Showing posts with label ગુજરાત વિદ્યાપીઠ. Show all posts
Showing posts with label ગુજરાત વિદ્યાપીઠ. Show all posts

Thursday, October 06, 2022

ગૂજરાત વિદ્યાપીઠ : કેટલાક અગત્યના મુદ્દા

ગૂજરાત વિદ્યાપીઠ વિશેની ચર્ચામાં કેટલાક મુદ્દા સૌથી મહત્ત્વના અને યાદ રાખવા જેવા છેઃ

1. વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે, સરકારી પ્રતિનિધિ એવા ગવર્નરને નહીં, સંઘ પરિવાર સાથે સંકળાયેલા દેવવ્રતનું નામ સૂચવાયું છે. એટલે, મામલો સરકારીકરણનો પણ નહીં, તેને પણ ટપે એવા સંઘીકરણનો છે.

2. "સંઘમાં શો વાંધો છે?" એવું કેટલાક લોકો માસુમિયતથી ને કેટલાક લુચ્ચાઈથી પૂછે છે. જવાબ બહુ સાદો છેઃ સંઘ ગાંધીજીના વિચારોથી સામા છેડાની વિચારધારા ધરાવતી સંસ્થા છે. તેના પ્રતિનિધિને ગાંધીજીએ સ્થાપેલી સંસ્થામાં મુકવામાં દેખીતો ઔચિત્યનો ભંગ છે અને સંસ્થા કબજે કરી લેવાની માનસિકતા છે.

3. વિદ્યાપીઠનું ચાન્સેલર પદું સંઘને સોંપી દેવાની સંમતિ આપનાર વાઇસ ચાન્સેલર રાજેન્દ્રભાઈ ખીમાણી અને બીજા બાર જણે કયા હેતુથી, દેખીતા ઔચિત્યભંગનું આ પગલું લીધું? તે મુખ્ય સવાલ છે.

3. વધારે "ગુજરાતી"માં કહીએ તો, કોની સાથેની અને કઈ સમજૂતીના આધારે, સંઘની વ્યક્તિની તરફેણમાં આ તેર જણે મત આપ્યા છે? એવું કરવામાં તેમનાં કયાં હિત અથવા શાનો ભય અથવા હિત અને ભય-- બંને છે?

4. તેના જવાબમાં કોઈ કહે કે "અમે વિદ્યાપીઠના હિતમાં- વિદ્યાપીઠને બચાવવા માટે આ કરીએ છીએ." તો તેમને કહેજો કે આ સમય ટુચકા કહેવાનો નથી. 

કોઈ કહે કે "ગ્રાન્ટ ચાલુ કરાવવા માટે આ જરૂરી હતું" તો સીધી વાત છે.: વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલ વિદ્યાપીઠની માલિક નથી. વિદ્યાપીઠની પરંપરામાં પાયાનો ફેરફાર કરવા જેટલો મોટો નિર્ણય લેતા પહેલાં, તેમણે વ્યાપક વિમર્શ કરવો જોઈએ. ખાસ કરીને, ટ્ર્સ્ટીમંડળમાંથી નવ જણ તે નિર્ણયનો વિરોધ કરતા હોય ત્યારે, આટલી ઉતાવળ શંકા પ્રેરનારી છે. 

ટૂંકમાં, વિદ્યાપીઠના હિત માટે વિદ્યાપીઠને વધેરી નાખવાનો જવાબ બચાવ પૂરતો ઠીક, પણ કોમન સેન્સની રીતે  જરાય ગળે ઉતરે એમ નથી.  

5. બીજો વિકલ્પ છેઃ અંગત હિત માટે કે અંગત નુકસાન ટાળવા માટે વિદ્યાપીઠને સંઘના ચરણે ધરી દેવી. 
એવું નથી થઈ રહ્યું અને "સંઘની વ્યક્તિને ચાન્સેલરપદે બેસાડવાની હદે પગમાં પડી જવું પડે, એવું કશું અમે નથી કર્યું" -- એ લોકો સમક્ષ પુરવાર કરવાની જવાબદારી આ તેર જણની અથવા વિદ્યાપીઠના વીસી તરીકે રાજેન્દ્રભાઈ ખીમાણીની છે, જેમણે સંઘના ચાન્સેલરની તરફેણમાં મત આપ્યો છે.

7. વિદ્યાપીઠનું ચાન્સેલરપદું સંઘના ચરણે ધરી દેવાથી વિદ્યાપીઠને શો ફાયદો થશે? અને 13 જણમાંથી અંગત રીતે કોને શો ફાયદો થશે? અથવા ભવિષ્યમાં થનારું સંભવિત નુકસાન ઓછું થશે- નુકસાનમાંથી બચી જવાશે? તેનો પણ જવાબ આ તેર જણે આપવાનો રહે છે.

1. ડો. રાજેન્દ્ર ખીમાણી
2. પ્રો. કનુભાઈ નાયક
3. આયેશાબહેન પટેલ
4. સુરેશભાઈ રામાનુજ
5. વિશાલભાઈ ભાદાણી
6. જગદીશચંદ્ર સાવલિયા
7. જશવંતભાઈ પંડ્યા
8. રમેશભાઈ પટેલ
9. જગદીશચંદ્ર ગોઠી
10. અરુણભાઈ ગાંધી
11. નરેશભાઈ ચૌહાણ
12. પ્રવીણકુમાર શર્મા
13. મેહુલભાઈ પટેલ