Monday, April 29, 2019

મત પછીના મતાંતરઃ ત્યારે કરીશું શું?

મતદાર તરીકે આપણી નિયતિ શાહબુદ્દીન રાઠોડના વનેચંદ જેવી હોય છેઃ અપેક્ષાની શરૂઆત માસ્ટર્સ ડિગ્રીથી થાય છે અને છેલ્લે ‘આપણે અક્ષરજ્ઞાનનો બાધ નથી’ પર આવીને ઊભા રહીએ છીએ. બંને મુખ્ય પક્ષોથી કંટાળેલા હોય એવા, વફાદારીની પટ્ટી વગરના નાગરિકો માટે એક મુશ્કેલી છેઃ અરવિંદ કેજરીવાલના ‘શરતો લાગુ’વાળા અપવાદને બાદ કરતાં ઘણા વખતથી કોઈની તરફેણમાં મત આપવાનું કહેવાય એવું લગભગ બન્યું નથી. મોટે ભાગે તો વિરોધમાં મત આપવાનું જ ફરજરૂપ લાગે છે. એ વખતે પણ ઇતિહાસ અને વર્તમાનના અનેક પ્રસંગોની મુંઝવણો સામે આવીને ઊભી રહે છે.

ઇંદિરા ગાંધીને હરાવવા માટે થયેલું ગઠબંધન અને તેમાં થયેલી ભાંગફોડ જાણે ઇંદિરા ગાંધીને કટોકટીના કલંકમાંથી મુક્ત કરીને વાજતેગાજતે પાછાં બેસાડવા માટે નિર્માઇ હોય એવું અત્યારે જોતાં લાગે. તેમાં કશી કાવતરાબાજી જોવાનો પ્રયાસ નથી, કેવળ ઘટનાક્રમને યાદ કરવાની વાત છે. એવું જ પછી થયેલાં અનેક ગંઠબંધનોના કિસ્સામાં પણ બને છે. ભૂતને કાઢવાની તીવ્રતાને કારણે પલિતનું અનિવાર્ય આગમન નજરઅંદાજ કરવું પડે છે. ભૂતને કાઢવા માટે કરાતી સિદ્ધાંતચર્ચા, પલિતના આગમનની સંભાવનાટાણે, આગળ કહ્યું તેમ, ‘અક્ષરજ્ઞાનનો બાધ નથી’ પર આવીને અટકે છે. હવે સરકારપક્ષે તો વિરોધ કરનારા તમામ પરિબળોની જેમ ગઠબંધનને પણ ‘ઠગબંધન’ જેવા નામે ઓળખાવીને તેની સડકછાપ હાંસી ઉડાડવાની કોશિશ કરી છે. તેમને એટલું પણ યાદ નથી રહેતું કે અલાયન્સ ઉર્ફે મોરચા પણ ગઠબંધનના (તેમની ભાષામાં 'ઠગબંધન'ના) જ પ્રકાર છે.

આટલી વાત અરણ્યરુદન કે નિરાશાવાદ કે ‘આ તો અમે વર્ષોથી કહીએ છીએ’ –એવી લાગે તો એ ખોટું નથી, પણ આ લખવાનો હેતુ નિરાશા ઘુંટવાનો કે નવેસરથી જૂની વાતો દોહરાવવાનો નથી. કહેવાનું એ છે કે આટલી ઘેરી પરિસ્થિતિ છતાં, હજુ સાવ નિરાશ થવાપણું નથી. સવાલ વર્તમાન વડાપ્રધાન ચૂંટણી જીતે છે કે નહીં એટલા પૂરતો હોય તો જરૂર એવું થાય. પણ આ સરકારની વાજબી ટીકાથી આગળ વધતાં જણાય છે કે સવાલ આપણો સૌનો છે. નેતાઓ તો તેમની દુકાનો ચલાવવા માટે બધી તરકીબો લગાડશે, પણ આપણાં કેટકેટલાં પરિચિતો-મિત્રો-સગાંસ્નેહીઓ-સમાજના માણસો તેમની આ તરકીબોને હોંશિયારી સમજે છે, તેમની આપવડાઈને દેશગૌરવ ગણે છે અને કોમવાદને રાષ્ટ્રવાદ માની લે છે. તેમાંથી જે કંઠીધારી કે ન સમજવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય તેમને બાજુ પર મૂકીએ, તો પણ મોટો સમુદાય બાકી રહે છે, જે કંઠીધારી કે સાયબર સૅલનો સભ્ય કે કુતર્કમાં રાચનારો નથી. તેમાં યુવાન મતદારોનું પ્રમાણ સૌથી મોટું છે.

ધર્મ હોય કે રાજકારણ, ‘કૅચ ધૅમ યંગનું’ સૂત્ર નવું નથી. એ સૂત્રને નાગરિકધર્મની વાત કરનારા અને ભારતની લોકશાહી-બંધારણીય મૂલ્યો વિશે ચિંતિત લોકોએ પણ ધર્મ અને રાજકારણના ખેલાડીઓ જેટલી પ્રાથમિકતા આપવાની જરૂર છે. એ ખરું કે પેચીદી-જરા ઠંડકથી ને ચશ્મા ઉતારીને જોવી-બતાવવી પડે એવી સચ્ચાઈને બદલે ‘હીરો કે વિલન?’, ‘દેશદ્રોહી કે દેશપ્રેમી?’ની ગોળીઓ પીવડાવવાનું વધારે સહેલું હોય છે. છતાં, નવી પેઢીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેનો સંવાદ સાવ પથ્થર પર પાણી નથી હોતો. ઘણી વાર એવા સંવાદમાં સમજાતું હોય છે કે નવી પેઢીના લોકો ‘નિર્દોષ’ છે. તેમના અભ્યાસક્રમમાં તેમને વિચારતા કે સમજતા કરે, એવું કશું આવતું નથી. સામેથી એ કવાયતમાં ઉતરવાની મોટા ભાગનાની તૈયારી નથી. એટલે હાડથી કોમવાદી કે ઝનૂની નહીં હોવા છતાં, તેમની સમજણમાં તેમણે અમુક જ પ્રકારનું રાજકારણ જોયું છે. અપપ્રચાર અને ફેક ન્યૂઝના યુગમાં તે ખોવાયેલા છે. 

એટલે કોઈ પોતાની મેળે સમજે તો ઠીક છે. બાકીનાને ‘નિર્દોષ’ રાખવાની પૂરી વ્યવસ્થા શિક્ષણવ્યવસ્થામાં છે. ઔપચારિક શિક્ષણની એ મોટી મર્યાદા નાગરિકધર્મ અંગે સાવધ લોકો સહિયારા પ્રયાસોથી કેવી રીતે પુરી શકે તેનો વિચાર અને અમલ કરવાનો છે. યુવા પેઢીનો મોટો હિસ્સો ઠેકાણાસરની વાત, ઉપદેશના કે જ્ઞાનના ભાર વગર કહેવાય તો તે સાંભળવા તૈયાર હોય છે. તેમના ધ્યાન અને મનનું અપહરણ કરે એવાં સોશ્યલ મિડીયાનાં સુવર્ણમૃગોને હણવાનું પૂરતું નથી. તેમને આ સુવર્ણમૃગોની રાક્ષસી અસલિયત સમજાવવાનું જરૂરી છે અને ઇચ્છનીય એ છે કે આપણે તેમની વિચારપ્રક્રિયામાં આપણે મદદરૂપ થઈ શકીએ અને આસુરી સુવર્ણમૃગો તે પોતાની જાતે ઓળખતા થાય.

નિરાશ થનારે યાદ રાખવા જેવું છે કે એક સમયે ચોતરફ ફેલાઈને લાંબા સમય સુધી અસર ટકાવતી પ્રચારપ્રયુક્તિઓની આવરદા હવે ‘લૉ ઑફ ડિમિનિશિંગ રીટર્ન્સ’ પ્રમાણે ઘટી રહી છે. એક તિકડમથી કામ થઈ જતું નથી—અને આવું આપણને નહીં, શયતાની સાયબર સૅલના પાલનહારોને પણ લાગે છે. અમિત શાહે પણ ભાજપના કાર્યકરોને વૉટ્સ એપ પર ફેલાતાં જૂઠાણાંથી સાવધ રહેવાની સૂચના આપવી પડે, એ બદલાયેલા સમયની તાસીર છે.  સાયબર પ્રચારસ્વામીઓને પણ બૂમરૅન્ગની અને બૂમરૅન્ગથી બીક લાગે છે, તે નાગરિકધર્મ માટે જાગ્રત લોકો માટે આશાસ્પદ છે.

પહેલી વખત મત આપનારા લોકો રાજકીય પક્ષોનું પ્રિય લક્ષ્ય હોય છે. તારક મહેતા એક વખત કહેતા હતા કે તે ટપુડાથી કંટાળ્યા છે, પણ વાચકોની નવી પેઢી આવ્યા કરે છે ને ટપુડો ચાલ્યા કરે છે. રાજકીય ટપુડાઓને નવી પેઢી-પહેલી વખત મત આપનારા કેમ વહાલા લાગે તે સમજી શકાય એવું છે. (સૉરી, તારકભાઈ) આપણે નવી પેઢીને કંઠી પહેરાવવાની નથી, કંઠી ન પહેરવાની દિશામાં તેમને સાથે લઈને ચાલવાની કોશિશ કરવાની છે. તેના માટે વિચારવર્તુળો પૂરતાં નથી, આચારવર્તુળો ને આચારરેલીઓ પણ જરૂરી છે.  અત્યાર લગીના પ્રયાસો ચાલુ રાખીને, પણ ત્યાં અટકી પડ્યા વિના, આગળ નીકળવાનું જરૂરી છે. 'વિચારનારા માણસોનાં ટોળાં નથી હોતાં' એવું આશ્વાસન લઈને બેસી રહેવાને બદલે, મર્યાદિત અને મૂળભૂત મુદ્દા પૂરતું વર્તુળ વિસ્તારવાની વાત છે. લઘુતમ સાધારણ મૂલ્યો—ખાસ કરીને, શું ન જ ચલાવી લેવાય, એ નક્કી કરીને તેના આધારે પ્રેશર ગ્રુપ ઊભાં કરવાની દિશામાં કોશિશ કરવાની છે. એવાં ગ્રુપ, જે કોઈ રાજકીય પક્ષનાં ખંડિયાં ન હોય, બધાને આંખમાં આંખ નાખીને, નાગરિકની ભૂમિકાએથી બધા પક્ષોને-બધા નેતાઓને અઘરા સવાલ પૂછી શકે.

આવું બધું પહેલાં અનેક વાર કહેવાઈ ચૂક્યું છે. છતાં, દરેક નવી પેઢી આવે ત્યારે એ કહેવું જરૂરી હોય છે. કયું સ્કૂટર કેટલામી કીકે શરૂ થાય, કોને ખબર?  

Sunday, April 28, 2019

નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની વિદ્યાર્થીનીઓનો કાર્યક્રમ : વો જલવા ચુરાનેકો જી ચાહતા હૈ

સંગીત અમસ્તું પણ મને ભાવાર્દ્ર કરે છે. ગમતાં ગીત સાંભળતાં અનાયાસ આંખ ભીની થઈ જાય કે અમુક ગીત બસો-ત્રણસોમી વાર સાંભળવા છતાં પહેલી વાર સાંભળતો હોઉં એમ રુંવાડાં ઊભાં થઈ જાય એવું બને છે. પરંતુ ગઈ કાલના એક કાર્યક્રમમાં ભાવવશ થવાનું કારણ કેવળ સંગીત ન હતું. કાર્યક્રમ હતો પરમ મિત્ર હસિત મહેતા જ્યાં આચાર્ય છે, જે નડીયાદની સૂરજબા આર્ટ્સ કૉલેજના વાર્ષિકોત્સવનો. તેમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ શાસ્ત્રીય સંગીત પર આધારિત ફિલ્મી ગીતો ગાવાની હતી.

આમ તો, એમાં શી નવાઈ? કૉલેજની ટૅલેન્ટ ઇવનિંગનો એક જમાનો હતો. હવે તો ફિલ્મી સંગીતને લગતા લાઇવ કાર્યક્રમો પણ કેટલા બધા યોજાય છે. વૉઇસ ઑફ ફલાણી ને વૉઇસ ઑફ ઢીકણાથી કાર્યક્રમોનું જગત છલકાય છે. 'ગ્રામોફોન ક્લબ' જેવી પ્રતિષ્ઠિત અને ફિલ્મ સંગીતની રજૂઆતનાં ઉચ્ચ ધોરણો સ્થાપનારી સંસ્થાઓથી માંડીને બીજી ઘણી ક્લબો પોતપોતાની રીતે સંગીતને લગતા કાર્યક્રમો કરે છે અને એ સિવાય પણ બીજું ઘણું. છતાં, મોટે ભાગે આવા કાર્યક્રમોમાં મહિલા સ્વરોના અને ઘણી વાર તો બધા સ્વરના બહુ વાંધા હોય છે. તેમાં ચીસાચીસથી લઈને શરદીગ્રસ્ત સુધીની રેન્જ હોય છે. એ બધાનું સામાન્ય લક્ષણ એ કે તે કાનમાં પ્રવેશે એ સાથે જ કાન પર અત્યાચાર થતો હોય એવું લાગે.

આ વાત થઈ ઘણાખરા ટિકિટ શો કે સભ્યપદ ધરાવતા શોની. તેની સરખામણીમાં, નડિયાદ જેવા પ્રમાણમાં નગર કહેવાય એવા શહેરની, પાછી આર્ટ્સ કૉલેજ અને એ પણ ફૅશનેબલ કૉલેજ રોડ પર ન હોય એવી કૉલેજ—અને તેના વાર્ષિકોત્સવમાં દમદાર અવાજો સાંભળવા મળે ત્યારે બેવડો-ત્રેવડો આનંદ થાય.
હસિત મહેતાથી પરિચિત હોય એવા સજ્જનો અને બીજાઓ જાણતા હશે કે એ અનેકવિધ પ્રવૃત્તિઓ એકસરખી ઝીણવટ, બારીકાઈ, આયોજન અને ગુણવત્તા સાથે કરે છે.  તેમની પ્રવૃત્તિનાં વિવિધ ક્ષેત્રો આશ્ચર્ય ઉપજાવે એટલી હદે જુદાં છે (સમજુલક્ષ્મી પ્રસુતિગૃહ, ડાહીલક્ષ્મી લાયબ્રેરી, સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ, અમૃત મોદી પત્રકારત્વની કૉલેજ, ઇન્ટીરીયર ડીઝાઇનની કૉલેજ અને બીજું ઘણું.) અધ્યાપક તરીકે મળતા આસમાની પગારનું પૂરેપૂરું નહીં, તેથી પણ વધારે વળતર સમાજને આપતા અપવાદરૂપ અધ્યાપકની ટૂંકી નાતમાં તેમનો સમાવેશ કરી શકાય.

તેમના આયોજન વિશે પુસ્તક લખવાનું થાય તો What they don’t teach you at IIM જેવું કોઈ મથાળું હું રાખું. ગઈ કાલના કાર્યક્રમમાં પણ તેનો પૂરતો પરચો જોવા મળ્યો. સૂત્રધાર તરીકે એક ભાઈ હતા, જે મંચ પર દેખાતા ન હતા. મુખ્ય એવા ગીતસંગીતના કાર્યક્રમનો સંપૂર્ણ દોર વિદ્યાર્થીનીઓના હાથમાં હતો. દરેક ગીત શરૂ થતાં પહેલાં એક જુદી વિદ્યાર્થીની આવે, રાગ વિશે બે વાત પોતાના અંદાજમાં વાંચે અને પછી ગીત ગાનાર આવે. સ્ટેજ પર આવનાર દરેક વિદ્યાર્થીનીનાં નામ પાછળ મૂકેલા બે મોટા ડિજિટલ સ્ક્રીન પર આવતાં રહે. એવી જ રીતે, ગીત શરૂ થતી વખતે અને વચ્ચે એક-બે વાર ગીતની વિગતો ઉપરાંત ગાનારનું નામ પણ આવતું રહે. વચ્ચે વચ્ચે એક રાગનાં ત્રણ-ચાર-પાંચ ગીતોની મૅડલી આવે, એટલે તરત રાગના બંધારણ વિશે મારા જેવા રાગ નહીં જાણનારાને પણ બત્તી થાય.

કૉલેજનો વાર્ષિકોત્સવ એટલે અનિવાર્ય ઔપચારિકતા તો હોય, પણ તેને અલગથી હથોડાની જેમ માથે મારવાને બદલે કાર્યક્રમની માળામાં વચ્ચે પરોવી લેવાઈ.  મુખ્ય અતિથીઓ શરૂઆતમાં સ્ટેજ પર ગયા, દીપપ્રાગટ્ય કર્યું ને પાછા આવીને બેસી ગયા. બે-ત્રણ ગીતો થાય એટલે કૉલેજની સિદ્ધિવંત વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવે. એ બધું સ્ટેજની નીચે જ. પહેલી હરોળમાં બેઠેલા અતિથિઓ નીચેથી જ આ કાર્યક્રમ પતાવે એટલે ગરીમાપૂર્ણ રીતે છતાં ટૂંકમાં પતે અને રસક્ષતિ થાય તે પહેલાં તો ગીત શરૂ થઈ જાય.

આટલી ઔપચારિકતા જરૂરી એટલા માટે હતી કે વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓ સાધારણ ન હતી. આ કૉલેજમાં જે પ્રકારના સામાજિક-આર્થિક સંજોગોમાંથી યુવતીઓ ભણવા આવે છે, તેને ધ્યાનમાં રાખતાં તો એ મહાસિદ્ધિ લાગે. કોઈ યુવતી કબડ્ડીની ભારતીય ટીમમાં પસંદગી પામીને શ્રીલંકા રમી આવી હોય, કેટલીય યુવતીઓ રાષ્ટ્રીય ટીમમાં હોય, યુનિવર્સિટીની શૈક્ષણિક સિદ્ધિઓમાં પણ તે આગળ હોય...બે પ્રજ્ઞાચક્ષુ યુવતીઓએ ગીત ગાયાં. બે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ જમાવટ કરી. બીજી પણ વિદ્યાર્થીનીઓ હતી. મોટા ભાગની વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના કંઠમાં ગજબની કશીશ હતી.  લતા મંગેશકરનું કે બીજી કોઈ ગાયિકાનું અનુકરણ કરવાને બદલે, પોતાના અવાજમાં તે ગાતી હતી અને એ અવાજ દમદાર હતો. એટલે જે ગીતો મૂળભૂત રીતે મારી પસંદગીની યાદીમાં ન આવતાં હોય, એવાં પણ તેમના અવાજમાં સાંભળવાં ગમ્યાં.

'નિગાહેં મિલાનેકો જી ચાહતા હૈ’ જેવી રોશનની કવ્વાલીથી શરૂઆત થાય, ‘કૂહુ કૂહુ બોલે કોયલિયા’ના બે અંતરા પણ ગવાય, ‘કભી કભી’ પણ હોય ને ‘એક લડકીકો દેખા તો ઐસા લગા’ હોય ને 'રામલીલા'નું એક ગીત પણ હોય. પુરુષ ગાયકોનાં ગીતો પણ છોકરીઓ તબિયતથી ગાય, સૂરમાં ગાય અને સાંભળવાની મઝા આવે. એ મઝામાં નડિયાદનું કે ભાઈબંધીનું કે બીજું એકેય ડિસ્કાઉન્ટ આપવાની જરૂર ન પડે. સ્વતંત્ર રીતે જ મઝા આવે.

આવો એક કાર્યક્રમ આટલી સફળતાપૂર્વક પાર પાડવાનું કેટલું અઘરું છે, એ તો આવા કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો જ કલ્પી શકે. અને એ સફળ કેમ થાય જ, એ હસિત મહેતા સાથે સંકળાયેલા લોકો સમજી શકે. એ ટફ ટાસ્ક માસ્ટર છે. ('ટફ'નું ગુજરાતી કડક અથવા આગ્રહી કરી શકાય.) તે કામ સોંપે એટલે કરનારને પૂરતી મદદ કરે, પણ જંપવા ન દે. ધાર્યું કરાવીને છોડે. પ્રક્રિયા વખતે સામેવાળો કચવાય, મુંઝાય, ક્યારેક ખિજાય, પણ છેવટનું પરિણામ જોયા પછી તેને પ્રક્રિયાની અનિવાર્યતા સમજાય અને હસિત મહેતાના હોવાનું મહત્ત્વ પણ.

બીજી વાત તે કાર્યક્રમના હેતુની. આખા કાર્યક્રમના કેન્દ્રસ્થાને વિદ્યાર્થીનીઓ હતી. તેમની પ્રતિભા આગળ આવે, સંકોચ દૂર થાય, એ તેનો આશય હતો. વ્યાવસાયિક ફ્લડલાઇટો આણીને આંજી દેવાને બદલે ઘરદીવડીઓનો મીઠા ઉજાસ બતાવવાનો આ ઉપક્રમ આયોજનપક્ષે ગજબની અને હવે તો નામશેષ બની ચૂકેલી સ્પષ્ટતા માગી લે એવો હતો. હસિત મહેતા માટે જોકે એ નવું નથી.
કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામને ખૂબ અભિનંદન.
***

આ કૉલેજ અને તેના અધ્યાપકો હસિત મહેતાના માર્ગદર્શન-મદદ-આયોજન સાથે બીજું અનોખું કામ કરે છે તે આજુબાજુનાં લગભગ દોઢસો ગામની, કોઈ પણ કારણસર અભ્યાસ અધૂરો મૂકી દીધો હોય એવી વિદ્યાર્થીનીઓને કૉલેજમાં ભણતી કરવાનું. તે આખી પ્રક્રિયા અલગ વિષય છે. તેના વિશે બીરેને લખેલી પુસ્તિકા સાર્થક પ્રકાશને બહુ હોંશથી પ્રકાશિત કરી હતી. હમણાં તેની બીજી આવૃત્તિ થઈ. એ પુસ્તિકા આ લિન્ક પરથી મેળવી શકાય છે.

Saturday, April 06, 2019

સાર્થક પ્રકાશન : સાતમા વર્ષમાં ડગ માંડતાં...

થોડા મિત્રો ભેગા મળીને પ્રકાશન શરૂ કરવાનું વિચારે ત્યારે શાણા માણસો બે સલાહ આપેઃ

૧) ભેગા મળવું સહેલું છે, ભેગા રહેવું અઘરું છે. ઉત્સાહ નહીં ટકે. ઊલટું, હશે એટલી દોસ્તીમાં પણ તિરાડો પડશે. માટે, આ કરવું રહેવા દો.
૨) છતાં સાથે મળીને કામ કરવું હોય તો બીજું કંઈક શોધો, પણ પ્રકાશન? કભી નહીં. એ તો સો ટકા દુઃખી થવાનો ધંધો છે—ફક્ત દુઃખી થવાનો જ નહીં, રૂપિયા ખોવાનો પણ ખરો.

આવી સલાહ અમે કોઈને આપી હશે ને અમને મળી હતી પણ ખરી. છતાં, મિત્રો સાથે મળીને પ્રકાશન કરવાનું વિચાર્યું ત્યારે ઉભરાવાની ઉંમર રહી ન હતી. કઠણ અને કડવી વાસ્તવિકતાઓનો પરિચય હતો. અપેક્ષાઓ માપમાં હતી. અમુક હદ સુધીના પોસાય એટલા રૂપિયા ગુમાવવાની તૈયારી હતી. એટલે એપ્રિલ ૬, ૨૦૧૩ના રોજ સાર્થક પ્રકાશનની શરૂઆત થઈ.

ત્યાર પછી નાનામોટા બમ્પ આવ્યા, પણ ચાલકો ઠરેલ હતા. એકબીજાને જાળવી લે એવા. એટલે હળવા ને શોષાઈ જાય એટલા આંચકાથી વિશેષ કશું અનુભવાયું નહીં. પ્રકાશન શરૂ કર્યું ત્યારે મનગમતાં પુસ્તકો આર્થિક મર્યાદાની હદમાં રહીને કરવાં, એવો ખ્યાલ હતો. થોડા સમય પછી અમારી રૂચિ અને પસંદગીનાં ધોરણ પ્રમાણેનું છ માસિક કાઢવાનો વિચાર આવ્યો. દિલ્હીસ્થિત મિત્ર અમિત જોશીની દિવાળી અંકો વિશેની ટીકાટીપ્પણી તેના મૂળમાં. વાચક તરીકેની એ બળતરામાંથી ‘સાર્થક જલસો’ છ માસિકનો જન્મ થયો. ત્યારથી એક પણ ખાડો પાડ્યા વિના ‘સાર્થક જલસો’ના ૧૧ અંક પ્રગટ થયા. (મે ૨૦૧૯માં આવનારા ૧૨મા અંકની તૈયારી ચાલે છે.)

તેના ત્રણ-ચાર અંક પછી ગુરુજન રતિલાલ બોરીસાગરે કહ્યું હતું કે આવી જ ગુણવત્તાના દસ-બાર અંક નીકળે તો ‘સાર્થક જલસો’નું ગુજરાતી સામયિકોમાં વિશિષ્ટ સ્થાન ઊભું થાય અને તેને ‘વીસમી સદી’ જેવા સામયિકની પરંપરામાં મૂકી શકાય. અમારા પક્ષે એટલું જ કહેવાનું કે ૧૧ અંકમાં અમે કદી અણગમતું કે વ્યવહાર ખાતર કે શરમાશરમીમાં કશું છાપ્યું નથી (ને છાપવાના પણ નથી). અમારી સમજ અને અમારા આગ્રહો સાથે કોઈની અસંમતિ હોઈ શકે. પણ અમારા મનમાં અમારે શું કરવાનું અને ખાસ તો, શું નહીં કરવાનું એ સ્પષ્ટ છે. એટલે જ, દરેક વખતે સાર્થક જલસો કાઢતી વખતે લાગે છે કે આ વખતે ગઈ વખત કરતાં પણ વધારે મઝા પડી રહી છે. આવું ન લાગે ત્યારે અંક ન કાઢવો—એવું મનમાં હોવાથી, ઘણા મિત્રોના આગ્રહ છતાં, હજુ સુધી લવાજમ લેવાનું શરૂ કર્યું નથી. પાંચ-છ અંક પછી હવે ખપતું મૅટર મળી રહેશે એવો આત્મવિશ્વાસ આવ્યો હોવા છતાં, લવાજમ લેવામાં હજુ ખચકાટ થાય છે.

‘સાર્થક જલસો’ની એક આડકતરી પણ મોટી ઉપલબ્ધિ એ થઈ કે તેમાં લખનારા અને એ સિવાય અમારી સાથે દોસ્તી-પ્રેમ-આદરથી સંકળાયેલા ઘણા લોકોની એક અનૌપચારિક બિરાદરી ઊભી થઈ. એકબીજાના સંપર્કમાં ન રહેલા સારા માણસો એકબીજા સાથે હળેમળે, એકબીજામાંથી આધાર મેળવે ને એકબીજાને આધાર આપે, વિચારોની-કામગીરીની આપલે કરે અને મૂળભૂત માનવીય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા લોકોનું વર્તુળ વિસ્તરે, એવું પણ ઠીક ઠીક પ્રમાણમાં શક્ય બન્યું છે.

સાર્થક પ્રકાશન શરૂ થયું ત્યારે ‘સાર્થક જલસો’ એજેન્ડામાં ન હતો. કદાચ એટલે જ એ સૌથી નિયમિત પ્રકાશન બન્યો છે. પુસ્તકોના મામલે અમારું કામ ધીમું છે. મિત્રોની ધીરજની કસોટી કરે એટલું ધીમું. ‘સાર્થક જલસો’માં જાહેરખબરો આવી ગયાના વર્ષ-બબ્બે વર્ષ પછી પણ પુસ્તકો આવ્યાં ન હોય એવું બન્યું છે. તેનાં ઘણાં કારણ છે, પણ તેમાંનું એકેય આર્થિક નથી. મુખ્ય કારણ એ છે કે અમારી કોઈની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ આ નથી. આર્થિક ઉપરાંત આનંદની પ્રવૃત્તિઓ-રસના વિષયો પણ બીજા ઘણા છે. એ ઉપરાંત અમારા મિત્રોના મૂડ અને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ જેવા પુસ્તકમાં એક-એક લીટીનો અનુવાદ જોવાની ઝીણવટ જેવાં કેટલાંક વાજબી કારણોથી પણ મોડું થાય છે—થતું રહ્યું છે. પણ હવે આ વર્ષમાં થોડાં વધુ પુસ્તકો આણવાની અમારી ઇચ્છા અને પ્રયાસ છે.
Books Published by Saarthak Prakashan/ સાર્થક પ્રકાશનનાં પુસ્તકો

11 issues of Saarthak Prakashan/સાર્થક જલસોના ૧૧ અંક

***

દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી—આટલા લેખકમિત્રો અને વહીવટી (એટલે કે લગભગ બધાં) કામ સંભાળનારા મિત્ર કાર્તિક શાહ. આ સાર્થક પ્રકાશનની સ્થાપના વખતના ચાર જણ. પરમ મિત્ર અને ઉત્તમ ડીઝાઇનર અપૂર્વ આશર શરૂઆતમાં સક્રિય રીતે અને પછી વ્યસ્તતાઓને કારણે સલાહસૂચનની રીતે અડીખમ અને મજબૂત ટેકો છે. તેમના વિના સાર્થકનાં આરંભિક પ્રકાશનોની જે ઉમદા છાપ ઊભી થઈ, તે આ હદે કદાચ ન થઈ હોત. બીરેન કોઠારી આમ તો સાથે જ હતો. પછી ‘સાર્થક જલસો’ના સાથી સંપાદક તરીકે તેનો સત્તાવાર પ્રવેશ પણ થયો. બિનીત મોદીનું ઘર ઘણા સમય સુધી ‘સાર્થક’નું સરનામું રહ્યું. કાર્તિકભાઈના ભાઈ અમિતભાઈએ પણ સાર્થકના કામમાં હોંશભેર મદદ કરી—કેવળ વ્યક્તિગત લાગણી અને સારા કામને મદદ કરવાના શુભ હેતુથી.બુકશૅલ્ફના હેમેન્દ્રભાઈ વ્યાવસાયિક બાબતમાં સોલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે સહભાગી રહ્યા.  શર્મિલી પટેલ અને અનિશ દેસાઈએ સાર્થક પ્રકાશનની વેબસાઈટ શરૂ કરી આપી. અનિશ તેમના વ્યસ્ત કામમાંથી વચ્ચે વચ્ચે સમય કાઢીને નવાં પ્રકાશનો અપડેટ કરી આપે છે. (હવે તમારા સૂચન પ્રમાણે સાઇટ નવી કરવાનો સમય થઈ ગયો છે, અનિશ)

મિત્ર વિવેક દેસાઈએ ‘સાર્થક જલસો’ને તસવીરો ને લેખો ઉપરાંત ‘નવજીવન’ થકી જાહેરખબરનો ટેકો કર્યો. ગુરુ રજનીકુમાર પંડ્યા પણ જાહેરખબરમાં મદદરૂપ થયા. ‘બુકશૅલ્ફ’ના હેમેન્દ્રભાઈ અને મનુભાઈ શાહ (ગુર્જર પ્રકાશન) પણ ‘સાર્થક જલસો’માં સદ્ભભાવથી જાહેરાત આપે છે. ‘બુકપબ’ના કિરણભાઈ ઠાકર પણ. (આવી બીજી મદદો આવકાર્ય છે). સાર્થકનાં તમામ પ્રકાશનો યુનિક ઑફસૅટમાં છપાય છે. ‘યુનિક’ના મેહુલભાઈ પણ સાર્થકના વિસ્તરેલા પરિવારમાં છે.

અપૂર્વ આશરની વ્યસ્તતા પછી ડિઝાઇનર મિત્ર ફરીદ શેખ અને ‘સાર્થક જલસો’ના ગયા અંકથી આર્ટમણિવાળા, ઇન્ડિયા ટુડ઼ે ગુજરાતીના જમાનાના મિત્ર મણિલાલ રાજપુત ‘સાર્થક જલસો’નું ડિઝાઇનિંગ કરે છે. આ સિવાય કેટકેટલા સાથીદારો-શુભેચ્છકો-લેખકો-વડીલોએ તેમની લાગણીથી સાર્થક પ્રકાશનને પોષ્યું છે, તેમની ઉદારતાથી અમારી ઢીલાશ નભાવી છે, તે એક જ આશાએ કે અમે કદી ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરીએ અને અમારી મહત્તમ ક્ષમતા પ્રમાણેનું ઉત્તમ કામ આપીશું.

એ આશા પાર પાડવામાં અમે કદી ઊણા ન ઉતરીએ, એવી પૂરી તૈયારી અને પ્રયાસો સાથે અમે અમારું કામ ચાલુ રાખીશું. તમને એ ગમે તો અત્યાર સુધી થયા છો એવી જ રીતે, તેના પ્રચારપ્રસારમાં ને બીજી રીતે શક્ય એટલા મદદરૂપ થજો. અમારા જેવા બિનવ્યાવસાયિકો જાહેરખબર મેળવવાની બાબતમાં અને પ્રચારપ્રસારના-વિતરણના કામમાં હંમેશાં ઊણા ઉતરે છે. ગરીમા ચૂક્યા વિના તેમાં જેટલી મદદ થઈ શકે એટલી કરજો. અમે તમને લટુડાંપટુડાં નહીં કરીએ, શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરીશું. કારણ કે, અમારે તમને અમારી ક્ષમતામાં રહીને કંઈક નક્કર અને પોષક આપવું છે. અત્યાર સુધી તમારો સહકાર મળ્યો છે તેનો આનંદ છે અને કૃતજ્ઞતા પણ ખરી. મિત્રો-સ્નેહીઓના સાચા પ્રેમનો પાર નથી. તેમના પ્રત્યે ઊંડા સ્નેહની અનુભૂતિ મનમાં હંમેશાં રહે છે. આવી લાગણી સાથે સાતમા વર્ષમાં ડગ માંડતી વખતે અપાર સાત્ત્વિક આનંદ ઉપજે છે. તેના માટેનો બીજો શબ્દપ્રયોગ છેઃ સાર્થક જલસો.