Wednesday, August 31, 2011

અન્ના પર ગાંધીજીનો ફોન આવ્યો...

એમાં ન માનવા જેવું કશું નથી. જનલોકપાલ ખરડાથી ભ્રષ્ટાચાર નાબુદ થઇ જવાનો હોય તો ‘ગાંધીવાદી’ અન્ના પર ગાંધીજીનો ફોન ન આવી શકે? ધારો કે ગયા અઠવાડિયે ગાંધીજીએ અન્નાને ફોન કર્યો હોત તો કેવો સંવાદ થયો હોત?

***

અન્નાઃ હલો, કોણ?

ગાંધીજીઃ બાપુ. ગાંધી.

અન્નાઃ આ ગમ્મતનો સમય નથી. અત્યારે તો હું જ ગાંધી છું. એવું હું નથી કહેતો. લાખો-કરોડો-અબજો લોકો કહે છે. કેજરીવાલ અને કિરણ બેદી પણ કહે છે. તો આ બીજો ગાંધી વળી ક્યાંથી આવ્યો? અરે અરવિંદ (કેજરીવાલ)- કિરણજી (બેદી), જુઓ તો જરા, કોઇ પાગલ માણસનો ફોન છે. કહે છે કે હું ગાંધી છું.

ગાંધીજી (મનોમન)- ગાંધી એક જ હોય એટલું તો આમને હજુ યાદ છે. સારું કહેવાય. હવે પહેલો ગાંધી કોણ એ જ સવાલ રહે છે. એ તો જોયું જશે.

કિરણ બેદીઃ (અન્નાને) કોણ ગાંધી? રાહુલ ગાંધી? ખબર જ હતી કે ગાંધીને એક દિવસ નીચી મુંડી કરીને અહીં આવવું પડશે.

(અન્ના નકારમાં ડોકું ધુણાવીને કિરણ બેદીને ફોન આપે છે. ત્યાર પછી ફોન પર)

કિરણ બેદીઃ હલો, ક્યાંથી બોલો છો? સરકારના માણસ છો કે સિવિલ સોસાયટીના? અન્નાના ઉપવાસ છોડાવવા માટે ફોન કર્યો હોય તો મૂકી દેજો. અન્ના એમ ઉપવાસ છોડવાના નથી અને આજ પછી અમને બાયપાસ કરીને અન્ના સાથે સીધી વાત કરવાની કોશિશ ન કરતા.

ગાંધીજીઃ હવે તમે રજા આપો તો હું કંઇક કહું...

કિરણ બેદીઃ એક મિનીટ...એક મિનીટ...હજુ મારી વાત પૂરી થઇ નથી. તમે ગમે તેના માણસ હો, તમારી પાસે લોકપાલનો ગમે તેટલો સારો ડ્રાફ્ટ હોય, પણ એટલું સમજી લેજો કે તમે અમારી સાથે નહીં હો, તો કોઇ તમારો ભાવ પૂછવાનું નથી અને તમે શું કહો છો એ કોઇ સાંભળવાનું નથી. અત્યારે આખા દેશમાં એક જ નામ ચાલે છે.

ગાંધીજીઃ હજુ કંઇ બાકી રહે છે?

કિરણ બેદીઃ હા, આટલો જનજુવાળ ભારતમાં જોયો છે કદી? જયપ્રકાશ આંદોલન પછી જન્મેલા અમારા ઘણા સમર્થકો માને છે કે અત્યારનો માહોલ આઝાદીના આંદોલન જેવો છે અને અન્ના બીજા ગાંધી છે. બોલો, તમે કોણ છો? ને તમારે શું કહેવાનું છે? હું ઉતાવળમાં છું.

ગાંધીજીઃ બહેન, હું પહેલો ગાંધી છું- જેને તમે મહાત્મા ગાંધી કહો છો તે.

કિરણ બેદીઃ અરરર...સરકાર આટલી હદે નીચે ઉતરી જશે એ મેં ધાર્યું ન હતું. અન્નાના ઉપવાસ તોડાવવા માટે એ તમારા જેવા મહાત્માને પણ મેદાનમાં ઉતારે...ખરેખર, અન્નાના ઉપવાસે રંગ રાખ્યો. ‘મરેલાં બેઠાં થઇ જાય’ એવી અસર આને કહેવાય. મહાત્માજી, તમે એકલા આવ્યા છો કે સાથે જવાહરલાલ-વલ્લભભાઇ છે? આ તો.અન્નાના ઉપવાસ એટલા હાઇ પ્રોફાઇલ છે કે તમે એકલા કદાચ પહોંચી ન વળો ને મંત્રણાઓ માટે બીજા સાથીદારોની જરૂર પડે...’ટીમ અન્ના’ જોડે પનારો પાડવો એ કાચાપોચાનું કામ નથી.

ગાંધીજીઃ બહેન, મારું નામ ગાંધી છે. હું કેવળ મેસ્કોટ (પ્રતીક) નથી, બીજાની વ્યૂહરચનાઓમાં મેસ્કોટ તરીકે સેવાઓ આપીને હું ગાંધી બન્યો નથી. આખી જિંદગી મારા અંતરાત્માના અવાજ પ્રમાણે વર્ત્યો છું. પહાડ જેવડી ભૂલો પણ કરી છે ને એમાંથી શીખ્યો છું.

કિરણ બેદીઃ અમે પહાડ જેટલી તો નહીં, પણ ટેકરી જેટલી ભૂલ કરેલી. પહેલી વાર આંદોલન ટૂંકમાં સમેટી લીધું ત્યારે. પછી અમારા પહેલી વારના સાથીદાર બાબા રામદેવ સાથે સરકારે જે વ્યવહાર કર્યો તેનાથી અમે ચેતી ગયાં અને નક્કી કર્યું કે આ વખતે તો સરકારને બતાવી દેવું છે.

ગાંધીજીઃ મહાદેવ (દેસાઇ) દિવસમાં એકાદ વાર ચેનલો જોઇ લે છે. એ મને કહેતો હતો કે ભારતમાં બીજી ઓગસ્ટક્રાંતિ ચાલે છે અને અન્ના એના નેતા છે. મેં એવું સાંભળ્યું હતું કે આખું આંદોલન ભ્રષ્ટાચારનાબૂદી માટેનું છે.

કિરણ બેદીઃ તમે બરાબર સાંભળ્યું છે. દેશમાં ઘણા બધાએ એવું જ સાંભળ્યું હતું. એટલે જેમ તમે આવી પહોંચ્યા એમ સૌ આવી પહોંચ્યા...ભ્રષ્ટાચારીઓ સામેનો ગુસ્સો વ્યક્ત કરવા...તમારા રસ્તે...,

ગાંધીજીઃ મારા રસ્તે એટલે એમ.જી.રોડ પર થઇને?

કિરણ બેદીઃ એમ નહીં. તમારા ચીંધેલા રસ્તે...પણ એક મિનીટ. તમે ખરેખર ન સમજ્યા કે મશ્કરી કરો છો? મશ્કરી કરતા હો તો, 74 વર્ષનો એક માણસ દોઢ અઠવાડિયાથી જાહેર હિત માટે જીવ જોખમમાં મૂકી રહ્યો છે ત્યારે તમને મશ્કરી કરતાં શરમ આવવી જોઇએ.

ગાંધીજીઃ તમે નાહક નારાજ થઇ ગયાં. મેં 78મે વર્ષે સરકારને સુધારવા નહીં, આપણા લોકોને હિંસા કરતા રોકવા ઉપવાસ કર્યા હતા. એટલે ઉપવાસની વાત જવા દઇએ. નકામો તમારો સમય બગડશે. મને થયું કે ભારતમાં મારો રસ્તો કહેતાં હવે એમ.જી.રોડ જ બચ્યા છે. એટલે તમે એની વાત કરો છો. અચ્છા.. મારો રસ્તો એટલે કયો? સાધનશુદ્ધિનો?

કિરણ બેદીઃ જનમેદની સામે તમે જોયું? આટલા લોકો રસ્તા પર આવવા છતાં ક્યાંય હિંસાનો બનાવ બન્યો નથી. આટલી મોટી લડાઇ આટલી અહિંસક રાખવી એ મોટી સિદ્ધિ નથી?

ગાંધીજીઃ હા, એ સિદ્ધિ તો ખરી. મને પણ યાદ આવ્યું. 15 ઓગસ્ટે ટીવી પર અમે ‘ગાંધી’ ફિલ્મ જોતા હતા એમાં ધરાસણાના સત્યાગ્રહીઓ લાઇનબંધ પોલીસની લાઠી ખાવા જતા હતા ને લાઠી ખાઇને ઢળી પડતા હતા. તમારે ત્યાં ‘ગાંધી’ બતાવી હતી?

કિરણ બેદીઃ હા, પણ ફિલ્મમાંથી બધું લેવાનું ન હોય. અત્યારના જમાનામાં આટલુંય ક્યાંથી?

ગાંધીજીઃ એટલે તો મને રાજી થઇને વાત કરવાનું મન થયું. તમે મારા રસ્તાની વાત કરતા હતા. એ કયો?

કિરણ બેદીઃ કેમ આવા ભોળા થાવ છો? આમરણ ઉપવાસ, સવિનય કાનૂનભંગ, અંતરાત્માનો અવાજ- આ બધા તમારા રસ્તા નથી?

ગાંધીજીઃ હા, આ બધા શબ્દો મારા છે, પણ મારો રસ્તો....

કિરણ બેદીઃ કેમ? તમે ભ્રષ્ટાચારની વિરુદ્ધ ન હતા? તમે સવિનય કાનૂનભંગ અને અસહકારનાં આંદોલન કર્યાં ન હતાં? તમે અંતરાત્માના અવાજને અનુસરીને આમરણ ઉપવાસ કર્યા ન હતા?

ગાંધીજીઃ એની ક્યાં ના છે? પણ તમે બધું ભેગું કરી નાખ્યું એટલે હું ગુંચવાયો.

કિરણ બેદીઃ ગુંચવાય એનું કશું કામ નથી. અત્યારની સરકારો એવી છે કે બધું અલગ અલગ કરવા બેસીએ તો પાર ન આવે.

ગાંધીજીઃ સરકારની-નેતાઓની નાદારી વિશે તો મેં સાંભળ્યું છે. જવાહર ને વલ્લભભાઇ પણ બહુ ધૂંધવાયેલા ફરે છે. જવાહર અન્નાની તબિયતની ચિંતા કરે છે અને કહે છે કે રાહુલે જઇને અન્નાને સમજાવા જોઇએ. વલ્લભભાઇ એ વાતે નારાજ છે કે આટલા બધા નેતાઓ ભેગા થઇને એક ઉપવાસીને સમજાવી નથી શકતા. આવા નેતાઓનું શું કરવું જોઇએ તે પણ એમણે કહ્યું હતું.

કિરણ બેદીઃ એમ? શું કહ્યું હતું?

ગાંધીજીઃ એમણે કહ્યું કે અન્નાની વાજબી અને મુદ્દાની માગણીઓ સ્વીકાર્યા પછી પણ આ લોકો ત્રાગું અટકાવી ન શકે તો એ બધાને અન્નાના ઉપવાસ ચાલે ત્યાં સુધી ભૂખે મારવા જોઇએ..

કિરણ બેદીઃ શું? ફરી કહો તો? ત્રાગું? અન્નાના ઉપવાસ ત્રાગું છે? તમે એવું માનો છો?

ગાંધીજીઃ હું શું માનું છું એની વાત જવા દો. આ દેશમાં એનો કોને ખપ છે? ન સરકારને, ન પ્રજાને. ન ઉદ્યોગપતિઓને, ન સંસ્થાવાળાઓને. બધાને મારી છબીઓમાં- મને પ્રતીક તરીકે વાપરવા પૂરતો ને મારા નામનો ધંધો કરી નાખવામાં જ રસ હોય છે.

કિરણ બેદીઃ હશે, પણ અમે એવા નથી. એવું ફક્ત અમે નહીં, લોકો પણ કહે છે.

ગાંધીજીઃ સારું કહેવાય. અંતરાત્માનો અવાજ સાંભળતા રહેવું અને માની ન લેવું કે આંદોલન શરૂ થાય ત્યારે જે અવાજ હોય તે છેવટ સુધી એકસરખો જ રહેશે- જે ઘડીએ અવાજ બદલાય ત્યારથી ટેકેદારો શું વિચારશે એની પરવા કર્યા વિના, અંતરના અવાજનો અમલ કરવો...પણ આ બધી ચર્ચા મારે અન્ના જોડે કરવાની હતી. અન્નાને ફોન આપશો?

કિરણ બેદીઃ સોરી, અન્ના હમણાં નહીં મળી શકે. એક કામ કરો. ઉપવાસ પૂરા થઇ જાય પછી હું જ તમારો સંપર્ક કરીને અન્ના સાથે તમારી વાત કરાવીશ. બસ?

(એ સાથે જ ફોન મુકાઇ જાય છે અને ગાંધીજી તેમના હાથમાં રહેલા, નિષ્પ્રાણ થઇ ગયેલા રિસીવર સામે જોઇ રહે છે.)

Tuesday, August 30, 2011

અન્ના-આંદોલનઃ પ્રાથમિક સરવૈયું

(લખ્યા તા. 27 ઓગસ્ટ, શનિવાર)

ટોચે પહોંચેલા બલ્કે ગયા અઠવાડિયે ટોચે અટવાઇ ગયેલા અન્ના આંદોલનનાં વિવિધ પક્ષ વિશે થોડું પુનરાવલોકન જરૂરી બન્યું છે. આ સરવૈયાનો આશય કોઇ એક પક્ષની આંખે મળતું ખંડિત નહીં, પણ વિવિધ દૃષ્ટિબિંદુના સમન્વય જેવું, બને એટલું સંપૂર્ણ ચિત્ર મેળવવાનો છે.

સરકારપક્ષ

યુપીએ સરકારે દાખલ કરેલો લોકપાલ ખરડો એટલો નબળો હતો કે સાધારણ સમજણ ધરાવતી કોઇ પણ વ્યક્તિને તેની સામે વાંધો પડી શકે. અનેક શરમજનક કૌભાંડોથી ખરડાઇ ચુકેલી યુપીએ સરકારની મેલી મથરાવટીનું પ્રતિબિંબ અને રાજકીય ઇચ્છાનો અભાવ એ ખરડાની નબળી-મોળી જોગવાઇઓમાં વ્યક્ત થયાં. એ ખરડાને અન્ના હજારે અને તેમના જૂથ તરફથી પડકાર ફેંકાયો અને તેની સામે આકરી જોગવાઇઓ ધરાવતો જનલોકપાલ ખરડો રજૂ કરવામાં આવ્યો, ત્યારે અન્ના-આંદોલનને મળેલા ટેકાથી સરકાર ચકિત બની હતી, પરંતુ 16 ઓગસ્ટથી શરૂ થયેલા આંદોલન વખતે સરકાર ઘાંઘી બની.

અન્ના-આંદોલનને મળેલા ભારે લોકસમર્થન અને મીડિયા-સમર્થનને લીધે સરકારે ડગલે ને પગલે કડવા ઘુંટડા નહીં, આખેઆખા પ્યાલા ગટગટાવવા પડ્યા. કંઇક વાર બાંયો ચડાવ્યા પછી, નીચી મુંડીએ બાંયો ઉતારીને બે હાથ જોડવા પડ્યા. નાકલીટી તાણવી પડી અને તાણેલી નાકલીટી લંબાવવી પડી. સરકારની સત્તાશાહીનું સંપૂર્ણપણે ‘વિઘટન અને ચૂર્ણીકરણ’ થયું. લોકસભામાં અન્નાને આજીજીઓ કરવી પડી. ફક્ત સરકારની જ નહીં, ભાજપ સહિત બીજા પક્ષોની પણ કરોડરજ્જુ વગરની પીઠ ઉઘાડી પડી ગઇ. આ પ્રતાપ અન્નાને મળેલા લોકસમર્થનનો હતો.

માત્ર ફાયદા-ગેરફાયદાની દૃષ્ટિએ વિચારવા ટેવાયેલા સત્તાધારી અને બીજા પક્ષો વાજબી-ગેરવાજબીના ધોરણે વિચારી શકતા હોત તો સત્તાધીશોએ પોતાનો લોકપાલ ખરડો સાવ મોળો ન રાખ્યો હોત અને વિપક્ષોએ એ ખરડામાં પોતાના તરફથી ઉમેરવાના દાંત-નહોરનું કાચું કામ તૈયાર રાખ્યું હોત. પરંતુ એવું બન્યું નહીં. પોતાના મનમાં રહેલો અવઢવનો-નૈતિકતાના અભાવનો ‘ચોર’ સરકારના વર્તનમાં ડગલે ને પગલે દેખાઇ આવ્યો. મુખ્ય વિરોધ પક્ષ તરીકે ભાજપ પણ આ બાબતમાં સરકારની સાથે હતો. સાવ છેલ્લે, ભાજપે અન્નાના જનલોકપાલને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ત્યારે તેણે વાજબી-ગેરવાજબીને બદલે ફાયદા-ગેરફાયદાનું ગણિત જ માંડ્યું હતું.

પોતાની અનેક સમસ્યાઓ માટે આક્રોશ વ્યક્ત કરી રહેલા લોકોના રોષ સામે સરકાર વામણી પુરવાર થઇ. તેમ છતાં, પહેલાં ક્રર્ણાટકના ભ્રષ્ટાચારી મુખ્ય મંત્રી યેદીયુરપ્પા અને છેલ્લા તબક્કે લોકાયુક્ત વિરુદ્ધ ગુજરાતના મુખ્ય મંત્રી મોદીના મામલે ભાજપ એવી કફોડી દશામાં મુકાયો કે સરકારની અભૂતપૂર્વ અવદશાનો લાભ લેવા જતાં તેનું મોં પણ કાળું થયા વિના ન રહે.

ટૂંકમાં, આખા અન્ના આંદોલને રાજકીય પક્ષોની રહીસહી મહત્તાને ભારે ઘસારો પહોંચાડ્યો અને ‘બદ્ધા ચોર છે અને સરકાર મહાચોર છે’ની લોકપ્રિય લાગણી ઘુંટી આપી. રાજકારણીઓ માટે ‘આ દિવસ પણ વીતી જશે’ એવા જ્ઞાનવચન સિવાય બીજો કોઇ આશરો કે આશ્વાસન રહ્યાં નહીં. લોકોની ટૂંકી યાદદાસ્ત ‘અગાઉ અનેક વાર ફળી છે, તેમ હવે પણ ફળો’ એવી પ્રાર્થના જ તે મનોમન કરતા હશે.

અન્નાપક્ષ

તેમાં મુખ્ય ત્રણ વિભાગ પાડી શકાયઃ 1) અન્ના 2) તેમના વ્યૂહકારો અને 3) બાકી બધા. અન્નાએ અસરકારક લોકપાલ અંગેના આંદોલન માટે જોઇતો ચહેરો બનવાનું સ્વીકાર્યું ત્યારે ઘણાના મનમાં એવી અવઢવ હતી કે ભ્રષ્ટાચાર સાથે પનારો પાડવા માટે ઘણી જોગવાઇઓ અને સંસ્થાઓ છે. તેમાં વધુ એકનો ઉમેરો કરવાથી શો દહાડો વળશે? છતાં, સરકારે દાખલ કરેલા મોળા લોકપાલ ખરડા સામે તેમને વાંધો હતો અને થવાનો જ હોય તો અસરકારક રીતે થવો જોઇએ, એવી લાગણી સાથે એ વર્ગ અન્ના તરફ ઝૂક્યો. એ વખતની ધારણા એવી હતી કે અન્ના દ્વારા આગળ કરાયેલા જનલોકપાલ ખરડાની આત્યંતિક માગણીઓ સરકાર સાથે મંત્રણામાં રકઝક ખાતર કામ લાગે એટલા પૂરતી છે. એક વાર સરકાર ઝુકશે અને લોકલાગણી જોઇને વાટાઘાટોના માર્ગે આવશે, એટલે બન્ને પક્ષો પોતપોતાનાં આત્યંતિક વલણ છોડીને વાસ્તવિક બનશે અને સંસદની ભૂમિકા સામે ત્રાગું કર્યા વિના, અમલીકરણના તકાદા વિચારીને એક અસરકારક ખરડો તૈયાર થશે.

એપ્રિલમાં અન્નાના ઉપવાસ સરકારે સમજાવટથી સંકેલાવી દીધા. ત્યાર પછી બન્ને પક્ષના પાંચ-પાંચ સભ્યોની જે સમિતિ રચાઇ તેમાં સરકારે ફક્ત અન્નાની ટુકડીને ‘સિવિલ સોસાયટી’ તરીકે માન્યતા આપી. એ વખતે પ્રશાંતભૂષણ-કેજરીવાલનાં જૂના અને સિનિયર સાથી અરુણા રોય જેવાના મતને પણ સામેલ કરી શકાયા હોત. અરુણા રોય સરકારની સલાહકાર સમિતિનાં સભ્ય હોવાને કારણે ‘સરકારી’ ગણીને તેમનો એકડો કાઢી શકાય નહીં. પરંતુ સરકારે ફક્ત આંદોલને ચડેલા અન્નામંડળ સાથે વાટાઘાટોનો દેખાવ ચાલુ રાખ્યો અને મહત્ત્વના મુદ્દે ગંભીરતાથી ખાસ કશી ચર્ચા કરી નહીં.

પોતાની એ ભૂલનો અહેસાસ સરકારને 16મી ઓગસ્ટે જ થઇ ગયો હશે, જ્યારે 144મી કલમનો ભંગ કરવાનો ઇરાદા બદલ અન્નાની ઉપવાસ પહેલાં જ ધરપકડ કરવામાં આવી. ‘જનલોકપાલ ખરડો આખેઆખો સ્વીકારાય નહીં ત્યાં સુધી આમરણ ઉપવાસ’ના અન્ના-નિર્ણય સામે ઘણાને સવાલ હતા. કારણ કે એવું થાય તો ‘ચેક્સ એન્ડ બેલેન્સ’ની બંધારણીય જરૂરિયાત ન સંતોષતું, સર્વશક્તિમાન માળખું ઉભું થાય, જે છેવટે નવા પ્રકારની બાબુશાહી પેદા કરનારું બની રહે એવી પૂરી આશંકા.

આ કચવાટ છતાં અન્નાના આંદોલન કરવાના હકની તરફેણમાં અને તેમની ધરપકડના વિરોધમાં પ્રચંડ લોકજુવાળ જાગ્યો અને વાત ‘મૂળભૂત લોકશાહી મૂલ્યો’ પર આવીને ઉભી રહી. સાંજોસાંજ સરકારે અન્નાને છોડવાનો નિર્ણય લેવો પડ્યો. ત્યાર પછી રામલીલા મેદાનમાં આંદોલનના સમયગાળા અંગે સરકાર પોતાની માગણી ન સ્વીકારે ત્યાં સુધી અન્નાએ સ્વૈચ્છિક જેલવાસ ભોગવ્યો અને છેવટે વાજતેગાજતે, સરકારી તંત્રે તૈયાર કરી આપેલા મેદાન અને મંચ પર આંદોલન કરવા માટે બહાર આવ્યા.

ત્યાં સુધીમાં સરકારે અન્નાતરફી જુવાળનો સ્વાદ ચાખી લીધો હતો. અન્ના સાથે વાટાઘાટો માટે સરકારી પ્રતિનિધિઓ આવવા લાગ્યા. પરંતુ અન્નાના વ્યૂહકારો- અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી- તથા તેમના પગલે અન્ના અડગ વલણ લઇને બેઠા હતા. પહેલાં એવું લાગતું હતું કે વડાપ્રધાન અને ઉચ્ચ ન્યાયતંત્રની સામેલગીરીનો મુદ્દો મુખ્ય છે, પણ ગયા અઠવાડિયાના છેલ્લા થોડા દિવસોમાં તમામ સરકારી કર્મચારીઓની સામેલગીરી, સિટિઝન ચાર્ટર અને રાજ્યોમાં લોકાયુક્તની નિયુક્તી જેવા ત્રણ મુદ્દે ગાંઠ પડી. સરકારે જનલોકપાલ ખરડા સહિત એ વિશેનાં બીજાં સૂચનો સંસદમાં ચર્ચવાનો પ્રસ્તાવ મૂક્યો. પણ અન્નાની એક જ માગણી હતીઃ ‘આ ત્રણ સૂચન ફક્ત ચર્ચામાં લેવાય એટલું પૂરતું નથી. સંસદમાં તે સ્વીકારાવાં અને પસાર થવાં જોઇએ. મારા ઉપવાસ વહેલી તકે છોડાવવા હોય તો સરકારે આ ત્રણે મુદ્દા સ્વીકારાશે એવો ઠરાવ સંસદમાં પસાર કરવો જોઇએ. ત્યાર પછી હું ઉપવાસ છોડીશ, પણ જનલોકપાલના બાકીના મુદ્દા સ્વીકારાય નહીં ત્યાં સુધી રામલીલા મેદાન પર મારું આંદોલન ચાલુ રહેશે.’

સરકાર ગમે તેવા મોળા કાયદા પસાર ન કરી નાખે, એ માટે તેની પર આવેલા લોકઝુંબેશના દબાણથી રાજી થયેલા ઘણા લોકો માટે પણ અન્નાના આ વલણ સાથે સંમત થવું અઘરું છે. બીજા જૂથો કે અભિપ્રાયોને બાજુ પર રાખીને, ફક્ત એક જ જૂથનાં તમામ સૂચનો ઉપવાસની ધમકી હેઠળ સ્વીકારી લેવામાં આવે તો એ જેવી છે તેવી લોકશાહી માટે પણ ખતરનાક અને ખોટો દાખલો બેસાડનારું નીવડે.

સંસદ અને લોકશાહીની ગરીમાની દુહાઇ આપનારા રાજકારણી-નેતાઓને પોતાનાં સ્થાપિત હિતોની ચિંતા છે. પરંતુ અન્નાના ‘ફક્ત મારી જ શરતો પ્રમાણે કાયદો બનાવો’ના દુરાગ્રહ સામે ઝુકી પડવાથી લોકશાહી અને બંધારણના મૂળભૂત હાર્દનો ભંગ થાય છે, એ સમજવા માટે સ્થાપિત હિત ધરાવતા રાજકારણી હોવું જરૂરી નથી. અસરકારક લોકપાલ લાવવાનું મૂળભૂત ધ્યેય ભૂલીને, લોકજુવાળ અને આંદોલનની સફળતાના પ્રેમમાં પડી ન ગયા હોય- ‘અન્ના ઇઝ ઇન્ડિયા’નાં સમીકરણોમાં ન અટવાતા હોય- એવા સૌ કોઇ આ સમજી શકશે.

નાગરિકપક્ષ

અન્ના-આંદોલનને અનોખું પરિમાણ આપનાર કોઇ એક તત્ત્વ હોય તો તે મોટા પાયે લોકોની સામેલગીરી. મધ્યમ વર્ગના, જમણેરી, આંદોલન ખરેખર શાનું ચાલે છે એની સમજ રાખવાને બદલે પોતપોતાના અસંતોષ વ્યક્ત કરવા ઉમટી પડેલા, ‘કંઇક કરવું જોઇએ’ નો કચવાટ કાઢવા સહેલા અને કશો ભોગ આપવો ન પડે એવા રસ્તે આવેલા, રાજકારણપ્રેરિત, સરકારવિરોધી, અનામતવિરોધી, ટીવી કેમેરા જોઇને ત્રિરંગો ફરકાવનારા- આવા અનેક પ્રકારના લોકોની સાથે ખરા અર્થમાં દાઝ ધરાવતા અને ગંભીરતાપૂર્વક સામેલ થયેલા, એમ તમામ પ્રકારના લોકો અન્ના-આંદોલનમાં જોડાયા. તેમને કોઇ એક લેબલ તળે મૂકીને અવગણી શકાય નહીં.

‘મારે શું?’ વિચારનારા ‘આવું ન ચલાવી લેવાય’ની ભૂમિકા સુધી આવે તે ઇચ્છનીય જ નહીં, આવકાર્ય છે. આટલી મોટી સંખ્યામાં લોકો જોડાતાં બે-ત્રણ મહિનાના કેટલાક રાજકીય ઘટનાક્રમ પર તેની અસર પડી. ગુજરાતમાં ડો.કનુભાઇ કલસરિયાના આંદોલનને ‘મોદીવિરોધી’ તરીકે ખપાવનારા ભક્તો રાજ્યસ્તરે લોકાયુક્તની એક માગણી ધરાવતા અન્નાઆંદોલનમાં હોંશેહોંશે જોડાયા. (કારણ કે ત્યાર સુધી ‘અન્ના કે મોદી?’નો પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો.) ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક અને તેની સામે મોદી સરકારના આકરા વિરોધ પછી ગુજરાતના હોંશીલા ને જોશીલા, સભ્ય અને ટપોરી- તમામ પ્રકારના અન્નાસમર્થકો કેવું વલણ લે છે અને ભ્રષ્ટાચારવિરોધનો તેમનો ઉત્સાહ કેવો-કેટલો ટકે છે, તે જોવાનું રહે છે.

અન્ના આંદોલનની સમાંતરે કર્ણાટકમાં લોકાયુક્તના અહેવાલ પર લેવાયેલાં પગલાંથી માંડીને માયાવતી મંત્રીમંડળના એક મંત્રીને રવાના કરાયા જેવી ઘટનાઓમાં લોકજુવાળથી પેદા થયેલા માહોલનો મોટો ફાળો રહ્યો છે. સાથોસાથ, એ પણ યાદ રહે કે આવાં ‘સ્વયંભૂ’ અને એક નેતાની છબીથી ઉંચકાયેલા આંદોલનનો માહોલ નવા ખરીદેલા સ્કૂટરમાં કંપની તરફથી ભરવામાં આવતા પેટ્રોલ જેટલો જ ચાલતો હોય છે. (જયપ્રકાશ નારાયણનું આંદોલન, ગુજરાતનું નવનિર્માણ કે ગાંધીજીનું આંદોલન સુદ્ધાં તેનાં ઉદાહરણ છે.) આંદોલનનું બળતણ ખલાસ થઇ જાય ત્યાર પછી ત્રિરંગા અને ‘મૈં અન્ના હું’ના ટોપી-ટી શર્ટ બાજુ પર મૂકીને, નાગરિકોએ પોતાના જોરે ‘ગાડી’ આગળ ધપાવવાની રહે છે. એવું ન થાય તો ભલભલી ક્રાંતિને કાટ ચડતાં ને કાટમાળમાં ફેરવાતાં જરાય વાર લાગતી નથી.

Sunday, August 28, 2011

ગાંધીજીના ઉપવાસઃ શસ્ત્ર અને શાસ્ત્ર

Gandhi breaking his fast, as Kasturba offers juice.
Courtesy: બાપુના કારાવાસની કહાણી, સુશીલા નય્યર:

‘પવિત્ર’ શ્રાવણ માસને લીધે નહીં, પણ અન્ના હજારેના આંદોલનને લીધે ઉપવાસનાં શસ્ત્ર અને શાસ્ત્ર ચર્ચા અને સરખામણીનો વિષય બન્યાં છે. ગાંધીજીના સત્યાગ્રહ અને જનજાગૃતિ આંદોલનનાં સાધનોમાં ઉપવાસનું સ્થાન મહત્ત્વનું છે. તેમણે શરીરના ઉપવાસ સાથે જોડેલા ધાર્મિક-આધ્યાત્મિક-નૈતિક અને આત્માના અવાજને લગતા ખ્યાલોને કારણે દેશ ઉપરાંત વિદેશમાં પણ ગાંધીજીના ઉપવાસ સદા અહોભાવ, આદર, ચર્ચા, વાદવિવાદ અને અમુક અંશે- અમુક પ્રસંગે ટીકા જેવી વિવિધ લાગણી જન્માવે છે. સેંકડો લોકો ભૂખે મરતા હોય એવા દેશમાં ભૂખ્યા રહેવાનું ‘શસ્ત્ર’ કેવી રીતે કામયાબ નીવડે તેનું ઘણા વિદેશીઓને આશ્ચર્ય થતું હતું. ઉપવાસની ભારતીય પરંપરા ઉપરાંત વિદેશોમાં પણ એ શસ્ત્ર પ્રયોજાયેલું હતું. છતાં, ગાંધીયુગ પછી ઉપવાસની વાત આવે એટલે અનિવાર્યપણે સૌથી પહેલા ગાંધીજીને ઉપવાસના શાસ્ત્રી- ઉપવાસના કળાકાર તરીકે યાદ કરવામાં આવે છે.

ઉપવાસની શરૂઆત ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી કરી હતી. તેનો આશય રાજકીય નહીં, પણ ‘દેહદમન’ અને ‘બ્રહ્મચર્યના વ્રતને ટેકો આપવા’નો હતો. એ માટે તેમણે અગિયારસના દિવસે ફક્ત પાણી પીને ઉપવાસની શરૂઆત કરી. ‘આ મહત્ત્વના પ્રયોગનો આરંભ ટોલ્સ્ટોય આશ્રમમાં થયો.’ એમ જણાવીને ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’માં નોધ્યું છે,’શ્રાવણ માસના પ્રદોષ કુટુંબમાં કોઇક તો દર વર્ષે રાખતું જ. તેથી આ શ્રાવણ માસ રાખવાની મેં ઇચ્છા કરી.’ પરંતુ એ પ્રકરણના અંતે ગાંધીજીએ દેહદમન માટે ઉપવાસના અનુભવનું પરિણામ આ શબ્દોમાં લખ્યું, ‘ઉપવાસીના વિષયો (ઉપવાસ દરમિયાન) શમે છે. તેનો રસ જતો નથી...એટલે કે ઉપવાસાદિ સંયમીના માર્ગમાં એક સાધનરૂપે આવશ્યક છે, પણ તે જ બધું નથી અને જો શરીરના ઉપવાસની સાથે મનનો ઉપવાસ ન હોય, તો તે દંભમાં પરિણમે અને નુકસાનકારક નીવડે.’

ત્યાર પછી આશ્રમવાસીઓના વર્તનની નૈતિક જવાબદારી લઇને તેમણે સાત દિવસના અને ચૌદ દિવસના ઉપવાસ કર્યા હતા. સાત દિવસના ઉપવાસ વખતે તેમણે કહ્યું હતું, ‘આજ આખો દિવસ મેં ખૂબ વિચાર કર્યો અને છેવટે એ નિર્ણય પર આવ્યો છું કે...જ્યાં સુધી છોકરાઓ આવી પોતાની મેળે ચોખ્ખી વાત મારી પાસે નહીં કરે ત્યાં સુધી હું નથી મારા મોઢામાં અન્નનો દાણો મૂકવાનો કે નથી પાણીનું ટીપું મૂકવાનો...આ ઉપવાસ હું એમને સજા કરવા માટે કરું છું એમ કોઇ ન માની લેતા. મારી કચાશ દૂર કરવા માટે જ એ કરું છું...સાત દિવસના ઉપવાસ પૂરા થતાંની સાથે જ મારું ચાર મહિનાનું એકટાણું ચાલુ થશે. અને હવે બીજી વાર આ જ વ્યક્તિઓની ભૂલને માટે પ્રાયશ્ચિત કરવાનું આવશે તો મારે ચૌદ દિવસના ઉપવાસ અને એક વર્ષનાં એકટાણાં કરવાં પડશે. ’

જાન્યુઆરી, 1915માં ભારત આવ્યા પછી મૃત્યુ સુધી ગાંધીજીએ કેટલા ઉપવાસ કર્યા તેનો ચોક્કસ આંકડો પાડવાનું ‘ગાંધીજીની દિનવારી’ના અભ્યાસી સંકલનકાર ચંદુલાલ દલાલને પણ અશક્ય લાગ્યું છે. તેમણે ગાંધીજીના 30 ઉપવાસની ટૂંકી વિગતની સાથે મૂકેલી નોંધમાં લખ્યું છે, ‘ગાંધીજીએ અનેક વખત ઉપવાસ કર્યા હતા. એની મુદત ચોવીસ કલાકથી માંડીને એકવીસ દિવસની હતી અને કોઇક તો અમુક શરત ન પળાય તો આમરણ હતા. સંભવ છે કે બધા ઉપવાસ વિશે જાહેરાત ન પણ થઇ હોય. તેથી જેટલાની માહિતી મળી શકી છે તેટલા વિશે અહીં નોંધ લેવામાં આવી છે.’ આ અનિશ્ચિતતાનું કારણ ગાંધીજીએ જે કારણથી ઉપવાસ કર્યા તેની પરથી પામી શકાય.

જેમ કે, ભારતમાં આવ્યા પછી પહેલા ઉપવાસ તેમણે 1 જૂન, 1915ના રોજ, આશ્રમમાં રહેતા છોકરાં જૂઠું બોલતાં હતાં તેના વિરોધમાં કર્યા. એ જ વર્ષે 12 સપ્ટેમ્બરના રોજ એક આશ્રમવાસીએ બીડી પીધી તેના પ્રાયશ્ચિત તરીકે તેમણે ઉપવાસ કર્યા. 1940 (12-13 નવેમ્બર)માં સેવાગ્રામના એક સાથીએ ચોરી કરી છે એવો વહેમ પડવાથી, તો 1946 (20 ઓક્ટોબર)માં મુસ્લિમ લીગ સાથેના પત્રવ્યવહારમાં પોતે લખેલા પત્રની પાકી નકલ ઉતારવામાં ઉતારનારની થયેલી ભૂલના પ્રાયશ્ચિત તરીકે તેમણે ઉપવાસ કર્યા. યરવડા જેલમાં 1933માં સરકારે તેમને અગાઉની જેમ જેલમાં હરિજનકાર્ય માટેની સગવડ આપવાની ના પાડી. એ વખતે ‘બે દિવસમાં માગણી માન્ય રાખવામાં નહીં આવે તો’ ઉપવાસ કરવાની ચીમકી આપી અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યા પણ ખરા. એ વખતે તેમની તબિયત લથડી ગઇ હતી. તેમને મળવા ગયેલા કુટુંબી-સાથી મથુરાદાસને તેમણે કહ્યું હતું, ‘હવે સ્વધામ જવાનું છે.’. મથુરાદાસને પણ ‘એમની આંખનું નૂર અસલ જેવું ન જણાયું...બાપુના ચહેરા પર ઉલ્લાસ ન જોયો...’

અસહકારની પહેલી ચળવળ વખતે (1921-22માં) ચૌરીચૌરામાં થયેલા હત્યાકાંડ પછી તેમણે ચૌદ દિવસના ઉપવાસ કરવાનું વિચાર્યું ત્યારે આટલા લાંબા ઉપવાસનો વિરોધ કરનાર મથુરાદાસને તેમણે કહ્યું હતું,’‘જે ઉપવાસથી કષ્ટ ન થાય એ વ્રત કે પ્રાયશ્ચિત ન હોય. મારા ઉપવાસથી મને કષ્ટ તો થવું જોઇએ.’ છતાં દેહ છોડવાનો ઇરાદો ન હોવાથી એ વખતે એમણે પાંચ દિવસના ઉપવાસ કર્યા. 1924માં હિંદુ-મુ્સ્લિમ તોફાનો અંગે ઉપવાસ- એ અટકાવવા માટે મોતીલાલ નેહરુના પ્રમુખપદે દિલ્હીમાં પરિષદ મળી. પરિષદે કરેલી ઉપવાસ ન કરવાની વિનંતી ગાંધીજીએ માન્ય ન રાખી. પણ મોતીલાલને એક પત્રમાં તેમણે લખ્યું, ‘મેં મરવા માટે ઉપવાસ શરૂ નથી કર્યા, પણ દેશ અને ઇશ્વરની સેવા માટે વિશેષ સારું અને શુદ્ધ જીવન જીવવાને લીધા છે...મારે મરણ અને પોષણ વચ્ચે પસંદગી કરવી પડે તો હું જરૂર ઉપવાસ છોડીશ.’

ઉપવાસ માટે ગાંધીજીના હેતુઓમાં કોમી ઐક્ય, હિંસાનો વિરોધ, આત્મશુદ્ધિ, સાથીદારોની ભૂલનું પ્રાયશ્ચિત મુખ્ય હતાં. ‘દિનવારી’માં એક ઉપવાસ ‘(બીજા પુત્ર) મણિલાલે (આડી લાઇને ચડેલા મોટા પુત્ર) હરિલાલને મદદ તરીકે થોડા પૈસા મોકલ્યા’ એ માટેનો પણ નોંધાયેલો છે. દલિતોના હકના મુદ્દે ગાંધીજીના ઉપવાસ સૌથી વિવાદાસ્પદ અને અત્યારે પરસ્પર વિરોધી લાગે એવા હેતુઓ માટે હતા. આશ્રમમાં તેમણે એક દલિત કુટુંબને રાખ્યું ત્યારે સનાતનીઓ અને રૂઢિચુસ્ત માન્યતા ધરાવતા ઘણા નિકટના લોકોએ પણ ગાંધીજીના આ પગલાનો તીવ્ર વિરોધ કર્યો. કેટલાક આશ્રમવાસીઓએ ગાંધીજીની સામે એમનું જ શસ્ત્ર અજમાવીને, દલિત પરિવારની સામેલગીરીના વિરોધમાં ઉપવાસ કર્યો. એ વખતે ગાંધીજીએ પણ સામો ઉપવાસ કર્યો. તેમના જીવનના સૌથી વિવાદાસ્પદ કહી શકાય એવા ઉપવાસ દલિતોને અપાયેલા અલગ મતદાર મંડળના વિરોધમાં હતા.

દલિત પ્રતિનિધિની ચૂંટણી દલિતોના મતથી જ થાય અને દલિત પ્રતિનિધિને ચૂંટાવા માટે બિનદલિત મતો પર આધાર ન રાખવો પડે, એ માટે અંગ્રેજ સરકારે મુસ્લિમો ઉપરાંત દલિતો માટે પણ અલગ મતદાર મંડળની જાહેરાત કરી. દલિતો માટે સહાનુભૂતિ કે દયા નહીં, પણ કાનૂની હક માગતા ડો.આંબેડકરને અલગ મતદાર મંડળ રાજકીય હકની દિશામાં મહત્ત્વનું પગલું લાગ્યાં, પણ ગાંધીજીએ તેમાં હિંદુ સમાજના વિભાજનની શક્યતા જોઇ. આ જાહેરાત સામે ગાંધીજીએ યરવડા જેલમાં આમરણ અનશનની જાહેરાત કરી. ડો.આંબેડકરે તેમના ઉપવાસને ગેરવાજબી ત્રાગું ગણાવીને આકરી ટીકા કરી. પરંતુ ચોતરફથી ગાંધીજીનો જીવ બચાવવાનું દબાણ થતાં ડો.આંબેડકરને કમને ઝૂકવું પડ્યું. પરંતુ આ પ્રસંગ ઉપવાસ અને વિશેષતઃ આમરણ ઉપવાસના હથિયારના વાજબીપણા અંગે ઉગ્ર ચર્ચા અને મતાંતર ઉભાં કરનારો બની રહ્યો. ગાંધીજીએ જે પ્રસંગને સમસ્ત હિંદુ સમાજની કસોટીરૂપ ગણાવ્યો, તે બીજી રીતે ઉપવાસના શસ્ત્ર અને તેમાં આરોપવામાં આવેલી પવિત્રતાની કસોટી કરનારો પણ બની રહ્યો.

(ઉપવાસ વિશે ગાંધીજીની માન્યતાઓ અને એ વિશેના મતાંતરની વધુ વાતો આવતા સપ્તાહે)

Friday, August 26, 2011

24 લુપ્ત ચીજોઃ અભી અભી યહીં થીં...


માણસ અને મોસમની વિચિત્રતાઓને લીધે કેટલાં પશુપંખીઓલુપ્ત થઇ ગયાં, તેની યાદી વખતોવખત બહાર પડતી રહે છે, પણ ઝાઝા લોકોને એમાં રસ પડતો નથી. ‘એમેઝોનનાં વર્ષાજંગલમાં રહેતો પોપટ લુપ્ત થવાના આરે’ એવું વાંચીને આપણા જણને થાય છે, ‘હશે. આપણે ક્યાં એને પાળવો છે તે ચિંતા! ભગવાન એની આખી પ્રજાતિના આત્માને શાંતિ આપે.’ જેમનાં સંતાન તાજેતાજાં ભણતાં થયાં હોય એવા નવ(નીઓ)-વાલીઓ કહી શકે છે,’નક્કી, એ પોપટોને એમનાં માતાપિતા ઇંગ્લીશ મીડિયમમાં નહીં મુકતાં હોય. પછી લુપ્ત ન થાય તો બીજું શું થાય?’

ક્રાંતિની જેમ ઉત્ક્રાંતિમાં સૂકા ભેગું લીલું, સજીવભેગું નિર્જીવ પણ બળે છે. માનવામાં નથી આવતું? તો આ રહી એવી 24 ચીજોની યાદી,જેમનું અસ્તિત્ત્વ આપણામાંથી મોટા ભાગના લોકો માટે મટી ગયું છે- અને એ પણ છેલ્લા એકાદ દાયકામાં.

1. ‘રોયલ’ની આરામખુરશી મગરનાં જડબાંની જેમ પહોળી થતી આરામખુરશીમાં, બેઠકો લગભગ ભોંયતળીયાને અડું અડું થતી હોય એ રીતે ગોઠવાયા પછી પાછળના ટેકે માથું ઢાળતાં જ સમજાઇ જતું હતું કે તેને ‘આરામખુરશી’ કેમ કહે છે. તેમાં ખૂંપેલા લોકોને સંસારનાં બાકીનાં સુખો તુચ્છ લાગતાં અને તુચ્છ ન લાગે તો પણ એ સ્થિતિમાંથી હલનચલન કરવાનું અઘરૂં હતું. હવે લોકોના જીવનમાંથી આરામ જતો રહ્યો, પછી આરામખુરશીનું શું કામ? આવો,પ્લાસ્ટીકની તકલાદી ખુરશીમાં ઉભડક ઉભડક ‘હમણાં ફસડાઇ જશે’ની બીક સાથે બેસો અને ખુરશી ખરેખર ફસડાઇ પડે તે પહેલાં વિદાય થાવ.

2. પેજર ‘એક કાળી દાબડી. વચ્ચે નાનો સ્ક્રીન. તેમાં દેખાય આંકડા ને અક્ષરો. બોલો હું કોણ છું?’ એવાં ઉખાણું અત્યારે પૂછવામાં આવે તો આઇ-પોડથી એમપી-3 પ્લેયર સુધીના જવાબો મળે, પણ પેજર? એટલે શું? હા, ‘પપ્પુ પેજર’ જેવું નામ કોઇ ફિલ્મમાં સાંભળ્યું હતું ખરૂં. એસએમએસ-એમએમએસ-જીપીઆરએસ (અને વીઆરએસ)ના જમાનામાં હજુ કોઇ ઘરના માળીયામાં કે જૂના ભંગારમાં પેજરનું ડબલું જોવા મળી જાય એવી શક્યતા ખરી.

3. વીસીપી/આર ‘વિડીયો’ની વાત કરીએ એટલે નવા યુગની પ્રજા કહેશે, ‘કયું ફોર્મેટ છે? ક્વિકટાઇમ?એવીઆઇ? રીઅલટાઇમ?’ પણ દસેક વર્ષ પહેલાં વિડીયોનું એક જ ‘ફોર્મેટ’ હતું- નાની સાઇઝની પેટી જેવી વિડીયોકેસેટ. તેને વગાડવા માટે મોટી સાઇઝની પેટી જેવાં વિડીયોકેસેટ પ્લેયર અથવા રેકોર્ડર આવતાં હતાં, જેના થકી વિડીયો કેસેટની ફોટોકોપી નહીં,પણ ઉત્તરોત્તર નબળી ‘કાર્બન કોપી’ નીકળી શકતી હતી. ‘એન્ટીક’ના શોખીનો હવે ગ્રામાફોનનાં ભૂંગળાની સાથે એકાદ જૂનું, ભંગાર વેચનારે જેને લઇ જવા માટે રૂપિયા માગ્યા હોય એવું, વીસીઆર પણ રાખે છે.

4. ‘સાદી’ રીફીલ સાતમા ધોરણ સુધી સ્કૂલમાં પેન વાપરવાની મનાઇ હતી ત્યારે- એટલે કે ચોવીસેક વર્ષ પહેલાં- રીફીલના બે પ્રકાર આવતા હતાઃ સાદી અને પોઇન્ટેડ. બન્નેના ભાવમાં મોટો તફાવત રહેતો. સાદી ત્રીસ પૈસાની હોય તો પોઇન્ટેડ પંચોતેર પૈસાની. પછી ભારત ક્યાંથી આર્થિક મહાસત્તા બને? હવે પેન અને રીફીલની કિંમત હવે લગભગ સરખી થઇ છે અને બાળકો નવી રીફીલને બદલે નવી પેન જ ખરીદે છે. પછી ભારતના આર્થિક વિકાસની ખાતરી માટે જીડીપી જાણવાની શી જરૂર?

5. લુના અત્યારે ટ્રાફિક પોલીસ જેને ચલાવવા માટે લાયન્સ પણ માગતી નથી, એ વાહન મહિલાઓ માટે સશક્તિકરણના લાયસન્સ જેવું હતું. પેડલના વિકલ્પે સહેજ દોડીને ચાલુ કરી શકાતું લુના બજાજ સુપરની જેમ (ખરીદવા માટે) નોંધાવવું કે(ચલાવવા માટે) નમાવવું પડતું ન હતું, લુના પર નીકળેલું ચાર જણનું ‘નાનું કુટુંબ,સુખી કુટુંબ’ સ્પેસ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું હતું, જેના થકી ટાટાને ‘નેનો’ બનાવવાની પ્રેરણા મળી.

6. પરચુરણ નોટ ટ્યુશન જ્યારે ડફોળ વિદ્યાર્થીઓની શરમજનક જરૂરિયાત ગણાતાં હતાં અને અત્યારની એક વર્ષની ટ્યુશન ફીમાં છોકરું બાર ધોરણ ભણી નાખતું હતું, ત્યારે ઉનાળુ વેકેશનમાં આગલા ધોરણની નોટો કાઢીને, તેમાંથી ફાડેલાં કોરાં પાનાં કાગદીની દુકાને આપવાનો રિવાજ હતો. ત્યાં તૈયાર થતી કાચા પૂંઠાના બાઇન્ડિંગની નોટ ‘પરચૂરણ’ તરીકે ઓળખાતી. છતાં સ્કૂલના શરૂઆતના દિવસોમાં, બધા વિષયોની નોટ તરીકે ભારે મહત્ત્વ ધરાવતી હતી. ‘કોલેજિયન’ દેખાવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અત્યારની માફક સો-સોની નોટો લઇને નહીં, પણ ફક્ત પરચૂરણ નોટ લઇને સ્કૂલે આવતા હતા.

7. વાલ્વવાળા રેડિયો ઇલેક્ટ્રોનિક આઇટમ જેવા ઓછા અને ફર્નિચર જેવા વધુ લાગતા વાલ્વવાળા રેડિયો ચાલુ કર્યા પછી થોડી ધીરજ ધરવી પડતી હતી. લાઇટ ચાલુ થાય,વાલ્વ ગરમ થાય, ધીમે ધીમે પ્રસારણ શરૂ થાય...અને એમાં પણ રેડિયો સિલોન કે બીબીસી પકડ્યું હોય એટલે વડીલો કહે,’ભઇ, વાર તો લાગે ને- ઠેઠ ત્યાંથી અહીં આવવાનું છે.’ રેડિયો ચાલુ કર્યા પછી રાખવી પડતી ધીરજ કમ્પ્યુટર યુગમાં પણ, કમ્પ્યુટર ઓન કર્યા પછી જોવી પડતી રાહમાં, કામ લાગે છે.

8. એક રૂપિયાની નોટ રૂપિયો ગાડાના પૈડા જેવો નહીં, રમકડાની ગાડીના પૈડા જેવો હતો ત્યારે પણ એક રૂપિયાની નોટ આવતી હતી. બક્ષીસ આપવા માટે એકની નોટનું બંડલ દિવાળીના દિવસોમાં મેળવવું હોય તો બેન્કમાં સારી ઓળખાણ જરૂરી ગણાતી હતી. હવે બક્ષીસ તો ઠીક, ભીખમાં પણ એક રૂપિયો-તેનો સિક્કો ચલણમાંથી નીકળી ગયો છે. એક રૂપિયો ભીખમાં આપનારને ભીખારી પોતાની સાથે જોડાઇ જવા ઓફર કરે તો પણ કહેવાય નહીં.

9. ચિત્રહાર ત્રીસ રૂપિયાની એક ડીવીડીમાં સો ગીત જોનાર ‘બાબા રામદેવ પેઢી’ને અઠવાડિયે એક વાર અડધો કલાક ગીતો જોવા માટે કરવી પડતી મહેનત બાબા આદમના જમાનાની વાત લાગે, વારંવાર રીપીટ થતાં ગીતો જોવાનો કંટાળો પણ આવે, છતાં‘ટીવીના પડદે ગીતો ક્યાંથી!’ એવી લાગણીથી પ્રેરાઇને લોકો ‘ચિત્રહાર’ જોતા જાય અને ‘આ વખતે બહુ સારાં ગીતો ન આવ્યાં’ એવું દરેક વખતે કહેતા જાય. હવે ચોવીસ કલાક ગીતો આપતી ચેનલો હોવા છતાં, અઠવાડિયે અડધો કલાક ‘આ વખતે મઝા ન આવી’ પ્રકારનાં ગીતો જોવાની મઝા સામે એ ફિક્કી લાગે.

10. ફ્લોપી દસકા જૂનાં કમ્પ્યુટરના સીપીયુનો દેખાવ રેલવે સ્ટેશન પર વજન કરાવવાનાં મશીન જેવો કે કોક-પેપ્સીનાં વેન્ડિંગ મશીન જેવો લાગે તો એમાં મુખ્ય જવાબદારી ફ્લોપી ચલાવવા માટેના ખાંચા-ફ્લોપી ડ્રાઇવની ગણાય. 1.2 મેગાબાઇટઅને 1.44 મેગાબાઇટ – એમ બે સાઇઝ ધરાવતી ફ્લોપીની પ્રતિષ્ઠા આગલી સાલની દિવાળીના વધેલા ફટાકડા જેવી હતી. (ખાસ કરીને 1.44ની). ચાલતી ફ્લોપી કરતાં ન ચાલતી ફ્લોપીની સંખ્યા હંમેશાં વધારે હોય. ઇન્ટરનેટ પ્રચલિત બનતાં પહેલાં વાઇરસના વાહક તરીકેની જવાબદારી પણ ફ્લોપીએ ઉપાડી લીધી હતી. હવે એ કામ માટે વધારે સુવિધા-ક્ષમતાવાળાં,ફેશનેબલ, ગળામાં લટકાવવાની દોરીને કારણે ‘સાઇનાઇડ કેપ્સુલ’ જેવાં લાગતાં પેનડ્રાઇવ આવી ગયાં છે. જૂનાં સીપીયુમાં 1.2 અને 1.44 માટેના ખાંચા જોઇને હવે બાળકોપૂછે છે,’સીપીયુમાં કેમ તિરાડ પડી છે?’

11. માટલાનું (વેચાતું) પાણી ‘મટકાકોલા’ તરીકે ઓળખાતું પાણી હવે ‘પાઉચ-કોલા’ બની ગયું છે. પહેલાં રેલવે-બસ સ્ટેશનો પર પાણીનાં માટલાં ભરેલી બહેનો કે બાળકો ‘પા...ણીઇંઇંઇંઇંઇં’ના અનુનાસિક ઉચ્ચાર સાથે પાંચ-દસ પૈસામાં એક પ્યાલો પાણી આપતાં હતાં. હવે એક રૂપિયામાં ગેરન્ટેડ ગંદા પ્લાસ્ટિકમાં ગેરંટેડ ગંદુ પાણી મળે છે, જેને લોકો હાઇજીન, સુવિધા, ફેશન કે બીજા વિકલ્પના અભાવે મજબૂરી તરીકે ગટગટાવે છે.

12. ‘મુંબઇ’ (બાયોસ્કોપ) ડીવીડી અને મલ્ટિપ્લેક્સના યુગમાં રોટલી-ભાખરી સાટેબાળકોને ફિલ્મની પટ્ટીઓના ટુકડા બતાવતાં બાયોસ્કોપ પોતે દેખાતાં બંધ થઇ ગયાં છે. લાકડાના ચોકડી આકારના સ્ટેન્ડ પર ત્રણ-ચાર ગોળાકાર ‘બારી’ ધરાવતા બાયોસ્કોપમાં ઉપર એકાદ ઢીંગલી (મંજીરા વગાડતી) હોય, બારીની આસપાસ બન્ને હથેળીઓ ગોઠવીને તેની વચ્ચે ચહેરાનો આંખોવાળો ભાગ રાખીને, અધુકડા પડીને મુંબઇ-દિલ્હીનાં, હીરો-હીરોઇનનાં દૃશ્યો જોવાનો રોમાંચ મેળવવા માટે હવે જોયસ્ટીકની જરૂર પડે છે.

13. દાતણ ભીમ સાથેની મલ્લકુસ્તીમાં જરાસંધ કેમે કરીને હારતો ન હતો. એ વખતે ભગવાન કૃ્ષ્ણે દાતણ ઉપાડીને તેની બે ચીરી કરીને ભીમને સંકેત આપ્યો, પણ ભગવાન પાસે દાતણને બદલે બ્રશ હોત તો? ટૂંકમાં, વડીલો માનતા હતા કે દાતણના દાંત મજબૂત કરવા સિવાયના પણ ઘણા ઉપયોગો છે. એકનું એક દાતણ ઇચ્છા મુજબ આગળનો કૂચો કાપીને અઠવાડિયા સુધી ચલાવી શકાય. બ્રશ ચાવી શકાતું નથી. એટલે તેનાથી દાંત મજબૂત રહેતા નથી એવી વડીલોની થીયરી હતી, જે મોટે ભાગે તે ચોકઠું પહેરીને રજૂ કરતા હતા.

14. પંગતભોજન ગાય-ભેંસ-ગધેડા જેવાં પ્રાણીઓની જેમ ઊભાં ઊભાં ભોજન કરવાને બદલે માણસની જેમ પલાંઠી વાળીને ભોજન કરવાની પદ્ધતિ હવે બંધ થઇ ગઇ છે. તેમાં પશુ જેવું કામ કરવાનું પીરસણીયાઓના અને પાશવી વૃત્તિનું પ્રદર્શન કરવાનું વહીવટકર્તાઓના ભાગે આવતું. એક પંગત જમવા બેઠી હોય ત્યારે તેની બરાબર પાછળ ઊભા રહેવાથી માણસમાં ધૈર્યનો ગુણ, પંગત ક્યારે પૂરી થશે તેની અટકળો થકી તર્કશક્તિ અને બેઠેલો માણસ હાથ ધોઇ રહે તે પહેલાં એની બેઠક પર કબજો જમાવી લેવાને કારણે ચાપલ્યના ગુણો ખીલતા હતા. બુફેમાં લોકલ ટ્રેનની જેમ ધક્કામુક્કી કરવા સિવાય અને પશુઓની જેમ બધી વાનગીઓમાં મોં નાખીને બગાડ કર્યા સિવાય અન્ય કોઇ ગુણ ખીલતો નથી.

15. ટેલીગ્રામ ‘માય નેઇમ ઇઝ બોન્ડ. જેમ્સ બોન્ડ’ એ સંવાદ પહેલાં ભારતમાં સૌથી જાણીતું અંગ્રેજી વાક્ય હતું ‘ફાધર સીરીયસ. કમ સૂન.’ પોસ્ટ વિભાગ ખરેખર લાગણીની અભિવ્યક્તિના શબ્દદીઠ પૈસા વસૂલતું હતું, પણ ઘણાને એવી શંકા જતી હતીકે પોસ્ટ ખાતું ટેલીગ્રામમાં લખાતા ખોટા (ક્રિયાપદ વગરના) અંગ્રેજી માટે દંડ વસૂલી રહ્યું છે. લોકો ભલે ટેલીગ્રામ કરતાં ઇ-મેઇલને લાખ દરજ્જે ચડિયાતો ગણે, ઇ-મેઇલની સરખામણીએ ટેલીગ્રામનું સૌથી મોટું સુખ એ હતું કે ટેલીગ્રામ કર્યા પછી કોઇને ફોન કરીને કહેવું પડતું ન હતું કે ‘મેં જરા ટેલીગ્રામ કર્યો છે. જોઇ લેજો.’

16. કપડાંને થીંગડું બાળમંદિરોથી દસમા ધોરણ સુધી અનેક વિદ્યાર્થીઓ એવા જોવા મળતા હતા, જેમનાં ચડ્ડી કે બુશશર્ટને થીંગડું મારેલું હોય. એ સમયની ગરીબ માતાઓ ગૌરવપૂર્વક કહેતી, ‘ગમે તેટલાં ગરીબ હોઇએ, પણ છોકરાંને ફાટેલાં કપડાં નથી પહેરાવતાં. થીંગડાવાળું પહેરવામાં શરમ શાની? આપણે ક્યાં ફાટેલું પહેરવું છે?’ હવે પેન્ટ અને શર્ટ પર જાતજાતનાં ફેશનેબલ ‘થીંગડાં’ ધરાવતી કે તેની કિનારીઓ ફેશનનાભાગરૂપે ફાડી નાખતી પ્રજા કહે છે,’થીંગડાંવાળું પહેરવામાં શરમ શાની?’

17. થીએટરના લાલા થોડાં વર્ષ પહેલાં છાપાંની કૂપનો પર મળતી ફ્રી ગિફ્ટ માટે થતી હતી, એવી લાઇન બે-ત્રણ દાયકા પહેલાં થીએટર પર જોવા મળતી હતી. એ વખતે ગૃહની અંદર અને બહાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ‘લાલા’ તરીકે ઓળખાતા પઠાણ તત્પર રહેતા હતા. મલ્ટીપ્લેક્સના યુગમાં પઠાણી લાલા તો નથી રહ્યા, પણ ખાનગી સિક્યોરીટી કંપનીનાં ‘લાલા’ અને ‘લાલી’ઓ સિક્યોરિટી-ચેકિંગના બહાને પ્રેક્ષકો સાથે ઉદ્ધતાઇપૂર્વક વર્તીને પઠાણી લાલાની ખોટ પૂરવા પ્રયાસ કરે છે.

18. એન્ટેના ટીવીની ટેકનોલોજી આવી, એટલે રેડિયો સાંભળવા માટે થતી સ્ટેશન પકડવાની માથાકૂટમાંથી બચી જવાશે એવું લાગ્યું. લોકોએ ટીવી સાથે આવેલું ધાતુના લાંબા દંડુકા અને ઉપર આડા સળીયા લગાડેલું એન્ટેના ઉત્સાહપૂર્વક ધાબે કે છાપરે લગાડી દીધું. ટૂંક સમયમાં ગામનાં ગામ અને શહેરનાં શહેરનો ‘એરીયલ વ્યૂ’ એન્ટેનાથી આચ્છાદિત થઇ ગયો. શરૂઆતના દિવસોમાં ગમતો કાર્યક્રમ જોવા માટે એક જણ ધાબે ચડીને એન્ટેનાની દિશા બદલે, બીજો જણ ઘરની અંદર ટીવી સામે ઊભો રહીને ‘પકડાયું’ કે‘હજુ નથી આવતું’નો સંદેશો મોકલે અને ઘરની બહાર ઊભેલો ત્રીજો જણ ધાબાવાળા અને ઘરવાળાના સંદેશા એકબીજાને પહોંચાડે. હવે સેટેલાઇટ રેડિયોનાં એન્ટેના આવે છે, પણ એમાં આવો ‘માનવીય’ સંસ્પર્શ ક્યાં?

19. ડાયલવાળો ફોન શૂન્યની શોધ સામાન્ય સંજોગોમાં માનવજાતની સિદ્ધિ ગણાય છે, પણ ડાયલવાળા ફોનમાં 0 ડાયલ કરવાનો થાય, ત્યારે એ શોધ અને શોધક બન્ને માટે મનમાં ખીજ પેદા થતી હતી. એમાં પણ અમુક નંબરમાં એકથી વધારે વખત 0 આવતો હોય, ક્યારેક ચાર-પાંચ આંકડા ડાયલ કર્યા પછી ભૂલ પડે ને ફરી ચકરડાં ઘુમાવવાનાં થાય, અમેરિકા-ઇંગ્લેન્ડ દસ-બાર આંકડાના નંબર ડાયલ કરવાના હોય- અને ‘રીડાયલ’ જેવી કોઇ સગવડ ન હોય- ત્યારે ફોન નંબર લગાડવો એ પણ એક કામ બની જતું હતું. એક મિત્ર પરદેશ ફોન કરવા જાય ત્યારે ખાસ ચકરડાં ઘુમાવવા માટે એક માણસને સાથે લઇને જતા હતા- ‘શોફરડાયલ્ડ’ ટેલીફોન!

20. ડબલડેકર બસ તારક મહેતાના વિખ્યાત ‘બે માથાળા બોસ’ની યાદ અપાવે એવી બે માથાળી બસ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઘણા સમય સુધી ચાલી હતી. પછી ગાંધીનગરમાં ‘ઉપલા માળ’ની જરૂર નહીં રહી હોય અથવા ‘ઉપલો માળ’ ભરેલો હોવો એ બિનસલામત ગણાયું હશે. એટલે બે માળની બસસેવા અમદાવાદમાં બંધ કરી દેવામાં આવી. મુંબઇમાં હજુ એ બસ ચાલે છે.

21. ગોલ્ડસ્પોટ ‘ઝિંગ થિંગ’ એ શબ્દપ્રયોગનો ગુજરાતી અનુવાદ કરવો હોયતો ‘ગોલ્ડસ્પોટ’ પીવી પડે. ગર્લફ્રેન્ડ સાથે રેસ્ટોરાંમાં ગયા પછી ‘એક ગોલ્ડસ્પોટ,એક થમ્સ અપ’નો ઓર્ડર કરવામાં આવે, તો વેઇટર પૂછ્યા વિના ગોલ્ડસ્પોટ ‘સન્નારી’ની સામે અને થમ્સ અપ ‘સજ્જન’ની સામે મુકે, એવી તેની છાપ હતી. ફેન્ટા અને મિરિન્ડા રંગેરૂપેપ્રચારે ગોલ્ડસ્પોટ જેવાં છે, પણ ‘ઝિંગ થિંગ’નું શું?

22. રેશનિંગની લાઇન મધ્યમ વર્ગને ‘રાશનકી કતારોંમેં’ નજર આવવું પડે એવી સ્થિતિ હવે નથી રહી. મોંઘવારી ભલે નીચે ન આવે, ગરીબીની રેખા નીચી લાવવાનું તો સરકારના હાથમાં છે. વીસ-પચીસ વર્ષ પહેલાં ખાંડ ખાતા મધ્યમ વર્ગના લોકોને ખાવા માટે ખાંડ તો રેશનિંગની જ લાવવી પડતી હતી. હવે રેશનકાર્ડ ફક્ત અસ્તિત્ત્વ પુરવાર કરવાના કામનું છે- અસ્તિત્ત્વ ટકાવવાના કામનું નહીં!

23. ‘સોવિયેત દેશ’ મેગેઝીન ‘નોટો-ચોપડીઓને પૂંઠા ચડાવવા માટે ભરોસાપાત્ર, આકર્ષક, રંગીન અને ટકાઉ સામગ્રીની શોધમાં છો? તો અમારું સામયિક બંધાવો.’ એવી કોઇ જાહેરાત વિના રશિયાના સરકારી પ્રચાર માટે બહાર પડતું સોવિયેત દેશ પૂંઠા ચડાવવા માટેની સૌથી લોકપ્રિય સામગ્રી બની રહ્યું હતું. લીસા કાગળ, આકર્ષકછપાઇ, મનોહર રંગ- ટૂંકમાં અત્યારનાં ઘણાં છાપાં-મેગેઝીનની જેમ, વાચનસામગ્રી સિવાયનું બધું જ સરસ! પૂંઠા ચડાવવાના ક્ષેત્રે ભારતમાં રશિયાએ કરેલી આ બિનલોહિયાળ ક્રાંતિની ભવિષ્યના ઇતિહાસકારો જરૂરનોંધ લેશે.

24 ફોટો ફિલ્મ સોડા જેમ ખાવાનો અને ધોવાનો એમ બે પ્રકારનો હોય છે.એવી રીતે ફિલ્મના પણ બે પ્રકાર હતાઃ જોવાની અને ધોવાની (કે ધોવા આપવાની). ‘રોલ’ તરીકે ઓળખાતી કેમેરાની ફોટો ફિલ્મ ધોવા માટે આપવાની એક રસમ હતી. કેમેરામાં એક રોલ પૂરો કર્યા પછી કલર લેબમાં ફિલ્મ ધોવા આપતી વખતે અંગત સંસ્મરણો અજાણ્યાના ભરોસે છોડવાની લાગણી થતી હતી. લેબના માણસો હૈયાધારણના બે શબ્દો કહ્યા વિના યંત્રવત્ રોલ લઇ લે ત્યારે તેમની નિષ્ઠુરતા પર ખીજ ચડતી હતી. કેવા ફોટા આવશે તેના સસ્પેન્સમાં રાત વીતાવ્યા પછી બીજા દિવસે લેબ પરથી ‘ધોવાયેલી’ ફિલ્મ અને પ્રિન્ટ જોવા મળેત્યારે જીવ હેઠો બેસતો. ડિજિટલ યુગમાં ફોટો પાડ્યા પછી બીજી જ સેકંડે ‘કેવો ફોટો આવ્યો છે’નું સસ્પેન્સ સમાપ્ત થઇ ગયું અને ફિલ્મ યુગનો ‘ધ એન્ડ’.
(થોડાં વર્ષ પહેલાં 'અભિયાન'ના દિવાળી અંક માટે લખેલો લેખ.)

Wednesday, August 24, 2011

લોકપાલ ખરડાનાં બીજાં પ્રસ્તાવિત સ્વરૂપ

અન્ના હજારે અને તેમના સાથીદારોએ જનલોકપાલ ખરડા માટે ઉપાડેલા આંદોલનમાં સત્તાધારી પક્ષને ખરડાવું પડ્યું અને બાકીના રાજકીય પક્ષોને તેમની પાછળ ખેંચાવું પડ્યું .સરકારે નાકલીટી તાણવી પડી અને ભાજપી અઘ્યક્ષે કહેવું પડ્યું કે ‘અમે અન્નાની ધરપકડના વિરોધમાં છીએ તેનો મતલબ એવો નથી કે અમે તેમના દ્વારા પ્રસ્તાવિત લોકપાલ ખરડાનું સમર્થન કરીએ છીએ.’

હકીકત એ છે કે અન્નામંડળ દ્વારા પ્રસ્તાવિત લોકપાલ ખરડો અને તેમાં રહેલી આકરી જોગવાઇઓ સ્વીકારતાં તમામ રાજકીય પક્ષોને ભરઉનાળે ટાઢ ચડે એમ છે. તેમનું ચાલે તો એ લોકપાલ ખરડાને પડતો મૂકીને તેના જેવા બીજા ઘણા ‘પાલ’અમલમાં મૂકવાનું વિચારી જુએ. કેટલાક સંભવિત છતાં વાસ્તવિકતાના અંશ ધરાવતા નમૂનાઃ

‘લૉક’પાલઃ આ જોગવાઇ તમામ પક્ષોની સરકારોની પ્રિય હોવાથી તેનો અલગથી કાયદો બનાવવાની જરૂર પડી નથી. વર્તમાન કાયદા અંતર્ગત જ તેનો ઉપયોગ કરવામાં આવે છેઃ ભ્રષ્ટાચારનાં નાણાં મજબૂત રીતે તાળાબંધીમાં-‘લોક’એન્ડ કીમાં રાખવાં અને ભ્રષ્ટાચાર સહિત કોઇ પણ મામલે સરકારની સામે પડે તેમને વેળાસર ‘લોક’અપમાં પુરવા. ગુજરાતમાં જરા જુદો ટ્રેન્ડ છે. તેમાં સરકારની સામે નહીં, પણ સરકારી લાઇન પ્રમાણે ખોટેખોટાં એન્કાઉન્ટર કરનારા ઘણા બંદૂકબહાદુરોને જેલમાં રહેવાનો વારો આવ્યો છે. તેમની અવદશા અને કેટલાક લોકોની તેમના પ્રત્યેની સહાનુભૂતિ જોતાં ગુજરાતમાં‘લોક’પાલને બદલે ‘અનલૉક’પાલની માગણી થાય તો નવાઇ નહીં. એ જોગવાઇ થાય ત્યાં સુધી એન્કાઉન્ટરબહાદુરોની વીરપ્રશસ્તિ રચનારાઓ જેલમાં તેમની ટૂંકી મુલાકાતો લઇને જ સંતોષ માનવો રહ્યો.

‘પોક’પાલઃ ભારતની લોકશાહીમાં સત્તાધારી પક્ષની વ્યવસ્થિત બહુમતી હોય અથવા ઘટક પક્ષોને યોગ્ય રીતે સંતુષ્ટ કરેલા હોય તો વિપક્ષો બૂમબરાડા પાડીને સંસદની કાર્યવાહી ખોરવવાથી વિશેષ કશું કરી શકતા નથી. ગૃહમાં તોફાની બાળકોની જેમ ધાંધલ કર્યા પછી બહાર ટીવી કેમેરા સામે કકળાટ કરીને તે સંસદીય લોકશાહી પ્રત્યેની પોતાની નિસબત વ્યક્ત કરે છે. આ કામ ગૃહમાં મોકળા મને કરી શકાય તો ભારતની લોકશાહી વઘુ તંદુરસ્ત બને.એવા પવિત્ર આશયથી સંસદમાં જ પોક મૂકીને ભેંકડા તાણી શકાય એ માટે વિપક્ષો ‘પોક’પાલ ખરડાની માગણી કરી શકે છે.

‘રોક’પાલઃ ભારતવર્ષમાં કાયદાની ખોટ નથી. ભ્રષ્ટાચાર અટકાવવા માટે અને ભ્રષ્ટાચારીઓને સજા કરવા માટે પણ અનેક કાયદા અને સંસ્થાઓ છે. પરંતુ જેટલા કાયદા છે, તેનાથી અનેક ગણી વધારે સંખ્યામાં લોકો એ કાયદાનો અમલ રોકવા માટે પ્રવૃત્ત હોય છે. એટલે લોકપાલનો ખરડો કાયદો બને ત્યાર પછી લાગતા-વળગતા લોકો લોકપાલનો અમલ રોકતો ‘રોક’પાલ ખરડો સંસદમાં લાવવા માટે આગ્રહ કરશે અને ભલું હશે તો તેના માટે જંતરમંતર પર ઉપવાસની પરવાનગી પણ માગશે. તેમણે એક વાતની ફિકર નહીં કરવી પડેઃ સરકાર તેમની સામે પોલીસપગલાં નહીં લે અને તેમને તિહાર જેલમાં નહીં નાખે.

‘મૉક’પાલઃ આપણા દેશમાં સત્તાનો મતલબ છે કાયદાની હાંસી ઉડાડવાની ક્ષમતા. જેની પાસે એ ક્ષમતા વધારે, તે વધારે પાવરફુલ. આ સચ્ચાઇ સમજવા માટે પોલિટિકલ સાયન્સના ક્લાસ ભરવાની જરૂર નથી. ટ્રાફિક પોલીસે આંતરેલા કોઇ પણ દ્વિચક્રીચાલકને જોતાં એ સમજાઇ જશે. કારણ કે મોટા ભાગના લોકો ગુનો કરીને પકડાયા પછી, પોલીસના સકંજામાંથી બચવા માટે પોતાના કોઇ ને કોઇ ઓળખીતા ‘મોટા માણસ’ને ફોન કરતા જોવા મળશે. આ પરિસ્થિતિમા સત્તાધીશોની, તેમના પી.એ.ની, પી.એ.ના પી.એ.ની, પી.એ.ના પી.એ.ના સાળાના મિત્રની સત્તા ટકી રહે અને એ લોકો સુખેથી પોતાના ‘છેડા’ આગળ ધરીને કાયદાકીય જોગવાઇઓની સત્તાવાર રીતે હાંસી ઉડાડી શકે એ માટે ‘મૉક’પાલ જેવા વિધેયક અંગે વિચાર થઇ શકે. આ વિધેયક અંતર્ગત કાયદાની હાંસી ઉડાડવાનું કાયદેસર થઇ જાય, તો કાયદાના ઉલ્લંઘનના બનાવ કેટલા ઓછા થઇ જશે, એ કલ્પના જ રોમાંચ પ્રેરનારી છે.

‘જોક’પાલઃ આ સંભવિત વિધેયક વિશે બહુ વિચારવિસ્તાર કરવાની જરૂર ખરી? સરકાર અને સરકારના ઇશારા પ્રમાણે પોલીસ જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી વગદાર નાગરિકો ગમે તેવા કાયદાને ‘જોક’- રમૂજ ગણીને હસી કાઢી શકે છે. આમ તો આ વિધેયકને અલગ રજૂ કરવાને બદલે ‘મૉક’પાલની પેટાજોગવાઇ તરીકે પણ મૂકી શકાય.

‘ટોક’પાલઃ નેતાઓ જ નહીં, દેશમાં ઘણા વગદારોને લાગે છે કે એમને કોઇ કહેનાર-ટોકનાર-ખોટું કરતાં અટકાવનાર નથી. એમને કોઇ સજા કરનાર હોય એ તો બહુ દૂરની વાત છે. વડાપ્રધાન જેવા વડાપ્રધાન પણ ખોટું કરતા પ્રધાનોને રોકવા-ટોકવાને બદલે ગોરખધંધા થયાનાં એક-બે વર્ષ પછી લાચાર ચહેરે કહે છે,‘હું શું કરું? મને તો ખબર જ ન હતી.’કર્ણાટકમાં યેદીયુરપ્પા અને રેડ્ડી બંઘુઓનાં કારનામાં જગજાહેર હોવા છતાં ભાજપી અઘ્યક્ષ તેમને ટોકવાને બદલે, તેમનાં કરતૂત ‘અનૈતિક હશે, પણ ગેરકાનૂની નથી’એવું પ્રમાણપત્ર ફાડી આપે છે. આ બઘું જોતાં લાગે કે કાનૂની પ્રક્રિયા અંતર્ગત સજા થાય તે પહેલાં, ગુનો બનતો હોય તે વખતે તેમને કોઇ ટોકનાર હોવું જોઇએ. ‘કેગ’ જેવી સંસ્થાઓ એ ભૂમિકા અદા કરવાની કોશિશ કરે છે, પણ તેમના જેવા ‘ટોક’પાલનું જોર વધે એ દેશના હિતમાં છે.

‘ઠોક’પાલઃ અમુક રાજ્યોમાં અને રાજકીય પક્ષોમાં આ સ્વરૂપ પ્રગટ અને અપ્રગટ એમ બન્ને સ્વરૂપે અત્યંત લોકપ્રિય છે. સત્તાધીશો ‘રાજ્યના કે દેશના વિકાસમાં’-એટલે કે પોતાના રસ્તામાં- આડા આવતા લોકોને ખતમ કરી નાખે છે અથવા પોતાના સ્વાર્થ ખાતર હાથે ચડે તેને ઠાર મારે છે, જેને ભાઇલોગ અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટો ‘ઠોક દિયા’કહે છે. ફક્ત માણસોને જ નહીં, આઘુનિક સમયમાં ફિલ્મો અને પુસ્તકો ઉપર પણ પ્રતિબંધો ઠોકી દેવામાં આવે છે. ગુજરાતમાં સરદાર વિશેના જસવંતસિંઘના પુસ્તક ઉપરનો પુસ્તક વાંચ્યા વિના ઠોકી દેવાયેલો સત્તાવાર પ્રતિબંધ ઘણાને યાદ હશે. આ બાબતમાં બધી સરકારો સરખી ઉત્સાહી હોય છે. તેમનું ચાલે તો એ ‘ઠોક’પાલ જેવો કોઇ વિધેયક લાવીને પોતાની આ કામગીરી કાયદેસરની ગણાવી દે. ટાડા-પોટા જેવા કેટલાક કાનૂનો ‘ઠોક’પાલ બની રહે એવી આશંકા ઘણા લોકો વ્યક્ત કરી ચૂક્યા છે.

‘ફોક’પાલઃ અન્નાની માગણી પ્રમાણેનો જનલોકપાલ ખરડો સ્વીકારાઇ જાય અને ભોગેજોગે એ પસાર થઇ જાય, તો ત્યાર પછી ફક્ત રાજકીય વર્તુળોમાંથી જ નહીં, બંધારણીય જોગવાઇઓની ચિંતા કરતા લોકોમાંથી પણ સૌથી પ્રબળ માગ ‘ફોક’પાલની - લોકપાલની કેટલીક આત્યંતિક જોગવાઇઓ ફોક કરતા નવા વિધેયકની ઉઠી શકે છે. એવું થાય તો કોઇ ‘અભી બોલા અભી ફોક’નું મહેણું નહીં મારે.

Monday, August 22, 2011

ગાંધીજીના પરિવારજન-અનુયાયી અને વખત આવ્યે તેમને ટપારનાર-ટકોરનારઃ મથુરાદાસ ત્રિકમજી

L to R: Mathuradas Trikamji, Mahadev Desai, C.Rajgopalachari
Photo copyright: Gandhiserve Foundation

જાહેર સમારંભોમાં અફસરો, કુલપતિઓ ને પ્રધાનો સુદ્ધાં મુખ્ય મંત્રીને પગે લાગે એવાં દૃશ્યોની હવે નવાઇ નથી. પરંતુ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને 1924માં ગાંધીજીને માનપત્ર આપ્યું ત્યારે જુદો જમાનો હતો. ગાંધીજીનું વ્યક્તિત્વ રાજકીય નેતા કરતાં ઘણું મોટું-ઊંચું, જ્યારે કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્ય મથુરાદાસ ત્રિકમજી સગપણમાં ગાંધીજીનાં બહેનના પૌત્ર અને જાહેર જીવનમાં સ્વતંત્ર વિચાર ધરાવતા ગાંધીજીના સાથીદાર. સામાન્ય રીતે એ ગાંધીજીને નમે અને ગાંધીજી પ્રેમથી એમનો વાંસો થાબડે, પણ કોર્પોરેશનના જાહેર સમારંભમાં એ ક્રમ તૂટ્યો. મથુરાદાસે લખ્યું છે, ‘આ રીતનું પાલન આવા સાર્વજનિક પ્રસંગે કરવું મને યોગ્ય ન લાગ્યું. મેં હાથ જોડ્યા અને તેમણે પણ તેમ કર્યું.’

ગાંધીજી પ્રત્યે અત્યંત આદર હોવા છતાં સ્વતંત્ર વિચાર ધરાવનારા અને વિચારભેદ અંગે ગાંધીજી સાથે ચર્ચા કરી શકતા જૂજ લોકોમાં મથુરાદાસ ત્રિકમજીનો સમાવેશ કરવો પડે. આઝાદીના ઇતિહાસમાં તેમનું નામ કદી જાણવામાં ન આવ્યું હોય એવું બને, પણ એનાથી મથુરાદાસનું મહત્ત્વ ઘટતું નથી. ગાંધીજી સાથે એમને કેવો વ્યવહાર હતો? એમના જ શબ્દોમાં- ‘મારાથી ન જણાય (જાણી શકાય) કે એમની પાસે ન બોલાય એવું એમણે કંઇ રાખ્યું નહીં.’

એટલે જ, ‘મુંબઇના શેરીફની સભામાં મથુરાદાસે હાજર રહેવું જોઇએ’ એ મતલબનો ગાંધીજીનો અભિપ્રાય મથુરાદાસના સાંભળવામાં આવતાં તેમણે ગાંધીજીને લખ્યું, ‘આપ ઝીણી ઝીણી બાબતોમાં ક્યાં સુધી સલાહ આપશો? એમાં ભૂલો થવાનો સંભવ પણ બહુ રહે છે.’ (12-8-24) ગાંધીજીએ પણ એટલા જ ઉમળકાથી મથુરાદાસની ટકોર આવકારતાં તેમને લખ્યું, ‘દરેક બાબતમાં મારી પાસેથી ફતવા મેળવવા એ ભૂલ છે ને ભયંકર છે એ તદ્દન માનું છું. જે ઢબથી મને પૂછ્યું હોય એ ઢબથી જવાબ નીકળે. તેમ જવાબ દેતાં મારી ભૂલ પણ થાય. સિદ્ધાંતોમાંથી ઉપસિદ્ધાંતો સહુએ ઘટાવી લેવા જોઇએ.’ (13-8-1924)

પચાસ વર્ષની ઉંમરે ગાંધીજી, કસ્તુરબાના હોવા છતાં, રવીન્દ્રનાથ ટાગોરનાં ભાણી સરલાદેવી ચૌધરાણી પ્રત્યે ખેંચાયા- એમની સાથે જોડાવા ઉત્સુક બન્યા. એ પ્રસંગે મથુરાદાસે ગાંધીજીને ટપારવા- ટકોરવાનાં હક અને ફરજ બન્ને અદા કર્યાં. (દાયકાઓ સુધી અજાણી રહેલી આ હકીકત અભ્યાસી વિદ્વાન અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી પૂરી ગરીમા સાથે પ્રકાશમાં લાવ્યા) સરલાદેવી ગાંધીજી કરતાં ત્રણ વર્ષે નાનાં. પરણીત. તેજસ્વી. તેમની સાથેનો સંબંધ ‘વ્યાખ્યા ન કરી શકાય એવો’ હોવાનું ગાંધીજીએ કહ્યું હતું. સરલાદેવી સાથે ‘સ્પિરિચ્યુઅલ મેરેજ’ સુધીના વિચારની હદે ગાંધીજી પહોંચ્યા હતા. ત્યાંથી એમને સમજાવીને પાછા વાળવાનું કામ કરનાર મુખ્ય ચાર જણ હતાઃ (રાજમોહન ગાંધીના પિતા) દેવદાસ ગાંધી, (દેવદાસના સસરા અને કોંગ્રેસી અગ્રણી) રાજગોપાલાચારી, મહાદેવ દેસાઇ અને મથુરાદાસ ત્રિકમજી. રાજમોહન ગાંધીએ આ સંબંધમાં મથુરાદાસનો ઉલ્લેખ કર્યો ત્યારે ઘણાને નવાઇ લાગી હતીઃ બાકીનાં ત્રણે નામ જાણીતાં છે, પણ આ મથુરાદાસ કોણ?

મથુરાદાસે છેક 1924માં ગાંધીજીને કોંગ્રેસ છોડવા સૂચવ્યું હતું. કોંગ્રેસના કેટલાક જૂના નેતાઓ સાથે ગાંધીજીને મતભેદ થયા. આદર અને સંખ્યાબળના જોરે ગાંધીજી ધાર્યું કરી શકે એમ હતા. પણ તેમને એવી ‘જીત’ ખપતી ન હતી. અમદાવાદમાં થયેલી કોંગ્રેસ મહાસમિતિની સભામાં, મથુરાદાસની નોંધ પ્રમાણે, ‘ભરસભામાં તેમની (ગાંધીજીની) આંખમાં આંસુ ટપક્યાં.’ એ વખતે ગાંધીજીએ ‘કોંગ્રેસમાંથી નીકળી જવું જોઇએ અને નવો સંઘ ઉભો કરીને સ્વરાજનું કામ પોતાની રીતે આગળ ધપાવવું જોઇએ’ એવું સૂચવતો પત્ર મથુરાદાસે તેમને લખ્યો હતો. દસ વર્ષ પછી ગાંધીજી ‘કોંગ્રેસમાં દેખાતો બગાડો અને સર્વત્ર નિયમનના અભાવ’થી અકળાતા હતા ત્યારે મથુરાદાસે ગાંધીજીને પત્રમાં સાફ શબ્દોમાં લખ્યું, ‘આપના જીવનકાર્યની સફળતા અને દેશની પ્રગતિ આપ કોંગ્રેસમાંથી ફારેગ થાઓ તો થાય એમ મને ચોક્કસ લાગે છે. સૌ ગુંગળાઇ રહ્યા છે. તેમને છૂટા કરો.’ (સપ્ટેમ્બર, 1934) એક મહિના પછી ગાંધીજીની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાની સાથે મથુરાદાસે ફરી યાદ કરાવ્યું કે ‘(તમારા કોંગ્રેસમાંથી નિવૃત્ત થવાના નિર્ણયમાં) જ કોંગ્રેસનું, દેશનું અને માનવકુલનું હિત છે.’ તેનો જવાબ આપતાં ગાંધીજીએ લખ્યું, ‘કોંગ્રેસમાંથી કાઢવા જેટલો તું ઉત્સુક થઇ રહ્યો છે તેના કરતાં હું નીકળવા વધારે ઉત્સુક થઇ રહ્યો છું. એટલે એ કામ સહેજે થઇ શકે એવા ઉપાયો જ આપણે રચવાપણું રહે છે.’

મથુરાદાસને 1925માં ટીબીનો ‘રાજરોગ’ લાગુ પડ્યો. તેનાથી એ છેવટ સુધી ઓછેવત્તે અંશે હેરાન થતા રહ્યા. ગાંધીજી સતત તેમની તબિયતની ચિંતા રાખતા અને પૃચ્છા કરતા. રોગ લાગુ પડ્યા પછી શરૂઆતનાં ત્રણ- સવા ત્રણ વર્ષ કુટુંબથી અલગ રહેતા મથુરાદાસની સેવા માટે ગાંધીજી પોતાના સાથીદારો મોકલતા હતા. સ્વામી આનંદ, દેવદાસ ગાંધી, પ્યારલાલ જેવા સાથીઓ મથુરાદાસની સેવાશુશ્રુષા માટે રહ્યા. ગાંધીજી તો મહાદેવભાઇ અને કસ્તુરબાને મોકલવા તૈયાર હતા, પણ મથુરાદાસ એ માટે રાજી ન થયા. પ્યારેલાલને પણ તે વહેલા પાછા મોકલી દેવા ઇચ્છતા હતા ત્યારે ગાંધીજીએ તેમને લાગણીસભર કડકાઇથી લખ્યું, ‘પ્યારેલાલને મોકલી દેવાની જરાયે ઉતાવળ કરશો તો સખત ઠપકાને પાત્ર ઠરશો...નિરાધાર રહેવાનો અખતરો કરવાના લોભે પ્યારેલાલને રજા નહીં જ આપજો.’ (14-5-1927)

મથુરાદાસ જ્યાં હોય ત્યાં ગાંધીજી નિયમિત રીતે તેમની ખબર મેળવે. ‘તમારું નામ લીધા વિના કે તમારું સ્મરણ કર્યા વિના તો એક પણ દિવસ નહીં જતો હોય’ એ પ્રકારનાં ટૂંકાં છતાં લાગણીસભર વાક્યો દ્વારા તેમને હૂંફ આપતા રહે. 1942ની હિંદ છોડો ચળવળ પછી 1943માં ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ કર્યા, ત્યારે જેલખાતાના ઉપરીને તેમણે લખ્યું, ‘મુંબઇના માજી મેયર શ્રી મથુરાદાસ ત્રિકમજીની તબિયતના સમાચાર જાણવા હું મહિનાઓ થયાં આતુર છું. ઘણા વર્ષ ઉપર ગુજરી ગયેલ મારી બહેનના તે પૌત્ર છે. સરકાર કાં તો મને ખબર મેળવી આપે અને કાં તો શ્રી મથુરાદાસ ત્રિકમજીને મને લખવાની રજા આપે અને જાતે લખવાની તેની સ્થિતિ ન હોય તો તેના વતી બીજા કોઇને પૂરેપૂરી વિગત લખી મોકલવાની રજા આપે.’ સેનેટોરિયમમાં આરામ કરતા મથુરાદાસ ગાંધીજીને મળવા આગાખાન મહેલ (પૂના) ગયા ત્યારે મૌનવાર હોવાથી ગાંધીજીએ ચબરખીમાં તેમને ઉદ્દેશીને લખ્યું, ‘મેં કહેવડાવ્યું હતું કે તું સંયમ પાળજે ને ન આવતો. હવે સાવ સારો થઇ જા એટલે આવ્યો તેની માફી.’ (22-2-43)

બિમારીની શરૂઆતમાં મથુરાદાસને તેની ગંભીરતાનો અંદાજ નહીં. એટલે 1926માં તેમણે કોર્પોરેશનની ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું. પછી તબિયત બગડતાં તેમણે મુંબઇ છોડ્યું. છતાં, મિત્રોના પ્રચારથી તે પોતાની ગેરહાજરીમાં ચૂંટણી જીત્યા. ગાંધીજીએ તેમને વિશિષ્ટ ઢબે અભિનંદન આપતાં લખ્યું, ‘ઘણા હાર્યા છતાં કચરાપટ્ટીમાં તમને જય મળ્યો. તેને સારુ તમને મુબારકબાદી જોઇએ તો આ એ જ છે એમ માની લેજો.’ (4-2-1926) મુંબઇ કોર્પોરેશનમાં પહેલી વાર 1939માં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી થઇ. એ વખતે મેયરપદું દરેક વખતે જુદી જુદી કોમના ઉમેદવારને મળે એવી પ્રથા હતી. એ મુજબ પારસી મેયર ચૂંટાયા ત્યારે ગાંધીજીએ મથુરાદાસને લખ્યું, ‘તું કિંગમેકર જેવો છે તે રહે. ત્યાગથી તારી શક્તિ વધશે અને શહેરની સેવા વધારે કરી શકીશ.’ બીજા વર્ષે (1940માં) મથુરાદાસ મેયર બન્યા ત્યારે ગાંધીજીએ અભિનંદન આપવાને બદલે લખ્યું, ‘તને મુબારકબાદી નથી આપતો. તેં ભારે ફરજ ઓઢી છે, એ અદા કરવાનું ઇશ્વર તને બળ આપો. આજ લગી તું મેયર બનાવતો આવ્યો. તેમાં રસ ઘણો હતો ને જવાબદારી ઓછી. હવે રસ ગયો ને નકરી જવાબદારી. એ ભાર તળે દબાઇ ન જતો. બધું ઇશ્વરપ્રીત્યર્થ છે એમ સમજશે તો ભાર જેવું નહીં લાગે.’ (5-4-1940)

ગાંધીજી અને મથુરાદાસ વચ્ચેના અનેક સંવાદો-પત્રવ્યવહારો જાહેર જીવનના આદર્શો અને ગાંધીજીની કાર્યપદ્ધતિ વિશે બહુ ઉપયોગી-અધિકૃત માહિતી પૂરી પાડે છે. ગાંધીજીના સંભારણાંનું તેમનું પુસ્તક ‘બાપુની પ્રસાદી’ ગાંધીજીના મૃત્યુના આઠ મહિના પછી ‘નવજીવન’ તરફથી પ્રકાશિત થયું. એ કદાચ તેની પહેલી ને છેલ્લી આવૃત્તિ. એવું જ 1921ની અસહકાર ચળવળ વિશેની મથુરાદાસની પુસ્તિકા ‘અસહકાર’ (1952)નું. ક્ષયરોગ વિશે તેમણે લખેલું, ડો.જીવરાજ મહેતાનું પરામર્શન ધરાવતું પુસ્તક ‘મરુકુંજ’, લોકમાન્ય ટીળકના ‘ગીતા રહસ્ય’ પુસ્તકનો તેમણે કરેલો સંક્ષિપ્ત ભાવાર્થ ‘કર્મયોગ’, જેલવાસ દરમિયાન સ્ત્રીઓની સમસ્યા વિશે લખેલું નાટક, ગાંધીજીનાં ભાષણો-લેખોનું સંભવતઃ પહેલું સંપાદન (1918) અને એ સિવાય અનુવાદો – આ મથુરાદાસનો શબ્દવારસો. તેમનાં પત્ની તારામતિબહેન અને સંતાનો દિલીપભાઇ, કપિલભાઇ, જ્યોત્સનાબહેનમાંથી કોઇના વિશે વધુ જાણકારી મળી શકી નથી. મથુરાદાસની બીજી કે ત્રીજી પેઢીમાંથી કોઇનો પત્તો મળે તો કમ સે કમ તેમની તસવીરો અને વચ્ચેની ખૂટતી કડીઓ મળે. ત્યાં સુધી, આ લેખ સાથે (પીટર રુહના સંગ્રહમાંથી પરવાનગી સાથે) મુકાયેલી તસવીર મથુરાદાસ (જન્મઃ31-8-1894, મૃત્યુઃ6-7-1951)ની એકમાત્ર ઉપલબ્ધ તસવીર છે.

મથુરાદાસ ત્રિકમજીની વિસ્મૃતિ એ શરમજનક હકીકતનો વધુ એક પુરાવો છે કે આપણે કેવા કેવા લોકોને કેટલી ઝડપથી અને સહેલાઇથી, કશો ખટકો રાખ્યા વિના, ભૂલી જઇએ છીએ અને સરવાળે કેવી ઉતરતી ગુણવત્તા ધરાવનારાથી સંતોષ માનવા- તેમને નાયકપદે સ્થાપવા ધસી જઇએ છીએ.

Saturday, August 20, 2011

ગાંધીગંગાનો લુપ્ત-ગુપ્ત સિતારોઃ મથુરાદાસ ત્રિકમજી


તું જાણે છે કે હું તને મારી નીતિનો ચોકીદાર ગણું છું. એ તારો અધિકાર અને ધર્મ બરાબર જાળવજે’ - આ શબ્દો ગાંધીજીએ જેમને ઉદ્દેશીને લખ્યા હતા, એ મથુરાદાસનું જીવનકાર્ય આઝાદીના સત્તાવાર ઇતિહાસમાંથી સદા બાકાત રહેલું એક પ્રકરણ છે.

ભારતમાંગાંધીજીના લેખો અને ભાષણનો સંભવતઃ પહેલો સંગ્રહ- અને તે પણ ગુજરાતી ભાષામાં- કોણેકર્યો? આ સવાલ (હવે એનજીઓનાપ્રોજેક્ટની જેમ અભરાઇ પર ચડી ગયેલા) વાંચે ગુજરાતના સરકારીઉત્સાહીઓને જ નહીં, ગાંધીપ્રેમીઅને ગાંધી વિશે ઉત્કટ- ખરો આદર ધરાવતા લોકોને પણ અઘરો પડી શકે.

પુસ્તકનું નામઃ મહાત્મા ગાંધીની વિચારસૃષ્ટિ’. વર્ષ ૧૯૧૮ (સંવત ૧૯૭૫, વૈશાખ સુદ ૨.) ૪૧૩ પાનાંના આ દળદાર પુસ્તકમાં મુખ્ય સાત વિભાગો અનેપરિશિષ્ટ અંતર્ગત ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિંદી અને મરાઠી ભાષામાં ગાંધીજીના લેખ-પ્રવચનનાઅનુવાદ મૂકવામાં આવ્યા છે. સત્યાગ્રહ પ્રકરણ, નૈતિક પ્રકરણ, રાજકીય પ્રકરણ, આર્થિકપ્રકરણ, સામાજીક પ્રકરણ, શિક્ષણ પ્રકરણ અને પ્રકીર્ણ (પરચૂરણ)- આપ્રકારને ગાંધીજીના વિચારોનું સંકલન કરીને તેને પ્રકાશિત કરનાર માણસનું નામ છેઃમથુરાદાસ ત્રિકમજી.

હવે થતો સવાલ ફક્ત અઘરો નહીં, કરુણ પણ છેઃ ગાંધીવિચારના પહેલાસંગ્રાહક-પ્રકાશક મથુરાદાસ ત્રિકમજી, પણ...મથુરાદાસ ત્રિકમજી એટલે કોણ?


આ સવાલના એકથી વધારે નક્કર જવાબો જાણ્યા પછી,નવાઇની સાથે આઘાત લાગવાની પૂરી શક્યતાછે. કારણ કે મથુરાદાસ કોઇ છેવાડાનાકાર્યકર કે અજાણ્યા ગાંધીપ્રેમી નહીં, ગાંધીજીના સૌથી નિકટના વર્તુળમાં સ્થાન ધરાવનાર જણ હતા. ગાંધીજીએકોંગ્રેસમાં પૂર્ણપણે જોડાતાં પહેલાં સ્થાપેલી સત્યાગ્રહ સભાના તે વ્યવસ્થાપક,૧૯૪૦માં મુંબઇના ચૂંટાયેલા મેયર,૧૯૧૮માં મહાદેવભાઇની ગેરહાજરીમાં થોડાદિવસ સુધી ગાંધીજીનું મંત્રીપદું સંભાળનાર, ગાંધીજી પ્રત્યે અપાર આદર રાખવા છતાં પોતાની સ્વતંત્રબુદ્ધિ ટકાવી રાખનાર - અને એટલે જ ગાંધીજી તરફથી મારી નીતિના ચોકીદારતરીકેનું વીરલ બહુમાન મેળવનાર.

ગાંધીજી સાથેનું તેમનું સગપણ કૌટુંબિક હતું.મથુરાદાસનાં મા આણંદબહેન અને આણંદબહેનનાં મા મૂળીબહેન. મૂળીબહેન ગાંધીજીનાં ઓરમાનબહેન થાય. કરમચંદ ગાંધીનાં સંતાનોમાં મૂળીબહેન સૌથી મોટાં. ગાંધીજી અનેમૂળીબહેનનાં દીકરી (મામા-ભાણી) એક જ વર્ષમાં જન્મેલાં. આમ, ગાંધીજી મથુરાદાસનાં માના મામા થાય. બન્ને વચ્ચેઉંમરનો ૨૫ વર્ષનો તફાવત. (મથુરાદાસની જન્મતારીખઃ ૩૧ ઓગસ્ટ, ૧૮૯૪) પરંતુ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યાત્યાર પછી કૌટુંબિક નાતો વિકસીને અનેક ગણા પ્રગાઢ એવા સાથીપણામાં ફેરવાયો. દેશનાકામમાં પડેલા ગાંધીજી માટે કૌટુંબિક સંબંધો કેટલા ગૌણ થઇ ગયા હતા તેનો મથુરાદાસપરના તેમના એક પત્રમાંથી મળે છે. ચંપારણ સત્યાગ્રહ વખતે મથુરાદાસના ભાણાના અવસાનપ્રસંગે ગાંધીજીએ મોતીહારી (બિહાર)થી તેમને લખ્યું હતું, ‘મૂઆ જીવ્યાનો હિસાબ હું ભાગ્યે જ રાખી શકું છું. આવાંકાર્યમાં હું કુટુંબના કામનો રહ્યો જ નથી. ભરતીઓટની અસર પણ ભાગ્યે થાય છે. હાલમાંજ કુટુંબમાં આ ત્રીજા મરણના ખબર આવ્યા. ક્ષણભર વિચાર કરી ભૂલી જવાય છે. મને આસ્થિતિ અનાયાસે પ્રાપ્ત થઇ છે, પણએ કેળવવા યોગ્ય છે એમ લાગ્યા કરે છે...’(૮-૪-૧૯૧૭)

ગાંધીજી સાથે પરિચયની શરૂઆતના દિવસોમાં મથુરાદાસતેમને પત્રમાં મામાશ્રીલખતા હતા, પણ ૧૯૧૯ સુધીમાં મામાશ્રીના કૌટુંબિક સંબોધનના સ્થાને બાપુજીઆવી ગયું.દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની બહાદુરીભરી લડત વિશે જાણતા અને તેમનાં વીરતા, દેશભક્તિ અને સાઘુતામાટે અહોભાવ અનુભવતા મથુરાદાસ ૧૯૧૫માં ગાંધીજીને પહેલી વાર મળ્યા. ત્યારપહેલાં તેમણે બી.એ. થયા પછી લૉ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો, પણ ગાંધીજી સાથેની પહેલી મુલાકાત પછી તેમણેલૉનો અભ્યાસ છોડ્યો. કેટલાંક કુટુંબીજનોએ આ વિશે ગાંધીજીને પૂછ્‌યું, ત્યારે તેમણે ગાંધીશાઇ ધાર સાથે કહ્યું હતું,‘એ (મથુરાદાસ) ભાગ્યશાળી હશે તોસોલિસિટર નહીં થાય.

૧૯૧૫થી બે વર્ષ સુધી મથુરાદાસ ગાંધીજીને ક્યારેક પત્રોલખતા, સવાલ પૂછતા, તેમના સિદ્ધાંત સમજવા મથતા. ગાંધીજી તેમનેજવાબ પણ લખતા. ૧૯૧૭માં ગાંધીજીએ સરોજિની નાયડુ સાથે મથુરાદાસની ઓળખાણ કરાવતાંકહ્યું હતું, ‘આ આશાભર્યો જુવાનછે, પણ હમણાં તો તણાયા કરે છે.

પોતે તણાતોયુવાન દોઢદાયકામાં ગાંધીજીની નીતિનોચોકીદારકેવી રીતે બન્યો?તેનો જવાબ એકલદોકલ પ્રસંગમાં નહીં,પણ મથુરાદાસની સતત વધતી કામગીરીમાંથીઅને ગાંધીજી સાથેના તેમના મુક્ત સંવાદમાંથી મળી રહે છે. પોતાના રાજકીય ગુરુગોપાલકૃષ્ણ ગોખલેની બીજી પુણ્યતિથી નિમિત્તે ગાંધીજીતેમનાં (ગોખલેનાં) ચુનંદાં પ્રવચન ગુજરાતીમાં પુસ્તકરૂપે આપવા માગતા હતા. એ પુસ્તકના પ્રકાશનનું પ્રોડક્શનસંબંધી કામમુંબઇ રહેતા મથુરાદાસને સોંપવામાં આવ્યું. તેમણે પુસ્તકનાં પ્રૂફ વાંચ્યાં-યથાયોગ્ય સુધારા કર્યા અને તેની છાપતાં પહેલાંની કાચી નકલ ગાંધીજીને જોવા મોકલી.પરંતુ ગાંધીજીને અનુવાદ ન ગમ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં મથુરાદાસને લખ્યું,‘ભાષાન્તરનું ગુજરાતી સરળ, સ્વાભાવિક, વ્યાકરણદોષથી રહિત અને સાહિત્યભંડારમાં શોભી રહે એવુંહોવું જોઇએ. આમાંનો એકે ગુણ આ ભાષાન્તરમાં હું જોઇ શકતો નથી...હું જોઉં છું કેપ્રૂફ તપાસવામાં તમે સરસ મહેનત કરી છે. શુદ્ધિપત્ર આપણે ન આપવું પડે અને અશુદ્ધિ નહોય એ આપણો નિયમ હોવો જોઇએ.’ (૧૪-૧- ૧૯૧૮)

ભાષાંતર વિશે ગાંધીજીના આગ્રહો કઠોરતાની હદે કડકહતા. એટલે મથુરાદાસે ગાંધીજીનાલેખો-ભાષણોનો સંગ્રહ કરવાનું કામ હાથમાં લીઘું, તે એમની પહેલી મોટી કસોટી હતી. ગાંધીજીએ સૌથી પહેલાં આસંગ્રહ કરવાનો હેતુ પૂછ્‌યો. મથુરાદાસે કહ્યું, ‘પ્રજાને આપના વિચારો સમજવામાં સરળતા થાય અને અભ્યાસનેપરિણામે શંકાશીલ (લોકો) આપના મતના થાય.એ વખતે ગાંધીજી મહાત્માગાંધીતરીકે દેશમાં તો ઠીક,ગુજરાતમાં પણ પૂરેપૂરા પરખાયા ન હતા.



ગાંધીજીની રજા તો મળી, પણ ઘણા લેખ કે ભાષણ અંગ્રેજી-હિંદી-મરાઠીમાં હતા. તેનોગાંધીજીને પસંદ પડે એવો અનુવાદ કરવાનું કેટલું અઘરું હતું તે આગળના પ્રસંગ પરથીસમજાશે. પણ મથુરાદાસે નોંઘ્યું છે, ‘લખાણ તૈયાર થઇ ગયું ત્યારે મેં સંગ્રહની અનુક્રમણિકા બાપુને વાંચી સંભળાવીઅને એકાદ ભાષણનો તરજુમો પણ તેઓ જોઇ ગયા.આ તરજુમો કોણે કર્યો એનો ઉલ્લેખ મહાત્મા ગાંધીની વિચારસૃષ્ટિ’ (૧૯૧૮)માં કે મથુરાદાસના સંભારણાના પુસ્તક બાપુની પ્રસાદી’ (૧૯૪૮)માં મળતો નથી. પણ બીજા કોઇએ તરજુમો કર્યો હોત તોમથુરાદાસે તેમનાં નામ અવશ્ય લખ્યાં હોત. તેથી આ કામ એમણે જ કર્યું હશે એવું ધારીશકાય. આ પુસ્તકની પ્રસ્તાવના લખવાની વાત આવી, ત્યારે મોતીહારીથી ગાંધીજીએ એક પત્રમાં લખ્યું,‘મારી પોતાની પ્રવૃત્તિઓની વિગતોમાંથી આપુસ્તકનું પ્રકાશન થયું છે. તેમાં મારે પ્રસ્તાવના લખવાની શી જરૂર? મારા વિચારોનું મારા દ્વારા થતું આચરણ એ જતેની સાચી પ્રસ્તાવના છે. એ પ્રસ્તાવના જે વાંચી શકશે તેને આ પુસ્તક વાંચવાનોધક્કો મળશે.

પુસ્તકના પ્રકાશકીયમાં જણાવ્યા પ્રમાણે,‘કોઇ એક સમર્થ વિદ્વાન પાસે એમના(ગાંધીજીના) આદર્શો અને સિદ્ધાંતોનું દિગ્‌દર્શન કરાવતો એક નિબંધપુસ્તકના આરંભે ઉપોદ્‌ઘાત તરીકે મૂકવાની યોજનાહતી. પ્રો.આનંદશંકર ધ્રુવ સત્યનિષ્ઠમહાત્મા ગાંધીજીના સિદ્ધાંતો અને એનાં તત્ત્વોનો થોડો વિચારએ વિષય પર લખવાના હતા. પરંતુ તેમની તબિયતકથળતાં એ નિબંધ મળી શક્યો નહીં અને તેના વિના પુસ્તક પ્રગટ કરવું પડ્યું. પુસ્તકનામુખપૃષ્ઠ પર ગાંધીજીનું પ્રિય વચન શઠંપ્રતિ સત્યમ્‌મૂકવામાં આવ્યુંહતું. એ વિશે મથુરાદાસે લખ્યું હતું,‘આ વચન આ પુસ્તકમાં ક્યાંય આવતું નથી, પરંતુ તેઓએ વાતચીતમાં અને ચર્ચા કરતાં તેનો ઉપયોગ ઘણીએવાર કર્યો છે અને તેની મહત્તા અનક વાર બતાવી આપી છે...શઠં પ્રતિ શાઠ્યમ્‌ એસૂત્ર...ધાર્મિક નથી, પણ કેવળવ્યવહારિક વચન છે એમ પણ એમણે ઘણી વખત બતાવ્યું છે...એમનું જીવન એમના પ્રિયસૂત્રનું પ્રતિબિંબ છે.

(બીજો ભાગ આવતી કાલે)


Friday, August 19, 2011

વિવેક દેસાઇનું તસવીર-પ્રદર્શનઃ શોધ...(અને તને મળશે)






ઉપર મૂકેલી ત્રણ તસવીરો વિશે એક પણ લીટી લખીને- તેનું  રસદર્શન કે રસચૂંથણી કરાવીને મિત્ર વિવેક દેસાઇની કળાનું અપમાન કરવું નથી. આ તસવીરો વિશે એટલું જ કહેવાનું કે અમદાવાદમાં રહેતા મિત્રો આ તસવીરો અહીં જોઇને સંતુષ્ટ થઇ જવાને બદલે, પ્રદર્શનમાં મોટા કદમાં તેનું ચુંબકીય ખેંચાણ અનુભવવા જાય.

ગઇ કાલથી અમદાવાદની રવિશંકર રાવળ કલાભવન (લો ગાર્ડન)માં વિવેક દેસાઇના તસવીર પ્રદર્શનની શરૂઆત થઇ. તે 22 તારીખ સુધી રહેવાનું છે, પણ શનિ-રવિમાં તેનો મેળ અચૂક પાડી નાખજો. 'શોધ' શીર્ષક ધરાવતા એ પ્રદર્શનમાં બધા પોતપોતાની મનોભૂમિ-મનોવિશ્વનું પ્રતિબિંબ શોધી શકશે. વિવેકે પરિચયમાં બાઇબલ-વચન ટાંકતાં લખ્યું છે, 'knock and the door shall be opened unto you.` એ જ અંદાજમાં તેમનું તસવીર-પ્રદર્શન જોનારને એ કહી શકે એમ છે, `Seek and ye shall find.`


વિવેક દેસાઇની તસવીરકળા મારા જેવા ઘણા લોકો માટે આદરયુક્ત પ્રેમનો વિષય રહી છે. બનારસ, કુંભમેળો, નાગા બાવાઓ સાથેના તેમના અનુભવો, અમદાવાદ, સર્કસ- આવા અઢળક  વૈવિધ્યપૂર્ણ વિષયો  પર વિવેકનું કામ જોવા મળતું રહે છે. પ્રશાંત (દયાળ) અને અપૂર્વ (આશર) જેવા કોમન પરમ મિત્રો વિવેક સાથેના પ્રેમભાવની જોડતી કડી જેવા હોવાને કારણે પણ કેટલીક વિગતો- વાતો જાણવા મળતી રહે છે.


(L to R: Nipa Ashar, Apurva Ashar, Manvita desai, Vivek desai, Shilpa Bhatt-Desai)

વિવેકના પ્રદર્શનમાં વિશિષ્ટ કહેવાય એવી બાબત લખાણની બે પેનલ છે. એક વિવેકના પરિચયની અને બીજી વિવેકની યાત્રાની. ફેસબુક પર વિવેકનાં લખાણો વાંચતા મિત્રો તેમના લેખનકૌશલ્યથી પરિચિત હશે.  ગુજરાતી તસવીરકારોમાં ફોટોલાઇનની જગ્યાએ ફોટોનિબંધ લખવાનું જે દૂષણ પેઠું છે, તેનાથી સાવ અલગ- વિવેકે લખાણ અને તસવીરના જુદા વિભાગ રાખ્યા છે.  બે-ત્રણ તસવીરો સમાઇ જાય એટલી જગ્યામાં વિવેકે અપૂર્વ સાથે મળીને તૈયાર કરેલી યાત્રા-પ્રેમ-મૈત્રીની પેનલમાં તેમના કેટલાક વિશિષ્ટ અનુભવો વિવેકીય અંદાજમાં આલેખાયા છે. તેમાં સ્ત્રી-મિત્રો સાથેના પ્રસંગો અને તસવીરો વિશે જિજ્ઞાસુઓની જિજ્ઞાસા આગોતરી સંતોષતાં વિવેકે લખ્યું છે, 'એક પ્રશ્ન ચોક્કસ થશે જ...કે શું મારા જીવનમાં માત્ર સ્ત્રીઓ જ આવી? એનો જવાબ છે- ના પુરૂષો પણ ઘણા આવ્યા, પણ એક જ વાક્યમાં આનો જવાબ લખું છું કે 'સ્ત્રીઓ સાતત્યપૂર્વક ટકી રહી છે.' બાકી, પોતપોતાનાં અર્થઘટન કરવાની છૂટ કલાના ક્ષેત્રમાં સૌને હોય જ છે.'

વિવેક અને તેમનાં સૌ સહયાત્રીઓને હૃદયપૂર્વક અભિનંદન.

વિવેક દેસાઇનું તસવીર પ્રદર્શનઃ રવિશંકર રાવળ કલાભવન, 22 ઓગસ્ટ સુધી. સાંજે 4 થી 8. 

Wednesday, August 17, 2011

અન્નાનું આંદોલનઃ શું છે? શું નથી?


અન્ના હજારેનો મુદ્દો પહેલેથી શાંતિપૂર્વકના વિચારનો ઓછો અને ‘લોકલાગણી’નો વધારે રહ્યો છે- એવી લોકલાગણી જે પૂરું વિચારવા તૈયાર નથી. જે પોતાનામાં કશો બદલાવ આણવાની જરૂર જોયા વિના, બાકી બધું બદલાઇ જાય એમ ઇચ્છે છે, જે ‘વીરપૂજા’ (‘હીરોવર્શિપ’) માટે સદા તત્પર હોય છે અને ‘હીરો’ની વ્યાખ્યા બહુ ‘ઉદારતા’થી બાંધે છે. પૂર્વાપર સંબંધો સાથે કે સાવ નજીકના ઇતિહાસ સાથે લેવાદેવા રાખવાનું એવી લોકલાગણીને બહુ માફક આવતું નથી. તે તરફી અને વિરોધી એમ બે જ છાવણીમાં, બે જ ઝાંયમાં વસ્તુઓ જોઇ શકે છે. કેમ કે, એમ કરવામાં નહીં વિચારવાની મોટી સુવિધા જળવાઇ રહે છે.

(cartoon courtesy: Moni)
વિચારનાર જણની નિયતિ સતત સાથે અને સામે રહેવાની હોય છે, એ મતલબનું ઉમાશંકર જોશી વિશે પ્રકાશભાઇએ એક વાર લખ્યું હતું. ‘લોકલાગણી’ને એવા વિચારનાર ખપતા નથી. વિચારનારને ભાંડવામાં ‘લોકલાગણી’ માત્ર ફરજ નહીં, પોતાના અસ્તિત્ત્વની સાર્થકતા જુએ છે. ‘ક્રાંતિ’ની હોંશથી, પોતે સુધર્યા વિના કંઇક મોટું-સારું કરી નાખવાના ઉશ્કેરાટથી કે નિતાંત હરખપદુડાપણાથી દોરવાઇને તે સીધીસાદી અને નજર સામેની હકીકતો જોવાનું ટાળે છે. લીડર, ઓપિનિયન-લીડર અને ચીયર -લીડર વચ્ચેનો ફરક તેમના કિસ્સામાં ઘણી વાર ભૂંસાઇ જાય છે.


અન્નાના આંદોલનની વાત કરીએ તો, દેશમાં ઘણા લોકો અન્ના-સાથીદારો તથા સરકાર બન્નેની આત્યંતિકતાઓ વિશે સાવચેતી સેવે છે. એ વાત ‘લોકલાગણી’ અને તેના ચીયરલીડરો સમજી કે સ્વીકારી શકતા નથી. તેમને મન અન્નાની આત્યંતિકતાઓનો વિરોધ કરનારા આપોઆપ સરકારના તરફી બની જાય છે. આગળ કહ્યું તેમ, એમને ઝાંયમાં – શેડમાં જોવાનું ફાવતું નથી. ‘તમે સાથે નથી? તો તમે સામે છો?’ એવું તેમનું ગણિત છે, જેની પર તે લોકલાગણીથી માંડીને જનજાગૃતિ અને રાષ્ટ્રપ્રેમ જેવા અનેક રંગોનાં આવરણ ચડાવીને તેનું માર્કેટિંગ કરી શકે છે.

સરકારે અન્ના અને તેમના સાથીદારો સાથે કરેલી વર્તણૂંકની માત્ર ને માત્ર ટીકા જ કરવાની હોય. પરંતુ એ સમજીને અને એટલી સ્પષ્ટતા સાથે કે સરકારની ટીકાનો અર્થ અન્નાની માગણીઓની તરફેણ એવો થતો નથી. સરકારની ખરાબ વર્તણૂંકથી અન્નાની માગણીઓ આપોઆપ વાજબી ઠરી જતી નથી. એવી જ રીતે, અન્નાની માગણીઓ- તેમની પદ્ધતિ અંગે અસંતોષ વ્યક્ત કરવા માટે સરકારતરફી હોવું જરૂરી નથી. એ બન્ને સાવ સ્વતંત્ર બાબતો છે, જેમનું મૂલ્યાંકન એકબીજાથી સ્વતંત્ર રીતે કરવાનું રહે છે. એના માટે ઘણી વાર હઇસો હઇસોથી સહેજ અળગા થવાની જ જરૂર હોય છે.
એ રીતે ટૂંકમાં વિચારી જોઇએ કે અન્નાનું આંદોલન શું છે? અને શું નથી?

પહેલાં એ શું છે તેના મુદ્દા:

-લોકશાહીમાં અત્યંત જરૂરી અને નાગરિકોના પક્ષે અપેક્ષિત એવી પ્રેશર ગ્રુપની ભૂમિકા અન્નાના આંદોલનના પહેલા ભાગથી સારી રીતે ઊભી થઇ. દાયકાઓથી અટવાતા લોકપાલ ખરડાને દબાણપૂર્વક સંસદમાં રજૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં અન્નાની આગેવાની હેઠળના આંદોલનની ભૂમિકા મહત્ત્વની રહી.


-પહેલી વારની લડત પછી જનલોકપાલ પ્રતિનિધિઓ અને સરકારી પ્રતિનિધિઓની એક સમિતિ બની, બલ્કે બનાવવી પડી. આ સમિતિની રચનાપ્રક્રિયા, તેના સભ્યો અને તેમાં વ્યક્ત થયેલી ‘સિવિલ સોસાયટી’ની સમજણ જુદી અને મહત્ત્વની ચર્ચાનો મુદ્દો છે. છતાં, જાહેર હિતના એક ખરડાના ઘડતરમાં લોકપ્રતિનિધિઓની લાગણી-માગણી ધ્યાને લેવામાં આવે તે ઉપલબ્ધિ ગણાય. બીજા ઘણા મુદ્દે આ રીતે નાગરિકોનાં પ્રેશરગ્રુપ ઉભાં થાય અને વ્યાપક જનહિતમાં સરકાર પર સીધું-આડકતરું દબાણ લાવે તે આવકાર્ય અને જરૂરી છે.  

-અન્નાનું આંદોલન સત્તાસ્થાનોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની સ્વતંત્ર તપાસ, તેની પર કાર્યવાહી અને સંબંધિત ગુનેગારને સજા થાય એવી સત્તા ધરાવતા નિરંકુશ લોકપાલની નિમણૂંકની માગણી કરે છે. સરકારી ખરડો અને જનલોકપાલ વચ્ચે મતભેદના મુખ્ય મુદ્દામાંનો એક લોકપાલ ખરડામાં વડાપ્રધાન તથા ઉચ્ચ ન્યાયતંત્રની સામેલગીરી અંગેનો રહ્યો. સરકારી ખરડામાં વડાપ્રધાનને તેમનો કાર્યકાળ પૂરો થયા પછી લોકપાલની તપાસના દાયરામાં આવરી લેવાની દરખાસ્ત છે.

હવે અન્નાનું આંદોલન શું નથી એ પણ જોઇ લઇએ.

-તેને બહુ બહોળા અર્થમાં ભ્રષ્ટાચારવિરોધી આંદોલન કહી શકાય, પણ આંદોલનનો હેતુ આ લેબલના વ્યાપ કરતાં ઘણો નાનો અને સાંકડો છે. તે જનલોકપાલ ખરડો પસાર કરવા માટેનું આંદોલન છે, જેમાં એક સર્વસત્તાધીશ લોકપાલની નિમણૂંકની જોગવાઇ છે અને તેનાથી ઘણો ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે એવો આશાવાદ સેવવામાં આવે છે.
ભ્રષ્ટાચારનો વિરોધ કરનારને ટેકો જ આપવાનો હોય, પણ વધુ એક કાયદાકીય સંસ્થાની સ્થાપનાથી ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જશે એવું માની લેવામાં આવે, એ માગણી માટે આંદોલન ચલાવવામાં આવે અને તેને ‘દેશવ્યાપી ભ્રષ્ટાચારવિરોધી આંદોલન’ જેવી ભવ્ય ઓળખ આપવામાં આવે, ત્યારે તેમાં મોટા પાયે ભળેલી અતિશયોક્તિ કેવી રીતે નજરઅંદાજ કરી શકાય?

-જનલોકપાલ ખરડામાં લોકપાલ માટે અભૂતપૂર્વ અને લગભગ ગેરબંધારણીય કહી શકાય એવી સત્તાઓની માગણી કરવામાં આવી છે. (એ હોદ્દે બેસનાર છેવટે કોઇ માણસ જ હોવાનો, એ પણ જાણે ભૂલી જવાયું હોય એમ લાગે.) એવી માગણીઓનો ઉપયોગ સરકાર સાથે રકઝક-બાર્ગેઇનિંગ-કરીને સરકારી ખરડાને વધારે અસરકારક, દાંત-નહોર ધરાવતો બનાવવા માટે કરવામાં આવે ત્યાં સુધી બરાબર, પણ ઘણી આત્યંતિકતાઓ ધરાવતો જનલોકપાલ ખરડો જ સ્વીકારાવો જોઇએ એવી જિદ કેટલી યોગ્ય ગણાય? અને આમરણ ઉપવાસના વજનને લીધે એ જિદ વાજબી બની જાય?
બીજી રીતે કહીએ તો, આમરણ ઉપવાસના જોરે ગેરબંધારણીય માગણીઓને કાયદાનું સ્વરૂપ અપાવવાની માગણી મૂકી શકાય? એ માગણી સ્વીકારવાની સરકારને ફરજ પાડી શકાય?

-આમરણ ઉપવાસ જેવું બ્લેકમેઇલિંગની કક્ષાનું શસ્ત્ર જનલોકપાલ ખરડાના સ્વીકાર માટે પ્રયોજવામાં આવે અને બહુમતિ લોકો જનલોકપાલની જોગવાઇઓમાં ઉંડા ઉતર્યા વિના, કેવળ આમરણ ઉપવાસની તરફેણમાં જોડાઇને ભ્રષ્ટાચાર સામે બાંયો ચડાવ્યાની – ‘ક્રાંતિ’ની- ‘કીક’ અનુભવે ત્યારે પ્રમાણભાનના ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. 

વિચારો...અને ભ્રષ્ટાચાર સામે ખરેખર કંઇક નક્કર કરવાનું મન થયું હોય તો, શરૂઆત પોતાનાથી કે પોતાના પરિવાર-શેરી-સોસાયટી કે વિસ્તારથી કરી શકાય છે. એના માટે જનલોકપાલની જરૂર નથી. બલ્કે, જનલોકપાલ આવશે તો પણ રોજબરોજના જીવનના સ્તરે તે આપણને કામ નહીં લાગે. એ લડાઇ આપણે જ લડવાની છે- ભલે એમાં ‘રાષ્ટ્રવ્યાપી ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ’નું ગ્લેમર ન હોય.