ નોંધ લેતું નથી કે નોંધ લેવડાવતું નથી. કેમ? સીધી વાત છે. એવી નોંધ લેવા-લેવડાવવાનો કંટાળો આવે છે, એટલે.

કંટાળો ક્યાં આવે છે? તેવા સવાલનો જવાબ શોધતાં માલૂમ પડે છે કે કંટાળો હાથમાં (લખવાનો) આવે, પગમાં (ઉભા રહેવાનો-ચાલવાનો-દોડવાનો) આવે, મોંમાં (ખાવાનો) આવે, આંખમાં (જોવા-વાંચવાનો) આવે, પણ સૌથી મોટો ને ખતરનાક કંટાળો મનમાં આવે છે. એક વાર તે મનમાં ઘૂસ્યા પછી ધીમે ધીમે શરીરનાં બધાં અંગો પર કબજો જમાવતો જાય છે અને થોડી વારમાં તો એવું લાગે છે, જાણે શરીરના અણુએ અણુમાં, રોમેરોમમાં ચૈતન્યને બદલે કંટાળો સમાયેલો હોય અને તે બહાર આવીને, બીજાનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરતો હોય.

કોઈ માણસ કંટાળેલો છે કે નહીં, તે નક્કી કરવું ક્યારેક સહેલું છે ને ક્યારેક અઘરું. કેટલાક લોકો પોતાના કંટાળાને, નામ આગળ લગાડાતા પદ્મશ્રી જેવા લટકણિયાની માફક, છાતી પર લટકાવેલો રાખે છે. કોઈ દૂરથી તેમને જુએ તો પણ ખ્યાલ આવી જાય કે આ કંટાળેલો આત્મા લાગે છે. તળાવમાં પથરાતી લીલની ચાદરની જેમ, તેના આખા ચહેરા પર કંટાળાની ચાદર પથરાઈ ગઈ હોય છે.

કેટલાક ખેપાની વ્યૂહબાજો છાતી પર લટકાવેલા કંટાળાનો હથિયારની જેમ ઉપયોગ કરે છે. બલ્કે, હથિયાર તરીકે વાપરવા માટે જ તે સાચો-ખોટો કંટાળો છાતી પર ટાંગીને ફરતા હોય છે. કોઈ પણ માણસ થોડી વાત કરે, એકાદ કવિતા સંભળાવે કે કોઈ ફિલ્મનો રિવ્યુ આપવાનું ચાલુ કરે, એટલે તેના ચહેરા પર પથરાયેલો કંટાળો વધારે ઘટ્ટ સ્વરૂપ ધારણ કરવા લાગે છે. પાયલ ને ઘાયલની જેમ એવા કંટાળેલ છુપ્યા છૂપાતા નથી. તે પોતાનું નિવેદન સ્પષ્ટ કરવા માટે વચ્ચે વચ્ચે એકાદ મોટું બગાસું પણ ખાઈ લે છે.

કંટાળાના કોઈ દેવતા હોય તો બગાસાને અચૂક તેમના હથિયાર તરીકે સ્થાપી શકાય. ગમે તેટલા નકામા ભાષણ કે કવિતા કે વાર્તાલાપ વિશે તત્કાળ અને અસરકારક રીતે કંટાળો વ્યક્ત કરવો હોય તો તેનો ટૂંકામાં ટૂંકો અને સૌથી સચોટ રસ્તો મોટેથી બગાસું ખાવાનો છે. એક અર્થમાં તે કુદરતી અને શારીરિક ક્રિયા ખરી, પણ ચોક્કસ સંજોગોમા તે કૃતિવિવેચનનો પ્રકાર બની રહે છે.

કાર્યક્ષમ લોકોને કંટાળા પ્રત્યે અને કંટાળતા લોકો માટે બહુ ખીજ હોય છે. તે લોકો કાર્યક્ષમતાના મહિમામાં સાનભાન ભૂલીને કંટાળા તથા કામગીરી વચ્ચેનો મરઘી અને ઇંડા જેવો સંબંધ સમજી શકતા નથી. તેમને લાગે છે કે આ લોકો કામ નથી કરતા, એટલે કંટાળેલા રહે છે. હકીકતમાં, તે લોકો કંટાળેલા હોવાથી, કામ કરવાનો ઉત્સાહ બતાવી શકતા નથી.

સંસ્કૃતમાં એ મતલબનું સુભાષિત હતું કે ભૂખ્યો માણસ શાં પાપ નથી કરતો. એ વાત કંટાળેલા મનુષ્યને પણ આબાદ લાગુ પડે છે. કંટાળેલો માણસ કે કંટાળાના આક્રમણ સામે ઝઝૂમી રહેલો માણસ પોતાની જીત અને કંટાળાની હાર માટે ગમે તેવું ખાવાનું ખાઈ શકે છે, ગમે તેવાં ભંગાર પિક્ચરો જોઈ શકે છે, ત્રાસદાયક ભાષણો હોંશે હોંશે સાંભળી શકે છે, ગમે તેવા નકામા માણસની સોબત કરી શકે છે, લોકોના હિતનું સત્યાનાશ વાળનારાને જૂઠા લોકોને મત આપી શકે છે. કારણ કે, યોગ્ય દિશામાં સક્રિય થવાનો-યોગ્ય કામ કરવાનો તેમને કંટાળો આવે છે.

કેટલાક લોકો એટલા બધા કાર્યક્ષમ હોય છે કે તેમની કાર્યક્ષમતા વિશે સાંભળવા માત્રથી કંટાળો આવે. અને કેટલાક લોકો એવી રીતે કાર્યક્ષમ હોય છે કે આપણને થાય, એ થોડા કંટાળતા હોત અને આરામ કરતા હોત, તો કદાચ દેશનું વધારે ભલું થાત.